Opinion Magazine
Number of visits: 9570989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેંકોનાં રાષ્ટ્રીયકરણને દિવસે જ ખાનગીકરણનો વિરોધ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 July 2021

આજે 19 જુલાઈ. બેંકોનાં રાષ્ટ્રીયકરણનું બાવનમું વર્ષ. આ દિવસે ગુજરાતનાં બેન્ક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં બિલ્લા પહેરીને કામ કરવાનું નક્કી કર્યું છે. બેંકોનાં ખાનગીકરણને મુદ્દે અગાઉ બેન્કો હડતાળ પર જઈ ચૂકી છે, આ વખતે ખાનગીકરણની સરકારની નીતિના વિરોધમાં ટ્વિટર અભિયાન ચલાવવાની અને શહેરોમાં દેખાવો કરવાની વાત પણ છે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનની આટલી માંગણીઓ છે :

1. જાહેરક્ષેત્રની બેન્કોને સધ્ધર બનાવવાનું વિચારાય અને ખાનગીકરણની વાતો પડતી મૂકાય.

2. ડૂબેલાં નાણાંની વસૂલાત થાય અને લોન નહીં ભરનારનાં નામ જાહેર થાય.

3. લોન ભરવાનો ઇરાદો નથી રાખતા એમની સામે ફોજદારી રાહે કામ લેવાય.

4. થાપણોના વ્યાજ દરોમાં વધારો થાય અને સર્વિસ ચાર્જમાં ઘટાડો થાય.

5. સહકારી બેંકોની પુન:રચના કરી બેંકોનો પુનરોધ્ધાર કરાય અને ગ્રામીણ બેન્કોને સ્પોન્સર બેંકોમાં સમાવાય.

આમ તો આજને દિવસે ઇન્દિરા સરકારે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરેલું. એ ઉપરાંત 1980માં બીજી છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયેલું. 1990 સુધી ખાનગીકરણની વાત ન હતી. આમ ખાનગીકરણની હવા 1991માં ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ આવી એ પછી બંધાઈ છે. આ ભા.જ.પ. સરકારની જ વાત છે એવું નથી, પણ હાલની સરકારને ખાનગીકરણનું શૂળ ઉપડ્યું છે એટલે વિરોધ એનો થઈ રહ્યો છે. બેન્ક યુનિયનોને લાગી રહ્યું છે કે બેન્કોને મજબૂત કરીને અર્થવ્યવસ્થામાં તેજીની જવાબદારી સરકારે સોંપવાની જરૂર છે, એવે વખતે કેન્દ્ર સરકાર હાથ પાછો ખેંચી રહી છે. નાણાં મંત્રીએ બજેટમાં જ બેન્ક અને એલ.આઈ.સી.નાં ખાનગીકરણની જાહેરાત કરી છે ને સરકાર બેંકોમાંથી પોતાનો હિસ્સો વેચવા નીકળી છે. એ હિસ્સો કેટલો છે એનો ફોડ પડાયો નથી, પણ એટલું નક્કી છે કે બેન્કો વેચાયા પછી તેમાં ખાનગી કંપની કે માલિકના નફાનો જેટલો વિચાર થશે એટલો ગ્રાહકના કે કર્મચારીના હિતનો થવાનો નથી. આવો વિચાર થતો ન હતો એટલે તો રાષ્ટ્રીયકરણની જરૂર પડેલી ને હવે ખાનગીકરણ દ્વારા ફરી ગ્રાહક અને કર્મચારીના હિતને દાવ પર લગાવવાની વાત આવી છે, એટલે બેન્ક કર્મચારીઓ તેનો વિરોધ કરે એમાં નવાઈ નથી. 1991નાં આર્થિક સુધારાઓ પછી એ કહેવાતું રહ્યું છે કે સરકારનું કામ વ્યાપાર કરવાનું નથી. એ જ વાત હાલની સરકાર દોહરાવી રહી છે. સવાલ એ છે કે મોટા ઉપાડે થયેલું રાષ્ટ્રીયકરણ સરકારને હવે આકરું કેમ લાગે છે? રાષ્ટ્રીયકરણ નિષ્ફળ જવામાં બેન્કો કરતાં વધારે જવાબદાર અગાઉની સરકારો છે. સરકારોએ વોટ બેન્ક સાચવવામાં બેન્કોને મોટો ધોકો પહોંચાડ્યો છે. એ ધોકો પહોંચ્યો છે, દેવાં માફી દ્વારા. દેવાં માફીને કારણે બેંકોની સ્થિતિ નબળી પડી અને તેને બેઠી કરવા સરકારે જ પૂંજી નાખવી પડી. આ રીતે લાખો કરોડ રૂપિયા સરકારે બેંકોમાં નાખવા પડ્યા, પરિણામે બેન્કો તેને બોજારૂપ લાગવા માંડી. આ પાપ ખરેખર તો જે તે સરકારોનું છે. દેવાં માફી કરીને લોકોમાં વહાલી સરકાર થઈ અને બેંકોમાં પૈસા નાખવા પડે છે એમ કહીને બદનામી બેન્કોને માથે નાખી. એમાં પણ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં થયું એવું કે કેટલાક મોટા ખેડૂતો બેન્કના પૈસા દબાવીને અમીર થયા અને બેન્કો ગરીબ થઈ. નાના ખેડૂતોની દેવાં માફી તો કૈંકે ઠીક હતી, પણ એ દેવાં માફીની પછી તો પરંપરા ચાલુ થઈ. આવું થાય તો ભલભલી બેન્કોની હાલત કથળે એમાં નવાઈ નથી. આ ઓછું હોય તેમ મોટી પાર્ટીઓ ને કંપનીઓને મોટું ધિરાણ પણ કોઈ નેતા કે મંત્રીને ઇશારે અપાયું, એમાં બેન્ક અધિકારીઓ પણ ક્યાંક સંડોવાયા ને લોન પરત ન આવી. મોટા ઉદ્યોગપતિઓ ને બીજા કેટલાકે બેન્કોને નવડાવવાની જ ગણતરીઓ રાખી ને લોન ભરવાને બદલે વિદેશ ભાગી જવાનો શિરસ્તો પાડ્યો. બાકી  લોનની કડકમાં કડક વસૂલાત થવી જોઈતી હતી, પણ તેવું ન થયું અને લોન માંડવાળ કરવાનું ચાલ્યું. એને લીધે પણ બેંકોની હાલત કફોડી થઈ. આવું થાય તો દેખીતું છે કે સરકાર ખાનગીકરણનું શસ્ત્ર ઉગામી પોતાનો હાથ પાછો ખેંચે. ખરેખર તો સરકારે જવાબદારી સ્વીકારી, જવાબદારો સામે, લોનની વસૂલાત માટે રાક્ષસી તાકાત સાથે કામ લેવું જોઈએ. જો એમ નહીં થાય તો ખાનગીકરણ પછી પણ બેંકોની સમસ્યાઓ તો વધશે જ. ત્યારે શું સરકાર ફરી રાષ્ટ્રીયકરણ કરશે?

સરકારે એ સમજી લેવાની જરૂર છે કે ખાનગીકરણ તો કોઈ પણ ક્ષેત્રનો ઉપાય જ નથી. રાષ્ટ્રીયકરણને લીધે નાનો માણસ બેન્ક સુધી પહોંચ્યો. દલિતો, આદિવાસીઓ, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો લોન લઈ રોજીરોટી કમાતાં થયાં, એ ખાનગીકરણમાં બનવાનું છે? ખાનગીકરણમાં નફો જ સર્વોપરી હશે. બેંકોના કર્મચારીઓનું હિત જળવાશે એમ ભલે આજે કહેવાતું હોય, પણ ખાનગીકરણ પછી સૌથી પહેલું કામ કર્મચારીઓની છટણીનું થશે ને એનાથી બેકારીમાં જ વધારો થશે. એક તરફ નોકરી આપી શકાતી નથી, ત્યાં ખાનગીકરણ કરીને બેકારીને નોતરું આપવા જેવું છે, ખરું? વારુ, અત્યારે ખાનગી બેંકોનો કારભાર એવો નથી જ કે ખાનગીકરણનું સહેજે આકર્ષણ થાય. એ બેંકોમાં પણ કૌભાંડો થયાં જ છે. બધી જ બેન્કોએ સર્વિસ ચાર્જમાં બેફામ વધારો કરીને સાધારણ માણસના બેન્ક પ્રવેશને અઘરો બનાવ્યો છે. એમ કરવાથી ખોટ ભરપાઈ થતી હોય તો પણ, આંગળાં ચાટીને પેટ ભરાતું નથી તે સમજી લેવાનું રહે. જરૂર છે તે અસરકારક બેંકિંગની ને એ ખાનગીકરણથી જ શકય છે એવું ક્યાં ય લખેલું નથી.

સરકારે કોરોનાની આફતને પહોંચી વળવા આત્મનિર્ભર ભારતનું અભિયાન શરૂ કર્યું એની સમાંતરે  ખાનગીકરણના મણકા ફેરવવાનું પણ ચાલુ કર્યું. સરકાર બેન્કની જેમ જ બીજા જાહેર ક્ષેત્રોમાંથી પોતાનો હાથ ખેંચી લે, જેમ કે ઉડ્ડયન, પેટ્રોલિયમ વગેરેમાંથી, તો તે આત્મનિર્ભર થઈ શકે એમ છે? ઉદાહરણ તરીકે તેણે એર ઈન્ડિયા વેચવા કાઢ્યું છે, પણ કોઈ ખરીદનાર ન હોય તો? ધારો કે કોઈ વિદેશી કંપની એ ખરીદે તો એથી ભારત આત્મનિર્ભર બનશે? આજે ભારત શસ્ત્રો વિદેશ પાસેથી ખરીદે છે, તેને બદલે વિદેશી કંપનીને અહીં શસ્ત્રોનું ઉત્પાદન કરવા તેડાય તો તે ભારતમાંથી ખરીદશે એટલું જ, પણ તેને બનાવનાર કંપની ભારતીય નહીં હોય, તો એમાં આત્મનિર્ભરતા ક્યાં આવી? આવું જ બેન્ક, પેટ્રોલ કે અન્ય કોઈ ક્ષેત્ર માટે કહી શકાય. એટલે ખાનગીકરણમાં આત્મનિર્ભરતાનો હેતુ સચવાશે જ એવું કહી શકાય એમ નથી. સીધી વાત એ છે કે મોટાં ક્ષેત્રોનું ખાનગીકરણ વિદેશી કંપનીઓ એને ખરીદે નહીં ત્યાં સુધી મુશ્કેલ છે અને ધારો કે કોઈ ખરીદે તો જે ઉત્પાદન થશે એ શું સ્વદેશી હશે? એટલે છેવટે તો વિદેશી રોકાણ પર જ નિભવાનું આવે. ટૂંકમાં, હાલના સંજોગોમાં ખાનગીકરણ, ભારતમાં વિદેશી રોકાણ ન થાય ત્યાં સુધી શક્ય લાગતું નથી.

રિઝર્વ બેન્ક, બેન્કોને નાણાની તરલતા રહે એ માટે રેપોરેટ ઘટાડે છે, જેથી ધિરાણ વધે, પણ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પ્રવર્તતી મંદીને કારણે લોનનો ઉપાડ ઘટ્યો છે. એને કારણે બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજ દરમાં પણ ઘટાડો થયો છે. જો આવક જ ઓછી હોય તો લોન કે ડિપોઝિટ બંનેમાં તકલીફ વધે જ.  આ ધિરાણ અંગે પણ ચોક્કસ નીતિ ઘડવાની જરૂર છે. મોટી લોન પરત આવતી ન હોય ત્યારે વધુને વધુ ધિરાણ જોખમો જ વધારે કે બીજું કૈં? એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટ્સના ટારગેટ્સ અપાતાં, એ વાત હવે ધિરાણના ટારગેટ્સ પર આવી છે. એમાં સૌથી વધુ અન્યાય સિનિયર્સને થયો છે. દૂર જવાની જરૂર નથી, 10 વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ લગભગ અડધું થઈ ગયું છે. 2011માં સરકારી બેંકોમાં 9.75 ટકા વ્યાજ મળતું હતું તે 2021માં 5.5 ટકા થઈ ગયું. જે વૃદ્ધો વ્યાજ પર નભતા હતા એમની વ્યાજની આવકમાં 45 ટકાનો ઘટાડો થયો છે ને પેટ્રોલ-ડીઝલથી માંડીને બીજી તમામ જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જ્યાં 100 રૂપિયા મળતા હતા ત્યાં આવક 55 થઈ છે ને ખર્ચ 140 રૂપિયા થઈ ગયો છે. એમાં કોરોનાને નામે સિનિયર્સ જોડે છેતરપિંડી વધી છે. રેલવેમાં તમામ વર્ગોમાં, ટૂંકા કે લાંબાં અંતરના ભાડાંમાં વધારો થયો છે. પ્લેટફોર્મ ટિકિટના 10ના 30 રૂપિયા થઈ ગયા છે. શતાબ્દી કે રાજધાની જેવી ટ્રેનોમાં કોરોનાને નામે ધાબળા, ઓશિકા કે લંચ-ડિનરની સગવડો બંધ કરાઈ છે. આ સગવડો ઘટી હોય તો ભાડું ઘટવું જોઈએ, તેને બદલે વધ્યું છે. આ વધારો લોકો ભીડ ન કરે એટલે થયો છે. મુસાફરો આવે નહીં તો રેલવે ખોટ કરે ને આવે તો તેની સગવડ ઘટાડીને લૂંટવાના? આ કયા પ્રકારની માનવતા છે? સિનિયર્સને રેલવેમાં 40 ટકા કન્સેશન ભાડાંમાં અપાતું હતું તે બંધ થયું છે ને બેન્કોએ ડિપોઝિટ રેટ્સ ઘટાડતાં આવક ઘટી છે. આ ગંભીર ને કરુણ પરિસ્થિતિ છે. એવામાં સરકાર ખાનગીકરણને નામે બેન્કો ને બીજા ક્ષેત્રોમાંથી હાથ ખેંચી રહી છે તે કોઈ રીતે પ્રજાના હિતમાં નથી. સરકાર કોરોનાને નામે નફાખોર ને નિર્દયી વેપારીની જેમ વર્તી રહી છે, એમાં પ્રજાની આવરદા તો ઘટી જ છે, પણ સરકાર પણ કેટલું ખેંચશે તેની ચિંતા રહે છે. ઇચ્છીએ કે સરકાર માનવીય અભિગમ દાખવે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જુલાઈ 2021

Loading

જેવા સાથે તેવા થવું

રમેશ ઓઝા|Opinion - Opinion|18 July 2021

આ કોલમમાં આ પહેલાના લેખમાં મેં જે વિવેચન કર્યું હતું એને ક્રિસ્ટોફ જૅફફરલોટ ‘થિયરી ઑફ સ્ટીગમેટાઈઝેશન એન્ડ ઍમ્યુલેશન’ તરીકે ઓળખાવે છે. આપણે તો બહુ ભલા છીએ, પણ બીજા નઠારા છે તેનું શું? આપણો ઇતિહાસ અને પરંપરા ભલમનસાઈનાં છે, પરંતુ બીજાઓનો ઇતિહાસ અને પરંપરા નફ્ફટાઈનાં છે તેનું શું? આપણે ખાનદાન છીએ પણ બીજા નીચ છે તેનું શું? આપણે દરેક રીતે કલંકમુક્ત છીએ, પણ સામેવાળા દરેક પ્રકારના કલંક (સ્ટીગમા) ધરાવે છે ત્યારે આપણે બાપડાએ શું કરવું? ક્યાં જવું? કેમ જીવવું?

તેમની દૃષ્ટિએ આનો એક માત્ર ઉપાય છે અનુકરણ નકલ (એમ્યુલેશન) એટલે કે તેમના જેવા થવું. જેવા સાથે તેવા થવું. જો તે શઠ છે તો શઠ થવું. નીચ છે તો નીચ થવું. હિંસક છે તો હિંસક થવું. શિવાજી મહારાજે તેમના હિંદુ સિપાઈઓને મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓ સાથે નીચ વ્યવહાર કરવાની છૂટ ન આપી એ વાતનો તો રોષ છે આપણા મહાન સાવરકરને! આપણે આપણાપણું છોડવું અને બીજાનું બીજાપણું અથવા જેવાનું જેવાપણું અપનાવવું. માટે જૅફ્ફરલોટ તેને અનુકરણ (એમ્યુલેશન) તરીકે ઓળખાવે છે. આનો અર્થ એ થયો કે હિંદુઓએ માના ધાવણમાંથી જે સંસ્કાર મળ્યા છે એ છોડવા. વેદોમાં, ઉપનિષદોમાં, સાંખ્યસૂત્રોમાં, યોગસૂત્રોમાં, જૈનદર્શનમાં, બૌદ્ધદર્શનમાં, મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનોમાં, મહાકાવ્યોમાં, કાવ્યશાસ્ત્રમાં, બીજાં ઓછાં જાણીતા દર્શનોમાં, આધુનિક સંતોનાં વચનોમાં, ગ્રંથો અને પરંપરાઓમાં જે કાંઈ માણસાઈની વાત કહેવાઈ છે તેને છોડવી.

આનો અર્થ એવો પણ નથી કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અને પરંપરામાં કલંકિત અથવા શરમાવું પડે એવું કાંઈ જ નથી. વર્ણવ્યવસ્થા અને દલિતો સાથે અછૂતપણાનો વ્યવહાર આપણું કલંક છે. સ્ત્રી સાથે કરવામાં આવેલો અને હજુ પણ કરવામાં આવતો અન્યાય આપણું કલંક છે. આવાં બીજાં પણ અનેક કલંક છે. સાચા હિન્દુએ આપણાં કલંકિત ઇતિહાસ અને પરંપરાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ, શરમ અનુભવવી જોઈએ અને બને એટલી ત્વરાએ કલંકિત પ્રથાને દૂર કરવી જોઈએ. હકીકત એ પણ છે કે આ જગતમાં કોઈ પ્રજા, કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ સભ્યતા કલંકમુક્ત નથી. દરેકનાં પોતપોતાનાં કલંક છે અને પોતપોતાનાં પાપ છે અને દરેકે તેનો સ્વીકાર કરીને શરમાવું જોઈએ. જગતની પ્રજા જ્યારે પોતપોતાનાં કલંકોનો સ્વીકાર કરતી થઈ જશે અને શરમ અનુભવીને તેને છોડવા માંડશે ત્યારે દુનિયામાં રામરાજ્ય અવતરશે.

આમ છતાં ય હું આગ્રહપૂર્વક કહું છું કે દલિતોએ અને અન્યાયનો ભોગ બનેલા અન્ય લોકોએ એ વાત સ્વીકારવી જોઈએ કે એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે. હું જ્યારે ભારતીય શબ્દ વાપરું છું ત્યારે તેમાં હિંદુઓ, બૌદ્ધો, જૈનો, શીખો, સૂફીઓએ વિકસાવેલ ભારતીય ઇસ્લામને માનનારા મુસલમાનો, પ્રકૃતિપૂજા કરનારા આદિવાસીઓ અને નાસ્તિકોનો સમાવેશ થાય છે. તેમણે મળીને છેલ્લા પાંચ હજાર વર્ષ દરમ્યાન જે પરંપરા વિકસાવી છે તે સહિયારી ભારતીય પરંપરા છે. એમાં શરમાવાપણું જરૂર છે, પણ ગર્વ લેવાપણું ઘણું વધારે છે. જો સાર કાઢવામાં આવે તો આગળ કહ્યું એમ એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે.

તો સવાલ એ છે કે આપણી સહિયારી પરંપરામાં (જેમાં હિંદુઓનો પ્રભાવ અને હિસ્સો ઘણો મોટો છે.) જે માણસાઈની વાત કહેવાઈ છે તેને પોતીકી ગણીને તેના વારસદાર તરીકે આપણે ગર્વ લેવો જોઈએ અને તેને હજુ વધુ સમૃદ્ધ કરવી જોઈએ કે પછી તેને છોડવી જોઈએ? સાચા હિંદુએ શું કરવું જોઈએ? તમે મને સલાહ આપો તો શું આપો? તમારે તમારાં સંતાનને સલાહ આપવી હોય તો શું સલાહ આપો? તમે પોતે કયો માર્ગ પસંદ કરો અથવા કર્યો છે? અહીંથી આગળ વધતા પહેલાં ક્ષણભર થોભીને વિચારી લો કે તમે તમારાં સંતાનને શી સલાહ આપીને જશો? માના ધાવણ જેવી, આપણી પોતાની, ગળથૂથીમાં મળેલી માણસાઈની પરંપરાને સ્વીકારવાની સલાહ આપીને જશો કે પછી જેવા સાથે તેવા થવા માટે તેને છોડવાની? વિચારો. સાચા ટકોરાબંધ હિન્દુએ શું કરવું જોઈએ?

હિન્દુત્વવાદીઓ કહે છે કે આપણી પરંપરામાં જે માણસાઈનો અતિરેક છે એ આપણી સમસ્યા છે. વિનાયક દામોદર સાવરકરે આમ અનેકવાર અનેક ઠેકાણે કહ્યું છે અને તેઓ જ હિન્દુત્વવાદીઓના એક માત્ર વિચારક છે. કોઈને પ્રમાણની જરૂર હોય તો મરાઠી ભાષામાં સમગ્ર સાવરકર ૧૦ ખંડમાં ઉપલબ્ધ છે એ જોઈ જાય. એમાંનાં કેટલાંક લખાણ ગુજરાતીમાં અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ પણ હશે. પરંતુ બિચારા સાવરકર પણ ક્યાં ઓછા કમનસીબ માણસ છે! તેમના વિરોધીઓએ પણ એક વાત સ્વીકારવી જોઈએ કે તેઓ તેમનો અભિપ્રાય સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. ઇતિહાસ અને પ્રમાણો સાથે ચેડાં કરશે અને ‘કાલ્પનિક તથ્યો’ પેદા કરશે, પણ અભિપ્રાય શરમાયા વિના આપશે. સ્ત્રીઓને તેમના વિચારો સાંભળીને ઘૃણા થાય એવા વિચારો પણ તેમણે શરમાયા વિના હિંમતપૂર્વક વ્યક્ત કર્યા છે. પણ સાવરકર બિચારા કમનસીબ માણસ છે. તેમના અનુયાયીઓ તેમની વાત સામી છાતીએ મુખરપણે કહેતા નથી, પણ એ જ વાત છાને ખૂણે કહે છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો સાવરકર આજે હયાત હોત તો તેમણે ‘શબવાહિની ગંગા’ નામની બહુચર્ચિત કવિતાના રચયિતા પારુલબહેન ખખ્ખરની ટીકા પોતાના નામ સાથે, બિન્ધાસ્તપણે, સ્ત્રીઓના મનમાં ઘૃણા પેદા થાય એવી ભાષામાં કરી હોત, ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક વિષ્ણુ પંડ્યાની માફક નનામો લેખ લખીને ગોળગોળ ભાષામાં ન કરી હોત. જિંદગીમાં અનેક વાર માફી માગનારા સાવરકર કમ સે કમ અભિપ્રાય તો સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. બીજી બાજુ પારુલબહેનને છોડવામાં પણ નહોતાં આવ્યાં. અજાણ્યા હિન્દુત્વવાદી ટ્રોલ્સે પારૂલબહેનને અશ્લીલ ગાળો આપીને છાને ખૂણે કહી દીધું હતું કે માણસાઈનો અતિરેક ત્યાજ્ય છે. બહુ માણસાઈના જાપ જપશો તો જેવા સાથે તેવા નહીં થવાય.

બોલો શું કરવું જોઈએ? આપણી પોતાની માતાનાં ધાવણને વફાદાર રહેવું જોઈએ કે પછી જેવા સાથે તેવા થવું જોઈએ?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જુલાઈ 2021

Loading

વસ્તી નિયંત્રણનાં રાજકારણ કરતાં વૈશ્વિક વસ્તી વિસ્ફોટનો તાર્કિક ઉકેલ લાવવો વધુ જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 July 2021

એક તરફ વસ્તી નિયંત્રણની નીતિ સાથે કૌટુંબિક અધિકારનું દમન અને લઘુમતી-બહુમતીનાં રાજકારણ જેવા બે મોટા પ્રશ્નો જોડાયેલાં છે. બીજી તરફ વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો પ્રતિ વ્યક્તિએ વધતી કાર્બન ફૂટપ્રિન્ટ, માનવ પર્યાવરણનું અસંતુલન, કુદરતી સ્રોતનું પાંખા થતા જેવું જેવી સમસ્યાઓ પણ છે.

આપણા દેશના વસ્તી વિસ્ફોટ વિશે આપણે નથી જાણતા એવું નથી. પડશે એવાં દેવાશે વાળા મિજાજ સાથે બધું ચાલ્યા કરે છે. સૂક્ષ્મ સમસ્યાઓથી માંડીને તોતિંગ પ્રશ્નો બધું ક્યાંક કોઇ રીતે વસ્તી વધારા સાથે સંકળાય છે. ભારત, ૧૪૦ કરોડના આંકડા સાથે સૌથી વધુ વસ્તી ધરાવતો વિશ્વનો બીજો દેશ છે. કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની કવાયત શરૂ કરી છે. ૨૦૧૯માં ભા.જ.પા.ના ત્રણ સાંસદોએ રાજ્ય સભામાં વસ્તી નિયંત્રણ માટે પ્રાઇવેટ મેમ્બર બિલની વાત કરી હતી અને તે બિલ ફરી ચર્ચામાં છે. આ બિલ અનુસાર બેથી વધુ બાળકો ધરાવતાં પરિવારો પર નિયંત્રણો લાદવાની જોગવાઇ કરવી તથા એક જ બાળક હોય તેવાં પરિવારને વધુ સરકારી સુવિધાઓ આપવાની વાત કરાઇ છે.  આ બિલ સુબ્રમણ્મ સ્વામી, હરનથસિંહ યાદવ અને અનિલ અગ્રવાલે રજૂ કર્યું હતું.

આ બિલની પ્રાથમિક વિગતોથી તો તમે પણ વાકેફ હશો, જેમ કે બેથી વધુ બાળક હોય તો મતાધિકાર છીનવી લેવો, તેઓ પોતે કોઇ ચૂંટણી ન લડી શકે કે કોઇ સંસ્થામાં નામ ન જોડી શકે. વળી સરકારી નોકરી હોય અને ત્રણથી વધુ બાળક હોય તો તેમને સબસિડી ન આપવી વગેરે, નોકરીમાં પણ અમૂક ગ્રેડમાં જ કામ મળી શકે જેવી વાતો આ બિલમાં કરાઇ છે. વસ્તી નિયંત્રણની નીતિને પોતાના રાજ્યમાં લાગુ કરવા અંગે કેટલીક રાજ્ય સરકારો ગંભીરતાથી વિચારી રહી છે. ઉત્તર પ્રદેશ, જેની વસ્તી બ્રાઝીલ કરતાં ય વધારે છે ત્યાં આ લેજિસ્લેશન ડ્રાફ્ટની જાહેરાત કરાઇ અને જનતાની સલાહ માંગી છે. વળી નવી જનસંખ્યા નીતિનું પણ અહીં એલાન કરાયું. ભા.જ.પ.નું શાસન ધરાવતા બીજા રાજ્ય આસામે પણ આ નીતિમાં રસ દાખવ્યો છે તો ગુજરાત રાજ્ય સરકારના મતે પણ જરૂર પડે આ નીતિ અનુસરવા માટે તેઓ તૈયાર છે. ભા.જ.પ.નું જ્યાં શાસન છે ત્યાં આ નીતિ લાગુ કરવા પાછળ મુસલમાનોની વસ્તી પર એક યા બીજી રીતે કાબૂ કરવાની ગણતરી છે તેવું પણ કહેવાઇ રહ્યું છે. આસામ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ ત્રણેય રાજ્યોમાં મુસલમાનોની વસ્તી મોટી છે. આસામના હિમન્તા બિસ્વા સર્માએ તો એવી ટિપ્પણી પણ કરી હતી કે અમારી સરકાર બે મહિના જ નાની છે અને અમે પહેલાં ગૌ રક્ષા કાયદો લાગુ કરીશું પછી બે બાળકોની નીતિ અને ત્યાર પછી લવ જિહાદને લગતો કાયદો લાગુ કરીશું.

તાજેતરમાં એક લેખમાં રાજ મોહન ગાંધીએ જે ટિપ્પણી કરી તે વિચારતા કરી દે તેવી ચોક્કસ છે. તેમણે જે લખ્યું છે તેનો અર્થ કંઇક અંશે આવો છે, ‘ભારતમાં એવા લોકો પણ છે જેમને સ્વતંત્ર સંગ્રામનો ગર્વ છે, બંધારણનું મહત્ત્વ સમજે છે અને માને છે લઘુમતીને દેશની બહુમતીનું રક્ષણ મળે તે સ્વાભાવિક છે; પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી લઘુમતીને અપાતું રક્ષણ – લાડ બની ગયું છે. તેમને લઘુમતી નબળી સ્થિતિમાં છે તે સ્વીકારવું નથી, પછી ભલેને બધા નેશનલ સરવે અનુસાર મુસલમાનો દલિતો કરતાં પણ બદતર હાલતમાં જીવતાં હોય.’

આપણે ત્યાં વ્યવસ્થા અને સ્રોતને મામલે બધું અસ્તવ્યસ્ત છે. વસ્તી એટલી છે કે બધું થાળે પડતાં કે સમાન સ્તરે લાવતાં લાંબો સમય લાગશે. ચીનમાં ૧૯૮૦માં એક જ બાળકની નીતિ લાગુ કરાઇ હતી ૨૦૧૬ સુધી તેનો કડક અમલ કરાયો. ૨૦૨૧માં ચીને ત્રણ બાળકની નીતિ જાહેર કરી. ચીનમાં વૃદ્ધોની સંખ્યા એટલી વધી ગઇ કે વસ્તીનું માળખું અસંતુલિત થઇ ગયું અને આખરે માનવ સંસાધનની જરૂરિયાતોને ગણતરીમાં લઇ વસ્તી વધારા પર ધ્યાન આપવાનું નક્કી કરાયું છે. જો કે ચીનની સ્ટેટ ન્યુઝ એજન્સી ઝિન્હુઆના એક ઓનલાઇન સરવેમાં ભાગ લેનારાઓમાંથી માત્ર ૧,૪૪૩ લોકો જ ત્રીજાં બાળકને જન્મ આપવા તૈયાર છે.

આગામી વસ્તી ઇન્ડેક્સમાં ભારત વસ્તીને મામલે ચીનને પાછળ પાડી દે તેવી પૂરી શક્યતાઓ છે ત્યારે વિવિધ ભારતીય રાજ્યોમાં બે બાળકોની આ નીતિ અંગે ઘણા સવાલો પણ થયા છે.  નેશનલ ફેમિલી હેલ્થ સરવે ૨૦૨૦ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિ સ્ત્રીએ જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યામાં ઘટાડો થયો છે. આમ તો ભારતના ૧૨ રાજ્યોમાં એક યા બીજી રીતે બે બાળકોની નીતિ લાગુ કરી જ દેવાઇ છે અને ચાર રાજ્યોએ તે પાછી પણ ખેંચી લીધી કારણ કે કોઇ દેખીતો ફેર ન પડ્યો. અહીં કેમ્પેનર્સે કેન્દ્રને શિક્ષણ અને વસ્તી નિયંત્રણના બીજા માર્ગ અંગેની જાગૃતિ પર ધ્યાન આપવા અરજ કરી. રાજસ્થાનમાં પણ બેથી વધુ બાળક ધરાવનારાઓને સરકારી નોકરી નથી મળી શકતી. તો મધ્ય પ્રદેશમાં ૨૦૦૧થી બે બાળકની નીતિ લાગુ કરાઇ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા જેવાં રાજ્યમાં એક યા બીજી રીતે આ નીતિનો અમુક હિસ્સો લાગુ કરાયેલો છે.

એક તરફ વસ્તી નિયંત્રણની નીતિ સાથે કૌટુંબિક અધિકારનું દમન અને લઘુમતી-બહુમતીનાં રાજકારણ જેવા બે મોટા પ્રશ્નો જોડાયેલા છે. બીજી તરફ વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો પ્રતિ વ્યક્તિએ વધતી કાર્બન ફૂટપ્રિન્ટ, માનવ પર્યાવરણનું અસંતુલન, કુદરતી સ્રોતનું પાંખાં થતાં જેવું જેવી સમસ્યાઓ પણ છે. વસ્તીનું નિયંત્રણ વૈચારિક હોવું જોઇએ રાજકીય ઇરાદાઓ સાથે જો તે લાગુ કરાય તો તેની કોઇ સારી અસરો વર્તાવાની નથી.

બાય ધી વેઃ

વસ્તી વધારો દેશની નહીં, વૈશ્વિક સમસ્યા છે. આજે ઘણાં યુગલો બાળકોને જન્મ આપવાનું ટાળે છે તેની પાછળ મોડી શરૂ થયેલી જિંદગીથી માંડીને, કરિયર, ગીચતા, વધી રહેલા સામાજિક પ્રશ્નો જેવું કેટલું ય કારણભૂત હોય છે. જિંદગીની ઘટમાળ તો ચાલતી રહેશે પણ નીતિઓના રાજકારણની આરપાર જે વાસ્તવિકતા છે તે જોવાનું આપણે ન ચૂકવું જોઇએ. કોઇ ધર્મ કે જાતિના અપમાન માટે આપણે નીતિઓને આગળ ધરીએ એ આપણા જેવા સુસંકૃત રાષ્ટ્રને કેટલું શોભે? ફરી ભાર મૂકીને કહીશ કે વસ્તી વધારો વૈશ્વિક સમસ્યા છે અને તે પૃથ્વી માટે મુશ્કેલી ખડી કરે છે અને માટે વૈજ્ઞાનિક તથા તાર્કિક કારણોને ધ્યાનમાં રાખી વ્યક્તિગત નિર્ણયો લેવાય તે જરૂરી છે. કૌટુંબિક અધિકારો પર રાજકારણની તરાપ ન હોઇ શકે, હા, તર્ક અને વ્યવસ્થાને મહત્ત્વ આપવું રહ્યું. બીજું એક, બાય ધી વે, એ કે (આમ તો અંગત ટિપ્પણી હતી પણ આ લેખ દરમિયાન યાદ આવી) મને એક વ્યક્તિએ એવી સલાહ આપી કે તમારે બાળકને જન્મ આપવો જોઇએ કારણ કે દેશમાં એક હિંદુ વધશે, આ સાંભળી મારે ગુસ્સો કરવો કે હસી પડવું એ મને સમજાયું નહોતું અને મેં સામે જય શ્રીરામ કહીને વાત અટકાવી દીધી હતી. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  18 જુલાઈ 2021

Loading

...102030...1,8091,8101,8111,812...1,8201,8301,840...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved