Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધૂંધળા કેડા પર મશાલ લઈને ઊભો છું : વિપુલ કલ્યાણી

સોનલ પરીખ|Diaspora - Features|16 May 2021

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકોને ‘લંડન કૉલિંગ’ કૉલમ અને એના લેખક વિપુલ કલ્યાણી જરૂર યાદ હશે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, શિક્ષકો અને પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં-કરાવ્યાં છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

••••••

‘હું જન્મ્યો આફ્રિકામાં. મોટો થયો ઢેબરભાઈવાળા ગુજરાતમાં અને ગાંધી-વિનોબાના ભારતમાં. ભણ્યો મુંબઈની વિલ્સન કૉલેજમાં. યુનિવર્સિટીમાં એમ.એ. કરતો ત્યારે ઉષાબહેન મહેતા અને આલુબહેન દસ્તૂર મારાં શિક્ષકો હતાં. મણિભવન, ભારતીય વિદ્યાભવન અને ફાર્બસમાં અવરજવર. ચોપાટીની જાહેરસભાઓ, બેઠકોમાં જાઉં. રાજાજી જોડે સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનસાહેબને લેવા એરપોર્ટ પણ ગયો હતો. 60-70ના એ દાયકાઓ કોઈ પણ મુંબઈગરા માટે ગોલ્ડન પિરિયડ સમા હતા. મોટા પત્રકારો-તંત્રીઓ-લેખકો અને દિગ્ગજ નેતાઓ ત્યારે પાક્યા હતા. એમાં પાછી કૉલેજમાં મને પ્રખર સ્વાતંત્ર્યસૈનિકની દીકરી કુંજ મળી ને અમે પરણ્યાં. આમ મનની માટી એવી તૈયાર થતી આવી કે કંઈ ન નીપજે તો જ નવાઈ.’

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે વિપુલ કલ્યાણી અને એમની કલમ અજાણ્યા નથી. આ પૃષ્ઠો પર પ્રગટ થયેલી એમની કૉલમ ‘લંડન કૉલિંગ’ આપણે માણી છે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, પાઠ્યપુસ્તકો અને શિક્ષકો તૈયાર કરાવ્યા છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયા. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસીના વાચકો’ માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

1975માં કટોકટી આવી ત્યારે વિપુલભાઈ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર હતા. બ્રિટિશ પાસપોર્ટ તો હતો જ. તેઓ લંડન ચાલ્યા ગયા અને ત્યાં જ સ્થાયી તયા. બ્રિટનમાં અંગ્રેજી ભાષાનું અને યુરોપના બીજા દેશોમાં જે તે દેશની ભાષાનું સામ્રાજ્ય. આ દેશોમાં વસતા ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેની સમજણ અને લગાવ આવે તેવો ત્યારથી જ વિપુલભાઈનો પ્રયત્ન રહ્યો. એ પહેલા છૂટાંછવાયાં કામો અને પ્રવૃત્તિ થતાં. સામયિકો, કાર્યક્રમો, કવિઓ, લેખકો અને લહિયાઓ, ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો બધું ખરું, પણ એકવાક્યતા નહીં. તેથી ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃતિનો પ્રસાર-પ્રચાર કરવા 1977માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરવામાં આવી.’ અકાદમીનું મહામંત્રીપદ વિપુલભાઈએ 1978ના અરસામાં 37 વર્ષની ઉંમરે સંભાળ્યું અને સન 2010ના માર્ચ અંતે સિત્તેરની ઉંમરે નિવૃત્ત તે પદેથી થયા.

અકાદમીના ઉપક્રમે નવ ‘ભાષા-સાહિત્ય પરિષદો’ યોજાઈ. મુશાયરા, નાટક, કૃતિવાંચનસભા, વગેરે પણ યોજાતાં રહ્યાં. છ પાઠ્યપુસ્તકો મુંબઈસ્થિત ‘નવભારત સાહિત્ય મંદિરે’ પ્રકાશિત કરેલાં. ‘આચમન’ નામે ડાયસ્પોરિક સાહિત્યસંગ્રહની ચોપડી થઈ. મર્યાદિત અને સીમિત સહકાર સતત મળતો રહ્યો. અકાદમી, અકાદમીની પ્રવૃત્તિ તેમ જ વ્યક્તિ તરીકે વિપુલભાઈ અરસપરસ રસાયાં, સમૃદ્ધ બન્યાં અને વિકસ્યાં.

‘ઓપિનિયન’ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પત્રકાર-લેખકના જીવને આંદોલન માટે કોઈક પત્રિકા તો જોઈએ. પત્રિકા વગર લોકઘડતરનું કામ થઈ શકે નહીં. ચારે તરફ ફેલાયેલા ગુજરાતીઓ માટે એક પ્લેટફોર્મ પણ ઊભું કરવું હતું. એટલે ૧૯૯૫માં ‘ઓપિનિયન’ શરૂ કર્યું. એ અંગે મારે બે વ્યક્તિઓનાં પ્રદાનને ખાસ યાદ કરવું જોઈએ. પછીતે રહીને સૌથી મોટો ભોગ કુંજે આપ્યો છે. ઘરખટલાથી મને બને તેટલો મુક્ત રાખે. ઉપરાંત લેખો જુવે-વાંચે, ટીકા પણ કરે, સમજણ પણ આપે. એનું વાંચન મારા કરતાં પણ અગાધ અને સમજણવાળું છે. બીજા મારા મિત્ર રમણભાઈ ડી. પટેલે ‘ઓપિનિયન’ને ઊભું કરવા માટે તન-મન-ધનથી જહેમત ઉઠાવી. ‘ઓપિનિયન’ નામ સૂચવે છે તેમ તેમાં અભિપ્રાય, મત, વિચાર વગેરેને સ્થાન હતું. પણ ‘ઓપિનિયન’નો વિશાળ અર્થ પ્રગટ કરે તેવો ગુજરાતી પર્યાય મળ્યો નહીં તેથી એ જ નામ રાખ્યું. ઉપરાંત મહાત્મા ગાંધીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ તો ખરું જ, પણ અમારા ટાન્ઝાનિયાના ઝાંઝીબારમાં વર્ષો પહેલાં ‘જંગબાર ઓપીનિયન’ શરૂ થયેલું અને હું વિલ્સન કૉલેજમાં મુંબઈ ભણતો ત્યારે ત્યાં એ.ડી. ગોરવાલા નામના એક આઈ.સી.એસ. ઓફિસરે નિવૃત્ત થયા પછી ‘ઓપીનિયન’ નામની પત્રિકા બહાર પડેલી. એ પોતે બહાર નીકળીને લોકોને વહેંચતા, અને એમાં મુખ્ય પ્રવાહનાં છાપાંઓ અને સામયિકો લેતાં ડરે એવી સામગ્રી મૂકતા. ‘ઓપિનિયન’ નામ પાછળ આ ત્રણનો પ્રભાવ પણ ખરો. ‘ઓપિનિયન’માં ગુજરાતી ડાયસ્પોરાના પ્રશ્નોની રજૂઆત કરતાં લેખો, કાવ્યો વગેરે બધું જ આપી શકાયું છે, અને એને આધારે કેટકેટલાં પુસ્તકો પણ થયાં છે. સંઘર્ષ તો આવે. હિતો પણ ટકરાય. પણ ટટ્ટાર ઊભા રહેવાનું – સ્વાન્તસુખાય.’

‘શરૂઆતનાં પંદર વર્ષ તો એ મુદ્રિત સ્વરૂપે આવતું. એ વખતે લેખો પસંદ કરવાના, ટાઈપ કરવાના, પ્રિન્ટ કાઢવાની, પાનાં બાંધવાનાં, અંકો પોસ્ટ કરવાના બધું ઘરમાં જ, એકલે હાથે કરતો. સવારે 3-4 વાગ્યે ઊઠું ને કામે વળગું. સામગ્રી માનવધર્મને સંકોરે ને છેવાડાના માણસનું હિત ચિંતવે એવી પસંદ કરું. પછીનાં ત્રણ વર્ષ ડિજિટલ સ્વરૂપે પી.ડી.એફ.માં આવ્યું અને એ વર્ષોમાં વેબસાઈટ ઉપર ગયું છે. રોજેરોજ કંઈક નવી સામગ્રી એની વેબસાઈટ ઉપર મૂકાતી આવે છે. 76 લાખથી વધારે વિઝિટર્સ થયા છે. એના વાચકો માત્ર યુનાઈટેડ કિંગ્ડમ અને ભારતમાં નથી, પણ નાના નાના દેશોમાં પણ એના વાચકો છે. પાકિસ્તાનના મિત્રો પણ ‘ઓપિનિયન’ જોતા હોય છે.’

પચીસ વર્ષ પૂરા કરવાની ઘટના માટે વિપુલભાઈએ ‘રજત રાણે ઓપિનિયન’ એવા શબ્દો યોજ્યા છે, ‘રજતને પચીસ વર્ષની વાત સાથે સાંકળું, અને રા’ણનું બહુ સરસ મજાનું વૃક્ષ અને રાયણનાં મીઠાં, મજેદાર ફળ. તો એને છાંયડે બેસીને એક પડાવ કર્યો છે. શરૂ કર્યું ત્યારે કુંજની દસ વર્ષની મર્યાદા હતી, મારી પંદર વર્ષની હતી, એ વધીને આજે પચીસે પહોંચાયું છે. આ છવીસમું વર્ષ છે. મને ખબર નથી કે હવે કેટલું લાંબુ ખેંચી શકાશે.

અકાદમી અને ડાયાસ્પોરા લેખકો વિશે તેઓ કહે છે. ‘અકાદમીએ નક્કર કાર્યો ઘણાં કર્યાં છે. પણ બ્રિટનમાં આજે ગુજરાતી ભાષા એવી જગ્યાએ ઊભી છે જ્યાંથી કેડો ધૂંધળો થતો લાગે છે. યુરોપ અને અમેરિકામાં ગુજરાતી ભાષાનો સૂર્ય હળવે હળવે આથમતો જવાનો છે તે વાત નક્કી. ગુજરાતી ડાયસ્પોરાના બંકાઓ પોતાની કલમ સતત ઘસ્યા કરે; વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસ કર્યા કરે તો તે લેખક, કવિ થાય ખરા. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળ હોય, અભ્યાસ અને અધ્યાસ પણ હોય તો તે સાહિત્યકાર પણ બની જાય અને પછી તળને અને બૃહદ્દને ઝળાંહળાં કરી જાય તેમ બને.’

વર્તમાન પરિસ્થિતિ વિશે તેઓ ખેદપૂર્વક કહે છે, ‘હવે ધોરણો કથળી ગયાં છે. આપણે કથળવા દીધાં છે. ધનની, સત્તાની છડેચોક પૂજા થાય છે. ગાંધીજી પૂરા વિવેકથી વર્તતા ને સત્તાને, શોષણને પડકારતા એ તાકાત રહી નથી. જાતને પૂછવાની જરૂર છે કે ક્યાં શું ચૂક્યા છીએ.’

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશ ન. શાહ ચૂંટાયા એ પછીની સભામાં વિપુલભાઈએ જે કહ્યું તેમાં ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા-સાહિત્ય તરફની એમની વ્યાપક ખેવના દેખાય છે : ‘આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ પરિષદે ગુજરાતના અને ભારતના સીમાડાઓ ઓળંગવા જોઈશે. અમે બ્રિટનમાં નક્કર કામ કર્યું છે. અન્ય દેશોએ સરસ ગુજરાતી કવિલેખકો આપ્યાં છે, તે દરેકને ગુજરાતી સાહિત્ય પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. ગુજરાતનાં ગામોથી માંડી દુનિયાના ખંડે ખંડે વિસ્તરેલી ગુજરાતી જમાત પરાયી નહીં રહેવી જોઈએ. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો’, આમ કહી વિપુલભાઈએ એક સદી પહેલાનું પણ અર્થદૃષ્ટિએ તાજુંમાજું એ પ્રસિદ્ધ અને પ્રેરણાદાયક ગાંધી-અવતરણ ટાંક્યું હતું, ‘મારું ઘર બધી બાજુએ દીવાલોથી ઘેરાયેલું રહે અને એનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

જીવનના આ તબક્કે વિપુલભાઈ શું અનુભવે છે? ‘મને જીવાડ્યો છે ગાંધી-વિનોબા-જયપ્રકાશની અને લિંકન-મંડેલા-જૉન સ્ટુઅર્ટ આ બધાની પેઢીએ. આંખ મિંચાય ત્યારે મારી ફરજ ચૂક્યો નથી એવો સંતોષ લઈને જઈશ. કંઈક સારું કામ કરી શક્યાનો આંનદ ખૂબ માણ્યો છે ને એને કારણે કેટકેટલાં મિત્રો અને એમનો સ્નેહ મળ્યા છે. વધારે શું જોઈએ?’ 

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ,“જન્મભૂમિ – પ્રવાસી”, 16 મે 2021

Loading

ભારતની કોવિડ-૧૯ કટોકટી

ધ લાન્સેટ|Opinion - Opinion|16 May 2021

ભારતનાં પીડાનાં દૃશ્યોનો તાગ મેળવવાનું કઠણ છે. રોજના લગભગ ૩.૭૪ લાખ કેસની સરેરાશથી, મે ૪ સુધીમાં કોવિડ-૧૯ના ૨.૦૨ કરોડ કેસ નોંધાયા છે. મૃત્યુઆંક છે ૨.૨૨ લાખ (બે લાખ બાવીસ હજાર), જે નિષ્ણાતોના મતે વાસ્તવિક આંકડા કરતાં ઘણો ઓછો હોઈ શકે છે. હૉસ્પિટલો ઉભરાયેલી છે, આરોગ્યકર્મીઓ નીચોવાઈ ગયા છે અને ચેપગ્રસ્ત બની રહ્યા છે. મેડિકલ ઑક્સિજન, બેડ અને બીજી જરૂરિયાતો માટે ડૉક્ટરોની તેમ જ સામાન્ય લોકોની અપીલોથી સોશિયલ મીડિયા ભરચક છે. છતાં, માર્ચ(૨૦૨૧)ના આરંભે કોવિડ-૧૯નું બીજું મોજું આવ્યું, તે પહેલાં ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જાહેર કર્યું હતું  કે ભારતમાં મહામારીનો ખેલ ખતમ થવામાં છે. વાઇરસનાં સ્વરૂપાંતરોની અને બીજા મોજાના ખતરાની વારંવાર અપાયેલી ચેતવણીઓ છતાં, ભારત સરકાર તરફથી એવી જ છાપ ઊભી કરવામાં આવી કે મહિનાઓથી સતત ઘટતા કેસોના પગલે ભારતે કોવિડ-૧૯ને હરાવી દીધો છે. આંકડાકીય મૉડેલો દ્વારા ખોટી રીતે એવું સૂચવાયું કે ભારત હર્ડઇમ્યુનિટીના તબક્કે પહોંચી ગયું છે. તેના કારણે ગાફેલિયતને પ્રોત્સાહન મળ્યું અને તૈયારીનું કામ ઢીલું પડ્યું. પરંતુ જાન્યુઆરીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સીરોસર્વેમાં જણાયું હતું કે વસ્તીના માત્ર ૨૧ ટકા લોકોમાં SARS-CoV-2નાં પ્રતિરોધક દ્રવ્યો હતાં. તે વખતે વડા પ્રધાન મોદીની સરકાર મહામારી પર કાબૂ મેળવવાને બદલે ટિ્‌વટર પરથી ટીકાઓ દૂર કરવા માટે વધારે ઉત્સુક જણાતી હતી.

મોટા પાયે ચેપ ફેલાવનારાં સુપરસ્પ્રેડર આયોજનો અંગે ચેતવણીઓ છતાં, સરકારે બેરોકટોક ધાર્મિક ઉત્સવો થવા દીધા, જેમાં દેશભરમાંથી લાખો લોકોએ ભાગ લીધો. વિશાળ રાજકીય રેલીઓ યોજાવા દીધી, જેમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટેની કશી વ્યવસ્થા ન હતી અને તે ઊડીને આંખે વળગે એવું હતું. કોવિડ-૧૯નો છેડો આવી ગયો છે, એવા સંદેશને કારણે ભારતમાં કોવિડ-૧૯ની રસીકરણ ઝુંબેશની શરૂઆત ધીમી થઈ. બે ટકાથી પણ ઓછી વસ્તીને રસી મળી છે. કેન્દ્રના સ્તરે ભારતનો રસીકરણ-કાર્યક્રમ વેરવિખેર થઈ ગયો. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે વાતચીત કરવાને બદલે ઓચિંતો પાટો બદલ્યો અને ૧૮ વર્ષથી ઉપરના સૌ કોઈ રસી મેળવી શકશે, એવું જાહેર કરી દીધું. તેના કારણે રસીના જથ્થાની ઘટ પડતાં ભારે ગૂંચવાડો સર્જાયો અને રસીનું એવું બજાર ઊભું થયું, જેમાં રાજ્યો અને હૉસ્પિટલો રસી માટે સ્પર્ધામાં ઊતર્યાં.

કટોકટી બધે એકસરખી નથી. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યો કેસમાં ઓચિંતા ઉછાળા માટે તૈયાર ન હતાં. ત્યાં જોતજોતાંમાં મેડિકલ ઑક્સિજન ખાલી થઈ ગયો, બેડ ખૂટી પડ્યા, સ્મશાનોની ક્ષમતાનો છેડો આવી ગયો. કેટલીક રાજ્ય સરકારોએ ઑક્સિજન કે બેડની માગણી કરનારા સામે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કાયદા લાગુ પાડવાની ધમકી આપી. કેરળ અને ઓડિશા જેવાં રાજ્યો પ્રમાણમાં વધુ તૈયારી ધરાવતાં હતાં. એટલે બીજા મોજા વખતે તે બીજાં રાજ્યોમાં મોકલી શકે એટલી માત્રામાં ઑક્સિજનનું ઉત્પાદન કરી શક્યાં.

ભારતે હવે બેપાંખિયો વ્યૂહ અપનાવવાનો રહે છે : પહેલાં તો ખોટકાયેલા રસીકરણ-કાર્યક્રમને વ્યવસ્થિત સ્વરૂપ આપીને યથા યોગ્ય ઝડપે તેને શરૂ કરવો. આ કામમાં તત્કાળ બે અડચણો છે : રસીનો જથ્થો વધારવો (તેમાંથી કેટલોક જથ્થો પરદેશથી આવવો જોઈએ) અને વિતરણની એવી વ્યવસ્થા ગોઠવવી કે જે ફક્ત શહેરી જ નહીં, ગ્રામીણ અને ગરીબ નાગરિકોને પણ આવરી લે. ભારતની વસ્તીમાં તેમનો હિસ્સો ૬૫ ટકાથી વધારે (૮૦ કરોડથી વધારે) છે, પણ તે વર્ગ જાહેર આરોગ્ય અને પ્રાથમિક સારવારની સુવિધાઓની તીવ્ર અછત વેઠે છે. સરકારે સ્થાનિક અને પ્રાથમિક આરોગ્યકેન્દ્રો સાથે કામ કરવું જોઈએ, જે સ્થાનિક લોકસમુદાયને બરાબર જાણતા હોય અને જે રસીના વિતરણની સમાનતાપૂર્ણ વ્યવસ્થા ગોઠવી શકે.

બીજું, વૅક્સિન આવે ત્યાં સુધી ભારતે SARS-CoV-2નો ફેલાવો શક્ય હોય એટલો અટકાવવો પડશે. કેસ આવતા જાય તેમ સરકારે સમયસર રીતે ચોકસાઈપૂર્વકની માહિતી જાહેર કરવી જોઈએ. શું થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન જાહેર કરવાની સંભાવના સહિત, કોવિડનો ચડતો આલેખ સપાટ કરવા માટે બીજું શું કરવું પડશે, તે લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જોઈએ. SARS-CoV-2નાં નવાં અને વધુ ચેપી સ્વરૂપાંતરોનું પગેરું દાબવા માટે, તેમની સમજ મેળવવા માટે અને તેમની પર કાબૂ મેળવવા માટે જિનોમ સિક્વન્સિંગનો – વાઇરસના બંધારણના અભ્યાસનો – વિસ્તાર થવો જોઈએ. સ્થાનિક સરકારોએ રોગનો ફેલાવો અટકાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે, પરંતુ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સમૂહમિલનો પર બંધી, સ્વૈચ્છિક રીતે ક્વૉરન્ટાઈન રહેવું અને ટેસ્ટ કરાવવા જેવી બાબતો લોકોને સમજાવવામાં કેન્દ્ર સરકારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. કટોકટી દરમિયાન ટીકાને અને મુક્ત ચર્ચાને રૂંધવાના મોદીના પ્રયાસો કોઈ રીતે વાજબી ઠરાવી શકાય એવા નથી.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થ મૅટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશનના અંદાજ પ્રમાણે, ઑગસ્ટ ૧ સુધીમાં ભારતમાં કોવિડ-૧૯ને કારણે થયેલાં મૃત્યુનો આંકડો ૧૦ લાખે પહોંચશે. જો આવું થશે તો પોતાના રાજમાં જાતે વહોરી લીધેલી આ આફત માટે મોદી સરકાર જવાબદાર હશે. શરૂઆતના તબક્કે કોવિડ-૧૯ પર કાબૂ મેળવવામાં હાંસલ થયેલી સફળતા ભારતે વેડફી નાખી. એપ્રિલ (૨૦૨૧) આવ્યો, ત્યાં સુધી તો સરકારના કોવિડ-૧૯ ટાસ્કફોર્સની મહિનાઓથી મિટિંગ પણ મળી ન હતી. તેનાં પરિણામ આપણી સામે ઉઘાડાં છે. કટોકટી કારમી છે ત્યારે ભારતે નવેસરના આયોજન સાથે તેનો મુકાબલો કરવો પડશે. આ પ્રયાસોની સફળતાનો આધાર પોતાની ભૂલોનો સ્વીકાર કરી શકતી સરકાર પર, જવાબદાર અને પારદર્શક નેતૃત્વ પૂરું પાડવા પર તથા જેના કેન્દ્ર સ્થાને વિજ્ઞાન હોય એવાં જાહેર આરોગ્યને લગતાં પગલાં લેવા પર રહેશે.

(સુપ્રતિષ્ઠ મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ના મે ૮, ૨૦૨૧ના અંકનો તંત્રીલેખ, અનુવાદ : ઉર્વીશ કોઠારી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 03

Loading

ચલ મન મુંબઈ નગરી—95

દીપક મહેતા|Opinion - Opinion|15 May 2021

મુંબઈના ઘડતરમાં પાયાનો પથ્થર ગવર્નર ઓન્જિયાર

મુંબઈની પહેલવહેલી અદાલતો

જ્યારે જેલમાંના કેદીઓએ ખાવાનો ખરચ પોતે આપવો પડતો

ઈમારત ચણાઈ જાય પછી તેના પાયાના પથ્થરના નસીબમાં મોટે ભાગે ભોંયની અંદર ધરબાઈ જવાનું લખ્યું હોય છે. ઈમારતને સૌ કોઈ જુએ છે, તેના પાયાના પથ્થરને કોઈ નહિ. મહાનગર મુંબઈની ગગનચુંબી ઈમારતનો પાયાનો પથ્થર એટલે જેરાલ્ડ ઓન્જિયાર, મુંબઈના બીજા ગવર્નર. મુંબઈને એક મહાન શહેર બનાવવાનું સપનું તેમણે જોયું એટલું જ નહિ, એ દિશામાં કામ પણ શરૂ કરી દીધું. હવે તો અંગ્રેજોનાં પૂતળાં મુંબઈના રસ્તાઓ પર રહ્યાં નથી. પણ આઝાદી પહેલાં હતાં ત્યારે પણ એમાં ઓન્જિયારનું પૂતળું નહોતું. કોઈ રસ્તાને કે ચોકને તેમનું નામ આપવામાં આવ્યું હોય તેવું જાણવા મળતું નથી. તેમ જ નથી મળતો ફોટોગ્રાફ, કે નથી મળતું ચિત્ર. હા, સુરત નજીક કતારગામમાં આવેલ બ્રિટિશ કબ્રસ્તાનમાં તેમની કબર છે ખરી, પણ બિસ્માર હાલતમાં.

સુરતના બ્રિટિશ કબ્રસ્તાનમાં ગવર્નર ઓન્જિયારની કબર

ગવર્નર ઓન્જિયારે મુંબઈમાં પહેલી વાર અદાલતો શરૂ કરી. ૧૬૭૦ના ફેબ્રુઆરીની બીજી તારીખે સરકારના વડા મથક બોમ્બે કાસલ ખાતે તેમણે એક મિટિંગ બોલાવી. એ વખતે મુંબઈમાં ન્યાયની વ્યવસ્થા કઈ રીતે કરવી તે અંગેના હુકમ તેમણે આપ્યા. પહેલાં તો મુંબઈમાં વસતા તમામ અંગ્રેજોની યાદી બનાવડાવી અને તેમની લાયકાતની નોંધ કરી. પછી તેમાંથી જે યોગ્ય લાગ્યા તેમની નિમણૂક ન્યાયાધીશ તરીકે કરી. આ માટે તેમણે મુંબઈને (એ વખતે તેની હદ માહિમ સુધીની જ હતી) બે ભાગમાં વહેંચી નાખ્યું. પહેલા વિભાગમાં મુંબઈ, મઝગાંવ અને ગિરગાંવ, અને બીજા વિભાગમાં માહિમ, પરળ (પરેલ), સાયન, વરળી, અને પખાડી (ગ્રામીણ) વિસ્તાર. પહેલા વિભાગની અદાલત કસ્ટમ હાઉસમાં દર શુક્રવારે સવારે આઠ વાગે મળતી. બીજી, માહિમના કસ્ટમ હાઉસમાં દર બુધવારે આઠ વાગે મળતી. બંને અદાલતોને પાંચ ઝેરાફિનની રકમ સુધીના દાવા ચલાવવાનો અધિકાર હતો. ઝેરાફીનના સિક્કા મૂળ તો પોર્તુગીઝ શાસન દરમ્યાન શરૂ થયેલા. આ અદાલતો શરૂ થઈ ત્યાં સુધી તે મુંબઈમાં ચલણમાં હતા. ઝેરાફીન શબ્દનું મૂળ ‘અશરફી’માં રહેલું છે. જે ન્યાયાધીશો નીમ્યા હતા તેમને કાયદા કે અદાલતો વિષે નહોતી કશી જાણકારી, કે નહોતો અદાલતનો અનુભવ.

૧૬૭૮માં ઓન્જિયાર ફરી સુરતથી મુંબઈ આવ્યા. એ વખતે તેમણે મુંબઈમાં ‘ફેર કોમન હાઉસ’ બાંધવાનું શરૂ કર્યું. આ વિશાળ મકાનમાં અદાલતો માટેના ઓરડા, અનાજ અને બીજી જરૂરી વસ્તુઓ સંઘરવા માટેનાં ગોદામ, દારૂગોળો સંઘરવા માટેનું અલાયદું ગોદામ, અને ગુનેગારોને સંઘરવા માટે જેલ – એટલી વ્યવસ્થા તેમણે કરી. આ મકાન બંધાવ્યું કોટ વિસ્તારમાં. એલ્ફિન્સ્ટન સર્કલ(આજનું હોર્નિમેન સર્કલ)થી ૩૦૦ ગજ દૂર, બોરા બઝાર સ્ટ્રીટ અને ગનબો સ્ટ્રીટના નાકા પર. એ મકાન બાંધવા માટેનો નકશો (પ્લાન) પણ ઓન્જિયારે પોતે તૈયાર કરેલો. આ મકાન બાંધતાં પહેલાં તેમણે લંડનથી મંજૂરી મેળવી હતી. છતાં મકાન બંધાઈ રહ્યું પછી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લખ્યું કે મકાન બાંધવા પાછળ તમે ઘણો વધારે ખરચ કર્યો છે. જવાબમાં તેમણે પાઈએ પાઈનો હિસાબ તો મોકલ્યો જ, પણ છેવટે લખ્યું કે આ છતાં મેં વધારે પડતો ખરચ કર્યો છે તેમ લાગતું હોય તો પૂરેપૂરી રકમ હું અંગત રીતે ચૂકવી દેવા તૈયાર છું. શરત માત્ર એટલી કે કંપનીએ મકાન વાપરવા માટે મને વાજબી ભાડું દર મહીને ચૂકવવું!

‘માપલા પોર’નો નકશો

આ મકાન પછીથી માપલા-પોર તરીકે ઓળખાતું થયું. ‘પોર’ એ ગુજરાતી શબ્દ ‘પોળ’નું અપભ્રષ્ટ રૂપ છે! આજે પણ કોટ વિસ્તારની કેટલીક સાંકડી ગલીઓમાં ફરો તો અમદાવાદની પોળોમાં ફરતા હો એવું લાગે. એક જમાનામાં અહીં મલબારી માપલા, કે મોપલા મોટી સંખ્યામાં રહેતા હતા અને તેમની ઘણી દુકાનો પણ અહીં હતી. માપલા ફેરિયાઓ નાળિયેર અને સાદડી જેવી વસ્તુઓ વેચતા. માથા પર ટોપલામાં લીલાં નાળિયેર કે ચટાઈનો ભારો લઈને રસ્તા પર ફરતા મોપલા ફેરિયાઓને આ લખનારે નાનપણમાં મુંબઈમાં જોયા છે. તમે બૂમ પાડો એટલે ઘરે આવે. તમે માગો તે જ જાતનું નાળિયેર શોધીને આપે. ‘નુસ્તા પાની’માં મલાઈ ન હોય, ફક્ત પાણી જ હોય, સહેજ તૂરું. ‘પતલા મલાઈ’માં પાતળી મલાઈ હોય. તેનું પાણી સૌથી વધુ મીઠું. અને ‘કોપરા પાની’માં જાડું કોપરું વધુ, પાણી ઓછું, અને તે જરાક ફિક્કું. બીજાં ઘણાં ગુજરાતી ઘરોની જેમ અમારા ઘરમાં ‘સાદડી’ શબ્દ વપરાતો નહિ, ‘ચટાઈ’ જ કહેતાં. ભારામાં નાની મોટી ચટાઈઓના વીંટા હોય. દરેકની કિનાર લીલા કે લાલ/ગેરુઆ રંગના કપડાથી ઓટેલી હોય. મુસ્લિમ બિરાદરો મોટે ભાગે લીલી કિનારવાળી ખરીદે, બીજાઓ લાલ/ગેરુઆ કિનારવાળી.

‘માપલા પોર’ની જગ્યાએ ઊભેલી બઝાર ગેટ પોસ્ટ ઓફિસ 

ફેર કોમન હાઉસ બંધાયા પછી અગાઉની બંને અદાલતોને અહીં ખસેડવામાં આવી, અને ૧૭૨૦ સુધી તે અહીં કામ કરતી હતી. જે જેલનો ભાગ હતો તે મુખ્ય બોરા બઝાર સ્ટ્રીટ પર હતો જેથી કેદીઓ સળિયા પાછળથી હાથ લંબાવીને રાહદારીઓ પાસેથી ભીખ માગી શકે! આની પાછળનું કારણ એ હતું કે એ વખતે જેલમાં ખાવાપીવાનો જે કાંઈ ખરચ થાય તે કેદીઓએ પોતે સરકારને આપવો પડતો! ૧૭૨૦માં અદાલતને નજીકમાં આવેલા રામા કામતના મકાનમાં લઈ જવામાં આવી અને ઓન્જિયારે બંધાવેલું મકાન શિવાજી ધરમશેઠે ખરીદી લીધું. ૧૭૪૮માં એ મકાન મહંમદ સાફીએ ખરીદ્યું અને ૧૭૬૫માં મૂસા માપલાના કાકાએ તે ખરીદ્યું. મૂસા માપલાને આ મકાન વારસામાં મળેલું. કહેવાય છે કે એ જમાનાના મુંબઈમાં જે સૌથી મોટા આઠ જમીનદાર હતા તેમાંના એક મૂસાભાઈ હતા.

તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માનીતા વેપારી હતા. જો કે વિફરે તો મૂસાભાઈ કોઈના નહિ. મર્ડોક બ્રાઉન નામના એક અંગ્રેજ અધિકારી સામે તેમણે ધોખાદડીનો કેસ માંડેલો, અને જીતેલા. તેમનાં પોતાનાં માલવાહક વહાણો હતાં જે લક્ષદ્વીપ, માલદિવ્ઝ, બંગાળ, સુરત અને મુંબઈ વચ્ચે આવ-જા કરતાં રહેતાં. અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચેની લડાઈ વખતે મૂસાભાઈ પોતાને પક્ષે રહે એ માટે ટીપુએ ઘણા પ્રયત્નો કરેલા, ધાકધમકી પણ અજમાવેલાં. પણ મૂસાભાઈ અંગ્રેજોની પડખે જ રહ્યા. ટીપુ સાથેની લડાઈમાં વિજય મળ્યા પછી અંગ્રેજોએ મૂસાભાઈને અછોવાનાં કર્યાં. આ લડાઈ પહેલાં પણ મૂસાભાઈ પાસે એટલી તો મિલકત હતી કે લડાઈ વખતે તેમણે કંપની સરકારને ૨૦ લાખ રૂપિયા(આજના ૨૦૦ કરોડ?)ની લોન આપેલી! ૧૮૦૭માં મૂસાભાઈનો અંતકાલ થયો તે પછી તેમનું કુટુંબ છિન્નભિન્ન થઈ ગયું, અને પૈસો, પ્રતિષ્ઠા, અંગ્રેજો સાથેની લાગવગ, બધું ધીમે ધીમે ગુમાવ્યું. માપલા પોરનું મકાન માપલા ચૌકરણ કેલોફ કારાકુટ્ટી કાકાના હાથમાં ગયું. તેનો કારભાર દિનશા સોરાબજી નામના પારસી સંભાળતા. ૧૮૦૩ અને ૧૮૬૮માં આ મકાનના કેટલાક ભાગને આગથી નુકસાન થયેલું. વખત જતાં તેની જગ્યાએ બઝાર ગેટ પોસ્ટ ઓફિસનું મકાન અને બીજાં નાનાં-મોટાં મકાન ઊભાં થયાં.

બોરા બઝાર સ્ટ્રીટ, ૧૯મી સદીમાં 

પણ આ તો પેઠા એક પોળમાં અને નીકળ્યા બીજી પોળમાંથી, એવું થયું. ગવર્નર ઓન્જિયારે બંધાવેલ મકાનની ગલ્લીમાંથી આપણે મૂસાભાઈની માપલા પોળમાં પહોંચી ગયા. તો ચાલો પાછા ગવર્નર પાસે. ઓન્જિયાર ગવર્નર હતા ત્યારે મુંબઈની વસ્તી કેટલી હતી? ફક્ત દસ હજાર! અને છતાં તેમણે જોયું કે અહીંના લોકોનાં ધર્મ, ન્યાત-જાત, ભાષા, પ્રદેશ, જૂદાં જૂદાં છે અને તે દરેકને પોતપોતાની પરંપરાગત કાનૂની વ્યવસ્થા છે. એટલે પોતે જે અદાલતો સ્થાપી તેનો લાભ બહુ ઓછા ‘દેશી’ લોકો લઈ શકશે. વળી અંગ્રેજ ન્યાયાધીશો અહીંની ‘દેશી’ પરંપરાથી બિલકુલ અજાણ, એટલે તેમને માટે દેશીઓ વચ્ચેના ઝગડામાં ન્યાય તોળવાનું મુશ્કેલ બનશે. ઓન્જિયારના ધ્યાનમાં એ વાત પણ આવી કે ઘણી ન્યાતજાતમાં પોતાની રીતે ન્યાય કરવાની સગવડ પંચાયત દ્વારા હતી. એટલે તેમણે આ પંચાયત પ્રથાને વધારે વ્યવસ્થિત અને અસરકારક બનાવી. આથી ‘દેશીઓ’એ તેમના નાના નાના ઝગડા માટે અંગ્રેજ અદાલત સુધી જવું જ ન પડે. તેનો ન્યાય પંચાયત જ કરે. આ પંચાયત પદ્ધતિમાં મોટો લાભ એ હતો કે તેમાં કાંઈ ખરચ કરવો પડતો નહિ. આથી ગરીબમાં ગરીબ માણસ પણ ન્યાય મેળવી શકે. આ પંચાયતોમાં દર ત્રણ વરસે ચૂંટણી થતી અને તેનું સભ્યપદ સ્વીકારતી વખતે બ્રિટિશ રાજ્યને વફાદાર રહેવાના સોગંદ લેવા પડતા. દરેક પંચાયતના મુખીને માથે એક વધારાની ફરજ રહેતી: તેની જમાતના બધા લોકો સંપીને રહે અને રાજ્યને વફાદાર રહે, એ જોવાની.

પછીથી જે મકાન માપલા પોર તરીકે ઓળખાયું તે મકાનમાં ૧૬૭૨ના ઓગસ્ટની આઠમી તારીખે નવી અદાલતનું દબદબાપૂર્વક, શાનદાર સમારંભમાં ઉદ્ઘાટન થયું. એ વખતે ગવર્નર ઓન્જિયારે પોતાના ભાષણમાં નવા નિમાયેલા ન્યાયાધીશોને જે કહેલું તે માત્ર ત્યારની જ નહિ, આજની આપણી અદાલતો માટે પણ માર્ગદર્શક બની રહે તેમ છે. તેમણે કહેલું: ‘આ ટાપુ ઉપર જૂદા જૂદા દેશ, પ્રદેશ, ધર્મ, ભાષા, વ્યવસાય ધરાવતા લોકો આવીને વસ્યા છે. પણ તમે જ્યારે ન્યાય તોળવા બેસો ત્યારે તમારે એ બધાને, હું હંમેશાં ગણતો આવ્યો છું તેમ, એક સરખા ગણવાના છે, કારણ એ બધા જ તાજની અને કંપની સરકારની રૈયત છે. તેમની વચ્ચે કશો જ ભેદભાવ તમારે ક્યારે ય કરવો નહિ. એ બધાને સમાન ન્યાય મેળવવાનો હક્ક છે, અને તે આપવાની આપણી ફરજ છે.’

આગળ જતાં મુંબઈની અદાલતોએ આ ફરજ કેવીક નિભાવી તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 15 મે 2021

Loading

...102030...1,9291,9301,9311,932...1,9401,9501,960...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved