Opinion Magazine
Number of visits: 9674756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ સમજવા માગનારે આ બન્ને નૉંધો અવશ્ય વાંચવી :

બાબુ સુથાર / સુમન શાહ|Opinion - Literature|8 September 2021

મિત્ર બાબુ સુથારે એમના પેજ પર આધુનિકતાવાદ પર પોસ્ટ મૂકી છે, એ, અને એમાં પૂર્તિ મેં જે કહ્યું છે એ, મૂકું છું :

બાબુ સુથાર :

ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ પર કોઈએ સાંસ્કૃતિક અભ્યાસ કરવો જોઈએ. જો એવું કંઈક થાય તો એ જમાનો કેવો હતો એનો આજની પેઢીને ખ્યાલ આવે.

૧. સૌ પહેલાં તો એ જમાનામાં ઘણા બધા પ્રોફેસરો એમના બગલથેલામાં લેટેસ્ટ આવેલું પુસ્તક લઈને ફરતા અને એકબીજાને બતાવતા. સુરેશ જોષી કોઈ નવું પુસ્તક આવે તો અમારા જેવાને અને કદાચ એમના બીજા મિત્રોને પણ બતાવતા. શિરીષ પંચાલ પણ બાકાત ન હતા. જ્યારે એ પાદરા કોલેજમાં ભણાવતા હતા ત્યારે એમણે ત્યાં Phenomenological Movementનો ઇતિહાસ વર્ણવતાં બે પુસ્તકો ખરીદેલાં. જો મારી ભૂલ ન થતી હોય તો એ જ જમાનામાં એ આવરબાખના Mimesis પુસ્તકની પણ વાત કરતા અને નવ્ય વિવેચનના ભાગ રૂપે Understanding Poetry અને Understanding Fiction મોટે ભાગે ટેબલ પર રાખતા. પ્રમોદ પટેલ ત્યારે વિદ્યાનગરમાં હતા. મેં એમનું અંગત પુસ્તકાલય જોયું છે. એ પણ ત્યારે સુઝાન લેંગર અને કેસિરેર વાંચતા અને એમાંના કેટલાક લેખોનો અનુવાદ કરતા. સુમન શાહ પણ જોનાથન કલર અને બીજાં સંરચનાવાદી પુસ્તકોની હોંશે હોંશે વાત કરતા. ટોપીવાળા દાહોદ કોલેજમાં હતા ત્યારે એમણે North-Holland પ્રકાશન સંસ્થાનાં ભાષાશાસ્ત્ર પરનાં લગભગ બધાં જ પુસ્તકો ખરીદેલાં. એટલું જ નહીં, એમણે ત્યારે, જો મારી ભૂલ ન થતી હોય તો Lingua સામયિકનું લવાજમ પણ ભરેલું. સુ.જો. એક બાજુ રૂપરચનાવાદનો મહિમા કરતા અને બીજી બાજુ વિદેશી અને સ્વદેશી કૃતિઓનો પણ આસ્વાદ કરાવતા. ત્યારે ટોપીવાળા તદ્દન આધુનિકતાવાદી દૃષ્ટિએ ગુજરાતી કવિતાઓનું અને ગુજરાતી કવિઓનું વિશ્લેષણ કરતા. હું માનું છું કે ટોપીવાળાનું એ પ્રદાન ભૂલી શકાય એમ નથી. નીતિન મહેતા જ્યારે પણ મુંબઈથી વડોદરા આવતા ત્યારે થેલામાં બેચાર પુસ્તકો નાખી લાવતા. મને હજી યાદ છે એમાંનું એક પુસ્તક: Semiotics of Poetry.

૨. જેમ આજે છે એમ ત્યારે પણ આધુનિકતાવાદને વત્તે ઓછે વરેલા મોટા ભાગના સાહિત્યકારોનાં પોતાનાં પુસ્તકાલયો હતાં. પણ, એમાં વિશ્વસાહિત્ય પણ ઘણું જોવા મળતું. મેં સુ.જો.નું પુસ્તકાલય જોયું છે. ભૂપેન ખખ્ખરનું પણ થોડુંક ગુલામ શેખનું પણ. રસિક શાહના પુસ્તકાલયમાં ફિનોમીનોલોજી અને ગણિત તથા ફ્રોઈડ જોવા મળતા. જયંત પારેખના પુસ્તકાલયમાં સર્જનાત્મક સાહિત્ય ખૂબ જોવા મળતું. હું કોઈ પુસ્તકને અડકતો તો એ તરત જ એ પુસ્તક કાઢીને પોતાના હાથમાં રાખતા અને પછી એની વાત કરતા. હું એ રીતે રોબ્બ ગ્રિયે સહિતના ઘણા લેખકોને ત્યાં મળેલો. એવું જ અંગત પુસ્તકાલય પ્રબોધ પરીખનું અને અરુણ અડાલજાનું પણ હતું. બન્નેના ત્યાં નીત્શે, સાર્ત, ફિનોમીનોલોજી. આંગળી અડકાડો ત્યાં યુરોપ અને અમેરિકા. એવું કરમશીભાઈનું પણ પુસ્તકાલય હતું. વીરચંદ ધરમશીનું પુસ્તકાલય એક સંસ્થા જેવું છે. એમાં એટલું બધું ભરેલું છે કે જો કોઈએ એ બધાનું કેટલોગ તૈયાર કરવું હોય તો એને કદાચ છ મહિના પણ ઓછા પડે. અમૃત ગંગરનું પુસ્તકાલય પણ ત્યારે થોડુંક જોયેલું.

૩. આધુનિકતાવાદના સમયમાં વિવાદો પણ કેવા થતા હતા! સુ.જો.એ લખેલું કે નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે. રઘુવીર ચૌધરીએ લખેલું કે સુ.જો.એ ટૂંકી વાર્તા મારી નાખી છે. ઉમાશંકરે સુ.જો.ના 'ગૃહપ્રવેશ'ની સમીક્ષા પ્રગટ કરેલી. એનું શીર્ષક હતું : આમ ગૃહપ્રવેશ ન થાય. જવાબમાં સુ.જો.એ કહેલું : તો પણ મારો ગૃહપ્રવેશ થયો. ઉમાશંકરે લખેલું કે વસંત પંચમી ક્યારે આવીને ક્યારે ગઈ એની ખબર સરખી ના રહી. સુ.જો.એ, અલબત્ત અંગત વાતચીતમાં કહેલું કે દિલ્હીના ધક્કા ઓછા ખાઓ તો વસંત પંચમીની ખબર પડે. સુમન શાહ અને ભારતી મોદી ચોમ્સ્કીના સર્જનાત્મકતાના વિચારની બાબતમાં ઝગડેલાં. એક જમાનામાં સુમન શાહ અને ટોપીવાળાનું નામ સાથે બોલાતું. બન્ને અનુસંરચનાવાદ સાથે જોડાયેલા. પાછળથી બન્ને વચ્ચે મતભેદો ઊભા થયા અને બન્ને મિત્રો પોતપોતાના માર્ગે ગયા. ટોપીવાળા pluralism તરફ વળ્યા. પછી શું થયું એની ખબર નથી. જો મારી ભૂલ ન થતી હોય તો લા.ઠા. અને રઘુવીરભાઈ પણ ઝગડેલા. વાત મારામારી સુધી આવી ગયેલી. આ બધી નિંદાકુથલી નથી. આ બધું આધુનિકતાવાદના માહોલમાં બનેલું. બધા સાહિત્ય માટે લડતા.

૪. સુ.જો. અને ભાયાણી વચ્ચે પણ ઘણી દલીલો થતી. સુ.જો. કોઈ પશ્ચિમના ચિન્તકની વાત કરતા તો ભાયાણી એ જ ચિન્તકના બે ચાર ખંડ પસંદ કરીને એમનો અનુવાદ કરતા. ભાયાણી ભારતીય પરંપરાની વાત કરતા. દિગીશ મહેતા પણ ભારતીયતાની વાત કરતા. શિરીષ પંચાલ પાછળથી ભાયાણીના પક્ષમાં ગયા. તાજેતરમાં એમણે ભારતીય કથન પરંપરા પર જે પુસ્તકોનું સંપાદન કર્યું છે એના મૂળમાં ભાયાણી પડેલા છે.

૫. ત્યારે સુ.જો.ની સામે રે મઠવાળા પણ હતા. રે મઠનો કોઈ સાહિત્યકાર સુ.જો.ને ત્યાં જાય અને ખાય તો રે મઠમાં ચર્ચાનો વિષય બનતો. રે મઠનો પોતાનો ઇતિહાસ છે. રે મઠને સુ.જો. સામે વાંધો પણ પાછા એ લોકો સુ.જો.ને માન આપતા. મધુ રાયે ત્યારે આકંઠ શરૂ કરેલું., સુ.જો. મધુ રાયને અભણ સાહિત્યકાર કહેતા. પણ મધુ રાયને એમના માટે ખૂબ માન.

(બાકી)

આ તો યાદ આવી ગયું. બધું ટુકડે ટુકડે. હજી સુ.જો.ની સામે પડેલા ઘણા મહારથીઓની વાત બાકી છે ..

ટૂંકામાં, આ વિષય પર એક ગ્રંથ લખી શકાય. ફ્રાન્સમાં તથા અમેરિકામાં પણ આવાં પુસ્તકો લખાય છે. એની તુલનામાં આજે શું થઈ રહ્યું છે એની ખબર નથી. કોઈક એ વિશે વાત કરે ત્યારે ખબર પડે.

+++++

સુમન શાહ :

પ્રિય બાબુ :

આજની તારી આધુનિકતાવાદ પરની પોસ્ટ વાંચીને આનન્દ થયો.

તેં તો મુખ્યત્વે મિત્રોનાં પુસ્તકાલયોની વાત કરી, નવ્યવિવેચન સંરચનાવાદ વગેરે વાદવિચારની વાત કરી. પણ એ કાળે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાને નામે શું થયું એની ઉતાવળી, જેમ સૂઝે એમ, એક યાદી આપીને તારાં નિરીક્ષણોમાં ઉમેરણ કરું :

૧ : એક વાર આધુનિકતા વિશેની એક સભામાં હું હીરાબેન પાઠકની બાજુમાં બેઠેલો. એમણે મને વ્હાલથી પૂછેલું : સુમન, આ બધું શું છે? : મે કહેલું, તોફાન. પરમ્પરાગતો દિગ્મૂઢ હતા. તે દિવસથી હું એ સમગ્ર સમયગાળાને સાહિત્યક્ષેત્રનું એક આવકાર્ય તોફાન ગણું છું. એમાં, આધુનિકતા સાથે જોડાઈને ગુજરાતી સાહિત્યને વિશ્વ સાહિત્યના દરજ્જે લઈ જવાના અભિલાષ હતા.

૨ : આધુનિક કવિતાનો નૉંધપાત્ર પ્રારમ્ભ ગુલામ મોહમ્મદ શેખથી થયો છે એમ મનાતું હતું. લાભશંકર ઠાકરનું ભાષાની સામે પડેલા પ્રયોગશીલ આધુનિક કવિ તરીકેનું આકર્ષણ વિકસેલું. સિતાંશુ યશશ્ચન્દ્ર લગભગ દરેક કાવ્યને સર્રીયલ કહી ઓળખાવે એનું ય આકર્ષણ થતું, જો કે કેટલાકને એમાં પ્રદર્શન દેખાતું હતું.

૩ : નવલકથા, ટૂંકીવાર્તા અને નાટકમાં શ્રીકાન્ત શાહ પ્રયોગશીલ ગણાતા હતા.

૪a : કલ્પન પ્રતીક વિશેની સૂઝ વિકસી હતી, લગભગ બધાની રચનાઓમાં દેખા દે અને દે ! પણ અસ્તિત્વપરક પ્રશ્નોને સ્પર્શવાનું બનેલું. મુકુંદ પરીખની લઘુનવલ ‘મહાભિનિષ્‌ક્રમણ’ને અભ્યાસક્રમાં સામેલ કરવા અમારે લડત આપવી પડેલી.

૪b : ઍબ્સર્ડ કહેવાયેલાં નાટકોનાં પુસ્તકો થયેલાં. એ બારામાં રે મઠવાળા મિત્રો સુરેશ જોષી સાથે અભદ્ર રીતે ઝઘડેલા. ‘એક ઉંદર અને જદુનાથ’ના રચનાકારો લાભશંકર અને સુભાષ શાહને બૅકેટના દરજ્જાના ગણીને એ બધા ખુશ થતા હતા.

૫ : પ્રયોગશીલતા, ઊહાપોહ અને નવોન્મેષનો જમાનો હતો.

૬ : શેખના ઘરે રેસિડેન્સ્યલ બંગલે ૮ કલાકનો પરિસંવાદ થયેલો.

સુરેશ જોષીની હયાતિમાં એમના સાહિત્ય સંદર્ભે ભાવનગરમાં ૩ દિવસનો પરિસંવાદ થયેલો. સાહિત્યકાર-વ્યક્તિ વિશેના સૌથી વધુ પરિસંવાદ સુરેશ જોષી વિશે થયેલા.

૭ : નીતિન મહેતા બૉમ્બે યુનિવર્સિટીમાં દર વર્ષે પરિસંવાદ કરતા. એમણે સર્જકતા જેવા અઘરા વિષય પર પણ પરિસંવાદ કરેલો.

૮ : દાહોદ-કૉલેજમાં ટોપીવાળાએ રિલ્કે પર અને ‘સુજોસાફો’ના ઉપક્રમે અમદાવાદમાં મેં બૉદ્લેર પર પરિસંવાદ કરેલા. મેં ‘આધુનિકતા-રીથિન્ક’ બાબતે પણ ચર્ચાઓ ગોઠવેલી.

૯ : ગુજરાત યુનિવર્સિટીમાં મેં આધુનિકતા વિષયે ૭ દિવસનો પરિસંવાદ ગોઠવેલો.

૧૦ : અનેક લિટલ મૅગેઝિન્સ પ્રગટેલાં. ઇમેજને જ વિશેનું મધુ કોઠારીનું ‘મૉનો ઇમેજ’.

૧૧ : પત્રચર્‌ચાઓનો જમાનો હતો. એક જણે મારા ૭૦૦ પાનના થીસિસની અઘટિત નૉંધ લીધેલી. એક જ પ્રકરણ વાંચેલું, એને રીવ્યુ કેવી રીતે કહેવાય? એમ ઉધડા લેવાતા હતા.

૧૨ : આધુનિકતાને સમજવાના ભરપૂર પ્રયાસ થયેલા. મેં ગભરાતાં ગભરાતાં ‘સાહિત્યમાં આધુનિકતા’ પુસ્તક કરેલું.

૧૩ : ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર' અને રઘુવીર ચૌધરીની ‘અમૃતા’ લોકપ્રિય થવાની હદે પ્હૉંચી ગયેલી છતાં આધુનિક નવલો હતી. ‘આકાર’માં લોકોએ અસ્તિત્વવાદ વાંચેલો !

૧૪ : સામયિકો જવાબદારી બાબતે હરીફાઈ કરતાં હતાં. વિશેષાંકો આવકાર્ય ફૅશન હતી – દાખલા તરીકે, ‘ક્ષિતિજ'નો દૃશ્યશ્રાવ્ય વિશેષાંક, ‘વિશ્વમાનવ’નો રવીન્દ્ર વિશેષાંક.

૧૫ : આદિલ મનસૂરી, ચિનુ મોદી અને મનહર મોદી ગઝલમાં નગરચેતના લાવેલા, એ અર્થમાં ગઝલ પણ આધુનિક થઈ હતી.

૧૬ : સુજો -ઉજો એવી છાવણીઓ હતી, જો કે થવું જોઈએ એ કક્ષાનું સાહિત્ય-યુદ્ધ લડાયું ન્હૉતું. પરન્તુ, એ રાહે સાહિત્યપદાર્થને જેટલો કંઈ ખંખોળી શકાય, એટલે અંશે હું એને મૂલ્ય આપું છું.

૧૭ : ઉમાશંકરે સુરેશભાઈને ટૉણો મારેલો કે વિદેશી પુસ્તકો એમને ત્યાં પણ આવે છે. સુરેશભાઈએ અમદાવાદમાં વ્યાખ્યાનો આપેલાં એમાં તેઓ અધ્યક્ષ હતા. સુરેશભાઈ અમને કહે, અધ્યક્ષ પછી આપણાથી તો કંઇ બોલાય નહીં. બહુ વ્યથિત હતા. આ સંદર્ભે મેં લખેલું : ગાયો ને ભેંશો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ આપે છે, એનો મહિમા છે. પરન્તુ, એ જ ઉમાશંકર વડોદરા ગયા હોય ને સુરેશભાઈને મળ્યા ન હોય એવું કદી બન્યું ન્હૉતું. સુરેશભાઈના અવસાનનો ખરખરો કરવા ઉમાશંકર અમદાવાદમાં મારા ઘરે આવેલા …

ઘણું યાદ આવે છે, પણ ઇતિ અલમ્.

(September 7, 2021: USA)

Loading

ડેટા વગરની ભારતની લાકડાની તલવાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 September 2021

એક વર્ષ પહેલાં, ભારતમાં એક નવો મંત્ર બોલતો થયો હતો, "ડેટા ઈઝ ન્યૂ ઓઈલ.' માણસે પૃથ્વીના પેટાળમાંથી તેલના ભંડારો શોધી કાઢીને જેવી રીતે પૃથ્વી પરનું જીવન ક્રાંતિકારી રીતે બદલી નાખ્યું, તેમ ૨૧મી સદીમાં ડેટાની ઉપયોગીતા જગતની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીને નવાં શિખરો પર લઇ જશે, એવી આપણને સમજ પડી હતી. ૨૦૧૭માં ‘ધ ઇકોનોમિસ્ટ’ નામની આંતરરાષ્ટ્રીય આર્થિક પત્રિકાએ એક સ્ટોરી પ્રગટ કરી હતી : ધ વર્લ્ડ્સ મોસ્ટ વેલ્યુએબલ રિસોર્સ ઈઝ નો લોંગર ઓઈલ, બટ ડેટા (દુનિયાનું સૌથી કીમતી સંશાધન ઓઈલ નહીં, પણ ડેટા છે).

ભારતમાં ઘણા બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ અને સરકાર ખુદ આ મંત્રોજાપ કરતી થઇ ગઈ હતી, પરંતુ ડેટાનો અર્થ માત્ર પૈસા કમાવાનો નથી, ડેટાનો અર્થ જીવનને બહેતર બનાવાનો છે. દાખલા તરીકે, નોકરી લેવી હોય કે રોગની સારવાર કરાવવી હોય, તો તેનો સંલગ્ન ડેટા જરૂરી છે.

ડેટા એટલે શું? સરળ ભાષામાં માહિતી કે જાણકારીને ડેટા કહેવાય. એ માહિતીમાં સંખ્યા હોય, અક્ષરો હોય, શબ્દો હોય, નિરીક્ષણો હોય, પ્રમાણ હોય. આજની તારીખે ડેટા મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આપણે માહિતીના વિસ્ફોટમાં જીવીએ છીએ. ટેકનોલોજીના કારણે આપણી પાસે ચારે તરફથી વિપુલ માત્રામાં માહિતીઓ આવે છે. આપણું મગજ અમુક મર્યાદામાં જ માહિતીઓને પ્રોસેસ કરવા સક્ષમ છે, એટલે જ્યારે ખૂબ બધી માહિતીઓ આવતી હોય, ત્યારે કઈ માહિતી કામની છે અને કઈ માહિતી નકામી છે, તેનો ફર્ક કરવો અનિવાર્ય હોય છે.

ડેટા સાયન્સનું કામ માહિતીઓને પ્રોસેસ કરીને આપણને કામની માહિતીઓ જુદી તારવી આપવાનું છે, જેના આધારે આપણે નિર્ણયો લઇ શકીએ. માહિતીના મૂળમાં ડેટા હોય છે. દાખલા તરીકે, 'ભારત સૌથી યુવાન દેશ છે' એ વાક્ય માહિતી છે અથવા જાણકારી છે, પરંતુ એ માહિતીનો વ્યવહારુ ઉપયોગ કરવો હોય (દાખલા તરીકે કોઈ કંપનીને નવી મોટરસાઇકલ બનાવવી હોય), તો દેશના યુવાનોનોની ઉંમર, આવક, શહેરમાં કેટલા છે, ગ્રામીણ કેટલા છે, ભણતર કેટલું છે, રોજગારી કેવી છે વગેરે અગંત ડેટા જોઈએ.

કોઈ પણ વૈજ્ઞાનિક અનુમાન કરવા માટે ડેટા સૌથી અગત્યની બાબત છે. આ વર્ષે કેટલો વરસાદ પડશે તેની સફળ આગાહી કરવાનો આધાર દાયકાઓથી કોમ્પ્યુટરમાં એકઠો થતો વરસાદની પેટર્નનો ડેટા છે. રેમડેસિવિર ઇન્જેક્શનનો કેટલો સ્ટોક રાખવો તેનો નિર્યણ મહામારીના કેસ કેટલા વધે છે તેના ડેટા પરથી નક્કી થાય. ડેટાથી બેઝલાઈન (આધાર), બેન્ચમાર્ક અને લક્ષ્ય નક્કી થાય.

આટલી વાત સમજ્યા પછી, હવે પાયાનો પ્રશ્ન. ભારતમાં ડેટા સાયન્સને ગંભીરતાથી લેવામાં આવે છે? આપણે જે રીતે મહામારી સામે લડી રહ્યા છે, તે જોતાં તો એવું લાગે છે કે આપણે લાકડાની તલવાર લઈને કોરોનાનો ખાત્મો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોરોનાની પહેલી લહેર આવી, ત્યારે જ ડેટામાં ઘાલમેલ થઈ હતી, જેથી બીજી લહેરનું અનુમાન થઈ ન શક્યું. અથવા, ડેટા હતો પણ યોગ્ય વિશ્લેષણ ન થયું અથવા વિશ્લેષણ હતું પણ તેને નજર અંદાજ કરવામાં આવ્યું. જે હોય તે ખરું, ડેટા પ્રત્યેની આપણી વૈજ્ઞાનિક ગંભીરતાના અભાવમાં પૂરી મેડિકલ સિસ્ટમ તૂટી પડી અને લોકો કમોતે મરી ગયા.

ટ્રેજેડી એ છે કે બીજી લહેરમાં પણ ટેસ્ટિંગથી લઈને કેસો અને મૃત્યુનાં આંકડાઓમાં ઘાલમેલ થઈ હતી. સરકાર હવે એવું કહે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મોત થયું નથી, કારણ કે અમારી પાસે એવો કોઈ ડેટા નથી. ડેટા નથી એટલે મોત પણ થયું નથી, સો સિમ્પલ. આપણી પાસે કોવિડ-19ની મહામારીનો સટીક ડેટા નહીં હોય, તો મેડિકલ સમુદાય ભવિષ્ય માટે બેઝલાઈન, બેન્ચમાર્ક અને લક્ષ્યનું મોડેલ કેવી રીતે બનાવશે? અને બનાવશે તો કેવું હશે?

૩૦મી એપ્રિલે દેશના વૈજ્ઞાનિકોના એક સમૂહે સરકારને પત્ર લખીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એકત્ર કરાયેલા કોરોના સંબંધી ડેટા સાર્વજનિક કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સામે લડવા માટે દેશમાં શું મેડિકલ જરૂરિયાતો છે તે નક્કી કરવા માટે ડેટા અગત્યનો છે. વૈજ્ઞાનિકોએ લખ્યું હતું કે મહામારી શરૂ થઇ ત્યારથી એકત્ર કરાયેલા આ ડેટાની સરકાર સિવાય કોઈને ખબર નથી, ત્યાં સુધી કે મહામારીનાં અનુમાનનાં મોડેલ બનાવવાનું જેમનું કામ છે તે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમ જ નીતિ આયોગને પણ અ ડેટા મળતો નથી."

બેંગ્લોર સ્થિત પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં એપીડેમિઓલોજીના પ્રોફેસર ગિરિધર બાબુ એક ઇન્ટરવ્યૂમાં ડેટાની સરળ વ્યાખ્યા કરતાં કહે છે, “આપણે એક્શન માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, એક રાજ્ય પાસે દર દસ લાખે કેટલા કોરોના કેસ છે તેનો મજબૂત ડેટા છે અને બીજા રાજ્ય પાસે નથી, તો એના અર્થ એ થયો કે બીજું રાજ્ય તેની પ્રજાને સમયસર સારવાર આપીને મૃત્યુ રોકવા માટે એક્શન નહીં લે. સમુદાયોમાં ઘણી અસમાનતાઓ હોય છે, અને તમે જો ઈમાનદારીથી ડેટા ભેગો ન કરો, વિશ્લેષણ ન કરો અને તારણો ન કાઢો, તો તમે પ્રજાનું વધુ નુકશાન કરો છો.”

લંડનની મિડલેસેક્સ યુનિવર્સિટીમાંથી ગણિતમાં ડોક્ટરેટ કરનાર અને ત્યાં સિનિયર લેકચરર મુરાદ બાનાજી આ વાતનું સમર્થન કરતાં એ જ ઇન્ટરવ્યૂમાં કહે છે, “તમારી પાસે ગુણવત્તાવાળો ડેટા હોય, તો તમે શું થયું છે અને શું થઇ શકે છે તેનું સટીક અનુમાન કરતુ મોડેલ બનાવી શકો છો. દાખલા તરીકે, અલગ-અલગ વિસ્તારોમાં કોરોના કેટલો ફેલાયો છે તેનો જો ડેટા હોય, તો આપણે એ વિસ્તારોમાં બીજી લહેરની અસર કેવી હશે તેનું અનુમાન કરી શકીએ. આપણને જો એ ખબર હોય કે વાઇરસનો કયો વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે, તો આપણે તે કેટલી તેજ ગતિએ તે ફેલાશે તેનું અનુમાન કરી શકીએ. આપણને જો એ ખબર હોય કે કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, તો આપણે તેના આધારે એ જાણી શકીએ કે તેનો ફેલાવો કેટલો વ્યાપક હતો.”

કોરોનાની બીજી લહેરે ભારતના ડેટા સિસ્ટમની પોલ ખોલી નાખી. એમાં હજારો લોકો કમોતે મર્યા, એટલું જ નહીં, જનતા તેના સ્વાસ્થ્યને લઈને નિરુત્સાહ અને નિરાશ થઇ ગઈ. એવું નથી કે દેશને ડેટા કલેક્શનનો અનુભવ નથી. ભારતનો નેશનલ સેમ્પલ સર્વે દુનિયાનો સૌથી મોટો ડેટા કલેક્શન સર્વે હતો, અને તેની તાકાતથી જ ભારત પોલીઓ, લેપ્રસી અને એચ.આઈ.વી. જેવી મહામારીઓ સામે જંગ જીતી શક્યું હતું.

છતાં, કોરોનાની મહામારીમાં આપણી આજે જે હાલત છે, તેનું એક માત્ર દેખીતું કારણ એ છે દેશમાં ઉત્તરોત્તર વૈજ્ઞાનિકો હાંસિયામાં ધકેલતા ગયા છે અને રાજકારણીઓ તેમની જગ્યાએ નિર્ણયો લેતા થઇ ગયા છે. ડેટા ન્યૂ ઓઈલ છે, પરંતુ રાજકારણીઓએ તેને દોહવા માટે તેના કલેક્શન અને વિશ્લેષણમાં રાજકારણ ઘુસાડી દીધું છે. આપણે ભલે ટેસ્ટ ઓછા કરીએ, આપણે ભલે મોતના આંકડા છુપાવીએ, આપણે ભલે રોગને નજરઅંદાજ કરીએ, દેશનાં હજારો સ્મશાનોમાં બળતી લાખો ચિતાઓ એ વાતની હતી કે ભારતે તેના સ્યુડો-સાયન્સ અને એન્ટી-ઇન્ટલેક્ચુઅલ અભિગમની કિંમત ચૂકવી છે, અને ભવિષ્યમાં પણ ચૂકવશે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, :સંદેશ”, 05 સપ્ટેમ્બર 2021

Loading

આપણી આંખો કેમ ખૂલતી નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|8 September 2021

ધાર્મિક ગુરુઓ; ભક્ત પુરુષો / મહિલાઓનું કઈ કઈ યુક્તિઓથી શોષણ કરતા હતા, તે જાણવા માટે ‘મહારાજ લાઈબલ કેસ’ તથા ‘પોલ કેસ’નો અભ્યાસ કરવો પડે. મહારાજ લાઈબલ કેસમાં ફરિયાદી હતા વૈષ્ણવ મહારાજ જદુનાથજી બ્રિજરતનજી અને આરોપી હતા પત્રકાર / સમાજ સુધારક કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગષ્ટ 1875]. કપોળ જ્ઞાતિના કરસનદાસ ‘સત્યપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા. કરસનદાસે 21 ઓક્ટોબર 1860ના રોજ ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લેખ પ્રસિદ્ધ કર્યો હતો. જેના કારણે ‘મહારાજ લાઈબલ કેસ’ ઊભો થયો હતો. વલ્લભ સંપ્રદાયમાં ગુરુઓ પોતે કૃષ્ણ છે; તેમ કહીને ભક્ત મહિલાઓ સાથે વ્યભિચાર કરતા હતા; તે બાબત તેમણે ખૂલી પાડી. મહારાજોએ કપોળ જ્ઞાતિપંચ ઉપર દબાણ કરીને કરસનદાસને નાત બહાર કાઢી મૂક્યા ! એટલું જ નહીં, જે કોઈ ભાટિયા સ્ત્રી/પુરષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેમને નાત બહાર કરવામાં આવશે; તેવી ધમકી પણ આપી ! તે અંગે ફોજદારી કેસ થયેલ; જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ [1861] તરીકે જાણીતો છે. તેનો ચૂકાદો 12 ડિસેમ્બર 1861ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. મહારાજો અને તેમના ભાટિયા ભક્તોને ગુનેગાર ઠરાવીને દંડ કર્યો હતો.

મહારાજ લાઈબલ કેસ 25 જાન્યુઆરી 1862ના રોજ શરૂ થયો હતો. કેસ ચાલુ હતો તે દરમિયાન મહારાજોના ભક્તોએ કરસનદાસ ઉપર હુમલા કર્યા હતા. મહારાજો કેવી કેવી યુક્તિથી વ્યભિચાર કરતા હતા, તેની વિગતો અદાલત સમક્ષ જાહેર થઈ. ભાટિયા/વાણિયા જ્ઞાતિના ભક્તો પોતાની દીકરીઓ/પત્નીઓને સંભોગ માટે મહારાજોને સોંપતા હતા. મહારાજોના ચાવેલાં પાન-સોપારી ભક્તો ખાતા ! મહારાજોના ધોતિયાને નિચોવીને પાણી પીતા ! મહારાજોની પગની રજકણ ચાટતા ! મહારાજોનું એંઠું અન્ન ખાતા ! મહારાજો અને ભક્તાણીઓ વચ્ચેની રતિક્રીડાના ‘દર્શન’ માટે  શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવતી ! આ કેસ 40 દિવસ ચાલ્યો; 24 દિવસ સાંભળવામાં આવ્યો. વાદી તરફે 42 સાહેદો અને પ્રતિવાદી તરફે 30 સાહેદોને તપાસવામાં આવ્યા. કેસનો ચૂકાદો 22 એપ્રિલ 1862ના રોજ આપવામાં આવ્યો; [ગાંધીજીનો જન્મ થવાને 7 વરસની વાર હતી; 2 ઓક્ટોબર 1869] જેમાં કરસનદાસને નિર્દોષ ઠરાવેલ. અદાલતે કરસનદાસને રૂપિયા 11,500 જદુનાથજી પાસેથી અપાવેલ. આ કેસમાં એ સિદ્ધાન્ત સ્થાપિત કરવામાં આવ્યો કે ‘જે બાબત નીતિથી નઠારી હોય તેને ધાર્મિક રીતે માન્યતા આપી શકાય નહીં !’

‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ અંગે મુંબઈની ‘દી. લખમીદાસ કંપની’એ પુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકની 1911માં ચોથી આવૃતિ બહાર પડી હતી. તેની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું : “જાહેર પ્રજાનો એક વર્ગ સવાલ કરશે કે ‘મહારાજ લાઈબલ કેસ’ના પાને પાને વલ્લભી સંપ્રદાયના કેટલાંક આચાર્યોની અનીતિ તેના ખરાબમાં ખરાબ આકારમાં કોર્ટમાં પુરવાર થયેલી છે, તે ફરી છપાવવાની શી અગત્ય હતી; અમે કહીશું કે તેની ઘણી જ જરૂર હતી. જે સંપ્રદાયની જાળમાં લાખો વૈષ્ણવો પોતાના ધર્મથી વિમુખ થઈ, ફક્ત ટીલાં ટપકાં ખોટા આડંબર અને ‘જે જે’ કરવામાં; જૂઠણો ખાવામાં અને ગોકુળનાથજીની ટીકાવાળા બ્રહ્મસંબંધ [વ્યભિચાર] કરવામાં જ ધર્મ સમજે છે, તેમને પોતાના ગુરુઓના ગુપ્ત ચરિત્રો બતાવવાની ખાસ અગત્ય છે. હજુ પણ આ આચાર્યોમાંના કેટલાંક સુધર્યા હોય તેમ લાગતું નથી !” 1860માં ગુરુઓની કામલીલા ખૂલી પડી છતાં 51 વર્ષ બાદ 1911માં પ્રકાશકે લખ્યું કે ‘કેટલાંક ગુરુઓ હજુ સુધર્યા નથી !’ આ એ બાબત સૂચવે છે કે ધર્મની આડમાં ગમે તેવી અનીતિને પોષણ મળે છે !

ગુજરાતના લોકો ‘પોલ કેસ’ અંગે જાણતા નથી. 26 જુલાઈ 1926ના રોજ ‘પોલ કેસ’નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તક વડોદરા પાસે પુનિયાદ ગામે કબીર આશ્રમની લાઇબ્રેરીમાંથી મળ્યું હતું. તેમાં વૈષ્ણવ ધર્મગુરુઓની અનીતિ સામે સંઘર્ષની વિગતો છે. આ સંઘર્ષ કરનાર હતા, ‘પ્રવાસી પાગલ’ ! તેમનો જન્મ 1886માં વડોદરા ખાતે થયો હતો. તેઓ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના હતા. 1926માં તેમની ઉંમર 40 વરસની હતી. 17 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું હતું; 1908-10 સુધી ગુજરાત/કાઠિયાવાડમાં ખૂબ ભટક્યા બાદ મુંબઈ રહેતા હતા, અને મોતીનો ધંધો કરતા હતા. 1917માં તેઓ સિંધ તરફ ગયા. કરાંચીમાં રહેતા હતા. તેઓ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેતા હતા. 1920માં પૂર્વ બંગાળમાં ગયા. અસહકાર/સ્વદેશી/ગૌરક્ષા ઉપર 5થી 6 હજાર ભાષણો તેમણે આપ્યા હતા. નાગપુર કૉન્ગ્રેસમાં, નાસિકથી નીકળી, ગુજરાત થઈ 67 દિવસે પગે ચાલીને નાગપુર પહોંચ્યા હતા. પગની મુસાફરીના કારણે તેઓને ‘પ્રવાસી પાગલ’ તરીકે ઓળખવામાં આવતા હતા ! તેમનું મૂળ નામ હીરાલાલ મંગળદાસ હતું ! અસહકારની ચળવળ વેળાએ, સરકારે તેમને IPC કલમ-124A હેઠળ એક વર્ષ જેલમાં રાખ્યા હતા. પ્રવાસી પાગલે જોયું કે મહારાજ લાઈબલ કેસ પછી પણ પુષ્ટિમાર્ગના ધર્મગુરુઓમાં અતિશય વ્યભિચારનો સડો છે, વળી એ પંથના કેટલાંક પુસ્તકોમાં વ્યભિચાર સેવવા ઉપદેશ આપેલો છે ! તેમણે પુષ્ટિ પંથ વિરુદ્ધ ‘પોલ’ નામનું છાપું કાઢ્યું. બ્લાક્ટાનંદ સ્વામીના પુસ્તક ઉપરથી મહારાજ દેવકીનંદન ઉપર આક્ષેપો મૂક્યા. શેઠ પ્રાગજી સૂરજીએ ફરિયાદ કરી. ‘પોલ કેસ’ 1925માં થયો હતો; 65 વરસ પછી પણ વૈષ્ણવ ગુરુઓનો ધર્મના ઓઠા હેઠળ વ્યભિચાર ચાલુ રહ્યો હતો. પ્રવાસી પાગલે જુદા જુદા 13 પુસ્તકો લખ્યા હતા. તેમની સામે કુલ 14 કેસો થયા હતા; જેની વિગતો મળતી નથી. ‘પોલ કેસ’માં પ્રવાસી પાગલની હાર શા માટે થઈ હતી, તે જાણવું જરૂરી છે. સવાલ એ છે કે લોકોની આંખો કેમ ખૂલતી નથી? ધર્મશ્રદ્ધા માણસની વિવેક શક્તિ છીનવી લે છે. ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ના કારણે વ્યભિચાર અટકતો નથી. કોર્પોરેટ કથાકારો/ધર્મ ગુરુઓનો ઇતિહાસ વ્યભિચાર/અનીતિ/હત્યાથી ખરડાયેલો હોય છે. 2021માં પણ આ સ્થિતિ છે.

આ બન્ને કેસોમાંથી એ બોધપાઠ લેવાનો કે ધર્મશ્રદ્ધા માણસને આંધળો કરી મૂકે છે. ધર્મગુરુઓ ઈશ્વર નથી કે ઈશ્વરના એજન્ટ પણ નથી. પોતે કૃષ્ણ છે, તેમ કહેનાર પાક્કો ઠગ હોય છે. ફેસબૂક ઉપર લખેલા આ લેખો બિલકુલ ટૂંકા; સરળ શૈલીમાં લખેલા હતા. ભવિષ્યની પેઢીને મદદરૂપ થાય તે માટે ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ ઈ.બૂક; ‘અભિવ્યક્તિ બ્લોગ’ના ગોવિંદભાઈ મારુએ ભારે જહેમત ઊઠાવીને તૈયાર કરી છે; તેમનો આભાર માનું છું. આ બન્ને કેસો આપણી આંખો ખોલશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

...102030...1,7981,7991,8001,801...1,8101,8201,830...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved