Opinion Magazine
Number of visits: 9571621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“શબવાહિની ગંગા”

અંજલિ ધવલ મહેતા|Opinion - Opinion|28 June 2021

‘શબવાહિની ગંગા’ બેજવાબદાર સત્તાધારીઓના પ્રોટેસ્ટની કવિતા છે :

કોવિડની મહામારી દરમિયાન ભારતની સરકારે જે ગેરવ્યવસ્થા ઊભી કરી તેની પારુલે ‘શબવાહિની ગંગા’માં આકરી ટીકા કરી છે. આ કવિતાએ શાસકનો ચહેરો ખુલ્લો કર્યો છે. લાગણીવિહીન સરકાર સામેનો આ પ્રોટેસ્ટ છે. આ પ્રોટેસ્ટ કોઈ આંદોલનમાં પરિણમશે કે નહીં તેની આપણને ખબર નથી. આ કવિતાને કવિતા જ ના કહેવાય અને તેણે સમાજને છિન્નભિન્ન કરવાનું કામ કર્યું છે, તેવી આલોચના કરનારને જાગૃત લોકશાહી કેવી રીતે ચાલે છે, તેની ઝાઝી ખબર કે તમા હોય તેવું લાગતું નથી. ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કેવી રીતે હિન્દુ રાષ્ટ્રવાદ બની ગયો છે, તેની આપણને સૌને ખબર છે. આલોચક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને કમિટેડ હોવાથી તેમને કદાચ એમ લાગતું હોઈ શકે કે પવિત્ર ગંગામાં અસંખ્ય મડદાં વહેતાં હોય તે દૃશ્ય બીભત્સરસ દર્શાવે છે. આ અંગેની કોઈ કવિતા હોઈ શકે નહીં. કવિતા મંગળકારી હોવી જોઈએ.

આત્માની અમરતા કે આલોચકની અકળામણ :

કવિતા આત્માની કળા છે, તે વિધાનને આધારે પારુલની કવિતા નિષ્ફળ નીવડી છે તેવો આ કવિતાના આલોચકનો મત છે. પરંતુ કવિતા એ આત્માની કળા છે, તે પોતે જ અર્થહીન વિધાન છે. આત્માની કળા એટલે શું? આત્મા કળા કરતો હશે? પારુલની કવિતામાં આત્માની કળા છે કે નહીં તેનો નિર્ણય કોઈ સત્તાધારી કરે? કવિતામાં આક્રોશ ના હોવો જોઈએ, તેવું પણ વિધાન તેઓ કરે છે. કવિતામાં શાંત રસ જ હોવો જોઈએ, તેવું તમે શેના આધારે કહો છો? આનંદશંકર બાપુભાઈ ધ્રુવની આ અંગેની માન્યતા તદ્દન આઉટડેટેડ છે. અત્યારની ઘણી કવિતાઓમાં સામાજિક અન્યાય માટેનો પ્રોટેસ્ટ રજૂ થાય છે. તેમાંથી દલિતોની જે બ્રિલિયન્ટ પ્રોટેસ્ટ મૂવમેન્ટ ઊભી થઈ તે આપણા સમાજની ઊજળી બાજુ છે. દલિત પ્રતિકાર કવિતાઓનું ધોરણ પણ ઘણું ઊચું છે. કવિતા કોને કહેવાય તે પ્રશ્નની ચર્ચા સદાય ચાલ્યા કરશે અને ચાલવી જોઈએ.

કોવિડની મહામારીએ સર્જેલા ઊંચા મૃત્યુદરના આઘાતથી પારુલની જેમ લાખો લોકો હલબલી ગયા છે. આ કવિતાનો ગૂઢાર્થ એ છે કે આ મૃત્યુ કુદરતી નહીં પણ માનવકૃત હતાં. ભારતની સરકારે કોવિડ અંગે વધુ સતર્કતા દાખવી હોત તો લાખો લોકો બચી જાત. આ કવિતા સરકારની હૃદયહીનતાને આક્રમક સ્વરૂપે રજૂ કરે છે. તેમાં સરકારનો ઇરાદો કે વિચારસરણીનું નિરૂપણ નથી, પરંતુ સરકારની નાગરિકો માટેની હૃદયહીનતાનું નિરૂપણ છે.

સમયનું ડાઇનેમિક્સઃ

કવિતામાં સમયનું પણ ડાઇનેમિક્સ છે. તેને ચાર ભાગમાં વહેંચી શકાયઃ ટાઇમ-૧માં કોવિડની મહામારીમાં હજારો અને લાખો લોકો સપડાયા છે. ટાઇમ-૨માં લાખો લોકો આ મહામારીમાં મૃત્યુ પામ્યા છે. ટાઇમ-૩માં અનેક મડદાંઓ ગંગા નદીમાં પ્રવાહિત થયાં છે. આ જ તેમના અંતિમસંસ્કારની વિધિ છે. ટાઇમ-૪માં ભલે મડદાં મૃતશરીરનાં હોય, પણ તેઓ એકી અવાજે ચિત્કાર કરે છે અને અપ્રત્યક્ષ રીતે સરકારને ખૂની ગણે છે. સમગ્ર કવિતા આ ટાઇપના ડાઇનેમિક્સથી પ્રભાવિત થઈ છે.

મિથિકલ કલ્પનો :

કવિએ પોતાના હૃદયની વેદના વ્યક્ત કરવા અનેક કલ્પનો – ‘મિથિકલ સિમ્બોલ્સ’ ઊભાં કર્યાં છે. તે વિના આ કવિતા છાપાના સામાચાર બની જાત. કવિએ જૂના આદર્શ રામરાજ્યનું કલ્પન ઊભું કરીને અત્યારની સરકારના રાજ્યને રામરાજ્ય કહી ટોણો માર્યો છે. તે ઉપરાંત કવિએ જમરાજાનાં ટોળાં લોકોના પ્રાણ લેતી વખતે કેવો મૃત્યુનો નાચ કરે છે, તેનું બિહામણું ચિત્રપણ ઊભું કર્યું છે. વળી, મડદાને જીવંત વ્યક્તિની જેમ ચંગાચંગાના પોકારો કરતાં દર્શાવ્યાં છે. મૃતદેહોને બાળવા માટેની ચીમની પણ થાકી ગઈ છે અને પોરો ખાય છે. મડદાં અને ચીમનીનું સજીવારોપણ આ કવિતાના સંદર્ભમાં યથાર્થ છે. આ તમામ સજીવારોપણો એન્થ્રોપોમોર્ફિક છે, જેના નેપથ્યમાં “કશું કામ નહીં કરતી સરકાર મડદાલ છે” તેવો ભાવ ઊભો કરવામાં કવિ સફળ થયા છે. સ્ત્રીઓ પતિના મૃત્યુ વખતે ચૂડલા તોડી નાખે છે અને ડાઘુઓ છાતીફાટ રુદન કરે છે, તે આ કવિતાના કરુણરસને વધુ ગાઢો બનાવે છે. રામરાજ્યના કલ્પન(ઇમેજ)ને સતત કેન્દ્રમાં રાખીને અત્યારના ‘નવા રામરાજ્ય’ની પારુલે મશ્કરી કરી છે અને કાવ્યના વાચકને તે સતત ભાન કરાવે છે કે અત્યારનું રામરાજ્ય કેવું ‘ડિસફંકશનલ’ છે. કવિએ આ સંદર્ભમાં રોવણહારા શબ્દ વાપર્યો છે, તે ઈનોવેટિવ છે. આ શબ્દ આપણને સર્વર્હારા (પ્રોલિટરીએટ)ની યાદ અપાવે છે. શુ સરકારને સર્વહારાની ચિંતા નથી?

આ કવિતા માત્ર હૃદયહીન સત્તાધારીના વિરોધને કારણે નહીં, પરંતુ કવિતાના ‘એથોસ’, ‘પેથોસ’ અને ‘લોગોસ’ને કારણે લોકભોગ્ય બની છે. પારુલે આ કવિતા દ્વારા સરકારની નિષ્ક્રિયતાને મસમોટો ફટકો માર્યો છે. સરકારની વસ્ત્રહીનતાની વાત પણ ચતુરાઈપૂર્વક આ કવિતામાં વણી લીધી છે અને સત્તાધારીનાં દિવ્યવસ્ત્રો અને દિવ્યજ્યોતિનાં વખાણ કર્યાં છે!! પરંતુ તેમ છતાં અત્યંત આક્રોશપૂર્વક સરકારને બિલ્લા-રંગા જેવી ખૂની ગણી છે. મિથ, સજીવારોપણ, એન્થ્રોપોમોર્ફિક ઇમેજરી વગેરેનું નેટવર્ક કવિતાને ઉપકારક નીવડ્યું છે. અને તેથી જ આ કવિતા લોકપ્રિય બની છે. દવાઓ અને ઑક્સિજનને અભાવે મરી જતાં દરદીઓને જોઈને આપણને સૌને અરેરાટી થાય તે સ્વાભાવિક છે. પારુલે આ અરેરાટીને કવિતામાં કલેક્ટિવ કૉન્શિયસનેસનો ભાગ બનાવી દીધી છે. કવિતાની શરૂઆત ડિપ્રેસ્ડ મૂડમાં થઈ છે, પરંતુ કવિતાને અંતે પારુલે એગ્રેસિવ મૂડ દર્શાવ્યો છે, જેને અંગ્રેજીમાં આપણે ‘righteous indignation’ કહી શકીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 04

Loading

પ્રતિકારની કવિતા

બાબુ સુથાર|Opinion - Opinion|28 June 2021

પારુલ ખખ્ખરની કવિતાને જેમણે અ-કવિતા જાહેર કરી એમને પ્રતિકારના કાવ્યશાસ્ત્રની કેટલી ખબર હશે એ રામ જાણે. ગુજરાતીમાં પ્રતિકાર કવિતા ઘણી લખાઈ છે. સરૂપ ધ્રુવની ’સળગતી હવાઓ’ એમાં આગલી હરોળમાં આવે. એ જ રીતે, દલિત કવિતા પણ આમ જુઓ તો પ્રતિકારની કવિતા છે. કટોકટી વખતે પણ પ્રતિકારનાં કાવ્યો લખાયેલાં. જેમણે એ પ્રકારનાં કાવ્યો લખેલાં એમાંના ઘણાબધા અત્યારે સંઘમાં કે સરકારમાં છે અને એમની સરકાર સામે કોઈ પ્રતિકારનાં કાવ્યો લખે તો એ કાવ્યો કાવ્યો છે કે અકાવ્યો એવા વાહિયાત પ્રશ્નો ઊભા કરતા હોય છે. આપણે નારીવાદી કવિતાઓનો પણ પ્રતિકારનાં કાવ્યોમાં સમાવેશ કરવો પડે. ગોધરા હિંસા પછી ઘણા સર્જકોએ પ્રતિકારનાં કાવ્યો લખ્યાં છે. એમાંનાં કદાચ કેટલાંક ગ્રંથસ્થ પણ થયાં હશે.

આટલું બધું પ્રતિકારનું સાહિત્ય લખાયું હોવા છતાં આપણા વિવેચકોએ એ સાહિત્યના આધારે પ્રતિકારના કાવ્યશાસ્ત્રની વાત કરી નથી. એવું બનવા પાછળ અનેક કારણો જવાબદાર છે. એક કારણ કદાચ સ્વરૂપવાદનો આગ્રહ પણ હોઈ શકે. જે સાહિત્યકારો સાહિત્ય અને સમાજની વાત કરતા હતા એ સાહિત્યકારોએ પણ આ પ્રકારના સાહિત્યના સંદર્ભમાં એક પ્રશ્ન તો પૂછ્યો જ છેઃ પણ આ કૃતિ સાહિત્ય બને છે ખરી? કહેવાનો મતલબ એ કે એ લોકોએ પણ પ્રતિકારનું કાવ્યશાસ્ત્ર રચવાનો પ્રયાસ કર્યો નથી.

હું માનું છું ત્યાં સુધી પ્રતિકારની કવિતાની ભાષા ચુસ્ત અર્થમાં mimetic નથી હોતી. એ પ્રકારની કવિતામાં ભાષા શસ્ત્ર બનીને આવતી હોય છે. જે ભાષા mimetic હોય એ કાં તો રૂપાન્તરવાદી હોય કાં તો અનુકરણવાદી હોય. પ્રતિકારની કવિતાની ભાષા રૂપાન્તર અને અનુકરણ બન્નેને ગૌણ મહત્ત્વ આપે છે. એમ હોવાથી એ પ્રકારની કવિતામાં શસ્ત્ર સાથે જોડાયેલા ભાવો જોવાના હોય. જેમ કે, એ પ્રકારની કવિતામાં આક્રોશ છે કે નહીં? એમાં હિંસા છે કે નહીં. એવાં સત્તાને target બનાવવામાં આવી છે કે નહીં? કવિએ સત્તાના કયા પાસાને target બનાવી છે? આ પ્રકારની કવિતા ભાવકને રસાનુભવ પછી કરાવે. પહેલાં તો એ ભાવકને લોહીલુહાણ કરે. ભાવકને પણ પડકારે. જ્યારે પા.ખ. ’રંગા-બિલ્લા’ શબ્દો વાપરે ત્યારે એમનો આશય કોઈને રંગા-બિલ્લા કહેવાનો નથી હોતો. એમને આશય ભાવકોને પડકારવાનો હોય છે. પછી એ જુદી વાત છે કે રાજ્યતરફી સાહિત્યરસિકોએ એમાં બીજું જ કંઈક જોયું હોય.

Mimeticના કાવ્યશાસ્ત્રને વરેલો કવિ જે કવિતા લખે એ સમાજને મોટે ભાગે બે વર્ગમાં વહેંચી નાખે. એક વર્ગ કહેશેઃ મને આ કવિતા ગમી. તો બીજો વર્ગ કહેશેઃ મને ન ગમી. પણ protest અથવા તો પ્રતિકારના કાવ્યશાસ્ત્રને વરેલો કવિ જે કવિતા લખશે એ પણ સમાજને બે વર્ગમાં વહેંચી નાખશે. એક કહેશેઃ હા યાર, મને કવિતા વાગી. અને બીજો વર્ગ કહેશેઃ ના, એ કવિતા નથી.

જ્યારે કોઈ એવું કહે ત્યારે માનવું કે એ માણસ વધારે ઘવાયો છે અને એને ઘા બતાવવા કરતાં સંતાડવામાં વધારે રસ છે.

(સૌજન્ય, ફેસબુક)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 06

Loading

જવાબ છે હજાર, પણ જવાબ આપવો નથી : પારુલ ખખ્ખર

રૂપા મહેતા|Opinion - Literature|28 June 2021

“મારી કવિતા વિશે હું શું કહું? એ મારો મૌન સહારો છે એમ કહી શકાય. મારી વેદનાઓને  પ્રગટ થવાનું એ એક માત્ર માધ્યમ છે.” આ શબ્દો  છે કવયિત્રી પારુલ ખખ્ખરના.

માત્ર 15 વર્ષની ઉંમરે પારુલે પહેલી કવિતા લખેલી અને તે ય એમનાં ઘરમાં ક્યાં ય દૂર સુધી છેક સાતમી પેઢી સુધી ન કોઈ કવિ કે ન કોઈ લેખક. પણ એમના લખવા પર ઘરના સૌનો રાજીપો. એમના પપ્પાના જ શબ્દોમાં કહીએ તો “તું બહુ આગળ જઈશ. તારી કવિતાઓ તને ભારતભરમાં અને વિદેશમાં લઈ જશે. તું બસ લખતી રહેજે.”

ગુજરાતના નાનકડા શહેર અમરેલીમાં રહેતી એક સરળ, સાલસ ગૃહિણીને છેલ્લાં પાંચ-છ વર્ષથી મુશાયરા ને કવિ સંમેલનમાં વાહવાહી મેળવતી કવયિત્રીની કવિતા “શબવાહિની ગંગા”ની દેશ દુનિયામાં નોંધ લેવાઈ છે ને જબરદસ્ત ચર્ચા જગાવી છે. માત્ર ભારતની ભાષાઓમાં જ નહીં, પણ જર્મન તેમ જ તુર્કીમાં પણ તેનો અનુવાદ થયો છે  ને લાખ્ખો લોકોએ તેને સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ્સ પર શેર કરી. જો કે, અનેક લોકોએ પારુલબહેનને ટ્રોલ પણ કર્યાં છે અને ટીકાઓ  પણ કરી છે. વળી કેટલાકે  તો  તેમની આ ધારદાર કવિતાને કવિતા  તરીકે  સ્વીકારવાનો જ ઈન્કાર કરી દીધો છે. આ કપરા સમયે પારુલે પોતાની  ફેસબુક વોલ પર લખ્યું :

“ગનીમત કે ‘પારુલ’ હજુ યે જીવે છે,
હતું  નામ એનું  ઘણાં  ખંજરોમાં.”

પારુલબહેને શું પહેલી વાર જ આવી સામાજિક નિસ્બત સાથેની સણસણતી કવિતા લખવાની હિંમત કરી છે? આ પ્રશ્ન સાથે પારુલબહેનનાં લેખન અને સર્જન પ્રક્રિયાને જાણવાનો પ્રયત્ન કર્યો તો સમજાયું કે મુંબઈની ‘આરે’ કોલોનીનાં વૃક્ષો કપાય ત્યારે જે મરસિયું લખે,

“એક રાતમાં  જંગલ આખું  થઈ  ગ્યું  ઉજ્જડ સીમ.
કે બાયું ગાવ મરસિયાં,
રાજા, તારા સિપાઈડાએ ઢાળ્યું એનું ઢીમ,
કે બાયું  ગાવ મરસિયાં.”

એ જ કવયિત્રીની સંવેદનાઓ સમાજમાં પોતાની આજુબાજુ બનતી, હચમચાવી મૂકે એવી ઘટનાઓથી કેવી રીતે અલિપ્ત રહી શકે?

“જાગ, હવે રણભેરી વાગી, પડી નગારે થાપ,

જાગી ઊઠ્યાં કીડી-મકોડાં, જાગ્યાં સૂતાં  સાપ,

હવે નઘરોળ ચામડી જાગ.

ભડભડ બળતાં શેરી-ફળિયાં, ભડભડ બળતું  ગામ,

નિંભર  તારા ક્રોડ રુંવાડા તો ય કરે આરામ

કોણે દીધા હાય …. તને રે મગરપણાના શ્રાપ 

હવે નઘરોળ ચામડી જાગ”

પણ પારુલની ચામડી નઘરોળ નથી અને એની સાક્ષી પૂરે છે લોકડાઉન દરમ્યાન જે લાખ્ખો શ્રમજીવીઓએ સ્થળાંતર કર્યું તે વિષે તેમણે પોતાની એક ગઝલ “સ્થાન આપો”માં લખેલાં બે શેરઃ

“તારીખ તો છે કેવળ નિર્જીવ અંક સાહેબ,
જીવતા મનુષ્યને પણ યાદીમાં સ્થાન આપો”

“ઉખડ્યો છે મૂળસોતો કરમાઈ પણ ગયો છે,
સોંપી દો આગને કાં માટીમાં સ્થાન આપો”

વળી અમદાવાદથી બિહારની વિશેષ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક શ્રમજીવી મહિલાના મૃતદેહ પાસે બેઠેલું એક બાળક પોતાની માને જગાડવાનો પ્રયત્ન કરે છે એ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનનાં હ્રદયદ્રાવક દ્રશ્ય અખબારોમાં ને ટી.વી.ના પર્દે જોતાં સૌ કોઈથી હલી જવાયું હતું. ગરીબી, લાચારી અને  તંત્રની નઘરોળતાને પારુલે વાચા આપી છેઃ

પિતા રસિકભાઈ કારિયા જોડે કવયિત્રી પારુલ ખખ્ખર

“સનસનીખેજ થઈ ખબર સૂતી, છીનવી બાળનું છતર સૂતી,
આભ ઓઢી ધરાના પાથરણે, જીવતી જાગતી કબર સૂતી,
પીળ કાઢો ને ચીર ઓઢાડો, એક નારી લઘર-વઘર સૂતી,
બાળ એનો જીવાડશે એને, થઈને ઇતિહાસમાં અમર સૂતી, 
આપ સૌને શરમમાં ડૂબાડી, ભર બજારે શરમ વગર સૂતી,
લે બાઈ હવે મોક્ષ પામી જા, આમ ના જો ટગર ટગર સૂતી, 
કોણ તારાં મરશિયા લખવાનું? પેન બેહોશ બે અસર સૂતી, 
ક્યાં ય આઘે નથી આ બીના, લ્યો કવિ આપને નગર સૂતી.”

પારુલબહેન ગીત, અછાંદસ, ગઝલ, વાર્તા એ તમામ સ્વરુપોમાં લખે છે. એમના જીવનની રસપ્રદ વાત એ છે કે તેમનાં 20 વર્ષે  લગ્ન થયાં ને થોડાં  સમયમાં જ માતૃત્વ. પછી લગભગ 20 વર્ષ સુધી એ એક આદર્શ પત્ની, કુશળ ગૃહિણી ને શ્રેષ્ઠ માતા બની સંસારની જવાબદારી નિભાવતાં રહ્યાં. લખવાનું છૂટી ગયું. જો કે તદ્દન બિનસાહિત્યિક પરિવેશમાં પણ એમણે  પોતાની અંદરની કવયિત્રીને અને પોતીકા વિચારોને સતત જીવતાં રાખ્યાં. પિતાના મૃત્યુ વખતે પોતાના ભાઈની સાથે સાથે પપ્પાને કાંધ આપી ને અગ્નિસંસ્કાર પણ કર્યાં. પારુલબહેનના જીવનની ફિલસૂફી છે ”ઉત્ક્રાંત થતું જાવું ને અનુકૂલન કરતાં જાવું. ને આસપાસ બનતી ઘટનાઓ, કોઈ ચિત્ર, કોઈ દ્રશ્ય, કોઈ એવી વ્યક્તિ મળે ને તેમાંથી સંવેદના જાગે તો તેના પર લખવું”. 2020માં જ બનેલી હાથરસ બળાત્કારની  ઘટનામાં ભોગ બનેલી 20 વર્ષની છોકરીના મૃતદેહને પોલીસે અડધી રાત્રે બાળી નાંખ્યો અને તે પણ તેના ઘરના લોકોની જાણ બહાર. આ ઘટના પર પારુલે પોતાની કવિતામાં પોલીસ, સમાજ અને સત્તાને પોતાની આગવી શૈલીમાં પડકાર્યાં  છે.

“જોર દેખાડી લાશ બાળી દો, કાયદા ફાડી લાશ બાળી દો 
ચીર ખેંચીને, દેહ ચૂંથીને, વસ્ત્ર ઓઢાડી લાશ બાળી દો 
જીભથી ને કરોડથી રમજો, જાવ ખેલાડી લાશ બાળી દો 
ગામ ભડકે બળે તે પહેલાં ઝટ સત્ય સંતાડી લાશ બાળી દો 
જાગશે તો જગાડશે તેથી, સૌને ઊંઘાડી લાશ બાળી દો 
જીવતાં  જાગતાં શરીરોની વાડ ઠેકાડી લાશ બાળી દો 
આજથી નામ સૌ મનીષાનું નિર્ભયા પાડી લાશ બાળી દો.”

મધ્ય પ્રદેશના ગુના ગામના દલિત દંપતીએ પોલીસતંત્ર, અધિકારીઓને કોન્ટ્રાક્ટરની જોહુકમી તથા પાકથી લહેરાતા ખેતરમાં બુલડોઝર ફેરવવાના જડાગ્રહથી થાકી પાક પર છાંટવાની  દવા પીને જીવનનો અંત આણ્યો. તે વખતનું એ દંપતીનાં બાળકોનું આક્રંદને આખી કરુણ કથની કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હલબલાવી મૂકે જ! આત્મગૌરવમાં દૃઢપણે માનતાં પારુલબહેન આ ઘટના પરનાં કાવ્યમાં આત્મસન્માનની સાથે સાથે નિ:સહાયતા તેમ જ સામાજિક – રાજકીય વ્યવસ્થા પર આકરો વ્યંગ કરવાનું પણ ચૂક્યાં નથી

“ક્યાં સુધી કરગરે; દવા પીધી, બે જણે આખરે દવા પીધી. 
 ના ખૂણેખાંચરે ગયાં બન્ને, જઈ ખૂલા ખેતરે દવા પીધી. 
ભીંત ભાંગી પડી છે ઢગલો થઈ, છત અને  ઉંબરે દવા પીધી.
દ્વાર ભીડીને ગામ બેઠું’તું, એટલે પાદરે દવા પીધી.
પાંખ ગીરવે પડી’તી પક્ષીની, શું  કરે? પિંજરે દવા પીધી.
જાવ …. વિદ્યાના ધામ બંધાવો, આંધળા અક્ષરે દવા પીધી. 
સાક્ષરો પેનથી રડી લેશે, હાય … રે, હાય … રે દવા પીધી.” 

આમ તો પારુલે “જો મિલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લીયા … ને જો ના મિલા ઉસે ભૂલાતા ચલા ગયા” એ પંક્તિને પોતાનાં જીવનમાં વણી લીધી છે પણ તેઓ આપણી કુટુંબ, સમાજ, ધર્મને રાજ્ય વ્યવસ્થાને પોતાની જવાબદારીનું ભાન કરાવવાનું ચૂક્યાં નથી. પોતાના કાવ્ય “બંગલો માંગે સમારકામ”માં તેઓ લખે છે,

“લાગ્યો લાગ્યો લૂણો સરકાર કે બંગલો માંગે સમારકામ, 
 છેક પાયેથી પાંગરતો ક્ષાર કે બંગલો માંગે સમારકામ ……
 તમે  ક્યાં  લગ આ ગાબડાં  ઢાંકશો રે 
 તમે ક્યાં લગ આ થિગડાં મારશો રે,
 હવે પાયેથી કરજો ઉધ્ધાર, કે બંગલો માંગે સમારકામ.” 

આજે જ્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર સતત તરાપ મારવામાં આવી રહી છે ત્યારે પારુલની સ્વતંત્રતા વિષેની સમજ બહુ  જ સ્પષ્ટ છેઃ

“મન મુજબ મહોરી શકો છો, તો તમે આઝાદ છો,
 ચોકઠાં તોડી શકો છો, તો તમે આઝાદ છો. 
 જીભ મારી, શબ્દ  મારાં, હું ગમે તે કહી શકું
 આ બધું બોલી શકો છો, તો તમે આઝાદ છો. 
 હોય કાંટાળો ભલે પણ એક પીંછું મોરનું, 
 તાજમાં રોપી શકો છો, તો તમે આઝાદ છો. 
 રાજરાણી પદ ભૂલીને કાનજીના નામની 
 કામળી ઓઢી શકો છો, તો તમે આઝાદ છો. 
 હસ્તરેખાને વળોટી મન પડે તે સ્થાન પર,
 એકલા પહોંચી શકો છો, તો તમે આઝાદ છો.”

આ આઝાદીને આધારે જ પારુલે “શબવાહિની ગંગા”માં પોતે જે અનુભવ્યું તે લખ્યું. તેમની સમાજ સાથેની નિસ્બતને લોકો સમક્ષ બહુ ચોટદાર શબ્દોમાં મૂકી અને કવિતા દેશના લોકોની વ્યથાકથા બની ગઈ અને સચ્ચાઈને ન સહી શકનારી સત્તાની અસહિષ્ણુતાએ પારુલ ખખ્ખરને હાંસિયામાં  ધકેલી દેવાનો પ્રયત્ન આદર્યો, પણ પારુલે તો એમનાં નાનીમા સવિતાબહેનની સલાહ ગાંઠે બાંધેલી છે કે “એક વાત યાદ રાખજે કે જે ખમી ખાય છે ઈ જીવનમાં  ક્યારે ય દુ:ખી નો થાય. જેવી છો એવી ડાહી રે’જે, બેટા.” અને એટલે જ પારુલ ખખ્ખર માને છે કે, “જીવનમાં  કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. માટે જિંદગી સામે હાર ન માનવી.”

“છે તીર આરપાર પણ જવાબ આપવો નથી,
નથી સ્વીકારી હાર પણ જવાબ આપવો નથી. 
મલમ લગાવશું નહીં, આ ઘાવને ઉછેરીશું,
ટકી જશું  ધરાર પણ જવાબ આપવો નથી. 
જવાબ  આપીએ નહીં  એ સ્વયં જવાબ છે, 
જવાબ છે હજાર પણ જવાબ આપવો નથી. 
સમય જરૂર આવશે, સમય જવાબ આપશે,
ઘસીશું શબ્દ ધાર પણ જવાબ આપવો નથી. 
જો કે એક મારશું તો દસ ઊભા થશે એ રાવણો,
છે ભેટમાં કટાર પણ જવાબ આપવો નથી.”

પારુલબહેનની સંવેદના અને તેમની ધારદાર કલમ વધુ ચોટદાર બનશે પણ હાર તો નહીં જ માને એવું  માનવું  રહ્યું.

[June 26, 2021]

https://www.vibesofindia.com/gu/i-have-a-thousand-answers-but-i-wont-give-any-parul-khakhar/?fbclid=IwAR0MCNRWt0y85Ep83POqIU-LYINuSC3kKTY-2qxGY3nFBUxytXRHqOqlt_k

Loading

...102030...1,8341,8351,8361,837...1,8401,8501,860...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved