Opinion Magazine
Number of visits: 9570915
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘દિલ્હી’ બધી રીતે ઝેરી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 November 2021

દિવાળી જાય છે ને દિલ્હીમાં પ્રદૂષણની બૂમ પડે છે. હવા ઝેરી થવા લાગે છે ને દિલ્હીના મુખ્ય મંત્રી રાબેતા મુજબ વાહનો માટે ઓડ-ઇવન ફોર્મ્યુલા, લોકડાઉન, સ્મોગ ટાવર, વર્ક ફ્રોમ હોમ જેવાં પગલાં લાગુ કરવા મચી પડે છે. સુપ્રીમ કોર્ટ પણ દર વર્ષે રાજ્ય અને કેન્દ્રને ચેતવણીઓ આપ્યાં કરે છે, સરકારો થોડી ઘણી સળવળે છે ને પછી બધું હતું તેવું થઈ જાય છે. રાજ્ય વર્ક ફ્રોમ હોમ માટે તૈયાર થાય છે તો કેન્દ્ર સરકારને એ માફક નથી આવતું. મહત્ત્વની ન હોય એવી ટ્રકોને રાજ્ય બહાર રોકવાના આદેશો અપાય છે, શિક્ષણ 21મી સુધી બંધ કરી દેવાય છે ને એવું ઘણું ઘણું થાય છે ને વળી એક દિવાળી જાય છે કે નવી ગિલ્લી, નવો દાવ-ની જેમ ફરી સુપ્રીમ કોર્ટ ચેતવણીઓ આપે છે, વળી સ્કૂલ-કોલેજો બંધ થઈ જાય છે ને વળી સરકારો પ્રદૂષણ અટકાવવાના એ જ જૂના ઉપાયો અજમાવી પ્રદૂષણ રોકવાના પ્રયત્નો કરે છે ને એમ બધું વર્ષોથી ચાલ્યા કરે છે. 2015માં દિલ્હી હાઇ કોર્ટ દિલ્હીને ગેસ ચેમ્બર કહી ચૂકી છે એ પરથી પણ ખ્યાલ આવશે કે આ સાતેક વર્ષ જૂનો રોગ છે ને એનો કાયમી ઈલાજ જડે તેની રાહ જોવાની રહે જ છે.

સાચી વાત એ છે કે કોઈને આનો કાયમી ઉકેલ શોધવામાં રસ નથી. દિલ્હી અને તેની આસપાસના નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ જેવા વિસ્તારોમાં ઉદ્યોગોનું કાયમી ધોરણે ધુમાડાઓ અને કેમિકલ ઓકવાનું ચાલે જ છે, એમાંના ઘણા ઉદ્યોગો તો રહેણાંક વિસ્તારોમાં ચાલે છે, પણ એનાં જોખમોની કોઈને પરવા નથી. એમાં ઉદ્યોગો ઉમેરાય છે, પણ ઉકેલ ઉમેરાતો નથી. રોજ કરોડથી વધારે કાર દિલ્હીમાં ધુમાડાઓ કાઢતી દોડે છે ને એમાં પણ ઉમેરો તો થતો જ જાય છે, આ ઉપરાંત અન્ય વાહનો અને સાધનો પ્રદૂષણ ફેલાવે તે તો નફામાં ! દિલ્હીમાં વરસાદી વાદળો વિદાય લે છે એ પછી પ્રદૂષિત વાદળો ઘેરાવા લાગે છે ને જેમ ચોમાસું નક્કી છે એમ જ આ પ્રદૂષિત વાદળો પણ નક્કી જ છે, પણ એ વિખેરવાનો કોઈ પ્રયત્ન કાયમી ધોરણે થતો નથી તે હકીકત છે. આ બધું પાછું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હોય એમ પણ બને. આમાં કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર હોય ને દિલ્હીમાં આપની સરકાર હોય એટલે વાંધાવચકાનું પ્રદૂષણ ન ફેલાય તો જ નવાઈ ! એમાં ઘાટ શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી-વાળો થાય છે. સુપ્રીમ કોર્ટે છેલ્લી ટિપ્પણી એવી કરી કે કેન્દ્ર – રાજ્ય સરકારોએ કામ જ નથી કરવું અને બધું સુપ્રીમ પર ઢોળી દેવું છે. સુપ્રીમે ચોખ્ખું કહ્યું છે કે સરકારની કે સરકારી બાબુઓની પ્રદૂષણ રોકવાની દાનત જ નથી. આ પરથી સમજાય તેવું છે કે તંત્રો કેટલાં રેઢિયાળ અને ખાઈબદેલાં છે ! સુપ્રીમ ટોક્યા જ કરે ને સરકાર ટાળ્યાં જ કરે ત્યાં સફળ પરિણામ ન જ આવે તે સ્પષ્ટ જ છે. બાકી હોય તેમ મીડિયા દિલ્હીનું પ્રદૂષણ વૈશ્વિક બનાવવામાં ભારે જહેમત ઉઠાવે છે. મીડિયા કોઈ ચેપી રોગ જેવું છે જે ફેલાવામાં ભાગ્યે જ પાછળ રહે છે. વારુ, કૃષિ કાનૂનને મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે વરસેકથી ગજગ્રાહ ચાલે છે ને ખેડૂતો નથી માનતા એટલે જે પણ રીતે ખેડૂતોને બદનામ કરી શકાય, સરકાર પૂરી ઈમાનદારીથી તે કરે છે. ખેડૂતો પરાળ કે સાંઠા બાળી નાખે છે એટલે પ્રદૂષણ ફેલાય છે એવું કહીને સરકાર પ્રદૂષણનું ઠીકરું ખેડૂતોને માથે ફોડે છે. બીજી તરફ પ્રદૂષણ સમૂહ માધ્યમો પણ ફેલાવે છે ને આ મેલી ગંગામાં જેને તક મળે છે તે બધાં જ હાથ ધોઈને પવિત્ર થતાં રહે છે. ટૂંકમાં, સરકારો પોતાને જવાબદાર માનતી નથી એટલે કોઈ જવાબદારી લેવા તે તૈયાર નથી એટલે કામ થતાં નથી ને કામ થવાની એક્ટિંગ થતી રહે છે.

— અને આ કૈં એકલી દિલ્હીની જ વાત છે એવું નથી. એ ખરું કે દિલ્હી દુનિયાની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની છે, તે કદાચ જાતભાતનાં અનેક પ્રદૂષણો સંદર્ભે પણ હશે, પણ દુનિયાના 30 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 22 તો ભારતનાં છે. એ શહેરો બહુ બોલતાં નથી એટલું જ, ને દિલ્હી રાજધાની છે ને પ્રદૂષિત થવામાં નિયમિત છે એટલે દેવદિવાળી ત્યાંથી થાય છે, બાકી, જે રાજ્યોએ ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે ત્યાં પ્રદૂષણ પણ વિકસ્યું જ છે એ કહેવાની જરૂર નથી. ગુજરાતનાં અંકલેશ્વર ને વાપી શહેરો વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણને મામલે ગાજ્યાં જ છે ને એ સ્થિતિમાં આજે પણ ઝાઝો ફરક પડ્યો નથી. વિકાસ ઉદ્યોગોને કારણે થયો છે એ સાચું, પણ એની સાથે ઇમારતો ને વાહનો પણ વિકસે છે ને એ પણ પ્રદૂષણમાં તો વધારો જ કરે છે. આ વળી કુદરતી સંસાધનોને ભોગે થતું હોય છે એટલે વિકાસ પણ થાય અને સમાંતરે વનસ્પતિ પણ ખીલે એવું ભાગ્યે જ બને છે. આ બધાંની સીધી અસર મનુષ્યને થાય છે ને વેઠવાનું એને આવે છે.

એમ લાગે છે કે જે જનતાના વૉટથી સરકારો અમલમાં આવે છે તે, અમલમાં આવ્યા પછી, જનતાની ઝાઝી ચિંતા કરતી નથી. એમ પણ લાગે છે કે દરેક જણ પોતપોતાની તાનમાં ને ધૂનમાં ચાલે છે. એક બાજુએ ભાવો વધ્યા જ કરે છે ને ઉદ્યોગપતિઓ એ યુક્તિ વિચારતા રહે છે કે પેટ્રોલ-ડિઝલમાં નરમાઈ છે તો ગેસમાં ભડકો કઈ રીતે થાય એમ છે ! પ્રજાને પણ મોંઘવારીની બહુ પડેલી ન હોય તેમ જરા ય ઊહાપોહ વગર જીવી કાઢે છે. જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એ રાજ્યોમાં કેસરિયાં કેમ થઈ શકે એની વેતરણમાં રાજ્યો ને કેન્દ્ર પડેલાં છે. મુસ્લિમોના મત ન મળે એમ લાગે તો ‘ઝીણા’ને મોટા ચીતરીને મત મેળવવાના પેંતરા પક્ષો કરે છે. જો એમ લાગે કે ભારત આવવાનું આમંત્રણ આપવાથી ખ્રિસ્તીઓના મત મળે એમ છે તો પોપને પણ લોલીપોપ આપવાનો વાંધો આવતો નથી. હિન્દુઓના મત મેળવવા હિન્દુત્વનું પાનું પણ ઊતરી દેવાય છે ને આદિવાસીઓને ગજવે ઘાલવા છે તો જનજાતિ દિવસ ઉજવવાનો ય વાંધો નહીં ! આ ઉપરાંત રેલી-રેલા તો ચાલ્યાં જ કરે છે, ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટનો પણ ચાલે છે ને ઉજવણાનો તો કોઈ પાર જ નથી. આ બધું એક બીજા સાથે ના’વા નીચોવવાનું ન હોય એમ એકબીજાથી અજાણ રહીને થતું રહે છે. બહાર બધું સારું સારું દેખાય ને અંદરની પ્રજા રૂંધાતી, ચૂંથાતી કે આપઘાતી બની રહે એની કોઈને જ ચિંતા નથી.

એમ તો આ દેશમાં વિપક્ષો પણ છે ને તે ગરીબોની, શોષિતોની મદદમાં હોય તેમ લાલચો આપતા રહે છે. કોઈ દેવું માફ કરવાનું કહે છે તો કોઈ મફત અનાજપાણીનું થૂંકયા કરે છે, કોઈ કૈં પણ કામ કરાવ્યા વગર ગરીબોના ખાતામાં ભીખ નાખ્યા કરે છે. આવી મદદથી પ્રજા નિર્માલ્ય અને મફતનું શોધતી થઈ છે તેનો કદાચ કોઈને ખ્યાલ પણ નથી. આનાથી ખરેખર મદદ થતી હોય તો પણ તે કોઈ રીતે ઉપકારક નથી. માનભેર જીવવાની કોઈ યોજના હોય તો તે પ્રજાને માટે મુકાવી જોઈએ. એક તરફ દિલ્હીના મુખ્ય મંત્રી પ્રદૂષિત યમુના નદીને સાફ કરવા 6 એક્શન પોઈન્ટ આપે છે, તો વડા પ્રધાન જેવા પર્યાવરણ સુધારણાની 200 દેશોની વૈશ્વિક સભામાં 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો ભારત કરશે એવો વાયદો કરી આવે છે ને 2070 સુધીમાં ભારત શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે એવું પણ ઉમેરે છે ને એ પરથી ગુજરાતનાં મુખ્ય મંત્રી જાહેર પણ કરી દે છે કે 2070 સુધી તો ભા.જ.પ. છે જ ! 2021માં દિલ્હીનું પ્રદૂષણ દૂર કરવાના ઠેકાણાં નથી ને 2070માં ભારત ઝીરો કાર્બન યુક્ત હશે એવું વડા પ્રધાન કયા આધારે કહી આવે છે તે નથી સમજાતું. આ સારો આશાવાદ જરૂર છે, પણ 2070 સુધીમાં પર્યાવરણની ખરેખર શી સ્થિતિ હશે ને ત્યારે ભારત કયાં હશે ને વડા પ્રધાન કે ભા.જ.પ. કયાં હશે એની આગાહી કરવાનું ઘણું વહેલું છે, પણ બોલવામાં ક્યાં પૈસા પડે છે, એટલે બોલે છે બધાં !

2022માં દિલ્હીમાં ચૂંટણી હોત તો કામચલાઉ રીતે તો દિલ્હી પ્રદૂષણ મુક્ત થઈ ગયું હોત, પણ અત્યારે ચૂંટણી ઉત્તર પ્રદેશ ને ગુજરાતમાં આવી રહી છે એટલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો એ સિવાય બીજું કૈં મહત્ત્વનું ન ગણે એમ બને. એ રાજ્યોમાં જે પણ રીતે ચૂંટણી જીતી શકાય એ બધી રીતો સરકાર અજમાવવા તૈયાર છે, એ સિવાય બીજી કોઈ વાતો એમને અત્યારે મહત્ત્વની નથી, ભલે પછી એ રાજધાની દિલ્હીની તીવ્ર સમસ્યા જ કેમ ન હોય !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 નવેમ્બર 2021

Loading

ભાષાન્તરની ઊંધી જાજમ

મધુ રાય|Opinion - Literature|19 November 2021

તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડઝો સાથે લાઇક–લાઇક રમો! ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે અને હવે નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટૂમચ લાઇક કરીએ છીએ ને ટૂમચ હાર્ટ કરીએ છીએ, કેમકે તે ‘ઇતર પ્રવૃત્તિ’ છે, પિતા ઝવેરચંદની નવકલથાઓનો અંગ્રેજી અનુવાદ! પાઠમાળાબ્રાન્ડ કર્તાકર્મક્રિયાપદ સ્ટાઇલ રૂખુંસૂકું ઇસ્ત્રીટાઇટ અંગ્રેજી નહીં, પણ વિલાયતમાં જન્મેલો અંગ્રેજી માડૂ સડસડાટ વાંચી શકે તેવું ડિક્શન!ઝવેરચંદની લખેલી નવલકથા વેવિશાળ રાઇટ? તેના શીર્ષક વેવિશાળનું અંગ્રેજી શું? બિટ્રોથલ? ફિયાન્સ–ફિયાન્સી? એન્ગેજમેન્ટ?

નહીં, ‘ધ પ્રોમિસ્ડ હેન્ડ!’

આ બધું તમને શા માટે કહીએ છીએ? એટલા માટે કે ટિહુ ટિહુ અમારું મન મોર બની ટહુકાર કરે છે, મનમાં ને મનમાં અમે સ્વર્ગે ચડીને નર્મદ ને પ્રેમાનંદ ને મુનશી ને જોષી સાથે રાસડા લઈએ છીએ, મિસ્તર! કે ગયા મહિને તે પ્રોમિસ્ડ હેન્ડના રશિયન ને મેન્ડરીન ચાઇનીઝ ભાષાઓમાં પણ અનુવાદ પ્રગટ થયા છે. રશિયન! અને ચાઇનીઝ!

ગુજરાતી નવલકથા વેવિશાળ! વાયા ઇંગ્લિશ ટ્રાન્સલેશન ‘The Promised Hand’ બાય અશોકકુમાર! એક ઇન્ડિયન તરીકે, ગુજરાતી તરીકે, અમેરિકન ભારતીય તરીકે, ગુજરાતી રાઇટર તરીકે અમે ગગનવાલા ચાંદ ઉપર ચડીને ડાન્સ કરવા માગીએ અને કોઈ રશિયન કુમારિકા ભેરા, યુનો, રોમાન્સ કરવા માગીએ છીએ, લ્યુબ્લ્યુ તેબ્યા! દાસવેદાનિયા!  

ગઈ સદીમાં હું હજી જુવાન હતો ને ઇંગ્લેન્ડ રહેતો હતો ત્યારે અકાદમીના એક સત્રમાં મહામંત્રીશ્રીએ મને આદેશ આપેલો કે મારે  અનુવાદ વિશે બોલવું. હું સમજેલો કે મારે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર વિશે બોલવાનું છે, પણ ફરી જ્યારે વાતમાંથી વાત નીકળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારે ગુજરાતી સાહિત્યિક કૃતિઓના અંગ્રેજી ભાષાંતર વિશે બોલવાનું છે. આ ગેરસમજનું કારણ ભાષાંતર. અમે બંને ગુસ્મુજરાતીમાં જ બોલતા હતા પરંતુ કલયાણી સાહેબ પંચકલ્યાણી ઘોડા જેવી જે પાણીદાર ભાષા પ્રયોજે છે તેનું આપણી વર્નાક્યુલરમાં મનોમન ટ્રાન્સલેશન કરીએ ત્યારે મહામંત્રીના મહાવિધાનનો મરમ લાધે. વિપુલભાઈ માને છે કે ગુજરાતી સાહિત્યનું અંગ્રેજી ભાષાંતર કરાવી વિદેશોમાં આપણી પ્રજાની મુદ્રા સુધારવાની જરૂર છે. જે વડે બહારની દુનિયાને ખ્યાલ આવે કે આપણે ગુજરાતીઓ ફક્ત કોર્નર શોપવાળા, ડબલ મજૂરી કરીને કમાવાવાળા તેમ જ સાડી ને માથે ચાંદલાવાળાં ગોદડિયાં બૈરાવાળા, ને હાસ્યાસ્પદ ઉચ્ચારે વાસી અંગ્રેજી બોલનારા વિદેશી કે “બ્લડી પાકી” જ નથી, આપણું પણ સાહિત્ય છે.

હું વાર્તાઓ લખતો થયો તેની પહેલાંથી ભાષાંતર એટલે કે અનુવાદ કરતો થયેલો. અમારા કલકત્તાના ઘરની નજીક એક મેદાનમાં હું હુતુતુ રમવા જતો ત્યાં એક બજરિયા બાબરીવાળા બંગાળી ભાઈ આવેલા ને એમણે મને પૂછ્યું કે તું ગુજરાતી છે? મેં હા પાડી. એમણે પૂછ્યુ તારા બાપા ગુજરાતીના માસ્તર છે, સાચી વાત? મેં હા પાડી. અને એમણે એક કાગળ મારા હાથમાં આપ્યો, કહ્યું કે આટલા અંગ્રેજીનું ગુજરાતી કરાવી લાવજે તારા બાપા પાસે તો તને હું પાંચ રૂપિયા આપીશ. તે લખાણ વાંચી મેં કહ્યું કે હું કરી આપું. અને ઊભાં ઊભાં મેં ગુજરાતી કરી આપ્યું, બંગાળી ભાઈ તે લઈ ગયા ને બીજા અઠવાડિયે પાછા આવ્યા, લે આ પાંચ રૂપિયા ને આ નવું મેટર, ગુજરાતી કરી લાવજે.

અને તે પછી તો જાહેર ખબરની એજેન્સીઓમાંથી મને કામ મળવા માંડેલું, અને મારી ખિસ્સાખર્ચી એમાંથી નીકળી જતી. અને એમ મને સચોટ ગુજરાતી અનુવાદ કરવાનો મહાવરો થવા માંડ્યો. દાખલા તરીકે બાટાની એક જાxખ હતી Step into Style તેનું ગુજરાતી “સ્ટાઇલમાં ચાલો”? બિલકુલ નહીં. મેં તેનું ગુજરાતી કરેલું, “ડગલે ડગલે ઊડે ગુલાલ”. સાગર ઘી એક હેડલાઇન લખેલી “જીભે જીભે છે સા–ગ–ર–ની સ–ર–ગ–મ”. મતલબ કે મૂળ લખાણના શબ્દોનો તરજુમો સાચો અનુવાદ નથી, મૂળ લખાણનો હેતુ સમજી તેને અનુરૂપ અવાદ તે સાચો અનુવાદ છે.

તે પછી સંયોગથી શિવકુમાર જોષીની વાર્તાઓના હિન્દી અનુવાદો ‘ધર્મયુગ’ નામે હિન્દી સાપ્તાહિકમાં છપાયા ને અનુવાદક હોવાનો નશો ચડ્યો દિમાગમાં. તે પછી યુરોપીયન નાટકોના અંગ્રેજીમાંથી તખતાલાયક ગુજરાતી રૂપાંતર, છાપાંના તારના તરજુમા, અમેરિકન નવલકથાઓના ગુજરાતી અનુવાદ અને સરકારી સાહિત્યના તેમ જ કાનૂની કાગજાતના અને મશીનરીની હેન્ડબુક વગેરેના ટ્રાન્સલેશન કરવાનું આવેલું જેમાંથી મારી રોજી નીકળતી હતી. હાલ અમેરિકામાં મેડિકલ, લીગલ, તેમ જ બિઝનેસ ઇન્ટરપ્રિટર તરીકે ફ્રીલાન્સ કામ કરું છું જેમાં તત્ક્ષણ દરેક વાક્યના ભાવાર્થનો તાત્કાલિક અનુવાદ કરવાનું આવે છે. અનુવાદની કારકિર્દીમાં તેમાં કોઈવાર કમાલો કરી કોઈવાર કાચો પડ્યો. પરંતુ આટલા દાયકાઓના તરજુમા કરવાના અનુભવના સાગરમાંથી મને સમજાયું છે કે અનુવાદ માતૃભાષામાં જ કરાય. બીજી ભાષામાં કરવા જાઓ તો મૂળ લખાણનું હીર અનુવાદમાં લાવી શકાતું નથી. માતૃભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવા જાઓ તો તેમાંથી કુદરતી ખુશબૂના બદલે પસીનાની બદબૂ આવે છે.

કહેવાની જરૂર નથી કે આ માતૃભાષાની વાત કેવળ ક્રિયેટિવ રાઇટિંગ યાને લલિત લેખનને જ લાગુ પડે છે. લલિત લેખન યાને વાર્તા, કવિતા, નાટક આદિની શબ્દાવલિ અલગ હોય છે. તે લખતી વખતે લેખક પોતાના ખોળિયામાં ખાખાંખોળાં કરીને પોતાના બાળપણના, કિશોરવયના, યુવાનીના કાળાધોળા સંસ્કારોના ગંજમાંથી સારાનરસા અનુભવો તારવીને; તેને લેખનના કસબની ચતુરાઈથી ફૂંકીઝાપટીને, ફિક્શનનું, ફેન્ટેસીનું ષડ્રસનું ગુલાબજળ છાંટીને; પોતાના અંગત શબ્દોના જરીજામા અને અલંકારોનાં સુશોભન પહેરાવીને; નિરાળા દેહે જન્મ આપે છે. ભાષાની ઇલાયદી ખૂબીઓને નિચોવીને પોતાની ઇલાયદી વાત કહે છે. અને તે વાત કહેતાં પોતાની ભાષાની ખૂબીઓમાં તેજસ્વી ઉમેરો કરે છે. મારું માનવું છે કે વાર્તા કે કાવ્ય કે નાટક લખવા માટે નૈસર્ગિક માધ્યમ છે, માતૃ ભાષા! અને ભાષાંતર માટે પણ નૈસર્ગિક માધ્યમ છે, માતૃભાષા!

***

દરેક વ્યક્તિની ભાષાની લઢણ અલગ છે. દરેક ભાષાની લઢણ અલગ છે. બંગાળીમાં “જાતીય” એટલે રાષ્ટ્રીય, ગુજરાતીમાં “જાતીય” એટલે નર–નારીનાં લિંગ સંબંધી; બંગાળીમાં “સાધારણ” એટલે સાર્વજનિક, ગુજરાતીમાં સાધારણ એટલે સાધારણ. સંસ્કૃતમાં “કમળ” માટે અસંખ્ય શબ્દો છે, લાલ કમળ, સફેદ કમળ, વાદળી કમળ, નાનું કમળ, રાતનું કમળ, નદીનું કમળ, કાદવનું કમળ. હવાઇયન ભાષામાં નાળિયેર માટે અસંખ્ય શબ્દો છે, લીલું નાળિયેર, સુક્કું, પાણીવાળું, પાણી વિનાનું, તાજું ને સડેલું એમ દરેક જાતના નાળિયેર માટે અલગ અલગ શબ્દ છે.

દરેક ભાષામાં દરેક શબ્દની સાથે લક્ષણાર્થ, વ્યજનાર્થ અને અભિધાર્થની અનેક આભાઓ સંકળાયેલી હોય છે. “ગમન” એટલે જવું પણ પરસ્ત્રીગમન કે વેશ્યાગમન શબ્દોનો અનુવાદ કેમ કરવો? પરસ્ત્રીની સાથે કે વેશ્યાની સાથે જવું? બસ, સાદું  જવું? કે સ્ત્રી સાથે સંવનન કે વેશ્યા સાથે શયન? મૂળ ભાષામાં “ગમન” કહેતાં જે અલ્પોક્તિ છે, જે ગર્ભિત અર્થ છે, જે ભદ્રતા છે, તેનો પણ અનુવાદ થવો જોઈએ. તેમ કરતાં વળી અનુવાદની ભાષાના શબ્દની અન્ય આભાઓ પેસી જાય તેનું શું કરવું? આ મહત્ત્વના નિર્ણય ભાષાન્તરકાર કરે છે. તે નિર્ણયો માતૃભાષા સિવાય કરી શકાય નહીં. ભાષાન્તર તે પણ લેખન જેટલું જ ક્રિયેટિવ કર્મ છે. કેમકે લેખક વાર્તા લખવા બેઠો છે. તો તે પોતાના અનુભવોનું “ભાષાન્તર” શબ્દોમાં કરે છે. લેખક પોતે અનુભવની ભાષામાં સોચે છે અને પોતાને થતી અનુભૂતિને વ્યક્ત કરે છે શબ્દોમાં –– તે એક પ્રકારનો અનુવાદ નથી?

દરેક ભાષાના શબ્દોમાં તેના બોલનારાંઓની રહેણી કરણી, ખાદ્યપેય, આબોહવા, અને ઉત્સવો છલછલે છે. બીજી ભાષામાં તેના તે જ ભાવ ઉપજાવવા સંભવ નથી. જયન્તી પટેલે એકવાર મને ચેલેન્જ આપેલી કે ધારોકે તારે એક ગુજરાતી નવલકથાનું અંગ્રેજી કરવાનું છે, ને ગુજરાતી નવલકથાનો પહેલો ફકરો છે :

મારો જન્મ અમદાવાદની છીપા પોળમાં માનીમાતાની દહેરી પાસે બહેરા વૈદના ખાંચામાં, જીવણ ઓઝાના વિલાયતી નળિયાંવાળા એક માળના મકાનમાં થયેલો. પોળના નાકે કૂવાના ઓટલે બેઠેલી ગોધુ લુવાણાની માંજરી દીકરીએ મારી માને કહેલું કે મુઈ, તારો દીકરો તો રાજાના પુત્તર જેવો ફૂટડો છે, ગાલે કાજળનું ટપકું કરજે નહીંતર કોક વાંઝણી વણજારણની નજર લાગી જશે! મારી ફોઈએ મને દૂધદહીંથી નવડાવી મારુ નામ રાખેલું “વહાલાભઈ”. તે રાત્રે ઇન્દ્રરાજાએ બારે મેઘ વરસાવેલા. ને નળિયાંમાંથી અમરતના ફુવારા છૂટેલા. –– લો કરો ટ્રાન્સલેસન.

આ છટાનો કદાચ ભારતની બીજી ભાષાઓમાં રસ નિતારી શકાય પણ અંગ્રેજીમાં? એક ઇંગિત આપી શકાય. અસલના મિજાજનો અનુવાદ એટલે અસલની અનુકૃતિ, પ્રતિકૃતિ નહીં. અનુવાદ એટલે ઇન્વર્ટેડ કારપેટ. અનુવાદ એટલે ઊંધી જાજમ. મૂળ લખાણનો અનુવાદ વાંચીએ ત્યારે વેલબુટા ભરેલી રમ્ય જાજમને ઊંધી કરીને જોતા હોઈએ એવું લાગે. સવળી બાજુનો નયનરમ્ય ભાગ ઊંધો કરતાં ભરતનો બરછટ ભાગ દેખાય, મૂળ ડિઝાઇન કેવી હશે તેનો અંદાજ આવે પરંતુ મૂળનું સૌંદર્ય ન દેખાય. ઊંધી કારપેટની આ ઉપમા મૂળ તોલ્સતોયની છે, એમણે રશિયનમાં લખ્યું હશે, મેં અંગ્રેજીમાં વાંચ્યું હશે ને તેને આપની સમક્ષ હું ગુજરાતીમાં રજૂ કરું છું, ને તેમ કરતાં આંખે ભૂ આવી જાય છે.

ઉપર ઉદાહરણમાં દર્શાવેલી ગુજરાતી નવલકથાનું આ લલિત લખાણ વાંચીને, તે સઘળું અંગ્રેજીમાં વ્યક્ત કરવા માટે અનુવાદકના માથામાં પણ અંગ્રેજીનું તેવડું પ્રચંડ શબ્દભંડોળ હોવું જરૂરી છે. જે માતૃભાષા સિવાય સંભવ નથી. મગજની ગડીઓમાં પડેલા, વિસરાયેલા ભાવ, શબ્દો, માતૃભાષામાં જ શક્ય છે, તે પાઠશાળામાં પાઠમાળાની મદદથી શીખેલા અંગ્રેજીમાં ઠાવકાઈ. ચતુરાઈ ને શૈલી આવી શકે પરંતુ સર્જનાત્મક લેખન માટે જરૂરી પ્રાકૃતિક સંવેગો ન આવે. કોઈએ કહ્યું છે કે જ્યારે કોઈ ભાષાનો લોપ થાય છે ત્યારે સંસ્કૃતિનો એક સાગર સુકાઈ જાય છે.

***

અનુવાદનો મારો સૌથી વધુ સંતર્પક અનુભવ છે, અલબત્ત ‘સંતુ રંગીલી’ નાટકમાં નાયિકાની એકોક્તિ એલેન જેય લર્નર લિખિત એકોક્તિ જસ્ટ યુ વેઇટ એન્રી ઇગિન્સ જસ્ટ યુ વેઇટ. પ્રવીણ જોષી ધરાર આ એકોક્તિ નાટકમાં લાવવા માગતા હતા હાલાંકિ બર્નાર્ડ શોના મૂળ નાટક પિગ્મેલિયનમાં આ કે બીજું કોઈ ગીત નથી. નાટકના સંવાદોનો અનુવાદ તો હું કરી ચૂક્યો હતો અને પ્રવીણ જોષી આ ગીતના અનુવાદ માટે કોઈ ગીતકારની કે કવિની શોધમાં હતા. ત્રણચાર લોકોએ પ્રયત્ન કીધા પણ એમના પ્રયત્નો જોષી સાહેબને નાટક માટે અનુકૂળ ન લાગ્યા. ત્યારે મારી સ્મૃતિ મુજબ વેણીભાઈએ પ્રવીણને કહ્યું કે મધુ પાસે જ લખાવ ને! અને દરમિયાન હું પણ ખાલી ખાલી મનોયત્ન કરતો હતો કે મૂળ નાટકની ફલવાળી બોલે તેવી એકોક્તિ એલેન જેય લર્નરે તો બનાવી કાઢી પણ એવી જ ભોળી, ને એવી જ મિજાજી ને છતાં મિષ્ટ છોકરી ખિજવાય તોય શું બોલે? તે સમયે નવનીતલાલ એન્ડ કંપનીમાં હું કામ કરતો હતો જાહેર ખબર લખવાનું ને બહારથી આવતી જાહેર ખબરોનો તરજુમો કરવાનું. ત્યાં અચાનક પ્રવીણ જોષીનો ફોન આવ્યો, “તું પોતે ટ્રાય કરી જો!” મૂળમાં છે,

Just you wait, 'enry 'iggins, just you wait!


You'll be sorry, but your tears'll be too late!


You'll be broke, and I'll have money;


Will I help you? Don't be funny!


Just you wait, 'enry 'iggins, just you wait!

અને તે જ વખતે મારા મોંમાં આવ્યું,

“તારોયે વારો આવસે હિમાદરી, મારોયે ડંકો વાગસે

તારા ખિચ્ચામાં નૈં હોય પૈ, ને હું ચેકુંમાં કરતી હઈસ સૈ

ને કગરીને માગીસ તું આસરો

ને હું હસી પડીને કૈસ નૈ!”

અને પછી આપોઆપ મૂળને સામે રાખીને મગજમાં જે આવ્યું તે સીધું કાગળમાં ઊતર્યું, છેક અંત સુધી. વચ્ચે ક્યાં લર્નર સાહેબ અંતર્ધ્યાન થઈ ગયા ને ક્યાં ઇલિઝાના સ્થાને સંતુ સવાર થઈ ગઈ ને પછી તો સંતુના નામના સિક્કા પડાવો ને સંતુની ભેરા અસવારી જોડાવો, ઘોડા દોડાવો ને હાથી ડોલાવો, ને સંતુનો ડંકો વાગ્યો.

સંતુનું આ ભોળપણ અને બાલસુલભ કિન્નાખોરીનો ઇશારો મળે છે મૂળ અંગ્રેજીની ઇલિઝા રાજાને કહે છે, “હેય કિંગ!” તેના ઉપરથી. અને ફક્ત તેટલા પરથી ગુજરાતીની સંતુ કહે છે કે “સુધરેલી બોલીમાં ટૌકો કરીને કઇસ, રાજાના વાંહામાં ઘુંબો મારીને કઇસ” અને તે પછી તેને ઇલિઝાની કોઈ પરવા રહેતી નથી, સંતુ કોઈની અનુકૃતિના સ્થાને સ્વતંત્ર નાયિકા તરીકે પેશ આવે છે.

દરેક અનુવાદનું કામ પોતપોતાની ડિમાન્ડ સાથે આવે છે, કોઈ શબ્દસ: તરજુમો માગે છે, ને કોઈ સંતુના કિસ્સામાં બનેલું તેમ ભાવાનુવાદ માગે છે. શબ્દસ: તરજુમામાં અનુવાદકની દખલ બિલકુલ નથી હોતી, ભાવાનુવાદમાં અનુવાદક પણ પોતાનો હિસ્સો આપે છે. સંતુના અનુવાદ વખતે, અથવા કોઈપણ ક્રિયેટીવ કૃતિના ભાવાનુવાદ વખતે હું એવા આડમ્બરથી હાથમાં ચોપડી લઉ છું કે જોર્જ બર્નાડ શોને ગુજરાતી નથી આવડતું, તેથી તેણે ગુજરાતીમાં લખવું હોય તો કેમ લખે?

***

માતૃભાષા એટલે આપણા બાળપણની ભાષા. માતાના ઉદરમાંથી ઉવાં ઉવાં કરતાં, પ્રાવાયુનો પ્રથમ ગ્રાસ કરતાં અવચેતન મનથી જે શીખીએ તે ભાષા. આપણી ઇંદ્રિયો જે જે અનુભવે તે તે આપણી મગજની બેન્કમાં જમા કરીએ તે ભાષા. આપણો જન્મ કરાવનાર દાયણના તંબોળી રંગના દાંત, માળિયાના નળિયાંમાંથી ચૂતો ભેજ, પોળની નીકોમાં દોડતા પાણીનો કોલાહલ અને આપણા પ્રથમ રુદનનો નિનાદ આપણા મનમાં જે ભાષામાં અંકિત થાય તે ભાષા.

હાલ ગુજરાતીઓના મોટા મોટા કબીલા પરદેશ વસે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ગુજરાતી ટાબરો ત્યાંની ભાષામાં મોટાં થાય છે, વાંચે છે, બોલે છે ને લખે છે. અલબત્ત એમની માતૃભાષા ગુજરાતી નહીં પણ તે તે દેશની ભાષા છે, તેમને અંગ્રેજીમાં અનુભૂતિ થાય છે. તે લોકો અંગ્રેજી કે અમેરિકન આબોહવા, ખાણીપીણી અને રીતરસમથી પરિચિત છે. તે લોકો મોટાં થાય અને તેમાંથી કોઈ લેખક બને ને એને કુતૂહલ થાય કે અમારા ગુજરાતી અંકલો ને આન્ટીઓ કેવું સાહિત્ય રચતાં હતાં કે રચે છે, અને તેનો અનુવાદ અંગ્રેજીમાં કરી બતાવે ત્યારે જ તે અંગ્રેજ કે અમેરિકન વાચકોને ભોગ્ય થશે, ત્યાં સુધી આપણે માંહોમાંહે જે કરીશું કે કરાવડાવીશું તે મૂળ લેખનના ઝાંખા પડછાયા હશે.

હાલ જે ભારતીય લેખકો અંગ્રેજીમાં લખે છે તેમની પણ માતૃભાષા અંગ્રેજી છે કેમકે તે અંગ્રેજીમાં ભણ્યા છે, અંગ્રેજીમાં વિચારે છે અને અંગ્રેજી સાહિત્યમાં સ્નાન કરીને ઉત્તીર્ણ થયા છે. એમની શબ્દાવલિ અંગ્રેજી છે. તેમનાં લખાણો અંગ્રેજીની છટાઓનોયથેચ્છ ઉપયોગ કરે છે. એ લોકો કદાચ ભારતીય ભાષાના સાહિત્યનો સંતોષકારક અંગ્રેજી અનુવાદ કરી શકે.

***

આ ઉપરથી સવાલ ઊભા થાય છે કે તો પછી રવીન્દ્રનાથનું શું? એમણે પોતે કરેલા પોતાની કવિતાના અનુવાદ “ગીતાંજલિ”ને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો તેનું શું? એવો જ યશ મળ્યો આઇરિશ નાટ્યકાર સેમ્યુઅલ બેકેટને જે પોતાની માતૃભાષા અંગ્રેજીમાં નહીં પણ ફ્રેન્ચમાં લખતા તેનું શું? અને અનુવાદની લઢણ કેવી રાખવી? ગુજરાતી “નમસ્તે”નો અનુવાદ “નામાસ્ટે” કરવો? કે લખવું, “આઈ બાઉ ટુ યુ”? કે લખવું “ગુડ મોર્નિંગ” કે પછી “ગ્રીટિંગ્ઝ”?

અને ગુજરાતી એટલે કયું ગુજરાતી? ગોવર્ધનરામનું? નવલરામનું? ઉમાશંકરનું? લાભશંકરનું? સુરેશ જોષીનું? શિવકુમાર જોષીનું? ચંદ્રકાંત બક્ષીનું? રામપ્રસાદ બક્ષીનું? રમેશનું, સિતાંશુનું? આદિલનું? પન્ના નાયકનું? પ્રીતિનું? અને કયા પ્રકાશનનું ગુજરાતી શિષ્ટ કહેવાય? મુંબઈ સમાચાર? જન્મભૂમિ? ગુજરાત સમાચાર? દિવ્ય ભાસ્કર? ગુજરાત મિત્ર? કયા સ્થળનું ગુજરાતી શુદ્ધ? ભૂલેશ્વરનું? લાલા વસાની પોળનું? ભવાનીપુરનું? મ્વાંઝાનું? વેમ્બલીનું? ન્યુ જર્સીનું? સંસ્કૃતની છાંટવાળું? હિન્દીની અણસારનું, ઇંગ્લિશની અદાવાળું?

આપણી ભાષા આજે દારૂ પીધેલા વાંદરાની જેમ છાકટી બનીને હિન્દી ડાયલોગ અને બાબુછાપ અંગ્રેજીના બાટલા ચડાવી બેડોળ બની બેઠી છે. એક ગુજરાતી દૈનિકની Ad Free આવૃત્તિનો ગુજરાતી અનુવાદ “જાહેરખબર મુક્ત”ને બદલે થાય છે, “જાહેરખબર મફત”. આપણી રોજિંદી બોલચાલની ભાષા પણ જાણે મિનિટે મિનટે બદલી રહી છે, હિન્દી સિરિયલોના ડાયલોગ અને અધકચરા અંગ્રેજીની બોમ્બવર્ષાવાળું ગુજરાતી આજે સુધરેલું ગુજરાતી ગણાય છે. એક વિજ્ઞાપનનું હેડિંગ હતું, “વ્હોટઇઝ રોન્ગ વિથ મી” ને કોઈ ટ્રાન્સલેટરે તેનું ગુજરાતી કરેલું, મારી સાથે ખોટું શું છે?”

ધરતી ફરે છે તેની જેમ જ અને જિન્દગીની લઢણ પલકે પલકે પલટાઈ રહી છે, ને આજે તાડપત્રમાં કખગ લખાતું તેના સ્થાને કમ્યુટર સ્ક્રીન ઉપર કે મોબાઇલની સ્ક્રીન ઉપર આપણે અંગૂઠો ઊંચો કરીને કોઈની બેબીના ભરતનાટ્યમ્‌ને “લાઈક” કરીએ છીએ ને કોઈના લગ્નના વિડિયોને હાર્ટ શેઇપથી લવ કરીએ છીએ. ભાષા ને લિપિ ને લખાણની પૃષ્ટભૂ સતત બદલાતી રહે છે. ત્યારે અદ્દલ અનુવાદ કેમ કરવો? અસલ લખાણની અનુભૂતિ બીજી ભાષામાં ક્થી પેદા કરવી?

ત્યારે કોઈ સીનિક કહી શકે કે જવા દો જવા દો અનુવાદની વાત. મુઠ્ઠી બંધ છે ત્યાં સુધી કાંઈ આબરૂ છે, એને છતી કરશો તો બેઆબરૂ થશો. હજી હમણાં તો આપણો માન્ય જોડણીકોશ બન્યો છે, ને કોઈપણ બે લેખકો એકસરખી જોડણી કરતા નથી. આપણા પ્રશિષ્ટ ગુજરાતી સાહિત્ય ઉપર સંસ્કૃતનો પ્રચંડ પ્રભાવ છે, અને આધુનિક ગુજરાતી સાહિત્ય તે જગતના આધુનિક સાહિત્યની વાનરનકલથી વિશેષ કાંઈ નથી. આપણાં નાટકો નિર્માલ્ય છે, ને ઇતર સાહિત્ય નામશેષ છે. શાની વાત કરો છો મિસ્ટર? સાહિત્ય કેવું ને વાત કેવી? જ્ઞાતિપત્રકો જેવાં લખાણોનું અંગ્રેજી કરીને અમુક વૃદ્ધોના અહંકારને છકાવવાથી કયા શિખરો સિદ્ધ કરવાના છો? આપણી જોડકણા જેવી કવિતા, ટૂચકા જેવી વાર્તાઓ, ને સોપઓપેરા જેવી નવલકથાઓ અંગ્રેજીમાં નથી આવી ત્યાં સુધી કાંઈ આબરૂ છે. તેનું અંગ્રેજી કરીને દુનિયાની સામે મૂકવાથી આપણે કેવા અભણ છીએ તે છતું થઈ જશે.

એથી આગળ વધીને કોઈ કહેશે કે મૂકો પૂળો ગુજરાતી ઉપર! આવતી કાલની દુનિયાની માતૃભાષા અંગ્રેજી છે, અંગ્રેજી ભણનારને વહેલી નોકરી મળે છે, અંગ્રેજી ભારતની રાજભાષા છે, વેપારની ભાષા છે, ઇન્ટરનેશનલ ભાષા છે, કમ્પ્યુટરની ભાષા છે. કચ્છીઓએ જે કચ્છી છાંડીને ગુજરાતીમાં લખવાનું સ્વીકારી લીધું છે તેમ હવે ગુજરાતીઓએ ગુજરાતી ત્યાગીને અંગ્રેજીમાં લખવાની રિયાલિટી સ્વીકારી લેવી જોઈએ. ગુજરાતીમાં લખીને તેનું અંગ્રેજી કરાવવાની માથાફોડી મૂકીને સીધું અંગ્રેજીમાં જ લખો ને! જેવું આવડે એવું ચીંથરેહાલ અંગ્રેજી લખો, ને ગુજરાતી કૃષ્ણાર્પણ કરો. આવતી કાલના વાચકો અંગ્રેજી જ વાંચશે; આજે સંસ્કૃત કે પાલી કે લેટિનની જે દશા છે તેનાથી અધમ દશા તમારી ગુજરાતીની થવાની છે. વગેરે.

***

ત્યારે સંભવ છે કે કોઈ ગર્વિષ્ઠ શ્રોતા ઊભો થઈને કહેશે કે મારી ભાષા કંગાળ હોય કે તવંગર તે મહત્ત્વનું નથી. મહત્ત્વનું તે છે કે મારી ભાષા મારી છે. કોઈના મહેલ જોઈને હું મારી ઝૂંપડી સળગાવી નહીં નાખું. મારે મારા બાળકનો ફોટો પાડવો છે. મારું બાળક રૂપાળું છે નથી તે વાત જ ખોટી છે. મારા બાળકના રૂપના કારણે નહીં પણ તે બાળક મારું છે તેથી તેનો ફોટો પાડવો છે. તે મારું છે એટલે તે સૌથી સવાયું છે ને સવાયું રૂપાળું છે.

ત્યારે વળી કોઈ સવાઈ ગર્વિષ્ઠ શ્રોતા ઊભું થઈને કહેશે કે કોણે કહ્યું કે મારી ભાષા કંગાળ છે? કે મારું બાળક રૂપાળું નથી? ગુજરાતી લેખકો તેનું રૂપ છતું ન કરી શકે તેથી શું? મારી ભાષા બોલતા લોકોની જીભે તો તેનો જુસ્સો બરકરાર છે. લેખકો તો ખબરપત્રીઓ છે. તેઓ લોકોની વાણી હેવાલ પોતાની કૃતિઓમાં આપે છે. રિપોર્ટરોની કમજોરી કાંઈ લોકોની કમજોરી નથી. મારાં ભાષાજનોએ સૈકાઓથી પ્રભુને ભજ્યા છે. અને પ્રિયજન સાથે શૃંગાર કીધા છે. મારી ભાષામાં મારા વીરપુરુષોએ ધીંગાણાં ખેલ્યાં છે, વિશ્વવાણિજ્યના વેપલા કીધા છે ને દુનિયાના સાગર ઉપર સવારી કરી છે. મારી ભાષાને દેવભાષાનો વારસો છે. ને દુનિયાના અઢારે વરણની બોલીઓનો તેજાનો છે. મારી ભાષાનું કૌવત, મારી બાનીની મીઠાશ, મારી બોલીના ફૂંફાડાના નાગ જેને ડસે તે જાણે કે મારી ભાષા કોઈ બી ભાષા જેટલી બલિષ્ઠ છે.

***

ઓકે, ઓકે, ગગનવાલો ભાષાની સ્તુતિમાં ઘેલો થઈ જાય તે પહેલાં અચાનક તેને ખયાલ આવે છે કે અશોક મેઘાણીએ ઝવેરચંદના સુપુત્ર અશોકકુમારે કરેલા અદભુત અનુવાદનું શું? જે અનુવાદ પાછો તોલ્સતોયની ભાષામાંયે છપાયો છે! અશોકકુમારની વાત જ જુદી છે, માણારાજ, તેમના બ્લડમાં છે અફલાતૂન અનુવાદ, કેમકે પિતાશ્રી હતા ગુજરાતીના ઓલટાઇમ ગ્રેઇટ અનુવાદક!

ગગનવાલાના પિતા સાદા ટીચર હતા, ને પોતાને એવી કોઈ મોટાઈ નથી, પણ કોઈ સુપુત્ર ન હોવાથી એમણે પોતે પોતાની એક નવલકથાનો ઇંગ્લિસ્તાનીમાં અનુવાદ કરેલો છે, જેની ટીવી સીરિયલ બી ઊતરી છે ને ફિલ્મ બી બની છે. કાલે સવારે કોને ખબર માઇ વેરી ગુડ ફ્રેન્ડની લાગવગથી યુનો, અમારી બી લ્યુબ્લ્યુ તેબ્યા બને!*

––––––

*લંડનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત એક ઝૂમ વાર્તાલાપનો (શનિવાર, 06 નવેમ્બર 2021) આ મુસદ્દો મારા અગાઉ પ્રકાશિત લેખોનો સંચય છે. લાઇવ ઝૂમ પ્રસંગે આ લખાણ કેટલાક ફેરફાર ઉમેરા અને બાદબાકી સાથે વંચાયેલો.

લ્યુબ્લ્યુ તેબ્યા એટલે રશિયન ભાષામાં આઇ લવ યુ.

e.mail : madhuthaker@yahoo.com

https://www.youtube.com/watch?v=_B3t_qBdi4Y&t=7s

Loading

સાવરકરનું વીરત્વ હકીકતમાં કેવું હતું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 November 2021

વિનાયક દામોદર સાવરકરે પોતાના આત્મચરિત્રમાં લખ્યું કે ૧૭ વરસની ઉંમરે તેમણે નાસિકમાં તરુણોને સંગઠિત કર્યા હતા અને સશસ્ત્રક્રાંતિની એવી મશાલ પ્રગટાવી હતી કે તે જોઇને સરકારી અમલદારો થરથરવા લાગ્યા હતા, પોતાને શહાણા સમજનારાઓ ક્રાંતિકારી તરુણોને હથિયાર હાથમાં નહીં લેવાની શાણી સલાહ આપતા હતા અને તિરસ્કારતા હતા અને સ્વજનો તેમ જ હિતચિંતકો ગળે વળીને રડતા હતા.

સવાલ એ છે કે સાવરકર દાવો કરે છે એમ ૧૯૦૦ની સાલ સુધીમાં તેમના પ્રયત્નોનાં કારણે નાસિકમાં ક્રાંતિની મશાલ પ્રગટી ચૂકી હતી, તો તેને દેશભરમાં ફેલાવવાની જગ્યાએ તેઓ નાસિક છોડીને તરત જ બીજા જ વરસે ૧૯૦૨ની સાલમાં પહેલાં પૂના અને પછી ૧૯૦૬ની સાલમાં લંડન ભણવા માટે કેમ જતા રહ્યા? આવો સાદો અને સ્વાભાવિક સવાલ તેમના હિન્દુત્વવાદી ચરિત્રલેખકોએ કર્યો નથી. એટલે જવાબ આપવાનો તો સવાલ જ નથી. સવાલ તો એ પણ છે કે તેમના જીવન ન્યોચ્છાવર કરવા ઉત્સુક શિષ્ય સમાન તરુણોને તેઓ કોના ભરોસે છોડીને ગયા હતા? કોઈ સાચો ક્રાંતિકારી નેતા સાથીઓને છોડીને આમ ઉચ્ચ શિક્ષણ માટે જાય ખરો?

સાવરકરે પોતે જ તેમના આત્મચરિત્ર(સમગ્ર સાવરકર ભાગ એક, પૃષ્ઠ ૧૭૭)માં લખ્યું છે : ‘બે-પાંચ અંગ્રેજોને મારવાથી તેઓ ડરીને ભાગી જશે એવી ભોળી સમજ તેઓ ધરાવતા નહોતા. પરંતુ ૩૦ કરોડ લોકોના આ દેશમાં જો બે લાખ તરુણો ગુપ્ત સંગઠનો રચે, અચાનક છાપામારી કરે, કાવતરાં રચે, હાર્યા વિના કે નિરાશ થયા વિના અવિરત લડત આપે તો રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય મળે જ મળે. કોઈ તેને મળતું રોકી ન શકે.’ આમ તેઓ જાણતા તો હતા જ કે સશસ્ત્રક્રાંતિ દ્વારા આઝાદી મેળવવા માટે શું કરવું જોઈએ, પરંતુ તેમણે પોતે એ માર્ગ અપનાવવાની જગ્યાએ પહેલાં પુનાનો અને એ પછી લંડનનો માર્ગ અપનાવ્યો હતો.

શા માટે? એક તો એ કે તેઓ દાવો કરે છે એવી કોઈ ક્રાંતિની ચિનગારી નાસિકમાં પેદા નહોતી થઈ. કોઈ સમકાલીન અહેવાલો તેને પુષ્ટિ આપતા નથી. એ માત્ર શૌર્યપરક આત્મગૌરવ છે અને સાવરકરનાં લખાણોમાં તમને એ અવારનવાર જડી આવશે. એ તેમનો સ્થાયીભાવ છે. બીજું મહત્ત્વનું કારણ એ કે તેઓ પોતે કોઈ જોખમ ઉઠાવવા માગતા નહોતા. તેઓ માત્ર લખાણો લખીને અને ભાષણો આપીને યુવકોને ઉત્તેજિત કરતા હતા. તેમણે આખી જિંદગીમાં પિસ્તોલ તો બાજુએ રહી, લાઠી પણ હાથમાં લીધી નહોતી. ત્રીજું એટલું જ મહત્ત્વનું કારણ એ કે શ્યામજી કૃષ્ણવર્માની અને બીજાઓની માફક તેમની પણ એવી સમજ હતી કે જ્યાં સુધી પોતે કાયદો હાથમાં ન લે ત્યાં સુધી બ્રિટનની ભૂમિ ભારત કરતાં વધુ સલામત છે. બ્રિટનમાં સુરક્ષિત વાણીસ્વાતંત્ર્ય છે, એટલે ગમે તે લખી-બોલી શકાય એમ છે. ભારતમાં રાજ્યદ્રોહના કાયદાઓ નડે છે. લંડન જવા પાછળ આ કારણો હતાં. સાવરકરને ઉશ્કેરણીજનક લખવા-બોલવાની અબાધિત આઝાદી જોઈતી હતી, એમાં જ તેમની ફાવટ હતી, તેઓ પોતે શસ્ત્ર હાથમાં લેવા માગતા નહોતા, જ્યાં હિંસક ઘટનાઓ બનતી હતી તેની નજીક પણ તેઓ રહેતા નહોતા એટલે તેમણે વિચાર્યું કે બ્રિટન સૌથી સલામત ભૂમિ છે. લોકમાન્ય તિલક અને શ્યામજી કૃષ્ણવર્માનો હવાલો આપીને તેમણે એ લખ્યું પણ છે.

પણ તેમના દુર્ભાગ્યે આ ગણતરી ખોટી નીવડી. તેમણે લખવા-બોલવામાં અને યુવકોને ઉશ્કેરવામાં થોડી વધારે પડતી છૂટ લીધી જેમાં તેઓ ફસાઈ ગયા.

૧૯૦૬ના જૂન મહિનામાં સાવરકર લંડન ગયા. ત્યાં તેઓ શ્યામજી કૃષ્ણવર્મા દ્વારા સ્થાપિત ઇન્ડિયા હાઉસમાં રહેતા હતા. ત્યાં બીજા પણ કેટલાક ભારતીય યુવકો રહેતા હતા. મદનલાલ ઢીંગરા પણ એ જ વરસમાં મિકેનિકલ એન્જિનિયરીંગ ભણવા માટે આવ્યો હતો. બીજા યુવકોની માફક ઢીંગરા પણ દેશદાઝ ધરાવતો હતો. ઢીંગરાની ભાવનાશીલતા જોઇને સાવરકરે તેને પોતાની પાંખમાં લીધો હતો. ઢીંગરા એટલો બધો સાવરકરથી પ્રભાવિત થયો હતો કે તે સાવરકરના આદેશ મુજબ ગમે તે કરવા તૈયાર હતો અને પહેલી જુલાઈ ૧૯૦૯ના રોજ તેણે કર્ઝન વાઈલી નામના ભારતમાં લશ્કરમાં નોકરી કરી ચુકેલા નિવૃત્ત બ્રિટિશ અધિકારીનું ખૂન કર્યું હતું.

મદનલાલ ઢીંગરાએ કરેલું વાઈલીનું ખૂન સાવરકર દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણીનું પરિણામ હતું એની બ્રિટિશ સરકારને ખાતરી હતી. બ્રિટિશ સરકાર શું, યુરોપમાં, લંડનમાં અને ઇન્ડિયા હાઉસમાં રહેતા ભારતીયોને પણ તેની જાણ હતી. એટલે તો બ્રિટનમાં વસતા ભારતીયોએ સભા કરીને વાઈલીખૂનની નિંદા કરી હતી. વાઈલીનું ખૂન કરવામાં આવ્યું એ પછીના બીજા અઠવાડિયે ગાંધીજી ૧૦મી જુલાઈએ દક્ષિણ આફ્રિકાના કામે લંડન ગયા હતા. તેમણે ૧૬મી જુલાઈ ૧૯૦૯ના રોજ ‘ઇન્ડિયન ઓપીનિયન’ માટે એક લેખ લખ્યો હતો જેમાં ગાંધીજી લખે છે : ‘ … તેણે (ઢીંગરાએ) નકામાં લખાણો ઉપરટપકે વાંચીને આ કામ કર્યું છે. ને બચાવ પણ ગોખી રાખેલો જણાય છે. સજા તો તેને શીખવનારને થવી જોઈએ. તેને તો હું નિર્દોષ ગણું છું. ખૂન તે નશામાં થયેલું કામ છે. નશો કાંઈ માત્ર દારુભાંગનો જ નથી હોતો, અમુક ગાંડા વિચારનો પણ નશો હોઈ શકે છે. …' (ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૯, પૃષ્ઠ ૩૬૧)

‘સજા તો તેને શીખવનારને થવી જોઈએ.’ ગાંધીજીનો આ ઈશારો સાવરકર તરફ હતો અને સાવરકરે એનો ખાર આજીવન રાખ્યો હતો, તે ત્યાં સુધી કે ગાંધીજીની હત્યામાં સાવરકરનો હાથ હતો. અદાલતે સાવરકરને નિર્દોષ ઠરાવ્યા એ જજની ભૂલ હતી એમ સાવરકરના અવસાન પછી રચવામાં આવેલા કપૂર કમિશને પુરાવા સહિત નોંધ્યું છે. આ સ્થિતિમાં રાજનાથ સિંહ કહે છે એમ ગાંધીજીની સલાહને અનુસરીને સાવરકરે બ્રિટિશ સરકારની ઉપરાઉપર માફીઓ માગી હતી એ વાત ગળે ઉતરે એવી નથી. પણ એ વાત અહીં બાજુએ રાખીએ.

શું સાવરકરે મદનલાલ ઢીંગરાને ઉશ્કેર્યો હતો? સાવરકર પોતે શું કહે છે?

સાવરકર એ સમયે તેમના ‘અભિનવ ભારત’ નામના સામયિક માટે ‘લંડનચી બાતમીપત્રે’ એવા શીર્ષક સાથે પત્રો લખતા હતા. એ પત્રો પણ સાવરકર સમગ્ર વાંગ્મયમાં સંગ્રહિત છે. એ પત્રોમાં ઢીંગરા વિષે લખાણ છે, પણ એમાં કોઈ જગ્યાએ સાવરકરે લખ્યું નથી કે ઢીંગરા તેમના પ્રભાવમાં હતો અને તેમણે તેને ખૂન કરવાની સલાહ આપી હતી. આ તો જાણે સ્વાભાવિક છે અને સાવરકર માટે વધુ સ્વાભાવિક છે.

સાવરકરે ઢીંગરાના બચાવનામામાં કરેલા નિવેદનનો એકથી વધુ વાર ઉલ્લેખ કર્યો છે. એ બચાવનામું સાવરકરે લખી આપ્યું હતું જેનો ઉલ્લેખ ઉપર ગાંધીજીએ, ‘ને બચાવ પણ ગોખી રાખેલો જણાય છે.’ એ વાક્યમાં કર્યો છે. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે ત્યારે લખ્યું નહોતું કે ઢીંગરાનું બચાવનામું તેમણે લખીને આપ્યું હતું. પરંતુ બન્યું એવું કે જે દિવસે ઢીંગરાએ પોતાનું બચાવનામું અદાલતમાં પેશ કર્યું એ દિવસે જજે આદેશ આપ્યો હતો કે કોઈ ભારતીયને અદાલતમાં પ્રવેશ આપવામાં ન આવે. સાવરકરે પોતે જ આ લખ્યું છે. બીજું એ બચાવનામાને ખુલ્લી અદાલતમાં જજે રેકર્ડ પર લીધું નહોતું એ પણ સાવરકરે નોંધ્યું છે. તો પછી એ બચાવનામાની સંપૂર્ણ વિગત અક્ષરસઃ એ જ દિવસે અખબારો સુધી પહોંચી કેવી રીતે? કોણે પહોંચાડી હતી? સાવરકરે એ વિગત અખબારો સુધી પહોંચાડી હતી એમ પત્રકારોએ કહ્યું હતું. એ પછી ઢીંગરાનું કૃત્ય એ સાવરકરની ચડામણીનું પરિણામ છે એની બ્રિટિશ સરકારની માન્યતા વધારે દ્રઢ થઈ હતી. ભારતમાં પણ (મુંબઈ પ્રાંતના થાણે, પૂના અને નાસિક જિલ્લાઓમાં) હિંસાની દરેક નાનીમોટી ઘટનાઓના સગડ સાવરકર સુધી જતા હતા એ તો હું ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ નામના પુસ્તકનો હવાલો આપીને કહી ચુક્યો છું. સરકારને એક રીતે પુરાવો મળી ગયો હતો, પરંતુ હજુ એ પૂરતો નહોતો.

હવે આનો પાકો પુરાવો કોણ આપે છે? એક સપ્તાહ માટે શ્વાસ રોકી રાખો. સાવરકરીય નીતિશાસ્ત્ર અનોખું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 નવેમ્બર 2021

Loading

...102030...1,6931,6941,6951,696...1,7001,7101,720...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved