આશીષ કક્કડ વિશે ફેસબૂક પર શ્રદ્ધાંજલીના શબ્દો લખવાની મને ઈચ્છા નહોતી. કારણ કે, એક વર્ષ પછી, ફરી એ શ્રદ્ધાંજલી મેમરી તરીકે સામે આવે, અને મનને ધુંધવી નાખે. છતાં ય લખવી એટલા માટે પડી કે ક્યાંક તો હૈયામાં કણસી રહેલી પીડાને વિરેચન આપવું ને! આપણી પાસે શબ્દો સિવાય બીજું છે પણ શું કે આપણે આપી શકીએ!?
આશીષભાઈ ગયા એને ચાર-પાંચ દિવસ થયા પણ રોજ કોઈક ને કોઈક કારણસર યાદ આવ્યા જ કરે. એ યાદો સામે આંખ આડા કાન કરીએ તો પણ ઊઘડતાં જૂઈનાં ફૂલોની જેમ એ યાદ સતત ઝબકી જ જાય.
સુશાન્તસિંહ રાજપૂતના નિધન બાદ દેશ આખામાં ડિપ્રેસનની ચર્ચાએ ગોકીરો મચાવ્યો હતો, ત્યારે આશીષભાઈ સાથે છેલ્લે વાત થઈ હતી. તેમણે બારીક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “ડિપ્રેસન એ અવસ્થા છે કે આપણા શરીર અને મનમાં આનંદ ઊગવાનો જ બંધ થઈ જાય. જેમ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે ઈન્સ્યુલિન શરીર પોતે પેદા નથી કરતું, માટે તેને એ બહારથી આપવું પડે છે, એમ ડિપ્રેસન દરમ્યાન શરીર આનંદ જ પેદા કરતું નથી. લોકો કહે કે ફલાણા-ફલાણીએ આત્મઘાતી પગલું ભર્યું, એને બદલે તેણે કોઈ સાથે વાત કરી લીધી હોત તો હળવાશ મહેસૂસ કરત અને આવું પગલું ન ભરત; પણ વાત કરી લેવી જોઈએ એવી સલાહ આપનારાઓને ખબર જ નથી હોતી કે જે વ્યક્તિ ડિપ્રેસનમાંથી પસાર થઈ રહી છે તેને વાત જ કરવાનું મન જ ન થાય. તેની અંદર એ રસાયણ જ ન ઊગતું હોય કે તેને વાત કરવાનું મન થાય. તેથી ડિપ્રેસન-ગ્રસ્ત માણસે વાત કરવી જોઈએ એવી વાતો કરનારા નાદાન લોકો છે.”

જેણે ‘બેટર હાફ’ જેવી ટકોરાબંધ ફેમિનીસ્ટ ગુજરાતી ફિલ્મ આપી, તેણે સોશ્યલ મીડિયા પર કે સમૂહમાં લોકો વચ્ચે મળ્યા હોય ત્યારે એનાં ગાણાં ગાયા નથી. બાકી આજકાલ તો લોકો એકાદ પુસ્તક આવે ત્યારે આખું સોશ્યલ મીડિયા ગજવી દે છે.
આશીષભાઈને કોઈ પણ કામ કરવાની પ્રક્રિયામાં રસ પડતો અને એ પૂરું થઈ જાય પછી એનો સંતોષ મહત્ત્વનો હતો. પછી એ તેમણે રસોઈમાં કરેલો કોઈ નવો પ્રયોગ હોય કે પોતે બનાવેલી ફિલ્મ હોય. મને યાદ છે કે એક વખત તેમણે કહ્યું હતું કે મરચું ખોરાકમાં તમે વધારે ભભરાવો પછી તમે એની તીખાશને તો માણી શકો પણ એ તીખાશ હાવી થઈ જાય પછી અન્ય તત્ત્વોના જે સ્વાદ હોય તે દબાઈ જાય છે. કેટલી કોઠાસૂઝવાળી આ વાત છે. હવે હું જમણવારોમાં જૈન ફૂડનો સ્વાદ એટલા માટે માણું છું કે એમાં મરચા સહિતનાં સ્વાદ લોકશાહીઢબે આવે છે. સામયિક 'સાર્થક જલસો'માં તેમણે લખેલો 'મારા રસોઈના પ્રયોગો'વાળો લેખ રેસિપીનો લેખ આ રીતે પણ લખી શકાય તેનું ઉમદા ઉદાહરણ છે.
આશીષભાઈને જ્યાં પણ મળીએ ત્યારે તે એટલા સહજ હોય કે દરેક ઉંમરના લોકોને એમ જ થાય કે આ તો આપણા જેવો જ માણસ છે. આશીષભાઈની વાત કે દલીલ હંમેશાં તર્કસભર રહેતી, પણ તેમની ધ્યાનાર્હ લાક્ષણિકતા એ હતી કે તેઓ પાંચ કે પચાસ માણસોની વચ્ચે પોતાનો તર્ક અલગ પડતો હોય તો પણ એ પોતાની તર્કસભર વાત જતી ન કરતા. મોટા ભાગના લોકોનો સૂર અલગ પડતો હોય છતાં તેઓ પોતાની વાત તો મૂકતા જ. જરા પણ ડંખ રાખ્યા વગર, ઉષ્માસભર રીતે તેઓ જે અસહમતિ દર્શાવતા એ તેમની કળા હતી.
બાળકો સાથે તેઓ જે પ્રકારે ગમ્મત કરતા એ જોવાની મને મજા પડતી.
આશીષભાઈ, મને ખબર હોત કે તમે આમ અચાનક ચાલ્યા જશો તો હું એક આખો દિવસ મારી દીકરી રાવીને તમારે ઘરે રમવા મોકલત અને હું પણ એ ગમ્મતમાં સામેલ થાત. મેં મારી દીકરી સાથે ઘરમાં કેવાં રંગબેરંગી ચિતરામણાં કર્યાં છે એ તમને દેખાડવા બોલાવત અને એ વખતે તમારા હાવભાવ જોઈને મને કેટલો હરખ થાત.
જેમની સાથે સહેજ પણ ઔપચારિક થયા વગર મળી શકીએ અને માણી શકીએ એવા માણસો આ શહેરમાં ઓછા છે. એ ઓછામાંથી કોઈક જાય ત્યારે જેમ શરીરનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એમ જીવનનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એવું લાગે.
(તસવીર – અંકિત પટેલ)
તેજસભાઈ વૈદ્યની ફેઈસબૂક દિવાલેથી સ-આદર સાભાર, 06 નવેમ્બર 2020
![]()


વૃદ્ધો એક સમયે આશીર્વાદ આપવા પૂરતા કામના હતા, પણ હવે અપવાદરૂપે એવું હોય તો હોય ! મોટે ભાગે વૃદ્ધો ઇચ્છનીય નથી, સિવાય કે એમની પાસેથી કોઈ આશા હોય. યુવાની જિંદગીનો સૌથી સુંદર કાળ હોય છે, એમાં બેમત નથી, પણ જગતમાં કૈં પણ, છેવટે તો પૂરું થવા માટે જ હોય છે. યૌવન પણ પૂરું થાય જ છે. અમરત્વ સરસ કલ્પના છે, પણ વાસ્તવિકતા તો મૃત્યુ જ છે. જન્મ અને મૃત્યુ એ હકીકત છે. કલ્પના કે સ્વપ્નો પણ જીવન દરમિયાન જ શક્ય છે. જીવનની બહાર કલ્પના નથી કે નથી તો સ્વપ્નો પણ ! જીવનની આગળ કે જીવનની પાછળ જે તે વ્યક્તિ માટે કૈં નથી. અન્ય વ્યક્તિ, જનાર વ્યક્તિને તેનાં કાર્યોને લીધે વખાણે કે વખોડે એ શક્ય છે, પણ જનાર વ્યક્તિને એની જાણ થતી નથી તે પણ એટલું જ સાચું છે, કારણ તે હયાત નથી.
એકીસાથે ત્રણ-ત્રણ મહાસાગરને ખોળે ઉછરતો ઑસ્ટ્રૅલિયા દેશ. એના ખોળે ઉછરતી આદિમવાસીઓની અઢીસો જેટલી જાતિઓ. અને લગભગ અઢીસો વર્ષ પહેલાં જ એ આદિમવાસીઓની ભૂમિ પર અચાનક આવી ચડતા અણધાર્યા આગંતુકો. કેવી રીતે એ અણગમતા મહેમાનોએ આદિમવાસીઓની એ ભૂમિને ‘Terra Nullius’ જાહેર કરી, સામ, દામ, દંડ, ભેદથી એમને જ સગેવગે કરી ત્યાં પોતાનો ઝંડો ફરકાવી ને અંગ્રેજી શાસનના પાયા નાંખ્યા એ આપણે જોયું આ લેખમાળાની પહેલી કડીમાં. બીજી કડીમાં આપણે જોયો શ્વેતરંગી ઑસ્ટ્રેલિયાનો ઊગી રહેલો સુવર્ણકાળ. ‘જહાઁ ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ જેવું ચમકી રહેલા ઑસ્ટ્રેલિયા દેશને પોતાનો કરવા ચીન ને બીજા અનેક દેશોમાંથી એ સમયે ત્યાં ઊમટી પડેલાં અનેક લોકો, જેના લીધે ડોલવા માંડેલું અંગ્રેજી રામરાજ્ય. ને એ અંગ્રેજી રામરાજ્યને શ્વેતરંગી રાખવા માટેના એમના મારણિયા (મરણિયા નહીં જ) ને સફળ પ્રયાસો. હા, લેખમાળાની એ બીજી કડીમાં જ આપણે સાક્ષી બન્યાં White Australia Policyનાં; એમાં જ આપણે એને બનતી ય જોઈ અને જોઈ વિખેરાતી ય. અને એમાં જ ઉપસતું જોયું આજનું વિવિધરંગી, બહુસાંસ્કૃતિક ઑસ્ટ્રૅલિયા. તો ક્યારે ભળ્યા એમાં ભારતીય રંગો ને ક્યારે ઘોળાયો એમાં ગુજરાતી રંગ !? જાણશું લેખમાળાની આ ત્રીજી ને અંતિમ કડીમાં. પણ એ માટે શરૂઆત કરીએ રંગોળીની મૂળ ભાતમાં પડતાં ભારતીય રંગ છાંટણાંથી.





