Opinion Magazine
Number of visits: 9571871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનો વિરોધ કરનારાઓનું કોઈ સાંભળતું નહોતું એવો એ સમય હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2021

ગાંધીજી ભારત આવ્યા એ પછી સાત પગલાંની સપ્તપદી વિકસવા લાગી અને કૉન્ગ્રેસે અપનાવવા માંડી. એના વિષે વ્યાપક ચર્ચા થવા લાગી અને સામન્ય પ્રજા તેને સ્વીકારવા પણ લાગી. એકંદરે અત્યારે જે બંધારણપ્રણિત ભારત આકાર પામ્યું છે તેનો સ્વીકાર થવા લાગ્યો હતો. એ સાત પગલાંમાં નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ, લોકતંત્ર, સેક્યુલરિઝમ, સમાનતા, નાગરિકના મૂળભૂત અધિકાર, સ્વતંત્ર ન્યાયતંત્ર અને લેખિત બંધારણનો સમાવેશ થતો હતો.

પણ આનો અર્થ એવો નહોતો કે તેની સામે કોઈનો વિરોધ નહોતો. વિરોધ મુખ્યત્વે બે વર્ગનો હતો. એક ગયા અઠવાડિયે કહ્યું હતું એમ મૂળભૂતવાદી મુસલમાનોનો હતો. આ બધાં તત્ત્વો ગેર-ઇસ્લામિક છે અને ઇસ્લામ સ્વયંસંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોએ બહારથી કાંઈ અપનાવવાનું રહેતું નથી. જો નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ આધુનિક ભારતીય રાજ્યના પાયામાં હોય અને બધા જ અધિકારો તેને આપવામાં આવ્યા હોય તો મુસલમાન તરીકેની ઓળખ ગૌણ અથવા દ્વિતીય થઈ જાય.

બીજો વાંધો સનાતની હિંદુઓને હતો. તેમની સામે પણ એ જ સમસ્યા હતી. જો નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ ભારતીય રાજ્યના પાયામાં હોય અને બધા જ અધિકારો નાગરિકને આપવામાં આવ્યા હોય તો વર્ણવ્યવસ્થા માટે કોઈ જગ્યા જ ન બચે. આમ મૂળભૂતવાદી મુસલમાનો અને રૂઢિચુસ્ત સનાતની હિંદુઓ એકબીજાની સામે હોવા છતાં આધુનિક ભારતીય રાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી એક જ ભૂમિકાએ હતા. એકને મુસલમાનની અને ઇસ્લામની સર્વોપરિતા જોખમાતી હોય એમ લાગતું હતું અને બીજાને વર્ણભેદને માન્યતા આપનારી બ્રાહ્મણોની અને સનાતન ધર્મની સર્વોપરિતા જોખમાતી હોય એમ લાગતું હતું. બન્નેને ગાંધી-કૉન્ગ્રેસ દ્વારા વિકસાવવામાં આવેલું અને બંધારણમાં પરિણત થનારું ભારતીય રાષ્ટ્ર સ્વીકાર્ય નહોતું. 

એમ તો વાંધો સામ્યવાદીઓને પણ હતો. તેઓ સામ્યવાદી રશિયા જેવા ભારતની કલ્પના કરતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી ભારતમાં શ્રમિકોને સાચી આઝાદી નહીં મળે ત્યાં સુધી અંગ્રેજો પાસેથી મળનારી રાજકીય આઝાદી અધૂરી હોવાની. એને માટે શ્રમિકોની સરમુખત્યારશાહી જરૂરી છે.

જો મૂળભૂતવાદી મુસલમાનોને, સનાતની હિંદુઓને અને સામ્યવાદીઓને આધુનિક ભારતીય રાજ્ય સામે વાંધો હતો તો આધુનિક મુસલમાનોને અને બહુજન સમાજના હિંદુઓને આવું રાજ્ય ખરેખર અસ્તિત્વમાં આવશે કે કેમ અને જો આવશે તો ટકી રહેશે કે કેમ એ બાબતે શંકા હતી. શંકા માટે અને ડરવા માટે તેમની પાસે કારણો પણ હતાં. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ કેટલાક કૉન્ગ્રેસીઓ ઢોંગ કરતા હતા. તેમના જાહેરજીવન અને અંગત જીવન વચ્ચે અંતર હતું. આ સિવાય મૂળભૂતવાદી મુસલમાનો અને સનાતની હિંદુઓ રાજકીય રીતે સક્રિય હતા અને તેઓ શંકા પેદા થાય તેવાં નિવેદનો કરતા હતા. મુસલમાનો અને સનાતની હિંદુઓ આધુનિક રાજ્યનો સ્વીકાર કરે એ તેમને ગળે જ નહોતું ઊતરતું. તેમને એમ લાગતું હતું કે ગાંધીજીના પ્રભાવને પરિણામે એવું બંધારણ ઘડાશે તો પણ આ લોકો એ બંધારણ આધારિત રાજ્યને ટકવા નહીં દે.

આમ છતાં ય ગાંધીજીએ અને કૉન્ગ્રેસે આઝાદી પછીના ભારતીય રાજ્યની સંકલ્પના વિષે પોતાની વાત કહેવાનું ચાલુ રાખ્યું હતું. થાક્યા વિના વારંવાર અને ઠરાવો કરીને તેને માટેની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી. ૧૯૩૫માં ઘડાયેલા કાયદા હેઠળ ૧૯૩૭માં પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી યોજાઈ અને કૉન્ગ્રેસે બ્રિટિશ ભારતના કેટલાક પ્રાંતોમાં સરકાર રચી. એ અંગ્રેજી ભાષામાં કહીએ તો શો કેસિંગનો અવસર હતો. બ્રિટિશ સરકાર સ્વાયતતાની ખાતરી ન આપે ત્યાં સુધી કૉન્ગ્રેસે પ્રાંતોમાં સરકારો ન રચવી જોઈએ એવો સમાજવાદીઓનો અને કેટલાક કૉન્ગ્રેસી નેતાઓનો મત હતો. ગાંધીજીએ અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓએ એ અભિપ્રાયની વિરુદ્ધ જઇને સરકારો રચવાનો નિર્ણય લીધો હતો તેની પાછળનું મુખ્ય કારણ શંકા કરનારાઓની શંકાનું નિરાકરણ કરવાનું હતું. તેઓ બતાવવા માગતા હતા કે જુઓ, સ્વતંત્ર ભારત આવું હશે. પેલી સપ્તપદીનાં સાતેય પગલાંનો પ્રાપ્ત પરિસ્થિતિમાં શક્ય એટલા પ્રમાણમાં અમલ કરવામાં આવ્યો હતો. બંધારણ ઘડાયું ન હોવા છતાં.

એને કારણે એટલું બન્યું હતું કે શંકા કરનારાઓની શંકા મોળી પડી હતી. હા, ભવિષ્ય વિશેનો ડર તેમના મનમાં કાયમ હતો. આઝાદી પછીનાં તરતનાં વરસોમાં જમ્મુ અને કાશ્મીરના વડા પ્રધાન (ત્યારે રાજ્યોના મુખ્ય પ્રધાન વડા પ્રધાન તરીકે ઓળખાતા હતા) શેખ અબ્દુલ્લાએ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર પણ લખ્યો હતો કે તમારી હયાતિમાં અને કૉન્ગ્રેસનો જ્યારે સૂર્ય તપે છે ત્યારે બંધારણનિર્મિત ભારતનો વિરોધ કરનારાઓ આટલા ઉધમ મચાવી રહ્યા છે તો ભવિષ્યમાં જ્યારે તમે નહીં હો અને કૉન્ગ્રેસ નબળી પડી હશે ત્યારે તેઓ શું નહીં કરે? આવો જ અભિપ્રાય હિંદુ કોડ બિલનો જ્યારે સનાતની હિંદુઓએ અને રૂઢિચુસ્ત કૉન્ગ્રેસીઓએ વિરોધ કર્યો ત્યારે ડૉ. આંબેડકરે વ્યક્ત કર્યો હતો.

તો વાતનો સાર એટલો કે ભારતની આઝાદી ક્ષિતિજ ઉપર જ્યારે નજરે પડવા લાગી ત્યારે સપ્તપદી આધારિત ભારતનો વિરોધ કરનારાઓ હાંસિયામાં હતા અને તેમનું કોઈ સાંભળતું નહોતું. જે લોકો શંકા કરતા હતા તેઓ પણ હાંસિયામાં હતા અને એ સિવાય પ્રાંતીય સરકારો અને કૉન્ગ્રેસના સંકલ્પો જોઇને તેમની શંકા મોળી પણ પડી હતી. મૂળભૂતવાદી મુસલમાનો અને સનાતની હિંદુઓથી ઊલટું શંકા કરનારાઓએ ભારતનાં બંધારણમાં રસ લેવા માંડ્યો હતો અને જરૂરી સૂચનો કરવા માંડ્યા હતા. બ્રિટી=ટિશ રાજ હજુ કેટલાંક વરસ ટકી રહે એવું ઈચ્છનારા ડૉ. આંબેડકર અને બીજાઓને ખાતરી થઈ ગઈ હતી કે હવે ભારતની આઝાદી રોકી શકાય એમ નથી.

ભારતનું બંધારણ ઘડવામાં બે જણે પાયાનું કામ કર્યું હતું જેને આપણે નગુણા થઈને આજે સાવ ભૂલી ગયા છીએ. એક હતા કનૈયાલાલ મુનશી અને બીજા હતા સર બેનેગલ નરસિંગ રાવ. મુનશી ખ્યાતનામ વકીલ હતા અને કૉન્ગ્રેસના ભલે આવ-જા કરનારા પણ વરિષ્ઠ નેતા હતા. બી. એન. રાવ સનદી અધિકારી હતા અને વિલક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. મુનશીને ગાંધીજીએ કહ્યું હતું કે તમે અંગ્રેજોએ કરેલા રાજકીય સુધારાઓનો તેમ જ તેમણે ઘડેલા કાયદાઓનો અભ્યાસ કરીને, જગતના લોકતાંત્રિક દેશોના બંધારણનો તુલનાત્મક અભ્યાસ કરીને અને ભારતની સામાજિક-રાજકીય વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ એનો એક મુસદ્દો તૈયાર કરો. એ મુસદ્દો કૉન્ગ્રેસની બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને બંધારણ ઘડવાના શ્રીગણેશ થશે.

સર બેનેગલ રાવને ૧૯૪૬ના જુલાઈ મહિનામાં ભારતના એ સમયના વાઇસરોય લોર્ડ વેવેલે ભારતનાં બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. (Constitutional Adviser to the Constituent Assembly) તમે મુનશી અને બી.એન. રાવે કરેલી અથાક મહેનતનું વિવરણ  વાંચશો ત્યારે નતમસ્તક થઈ જશો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 ઍપ્રિલ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—90

દીપક મહેતા|Opinion - Opinion|10 April 2021

મુંબઈની ધરતી પર પોલીસદાદાએ પહેલી વાર પગ ક્યારે મૂક્યો?

ભગવાન શંકરના પરસેવામાંથી પેદા થઈ ભંડારી જમાત

અંગ્રેજ કંપની સરકાર સામે અંગ્રેજ સૈનિકોનો બળવો 

કરફ્યુ હોય કે લોકડાઉન હોય, મુંબઈના રસ્તા પર એક જણ તો જોવા મળે જ. એક જમાનામાં માથે પાઘડી પહેરતો, પછી પીળી ટોપી પહેરતો. હવે ડાર્ક બ્લુ રંગ પર પીળી પટ્ટીવાળી કેપ પહેરે છે. હા, આજકાલ ખોટા કારણે રોજ છાપામાં પહેલે પાને ચમકે છે. એનું નામ મુંબઈ પોલીસ. પણ મુંબઈની ધરતી પર આ પોલીસદાદાએ પહેલી વાર પગ મૂક્યો ક્યારે? મુંબઈ પોર્ટુગીઝોના તાબામાં હતું ત્યાં સુધી તો મુંબઈમાં પોલીસનું નામનિશાન હોવાનું જાણવા મળતું નથી. શરૂઆતમાં તો અંગ્રેજો પણ આ રીતે જ વર્તતા. સુરતમાં બેઠેલા ગવર્નરને મુંબઈની સલામતીમાં કેટલો રસ હોય? શા માટે હોય?

મુંબઈનો સ્વપ્નદૃષ્ટા ઓન્જિયાર

પણ જેરાલ્ડ ઓન્જિયાર જૂદી માટીનો માનવી હતો. એવણ મુંબઈના બીજા ગવર્નર. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈના ગવર્નર બન્યા. ૧૬૭૭ના જૂનની ૩૦મીએ સુરતમાં અવસાન થયું ત્યાં સુધી એ પદે રહ્યા. તે વખતના બીજા ગવર્નરોની જેમ તેઓ પણ સુરતની ‘ફેક્ટરી’(આ શબ્દ એ વખતે ઓફિસના અર્થમાં વપરાતો હતો)ના પ્રમુખ અને મુંબઈના ગવર્નરનો બેવડો હોદ્દો ધરાવતા હતા. એટલે તેઓ અવારનવાર સુરતથી મુંબઈ આવતા અને સારો એવો વખત રોકાતા. મુંબઈ તો કાદવકીચડમાં ઢબુરાયેલી સોનાની લગડી છે એ વાત સૌથી પહેલી તેમના ધ્યાનમાં આવી. તેમણે કહેલું કે ઈશ્વરના આશીર્વાદથી મુંબઈ તો એક મહાન નગર થવા સર્જાયું છે. આવા માણસને આપણે સ્વપ્નદૃષ્ટા ન કહીએ તો કોને કહીએ?

શિવરીનો કિલ્લો

મુંબઈની મુલાકાતો દરમ્યાન એ વાત એમના ધ્યાનમાં આવી કે અહીં લોકોના જાનમાલની સલામતી માટે કશી જ વ્યવસ્થા નથી. વળી એ વખતે ડચ, પોર્ટુગીઝ, મોગલો, સીદી, અને મરાઠાનાં આક્રમણનો ભય સતત રહેતો હતો. એટલે ઓન્જિયારે માહિમ, સિવરી, શિવ (સાયન) અને બીજાં કેટલાંક સ્થળોએ સૂબેદારોની અને તેમના હાથ નીચે સિપાઈઓની નિમણૂક કરી. હા, તેમની કામગીરી આજની પોલીસ કરતાં હોમ ગાર્ડઝ જેવી વધુ હતી. તેમનું મુખ્ય કામ કંપની સરકારનું જે લશ્કર મુંબઈમાં હતું તેને મદદ કરવાનું હતું. પણ તે ઉપરાંત ચોરી-ચપાટી જેવા ગૂનાઓને કાબૂમાં રાખવાનું કામ પણ તેમને સોંપવામાં આવેલું. રોજ રાતે પોતપોતાના વિસ્તારમાં ફરીને આ પોલીસ ચોકીપહેરો ભરતી. આ દળમાં ભંડારીઓની સંખ્યા મોટી હતી. કારણ તેઓ કંપની સરકારને વફાદાર હોય છે એમ ગવર્નર માનતા હતા. કોળીઓની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના સૌથી જૂના વતનીઓ.

ભંડારી જમાત વિશેની પુરાણકથા

ભંડારીઓ સાથે એક પુરાણકથા પણ સંકળાયેલી છે. પંડિત મહાદેવશાસ્ત્રી જોશીએ આ કથા નોંધી છે. તિલકાસુર નામનો એક રાક્ષસ કાળો કેર વર્તાવતો હતો. એટલે ભગવાન શંકરે તેને બળદ-ઘાણીમાં પીલાવા નાખ્યો અને નંદીને એ ઘાણી ચલાવવા કહ્યું. પણ એ મહાકાય રાક્ષસ સાથેની ઘાણી ફેરવતાં નંદીને ખૂબ ત્રાસ થતો હતો. એ જોઈને શંકરને કપાળે પરસેવો વળી ગયો. શંકરના કપાળ પરના પરસેવાના ધર્મબિંદુમાંથી એક પુરુષ પેદા થયો. એ પુરુષ તે ભંડારી જમાતનો આદિપુરુષ. શંકરે તેનું નામ પાડ્યું ‘ભાવગુણ.’ પણ પછી તેની ભક્તિની પરીક્ષા કરવા પોતાની લીલા વડે શંકરે નાળિયેરનું એક ઝાડ ઊભું કર્યું, અને ભાવગુણને તેનાં ફળ તોડીને લાવવા કહ્યું. તે તો આંખના પલકારામાં ઝાડ પર ચડી નાળિયેર લઈ આવ્યો. તેનું પાણી પીને શંકર તૃપ્ત થયા એટલે તેમણે ભાવગુણની નિમણૂક અલકા નગરીના ભંડારના અધિકારી તરીકે, એટલે કે ભંડારી તરીકે કરી. ત્યારથી ભાવગુણના વંશજો ભંડારી કહેવાયા. પણ સાથોસાથ નાળિયેરી, તાડ અને તેના જેવાં બીજાં ઝાડ સાથેનો તેમનો સંબંધ કાયમ રહ્યો. એટલે આ સમાજના ઘણા લોકો તાડી બનાવવાના ધંધામાં પડ્યા. તેઓ મૂળ ક્ષત્રિય જાતિના, એટલે બહાદુર અને માલિક કે રાજાને વફાદાર. તો બીજા કેટલાક ભંડારી ફળ-ફૂલના બગીચા તરફ વળ્યા. મુંબઈમાં પણ તેમણે આંબા, નાળિયેરી, તાડ, ફણસ, સોપારી, વગેરેની વાડીઓ ઠેર ઠેર બનાવેલી. ખેર, ઓન્જિયારના અવસાન સમયે મુંબઈના ‘પોલીસ’ની સંખ્યા ૫૦૦થી ૬૦૦ જેટલી હતી. એ બધાની મુંબઈમાં જમીન હતી. હકીકતમાં સરકારે દરેક જમીનદાર માટે પોલીસમાં કામ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જો કે બ્રાહ્મણ અને વાણિયા જમીનદારોને તેમાંથી મુક્તિ આપેલી. પણ તેના બદલામાં તેમણે સરકારને સારી એવી રકમ ચૂકવવી પડતી, જેનો ઉપયોગ સરકાર ભંડારી પોલીસોને પગાર આપવામાં કરતી.

મુંબઈના પહેલા પોલીસ

૧૬૮૧થી ૧૬૯૦ સુધી જોન ચાઇલ્ડ મુંબઈના ગવર્નર હતા, જરા નરમ સ્વભાવના હતા. લંડનમાં બેઠેલા માલિકોને હા જી, હા કરવામાં માનતા. એ વખતે લંડનથી કંપનીના ડાયરેકટરોએ તેમને ફતવો મોકલ્યો કે મુંબઈમાં આ ભંડારી પોલીસ દળની કશી જરૂર નથી, માટે તેને વિખેરી નાખો. હવે બન્યું એવું કે એ જ વખતે એક બાજુથી છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ પર હુમલો કરશે એવી દહેશત ફેલાઈ હતી, અને બીજી બાજુથી સીદીઓ કંપનીની સત્તાને પડકારી રહ્યા હતા. એટલે જોન ચાઈલ્ડે નક્કી કર્યું કે પોલીસ દળ વિખેરી નાખવું નહિ. પણ સાથોસાથ એ વખતના સંજોગો સમજાવતો લાંબો કાગળ તેમણે લંડન મોકલ્યો. બીજે વરસે ડિરેક્ટરોએ ફતવો તો પાછો ખેંચી લીધો. પણ સાથોસાથ લશ્કરનાં પગાર અને સગવડોમાં ધરખમ ઘટાડો કરવા જણાવ્યું.

તાડી વેચતો ભંડારી

ઓન્જિયાર ગવર્નર હતા ત્યારે પણ મુંબઈના કંપની સરકારના લશ્કરમાં પગારને મુદ્દે અસંતોષ પ્રવર્તતો હતો. કેટલાક અંગ્રેજ સૈનિકોએ ભેગા મળીને બળવો કરવાનું કાવતરું રચ્યું. પણ ઓન્જિયારને આ વાતની ગંધ આવી ગઈ. એ બળવાખોર ટોળીના નેતા કોર્પોરલ ફેકને પકડીને તેના પર લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું અને ૧૬૭૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે તેને જાહેરમાં ગોળી મારીને દેહાંત દંડની સજા અપાઈ. અંગ્રેજી અમલ દરમ્યાન મુંબઈમાં અપાયેલી આ પહેલવહેલી ફાંસીની સજા. પણ ઓન્જિયારના ગયા પછી પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ. પોતાના સૈનિકો અને નાવિકોને કંપની સરકાર ન તો પૂરો પગાર આપતી, ન તો ખાસ કોઈ સગવડ.

અંગ્રેજ સૈનિકોનો બળવો

ફરી એક વાર સૈનિકો અને નાવિકોમાં બળવો કરવાનું કાવતરું કંપની સરકારના જ એક વહાણ પર છાને ખૂણે ઘડાયું. ૧૬૮૩ના ડિસેમ્બરની ૨૭મી તારીખે હતો સેન્ટ જોન્સ ડે. જોન ચર્ચ નામના પાદરી સવારે સાતેક વાગ્યે પ્રાર્થના માટે દેવળમાં ગયા. રોજ સવારે, લગભગ આ જ સમયે કોટ કહેતાં ફોર્ટના દરવાજા પરના રક્ષકોની ટુકડી બદલાય. રાતે પહેરો ભરનારી ટુકડી જાય, અને નવી ટુકડી તેની જગ્યા લે. એટલે ટુકડીઓની આ ફેરબદલી થાય ત્યાં સુધી પાદરીએ પ્રાર્થના રોકી રાખી. થોડી વારમાં કેપ્ટન રિચાર્ડ કેગ્વિનની સરદારી નીચે ખલાસીઓની એક મોટી ટુકડી આવી પહોંચી. તેમની પાછળ હેન્રી ફ્લેચર અને જોન થોર્બન પણ ટુકડીઓ સાથે આવ્યા. જેવી ત્રણે ટુકડી ફોર્ટની અંદર આવી ગઈ કે તરત જ જોન થોર્બને ગ્રેટ બ્રિટનના રાજવીની દુહાઈ આપીને ફોર્ટના બધા દરવાજા બંધ કરી દેવાનો સૈનિકોને હુકમ આપ્યો. પછી ત્રણે ટુકડીના સૈનિકોને થોર્બને ટૂંકું ભાષણ આપ્યું. અને કંપની સરકાર સામે – ગ્રેટ બ્રિટનના તાજ સામે નહિ – બળવાનું એલાન કર્યું. પછી લશ્કરની ત્રણે ટુકડી ખુલ્લી તલવારે મુંબઈના ગવર્નર જોન ચાઇલ્ડના આવાસે પહોંચી. એ વખતે તેઓશ્રી હજી મીઠી નિંદર માણી રહ્યા હતા. તેમને જગાડ્યા અને બળવાની ખબર આપી. પછી કહ્યું કે આ કિલ્લો અને મુંબઈનો ટાપુ અમે ગ્રેટ બ્રિટનના તાજ વતી કબજે કર્યો છે. ગવર્નર ગભરાયા. કહે કે તમારી જે ફરિયાદો અને માગણીઓ હોય તે મને કહો. એ દૂર કરવા હું બનતું કરીશ. તેમણે બારીની બહાર નજર નાખી તો આ બળવાના સૂત્રધાર કેગ્વિનને ઊભેલો જોયો. બૂમ પાડીને તેને બોલાવ્યો. પણ કશો જવાબ આપવાને બદલે કેગ્વિને સિપાઈઓને કહ્યું કે પેલા બંદીવાનને નીચે લઈ આવો. થોડી આનાકાની પછી ગવર્નર નીચે આવ્યા એટલે કેટલાક સૈનિકો તેમને કિલ્લાના કોઠારની એક અંધારી કોટડીમાં લઈ ગયા, અને બંદીવાન બનાવ્યા. એટલું જ નહિ, સૈનિકોને નવા ગવર્નરની નિમણૂંક કરવા જણાવ્યું. ત્યારે સૈનિકોએ એકી અવાજે કેગ્વિનનું નામ પોકાર્યું. ૨૭ ડિસેમ્બર ૧૬૮૩થી ૧૯ નવેમ્બર, ૧૬૮૪ સુધી રિચર્ડ કેગ્વિન મુંબઈના બિનસત્તાવાર ગવર્નર રહ્યા.

ગવર્નર જોન ચાઈલ્ડ

કંપની સરકારના કારભારથી ત્રાસેલા મુંબઈના ઘણા લોકોએ અને ઓન્જિયારે સ્થાપેલા ભંડારી પોલીસદળના સૈનિકોએ પણ આ બળવાને ટેકો આપ્યો અને કેગ્વિનને ગવર્નર તરીકે માન આપ્યું. લગભગ એક વરસ પછી બ્રિટનના રાજાએ નૌકાદળના કમાન્ડર સર થોમસ ગ્રેન્થમને કેગ્વિન સાથે વાટાઘાટ કરવા મુંબઈ મોકલ્યા. તેમણે બળવામાં સંડોવાયેલા દરેકને તાજ તરફથી માફી આપી. લગભગ એક વરસ સુધી કેગ્વિને ગવર્નર તરીકે પગારની જે રકમ લીધી હતી તે પાછી ન લેવાનું ઠરાવ્યું. અને કેગ્વિનને તેઓ પોતાની સાથે ગ્રેટ બ્રિટન પાછા લઈ ગયા, માનભેર! લશ્કરમાં જૂદા જૂદા હોદ્દા ભોગવ્યા પછી સેન્ટ કિટ્સની લડાઈમાં ૧૬૯૦ના જૂનની ૨૧મી તારીખે કેગ્વિનનું અવસાન થયું.

બ્રિટિશ સરકારની એક વિશિષ્ટતા હતી આખા દેશ માટે સમાન કાયદાકાનૂન. ૧૭૯૩ના ૩૩મા કાયદા દ્વારા કલકત્તા, મદ્રાસ અને મુંબઈ ત્રણે ઇલાકા માટે સમાન પોલીસતંત્ર ગોઠવાયું. દરેક ઇલાકામાં ગવર્નરના વડપણ હેઠળ ‘કમિશન ઓફ ધ પીસ’ નીમવામાં આવ્યું. આ કમિશનને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની નિમણૂક કરવાની સત્તા અપાઈ. મુંબઈમાં આ જગ્યા પર સાઈમન હાલીડેની નિમણૂક થઈ. મુંબઈના આ પહેલા સુપ્રિન્ટેન્ડન્ટના શાસન દરમ્યાન મુંબઈ પોલીસે કેવી અને કેટલી પ્રગતિ કરી તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઍપ્રિલ 2021

Loading

કસ્તૂરબા વિશેનાં પુસ્તકો: થોડું લખ્યું, ઝાઝું કરી વાંચવું

દીપક મહેતા|Gandhiana|9 April 2021

‘સમય મળશે તો (કસ્તૂરબા વિષે) વિસ્તૃત લખવાની મારી ધારણા છે.’ ૧૯૪૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે ગાંધીજીએ આ વાક્ય લખ્યું હતું. શબ્દો તોળી-જોખીને વાપરવાની ગાંધીજીની પ્રકૃતિનો પરિચય આ સાવ નાનકડા વાક્યમાંથી પણ મળી રહે. લખે છે : ‘ધારણા છે.’ ‘ઇચ્છા છે’ એમ લખતા નથી. અને એ ધારણા પણ બિનશરતી નથી. ‘સમય મળશે તો.’ પણ પછીનાં લગભગ ત્રણ વરસમાં ગાંધીજીને સમય મળ્યો નહિ, અને તેઓ તેમની ધારણા પૂરી કરી શક્યા નહિ. જો ગાંધીજીએ કસ્તૂરબા વિષે વિસ્તૃત રીતે લખ્યું હોત તો બીજા લખનારાઓનું કામ ઓછું મુશ્કેલ બન્યું હોત. સેજલ-સોનલની જોડીએ આ લેખ લખવા કહ્યું ત્યારે પહેલો પ્રતિભાવ તો એ હતો કે કસ્તૂરબા વિષે તો બહુ ઓછું લખાયું છે. બે-ચાર પુસ્તકો કરતાં વધુ નહિ હોય. પણ પછી જેમ જેમ અમે ત્રણેએ ખાંખાંખોળાં કર્યાં તેમ વધુ ને વધુ પુસ્તકોની ભાળ મળતી ગઈ. જો કે, બધાં પુસ્તકો મેળવી શકાયાં હોવાનો દાવો નથી જ. પણ આ બધાં પુસ્તકો વાંચ્યા પછી પણ લાગે છે કે કસ્તૂરબા વિષે મૌલિક, પોતીકું, આગવું, તો ઓછું જ લખાયું છે.

કસ્તૂરબા વિષે લખતી વખતે સૌથી મોટી મુશ્કેલી છે ગાંધીજી. વિભૂતિરૂપ પતિના પડછાયામાં સતત જીવનાર સ્ત્રીના વ્યક્તિત્વને પામીને ઉઘાડવાનું અશક્ય નહિ તો ય ઘણું કપરું કામ તો છે જ. અને આવું કપરું કામ ભાગ્યે જ કોઈ કરી શક્યું છે. કેટલાક લેખકોએ તો સહેલો રસ્તો જ અપનાવ્યો છે : ગાંધીજીના જીવનના મુખ્ય પ્રસંગો વર્ણવતા જવા અને તેની સાથે કસ્તૂરબાની વાત સાંકળતા જવી, અને તે પણ મુખ્યત્વે ગાંધીજીની આત્મકથાને આધારે. પોતીકા પરિચય અને અનુભવોને આધારે લખાયાં હોય તેવાં તો બે જ પુસ્તકો જોવા મળ્યાં છે: વનમાળા દેસાઈ અને સુશીલા નૈયરનું પુસ્તક ‘અમારાં બા’. બંને લખાયાં છે સ્વતંત્ર રીતે પણ આજ સુધી ગુજરાતીમાં પ્રગટ થતાં રહ્યાં છે એક પુસ્તક રૂપે. શરૂઆતમાં ગાંધીજીનું જે વાક્ય ટાંક્યું છે તે પણ આ પુસ્તકની પ્રસ્તાવનાનું છે.

અલબત્ત, કસ્તૂરબા વિશેનાં આ પહેલાં પુસ્તકો નથી. કસ્તૂરબાનું અવસાન થયું એ જ વરસે, ૧૯૪૪માં, બે પુસ્તક પ્રગટ થયાં, એક અંગ્રેજી અને એક ગુજરાતી. દયાશંકર ભ. કવિનું ‘ભારતજનની કસ્તૂરબા’ મુંબઈની એન.એમ. ઠક્કરની કંપનીએ પ્રગટ કરેલું. કસ્તૂરબા વિશેનું આ પહેલું ગુજરાતી પુસ્તક. તેની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કસ્તૂરબાના ફોટા ઉપરાંત કનુ દેસાઈ અને ચાંદવડકરનાં ચિત્રો મૂક્યાં છે, એટલું જ નહિ, કસ્તૂરબાના હસ્તાક્ષરમાં બે પત્રો પણ છાપ્યા છે. આ જ લેખકે કેપ્ટન લક્ષ્મી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિષે પણ પુસ્તકો લખ્યાં છે અને કેટલીક બંગાળી કૃતિઓના અનુવાદ પણ આપ્યા છે.

Sati Kasturba : A Life-sketch પુસ્તકનું સંપાદન આર.કે. પ્રભુએ કર્યું છે, આમુખ લખ્યું છે એમ.આર. મસાણીએ. આ મીનુ મસાણી એ વખતે મુંબઈના મેયર હતા. આઝાદીની લડતમાં સક્રીય ભાગ લઈને જેલમાં પણ ગયેલા. લડત દરમ્યાન જવાહરલાલ નેહરુના મિત્ર એવા મસાણી આઝાદી પછી નેહરુની સમાજવાદી વિચારણાથી દૂર થતા ગયા અને એટલે રાજાજી સાથે મળીને તેમણે ‘સ્વતંત્ર પાર્ટી’ સ્થાપેલી. મુંબઈના ‘હિન્દ કિતાબ્સ’ નામના પ્રકાશકે આ પુસ્તક પ્રગટ કરેલું. કસ્તૂરબાનું અવસાન ફેબ્રુઆરીની ૨૨મી તારીખે થયેલું અને મસાણીની પ્રસ્તાવના એ જ વરસની ૧૧મી માર્ચે લખાઈ છે, એટલે કે વીસેક દિવસમાં આ પુસ્તક તૈયાર થયેલું. તેમાં કસ્તૂરબાની જીવનકથા ટૂંકમાં આલેખી છે. પણ આ પુસ્તકની ઉપયોગિતા એ છે કે એ વખતની અગ્રગણ્ય વ્યક્તિઓએ, દેશ અને દુનિયાનાં કેટલાંક છાપાંઓએ આપેલી અંજલિઓ અહીં સમાવી છે. એટલે આજે હવે દસ્તાવેજી દ્રષ્ટિએ આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે.

વનમાળા દેસાઈ અને સુશીલા નૈયર બંનેનાં પુસ્તકનું લેખન સ્વતંત્ર રીતે થયું છે, પણ એ બંને એક પુસ્તક રૂપે ૧૯૪૫માં પ્રગટ થયેલાં. નૈયરનું પુસ્તક મૂળ હિન્દીમાં લખાયેલું. એનો અંગ્રેજી અનુવાદ ૧૯૪૮માં અમેરિકાથી પ્રગટ થયેલો. નવજીવન પ્રકાશન મંદિરે પ્રગટ કરેલ ‘અમારાં બા’માં નૈયરના લખાણનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે તે જણાવ્યું નથી. વનમાળા બહેનના પુસ્તકમાં ૧૧૦મા પાના ઉપર નૈયરના પુસ્તકનો ઉલ્લેખ છે એટલે વનમાળાબહેનના પુસ્તક કરતાં કંઈ નહિ તો તેની હસ્તપ્રત તો વહેલી તૈયાર થઈ ગઈ હોવી જોઈએ. એટલે આ અનુવાદ વનમાળાબહેને જ કર્યો હોય એ બનવાજોગ છે. બીજું, કસ્તૂરબા વિશેનું આ એક જ પુસ્તક એવું છે જેની પ્રસ્તાવના ખુદ ગાંધીજીએ લખી છે. એટલે કે, પરીખ અને નૈયરનાં લખાણ ગાંધીજી વાંચી ગયા છે ને તેને પ્રગટ કરવાની અનુમતિ તેમણે આપી છે. આ બંને લેખિકા ગાંધીજી અને કસ્તૂરબાનાં નિકટવર્તી. વનમાળાબહેન આશ્રમવાસી નરહરિ પરીખનાં દીકરી. સસરા વાલજી ગોવિંદજી દેસાઈ પણ ચુસ્ત ગાંધીવાદી અને આશ્રમવાસી. ગાંધીજીના આશ્રમમાં ઘણાં વરસ રહેલાં એટલે અનુભવો તો ઘણા હોય. છતાં કોણ જાણે કેમ, તેમણે પણ ગાંધીજીની આત્મકથા પર ઘણો મદાર રાખ્યો છે. પિતા નરહરિભાઈનું જીવનચરિત્ર લખવા ઉપરાંત વનમાળાબહેને મેડલિન સ્લેડ ઉર્ફે મીરાંબહેનની આત્મકથાનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સુશીલા નૈયર વ્યવસાયે ડોક્ટર, ઘણાં વરસ ગાંધી આશ્રમમાં રહેલાં. કસ્તૂરબાની છેલ્લી માંદગી અને અવસાન વખતે પણ તેઓ તેમની સારવાર માટે આગાખાન જેલમાં તેમની સાથે જ હતાં. આઝાદી પછી તેઓ સક્રીય રાજકારણમાં પડ્યાં હતાં અને ૧૯૫૨થી ૧૯૫૫ અને ૧૯૬૨થી ૧૯૬૭ સુધી તેઓ કેન્દ્ર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહ્યાં હતાં. તેમનાં ગાંધીજી વિશેનાં દસેક પુસ્તકો અંગ્રેજીમાં પ્રગટ થયાં છે. ગાંધી જન્મશતાબદી વખતે ૧૯૬૯માં નૈયરના પુસ્તકના લખાણને આધારે હિન્દીમાં કોમિક રૂપે કસ્તૂરબાનું જીવન ચરિત્ર પ્રગટ થયું હતું. એરિક ફ્રાન્સિસ દ્વારા તૈયાર થયેલું આ પુસ્તક મુંબઈના પુરોહિત એન્ડ સન્સ નામના પ્રકાશકે પ્રગટ કરેલું. તો ૧૯૪૬માં પ્રગટ થયેલું પુરાતન બૂચનું ‘આપણાં કસ્તૂરબા’ મુખ્યત્વે ‘અમારાં બા’ પુસ્તકને આધારે ઓછું ભણેલી સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને સીધી સાદી ભાષામાં લખાયું છે. 

ગણપત રાયના અંગ્રેજી પુસ્તક Gandhi and Kasturba : The Story of their lifeમાં તેની પ્રકાશન સાલ છાપી નથી, પણ પુસ્તક અર્પણ કર્યું છે ગાંધીજીને તેમના ૭૬મા જન્મ દિવસે. એટલે તે ૧૯૪૫ના અરસામાં પ્રગટ થયું હોય. કસ્તૂરબા મેમોરિયલ પબ્લિકેશન્સ તરફથી તે પ્રગટ થયું છે. ગણપત રાયે ગાંધીજી, જવાહરલાલ નેહરુ, અને આચાર્ય જે.બી. કૃપલાની વિષેનાં અંગ્રેજી પુસ્તકોનું પણ સંપાદન કર્યું છે. કસ્તૂરબા વિશેના તેમના પુસ્તકની પ્રસ્તાવના જાણીતાં મહિલા કાર્યકર અને નેહરુ કુટુંબમાં પરણેલાં રામેશ્વરી નેહરુએ લખી છે. પુસ્તક વાંચવાનું શરૂ કરતાં પહેલે કોળિયે જ કાંકરો આવે છે. કસ્તૂરબાનો જન્મ ૧૮૬૯માં રાજકોટ રાજ્યના પાટનગર પોરબંદરમાં થયો હતો એમ લેખક કહે છે! પણ આ પુસ્તકમાંની કેટલીક દસ્તાવેજી સામગ્રી આજે પણ ઉપયોગી થાય તેવી છે. છેલ્લી માંદગી વખતે કસ્તૂરબા જેલમાં હતાં ત્યારે તે અંગે, તેમની તબિયત અંગે, તેમને જેલમાંથી છોડી મૂકવા અંગે બ્રિટિશ પાર્લામેન્ટમાં જે સવાલો પૂછાયા હતા અને ગ્રેટ બ્રિટનની સરકારે જે જવાબો આપેલા તે અહીં શબ્દશઃ રજૂ કર્યા છે. તેવી જ રીતે આ અંગેનો ગાંધીજી અને હિન્દુસ્તાનની સરકાર વચ્ચેનો પત્રવ્યવહાર પણ આપ્યો છે. આ પુસ્તક જ્યારે પ્રગટ થયું ત્યારે ‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં પુસ્તકો પ્રગટ થયાં નહોતાં. અને ગૂગલદેવની મદદથી બ્રિટિશ પાર્લામેન્ટના સવાલ-જવાબ મેળવી શકાય એવી સગવડ નહોતી. એટલે આ સામગ્રી વધુ નોંધપાત્ર બને છે.

ગાંધીજીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીના પુસ્તક ‘ધ ફરગોટન વુમન’નો અત્યંત પ્રવાહી, વાંચતાં અનુવાદ છે એમ ન લાગે એવો અનુવાદ ‘બા : મહાત્માનાં અર્ધાંગિની’ સોનલ પરીખ પાસેથી મળ્યો છે. તેની પહેલી આવૃત્તિ ૨૦૧૬માં અને બીજી ૨૦૧૭માં પ્રગટ થઈ. ૧૯૪૪માં કસ્તૂરબાનું અવસાન થયું ત્યારે અરુણભાઈની ઉંમર દસેક વરસની. છતાં દાદી કસ્તૂરબાના જીવન અને વ્યક્તિત્વ વિષે ઘણી રસપ્રદ અને કેટલીક નવી માહિતી આ પુસ્તકમાંથી મળી રહે છે. ગાંધીજીની આત્મકથા અને તેમનાં બીજાં લખાણો ઉપરાંત લેખકે મૌખિક ઇતિહાસ – oral historyનો આશરો લીધો છે. કસ્તૂરબાના પરિચયમાં આવી હોય તેવી વ્યક્તિઓને શોધી શોધીને તેમની મુલાકાતો રેકર્ડ કરી. આ પુસ્તક અંગે એક રસપ્રદ વાત એ છે કે તેની અંગ્રેજી આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં જર્મન અને સ્પેનિશ આવૃત્તિ પ્રગટ થઈ હતી. કારણ અંગ્રેજી પુસ્તકોના પ્રકાશકો તો લેખકને કહેતા : ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિષે કેમ નથી લખતા?’ અરુણ ગાંધીનું પુસ્તક વાંચ્યા પછી આવો સવાલ પૂછવાની જરૂર ન રહે.

૨૦૧૮માં બે પુસ્તક મળે છે. Kasturba Gandhi : A Bio-fiction અને Kasturba Gandhi : The Silent Sufferer.  તેમાં પહેલું પુસ્તક ૨૦૧૬માં હિન્દીમાં પ્રગટ થયેલ ગિરિરાજ કિશોરની જીવનચરિત્રાત્મક નવલકથાનો મનીષા ચૌધરીએ કરેલો અનુવાદ છે. દેખીતી રીતે જ અહીં નવી સામગ્રીને ઝાઝો અવકાશ નથી. અગાઉ પ્રગટ થયેલાં પુસ્તકોની માહિતીમાં થોડા કલ્પનાના રંગો ઉમેરીને આ પુસ્તક લખાયું છે. N.C. Beoharનું પુસ્તક Kasturba Gandhi : The Silent Sufferer કસ્તૂરબાને મૂંગે મોઢે સહન કરી લેતી એક અબૂઝ, અસહાય સ્ત્રી તરીકે રજૂ કરે છે, જે હકીકતથી સાવ વેગળું છે. મુખ્યત્વે હરિલાલ, અને તે ઉપરાંત બીજા પુત્રો સાથેના ગાંધીજીના વર્તનને તેમણે કેવું મૂંગે મોઢે સહી લીધું તે બતાવવાનો લેખકે પ્રયત્ન કર્યો છે.

તો ૨૦૨૦માં પ્રગટ થયેલું બી.એમ. ભલ્લાનું પુસ્તક Kasturba Gandhi : A Biography સામે છેડે જઈને ગાંધીજી સાથે ખભે ખભો મિલાવીને કસ્તૂરબા પહેલાં દક્ષિણ આફ્રિકામાં અને પછી હિન્દુસ્તાનમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળમાં, અને ખાસ કરીને નારીમુક્તિની ચળવળમાં,  સમભાગી થયા હતા એવું ઠસાવવાનો પ્રયત્ન કરે છે.

૨૦૨૦માં ફેબ્રુઆરી અને માર્ચમાં જેની ઉપરાઉપરી બે આવૃત્તિ પ્રગટ થઈ હોવાનું પુસ્તકમાં નોંધાયું છે તે Kasturba Gandhi : An Embodiment of Empowerment મુંબઈના ગાંધી સ્મારક નિધિ દ્વારા પ્રગટ થયું છે. તેના લેખક સિબી કે. જોસેફ વર્ધાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીયન સ્ટડીઝમાં અભ્યાસ અને સંશોધન વિભાગના ડીન છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે : This book is not a comprehensive biography of Kasturba. My primary attempt has been to present Kasturba Gandhi in a nutshell as an embodiment of empowered women who had an identity of her own. એટલે કે કસ્તૂરબા એક પરાવલંબી પત્ની કે અબળા નારી નહિ, પણ પોતાની આગવી ઓળખાણ ધરાવનાર સશક્ત સ્ત્રી હતાં એમ બતાવવાનો લેખકે અહીં પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની એક વિશેષતા એ છે કે એમાં પરિશિષ્ટ તરીકે કસ્તૂરબાએ આપેલાં ચાર પ્રવચનનો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. અલબત્ત, દરેક પ્રવચનને મથાળે નોંધ્યું છે કે પ્રવચન કસ્તૂરબાએ પોતે આપ્યું નહોતું. તેમના વતી કોણે રજૂ કરેલું તે પણ જણાવ્યું છે. આ પ્રવચનો વાંચતાં મનમાં એક પ્રશ્ન થાય : આવાં પ્રવચનો લખવા જેટલી કસ્તૂરબાની સજ્જતા હતી ખરી? પ્રવચનો ખરેખર કસ્તૂરબાએ લખ્યાં હશે, કે પછી તેમના વતી કોઈએ લખ્યાં હશે?

આ બધાં પુસ્તકો વાંચ્યા પછી કેટલાક સવાલ મનમાં ઊઠ્યા વગર રહે નહિ. એક : વનમાળા દેસાઈ લખે છે કે કસ્તૂરબા નિયમિત રીતે ડાયરી લખતાં. તો એ ડાયરીઓ ક્યાં છે? પ્રગટ થઈ છે કે નહિ? બીજું, કેટલાક લોકો માને છે કે કસ્તૂરબા સાવ અભણ હતાં. હા, લગ્ન થયાં ત્યારે હતાં. પણ પછી ધીમે ધીમે લખતાં વાંચતાં શીખેલાં, પહેલાં ગુજરાતી અને પછી થોડું અંગ્રેજી પણ. વનમાળા દેસાઈ કહે છે કે આપણાં જાણીતાં લેખિકા, પત્રકાર, અને આઝાદી માટેની ચળવળમાં સક્રિય ભાગ લેનાર લાભુબહેન મહેતા અને કસ્તૂરબા એક જ જેલમાં સાથે હતાં ત્યારે કસ્તૂરબા નિયમિત રીતે લાભુબહેન પાસેથી અંગ્રેજી શીખતાં.

કસ્તૂરબા વિષે લખતી વખતે એક વાત ઘણી વર ધ્યાનમાં રહેતી નથી એમ લાગે છે, અને તે છે એમનાં સ્થળ-કાળનો સંદર્ભ. તેમનાં વિચાર-વાણી-વર્તનને આજનાં ધોરણે જોવા-આલેખવાનું ઉચિત ન ગણાય. ઓગણીસમી સદીની ત્રીજી પચ્ચીસીમાં પોરબંદર જેવા કોઈ રીતે પ્રગતિશીલ ન કહી શકાય એવા દેશી રાજ્યમાં જન્મ અને ઉછેર. તેમના જન્મ સુધી પોરબંદરમાં નહોતું એકે છાપખાનું કે નહોતું પ્રગટ થતું એક પણ અખબાર. કન્યા કેળવણી નહિવત હતી. બાળલગ્નો સામાન્ય હતાં. આ બધી મર્યાદાઓ હોવા છતાં કસ્તૂરબા પોતાની ઇચ્છાશક્તિથી અને ગાંધીજીનાં પ્રેરણા અને સહકારથી તેમાંની કેટલીક મુશ્કેલીઓને ઓળંગી ગયાં. છતાં આજનાં ધોરણે તેમના જીવનની મૂલવણી કરવી યોગ્ય ન ગણાય.

વાતની શરૂઆત આપણે કસ્તૂરબા વિશેના ગાંધીજીના શબ્દોથી કરી હતી. અંતે પણ તેમના શબ્દો પાસે જ જઈએ. ‘બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો … તેણે મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે ને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કાર્યમાં સમાઈ જવામાં જ માન્યો.’

નોંધ: આ લેખ લખાઈ ગયા પછી જાણવા મળ્યું કે કસ્તૂરબાએ લખેલી ડાયરી સચવાઈ રહી છે અને તેનો અંગ્રેજી અનુવાદ તુષાર ગાંધી કરી રહ્યા છે. ટૂંક સમયમાં એ પ્રગટ થશે એવી આશા છે.

પુસ્તકસૂચિ

૧૯૪૪. ભારતજનની કસ્તૂરબા/દયાશંકર ભ. કવિ. એન.એમ. ઠક્કરની કંપની, મુંબઈ.

૧૯૪૪. Sati Kasturba: A Life-Sketch with Tributes/Ed. R.K. Prabhu. Hind Kitabs, Mumbai.

૧૯૪૫. અમારાં બા/વનમાળા દેસાઈ, સુશીલા નૈયર. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.

૧૯૪૫. Kasturba: A Personal Reminiscence/Sushila Nayar. Navjeevan Publishing House, Ahmedabad.

૧૯૪૫? Gandhi and Kasturba: The Story of Their Life/Ganpat Rai. Kasturba Memorial Publications, Lahore

૧૯૪૬. આપણાં કસ્તૂરબા/પુરાતન બુચ. હંસ પ્રકાશન, અમદાવાદ.

૧૯૬૯. કસ્તૂરબા (હિન્દીમાં, બાળકો માટે કોમિકરૂપે)/સુશીલા નૈયર, એરિક ફ્રાન્સિસ. પુરોહિત એન્ડ સન્સ, મુંબઈ.

૨૦૧૬. બા: મહાત્માનાં અર્ધાંગિની (The Forgotten Womanનો અનુવાદ/લેખક અરુણ ગાંધી, અનુ. સોનલ પરીખ. નવજીવન, અમદાવાદ.

૨૦૧૮. Kasturba Gandhi: A Bio-Fiction/Giriraj Kishore, Trans. Manisha Chaudhry (હિન્દીમાંથી અનુવાદિત). Niyogi Books, New Delhi.

૨૦૧૮. Kasturba Gandhi: The Silent Sufferer/N.C. Beohar. Notion Press, Chennai.

૨૦૨૦. Kasturba Gandhi: A Biography/B. M .Bhalla. The Lotus Collection, New Delhi.

૨૦૨૦. Kasturba Gandhi: An Embodiment of Empowerment/Siby K. Joseph. Gandhi Smarak Nidhi, Mumbai.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “પ્રબુદ્ધ-જીવન” માસિક, માર્ચ 2021

Loading

...102030...1,9391,9401,9411,942...1,9501,9601,970...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved