Opinion Magazine
Number of visits: 9572881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજધાનીમાં ૨૬મી જાન્યુઆરી, એક રિપોર્તાજ

કુમાર પ્રશાંત|Opinion - Opinion|31 January 2021

આઝાદી પછી આ પહેલો ગણતંત્ર દિવસ હતો જ્યારે રાજધાની દિલ્હીમાં બે પરેડ થઈ – એક હરહંમેશ થતી સરકારી પરેડ, બીજી કિસાનોની ટ્રૅક્ટર પરેડ. કોણે ધાર્યું ‘તું કે ૭૨મા ગણતંત્ર દિવસ સુધી પહોંચતાં પહોંચતાં દેશ આ રીતે વહેંચાયેલો માલૂમ પડશે? આજે તે કિસાનો અને બિનકિસાનોમાં જ નહીં, પક્ષ અને વિપક્ષમાં જ નહીં, લોક અને તંત્ર વચ્ચે જ નહીં, તનમનથી એટએટલે ઠેકાણે વહેંચાયેલ છે કે તમે એનો વિચાર કરતાં ગભરામણ અનુભવવા લાગો. તિરંગો પણ એક નથી રહ્યો. જો એ એક રહ્યો હોય તો કોઈ બીજા ઝંડા લઈ લાલ કિલ્લા પર ચડવાની જરૂરત જ કેમ પડી?

આઈ.ટી.ઓ. ચાર રસ્તે ઉત્તર પ્રદેશના ભાવાવેશથી કાંપતા કિસાન સતનામસિંહે આ સ્તો કહેવાની કોશિશ કરી હતી : “તમે જ કહો, જો આ ગણતંત્ર કહેવાતું હોય તો ક્યાં છે ગણ? અમને અમારી રાજધાનીમાં રોકનારા કોણ છો તમે? અમે જ તમને બનાવ્યા છે, આવતી કાલે અમે જ કોઈ બીજાને બનાવીશું તો તમે તો નહીં રહો, પણ અમે તો હોઈશું જ. તમે અમારા અસ્તિત્વને જ નકારવા ચાહો છો? … તમે અમને બેરોકટોક આવવા દીધા હોત તો આવો ઉત્પાત થાત જ શેનો. અમે જો અહીં બેરોકટોક પહોંચી ગયા હોત તો વિમાસણમાં જ પડી ગયા હોત કે અહીં આવીને કરવું શું ? અહીં પહોંચીને અમે કરીકરીને એવું તો શું કરી લેવાના હતા? પણ તમે તો અમને રોકીને, અમારાં ટ્રૅક્ટર તોડીને, અમારી ગાડીઓના કાચ ચૂરચૂર કરીને, અમારા પર લાઠીઓ વરસાવીને, અમને વળતાં એવાં કામ ઝલાવી દીધાં જેને માટે હવે તમે અમારી વિરુદ્ધ પ્રચાર કરાવી રહ્યા છો!” ભાવુક થઈ સતનામસિંહ બોલતા રહ્યા : “ઉત્તર પ્રદેશમાં હિંદુઓ અને શીખો વચ્ચે ફાટ પાડવામાં તમે કશું બાકી નથી રાખ્યું. હિંદુઓના મનમાં એવું ઝેર રેડવાની કોશિશ કરી કે કિસાન આંદોલનનું ઓઠું લઈ અમે ખાલીસ્તાન બનાવીશું. અમે તો હિંદુ ભાઈઓને લાખ લાખ ધન્યવાદ દઈએ છીએ કે એમણે આ ઝેરને ચિત્તમાં સ્થાન નથી આપ્યું. ખરેખર તો આંદોલનની સૌથી મોટી તાકાત જ એ છે કે હિંદુ-શીખ-મુસ્લિમ-પારસી-દલિત સૌને એણે જોડ્યા છે અને એક મંચ પર આણ્યા છે. ભૈસાબ, હું કહું છું કે અમારાં મક્કા-મદીના, કાબા-કૈલાસ, ખાલીસ્તાન બધું આ હિંદુસ્તાન છે. અમે ન તો એ સિવાય કશું ઈચ્છીએ છીએ, ન તો કશું માંગીએ છીએ.”

કિસાન સંગઠનોએ સમાંતર ટ્રૅક્ટર રેલીની જાહેરાત કરી હતી અને ભારે સાવધાનીપૂર્વક એ માટેની તૈયારી પણ કરી હતી. પણ એમને ય એવો અંદાજ નહોતો કે કેટલા કિસાન, કેટલાં ટ્રૅક્ટર સાથે આવી લાગશે. સરકારને પણ અંદાજ નહોતો કે કિસાન આંદોલનનાં મૂળિયાં કઈ હદે ઊંડે ગયેલાં છે. એટલે આંદોલન અને સરકાર બેઉ ગણતંત્ર દિવસની સવારે આંખો ચોળતાં ઊઠ્યાં તો સૂરજ માથે ચડી ગયો હતો. દિલ્હી-ગાઝીપુર સીમાએ એકત્ર થયેલ કિસાન જમાવડો દિલ્હી પોલીસ સાથેની સમજૂતી તોડીને નીકળી પડ્યો હતો. એણે ન તો નિર્ધારિત સમયનું પાલન કર્યું, ન તો નિર્ધારિત રસ્તાનું. ને સીધો દિલ્હી ભણી વળી ગયો. એક ટોળી આમ વળી ગઈ તો બીજી ટોળીઓએ પણ વગર વિચાર્યે એમ કર્યું … આનેસ્તો ભીડ કહે છે ને!

જેને ટ્રૅક્ટરોનો કાફલો કહેવાય છે તે શું ને કેવો હશે એનો કોઈ પૂર્વાનુભવ ન તો કિસાનોને હતો, ન તો પોલીસોને. કિસાનોએ બે-ચાર-દસ ટ્રૅક્ટરોને ખેતરમાં જતાં જોયાં હોય તો હોય; અને પોલીસ બચાડી મહાનુભાવોના કાર કાફલાને જાણતી હોય. એટલે જ્યારે કિસાનોની ટ્રૅકટર રેલી દિલ્હીની સીમમાં દાખલ થઈ તો પોલીસ અધિકારીઓના ચહેરા પર અચરજ અને અવિશ્વાસ સિવાય કોઈ ખાસ ભાવ પણ નહોતો. ટ્રૅક્ટર તો શું, માનસિકતાની રીતે મીની ટૅંક જ કહોને, રસ્તા પર ચાલી રહ્યાં હતાં. રસ્તા પરનાં બેરિકેડ એવી રીતે ખડી રહ્યાં હતાં, જાણે કે પત્તાં. પોલીસે ખડા કરેલ અવરોધની આવી અવમાનના મીડિયાબંધુઓને બહુ વાગી અને એમણે એના પર એક સંદર્ભહીન પણ તીખી ટિપ્પણી કરી. મને તો રાજધાનીમાં આવી હર કોઈ ઘેરાબંધી હંમેશ કઠતી રહી છે, અને ગોબરી લાગતી રહી છે. આ વખતે કિસાનોએ તે તોડી પાડી એટલું જ નહીં પોલીસ ખાતાનો એ ભ્રમ પણ તોડી નાખ્યો કે પોલીસે ઊભો કરેલ અવરોધ અનુલ્લંઘ્ય જ હોય. લોખંડી રૂકાવટ હો કે કાનૂની, કોઈ પણ અવરોધ ત્યાં લગી જ મજબૂત રહી શકે છે અને એટલા જ મજબૂત હોય છે જ્યાં લગી લોક એને સ્વીકારે છે. એકવાર અવરોધ નકારી દીધો તો લોક એવરેસ્ટ પણ સર કરી શકે છે. સરકાર અને સંબંધિત સૌ  આ સંદેશ યાદ રાખી શકે તો ગણ અને તંત્ર બેઉનું હિત થશે.

જો કે દિલ્હીના હૃદયસ્થળ રૂપ આઈ.ટી.ઓ. લગી પહોંચ્યા પછી રાજપથ અને લાલ કિલ્લે પૂગવા સારુ ખેડૂતોએ અને એમના ટ્રૅક્ટરોએ આંખ મીંચીને જે દોટ મેલી તે શરમજનક જ નહીં બેહદ ખતરનાક પણ હતી. કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના પર હતી તે પોલીસવાળાનું સંખ્યાબળ ને મનોબળ બેઉ ઓછાં હતાં. વળી નોકરિયાત અને આંદોલનકાર વચ્ચે મનોબળનો ફરક તો સાફ દેખાઈ આવતો હતો. સાચા આંકડા તો પોલીસ ખાતું જ આપી શકે પણ નાખી નજરે ૫૦૦-૭૦૦ આંદોલનકારોએ સરાસરી એક પોલીસ પણ કદાચ નહોતો.

સંખ્યા વચ્ચેની આ વિષમતા જોતાં પોલીસ કારવાઈ બેઅસર રહેવાનો સંભવ સાફ હતો. તેમ છતાં, અહીં એટલું પણ ઉમેરવું જોઈએ કે પોલીસ અધિકારીઓએ સંયમ જાળવીએ સમજદારીભર્યો ફેંસલો લીધો અને ઉન્મત્ત કિસાનોને ઠીકઠીક મનમાની કરવા દીધી. નહીં તો, આઈ.ટી.ઓ. ચોક ખાતે ગણતંત્ર દિવસ ૪ જૂન ૧૯૮૯ના રોજ બૈજિંગના ટાઈનામેન ચોકની યાદ આપતો બની રહ્યો હોત.

આનો અર્થ એ નથી કે જે હાલત રાજધાનીમાં પેદા થવા દેવાઈ તેની આપણે પ્રશંસા કરવી. ૨૦૨૦ના જૂન મહિનાથી કિસાન આંદોલન ઊંડા શ્વાસ ભરતું હતું અને છેલ્લા સાઠ દિવસથી એનું તાપમાન ગર્જનવત્‌ અનુભવાતું હતું. દિલ્હી પ્રવેશના સઘળા રસ્તા પર કિસાનોએ કિસાનનગરી વસાવી દીધી હતી : એક કિલ્લેબંધી સરકારી નિર્દેશ મુજબ પોલીસોએ કરી રાખી હતી તો બીજી કિસાનોએ. કોઈ પણ રાજધાની આ રીતે પ્રભાવહીન શાસકો અને નાસમજ વહીવટકારોને ભરોસે કેવી રીતે છોડી શકાય ?  સર્વોચ્ચ અદાલતે પણ, કેવી રીતે કામ લેવું તે પોલીસે નક્કી કરવાનું છે કહીને હાથ ઊંચા કરી દીધા હતા. ખબરદાર, તમે બંધારણીય મર્યાદા તોડી તો એટલું તો કમસેકમ કહેવું જ જોઈતું હતું. ગમે તેમ પણ, કિસાનો કોઈ પણ નિર્ણય લેવાની સરકારની અક્ષમતા સમજી ગયા હતા. વાતચીતનાં દસ રાઉન્ડ દરમિયાન એમણે જોઈ લીધું કે સરકાર પાસે કશી સૂઝ નથી. કોણે કોનું ખાધું, ન ખાધું, શું ખાધું, હવે આગલી બેઠક ક્યારે, એ સિવાય કશું આગળ ચાલ્યું નહીં. કિસાનોએ પહેલેથી છેલ્લે સુધી એક જ વાત કહી કે ત્રણે કાયદા પાછા લો અને અમને ઘરભેગા થવા દો. કાયદા પાછા નહીં ખેંચવા સબબ સરકાર પાસે કોઈ તર્ક નહોતો. વળી નકલી સંગઠનો આગળ કરવાની અને વડા પ્રધાન જાણે અલાદીનના જાદુઈ ચિરાગનો જીન હોય એવી છાપ આપવાની સત્તાવાર કોશિશ હતી.

પરિણામે ૨૬મીએ શું બન્યું? કિસાનોનો દિશાહીન જમાવડો અને એના પર લાઠી ને ટિયરગેસ વરસાવતી પોલીસ. કિસાનોએ પણ હાજર સો હથિયારની રીતે પોલીસ પર વળતો હુમલો કર્યો એ સાચું – પણ એવા કિસ્સા પણ વાસ્તવમાં આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. મારપીટ થઈ, પોલીસ ગાડીઓના કાચ તૂટ્યા પણ ક્યાં ય બાળઝાળ ન થઈ, ગાડીઓ ન બળાઈ. સ્થળે સ્થળે એવા અનુભવી કિસાનો પણ મળી રહ્યા જે ઉન્મત્ત જુવાનોને વારતા હતા.

થાકેલા ને વળી ભરમાયેલા કિસાનોએ લાલકિલ્લા જતી સડકને કિનારે ટ્રૅક્ટરો ખડાં કરી દીધાં હતાં. સંગરુરથી આવેલા એક કિસાનને મેં પૂછ્યું : “શું થયું, ભાઈ! આવો તો કોઈ કાર્યક્રમ નહોતો!” એણે કહ્યું : “લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો તો કાર્યક્રમ હતો જ”. મેં કહ્યું કે હું જાણું છું ત્યાં સુધી તો શહેરમાં પ્રવેશ નહીં કરવાનો ને શાંતિથી નિશ્ચિત સ્થળે પણ ફરવાનો કાર્યક્રમ હતો. એવું ન કરી આંદોલને પોતાના પગ પર કુહાડી મારી છે. મારી આ ટિપ્પણી પર સામાન્ય સંજોગોમાં આક્રમક પ્રતિભાવ અપેક્ષિત હતો પણ એણે મારી વાત શાંતિથી સાંભળી લીધી. ભલે એ બોલ્યો કશું નહીં પણ સહમતિમાં માથુયે હલાવતો રહ્યો.

ગાઝીપુરના કિસાન જમાવડાનું એક જૂથ જેને સતનામસિંહ પન્નુ જૂથ કહેવાતું હતું તેમ જ દીપ સિધ્ધુ જેવા એકબે જૂથ જ જુદો રાગ આલાપતા હતા. આ એક મોટી ભૂલ થઈ એમ જ કહેવું જોઈશે, કેમ કે સંયુક્ત કિસાન મોરચાએ એમને પોતાનાથી અલગ વિધિવત્‌ જાહેર નહોતા કર્યા. અલબત્ત આ જૂથો પણ એટલાં તો પ્રામાણિક હતાં જ કે એમણે કિસાન મોરચા સાથેની પોતાની અસહમતિ છુપાવી નહોતી. પોલીસ સાથેની સમજૂતી પણ એમને કબૂલ નહોતી. એમણે આંદોલન અને પોલીસ બેઉને કહી દીધું હતું કે અમે બંધાયેલા નથી : “અમે ૨૬મીએ દિલ્હીમાં પ્રવેશીશું અને લાલ કિલ્લા જઈશું.” સંયુક્ત કિસાન મોરચાએ એમની આ રૂખની ખબર દેશને આપવી જોઈતી હતી અને પોલીસને પણ લેખી જાણ કરવી જોઈતી હતી. આમ ન થયું તે આંદોલનની ભૂલ હતી.

પ્રશાસનની ભૂલ એ થઈ કે એણે ૨૬મીના કાર્યક્રમ સાથે કામ પાડવાની કોઈ અલગ યોજના બનાવી નહોતી. એવું તો નથીને કે આંદોલનકારીઓ અને સરકાર બેઉના મનમાં ચોર હતો કે અલગ પડતા જૂથને પરિણામે આપણે ‘ક્લિક’ થઈ જઈશું – કાં તો આંદોલન ‘સફળ’ થશે કે પછી પોલીસ!

૨૬મીએ બધી ચેનલોએ અને છાપાંએ કહેવુંલખવું શરૂ કરી દીધું કે આંદોલન ભટકી ગયું છે. એનો ખરો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ૨૭મીએ પણ આ વાજાં ચાલુ રહ્યાં. પણ કોઈને એટલું કહેવું કે લખવું ઠીક ન લાગ્યું કે દુનિયાભરમાં ‘ક્રાંતિ’ આમ જ થતી આવી છે. રક્ત નહીં તો ક્રાંતિ કેવી ? ફ્રાન્સ ને રશિયાની ક્રાંતિઓનાં ગીત ગવાય છે પણ એમાંયે શું થયું હતું? એ તો ગાંધીએ આવીને આપણને બીજો રસ્તો બતાવ્યો. એટલે સ્તો કિસાન આંદોલનની ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી શૈલી અંગે આપણને પ્રશ્ન રહે છે. પણ જો ગાંધીની જ કસોટી પ્રિય હોય તો સરકાર અને એના સમર્થકો પોતાને એ કસોટીએ કેમ નથી મૂલવતા? સૌથી પહેલાં શરદ પવારે આ સમગ્ર ચિત્ર આપણી સામે મૂક્યું અને કહ્યું કે જે બન્યું એની જવાબદારી સરકારની છે. ગાંધીએ એકથી વધુ વાર અંગ્રેજોને કહ્યું હતું કે જનતાને હિંસા વાસ્તે મજબૂર કરવાના અપરાધી આપ છો.

લાલ કિલ્લા પર ખાલસા પંથનો ઝંડો લગાવાયો એ ખોટું જ થયું. કાં તો એ કોઈની નાદાની હતી કે પછી કોઈ એજન્ટની ચાલ, જે પણ હોય, આંદોલને પૂરી તપાસ અને જવાબદારી સાથે આ મુદ્દે બહાર આવવું જોઈએ. જો કે આ ઝંડો (નિશાન સાહેબ) લગાવાતો હતો ત્યારે નીચેના કિસાન સમુદાયમાંથી એનો વિરોધ કરનારાઓ પણ સ્પષ્ટ જણાઈ આવતા હતા. એક ગાઝીપુર સરહદ બાદ કરતાં બાકી બધા કિસાન જથ્થા શાંતિમય ને નિયમબદ્ધ પેશ આવ્યા. દેશમાં અન્યત્ર પણ એના સમર્થનમાં યોજાયેલ કાર્યક્રમો શાંતિમય રહ્યા. શું કિસાન આંદોલનને આપણે એ માટે શ્રેય નહીં આપીએ?

આ નોંધ લખાઈ રહી છે ત્યારે સડકો સૂની છે. અહીં તહીં કોઈ ટ્રૅક્ટર પડ્યાં હોય તો ભલે. સડકો પર લાઠી ને હથિયારધારી પોલીસનો કબજો છે. ફ્લૅગ માર્ચ જારી છે … જીવનનો પ્રાણવાયુ નહીં પણ આંતકની હવા!

૨૭-૧-૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 01-02 તેમ જ 17 

Loading

વીસમી જાન્યુઆરી, લોકતંત્રનો વિજયદિવસ

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|31 January 2021

૨૦૧૭ના ઑગસ્ટના બીજા અઠવાડિયામાં વર્જિનિયાના શાર્લોટ્‌સવિલ શહેરમાં સ્વઘોષિત નવ-ફાસીવાદી, નવ-નાઝીવાદી શ્વેત રાષ્ટ્રવાદી ને ઉદ્દામ જમણેરીઓએ એક કૉન્ફેડરેટ જનરલના બાવલાને હટાવવાના વિરોધમાં રેલી કાઢી. રેલીના વિરોધમાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ને બંને વચ્ચે ઘર્ષણ થયું. એક શ્વેતરાષ્ટ્રવાદીએ વિરોધી દેખાવકારો પર પોતાનું વાહન હંકારી દીધું. એક વ્યક્તિ મૃત્યુ પામી ને અનેક ઘાયલ થયા. અમેરિકાની બંને રાજકીય પાર્ટીઓના નેતાઓએ તેનો વિરોધ કર્યો. ટ્રમ્પે હિંસાની ટીકા કરી પણ ભેગું-ભેગું ઉમેર્યું કે ‘બંને બાજુઓ આ ઘર્ષણ માટે જવાબદાર છે : કેટલાક  લોકો એક મહાન (!) જનરલનું બાવલું હટાવવા સામે સખત વિરોધ કરતા હતા.’ ટ્રમ્પના નિવેદન સામે બંને પક્ષોમાં ટીકા થઈ પણ ટ્રમ્પનું ખરું સ્વરૂપ આ ઘટનાથી છતું થયું. આ બનાવના થોડા દિવસ પછી બાઇડને પ્રમુખપદ માટેની પોતાની ઉમેદવારી જાહેર કરતાં કહ્યું કે આપણાં દેશનાં મૂલ્યો, વિશ્વમાં આપણી પ્રતિષ્ઠા અને આપણું લોકતંત્ર, જે અમેરિકાને ‘અમેરિકા’ બનાવે છે તે જ જોખમમાં છે, હવે આપણો સંઘર્ષ આપણા અંતરાત્માને જીવતો રાખવાનો છે. ટ્રમ્પનાં ઉચ્ચારણોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે દેશનો પ્રમુખ પોતે ધિક્કાર અને નફરત ફેલાવનારાઓની પડખે ઊભો રહે તે સમાજ સમક્ષ મોટો ભય છે. મારા જાહેર જીવનમાં મેં અમેરિકા પર આટલું મોટું સંકટ નથી જોયું, જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બીજાં ચાર વર્ષ રહેશે, તો આપણો દેશ કાયમ માટે બરબાદ થઈ જશે. હું આ બરબાદી ઊભો ઊભો જોઈ રહું તે શક્ય નથી. બાઇડનના ટ્રમ્પ સામેના ચૂંટણીપ્રચારનો આ પાયો હતો.

વીસમી જાન્યુઆરીએ શપથ પ્રવચનમાં તેમ જ તે પૂર્વે અને પછી બાઇડને “દેશના અંતરાત્મા”ને બચાવવાની વાત કર્યા કરી છે. બાઇડન એક એવી પેઢી માંયલા રાજકારણી છે, જે ધીમે-ધીમે અમેરિકાના રાજકારણમાંથી લુપ્ત થતી જાય છે. એટલે એ અમેરિકાના રાજકારણમાં લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી અને સંવર્ધનની વાત કરે તે તેમના વિરોધીઓ પણ સાંભળે છે. વીસમી જાન્યુઆરીએ શપથવિધિ પ્રસંગનું પ્રવચન આ સંદર્ભમાં જોવું રહ્યું.

બાઇડન પૂર્વના અમેરિકી પ્રમુખોમાં કેટલાયે વાક્‌પટુતા માટે જાણીતા છે. ઓબામા ઉત્તમ વક્તા છે. શબ્દોની પસંદગી ને વાતને રજૂ કરવાની ઢબ એવી કે વિષયનો ફકરો ફકરો જુદો પાડી શકાય. ક્લિન્ટન નીતિવિષયક આંકડાઓ સાથે વકીલની જેમ દલીલ કરીને સમજાવે. બાઇડનના પ્રવચનના લેખક ભારતીય મૂળના વિનય રેડ્ડીએ બાઇડનને ભારે ભારે શબ્દોને બદલે સીધાં સાદાં ને સચોટ વાક્યો લખી આપ્યાં. વિનયે વિશેષ ખ્યાલ રાખ્યો કે સામાન્યપણે બોલતા બોલતા થોથવાતા બાઇડન સીધીસાદી ભાષામાં પણ અસરકારક રીતે પોતાની વાત કહી શકે. સીધાં સાદાં વાક્યો – “કાન્ટ વી જસ્ટ ગેટ અલોન્ગ?” – શું આપણે હળીમળીને કામ ના કરી શકીએ? – “વિલ વી રાઇઝ ટુ ધ ઓકેઝન?; વિલ વી મીટ અવર ઍબ્લિગેશસન્સ ઍન્ડ પાસ અલોન્ગ અ ન્યૂ ઍન્ડ બેટર વર્લ્ડ ફોર અવર ચિલ્ડ્ર્‌ન્સ? વિલ વી માસ્ટર ધીસ રેર ઍન્ડ ડિફિકલ્ટ અવર?” સીધાં, અસરકારક વાક્યો, ભાષણના લખાણનો સૂર ભાષણકર્તાને અનુરૂપ રહ્યો. તેમાં સચ્ચાઈનો રણકો હતો. સીધી ભાષામાં પણ તેમણે મહત્ત્વની વાતો કરી, ભેગા મળીને પેન્ડેમિક, આર્થિક મુશ્કેલીઓ ને રંગભેદની સમસ્યાને ઉકેલવાની વાત કરી.

એટલાન્ટિક સામયિકના જેમ્ફ ફેલાસે અમેરિકાના રાજકારણીઓના પ્રવચનોની શૈલી ને ઢબનો અભ્યાસ કર્યો છે. તે લખે છે કે કોઈ પણ કટોકટી સમયે અપાતાં પ્રવચનોના ત્રણ મુખ્ય ભાગ હોય છે. એક સહાનુભૂતિ, પ્રજાનાં દુઃખો ને વ્યથાઓને વર્ણવવી, સંવેદના વ્યક્ત કરવી. મહામંદી, નાઇન ઇલેવન, પર્લ હાર્બર, આવી ઘટનાઓ પછી વ્યક્ત થતી સંવેદનાઓ. બીજું, આત્મવિશ્વાસ, પ્રજાને વિશ્વાસ આપવો કે આ કટોકટીમાંથી આપણે બહાર આવીશું અને ત્રીજું, કટોકટીમાંથી બહાર નીકળવાની યોજના. વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવવો. બાઇડને પેન્ડેમિક અને આર્થિક મુશ્કેલીઓ વિશે ચર્ચા કરતાં આ ત્રણેય પાસાંઓ તો જરૂર વણી લીધાં પણ તેમણે એક નવું પાસું ઉમેર્યું. બિકમિંગ હવે આપણે કેવા બનીશું? હવેનો સમાજ કેવો હશે? આપણે એક ઉત્તમ આદર્શ પ્રજા કેવી રીતે બની શકીએ તે.

હવે આ વાતને જરા ટ્રમ્પ સાથે સરખાવી જુઓ ને વિરોધાભાસ સીધો દેખાશે. ટ્રમ્પમાં આ ત્રણેય પાસાંઓની ઊણપ હતી. તેમને પેન્ડેમિક એક બનાવટ ડે ‘ચાઇનીઝ રોગ’ લાગતો હતો. સંવેદના તો લગીરેય નહોતી ને વિશ્વાસ ને યોજનાના નામે મીંડું હતું.

બાઇડનની વાતમાં સચ્ચાઈ ને પ્રામાણિકતાની સાથે-સાથે પ્રતિબદ્ધતા હતી. બાઇડનના પ્રવચનના અંતનું એક વાક્ય મને વિશેષ અસર કરી ગયું, જ્યારે તેમણે વિશ્વને કહ્યું કે “અમે શક્તિના ઉદાહરણથી નહિ પરંતુ (સારા) ઉદાહરણની શક્તિથી નેતાગીરી પૂરી પાડીશું.” ટ્રમ્પીઝમની આનાથી વિરોધાભાસી વાત શું હોઈ શકે?

બાઇડનના પ્રવચનનો મુખ્ય સૂર એકતાનો રહ્યો. ચૂંટાયા પછીના લગભગ દરેક પ્રવચનમાં તેમણે દેશમાં એકતા રહે તેવી વાત કરી છે. પ્રવચનમાં તેમણે કહ્યું કે આજની સ્થિતિમાં એકતાની વાત મૂર્ખામી ગણાય. હું જાણું છું કે આપણા મતભેદોનાં મૂળ ઊંડાં છે. પણ અમેરિકામાં મતભેદ હોવા તે નવું નથી. આપણા ઇતિહાસમાં મતભેદો પહેલાંથી રહ્યા છે. એક બાજુ સમાનતાનો અમેરિકી આદર્શ છે, તો બીજી બાજુ રંગભેદ અને એવાં રાક્ષસી બળો છે. બાઇડને શ્વેત સર્વોપરી બળોનું નામ દઈને તે લોકો દ્વારા ઊભા થયેલા ભયની વાત કરી. સ્પષ્ટ કર્યું કે ઐક્ય આ બળો સાથે નથી. તેમની સામે લડવાનું છે. અમેરિકાનો ઇતિહાસ અહીં સંભારવા જેવો છે. ૧૮૬૩માં અમેરિકન ઍન્ટી સ્લેવરી સોસાયટી સમક્ષ બોલતા ફૅડરિક ડગ્લાસે એકતાની વાત કરતાં શરત મૂકેલી કે દરેક ગુલામ મુક્ત થવો જોઈએ ને દરેક મુક્ત વ્યક્તિને મતાધિકાર હોવો જોઈએ. ડગ્લાસની એકતાની શરતોને કારણે અમેરિકી બંધારણમાં તેરમો, ચૌદમો ને પંદરમો સુધારા થયેલા.

બાઇડનની શપથવિધિ પછી ત્રણ પૂર્વ પ્રમુખો ડેમોક્રેટ્‌સ, ક્લિન્ટન અને ઓબામા અને એક રિપબ્લિકન જ્યૉર્જ બુશે-સંયુક્ત રીતે ટેલિવિઝન પરના એક કાર્યક્રમમાં ઐતિહાસિક આર્લિંગ્ટન સેનેટરી પરથી સંદેશો આપ્યો કે દેશનાં લોકતાંત્રિક મૂલ્યોને જાળવવા માટે એકતાની જરૂર છે. ત્રણેય પ્રમુખોએ કહ્યું કે તેમણે ચૂંટણીનાં જે પરિણામો આવ્યાં તે સ્વીકાર્યાં છે અને પોતાના અનુગામી પ્રમુખને મદદ પણ કરી છે. આશ્ચર્ય નથી કે આ ત્રણેય પ્રમુખો વચ્ચે અત્યારે ગાઢ મૈત્રી છે. સિનિયર બુશને એક સત્ર બાદ હરાવનાર ક્લિન્ટનને તો પાછલાં વર્ષોમાં બુશ પોતાના પરિવારનો એક ભાગ ગણાવતા.

ખેર, બાઇડનની વાત હવે અમેરિકી પ્રજા સ્વીકારતી થઈ છે. આ લખી રહ્યો છું ત્યારે જ એ.બી.સી. ન્યૂઝ અને વૉશિંગ્ટન પોસ્ટે કરેલી એક મોજણી પ્રમાણે અમેરિકાની ૫૭ ટકા પ્રજા માને છે કે બાઇડન દેશમાં એકતા લાવશે.

સવાલ એ છે કે બાઇડનની એકતાની હાકલનો સામે છેડેથી પ્રતિસાદ કેવો છે? રિપબ્લિકન પાર્ટીમાં એકાદ-બે સેનેટર્સને બાદ કરતાં અન્ય નેતાઓ કાં તો મૌન છે યા તો ટ્રમ્પની સાથે રહી લડી લેવાના મૂડમાં છે. ચૂંટણી પછી ને ખાસ તો છઠ્ઠી જાન્યુઆરીના વિદ્રોહ પછી રિપબ્લિકન પાર્ટીમાં એક નાનકડો વર્ગ ટ્રમ્પ વિરુદ્ધ બોલતો થયો છે તે છતાં પણ હજુ ટ્રમ્પ તરફી સાંસદો વધુ  છે. મંગળવારે (૨૬મીએ) નીચલું ગૃહ મહાભિયોગનો પ્રસ્તાવ સેનેટને વિધિસર મોકલશે ને સેનેટ આઠમી ફેબ્રુઆરીએ પ્રક્રિયા શરૂ કરશે. આ લખી રહ્યો છું ત્યારે એવું લાગે છે કે મહાભિયોગ માટે ડેમોક્રેટિક પાર્ટીને ૧૭ રિપબ્લિકન સેનેટર્સની જરૂર પડશે, જે મળવા મુશ્કેલ છે. બાઇડન પોતે એ મતના છે કે સેનેટે પહેલાં તો તેમની કૅબિનેટને મંજૂરી આપવાનું કાર્ય પતાવી લેવું જોઈએ પછી મહાભિયોગનું કામ કરવું જોઈએ.

નીચલા ગૃહમાં અને પ્રાદેશિક સ્તરે ટ્રમ્પનું રિપબ્લિકન પાર્ટી પરનું વર્ચસ્વ હજુ રહ્યું છે. ખાનગીમાં ટ્રમ્પનો વિરોધ કરતા સાંસદો ને ગવર્નર્સને ડર છે કે તેના સમર્થકોના મતો ગુમાવશે. હારવા છતાં પણ ટ્રમ્પ ૭૪૦ લાખ મત મેળવી શકેલા, જે બાઇડન સિવાયના અન્ય કોઈ ઉમેદવાર કરતાં વધારે હતા. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ સિવાય અન્ય કોઈ એવો નેતા નથી જે આટલા મત મેળવી શકે. કેટલાક એવા છે જે ૨૦૨૪ની પ્રમુખની ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. તે અત્યારે ટ્રમ્પ સમર્થકોને ગુમાવી શકે તેમ નથી. આવતા વર્ષે ૨૦૨૨માં મધ્યસત્ર ચૂંટણી આવશે. ગૃહના સભ્યો તેને કારણે ટ્રમ્પ-સમર્થકોને નારાજ કરવા નથી માંગતા.

અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે આવતા વર્ષની મધ્યસત્ર ચૂંટણી પૂર્વે રિપબ્લિકન પાર્ટીનું ભવિષ્ય વધુ સ્પષ્ટ બનશે. અત્યારે તો કન્ઝર્વેટિવ મીડિયા ટ્રમ્પની પડખે છે. ટ્રમ્પ પોતે પણ એક નવો પક્ષ સ્થાપવાનું વિચારી રહ્યા છે. અખબારોમાં પેટ્રિયટ પાર્ટી કે મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન (માગા) પાર્ટી જેવાં બે નામ તરતાં થયાં છે. પક્ષનાં ટ્રમ્પ તરફી બળો પોતપોતાના રાજ્યમાં શક્તિપ્રદર્શન કરી રહ્યાં છે. બે ઉદાહરણો જોઈએ. એરિઝોના રાજ્યના રિપબ્લિકન પાર્ટીના એકમે જ્હૉન મેકઇનનાં વિધવાને અને એક પૂર્વસેનેટરને બાઈડનને સમર્થન આપવા બદલ ઠપકો આપતો પ્રસ્તાવ પસાર કર્યો છે. એટલું જ નહિ રાજ્યના રિપબ્લિકન ગવર્નરને પણ ઠપકો આપ્યો છે કે ચૂંટણી હારવા છતાં પણ તેમણે ટ્રમ્પને વિજયી કેમ ઘોષિત ના કર્યા! કેટલાંક રાજ્યોમાં નીચલાગૃહના જે સભ્યોએ ટ્રમ્પ સામેના બીજી વારના મહાભિયોગને સમર્થન આપ્યું, તેમની સામે પાર્ટીમાં કાર્યવાહી શરૂ કરી છે.

એવું નથી કે અમેરિકાના ઇતિહાસમાં રાજકીય પક્ષો ભંગાણના આરે આ પૂર્વે પહોંચ્યા નથી. હજુ ચાર વર્ષ પહેલાં જ રિપબ્લિકન પાર્ટીની નેતાગીરીનો મોટો ભાગ માનતો હતો કે તેમનો ઉમેદવાર પ્રમુખ બનવાને લાયક નથી, પરંતુ પક્ષ ખાતર ને પોતાના સ્વાર્થ ખાતર તે સૌ પક્ષને વળગી રહ્યાં ને ટ્રમ્પને સ્વીકારી લીધાં વીસમી સદીના મધ્ય ભાગમાં અલગતાવાદી અને નાગરિક-અધિકારોના સમર્થકો વચ્ચે ભાગલા પડેલા. ૧૯૪૮માં દક્ષિણનાં રાજ્યોના અલગતાવાદીઓ ડેમોક્રેટિક પાર્ટીથી છૂટાં પડેલાં ને ૧૯૬૦માં પક્ષમાં પાછા જોડાયેલા.

ટ્રમ્પવાદી બળો બાઇડનની એક્તાની વાત સ્વીકારવા તૈયાર નથી. એ લોકો તો હજુ બાઈડનને પ્રમુખ તરીકે જ સ્વીકારવા તૈયાર નથી!

ટ્રમ્પની વિદાયથી હાલ તો અમેરિકાની લોકશાહીના દુઃસ્વપ્નનો અંત આવ્યો છે. અભદ્રતાને સ્થાને વ્હાઈટ હાઉસમાં ફરી શાલીનતા ને ભદ્રતા આવી છે. એક પત્રકારે કહ્યું તેમ હવે સવારે ત્રણ વાગે અચાનક આવેલી ટ્‌વિટથી શાસન નથી ચાલતું. હવે અભિપ્રાયોથી નહિ, પરંતુ વિજ્ઞાનના આધારે અમે કોવિડ સામે લડીશું.

બાઇડનનું સંપૂર્ણ ધ્યાન અત્યારે પેન્ડેમિક અને પેન્ડેમિકને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓને ઉકેલવા પર છે. બાઇડન જાણે છે કે જુનિયર બુશને બાદ કરતાં મોટા ભાગના પ્રમુખોનો પક્ષ મધ્યસત્ર ચૂંટણી હાર્યો છે. ક્લિન્ટન, ઓબામા ને ટ્રમ્પ ત્રણેય મધ્યસત્ર ચૂંટણીમાં નીચલાગૃહમાં બહુમતી ગુમાવી બેઠેલા. રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટિક પાર્ટી કરતાં વધુ રાજ્યોમાં વિધાનસભાઓમાં બહુમતી ધરાવે છે. તેઓ મતવિસ્તારોને ફરીથી એવી રીતે વેતરશે કે તેમને બહુમતી મળે. આવતા વર્ષની મધ્યસત્ર ચૂંટણીઓ બંને રાજકીય પક્ષો માટે મહત્ત્વની છે. આવતા મહિનાઓમાં બાઇડનની સફળતા-નિષ્ફળતા અને રિપબ્લિકન પાર્ટીની સ્થિતિ બાકીનાં બે વર્ષ નક્કી કરશે.

જાન્યુઆરી ૨૫, ૨૦૨૧ (ફ્લોરિડા)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 06-07

Loading

ગ્લૉસ્ટરની એ સાંજ ..

જેલમ હાર્દિક|Opinion - Opinion|30 January 2021

ઑસ્ટ્રેલિયા અને ભારતે કાલે (26 જાનયુઆરીએ) પોતપોતાના દિવસો ઉજવ્યા; મારે પણ સૂર પૂરાવવો છે એ ઉજવણીમાં કૈંક કહીને .. 

તો વાત એમ છે કે, એક મિત્રનાં કુટુંબ સાથે, અમે હમણાં અમારી નજીકનાં ગ્લૉસ્ટર ગામે ફરવા ગ્યાં’તાં. અઢી- ત્રણ હજારની જ વસ્તીવાળાં એ ગામમાં અમે ત્યારે છ મોટાં અને બે બાળકોનો ઉમેરો કર્યો’તો. નાનકડાં એ ગામમાં ફરવાની વાત પછી ક્યારેક, આજે તો સીધી એ જ વાત કરું જેને ઉજવવા આપણે મળ્યાં છીએ. તો આખો ‘દી હરીફરીને ભૂખ્યાં ડાંસ થઈને એ સાંજે અમે ગ્લૉસ્ટરના ચોકમાં આવેલી ‘ધ રાઉન્ડ અબાઉટ ઈન’માં પિત્ઝા ખાવા પહોંચ્યાં’તાં.

આગલી રાતે જ ત્યાંના સ્ટાફે બહુ દિલથી વેજિટેરીઅન પિત્ઝા બનાવ્યા’તા, ખાસ અમારા માટે. એટલે જ ફરી ત્યાં જઈ પહોંચ્યાં’તાં. પિત્ઝાની રાહ જોતાં અમે આખા દિવસને વાતો વગર વાગોળતાં’તાં, ને અમારા મિત્રની બે મજાની દીકરીઓમાંથી નાની આમતેમ આંટા મારતી’તી. અઢી વર્ષની એ ટબૂકડી આસપાસ બેઠેલાં બધાંને ‘હાય .. હેલ્લો’ કરવામાં પડી’તી. લોકો ય એને પ્રેમથી બોલાવતાં’તાં, તો એ પાછી સામે પોતાની અરબડ – ગરબડ ભાષામાં એમને વટ્ટથી કંઈક જવાબ આપી દેતી’તી. પિત્ઝા આવ્યા ત્યાં સુધીમાં તો એણે આસપાસનાં લોકો સાથે વ્હાલું નેટવર્કિંગ કરી લીધું’તું. પિત્ઝા ખાવાનું હજી અમે શરૂ જ કર્યું’તું, ને એક ભાઈ હાથમાં આઈસ્ક્રીમ લઈને આવ્યા ને કહ્યું, “Please allow me to offer this as a treat to this cutest kid here”, ને ટપૂકડીના હાથમાં આઈસ્ક્રીમ આપીને એ પોતાનાં ટેબલે પહોંચી ગ્યા’.

નાનકડાં છોકરાં સૌને વ્હાલાં લાગતાં હોય, ને બધાં પોતપોતાની રીતે એ પ્રેમ વ્યક્ત કરતાં હોય, પણ અત્યારના સોફિસ્ટિકેશનના જમાનામાં આવું અવારનવાર જોવા નથી મળતું હોતું. અમે કોઈ શહેરમાં નહિ ને એક ગામડાંમાં હતાં, એ પણ એક કારણ હોઈ શકે ..

ખેર, પછી પેલી આઈસ્ક્રીમમાં ને અમે પિત્ઝામાં બીઝી થઈ ગ્યાં’.

હજી થોડીવાર જ થઈ’તી ને પેલા ભાઈ ફરી આવ્યા. આ વખતે ત્રણ આઈસ્ક્રીમ લઈને ..! આવતાંવેંત એ આઈસ્ક્રીમ સીધા પેલી મોટી દીકરીના હાથમાં આપ્યા અને અમને નવાઈમાં પડેલાં જોઈને કહે, “I’m so sorry .. I missed to bring icecream for this kid. I felt so guilty while looking at her face that to compensate my mistake, I brought two icecreams for each of them”, પછી મોટીને કહે, “I’m really sorry, dear ..” ને પછી અમારા આભારની જરાપણ રાહ જોયા વગર, આવ્યા’તા એ જ સહજતાથી ત્યાંથી નીકળી ગ્યા’.. !

બોલો, છે કોઈ શબ્દો તમારી પાસે? મારી પાસે ય નહોતા .. મને માત્ર એટલો વિચાર આવ્યો કે નિદા ફાઝલીને વગર વાંચ્યે એમણે કેવા જીવી બતાવ્યા ..!

घर से मस्जिद है बहुत दूर चलो, यूँ कर लें
किसी रोते हुए बच्चे को हँसाया जाये ..

મૂળે જુદા દેશના, જુદા રંગરૂપ, જુદી આસ્થા ને કદાચ સાવ જુદા ઉછેરવાળા એ ભાઈ શું ખરેખર ‘જુદા’ હતા?! એક બાળકનાં દિલને દુભાવતાં દુઃખી થયેલા એ ભાઈ મને તો ખરા સિકંદર લાગ્યા ..

સાવ સામાન્ય દેખાતી આ ઘટનામાં એમની જે સંવેદનશીલતા છલકાઈ, એની જો નદી આપણામાં ખળખળ વહેશે ને, તો આસ્થાનાં દરેક સ્થાનક એકમેકની આંખોમાં ઝળહળતાં દેખાશે, હારજીત શું ને શાસન શું એની સાચી સમજ ઉઘડશે, ને આપણી આ સૃષ્ટિ વધુ સુંદર ને વધુ હેતાળ બની જશે ..  પછી વિશ્વના દરેક દેશનો દરેક દિવસ ઉજવણી ન બની જાય તો મને કહેજો.

27 જાન્યુઆરી 2021

[લેખિકાની ફેઈસબૂક દિવાલેથી સૌજન્યભેર ઊંચક્યું]

Loading

...102030...2,0122,0132,0142,015...2,0202,0302,040...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved