Opinion Magazine
Number of visits: 9572333
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેજુબાનોની જુબાન : જાહેરહિતની અરજી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 April 2021

ભારતીય ન્યાયતંત્રનું એક મહત્ત્વનું અને અનોખું અંગ પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન) કે  જાહેરહિતની અરજીઓ છે. આ એક એવું કાયદાકીય અને ન્યાયિક ઉપકરણ છે જેના દ્વારા મોંઘા ન્યાયથી વંચિત, સમાજના નબળા વર્ગો સામાજિક-આર્થિક ન્યાય મેળવી શક્યા છે. સાચો, સટીક, સસ્તો ન્યાય તેના દ્વારા સુલભ થયો છે. જનહિતની અરજીઓ પરના દેશની સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ચુકાદાઓમાં અદાલતોની ન્યાયિક સક્રિયતાનો વિસ્તાર જોવા મળે છે. સામાન્ય અદાલતી મુકદ્દમાથી અલગ, જેમાં જાહેર હિત કે જનહિત સમાયેલું હોય તેવી આ અરજી, અદાલતોમાં ન માત્ર પીડિત પક્ષ દાખલ કરી શકે છે, કોઈ પણ નાગરિક, સંસ્થા-સંગઠન  કે ખુદ અદાલત જાતે પણ પીડિતના પક્ષે દાખલ કરી શકે છે.

જનહિત યાચિકાનો મૂળ ખ્યાલ અમેરિકાનો છે પણ ભારતમાં તેનો જે વિકાસ અને ઉપયોગ થયો છે તેનો દુનિયામાં ક્યાં ય જોટો જડે તેમ નથી. ભારતના બંધારણમાં કે કોઈ કાયદામાં પી.આઈ.એલ.ની સ્પષ્ટ પરિભાષા નથી. પણ બંધારણના અનુચ્છેદ ’૩૯-એ’માં તેના મૂળ જોઈ શકાય છે. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૨ અને હાઈકોર્ટોમાં ૨૨૬ મુજબ જાહેર હિતની અરજી દાખલ થઈ શકે છે. જસ્ટિસ પી.એન. ભગવતી પી.આઈ.એલ.ના જનક છે. જાહેર હિતની અરજી દ્વારા વંચિતો અને કમજોર મનાતા વર્ગોને ન્યાય મળ્યો છે. પી.આઈ.એલ.ને કારણે ખુદ અદાલતોની ભૂમિકા અને ચેતનાનો વિસ્તાર થયો છે. મૂળભૂત આધિકારોનું ક્ષેત્ર વિસ્તૃત થયું છે. નવા મૌલિક અધિકારો ઉમેરાયા છે કે જૂના વ્યાખ્યાયિત થયા છે. પી.આઈ.એલ.ને લીધે સરકારી તંત્ર લોકોના કામ માટે અને વિધાનગૃહો તે પ્રમાણેના કાયદા માટે બાધ્ય થયા છે.

લોકોના કલ્યાણ અને અધિકારોને સરકાર નકારે કે લોકોની ઈચ્છાને અનુરૂપ કામ ન કરે તો અદાલતમાં દાખલ થતી જનહિત યાચિકાઓ દ્વારા અનેક મહત્ત્વના સુધારા થઈ શક્યા છે અને ન્યાય મળ્યો છે. દેશમાં પહેલી પી.આઈ.એલ. તો ૧૯૭૬માં દાખલ થયેલી પણ ૧૯૭૯માં બિહારની જેલોની દયનીય હાલત, ખાસ તો ત્યાં કાચાકામના કેદીઓની સ્થિતિ પરની પી.આઈ.એલ.નો અદાલતી ચુકાદો, પ્રથમ મનાય છે. એક પી.આઈ.એલ.ને કારણે બિહારની જેલોમાં સબડતા ચાળીસ હજાર કેદીઓની મુક્તિ શક્ય બની હતી. તે પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો છે અને અનેક મહત્ત્વના ફેરફારો થઈ શક્યા છે. એસિડ એટેકની પીડિતાઓ, કામનાં સ્થળે યૌન હિંસાનો શિકાર બનેલી સ્ત્રીઓ, હાથથી મળસફાઈના કામમાં જોતરાયેલા દલિતો, સમલૈગિકો, બળાત્કારની પીડિતાઓ, અત્યાચારનો ભોગ બનેલા દલિત-આદિવાસીઓ, આતંકનો ભોગ બનેલા નિર્દોષો, વેઠિયા મજૂરો, બાળ મજૂરો, સેક્સ વર્કર્સ, કામદારો-કિસાનો અને વિદ્યાર્થીઓને જાહેર હિતની અરજી દ્વારા સામાજિક-આર્થિક ન્યાય અને અધિકારો મળ્યાં છે.

ભારતની અદાલતોએ જાહેરહિતની અરજીઓ પર અનેક પ્રગતિશીલ અને દૂરોગામી અસર ધરાવતા ચુકાદા આપીને બેજુબાનોની જુબાન બનવાનું કામ કર્યું છે. રાજધાની દિલ્હીમાં આજે જોવા મળતાં સી.એન.જી. વાહનો, કાર્ય સ્થળે મહિલાઓ પરની જાતિય હિંસા અટકાવવા માટેનું વિશાખા જજમેન્ટ, એન્કાઉન્ટર અને કસ્ટોડિયલ ડેથની તટસ્થ તપાસ અને વળતર, ગટર કામદારો અને માથે મેલું ઉપાડવા મજબૂર દલિતોના પુનર્વસન અને વળતર, માહિતી અને શિક્ષણનો અધિકાર તથા ખાધ્ય સુરક્ષા, અકસ્માત પછી તરત સારવાર, ગ્રાહકોના અધિકારો, પર્યાવરણ અને જંગલોનું રક્ષણ, ગંગા શુદ્ધિકરણ, વિસ્થાપિતોના અધિકારો અને કોમી રમખાણોના ભોગ બનેલાને ન્યાય; મહિલા કેદી માટે અલગ કસ્ટડી અને સાંજ પછી મહિલાઓને પોલીસ સમક્ષ ન બોલાવવાની જોગવાઈ, ભૂમિસંપાદન પછી ખેડૂતોને યોગ્ય વળતર – જાહેરહિતની અરજીઓ પરના ચુકાદાઓના કારણે શક્ય બન્યાં છે.

કાયદા થકી સમાજમાં બદલાવ આણવા માંગતા લોકો માટે જનહિતની અરજી એક અસરકારક અને શક્તિશાળી સાધન છે. અદાલતોમાં રજૂ થતી પી.આઈ.એલ. પૈકીની ૩૦થી ૬૦ ટકા જ સ્વીકારાય છે. જો કોર્ટને અરજીમાં જાહેરહિત સંકળાયેલું ન લાગે કે મુદ્દો મહત્ત્વનો ન હોય તો તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. વળી બધી જ પી.આઈ.એલ. તરત અદાલતો સુનાવણી માટે હાથ પર લે તે પણ શક્ય નથી. જે પી.આઈ.એલ.માં માનવ અધિકારનો ભંગ થતો હોય કે કોઈ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી બાબત હોય તો જ તેની તરત સુનાવણી થાય છે. અન્યથા યથા સમયે તે કોર્ટ સમક્ષ આવે છે.

જેમ દરેક બાબતના સારાનરસાં પાસાં હોય છે તેવું જાહેરહિતની અરજી બાબતે પણ છે. જાહેર હિતની અરજીના દુરુપયોગની પણ ઘણી ફરિયાદો છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે  વડા પ્રધાનના અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા વીસ હજાર કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ સામેની જાહેર હિતની અરજી નકારતાં જણાવ્યું હતું કે ‘જનહિતની અરજીઓ આમ નાગરિકના બંધારણીય અધિકારોના રક્ષણ માટે છે. કોર્ટની એ ફરજ અને જવાબદારી છે કે તે સરકારના નિર્ણયને કારણે સામાન્ય નાગરિકના કાનૂની અને બંધારણીય અધિકારો જોખમાય નહીં તેની કાળજી લે. પરંતુ આજકાલ પી.આઈ.એલ.નો ઉપયોગ સરકારો પ્રત્યે અસંમતિ દર્શાવવા માટે કરવામાં આવે છે.’ અગાઉ ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત હિતની અને અપ્રાસંગિક એવી જનહિત યાચિકાઓની ટીકા કરી, પી.આઈ.એલ. સ્વીકારના દિશાનિર્દેશો જારી કર્યા હતા.

અદાલતોએ જનહિતની ખોટી અરજીઓ અંગે કડક અને દંડનીય વલણ પણ અપનાવ્યું છે. હરિયાણાના એક આયુર્વેદ તબીબે તેમણે શોધેલી કોરોનાની દવાનો સરકાર ઉપયોગ કરે તે અંગે અદાલતી આદેશ માંગતી પી.આઈ.એલ. દાખલ કરી ત્યારે આ માંગણીને સંપૂર્ણ અયોગ્ય ગણી પી.આઈ.એલ.ના દુરુપયોગ માટે રૂ. ૧૦,૦૦૦/- દંડ કર્યો હતો. રામજન્મભૂમિ સ્થળના પાયા ખોદવાનું કામ પુરાતત્વ વિભાગની દેખરેખમાં કરવા અને પાયામાંથી મળનારી કલાકૃતિઓનું સંરક્ષણ કરવાની માંગણી ફગાવતા અદાલતે યાચિકાકર્તાને એક લાખ દંડ કર્યો હતો. થમ્સઅપ અને કોકાકોલા એ બે ઠંડાં પીણાં આરોગ્ય માટે હાનિકારક હોવાની પી.આઈ.એલ.ને કશા તકનિકી આધારો વિનાની ગણાવી અરજદારને ૫ લાખનો દંડ ફટકાર્યો હતો.

જાતભાતની અને ઢંગધડા વગરની જાહેર હિતની અરજીઓ પર પણ અદાલતમાં દાદ મંગાય છે. મધ્ય પ્રદેશની ધારાસભા ચૂંટણીની સાધન સામગ્રીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી તેનો યોગ્ય નિકાલ ન કરવો, ભોળા કે મૂર્ખ લોકો માટે વપરાતી કહેવત ‘અલીબાગ સે આયા હૈ ક્યા’ને અપમાનજનક ગણાવતી અલીબાગના રહેવાસીની અરજી, કોરોનાકાળમાં પૂજા સ્થળો ખોલવા, રાષ્ટ્રીય ફૂલ કમળને ભા.જ.પા.ના ચૂંટણી પ્રતીક તરીકેની બંધી, જાનવરોને વધુ કષ્ટદાયક હલાલને બદલે ઓછા કષ્ટદાયક ઝટકાથી જ મારવા અને ઝટકા માંસને જ મંજૂરી આપવા, ૭૫ વરસથી વધુ ઉંમરના અને સ્નાતક ન હોય તેમને ચૂંટણીમાં ઉમેદવારી કરવા પર પ્રતિબંધ, તમિલનાડુના દિવંગત મુખ્ય મંત્રી જયલલિતાને ભારતરત્ન આપવા, અરબી સમુદ્રનું નામ હિંદ મહાસાગર રાખવા, ભારતનું રાષ્ટ્રગાન બદલવા, દેશનું નામ ભારતને બદલે હિંદુસ્તાન કરવા – જેવી જાહેર હિતની અરજીઓ અદાલતો સમક્ષ આવી હતી.

પી.આઈ.એલ.નો ઘણીવાર વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે અને વ્યાપારિક કે રાજકીય હિતો માટે ઉપયોગ થવાની પણ ફરિયાદો છે. સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવતા પેન્શન અંગેની પી.આઈ.એલ. લગભગ એક દાયકાથી પડતર છે. સમાન શિક્ષણ માટે સમગ્ર દેશમાં એક સમાન અભ્યાસક્રમ અને પરીક્ષા બોર્ડ દાખલ કરવા, જટિલ, ક્લિષ્ટ અને રહસ્યમય ભાષાને બદલે સરળ અને અસંદિગ્ધ ભાષામાં કાયદા અને સરકારી નિયમો બનાવવા પણ જનહિતની અરજી થયેલી છે. સરકારી ભ્રષ્ટાચાર અને કૌભાંડો પી.આઈ.એલ. દ્વારા જ ઉજાગર થયા છે. કેદી પતિ-પત્નીની મુલાકાત સમયે જેલ અધિકારીની હાજરીથી દાંપત્યના અધિકાર પર તરાપ, હેટસ્પીચ, ફેકન્યૂઝ, પેડ ન્યૂઝ્, સોશ્યલ મીડિયા પર કાયદાકીય લગામ અને ચૂંટણી, પોલીસ તથા વહીવટી સુધારા માટેની વિવિધ પી.આઈ.એલ. પણ અદાલતોની વિચારણા હેઠળ છે. 

સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ, પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ, નેશનલ એડવાઈઝ ફોર પીપલ્સ મુવમેન્ટ, નર્મદા બચાવો આંદોલન, બંધુઆ મુક્તિ મોર્ચા, લોક અધિકાર સંઘ અને અન્ય સંસ્થાઓએ પી.આઈ.એલ.ના ક્ષેત્રે ગણનાપાત્ર કામ કરીને આમ આદમીના અવાજને વાચા આપી ન્યાય મેળવ્યો છે.

જાહેર હિતની અરજીઓ લોકતંત્રમાં શ્વાસ લેવાની જગ્યા અને લોકવિશ્વાસ કાયમ રાખવાનું સાધન છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આમ આદમીનો અવાજ પી.આઈ.એલ. મારફતે વ્યક્ત થઈને અદાલતી ન્યાય મેળવે છે. અનેક જાહેર હિતની અરજીઓ પર અદાલતોએ મહત્ત્વના ચુકાદા આપીને ભારે સરાહનીય કામ કર્યું છે. એટલે તેનો સમુચિત ઉપયોગ થાય તે સૌના હિતમાં છે. ભારતની અદાલતો હજારો અને લાખો પડતર કેસોથી ઉભરાય છે ત્યારે બિનજરૂરી પી.આઈ.એલ.નો બોજ અદાલતો પર નાંખવાથી બચવું જોઈએ. આડેધડ પી.આઈ.એલ. દાખલ થવાથી ન્યાય  વ્યવસ્થા પર અનાવશ્યક દબાણ ઊભું થવાની કે વાસ્તવિક અને પ્રાસંગિક કેસોના નિકાલમાં વિલંબ થવાની શક્યતાઓ ઊભી થાય થાય છે તે દિશામાં પણ વિચારવું રહ્યું. બિન-મહત્ત્વની પી.આઈ.એલ. સામાન્ય ન્યાય પ્રક્રિયામાં બાધા ન બની રહે તેમ પણ કરવું રહ્યું. જાહેર રાજકીય મુદ્દાઓ પર જનહિત યાચિકા દાખલ કરીને ન્યાયની દેવડીએ દસ્તક દેવા તે ગેરબંધારણીય કે અનૈતિક નથી. પરંતુ તેમાં યોગ્ય વિવેકની જરૂર છે. જન આંદોલનનો વિકલ્પ પી.આઈ.એલ. ન બની જાય તે પણ જોવાની જરૂર છે. જાહેર હિતની અરજીઓ પ્રગતિશીલ લોકતાંત્રિક વ્યવસ્થાનો પ્રાણ છે. પણ તેનો દુરુપયોગ રોકવો પણ એટલો જ જરૂરી છે. યોગ્ય પદ્ધતિથી તેને નિયંત્રિત કરવામાં નહીં આવે તો તે રાજકીય સ્વાર્થનું હથિયાર પણ બની શકે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

વાઈરસની બાયોલોજીકલ વ્યાખ્યા બદલવાનો સમય આવી ગયો છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 April 2021

આજથી દાયકા પછી, હોલીવૂડમાં મનુષ્ય અને રાક્ષસો વચ્ચે લડાઈની ફિલ્મ બનશે, તો તેમાં વિલન તરીકે કોરોના વાઈરસ હશે, તેવી કલ્પના અસ્થાને નથી. ફિલ્મસર્જકોએ અનેક વેમ્પાયર અને ઝોમ્બીની કલ્પના કરી છે. કોરોનાએ તેમાં વધુ એક સંભાવનાનો ઉમેર્યો કર્યો છે, પણ ફિલ્મસર્જકો તેને જીવતા રાક્ષસ તરીકે કલ્પે, તે પહેલાં કોરોના વાઈરસે વૈજ્ઞાનિક સમજને પણ પડકાર ફેંક્યો છે તેની વાત કરીએ.

દુનિયાભરમાં લગભગ ૨૪ લાખ લોકોનો ભોગ લેનારી અને બીજા લાખો લોકોને બીમાર કરી દેનારી કોવિડ-૧૯ની મહામારીના કેન્દ્રમાં ચીકણા જીન્સનો ૧૦૦ નેનોમીટર વ્યાસનો એક પરપોટો છે. પરપોટો શબ્દ પણ મોટો લાગે. નેનોમીટર એટલે એક સેંકડમાં આંગળીના નખ જેટલા વધે તે. એક ઇંચમાં ૨૫,૪૦૦,૦૦૦ નેનોમીટર હોય. એક કાગળની જાડાઈ ૧,૦૦,૦૦૦ નેનોમીટર હોય છે. માણસના વાળની જાડાઈ ૮૦,૦૦૦-૧,૦૦,૦૦૦  નેનોમીટર હોય છે. કોરોના વાઇરસ એટલો ટચુકડો છે કે એવા ૧૦ ટ્રીલ્યન વાઈરસ ભેગા થાય, તો તેમનું વરસાદના એક ટીપા કરતાં પણ ઓછુ વજન થાય.

દાખલા તરીકે, શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સૂક્ષ્મ ટીપાં ઊડે, તેની લંબાઈ ૫થી ૧૦ માઈક્રોમીટરની હોય. તેનો અર્થ એ થયો કે જે વ્યક્તિમાં કોરોનાનો ચેપ હોય, તેના એક ઉચ્છવાસમાં વાઈરસના હજારો કણ હોય, જે સામે વાળી વ્યક્તિમાં ચેપની સંભાવનાને વધારી દે. કોરોના વાઈરસ આપણા સફેદ અને લાલ રક્તકણોથી પણ નાના છે, જે નરી આંખે દેખાતા નથી. તેની સામે પોલન, મીઠું કે રેતીના કણ વાઈરસ કે બેક્ટેરિયા કરતાં મોટા હોય છે, જેથી તેમને બ્લોક કરવામાં આપણા શરીરને આસાની રહે છે. વાઈરસના અદ્રશ્ય કદ સામે શરીર લાચાર થઇ જાય છે.

એક વર્ષ સુધી અંધારામાં ગોથાં માર્યા પછી, વૈજ્ઞાનિકો કોરોના વાઈરસના બંધારણને લઈને થોડીક જાણકારી એકઠી કરી શક્યા છે, પણ પૃથ્વી પર આટલો બધો હાહાકાર મચાવનાર વાઇરસને લઈને એક પ્રશ્નનો ઉત્તર હજુ મળતો નથી, અથવા એવું કહેવાય કે વૈજ્ઞાનિક સમુદાય ઉત્તરને લઈને વહેંચાયેલો છે : કોરોના વાઈરસને સજીવ કહેવાય? જેના કારણે આટલા બધા લોકો મરી ગયા હોય અને બીમાર પડી ગયા હોય, તેની તાકાત જીવતા મનુષ્યો કરતાં પણ અનેક ઘણી વધારે કહેવાય. તો પછી એ માણસ ય કરતાં મોટો જીવ ન થયો?

વૈજ્ઞાનિકો પરંપરાગત રીતે વાઈરસને સજીવ નથી ગણતા, પરંતુ કોરોના વાઇરસે આ સમજણને પડકારી છે, અને હવે વૈજ્ઞાનિકો ચર્ચા કરી રહ્યા છે કે કોરોનાને જીવિત બેક્ટેરિયાના વર્ગમાં મુકવો કે નહીં. સોએક વર્ષથી વૈજ્ઞાનિક સમુદાય વાઈરસને લઈને અભિપ્રાય બદલતો રહ્યો છે. અગાઉ તેને ઝેર ગણવામાં આવતો હતો, પછી જીવ રૂપ (લાઈફ ફોર્મ) કહેવામાં આવ્યો, આધુનિક સમયમાં તેને બાયોલોજીકલ કેમિકલ નામ આપવામાં આવ્યું અને હવે તે સજીવ અને નિર્જીવની વ્યાખ્યા વચ્ચે ઝોલાં ખાય છે.

તમને થશે કે આ ચર્ચાનો અર્થ શું? આપણે તો તેના ઉપચારથી મતલબ છે, નામથી નહીં. વાત સાચી છે. સાધારણ માણસો માટે વાઈરસ જીવ કહેવાય કે નિર્જીવ, તેનો સીધો કોઈ મતલબ નથી, પરંતુ આડકતરો છે. વૈજ્ઞાનિકો પૃથ્વી પરના તમામ જીવોનો અભ્યાસ કરી ચુક્યા છે (જેનાથી બાયોલોજીકલ વિજ્ઞાનમાં ઘણી પ્રગતિ થઇ), પણ વાઈરસ તેમાંથી છટકી ગયો, કારણ કે તેને તે જીવ ગણતા ન હતા.

વૈજ્ઞાનિકોની વ્યાખ્યા પ્રમાણે જે જાતે પોતાની પ્રતિકૃતિ બનાવી શકે, તે સજીવ કહેવાય. વાઈરસ પરજીવી છે. વાઈરસ ખાઈ-પીને, વિકસીને કે પ્રજનન કરીને તેમનો ગુણાકાર નથી કરતા. તે બીજા સજીવ કોષના ઘરમાં ઘુસી જઈને 'ઊંઘી' જાય છે, અને પછી સજીવ કોષ દિવસરાત વાઇરસનો ગુણાકાર કરવાની મજૂરી કરે છે. એ મહેમાનગતિ યજમાનને ભારે પડી જાય છે, પણ વાઇરસ સજીવ ન હોવાથી વૈજ્ઞાનિક સંશોધકોએ તેની ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવાનું ટાળ્યું. કોઈપણ સંશોધન સેવાભાવે નથી થતું. તેમાં સરકારો કે ઉધોગોના કરોડો રૂપિયાનું પીઠબળ હોય છે.

વાઈરસને સજીવ ગણવામાં વૈજ્ઞાનિકો આનાકાની કરે છે તેનું એક કારણ એ છે પણ છે કે તેનું પરીક્ષણ કરતા દરેક લેન્સમાંથી વાઈરસ જુદો નજર આવે છે. વાઈરસથી ઘાતકી રોગ થતા હતા એટલે શરૂઆતમાં તેને ઝેર ગણવામાં આવ્યા હતા, પરંતુ ૧૯મી સદીમાં અમુક સંશોધકોને ખ્યાલ આવ્યો કે હડકવા અને પાલતું પ્રાણીઓમાં થતો ફૂટ એન્ડ માઉથ રોગ બેક્ટેરિયા જેવા પણ ઘણા નજીવા વિષાણુંઓથી થાય છે. એ વિષાણુંઓ ખુદ બાયોલોજીકલ હતા અને શારીરિક અસરો છોડીને એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાતા હતા એટલે વાઈરસને સૌથી સાદામાં સાદું જીવન સ્વરૂપ માનવામાં આવ્યું.

અનેક ચિંતકો અને વૈજ્ઞાનિકોએ સજીવની જે વ્યાખ્યા બનાવી છે, તે મુજબ તેમાં સાત વિશેષતાઓ હોવી જરૂરી છે: દરેક સજીવ ઉત્તેજના (સ્ટિમ્યુલી) સામે પ્રતિક્રિયા આપે, ક્રમશ: તેનો વિકાસ થાય, પ્રજનન કરે, શરીરનું તાપમાન સ્થિર જાળવી રાખે, પાચન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે, એકથી વધુ કોષ હોય અને આસપાસના વાતાવરણ સાથે અનુકૂલન સાધે.

આ વ્યાખ્યામાં અપવાદ છે. દાખલા તરીકે, (ઘોડા-ગધેડાની મિશ્ર ઓલાદ) ખચ્ચર જેવા હાઈબ્રીડ પશુ પ્રજનન નથી કરી શકતાં, છતાં તે સજીવ ગણાય છે. પથ્થર નિર્જીવ છે, પણ તેની ઉપર અન્ય દ્રવ્યો પથરાતાં રહે એટલે પથ્થર મોટો થતો રહે છે. એ અર્થમાં પથ્થર પણ નિષ્ક્રિય રીતે સજીવ કહેવાય. બહુ બધા લોકો સસલાને સજીવ નથી માનતા. આપણા શરીરમાં જે જીનોમ છે તે સજીવ કહેવાય કે નિર્જીવ?

નિર્જીવ કહેવાતા વાઇરસ કરોડો વર્ષોથી પૃથ્વી પર ટકી રહ્યા છે. આ વિરોધાભાસ છે; જીવે છે અને છતાં નિર્જીવ છે. વિજ્ઞાન તેને મારી નથી શકતું તેનું કારણ જ એ છે કે મારવાની દવા તો સજીવની હોય, નિર્જીવને કેવી રીતે મારી શકાય? કોરોના વાઈરસ ‘મહેમાન’ના ઘરમાં સક્રિય થઇ જાય છે. બહાર નિષ્ક્રિય હોય છે. અમુક કેસમાં પ્લાસ્ટિક પર ૨૪ કલાક અને સ્ટેનલેસ સ્ટીલ પર ત્રણ દિવસ તે જીવતો રહ્યો હતો. ૨૦૧૪માં, વૈજ્ઞાનિકોએ સાઈબેરિયામાં જમીન નીચેથી ૩૦,૦૦૦ વર્ષ જૂના થીજી ગયેલા પિથોવાઈરસનું સેમ્પલ એકત્ર કર્યું હતું. તેને લેબમાં સક્રિય કરવામાં આવ્યું, તો તે અમીબાને ચેપ લગાડવા સક્ષમ નીકળ્યું હતું.

એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે કોરોના વાઇરસ સજીવ અને નિર્જીવ છે. બીજા એક વૈજ્ઞાનિકે તેને બાયોલોજી અને કેમેસ્ટ્રી વચ્ચેનું એક સ્વરૂપ ગણાવ્યું હતું. આને સ્યુડો-સજીવ કહેવાય; આમ નિર્જીવ હોય, પણ સજીવ હોવાનો દેખાવ કરે. ભૌતિકશાસ્ત્રમાં અણુ માટેની એક થિયરી કહે છે કે અણુ તેના બુનિયાદી સ્વરૂપે ઘડીકમાં તરંગ (વેવ) અને ઘડીકમાં રજકણ (પાર્ટીકલ) હોય છે. કોરોના સજીવ છે કે નિર્જીવ? એ પ્રશ્ન એવું પૂછવા બરાબર છે કે પ્રકાશ વેવ છે કે પાર્ટીકલ?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”,  18 ઍપ્રિલ 2021

Loading

ઉખડેલા આંબા આભે પૂગ્યાં! —

નટવર ગાંધી|Diaspora - Features|20 April 2021

ઓપિનિયનની રજત જયંતી—2021 : “લિટલ મેગેઝીન”નો ચમત્કાર

ઓપિનિયન વિચાર પત્રને પચીસ વર્ષ પૂરાં થયાં એ વર્તમાન ગુજરાતી પત્રકાર જગતની એક અસાધારણ ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે બૌદ્ધિક ગુજરાતી ડાયસ્પોરા વિશ્વનું પણ એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. ગુજરાતી ભાષામાં કોઈ પણ સામયિક પચીસ વરસ સુધી એકધારું ચલાવવું એ જેવાતેવાનું કામ નથી. એમાં તો ભેખ લેવો પડે. ગાંઠનું ગોપીચંદન કરવું પડે અને અસાધારણ પરિશ્રમ કરવો પડે. આ ભગીરથ કામ વિપુલભાઈ અને કુંજબહેને આટલો લાંબો સમય નિષ્ઠાથી કર્યું છે અને હજી પણ કર્યે જાય છે તેને માટે આપણે સહુ એમનાં ઋણી છીએ.

આવા કપરા કામના ગુજરાતી પત્રકાર જગતમાં બહુ દાખલા નથી, પણ ઓપિનિયન મેગેઝીન મને અમેરિકાના I. F. Stone’s Weeklyની યાદ આપે છે. વર્ષો સુધી આ ભડવીર પત્રકારે એકલે હાથે આ વીકલી ચલાવીને અમેરિકન વિચારજગત પર એક અનોખી છાપ પાડી હતી. Time અને Newsweek જેવા mass circulation magazines આવી છાપ નહોતી પાડી શક્યા. આ છે લિટલ મેગેઝીનનો ચમત્કાર. 

ઓપિનિયનની આ રજતજ્યંતી સમયે વિપુલભાઈને અભિનન્દન. અને આશા રાખીએ કે ડાયસ્પોરા ગુજરાતી પત્રકાર જગતને એ પોતાની ડિજિટલ કલમથી સમૃદ્ધ કર્યા કરે.   

[શબ્દ સંખ્યા 173]

•••••

અમેરિકાનો ઇન્ડિયન ડાયસ્પોરા

ડાયસ્પોરાનો એટલે કે વિદેશગમન અને વિદેશવાસનો ઇતિહાસ બહુ મોટો છે. યહૂદી પ્રજાએ જે રીતે અસહિષ્ણુ અને ધર્માન્ધ ત્રાસવાદીઓથી બચવા પોતાનાં ઘરબાર, માલ મિલ્કત અને દેશ છોડીને રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરાની વિભાવના શરૂ થઈ. એના મૂળમાં યહૂદીઓની સ્વદેશ પાછા જવાની ઝંખના હતી. યહૂદીઓ પર જે જુલમ થયો તે આજે ઓછા વત્તા પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર થઈ રહ્યો છે. આજે નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદીઓની કોઈ કમી નથી. દુઃખની વાત એ છે કે ચોક્કસ આવી રહેલા ક્લાઈમેટ ચેન્જ, નવા પેન્ડેમિક્સ, અને ઠેર ઠેર દેખાતા સંકુચિત રાષ્ટ્રવાદ — નેશનાલિઝમને – કારણે આ નિરાશ્રિતો સંખ્યા વધતી જશે. 

બે વરસ પહેલા મિડલ ઇસ્ટમાંથી હજારો લોકો પહેર્યે કપડે નીકળી પડયા હતા. માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે ચાલીને આ નિરાશ્રિતોએ યુરોપનાં બારણાં ખખડાવ્યાં હતાં. તેવી જ રીતે આજે સેન્ટ્રલ અમેરિકામાંથી હજારો લોકો અસહ્ય હાડમારીઓ ભોગવીને પણ અમેરિકા આવી રહ્યા છે.  

વર્તમાન ટેક્નોલોજીએ વસુધૈવ કુટુંમ્બકમ્‌ની વૈદિક કલ્પનાને સાચી કરી બતાવી છે. કમ્યુનિકેશનના વિવિધ સાધનોએ તેમ જ એરટ્રાવેલની સગવડતાએ દુનિયાને નાની બનાવી દીધી છે. વર્લ્ડવાઈડ વેબને કારણે જગતનો કોઈ પણ ખૂણો હવે નથી અજાણ્યો કે નથી અંધારો.  કોરોના પેન્ડેમિક ભલે ચીનના એક પ્રાંતમાં શરૂ થયો, પણ તે ત્યાં અટક્યો નથી. આખી દુનિયામાં પ્રસર્યો છે.

જો ટેક્નોલોજીએ આંતરરાષ્ટ્રીય સરહદો તોડી છે, તો મનુષ્ય સહજ વહેમ, સ્વાર્થ અને પૂર્વગ્રહોનો લાભ લઈ સત્તાભૂખ્યા નેતાઓએ દેશેદેશના દરવાજા પણ બંધ કર્યા છે. આ કારણે દુનિયામાં હાલ તુરત 80 મિલિયન નિરાશ્રિતો ઘરબાર વગરના રઝળે છે. આવી હૃદયદાવક પરિસ્થિતિમાં એક જગત કે જય જગતની વાત કરવી યોગ્ય લાગતી નથી.

અમેરિકન ડાયસ્પોરાના મૂંઝવતા પ્રશ્નો

અમેરિકન ઇતિહાસમાં દુઃખે દાઝેલી અને ભૂખે ભાંગેલી ઈમિગ્રન્ટ પ્રજાઓનું જે ચિત્ર છે, તે ભારતીય ઈમિગ્રન્ટ પ્રજાનું ચિત્ર નથી. જે દશામાં દોઢસો-બસો વર્ષો પહેલા રશિયન, ઇટાલિયન, આઈરીશ લોકો અહીં આવ્યા હતા અને આજે અસંખ્ય હિસ્પાનિક લોકો આવી રહ્યા છે, તે દશામાં આ ભારતીયો નથી આવ્યા. અહીં આવનારા ભારતીયો મોટા ભાગે દેશમાં સાધનસંપન્ન હતા. એ કાંઈ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા આવ્યા છે અને. અહીંના સુંવાળા જીવનથી ટેવાઈ ગયા છે. એમાંથી ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે.

અમેરિકાના લાંબા વસવાટ પછી આ ભારતીય ઈમિગ્રન્ટ્સને એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે આપણે હવે અહીં અમેરિકામાં જ રહેવાનું છે. દેશમાં તો વરસે બે વરસે આંટો મારવા જવાય એટલું જ, બાકી તો અમેરિકા જ આપણો દેશ અને એ જ આપણું ઘર. 1960 અને 1970ના ગાળામાં બહુ મોટી સંખ્યામાં જે ભારતીયો અહીં આવ્યા તે હવે નિવૃત્ત થવા લાગ્યા છે. તેમના છોકરાંઓને ઘરે છોકરાંઓ રમે છે. ફૂટબોલ, એમ.ટી.વી., આઈફોન, પીઝા અને કોકાકોલા ઉપર ઊછરેલ આ બીજી ને ત્રીજી પેઢી અંશેઅંશ અમેરિકન છે. અપૂર્વ કે સોના જેવાં એમનાં કર્ણપ્રિય નામ કે એમનો ઘઉંવર્ણો વાન જ ભારતીય છે, બાકી બીજી બધી દૃષ્ટિએ એ પ્રજા અમેરિકન છે.

પ્રશ્ન એ છે કે આ નવી પેઢીની અસ્મિતા કઈ? એમનું સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય કેવું હશે? એમના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંનાં? એમનું ધર્માચરણ કેવું હશે? આખી દુનિયામાંથી આવેલી ભાતીગળ પ્રજાઓના વૈવિધ્યને જે રીતે અમેરિકન ભઠ્ઠી (મેલ્ટીંગ પૉટ) ધીમે ધીમે ઓગાળીને એકરસ કરી દે છે, તેવી જ દશા આપણી અહીં વસતી ભારતીય પ્રજાની થવાની છે? કે પછી આ પ્રજા ભારતની ભવ્ય સંસ્કૃતિનો વૈભવ અને વારસો જાળવી રાખીને પોતાની વિશિષ્ટતાનો ધ્વજ ફરકાવશે? વૃદ્ધ વડીલો સાથે એમનો સંબંધ કેવો હશે? આવા અનેક પ્રશ્નો અહીંના ભારતીયોના મનમાં ભારેલા અગ્નિની જેમ ભરાઈને પડ્યા છે.

ત્રણ તબક્કામાં ભારતીયોનું આગમન

અમેરિકામાં ભારતીયો ત્રણ તબક્કામાં આવ્યા. ૧૮૨૦થી માંડીને ૧૯૬૫ સુધીનો પહેલો તબક્કો.  ૧૯૬૫થી 1990 સુધીનો બીજો. ત્યાર પછી આજ સુધીનો ત્રીજો. પહેલા તબક્કામાં મોટા ભાગે પંજાબી ખેડિયા કામગારો આવેલા. ઓછા પગારે અને કેડતોડ કામ કરીને આ મજૂરો અમારી રોજગારી લઈ લેશે એવા ભયે હિન્દુસ્તાનીઓ અને અન્ય એશિયનો અમેરિકા ન આવી શકે એવા કાયદાઓ પસાર થયા.

૧૯૬૫માં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં ધરખમ ફેરફારો થયા. ઇમિગ્રન્ટ્સ ક્યાંથી આવે છે, તેને બદલે તેની શી લાયકાત છે, એની શી આવડત છે એ વાત ઉપર ભાર મૂકવાનું નક્કી થયું. વધુમાં એ જો ડૉક્ટર, નર્સ, એન્જિનિયર, ફાર્મસિસ્ટ, પ્રૉફેસર, વગેરે હોય તો તો એને ખાસ આવવા દેવા જોઈએ. કારણ કે અમેરિકામાં આવા કુશળ લોકોની ખૂબ જરૂર છે. આમ 1965માં જ્યારે અમેરિકન ઈમિગ્રેશનનાં બારણાં ઊઘડ્યાં ત્યારે ઘણા પ્રોફેશનલ ભારતીયો આવ્યા. આ એમનો બીજો તબક્કો.

1990-2000ના ગાળામાં અમેરિકામાં “વાય-ટુ-કે” ટેક્નોલોજીનો અત્યંત જટિલ પ્રશ્ન ઊભો થયો. તેનો ઉકેલ કરવા માટે દેશમાંથી લાખોની સંખ્યામાં ટેક્નોલોજીના નિષ્ણાત લોકો લવાયા. આમ ભારતીય ઇમિગ્રેશનનો ત્રીજો તબ્બકો શરૂ થયો.

1965ના મોકળા કાયદાને કારણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી મોટા પ્રમાણમાં જે ઈમિગ્રન્ટ્સ આવ્યા તેમને અનુસરીને એમના કુટુંબો પણ આવ્યા. આ કારણે અમેરિકાના રંગ રોગાન એકાએક જ બદલાવા લાગ્યા. બિનગોરાઓની વસ્તી કૂદકે અને ભૂસકે વધવા માંડી. પરિણામે સેન્સસની ગણતરી મુજબ 2045માં અમેરિકામાં ગોરાઓની બહુમતિ નહીં રહે! 

આગવું સ્થાન

અમેરિકામાં અત્યારે ચારેક મિલિયન ભારતીયો વસે છે. વિકસિત દેશોનો વિચાર કરીએ તો વધુમાં વધુ વિદેશવાસી ભારતીયો (એન.આર.આઈ.) અમેરિકામાં છે.  અહીંની લગભગ 350  મિલિયનની વસ્તીમાં સંખ્યાની દૃષ્ટિએ અહીંના ભારતીયોનું પ્રમાણ બહુ જ ઓછું ગણાય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઍકાઉન્ટિંગથી માંડીને ઝૂઓલૉજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અત્યારે અગત્યનું કામ કરી રહ્યા છે. ઘણાયને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચૂકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોમાંથી ભવિષ્યના નોબેલ પ્રાઈઝના વિજેતાઓ નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે. છેલ્લાં પચાસ વર્ષોમાં વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં જે જે ભારતીઓને નોબેલ પ્રાઈઝ મળેલું છે તે બધાએ એમનું અગત્યનું કામ મુખ્યત્વે અમેરિકામાં કરેલું છે.

આજે કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હૉસ્પિટલ હશે કે એમાં ભારતીય ડૉક્ટરો ન હોય, કે કોરોના વાયરસની વિશેના ટી.વી. ઉપર આવતા ભાગ્યે જ કોઈ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડોક્ટર ન હોય,  કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રૉફેસરો ન હોય. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં હોય જ. અમેરિકાની મોટેલોની ત્રીજા ભાગની આપણા વાણિજ્ય કુશળ પટેલ ભાઈઓએ કબજે કરી છે, તો ઘણી બધી નાની ફાર્મસીઓ પણ આપણા ભારતીયોના હાથમાં છે. વેપાર ધંધે હૂંશિયાર ભારતીય એન્જિનિયરોએ પોતાની નાની મોટી કન્સલ્ટિંગ કંપનીઓ ખોલી છે. ટી.વી., રેડિયો, એપલાયન્સ, ગ્રોસરી, ન્યૂઝસ્ટોલ, ધોબી, ઘરેણાં, સાડીઓ, આઈસ્ક્રીમ, કન્સ્ટ્રક્શન, ઇન્સ્યોરન્સ, રીઅલ એસ્ટેટ,  વગેરેના નાનામોટા ધંધાઓમાં ભારતીયો, મુખ્યત્વે ગુજરાતીઓ, ખૂબ આગળ આવ્યા છે. 

આ ભારતીયોની આર્થિક સિદ્ધિઓ એટલી તો નોંધપાત્ર છે કે ભણતર, આવક, મિલકત, અને સામાજિક માનસન્માનની દૃષ્ટિએ એમની ગણતરી અહીંના ટોપ વન પર્સન્ટમાં થાય છે. અહીં બે લાખથી યે વધુ ઇન્ડિયન મિલિયોનેર વસે છે. તો અમેરિકાના 400 અત્યંત ધનિકોમાં, —બિલિયોનેર્સમાં — નવ ભારતીય છે. આ લિસ્ટમાં બે તો ભારતીય મહિલાઓ છે! અત્યારે માસ્ટર કાર્ડ, માઈક્રોસોફ્ટ, આઇ.બી.એમ., હારમન ઇન્ટરનેશનલ અને ગૂગલ જેવી મહાન આંતરરાષ્ટ્રીય કંપનીઓના ચેરમેન ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.

આ બધું પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજાથી શક્ય બન્યું એ એક અસાધારણ ઘટના છે. વર્ષો સુધી અમેરિકામાં રહેલા કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીએ વિદેશવાસની વ્યથા વ્યક્ત કરતા લખેલું કે “ઉખડેલા નહીં આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.” પ્રથમ પેઢીના ભારતીયોની અમેરિકામાં થયેલી આ અસાધારણ ઉન્નતિ જોતાં એમ લાગે છે કે શ્રીધરાણીની નિરાશાજનક આગાહી અહીંના ભારતીય ઈમિગ્રન્ટ્સને લાગુ ન પડે!

પહેલી પેઢીની સામાજિક વ્યથા

આપણા ભારતીયો જો આર્થિક રીતે અહીં ઠરીઠામ થયા છે, તો સામાજિક દૃષ્ટિએ અકળામણ અનુભવે છે. અમેરિકામાં આવેલી બધી ઈમિગ્રન્ટ પ્રજાની પ્રથમ પેઢીની દશા ત્રિશંકુ જેવી હોય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એમ પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજા જન્મભૂમિની મમતા મૂકે નહીં અને અમેરિકાનું આકર્ષણ છોડે નહીં. અને જો અમેરિકા ન છોડી શકાતું હોય તો પેલી દરિયાપારની  જન્મભૂમિને કોઈ ચમત્કારથી અમેરિકા લાવી શકાય કે? પરદેશવાસની આ સામાજિક વ્યથાને કારણે આપણને ન્યૂ યૉર્કમાં ‘લિટલ ઈટલી’ કે માયામીમાં ‘લિટલ હવાના’ જોવા મળે છે. આ જ પ્રમાણે આજે શિકાગોમાં ડેવન એવન્યુ, ન્યૂ યોર્કમાં જેક્સન હાઈટ્સ અને ન્યૂ જર્સીમાં ઓક ટ્રી રોડ વગેરે “લિટલ ઇન્ડિયા” તરીકે ઓળખાય છે.

અમેરિકામાં ઉછરેલી પેઢી

જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો છે. અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે. આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુના અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે. એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતિ—એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટી.વી. જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે. ટી.વી.થી શરૂ થયેલું એનું અમેરિકનાઈઝેશન પાડોશ અને સ્કૂલમાં આગળ વધે છે. ખાસ કરીને તો સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન અસ્મિતા મળે છે. એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે.

ભારતીય માબાપોનાં આ અમેરિકન સંતાનોને ભારત સાથે બહુ લાગતુંવળગતું નથી. અમેરિકન અસ્મિતાનાં બાહ્ય લક્ષણો એમને જેટલાં સહજ છે, તેટલાં ભારતીય જીવનનાં પ્રતીકો એમને સહજ નથી. આ સંતાનો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વ્યક્ત કરવામાં પણ કોઈ સંકોચ નથી રાખતા.  લગ્નજીવન, પ્રણય, જાતીય સંબંધો, કૌટુંબિક સંબંધો, કારકિર્દી વગેરેના તેમના ખ્યાલો અને વિચારો બહુધા અમેરિકન જ છે, અને તે ભારતીય વિચારસરણીથી ઘણા જુદા પડે છે.

આનો અર્થ એ નથી કે આ પ્રજા સ્વચ્છંદી કે અવિવેકી છે. પ્રથમ પેઢીની લાક્ષણિકતાઓ એમનાં સંતાનોમાં પણ ઊતરી આવી છે. મોરનાં ઈંડાં કંઈ ચીતરવાં પડતાં નથી. આ અહીં ઉછરેલી પેઢીની સિદ્ધિઓ અસાધારણ છે. જેમ કે અત્યાર સુધીમાં લુઇઝિઆના અને સાઉથ કેરોલિનામાં બે ઇન્ડિયન્સ ગવર્નર થઈ ચૂક્યા છે. હાલ તુરત અમેરિકન કોંગ્રેસમાં ચાર ઇન્ડિયન અમેરિકન બેસે છે. તો જે એક સેનેટર તરીકે ચૂંટાયેલ હતાં તે કમલા હેરિસ આજે અમેરિકાના ઉપપ્રમુખ છે! અને ભવિષ્યમાં એ અમેરિકાના પ્રમુખ બનશે એવી શક્યતા છે. અત્યારના પ્રમુખ જોસેફ બાયડનના એડ્મીનિસ્ટ્રેશનમાં લગભગ પચાસેક ઇન્ડિયન અમેરિકન ઊંચી કક્ષાના હોદ્દાઓ સંભાળે છે. આ તો માત્ર વોશિંગટનની ફેડરલ ગવર્નમેન્ટની વાત થઈ. સ્ટેટ અને લોકલ ગવર્નમેન્ટમાં, યુનિવર્સિટીઓમાં, ફાઉન્ડેશનોમાં, સચિવાલયોમાં, જ્યુડિસરીમાં, સાહિત્ય, સંગીત અને અન્ય કલાક્ષેત્રે — આમ વિધવિધ જગ્યાઓએ બીજી પેઢીના ઇન્ડિયન અમેરિકોની સિદ્ધિઓ ખૂબ જ નોંધપાત્ર છે.

અમેરિકાનો મેલ્ટીંગ પ્લોટ

દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ભારતીયો પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે અહીં ઊછરતી પેઢીને ભારતીય બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે. અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. આવા પ્રયત્નો જરૂર થયા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે.

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય શું ? અન્ય ઇમિગ્રન્ટ પ્રજાનો ઇતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે. એમના આચાર અને વિચાર, સંસ્કાર, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે. એનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય ઇમિગ્રન્ટ પ્રજા પોતાના પૂર્વજોનાં મૂળ — રૂટ્સ — શોધવા એમની જન્મભૂમિની યાત્રાએ જાય છે તેવી જ રીતે અહીં ઉછરેલા ભારતીયો પણ તેમના પૂવર્જોની સંસ્કૃતિ અને જીવન વિશે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે એમના જુદા રંગો— એમની ભારતીયતા — હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાં ય એકાકાર થઈ ગઈ હશે. અન્ય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકનાઈઝેશનના આ ઐતિહાસિક સત્યને અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું જ પડશે.

[શબ્દ સંખ્યા 1731]

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

e.mail : natgandhi@yahoo.com

Loading

...102030...1,9261,9271,9281,929...1,9401,9501,960...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved