Opinion Magazine
Number of visits: 9572333
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૃદ્દગત ઇન્દુભાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 April 2021

સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.

ઇન્દુકુમાર જાની અને ‘નયા માર્ગ’ની પર્યાયી ઓળખની હમણાં જિકર કરી તો સાથેલગો મારે ફોડ પણ પાડવો જોઈએ કે આ ઓળખ શું હતી. એમાંથી ઇન્દુકુમારના જીવનકાર્યની છબી ઊઘડશે અને ત્રણે સામયિકો સાથે તથા નિરાળાં શી વાતે હતાં (અને છે) એ ય સ્પષ્ટ થશે.

‘ભૂમિપુત્ર’નો આરંભ વિનોબાના ભૂદાન આંદોલન સાથે. કેરળના પોચમપલ્લીમાં એક દલિત કુટુંબને સ્વાશ્રયી જીવન માટે જમીન મળે એવી જાહેર ટહેલમાંથી વિનોબાએ ગાંધીયુગના નવપડાવની જે ઝાંખી અને જવાબદારી આપી એમાંથી ‘ભૂમિપુત્ર’ આવ્યું. વિનોબા તો ભારતભૂમિની સાંસ્કૃતિક ને આધ્યાત્મિક પરંપરામાં રમેલા ગાંધીજન એટલે એમને તરત જડી રહેલો વેદમંત્ર હતો – ‘માતા ભૂમિઃ પુત્રોડહમ્ ‌પૃથિવ્યાઃ’ ભૂમિ એ માતા છે, અને હું એનો પુત્ર છું.

૧૯૬૮માં ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, ઈશ્વર પેટલીકર, યશવન્ત શુકલ આદિ ‘નિરીક્ષક’ લઈને આવ્યા ત્યારે સ્વરાજનાં વીસે વરસે લોકશાહી રાજ્યકર્તાઓનો પહેલો ફાલ ઉત્તમ કામગીરી પછી કંઈક પાછો પડવા લાગ્યો હતો અને મહાન સ્વપ્નદૃષ્ટાઓએ તેમ બંધારણના ઘડવૈયાઓએ જે પ્રજાસત્તાક સ્વરાજનું ચિત્ર કલ્પ્યું હતું એમાં ખોટ વરતાતી હતી. સ્વરાજની શુદ્ધિ ને પુષ્ટિની દૃષ્ટિએ ટીકાટિપ્પણ અને વિચારવિમર્શ તરફ ‘નિરીક્ષક’નો સહજ ઝોક રહ્યો. સ્વરાજી કૉંગ્રેસ પ્રણાલિથી ઉફરાટે શરૂ થયેલી એ એક કોશિશ હતી – અને તેમાં નવનિર્માણ ને જેપી આંદોલનનો કદાચ પૂર્વાભાસ પણ હતો. જે બધાં ભયસ્થાનો ‘નિરીક્ષક’ના પ્રથમ તંત્રીમંડળને ૧૯૬૮માં જણાતાં હશે તે ૧૯૭૫-૭૭ના કટોકટીકાળમાં બહુ ખરાબ રીતે સાચાં પડ્યાં એ હવે ઇતિહાસવસ્તુ છે.

આ વર્ષોમાં ‘નયા માર્ગ’ ક્યાં હતું? ઇંદિરા ગાંધીએ દેશના રાજકારણમાં ‘ગરીબો અને ગરીબી’નો મુદ્દો કેન્દ્રમાં આણ્યો એની અપીલ કૉંગ્રેસના ચોક્કસ ધડાને થઈ. (આ ક્ષણે આપણે એની પાછળની તેમ સામસામી રાજકીય પ્રયુક્તિઓની ચર્ચામાં સ્વાભાવિક જ નથી જતા.) દક્ષિણ ગુજરાતમાં ધૂણી ધખાવી બેઠેલા જુગતરામ દવે સરખા ગાંધીજને દર્શક જેને એકલવ્ય ઘટનાના પ્રયાશ્ચિત રૂપ કહે છે એવો જે શિક્ષણ-જગન માંડ્યો એમાંથી ઘડાયેલાં જાહેરજીવનનાં મૂલ્યોને વરેલા ઝીણાભાઈ દરજી વગેરેને ઇંદિરા ગાંધીમાં વરતાયેલા ઉન્મેષમાંથી જિલ્લા સ્તરના કૉંગ્રેસપત્ર જેવું ‘નયા માર્ગ’ શરૂમાં કદાચ આવ્યું હશે પણ જોતજોતાંમાં ઝીણાભાઈ દરજી અને સનત મહેતા વગેરેના સંધાનમાંથી ખેતવિકાસ પરિષદ જેવું જે આર્થિક-સામાજિક ન્યાય માટેનું સંગઠન ખડું થયું એણે પૂરા પાડેલ પ્લેટફોર્મ પછી ‘નયા માર્ગ’ જિલ્લા સ્તરની પક્ષપત્રિકા ક્યાં ય વટી જવાની સ્થિતિએ હતું.

હું જાણું છું કે પૃષ્ઠભૂ જરી લંબાઈ રહી છે અને ઇન્દુભાઈ પરત્વે અંજલિભાવ પ્રગટ કરવાનું કંઈક ખેંચાતું માલૂમ પડે છે. પણ ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’થી ‘નયા માર્ગ’નું નિરાળાપણું સમજવા સારુ આટલો વ્યાયામ કદાચ જરૂરી પણ હતો. ઝીણાભાઈ દરજી જમીન વિકાસ બૅંકના અધ્યક્ષ હતા, અને ઇન્દુકુમાર જાની એ બૅંક કર્મચારીઓના યુનિયનના આગેડુ. એટલે બંનેનું સામસામે મુકાવું સહજ હતું. પણ આવોયે પરિચય ઉપયોગી એ રીતે થયો કે ઝીણાભાઈના મનમાં જે અગ્રતા હતી, અસંગઠિત કામદાર વર્ગના પ્રશ્નોની ને દલિતવંચિત વર્ગની સ્મસ્યાઓની, તેની સામે સંગઠિત ક્ષેત્રના યુનિયનના સવાલો આર્થિક-સામાજિક ન્યાયની બુનિયાદી રાજનીતિમાં માનવતાની કસોટીએ કેટલા ઓછા અને પાછા પડે છે તે યુનિયન નેતા ઇન્દુકુમારને પકડાયું. સુરક્ષિત પગારજોગવાઈ છોડીને એ અસંગઠિત વર્ગની કામગીરીમાં જોડાયા. એમનાં કામોમાં ખેતકામદાર યુનિયનને છે. એ કહેતા પણ ખરા કે ‘બધું છોડીને ખેતકામદારોને સંગઠિત કરવાનું કામ કરવું છે.’ અને આગળ ચાલતાં કેમ જાણે ઝીણાભાઈના માનસપુત્ર શા બની રહ્યા.

ઝીણાભાઈના રાજકીય ઉછેરમાં હાડના કૉંગ્રેસમેન હોવું સહજ હતું. એમને સમજાયેલાં કૉંગ્રેસમૂલ્યો ઇન્દુભાઈને પણ ગમતાં હતાં. પણ અસંગઠિત વર્ગો માટેની તેમ દલિતવંચિત ન્યાયની રાજનીતિ કે જાહેર કામગીરી વાસ્તે વિધિવત્‌ કૉંગ્રેસમાં હોવું એમને અનિવાર્ય લાગતું નહોતું. જીતી શકે તેમ હોવું છતાં પક્ષની ચૂંટણીટિકિટ ન લેવી એ બાબતે ઇન્દુભાઈ સ્પષ્ટ હતા. ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ની રીતે નહીં તો પણ કંઠીબંધા પક્ષીય પ્લેટફૉર્મથી તો વ્યાપક ભૂમિકાએ ‘નયા માર્ગ’ એમના નેતૃત્વમાં મુકાયું અને ઊંચકાયું. કટોકટીરાજ પરત્વે ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ને હશે તેવી પ્રતિક્રિયા આ સ્કૂલની ક્યારેક નહીં હોય તો પણ આર્થિક-સામાજિક ન્યાયની રાજનીતિએ સુદ્ધાં અધિકારવાદથી પરહેજ કરવાપણું છે એ સમજમાં ઇન્દુભાઈ ઓછા કે પાછા નહોતા.

૧૯૭૭માં ઇંદિરા ગાંધીના ગયાં પછી જે એક દલિતવિરોધી પ્રત્યાઘાત, જેપી આંદોલનનાં મૂલ્યોથી વિપરીતપણે, આપણે ત્યાં આવ્યો ત્યારે ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ અલબત્ત સમતાનાં મૂલ્યો સાથે હતાં પણ દલિતોને પોતાનો અવાજ, પોતાનું સ્થાન પહેલા ખોળાની પ્રીત જેવું ‘નયા માર્ગ’માં મળી રહ્યું, અને અમદાવાદનાં દૈનિકોમાં ‘જનસત્તા’ કંઈક અંશે ભૂદાન આંદોલનમાંથી આવેલું ‘ભૂમિપુત્ર’, લોકશાહી સમાજવાદની ખેવના સાથેનું ‘નિરીક્ષક’ બેઉ હતાં પણ નવજાગ્રત દલિત અસ્મિતાને સારુ એક તબક્કે ‘ઘરનું ઘર’ નિઃશંક ‘નયા માર્ગ’ હતું. એમાં ઝીણાભાઈની હૂંફને ઓથ સાથે કપ્તાન કામગીરી બેલાશક ઇન્દુભાઈની હતી. ૧૯૮૧-૮૫નાં અનામત વિરોધી રમખાણો એમના કર્મશીલ અને  પત્રકારજીવનમાં સૌથી મહત્ત્વનાં છે. અનામતના સમર્થનમાં તે કાયમ હતા. મંડલ રાજનીતિને તે વૈકલ્પિક રાજનીતિમાં મહત્ત્વની માનતા હતા. ગાંધી અને ગાંધીવાદીઓ સાથે દિલી લગાવ છતાં બાબા સાહેબ આંબેડકર અને તેમના વિચારોના બહુ મોટા પ્રભાવમાં અને અનન્ય ચાહક પણ.

જૂની રંગભૂમિના એક ઉત્તમ નટ અમૃત જાની. આ સાહિત્યરસિક જણે ન્હાનાલાલકૃત ‘ઇન્દુકુમાર’થી પ્રેરાઈને પુત્રનું નામ પાડેલું. પણ આ ઇન્દુકુમારની સાહિત્યપ્રીતિએ એક જુદું કાઠું કાઢ્યું. ‘નયા માર્ગ’ દલિત સાહિત્ય પ્રકાશનનું સ્થાનક બની રહ્યું. એમાં આગળ ચાલતાં એમને ચંદુ મહેરિયા જેવા ખમતી મિત્રનીયે એક તબક્કે ખાસી કુમક રહી હશે. જોસેફ મેકવાને, લાંબા અંતરાલ પછી પોતે લખતા થયા અને કોળ્યા એનો યશ જોગાનુજોગ ‘જનસત્તાએ પ્રકાશિત કરેલી એક વાર્તાને તેમ સવિશેષ તો ‘નયા માર્ગે’ પૂરા પાડેલા મેદાનને ક્યારેક આપેલો છે. ગુજરાતી દલિત કવિતાની તવારીખમાં ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’ વગેરેની ઐતિહાસિક ભૂમિકા ખસૂસ છે પણ દલિત કવિતાના પ્રાગટ્ય સારુ સળંગ લાંબો સમય રહેલું કોઈ એક પત્રિકાઠેકાણું બલકે થાણું હોય તો તે ‘નયા માર્ગ’ અને ‘નયા માર્ગ’ જ.

દલિત પરિમાણનો મેં કંઈક વિશેષોલ્લેખ કીધો પણ અસંગઠિત વર્ગોના પ્રશ્નો હોય, રેશનાલિસ્ટ ચળવળ હોય, વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રે કર્મીઓની આપદાવિપદા હોય, ‘નયા માર્ગ’ સતત વાચા આપતું રહ્યું. એમની સ્થળતપાસ આધારિત લેખશ્રેણીઓ કંઈક વિશેષ ઉલ્લેખ માંગી લે છે. ‘કોયતા’ જેવી તુચ્છ ઓજારઓળખે સંબોધાતા શેરડી કામગારોને આપણા એકના એક ગિરીશભાઈની પી.આઈ.એેલે. રાહત, હક અને વળતર અપાવેલાં તેના સગડ ઇન્દુભાઈની આવી જ એક લેખશ્રેણીમાં  તમને મળશે. આ વ્યાપ અને સાતત્ય એને ‘ભૂમિપુત્ર’ અને નિરીક્ષક’ કરતાં (ત્રણેનાં વલણોમાં સામ્ય છતાં) જુદું તારવી આપે છે.

૧૯૭૭ પછીનો ગાળો આપણા રાજકારણ અને જાહેર જીવનમાં એન.જી.ઓ. તેમ નાગરિક સમાજ સક્રિયતાનો છે. ત્રણે પત્રો (અને એના તંત્રીઓ) પોતપોતાની રીતેભાતે તેની સાથે સંકળાતા અને પ્રસંગોપાત દોર સંભાળતા રહ્યા છે. રાજકીય વિકલ્પ અને વૈકલ્પિક રાજનીતિની દિશામાં પણ એમના યથાસંભવ ઉધામા રહ્યા છે. મુખ્ય ધારાનું પત્રકારત્વ (દૈનિક પત્રકારણ) મહદંશે જે બજાર-અને-સત્તા-લક્ષી ઝોકનું હેવાયું બની રહેલું માલૂમ પડે છે એની વચ્ચે આવા અવાજો અને આવાં સ્થાનકોની ભૂમિકા ઉત્તરોત્તર સવિશેષ મહત્ત્વની બનતી જાય છે. ઇન્દુભાઈની ‘નયા માર્ગ’ વાટે અંકિત મુદ્રા કોઈ હાડના બૌદ્ધિકની નહીં (અને ધંધાદારી બુદ્ધિજીવીની તો બિલકુલ જ નહીં) પણ જાહેર કાર્યકર પાસે પ્રજાના પ્રશ્નોની સાદી સમજ અને તે માટેની પ્રતિબદ્ધતાની છે. સરકાર અને સત્તાપક્ષની મર્યાદાઓ એ આપણાં છાપાંના ટપાલપાનાં લગી જઈ ટીકાટિપ્પણ વગર સીધાસાદા ઉતારા મારફતે ઉજાગર કરતા એ અહીં સાંભરે છે. ‘રચના અને સંઘર્ષ’ એ એમની ‘જનસત્તા’ની કોલમકારી પણ ચોક્કસ સંભારવી જોઈએ.

પુરુષોત્તમ માવળંકરે લૅસ્કી ઇન્સ્ટિટ્યૂટ બંધ કર્યું ત્યારે આજીવન સભ્યોને એમની રકમ પાછી વાળી હતી (જો કે વસ્તુતઃ એ તો ખરચાઈ જ ગઈ હોય, તો પણ. એક તબક્કે આખા ત્રણસો રૂપિયાના આજીવન લવાજમ સામે ઇન્દુભાઈએ ‘નયા માર્ગ’ લાંબો સમય આપ્યું હશે. આગળ ચાલતાં બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે નવાં લવાજમો લેવાનાં તો બંધ કર્યાં જ, પણ નોંધ લેવા માટે આવતાં પુસ્તકો પણ પાછા વાળવા માંડ્યા હતાં, એ વિવેક આ ક્ષણે સાંભરે છે.

સહેજ પાછળ જઈને ૨૦૦૨ને ફરી સંભારું? ગોધરામાં જે નિર્ઘૃણ ઘટના બની એમાં ગંઠાઈ ગયેલ લોકમાનસે સત્તાપક્ષ અને સરકારના કંઈક મેળાપીપણા (અને કંઈક આંખ આડા કાન) સાથે આખા અનુગોધરા કાંડને (‘પોગ્રોમ’ કહેતાં વંશીય નિકંદનની માનસિકતાપૂર્વકની હિંસાને) જોઈ ન જોઈ કરી એ હકીકત છે. કથિત મોટાં છાપાં લગભગ એકતરફી જેવાં પેશ આવ્યાં એ પણ હકીકત છે. લોકમાનસમાં એ બધાને પ્રતાપે ‘ગોધરા’ પર જાણે પિન ચોંટી ગઈ હોય એવું આટલે લાંબે ગાળે પણ લગભગ યથાવત્‌ લાગે છે. એ દિવસોમાં એકવાર ઇન્દુભાઈએ ‘નયા માર્ગ’માં એ મતલબનું લખેલું કે મારા દરેક પેરેગ્રાફે પહેલી લીટી હું ગોધરા ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું તેમ વાંચવાની કૃપા કરશો (પણ પછીના બનાવોને ન જોવા માટે ‘ગોધરા’ની આડશનો ઉપયોગ ન કરશો). ૨૦૦૨માં ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘નયા માર્ગ’ની વૈચારિક કામગીરી વિશે ગુજરાતના વિમર્શમાં કોઈ ધોરણસરની તપાસ ને અભ્યાસ નથી થયાં તે આપણી કારુણિકા છે. ગોધરા-અનુગોધરા દસવરસીએ બે તંત્રીઓએ (‘ભૂમિપુત્ર’ના કાન્તિ શાહે અને ‘નિરીક્ષક’ના પ્રકાશ ન. શાહે) પોતપોતાના પત્રની ભૂમિકા અને કામગીરીને લઈને કરેલી ચર્ચાની થોડીક નકલો (સોથી નવસોની મર્યાદામાં) વેચાઈ અને વંચાઈ હોય તોયે ઘણું.

વાત સાચી કે માર્ચ ૨૦૨૦થી ‘નયા માર્ગ’ નીકળતું નહોતું. સ્વાસ્થ્યનાં કારણોસર પણ છેલ્લા વરસમાં ઇન્દુભાઈએ જાહેર કામોમાંથી પોતાને સંકેલી લીધા હતા. પણ હાજરી તો હતી. વાતઠેકાણું તો હતું. વિધિવત્‌ અઘોષિત કટોકટીના કાળમાં થાણાં તો ઠીક, આવાં એકલદોકલ ઠેકાણાં પણ ક્યાં.

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 03-04

Loading

તંગ દોરડા પર ચાલવાની રમત

રમેશ ઓઝા|Opinion - Opinion|29 April 2021

ગોળમેજ પરિષદો, સો વરસ દરમ્યાન બ્રિટિશ સરકારે ભારત મોકલેલાં કુડીબંધ પંચો સમક્ષ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓએ આપેલી જુબાનીઓ, નેહરુ રિપોર્ટ અને એવા બીજા અનેક અનુભવો જોતાં ભારતીય નેતાઓને ડર હતો કે બંધારણ ઘડવાની પ્રક્રિયા અધવચ્ચે ક્યાં ય ચેરાઈ ન જાય! આવી પૂરી શક્યતા હતી કારણ કે ઉપરના દરેક પ્રસંગે ભારતીય નેતાઓએ મતભેદો જ પ્રગટ કર્યા હતા. મતભેદોનો અને એકબીજા ઉપરના અવિશ્વાસનો સો વરસનો અનુભવ હતો અને એમાં ઓટ આવતી નહોતી. દરેકને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરનારા ગાંધીજીની હાજરી હોવા છતાં પરસ્પર શ્રદ્ધાનું વાતાવરણ ભારતીય રાજકારણમાં જોવા નહોતું મળતું. આ જે મતભેદો હતા એ ભારતના જે તે સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતાઓ વચ્ચેના હતા અને દરેક આગ્રહી હતા. અથાક પ્રયાસો પછી પણ આગ્રહોના નહીં ઓગળવાનો ભારતનો સો વરસનો ઇતિહાસ સામે હતો.

આ સ્થિતિમાં બંધારણ સભા રચવામાં આવે અને એમાં એ જ ઇતિહાસનું પુનરાવર્તન થાય તો જે ઉપરના દરેક પ્રસંગે થયો હતો? સુખદ અપવાદ તો એક પણ નહોતો. બંધારણ સભાના સભ્યો એકબીજા ઉપર દોષારોપણ કરે, બીજાઓ સામે શંકા કરે, પોતાના સમાજ માટે રક્ષણ માગે અને બંધારણ સભામાં એવી રીતે ભાષણ કરે કે જાણે પોતાના કાર્યકર્તાઓની રેલીને સંબોધતા હોય. અંગ્રેજીમાં આને પ્લેયિંગ ટુ ધ ગેલેરી કહેવામાં આવે છે. આવી પૂરી શક્યતા હતી અને એ ટાળવી જરૂરી હતી. બંધારણ સભા એવી રીતે ચાલવી જોઈએ જેમાં દરેક સભ્ય નાગરિક તરીકે બોલે અને ભારતના નાગરિકો માટેનું બંધારણ ઘડે.

તો આને માટે કરવું શું? કોઈ સોગંદનામું તો કરાવાય નહીં કે તમારે તમારા સમાજ માટે કે કોઈ ચોક્કસ વર્ગવિશેષ માટે બોલવાનું નથી. ઊલટું એવા કેટલાક સભ્યોની જરૂર પણ હતી જે ચોક્કસ લોકોના હિત માટે બોલે. ખાસ કરીને ઇશાન ભારતની પ્રજા, સ્ત્રીઓ અને આદિવાસીઓ અને દલિતોનાં હિત માટે બોલનારાઓની. આમાં ખાસ કરીને પહેલા ત્રણ વતી બોલનારા કોઈ નહોતા. ઉપર સો વરસ દરમ્યાનના જેટલા પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે તેમાં સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત માટે બોલનારા અને ન્યાય માગનારા ઓછા હતા. વળી સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત વતી બોલનારાઓની જરૂર પણ હતી. આમ જરૂર હતી બંધારણ સભાના સભ્યો બંધારણ સભામાં નાગરિક બનીને નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એની સાથે જ કેટલીક પ્રજાનાં હિતોનું વિશેષ ધ્યાન પણ રાખે.

આ સિવાય લગભગ ધર્મઘેલછા કહેવાય એટલી હદની ધાર્મિકતા ધરાવનારા મુસલમાનો બંધારણ સભામાં નાગરિક તરીકેની ભૂમિકા લઈને ભારતીય નાગરિકો માટેનું (જેમાં મુસલમાનો પણ આવી ગયા) ભારતીય બંધારણ ઘડવાની ભૂમિકા લેશે કે કેમ એ પણ પ્રશ્ન હતો. મુસલમાનોનો એક પક્ષ ભારતનું વિભાજન અને મુસલમાનો માટે સ્વતંત્ર પાકિસ્તાનની માગણી કરતો હતો તો બીજો પક્ષ રાષ્ટ્રવાદી મુસલમાનોના પક્ષ તરીકે ઓળખાતો હતો, પરંતુ તેણે સેક્યુલર ભારત માટેની દ્રઢ શ્રદ્ધા ખોંખારો ખાઈને વ્યક્ત નહોતી કરી. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાંથી કોઈ પ્રજા કે સમાજ વિશેષને બહાર રખાય જ નહીં અને તેવો ઈરાદો પણ નહોતો.

તો પછી કરવું શું? તંગ દોરડા પર ચાલવાની રમત હતી અને એ આસાન નહોતી. આવડો મોટો દેશ, એમાં આટલી બધી વિવિધતા, દરેકને બંધારણ સભામાં પ્રતિનિધિત્વ આપવાનું, પાછી અપેક્ષા એવી કે તે પોતાના સમાજ વિશેષ માટે વકીલાત કરવાની જગ્યાએ એક નાગરિક તરીકેની ભૂમિકા અપનાવીને ભારતના સમગ્ર નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એ સાથે જ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને ઇશાન ભારતની પ્રજાને ખાસ હાથ પણ આપે. દુનિયાની કોઈ માર્ગદર્શિકા કામ આવે એમ નહોતી. આની કોઈ શરતો ન હોય અને કોઈ સલાહ પણ ન હોય. બંધારણ સભાના સભ્ય બનવા માટેની એવી કોઈ શરત કે સલાહ ચાલે એમ પણ નહોતી. માટે જ કહ્યું છે કે તંગ દોરવા ઉપર ચાલવા જેવી સ્થિતિ હતી.

આનો ઉપાય હતો બંધારણ સભામાં લગભગ રાંધેલી રસોઈ મુકવી જેનો માત્ર વઘાર કરવાનો બાકી હોય. કોઈને એમ ન લાગે કે અમારો કોઈ સહભાગ નહોતો અને કોઈને ચોક્કસ પ્રજાવિશેષના હિતના નામે કે મહાન આર્યાવર્તની પરંપરાને નામે લાંબાલાંબા ભાષણો કરવાની અને કારણ વિનાના મુદ્દા ઉઠાવવાની તક પણ ન મળે. હવે બીજો સવાલ, રસોઈ કોણ બનાવે? આનો જવાબ છે બંધારણ સભાનું કામ આસાન થાય અને સમય બચે એ માટે રચવામાં આવેલી પેટા-સમિતિઓ. એ પેટા-સમિતિઓ કેટલી હતી, કયા વિષય માટેની હતી, એમાં કોણ કોણ હતું અને તેમાં શું ચર્ચા થઈ હતી તેની વિગતો આગળ કહેવામાં આવશે. બંધારણ સભાની પેટા-સમિતિઓ રસોઈ બનાવતી હતી પણ તેના માટેનો કાચો સામાન કોણ પૂરું પાડતું હતું? તો એનો જવાબ છે બેનેગલ નરસિંહ રાવ. તેઓ કાચા મુસદ્દા ઘડીને આપતા હતા, મુદ્દાઓને પ્રશ્નોતરીમાં વણીને અને બંધારણ સભાના સભ્યોને પ્રશ્નો મોકલીને તેમનો અભિપ્રાય માગીને ટૂંકા ઘેરામાં બાંધતા હતા વગેરે. બી.એન. રાવે જે પાયો રચી આપવાનું કામ કરી આપ્યું એની વાત પણ હવે પછી આવશે.

ટૂંકમાં નીતિ એવી હતી કે બને ત્યાં સુધી મુદ્દાઓને અને તેના પરની ચર્ચાને ટૂંકા વર્તુળમાં બાંધવી કે જેથી પાકિસ્તાન અને બીજા દેશોમાં બન્યું હતું એમ બંધારણ ઘડવાની પ્રક્રિયા ચેરાઈ ન જાય. અને એમાં પાયો રચી આપવાનું કામ બી.એન. રાવે કરી આપ્યું હતું. બી.એન. રાવના યોગદાન વિષે બંધારણ સભાના અધ્યક્ષ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે શું કહ્યું છે તે અહીં ટાંકવું જોઈએ. બી. શિવા રાવે સંપાદિત કરેલા ‘ઇન્ડિયાઝ કોન્સ્ટીટ્યુશન ઇન મેકિંગ’ નામના પુસ્તકમાં લખેલી પ્રસ્તાવનામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લખે છે : If Dr. Ambedkar was the skilful pilot of the constitution through all its different stages, Sri B. N. Rao was the person who visualised the plan and laid its foundation. He was superb in draftmanship, endowed with a style which was at once clear, illuminating and precise—qualities which are indispensable in any document of legal or constitutional importance.

ડો. રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે બી.એન. રાવે ભારતના બંધારણની કલ્પના વિકસાવી હતી, એની યોજના બનાવી હતી અને બંધારણનો પાયો રચી આપ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

Loading

ઇન્દુકુમાર જાની – ‘લિગસી’ હુંફાળા અને ઉદારતાપૂર્ણ વ્યક્તિત્વની

કેતન રુપેરા|Opinion - Opinion|29 April 2021

૧૬ કે ૧૭મી એપ્રિલ, શુક્ર/શનિનો દિવસ હશે. બપોરના સમયે વાડજથી ગાંધીઆશ્રમ તરફના રસ્તે પસાર થવાનું થયું. રસ્તામાં ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ આવે જ આવે. નજીક પહોંચતા જ વિચાર આવ્યો કે ઇન્દુકુમાર સાથે ઘણા વખતથી વાત નથી થઈ. છેલ્લે, દિવાળી-નવા વર્ષ આસપાસ અમસ્તાં જ ખબરઅંતર પૂછવા ફોન કરેલો ને ટૂંકી વાત થયેલી. ગૌરાંગ જાનીના પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ-વાત લોકડાઉનની’ અંગે પણ વાત થઈ હતી. એટલે એ મોકલી આપ્યું હતું. ત્યાર પછી કોઈ ખબર નહોતા. એટલે ફોન કરું આજકાલમાં, એવા વિચાર સાથે રસ્તો કપાતો ગયો. વિચારમાં થોડો વિરામ આવ્યો, ફરી પાછું મનમાં સળવળ્યું કે એમની તબિયત તો ઘણા વખતથી સાજી-નરવી રહે છે. આપણે સૌ જાણીએ છીએ એમ ‘નયા માર્ગ’ આટોપવાનાં એમણે લખેલાં કેટલાંક કારણો પૈકી એક મહત્ત્વનું કારણ એમની તબિયત પણ ખરી. એટલે ગયા વર્ષે ધીરેધીરે અનલૉક શરૂ થવા છતાં પણ એમણે અપવાદ રૂપ સંજોગ સિવાય ઓફિસ આવવાનું રાખ્યું નહોતું, એવું છેલ્લી વાતમાં જણાવેલું ને કોરોનાને કારણે જ એમને જવાનું થયું, એ આપણા સૌ માટે વધારે આંચકો આપનારું રહ્યું છે.

દલિતો-આદિવાસીઓ અને કેટકેટલાં ય છેવાડાના લોકો માટે લડનાર કર્મશીલ અને આશ્રમશાળાના વિદ્યાર્થીઓ માટે જુગતરામ દવેનો વારસો આગળ ધપાવનાર રચનાશીલ ઇન્દુકુમાર જાનીના જાહેરજીવનની સફર કે એ સંબંધિત સંભારણાં મૂકવાનો બિલકુલ જ આશય નથી, કેમ કે એમની પેઢીના, ને એ પછી તરતની પેઢીનાં ઘણાં વડીલો-મિત્રો તેને વધુ સારી રીતે ને વધુ લંબાઈથી મૂકી શકે એમ છે. હું તો એથીયે પછીની પેઢીનો, દૂરથી એમનાં કાર્યોને સાંભળતો-જોતો-વાંચતો આવેલો. એટલે બહુ બહુ તો મુખ્ય પ્રવાહમાં નથી થતું, એવું પત્રકારત્વ-લેખન-સંપાદન કેવું હોય એ આપણાં ત્રણેય અગ્રણી વિચારપત્રો અને ‘દલિતઅધિકાર’ તથા ‘ગ્રામગર્જના’માંથી શિખતો-અવલોકતો રહેતો અને પ્રસંગોપાત ઇન્દુકુમાર સાથે એની વાતો થતાં, એમાંનાં હૃદયસ્પર્શી સંવાદો, અમીટ છાપ છોડી ગયેલી ક્ષણો ને એમાં પ્રગટેલા એમનાં હુંફાળા, સંવેદનશીલ વ્યક્તિત્વથી પ્લાવિત થયેલો, ઓસબિંદુ જેવી ઝલક મૂકી શકું. …

… હા, તો વાત ચાલતી હતી એમની સાજીનરવી તબિયતની. એને લઈને મનમાં ફરી સળવળેલા વિચારે કોણ જાણે કેમ, આંખ સામે અનેક દૃશ્યો લાવી દીધાં! ફ્લેશબૅકની જેમ એક પછી એક દૃશ્યો આવતાં ગયાં. પહેલી મુલાકાતથી શરૂ થયેલું એ દૃશ્ય છેલ્લી ટેલિફોનિક વાતે અટક્યું. એને જ લખતાં લખતાં, અત્યારે ઉમેરાતાં વિચારો ને વિગતોની પૂર્તિ સાથે અહીં ઉતારું.

૨૦૦૪-૦૫નું એ શૈક્ષણિક સત્ર. ‘ચરખા-વિકાસ સંચાર નેટવર્ક’(ગ્રામીણ પત્રકારત્વ માટે અમે સૌ વિદ્યાર્થીઓમાં સંજય દવેની ઊંડી છાપ)ની ફેલોશિપ અને ‘ગુજરાત સમાચાર’ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત થતાં ગ્રામીણ સમાચારોનું નાનકડું સંશોધન ઇન્દુકુમાર જાની સાથેની પહેલી મુલાકાત માટેનું નિમિત્ત. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુક્રમે સંજ્ઞા સોની અને મિત્તલ પટેલને ફેલોશિપ મળેલી. એ પૂરી થયા પછી એમનાં અનુભવોની વહેંચણી અને ચરખા તરફથી ચુનંદા પત્રકારોને ઍવોર્ડ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. એ દિવસે જાહેર કાર્યક્રમમાં ઇન્દુકુમારને પહેલી વાર મળવાનું થયું. મારા સંશોધન અંગે વાત કરી. એમના ઇન્ટરવ્યૂ માટે સમય માંગ્યો. પછીના જ દિવસે મળવાનું નક્કી થયું. ઇન્ટરવ્યૂ પૂરો થયો પછી મને પૂછ્યું, આમ તો કહ્યું જ – ઘનશ્યામ શાહ હમણાં અલગ અલગ ક્ષેત્રમાં ગરીબો માટે કામ કરતી એન.જી.ઓ. પર રિસર્ચ કરી રહ્યા છે. એમને આ બધી એન.જી.ઓ.ના વડાની મુલાકાત લઈને એન.જી.ઓ.ની પ્રોફાઇલ તૈયાર કરી આપે એવા સારા વિદ્યાર્થીઓની જરૂર છે. તમને કામ કરવું ગમે?

‘આ તો કોઈ પ્રશ્ન છે?! ગમે જ ને’ મનમાં આવું જ કંઈક. અધ્યાપક અશ્વિનભાઈ પાસે ઘનશ્યામ શાહ અંગે અછડતું, પણ એ ઉંમરે ઊંડી છાપ છોડે એવું કંઈક સાંભળેલું હતું. એટલે ના પાડવા જેવું કશું હતું નહીં. તરત હા પાડી દીધી. એમણે ઘનશ્યામભાઈનો નંબર આપ્યો. મેં પણ કદાચ એ જ કે પછીના દિવસે મારા મનમાં છપાયેલા ‘સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ’ને થોડા ગભરાતા અને વધુ નમ્ર ભાવે ફોન કર્યો. થોડા દિવસ પછીની મુલાકાત ગોઠવાઈ. પહેલી મુલાકાતમાં કામ સમજી લીધું ને શરૂ પણ કરી દીધું. પત્રકારત્વનું રિઝલ્ટ આવતા પહેલાં જ પત્રકાર તરીકેનું ફીલ્ડ પરનું એ પહેલું વ્યાવસાયિક કામ, જેના નિમિત્ત ઇન્દુકુમાર જાની.

ઘનશ્યામ શાહ સાથે પછી લાંબુ કામ કરવાનું ન થયું (એની વાત કરું આગળ) પણ પહેલું કામ અને એ પણ એમની સાથે, એ વ્યક્તિગતપણે મારા માટે ગૌરવની વાત હતી અને છે.

ઘનશ્યામભાઈના કામમાં ઇન્ટરવ્યૂ માટેની પહેલી એન.જી.ઓ. (જે છેલ્લી પણ બની રહી) હતી તે હિંદ સ્વરાજ મંડળ – રાજકોટ. જેના વડા વાસુદેવ વોરા. ઇન્ટરવ્યૂ એટલો સરસ થયો હતો કે વાસુદેવ વોરાએ પ્રોફાઇલ તૈયાર થાય એટલે એની એક નકલ આપવા કહી રાખેલું. તે આપું એ પહેલાં આ બાજુ બીજાં ચક્રો ગતિમાન થવાં જઈ રહ્યાં હતાં. મારું કામ તો ચાલું હતું પણ એ અરસામાં ઘનશ્યામભાઈની દિલ્હી-અમદાવાદ આવનજાવને ય ચાલુ હતી. કામનો પ્રકાર એવો હતો કે એક વાર સમજી લીધું એટલે વાત પૂરી, પછી કામ પૂર્ણ થાય ત્યારે જ મળવું જરૂરી હતું. આ સહજ અંતરાલે, કંઈક દિગંતવ્યાપી જ કહી શકાય, એવો વળાંક આપ્યો. એક પત્રકાર મિત્ર થકી સમાચાર મળ્યા કે દિગંત ઓઝાને તાજા પાસ થયેલા પત્રકારની જરૂર છે. દિગંતભાઈને મળ્યો. એક પરિસંવાદમાં વિદ્યાર્થી તરીકેની મારી હાજરી એમણે નોંધેલી એટલે ઇન્ટરવ્યૂ જેવી કોઈ ઔપચારિકતાની એમને જરૂર ન લાગી : ‘આવી જાવ કાલથી’. મીડિયામાં કામ કરવાની મારી ચાનક પણ ઓછી નહોતી. આના થકી સારી તક નિર્માઈ શકે એમ લાગ્યું ને ન નિર્માય તો ય દિગંત ઓઝા જેવા પત્રકાર સાથે કામ કરવામાં શિખવા ઘણું મળે, એ વિચાર સાથે ‘જલસેવા’માં જોડાઈ ગયો.

થોડા દિવસો થયા …. ને ઇન્દુકુમાર. દિગંત ઓઝા સાથે એમને સારી મિત્રતા. એક વાર એમના ઘરે આવ્યા હશે, ને મને જોયો. આશ્વર્યભાવે પૂછ્યું, ‘તમે અહીં ક્યાંથી?!’ મેં જે હતો એ જવાબ આપ્યો. એમણે કહ્યું, ચલો કંઈ વાંધો નહિ, દિગંતભાઈ પણ મિત્ર જ છે ને કામ કરતાં યુવાનોની જરૂર બધે છે.

બસ, પછી તો એમ જ અલપઝલપ ને અમસ્તાં, ક્યારેક કોઈક કાર્યક્રમમાં, તો ક્યારેક ખેતવિકાસમાં એમને મળવાનું થતું ગયું. એવી જ એક મુલાકાત વિદ્યાપીઠમાં. ખાદી પ્રત્યેનો એમનો પ્રેમ કાબિલેદાદ. પોતે તો ખાદી પહેરતાં જ, બીજાઓને ખાદીમાં જોઈને ખૂબ ખુશ થતાં. પહેલી વાર એમણે મને ખાદીમાં જોયેલો (કેમ કે વિદ્યાપીઠમાં ખાદી ફરજિયાત). પછી ક્યારેક ખાદી વગર (કેમ કે ખાદી ફરજિયાત નહિ એવી જગ્યાએ જૉબ) જોયેલો હશે. એટલે એમને મન એમ કે હવે ખાદી છોડી દીધી. દરમિયાન વિદ્યાપીઠના ઉપાસના ખંડમાં મળી ગયા; અક્ષરસઃ … ખાસ મળવા માટે દોડી આવ્યા હોય એ રીતે મળી ગયા. મને દૂરથી જોઈને ખાસ્સી ઝડપી ચાલે મારી સામે આવી ઊભા રહી ગયા એવું લાગ્યું. એ વખતે ઢીંચણનું દર્દ કે ઓપરેશન જેવી કોઈ ઘટના હજુ એમના જીવનમાં પ્રવેશી નહોતી, જેણે પછીનાં બધાં વર્ષો એમને ખાસ્સી પીડામાં રાખ્યા હતા. એક વારની વાતચીતમાં એમણે કહ્યું હતું, આ ઢીંચણના ઓપરેશને બહુ હેરાન કરી દીધો છે. પીડા તો રહ્યા જ કરે છે કામ પર પણ બહુ અસર થાય છે. … હા, તો ખાસ્સી ઝડપી ચાલે મારી સામે આવી ઊભા રહી ગયા. છેક નજીક આવ્યા ત્યારે મારું ધ્યાન ગયું. ને ચિરપરિચિત સ્મિત સાથે કહ્યું, “શું છે, પુનશ્વઃ ખાદી?” મેં પણ વળતા સ્મિત સાથે હા પાડી. એમને મન કદાચ એમ હતું કે હવે મેં ખાદી કાયમી ધોરણે ધારણ કરી લીધી છે. જો કે વચ્ચેના ગાળામાં ખાદી ન પહેરવાં માટેનું કોઈ કારણ નહોતું, ખાદી તો ગમે જ. પણ ખાદી ય પહેરીએ ને મિલ(નું કાપડ) પણ. એ દિવસે એમના ચહેરા પરનો આંનદ જોઈને કોઈ ખુલાસો ન કર્યો કે “ઇન્દુભાઈ, મેં એમ.ફીલ. જોઇન્ટ કર્યું છે ને આજે એનો વર્ગ છે એ ભરવા આવ્યો છું!” પણ એ ‘પુનશ્વઃ’ સંવાદની મારા મન પર ઊંડી અસર થઈ. થયું …. આ લાગણી શાની હશે! અત્યારના વિચાર ઉમેરું તો થાય કે નવા નવા કામે લાગેલા ૨૨-૨૩ વરસના છોકરડાને એમના જેવી વ્યક્તિએ આમ સામેથી મળવા આવી ચઢવાનું શું કારણ? કદાચ, ગાંધીવિચાર, શિક્ષણ, ગ્રામીણ પત્રકારત્વ સાથે સંકળાયેલાં કાર્યો? હોઈ શકે … અથવા કોઈ જ કારણ ન હોય, એમ પણ હોઈ શકે. અથવા એમની પેઢીનાં, જેઓ અત્યારે જીવનના સાતમા કે આઠમા દાયકે પહોંચી ગયા છે, એવા જેમની પણ સાથે એ અરસામાં સંપર્કમાં આવવાનું થયું, એ સૌમાં નવી પેઢી માટે ભારે આશા અને વિશ્વાસ દેખાયા છે. પોતાના અનુભવે કંઈને કંઈ ભાથું આપતાં રહ્યાં છે. હા, કેટલાકનો અમલ આપણે કર્યો હોય, ન કરી શક્યા હોય એ અલગ વાત છે. તો, વાત હતી ‘આ લાગણી શાની હશે!’-ની. બહુ લાંબું વિચાર્યા વગર એ દિવસે મનોમન નિર્ણય કર્યો – ઇન્દુકુમારને મળવા જવાનું થાય ત્યારે ખાદી પહેરીને જ જવું. અણધારી મુલાકાત સિવાય એ ક્રમ જળવાઈ રહ્યો, એનો આનંદ છે.

પત્રકારત્વ અને જાહેરજીવનમાં ઉત્તમ કામ કરી ગયેલાં કે કરી રહેલાં લોકોનું કોઈ પણ સ્વરૂપે ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, એની બહુ જરૂર જોતાં, અને આવાં કામને દિલથી બિરદાવતા. જિતેન્દ્ર દેસાઈ, તુષાર ભટ્ટ, ચુનીકાકા વગેરેના સ્મૃતિગ્રંથની વાત નીકળતાં એકવાર કહે કે “અમારે કરવું જોઈએ એ કામ તમે કરી રહ્યા છો.” આ સાંભળી સ્વાભાવિક જ આપણને બહુ ક્ષોભ-સંકોચ થાય. એવે વખતે મૌન રહેવું એ અપરાધ કહેવાય. મેં તરત જ જવાબ આપ્યો કે “આદર્શ તો વિનોબાની જે બહુ જાણીતી ફરિયાદ છે એ દૂર કરવાની છે જ, પણ જ્યાં સુધી એમ નથી થતું ત્યાં સુધી તમારા જેવા કર્મશીલોએ ખુશીથી એમના કામના દસ્તાવેજીકરણનું કામ અમારા જેવા પર છોડી દેવું જોઈએ.”

એકવારની મુલાકાતમાં બન્યું એવું કે આદિવાસી મુદ્દે મેં કંઈક પૂછ્યું. એમણે જવાબ તો આપ્યો જ એ અંગે, પણ મારો રસ જોઈને લટકામાં એમનું પુસ્તક ‘સાબાર ઉપર માનુષ સત્ય’ પણ આપ્યું. એમ કહીને કે ‘મારી પાસે હવે એક-બે નકલ જ છે એટલે વાંચીને પછી પાછું આપજો.’ વંચાઈ જાય પછી પુસ્તક પાછું આપવામાં આપણને વાંધો ય શું હોય! પુસ્તક વંચાઈ ગયું, પણ આવતાં-જતાં આપી દઈશ એ વિચારે દિવસો લંબાતા ગયાં. એ પછી તરત આવ્યા ચોમાસાના દિવસો. પુસ્તક બેગમાં જ હતું. પલળી ગયું. રૂમ પર જઈને જે કાંઈ ઉપાય અજમાવી શકાય એ અજમાવીને સારું કરવા પ્રયત્ન કર્યો, પણ આખરે તો એ ‘નિષ્ફળ પ્રયત્નો’ જ બની રહ્યા. હવે મુશ્કેલી ઓર વધી. મોડા પડવા કરતાં કયા મોઢે પુસ્તક પાછું આપવા જવું-ની ચિંતા પેઠી. ‘મારી પાસે હવે એક-બે નકલ જ છે એટલે વાંચીને પછી પાછું આપજો.’ એ શબ્દો મનમાં અથડાયા કરતા. અને માનશો? એટલા કારણથી જ બીજા કેટલાક મહિનાઓ સુધી એમને મળવાની હિંમત ન કરી શક્યો. ‘અભિયાન’ના રીપોર્ટર તરીકે ક્યારેક કોઈ કામથી ફોન કરવાની જરૂર પડે તો બીજે ક્યાંક ફોન કરીને કામ ચલાવી લેતો …. એવામાં એક ઘટના બની. ‘પારાવાર પીડામાંથી પસાર થયા પછી મનુષ્યચેતનાનો સાક્ષાત્કાર કરાવનારી પાટણની યુવતી’નો ઇન્ટરવ્યૂ થયો. વગદારોનું દબાણ, ગામવાળાનાં વેણ, ધાકધમકી, હાંસી, વગોવણી ને કંઈ કેટલીયે જાતની પજવણી ને એક સમયે આપઘાત કરવાનો વિચારે ય કરી ચુકેલી પાટણની એ યુવતીએ આ બધાં વચ્ચે સંઘર્ષ કરીને પાટણ જિલ્લામાં પી.ટી.સી.માં ટોપ ટેનમાં નંબર મેળવ્યો. મીનાક્ષીબહેન (નર્મદ-મેઘાણી લાયબ્રેરી અને સેક્યુલર લોકશાહી આંદોલન)ની ભલામણને કારણે એ યુવતી અને પરિવાર મુલાકાત આપવા રાજી થયાં હતાં. ‘… હવે એ પાટણની પીડિતા નહિ, પાટણનું ગૌરવ’ શીર્ષક હેઠળ ‘અભિયાન’માં કવરસ્ટોરી પ્રકાશિત થઈ. ‘પાટણકાંડ પછીનો ક્ષમાકાંડ, સિદ્ધિકાંડ, મનોહરકાંડ’ (શીર્ષક સૌજન્ય : પ્રણવ અધ્યારુ, તત્કાલીન સંપાદક) એમાં બયાન થતો હતો. ઇન્દુકુમારે આ સ્ટોરી ‘નયા માર્ગ’માં રીપ્રિન્ટ કરી. સ્વાભાવિક જ આપણને ખુશી થાય. એ આનંદ અને આભાર પ્રગટ કરવાના કારણ સાથે હિંમત ઝુટાવીને એમને મળવા ગયો. ને વાતવાતમાં એ પલળી ગયેલાં ‘સાબાર ઉપર માનુષ સત્ય’ની કથા કહી. ઘણી દિલગીરીના ભાવ સાથે મેં જે વાત કરી હતી તેનો પ્રતિસાદ આવો દિલદાર હશે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય! ‘કંઈ વાંધો નહિ, પુસ્તક તમને કામે લાગ્યું ને, એનો આનંદ. બસ, સરસ કામ કરતા રહો.’ મનમાં થયું, જે વાતને લઈને મહિનાઓ સુધી મન ભારે રાખ્યું હતું ને મુલાકાત ટાળ્યા કરતો હતો એ વાત આટલામાં ને આ રીતે પતી ગઈ! એમણે તો વળી પાછું ઉમેર્યું કે ‘મારે ‘નવું વાંચન’ માટે એટલાં બધાં પુસ્તકો આવે છે કે બધાં વાંચી ય નથી શકાતાં. ‘નયા માર્ગ’માં જાહેરાત કરવી પડશે કે હમણાં લેખકો-પ્રકાશકોએ પુસ્તકો મોકલવાં નહીં, પહેલેથી આવેલાં પુસ્તકોના પરિચય આપવાનાં પણ હજુ પૂરાં થયાં નથી.

પોતાના ખૂબ આવકાર પામેલા પુસ્તક(‘જનસત્તા’માં ખૂબ વખણાયેલી એમની કોલમનો સંચય જ ને)ની બાકી બચેલી બે-એક નકલોમાંથી પણ છેલ્લી ગઈ એ જાણ્યા પછી, એ વાતને આટલી સહજતાથી લેવી એ એટલું સહેલું નથી હોતું. આવા હાદસાની અસર ભલે ત્વરિત ચહેરા પર વર્તાઈ ન હોય કે વર્તાવા ન દીધી હોય, પણ તેનું ક્ષણ પૂરતું દુઃખે ય ઓછું નથી હોતું. લેખક કે સંપાદક તરીકેનાં પોતાનાં પુસ્તકોની પાંચ નકલો પહેલેથી સાચવીને અલગ મૂકી દેવાનું આપણે આવી ઘટનાઓ જાણ્યા પછી જ શીખ્યા હોઈએ છીએ. બહુ બધા સાહિત્યકારો ને વૈજ્ઞાનિકોનાં અમૂલ્ય સર્જનો ને સંશોધનો આગમાં ખાખ થઈ જવાનાં, પૂરમાં તણાઈ જવાનાં કે ઉધઈ ખાઈ જવાની ઘટનાઓ આપણે જાણી-સાંભળી હોય છે. મોટા માણસ જ આવી ઘટનાઓને હળવાશથી લઈ શકે છે. એ હળવાશ ઇન્દુભાઈમાં ભારોભાર વર્તાયેલી જોઈ હતી.

એક પ્રસંગ તો ક્યારે ય ભૂલાય નહીં એવો છે. ઉંઝા જોડણી અંગેના એમના વિચારોથી આપણે પૂરતા વાકેફ છીએ. પત્રકારત્વના પારંગતના અભ્યાસના ભાગરૂપે ૨૦૦૫માં જ્યારે ‘અભિદૃષ્ટિ’ (ત્યારે ‘દૃષ્ટિ’, સંપાદક : રોહિત શુક્લ, સહ સંપાદક : અશ્વિન ચૌહાણ) પર લઘુશોધ નિબંધ (ડેઝર્ટેશન) તૈયાર કરવાનું કામ હાથ પર લીધેલું. અગાઉનાં વર્ષોનાં વિદ્યાર્થીઓના આ સંબંધિત લઘુશોધનિબંધો વાંચી-જોઈ જવાની ભલામણ અશ્વિનભાઈએ કરેલી. ‘દૃષ્ટિ’ શૈક્ષણિક વિચારપત્ર કહેવાય એ સંદર્ભમાં અન્ય વિચારપત્રો અંગેના લઘુશોધ નિબંધો પર પણ નજર ફેરવી લેવી જોઈએ. આ રીતે આગળ વધતાં ત્રણ-ચાર વર્ષ સિનિયર વિદ્યાર્થી (અને પછી તો મિત્ર પણ) દિવ્યેશ વ્યાસનો ‘ભૂમિપુત્ર’ અંગેનો લઘુશોધનિબંધ વાંચવાનો થયો. એમાં દિવ્યેશને આપેલી મુલાકાતના એક પ્રશ્નમાં ઇન્દુકુમારે આવનારાં પાંચ-દસ વર્ષોમાં ઉંઝા જોડણી વ્યાપક પ્રમાણમાં સ્વીકૃતિ પામશે, આવનારા દિવસો ઉંઝા જોડણીના છે, એ મતલબનો જવાબ આપ્યો હતો. એમાં એમનો આત્મવિશ્વાસ પૂર્ણપણે વર્તાતો હતો. એ અરસામાં, છેલ્લાં થોડાં વર્ષોથી ચાલી આવેલી ઉંઝા જોડણીની હવા અને જામી રહેલા માહોલ વચ્ચે ઘણાને ઇન્દુકુમારનું નિવેદન ધ્યાનમાં લેવા જેવું લાગ્યું હશે. જો કે પછીનાં વર્ષોમાં એવું કશું બન્યાનું આપણા ધ્યાનમાં નથી. પણ ઉંઝા જોડણીના આવા દૃઢ સમર્થક ને છેલ્લે ગણ્યાગાંઠ્યા રહી ગયેલા અગ્રણીઓમાંના એક ઇન્દુકુમાર જાની અંગત રીતે અથવા કહો કે સામેના પક્ષના દૃષ્ટિકોણને સમજવા અને સંતોષવાની રીતે ઘણા ઉદાર હતા.

વર્ષ ૨૦૧૭માં જ્યારે ‘नवजीवनનો અક્ષરદેહ’નો ‘૧૦૧ પુસ્તક-પરિચય વિશેષાંક’ તૈયાર કરી રહ્યો હતો (સહ સંપાદન : કિરણ કાપુરે) ત્યારે ઈન્દુભાઈને ‘મહાત્મા ગાંધી, કૉંગ્રેસ અને હિંદુસ્તાનના ભાગલા’ પુસ્તક (લેખક – દેવચંદ્ર ઝા, અનુવાદક – અશોક ભ. ભટ્ટ, પ્રકાશક : નવજીવન) પરિચય લખવા માટે આપેલું. પુસ્તક-પરિચય લખાઈને આવ્યો – વિદ્યાપીઠના ‘સાર્થ ગુજરાતી જોડણી કોશ’ની જોડણી પ્રમાણે! સાથે બીડેલા પત્રમાં અંગત લાગણી વ્યક્ત કરવાની સાથોસાથ આ માટેનું કારણ પણ લખ્યું હતું – આ વિશેષાંક નવજીવનનું પ્રકાશન છે ને તે વિદ્યાપીઠના સાર્થને અનુસરે છે તો તમને તકલીફ ન પડે એ માટે સાર્થ પ્રમાણે મોકલી આપું છું. પત્ર વાંચીને હું સુન્ન રહી ગયેલો. કેમ કે સાર્થ પ્રમાણે લખવા સૂચન-વિનંતી તો દૂરની વાત ઇન્દુભાઈ પાસેથી ઉંઝા પ્રમાણે જ પરિચય લખાઈને આવશે ને સાર્થ પ્રમાણે હું સુધારી લઈશ, એવી પૂરી તૈયારી સાથે જ હું આગળ વધી રહ્યો હતો. આ પત્ર પછી તેનો પ્રતિભાવ વળતો પત્ર નહિ, રૂબરૂ મુલાકાત જ રહી – તૈયાર અંક હાથોહાથ આપવા સાથેની.

ઇન્દુકુમારે ‘નયા માર્ગ’નો છેલ્લો અંક પ્રગટ થવાની તારીખ જાહેર કરી ત્યારે કોઈ પણ મિત્ર કે હિતેચ્છુએ તેમને આ મુદ્દે ફેરવિચારણા કે ચર્ચા કરવાનું ન કહેવું એમ પણ સ્પષ્ટ લખેલું. એમની એ લાગણીને માન આપતાં એ મુદ્દે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નહોતો, પણ મનોમન કંઈક વચલો રસ્તો કાઢતા એમને એવું પૂછેલું કે છેલ્લો અંક તમારે કોઈક વિશેષાંક કરવો હોય તો કહેજો, સંપાદનમાં સાથ આપવો મને ગમશે. એ વાતનો સ્મિતથી વધુ જવાબ એમણે વાળ્યો હોય એવું સ્મરણમાં નથી. પણ કોઈ એક અંકને વિશેષાંક બનાવવાને બદલે દરેક અંકને વિશેષાંક બનાવવાનો પ્રયત્ન કરેલો – આગળના અંકોમાંથી એમને ગમેલા કે વાચકોએ ખૂબ આવકારેલા લેખોનું છેલ્લા ઘણાં ખરા અંકોમાં પુનર્મુદ્રણ કરીને.

ગુજરાતી અખબારોથી લઈને ન્યૂઝ ચૅનલ્સ, વેબ પોર્ટલ્સ વગેરેમાં ઘણાં પત્રકારમિત્રો છેવાડાના માણસ માટેની જે નિસબત સાથે કામ કરી રહ્યાં છે તેમાં ‘નયામાર્ગ’ (સાથે અન્ય વિચારપત્રો) અને ઇન્દુકમારનો પ્રત્યક્ષ-પરોક્ષ ફાળો નોંધનીય હશે, એમાં બેમત નથી. જુગતરામ દવે, રવિશંકર મહારાજ અને બબલભાઈની વાતો એમ જ હોઠે રમ્યા કરતી એવા ઇન્દુભાઈની કર્મશીલ તરીકેની ‘લિગસી’ની સાથોસાથ હુંફાળા અને ઉદારતાપૂર્ણ વ્યક્તિત્વની દેણગી પણ ઓછી નથી.

Email : ketanrupera@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 05-07

Loading

...102030...1,9151,9161,9171,918...1,9301,9401,950...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved