Opinion Magazine
Number of visits: 9963545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીપ જલે જો ભીતર સાજન

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|19 October 2021

દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન.

કાચું કોડિયું વાત આ જાણે, પરમ પુનિત ને પાવન.

મન–બરતનને માંજી દઈએ, 
          
દર્પણ સમ  દિલભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
          
રોજ દિવાળી આંગન……..દીપ જલે

 નાની અમથી સમજી લઈએ,
          
ક્ષણની આવનજાવન.
 
આસોની અજવાળી અમાસે,
          
ઝગમગ દીપ સુહાવન……દીપ જલે. 

ૐ કારના ગીતો ધરીએ,

           સૂરીલી વાગે ઝાલર.

અખંડ જ્યોતે  ઝળહળ  સૌને

         વંદન સહ અભિનંદન..અભિનંદન……દીપ જલે

 

e.mail : ddhruva1948@yahoo.com

Loading

વિવેચન વિશે મારાં મન્તવ્યો (3)

સુમન શાહ|Opinion - Literature|19 October 2021

વર્ણનપરક વિવેચનાત્મક વિધાનો : ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટમૅન્ટ્સ :

‘વિધાન’ શબ્દ સાંભળીને કેટલાક વાચકો ભડકી જતા હોય છે. અંગ્રેજીમાં શબ્દ છે, સ્ટેટમૅન્ટ. બોલીને કે લખીને વાતને સ્પષ્ટ સમજાય એમ મૂકીએ એટલે સ્ટેટમૅન્ટ કર્યું કહેવાય.

વિવેચનાત્મક વિધાનોને અંગ્રેજીમાં ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ કહેવાય છે. એનો અર્થ અનુક્રમે એમ લેવાનો છે કે કૃતિને ચૉકક્સ વીગતોમાં વર્ણવવી; ઊંડાણથી સમજાય તે માટે તેનું અર્થઘટન કરવું; વધારે સમજાય તે માટે તેની સમજૂતી આપવી; અને તેનું સાહિત્યકલાલેખે મૂલ્ય શું છે તે દર્શાવતું મૂલ્યાંકન પીરસવું.

આ ચારેય બાબતોમાં લોચાલાપસી કરીએ, કે ગલ્લાંતલ્લાં, તે ન ચાલે. કૃતિની એ ચારેય બાબતો વિશે લખાણમાં ચોખ્ખી વાતો કરીએ એટલે કહેવાય કે આપણે વિવેચનાત્મક વિધાનો કર્યાં.

વિધાનનો અહીં આથી કશો ભારે અર્થ છે જ નહીં. અહીં કૃતિપરક બાબતોનો 'જડબેસલાક સિલસિલો' નથી રજૂ કરવાનો. કૉર્ટકચેરીમાં કશી 'ખરાખરીના ન્યાય માટેની જુબાની' નથી આપવાની. થઈ ચૂકેલી ઘટનાનું 'પોલિસચૉકીમાં બયાન' નથી કરવાનું.

અહીં વિધાન એટલે સાદો શબ્દ પ્રયોજીએ તો, નિવેદન. વસ્તુ શું છે, તેમાં શું શું બાબતો છે, બાબતો એકમેક સાથે કેવા સમ્બન્ધે જોડાયેલી છે, તેને વિશેનું નિવેદન.

વર્ણનપરક વિધાનોમાં શું શું આવી શકે તેનો એક સામાન્ય નિર્દેશ કરું :

કૃતિ, કાવ્યસંગ્રહ વાર્તાસંગ્રહ નવલકથા કે નાટક છે – વગેરે દર્શાવવું જરૂરી છે. કર્તાના નામનો નિર્દેશ, કર્તાની સાહિત્યકાર તરીકેની ઓળખ, પ્રકાશનસાલ, પ્રકાશક, પૃષ્ઠસંખ્યા, મૂલ્ય વગેરે વીગતો આપવી જરૂરી છે.

કૃતિ કથાવિષયક હોય, તો વિષયવસ્તુ (ટૂંકો નિર્દેશ), વસ્તુગુમ્ફન, પાત્રાલેખન, સન્નિવેશ વગેરેનો પરિચય કરાવવો જોઈશે.

કૃતિ, કાવ્યવિષયક હોય તો ગીતસંગ્રહ છે કે સૉનેટસંગ્રહ, છાન્દસ કે અછાન્દસ કાવ્યોનો સંગ્રહ છે, તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

કાવ્યો પ્રયોગશીલ પદ્ધતિએ લખાયાં છે છે કે પરમ્પરાગત, તેનો ફોડ પાડવો જોઈશે.

ધારો કે, છાન્દસ કાવ્યોનો સંગ્રહ હોય ને બધાં જ કાવ્યો કોઈ એક એક જ છન્દમાં હોય તો એ વીગત તરફ ધ્યાન દોરવું જોઈશે ને કવિની એ પસંદગીનાં કારણ અને પરિણામનો વાચકોને અછડતો પણ ખયાલ આવે એમ કરવું જોઈશે. કાવ્યો અનેક છન્દમાં હોય તો જણાવવું જોઈશે કે કયા કયા છન્દ પ્રયોજાયા છે. એ દરેક છન્દની પસંદગી વિશે પણ કંઈક ચૉક્કસ કહેવું જોઈશે.

કાવ્યસર્જનનો સમ્બન્ધ અલંકારો, કલ્પનો, પ્રતીકો, કાવ્યબાની સાથે વિશેષે હોય છે, તેની વાત કરવી જોઈશે.

પુસ્તકનો કોઈએ લખી આપેલો પ્રવેશક, પાછલા પૂંઠા પરનાં ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ દર્શાવતાં શુભેચ્છાવચનો વગેરે પણ વર્ણનનો વિષય છે. પુસ્તકનું મુખપૃષ્ઠ અને અંદર મૂકેલાં ચિત્રો પણ. કેમ કે એ બધું લેખકની સહેતુક દૃષ્ટિથી મુકાયું હોય છે, એને ટાળી શકાય નહીં.

નૉંધવા જેવું છે કે વર્ણનપરક વિધાનો કૃતિના અવલોકન કે આલોચન કે રીવ્યૂના લેખનમાં ઘણાં ઉપકારક નીવડે છે. વડીલ કે નીવડેલા વિવેચકોએ લખી આપેલા પ્રવેશકો પણ આવાં વિધાનોથી ઘડાયા હોય છે. 

ખાસ તો વિદેશમાં, પુસ્તકના પાછલા પૂઠા પર આ જાતનાં વર્ણનો જોવા મળે છે. કેટલીક પ્રકાશક-સંસ્થાઓ પાસે એવા પગારદાર લેખકો હોય છે. એમાં કૃતિના ગુણ દર્શાવતાં વિશેષણો મોટે ભાગે પ્રામાણિકપણે વપરાયાં હોય છે. મર્યાદા જરાક ન ચીંધી હોય એવું નહીં, પણ ધ્યાનમાં ભાગ્યે જ આવે.

છાપાં પણ પુસ્તક-પરિચય માટે જગ્યા ફાળવતાં હોય છે. સુવિદિત છે કે TLS – ટાઇમ્સ લિટરરી સપ્લિમૅન્ટ – એનાં પુસ્તકાવલોકનોને કારણે જગ-પ્રસિદ્ધ થયું. એ અવલોકનો એવાં તો પરિચાયક હોય કે ધંધાદારી વિવેચકો અને ઠાંસુ વિવેચકો ફાવી જાય, એમને મૂળ પુસ્તક લગી રાતોરાત દોડી જવાની જરૂર જ ન પડે !

દેખાદેખીથી વકરતી વિદ્વત્તા એ કે જો એક બોલ્યો કે ‘ઑથર ઇઝ ડેડ’, એટલે કશું જ સમજ્યા-વિચાર્યા વિના બાકીના બોલવા માંડે ડેડ. ડેડ. ડેડ. આપણાથી તો એવું બોલાય જ નહીં, કેમ કે સરેરાશ ગુજરાતી લેખક કદી પુખ્ત, પ્રૌઢ કે વૃદ્ધ થયો જ નથી હોતો ! એના મૃત્યુની વાતો તત્ત્વાર્થમાં પણ શોભતી નથી. 

Book review is dead : અવલોકનલેખનનું મૃત્યુ :

Pic courtesy : Bookmarks reviews

પશ્ચિમમાં આ અવલોકનલેખન વિશે પણ બોલાયું છે કે ‘બુક રીવ્યૂ ઇઝ ડેડ’ – અવલેખનલેખનનું મૃત્યુ. પરન્તુ આપણાથી એવું ન સ્વીકારાય, ન બોલાય. ઉઠમણાના એ સમાચારમાં ન જોડાવાય, કેમ કે આપણને આપણું સાહિત્ય અને ખાસ તો સમગ્ર વિવેચન-સાહિત્ય સુધરે એ માટે સૌ પહેલાં જેની સખત જરૂરત છે, તે છે સાર્થક અવલોકનો.

અમદાવાદમાં બનેલો એક બનાવ મને યાદ રહી ગયો છે. કેટલાક ચડી વાગેલા આધુનિકો, કદાચ હઠીસિંહ આર્ટ ગૅલરીમાં, ગુજરાતી સાહિત્યનું ‘ઉઠમણું’ ઊજવતા’તા. કાર્યક્રમનું એવું નામભિધાન એમણે જ કરેલું. જે સૂઝે તે બકતા હશે. પરન્તુ મેં જાણેલું કે નવી પેઢીના જુવાનોએ એમનો એવો તો ઊધડો લીધેલો કે પેલાઓને, જાણે, શેતરંજી લઈને ભાગી જવું પડેલું !

ટૂંકમાં, વર્ણન એવું હોવું જોઈશે કે માણસને પુસ્તક જોયા કે વાંચ્યા વગર જ દૃષ્ટિગોચર થવા લાગે. પુસ્તક માટે વાચક અધીરો થઈ જાય. ઉદાહરણ અતિશયોક્તિભર્યું લાગશે છતાં કહું કે ‘સરસ્વતીચન્દ્ર’-ના ચાર ભાગ જોયા વિના જ વાચકને થાય કે લાવ લઈ આવું ને વાંચવા માંડું. જો કે વાંચીને એને એમ પણ થાય કે ના ના, અત્યારે નથી વાંચવું, બીજી કોઈ વાર; મુલતવી રાખે, પણ ક્યારેક તો જરૂર વાંચે. સારો અવલોકનકાર પુસ્તક અને વાચકને લગ્નસમ્બન્ધે બાંધી આપે છે. એ રીતનો એ ગૉરમા’રાજ છે.

પરન્તુ ‘સરસ્વતીચન્દ્ર’-નું કે કોઈ પણ પુસ્તકનું અવલોકન લખનારે તો સઘન વાચન કર્યું જ હોવું જોઈશે. બે કે ત્રણ ભાગને ગુપચાવી જઈને કરે તે અવલોકન નથી. ૭૦૦ પાનના શોધનિબન્ધનાં ૫૦૦ પાનાં બાજુએ રાખીને કરે તે અવલોકન નથી.

એવાઓને લોકો પાખંડી કહે છે. કેમ કે એમનાં એ કૃત્યો વિદ્યાધર્મનાં દ્રોહી છે. એથી મૂળ લેખકને અન્યાય અને સાહિત્યસમાજને પારાવારનું નુક્સાન થાય છે.

બીજા મોટા પાખંડી છે – એકનું લખેલું વિવેચન વાંચીને પોતાનું ઘસડી નાખનારા.

બન્ને પાખંડીઓથી ચેતવું ને એમને ઉઘાડા પાડવા.

આપણા એક સામયિકના તન્ત્રીએ તો પોતાના પુસ્તકનું અવલોકન છદ્મનામે જાતે જ લખીને એ જ સામયિકમાં છાપેલું ! એને મહા પાખંડી કહેવો? કીર્તિલોલુપ કહેવો? સ્વાશ્રયી મજૂર કહેવો? શું? હું કન્ફ્યુઝ્ડ છું …

= = =

(October 19, 2021:USA)

Loading

મોંઘવારી જન્મ પહેલાં હતી ને મરણ પછી પણ હશે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 October 2021

મોંઘવારીનું એવું છે કે એ સનાતન છે. કોઈ પણ કાળમાં એ હતી ને હશે. લોકો ગરીબ હતા ને છે, પણ જીવે છે. ના જીવાય તો મરવાની કોઈને બંધી નથી. કેટલાક મૂરખાઓ મોંઘવારીની બૂમો પાડ્યા કરે છે, પણ એ તરફ બહુ ધ્યાન આપવું નહીં. એમને રડવાની ટેવ પડી ગઈ છે. લોકો દેવું કરીને ઘી પીતા આવ્યા છે ને હજી પીશે. કોઈ ભલો જીવ કોઈ વસ્તુ મફત આપશે તો આ લલ્લુઓ બે માંગશે. આ પછી પણ જેને નથી મળતું, તેને નથી જ મળતું. એ જાણે ન મેળવવા માટે જ છે ! દૂધ-ઘીની નદીઓ વહેતી હતી, ત્યારે પણ કેટલાંક દૂધ-ઘી વગર જ રહ્યાં છે ને હવે મોંઘું મળે છે ત્યારે પણ દૂધ-ઘી વગર જ રહે છે. કેટલાક અળવીતરા લોકો મોંઘવારી માટે લખે-બોલે છે ને સરકારને વારંવાર ભાંડે છે તે બરાબર નથી. એને કેટલાક સરકાર વિરોધી કે દેશદ્રોહી પણ કહી દે છે, પણ આ મૂરખાઓ નથી તો દેશદ્રોહી કે નથી તો કોઈ પક્ષના કે એમ મન મનાવાય કે કૈં નહીં તો વિપક્ષી તો છે ! ચાલો, માની લઈએ કે સરકાર મોંઘવારી વધારે છે, પણ સરકર જ ન હોય તો બિચારી મોંઘવારીનું શું થાય એ તો વિચારો. એ તો સરકાર વગર મરવા જ પડે કે બીજું કૈં? ને એવું નથી કે ભા.જ.પ.ના રાજમાં જ મોંઘવારી છે ! એ અંગ્રેજોના વખતમાં હતી, કાઁગ્રેસનાં રાજમાં હતી ને ભા.જ.પ.ના રાજમાં પણ છે. મોંઘવારી સનાતન છે. તે સરકાર મુજબ બદલાતી રહે છે. સરકાર વિકાસ કરે તો મોંઘવારી વિકસ્યા વગર થોડી જ રહેવાની હતી ! સરકાર એટલે જ મોંઘવારી, એવું કોઈ પણ સરકાર માટે જોયા વગર જ કહી શકાય. જો કે, લોકોને મોંઘવારી બહુ નડતી નથી. તેનું કારણ છે. લોકોનો સ્વભાવ વેઠવાનો છે. કુંભાર ગધેડા પર બોજ મૂકતો જ જાય છે ને ત્યાં સુધી મૂકે છે જ્યાં સુધી તે ભૂંકતો નથી. જો ગધેડો ભૂંકતો હોય તો લોકોને તો અવાજ છે. સરકારને ખબર છે કે લોકો નથી બોલતા એનો અર્થ જ એ કે હજી તેઓ ઘણું ખમી શકે એમ છે.

આટલું દુશાસન, સોરી, સુશાસન ચાલતું હોય ને કેટલાક વિરોધીઓ મોંઘવારીની મેથી મારીને સરકારને બદનામ કર્યા કરે એ ઠીક નથી. સરકાર પણ વેઠાય ત્યાં સુધી એવાં તત્ત્વોને વેઠે છે ને લાગ મળે છે તો તંત્રો એનો ય ઘડો લાડવો કરી જ નાખે છે. આવાં તત્ત્વોએ સમજવું જોઈએ કે સરકાર હોય ને મોંઘવારી ન વધારે તો વિપક્ષોનો કારભાર કેમ ચાલશે? ખરેખર તો વિપક્ષોને ટકાવવા નાછૂટકે સરકારે બધું મોંઘું કરવું પડે છે. અત્યારે જે સરકારમાં છે એમને, વિપક્ષમાં હતા, ત્યારે અડધા ભાવે મળતું દૂધ મોંઘું લાગતું હતું, હવે નથી લાગતું, કારણ સંસદની કેન્ટીનમાં મફતના ભાવે હોજરી ભરવાની સગવડ સાંસદો માટે છે જ, સૌથી વધારે ગરીબ તો એ લોકો છે જેમનું પેટ સંસદની કેન્ટીન ભરે છે. એમની સગવડ સચવાતી હોય તો પેટ્રોલ હજાર રૂપિયે લિટર વેચાય તો ય શો ફરક પડે છે?

– ને ગરીબો કેન્ટીનમાં જ છે એવું ક્યાં છે? એ તો દેશ આખામાં ભર્યા પડ્યા છે. એમની હોજરી પણ કોઈને કોઈ રીતે ભરાય તો છે જ, પછી એ બૂમ શું કામ પાડે? સાચું તો એ છે કે મોંઘવારી વિપક્ષને ને એને વિષે બૂમો પડ્યા કરતાં થોડા મગતરાંને જ લાગે છે, બાકી મોંઘવારી જેવું ખાસ કશું છે જ નહીં. એક ટુચકો છે. એક સાંકડા રસ્તેથી સ્મશાનયાત્રા જઈ રહી હતી, ત્યાં એક સ્પીડમાં આવતો બાઇક સવાર સીધો શબ સાથે અથડાયો ને શબ નીચે પડ્યું. ડાઘુઓ આ ઘટનાથી ખૂબ ગુસ્સે થયા ને પેલા બાઈકસવારને મારવા લીધો તો પેલો સામે ચોંટયો – જેને વાગ્યું તે તો કૈં બોલતો નથી, તો તમે કેમ ઊછળો છો? તો આ વાત છે. જેને નડે છે તે ચૂપ છે ને બાકીના એનો બચાવ કરનારા અમથા જ કૂદ્યા કરે છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 117થી મોંઘું પેટ્રોલ વેચાય છે, પણ એક પણ પંપ મોંઘવારીને કારણે બંધ નથી થયો. માત્ર ગુજરાતની વાત કરીએ તો નવરાત્રિના દિવસોમાં જ 39,000 ટુવ્હીલર ને 14,000 કારનું વેચાણ થયું છે. એ પણ જવા દો, માત્ર દશેરાને દિવસે જ 19,500 ટુ વ્હીલર ને 6,800 કારનું વેચાણ રાજ્યમાં થયું છે. પેટ્રોલ મોંઘું લાગતું હોય તો આટલાં વાહનો ઉપડે ખરાં? કેવી રીતે કહેવાય કે પેટ્રોલ-ડિઝલ મોંઘું છે? ધારો કે મોંઘું હોય ને તેની અસર પડતી હોય તો પણ, જેને વાગે છે તે જ જો વેઠી લે છે તો બીજાએ એનો બચાવ શું કામ કરવો જોઈએ? ને કોઈ વેઠતું હોય એવું પણ નથી લાગતું, કારણ પેટ્રોલ જ નહીં, ઘણું બધું ગજવે ઘાલવાની ક્ષમતા લોકોની છે જ ! તો એ તો રાજી થવા જેવું છેને કે દેશનો નાગરિક ગમે તેમ કરીને, ખરીદવાની શક્તિ ધરાવે છે. એ શક્તિ કેવી રીતે આવી એ આપણે જોવાનું નથી. જોવાનું એ છે કે ગમે તેને વેતરીને એ પગભર તો થયો છે !

આપણે એ પણ સમજી લેવાનું રહે કે મોંઘવારી તેજી સાથે જોડાય છે. આમ તો કેવળ સુરત જ જગતમાં એવું શહેર છે જ્યાં મીઠાઈનો તહેવાર ઉજવાય છે. શરદપૂનમ બધે ઉજવાય છે, પણ ચંદની પડવો કે ઘારી પડવો સુરતની જ ખાસિયત છે. કોઈ પણ સુરતી આ ઉત્સવ ચૂકતો નથી. ઘારી દોઢ લાખ કિલો ને ભૂસું 30,000 કિલો આ શહેરમાં ખપશે ને એ પછી પણ ક્યાંક ઘારી, ભૂસું ખૂટી પડે તો નવાઈ નહીં ! આ ઘારી સસ્તી છે એવું નથી. ગયા વર્ષ કરતાં આ વર્ષે, ઘારીનો ભાવ કિલોએ 60થી 70 રૂપિયા વધ્યો છે, તો એક જ વર્ષમાં તેલ 1,200 રૂપિયા વધ્યું છે, એ બોજ ભૂસાં પર 50 રૂપિયા સુધીનો વધારો, કિલોએ દેખાડે એમ બને. વેપારીઓને આશા છે કે આ વખતે ધંધો સારો થશે, મતલબ કે લોકો ઘારી-ભૂસું સારાં એવાં પ્રમાણમાં ઝાપટશે.

સોના ચાંદી મોંઘાં જ હોય, પણ તેથી કૈં ઉપાડ ઘટી જતો નથી. 2021 સુધીમાં સેન્સેકસ 70,000ની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આમ તો રાવણ એક જ હતો, પણ રાવણ કરતાં ય બદતર લોકો મોંઘવારીનો, ક્રોધનો, અનીતિનો એમ ઘણાં રાવણો પેદા કરે છે ને તેનું દહન લોકો મોજથી કરે છે, પણ મોંઘવારીનાં રાવણનું કોઈ દહન કરે તો પોલીસ પકડે પણ ખરી. વિવેકાનંદ બ્રિજ પાસે મોંઘવારીનાં રાવણનું દહન કરવા જતાં પોલીસે પંદર કાઁગ્રેસીઓની અટકાયત કરી. એમને એમ હશે, કે દહન કરવાવાળાં અમે બેઠાં છીએ તો આ નવા ક્યાંથી ફૂટી નીકળ્યા? ગેસના સિલિન્ડરનો ભાવ ન વધે તો આઘાત લાગે, તેમાં નવો સુધારો એવો આવ્યો કે સિલિન્ડરમાં એકથી ચાર કિલો ગેસ ઓછો નીકળ્યો, પણ પ્રજા સમજુ છે. એ તો સિલિન્ડર ખૂલતું નહીં હોય, નહિતર બધો ગેસ ભૂલમાં આવી ગયો છે એવું કહીને, તે પાછો આપીને ખાલી સિલિન્ડર ઘરે લઈ આવે એમ બને. દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં 50 હજાર ટન ખાતરનો ઉપયોગ થાય છે, એમાં 50 કિલોએ 265નો ભાવ વધ્યો છે. એને લીધે 20 ટન ખેતપેદાશ પર 55 રૂપિયા ખર્ચ વધે એમ બને. બીજી તરફ કોલસાની અછતને કારણે વાપી જી.આઇ.ડી.સી.ની 40માંથી 5 પેપર મિલે પ્રોડકશન બંધ કરવું પડ્યું એવી વાત પણ છે. ઓઇલના વધતાં ભાવ અને કોલસાની અછતને કારણે સ્ટીલનું ઉત્પાદન પણ જોખમમાં મુકાયું છે, પણ એવું બધું તો ચાલ્યા જ કરવાનું. સરકાર તે ચૂંટણી લડે કે બધું સસ્તું કરવા બેસે? બહુ બહુ તો એટલું થાય કે ચૂંટણી સુધી મોંઘવારી મોકૂફ રહે. એ પણ થોડા મત પડે એટલે ! બાકી આવાં કામ માટે વખત જ કોને છે?

આમ તો મોંઘવારીથી ઘણાંને બહુ ફેર નથી પડતો, પણ જેમને પડે છે એવાં 31 નવજાત શિશુઓ દર હજારે છે, જે પોષણક્ષમ ખોરાકને અભાવે જીવી નથી શકતાં. એમને જીવવાનો અધિકાર ખરો કે કેમ? એમને કૈં બહુ જોઈએ છે એવું નથી. એમને ખોરાક જોઈએ છે ને મળતો નથી. કોઈ એમની તરફ જુએ કે કેમ એ જન્મીને મરવા પડે છે, તો ય ઘણું ! એમને બધું મળે છે ને એમણે લેવું નથી એવું નથી. એમને તમારું 117 રૂપિયે લિટરનું પેટ્રોલ નથી જોઈતું, નથી જોઈતી એને 800 રૂપિયે કિલોની ઘારી, કે નથી માંગ્યા એણે અંબાણી-અદાણીના આવાસ, એને જોઈએ છે થોડા કોળિયા ! એને એટલો હક ખરો કે કેમ? એક તરફ સરકારી રાહે ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, લોકાર્પણ થતાં રહે છે, ભલે થાય, પણ પેલી 31 નવજાત લાશો તરફ પણ નજર જાય એટલી અપેક્ષા તો રહે ને! એમની વાત પહોંચાડવા કેટલાક મૂરખાઓ પ્રયત્ન કરતાં રહે છે ને ભલે કોઈ સાંભળે કે ન સાંભળે, એણે તો બકવાસ કરતા જ રહેવાનું છે, લાગે તો તીર નહીં તો …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑક્ટોબર 2021

Loading

...102030...1,8361,8371,8381,839...1,8501,8601,870...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved