Opinion Magazine
Number of visits: 9680146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામ અને ‘સોસાયટી’

દીપક મહેતા|Opinion - Literature|18 May 2021

ઇસ્વિસો અઢારે અડતાલીસની સાલે શુભ,
તારિખ તો છવ્વીસમી ડીસેમ્બર માસની,
મંગળ વાસરે મહા માંગલિક ક્રિયા કીધી,
કિન્લાક સાહેબ તણી કીર્તિના પ્રકાશની.
સ્થાપી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તે,
અધિક વધારનારી વિદ્યાના અભ્યાસની,
દ્વિજ દલપતરામે દિલથી આશિષ દીધી,
આજથી સોસાયટી તું થજે અવિનાશની.

(ઉપરની પંક્તિઓમાં તથા હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

અમદાવાદ બ્રિટિશ હકૂમત નીચે આવ્યું છેક ૧૮૧૮માં. પરિણામે મુંબઈ કે પૂનાની સરખામણીમાં અર્વાચીનતાનો વાયરો અમદાવાદમાં પ્રમાણમાં મોડો વાયો. ૧૮૧૮માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદ હસ્તગત કર્યું ત્યારે તે એક મરવા પડેલું શહેર હતું. ‘અમદાવાદનો ઇતિહાસ’ (૧૮૫૧) પુસ્તકમાં મગનલાલ વખતચંદ નોંધે છે: 'ગાયકવાડ સરસૂબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવો શાહુકાર હોએ પણ ધાયાધોયાં લૂગડાં તથા મોહોટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહિ પણ ઢેંચણ સમું પોતીયું, તેહેના ઉપર બાસ્તાનો જાંમો ને માથે છીંટની વગર તોરાની પાઘડી પેહેરાતી. ને કદી કોઈ એથી લગીર સારાં લૂગડાં પહેરે તો સરસુબાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માણસને બોલાવી તેહેને કેહે કે ‘તમારી પાસે પુંજી ઘણી છે માટે પાંચ-દશ હજાર સરકારને આપો.’ કદી તે ના કેહે તો તેની છાતીએ પથ્થર મૂકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચોરીઓ પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમ કે હાકેમને તેમાંથી ચોથાઈ મળતી, અને ન્યાય પણ એ રીતે છચોક વેચાતો.’ 

૧૮૪૬ના નવેમ્બરમાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ઝાઝી નિશાળો, નહોતાં ઝાઝાં છાપખાનાં, નહોતી કોઈ સાહિત્યિક કે સાંસ્કૃતિક સંસ્થા. એ વખતે અમદાવાદમાંથી નહોતાં પ્રગટ થતાં પુસ્તકો, અખબારો, કે સામયિકો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સીધી રેલવે સેવા પણ છેક ૧૮૬૪માં શરૂ થઈ. એ વખતના ગુજરાતની મનોદશા દર્શાવતો એક પ્રસંગ ‘સ્મરણમુકુર’માં નરસિંહરાવ દિવેટિયાએ આલેખ્યો છે : ‘મ્હારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકનાં પોતપોતાનાં ‘બુધવારિયાં’ આવ્યાં. (એક જ પત્રની પ્રતો) પાણી પીવાની ઓયડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે અને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે, લગારે ભૂલ્ય નથી. ત્હારી ને મ્હારી નકલ બરોબર છે;’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.’

હા સુરત, ભરૂચ, અમદાવાદ જેવાં કેટલાંક શહેરોમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી રડીખડી નિશાળો હતી ખરી, પણ આ નિશાળોમાં ભણાવતા માસ્તરોને પોતાને જ જે ભણાવતા હતા તેમાં વિશ્વાસ નહોતો. ‘દુર્ગારામ ચરિત્ર’માં મહીપતરામ નીલકંઠ કહે છે: ‘મુંબઈમાં મહેતાજીઓએ ભૂગોળ તથા ખગોળ વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો, ને ઉપરીના હુકમથી હવે તે બાબતો નિશાળમાં ચલાવી. પુરાણોમાં લખ્યા પ્રમાણે એ વિદ્યાઓ નહિ હોવાથી લોકમાં નિંદા ચાલી. નિત્યાનંદ અને પરમાનંદના સંવાદ રૂપે છપાયેલી એ વિશેની ચોપડી ભણે તે લોકને ગમે નહિ. પ્રાણશંકર છોકરાને કહેતા કે સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે, ને ફરે છે. પણ તે તમે માનશો નહિ, કેમ કે પૃથ્વી ગોળ હોય ને ફરે તો આપણાં ઘર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે.’ (રમેશ મ. શુક્લ સંપાદિત મહીપતરામ ગ્રંથાવલી, ખંડ ૧)

ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તો તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઈ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. અમદાવાદમાં ૧૮૪૬માં પહેલવહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ થઈ તેમાં ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે કામ કરતા હતા. એટલે ફાર્બસે તેમની પાસેથી ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમદાવાદના ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરેને અજમાવી જોયા, પણ ફાર્બસને એકેથી સંતોષ ન થયો.

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી કોઈ સારું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. ફાર્બસના અવસાન પછી ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની દલપતરામની લાંબી લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઈ હતી. તેમાં ફાર્બસ સાથેના પહેલા મેળાપ અંગે તેઓ કહે છે : ‘તેને (ફાર્બસને) અંગ્રેજી કવિતાના ગ્રંથોનો અભ્યાસ હતો, તેથી ગુજરાતી કવિતાના ગ્રંથો ભણવાની મરજી થઈ, ત્યારે અમદાવાદમાંથી તથા વિજાપુરમાંથી બ્રાહ્મણ, ભાટ, વગેરે કેટલાએક કવિઓને બોલાવ્યા, પણ પોતાને કોઈ પસંદ પડ્યો નહિ. પછી રાવસાહેબ ભોળાનાથ સારાભાઈને પૂછ્યાથી તેઓએ મારું નામ બતાવ્યું. તે વખતે હું મારી જન્મભૂમિમાં વઢવાણમાં રહેતો હતો, ત્યાંથી મને તેડવા સારૂ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની મારફતે વઢવાણ મખસુદ માણસ મોકલ્યું. તેથી હું અમદાવાદમાં હાજર થયો … સન ૧૮૪૮ના નવેમ્બર મહિનાની તા. ૧ને રોજ સાહેબની મારે મુલાકાત થઈ, અને મારી બનાવેલી કવિતા સંભળાવી તેથી તે ઘણા ખુશ થયા. અને રૂ. ૨૪૦નું વર્ષ કરીને મને પોતાની પાસે રાખ્યો.’ (દલપત ગ્રંથાવલી, ભાગ ૫)

ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના વારસાની જાળવણી કરવાનું કામ એકલે હાથે થઇ શકે તેમ નથી એ વાત ફાર્બસને સમજાઈ જતાં તેણે સમાનધર્મી વ્યક્તિઓનો સાથ લઈને એક સંસ્થા ઊભી કરવાનું વિચાર્યું. આવી સંસ્થા પુસ્તકો, સામયિકો, અને વર્તમાન પત્રો પ્રગટ કરી શકે, નિશાળો શરૂ કરી શકે, પુસ્તકાલયો સ્થાપી શકે. આથી કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા તેમણે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બોલાવી. સાધારણ રીતે નાતાલના અરસામાં બ્રિટિશ અફસરો નોકરીમાંથી છુટ્ટી લઇ મોજમજા કરવા ઊપડી જાય. પણ તેને બદલે કેટલાક અંગ્રેજો તે દિવસે ભેગા થયા, અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. આ પહેલી બેઠકમાં હાજર રહેનારા બધા અંગ્રેજો જ હતા, એક પણ ‘દેશી’ માણસ તેમાં હાજર નહોતો. પહેલા વરસની ‘કમિટી’માં નીચેના સભ્યોનો સમાવેશ થતો હતો : કેપ્ટન વોલેસ, કેપ્ટન ફૂલજેમ્સ, રેવરન્ડ આર.ઈ. ટીરવીટ, રેવરન્ડ જી. ડબલ્યુ. પેરિટ્સ, એ.કે. ફાર્બસ, અને ઈ.જી. ફોસેટ. તેમાંથી સોસાયટીના પહેલા સેક્રેટરી તરીકે ફાર્બસની નિમણૂક થઈ. 

ત્યાર બાદ આ ‘કમિટી’ની પહેલી બેઠક ૧૮૪૯ના જાન્યુઆરીની ચોથી તારીખે મળી હતી. તેમાં આ સંસ્થાના પેટ્રન બનવા માટે મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડને વિનંતી કરતો ઠરાવ પસાર થયો હતો. આ ઉપરાંત પુસ્તકાલય, છાપખાનું, ઇનામી નિબંધ-સ્પર્ધા વગેરે અંગે ઠરાવો પસાર થયા હતા. આ બધાં કામો માટે તે જ વખતે ફાળો ઉઘરાવાયો હતો જેમાં ૨,૯૫૦ રૂપિયા ભેગા થયા હતા. આ રકમ કુલ ૨૯ અંગ્રેજોએ એકઠી કરી હતી. હકીકતમાં ૧૮૫૪ સુધી સોસાયટીની ‘કમિટી’માં એક પણ ‘દેશી’ નામ દેખાતું નથી. એ વરસમાં પહેલી વાર ભોગીલાલ પ્રાણવલ્લભદાસનું નામ જોવા મળે છે. એટલે કે, સોસાયટી શરૂ થઈ ત્યારે દલપતરામ તેની સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા. ફાર્બસને ત્યાં નોકરી કરતા હોવાથી તેમના કહેવાથી સોસાયટીનાં નાનાં-મોટાં કામ કરતા હોય એ, અલબત્ત, શક્ય છે. 

સોસાયટીની સ્થાપના થઈ ત્યાં સુધીમાં ફાર્બસ ગુજરાતી ભાષા સહજ રીતે બોલી શકતા થયા હતા. ‘રાસમાળા’ના પહેલા ભાગની ૧૯૨૪માં પ્રગટ થયેલી આવૃત્તિમાં એચ.જી. રોલિંગ્સને ફાર્બસ વિશેનાં સ્મરણો લખ્યાં છે. તેમાં તેમણે કહ્યું છે : ‘ફાર્બસ અસાધારણ શુદ્ધિપૂર્વક અને અસ્ખલિત રીતે ગુજરાતી ભાષા બોલી શકતા હતા. આથી યુરોપિયનો માટે અસાધારણ કહેવાય તેવી સહેલાઈથી તેઓ લોકોનો વિશ્વાસ જીતી શકતા અને સાધારણ રીતે જે માહિતી સહેલાઈથી ન મળી શકે તે મેળવી શકતા.'

પોતે ગુજરાતનો જે ઇતિહાસ લખવા માગે છે તે અંગેની પૂરતી સામગ્રી એકઠી થઈ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું. પણ સરકારી નોકરીનું કામકાજ કરતાં કરતાં આવું પુસ્તક લખવાનું મુશ્કેલ છે એ પણ તેઓ જાણતા હતા. આથી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું તેમણે નક્કી કર્યું. દલપતરામની ઇચ્છા સાહેબ સાથે ઇન્ગ્લન્ડ જવાની હતી. પણ એ વખતના જ્ઞાતિઓના વિધિનિષેધોથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે તેમણે દલપતરામને કહ્યું કે ત્યાં પરદેશમાં તમે તમારો ધરમ નહિ સાચવી શકો. રોજેરોજ નળનું પાણી પીવું પડશે. પરિણામે પાછા આવ્યા પછી તમને ન્યાત બહાર મૂકવામાં આવશે. માટે તમે મારી સાથે ન આવશો.

અત્યાર સુધી દલપતરામ ફાર્બસની અંગત નોકરીમાં હતા, અને પોતે સ્વદેશ પાછા જાય તે પછી દલપતરામ નોકરી વગરના થઈ જશે એ વાતનો પણ ફાર્બસને પૂરો ખ્યાલ હતો. આથી તેમણે મહીકાંઠાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં દલપતરામને નોકરી અપાવી. ૧૮૫૩ના ઓક્ટોબરમાં ફાર્બસની અંગત નોકરી છોડી દલપતરામ સરકારી નોકરીમાં જોડાયા. ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઈ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ લખવાની શરૂઆત કરી. એ વખતે દર બે-ત્રણ મહીને ફાર્બસ દલપતરામને કાગળ લખતા. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયું તે પછી ફાર્બસ અને તેમનાં પત્ની હિન્દુસ્તાન પાછાં આવ્યાં.

દલપતરામનો સોસાયટી સાથેનો ખરેખરો પ્રત્યક્ષ સંબંધ શરૂ થયો તે ફાર્બસનાં સલાહ-સૂચનથી, પણ તેમની ગેરહાજરીમાં. ૧૮૫૪ના સપ્ટેમ્બરની ચોથી તારીખે દલપતરામ સાદરાથી કાવ્યપઠન કરવા અમદાવાદ ગયા હતા. એ વખતે સોસાયટીના સેક્રેટરી ટી.બી. કર્ટિસે સરકારી નોકરી છોડીને સોસાયટીની નોકરી સ્વીકારવાનું સૂચન દલપતરામને કર્યું હતું. પણ દલપતરામે જવાબ આપ્યો કે ‘મહિકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હાઈટલોકસાહેબ સોસાયટીના મેમ્બર છે, તેઓની મારા પર ઘણી મહેરબાની છે તેથી સરકારી ખાતામાં મને મોટે અધિકારે ચડવાની આશા છે. માટે હું ત્યાં રહીને સોસાયટીને મદદ કરતો રહીશ.’ આ જવાબ આપીને તેઓ સાદરા પાછા ગયા.

સોસાયટીની લાયબ્રેરી ચાલુ રાખવામાં જો ‘દેશી’ઓને રસ ન હોય તો તે બંધ કરવી એવી માગણી ૧૮૫૫ના જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કેટલાક અંગ્રેજ સભ્યોએ કરી. એટલે કર્ટિસે ફાર્બસને કાગળ લખી જણાવ્યું કે અત્યારની મુશ્કેલીમાંથી સોસાયટીને બચાવી શકે એવો એક જ માણસ છે, દલપતરામ. તમે તેને સોસાયટીની નોકરીમાં જોડાવા સમજાવો. એટલે ફાર્બસે પત્ર લખી દલપતરામને સોસાયટીની નોકરી સ્વીકારવા સમજાવ્યા. સાથે એમ પણ લખ્યું કે ‘જો સોસાયટી ભાંગી પડશે તો તમારી આખી ઉંમર સુધીની ફિકર હું રાખીશ.’ એ જ અરસામાં કર્ટિસે પણ પત્ર લખી નોકરીની ઓફર મોકલી. દલપતરામ રાજી થયા, પણ પોલિટિકલ એજન્ટ તેમને છૂટા કરવા તૈયાર નહોતા. તેમણે એ વાત પત્ર લખીને સોસાયટીના સેક્રેટરીને જણાવી. પણ છેવટે તેમણે દલપતરામને નોકરીમાંથી છૂટા કર્યા. પછી દલપતરામે કર્ટિસને પત્ર લખી જણાવ્યું:

‘સ્વદેશનું શુભ ચાહીને આવીશ અમદાવાદ,
સોસાઈટીને સેવવા, બાર-તેર દિન બાદ.’

અને ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી મહીને ૩૦ રૂપિયાના પગારે દલપતરામ સોસાયટીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. અને તે દિવસથી દલપતરામના જીવનનું જ નહિ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇતિહાસનું પણ એક નવું અને સમૃદ્ધ પ્રકરણ શરૂ થયું. 

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિ પ્રકાશ”, ઍપ્રિલ 2021

Loading

ભાગવતનું ભેંશ આગળ ભાગવત …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 May 2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવતે કહ્યું કે સરકારની અને લોકોની બેદરકારીથી કોરોના વકર્યો. કોર્ટે પણ સરકારની જવાબદારી મોડે મોડે નક્કી કરી. તેણે પહેલાં તો લોકોને જ જવાબદાર ઠેરવ્યાં. એની સામે ભાગવતનું નિવેદન સ્પષ્ટ અને સંતુલિત છે. બેદરકારી માટે તેમણે સરકારને પહેલી મૂકી છે ને પછી લોકોને મૂક્યાં છે. ભાગવતનું નિવેદન મોડું છે, પણ સાચું છે. આ નિવેદન વહેલું આવ્યું હોત તો સરકારોને કદાચ જુદું વિચારવાનું થયું હોત, પણ દેર આયે દુરસ્ત આયે-ની જેમ મન મનાવવાનું રહે. ઇચ્છીએ કે ભાગવતની વાત ભેંશ આગળ ભાગવત ન બની રહે.

હાલની વૈશ્વિક અંધાધૂંધીમાં અમેરિકાએ એટલું કૌવત તો બતાવ્યું કે ત્યાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જીવી શકાય એ સ્થિતિ આવી છે, પણ એટલું બાદ કરતાં ઇઝરાયલ ને પેલેસ્ટાઇન યુદ્ધમાં સંડોવાયાં છે. ઈરાન, ઈરાક, અહીં આક્રમણોથી મૃત્યુ નીપજતાં રહે છે, તો બીજે મહામારીથી મોત નીપજે છે, જાણે મૃત્યુ નીપજતાં રહે એમાં જ વિશ્વને રસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ પણ કોરોના મામલે ઘણી રમતો કરીને દુનિયાને અંધારામાં રાખી ને ઘણું ઘણું ફેરવી તોળ્યું તે અક્ષમ્ય છે.

કોરોનાને મામલે આપણે ત્યાં પણ ઓછો બકવાસ નથી થયો. ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રીએ કોરોનાને જીવંત પ્રાણી ગણીને એને પણ જીવવાનો અધિકાર છે એવું કહ્યું. બધાંને જ જીવવાનો અધિકાર છે એની ના જ નથી, પણ એ પ્રાણી બીજાના જીવવાનો અધિકાર છીનવે ત્યારે શું કરવાનું તે મંત્રીશ્રીએ કહ્યું હોત તો એમને માટે માન થયું હોત. એવો જ લવારો કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીએ પણ કરેલો કે રસીકરણ ઝડપી ન બને તો શું અમારે ફાંસીએ લટકી જવાનું? પુરુષ હોવા છતાં એમણે આવો છણકો કર્યો તેનું આશ્ચર્ય છે. એવા લવારા કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી પણ બાકાત નથી. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈ પણ હૉસ્પિટલમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થયું નથી. આમ પણ મુખ્ય મંત્રીશ્રી કરમુક્ત મનોરંજન કરાવવાનું ચૂકતા નથી એટલે આ વાતને પણ હસી કાઢવાની જ રહે, પણ મંત્રીઓ એટલો બકવાસ કરતાં હોય છે કે એ જાતે તો શું ફાંસીએ લટકે, લોકો લટકાવી દે એમ બને. અત્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સૌથી વધુ જોખમમાં લાગે છે. બન્યું એવું કે વડા પ્રધાનના વિરોધમાં, દિલ્હીમાં, વિદેશને રસી કેમ આપી દીધી – એ મતલબના પોસ્ટર લાગ્યા તો 17 એફ.આઇ.આર. થઈ અને 15 લોકોની ધરપકડ થઈ. આવું તો ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે પણ નથી થયું. પ્રશ્ન એ થાય કે લોકશાહીને આ શોભે છે ખરું કે ભારતને હવે આરતી ઉતારુઓ જ ખપે છે?

આ બધું ઓછું હોય તેમ વગર વરસાદે ગુજરાતનાં દરિયા કાંઠે તૌકતે વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકે એવી સ્થિતિ છે. એમ લાગે છે કે કોઈ તત્ત્વ બધી રીતે આ દેશ પર જોખમ ઉતારવાના સોગંદ ખાઈને બેઠું છે ને એમાં સરકારોની ઢીલાશ અને બેદરકારી ઉમેરો કરે છે. સરકાર કૈં નથી કરતી એવું નથી, પણ આટલા મોટા દેશ પર સામટી આફત આવે ત્યારે બાર સાંધતાં તેર તૂટે – જેવી હાલતનો પણ વિચાર કરવાનો રહે. એમાં એક વર્ગ એવો છે જે સતત, દેશ ડરેલો રહે એની જ ચિંતા કરે છે. પાણી પહેલાં પાળ બાંધવામાં સરકારો મોડી પડે છે ને કેટલાંક તત્ત્વો પાળ બંધાવ બંધાવ કરવામાં જ પોતાને સફળ માને છે. આ બંને અંતિમો યોગ્ય નથી. હકીકત એ છે કે સત્ય એ બે અંતિમોની વચ્ચે છે.

મોડે મોડે સરકારે એ કબૂલ્યું છે કે માર્ચ-એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ થયાં હતાં. સરકારમાં આવેલી આ પ્રમાણિક્તાનું સ્વાગત છે. એક નિર્ણય ગુજરાત સરકારે 10માં ધોરણમાં માસ પ્રમોશન આપવાનો કર્યો છે, તે સારો છે કે નબળો, તે પછીની વાત છે, પણ એ અને એ જ નિર્ણય લેવો પડે એમ હતું. આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ શકે ને થશે પણ ખરી. જેમ કે સી.બી.એસ.ઈ.એ નિર્ણય વહેલો લીધો, પણ એની પાસે નિર્ણય લેવાની, પરિણામ તૈયાર કરવાની ચોક્કસ ભૂમિકા હતી, એ તક ગુજરાત પાસે ન હતી. એટલું સમજાય છે કે દરેક ધોરણમાં સતત મૂલ્યાંકનની ચોક્કસ વ્યવસ્થા ઊભી થવી જોઈએ. એવું થાય તો અંતિમ પરીક્ષા ન લેવાય તે સ્થિતિમાં પણ વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન હાથવગું હોય. નવી શિક્ષણનીતિ સાથે આ બાબતનો પણ વિચાર થાય તેવી તંત્રો પાસેથી અપેક્ષા રહે છે.

એક વાત વાલીઓ અને સંચાલકોએ સમજવાની રહે કે સરકાર પહેલેથી જ માસ પ્રમોશનના પક્ષમાં ન હતી. એટલે જ તેણે અન્ય વર્ગોમાં પણ એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાનો આગ્રહ રાખ્યો હતો. હવે જ્યારે કોરોનાને કારણે મે મહિનો લગભગ અડધો આવી જવા છતાં, પરીક્ષા જ શક્ય ન રહી તો માસ પ્રમોશન એ જ એક માત્ર વિકલ્પ હતો ને તે અપાયો. આમાં રિપીટર્સનો સમાવેશ નથી. ઘણાંનું માનવું છે કે માસ પ્રમોશન એમને પણ અપાવું જોઈએ. હા, અપાવું જોઈએ. લગભગ સાડા ત્રણ લાખ રિપીટર્સ છે ને એમની પરીક્ષાઓ લેવાય એવા અત્યારે તો કોઈ સંજોગો નથી, તો એમને લટકાવી રાખવાનો અર્થ ખરો? કમ સે કમ એમને પરીક્ષા આપવાનો અનુભવ તો છે ! જો નાપાસ થવા જેવાને પણ માસ પ્રમોશન મળતું હોય તો રિપીટર્સને તેનો લાભ ન આપવામાં કોઈ ડહાપણ નથી. તે સાથે જ સંચાલકો, વાલીઓ બીજા દાખલાઓ પણ ગણવા લાગ્યા છે. આમ પણ સંચાલકો ફી પડાવવામાં ને વાલીઓ ફી બચાવવામાં વધારે માને છે એટલે એ સિવાય બીજું ભાગ્યે જ વિચારે છે. વાલીઓએ એ જાણવાની કોશિશ કરી કે પરીક્ષા નથી લેવાઈ તો પરીક્ષા ફી પછી મળે કે કેમ? કેટલાકની મૂંઝવણ એ પણ છે કે માસ પ્રમોશનની કિંમત નહીં રહે ને બીજા રાજ્યોમાં કે વિદેશમાં પ્રવેશના પ્રશ્નો ઊભા થાય. એના ટેકામાં કેટલાક નવનિર્માણ આંદોલન વખતે માસ પ્રમોશન અપાયેલું ને તેણે નોકરી કે શિક્ષણ પ્રવેશની મુશ્કેલી સર્જેલી તે વાત આગળ કરે છે. એ ખરું કે ત્યારે જે થયેલું એ ખોટું હતું ને હવે જે થશે એ પણ ખોટું જ હશે. ખોટું એટલા માટે કે ત્યારે માત્ર ગુજરાતનો પ્રશ્ન હતો, અત્યારની સ્થિતિ વૈશ્વિક, રાષ્ટ્રીય છે. જો સી.બી.એસ.ઈ. બોર્ડની પરીક્ષા રદ્દ કરતી હોય તો ગુજરાત એક માત્ર વિકલ્પ બચતાં માસ પ્રમોશન આપે તેમાં કશું ખોટું નથી.

કેટલાક શિક્ષકો, સંચાલકો એ ફિકરમાં પડ્યા છે કે 11માંના વર્ગમાં પ્રવેશ કઈ રીતે આપવો? સાધારણ રીતે બોર્ડનું પરિણામ 70 ટકાની આસપાસ રહેતું હોય છે, પણ માસ પ્રમોશન અપાતાં, વધારાના 30 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કઈ રીતે કરવો એ પ્રશ્ન છે. વારુ, સ્કૂલો ચાલુ થાય અને અંતર જાળવીને વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવાની હોય તો 11માં ધોરણના એટલા વર્ગો નથી કે વધારાના 30 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ શક્ય બને. આવામાં વધારાના વર્ગો શરૂ કરવા પડે અથવા બેથી ત્રણ પાળીમાં વર્ગો ચલાવવા પડે. એ પણ ખરેખર તો વાતાવરણ સુધરે પછીની વાત છે.

બારમાં ધોરણમાં માસ પ્રમોશન નહીં અપાય એવી જાહેરાત મોટા ઉપાડે મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ કરી છે. વાતાવરણ સરખું થશે પછી 12ની પરીક્ષા લેવાશે એમ મંત્રીઓ કહે છે, પણ મેના 17 દિવસો પછી પણ વાતાવરણ સરખું થયું નથી. બાકી હતું તે વાવાઝોડાએ પૂરું કર્યું છે. કેસ ઘટ્યા છે ને એની પ્રમાણિક જાહેરાત થઈ હોય તો પણ, જૂન સુધીમાં બધું ઠેકાણે પડે એમ લાગતું નથી. જૂન પછી પરીક્ષા લેવાય અને એનું પરિણામ આવે ત્યાં સુધીમાં જુલાઈ આવી રહે. એ પછી કોલેજ પ્રવેશ ને તેની પ્રવેશ પરીક્ષાઓ ને એવું બધું ચાલે તો ઓગસ્ટ વગર પત્તો ન લાગે. એમ થાય તો સત્રો પાછળ ઠેલાય અથવા તો ટુંકાવવા પડે ને વળી વાત કોર્સ ટુંકાવવા પર જ આવે. આ સ્થિતિમાં 12માં ધોરણમાં પણ માસ પ્રમોશન અંગે વિચારાવું જોઈએ. કોઈ પણ કક્ષાએ માસ પ્રમોશન જરા પણ ઇચ્છનીય નથી, પણ સંજોગો એવા હોય ત્યાં સમાધાન કરવું જ પડે. એ સાચું કે 12મું ધોરણ કારકિર્દીનું મહત્ત્વનું વર્ષ છે ને તેમાં માસ પ્રમોશન ન જ હોય, પણ પરિસ્થિતિ જોખમી હોય ત્યાં જીવને ભોગે તો પરીક્ષા ન લેવાયને ! ધારો કે 10-12માં માસ પ્રમોશન આપ્યા પછી પણ, કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો માસ પ્રમોશનનો ય કેટલો અર્થ રહેશે તે વિચારવાનું રહે. એવો ખ્યાલ હોય કે ઓનલાઈન શિક્ષણથી ચાલી જશે તો તેનાથી શિક્ષણનો મૂળભૂત હેતુ જળવાય એવું ઓછું જ બનવાનું. આમ પણ ઓનલાઈન શિક્ષણ મર્યાદિત વર્ગ ને વિસ્તાર પૂરતું જ કામ લાગ્યું છે ને એ જ વેપલો ફરી કરવામાં ડહાપણ એટલે નથી કારણ પ્રત્યક્ષ અને સાર્વત્રિક શિક્ષણનો હેતુ એનાથી પાર પડતો નથી.

આ સંજોગોમાં પ્રાર્થના એ જ કરવાની રહે કે વર્ગશિક્ષણ શરૂ કરવા જેવું વાતાવરણ સર્જાય અને બધું પૂર્વવત થાય. અસ્તુ.

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 મે 2021

Loading

અજય પાઠક

ડંકેશ ઓઝા|Opinion - Opinion|17 May 2021

છેલ્લાં વર્ષોમાં અજય પાઠકની ઓળખ ડંકેશભાઈએ નોંધ્યું છે તેમ – અને મેં અજયસિંહ ચૌહાણની આ અંગેની (કદાચ સર્વપ્રથમ) મુખટપાલ(ફેસબુક પોસ્ટ)માં પણ જોયું તેમ – હેવાલલેખક તરીકે સતત સામે આવતી રહી, પછી તે અસ્મિતા પર્વ હોય કે પરિસદ સત્ર. જો કે અજય વિશે મારી શરૂઆતની સાંભરણ અને સળંગ છાપ એક સહૃદય સમીક્ષક વ્યક્તિત્વની. પાંચેક દાયકા પર પહેલીવાર મળવાનું થયું ત્યારે સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રની અમદાવાદ શાખામાં બદલી થઈ આવેલા એ ‘નિરીક્ષક’ના લેખકની શોધમાં હતા. પછી તો, તરતમાં, હું ‘વિશ્વમાનવ’ના સંપાદનમાં સંકળાયેલો અને એમાં અજયે ‘કાન્ત’ વિશે કોઈ મુદ્દો કર્યો હશે તેથી ખેંચાઈ ઑફ ઑલ ધ પર્સન્સ મુ. નગીનદાસ પારેખે મને પરિચયપૃચ્છા કર્યાનું સાંભરે છે. થોડા વખત પર વાત થઈ (હજુ ૨૪મી એપ્રિલે તો એમણે ટૂંકાક્ષરી મુખટપાલ મૂકેલી કે ‘ઠીક છે.’) ત્યારે ઈશ્વરલાલ ર. દવે વિશે વિગતે લખવા માટે સામગ્રી એકત્ર કર્યાનું કહેતા હતા. ઈ.ર.દ.ના છાત્ર તરીકે એક અભ્યાસીની હૈયાઉલટ એ હતી. આ સંદર્ભમાં સુદીર્ઘ અભ્યાસલેખ કરવો, પરિષદ-વ્યાખ્યાન તૈયાર કરવું ને ‘નિરીક્ષક’ લાયક નોંધ એવી ત્રિવિધ હોંશ એમને હવેના મહિનાઓ માટે હતી. પરિષદ પરત્વે કોઈ મહત્ત્વાકાંક્ષી ગોઠવણ વગર સ્વયંસેવી સંપૃક્તતા એ એમનો વિશેષ હતો. વિષમ સંજોગોમાં મંત્રી તરીકેનું દાયિત્વ આવ્યું તો વિવિધ વ્યાખ્યાન આયોજનનો આખો બૅકલૉગ એમણે એવો તો સુપેરે પાર પાડી આવ્યો હતો કે … ગમે તેમ પણ, વ્યક્તિગત સ્નેહસંબંધ ઉપરાંત ‘નિરીક્ષક’ના ૧૯૬૮થી સળંગ વાચક તરીકે તે શું વિચારે છે, શું સૂચવે છે એનું મને હંમેશ ખેંચાણ રહ્યું એ આ ક્ષણે વિશેષરૂપે સંભારું છું.

— “નિરીક્ષક” તંત્રી

અજય પાઠક, ભાવનગરના પ્રશ્નોરા નાગર અને નિવૃત્ત અધિકારી, સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર. એંસી આસપાસની ઉંમરે આઠમીને શનિવારે કોરોનાગ્રસ્ત થઈને શહેરની સર તખ્તસિંહજી હૉસ્પિટલમાં અવસાન પામ્યા. સાહિત્યવ્યાસંગી અને કલાનુરાગી એવા અજય પાઠક છેલ્લાં વર્ષોમાં સાહિત્ય પરિષદનાં અધિવેશન અને જ્ઞાનસત્ર તથા સદ્‌ભાવના પર્વના અહેવાલલેખનકાર તરીકે ઘણાને યાદ આવશે.

બૅંકના અધિકારી હોવા છતાં એમનો સાહિત્યરસ પાકો અને ઊંડો હતો. યશવંત દોશીના પુસ્તક સમીક્ષાના માસિક ‘ગ્રંથ’ના શરૂઆતનાં વર્ષોના અંકોમાં તેઓ ટૂંકાં અવલોકનો લખતા. પાછળના એમના લાંબા અહેવાલોના સંદર્ભમાં આ નોંધવા યોગ્ય લાગે છે. પરિષદની મધ્યસ્થ સમિતિમાં તો જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ ઉમેદવારી કરતા રહ્યા. ક્યારેક ચૂંટાયા – હાર્યા અને તત્કાળ પૂરતો મંત્રીનો હવાલો સોંપાયો, ત્યારે પરિષદ વ્યાખ્યાનમાળાના આયોજનમાં મોટી ઉંમરે પણ નાનાં કેન્દ્રો સુધી દોડીને તેમણે સારું કામ બજાવ્યું. પરિષદના અધિવેશનમાં અને જ્ઞાનસત્રોમાં તેઓ છેક ૧૯૬૦થી લગભગ નિયમિતપણે જતા.

‘નિરીક્ષક’, ‘વિ. વિદ્યાનગર’, ‘સદ્‌ભાવના ફોરમ’, ‘પરબ’ વગેરેમાં તેઓ લખતા રહ્યા. યાદ આવે છે દક્ષાબહેન પટ્ટણી વિશે તેમણે ‘નિરીક્ષક’માં જે અંજલિલેખ લખેલો તે પછીથી ‘નવનીત સમર્પણ’માં પણ પુનર્મુદ્રિત થયેલો. અંજલિલેખો લખવા એ અહેવાલ લેખનની જેમ એમનું મનગમતું કામ હતું. આશ્ચર્યજનક રીતે તેઓ ફેસબુક ઉપર પણ સક્રિય હતા. ત્યાં પણ ટૂંકી સ્મૃતિઅંજલિ મૂકવામાં તેમને આનંદ આવતો.

વયોવૃદ્ધ માતાપિતાની આનંદથી સેવા કરી, જ્યારે તેમની પોતાની ઉંમર અને તબિયત સેવા લેવાની હકદાર હતી. સાંભળ્યા મુજબ, એમની દીકરી શૈલા તેઓ હૉસ્પિટલમાં માંદગી બિછાને હતા ત્યારે અવસાન પામી, જેના સમાચાર પણ તે સમયે અજયને આપી શકાય તેમ ન હતા. બીજી દીકરી હેમા ભાવનગર જ છે. હવે  રંજનબહેને આ બધું સંભાળવું રહ્યું.

શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યાનું તેમને ગૌરવ હતું. કોઈ અધ્યાપક લાંબી રજા પર હોય કે જગ્યા ખાલી રહી હોય, ત્યારે આપદ્‌ ધર્મ, તરીકે તેમણે અધ્યાપનકાર્ય પણ કર્યું, જેનો તેમને અનહદ આનંદ હતો. ભાવનગરની ‘ગદ્યસભા’ સહિતની જે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિઓ હોય તે સાથે તેમનો લગાવ કાયમી રહ્યો. વ્યવસ્થિત રીતે અધ્યયન કરવું, વાંચતાં રહેવું એ તેમની શિસ્ત હતી. વિનોબાના રમેશ સંઘવી સંપાદિત પંચામૃત સંપુટનું અત્યારે તેઓ અધ્યયન કરી રહ્યા હતા. તે અંગે લખાય અને છપાય એવી મોકળાશની શોધમાં હતા.

મારો અજય સાથેનો પરિચય દિલીપ ચંદુલાલને કારણે. તેઓ પ્રકાશભાઈ, હરિકૃષ્ણ પાઠક, માધવ રામાનુજ વગેરેના અંતરંગ પરિચયમાં હતા. પછી તો એમાં ઘણા ઉમેરાયા, ગુરુકુળ મહુવા ખાતે મોરારિબાપુના સાંનિધ્યમાં કાર્યક્રમોમાં સામેલ થવું એમને ખૂબ ગમતું. ત્યાં સવારની વહેલી અને પહેલી ચા સાથે જે ચર્ચાઓ ચાલતી તે પણ હવે સ્મૃતિશેષ. વિજય પંડ્યા, સતીશ વ્યાસ, અજય અને અમે ચાય પે ચર્ચાનો જે આનંદ લૂંટ્યો છે, એ તો માત્ર અમારો જ. સ્મરણસ્થ અજય પાઠક ભુલ્યા ભુલાય તેમ નથી. મારી આદરાંજલિ.

અડાલજ – ૩૮૨ ૪૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 11

Loading

...102030...1,9251,9261,9271,928...1,9401,9501,960...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved