Opinion Magazine
Number of visits: 9572887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (50)

સુમન શાહ|Opinion - Opinion|9 February 2021

હર્ડ ઇમ્મ્યુનિટી અને હર્ડ મૉરાલિટી

= = = = માણસને ભાળીને આજે આપણે કંટાળીએ છીએ, થાક લાગે છે. આપણને માણસનો થાક લાગવા લાગ્યો છે = = = =

= = = = દુનિયા હમેશાં સારાં-સાજાં જનોથી જ ચાલે છે; જેટલી એમની સંખ્યા મોટી, માનવજાતને રાહત પણ એટલી જ મોટી = = = =

આજકાલ હવે સમગ્ર વિશ્વનું ધ્યાન વૅક્સીન, એટલે કે, રસી પર છે. અનેક દેશોમાં કોવિડ-૧૯ની સામે વૅક્સીનેશન – રસીકરણ – ચાલુ થઈ ગયું છે. ચેપગ્રસ્તોની સરખામણીમાં રસીકરણ પામેલી વ્યક્તિઓ, બને કે માંદગી અને મૃત્યુથી બચી શકે.

વૅક્સીનેશનના આ નવા સંદર્ભ વચ્ચે એક શબ્દગુચ્છ ખાસ સાંભળવા મળે છે : હર્ડ ઇમ્મ્યુનિટી : એથી શું સમજવું?

રોગ ધીમો પડી જાય, ચેપી રોગની સામે વસતીનો એક નૉંધપાત્ર સંવિભાગ, એક કૉમ્યુનિટી, રોગપ્રતિરોધક શક્તિ મેળવી લે, એને હર્ડ ઇમ્મ્યુનિટી કહેવાય.

હર્ડ એટલે ઢોરાંનું ધણ, લોકટોળું, લોકસમુદાય, કૉમ્યુનિટી. અને, ઇમ્મ્યુનિટી એટલે રોગપ્રતિરોધકતા અથવા રોગપ્રતિરોધક શક્તિ.

એથી રોગનો પ્રસાર સીમિત થઈ શકે છે. અમુક વસતીમાં અમુક સંખ્યામાં કોવિડ-૧૯નો શિકાર બનેલા લોકો સાજા થઈ ગયા હોય અથવા એમને વૅક્સીન લીધી હોય, તો એમને લીધે, જેમણે વૅક્સીન નથી લીધી એવા લોકોની રક્ષા થઈ શકે છે. વસતીનો વૅક્સીનથી સાજો થયેલો સંવિભાગ એ પ્રકારે બીજાઓને બચાવી શકે છે.

સવાલ એ છે કે હર્ડ ઇમ્મ્યુનિટી આવશે ક્યારે. કોઇ પણ કૉમ્યુનિટીમાં આવે એ બાબતે ઘણાં પરિબળો ભાગ ભજવે છે. નિષ્ણાતો હજી એવા નર્ણય પર નથી આવી શક્યા કે કેટલા લોકો રોગપ્રતિરોધકતા મેળવી શક્યા હોય તો હર્ડ ઇમ્મ્યુનિટી આવે. એ આવે ને ફરી પાછા આપણે બૅક ટુ નૉર્મલ લાઇફને પામી શકીએ એ વાત હવે અસંભવ તો નથી પણ આપણે સૌએ જેમ બને એમ જલ્દીથી વૅક્સીન લેવી જોઈશે.

તેમ છતાં, કોરોનાવાયરસ પૃથ્વી પર ફેલાઈ ગયો છે, અતિશય ચેપી છે, વળી, બદલાતો રહે છે. એ કારણોથી નિષ્ણાતો એમ પણ માને છે કે એને નજીકના ભવિષ્યમાં સમ્પૂર્ણપણે નેસ્તનાબૂદ તો નહીં કરી શકાય, પણ જો એને આ રીતે કાબૂમાં લઈ શકાશે, તો ક્રમશ: એ એક સાદો રોગ ગણાતો થઈ જશે.

આ તો થઈ હર્ડ ઇમ્મ્યુનિટીની વાત. એક ઉપકારક વસ્તુ. આમે ય દુનિયા હમેશાં સારાં-સાજાં જનોથી જ ચાલે છે; જેટલી એમની સંખ્યા મોટી, માનવજાતને રાહત પણ એટલી જ મોટી.

પણ નિત્શે હર્ડ મૉરાલિટીની વાત કરે છે – ટોળાની નીતિમત્તા.

Picture – Herd Immunity : Courtesy: News Medical

આપણને ટોળાની માનસિકતાની અને એમના સર્વસામાન્ય વર્તનની ખબર છે. ટોળાને મગજ નથી હોતું અથવા એમાં જોડાયેલી વ્યક્તિઓ પોતાના મગજને ઘેર મૂકીને નીકળી પડી હોય છે. ટોળાને દિશા નથી હોતી એમ નહીં કહેવાય પણ એ દિશા કઈ તેની એને ખબર નથી હોતી. ખબર પડે છે ત્યારે ઘણું મૉડું થઈ ગયું હોય છે. મોટા ભાગનાં જાનવરો ટોળામાં જીવે છે અને એવું જ જીવે છે. ઊંધું ઘાલીને સાથે સાથે ચાલતાં ઘેટાં, કાફલામાં ઊડતાં પક્ષીઓ, કેટલીક માછલીઓ, મધમાંખીઓ, વગેરેને આપણે જાણીએ છીએ. હુલ્લડ, સરઘસ, હડતાળો પણ ટોળાશાહી વર્તનો છે. પક્ષાપક્ષી, જૂથબંધી, વાડાબંધી પણ ટોળાશાહી વર્તનના જ પ્રકારો છે.

નિ:સામાન્ય સરેરાશ લોકસમુદાયને નિત્શે હર્ડ કહે છે; એ બધાં હર્ડ ઍનિમલ્સ છે. કહે છે, એ લોકો પાસે વૈયક્તિક ઇચ્છાશક્તિ નથી હોતી, તેઓ સામૂહિક વૃત્તિઓથી જીવે છે. ટોળાની નીતિમત્તાને નિત્શે લોકશાહીય ઈચ્છાશક્તિ ગણે છે ખરા પણ એ એવી કે એને કારણે દરેક જણ સરેરાશ સમાન લાગે. નિત્શે માનતા હતા કે ધર્મ લોકોને નર્કનો ભય બતાવે છે, એકહથ્થુ સત્તાધીશો પ્રજાને બીવરાવે છે, અને ટોળાશાહી માનસ ધરાવતા પ્રજાસમૂહો રોજ હર્ડ મૉરાલિટીનો ભોગ બની રહ્યા છે. સ્ત્રીઓ, ગુલામો, કામદારો, માંદા અને ખરડાયેલાં છે. નિત્શેએ જોયું કે યુરપના કામદારોને હલકાં કામો કરવાં પડે છે, કેમ કે એ લોકો જીવનની સમુચિત રીત ભૂલી ગયા છે, કહો કે એમને એમ ભૂલવાની ફરજ પડી છે.

Picture – Herd Morality : Courtesy: Big Think

નિત્શેનું મન્તવ્ય એમ બને છે કે હર્ડ – ટોળું – હાનિકારક છે. એની પાસે નીતિમત્તા છે ખરી પણ એને નીતિમત્તા ય કહેવી કે કેમ એ પ્રશ્ન છે, બલકે એ નીતિ સ્વયં ભયકારી છે. નિત્શે એને કૃતક તેમ જ બધા ‘ભયોનો ભય’ કહે છે.

એ કૃતક નીતિમત્તાનું વિશ્લેક્ષણ કરતાં નિત્શે જણાવે છે કે વ્યક્તિઓના બે પ્રકાર છે : એક પ્રકાર, મહાન મનુષ્યોનો અને બીજો, ટોળામાં જીવનારાઓનો. પહેલા પ્રકારમાં એમણે એક પેટા પ્રકાર વર્ણવ્યો છે, ‘ધ વિલ ટુ પાવર’ – ગ્રન્થમાં, સર્જક પ્રતિભા ધરાવતી મહાન વ્યક્તિઓનો. એ સર્જકો હર્ડમાં નથી. એ પછી પણ કેટલાક મહાન મનુષ્યો મળે છે. એટલું જ કે તેઓ લોકોની નજરે ચડ્યા હોતા નથી. ‘ધ ડોન’-માં નિત્શેએ એમને ‘ગીત અને ગીત-ગાયકો વિનાના’ કહ્યા છે. એ સજ્જનો પણ હર્ડમાં નથી.

મહાન વ્યક્તિઓના એ બન્ને વર્ગ પછી જે બચે છે તે હર્ડ છે – ટોળું. ટોળામાં છે, છેવાડાના જનો, ગુલામો. એ જનો સાવ જ સરેરાશ છે. એમને માત્ર આરામ અને ધરવ જોઈએ છે. પરિણામે એ વર્ગ આળસુ અને તિરસ્કરણીય બની ગયો હોય છે. એમનામાં કશી સર્જનપરક આરત બચી હોતી નથી. સર્જનાત્મકતાને શક્ય બનાવે એ ઉચ્ચ મૂલ્યો એ વર્ગને કદી દેખાતાં નથી. એ સૌ ગુલામ છે, નબળા છે, માંદા છે. એમનાં દુ:ખોનું કારણ તેઓ પોતે જ છે. એમનામાં એક રીસ કડવાશ રોષ હોય છે, જેને નિત્શે ‘રીસેન્ટમૅન્ટ’ કહે છે.

એને કારણે ગુલામોમાં ઇર્ષા જોવા મળે છે. એમને ખૂંચે છે – હું વેઠું છું એવું બીજાઓ નથી વેઠતા – ખાસ તો પેલા મહાનો ! એવી ઇર્ષાને લીધે ગુલામોમાં વૈર વૃત્તિ જન્મે છે. તેઓ સમાનતા માગે છે. પણ એ માટે તેઓ ઘણા નીચલા સ્તરે ઊતરી આવે છે. એમનામાં એક પ્રકારની મૉરાલિટી જન્મે છે. એ હર્ડ મૉરાલિટી છે. એથી જીવનનાં કુદરતી મૂલ્યો ઊંધાં વળી જાય છે. એમાં જીવનનો ધરાર નકાર છે. એથી પતનની દિશા ખૂલે છે. એ મૉરાલિટી માણસને, માણસ નથી રહેવા દેતી; એ કહે છે : હું પડી રહ્યો છું, તમારે બધાએ પણ પડવું જ રહ્યું ! : નિત્શે સૂચવે છે કે માણસે માણસજાતને આ જ શીખવ્યું છે.

એટલે નિત્શેએ હર્ડ મૉરાલિટીમાં ‘ભયોનો ભય’ જોયો. એ જો વધુ ને વધુ આગળ વધે તો જે કંઈ ઉચ્ચ અને અસાધારણ છે તેનો નાશ થવાનો અને વિશ્વ પર ધીમે ધીમે શૂન્યતા છવાઈ જવાની. ‘એક્સ હોમો’-માં નિત્શે જણાવે છે કે આરામ અને ધરવનાં મૂલ્યોની જ ભક્તિ થવાની. એ જ સાચાં ગણાવાનાં. પરિણામ એ આવશે કે હર્ડ માનવતાને ગળી જશે અને અસ્તિત્વ એનાં ઉચ્ચોચ્ચ લક્ષણ વગરનું થઈ જશે.

આપણે જોઈએ છીએ કે કેટલા ય લોકોને નીતિપરક સવાલ થતો જ નથી. એમને થતું જ નથી કે શા માટે અમુક વસ્તુઓ સારીભલી ગણાય છે ને શા માટે અમુક નઠારી. તેઓ પોતાના સમાજમાં વર્ચસ્વી બનેલાં ભલા-બૂરાપરક મૂલ્યોને સ્વીકારીને બસ, જીવતા હોય છે.

નિત્શે અનુસાર, છેલ્લાં ૨૦૦૦ વર્ષથી, પશ્ચિમમાં જે નીતિનું વર્ચસ્ રહ્યું છે તે નીતિ ‘જીવનની મૂળ વૃત્તિઓની વિરોધી’ છે – કૃતક છે. એમણે પ્રયોજેલો શબ્દ છે, ઍન્ટિ-નૅચરલ. નિત્શેએ સમગ્ર પશ્ચિમ પર એનો પ્રભાવ જોયો હતો. જનસામાન્યથી વધારે સમર્થ વ્યક્તિઓ ય એના દબાવમાં જીવતી હતી, અને, નિત્શે એમના ‘બીયૉન્ડ ગુડ ઍન્ડ ઇવિલ’ ગ્રન્થમાં કહે છે કે એ વ્યક્તિઓ વધુ ને વધુ નાની, કહો કે, હાસ્યાસ્પદ પ્રકારની – ટોળામાંના જાનવર જેવી – થઈ ગઈ’તી. સૌને રાજી રાખવાને તલપે, મનોરોગી, ને સરેરાશ.

એમણે કહ્યું છે : મહાન સર્જકતા ધરાવતી વ્યક્તિઓ મારી સમજ અનુસાર, ખરેખર મહાન છે. તેઓ નેચર અને નર્ચરના વિરલ સંયોજનથી પોતાના જીવનને ઘડે છે અને વિશ્વને સુન્દરની મૂર્તિઓનું / કૃતિઓનું અર્પણ કરે છે. એ જાતનાં ઉમદા કાર્ય માટે એ જનોએ હર્ડથી બચવાનું હોય છે. ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં નિત્શે કહે છે : હર્ડ એટલે ગણ્યા ગણાય નહીં એટલા બધા, નાનકુડા અને દયનીય લોકો. એમનાથી છૂટીને સર્જકોએ એકાન્ત અને સ્વતન્ત્રતા મેળવવાં પડે છે. ‘બીયૉન્ડ ગુડ ઍન્ડ ઇવિલ’-માં મહાનતાની વ્યાખ્યા કરતાં કહે છે : મહાન હોવું એટલે ઉમદા હોવું. જાતે જ જાત માટે તત્પર રહેવું. બીજાઓથી જુદા પડાય, એવું સામર્થ્ય મેળવવું. એકલા ઊભા રહીને સ્વાયત્ત રહીને જીવવું.

આ સૌ મહાન વ્યક્તિઓ પાસે હમેશાં એક યુનિફાઇન્ગ લાઇફ પ્રોજેક્ટ હોય છે. અને તેઓ એને પાર પાડીને જંપે છે. એ પ્રોજેક્ટ ટૂંકા ગાળાનો કશો કામચલાઉ પ્રોજેક્ટ નથી હોતો. એ તો એક દીર્ઘકાલીન ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જન્મ્યો હોય છે ને તેથી એ સદીઓ લગી પરખાયા કરે છે – ભલે ને એ મહાનો ખપી ગયા હોય.

‘હ્યુમન ઑલ ટૂ હ્યુમન’-માં નિત્શે કહે છે : વ્યક્તિ આજે પોતાના ટૂંકા આયુષ્ય વિશે ઘણું ધ્યાન આપે છે. પોતે ઉગાડેલાં વૃક્ષનાં ફળ પોતે તોડવા માગે છે. નિરન્તરના ઉછેર માટે સદીની જરૂરત પડે ને જેનો છાયો પેઢી દર પેઢી પામે, એ એવાં વૃક્ષ ઉગાડવા નથી માગતો.

વિશ્વ આવું રાંક બની જશે એ વાતની નિત્શેને ખબર પડી ગયેલી. ‘ઑન ધ જિનિયૉલૉજિ’-માં કહ્યું છે : મહાન થવા માગતું હોય એવું કશું આજે આપણને જોવા નથી મળતું, આપણને દહેશત છે કે વસ્તુઓ હજી વધુ ને વધુ પતન પામશે; લોક વધુ ને વધુ આછાઓછા થશે – ઠીકઠાક, શાણા, આરામખોર, બેતમા … આ જ છે વિનાશ.

માણસ માણસથી બીવે છે. માણસને માટેનો આપણે પ્રેમ પણ ગુમાવ્યો છે, આદર, અને એને માટેની આશાઓ ઇચ્છાઓ પણ ગુમાવ્યાં છે.

માણસને ભાળીને આજે આપણે કંટાળીએ છીએ, થાક લાગે છે. આપણને માણસનો થાક લાગવા લાગ્યો છે.

આ હર્ડ ઇમ્મ્યુનિટી અને આ હર્ડ મૉરાલિટી વચ્ચે કોઈ સમ્બન્ધ હશે ખરો? વિચારીએ …

= = =

(February 5, 2021: USA)

Loading

દિલ્હી સિવાયના શહેરમાં રાજધાની હોવી જોઈએ, એ વાત નવી નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 February 2021

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સૂચન કર્યું છે કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ. ૨૩મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "કોલકત્તા દેશની રાજધાની કેમ ન હોય- સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમારા યોગદાનના કારણે હું આ કહું છું.  હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ – એક દક્ષિણમાં, એક ઉત્તરમાં, એક પૂર્વમાં અને એક ઉત્તર પૂર્વમાં. આ ચાર જગ્યામાં સંસદનું સત્ર વારાફરતી યોજાવું જોઈએ."

મમતા બેનરજીના સૂચનમાં ભલે રાજકારણનો સૂર હોય, પણ ભારતની રાજધાની દિલ્હી સિવાયના બીજા કોઈ સ્થળે કેમ ન હોય, તે પ્રશ્ન નવો નથી. અલગ-અલગ રીતે તે પૂછાતો રહ્યો છે. અગાઉ આ સ્થળે આપણે ચર્ચા કરી હતી કે દેશની સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં હોવાથી તેની અમુક વ્યવહારુ મુશ્કેલીઓ છે, એ જ તર્ક રાજધાનીને પણ લાગુ પડે છે. તે લેખમાં આપણે જસ્ટિસ વી.આર. કૃષ્ણ ઐયરને ટાંક્યા હતા કે, "લોકશાહી જો લોકો માટે હોય, તો સુપ્રીમ કોર્ટ બ્રિટિશરોએ તેમના સામ્રાજ્યવાદ માટે સ્થાપેલી દિલ્હીમાં નહીં, પણ ફરિયાદીઓ વચ્ચે હોવી જોઈએ. આટલા મોટા દેશમાં દિલ્હી તો એક ખૂણો છે, જ્યારે લોકો તો મોટા ભાગે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં રહે છે. (એટલે સુપ્રીમ કોર્ટ ત્યાં હોવી જોઈએ.)”

આ જ સુપ્રીમ કોર્ટે, ૨૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ દિલ્હીના હવાઈ પ્રદૂષણને લગતી એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું કે, "દિલ્હી નરક કરતાં પણ બદતર છે. લોકો શું કરવા આ ગેસ ચેમ્બરને સહન કરે? કેન્સર જેવા આ રોગમાં સબડવા કરતાં બીજે ક્યાંક જતા રહેવું જોઈએ." ૨૦૧૨માં, મુંબઈના અગ્રણી નાગરિકોએ તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું હતું કે દિલ્હી બંધિયાર અને નિસ્તેજ થઇ ગયું છે એટલે વાઈબ્રન્ટ અને કોસ્મોપોલિટન મુંબઈને દેશની રાજધાની બનાવવું જોઈએ અથવા તેને બીજી રાજધાનીનો દરજ્જો આપવો જોઈએ.

બંધારણના રચિયતા ડો. બાબાસાહેબ આંબેડકરે ૫૦ના દાયકામાં લખેલા તેમના પુસ્તક 'થોટ્સ ઓન લિંગ્વીસ્ટિક સ્ટેટ્સ'(ભાષાકીય રાજ્યો પર વિચારો)માં ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના તનાવને ઓછો કરવા માટે હૈદરાબાદને રાજધાની બનાવવાનું સૂચન કર્યું હતું. તેઓ લખે છે, "ભારત બીજી રાજધાની બનાવી શકે? આપણી પાસે એક રાજધાની છે એનો અર્થ એ નહીં કે આ પ્રશ્ન ન પુછાય. રાજધાનીની જગ્યા ઉચિત ન હોય, તો આ પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે. તે વખતે (મુઘલો અને બ્રિટિશરો વખતે) લોકોની સરકાર ન હતી, પણ હવે ચૂંટાયેલી સરકાર છે અને જનતાની સગવડતા અગત્યની છે, ત્યારે એ સમજવું જોઈએ કે અંતર અને તીવ્ર ઠંડી-ગરમીના કારણે દક્ષિણના લોકો માટે દિલ્હી બહુ અગવડતાભર્યું શહેર છે. ઉત્તર ભારતના લોકો માટે પણ દિલ્હીનો ઉનાળો આકરો છે. વધુ તો દિલ્હી પાડોશી દેશોના હુમલા માટેનું સરળ નિશાન છે."

દિલ્હીની સૌથી મોટી સમસ્યા તેના હવા-પાણીનું દૂષણ, રહેઠાણોની અછત, ગુનાખોરી, ટ્રાફિક અને દુર્ઘટના છે. આ સમસ્યાઓ રાતોરાત કે પ્રાકૃતિક નથી. દાયકાઓથી દિલ્હી બદથી બદતર થતું રહ્યું છે. મુખ્યત્વે આ વહીવટી ત્રુટિ છે. દિલ્હી રાજધાની પણ છે અને રાજ્ય પણ છે. ૧૯૦૧માં, ૪,૦૦,૦૦૦ની વસ્તી સાથે દિલ્હી દેશનું સાતમું મોટું શહેર હતું (સૌથી મોટું કલકત્તા હતું). આજે દિલ્હીની વસ્તી ૧.૮ કરોડ છે. સંયુક્ત રાષ્ટ્રનો શહેરીકરણનો અહેવાલ કહે છે કે ૨૦૨૮ સુધીમાં દિલ્હી કદાચ દુનિયાનું સૌથી વધુ ગીચ (૩.૭ કરોડ) શહેર થઇ જશે. તે વખતે કેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે તેની કલ્પના કરવી અઘરી નથી.

દિલ્હી દેશની રાજધાની હોવાનું એક માત્ર કારણ ઐતિહાસિક છે. બહુ નજીકની વાત કરીએ તો મુઘલો અને બ્રિટિશરોએ દિલ્હીમાં બેસીને દેશ ચલાવ્યો છે, તે કારણથી જ દિલ્હી આજે પણ રાજધાની છે, પરંતુ એવું કાયમથી નથી. મહમ્મદ બિન તુઘલકે ૧૩૨૭માં રાજધાનીને દિલ્હીથી દોલતબાદ ખસેડવા પ્રયાસ કર્યો હતો. સિકંદર લોદીએ ૧૫૦૬માં આગ્રાને બીજી રાજધાની બનાવ્યું હતું.

મુઘલોના પણ શાસનમાં આગ્રા રાજધાની હતું. બ્રિટિશરોની પહેલી રાજધાની કલકત્તા હતું. ૧૯૧૧માં તેઓ રાજધાનીને દિલ્હી લઇ ગયા હતા. ત્યાં પણ તેમણે નવું દિલ્હી વસાવ્યું હતું.

રાજધાનીને કલકત્તાથી દિલ્હી ખસેડવાનું મૂળ કારણ બંગાળની રાષ્ટ્રવાદી ચળવળ હતી, જેનું કેન્દ્ર કલકત્તા હતું. એક સદી અગાઉ, ભારતના વાઈસરોય લોર્ડ હાર્ડિંગે બ્રિટિશ રાજ્યને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “બ્રિટિશ શાસન સામે કલકત્તામાં વધી રહેલા વિરોધને જોતાં અહીં રહેવાનું હિતાવહ નથી.” ભારતમાં બ્રિટિશ સરકાર કેમ કલકત્તાથી નાસી રહી છે તેને બ્રિટનમાં આમ સભામાં સમજાવતાં ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ કર્ઝને કહ્યું હતું, “એ લોકોને બંગાળના ઉકળતા ચરુમાંથી છૂટવું છે.”

રાજધાનીઓ બદલવી એ દુનિયામાં નવાઈ નથી. વિવિધ કારણોસર અનેક દેશોએ આવું કર્યું છે. બ્રાઝિલમાં રિઓ ડે જનેરો સદીઓથી રાજધાની હતું, પરંતુ શહેર એટલું બધું ગીચ અને સરકારી ઈમારતો એટલી છૂટી છવાઈ હતી કે સરકારે ૧૦૦૦ કિલોમીટર દૂર બ્રાસીલિયામાં નવી રાજધાની વસાવી હતી.

નાઇજીરિયાની રાજધાની લાગોસ પણ ગીચ શહેર થઇ ગયું હતું એટલે ૧૯૯૧માં અબૂજાને રાજધાની બનાવાયું હતું. ઈજીપ્તની રાજધાની કૈરો ભવિષ્યનો વસ્તી વધારો ખમી શકે તેમ નથી એટલે ત્યાં ૪૫ કિલોમીટર દૂર નવું શહેર બની રહ્યું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ રાજધાનીને જાકાર્તામાંથી ખસેડીને જાવા દ્વીપ પર લઇ જવાની ઘોષણા કરી છે. ચીને તેની રાજધાની બેજિંગને ફાટફાટ થતી અટકવવા માટે તેની વસ્તીની મર્યાદા બાંધી દીધી છે, અને નવી વસ્તીને હવે બીજી વસાહતોમાં વસાવવામાં આવે છે.

એ જાણવું રસપ્રદ છે કે વિકસિત દેશોની રાજધાનીઓની વસ્તી બહુ જ સીમિત છે, એટલે ત્યાંનું જીવન ધોરણ બહુ સારું છે. વોશિંગ્ટનની વસ્તી ૭,૫૦,૦૦૦ છે. બર્લિન ૩૦ લાખ લોકોની રાજધાની છે. પેરીસમાં ૨૦ લાખ લોકો રહે છે. લંડનની જનસંખ્યા ૮૦ લાખ છે અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા) ૪૦ લાખ લોકોની રાજધાની છે. દુનિયામાં ૩૬ દેશો એવા છે જેમની રાજધાનીઓની ગણના દેશના સૌથી મોટા શહેરમાં થતી નથી.

બીજો એક મહત્ત્વનો ફર્ક એ છે ભારત એક માત્ર મહાસત્તા છે, જેની રાજધાનીની આસપાસ બંદર પર નથી. લંડન અને ટોકિયો દુનિયાનાં મોટાં બંદરો છે. વોશિંગ્ટનની પડોશમાં ચેસપીકે ખાડીમાં અનેક બંદરો છે. મોસ્કો મોટી નહેરો મારફતે પાંચ સમુદ્રો સાથે જોડાયેલું છે. બર્લિનમાં ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રમાં જવાના વિશાળ જળમાર્ગો છે. પેરિસનાં બંદરો પ્રમાણમાં નાનાં છે, પણ જેન્નેવીલિયર્સ બંદર ખાસું અસરકારક છે.

રાજધાની તરીકે દિલ્હીની પસંદગી, કલકત્તા કે મુંબઈની જેમ, તેના વાણિજ્યના કારણે નહીં, પણ ભૌગોલિક રીતે તે કેન્દ્રમાં હોવાથી થઇ છે. એક જમાનામાં દિલ્હી કરતાં તો પટના, મથુરા કે વારાણસીમાં વાણિજ્યની વધુ સુવિધાઓ હતી. નવી દિલ્હીનો પાયો ભારતના તત્કાલીન શહેનશાહ જ્યોર્જ પંચમે નાખ્યો હતો અને બે બ્રિટિશ આર્કિટેક્સ સર હર્બટ બેકર અને સર એડવિન લૂટિયન્સે તેનું પ્લાનિંગ કર્યું હતું. ૩૧ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ વાઇસરોય લોર્ડ ઈરવીને નવી રાજધાની તરીકે નવી દિલ્હીનું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીની સરકાર આ લૂટિયન્સ દિલ્હીમાં રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે સેન્ટ્રલ વિસ્ટાનું નવનિર્માણ કરી રહી છે. ૨૦૨૪માં તેનું ઉદ્ઘાટન થશે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ”, 07 ફેબ્રુઆરી 2021

Loading

સરકાર સામે સામાન્ય માણસનો સંતાપ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 February 2021

હે જગત જનની ઉર્ફે સરકાર માઈબાપ,

સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ … !

જેમ માને અને ભગવાનને તું કહું છું, એમ તને પણ હું તુંકારે જ બોલાવું છું. હું એક સામાન્ય માણસ છું. મારામાં અક્કલ નથી એવું તું તો માને જ છે, એટલે હું પણ માનતો થઈ ગયો છું કે મારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે. મને ઘણું નથી સમજાતું ને જે સમજાય છે એમાં છેવટે તો સંતાપ કરવાનો જ રહે છે. એ ખરું કે આખું વર્ષ કોરોનાને નામે ચડ્યું. એણે આવતાંવેંત જ આખા જગતની પથારી ફેરવી કાઢી. લાખો માણસો મર્યાં, એમાં ભારત પણ બાકાત ના રહ્યું. એમાં વળી મહિનાઓ સુધી લોકડાઉન રહેતાં કામધંધો ઠપ્પ થઈ ગયો. નોકરીઓ ગઈ. આવક, ઝેર ખાવા જેટલી પણ ન રહી. ઘણાં પંખે લટકી ગયાં તો ઘણાં અટકી પણ પડ્યાં. સરકાર તરીકે તેં લાખોકરોડોના પેકેજ જાહેર કર્યાં. એ પેકેજ ક્યાંના પેકેટ બન્યા તે તો નથી ખબર, એમાં વળી ખાતર પર દિવેલની જેમ ચીન – પાકિસ્તાનનો ઉપદ્રવ પણ ચાલુ જ રહ્યો. એના ન ઘૂસેલા સૈનિકોને આપણે મારી હટાવ્યા તો આપણા ન ઘૂસેલા સૈનિકોનો ધુમાડો પણ થયો. એની વે, અનેક ઉપાધિઓ વચ્ચે તેં ને મેં ટકી બતાવ્યું તે માટે હું તને અભિનંદન આપું છું ને તારે મને આપવાં હોય તો તું પણ આપી શકે, આફ્ટર ઓલ, ઈટ ઈઝ અપ ટુ યુ –

બાકી હતું તેમાં કિસાન આંદોલન ચાલ્યું ને હજી ચક્કાજામ તાજું જ છે. કિસાન શબ્દમાં “સાન” છે ને સરકારમાં “સર” છે એટલે તમે બંને અડી ગયાં છો. કિસાનને કિસાન કાનૂનો નથી જોઈતા ને તારે પરાણે આપવા જ છે. તારી પણ કમાલ જ છે, તો ! એ લાગુ ન કરવામાં તારાં કયાં વહાણ લૂંટાય છે એ મને નથી સમજાતું ને તને એ નથી સમજાતું કે આંદોલન લંબાવાને કારણે રાજકીય પક્ષો ખેડૂતોના તવા પર પોતાના રોટલા શેકી રહ્યા છે, એ પણ જવા દે, એમાં વિદેશી તાકતોને રસ પડ્યો છે ને એ આ દેશની બાબતોમાં માથું મારી રહી છે એ બધું તને ઠીક લાગે છે? આંદોલન લંબાય તો વિપક્ષોને અને વિદેશી તાકાતોને વધારે ટાંટિયાં ફેલાવવાની તક મળે એવું નથી લાગતું? એ ચાલવા દેવાનું છે? હું તો ખેડૂતોને પણ બે હાથ જોડીને કહું છું કે સરકાર સામે તમને જે વાંધો હોય તે ભલે, પણ તમારે નામે કોઈ આ દેશમાં ચરી જાય ને દેશને નુકસાન કરે એવું ન જ થવું જોઈએ. એવું કૈં થયું તો આવનારો સમય તમને માફ નહીં કરે એટલું નક્કી !

હે સરકાર, મને તારે માટે એ માન જરૂર થયું કે આ બજેટમાં ખેતીના માળખાને ઠેકાણે કરવા ખેડૂતોનું આંદોલન તેં ધ્યાને લીધું ને પેટ્રોલ પર અઢી રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયા સેસ લાગુ કરવાની દરખાસ્ત કરી. તેં ધાર્યું હોત તો ખેડૂતોને રવડાવ્યા હોત, પણ તેને બદલે તેં મારા જેવા સામાન્ય માણસોને રડાવ્યા. ગુડ ! જો કે તેં બજેટમાં કહ્યું ખરું કે ગ્રાહકો પર વધારાનો બોજ નહીં પડે એની કાળજી રખાઈ છે, પણ મારી મા, એવું મને તો દેખાતું નથી. અમે સ્કૂટરમાં પેટ્રોલ નખાવી જ ન શકીએ એ હદે પેટ્રોલ મોઘું થયું છે તે નથી દેખાતું? તેં કહ્યું કે બોજ ગ્રાહકો પર નહીં પડે, તો પણ રોજ ઓઈલ મોંઘું થાય છે તે ખરું કે કેમ? એક જ વર્ષમાં પેટ્રોલનો ભાવ 20 રૂપિયા વધ્યો તે સાચું હોય તો એ બોજો કોના પર પડ્યો, તે કહીશ? તું કહીશ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ વધ્યા એટલે અત્યારે ભાવ વધે છે, તો જ્યારે એના ભાવ માઈનસમાં ગયા ત્યારે પણ આપણે ત્યાં ભાવ વધ્યા તે કઈ ખુશીમાં? એટલે તું માન કે ન માન, પણ ક્યાંક તો રમત છે જ !

હે મારી ચાલાક, સોરી, ચાલક સરકાર, કેટલાં ય વર્ષોથી જે વસ્તુ સસ્તી થવી જોઈએ એ મોંઘી થાય છે ને જે મોંઘી થવી જોઈએ એ સસ્તી થાય છે. મારું એટલું જ્ઞાન નથી અને તું સમજીને જ બધું કરતી હોઈશ તે પણ ખરું, પણ મારું સાદું જ્ઞાન તો એમ જ કહે છે કે જે અમીર છે તે બોજ વેઠી શકે તેમ છે તો તેના પર ટેક્સ વધુ નાખવો ને જે સાધારણ વર્ગ છે તે આમ પણ મરેલો જ છે તો તેને વધારે ન મારવો. પણ, અહીં તો ઊલટું જ ચાલે છે. બજેટ પછી સોનું સસ્તું થાય છે ને પેટ્રોલ મોંઘું થાય છે. વેલ, અમીરોના દરિયામાંથી ડોલ લઈ લઈશ તો એને ફરક નહીં પડે, પણ અમારે તો ડોલ જ દરિયો છે ને તું ડોલ જ આંચકે તો અમારે જીવવું કેમ તે કહીશ?

હું માનું છું કે બજેટમાં આરોગ્યને આ વખતે વધારે મહત્ત્વ આપીને તેં સારું જ કર્યું છે. માત્ર રસી માટે જ 35,000 કરોડ ફાળવ્યા તે પણ ઠીક થયું. જો આંકડા સાચા હોય તો કોરોનાનું જોર ઘટ્યું છે એવું પણ લાગે છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે તે જોઈને દેશસેવા કરવા આટલા બધા લોકો આગળ આવ્યા છે તેનો આનંદ છે, પણ હકીકત જુદી છે. ટિકિટ ન મળવાને કારણે જે અસંતોષ દેખાય છે તેમાં સેવા કરવાને બદલે, મેવા મેળવવામાં રહી ગયા, એનો અફસોસ વધારે છે ને જે ટિકિટ મેળવીને ઊછળે છે તે કેટલી સેવા કરવાના છે તે પણ કોઇથી અજાણ્યું નથી. એમ લાગે છે કે રાજકારણ એક નફાકારક રોકાણ છે ને પેઢીઓ તારવી હોય તો રાજકારણ જેવો બીજો સરળ ઉદ્યોગ નથી. જવા દે, એમાં આપણું કામ નહીં ! એમાં હોય તેના હાથ ચોખ્ખા ન હોય તે આમ પણ સમજી શકાય તેમ છે.

આમ તો અર્થશાસ્ત્રીઓ અને અનર્થશાસ્ત્રીઓએ પણ બજેટને વખાણ્યું છે. સરકારના મંત્રીઓને ને પક્ષકારોને તો બેકાર બજેટ પણ સારું જ દેખાવાનું. એકલું સારું જ દેખાય એ પણ એક પ્રકારનો અંધાપો જ છે, કારણ એમાં નબળું જોવાની દૃષ્ટિ નથી, તો વિપક્ષોને એમાં કૈં સારું નહીં દેખાય એ પણ ખરું, કારણ એને સારું જોવાની દૃષ્ટિ નથી. ટૂંકમાં બંને પાસે તટસ્થતાનો અભાવ છે, પણ હું સામાન્ય માણસ છું, મારામાં અક્કલ ઓછી હશે, પણ અંધાપો નથી. એટલું ખરું કે બજેટમાં કોરોના સેસ લાગુ થવાનું જોખમ હતું જ, પણ શૂળીનું વિઘન કિસાન સેસથી ગયું. એ પણ ખરું કે ગયા બજેટના ટેક્સ જ આવકવેરામાં ચાલુ રહ્યા. નવા ટેક્સ ન નાખ્યા તે માટે થેંક્સ, પણ માઇબાપ, આ અઢી લાખનો સ્લેબ આ સરકારમાં કે મારા આ જનમારામાં બદલાય એમ જ નથી? એ ખરું કે આ વખતે કોરોના હતો, પણ એના આગલા વર્ષે ને એના આગલા ને એના પણ આગલા વર્ષે તો કોરોના ન હતો ને? યે તો આગુસે ચલી આ રહી હૈ, ઉસ કા કુછ કરો, પ્લીઝ ! મોંઘવારી અઢી ગણી વધી હોય ને ઇન્કમટેક્સનો સ્લેબ અઢી લાખથી આગળ ચસે જ નહીં, એમાં મારા જેવા ડફોળને દાનત ખોરી હોવાનું દેખાય તો માફ કરી દેવાનો, બીજું શું?

બાય ગોડ, આ વખતે સૌથી વધુ આનંદ તો પંચોતેર+(પ્લસ)ને રિટર્ન ફાઇલ ન કરવાનું કહ્યું ત્યારે થયો. આવતું વર્ષ સ્વતંત્રતાનું પણ 75મું છે તો 75+ને રિટર્ન ફાઇલ કરવામાંથી માનભેર મુક્તિ આપવી. વાહ, ક્યા બાત હૈ ! આપણે બાપુ તો ખુશ કે ચાલો, વર્ષો પછી ધ્યાનમાં તો આવ્યું કે સિનિયર્સની દયા ખાવા જેવી છે ! જો જીવી જાય તો સિનિયર્સને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ ! એની કળ વળે ત્યાં તો એવો ખુલાસો આવ્યો કે જેનું પેન્શન અને વ્યાજ એક જ ખાતામાં છે એને જ એ લાભ મળશે. એટલે કે એક્ચ્યુઅલી શું મળશે? મને અક્કલમઠ્ઠાને તો એવું હતું કે પંચોતેરિયાને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ એટલે કે ટેક્સ ભરવામાંથી મુક્તિ, પણ પછી મગમાંથી પગ નીકળ્યા ત્યારે ખબર પડી કે એવું નથી. વાત એમ હતી કે રિટર્ન ફાઇલમાંથી મુક્તિ એટલે રિટર્ન ન ભરવાનું એટલું જ ! બાકી, ટેક્સ લાગતો હોય તો ટેક્સ કે ટી.ડી.એસ. તો કપાશે જ. એ જે તે બેન્ક કાપશે. એટલે પંચોતેરિયાએ હવે ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં ન જતાં બેન્કનાં પગથિયાં ઘસવાનાં ! આમાં કાંદા શું કાઢ્યાં તે તો નથી ખબર, પણ કન્સલ્ટન્ટની ફી બચે એમ બને. એ પણ બચશે કે બેન્ક તેની ફી ઉમેરશે તે નથી ખબર. ટૂંકમાં, પહેલી ફેબ્રુઆરી, બધાં પંચોતેરિયા માટે પહેલી એપ્રિલ પુરવાર થઈ.

બધા પંચોતેરિયાને હોલસેલમાં એપ્રિલફૂલ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર.

બોલ્યું ચાલ્યું માફ.

— એક સાવ સામાન્ય માણસના જયભારત !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ફેબ્રુઆરી 2021

Loading

...102030...2,0032,0042,0052,006...2,0102,0202,030...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved