Opinion Magazine
Number of visits: 9570941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૈત્રીથી પ્રેમ તરફ –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 October 2021

કુદરતે સ્ત્રી અને પુરુષમાં એકબીજા તરફનું આકર્ષણ એવું મૂક્યું છે કે તે ખતમ થતું જ નથી. સ્ત્રી કે પુરુષ એકબીજા તરફ ભારોભાર નફરત ધરાવે તો પણ એ બંનેએ આજ સુધી તો એકબીજા પર ચોકડી મારી નથી. એ ખરું કે સ્ત્રી- સ્ત્રી વચ્ચે કે પુરુષ-પુરુષ વચ્ચે પણ પ્રેમ થવાના બનાવો વધ્યા છે, પણ તે સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમના અભાવમાં અકુદરતી રીતે વિકસ્યા હોવાનું વધારે લાગે છે. એ સંબંધ જ્યાં હોય ને એમાં સંડોવાનારને કોઈ પ્રશ્નો ન હોય, તો ભલે એનો આનંદ મેળવાતો, પણ આ સંબંધો ફળદાયી નથી. સ્ત્રી-પુરુષના પ્રેમની પરિણતિરૂપ બાળકની પ્રાપ્તિ એ સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધમાં અત્યાર સુધી તો શક્ય નથી બની. એ સંદર્ભે પણ સ્ત્રી-પુરુષનો સંબંધ વધારે કુદરતી છે, એવું નહીં?

એક સમય હતો જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ લગ્નથી પ્રમાણિત થતો હતો. મતલબ કે સમાજ પતિ-પત્નીના સંબંધને જ માન્યતા આપતો હતો. એનો અર્થ એવો નહીં કે લગ્ન બાહ્ય સંબંધો બંધાતા જ ન હતા. એ બધું ત્યારે પણ હતું, જેમ આજે છે. આજે એનું પ્રમાણ વધારે લાગે છે તેનું કારણ છે. જે સમાજમાં એકથી વધુ પતિ કે પત્નીની છૂટ છે ત્યાં એનું પ્રમાણ ઓછું છે, કારણ એવા સંબંધો લગ્નમાં ફેરવી દેવાય છે. એકથી વધુ પત્ની કે પતિની એક સમયે છૂટ હતી, આમ તો બહુપત્નીત્વ જ મુખ્યત્વે અમલમાં હતું એટલે લગ્નેતર સંબંધોનું પ્રમાણ ઓછું હતું. એ પછી એક પતિ-પત્નીત્વનો કાયદો આવ્યો એટલે વધુ પત્ની કે પતિ ન રાખી શકાય એ વાત અમલમાં આવી, એટલે એવા સંબંધો લગ્નેતર સંબંધના ખાનામાં જઈને પડ્યા ને આજની સ્થિતિ તો એવી છે કે લગ્નેતર સંબંધો કે લિવ ઇન સંબંધોનું પ્રમાણ ઘણું છે. એવા સંબંધોનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે પરિણીતોમાં વધારે છે. બે અપરિણીત વ્યક્તિ હોય તો એ તો પરણી શકે, પણ પ્રશ્નો, બેમાંથી એક પરિણીત હોય અથવા એ બે પતિ-પત્ની ન હોય, એવાં પરિણીતો હોય ત્યારે વધારે હોય છે ને આજે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં આવા સંબંધો પણ ભાગ ભજવે છે તે નોંધવું ઘટે. 

પણ સવાલોનો સવાલ એ છે કે વિજાતીય આકર્ષણનું પ્રમાણ આજે પણ અકબંધ કેમ છે? એક સમય હતો, જ્યારે સ્ત્રીઓમાં શિક્ષણનું અને નોકરીનું પ્રમાણ ઓછું હતું. સ્ત્રીઓ બહુ બહાર નીકળી શકતી ન હતી. બાળકીઓ ખાસ ભણતી જ નહીં, એટલે કન્યા કેળવણી ઓછી ને મોડી શરૂ થઈ. એ બધું છતાં જાત પાત જોયા વગર પણ પ્રેમ થતો જ અને પ્રેમીઓને એક ન થવા દેવા સમાજ તેનું પૂરું જોર લગાવતો પણ ખરો. મોટે ભાગે તો માબાપ નક્કી કરે ત્યાં જ છોકરા-છોકરી પરણી જતાં ને ન ગમતી વ્યક્તિ જોડે જ ઘણુંખરું જીવન કાઢી નાખવાનું થતું. શરીરની માંગને વશ વર્તીને કજોડાં, માબાપ થઈ જતાં ને એમ ગાડી ઘરેડમાં પડી જતી. એમાં હવે ઘણો ફેર પડ્યો છે. હવે તો એવું છે કે છોકરી પણ છોકરાને લગ્નની ના પાડી શકે છે. પહેલાં ન ગમતી છોકરીને, છોકરો ના પાડી દેતો. એ હક છોકરીને ન હતો. હવે એટલું થયું છે કે છોકરા-છોકરી પસંદગીનાં લગ્ન કરે છે. એ વાત જુદી છે કે એવાં લગ્નો પણ નિષ્ફળ જાય છે ને એવું બને છે કે એરેંજ્ડ મેરેજ સફળ પણ જાય છે.

આજના જમાનાની તાસીર એવી છે કે મૈત્રીનો મહિમા વધારે છે. જો કે, મિત્રો આગલા જમાનામાં પણ હતા જ. હા, વિજાતીય મૈત્રીનો મહિમા આજનું વરદાન છે. કે.જી.,નર્સરીથી જ કદાચ છોકરા-છોકરીઓ મૈત્રી કરતાં થઈ જાય છે. પછી ઉંમર વધે તેમ તેમ મૈત્રીના પ્રકારો પણ વધે છે. કોઈ બોયફ્રેંડ હોય છે, તો કોઈ ગર્લફ્રેંડ હોય છે. ફ્રેન્ડ કરતાં આ ફ્રેન્ડ જરા જુદા હોય છે. એમાં મૈત્રીની ઔપચારિકતાઓ ઉપરાંત, કદાચ લાગણી ને અધિકાર વિશેષ હોય છે. આ મૈત્રીમાં ક્યાંક ને ક્યારેક શરીર પણ ઉમેરાય છે. આ ઉમેરણ ખાનગી હોવાની સંભાવનાઓ વધારે હોય છે. મૈત્રી માબાપ જાણતાં હોય છે. જોકે, શરીર સંબંધથી માબાપને અજાણ રાખવામા આવે છે. આ સંબંધમાં ઉંમરની પુખ્તતા પણ ઘણુંખરું હોતી નથી. આ કાચી ઉંમરનો સંબંધ છે. એમાં સમજ કરતાં ઉતાવળ વધારે છે. મોટે ભાગે આ મૈત્રી નિષ્ફળ જવા જ સર્જાયેલી હોય છે. ઘણુંખરું તો શિક્ષણ પૂરું થાય કે નોકરી દૂર ક્યાંક લાગે તો સમજીને આ મિત્રો છૂટા પડી જાય છે અથવા તો ખરેખર પ્રેમ હોય તો લગ્નની શરણાઈ વાગે પણ છે.

પણ અહીં મૈત્રીની જટિલતા જાણવા જેવી છે. છોકરા-છોકરી નાની ઉંમરે પરિચયમાં આવે છે તો એવાં તમામ સંબંધોમાં, શરૂઆતમાં તો વિશુદ્ધ મૈત્રી જ હોય છે. એ જુદી વાત છે કે વિજાતીય મૈત્રીની પરિણતિ અંતે તો શરીર સંબંધ જ હોય છે. એ પણ સાચું કે કેટલાક મિત્રો મૈત્રીની મર્યાદામાં લાંબો સમય રહે છે. મોટે ભાગના તો તેથી આગળ નથી પણ વધતાં, પણ વાત આગળ ન જ વધે એવું પણ નથી. તો, પ્રશ્ન એ થાય કે કહેવાતી સાદી મૈત્રીમાં એવું શું થાય છે કે તે મૈત્રી ન રહેતાં, પ્રેમમાં પરિણમે છે? ઘણી વાર તો આ પ્રેમ ઓળખાતો જ નથી ને દોસ્તી, છે ! દોસ્તી, છે-નું રટણ ચાલ્યા કરે છે. એ સાથે મીઠું જુઠાણું પ્રેમને ન કબૂલવાનું પણ ચાલે છે. સામેનું પાત્ર જે સાંભળવા તલસી રહ્યું હોય એ પ્રેમનો એકરાર ઘણી વાર તો મૃત્યુ આવી જાય તો પણ નથી થતો. શરીર સંબંધ થઈ જાય, પણ પ્રેમ ન થાય એવું પણ બને છે. પ્રેમ એટલો સરળ છે કે એના જેટલું જટિલ બીજું કૈં નથી. એક જ વાક્ય કહેવાનું હોય કે હું તને ચાહું છું – પણ એટલું નથી કહેવાતું ને બીજું ફાલતું એટલું કહેવાતું હોય છે જેની સીમા નથી.

એવું પણ થાય છે કે મૈત્રીના પ્રકારોમાં અટવાયેલાં પાત્રો પ્રેમને ઓળખી શકતાં નથી. પ્રેમ કોઈના એકરારની રાહ નથી જોતો, એ તો કૈં પણ બોલ્યા વગર થઈ જાય છે. મૈત્રી જાહેર થતી હોય છે ને પ્રેમ છૂપો રહી જાય છે. અહી સંકોચ ભાગ ભજવે છે. સાચું તો એ છે કે અપમાનિત થવાની તૈયારી રાખીને, જેને માટે લાગણી હોય તેની સામે તે પ્રગટ કરી જ દેવી જોઈએ. પ્રેમ ન કહી શકવાનું દુ:ખ એટલું ઘૂંટાતું ને ગુણાતું રહે છે કે છેવટે અફસોસ જ સિલકમાં રહે છે. પ્રેમ શરૂ થવાની કોઈ ચોક્કસ રીત કે રીતો નથી. ઘણા મિત્રો હોય છે. એ બધા સાથે પ્રેમ થતો નથી, પણ કોઈ એક પર નજર પડતી થઈ જાય છે. એ એક કોણ તે પણ નક્કી નથી થઈ શકતું. એવું જ સામે પક્ષે પણ હોઈ શકે છે. કોઈ એકની સાથે વધારે વાત કરવાનું મન આપોઆપ જ બને છે. એની સાથે વાતો થતી જ રહે ને પૂરી જ ન થાય એવું પણ મનમાં થાય છે. એ પાત્ર સામે ન હોય તો પણ તેના જ વિચારોનું રંગીન જાળું ગૂંથાતું રહે છે. મિત્રો મળવાના હોય એમાં એ પાત્ર આવે તો સારું એવી ઇચ્છા થતી રહે છે. પહેલાં મિત્રો માટે તૈયાર થવાનું હતું, હવે કોઈ એક માટે જ તૈયાર થવાનું ગમે છે. એને શું ગમે છે, એની પસંદગી કેવી છે, એના વિચારો કેવા છે એ બધાંમાં અજાણતાં રસ પડવા માંડે છે ને એને ગમતું બધું કરવાનું ગમે છે. એ સાથે જ એવી અપેક્ષા પણ રહે છે કે સામેનું પાત્ર પણ પોતાનામાં રસ લે, એની કાળજી લે.

આમ તો આ બધું મળવામાંથી શરૂ થાય છે ને પછી ન મળવાના પ્રસંગો પડે છે. નથી મળાતું તો નથી ગમતું ને મળાય છે તો હરખનો પાર નથી રહેતો. એ પાત્ર માટે હૈયામાં આંસુ ને હર્ષ બનવાના શરૂ થાય છે. દૂરથી જોતાં જ એને ભેટી પડવાનું મન થાય છે. મિત્રોને ભેટવાનું કેઝ્યુઅલ હોય છે, પણ આ ભેટવાનું જુદું હોય છે. સાવ જુદાં જ સંવેદનો ફૂટે છે. પ્રિય પાત્ર બહારગામથી આવતું હોય તો સ્ટેશને એની રાહ જોવાનું ગમે છે. સ્ટેશને પહોંચવાનું બને એ પહેલાં મન અનેક વાર સ્ટેશનને ખૂણે ખૂણે ફરી વળે છે ને શરીર ખરેખર તો મોડું પડતું લાગે છે. પ્રેમમાં શરીર કરતાં મન હંમેશાં મોડું પહોંચતું હોય છે. ઘણી રાહ જોવડાવીને એ પાત્ર આવે છે તો આથમ્યો હોય તો ય ભીતરે સૂર્યોદય થાય છે ને એ પાત્ર નથી આવતું તો પ્રભાતે પણ અનેક સૂર્યો ડૂબી જતાં અનુભવાય છે. ટ્રેન આવી જાય છે ને નક્કી કરેલા બુકસ્ટોલ પાસે પાત્ર આવતું નથી તો જે ઉતાવળે નજર ભીડમાંથી પ્રિયને શોધે છે એની કોઈ સેલ્ફી શક્ય નથી. કદાચ ઉપરના બુક સ્ટોલ પર તો નહીં રાહ જોવાતી હોય એમ માનીને ઉપર જોઈ આવવાનું મન થાય છે ને તરત જ એમ થાય છે કે એટલામાં પેલું પાત્ર અહીં આવી ચડ્યું તો? પોતાને ન જોતાં ચાલી તો નહીં જાય ને ! ને એવી ફાળ પડે છે કે બુકસ્ટોલ પર જ થાંભલાની જેમ ખોડાઈ જવાય છે. એવે વખતે થાય છે કે માણસને ચાર પાંચ શરીર હોવાં જોઈએ. એક બુક સ્ટોલ પર રાહ જુએ. એક પ્લેટફોર્મ પર બધાં ડબ્બા તપાસી આવે, એક પ્રિયને જ તેના ઘરેથી બુકસ્ટોલ સુધી લઈ આવે ને અહીં કાગ ડોળે રાહ જોઈ રહેલ પાત્રને સોંપે … પણ શરીર બધું મળીને એક જ હોય છે ને એમાં જે પોતે છે તે પેલાં પાત્રને સમગ્રતામાં જીવ રેડીને ચાહે છે.

આટલું મૈત્રીમાં થાય? ના, એ પ્રેમમાં જ શક્ય છે … 

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (63)

સુમન શાહ|Opinion - Opinion|17 October 2021

સમજદાર મનુષ્યો સમજે છે કે આ કોરોનાકાળ ખરેખર મુશ્કેલ છે. હું એમની આગળ મારું એક નમ્ર મન્તવ્ય મૂકું છું કે મુશ્કેલ છે એ તો બરાબર પણ માણસજાત એક એવા સમયમાંથી ગુજરી રહી છે જેને પરિવર્તનકાળ કહેવો જોઈશે. એટલું જ નહીં, એને આવી રહેલા બહુ મોટા બદલાવનો સમય કહેવો જોઈશે. સૂચવાય છે એમ કે કોરોના છે ત્યાં લગી અને જાય પછી તો ખાસ, માણસે બદલાઈને જુદી જ રીતે જીવતાં શીખવું પડશે.

આ દુ:સમયને અનુભવતાં, મને એક સમાન્તર વિચાર એ આવે છે કે માતૃભાષા ગુજરાતી પણ એક બહુ મોટા પરિવર્તનકાળમાંથી ગુજરી રહી છે. ગુજરાતી મરી રહી છે એમ કહેવું એ એક ભાવના છે. ભાષાવિજ્ઞાન વિજ્ઞાન છે એટલે એમાં ભાવનાઓને ઝાઝું સ્થાન નથી.

કહેવું તો એ જોઈએ કે આ બદલાવનો સમય છે તેથી ગુજરાતીનું ખરા શિક્ષિતો વડે સચવાયેલું શુદ્ધ રૂપ ઝડપથી વેરવિખેર થઈ રહ્યું છે. એની જાળવણી કરનારા ઘટવા લાગ્યા છે. બદલાવ વિકસે તો એક એવો દિવસ આવે જ્યારે જાળવણી કરનારાઓને જ ખોટા ગણવામાં આવે ! ઊંધું સમજાય કે ભાષા-સંરક્ષણનો પુરુષાર્થ કર્યો તે વ્યર્થ હતો !

મોટા ભાગના ગુજરાતીઓ શબ્દપ્રયોગો ભૂલવા માંડ્યા છે. એમનું શબ્દભંડોળ ગરીબડું દીસે છે. એમનામાં અતિ વેગે માતૃભાષાનો હ્રાસ થઈ રહ્યો છે. કેટલીયે વ્યક્તિઓ એ હ્રાસનો ભોગ બની રહી છે. ભાષાના તન્ત્રને વિશેનો પ્રેમ અને તેથી નીપજતો ભાષિક લગાવ બહુ ઓછાઓમાં બચ્યો છે. ખાસ તો, ભણેલાગણેલા શહેરીજનો જાણ્યે-અજાણ્યે ભાષાકીય બેદરકારી દાખવી રહ્યા છે – જેને અંગ્રેજીમાં લિન્ગ્વિસ્ટિક નૅગ્લિજન્સ, ડિસ-રીગાર્ડ કે લૅક્સિટી કહી શકાય.

ભાષા-હ્રાસ

Pic courtesy : SlideShare

આપણે રોજે રોજ જોઈએ છીએ કે શિક્ષિતો અને કેટલાક સાહિત્યકારો જોડણી બાબતે ઉદાસીન થતા જાય છે. કોઈ તો વળી અવળું પૂછે છે કે જાણકારો જો સુધારીને વાંચી લે છે, તો પછી તકલીફ શું છે? લોક એમ પણ કહે છે કે જોડણીની ચિન્તા છોડો, લખાણમાં મૂકેલી વાતો જો સમજાય છે, તો બસ છે !

આમાં, યોગ્ય શબ્દની પસંદગી, સરખી વાક્યરચના, વિરામચિહ્નવિનિયોગ, વગેરેની સમુચિતતા તો બહુ દૂરની વાત બની જાય છે, કેમ કે ભાષિક લગાવ નામનું મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય !

કેટલાક શિક્ષિતો અને સારા લેખકો પોતાની વાતોમાં કહેવતો રૂઢિપ્રયોગો અને અલંકારો પ્રયોજતા હોય છે. વાતને અસરકારક બનાવવા તેઓ ‘અજાગલ ન્યાય’ કે ‘સ્થાણુખણન ન્યાય’ જેવી ન્યાયોક્તિઓ પણ દાખલ કરતા હોય છે. વાર્તાસર્જકો ગદ્યની મોહિની વડે અને કવિઓ પદ્યલયની મધુરતા વડે કલા સિદ્ધ કરતા હોય છે.

એ સૌ શબ્દસ્વામીઓ સ્ટુપિડ આ જિન્દગીને બે ઘડી માટે જીવવા જેવી બનાવી આપે છે. પણ એ બધું રૂડું ને રૂપાળું હવે ગઈકાલની વાત લાગવા માંડ્યું છે. શાખા ન હોય પછી પાન, ફૂલ ને ફળ ક્યાંથી હોય.

પ્રશ્નો આ છે : બદલાવના આ સમયગાળા દરમ્યાન કે નજીકના ભવિષ્યમાં નવું કે જુદું જોડણીતન્ત્ર રચાશે? અરબી-ફારસી મૂળના કે સંસ્કૃત તત્સમ શબ્દો ઓછા થઈ જશે? દેશ્ય અને તળના શબ્દ બચશે? નવા શબ્દો નીપજી આવશે? નવું કે જુદું વાક્યતન્ત્ર ઘડાશે? ત્યારે ગદ્ય કેવું હશે? ત્યારે પદ્ય કેવું હશે? ત્યારે ભાષા અને મનુષ્યજીવન વચ્ચે ચિર કાળથી જે સમ્બન્ધ દૃઢ થયેલો છે તે કેવુંક રૂપ લેશે?

સાયન્સ ફિક્શનના નવલકથાકારોએ નૉંધ્યું છે કે અંગ્રેજી ભાષા કઠિન અને અતાર્કિક છે. વિજ્ઞાનીય નથી. કાર્યક્ષમ નથી. તેઓ ‘ફ્યુચરિસ્ટિક હ્યુમન લૅન્ગ્વેજ’ શોધી રહ્યા છે. તેઓ ‘અલ્ટ્રા-લૉજિકલ યુનિવર્સલ લૅન્ગ્વેજ’-ની પૂર્વધારણા બાંધી રહ્યા છે. તેઓએ ‘લીગ લૅટિન’  ‘ઍન્ગ્લિક’ ‘બેઝિક’ ‘ઇન્ટરલૅક’ ટ્રિપ્લાનેટેરિયન’ જેવાં નામાભિધાન પણ કર્યાં છે.

ભવિષ્યની માનવભાષા વિશે હું એથી વિશેષ કશું જ જાણતો નથી. પરન્તુ મનુષ્યભાષાને ભાષાવિજ્ઞાન એક અતૂટ રૂઢિ – અન્બ્રેકેબલ ટ્રેડિશન – ગણે છે તે જાણું છું ને તેથી મારાથી કહી શકાય છે કે ભાષા અને જીવન વચ્ચેના સમ્બન્ધનો સર્વનાશ નહીં થાય. અને, મનુષ્યભાષાના ઉદ્ભવમાં ભાષાવિજ્ઞાન યદૃચ્છા – આર્બિટ્રરિનેસ – જુએ છે તેથી મારાથી કહી શકાય છે કે એ સમ્બન્ધ નવા કે જુદા રૂપે પણ અવશ્ય સરજાયો હશે.

ઉત્તર કોરોનાકાળે આપણે માસ્ક પ્હૅરતા થઈ ગયા હોઈશું. પ્રાચીનો કરતા એમ બ્હારથી ઘરે પ્હૉંચ્યા પછી, સૌ પહેલાં હાથ-મૉં ધોઈ લેશું. ન્હાઈ લેશું. ગમે એ ઘડીએ વ્હાલા થવા એકમેકને ભેટશું નહીં. પરદેશી ફિલમોની અસરમાં આવી જઈને મન ફાવે એ સ્થળે કિસ કરવાની જોબનાઈ દાખવશું નહીં. જાહેરમાં થૂકશું નહીં, પેશાબના તો વિચારને પણ જંગાલિયત ગણશું. આ જ રાહે, બને કે આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ આપણી ભાષિક વર્તણૂકો પણ બદલાઈ જશે. નવી જોડણી કે ભાષા માટેનું નવું કંઈપણ શોધાયું હશે તેનો આદર કરતા હોઈશું, પ્રેમથી તેને આચરણમાં મૂકતા હોઈશું.

પણ એ નવ્ય બધું થાય ત્યાં લગી જે કંઈ ભુલાઈ ગયું છે તેને યાદ તો કરી જ શકાય છે. પ્રિયા છોડી ગઈ હોય પણ તેની સાથેનો આહ્લાદક સમય યાદ કરવાથી કેટલું સારું લાગે છે ! જીવન જીવવા જેવું લાગે છે. કોરોના-સંકટ વચ્ચે આપણાથી કેટલીયે ચીજો ભુલાઈ ગઈ છે તેમ આપણાથી કેટલા ય શબ્દપ્રયોગો ભુલાઈ ગયા છે, પણ યાદ કરવાથી સારું લાગે છે. 

જેમ કે, આ દૃષ્ટાન્તો જુઓ —

: એ તો મને તે દિવસથી ‘અક્કારો પડી ગયો’ છે : મારા ‘નાકનો’ સવાલ છે : ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ : એનો મારા માટેનો પ્રેમ હવે ‘ડચકાં ખાય’ છે : રોગ ‘કૂદકે ને ભુસ્કે' આગળ વધી રહ્યો છે : ‘લમણાંઝીક’ છોડો : ‘ભડભડિયો’ છે : ‘વલકુડો’ છે : ‘બુડથલ’ છે : ‘લડવાડિયો’ છે : ‘ગગો’ છે : ‘ચાંપલી’ છે : ‘છીછરી’ છે : ‘વંઠેલી’ છે : 'વઉલી' રમાડે છે : અરે, નાનું ‘ઢીમું’ તો છે, મટી જશે ! : શી ‘મૉકાણ માંડી’ છે !  ‘ફૂટલા નસીબનો’ છે : 'વહુઘેલો' છે : હવે બરાબ્બરનો ‘હલવાયો’ છે : ‘સફાળો બેઠો થઈ ગયો’ : ‘ભેદી’ છે : એ કુટુમ્બનો વિશ્વાસ નહીં, ‘નાગું વાજું’ છે : આવું કરાય? ’છી ગંધાય’ છે? : એનું ‘ઠેકાણું’ નહીં, ‘છટકેલ’ છે : એને તો ‘છીંડાં શોધવા’ સિવાયનું બીજું આવડે છે શું? : સાહેબે એને એવો તો ‘લબડધક્કે લીધો’ કે ન પૂછો વાત : એ પછી એ ‘ડોકાતો’ નથી : 'માવડિયો' છે : કરી કરીને હવે કેટલો ‘ઢાંકપિછોડો’ કરશો? : ‘દાંતિ યાં’ ન કર, સીધું બોલ : ‘હતપત’ બહુ કરે છે : સાલાના ‘પૂઠિયાં’ ભાંગી નાખીશ : તે દા’ડાની એ બહુ ‘ફૂંગરાય’ છે : એ તો ‘લૂલી હલાવી જાણે’ છે : એ તો મારા ‘હૈયાનો હાર’ છે : વગેરે.

આ કે આવા ભુલાઈ ગયેલા પ્રયોગો તમે પણ અહીં મૂકો. આજકાલની આપણી વાતોમાં પ્રયોજવા માંડીશું તો કોરોના-વૅક્સીન કરે છે એવા ભાષિક ફાયદા જરૂર થવા માંડશે; પ્લીઝ શરૂ કરો.

= = =

(October 17, 2021: USA) 

Loading

કોલસા, હાથ તો ઠીક, મોં કાળું ના કરે તેમ ઇચ્છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 October 2021

એમ લાગે છે કે બધું ઠીક ચાલતું હોય ત્યાં કોઈ ડિંગલી કરતું રહે છે. તહેવારો આવે છે કે મીડિયા માર્કેટને ભાન કરાવે છે કે તેલ, શાકભાજી, કઠોળ મોંઘાં કરવાનું ચુકાય નહીં. ભાલો મારો તો પણ અસર ન થાય એવી જાડી ચામડી લોકોની થઈ ગઈ છે. પેટ્રોલ, ડિઝલ રોજ મોંઘાં થાય છે, પણ લોકોને એ કોઠે પડી ગયું છે. બધે જ મોંઘવારીનો માર પડે છે, પણ લોકો હરામની કમાણી ઘણી હોય તેમ ચૂપ છે. એ પણ ખોટું છે કે લોકોની આવક ઘટી છે ને ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. એવું ખરેખર હોય તો લોકો લાશ કરતાં પણ વધારે શાંત કેવી રીતે રહે?

જે પાકિસ્તાન આતંકી ઉપદ્રવ ને સરહદી અટકચાળા કરવામાંથી વાજ ન આવતું હોય ને એની ખો ભુલાવી દેવાની હોય, તેને બદલે દેશના જવાનો વધેરાતા જતા હોય ને સામે બે પાંચ આતંકવાદીઓને ઠાર મારીને સરકાર રાજી રહેતી હોય તો એ વાત પણ આપણું લોહી ઠંડું પડી રહ્યું હોવાની ચાડી ખાય છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ અરુણાચલની મુલાકાત લે ને ચીનને તેલ રેડાતું હોય એ પણ વાજબી નથી. ચીન અને પાકિસ્તાન, ભારતને કપાળે ચોંટેલું કારમું કલંક છે, પણ કોઈ અગમ્ય કારણોસર ભારત ભાઈબાપા કરીને દિવસો કાઢે છે. આપણી ઉપદ્રવી સરહદો, રોજ સર્જિકલ સ્ટ્રાઈક માંગે છે, પણ સરકારનું મૌન તૂટતું નથી. એ સાચું કે યુદ્ધ કદી નોતરવું નહીં, પણ આતંકી પ્રવૃત્તિ નિર્દોષોનાં લોહી રેડતી જતી હોય ત્યાં ભારતીય સંયમ, શત્રુને નબળાઈ લાગવાનું પૂરું જોખમ છે.

એમ પણ લાગે છે કે પ્રજા જેનાથી અવગત નથી, એનાથી મીડિયા અવગત કરાવવા તત્પર રહે છે. મોટે ભાગની પ્રજા એના બે છેડા મેળવવાની ફિકરમાં રહે છે ને એકાએક ફણગો ફૂટે છે કે ભારત કોલસાની તીવ્ર અછતથી પીડાઈ રહ્યું છે. ઓચિંતો જ ફણગો ફૂટે છે ને કોલસાની અછત દેશભરમાં ગૂંજી ઊઠે છે. કોલસાની અછત ચીન પણ અનુભવે છે, એવી વાતો પણ વહેતી થઈ જાય છે. હવે આ વાત કૈં લોકોએ શરૂ કરી નથી, એ ક્યાંકથી શરૂ થાય છે ને એવો વહેમ પડે છે કે લોકોનું ભેજું ચકરાવે ચડાવવા કોઈએ ગોળો ગબડાવ્યો છે. એવું એટલે લાગે છે કારણ, સરકાર બચાવમાં આવી જાય છે ને કહેવા લાગે છે કે કોલસાની ક્યાં ય કોઈ તંગી નથી. લોકોએ તો કૈં કહ્યું નથી કે કોલસાની તંગી છે, પણ સરકાર વકીલાત કરવા લાગે છે કે કોલસાની તંગી નથી. ખરેખર તો તંગીની વાત ફેલાવનાર તત્ત્વોને સરકારે પડકારવા જોઈએ પણ એવું થતું નથી ને કેન્દ્રીય ઊર્જા મંત્રી કહેવા લાગે છે કે 11 લાખ ટન દૈનિક જરૂરતની સામે સરકાર 20 લાખ ટન કોલસો રોજ પૂરો પાડે છે. આમાં વિપક્ષને તો ક્યાંક લાવવો પડે એટલે કહી દેવાય છે કે કાઁગ્રેસ કોલસાની કટોકટી અંગે બિનજરૂરી હાઇપ ઊભો કરવા માંગે છે. કાઁગ્રેસે એટલી સગવડ તો કરી આપી છે કે કૈં પણ નબળું તેને માથે નાખી શકાય. ટ્રેન ઊપડે એટલે સ્ટેશન આવે જ એમ સરકારની વાતોમાં કાઁગ્રેસ આવતી રહે છે, જ્યારે સાચું તો એ છે કે કોલસાની કટોકટીની વાત કાઁગ્રેસે શરૂ કરી હોવાનું પ્રમાણ નથી. તે સમસ્યા ઊભી થાય તો માથું મારે છે, પણ શરૂઆત ભાગ્યે જ તેણે કરી હોય છે. બાકી હતું તે નાણા મંત્રીએ પણ સરકારના બચાવમાં સાફ કહ્યું છે કે કોલસાની કટોકટીની વાત જ પાયા વિહોણી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ભારત વીજ સરપ્લસ દેશ છે. જો કોલસાની તંગીની વાત પાયા વિહોણી જ છે તો એ વાત ચલાવી કોણે, એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બીજું, એ કે જો ભારત વીજ સરપ્લસ દેશ છે તો સરકારે એવું કબૂલ કેમ કર્યું કે કોલસાની નીચી ઇન્વેંટરીને લીધે 5 ગીગા વોટનું ઉત્પાદન પૂર્વવત કર્યું છે. પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશેને જણાવ્યું છે કે કોલસાના ઓછા સ્ટોકને કારણે 6 તારીખનું 11 ગીગા વોટનું વીજ ઉત્પાદન 13 ઓકટોબરે 6 ગીગા વોટ થઈ ગયું હતું જે હવે પૂર્વવત થઈ ગયું છે. આ રજૂઆત પણ સરકાર તરફથી છે ને એમાં કોલસાનો ઓછો સ્ટોક હોવાની કબૂલાત છે. જો આ સાચું હોય તો વીજ કટોકટીની વાત પાયા વિહોણી છે એવું સરકાર કયા આધારે કહે છે? સરકાર જો ખરેખર કહેતી હોય કે વીજ કટોકટી નથી, તો કોલસાનો સ્ટોક ઓછો હોવાનું કેમ કહે છે? સરકારમાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી, પણ જો કટોકટી ક્યાંક, કોઈ સ્તરે હોય તો એ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. માંડ આર્થિક સ્થિતિ સુધરવા પર હોય, ત્યાં કોલસાની કટોકટી નવો અંધારપટ સર્જે એવું ન થવું જોઈએ.

બીજી કોઈ પણ ગમ્મત કરતાં પહેલાં સરકારે એ ન ભૂલવું જોઈએ કે આજે પણ 70 ટકાથી વધુ વીજમથકો કોલસા પર ચાલે છે. એ વાત પણ મીડિયાએ જ ફેલાવી છે કે દેશનાં બે તૃતિયાંશ વીજમથકો પાસે અઠવાડિયું પણ માંડ ચાલે એટલો કોલસો છે. 27 વીજમથકો પાસે એક દિવસ ચાલે એટલો કોલસો પણ નથી. ઉત્તર પ્રદેશ અને હરિયાણા પાસે ત્રણ અને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં બે એકમો એવાં છે જેની પાસે રિઝર્વ્ડ કોલસાનો કોટા નથી. આ વિગતો કેન્દ્રીય વીજ ઓથોરિટીએ જાહેર કરેલી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડું જેવાં વીજ એકમોની તો એવી સ્થિતિ છે કે વધુ એક દિવસ કોલસાનો પુરવઠો ન મળે તો વીજ ઉત્પાદન અટકી પડે. આ વીજ એકમો પાસે વીસ દિવસ ચાલે એટલો કોલસાનો સ્ટોક રાખી શકાય છે, તેને બદલે એક દિવસનો સ્ટોક પણ ન રહે તો સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય એમ છે. રાજસ્થાન, કેરળ જેવાં રાજ્યો વીજકાપની સ્થિતિમાં આવી ગયાં છે ને કેન્દ્ર કહે છે કે વીજ પુરવઠો પૂરતો છે ને એ અંગે શંકા સેવવાને કોઈ કારણ નથી.

– તો, આ સ્થિતિ છે. એકાએક કોલસાની તંગી જાહેર થઈ ને જુદાં જુદાં રાજ્યો વીજ કટોકટીનો સામનો કરી રહ્યાં છે ને આ વિગતો સરકારની સાઇટ પર જાહેર થાય છે. એ સાથે જ ઊર્જા મંત્રી અને નાણા મંત્રી જાહેર કરે છે કે વીજ કટોકટી જેવુ કૈં છે જ નહીં. એવું પણ જાહેર થાય છે કે એક તબક્કે 5 ગીગા બાઇટ જેટલી ઘટ પડી હતી, પણ સ્થિતિ પૂર્વવત કરી દેવાઈ છે. સ્થિતિ પૂર્વવત કરી દેવાઈ છે એનો અર્થ એવો પણ થાય કે સ્થિતિ બરાબર ન હતી.

મીડિયા એક સવારે કોલસા કટોકટીની આલબેલ પોકારે છે ને સરકાર પણ જાહેર કરે છે કે કોલસાની કટોકટી નથી. મીડિયા કહે છે કોલસા કટોકટી છે ને સરકાર કહે છે, નથી. આમાં સાચું શું? સાચું બંને. તો ખોટું શું? ખોટું પણ બંને. પ્રજા ખરેખર સાચું ન પામી શકે એ રીતે વાતો ચગાવવામાં આવે છે. એ કૈં ગંભીરતાથી વિચારે તે પહેલાં તો નવી ઘટના એવી સામે આવે છે કે પેલી વાત જ ભુલાઈ જાય ને લોકો એની ખરાઈમાં પડે છે. બહુ સ્પષ્ટ કહેવું હોય તો એમ કહી શકાય કે કોઈ એક વાત પ્રજાની સામે એવી રીતે લાવવામાં આવે છે કે તે ગભરાય ને આઘાત પામે. વીજળી ન મળે એવો હાઉ પેદા કરવામાં આવે છે ને પછી સરકાર બચાવમાં આવે છે કે કોઈ સમસ્યા જ નથી. જો નથી તો એ સમસ્યા ઉપસાવી કોણે? એ પ્રજાનાં ભેજાંની પેદાશ છે? એવું તો નથી. એમ લાગે છે કે કોઈ મુદ્દો કોઈ એકાએક ચગાવે છે ને એની બંને બાજુ એવી રીતે મૂકવામાં આવે છે કે પ્રજા કોઈ નિર્ણય પર આવી જ ન શકે ને કદાચ આવે તો તે પહેલાં બીજો મુદ્દો, સામે લાવવામાં આવે છે. લોકોને મૂરખ બનાવીને, કોઈ સમસ્યા સમજી ન શકે કે તેના પર તે વાત જ ન કરી શકે એવો વેપલો થાય છે.

જો કોલસા કટોકટી ખરેખર હોય તો સરકારે ગંભીરતાથી તેને ઉકેલવાની દિશામાં પગલાં લેવાં જોઈએ ને સરકારે પોતે ને પ્રજાએ પણ એમાંથી બહાર આવવા એડીચોટીનું જોર લગાવવું જોઈએ. ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7221,7231,7241,725...1,7301,7401,750...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved