Opinion Magazine
Number of visits: 9746708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અટક’ : ઓળખ અને જ્ઞાતિગુમાનના આટાપાટા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 May 2021

દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. એ જ દિવસોમાં ગુણવંતી ગુજરાતના, અમદાવાદ જિલ્લાના સાણંદમાં, ૨૧ વરસના દલિત યુવાનને દરબાર જેવી અટક હોવાના લીધે માર મારવામાં આવ્યો છે. ઈ.સ. ૧૮૯૬માં જાપાને કાયદો કરીને લગ્ન પછી પતિ-પત્નીએ એકસરખી અટક રાખવાનું ઠરાવ્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા સ્ત્રીઓને લગ્ન પછી પતિની અટક અપનાવવી પડે છે. મહિલા જાગૃતિકરણ અને સમાનતાના આ જમાનામાં સ્ત્રીઓને તે ખટકતું હોઈ, તેઓ લાંબા સમયથી આ કાયદો બદલવાની માંગ કરે છે. જાપાનના વડા પ્રધાને દેશના લોકમત અને પોતાના પક્ષની ઉપરવટ જઈને સ્ત્રીઓની તરફેણમાં કાયદો બદલીને કોઈને લગ્ન પછી અટક બદલવાની જરૂર નથી, તેવો નિર્ણય લીધો છે. ઘરઆંગણે ગુજરાતમાં કોરોના મહામારીની હાડમારીથી રાહત મેળવવા જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાડી ગામનો દલિત યુવાન ભરત જાદવ સાણંદના કારખાનામાં મજૂરી કરવા આવ્યો હતો. સાણંદ વિસ્તારના દરબારો જેવી જાદવ અટકના કારણે ભરતને દરબારોએ માર મારીને ભગાડી મૂક્યો છે. જાપાનમાં પિતૃસત્તા અને ગુજરાતમાં જ્ઞાતિસત્તાને કારણે આજકાલ અટક વિવાદમાં છે.

નામ, અટક અને જ્ઞાતિ

ભલે શેક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું બળ્યું છે, પરંતુ વર્ણ-વર્ગમાં વહેંચાયેલા વહેરાયેલા ભારતીય, ખાસ તો હિંદુ સમાજમાં, નામ અને અટક પણ ઉચ્ચાવચતાનું પ્રતીક છે. હિંદુશાસ્ત્રોનો આદેશ છે કે બ્રાહ્મણનું નામ મંગલકારી, ક્ષત્રિયનું બળયુક્ત, વૈશ્યનું ધનયુક્ત અને ક્ષુદ્રનું જુગુપ્સાપ્રેરક હોવું જોઈએ. ઊંચી જાતિના બ્રાહ્મણના નામમાં બે દેવનાં નામ (દા.ત. રામ, કૃષ્ણ) અને સામાન્ય બ્રાહ્મણના નામમાં એક દેવ( દા.ત. રામપ્રસાદ) આવે. ઊંચી જાતિના ક્ષત્રિયો પોતાના નામ સાથે ‘સિંહ’ લગાવે અને નીચી જાતિના ‘જી’ લગાવે. ઊંચા મનાતા વૈશ્યોનાં નામ પાછળ ‘ચન્દ્ર’ અને નીચાની પાછળ ‘લાલ’ લાગે. ઊંચી જાતિના ક્ષુદ્ધોનાં નામ પાછળ ‘ભાઈ’ લાગે, પણ અવર્ણ કે પંચમવર્ણના લોકોનાં નામો તુંકારે બોલાય તેવા કે માનવાચક શબ્દ વિનાનાં  હોવાં જોઈએ અને હોય છે.

અટકનો ઉદ્દભવ ક્યારે ?

આદિમાનવોની ઓળખ તેમની ટોળી કે શિકારનાં સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબસંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે. સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીના મતે, ‘નામ’ એ વ્યક્તિગત ઓળખ છે, પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુટુંબ સમૂહ, ગામ કે વ્યવસાયના સ્વરૂપનું હોઈ શકે”.

ઇતિહાસવિદ નરોત્તમ પલાણનું માનવું છે કે “વસ્તીવધારો અને વ્યવહારની ઘનતા વધતાં માણસને અટકની જરૂરિયાત ઊભી થયેલી છે. મોટા ભાગે તે ગામ અને વ્યવસાય પરથી આવી છે.” પહેલા કર્મ મુજબની વર્ણવ્યવસ્થા પછી જન્મગત બની. વ્યક્તિનાં કામ સાથે પવિત્ર-અપવિત્રનાં અને ઊંચાં-નીચાં કામોના ખ્યાલો દાખલ થયા. એટલે કર્મ આધારિત વર્ણવ્યવસ્થા જન્મ આધારિત બની અને જ્ઞાતિપ્રથા જન્મી.

અટક : જ્ઞાતિનો અને જ્ઞાતિ-અહંકારનો પર્યાય

મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય, વતન, ગામ, બાપદાદાનાં નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. ખરી મુશ્કેલી ભરત જાદવ જેવા કિસ્સામાં થાય છે. એવી ઘણી અટકો છે, જે કથિત ઊંચી જાતિ અને કથિત નીચી એમ બંનેમાં સમાન હોય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા ૧૯૪૨માં પ્રકાશિત ‘ગુજરાતી અટકોના ઇતિહાસ’ પુસ્તકમાં વિનોદિની નીલકંઠ રાજપૂતોની જે ૨૪ અટકો નોંધે છે, તેમાંથી અડધોઅડધ અટકો જેવી કે ગોહિલ, ચાવડા, ચૌહાણ, જાદવ, જાડેજા, ઝાલા, ડાભી, પરમાર,  રાઠોડ,  રાણા, વાઘેલા અને સોલંકી વરસોથી દલિતોની પણ અટકો છે. જ્ઞાતિગુમાનમાં રાચતા લોકો દલિતોને તેમની આ અટકને કારણે રંજાડે છે, તો કેટલાક દલિતો પણ પોતાની જ્ઞાતિ છુપાવવા આ અટકનો સહારો લે છે.

‘જાતિ, વર્ણ, જ્ઞાતિ અને અટક(એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય)’ના સંપાદક મહેન્દ્ર વાળા જુદા-જુદા જ્ઞાતિસમૂહોની એકસમાન અટક સંદર્ભે લખે છે કે, ‘એક જ અટકવાળાં સમૂહો, જૂથો કે જાતિઓ ભાયાતો હોવા જોઈએ.’ પણ આ વાત જ કથિત ઊંચી જાતિઓને ખટકે છે. તેઓ જ્ઞાતિએ તો ઉચ્ચ થઈ બેઠા છે પણ તેમના જેવી અટક દલિતોની કેમ છે તે વાતે વાંકું પાડે છે. માર્ટિન મેકવાનનો ગ્રામીણ ગુજરાતમાં પ્રવર્તતી આભડછેટનો અહેવાલ જણાવે છે કે ગુજરાતનાં ૬૪.૭ ટકા ગામોમાં દલિતોએ દરબાર પુરુષોને ‘બાપુ’ અને સ્ત્રીઓને ‘બા’ કહીને બોલાવવા પડે છે. મોટી ઉંમરના દલિત સ્ત્રી-પુરુષોને પણ નાની ઉંમરનાં દરબાર બાળકોને બા-બાપુના માનાર્થે સંબોધનથી જ બોલાવવાં પડે છે. હદ તો ત્યારે થાય છે કે ગુજરાત વિધાનસભામાં ક્ષત્રિય મંત્રીઓને અધ્યક્ષ સુધ્ધા ‘બાપુ’નું  સંબોધન કરે છે અને શાયદ વિધાનસભાના અધિકૃત રેકર્ડમાં પણ તે નોંધાતું હશે.

દલિતો કેમ બદલે છે અટકો ?

ભારતીય નાગરિકને કેટલાક પ્રતિબંધો સાથે ધર્મપરિવર્તનનો અધિકાર મળેલો છે, પરંતુ જ્ઞાતિ બદલી શકાતી નથી. કહેવાતા અસ્પૃશ્યો કે નીચલા વર્ણો અટકો બદલી શકે છે. નામ પણ બદલી શકે છે. તબીબી કૉલેજોમાં દલિત વિદ્યાર્થીઓને જ્ઞાતિને કારણે ભેદભાવનો ભોગ બનવું પડે છે. તેથી મેડિકલ કૉલેજોના દલિત વિદ્યાર્થીઓ અને ડૉકટર્સ, કૉન્ટ્રાક્ટર્સ, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવા માંગતા અને અન્ય વ્યાવસાયિકો પોતાની અટકો બદલે છે. પંદરેક વરસ પૂર્વે ડૉ.હસમુખ પરમારે દલિતોના અટક બદલવાના વલણનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો જે પછીથી ‘ન ઓળખાવાની નવીન તરાહ-અટક બદલો’ પુસ્તક રૂપે પણ પ્રગટ થયો છે. આ અભ્યાસના સર્વેક્ષણનું તારણ હતું કે ૩૦થી ૪૦ વરસના ૪૬.૬૭ ટકા દલિતોએ પોતાની અટકો બદલી હતી. અટક બદલવાનાં કારણો અસ્પૃશ્યતા, અપમાન, અન્યાય, બાળકોના ઉચ્ચ અભ્યાસ, વ્યવસાય , ધર્મપરિવર્તન અને લઘુતાગ્રંથિ હતાં. જે આજે પણ અકબંધ છે. જો કે ઉચ્ચ જ્ઞાતિની અટકો ધારણ કરવા છતાં ૮૩.૩૩ ટકા લોકોને તેમના સામાજિક દરજ્જામાં બદલાવ આવ્યાનું લાગ્યું નથી. સર્વેક્ષણ હેઠળના જે ૪૦ ટકા લોકોએ અટક બદલવાથી લાભ થયાનું જણાવ્યું હતું, તેમણે અટક બદલ્યા પછી જ્ઞાતિની ઓળખ ન થયાનો, સારી વર્તણૂકનો, અન્ય પ્રાંતના ગણી લીધાનો, ખાનગી ક્ષેત્રમાં નોકરી મળ્યાનો લાભ થયાનું જણાવ્યું હતું.

મેડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન નામ-અટક બદલનાર જાણીતા આંબેડકરી લેખક – કર્મશીલ ડૉ. પારિતોષ શાહે એક વાર કહ્યું હતું કે “આટલાં વરસે હવે ક્યારેક લાગે છે કે મારે મૂળ અટક સાચવી રાખીને સામાજિક સ્વીકૃતિ માટે સંઘર્ષ કરવો જોઈતો હતો. “અમદાવાદની સિવિલ હૉસ્પિટલના મનોરોગ વિભાગના નિવૃત્ત વડા અને બી.જે. મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. ગણપત વણકરે તેમની જ્ઞાતિ અને વ્યવસાયસૂચક મૂળ ‘વણકર’ અટક જાળવી રાખી છે. જાણીતાં ગાયિકા દિવાળીબહેન ભીલને પણ પોતાની ભીલ અટકની કોઈ નાનમ નહોતી. જો કે આવડત કે ક્ષમતા પર અટકને હાવી ન થવા દેતાં આવાં ઉદાહરણો બહુ ઓછાં જોવા મળે છે. જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના નિવૃત્ત વડા ડૉ. મનુભાઈ મકવાણાએ પોતાની અટક તો જાળવી રાખી છે, પરંતુ તેમનાં સંતાનોની અટક બદલાવીને તેમના ગામની સ્મૃતિમાં ‘શેરડીવાળા’ રાખી છે. રૂંવે-રૂંવે પ્રતિબદ્ધ નીરવ પટેલની ઓળખ કાયમ દલિત કવિની જ રહી છે, પરંતુ તેમણે નામ અને અટક બદલ્યાં હતાં ! 

અટકનાબૂદી જ્ઞાતિનાબૂદીની દિશાનું  પ્રથમ પગલું

ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘અટક’નો પર્યાય ‘અડક’ જણાવી તેનો અર્થ ‘ગોત્ર, ધંધો, કે વતન ઇત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ’ એવો દર્શાવ્યો છે.(પૃષ્ઠ-૧૩) લોકબોલીમાં ‘શાખ’, ‘નુખ’ અંગ્રેજીમાં ‘સરનેમ’ અને સંસ્કૃતમાં ‘અવટંક’ જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં ‘નડતર’ કે ‘અવરોધ’ પણ આપ્યો છે, જે દલિતો માટે યથાર્થ છે. વરિષ્ઠ કર્મશીલ પત્રકાર ઇન્દુકુમાર જાની અટકોને ‘જાતિપ્રથાના પર્યાયરૂપ અને સમાનતાની વિરોધી’ ગણે છે. સાધુ સચ્ચિદાનંદે દલિતોને ‘જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા’ અપીલ કરી હતી. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ્‌ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ધૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકો નાબૂદ થાય તે જ્ઞાતિનાબૂદીની દિશામાં પ્રથમ પગલું બની શકે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 05-06

Loading

ધીરુબહેનની શબ્દસૃષ્ટિ

દીપક મહેતા|Opinion - Opinion|29 May 2021

“૨૯મી મેનો સૂર્ય ઊગ્યો ને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા,

આખું જગત હસ્યું કે ગાંધીજીએ ઉપવાસ છોડ્યા.”

૧૯૩૩ના મે મહિનાની ૨૯મીનો દિવસ એટલે શબ્દની સૃષ્ટિમાં ધીરુબહેનના વિધિવત્ પ્રવેશનો દિવસ. તે દિવસે તેમને સાત વર્ષ પૂરાં થયાં. ડાયરી લખવાની શરૂઆત તો તે પહેલાંથી કરેલી. તેમાં જન્મ દિવસ વિષે લખવાને બદલે તેઓ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા એ વિષે લખે છે. આ લખાણમાં કૈંક એવું ગદ્ય દેખાય છે કે ભવિષ્યને માટે આશા જન્માવે. એટલે કે ધીરુબહેન છેલ્લાં ૮૫ વર્ષથી પોતાની શબ્દસૃષ્ટિનું સર્જન કરી રહ્યાં છે. આટલા લાંબા સમયગાળા દરમ્યાન સર્જાયેલી અને હજી આજે પણ સર્જાતી રહેલી શબ્દસૃષ્ટિની વાત પંદર મિનિટમાં કરવી એ ધીરજબાળા જેવા પાંચ અક્ષરના નામને બે અક્ષરમાં સમાવી લેવા જેટલું સહેલું કામ નથી. હા, ધીરુબહેને શું નથી લખ્યું એની વાત સહેલાઈથી, બે મિનિટમાં થઇ શકે. અભ્યાસી સાહિત્યનાં. અધ્યાપક સાહિત્યનાં. એટલે વિવેચન લખવા તરફ કલમ વળે એ સ્વાભાવિક. એવું થોડું લખ્યું પણ ખરું. પણ પછી એક દિવસ ટાગોર રોડ અને સરસ્વતી રોડ (રોડનાં નામો પણ કેટલાં અર્થસમર્પક છે!) એ બે રોડને નાકે ગુરુવર્ય રામભાઈ બક્ષીએ ધીરુબહેનને ઊભાં રાખ્યાં અને લાલ બત્તી ધરી દીધી : “ધીરુબહેન! હવે બસ. લખવા માંડો. આ દિશામાં આગળ વધી જશો તો અમારી માફક પંડિત ને વિવેચક થઇ જશો.” ‘ગુરવે નમઃ’માં માનતાં ધીરુબહેને તે પછી પાંડિત્યદર્શી વિવેચનો નથી લખ્યાં. માતા ગંગાબહેને એમના જમાનામાં આત્મકથા લખેલી, ‘સ્મૃતિસાગરને તીરે’. પણ હજી સુધી ધીરુબહેન આ બાબતમાં માતાને પગલે ચાલ્યાં નથી. જો કે ધીરુબહેન આત્મકથા નહિ, તો  સંસ્મરણોનું પુસ્તક લખશે એવી આશા છોડી દેવાની જરૂર નથી.

કારણ? કારણ સર્જક તરીકે, પોતાની અને પોતીકી શબ્દસૃષ્ટિના વિધાયક તરીકે ધીરુબહેન અનપ્રેડિકટેબલ રહ્યાં છે, હંમેશ. મુનશી પાસેથી કાવ્યસંગ્રહની આશા ન રાખી શકાય. ઉમાશંકર ગઝલ સંગ્રહ પ્રગટ ન કરે. તારક મહેતા વિવેચન લેખો ન લખે. આવાં વિધાન સહેલાઈથી કરી શકાય. પણ ધીરુબહેન અમુક લખશે, કે નહિ લખે એવું વિધાન કરવામાં પૂરેપૂરું જોખમ. કારણ એ બીજાને પૂછીને નહિ, પણ પોતાની જાતને પૂછીને લખનારા લેખક છે. ૨૦૦૫માં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ ‘કિચન પોએમ્સ’ પ્રગટ થયો તે પહેલાં કોઈએ ધાર્યું નહિ હોય કે આવાં, અલાયદાં, આગવાં કાવ્યોનો સંગ્રહ ધીરુબહેન આપશે, અને તે પણ અંગ્રેજીમાં. બીજી કેટલીક  ભાષાઓમાં તેના અનુવાદ થયા પછી, તેનું નાટ્ય રૂપાંતર સફળતાથી ભજવાયા પછી, આ કાવ્યોનો ગુજરાતી અનુવાદ હવે ધીરુબહેને પોતે કર્યો છે.

ધીરુબહેન અનપ્રેડિકટેબલ છે કારણ કોઈ વ્યક્તિ, વાદ, વાડા, કે વિચારધારામાં તેઓ ક્યારે ય બંધાતાં નથી. શું લખવું કે શું ન લખવું એ બીજું કોઈ તો ધીરુબહેનને ન જ કહી શકે, પણ ખુદ ધીરુબહેન પોતે પણ પોતાને કહેતાં નથી. ધીરુબહેનનો પહેલો વાર્તાસંગ્રહ ‘અધૂરો કોલ’ ૧૯૫૫માં પ્રગટ થયો. પહેલી નવલકથા ‘વડવાનલ’ ૧૯૬૩માં. જરા યાદ કરો. એ દિવસો એટલે પ્રયોગ પરાયણતા, ઘટનાલોપ, ભાષાકર્મ, આકૃતિપરસ્તીના પૂરના દિવસો. વિશ્વામિત્રીનાં પૂરનાં પાણી ગુજરાતી સાહિત્યના ઘણા મોટા પ્રદેશ પર ફરી વળેલાં. ધીરુબહેન એ પ્રવાહ સાથે તર્યાં હોત તો ઝડપથી ઉપર આવી ગયાં હોત. પણ પછી આગળ વધી શક્યાં હોત ખરાં? પૂરનાં પાણી ઓસર્યા પછી તેમનો શબ્દ તરતો ન રહ્યો હોત. વિશ્વામિત્રીના કાંઠે ખડકાયેલા તૂટેલા તરાપાઓમાં એકનો વધારો થયો હોત.

ધીરુબહેન અનપ્રેડિકટેબલ છે કારણ એ બીજા કોઇથી તો નથી જ બંધાતાં, પણ પોતે અગાઉ જે લખ્યું તેનાથી પણ બંધાઈને રહેતાં નથી. પોતાની સફળ કૃતિનું પણ ક્યારે ય અનુકરણ કરતાં નથી. આથી તેમનો શબ્દ સદાબહાર રહ્યો છે. જન્મ વડોદરામાં, વતન ધર્મજ, પણ જીવનનો મોટો ભાગ મુંબઈમાં. છેલ્લાં થોડાં વર્ષોથી અમદાવાદવાસી બન્યાં છે, પણ અમદાવાદી બન્યાં નથી. બની શકે જ નહીં, કારણ મુંબઈ એમના લોહીના લયમાં ભળેલું છે. ગામડાને જાણે છે, ગુજરાતને ચાહે છે, પણ તેમનો શબ્દ નાગરિક, બલકે મહાનાગરિક છે. મુંબઈ જેવા મહાનગરના જીવનનું આભિજાત્ય તેમની શબ્દસૃષ્ટિમાં છલકે-મલકે છે. ક્યારેક ગ્રામીણ પાત્રો, વાતાવરણ, ભાષા-લહેકો તેમની કૃતિઓમાં જોવા મળે, પણ ગામડિયાપણું ક્યાં ય, ક્યારે ય, જોવા ન મળે. શહેરી સોફિસ્ટીકેશન એ ધીરુબહેનનાં લખાણોનું ધ્યાન ખેંચે તેવું લક્ષણ છે.

‘આગંતુક’ માટે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં પૂછ્યું હતું: “તમારો ઉછેર એક ગાંધીવાદી કુટુંબમાં થયો. આજે પણ તમે ખાદી જ પહેરો છો. પણ લેખક તરીકે તમને ‘ગાંધીવાદી’નું લેબલ લગાડી શકાય એમ નથી. આનું કારણ શું?” ત્યારે જવાબમાં તેમણે કહેલું: “હું ગાંધીજીને ચાહું છું કારણ ગાંધીજી ‘ગાંધીવાદી’ નહોતા.” પછી કહે : “હું ગાંધીવાદી ન બની તેનું કારણ મારા પિતાજી. મારાં બા ચુસ્ત ગાંધીવાદી ખરાં. હું તો જન્મી ત્યારથી ખાદીમાં. પણ મારા પિતાજી તો વ્યક્તિસ્વાતંત્ર્યમાં એટલું બધું માને. મારા કાન વિંધ્યા વગરના છે. પિતા કહે કે એ હજી બોલતી થઇ નથી ને આપણાથી કેવી રીતે એના કાન વિંધાય? અમારા ઘરમાં એક ખુશનુમા વાતાવરણ હતું. સોગિયું ગાંધીવાદી વાતાવરણ નહોતું.”

ધીરુબહેનને જેમ ‘ગાંધીવાદી’નું લેબલ ન લગાડી શકાય, તેમ ‘નારીવાદી’નું લેબલ પણ ન લગાડી શકાય. તેમની કેટલીક કૃતિઓ નારીકેન્દ્રી છે, નારી માટેની સાચકલી કન્સર્ન તો લગભગ દરેક કૃતિમાં જોવા મળે. અંગ્રેજી નારીવાદી સાહિત્યનો સારો અભ્યાસ. આ અંગે ધીરુબહેને કહ્યું છે : “હું નારીવાદી ન બની શકું. કારણ કે મને પુરુષો ગમે છે. હું ખરેખર એવું નથી માનતી કે દરેક પુરુષ રાક્ષસ છે, ને દરેક સ્ત્રી દેવી જ છે. હું નારીવાદી નથી જ કારણ આ તદ્દન બ્લેક, આ તદ્દન વ્હાઈટ એવું નથી. આખા સમાજમાં જુઓ તો સ્ત્રીઓને ભાગે વધુ અન્યાય અને દુ:ખ છે, પણ મેં અંગત રીતે આ બધું વેઠ્યું નથી એટલે મને એ અંદરથી નથી થતું.”

હકીકતમાં ધીરુબહેને પોતાની જાત પર કોઈ પ્રકારનાં લેબલ લાગવા દીધાં નથી. એટલે જીવન અને સાહિત્ય, બન્નેની બાબતમાં તેઓ ઓપન રહે છે. એમને કશાનો છોછ નથી. એ ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ માટે લખે તો વ્યવસાયી ફિલ્મ કે રંગભૂમિ માટે પણ લખે. રેડિયો, ટેલિવિઝન, અને વેબસાઈટ માટે પણ લખે. અને એ માધ્યમોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને લખે. અંદરની લાગણીથી લખે તો બીજાની માગણીથી પણ હાજરાહજૂર લખી આપે. ગુલાબદાસ બ્રોકર ગાંધીવાદી ટૂંકી વાર્તાઓનું સંપાદન કરતા હતા ત્યારે તેમણે ધીરુબહેન પાસે એવી એક વાર્તા માગી. ધીરુબહેન કહે કે એવી વાર્તા મારી પાસે છે તો નહિ, પણ તમે બે કલાક થોભો તો લખી આપું. ‘મહાત્મા અને માણસ’ વાર્તા લખી. બ્રોકરને તો એ ગમી જ, પણ પછીથી આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ એ વાર્તા લેવાઈ. લખવા માટેનું નિમિત્ત ભલે ગમે તે હોય, ધીરુબહેન બહુ સહજતાથી પ્રોફેશનલ રાઈટિંગ અને કમર્શિયલ રાઈટિંગ વચ્ચેની ભેદરેખા સભાનતાથી જાળવે.

ધીરુબહેન ઓપન રહી શક્યાં છે કારણ બીજાને શું લાગશે, બીજા શું કહેશે એની પરવા ધીરુબહેને કરી નથી. એ માટેનો ઈશારો માતા ગંગાબહેન તરફથી પ્રમાણમાં વહેલો મળી ગયો હતો. ‘વડવાનલ’ નવલકથાનું એક એક પ્રકરણ દર અઠવાડિયે લખાતું અને છપાતું. ત્રીજા પ્રકરણ વખતે ધીરુબહેનને વિચારમાં ડૂબેલાં જોઇને બાએ પૂછ્યું : “શું થયું છે?” ધીરુબહેન કહે : “બા, લોકો મને એવું પૂછે છે કે આ તમારો અનુભવ છે? તમારાં બા તરફથી તમારી અવગણના થયેલી? મને ચિંતા થાય છે કે હવે હું શું કરું? કારણ કે હજી તો કાંઈ નથી, આગળ ઉપર તો ઘણું ઘણું થવાનું છે. પછી લોકો શું કહેશે?” બાએ ફક્ત એટલું જ કહ્યું : “લોકોની દરકાર કરે તેનાથી લેખક થવાય?” બાએ જે ‘લોકો’ની વાત કરી હતી, તેમાં વિવેચકોનો સમાવેશ પણ થઇ જાય. લોકપ્રિયતાની સૂગ નહિ, પણ તેને શરણે જવાનું નહિ. વિવેચન અને વિવેચકો માટે અનાદર નહિ, પણ બાબા વાક્યમ્ પ્રમાણમ્ એમ માનવાનું નહિ.

પહેલાં બે પુસ્તક, વાર્તાસંગ્રહ ‘અધૂરો કોલ’ અને નાટ્યસંગ્રહ ‘પહેલું ઇનામ’ ૧૯૫૫માં પ્રગટ થયાં. ત્યારે ધીરુબહેનની ઉંમર ૨૯ વર્ષની. આજે ઉંમરના આંકડા અરસપરસ બદલાઈ ગયા છે. પણ ધીરુબહેનની કલમ હજી સતત ચાલતી રહી છે, તાજગી અને નજાકત ગુમાવ્યા વગર. બાળપણમાં પુસ્તકો વાંચવા માટે ધીરુબહેન પાસે એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ મહેલ હતા. હંસરાજ વાડીમાંનું મોટું વડનું ઝાડ તે પહેલા નંબરનો મહેલ. દક્ષિણ દિશાએ આવેલી ઘટાદાર આમલી તે બીજા નંબરનો મહેલ. અને ઘરને અડીને આવેલી નાની ચિકૂડી તે ત્રીજા નંબરનો મહેલ. નિશાળેથી આવીને, એકાદ પુસ્તક લઈને ત્રણમાંથી એક મહેલમાં જતા રહેવાનું. લેખક ધીરુબહેને તેમના વાચકો માટે પણ ત્રણ મહેલનું સર્જન કર્યું છે. દરેક મહેલ ત્રણ-ત્રણ માળનો. પહેલો મહેલ તે ફિક્શનનો મહેલ. તેના ત્રણ માળ તે નવલકથા, લઘુનવલ, અને વાર્તા. બીજો મહેલ તે ડ્રામેટિકનો મહેલ. તેના ત્રણ માળ તે ત્રિઅંકી નાટક, એકાંકી, અને રેડિયો-ટેલિવિઝન-ફિલ્મ માટે લખેલી સંહિતા કહેતાં સ્ક્રીપ્ટનો. બાળપણમાં ‘નાની ધીરુ’ ‘મોટી ધીરુ’ને નિયમિત રીતે પત્રો લખતી. એક પત્રમાં લખેલું : “વચન આપ કે તું ભૂલી નહિ જાય કે વાંચવાની સારી ચોપડી ન મળે ત્યારે કેવું દુ:ખ પડે છે. નાનાં છોકરાંઓ માટે તો જરૂર જરૂર લખજે.” ‘મોટી ધીરુ’ આ વાત ક્યારે ય ભૂલી નથી. એટલે તેણે રચ્યો બાળકો માટેનાં પુસ્તકોનો ત્રીજો મહેલ. તેના ત્રણ માળ તે બાળકો માટેનાં કાવ્યો, કથાઓ, અને નાટકો.

જેને નિમિત્તે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો તે ‘આગંતુક’નું પહેલું પ્રકરણ શરૂ થાય તે પહેલાં ધીરુબહેને એક વાક્ય મૂક્યું છે : “રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત.” ધીરુબહેનનો શબ્દ જ નહિ, તેમનું વ્યક્તિત્ત્વ પણ આ પંખી જેવું છે. આ જીવન અને જગતની મહેફિલને તેઓ એક પલકારામાં આંખમાં ભરી લે છે, પણ તેમાં અટવાતાં નથી. પોતાની સર્જકતાની પાંખો ફેલાવી આગળ નીકળી જાય છે, બહારના જ નહીં, વાચકની અંદરના પણ અંધકારને થોડો ઉજાળવા માટે. કોઈ પણ સર્જકનો શબ્દ આટલું કરી શકે તો તેનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે?

આપ સૌનો, લેખિનીનો, અને મુરબ્બી મિત્ર ધીરુબહેનનો આભાર.

e.mail : deepakbmehta@gmail.com

[ધીરુબહેન પટેલની 96મી જયંતી ટાંકણેના અવસરે આપેલું વક્તવ્ય]

Loading

મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2021

૨૦૦૭ની રાષ્ટ્રીય કૃષિનીતિ ભલે ‘જેની રોજી ખેતી પર નિર્ભર હોય’ તેને અર્થાત્‌ સ્ત્રી-પુરુષ સૌને ખેડૂત ગણે, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં પુંલ્લિંગ શબ્દ ખેડૂતનો અર્થ, ‘ખેડવાનો ધંધો કરનાર કે તે વર્ગનો આદમી’ જણાવ્યો છે ! ‘ગૂગલ’ તો એથી આગળ વધીને ‘જે ખેતરનો માલિક કે પ્રબંધક છે’ તેને જ ખેડૂત ગણે છે. જેમ મોટા, મધ્યમ અને સીમાંત ખેડૂત, જમીનમાલિક અને જમીનવિહોણા ખેડૂત એવા વર્ગ છે, તેમ પુરુષ ખેડૂત અને મહિલા ખેડૂત એવા પણ બે વર્ગ ભારતીય કૃષિક્ષેત્રે પ્રવર્તે છે. ત્રણ કૃષિકાયદા વિરુદ્ધના વર્તમાન કિસાન-આંદોલનમાં મહિલા-કિસાનો બરાબરની ભાગીદાર છે, પણ સમાજમાં મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ઇતિહાસ ગવાહ છે કે ખેતીની શરૂઆત સ્ત્રીઓએ કરી હતી. જ્યારે મનુષ્યની આદિમ અવસ્થામાં પુરુષો શિકારની શોધમાં જતા હતા, ત્યારે સ્ત્રીઓએ જ સૌ પ્રથમ બી એકઠાં કરી તેને ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. શ્રમબળ સર્વેક્ષણ ૨૦૧૮-૧૯માં જણાવ્યા પ્રમાણે ભારતનાં ગામડાંઓમાં ૭૧.૧ ટકા સ્ત્રીઓ અને ૫૩.૨ ટકા પુરુષો ખેતીનાં કામો કરે છે. યુવાન જ નહીં, તમામ ઉમરની મહિલાઓ ખેતીનાં કામોમાં જોતરાયેલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫થી ૯ વરસની ૧.૨૦ લાખ બાળકીઓ અને ૮૦ વરસથી વધુ ઉમરની ૧.૨૧ લાખ વૃદ્ધાઓ ખેતીનું કામ કરે છે. 

દેશમાં ખેડથી ખળા અને બીથી બજાર સુધીનાં ૭૫થી ૮૦ ટકા ખેતીનાં કામો મહિલાઓ કરે છે પરંતુ તે ખેડૂત નહીં. ખેતીકામની સહાયક કે કામદાર ગણાય છે. એટલું જ નહીં, આપણાં ખેતઓજારો મહિલાઓના પહેરવેશને અનુકૂળ આવે અને તેને કામ કરવામાં સરળતા રહે એવાં નથી. પુરુષોના ભાગે આવતા ખેડવા, લણવાનાં કામોમાં યંત્રોની શોધ થઈ છે અને ઉપયોગ વધ્યો છે, પણ મહિલાઓનાં નીંદામણ-ગોડામણનાં કૃષિકામોમાં કોઈ યંત્રો શોધાયાં નથી એટલે તેની શારીરિક મહેનત યથાવત્‌ રહી છે.

વધુ શારીરિક શ્રમનાં ખેતીકામો પણ મહિલાઓને જ કરવાં પડે છે. ઘૂંટણસમા પાણીમાં અદૂકડા વળીને ડાંગરનાં ધરુ રોપવાનું અને બી સિવાયની ધાનની રોપણીનું કામ મહિલાઓના માથે મરાયું છે. પરંતુ ન તો તેને ખેતીકામનું વળતર મળે છે કે ન તો શ્રેય. ગૃહસ્થી અને ખેતી બંને મહિલા સંભાળે છે ‘શ્રમશક્તિ’ રિપોર્ટમાં ઉલ્લેખાયા મુજબ આ બંનેનો બોજ સહે છે. ૧૮ ટકા ખેતી ધરાવતાં કુટુંબોનું નેતૃત્વ મહિલાઓ પાસે હોવાનું ‘નૅશનલ સેમ્પલ ઑર્ગેનાઇઝેશન’નો સર્વે જણાવે છે, તો ખેતીની આવક પર ૮ ટકા મહિલાઓને જ હક હોવાનું સાવ સામા છેડાનું તારણ ‘ઑક્સફામ ઇન્ડિયા’ના ‘સન ઓફ ધ સૉઇલ’ સર્વેનું છે. ટૂંકમાં, ખેતીને લગતા નિર્ણયોમાં મહિલાનો કોઈ અવાજ નથી, આવકમાં ભાગ નથી અને જમીનની માલિકી નથી. તેના લમણે તો વૈતરું જ લખાયેલું છે.

નૅશનલ પૉલિસી ફોર ફાર્મર્સ – ૨૦૦૭માં જેન્ડર સંતુલન સાથે ખેડૂતની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી છે. પરંતુ પિતૃસત્તાક સમાજવ્યવસ્થા મહિલાને ખેડૂત માનવાનો જ ઇન્કાર કરે છે. ધર્મ, જાતિ, પરંપરા, સંસ્કૃતિ, સામાજિક પૂર્વગ્રહો, એકાધિકાર જેવાં કારણો મહિલાઓને જમીન-માલિકીના અધિકારથી વંચિત રાખે છે. સમગ્ર દેશની ૯.૪ કરોડ હેક્ટર ખેતજમીનમાંથી મહિલાઓ પાસે ૧.૫૮ કરોડ હેક્ટર જમીન જ છે. ૩૦.૯૯ લાખ મહિલાઓ ૨ હેક્ટરથી ઓછી અને માત્ર ૬૬ હજાર ૨૦ હેક્ટરથી વધુ ખેતજમીનોની માલિકણ છે. દલિત મહિલા-કિસાનો સરેરાશ ૦.૬૮ હેક્ટર અને આદિવાસી મહિલા-કિસાનો સરેરાશ ૧.૨૩ હેક્ટર જમીનની માલિકી ધરાવે છે.  

ભારતમાં કૃષિસંલગ્ન મહિલા શ્રમિકોની સંખ્યા ૭૩.૨ ટકા છે પણ જમીનમાલિકી માંડ બાર-તેર ટકા પાસે જ છે. દર પાંચ વરસે થતી કૃષિ જનગણના મુજબ ૨૦૦૫-૬માં ૧૧ ટકા (૧.૫૧ કરોડ), ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા (૧.૭૬ કરોડ) અને ૨૦૧૫-૧૬માં ૧૩.૮૭ ટકા (૨.૦૨ કરોડ) મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે. મહિલાઓની જમીનમાલિકીમાં દેખાતો આ વધારો છેતરામણો છે. મહિલા હસ્તકની તમામ જમીનો ખેતીયોગ્ય નથી. જેમ કે ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા માલિકીની જમીન પૈકી ૧૦.૩૯ ટકા જ ખેતી યોગ્ય હતી. જ્યાં જમીનની માલિકી છે, ત્યાં મહિલાઓ પાસે તેનો ભોગવટો કે વાસ્તવિક નિયંત્રણ નથી તેમ પણ જોવા મળે છે. ૨૦૨૦નો સર્વે દેશનાં અગિયાર રાજ્યોમાં સ્ત્રીઓની જમીનમાલિકી ઘટ્યાનું જણાવે છે.

મહિલાઓને જમીનનો અધિકાર મળે તેવી કાયદાકીય જોગવાઈઓનો પણ અમલ થતો નથી. હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ તથા ૨૦૦૫માં થયેલા સુધારા છતાં, ૨૦૧૮માં આત્મહત્યા કરનારા ૨૯ ટકા ખેડૂતોની વિધવાઓ, પતિની જમીન પોતાના નામે કરાવી શકી નથી. કાયદાનુસાર ૩૦ દિવસમાં સંમતિ હસ્તાંતરણ કરી દેવું પડે છે. પતિના મૃત્યુ પછી સ્ત્રીને સામાજિક બંધનોને કારણે લાંબો સમય ઘરમાં ભરાઈ રહેવું પડે છે, તેથી પણ માલિકીના ફેરબદલામાં અડચણ ઊભી થાય છે. એક મોજણીનું તારણ દર્શાવે છે કે ૮૩ ટકા કૃષિજમીનનો વારસો પુરુષોને મળ્યો છે. જમીનની માલિકી સ્ત્રીઓને આત્મનિર્ભર અને પગભર બનાવે છે. તે પિતા, પતિ, પુત્ર કે અન્ય પર આધારિત રહેતી નથી, તેને સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જે કુટુંબ અને સમાજ મહિલાઓને તેમની દયા પર જીવતી જોવા માંગે છે, તે તેમના અધિકાર આડે દીવાલ ખડી કરે છે.

જમીનવિહોણા ખેડૂતો એવા મહિલા કિસાન-શ્રમિકો કે ખેતકામદારોની ઉપેક્ષા અને શોષણ જગજાહેર છે. ખેતી સાથે સંકળાયેલી મહિલાઓમાં આશરે ચાર કરોડ ખેતકામદાર પરિવારની મહિલાઓ છે. ૮૧ ટકા કૃષિ મહિલા શ્રમિકો દલિત-આદિવાસી છે ખેતનાં કામોમાં કુશળ હોવા છતાં આ કામ કરતી પોણા ભાગની મહિલાઓ નામ માત્રનું જ અક્ષરરજ્ઞાન ધરાવે છે. ૨૦૦૧માં ૫૪.૨૮ ટકા ખેડૂત મહિલાઓ હતાં તે ઘટીને ૨૦૧૧માં ૩૬.૯ ટકા થઇ. જ્યારે ૨૦૦૧માં મહિલા ખેતકામદારો ૪૫.૮થી વધીને ૨૦૧૧માં ૬૩.૧ ટકા થયાં. મહિલા કિસાનો ઘટે અને મહિલા ખેતમજૂરો વધે તેવી પરિસ્થિતિમાં મહિલા ખેતમજૂરોને સમાન કામનું સમાન વેતન મળતું નથી. તેમને પુરુષો કરતાં વધુ મહેનત-મજૂરીના કામની પણ ઓછી રોજી મળે છે. જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બને એટલા ઓછા દરે તે કામ કરવા મજબૂર છે. શાયદ એટલે જ તે આત્મહત્યાના અંતિમ માર્ગે પણ જાય છે. રાષ્ટ્રીય અપરાધ-નોંધણી એકમના ૨૦૧૯ના આંકડામાં ૫૭૫ મહિલા ખેતકામદારો અને ૩,૪૬૭ દહાડિયા મહિલા-મજૂરોએ આત્મહત્યા કર્યાનું નોંધાયું છે.

ખેડૂતોના સવાલોની ચર્ચામાં સ્વામિનાથન સમિતિના અહેવાલનો બિનચૂક સંદર્ભ આપવામાં આવે છે. પરંતુ કૃષિવૈજ્ઞાનિક એમ.એસ. સ્વામિનાથને રાજ્ય સભાના નિયુક્ત સભ્યના નાતે મહિલા ખેડૂતો માટે રજૂ કરેલ પ્રાઇવેટ મેમ્બરબિલને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. મહિલા ખેડૂતોના હક અને સરકારની જવાબદારી નક્કી કરતા ‘વિમેન ફાર્મર્સ એન્ટાઇટેલમેન્ટ બિલ, ૨૦૧૧’માં મહિલા કિસાનની ઓળખ અને પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી હતી. ગ્રામસભાની મંજૂરીથી મહિલાને તે ખેતી સાથે સંલગ્ન હોવાનું ગ્રામ – પંચાયત પ્રમાણપત્ર આપે તેવી જોગવાઈ ધરાવતું આ બિલ ૨૦૧૨માં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે પસાર થઈ શક્યું નહોતું. એટલે હજુ પણ તે મહિલા કિસાનોની માંગ તરીકે ઊભું છે. ગામડાંઓમાં પુરુષ ખેડૂતો ખેતી છોડી શહેરો તરફ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને ગામડાંની ખેતીની જવાબદારી મહિલાઓના શિરે આવી છે, તે બાબત ધ્યાનમાં રાખીને પણ વાસ્તવમાં ખેતી સંભાળતી મહિલાઓને તેમનો જમીનમાલિકીનો વાજબી હક આપવો ઘટે.

હાલના ખેડૂત-આંદોલનમાં મહિલાઓની સમાન અને સશક્ત ભાગીદારી પછી મહિલા કિસાનોની ઉપેક્ષા અને ભૂમિ-શ્રમિક સંબંધોનો મુદ્દો આત્મમંથન કરનારો બનવો જોઈએ. ’રાષ્ટ્રીય મહિલા કિસાનદિન’ની ઉજવણી કે સરકારી ‘મહિલા કિસાન સશક્તિકરણ યોજના’થી મહિલા કિસાનોનું દળદર ફિટવાનું નથી. “સો મૈં સત્તર કામ હમારે, લિખો બહી મૈં નામ હમારેં” એ કિસાનની ઓળખ માંગતો મહિલાકિસાન-આંદોલનનો નારો મહિલા-આંદોલકો પૂરતો મર્યાદિત ન બની રહેતાં તે કિસાન-આંદોલનનો પણ એજન્ડા બનવો જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 04-05

Loading

...102030...1,9391,9401,9411,942...1,9501,9601,970...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved