Opinion Magazine
Number of visits: 9572916
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દોઢસો વર્ષે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સમીક્ષા કરનારા તેની અમુક થિયરીઝને પડકારે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 March 2021

ડાર્વિને જે બે ભાગમાં જે પુસ્તક લખ્યું, ‘ડિસેન્ટ ઑફ અ મેન, એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’ [The Descent of Man, and Selection in Relation to Sex] તેની પર ફરી નજર કરવાનો વખત આવ્યો છે. ડાર્વિનનું આ કામ 24 ફેબ્રુઆરીના 1871માં પ્રકાશિત થયું હતું. આ એ જ પુસ્તક છે જેમાં ડાર્વિને એ દાવો કર્યો હતો કે માણસ જાતના પૂર્વજ વાંદરા હતા

ગુજરાત બોર્ડની સ્કૂલ્ઝમાં આઠમા કે નવમા ધોરણના વિજ્ઞાનના પુસ્તકમાં આપણે ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ભણીએ છીએ. અનુકૂલન જેવા શબ્દો આપણે સમજીએ છીએ અને અંગ્રેજીમાં ‘સર્વાઇવલ ઑફ ધી ફિટેસ્ટ’નો કોન્સેપ્ટ પણ આપણને માત્ર વૈજ્ઞાનિક નહીં પણ ફિલોસોફિકલ દ્રષ્ટિએ પણ સમજાય છે. વાઇરસ અને વેક્સિનની ચોપાટ ચાલે છે, માસ્ક અને દંડનો ખેલ ચાલે છે, તેની વચ્ચે ચાર્લ્સ ડાર્વિનની વાત શા માટે? 

આપણે એક પ્રજાતિ તરીકે વિકસ્યા છીએ, વિસ્તર્યા છીએ અને હવે દોઢ સદી પછી ડાર્વિને જે બે ભાગમાં જે પુસ્તક લખ્યું, ‘ડિસેન્ટ ઑફ અ મેન, એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’ તેની પર ફરી નજર કરવાનો વખત આવ્યો છે. ડાર્વિનનું આ કામ 24 ફેબ્રુઆરીના 1871માં પ્રકાશિત થયું હતું. આ એ જ પુસ્તક છે જેમાં ડાર્વિને એ દાવો કર્યો હતો કે માણસ જાતના પૂર્વજ વાંદરા હતા. આ પુસ્તકમાં કરાયેલા તેના અમુક દાવા ક્રાંતિકારી હતા અને અમુક દાવા જૂના વિક્ટોરિયન વિચારધારા ધરાવનારા અને જેન્ડર સ્ટિરિયોટાઇપ કરનારા હતા. વળી આ પુસ્તકમાં ડાર્વિને કરેલા દાવાઓને પડકારતું અથવા તો તેની વિસ્તરતી સમજ આપતું અને તેની સમીક્ષા કરતું લખાણ પણ થયું છે. માણસ જાતની ઉત્ક્રાંતિ આજે પણ ચર્ચાનો વિષય છે અને જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી એ રહેવાનો પણ છે. 

આમ તો ડાર્વિને આ પુસ્તક પહેલાં ‘ઓન ધી ઓરિજીન ઑફ સ્પિસિઝ’ લખ્યું. આ પુસ્તક 1859માં લખાયું હતું  જેમાં એક નવી જ વૈજ્ઞાનિક થિયરી આપવામાં આવી. આ પુસ્તક વધારે પ્રચલિત રહ્યું પણ તેના પછી 1871માં લખાયેલું પુસ્તક પણ એટલું જ મહત્ત્વનું છે અને માટે જ તેની વાત કરવી જરૂરી છે.

ડાર્વિનના કહ્યા મુજબ સજીવો પેઢી દર પેઢી ઉત્ક્રાંતિ પામે છે અને તે એક નેચરલ સિલેક્શન, કુદરતી પસંદગીની પ્રોસેસથી થતી ઘટના છે. છતાં ય માણસ જાતની ઉત્ક્રાંતિને ડાર્વિને આ પુસ્તકના સત્તર વર્ષ પછી જે કામ પ્રકાશિત કર્યું, ‘ડિસેન્ટ ઑફ અ મેન, એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’, તેમાં વધુ સ્પષ્ટતાથી વાત કરી. જો કે આ પુસ્તકમાં ડાર્વિને જે પણ વાત કરી છે તે તમામ આજે પણ વૈજ્ઞાનિક વર્તુળોમાં ચર્ચાનો વિષય હોય જ છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોના સમૂહે ડાર્વિનની કઇ થિયરી આજે પણ પ્રાસંગિક છે અને કઇ થિયરીને પડકારી શકાય તે અંગે ફરી ચર્ચા માંડી.

ડાર્વિને આ પુસ્તકમાં સેક્સ્યુઅલ સિલેક્શનની વાત કરી હતી. ડાર્વિનના કહ્યા અનુસાર મોટા ભાગની પ્રજાતિઓમાં નર જાતિ અન્ય નર સાથે બાથ ભીડીને, લડાઇ કરીને માદાની નજીક પહોંચે છે અને અમુક પ્રજાતિની માદા પણ મોટા અને સૌથી આકર્ષક નર તરફ જ ખેંચાય છે. નરની લડાઇની થિયરી આખલાના શિંગડા હોવા પાછળ અને સાબરના શિંગડા પાછળનું લૉજિક છે. મોરની કલગી તેના મોટાં પીછાં જોઇને જ ઢેલ તેની તરફ આકર્ષાતી હોય છે, મોરનાં પીછાં અને કલગીનો વિકાસ આ મેટિંગ, પ્રજનનના હેતુને પાર પાડવા જ વિકસ્યા. આ જ થિયરીને માણસ જાત પર લાગુ કરીને ડાર્વિનનું કહેવું છે કે નરે પોતાની બળુકી શારીરિક શક્તિથી માદા પાસેથી પસંદગીની સત્તા છીનવી લીધી. પુરુષ બીજા પુરુષ સાથે સંઘર્ષમાં ઊતરી પોતાના સાથીદારને પસંદ કરે છે અને સ્ત્રીઓ સમયાંતરે નાજુક, જતન કરનારી અને દેખાવ અંગે વધુ સજાગ થઇ જેથી તેમને બહેતર સાથીદાર મળે. સેક્સ્યુઅલ સિલેક્શનની થિયરી સાહજિક રીતે જ વિક્ટોરિયન જેન્ડર રોલ્સને આધારે વિકસી કારણ કે ડાર્વિન એ જ સમાજનો હિસ્સો હતા. સેક્સ્યુઅલ સિલેક્શનને આધારે જ ડાર્વિને અલગ અલગ માનવ જાતિઓ કેવી રીતે વિકસી તેની વાત કરી છે. ડાર્વિન માનતા કે અલગ અલગ જાતિઓમાં લોકોની ત્વચા રંગ અલગ હોય છે કારણ કે તે પણ એસ્થેટિક એટલે કે સુંદરતાની પસંદગનું પરિણામ છે. જેમ આ જાતિઓનો વિકાસ થયો તેનું આગામી ઘડતર વારસાગત રીતરિવાજો અને સામાજિક વહેવારને આધારે થયું.

રેશિયલ હાઇરાર્કીની (આફ્રિકન, અમેરિકન, ચાઇનિઝ, ભારતીય – આ તમામ અલગ અલગ રેસિઝ છે, માનવ જાતિઓને જુદી જુદી પ્રજાતિઓ છે) વાત કરતી વખતે ડાર્વિન માનતા કે સ્થાનિક કે લોકલ લોકો માણસજાતના વિકાસના શરૂઆતી તબક્કાનું પ્રતીક હતા. ડાર્વિને તેમની વાતનો સાર આપતા એમ પણ લખ્યું હતું કે માણસોમાં રહેલી કેટલીક ઉમદા લાક્ષણિકતાઓ મહાન પ્રજાતિના વાંદરાઓમાંથી આવી હતી અને તે શરૂઆતી તબ્બકાની માણસ જાતિમાં જોવા નહોતી મળી પણ પછીથી વિકસી હતી. ડાર્વિને આ પુસ્તકમાં એમ પણ ટાંક્યું હતું કે માણસ અને સસ્તન પ્રાણીઓની નૈતિકતા અને માનસિક પ્રકૃતિમાં કોઇ મૂળભૂત ફેર જ નથી. તેમના મતે નૈતિક સજાગતા માત્ર માણસોમાં જ નથી હોતી અને દરેક જીવ આગવી રીતે પોતાના નૈતિક ધોરણો નક્કી કરતાં હોય છે. ડાર્વિનની નૈતિકતાની સમીક્ષાનો ભારે વિરોધ થયો હતો અને ડાર્વિનની સરખાણી વાંદરા સાથે પણ કરવામાં આવતી.

ડાર્વિનના પુસ્તકનું એનાલિસીસ કરતું પુસ્તક ‘અ મોસ્ટ ઇન્ટ્રેસ્ટિંગ પ્રોબ્લેમ’ જે સંશોધકોએ લખ્યું છે તેઓ જે મુદ્દાને રજૂ કરવા માગે છે તે એ જ છે કે માનવજાતનાં મૂળનું સંશોધન હજી પણ ચાલી રહેલી પ્રક્રિયા છે, આગામી દોઢસો વર્ષ પછી પણ ડાર્વિનની થિયરીઝની ચર્ચા ચાલતી હશે. હવે તો એવી સર્વિસીઝ પણ છે જે તમારા સલાઇવા એટલે કે લાળને આધારે તમારા મૂળિયાં શોધી આપે અને તે માત્ર ભારતીય મૂળમાં નહીં પણ અન્ય રેસિઝ સુધી પહોંચે છે. માણસ જાતનાં મૂળિયાં એકબીજાં સાથે જોડાયેલાં છે, તેમાં જોજનોનું અંતર હોઇ શકે છે પણ ડિસકનેક્ટ નહીં.

બાય ધી વેઃ

ડાર્વિનની આ થિયરીઝ ઉપરાંત જેની ચર્ચા સતત થાય છે તે એ છે કે ડાર્વિન એક પુરુષ તરીકે પિતૃસત્તાક માનસિકતા ધરાવતા હતા, એ કંઇ ખોટું કરતા હતા તેમ નહોતું પણ એ સમય જ એવો હતો જ્યારે સ્ત્રીઓ પાસે વિચારવાની સત્તા હોઇ શકે તે વિક્ટોરિયન સમાજમાં પણ કોઇ સહજતાથી નહોતું સ્વીકારતું. ડાર્વિનની સેક્સ્યુઅલ સિલેક્શનની થિયરી જેમાં પુરુષને એટલે કે નરને જ મહત્ત્વ અપાયું છે તેને પડકારનારાઓની સંખ્યા મોટી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  14 માર્ચ 2021

Loading

સ્વરાજ પંચોતેરાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 March 2021

બારમી માર્ચ, દાંડીકૂચનો દિવસ, સંમિશ્ર પ્રતિભાવો જગવતો આવ્યો અને ગયો. કંઈક ઉત્સ્ફૂર્ત કરતી ઇતિહાસસ્મૃતિ, કંઈક રસમી રાબેતો, તો કંઈક મોસમ હૈ ઈવેન્ટાના. સ્વરાજનાં પંચોતેર વરસ અને તે પૂર્વે, લોકસભાની ચૂંટણીપૂર્વે જે તે રાજ્યોના સંભવિત ચૂંટણીગાળાને આવરી લેતાં પંચોતેર અઠવાડિયાં. બને કે જશનનો માહોલ અને આસપાસનાં ઉજવણાં વાસ્તવપ્રશ્નોને કોરાણે નાખી ચૂંટણીવૈતરણી પાર કરવામાં ગોપુચ્છની ભૂમિકા ભજવે એવી અપેક્ષા પણ હોય. પણ આ બધાં અનુમાન અને આશંકાથી ઉફરાટે આલોચનાવિવેકપૂર્વક આપણે સ્વરાજલડતને એની અનન્યતા અને સમગ્રતામાં સમજવાનો પ્રયાસ કરીએ તો અમૃતપર્વનો અવસર ખસૂસ લેખે લાગે. હમણાં અનન્યતા અને સમગ્રતાની જિકર કરી પણ તે સાથે જે મર્યાદાઓ સમજાય એનીયે ચર્ચાનો બાધ નથી; કેમ કે આવી તપાસ અને એનાં તારતમ્ય આપણી પ્રજાસૂય મથામણ વાસ્તે હાડની જરૂરત છે.

અલબત્ત, ઊહ અને અપોહ તેમ સહવિચારની દૃષ્ટિએ સહજક્રમે આવી મળેલો જે વિચારધક્કો છે તે તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનના એકંદર અભિગમ અને વિચારરૂખનો છે તે મારે આરંભે જ કહી દેવું જોઈએ. તમે જુઓ, અમૃત ઉજવણાંનો આરંભ ૧૯૩૦ની દાંડીકૂચ સ્મૃતિને સાંકળીને કર્યો. પણ ભલે અણચિંતવી પણ એના વિષ્કમ્ભક કે નાન્દી ઘટના જેવી બીના હજુ થોડાં અઠવાડિયાં પરની ચૌરીચૌરા શતાબ્દીની હતી. ૧૯૨૨ની ચૌરીચૌરા ઘટના અને ૧૯૩૦ની દાંડી ઘટના વચ્ચે આઠ વરસનું અંતર છે. પણ અમૃતપર્વનો આરંભ અને ચૌરીચોરા શતાબ્દી એ બેઉ વચ્ચે તો થોડાં જ અઠવાડિયાનું છેટું છે.

તમે અને હું તેમ એકંદર તવારીખ ચૌરીચૌરાને, ગાંધીએ લડત મોકૂફ રાખવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો એ રીતે અને એ કારણે પિછાણીએ છીએ. પોલીસ થાણાને આગ લગાડ્યાનો અને કુડીબંધ પોલીસ ભુંજાઈ મર્યાનો જે નિર્ઘૃણ બનાવ બન્યો એને પગલે ગાંધીજીએ આવો નિર્ણય લેવો અનિવાર્ય ને ધર્મ્ય ગણ્યો હતો. ‘ઘરનો ઘા’ અને ‘મારી નિરાશા’ એ બે લેખોમાં એમણે, દેખીતી સફળતાની લાયમાં માણસ જ્યાં અટકવું પસંદ ન કરે ત્યાં પોતાને કેમ અટકવાપણું સમજાયું એની દિલખુલાસ રજૂઆત કરી છે. પણ, હાલના સત્તા-પ્રતિષ્ઠાનની ઉજવણીના એકંદર શોર અને તામઝામમાં ચૌરીચૌરાનું આ ઇતિહાસવૈશિષ્ટ્ય વિસારે પાડી દેવાયું હતું અને ઉશ્કેરાયેલા ટોળાની કથિત વીરઘટના કેમ જાણે મુખ્ય મુદ્દો હતી.

ઊલટ પક્ષે, ૧૨મી માર્ચે ગાંધીજી છવાઈ ગયા જેવા હતા. વસ્તુતઃ ફેબ્રુઆરી ૧૯૨૨નો ગાંધીઉત્તર જાત, જમાત ને જમાના જોડેની આઠ વરસની આપલે પછી માર્ચ ૧૯૩૦માં દાંડીકૂચ રૂપે મળ્યો હતો. એમણે આ સમયગાળામાં રચનાત્મક કાર્યો સહિતની કેળવણી પર સતત ભાર મૂક્યો હતો અને તે ધોરણે ચુનંદા સૈનિકો સાથે કૂચનો રાહ લીધો હતો. ચૌરીચૌરાની સરકારી શતાબ્દીમાં આ ગાંધીસંક્રાંતિ અને સ્વરાજવિશેષનો સૂર ન જાણે ક્યાં ય ધરબાઈ ગયો હતો.

ઇતિહાસ પાસે જવામાં જેમ બીજાઓને ય તેમ હાલના સત્તા-પ્રતિષ્ઠાનને તો ખાસ વળગણ ને ગણતરી હશે તેમ સમજાય છે. એક તો, સામાન્યપણે જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે એનો (એની પુરોગામી પેઢીઓનો) સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સીધો સક્રિય નાતો ખાસ નહોતો. બલકે, સલામત અંતરનો લાંબા ગાળાનો વ્યૂહ પણ હતો. પ્રથમ સરસંઘચાલક હેડ્‌ગવારે સત્યાગ્રહ કરી પકડાવાનો નિર્ણય લીધો તે કેવળ વ્યક્તિગત નિર્ણય હશે. સંગઠન સાચવવું ને વિસ્તારવું એ વલણ એની પાછળ કામ કરતું હશે, પણ તે ઉપરાંત સ્વાતંત્ર્યલડત બાબતે દ્વિઘાગ્રસ્ત અને વૈકલ્પિક વલણો પણ ખાસાં હતાં. (પાછલાં વર્ષોમાં દીનદયાલ શોધ સંસ્થાન સાથે કાર્યરત સંઘ પ્રચારક પ્રા. દેવેન્દ્ર સ્વરૂપે ‘હિંદ છોડો’ વખતે અણીએ આવી એકાએક વરતાયેલી અક્રિયતા વિશે લેખમાળા પણ કરેલી છે.) જે દ્વિધાવિભક્તતાનો હમણાં ઉલ્લેખ કર્યો તે રાષ્ટ્રની ધર્મકોમ આધારિત વ્યાખ્યાગત હોય એમ સમજાય છે. કૉંગ્રેસથી છૂટા પડેલા હેડ્‌ગેવાર, ઈટલીમાં મુસોલિનીને મળેલા ડૉ. મુંજે અને બીજાનો મુદ્દો સ્વભાવિક જ હિંદુ રાષ્ટ્રનો હતો. યથાપ્રસંગ એની ચર્ચા કરીશું. પણ ૧૯૯૭ની લાલકૃષ્ણ અડવાણીની સુવર્ણ જયંતી યાત્રા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાલનો ઉપક્રમ જે સંગઠન અને વૈચારિક અખાડો સ્વાતંત્ર્યસંગ્રામમાં નહોતાં એને પશ્ચાદ્‌વર્તી ધોરણે સંગ્રામ સાથે સાંકળવાની કોશિશ જેવો જણાય છે. અમદાવાદના આરંભઘોષમાં જે સિફત અને સલુકાઈથી અન્યથા ધિક્કારમૂર્તિ લેખાતા પંડિત નહેરુનું નામ કાળજીભેર આગળ કરાયું, વાંસોવાંસ અનિવાર્યપણે સરદાર સંભારાયા ને એ જ શ્વાસે સાવરકરને સાંકળ્યા તે આ સંદર્ભમાં તરત સાંભરશે. નહેરુનો સ્વીકાર જો મોટી વાત હશે તો સોયનાકામાંથી ઊંટને પસાર કરવા જેવું નામ તો સાવરકરનું છે. વીરતાના કિંવદન્તીપુરુષ લેખાતા રહેલા સાવરકરના હિંદુત્વવિચાર પરત્વે માનો કે ટીકા મોકૂફ રાખીએ તો પણ કાળા પાણીમાંથી બહાર આવ્યા પછીનાં એમનાં વરસો સ્વરાજલડતથી સલામત અંતરના જ રહ્યાં છે, અને એ ચમક્યા ત્યારે ગાંધીહત્યાવિવાદમાં ચમક્યા છે.

વડા પ્રધાને એમનાં નાન્દીવચનોમાં જે આખો થીસિસ કીધો એમાં ક્રાંતિકારીઓના સવિશેષ ઉલ્લેખની સંભાળ લીધી હતી, અને એમાં ખોટું પણ નથી; કેમ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રણ દાયકાથીયે વધુ સમય ગાંધીજી સ્વાભાવિક જ એવા ને એટલા છવાયેલા રહ્યા કે બીજા ઉલ્લેખોને કંઈક ઓછો અવકાશ રહ્યો. જો એ ક્ષતિપૂર્તિ આવા કોઈક નિમિત્તે થતી હોય તો એથી રૂડું શું. માત્ર, સમગ્ર સમજની રીતે બેત્રણ બાબતો સમજીને ચાલવું જોઈએ. સાવરકર જેવા અપવાદો બાદ કરતાં ક્રાંતિકારોનો મોટો હિસ્સો રાષ્ટ્રની ધર્મકોમમૂલક વ્યાખ્યાનો હેવાયો નહોતો અને ભગતસિંહનો ઉદય થયો ત્યાં સુધી પહોંચતાં જે મોટી વાત બની આવી તે એ હતી કે બંગાળના બૉંબ યુગ સાથેનો ભાવાવેશ રાષ્ટ્રભક્તિ ને આર્થિક-સામાજિક ન્યાયની સંકલ્પના જોડે સંકળાવા લાગ્યો હતો. (વિવેકાનંદની રુઝાન, એમના ક્રાંતિકારી ભાઈ ભૂપેન્દ્રનાથે નોંધ્યા પ્રમાણે સમાજવાદી કાર્યક્રમો ભણી હતી.)

કથિત મુખ્ય ધારાની બહારના કે પછી એની જોડે પણ કાંઠા પરના જે પ્રતિરોધ ઉન્મેષો આવ્યા એમને ઇતિહાસમાં દર્જ કરવાનું જરી મોડેથી પણ શરૂ તો થયું છે. પછી એ બિરસા મુંડાથી ગોવિંદગુરુ શી નક્ષત્રમાળા હોય કે તેજાવત જેવી વૈશ્ય પૃષ્ઠભૂ ધરાવતી આદિવાસી નેતૃતા. ભણેલું, મધ્યમવર્ગી જરી ડાબે ઢળતું જે નેતૃત્વ આવ્યું એને મુખ્યધારા જોડેના પણ સીમાવર્તી આ સૌની કદરબૂજ ઓછીવત્તી હશે, પણ આટલે વરસે તો એમાં ધોરણસરની દોષદુરસ્તી કરવી ઘટે છે.

કંઈક સપાટબયાની અને કંઈક મેગા નેરેટિવ એવી જે ઇતિહાસકથા ચાલે છે એમાં નવા ને નરવા અભ્યાસીઓએ લગરીક ઊંડળમાં જઈ ચાલુ ઇતિહાસને નિખારવાપણું છે. અને સામાન્યપણે રૂઢ ખયાલો કે બાંધી છાપને લાંઘી જવું, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવું જરૂરી છે. આ લખું છું ત્યારે યાદ આવે છે કે એકવાર મણિલાલ એમ. પટેલે ‘ગ્રામગર્જના’ માટે ‘નિરીક્ષક’તંત્રીની લાંબી મુલાકાત લીધી હતી, સ્વાતંત્ર્યના સુવર્ણજયંતી વર્ષને અનુલક્ષીને. એમાં ક્યાંક આંબેડકર વિશે કદરભર્યો ઉલ્લેખ હશે એટલે રિખવદાસ શાહ સરખા સહૃદય સેવાકર્મીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. દેખીતો તો એ પ્રશ્ન ઠીક જ હતો, કેમ કે દેશ રણે ચડ્યો હોય અને આંબેડકર વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હોય તે ખૂંચે તો ખરું જ. પણ હિંદુસમાજની જે ગાંધીવર્ણવી ડાયરશાહી એમાં સ્વાતંત્ર્યનો અર્થ યુનિયન જેકને બદલે તિરંગો લહેરાતાં પૂરો થતો નથી. સ્વાતંત્ર્યની સીધી લડત મુબારક, પણ એમાં અંદરના જે પડ તળેનાં પડ, એને અંગે આંબેડકર સરખાની દોધારી નિયતિનોયે એક કેસ છે. આઝાદીની ચળવળ દરમિયાન સંસારસુધારા પરનો ગાંધીભાર બને કે લડવૈયાઓને ફોક્સ બહારની બીના જણાતી હોય, પણ સ્વરાજની વ્યાખ્યા સીમિત તો હોઈ શકતી નથી.

હમણાં સાવિત્રીબાઈ ફૂલેના નિધનનું એકસો પચીસમું વરસ બેઠું. ૧૯મી સદીમાં ફૂલે દંપતીએ જે સુધારપહેલ કરી એમાં વર્ણવાસ્તવ સંદર્ભે મુક્તિ એ પ્રધાન ચાલના હતી. અંગ્રેજ અમલે આ સંદર્ભમાં જે સુધારતક આપી એને અંગે એમાં કૃતજ્ઞતાનો ભાવ હતો. ગુલામગીરી પરની ફૂલેની કિતાબ પરચક્રમાંથી મુક્તિના અર્થને નહીં પણ કથિત સ્વચક્ર તળે દાસત્વ અગર અસ્પૃશ્યતામાંથી મુક્તિના અર્થને અનુસરે છે. મહારાષ્ટ્રની ફૂલે-આંબેડકર પરંપરા જોઈએ તો સ્વરાજના સ્વાતંત્ર્યોત્તર અર્થને એક નવી ધાર અને નવો આધાર સાંપડે છે. બાળ ઠાકરેના છત્રપતિ શિવાજી મહારાજની હિંદુપદપાદશાહી કરતાં ફૂલેને વસેલું શિવમહાત્મ્ય ‘અમારા શુદ્રોના રાજા’ તરીકેનું છે.

રાષ્ટ્રવાદના રૂઢાર્થથી હટીને, કંઇક ઊંચે ઊઠીને સ્વરાજલડત અને સ્વરાજનિર્માણને જોવાં જોઈશે. રાજને તાકતા અને એટલા જ સમાજને ઝંઝેડતા ગાંધી ત્યારે (ધારો કે રાષ્ટ્રપિતા હોતે છતે) રાષ્ટ્રવાદી નહીં હોવાનું સમજાશે અને એ ખુલ્લાપણું મને ને તમને ફૂલે તરેહનાં નાનાવિધ અર્પણોને બૂજતા શીખવશે. શ્રમિક-બૌદ્ધિક યુક્તતાથી વીસમી સદીનો બીજો દસકો બેસતે દરિયાપારનો ‘ગદર’ ઉન્મેષ સાંભરે છે ને? પણ સાથેલગું એ ય સંભારવું રહે છે કે એ માંહેલો એક લડવૈયો, નામે મંગુરામ, દેશ પહોંચ્યા પછી એક સ-ભાન નિર્ણયપૂર્વક પાછો ફર્યો નહોતો. અહીં હિંદુ સમાજની અંતરિયાળ ચંપાતાં દલિત જીવતરની મુક્તિ માટે લડવાની અગ્રતા વસતાં એણે આ નિર્ણય લીધો હતો.

સત્તાવાર અગર સ્થાપિત ને ચીલેચલુ મંજીરાના કર્ણબધિર માહોલમાં સ્વરાજનાં અમરત નવી ખોજ, નવી સમજ માંગે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 01-02

Loading

સાહિત્ય, લોકશાહી અને આપણે

જાગૃત ગાડીત|Opinion - Opinion|14 March 2021

લોકશાહી એટલે ચૂંટણી. ચૂંટણી એટલે લોકશાહી. ચૂંટણી એટલે જ લોકશાહી. ભારતદેશના લોકશાહીથી તરબતર નાગરિકોને આ બરાબર ખબર છે. સાહિત્યમાં પણ લોકશાહી જોઈએ. લોકશાહી સાહિત્યની ઉપર કે તેથી ઊલટું? બેમાંથી ખરેખર સિનિયર કોણ? અઘરા સવાલ છે. માટે જવા દો! માંડમાંડ મળતા એકલદોકલ સુજ્ઞ વાચકને પણ મારે ખોઈ દેવા નથી. પણ સાહિત્ય અને લોકશાહી વચ્ચેનો અફેર ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એવું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દર ત્રણ વર્ષે અચૂક યાદ કરાવે છે.

આ ચૂંટણી મારી અંદરના લોકશાહીથી તરબતર નાગરિક, માસ્તર અને બિલકુલ ટાઇમપાસ પ્રકારના લેખકની ગહન વિચારશીલતાને ઊંધે ગધેડે બેસાડી દોડાવે છે. પ્રમુખ અને સંવર્ધક વગેરેના મત (આ ‘ચોકડી’ જ કેમ?) તો આમતેમ જરા જોઈને આપી દેવાય. પણ મધ્યસ્થ સમિતિ ?

‘મધ્યે તિષ્ઠતિ ઇતિ!’ પણ ભઈલા, વચમાં ક્યાં અને કેમ ઊભા રહેવું છે એ તો કહે. ભારત દેશમાં બધાને ખબર છે. ઊભા રહેવું, તો વચમાં. મધ્યે. ભીડભાડવાળા રસ્તા પર ગાડી પાર્ક કરી શાંતિથી શાકભાજીવાળા સાથે ભાવતાલ કરો. નડો તો કોઈ ઓળખે. ભાવ પૂછે. ‘હાંસિયા સમિતિ કે ‘સાઇડલાઇન સમિતિ’ હોય, તો કેટલા ઉમેદવારી નોંધાવે? ‘માર્ગદર્શકમંડળ’ માટે ચૂંટણી સાંભળી છે?

‘કમળ કે પંજો ?’ એવી સીધીસાદી રીતે મતદાન કરવા ટેવાયેલા મારામાંના ગુજ્જુની, મધ્યસ્થ સમિતિ બન્યા પહેલાં જ આકરી તાવણી કરે છે. ‘ચાલીસ કરતાં એક વધુ નહિ – અને એક ઓછો પણ નહીં’, ચૂંટણી-અધિકારીશ્રીની સ્થિર વેધક નજર મારા ચહેરા પર હું અનુભવું છું. અલ્યા, અમને ગુજ્જુઓને ‘પ’માંથી ‘ક’ કે ‘ક’માંથી ‘ખ’કરતાં દાયકાઓ લાગે છે! તેમાં ચાલીસ મત! આવો જુલમ ?

છેલ્લી બે-ત્રણ ચૂંટણીઓથી, મતપત્રક આવે એટલે થોડા દિવસ એમ ને એમ જ ટેબલ પર મારી સામે જોતું પડી રહે છે.

ક્યારેક એકદમ ફ્રૅશ હોઉં અને લોકશાહીનો તરવરાટભર્યો ઊભરો આવે, તો હાથમાં લઉં પણ ખરો. પણ એ ઊભરો ટકે કેવી રીતે? એંસીનેવુંમાંથી શ્રેષ્ઠતમ ચાલીસ કેમ તારવવા? આડેધડ ફટકાબાજી કરવા ક્યારેક હાથ સળવળી ઊઠે, પણ પેલો ખોટો લોકશાહી સ્પિરિટ, કે વિવિધ મહાનુભાવોના કે બની બેઠેલા વિદ્વાનોનાં લખાણોનું બિનજરૂરી વાંચન કે છેલ્લે પૂર્વજો પાસેથી મળેલા ખોટા સંસ્કાર કે મિથ્યા અહંકાર વગેરે-વગેરે … સરખી રીતે તેમ પણ કરવા દેતા નથી.

શ્રેષ્ઠતમ ચાલીસ ? આમાંથી કેટલાંને તો હું ઓળખતો પણ નથી. એમ કરું, જેટલાં નામ જાણીતાં લાગે તેમને ચોકડી? પણ આ અહમમૂલક નથી? હું કોઈનું નામ જાણતો હોઉં તેને યોગ્યતા કેવી રીતે ગણી શકાય? કે અહમ્‌ બિલકુલ ઓગાળી નાખું? જેમનાં નામ એકદમ અજાણ્યાં હોય તેમને ચોકડો? પણ જેમ હું જાણતો હોઉં એ યોગ્યતા ન ગણાય તેમ હું ઓળખતો હોઉં એ ગેરલાયકાત પણ ન બનવી જોઈએ. મારા અહંકાર સાથેની સંતાકૂકડીમાં બીજાનો અને ખાસ કરીને પેલી લોકશાહીનો ભોગ કેમ લેવાય ? આવા વિચારોની થોડી ઊંચકમૂક કર્યા પછી થયું, તેલ લેવા જાય બધું. થોડો અહમ્‌ જરૂરી છે. અહમ્‌ છે, તો હું છું. જેટલા ચોક્કસ જાણીતા જણાય તેમના પર ચોકડી! પણ આ તો મારી સમસ્યાનો આંશિક હલ જ થયો. હું સાહિત્યમાં પૂરેપૂરો ઘૂસેલો નથી કે સાહિત્ય મારામાં પૂરેપૂરું ઘૂસેલું નથી. જાણીતાં નામ કચકચાવીને શોધ્યા બાદ પણ ચાલીસથી થોડો દૂર છું. વળી, નામ જાણીતું હોવાની કલ્પના પણ એટલી સરળ નથી એ બરાબર સમજાય છે. સ્મૃતિ અને મનના તરંગ આપની સાથે કેવી રમત કરે છે તે દેખાય છે. ડેનિયલ કાયનેમાન મારી સામે જોઈને હસે છે.

આ રવીન્દ્ર પારેખ એ જ હશેને જેણે યાસુનારી કાવાબાતાની ‘Thousand Cranes’નો અનુવાદ કર્યો હતો? દાયકાઓ પહેલાં વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી કૉલોનીના ‘ટી ક્વાર્ટરની લાંબી અગાશી પર ચાલતાં-ચાલતાં કેટલા ય દિવસ સુધી એ વિષાદમય કાવ્યાત્મક અનુભવે મને ઘેર્યો હતો. હાથ જાણબહાર જ ચોકડી મારી દે છે. પછી રેશનલ મગજ જાગૃત થાય છે. અલા, સિત્તેરના દસકામાં ભાઈકાકા લાઇબ્રેરીના જે અનુવાદિત પુસ્તકનું પૂંઠું જૂનું લાગતું હતું એના અનુવાદકની ઉંમર આજે કેટલી થાય ? આજે હશે ખરા ? એમનું નામ ખરેખર શું હતું ? કદાચ રવીન્દ્ર ઠાકોર ? જે હોય તે. રવીન્દ્ર તો ખરુંને ? રવીન્દ્ર તો હશેને ? ભગવાન જાણે! આમે ય હવે શું? લોકશાહીનો સુંદર અફર નિયમ છે. મારેલી ચોકડી પાછી ન લેવાય. આભાર.

આ પરેશ નાયક એ જ ને જેમણે જયંત ખત્રીની ‘ધાડ’ પરથી ફિલ્મ બનાવી હતી ? એ ફિલ્મની એક લાંબી સિક્વન્સ યાદગાર છે. આન્ટેઈ તાર્કોવ્સ્કી કે સત્યજીત રે જેવા શિખાઉ દિગ્દર્શકો સાથે જ સરખામણી કરી રહ્યો છું અને આ અનિલા દલાલ, પેલા જયંતિ દલાલ સાથે કોઈ સંબંધ હશે ? બાળપણથી પપ્પાનાં પુસ્તકોના ઘોડા પર જોયેલું ‘જયંતિ દલાલના પ્રતિનિધિ એકાંકીઓ’ યાદ આવે છે. બાજુમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનુવાદિત ‘એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ દેખાય છે. પણ મુખ્ય તો જયંતિ દલાલ અનુવાદિત ટૉલ્સટૉયનું ‘યુદ્ધ અને શાંતિ’. ચાર ભાગ! એ પણ નવમાદસમાનાં વૅકેશનોમાં વાંચેલું. નતાશા અને પિયર બેજુખોવ, બોલ્ફોન્મ્કી વગેરેનો પરિચય. હાથ ફરી ચોકડી કરી બેસે છે.

આ રીતે પરિચિતતાનો સાચોખોટો આભાસ આપતાં નામો પર ચોકડી માર્યા પછી પણ ચાલીસના જાદુઈ આંકડાથી થોડો દૂર જ છું. ચાલીસનો આંકડો જ કેમ ? ક્યાંથી આવ્યો ? અલીબાબા અને ચાલીસ ચોર ? અલીબાબા જાણે ચાલીસ ચોરનો સરદાર હોય એમ લાગે. અલીબાબા માટે જુદું વોટિંગ? અલીબાબામાં વળી પસંદગી કેવી ? એ તો એક અને માત્ર એક જ ન હોય ? વિવિધ મનોભાવો વચ્ચે અટવાતાં હું મતપત્ર હાથમાં થોડે દૂર રાખી, લોકશાહીને – તેમાં ય સાહિત્યમાં ઘૂસેલી લોકશાહીને – બચાવી લેવા નવી પ્રેરણા કે સ્ફુરણા માટે બારી બહાર નજર કરું છું.

ત્યાં જ મગજમાં પ્રકાશ થાય છે. પેલા લેખકો અને ટાઇમપાસ કવિઓ અમસ્તા જ બારીબહાર નથી જોયા કરતા! નવી-નવી પ્રેરણાઓ અને સ્ફુરણાઓ મળી આવે. ક્યારેક તો રસ્તે ચાલતી પણ દેખાય. લોકશાહીનું મહત્ત્વનું તત્ત્વ કયું? વૈવિધ્ય? તો પછી ઈશ્વરે નીમેલું મૂળભૂત વૈવિધ્ય સાહિત્યમાં તો દેખાવું જોઈએને? ચાલીસ ચોરમાં વીસેક સ્ત્રીઓ જોઈએને? ઇતિહાસ સાક્ષી છે, ચોરીના કસબ પર જ્યારે સ્ત્રીઓએ હાથ અજમાવ્યો છે, ત્યારે વધુ કાર્યક્ષમ અને સફળ નીવડી છે.

સ્ત્રી અને પુરુષ સિવાય અન્ય વિકલ્પો વિશે હું સભાન છું. પણ હમણાં બે મુખ્ય વિકલ્પોની જ વાત કરીએ. મુખ્ય એટલે મધ્યસ્થ. મધ્યસ્થસમિતિની ચૂંટણીમાં હાંસિયાને ભૂલી જઈએ તો ન ચાલે? લોકશાહીમાં પણ, હાંસિયામાં હોવાથી કંઈક તો ખોવું પડે ને અને આ તો ભારતદેશની લોકશાહી. મોટા ભાગના હાંસિયામાં જ હોય કે બધ્ધા? હાંસિયો જ પહોળો રાખ્યો છે.

મતપત્રક પર લિંગભેદવાળી નજર ફેરવું છું. ફક્ત બાર સ્ત્રી-ઉમેદવાર! લોકશાહીની આવી કરુણ દશા? બારે – બારને ચોકડી! હરખ પણ છે. ચાલીસ થયા? ના, હજુ ખૂટે છે. ચાલીસ એટલે ચાલીસ જ, એવું કેમ? પણ હવે હિંમત છે. મગજ તરત જ વિવિધ વિકલ્પો સૂચવવા માંડે છે. પેલો કાયનેમાન ફરી લુચ્ચું હસી રહ્યો છે. પ્રથમ સિસ્ટિમ! આપણું intuitive માઇન્ડ જે રૅશનલ નથી, જે ફાસ્ટ છે. આદિમ છે. સજ્જ છે. સહજ છે.

જ્ઞાતિ? સવર્ણ, પછાત? રૅશનલ મગજ તરત સજાગ બને છે. ના ના, એ વૈવિધ્ય છે અને જેટલું છે એ પૂરતું છે. જરૂરથી ઘણું વધારે છે. ‘જાતિ વો હૈ, કે જો જો કભી નહીં જાતી! એક અનુકૂળતા છે. નામ અને અટક જોતાં, લિંગ, જ્ઞાતિ, ધર્મ, પૂર્વજોનો ધંધો વગેરે મોટે ભાગે જણાઈ આવે છે. આ અનુકૂળતા ઘણા માટે આતંકિત યંત્રણા બનતી હોય છે એ હું જાણું છું. આપણી લોકશાહીમાં કેટલાયને અટક છુપાવતા, બદલતા, એનું ઉચ્ચારણ કરતાં ખચકાતાં, એના વિષે વિવિધ ખુલાસા કરતા આપણે ક્યાં નથી જોયા?

પણ બીજા એક વૈવિધ્યની ખામી આંખમાં કણાની જેમ પડે છે. સાહિત્યમાં કોઈ એક ધર્મવિશેષને જ રસ હોય એવું કેમ દેખાય છે? શું ભાષા બધાની નથી? એને ધર્મ સાથે શું લેવાદેવા? બાલિશ પ્રશ્નો છે, મને ખબર છે. સંકુલ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને રાજકારણ છે. ઘણાં મુસ્લિમ ઘરોમાં ગુજરાતીમાં બોલવું હલકું ગણાય છે. તમારી કિંમત થઈ જાય! અને એવા સદ્‌ગૃહસ્થો છે, જેમને બેસતા વર્ષે ‘સાલ મુબારક! કહીએ તો એમના નવા વર્ષ પર પરધર્મનો રંગ લાગી ગયો હોય એમ દુઃખી થઇ જાય. સાલ મુબારક!’ કેટલો સુંદર પ્રયોગ! નૂતન વર્ષાભિનંદન’ જ કહેવાનું! આપણી સંસ્કૃતિ તો જાળવવી પડે ને! વોટ્‌સએપ યુનિવર્સિટીના સ્નાતકો, અનુસ્નાતકો અને સંશોધકો આપણને જ્ઞાન આપે છે. ‘મારી આગળ સંસ્કૃતિની મા ના પૈણીશ!’ મારાથી કોઈ ઓળખીતા પર તતડી પડાય છે. પણ આપણે એ યાદ રાખી શકીએ કે બાંગ્લાભાષીઓના ઉત્કૃષ્ટ ભાષાપ્રેમને લીધે એક નવો દેશ બન્યો.

આમ તો મને સ્થાપિત ધર્મોમાં બહુ રસ નથી. પણ મારી ભાષા અને તેના સાહિત્યમાં એ વૈવિધ્ય ટકી રહે – બલકે વધે – એવી ઝંખના ખરી. ધર્મ આધારે એકાદ ચોકડી જ ઉમેરાઈ. હવે ચાલીસ થયા? પ્રેમાળ સહૃદયી વાચક પણ હવે અધીરો બન્યો છે. વારંવાર ગણવું પડે છે. તેત્રીસ થયા કે ચોત્રીસ? ફરી ગણો.

વૈવિધ્યના આઇડિયાને થોડો આગળ લઈ જઈએ તો? ભૌગોલિક વૈવિધ્ય? ગુજરાતના ખૂણેખૂણેથી – દરેક જિલ્લામાંથી – પ્રતિનિધિત્વ આવે તો સારું નહીં? વહેંચાવું, વિખેરાવું અને કેન્દ્રસ્થ થવું, મધ્યસ્થ થવું એ બેની વચ્ચેનું સંતુલન – એ જ તો છે લોકશાહી! હાંસિયો કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયામાં જાય. હાંસિયો કેન્દ્રના કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયાના હાંસિયામાં જાય. પેલો દેરિદા આંખ મારે છે, “અલ્યા, મારો ધંધો પણ તું લઈ લઈશ?”

પણ આ આઇડિયાનો અમલ મુશ્કેલ છે. નામ ને અટક પરથી ભૌગોલિક સ્થાનનું આંશિક અનુમાન જ થઈ શકે છે. ખોટો વોટ જઈ શકે. ખોટો વોટ એટલે અન્યાય. લોકશાહીના નામે અન્યાય? ન ચાલે, મતપત્રક  મુકાઈ જાય છે. ફરી ક્યારેક આગળ વિચારીશું.

બેચાર દિવસ ટેબલ પર નજરમાં આવ્યા કરે છે – જાણીજોઈને એમ રાખ્યું છે. ઝીણી સતામણી મનમાં રહ્યા કરે છે. યુવાવસ્થાનો હું હોત, તો મતપત્રક કાયમ માટે બાકી જ રહ્યું હોત. એવા કેટલા ય મતપત્રક કચરામાં ગયા હશે. પણ ઉંમર સાથે આવાં કામ પૂરાં કરવાની બેચેની વધે છે. ક્યારે પતાવું અને પોસ્ટ કરી દઉં! કામ પતવાથી મનને નાની સિદ્ધિનો અનુભવ થાય. બીજું કામ કરવાની તાકાત મળે. મનોવિજ્ઞાન સહેલું જ છે સ્તો!

યુવાવસ્થામાં મોટી સિદ્ધિઓ મેળવવાની હોય છે. નાની-નાની સિદ્ધિઓ તરફ ધ્યાન આપવાની ફુરસદ હોતી નથી. પણ પચાસ પછી હાલત પેલી કચરો વીણવાવાળી જેવી હોય છે. સવારથી ટોપલો લઈને નીકળીએ અને નાની-મોટી જે મળે તે ભેગી કર્યા કરીએ. હરખ થાય. સાંજ પડે બૈરીને હિસાબ અપાય. પણ આ મધ્યસ્થ સમિતિ જલદી હરખ થવા દે એમ નથી. ખરેખર મધ્યસ્થ છે. ટેબલની વચ્ચોવચ પડેલી છે. નડે છે.

એકબે દિવસમાં એક નવો વૈવિધ્ય-ચમકારો થાય છે. અટકનું કેવું? આપણી અટકો અને તેમની વ્યુત્પત્તિનો ઇતિહાસ બેનમૂન હશે એવું મને ઘણીવાર લાગ્યું છે. એવી કોઈ અટક છે, જે પહેલી વાર જ જોઈ હોય? આ શાહ, પટેલ, જોશી, મહેતા, પરમાર, રાઠોડ બધાથી કંટાળી ગયો છું. મારી સામે ફરકવું જ નહીં! કંઈક વેરાઇટી જોઈએ! બેએક ચોકડી ઉમેરાઈ જાય છે. ચાલીસ હવે ખાસા નજીક છે. શું હવે સિદ્ધિ પ્રાપ્ત થશે? કોઈ તાંત્રિક પાસે જઈને સિદ્ધિપ્રાપ્તિ યંત્ર બનાવવું પડશે?

બેત્રણ દિવસમાં, મતપત્રક પર અનેક વાર ત્રાંસી ચિંતિત નજર ફર્યા પછી, ફરી પ્રકાશ થાય છે. મતપત્રક પર ચોકડીઓ ઘણી અનિયમિત રીતે પથરાયેલી છે. અમુક ઝૂમખાં બની ગયા છે. સળંગ પાંચ-છ, કે સળંગ ખાલી જગ્યા. આ અનિયમિતતા એ બિનરૈખિક્તા (non linearity) છે, એમ અંદરનો ઍન્જિનિયર કહે છે. બિનરૈખિકતા જીવંતતાનું સ્વરૂપ છે એ હું જાણું છું. પણ થોડું સરખું, વ્યવસ્થિત કરવાની માનવસહજ ઝંખના ઉભરાઈ આવે છે. આ ઇચ્છાએ જ માણસજાતની પત્તર ફાડી છે એ પણ હું સમજું છુ. પણ સમજ્યા પ્રમાણે જ બધું કરું તો હું માણસ શાનો?

ચાલીસમાં કેટલી ખૂટે છે તે બરાબર ગણી લીધી. બે વાર. ત્રણથી વધુ સળંગ ખાલી સ્થાન હોય ત્યાં મારવી. એ ખાલી સ્થાનોમાં પણ શાહ, પટેલ, પરમાર વગેરે બાદ. ઓગણચાલીસની ગણતરીએ ફરી અટકું છું. ક્યાંક વધારે ન થઈ જાય! આ ‘ચાલીસ અને ફક્ત ચાલીસ’નો જુલમ દૂર કરો ભાઈ! થોડા ઓછાવત્તા ચોર પણ ધાડ તો પાડી જ શકે. કદાચ વધુ અસરકારક રીતે ફરી બે વાર ગણું છું. ઓગણચાલીસ જ છે. ધડકતા દિલે છેલ્લી ચોકડી.

આ catharsis શું બલા છે તે અચાનક સમજાય છે. આંખમાં આંસુ આવવાનાં જ બાકી છે. ત્યાં જ પરમજ્ઞાન, બોધજ્ઞાન કે સાક્ષાત્કાર જે ગણો તેની ઘડી આવી પડે છે. આ યુરેકાક્ષણ મોડી પડી છે. અથવા ત્રણ વર્ષ વહેલી. આટલું મગજનું દહીં કરવા કરતાં ભગવાનભરોસે ન છોડી શકાય? ઉપરવાળો સુયોગ્ય ચાલીસ પસંદ કરી લે તો શું ખોટું? ઘરના મંદિર આગળ ચિઠ્ઠી નાંખી નિર્ણય લેનાર ઓળખીતાઓ યાદ આવે છે. યાદ્દચ્છિક્તા (randomness) ઈશ્વરીય છે.

યાદ્દચ્છિક્તા આપણે ધારીએ એમ મૂર્ખતાનું લક્ષણ નથી, અંદરનો AI ભણાવતો માસ્તર યાદ કરાવે છે. ઘણીવાર યાદ્દચ્છિક્તા ઉમેરીને એજન્ટને વધુ રૅશનલ બનાવી શકાય છે. ડોબાને હોશિયાર બનાવી શકાય છે. સાચું નથી લાગતું ને? માસ્તર વધારે ડિટેઇલમાં જવા આગ્રહ કરે છે. હું એને ચૂપ કરી દઉં છું. પણ એ જતાં-જતાં એટલું તો કહી જ દે છે કે તમે સોશિયલ મીડિયાની જે પણ એપ્સ વાપરો છો, એ બધી યાદ્દચ્છિક્તાનો વ્યૂહાત્મક ઉપયોગ તમારું વ્યસન – અને પોતાનો નફો – વધારવા માટે કરે છે.

તો એકથી એક્યાસી નંબરની ચિઠ્ઠીઓ બનાવી દેવાની એટલું જ ને? ત્યાં જ અંદરનો એન્જિનિયર ટપારે છે. અલ્યા, એટલી બધી ચિઠ્ઠીઓની ક્યાં જરૂર છે? સંભાવના(probability)ના સ્કૂલના પાઠ પણ ભૂલી ગયો? ખાલી દસ જ જોઈએ – ૦થી ૯. પત્તાંની કેટ સારી કામ આપે. એક્કાથી દસ્સો. દસ્સો એ શૂન્ય. રતન ખત્રીની જરૂર છે. હમણાં-હમણાં જ ગયા. ઉપર ઈશ્વરને મદદ કરતા હશે. એમણે યાદ્દચ્છિક્તા(randomness)ની દિવ્યતાને બરોબર ઓળખી હતી. જે પારદર્શિતાથી એમણે વર્ષો સુધી પત્તાંની કેટ પરથી આંકડા કાઢ્યા એનાથી ચોથા ભાગની આપણી પ્રજામાં હોય, તો ઉદ્ધાર થઈ જાય.

આ બાયોપિકના જમાનામાં રતન ખત્રીને કોઈ યાદ કરો મટકાકિંગ, તેમની આસપાસની કિંવદંતીઓ અને તેની સાથે વણાયેલી ગરીબવર્ગની આર્થિક સામાજિક પરિસ્થિતિઓ અને પેદા થતી માઇથોલૉજી. એવી સ્ક્રિપ્ટ કોઈ લખતું હોય, અને મને ટિપ્પણી માટે મોકલે, તો વિનામૂલ્ય જોઈ આપવાનું વચન આપું છું.

ઝીણી નજરવાળા સુજ્ઞવાચક એમ કહી શકે કે આગળ તો આડેધડ ફટકાબાજી કરવામાં સંસ્કાર, અહમ્‌ વગેરે નડતાં હતાં અને હવે ચિઠ્ઠી ઉપાડવાનું કહો છો? આજકાલ ઠેકાણું નહીં – લૉકડાઉનની નવરાશ પછી ઘણાંની બુદ્ધિ કુશાગ્ર બની ચૂકી છે. નવરાશથી બુદ્ધિની અણી નીકળે કે બુઠ્ઠી થાય એ વિવાદાસ્પદ મુદ્દો કોઈને લાગી શકે. આને મારો અંગત અભિપ્રાય ગણવો.

એ સ્પષ્ટતા જરૂર કરી દઉં કે શુદ્ધ યાદ્દચ્છિકતા અને આડેધડ ફટકાબાજી એ બે અલગ છે. આડેધડ ફટકાબાજીમાં તમે મતપત્રકની સામે તો જુઓ જ છો. એટલે એમાં ઓળખીતા અજાણ્યા, ગમતા, અણગમતા વગેરે પ્રગટ અને પ્રચ્છન્નભાવો સાથે મનોવિજ્ઞાન ભળે જ છે. ભૂવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે. એ શુદ્ધ યાદ્દચ્છિકતાથી ઘણું દૂર છે.

પણ આખરે હું રતન ખત્રીની નિર્મળ યાદ્દચ્છિક્તાથી સુસજ્જ છું. જેટલા મતપત્રક મોકલવા હોય તેટલા મોકલો! દસ પત્તાં લઈને બેસવાનું એટલું જ ને! હવે પરિસ્થિતિ ઊલટી છે. ત્રણ વર્ષ લાંબો સમય લાગે છે. દર વર્ષે ચૂંટણી રાખો. બને તો દર છ મહિને. યાદ્દચ્છિકતાની જય! લોકશાહીની જય! ઈશ્વરીય લોકશાહીની જય!

૫, આનંદવિલા બંસલ મૉલની સામે, ગોત્રી, વડોદરા – ૩૯૦ ૦૨૧

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 12-13

Loading

...102030...1,9661,9671,9681,969...1,9801,9902,000...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved