Opinion Magazine
Number of visits: 9572554
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુક્ત બજાર અને મુક્ત સમાજ એ બન્ને જ્યાં સાથે હોય ત્યાં માનવીય સુખનું હોવું અવશ્યંભાવી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2021

ઘણીવાર વધારે પડતા મોટા દાવા કરવામાં આવે ત્યારે ઇતિહાસ વેર વાળતો હોય છે. જપાની મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી યૉશિહીરો ફ્રાન્સીસ ફૂકુયામા સાથે આવું જ બન્યું છે. તેઓ પણ રઘુરામ રાજનની માફક વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી છે અને તેઓ પણ રાજનની માફક મૂડીવાદ અને માર્કેટ ઉપર ભરોસો રાખતા હતા. ૧૯૮૯-૯૦માં પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોમાં સામ્યવાદી વ્યવસ્થા પડી ભાંગી. ૧૯૯૧માં સોવિયેત રશિયામાં સામ્યવાદનો અંત આવ્યો અને એમ લાગવા માંડ્યું હતું કે ચીન અને ક્યુબામાં પણ નજીકના ભવિષ્યમાં સામ્યવાદનો અસ્ત થઈ જશે. ફ્રાન્સીસ ફૂકુયામાએ એ ઘટનાઓનો અર્થ સમજાવતું એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું; ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી એન્ડ ધ લાસ્ટ મેન.’

એ પુસ્તકમાં ફૂકુયામાએ દાવો કર્યો હતો કે અત્યાર સુધી માનવીય ઇતિહાસમાં બે સામસામે છેડાના વિકલ્પો વચ્ચે દ્વન્દ્વ રચાતા અને તેની વચ્ચે સંઘર્ષ થતા જોવા મળ્યા છે. માનવીય ઇતિહાસની સાઈકલ આ રીતે જ ચાલતી આવી છે, પણ હવે ઇતિહાસનો અંત આવી રહ્યો છે  કારણ કે ભવિષ્યમાં સુખાકારીના વિકલ્પો વચ્ચે દ્વન્દ્વ રચાવાની કોઈ શક્યતા જ રહી નથી. હાજારો વરસ દરમ્યાન વિકલ્પો વચ્ચેના દ્વન્દ્વો અને સંઘર્ષો પછી આખરે માનવીએ સમજી લીધું છે કે સ્થાયી સુખ મુક્ત અર્થતંત્ર અને મુક્ત સમાજ જ આપી શકે, નિયંત્રિત નહીં. બીજા શબ્દોમાં કહીએ તો માનવસમાજે મૂડીવાદી લોકશાહીને અથવા મૂડીવાદ અને લોકતંત્રના સમન્વયને માનવીય સુખ માટેના આખરી અને અકસીર ઈલાજ તરીકે સ્વીકારી લીધો છે. ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી’ એ વાક્યપ્રયોગ દ્વારા તેઓ શું કહેવા માગતા હતા એ હવે સમજાઈ ગયું હશે.

મુક્ત બજાર અને મુક્ત સમાજ એ બન્ને જ્યાં સાથે હોય ત્યાં માનવીય સુખનું હોવું અવશ્યંભાવી છે એવું હિંમતભર્યું નિવેદન ત્યારે તેમણે કર્યું હતું. તેઓ આવા તારણ ઉપર એમ સમજીને પહોંચ્યા હતા કે સુખની શોધ અને સુખની પ્રાપ્તિ મૂળભૂત માનવીય વૃત્તિ છે. સુખ મેળવવા માનવી ઉદ્યમ કરે છે અને ઉદ્યમ કરવામાં જેટલાં ઓછાં નિયંત્રણો એટલો વધુ ઉત્સાહ અને જેટલો વધુ ઉત્સાહ એટલો વધુ લાભ એ સંસારનો નિયમ પણ છે અને અનુભવ પણ છે. બીજું સુખ મેળવ્યા પછી તેને બને એટલો લાંબો સમય ટકાવી રાખવાની ઈચ્છા એ પણ મૂળભૂત માનવીય વૃત્તિ છે. બંધિયાર નિયંત્રિત સમાજ સંપન્ન હોય તો પણ સુખી ન હોઈ શકે એ પણ સંસારનો નિયમ છે અને અનુભવ પણ છે. જો મુક્ત રીતે ઉદ્યમ કરવા મળતો હોય, મુક્ત રીતે સુખ રળી શકાતું હોય, મુક્ત રીતે તેમાં વધારો થઈ શકતો હોય અને જો મુક્ત રીતે તેને ભોગવી શકાતું હોય તો તેને ગુમાવી દેવાનો ખોટનો સોદો કયો મૂરખ કરવાનો એમ માનીને તેમણે ધ એન્ડ ઓફ હિસ્ટરીની જાહેરાત કરી દીધી હતી.

બરાબર ૨૬ વરસ પછી, ૨૦૧૮માં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક, ‘આઇડેન્ટિટી: ધ ડીમાન્ડ ફોર ડિગ્નિટી એન્ડ ધ પોલિટીક્સ ઓફ આઇડેન્ટિટી’માં તેઓ કહે છે કે સંપત્તિની થઈ રહેલી લૂટના વિકલ્પ તરીકે સમાજવાદ પાછો આવી શકે છે. બીજા શબ્દોમાં તેમણે પોતાની ભૂલ સુધારતા કહ્યું છે કે નિયંત્રણરહિત બજાર અને નિયંત્રણરહિત સમાજ માનવીય સમાજની અંતિમ અને કાયમી મંઝીલ છે એવો તેમણે જે અભિપ્રાય આપ્યો હતો એ ઉતાવળિયો હતો.

તેઓ ખોટા પડ્યા એ ચર્ચાનો મુદ્દો નથી, ચર્ચાનો મુદ્દો એ છે કે આવું કેમ બન્યું? તેમની વાત બિલકુલ સાચી હતી કે, જો મુક્ત રીતે ઉદ્યમ કરવા મળતો હોય, મુક્ત રીતે સુખ રળી શકાતું હોય, મુક્ત રીતે તેમાં વધારો થઈ શકતો હોય અને જો મુક્ત રીતે તેને ભોગવી શકાતું હોય તો તેને ગુમાવી દેવાનો ખોટનો સોદો કયો મૂરખ કરવાનો? પણ આવું બની રહ્યું છે એ આપણી સામે છે. કેમ? કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની પુત્રીની સ્વતંત્રતા અને પોતાનાં સંતાનોનું ભવિષ્ય ’કોઈક’ની વેદી ઉપર હોમી દે છે.

એ કોઈક કોણ છે? એ કોઈક શું કહે છે? એ કોઈક શું કરે છે? એ કોઈક શું કરવાનું તમને કહે છે? એ કોઈક કોના માટે કામ કરે છે? એ કોઈકનું અવતરણ કેવી રીતે થયું, કોણે કર્યું અને કેવી રીતે થયું?

વધુ ચર્ચા ગુરુવારે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 માર્ચ 2021

Loading

વેક્સિન ડિપ્લોમસીઃ રોગચાળાએ મુત્સદી રાજકારણનું રૂપ પણ બદલી નાખ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 March 2021

વેક્સિનના ડૉઝ માત્ર વાઇરસને અલવિદા કહેવા નહીં, પણ પોતાની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે અને રાષ્ટ્ર તરીકે પોતાની શક્તિ બતાડવા પણ કામે લગાડાયા છે

કોરોના વાઇરસ, લૉકડાઉન, અનલૉક, વેક્સિન વગેરે શબ્દો આપણી જિંદગીમાં ઉમેરાયા એને વર્ષ થવા આવ્યું, પણ આ બધાંની વરસી હજી વળી નથી. કોવિડ-19 રોગચાળાએ જાતભાતનું નવું ઊભું કર્યું છે અને તે અર્થતંત્ર, રાજકારણ, વૈશ્વિક લેવડ-દેવડ, સ્વાસ્થ્યથી માંડીને બધાં જ ક્ષેત્રે અસર કરે તેવું છે. જો કે વેક્સિનેશનની શરૂઆત થઇ છે ત્યારથી માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં કોણે કોને કેટલી વેક્સિન પહોંચાડી, કઇ પહોંચાડી, જથ્થો કેટલો જલદી પહોંચ્યોની ચર્ચાઓ પણ ચાલી છે. જે પણ દેશ વેક્સિન બીજા રાષ્ટ્રોને આપે છે તે પોતાના કૉલર ઊંચા કરવામાં જરા ય પાછી પાની નથી કરતો. વેક્સિનના ડૉઝ માત્ર વાઇરસને અલવિદા કહેવા નહીં, પણ પોતાની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય દોસ્તીને મજબૂત કરવા માટે પણ કામે લગાડાયા છે. આ છે મુત્સદ્દીપણું, ડિપ્લોમસી. ડિનર ડિપ્લોમસી હવે આ રોગચાળામાં કંઇ થોડી કામે લાગવાની છે, તે હવે આખી દુનિયામાં વેક્સિન ડિપ્લોમસીની મોસમ ચાલી છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં ચાઇનિઝ વેક્સિન સિનોફાર્મનો અડધો મિલિયન જથ્થો પાકિસ્તાન પહોંચ્યો, સાથે કંબોડિયા, નેપાલ, સિએરા લિયોન અને ઝિમ્બાબ્વે જેવા 13 દેશોમાં પણ આ જથ્થો પહોંચ્યો. ચીન અને પાકિસ્તાને તો ભાઇચારાની ટેગલાઇન પણ બનાવી નાખી – આ લેવડદેવડને નામ અપાયું, ‘મેનિફેસ્ટેશન ઑફ બ્રધરહુડ’. વેક્સિન આપવાને મામલે બધાં રાષ્ટ્રોએ જાણે ડેલ કાર્નેગીની ચોપડી – ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્ઝ એન્ડ ઇન્ફ્લુએન્સ પિપલ’નો ડૉઝ ભારે માત્રામાં લીધો હોય તે રીતે મંડી પડ્યા છે. આમ તો આ સારી જ બાબત છે પણ આમાં માત્ર સારપ નથી, બલકે રાજકારણ, એટલે કે સોફ્ટ પાવર પ્લે પણ છે. રશિયાએ પોતાના સ્પૂટનિક વી વેક્સિનનો જથ્થો અન્ય રાષ્ટ્રોને આપ્યો છે. ભારતની વાત કરીએ તો આપણે એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ વેક્સિનનો જથ્થો મ્યાનમાર, નેપાલ અને બાંગ્લાદેશમાં પહોંચતો કર્યો છે. આમ કરીને ભારતે દક્ષિણ એશિયાઇ દેશોમાં ચીનની પકડ સામે ડિંગો બતાડવાનું કામ કર્યું છે. ભારત અને ચીનની હુંસાતુંસી જે સરહદે ચાલ્યા કરે છે, તેના વિષે આપણે જાણીએ જ છીએ. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ભારતમાંથી વેક્સિન પહોંચવાની છે.

આ તરફ ઇઝરાયલે રશિયાની સ્પુટનિક વી વેક્સિન ખરીદીને સિરિયન સરકારને પહોંચતી કરવાનો કરાર કર્યો છે, આમાં સાથે કેદીઓનાં એક્સચેન્જની વાત પણ કરી દેવાઇ છે. ચીનને માથે તો આ વાઇરસને કારણે જે પ્રમાણમાં માછલાં ધોવાયાં છે તે જોતાં તેને તો પોતાની છબી સુધારવા જે કરવું પડે તે કરવા તે તૈયાર છે. ચીન અને રશિયા બંન્ને પોતાની વૈશ્વિક છબી સુધારવા માટે મથી રહ્યાં છે ને વેક્સિન ડિપ્લોમસી અત્યારે એ માટે હાથવગું હથિયાર છે. રશિયા પોતાના વેક્સિનનું નામ સ્પુટનિક રાખે તેની પાછળ પણ તે પોતાના ભવ્ય ભૂતકાળને લોકોની આંખ સામે ફરી તાજો કરવા માગે છે તે સમજી શકાય છે. રશિયાએ યુરોપિયન વેક્સિન્સને બોગસ ઠેરવવા માટે પૂરતાં ધમપછાડા કર્યાં છે અને પોતે તૈયાર કરેલ વેક્સિનનું ‘કેપિટલાઇઝેશન’ થાય તેમાં કોઇ કસર નથી છોડી. રશિયાની વેક્સિન સ્પુટનિક વી જે અન્ય વેક્સિન્સ કરતાં સસ્તી છે, તે આફ્રિકા જેવા દેશોમાં પોતાનો પ્રભાવ મજબૂત કરવામાં અગત્યનું સાધન બનશે તેમ રશિયન રાજકારણીઓનું માનવું છે. વળી રશિયાએ હંગરીમાં સ્પુટનિક વીનો જથ્થો મોકલ્યો અને આ પગલાંને યુરોપિયન યુનિયનની વિશ્વસનિયતા અને એકતાને નીચા બતાડવાનો પ્રયાસ તરીકે ગણવામાં આવ્યું છે.

ચીને પણ સિનોફાર્મ અને સિનોવેક વેક્સિનની એફિકસી યુ.એ.ઇ., ટર્કી અને બ્રાઝીલમાં કરાયેલ ટ્રાયલ્સ ચકાસવામાં આવી. બીજી તરફ મોડર્ના અને એસ્ટ્રાઝેનેકાને વખોડવામાં ચીની મીડિયાએ કંઇ બાકી નથી રાખ્યું. રશિયાનું ફોકસ મિડલ ઇસ્ટનાં દેશો છે તો ચીન આફ્રિકી દેશોને વેક્સિન પહોંચાડવાની તજવીજમાં છે. રશિયા અને ચીન પાસેથી વેક્સિન લેનારા દેશો સામે પશ્ચિમી રાષ્ટ્રોએ નાકનું ટિચકું ચઢાવ્યું છે ને એવું ય કહ્યું છે કે રશિયા અને ચીનનો આ ઉપકાર આ નાના દેશોને ભારે ન પડે તો સારું.

જો કે ચીન અને રશિયાના આ સોફ્ટ પાવર પ્લેમાં આ બન્ને રાષ્ટ્રોએ ભારત સાથે બાથ ભીડવાની છે. ભારતનાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં વેક્સિન્સનું ઉત્પાદન કરાયું છે. મોદી સાહેબના ‘મેઇડ ઇન ઇન્ડિયા’માં કોવેક્સિન, યુ.કે. ઑક્સફોર્ડ વેક્સિનનું ભારતમાં બનેલું વર્ઝન કોવિશિલ્ડ અને બીજા જે પણ બની રહ્યાં છે, બધાં જ WHOના કોવેક્સ ગ્લોબલ ઇનિશ્યેટિવમાં પહોંચાડીને સોફ્ટ પાવર પ્લેને મજબૂત કરવાનું આપણે માટે આસાન રહેવાનું છે. ભારત માટે તો વેક્સિનને મામલે વૈશ્વિક નેતૃત્વમાં અવ્વલ નંબરે આવવું આસાન પણ રહેશે કારણ કે પૂનાના સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આમ પણ 170 દેશોમાં જાતભાતના વેક્સિન્સ પહોંચાડાય છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ તેની આ ઉત્પાદન ક્ષમતાને કારણે હાલમાં મોકાના સ્થાને છે અને ધારે તો ભારત રોગચાળા સામેની લડતમાં સૌથી અગત્યનું રાષ્ટ્ર બની શકે તેમ છે. યુ.કે.માં ભારતમાંથી એસ્ટ્રાઝેનેકાના 10 મિલિયન ડૉઝીસ જવાના છે, જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં બન્યા છે. વળી જે રશિયા અને ચીનનો ખેલ ચાલે છે તેમાં તેમણે પોતાના પર મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપ, દાદાગીરી, હત્યાકાંડ જેવા કંઇક કેટલા ય આરોપો મુકાયેલા છે અને આ કારણે ખરડાયેલી છબી સાફ કરવાની છે, જ્યારે ભારતને તો માત્ર વૈશ્વિક સ્તરે પોતાનું મહત્ત્વ વધારવાનું જ કામ કરવાનું છે. યુરોપ અને અમેરિકા બન્ને બળુકા ગણાતા રાષ્ટ્રો ગરીબ દેશો કે પ્રદેશોમાં વેક્સિન પહોંચાડવામાં મોડા પડ્યા છે

રોગચાળા સામેની લડતમાં રાજકારણ પહેલીવાર નથી ખેલાઇ રહ્યું, પણ સમય બદલાયો છે અને રાષ્ટ્રોએ સમજ બદલાવની જરૂર છે. હુંકાર કરવામાં ઊંહકારા અને આક્રંદ વધી જાય તો આ વેક્સિન ડિપ્લોમસી નકામી. સ્મોલપોક્સ એટલે કે ઓરી અછબડાંને દૂર કરવાની સફળતા પાછળ સોવિયેત યુનિયન અને યુ.એસ.એ. વચ્ચેની હુંસાતુંસીએ હકારાત્મક અસર કરી હતી. જ્યારે સાર્સ વાઇરસ ફેલાયો ત્યારે 2002માં ચીને તાઇવાન સુધ્ધાંને મદદ કરી હતી, પણ અત્યારે તો તાઇવાન સાથે ચીનના સંબંધો તંગ છે.

બાય ધી વેઃ

વૈશ્વિક સ્વાસ્થ્ય પણ જો વૈશ્વિક સત્તાના ખેલનો નવો અખાડો બની રહ્યું હોય, તો આપણે ચિંતા તો કરવી જ રહી. આ વેક્સિનની ચડસાચડસીમાં અવિશ્વાસ અને આરોપો જ વધવાના હોય તો રોગચાળા સામેનો વૈશ્વિક પ્રતિભાવ નિષ્ફળ ગયો એમ કહી શકાય. એક આદર્શ દ્રષ્ટિકોણથી નાણીએ તો વૈશ્વિક રોગચાળા સામેનો પ્રતિભાવ સર્વાંગી, સહિયારો, સમભાવ ધરાવનારો હોવો જરૂરી છે. કોવિડ-19 રોગચાળા સામેની લડાઇ કેટલા સંપથી લડાય છે, તેના આધારે જ કળી શકાશે કે ભવિષ્યમાં કોઇ પણ રોગચાળો દુનિયાને કેટલી હદે ભરડામાં લઇ શકશે. આમે ય આ રોગચાળાને લઇને અમેરિકા, ચીન વગેરેએ પૂરતી ચોપાટ ખેલી લીધી છે. ડોઝ લીધેલાં બાવડાં બતાડવામાં રાષ્ટ્રો શક્તિપ્રદર્શન ન કરે તો અત્યારના સંજોગોમાં બહેતર જ રહેશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  07 માર્ચ 2021

Loading

અંગ્રેજો પહેલાં ભારતમાં વ્યક્તિ સાપેક્ષ રાજ્યતંત્ર હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2021

બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા અન્ય દેશોની તુલનામાં ભારતનું બંધારણ નિર્વિઘ્ને ઘડાયું એની પાછળ કેટલાંક કારણો હતાં.

પહેલું કારણ એ કે અંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતમાં કોઈ અખિલ ભારતીય શાસકીય/વહીવટી વ્યવસ્થા નહોતી. હકીકતમાં અખિલ ભારત નામની કોઈ ચીજ જ ભારતમાં અસ્તિત્વમાં નહોતી. દેશ અનેક રાજ્યો અને અનેક સૂબાઓ વચ્ચે વહેંચાયેલો હતો અને એ દરેક જગ્યાએ અલગ અલગ શાસકીય વ્યવસ્થા હતી. એને વ્યવસ્થા પણ કેમ કહેવાય! વ્યવસ્થાનાં કેન્દ્રમાં હંમેશાં વસ્તુતંત્ર હોય છે જેને વ્યક્તિ અનુસરે છે પછી તે શાસક હોય કે શાસિત. અંગ્રેજો આવ્યા એ પહેલાંનું શાસન આપણે ત્યાં વ્યક્તિકેન્દ્રી અથવા વ્યક્તિસાપેક્ષ હતું પછી તે શાસક હોય કે શાસિત. પેશ્વાઓના રાજમાં બ્રાહ્મણને ઝૂકતું માપ, મુસ્લિમ રાજ હોય તો મુસલમાનોને ઝૂકતું માપ, હિંદુ ક્ષત્રીય રાજવી હોય તો હિંદુઓને ઝૂકતું માપ વગેરે. ટૂંકમાં શાસક કે શાસિત નિરપેક્ષ એક સરખો કાયદો દેશની કોઈ પણ રિયાસતમાં નહોતો. અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારતમાં ન્યાયનું રાજ્ય હતું, રામરાજ્ય હતું એમ જો કોઈ કહેતું હોય તો એ જૂઠાણું છે.

આનું પ્રમાણ જોઈતું હોય તો નજીકના ભૂતકાળનું આપી શકાય એમ છે અને એ પણ એક નહીં, અનેક. અંગ્રેજોએ ભારતમાં એક પછી એક રાજવીઓને પરાજીત કરીને તેમનાં રાજ્યો છીનવી લીધાં હતાં અને બીજાં અનેકને ખાલસા કર્યા હતા. આમ છતાં સાડા પાંચસો કરતાં વધુ રાજ્યો ૧૮૫૭માં વિદ્રોહ થવાને કારણે ટકી ગયાં હતાં. એ દેશી રજવાડાંમાં કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ હતી એ ઘરમાં કોઈ વડીલ હોય તો પૂછી જુઓ. કોઈ વ્યવસ્થા જ નહોતી. જેનું રાજ હોય એ પ્રજા કાયદાની ઉપરવટ કહેવાય એ તો હજુ આપણો ગઈ કાલનો અનુભવ છે. 

તો પહેલું કારણ હતું, શાસકીય વ્યવસ્થાનો અભાવ અર્થાત્ શાસકીય શૂન્યાવકાશ. જ્યાં સ્થાનિક સ્તરે વ્યવસ્થાનો અભાવ હોય ત્યાં અખિલ ભારતીય સ્તરે વ્યવસ્થા હોય એ તો શક્ય જ નહોતું. આને કારણે અંગ્રેજો જ્યારે વ્યાપારી બનીને શાસક થયા ત્યારે તેમને વ્યવસ્થાના અભાવમાં નવી વ્યવસ્થા લાગુ કરવામાં ખાસ કોઈ મુશ્કેલી નહોતી નડી. લોકોના પ્રતિકારનો સામનો કરવાનો ત્યારે આવે જ્યારે તેમની સ્થાપિત થઈ ગયેલી વ્યવસ્થા સાથે ચેડાં કરવામાં આવે. તેમના ઉપર નવી વ્યવસ્થા લાદવામાં આવે. ભારતમાં કોઈ વ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજો માટે નવી અખિલ ભારતીય શાસન વ્યવસ્થા લાગુ કરવામાં મુશ્કેલી નહોતી નડી.

બીજું કારણ એ કે ભારતમાં જે શાસનવ્યવસ્થા હતી એ રાજકીય નહોતી પણ સામાજિક હતી અને તેના કેન્દ્રમાં ગામડું હતું. લોકો ગ્રામીણ સ્તરે, જ્ઞાતિઓની પંચાયતો દ્વારા સામાજિક રીતરિવાજોથી શાસિત હતા. રાજકીય વ્યવસ્થાની તુલનામાં સામાજિક વ્યવસ્થા પ્રમાણમાં વધારે વસ્તુકેન્દ્રી હતી. વિધવાના પુનર્લગ્ન ન થવા જોઈએ એવો જો જ્ઞાતિનો કાયદો હોય તો પછી એ વિધવા શાહુકારની હોય કે ગરીબની એનાથી કોઈ ફરક નહોતો પડતો. બન્ને માટે એક જ કાયદો હતો. અથવા કન્યા રજસ્વલા થાય એ પહેલાં લગ્ન થવાં જોઈએ (બાળવિવાહ) એવો જો કાયદો હોય તો એમાં વ્યક્તિની પ્રતિષ્ઠા કે વગ જોઇને અપવાદ કરવામાં નહોતો આવતો. આવા તો અનેક રીતરિવાજ હતા જે લોકો પાળતા હતા, પળાવવામાં આવતા હતા અને જો કોઈ તેનો ભંગ કરે તો સજા કરવામાં આવતી હતી.

તો કહેવાનું તાત્પર્ય એ કે ભારતમાં જે શાસકીય વ્યવસ્થા હતી એ સામાજિક હતી અને ગ્રામીણસ્તરની હતી. સમગ્ર રાજ્યને આવરી લેતી હોય એવી કોઈ રાજકીય વ્યવસ્થા જ નહોતી. જે રાજકીય વ્યવસ્થા હતી એ વ્યક્તિસાપેક્ષ હતી અને માટે તેને ‘વ્યવસ્થા’ ન કહી શકાય જ્યારે સામાજિક વ્યવસ્થા વ્યક્તિનિરપેક્ષ હતી અને માટે તે એક ‘વ્યવસ્થા’ હતી. આને કારણે હમણાં કહ્યું એમ અંગ્રેજોને નવી રાજકીય વ્યવસ્થા દાખલ કરવામાં લોકોના પ્રતિકારનો સામનો નહોતો કરવો પડ્યો પણ, સામાજિક વ્યવસ્થા સાથે ચેડાં કરવામાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ૧૮૫૭ના વિદ્રોહ પાછળનું મુખ્ય કારણ રાજકીય હતું એનાં કરતાં સામાજિક વધારે હતું. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ સામાજિક કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકવાનું બંધ કરી દીધું હતું. જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો શરીર ઉપરનાં ગુમડાં સમાન બાકી રહેલાં રજવાડાંઓ ખતમ થઈ ગયાં હોત અને અન્યાયકારી સામાજિક વ્યવસ્થાનો ઢાંચો પણ ઠીકઠીક પ્રમાણમાં તૂટી ગયો હોત.

અહીં ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચેના મતભેદની નોંધ લેવી જોઈએ. ગાંધીજી ગ્રામસ્વરાજની હિમાયત કરતા હતા એ જોઇને આંબેડકરને ડર લાગતો હતો. એ ઠીક છે કે ગામડું સ્વાયત્ત હોવું જોઈએ, ગામડું આત્મનિર્ભર હોવું જોઈએ, ગામડાંની પ્રજાએ શહેરી સુખ-સુવિધાઓની પાછળ નહીં દોડવું જોઈએ અને શહેરી સુખ-સુવિધાઓ ગામડાંના શોષણ પર આધારિત ન હોવી જોઈએ વગેરે બધું જ સ્વીકાર્ય; પણ એમાં સ્ત્રીઓનું અને નીચલી પ્રજાનું શોષણ થાય છે એનું શું? વ્યવસ્થાના કેન્દ્રમાં માનવ હોવો જોઈએ કે ગામડું? વ્યવસ્થાના  કેન્દ્રમાં ન્યાય હોવો જોઈએ કે કહેવાતી આત્મનિર્ભરતા અને સ્વાયત્તતા? આદર્શ વ્યવસ્થા ન્યાયઆધારિત ન હોય તો એને આદર્શ કેમ કહી શકાય!

ડૉ. આંબેડકરને ડર હતો કે દેશમાં અને કૉન્ગ્રેસ ઉપર ગાંધીજીનો પ્રભાવ જોતા આઝાદ ભારતના બંધારણમાં ગામડાંને જો શાસકીય સ્વાયત્તતા આપવામાં આવશે તો દલિતોનું શું થશે? સ્ત્રીઓનું શું થશે? બીજા નીચલા વરણનું શું થશે? માટે તેમણે દલિતોને સલાહ આપી હતી કે તેમણે ગામડાં છોડીને શહેરોમાં સ્થળાંતરિત થવું જોઈએ. શહેરોમાં તમે રાજકીય કાયદાઓ દ્વારા શાસિત થશો, પણ જો ગામડાંમાં રહેશો તો તમને સામાજિક કાયદાઓ દ્વારા શાસિત કરવામાં આવશે; જેમાં ન્યાય નહીં હોય, સમાનતા નહીં હોય અને ધા નાખવા માટે (અપીલ કરવા માટે) કોઈ જગ્યા નહીં હોય.

જેમ રાજકીય-શાસકીય વ્યવસ્થા વિકસાવવામાં અંગ્રેજોને ડર નહોતો લાગ્યો પણ સામાજિક વ્યવસ્થાને હાથ લગાડતા અંગ્રેજોના હાથ દાઝ્યા હતા એમ ડૉ. આંબેડકરને પણ ગામડાંની સ્વાયત્તતાનો ડર લાગતો હતો, રાજકીય બાબતે તેઓ લગભગ નિશ્ચિત હતા. તેઓ સામાજિક રીતરિવાજોને માણસાઈના ત્રાજવે તોળીને તેને શાસકીય સ્વરૂપ આપવા માગતા હતા. અહીં ગાંધીજીને ન્યાય આપવા માટે એટલું કહેવું જોઈએ કે ગાંધીજીએ અન્યાયી સામાજિક રીતરિવાજોનો બચાવ નહોતો કર્યો અને તે સ્વાયત્ત આત્મનિર્ભર ગામડાંમાં એ જળવાઈ રહે એમ ક્યારેય નહોતું કહ્યું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 માર્ચ 2021

Loading

...102030...1,9721,9731,9741,975...1,9801,9902,000...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved