Opinion Magazine
Number of visits: 9570993
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિસાન મહાપંચાયતો મોદીચળકાટનો વરખ ઉતારી રહી છે

ભરત મહેતા|Opinion - Opinion|16 September 2021

દેશ આઝાદ થઇ રહ્યો હતો ત્યારે જ ઇ.સ. ૧૯૪૬થી '૪૮ બે વર્ષ તેલંગણામાં જબરદસ્ત કિસાન આંદોલન થયું. જમીનદારી પ્રથાનો અંત આ આંદોલનથી આવ્યો. આંદોલનમાં સેંકડો કિસાન મર્યા હતા, ધરપકડો થઇ હતી. આખા ભારતમાં પહેલી ચૂંટણીમાં કાઁગ્રેસનો દબદબો હતો ત્યારે જવાહરલાલ નેહરુ કરતાં ય વધુ મત આંધ્ર પ્રદેશ કિસાનસભાના અધ્યક્ષને મળ્યા હતા. તેલંગણાની જેમ જ અત્યારે જ ચાલતું કિસાન આંદોલન ત્રણ કોર્પોરેટી કાનૂનો સામે રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર બન્યું છે. નવ મહિનામાં છસો કિસાનો મર્યા છે ત્યારે પણ આ કિસાનો અડગ ઊભા છે. આ લખી રહ્યો છું ત્યારે કિસાનો કરનાલના મીની સચિવાલય સામે અડ્ડો નાખીને ઊભાં છે. મૃતકના વળતર માટે, લાઠીચાર્જમાં ઘવાયેલા કિસાનો માટે ન્યાય ઝંખે છે. જે અધિકારી શ્રી આયુષ સિંહાએ ખુલ્લે આમ ‘કિસાનોના માથા ફોડી નાંખો’ એમ ત્રણ ત્રણવાર આદેશ આપ્યો એને સસ્પેન્ડ કરવાની માંગ કરે છે! ભા.જ.પ. સરકારે નીમેલા રાજપાલ સત્યપાલ મલિક, ત્રણ ટર્મમાંથી સાંસદ (ભા.જ.પ.) વરુણ ગાંધી અને લાલકૃષ્ણ અડવાણીએ કિસાનોનો પક્ષ લીધો છે. આંદોલન કોઈ રાજકીય પક્ષો પાસે સમર્થન માંગવા નથી ગયા, આપોઆપ એમની પ્રશ્નો- સંગઠનો સામે ચાલીને સમર્થન આપી રહ્યા છે. આ મોટી ઘટના છે. કિસાનના હીતોનું રક્ષણ કરનાર સરકારને ઝંખે છે. આ સરકાર પાસે એમને કોઈ આશા નથી.

બે દિવસ પહેલા મુઝફ્ફરનગરની કિસાન મહાપંચાયતમાં વીસ લાખ કિસાનોનું ઉપસ્થિત રહેવું એ બતાવે છે કે મોદીના ચળકાટનો વરખ ઊતરી રહ્યો છે! આ એ મુઝફ્ફરનગર છે કે જ્યાં ‘લવ જેહાદ’ના નામે હજ્જારો મુસલમાનની જાટ પ્રજાએ કતલ કરેલી. જેના કારણે ઊભી થયેલી સાંપ્રદાયિકતાની ભાવનાએ યુ.પી.માં યોગી-મોદી-ભા.જ.પ.ને ભારે બહુમતી અપાવેલી. આ કિસાનોએ ભા.જ.પ.ને હોંશેહોંશે મત આપેલા! જે કિસાન મોદી વિરુદ્ધ એક શબ્દ સુદ્ધાં સાંભળવા તૈયાર ન હતો. એ જ કિસાન આજે મોદીના એક શબ્દ પર પણ વિશ્વાસ રાખવા તૈયાર નથી. કોઠાસૂઝથી થયેલું આ ભ્રમનિરસન છે. એ જ મુઝફ્ફરનગરમાં હિન્દુ-મુસ્લિમ કિસાનો મળીને 'વોટ પર ચોટ’નું એલાન કરે છે! આ સાંપ્રદાયિક આમાંથી સાચા મોટા તરફથી ગતિ છે. તેથી જ 'હર હર મહાદેવ’, ‘જય શ્રીરામ’ અને અલ્લાહુઅકબરથી જંગી મેદની પ્રતીકાત્મક રીતે કોમી એકતા દાખવે છે. જે ભા.જ.પ.નો પરાજય છે. નફરતના બીજ રોપી એની વાવણી કરનાર પક્ષને આ પડકાર છે. નવ મહિનામાં કિસાન મહાપંચાયતો ઘણી થઈ એમાં આ નવો અધ્યાય છે. તેથી ત્રણ કાળાં કાનૂન વત્તા ભા.જ.પ.નો પરાજય એવું નવું લક્ષ્ય આ લડતમાં ઉમેરાયું છે. ચૂંટાયેલી સરકાર ન્યાય આપવામાં પ્રલંબ વિલંબ કરે ત્યારે આ શસ્ત્ર, ચૂંટણી ટાણે દબાણનું શિક્ષિતો પણ ઉગામતા રહ્યાં છે એ એણે પણ ઉગામ્યું. એ સ્વાભાવિક છે. એમાં તો ભક્તો રાડો પાડવા માંડ્યા કે કિસાન રાજનીતિ કરે છે! અરે ભાઈ! રાજનીતિનો ઠેકો તમારો જ છે? લોકતંત્રમાં રાજનીતિ કરવી ગૂનો છે? જ્યાં જ્યાં આવી મહાપંચાયતો મળી રહી છે ત્યાં, તેમ જ આસપાસના જિલ્લાઓમાં સરકારે ઈન્ટરનેટની સેવા બંધ કરી છે. સરકાર આખા દેશને આ રીતે કાશ્મીર બનાવી દેશે. સરકારનું આ પગલું ફાસીવાદી છે. હવે તો ઇજીજીનું ભારતીય કિસાન સંઘ પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યું છે. જો આંદોલન વેગ પકડશે તો ભા.જ.પ.ને યુ.પી. અને અન્ય ચૂંટણીઓમાં હંફાવશે એટલું નક્કી છે. આ આંદોલનમાં મેઘા પાટકર, યોગેન્દ્ર યાદવ જેવા કર્મશીલો પણ જોડાર્યાં છે. ખાલિસ્તાનીઓ, વિપક્ષોનું, નક્સલીઓનું આ આંદોલન છે એમ કહેનાર સરકારે થૂંકેલું ચાટવું પડ્યું છે. સમૂહ માધ્યમોની ઝાઝી સહાય નથી છતાં આ આંદોલન ફેસબુક, ટિ્‌વટર જેવા વૈકલ્પિક માધ્યમોથી બધે પહોંચ્યું છે. કિસાન મહાપંચાયતોની સૌથી મોટી વિશેષતા એ છે કે દિનપ્રતિદિન એમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યુ.પી.ની મહાપંચાયતમાં ગોવા અને કર્ણાટકથી કિસાનોનું આવવું મોટી ઘટના ગણાય. મોદીશાસનમાં મોદી વિરુદ્ધ આટલી મોટી મહારેલી હજુ થઇ નથી. વળી, ભેગાં થયેલા સહુ, રાજકીય પક્ષો પૈસા ઉઘરાવીને ઊભી કરે છે તેવી ભીડ નથી. બલકે, કુરબાનીની ભાવનાથી નીકળેલાં ટોળે ટોળાં છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે કિસાનોની આ અવદશા લોકશાહીની શરમ છે. આ આંદોલનનાં દૂરગામી પરિણામો આવશે.

કિસાન આંદોલને કેન્દ્ર-રાજ્યના સંબંધો વિષે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. કૃષિબિલ રાજ્ય સરકારનો ઇલાકો છે. એમાં કેન્દ્રનો હસ્તક્ષેપ આ કેન્દ્ર સરકાર એકહથ્થું બની રહી છે તે કિસાન આંદોલને પર્દાફાશ કર્યું. જો આંદોલન નિષ્ફળ જશે તો ભવિષ્યમાં રાજ્ય સરકારોની સ્વાયત્તતા હણાઇ જશે અને એમની વારેવારે અવગણના થશે. એ અર્થમાં કિસાનોનો આ પ્રચંડ અવાજ ભારતીય રાજનીતિનો નવો અધ્યાય છે.

બૅંકો, રેલવે, વિમાન મથકો, કેન્દ્રની મોટી કંપનીઓનો દેશમાં વેચાણ મહોત્સવ ચાલે છે. પરિણામે અદાણી જેટલું ૩૫ વર્ષમાં નથી કમાયા એટલું છ વર્ષમાં કમાયા છે. ભારતીય મૂડીવાદીઓ દિવસે નહીં એટલું રાતે, રાતે નહીં એટલું દિવસે કમાઈ રહ્યા છે. પ્રજા અસહ્ય મોંઘવારી-બેરોજગારીમાં સપડાયેલી છે. છતાં મોદી સરકારે ૫૭ અબજ રૂપિયા તો કેવળ જાહેરાતો પાછળ ખર્ચીને સરકારની 'અચ્છે દિન’ની છબી, માધ્યમોને ખરીદી ઊભી કરી છે. વિવિધ કાયદા હેઠળ અવાજ ઉઠાવનારાઓની ધરપકડ થતી હોવાથી બૌદ્ધિકો, શિક્ષિતો, મધ્યમવર્ગી બધું જાણતા હોવા છતાં મૌન છે. આવી સ્થિતિમાં સરકારથી જરા ય ડર્યા વિના, શાંતિપૂર્વક લડી રહેલા કિસાનો આશાનું એક માત્ર કિરણ છે. ઘણાં કહે છે, નવ મહિનાથી લડે છે એમને મોત સિવાય બીજું મળ્યું શું? અરે! ભાઈ એમને મળ્યું એ ચૂંટણીની જીતથી પણ મોટું છે. જે પુસ્તકોમાંથી પણ ન મળે, એવી સંઘર્ષમાંથી ક્રાંતિકારી ચેતના સાંપડી છે. હવે કિસાનો સાથે મજદૂરો જોડાઈ રહ્યા છે, એમાં જો શહેરના શિક્ષિત, મધ્યમવર્ગીઓ જોડાશે તો આ દેશમાં કોઈ પણ સરકાર હોય લોકવિરોધી ર્નિણય લેતાં પાંચસો વાર વિચાર કરશે.

જાતિ, ધર્મ, લિંગ જેવી ઓળખ બાજુ પર હડસેલીને આ આંદોલને પ્રગતિશીલ ચરિત્ર ધારણ કર્યું છે. 'અલ્લાહુ અકબર’ અને 'હર હર મહાદેવ’ ૧૮૫૭માં અંગ્રેજ શાસન સામે બોલાતાં સૂત્રો હતા, જે કાળા અંગ્રેજો સામે શરૂ થયાં છે. ખેડૂત મત આપ્યાં પછી એ વાત પણ ભૂલી જતો કોની સરકાર બને છે કિસાન સંગઠનો પણ રાજકીય રીતે ગાયબ હતા. આજે સંઘર્ષ અને સંગઠનથી એ મૃતચેતના પુનઃજીવિત થઈ છે. ગભરાયેલી સરકાર આ આંદોલનને હિંસક બનાવવા ઉત્તેજે છે, ફાટફૂટ પાડવાનો પ્રયાસ કરે છે. કિસાનોએ પરિપક્વતા દાખવી સરકારના એ બદઈરાદાને સફળ થવા દીધો નથી. 'મોદીનો કોઈ વિકલ્પ નથી’ એ દંતકથા કિસાન આંદોલનને કડડભૂસ તોડી નાંખી છે. પૈસાની રેલમછેલ દ્વારા ચૂંટણી જીતવી, અન્ય પક્ષોના જીતેલાં નેતાઓને કરોડો રૂપિયા આપી ખરીદતો પક્ષ 'નૂતન ભારત’નો જે સૂત્રોચ્ચાર કરે છે એ પોકળ છે તે આ આંદોલનને સ્પષ્ટ કર્યું છે.

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 10

Loading

‘માહોલ જ એવો કે રંગાઈ જવાય’: ડૉ. ઉષા મહેતા

સોનલ પરીખ|Opinion - Opinion|15 September 2021

આઝાદીના ઇતિહાસમાં ‘કૉંગ્રેસ રેડિયો’ની સ્થાપના અને કામગીરી સુવર્ણ અક્ષરે લખાયેલી ઘટના છે. ‘હિંદ છોડો’ આંદોલન વખતે મહાત્મા ગાંધી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી બ્રિટિશ સરકારે એક તરફ દમનનો કોરડો વીંઝ્યો, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. ધરપકડો થઈ કે તરત મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતી યુવાન વિદ્યાર્થિની ઉષા મહેતા અને તેના સાથીદારોએ દેશને સાચા સમાચારો પહોંચાડવા જે સિક્રેટ રેડિયો સ્ટેશન શરૂ કરેલું તે આ ‘કૉંગ્રેસ રેડિયો’. મણિભવનના પ્રમુખ અને ગાંધીસ્કૉલર ડૉ. ઉષાબહેન ઠક્કરનું પુસ્તક ‘કૉંગ્રેસ રેડિયો : ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’, આ આખી દિલધડક ઘટનાની પ્રેરણાદાયક-રોમાંચક હકીકતો વર્ણવે છે …

1927ની સાલ. સાયમન કમિશન આવ્યું. તેનો ખૂબ વિરોધ થયો. ઠેર ઠેર સૂત્રો પોકારાયાં, ‘સાયમન ગો બેક.’ આ સૂત્રોચ્ચારમાં એક આઠ વર્ષની બાલિકાનો કોમળ અવાજ પણ સામેલ હતો. થોડાં વર્ષ પછી, 1942ની આઠમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ભાષણ આપતાં કહ્યું, ‘હું તમને આજે એક મંત્ર આપવા માગું છું. તમારા શ્વાસેશ્વાસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે – ડુ ઓર ડાય. કરેંગે યા મરેંગે.’ પેલી નાનકડી બાલિકા હવે યુવાન થઈ હતી, મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતી હતી. ઉષા મહેતા એનું નામ. ગાંધીજીના સાદથી જેમ ભારતને ખૂણેખૂણેથી તેમ ઉષાના હૃદયમાંથી પણ પોકાર ઊઠ્યો, ‘અંગ્રેજો, ભારત છોડો!’

બીજા દિવસે એટલે કે 9 ઑગસ્ટે અંગ્રેજ સરકારે ગાંધીજી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી. આખા દેશમાં એના પ્રત્યાઘાત ઊઠ્યા. ઉષા અને એમના સાથીદારોના મનમાં એક જુદો જ વિચાર આકાર લઈ રહ્યો હતો. દેશ મોટા બનાવોથી ખળભળી ઊઠ્યો હતો. અંગ્રેજોએ એક તરફ દમનનીતિ અપનાવી હતી, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉષા અને એમની મંડળી લડતના અને અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન ખોલવા થનગની રહી હતી.

પણ કામ મુશ્કેલ હતું. સાધનો ખરીદવા, માળખું ઊભું કરવા, ટેકનિકલ બાજુ સંભાળવા, એક જ જગ્યાએથી બ્રોડકાસ્ટિંગ થાય તો પકડાઈ જવાય – સ્થળ બદલતા રહેવા પડે. નાણું જોઈએ. લોકોનો સાથ જોઈએ. ઉષાબહેન ઘરેણાંનો ડબ્બો લાવ્યાં, ‘આ મારું સ્ત્રીધન છે. એનો આનાથી સારો ઉપયોગ બીજો કયો હોય?’ જો કે એની જરૂર પડી નહીં. નાણાંની વ્યવસ્થા થઈ, જવાબદારીઓ વહેંચાઈ અને મુંબઈમાં ચોપાટી પાસે સી વ્યૂ ઇમારતમાં એક ગુપ્ત રેડિયો સ્ટેશન શરૂ થયું ‘કૉંગ્રેસ રેડિયો.’ ટેકનિકલ બાજુ 'શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની'એ સંભાળી.

ધરપકડના પાંચમા જ દિવસે, 14મી ઑગસ્ટે કોઈ અજાણ્યા ટ્રાન્સમિશન પરથી એક સ્પષ્ટ, મક્કમ અને મીઠો અવાજ દેશભરમાં ગુંજી ઊઠ્યો, ‘ધીસ ઈઝ ધ કૉંગ્રેસ રેડિયો કૉલિંગ ઑન 42.34 મીટર્સ ફ્રોમ સમવ્હેર ઈન ઇન્ડિયા’. અંગ્રેજ સરકારે દબાવી દીધેલા સમાચારોને પાંચ મિનિટમાં દેશની જનતા સમક્ષ મૂકી અવાજ બંધ થઈ ગયો. દેશવાસીઓ આનંદમાં આવી ગયા. અંગ્રેજો સ્તબ્ધ થઈ ગયા.

પછી તો સિલસિલો ચાલ્યો. દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે સમાચાર મેળવાતાં. મુંબઈથી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી પણ સમાચાર મોકલતી. ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં કૉંગ્રેસ રેડિયોએ બ્રૉડકાસ્ટ કરી હતી. જે વિષયોને અખબારો અડવાની પણ હિંમત ન કરતાં, સરકારના આદેશોની અવગણના કરીને કૉંગ્રેસ રેડિયો એ સમાચાર લોકો સુધી પહોંચાડતો. આ રેડિયો સ્ટેશનેથી અનેક દિગ્ગજ નેતાઓએ પ્રેરણાભર્યાં ભાષણો આપ્યાં. રામમનોહર લોહિયાએ એક ભાષણમાં કહ્યું હતું, ‘આપણે ચળવળ ચલાવતા હતા પણ હવે ક્રાંતિ ચલાવી રહ્યા છીએ. આપણી જીત તે આખા દેશની જીત હશે.’ અંગ્રેજી હકૂમતમાંથી મુક્ત થવા માટે ચાલી રહેલી ચળવળમાં આ રેડિયો 'સ્વતંત્રતાનો અવાજ' બનીને આવ્યો.

રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી થતું. વારંવાર સ્ટેશનો બદલવા પડતાં. શરૂઆતમાં અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં, પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો. ‘હિંદુસ્તાન હમારા હૈ’થી શરૂઆત થતી, પછી સમાચાર, ભાષણ વગેરે અને અંતે ‘વંદેમાતરમ્‌’ ગવાતું.

ઉષાબહેનનો જન્મ 1920માં સુરતના સરસ ગામમાં 25મી માર્ચે. પિતા જજ હતા. 1933માં પરિવાર મુંબઈ આવ્યો. ઉષાબહેન નાની ઉંમરથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવા જેવા કાર્યક્રમોમાં ભાગ લેતાં. પરિવારના અન્ય સભ્યો પણ આઝાદીની ચળવળમાં સક્રિય હતા. ગાંધીજીની પ્રેરણાથી છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને માંજરસેના બનાવી. બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ કરવું, પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું એવી કામગીરીઓ કરતાં. ‘વાતાવરણ જ એવું હતું કે દેશભક્તિના રંગમાં રંગાઈ જવાય. બનતું બધું કરવા તત્પર થઈ જવાય. અદ્દભુત હતા એ દિવસો. અમે કેટલા નસીબદાર કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈ શક્યાં!’ તેઓ કહેતાં. એ દિવસોની સ્મૃતિથી તેમના ચહેરા પર રોનક આવી જતી.

જે ખબરો ક્યાં ય નહોતી મળતી તે 'કૉંગ્રેસ રેડિયો'થી લોકો સુધી પહોંચતી. બહોળો પ્રતિસાદ મળતો. લોકો સાથ આપતા. પ્રસારણની રેન્જ મોટી હતી. સિંગાપુર અને કટક સુધી તેમનું બ્રોડકાસ્ટિંગ પહોંચ્યું હોવાના ઉલ્લેખ મળે છે. રેડિયો-પ્રસારણ ઉપરાંત તેઓ ગુપ્તપણે પત્રિકાઓ પણ છાપતાં અને વહેંચતાં. પોલીસ અને જાસૂસોથી બચતા રહેવું સૌથી મુશ્કેલ હતું. એમના એક સાથીને ફોડીને બ્રિટિશ પોલિસ બાબુભાઈ ખખ્ખરની ઑફિસ સુધી પહોંચી ગઈ. ઉષા મહેતા ત્યાં હાજર હતાં. અગત્યનું સાહિત્ય અને ફાઈલોને લઈ તેઓ ભાગી નીકળ્યાં ને નવું ટ્રાન્સમિશન શરૂ કરાવીને રાબેતા મુજબનાં પ્રસારણ શરૂ કર્યાં. 12 નવેમ્બર 1942ની રાત્રે પ્રસારણ ચાલતું હતું ત્યારે જ પોલિસે છાપો માર્યો અને ઉષાબહેન અને  સાથીઓની ધરપક્ડ કરી. ટ્રાન્સમિશન સેટ, સાતથી દસ હજારની કિંમતની 120 ગ્રામોફોન રેકર્ડ્સ, 22 ધાતુની પેટીઓમાં રખાયેલી એ.આઈ.સી.સી.ની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી. બે મહિના સુધી વિશેષ અદાલતમાં મુકદ્દમો ચાલ્યો.

‘તમારા પર મુકાયેલા આરોપ અંગે તમારે શું કહેવું છે?’ જજે પૂછ્યું.

‘કંઈ નહીં.’ ઉષાબહેને સ્વસ્થતાથી કહ્યું.

‘તમારા બચાવમાં કંઈ કહેવું છે?’

‘ના.’

સજા નક્કી થયા પછી ફરી વખત એમને પૂછવામાં આવ્યું, ‘હજી પણ બચાવમાં કંઈ કહેવું હોય તો કહી શકાશે.’

‘મારે કશું કહેવાનું નથી.’

અને ઉષાબહેનને ચાર વર્ષ, બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની સખત કેદની સજા સંભળાવાઈ. ઉષાબહેનને આઈસોલેશન સેલમાં રખાયાં. સી.આઈ.ડી. દ્વારા પૂછપરછ કરાતી, માનસિક ત્રાસ અપાતો, લાલચ અપાતી. ઉષાબહેન મનથી ડગ્યા નહીં, પણ તબિયત ખખડતી ગઈ. કોઈ પૂછે કે, ‘તમને જેલ થઈ ત્યારે દુ:ખ થયેલું? ખરાબ લાગેલું? અન્યાય થયો હોવાની લાગણી થઈ?’ ‘ના.’ તેઓ શાંતિથી કહેતાં, ‘અમે અમારું કામ કર્યું હતું, જજે એનું.’  

પછીનાં વર્ષોમાં તેમણે 'મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર' વિષય પર પીએચ.ડી. કર્યુ, 30 વર્ષ સુધી વિલ્સન કૉલેજમાં અધ્યાપન કર્યું, પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ રહ્યાં અને ગાંધી પીસ ફાઉન્ડેશનનું પ્રમુખપદ સંભાળ્યું. સ્ત્રીઓના પ્રશ્નો અંગે તેઓ ખૂબ જાગૃત હતાં. જીવનના ઉત્તરાર્ધમાં તેઓ મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન તરીકે ફરજ બજાવતાં. 11મી ઑગસ્ટ, 2000ના દિવસે તેમનું અવસાન થયું. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં આઠમી ઑગસ્ટે તેઓ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં 'હિંદ છોડો ચળવળ'ની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર હતાં. સ્વતંત્ર ભારતની અડધી સદીની મજલ તેમણે જોઈ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ દુ:ખી અને હતાશ હતાં. .ઈન્ડિયા ટૂડે.ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં બોલ્યાં હતાં, ‘આ એ સ્વતંત્રતા નથી જેનું અમે સ્વપ્ન જોયું હતું.’

હવે બીજાં ઉષાબહેન – ઉષાબહેન ઠક્કરની વાત. મણિભવનના પ્રમુખ, પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરેટ-પોસ્ટ ડૉક્ટરેટ કરનાર, વિદેશની યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે કામ કરી ચૂકેલાં અને દેશના જૂજ તેજસ્વી ગાંધી સ્કૉલરોમાંના એક ઉષાબહેન ઠક્કરે ‘ગાંધી ઈન મુંબઈ’, ‘અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી, ‘વિમેન ઈન ઈન્ડિયન સોસાયટી’, ‘ઝીરો પૉઈન્ટ બૉમ્બે’ જેવાં સુંદર અને માહિતીસભર પુસ્તકો આપ્યાં છે. ઉપરની માહિતી તેમના ગયા મહિને પ્રગટ થયેલા પુસ્તક ‘કૉંગ્રેસ રેડિયો : ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’માંથી લેવામાં આવી છે. મજાની વાત એ છે કે આ બન્ને ઉષાબહેને વર્ષો સુધી સાથે કામ કર્યું છે. એમની પ્રત્યક્ષ વાતો અને ઉષાબહેન મહેતાની ફાઈલો અને દસ્તાવેજો આ પુસ્તકનો મુખ્ય આધાર છે. ઉષાબહેન ઠક્કર કહે છે, ‘મણિભવન રિનૉવેટ થવા જઈ રહ્યું છે. એમાં ઉષાબહેન અને તેમના કામને લગતો એકાદ કૉર્નર બનાવવાનો વિચાર છે.’

‘ઉષાબહેન મહેતા જેવી અનન્ય સ્વાતંત્ર્યપ્રેમી, લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારી અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ કોઈપણ કાળે દુર્લભ છે.’ એવા ઉષાબહેન ઠક્કરના નિરીક્ષણ સાથે નિ:શંકપણે અને નતમસ્તકે સંમત થવું પડે.

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 સપ્ટેમ્બર 2021

Loading

આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં વિરોધ

માર્ટિન મૅકવાન|Opinion - Opinion|15 September 2021

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી,

માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,

માનનીય ટ્રસ્ટીઓ,

શ્રી સાબરમતી આશ્રમના સંલગ્ન છ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,

એક દલિત કર્મશીલ પાસે ગાંધીઆશ્રમના નવીનીકરણનો વિરોધ અપેક્ષિત નથી. દલિતોનાં મન અને હૃદય, પૂના-કરાર દરમિયાન, ડૉ. આંબેડકરનાં વર્ષોના સંઘર્ષ પર, અહિંસક સાધનો દ્વારા ગાંધીએ પાણી ફેરવી વાળ્યું, તેની કડવાશના ઘા રુઝાયા નથી. ગાંધીના વર્ણવ્યવસ્થાના વિચારો રૂઢિવાદી હતા, તેની વિશેષ છણાવટ તો ડૉ. આંબેડકરે કોઈ પણ શબ્દ ચોર્યા વગર કરી છે, એટલે એમાં પડતો નથી. તો આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં આ વિરોધમાં મારે જોડાવાનું કારણ? મારું નામ નોંધાવવાના મારા પક્ષે કારણો આ છેઃ

૧.  ગાંધી અને ડૉ. આંબેડકર વચ્ચે ભારે મતભેદ પ્રવર્તતા હોવા છતાં બંનેએ એકબીજાનું માન જાળવ્યું છે. પૂના-કરારની કડવાશ ભૂલી, ગાંધીજીને રૂઢિવાદી હિન્દુઓએ રાક્ષસ કહ્યા ત્યારે દુઃખી અને હતપ્રભ ગાંધીને દિલાસો આપવા તેમના કહેણને માન આપી કરારના ત્રીજા જ દિવસે જેલમાં મળવા જનાર ડૉ. આંબેડકર હતા.

૨.  સરદાર પટેલ અને કાઁગ્રેસના ભારે પ્રયત્નો હતા કે ડૉ. આંબેડકર બંધારણસભામાં ચૂંટાય જ નહીં. ડૉ. આંબેડકર, બંગાળના પ્રખર દલિતનેતા અને પાકિસ્તાનના પ્રથમ કાનૂની અને શ્રમમંત્રી જોગેન્દ્રનાથ મંડલના સહકારથી અને મુસ્લિમ લીગના ટેકાથી બંગાળમાંથી ચૂંટાયા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડતાં ડૉ. આંબેડકરની બેઠક રદ્દ થઈ. તે સમયે ગાંધીના દબાણથી કાઁગ્રેસે મુંબઈની બેઠક ડૉ. આંબેડકર માટે ખાલી કરવી પડી અને આમ બાબાસાહેબ બીજી વાર બંધારણ-સભામાં ચૂંટાયા અને બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ બન્યા. ગાંધીએ સરદાર અને નેહરુને કહ્યું હતું કે ડૉ. આંબેડકરને બંધારણસભામાં આવતા રોકી એમનું તો તે કશું નહીં બગાડી શકે, પણ દેશનું ભારે નુકસાન ચોક્કસ કરશે.

૩. ગાંધીએ હજુ અમદાવાદમાં પગ માંડ્યો જ હતો અને સાબરમતી આશ્રમનું બાંધકામ સંપૂર્ણ થયું ન હતું, ત્યારે ૧૯૧૭માં ઠક્કરબાપાના પત્રના જવાબમાં ગાંધીએ પ્રથમ દલિતદંપતી દુધાભાઈ અને દાનીબહેન દાફડા અને તેમની નાની દીકરી લક્ષ્મીને આશ્રમવાસી તરીકે સ્વીકાર્યાં. પ્રત્યાઘાત ભારે પડ્યા. બાજુના ખેડૂતે પાણી આપવાની ના પાડી અને દૂધવાળાએ દૂધ આપવાનું બંધ કર્યું. દાન અટકી પડ્યું. ગાંધીનાં મોટા બહેને આશ્રમમાંથી ચાલતી પકડી અને ફરી આશ્રમમાં ક્યારે ય પગ ન મૂક્યો. મગનલાલ ચર્મકામ શીખવા મદ્રાસ જતા રહ્યા. કાકા કાલેલકર પણ ડગમગ્યા. દાનીબહેનના પગ રસોડામાં પ્રવેશતાંની સાથે જ કસ્તૂરબાએ ગાંધી આશ્રમ અને ગાંધીને છોડી પિયર જવાની ધમકી આપી. ગાંધી અડગ રહ્યા અને કસ્તૂરબાને પિયર જવા સામે વાંધો ન ઉઠાવ્યો. કસ્તૂરબા સમસમીને રહ્યાં. પણ હવે અનાજ-પાણી ખૂટી પડ્યાં. સાંજની પ્રાર્થનામાં ગાંધીએ જાહેર કર્યું કે તે આશ્રમ, સામેની સફાઈ-કામદારોની વસ્તીમાં લઈ જશે પણ દલિત દંપતીને આશ્રમમાં જ રાખશે. આ કપરા દિવસોની કોઈક સવારે એક શેઠે આશ્રમને મદદ કરવાનો ગાંધી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. ગાંધીએ તે સ્વીકાર્યો અને બીજે દિવસે એ શેઠ ગાંધીનાં ‘હાથમાં રૂ. ૧૩૦૦૦ની નોટો મૂકી ચાલતા થયાં.’

૪. થોડા દિવસ બાદ નાની લક્ષ્મીને ધૂળમાં રમતી જોઈ કસ્તૂરબાએ ઉપાડી લીધી અને છાતીએ ચાંપી. દુધાભાઈ અને દાનીબહેન મુંબઈ પાછાં ગયાં પણ ગાંધી કસ્તૂરબાના આગ્રહથી લક્ષ્મીને આશ્રમમાં મૂકતા ગયા. લક્ષ્મીને સાસરે ગાંધી-દંપતીએ જ વળાવી. આજ સમયે જ્યારે દુધાભાઈ અને દાનીબહેને ઝંઝાવાતનો સામનો કર્યો તે જ અરસામાં ડૉ. આંબેડકરને અપમાનિત થઈ ત્રણ ત્રણ વાર વડોદરા છોડવું પડ્યું. જો કે ગાંધી-આંબેડકરની પ્રથમ મુલાકાત આ ઘટનાનાં ૧૪ વર્ષ બાદ ૧૯૩૧માં જ મુંબઈના મણિ ભુવનમાં થઇ.

૫. ગાંધી સાથે કોઈ પણ પરિચય ન હોવા છતાં ડૉ. આંબેડકર ગાંધીના ‘સત્યાગ્રહ’ શબ્દથી આકર્ષાયા હતા અને એટલે જ ૧૯૨૭ના મહાડ-આંદોલનનું નામ ‘મહાડ સત્યાગ્રહ’ રખાયું અને સભાસ્થળે ગાંધીનો ફોટો પણ હતો. બંને વચ્ચે જીવનકાળ દરમિયાન આઠ જેટલી મુલાકાત થઈ હતી અને સંબંધમાં ભારે ઉતારચઢાવ આવ્યા. પુના કરાર સમયે ગાંધીના નિકટના સાથીઓએ ડૉ. આંબેડકર માટે જે શબ્દો વાપર્યા હતા, તે મહાદેવભાઈ દેસાઈની ડાયરીના વીસ ભાગમાંથી બીજા ભાગમાં જોઈ શકાય છે.

પણ મારા માટે ગાંધીનો આભડછેટ સામેનો સંઘર્ષ, પણ પોતાના જ આશ્રમમાં પ્રેરણાદાયક રહ્યો છે. ગાંધી કરતાં ય ઠક્કર બાપાનું દલિતો મધ્યે કામ અદકેરું અને ગાંધી ભારત આવ્યા તે પહેલાંનુ રહ્યું છે. પણ ડૉ. આંબેડકરે સ્વીકાર્યું તેમ ગાંધીએ આભડછેટના પ્રશ્નને ભારતના આઝાદીના આંદોલનમાં કેન્દ્રસ્થાને મૂક્યો જરૂર. ગાંધીના સમર્થનમાં આંગળીના વેઢે ગણાય તેટલા જ ગાંધીવાદીઓ હતા, આજની જેમ જ. પોતાના હાથે વણેલ ખાદીમાંથી ગાંધીએ દુધાભાઈ માટે ડગલો સિવડાવેલો. ભારતની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરવી ગુજરાતમાં બે વસ્તુઓ સાથે ચાલી રહી છે. ૧૨૪૬ કરોડના ખર્ચવાળી વિવિધ નામોલ્લેખ હેઠળ સાબરમતી આશ્રમની વૈશ્વિક કક્ષાની આધુનિક સજાવટ અને ગરીબોની વણબદલાયેલી હાલત.

બેએક મહિના પહેલાં કોરોનાકાળના બીજા તબક્કાના અવરોહણ સમયે, ત્રીજી લહેર આવે, તો કોરોના બાળકોને ભરખી જશે, તેવી વૈજ્ઞાનિકોની દહેશતના જવાબમાં નવસર્જન અને જનવિકાસે સાથે મળી પાંચ હજાર જેટલાં કુપોષિત બાળકો માટે પોષણક્ષમ આહારની ગોઠવણ કરી. ગુજરાતમાં ૨૦૧૯માં જેટલાં કુપોષિત બાળકો હતાં, તેનાથી વધી ૨૦૨૦માં બમણાંથી વધુ બાળકો સરકારના ચોપડે નોંધાયાં છે. આ સરકારી આંકડા પણ કોરોનાના આંકડા જેટલા જ આધારભૂત છે. આણંદ જિલ્લો જ્યારે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં બીજા ક્રમે આવ્યો, ત્યારે વધુ પડતાં આંકડા બતાવી જિલ્લાને બદનામ કરવા બદલ કલેક્ટરે આરોગ્યસેવકોને તતડાવેલા તેવા અહેવાલ સરકારી કર્મચારીઓ પાસેથી જ સાંભળવા મળ્યા. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આ કર્મચારીઓએ કબૂલ કર્યું કે ઉપરથી હુકમ છે ઓછાં બાળકો નોંધવાનો.

એશિયા ખંડની સૌથી મોટી અને શ્વેતક્રાંતિની જનક અમૂલ ડેરી જ્યાં છે, તે જિલ્લામાં અને ગુજરાતમાં ચાર વાર મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો તેવા માધવસિંહભાઈ સોલંકીના પોતાના તાલુકામાં કુપોષિત બાળકોની મસમોટી સંખ્યા વિકાસ અને રાજકીય સત્તાની ગરીબો પર અસર સામે પ્રશ્નો ખડા કરે છે. આ પ્રશ્ન છેડવાનું કારણ એ છે કે સાબરમતી સંગ્રહાલય ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈએ તાજેતરમાં અમેરિકાના વિવાદાસ્પદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની વિવાદાસ્પદ 'નમસ્તે ટ્રમ્પ’ વાળી મીટિંગમાં પ્રમુખદંપતીને સાબરમતી આશ્રમ દ્વારા આપેલ ભેટ-સોગાદનો મહિમા પત્રકારોને સમજાવતા ગાંધીનું કથન યાદ કરાવેલું. 'જ્યારે ર્નિણય લેવાના તકાજામાં મનમાં સંશય ઊભો થાય, ત્યારે સૌથી છેવાડાના ગરીબને યાદ કરી આ ર્નિણયથી તેના પર શું અસર પડશે તે અંગે વિચારવું’. તમામ પક્ષના રાજકારણીઓ જન્મથી જ છેવાડાના લોકોનો વિચાર કરતા આવ્યા છે, એટલે તેમને તો કંઈ કહેવાપણું ન હોય, પણ વિચારવાનું અને નૈતિકતાનું ભાથું તો હંમેશાં નાગરિકોને માથે જ હોય છે.

કોરોનાકાળમાં જ્યારે કુપોષિત બાળકોને સૌથી વધુ પોષણની જરૂર હતી, ત્યારે જ ગુજરાત સરકારે ભોજનની દૈનિક વહેંચણી બંધ કરી. બદલામાં મહિનામાં એકાદ વાર સુખડી આપવાનો કાર્યક્રમ થયો. આ સુખડીના સ્થળ પરના અહેવાલો અનુસાર કુપોષિત બાળકોના અતિ નબળા દાંત વચ્ચે ભાંગે તેવી સુખડી ન હતી, એટલે ઘણા ભેજાબાજો બાળકોને સુખડી લેવા લઈ જાય અને બધાના ભાગની સુખડી ભેગી કરે. બદલામાં ગલ્લેથી બાળકોને ગોળી ખવડાવે અને સુખડી ગાય અને ભેંસના દાણમાં વપરાય, તેવો ચીલો પડ્યો છે.

અમૂલ ડેરી માત્ર ભારતદેશનાં નહીં પણ અન્ય દેશનાં બાળકો માટે યુનિસેફના અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માધ્યમથી તે દેશોનાં કુપોષિત બાળકો માટે બાળકો આહારનું ઉત્પાદન કરે છે. લગભગ ૧૫ જિલ્લાના નવસર્જન પાસે અહેવાલો છે કે જ્યાં ઉત્તમ કક્ષાનો અમૂલ દ્વારા બનતો આહાર ગાય અને ભેંસના પેટમાં જાય છે. આ આહારની શરત છે કે તેને ૩૦ ડિગ્રીથી નીચેના તાપમાનમાં સંગ્રહ કરવો, પણ આવી કોઈ વ્યવસ્થા આંગણવાડીમાં ન હોઈ બધો ખોરાક બાળકોને મળે, ત્યારે ખોરો થઈ જવાથી આંગણવાડીની બહાર ઊભેલા પશુપાલકો તેમનાં ઢોર માટે રૂપિયા દસના ભાવે તે ખોરાકનું પડીકું ખરીદી લે છે.

કોવિડની બીમારીથી ભારતમાં ગરીબોની સંખ્યા ૨૬.૫ કરોડથી વધી ૪૦ કરોડ થયાનું અનુમાન છે. દર વર્ષે દુનિયાના દેશોમાં ભૂખ્યા લોકોનું પ્રમાણ મપાય છે. ૨૦૨૦માં ભૂખ્યા લોકો ધરાવના ૧૦૭ દેશની શ્રેણીમાં ભારત ૯૪મા સ્થાને હતું. આપણા પડોશી દેશની સ્થિતિ આપણા કરતાં સારી જણાય છે. આ શ્રેણીમાં શ્રીલંકા ૬૪, નેપાળ ૭૩, બાંગ્લાદેશ ૭૫, મ્યાનમાર ર૭૮ અને પાકિસ્તાન ૮૮માં સ્થાને આવે છે.

પણ ગરીબીની આનાથી ગંભીર વાત એ છે કે ભારતમાં કેટલાં બાળકો ભૂખે મરી જાય છે?

તાજમહેલથી માત્ર સાત કિલોમીટર દૂરના ગલાવિધિચંદ ગામમાં એનાં મા-બાપ, ૪૦ વર્ષની શીલાદેવી અને ૪૫ વર્ષીય પપ્પુસિંઘ અને આઠ ભાઈબહેન સાથે રહેતી પાંચ વર્ષની સોનિયાકુમારી ૨૧ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ મરી ગઈ. સ્થળ પરના અહેવાલ અનુસાર તેના ઘરમાં છેલ્લા ચાર દિવસથી કોઈએ કશું જ ખાધું ન હતું. રાજ્ય સરકારે રાશનકાર્ડ ન હોય તો પણ કોરોનાકાળમાં લોકોને અનાજ વહેંચવું એવો નિયમ જારી કર્યો હોવા છતાં આ કુટુંબને રાહતનું અનાજ રાશનકાર્ડ ન હોવાથી ન આપવામાં આવ્યું. પપ્પુસિંહ ટી.બી.થી પીડાય છે અને કામ કરવા અસમર્થ છે. શીલા ઘરનો એક માત્ર આ આધારસ્તંભ છે અને તે કંઈ પણ કામ કરવા તત્પર હોય છે. વીજળીનું બિલ ૭,૦૦૦ રૂપિયા ચડી જવાથી છેલ્લા એક વર્ષથી ઘરમાં અજવાળું નથી અને પપ્પુ માટે દવાના પૈસા પણ નથી. આ ગામ દલિતોની બહુમતી વસ્તીવાળું છે. પાંચ હજાર કુટુંબની વસ્તીમાં ૨૦૦૦ હજાર કુટુંબ પાસે રાશનકાર્ડ નથી. સરકારી આંકડા પણ એની સાક્ષી પૂરે છે. જો કે એના આંકડા પ્રમાણે ગામમાં રહેતા ૩૬૯૮ પરિવારમાંથી માત્ર ૧૯૧૮ પરિવારને તેણે કાર્ડ વહેંચ્યાં છે. સરકારી કર્મચારીઓ પાસેથી રાશનકાર્ડ કઢાવવા આધારકાર્ડ કઢાવવું જરૂરી છે અને તે કાઢવાનો ભાવ રૂપિયા ૩૦૦ બોલાય છે. સ્થાનિક કર્મશીલની સંસ્થાના સર્વેક્ષણ મુજબ આ ગામમાં માત્ર ૧૯૧ પરિવાર પાસે આયુષ્યમાન ભારતકાર્ડ છે અને તેમાંના મોટા ભાગના ધારકો પૈસાપાત્ર અને કહેવાતા બિન-દલિત પરિવારો છે. સોનિયાના પરિવારનો ચાર દિવસ અગાઉનો ખોરાક 'પારલે જી’ બિસ્કિટ હતાં અને દરેક સભ્યના ભાગે એક બિસ્કિટ આવતું હતું. શાળામાં મધ્યાહ્નભોજન ચાલુ હતું, ત્યારે તો ઘરનાં બેચાર બાળકો ત્યાં જમતાં પણ ખરાં અને મા-બાપ માટે ખોરાક ઘરે લઈ પણ આવતાં હતાં.

આ પરિસ્થિતિ આજના ભારતની છે, જે ગરીબી ગાંધીએ બિહારના ગળીકામદારની જોઈ હતી તે જ. અને જે હિન્દુ બહુમતીની શોધમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીને ભારતના બંધારણનું અસ્તિત્વ સલામત ભાસે છે, તે બહુમતીનું આ સોનિયાનું પરિવાર છે. હવે ગાંધી નથી તો ગરીબોને તેમની હાલત પૂછવા કોણ જાય? સોનિયાના મરણ બાદ સ્થાનિક સંસદ-સભ્ય પોતાની ફોજ સાથે તે પરિવારનું રાશનકાર્ડ અને અનાજ લઈને આપવા ગયા, તે જાણવા છતાં કે ગામમાં આ એક જ મરવાના વાંકે જીવતો પરિવાર નથી. આવા પરિવારના દાખલા અન્ય રાજ્યોમાંથી પણ મળી રહેશે.

નવસર્જન પાસે પૈસા નથી, પણ ગમે તેમ દાન ઉઘરાવીને કોરોનાકાળમાં ૧૦૦૦ વિધવાના પરિવારને દર મહિને રાશન આપ્યું. પણ આ તો સમુદ્રમાં એક ટીપા બરાબર પણ નથી. વિધિની વક્રતા એ છે કે ગરીબ લોકોને પેટનો ખાડો પૂરવા થોડા અનાજ માત્રની જરૂર છે, પણ સરકારના કાર્યક્રમ ૧૦૦૦ કરોડથી નીચેના હોતા નથી અને ચૂંટણી નજીક આવે, ત્યારે આ આંકડા અત્યંત મોટા ગણી કે યાદ ન રાખી શકાય તેવા હોય છે.

ટ્રસ્ટનાં અધ્યક્ષ આદરણીય ઇલાબહેન ભટ્ટ છે, તેમના શ્રમશક્તિ અહેવાલનું મથાળું જ એ હતું : આપણે ગરીબ છીએ પણ આપણે ઘણાં બધાં છીએ. પણ ઇલાબહેન, સરકારને ગરીબોની બહુમતીની જરૂર નથી, એમને તો ગાંધીના મેનુબાર પણ અને ગોડસેના મેનુબાર પણ એક ચોક્કસ સંપ્રદાયની બહુમતીની જરૂર છે.

આશ્રમના નવીનીકરણમાં છ ટ્રસ્ટો સંકળાયેલાં છે. એમાંથી બે ટ્રસ્ટનાં નામ ‘સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ’ અને 'ગુજરાત હરિજન સેવક સંઘ’ એવાં છે. આપ બંને મહાનુભાવો ગુજરાતના માજી અને હાલના મુખ્ય મંત્રી છો. આપણી સરકારે 'હરિજન’ શબ્દને માન્ય ગણ્યો છે? જે ભૂમિમાં વિશ્વકક્ષાનો ગાંધીઆશ્રમ બનાવવાનાં સપનાં જોતાં ગુજરાતમાં જો તાકાત હોય અને ગાંધીની નિષ્ઠા પ્રત્યે ગુજરાતીઓને વફાદારી હોય તો પોતાની અટક 'હરિજન’ બદલીને બતાવે. ગાંધીનું ગાંડપણ એ હતું કે કાર્યક્રમની શરૂઆત પોતાથી જ કરતા, પછી એ બકરીના પ્રયોગ હોય કે આયુર્વેદિક દવાના. એમણે તો જાહેરમાં લખ્યું પણ ખરું કે તેમનો પુનર્જન્મ હોય, તો લોકોનાં મળમૂત્ર ફંફોસ્યા કરતી સ્ત્રીના પેટે અવતરવાની ઇચ્છા છે. તમારું મંત્રીમંડળ જે 'દલિત' શબ્દનો પણ કાંટો કાઢી નાંખવા માંગે છે, તે ગાંધીની વિચારધારાના અનુયાયી બની 'હરિજન’ અટક ગ્રહણ કરી બતાવવા તૈયાર છે? ગાંધી એના કામથી, એની વાતોથી અને એના કર્મથી વિશ્વકક્ષાનો હતો, એની ઇમારતોથી નહીં.

અગાઉ વહેલી સવારે હું ઘણીવાર ગાંધી આશ્રમ જતો અને હૃદયકુંજ પાસે બેસતો. જ્યાં પ્રાર્થનાસ્થળ છે, ત્યાં વપરાયેલા નિરોધની હાજરી અંગે મેં ત્યાંના ટ્રસ્ટીઓનું પણ ધ્યાન દોરેલું છે. સંસ્થાઓ તે માત્ર મકાનો અને ચમકીલા બાગબગીચા નથી. આમે ય ગાંધીનો ઓરડો વિવાદિત લોકો માટે જ પ્રવેશપાત્ર છે, સામાન્ય લોકોને તો તેમને જે ગાંધી વહાલો હતો, તેના ઓરડાના દર્શન જાળીમાંથી ડોકિયું કરીને જ કરવાના હોય છે. જે રીતે ચીન-જાપાનઅમેરિકાના મહારથીઓની મુલાકાત ટાણે આપણે સરકારી ખર્ચે દાંડીપૂલની સામેની ગરીબ વસ્તીને ગ્રીન નેટથી ઢાંકી દઈએ છીએ અને ક્યારેક દીવાલ ચણી લઈએ છીએ તેમ.

ગાંધી માટે પાઈ-પાઈની કિંમત હતી. નોઆખલીમાં ગાંધી ન આવે માટે તેમના રસ્તામાં શરાબની બૉટલો તોડીને પગદંડી પર નાંખવામાં આવેલી અને એમાંના ઘણા કાચ ગાંધીના પગમાં વાગેલા. પણ એનામાં ઝનૂન હતું દેશમાં કોમી સંવાદિતા ઊભી કરવાનું. રાત્રે આ જંગલના રસ્તે માત્ર મનુ અને આભાના સહારે જતા. ધૂળમાં લોકો વચ્ચે બેસતા અને લોકોને આઝાદીનું મહત્ત્વ સમજાવતા. એમની વાત સાંભળી ફાનસ પાસે જ લોકો પાઈપૈસો પોતાનો ફાળો નાંખતા. સભા બાદ મનુ-આભાનું કામ પૈસા ગણીને ભેગા કરવાનું અને એનો દૈનિક હિસાબ રાખવાનું. એક દિવસ મોડી રાત્રે રહેઠાણે પાછા આવી સૂતા પહેલાં ગાંધીએ બે કુમારિકાઓ પાસે દાનના પૈસાનો હિસાબ માંગ્યો અને પ્રશ્ન કર્યો કે તેઓ જે કહે છે, તેટલું જ દાન આવ્યું છે કે વધુ? છોકરીઓ રડમસ થઈ ગઈ. પોતા પર ચોરીનો આરોપ? ગાંધીએ સમજાવ્યું : ત્યાં અંધારું હતું અને ધૂળ હતી. શું ખાતરી કે એક પાઈ-પૈસો ધૂળમાં રહી નથી ગયો. ગાંધીએ બે છોકરીઓને ફાનસ લઈ એકલી જગલમાં મોકલી સાથે ધૂળ ચાળવાની ચારણી સાથે. ડરથી ફફડતી મનુ-આભા રાત્રે એકલી ગઈ અને ધૂળ ચાળીને થોડા પાઈ-પૈસા લઈ પણ આવી.

સજ્જનો, ૧૨૫૦ કરોડ રૂપિયાનો વહીવટ કરવો એ તો સરકારના ડાબા હાથનો ખેલ છે. જે ગરીબો ગાંધીનાં મન-હૃદયમાં વસતા હતા, તે ઘરની સ્ત્રીઓએ પોતાની જિંદગીભરની નાની બચત ઘરની ગોદડીમાં પોતાનાં બાળકોના ભવિષ્ય માટે દારૂડિયા પતિની કાતિલ નજરોથી દૂર સંતાડી રાખેલી અને તેને તમે 'ડીમૉનેટાઇઝેશન’ જેવા દેશની ગરીબી જેવા જ ભારે શબ્દના ખોફ વચ્ચે ધૂળધાણી કરી નાંખી એના હિસાબ આપી જાણો તો તમને સલામ. મારી મા પણ ગોદડીમાં જ પૈસા સંતાડતી હતી. એવી ચર્ચા છે કે રાજકીય પક્ષોએ પોતાના કરોડો રૂપિયાનો વહીવટ આ ખાનગી કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કરી નાંખેલો.

ગાંધીનો આશ્રમમાં પ્રથમ સંઘર્ષ આભડછેટ સામે હતો. તે ઇતિહાસનું ચિત્રણ આશ્રમના નવીનીકરણનો જે નકશો તમે છાપાંઓમાં છાપવ્યો છે, તેમાં હું ભાળતો નથી. તમારી સરકાર તો નવસર્જનના આભડછેટના અભ્યાસથી ડરે છે. નવસર્જને જ્યારે ગુજરાતમાં પ્રથમ વાર ગુજરાતના ઇતિહાસમાં માથે મેલું ઉપાડવાના મુદ્દે વડી અદાલતમાં જાહેરહિતની અરજી ૧૯૯૭માં દાખલ કરી, ત્યારે પણ ગુજરાત સરકારે તો સોગંદનામું એવું કર્યું કે ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા અસ્તિત્વ ધરાવતી નથી, કારણ ગુજરાતે તે પ્રથાને ત્રણ-ત્રણ વાર પ્રતિબંધિત જાહેર કરી છે.

અમારી પાસે દોઢેક હજાર ગામના ફોટા છે કે સરકારે 'સ્વચ્છભારતમાં જે હજારો શૌચાલય બાંધ્યાં છે, તેની વાસ્તવિક સ્થળ પરની હાલત કેવી છે. પણ અમારી દરેક પ્રવૃત્તિ તમને ‘રાષ્ટ્રવિરોધી’ લાગે છે, જેમ ગાંધીની પ્રવૃત્તિ અંગ્રેજોને લાગતી હતી.

ગાંધીનો શૌચાલયના મુદ્દે સંઘર્ષ ભારે હતો. ૧૯૧૧માં મુંબઈમાં સફાઈ-કામદારોની હાલતનું ગાંધીએ કરેલું વર્ણન વાંચવા જેવું છે. ઠક્કરબાપાએ એ હાલત જોઈને જ સરકારી ઇજનેરની નોકરી છોડી આ કામમાં ઝંપલાવેલું. પરીક્ષિતલાલ મજુમદાર અને મામા ફડકેનાં નામ કેમ ભુલાય? મામા તો રત્નાગીરીની જેલમાં પોતાને સંડાસ-સફાઈનું કામ મળે તે માટે ઉપવાસ પર ઊતરેલા અને અંગ્રેજ સરકારમાં રમખાણ મચેલું કે જેનું જ્ઞાતિગત કામ નથી, તેને તે કામ આપવું કઈ રીતે? આ ઉપવાસના સમાચારથી મામાના ટેકામાં ગાંધી સહિત સેંકડો લોકો જેલમાં ઉપવાસ પર ઉતરેલાં.

૧૯૩૦માં ગાંધીની ગોધરાની મુલાકાતમાં ત્યાંની દલિત વસ્તીમાં અજીબ અનુભવ થયો. સમગ્ર ગોધરા શહેરનો આ સ્વચ્છ અને સુઘડ વિસ્તાર હતો, પણ દલિત-ફળિયામાં કોઈ મનેખ ન જણાય. બધાં ય ગાંધીને અને તેના કરતાં ય વિશેષ ગાંધીના ભક્તોને પોતાના પડછાયાની આભડછેટથી બચાવવાની ચિંતામાં હતા. ગાંધીના લાખ આગ્રહ છતાં ય કોઈ નીચે ન ઊતર્યું અને અંતે ગાંધીની વાત માની એક વૃદ્ધ નીચે ઊતરી સભામાં છેવાડે દૂર બેઠા. લોકોએ ગાંધીને કહ્યું પણ ખરું કે તમે જાવ પછી એમના ભક્તો એમની બૂરી હાલત કરશે.

ગાંધીએ અહીંયા દલિત બાળકો માટે શાળા શરૂ કરી પણ શિક્ષક ન મળે. મુસ્લિમ શિક્ષક મળ્યો, પણ બાળકોને એવા ફટકારે કે નજીક કોણ આવે અને છેલ્લે આ કામ મામા ફડકેએ ઉપાડ્યું. પણ બાળકો એમાં નાનાં ભાઈ-બહેનને ઘરે કેમ કરી મૂકી શકે? મામાએ કહ્યું કે એમને લઈને આવો. આ નાનાં ભૂલકાં પેશાબ અને ઝાડા પણ શાળામાં કરે. એની સફાઈ અત્યારે ગુજરાતના ગામમાં શિક્ષકો પોતાના માટે બાળકોને માવા-મસાલા લેવા મોકલે છે તેવા ન હોઈ, મામા પોતે કરતા હતા. કાઁગ્રેસના પ્રથમ અધિવેશનમાં મંચ પરથી ઊતરી સંડાસસફાઈ માટે ગાંધીએ ઝાડુ પકડેલું. આશ્રમમાં સંડાસ કેમ બનાવવાં, એમાં રાખ કેટલી નાંખવી અને એમાં ફળનાં વૃક્ષ કેવી રીતે રોપવાં તેની વિશાળ ચર્ચા એમનાં લખાણોમાં છે.

નવસર્જને આપની સરકારને ૨૦૧૭માં ‘આભડછેટ મુક્ત-ભારત’(કાઁગ્રેસમુક્ત-ભારત કે ભા.જ.પ.મુક્ત ભારત નહીં)ના નેજા હેઠળ એક લીટીનું આવેદન આપેલું કે ૧૫મી ઑગસ્ટના રોજ ધ્વજ ફરકાવ્યા બાદ ગુજરાતના માત્ર એક ગામને આભડછેટમુક્ત જાહેર કરો. પણ આપની સરકારને આમેજ કરેલ વિકાસમાં શ્રદ્ધા ન હતી અને તમે તે એક માત્ર ગામ કે જ્યાં આભડછેટ નથી, તેનું નામ ન આપી શકયા. નવીનીકરણ ગાંધી આશ્રમનું નહીં પણ પ્રજાની વર્ણવ્યવસ્થાથી ખદબદતી દૂષિત માનસિકતાનું કરવાનું છે, પણ તે માટે તમારા અને મારા અંતરમાં ગાંધી અને આંબેડકરનું સ્થાન હોવું જોઈએ.

આજે ગુજરાતની કેટલી શાળાઓમાં પાણીનાં માટલાં એક છે? ગુજરાતની કેટલી શાળાઓમાં મધ્યાહ્‌ન ભોજન દરમિયાન બાળકો એક હરોળમાં જમે છે? આઝાદી પછી ગુજરાત સરકારે 'અસ્પૃશ્યતાનિવારણ’નાં કેટલાં કામ કર્યાં? લાંબો ઇતિહાસ યાદ ન રહે તે સ્વાભાવિક છે. એ માત્ર આપની સરકારની કામગીરી જાહેરમાં જણાવો, તો પણ ઘણું. મુખ્ય મંત્રી તરીકે દલિત કે આદિવાસી અત્યાચારની જઘન્ય ઘટનાઓમાં લોકોને દિલાસો આપવા આપ કેટલાં ગામમાં ગયા છો? એકાદ દલિતના ઘરે પહેલાથી નક્કી કરી એના ત્યાં ભોજન લેવાના કાર્યક્રમનું આયોજન કાબિલેદાદ હોય છે. પણ દલિતને પોતાના ઘરે જમવા બોલાવવાનો કાર્યક્રમ હજુ કોઈએ ગોઠવ્યો નથી. આ આભડછેટની વરવી વાસ્તવિકતાઓનું કોઈ ચિત્રણ કે ઐતિહાસિક નિરૂપણ આશ્રમના નવીનીકરણમાં ખરું?

‘હરિજન સેવક સંઘ’ની શરૂઆત પૂના કરાર બાદ દલિતોનો રોષ ઠારવા માટે થઈ. ત્યારે ડૉ. આંબેડકરે ગાંધીને સણસણતો સવાલ પૂછેલો : આ ટ્રસ્ટમાં એક પણ દલિત ટ્રસ્ટી કેમ નહીં? ગાંધીનો જવાબ હતો કે અસ્પૃશ્યતા એ અમારા બિનદલિતોનું પાપ છે, એટલું એનું પ્રાયશ્ચિત્ત છે. સાચું. હરિજન સેવકસંઘની પ્રવૃત્તિઓ કઈ? આજે ગાંધી-આશ્રમમાં સેંકડો લોકો આવે છે, તે શૌચાલયની સફાઈ કોણ કરે છે?

આઝાદી માટે પ્રશિક્ષિત કાર્યકરોની ફોજ ઊભી કરવા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એમાંના એક ટ્રસ્ટી આદરણીય નારણભાઈ રાઠવા હતા. એમની વૃદ્ધ ઉંમરે તેમની સાથે કામ કરવાનો મને અનુભવ છે. એ વિદ્યાપીઠમાં સભા માટે આવે, ત્યારે ખબર પડી કે એમના માટે ભોજન રસોઇયો રાંધવાના બદલે, બહારથી મંગાવતો હતો. આંખોમાં ઝળઝળિયાં સાથે નારણભાઇ એ મુદ્દે મૌન રહ્યા. પણ હું અસ્વસ્થ થઈ ગયો હતો. આ વિદ્યાપીઠમાં દલિત વિદ્યાર્થીઓ જ્ઞાતિગત ભેદભાવના મુદ્દે અગાઉ રમખાણે ચડ્યા છે? એની જાહેર ચર્ચાઓ થાય ખરી?

ગાંધીના ગયા બાદ આ સંસ્થાઓમાંથી ગાંધીનાં મૂલ્યો પણ ગયાં. જે રહ્યું તે જમીન અને એની સંપત્તિ અને ખાદી-ચરખો-ત્રણ વાંદરાનાં રમકડાં. સંપત્તિનું નવીનીકરણ થાય તેમાં કોઈને વાંધો લેવો અઘરો છે. પણ ગાંધીઆશ્રમમાં આંતરજ્ઞાતીય લગ્નો કે ભોજન-સમારંભો ગોઠવો તો ઘણું. આશ્રમમાં જ ગાંધીએ લક્ષ્મીનાં લગ્ન કરાવેલાં. વર્ધાના આશ્રમમાં, ભારતની બંધારણસભામાં ૧૫ સ્ત્રી-સભ્યોમાં એક માત્ર દલિતસ્ત્રી, દક્ષિયાનીવેલાયુધન, જે ભારતની પ્રથમ સ્નાતક અને તે પણ વિજ્ઞાનશાખામાં ઉત્તીર્ણ થનાર દલિત સ્ત્રી, તેનાં લગ્ન ગાંધી-કસ્તૂરબાએ કરાવેલાં. ગાંધીએ દક્ષિયાનીને છૂટ આપેલી કે વર્ધાના આશ્રમમાં તે માંસાહાર કરી શકે પણ તેમની વિનંતી હતી કે રાંધવાનું કામ એની પોતાની કુટિરમાં જ થવું જોઈએ. ગુજરાતમાં અને ભારતમાં જે કોમો શાકાહારી ગણાય છે, તેમાંના ૪૫ ટકા લોકો માંસાહારી છે. ગાંધી આશ્રમમાં કે ગાંધીવાદી સંસ્થાઓમાંના રસોડાના ભોજનમાંથી વૈચારિક આતંકવાદ દૂર કરવાનું શક્ય છે ?

જિંદગીનો મોટો ભાગ ગાંધીએ કારાવાસમાં વિતાવ્યો. પૂનાની જેલમાં જ કસ્તૂરબા મરણ પામ્યાં. ગાંધીએ પણ સારું મોત ન જોયું. હવે એનું અને એના નામે કરવાનું બાકી શું છે? ગાંધીઆશ્રમમાં નચિકેતભાઈ ધરણા પર બેઠા તો બે ટ્રસ્ટીએ એમને બેસવાની વ્યવસ્થા ગાંધીઆશ્રમની બહાર ફૂટપાથ પર કરી આપી અને પાથરણું પણ આપ્યું. ક્યા ગાંધીના વૈચારિક વારસાનો આપણને ગર્વ છે?

લખવું ઘણું છે પણ અહીં જ પૂરું કરું છું. ગાંધીના ભૌતિક વાતાવરણનું નવીનીકરણ ભલે થાય. એનાથી ઓછા લોકોના પેટમાં તેલ રેડાશે કે બળતરા થશે પણ ૧૨૫૦ કરોડની માતબર રકમથી ઘણા વધારે લોકોને ગલગલિયાં થશે. મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ આઝાદીકાળમાં લખેલુંઃ 'ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે’. લાગે છે તે ક્યારેક ગાંધીના ગુજરાતમાં સાચું પડશે?

૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

માર્ટિન મેકવાન

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 05-08

Loading

...102030...1,7531,7541,7551,756...1,7601,7701,780...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved