Opinion Magazine
Number of visits: 9674285
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બીજાની વીરતા પોતાના નામે ચડાવનાર સાવરકર ખુદ ભીરુ હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|30 December 2021

મદનલાલ ઢીંગરાનું પરાક્રમ તો વિનાયક દામોદર સાવરકરે આપેલી પ્રેરણાનું પરિણામ હતું એનો જશ સાવરકરને હિન્દુત્વવાદીઓએ છેક તેમના અવસાન પછી આપ્યો હતો અને એ પણ સાવરકરનો હવાલો આપીને. અંગ્રેજ-રાજમાં તો ઠીક, પણ આઝાદી પછી પણ સાવરકરે કે તેમના અનુયાયીઓએ જશ લેવાનો કે તેમને આપવાનો પ્રયાસ નહોતો કર્યો, કારણ કે ગાંધીજીના ખૂનમાં સાવરકર એક આરોપી હતા અને તેમને ડર હતો કે જેને તેઓ ‘પ્રેરણા’ કહે છે એને શાસકો ઉશ્કેરણી તરીકે ખપાવી શકે છે અને સાવરકર દ્વારા ગાંધીજીના ખૂનીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા અને ઢીંગરાની કરવામાં આવેલી ઉશ્કેરણી તેનું પ્રમાણ છે એમ કહીને સરકાર કે બીજું કોઈ અપીલમાં પણ જઈ શકે. માટે મહાન ‘વીરે’ અને ‘વીર’ના સમર્થકોએ આઝાદી પછી પણ ‘પ્રેરણા’નો દાવો નહોતો કર્યો કે નહોતો જશ લીધો. એ જશ પર દાવો સાવરકરના અવસાન પછી, જ્યારે પરિસ્થિતિ અનુકૂળ બની ગઈ ત્યારે કરવામાં આવ્યો હતો. ઢીંગરાએ કરેલા પરાક્રમનો શ્રેય વચ્ચેથી આંચકી જવો એ અનીતિ નથી? અને જો ઢીંગરાનું પરાક્રમ ખરેખર સાવરકરની પ્રેરણાનું પરિણામ હતું તો દાયકાઓ સુધી ચુપકીદી સેવવી એ બુઝદિલી નહોતી? પણ એ જ તો હિન્દુત્વ નીતિ છે. સાધનશુદ્ધિ અને પ્રામાણિકતાને સાવરકરે ‘સદ્ગુણવિકૃતિ’ (સહા સોનેરી પાન, પ્રકરણ ચોથું, જેનું શીર્ષક જ છે; સદ્ગુણવિકૃતિ) તરીકે ઓળખાવ્યાં છે.

પણ એક મુસીબત થઈ જેની કલ્પના ૧૯૦૯ની સાલમાં સાવરકરે નહોતી કરી. મદનલાલ ઢીંગરા સામે જ્યારે લંડનની અદાલતમાં ખટલો ચાલતો હતો ત્યારે ઢીંગરાએ અદાલતમાં નિવેદન કર્યું હતું કે, ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment…' માત્ર નખશીખ વીરોને શોભે એવું આ નિવેદન ઢીંગરાએ અદાલતમાં કર્યું હતું (જે એમ કહેવાય છે કે સાવરકરે લખી આપ્યું હતું.) જેનો સાવરકરે ભરપૂર પ્રચાર કર્યો હતો. હજુ તો અદાલત ઊઠે એ પહેલાં તેમણે ઢીંગરાનું નિવેદન અખબારો સુધી પહોંચાડી દીધું હતું. ત્યારે તેમણે બિચારાએ કલ્પના પણ નહોતી કરી કે બહુ જલદી મર્દાનગીની જે એરણ તેમણે પ્રચારિત કરી છે એ જ એરણ ઉપર તેમની પોતાની કસોટી થવાની છે. તેમને તો ત્યારે શ્યામજી કૃષ્ણવર્માની માફક એવો ભ્રમ હતો કે જ્યાં સુધી પ્રત્યક્ષ કાયદો હાથમાં લેવામાં ન આવે ત્યાં સુધી બીજા દરેક પ્રકારના સાહસ માટે બ્રિટિશ ભૂમિ ભારતની ભૂમિ કરતાં વધુ સલામત છે. જ્યારે ભ્રમ ભાંગ્યો ત્યારે ‘અંગ્રેજ યેથૂન તેથૂન સારખેચ!’ એવો એક લેખ ‘લંડનચી બાતમીપત્રે’ માટે તેમણે લેખ્યો હતો. (સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ-૧, પૃષ્ઠ, ૨૬૩)

‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment….' શું મર્દાના નિવેદન છે! માનવું પડે! ખરો ‘વીર’ હોય એ જ આ કહી શકે. ‘હું દયાની ભીખ માગતો નથી. (દયા વળી તમે આપનારા કોણ, કારણ કે) હું તો તમારી મારા ઉપરની (અને ભારત ઉપરની) સત્તાને જ સ્વીકારતો નથી. મારી તો એટલી જ ઈચ્છા છે કે મને મૃત્યુદંડ આપવામાં આવે….'

મદનલાલ ઢીંગરાએ લંડનની અદાલતમાં આ નિવેદન ૨૦મી જુલાઈ ૧૯૦૯ના રોજ કર્યું હતું, જેને સાવરકરે ભારતમાં અને ઇંગ્લેન્ડમાં ખૂબ પ્રચારિત કર્યું હતું. ખૂબ એટલે એમના સ્વભાવ મુજબ બેશુમાર. નસીબનો ખેલ કહો કે સાવરકરની કમનસીબી કહો, બરાબર બે વરસે સાવરકરને કુલ પચાસ વરસની એકાંતવાસની સજા કાપવા માટે ચાર જુલાઈ ૧૯૧૧ના રોજ આંદામાન લાવવામાં આવ્યા અને મર્દાનગીની કસોટી થઈ!

હવે? હવે સાવરકર પાસે બે વિકલ્પ હતા. એક વિકલ્પ હતો મદનલાલ ઢીંગરાનો જે તેમણે પોતે જ તેને બતાવ્યો હતો અને જો બતાવ્યો નહોતો તો પ્રચારિત તો હરખેહરખે અને બેશુમારપણે કર્યો હતો : ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. …' અને બીજો રસ્તો હતો; દયાની ભીખ માગવાનો, માફી માગવાનો અને અંગ્રેજોની ભારત પરની સત્તાનો સ્વીકાર કરવાનો. સાવરકરે બીજો માર્ગ અપનાવ્યો. તેમણે તેમના શિષ્યને (ખરું જોતાં શિષ્યોને, કારણ કે એકલો ઢીંગરા નહીં, અનંત કાન્હેરે અને બીજા અનેક) જે શીખ આપી હતી તેનાથી બરાબર વિરુદ્ધ દિશાનો. સાવરકરના કોઈ ક્રાંતિકારી શિષ્યએ ગુરુની શિખામણની વિરુદ્ધ જઈને દયા માગીને કે માફી માગીને કે પછી અંગ્રેજોની સત્તાનો સ્વીકાર કરીને સવરકરની શિખામણ પાળવામાં ગુરુદ્રોહ નહોતો કર્યો, માત્ર સાવરકરે પોતાની જાત સાથે આત્મદ્રોહ કર્યો હતો. જો કે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. તેઓ સદ્ગુણને સદ્ગુણવિકૃતિ માનતા હતા.

આંદામાનમાં ગયા પછી એ જ વરસમાં તેમણે બ્રિટિશ સરકારની ભારત ઉપરની સત્તાનો સ્વીકાર કરીને દયાની અરજી કરી હતી. દુર્ભાગ્યે તેની વિગત (પાઠ-ટેક્સ્ટ) ઉપલબ્ધ નથી, પરંતુ પછીના પત્રમાં આગલા પત્રનો ઉલ્લેખ જોતાં આંદામાન ગયા પછી માત્ર બે જ મહિનામાં તેમણે માફી માગી હતી એમ સમજાય છે. ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. રાજનાથ સિંહ દાવો કરે છે એ સાચો હોય તો સાવરકરને આંદામાન લઈ જવાયા એ પછી શું માત્ર બે જ મહિનામાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સાવરકરને સલાહ આપી દીધી કે ભાઈ, માફી લો? બીજું, ભારતીય રાજકારણમાં એ સમયે, ૧૯૧૧માં ગાંધીજી શું એવડી મોટી હસતી હતા કે સાવરકરને તેઓ સલાહ આપે અને સાવરકર સલાહ માગે કે સાંભળે? ત્રીજું, જે સાવરકર ગાંધીજીને ક્યારે ય ભારતના દિગ્ગજ નેતા માનતા જ નહોતા એ ગાંધીજીની સલાહ માગે અને સ્વીકારે?

પણ એ હંબક જવા દઈએ. હકીકત એ છે કે આંદામાનની જેલમાં પગ મુકતાની સાથે જ ‘વીરે’ દયાની પહેલી અરજી કરી નાખી. બીજી અરજી તેમણે ૧૯૧૩માં નવેમ્બરની ૧૪મી તારીખે કરી હતી જેમાં પહેલા પત્રનો ઉલ્લેખ છે. ૧૪મી નવેમ્બર ૧૯૧૩ના પત્રમાં સાવરકર પોતા માટે કેટલીક સુવિધાઓની માગણી કરે છે અને આંદામાનથી તળ ભારતની કોઈ જેલમાં બદલી કરવાની માગણી કરે છે. તેમની બદલી અંગ્રેજોને લાભદાયી નીવડવાની છે એમ પણ તેઓ કહે છે. એ કઈ રીતે? વાંચો :

“અંતમાં હું નામદાર સરકારને મેં ૧૯૧૧માં કરેલી દયાની અરજીની યાદ અપાવું છે. ભારતમાં અત્યારે જે રાજકીય સ્થિતિ છે અને સરકારે (ભારતીય રાજકીય પક્ષો અને નેતાઓ સાથે) જે સમજુતીનો માર્ગ અપનાવ્યો છે એ જોતાં સંસદીય માર્ગ (એટલે કે હિંસક કે અહિંસક, દરેક પ્રકારનાં લોકઆંદોલનરહિત માર્ગ અને જેમાં માત્ર સરકાર સાથે વાતચીત કરીને સમજુતી કરવામાં આવતી હોય) માટે ફરીવાર રસ્તો ખૂલ્યો છે. આ નવી સ્થિતિ જોતાં જે વ્યક્તિ ભારતનું ભલું ઈચ્છતી હોય અને જે વ્યક્તિના હ્રદયમાં માણસ (માણસાઈ) વસતો હોય (Humanity at Heart) એ વ્યક્તિ ક્યારે ય ૧૯૦૬-૦૭નો કાંટાળો માર્ગ (લોકમાન્ય તિલક અને જહાલોનો માર્ગ) ન અપનાવી શકે જે શાંતિ અને પ્રગતિમાં બાધક છે. માટે સરકાર જો મને જેલમાંથી છોડીને મારા ઉપર અનેકાનેક ઉપકાર કરે (manifold beneficence) તો હું સમજુતીના અને સંસદીય માર્ગ અખત્યાર કરવામાં બ્રિટિશ સરકારનો વફાદાર ભરોસાપાત્ર સમર્થક બનવા તૈયાર છું (the staunchest advocate of constitutional progress and loyalty to the English Government.), કારણ કે બ્રિટિશ-વફાદારીનો સરકારચિંધ્યો માર્ગ જ શાંતિ અને પ્રગતિનો એક માત્ર માર્ગ છે. … બીજું, મેં હવે સંસદીય માર્ગ અપનાવી લીધો છે એ જોઇને એક સમયે મને અનુસરનારા દેશ અને વિદેશના મારા માર્ગ ભૂલેલા અનુયાયીઓ મારો માર્ગ અપનાવશે અને સંસદીય માર્ગે વળશે. હું સરકાર ઈચ્છે એ રીતે સરકારની સેવા કરવા તૈયાર છું, કારણ કે મારું માર્ગપરિવર્તન ઈમાનદારીપૂર્વકનું છે જેની ખાતરી ભવિષ્યમાં મારાં વર્તન દ્વારા થશે. મને જેલમાં ગોંધી રાખવા કરતાં મને છોડવાથી સરકારને વધારે ફાયદો થાય એમ છે. આખરે કૃપા તો એ જ કરી શકે જે શક્તિશાળી હોય અને માટે માર્ગ ભૂલેલો પાપી સરકાર માઈ-બાપનો દરવાજો ન ખખડાવે તો બીજા કોનો ખખડાવે? (The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?)”

આ એ માણસ છે જેણે મદનલાલ ઢીંગરાના મરદનો દીકરો જ બોલી શકે એવા કથનનો બેશુમાર પ્રચાર કર્યો હતો. એ કથન હતું : ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. …' આ એ માણસ છે જેણે મદનલાલ ઢીંગરાને રિવોલ્વર આપતા કહ્યું હતું કે, ‘આ વખતે જો નિષ્ફળ નીવડે તો મને મોઢું નહીં બતાવતો.’ અર્થાત આ એ માણસ છે જે મર્દાનગીમાં માને છે અને કાયરનું તો મોઢું જોવા પણ તૈયાર નથી.

આશ્ચર્ય થાય છે? તો આ એ માણસ છે જે ઢીંગરાની મર્દાનગી માટેના શ્રેયનો દાવો છ દાયકા પછી કરે છે. પોતાની હયાતીમાં પોતે ક્યાં ય લખતા નથી, પોતે ક્યાં ય બોલતા નથી; પણ કહીને જાય છે અને તેમનાં મૃત્યુ પછી આવો દાવો વહેતો કરવામાં આવે. આ એ માણસ છે જેણે લંડનની અદાલતમાં અને મુંબઈની અદાલતમાં જાંબાઝ ક્રાંતિકારીઓને રઝળતા મૂકીને હાથ ઊંચા કરી લીધા હતા. બેરિસ્ટર જયકરનો હવાલો આપીને મેં આનું પ્રમાણ આપ્યું છે. આ સિવાય ખટલાની સુનાવણી ઉપલબ્ધ છે.

હજુ પણ આશ્ચર્ય થાય છે? તો છેલ્લું વાક્ય ફરીવાર વાંચો. The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government? હિન્દુત્વવાદીઓ પાસે ભારતના કાયર નેતાઓની લાંબી યાદી છે. બહાદુર તો તેઓ જ માત્ર છે, જેમણે બહાદુરી જાળવી રાખવા માટે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો. તેમને પૂછો કે ભારતના કયા કાયર નેતાએ આ શબ્દોમાં સરકાર સમક્ષ કાકલૂદી કરી છે? અહિંસામાં માનનારા કાયરોમાંથી એકાદ નામ બતાવે. સાવરકર પોતાને અંગ્રેજીમાં prodigal son તરીકે ઓળખાવે છે, જે બાયબલની એક કથા છે. prodigal sonનો અર્થ થાય છે કેડો ચુકેલા. માર્ગ ભૂલેલા. ભટકી પડેલા. ચાર પ્રકારના લોકો હોય છે. એક કેડીએ ચાલનારા. બીજા કેડી કંડારનારા. ત્રીજા કેડો ચાતરનારા અને ચોથા કેડો ચૂકી જનારા. સાવરકર પોતાને કેડો ચૂકી ગયેલા અને ખોટી દિશામાં ભટકી પડેલા તરીકે ઓળખાવે છે. બાયબલના ભટકી પડેલા દીકરાની અક્કલ ઠેકાણે આવે છે અને પાછો બાપને શરણે જાય છે. The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?

હજુ પણ આશ્ચર્ય થાય છે? તો ખમો, પિક્ચર અભી બાકી હૈ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 ડિસેમ્બર 2021

Loading

પન્નાને જન્મદિને

નટવર ગાંધી|Poetry|29 December 2021

રોજની પેઠે અમે સવારની ચા માણતાં બેઠાં હતાં. ઠૂઠાં પણ નયનરમ્ય ઝાડવાની વચ્ચેથી ચળાઈને આવતું અરુણું પરભાત અમને કોઠે શાતા પૂરતું હતું. અને તેવાકમાં જ મારી ચાનો બીજો પ્યાલો હોઠે માંડું ને આ સોનેટ તરવરવા લાગ્યું ! લ્યો, મારી એ આનંદની લહેરને તમ લગી વિસ્તારવાનું આ મન કર્યું. 

[It was our usual morning with tea and watching the અરુણું પરભાત behind the barren but beautiful trees. And there, surfaces the above sonnet under my second cup of tea! I would like to share the joy it brought me.]

પન્નાને જન્મદિને 

(12/28/2021)

*શિખરિણી*

સવારે છાપામાં જરૂર નીરખું કોણ ગુજર્યું, 

ગયા મિત્રો જૂના, નવીન વળી કૈં નાની વયના,

વળાવ્યાં કૈં વ્હાલાં, દૂર નજીકના વૃદ્વ વડીલો 

હવે મારો વારો અચૂક બસ એવી ગણતરી, 

કરી તૈયારી સૌ, ચૂકવી દઈ સૌ દેણુ હતું તો,

વળી માગી માફી કરજ હજી કૈં બાકી રહ્યું તે

હતું બાંધ્યું બીસ્ત્રે ફગવી બધું, કીધી અલવિદા,   

પછી હું બેઠો’તો ભજન ભજતો, દિન ગણતો.

 

અને  ત્યાં તું આવી કમલનયના, કામ્ય, રમણી 

કહ્યું: આ શું માંડ્યું? જીવન જીવવું બાકી ઘણું છે,

રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, નયને સૃષ્ટિ સઘળી,

નથી માણી તેને તન મન થકી એક થઈને 

જીવીશું, માણીશું, જીવન જીવશું સાથ જ વળી −

ઊઠો, દીધું એવું વચન કરવું સાર્થ હજી છે. 

Loading

ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 December 2021

અમેરિકાના બોસ્ટનમાં વસતા એક ગુજરાતી વડીલજન ભારે હરખથી ત્યાંના એડલ્ટ ડે કેર સેન્ટર વિશે વાત કરતા હતા. પાંસઠ વરસથી વધુ વયના, સંભાળની જરૂર હોય અને દિવસ દરમિયાન ઘરે એકલા હોય તેવા વૃદ્ધોને સરકાર સહાયિત વૃદ્ધજન કેન્દ્રોની આઠેક કલાક સેવાશુશ્રૂષા મળે છે. રોજ સવારે સાડા સાતે તેમને ઘરેથી વાહનમાં લઈ જવામાં આવે છે. ચા-નાસ્તો, બપોરનું ખાણું, હળવી કસરત, પ્રાર્થના, આનંદ અને આરામની સગવડ, આરોગ્યની તપાસ સાથે તેમની સતત દેખરેખ રખાય છે. મોડી બપોરે તેમને કાળજીપૂર્વક ઘરે પણ મૂકી જાય છે. રોજના વ્યક્તિદીઠ આશરે સિત્તેર ડોલરના સરકાર સહાયિત આ એડલ્ટ ડે કેર સેન્ટરનો જેમને લાભ મળ્યો છે તે વડીલમિત્રને આ સુવિધા પંચતારક હોટલ કે સ્વર્ગ જેવી લાગે છે. મૂડીવાદી અમેરિકાના કેટલાક રાજ્યોમાં વૃદ્ધોની સંભાળ માટેના આ સરકારી પ્રયત્નોની કલ્યાણ રાજ્ય અને સામાજિક સુરક્ષાના બણગા ફૂંકતા લોકશાહી ભારતમાં કલ્પના પણ થઈ શકે તેમ નથી.

દુનિયાભરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. વલ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ મુજબ વિશ્વમાં ૨૦૧૯માં દર અગિયાર વ્યક્તિએ એક વ્યક્તિ પાંસઠ વર્ષથી વધુ વયની હતી. ૨૦૫૦માં તે વધીને દર છ વ્યક્તિએ એક હશે. ભારતમાં ૧૯૯૧માં ૫.૫૦ કરોડ, ૨૦૦૧માં ૭.૬૦ કરોડ, ૨૦૧૧માં ૧૦.૩૪ કરોડ વૃદ્ધો હતા. ૨૦૨૧માં ૧૩.૮૦ કરોડ છે. એ રીતે જોતાં ભારતમાં આજે દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે. ભારતીયોની સરેરાશ ઉમર ૨૭.૧ વરસ છે. એટલે તે ડોમોગ્રાફિક ડિવિડન્ડ ધરાવતો યુવા દેશ છે પરંતુ ૨૦૨૬માં વૃદ્ધોની વસતી વધીને ૧૭.૩ કરોડ અને ૨૦૫૦માં આશરે ૩૫ કરોડ થશે !

વાર્ધક્ય માનવજીવનનો અનિવાર્ય હિસ્સો છે. ઢળતી ઉમરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ નોકરી-ધંધો કે દાણાપાણી મેળવવાની જંજાળમાંથી માણસને મુક્ત થવું પડે છે. જો કે સમાજ વૃદ્ધોને ખોટા સિક્કા કે બિનઉપયોગી પણ ગણે છે. આખી જિંદગી વૈતરું કરનાર જ્યારે પાછલી અવસ્થામાં કોઈ ઉત્પાદક યોગદાન આપી ન શકે, આર્થિક રીતે પરાધીન હોય, શરીર નબળું પડ્યું હોય અને સંતાનો મોં ફેરવી લે ત્યારે તે ભારે લાચારી અનુભવે છે.

લોકોનું સરેરાશ આયુષ્ય કે જીવનદર વધ્યો છે. અને જન્મદર ઘટ્યો છે તેથી વૃદ્ધોની સંખ્યા વધી છે. લંબાયેલું જીવન જો સ્વસ્થ ન હોય (અને નથી જ હોતું) તો તે બોજારૂપ બની રહે છે. વૈશ્વિક આવરદા ૭૩.૩ વરસની પણ સ્વસ્થ જીવનના વરસો તો ૬૩.૭ જ છે. ભારતમાં સરેરાશ આયુષ્ય ૭૦.૮ વરસ છે પણ સ્વસ્થ જીવનના વરસો ૬૦.૩ એટલે કે સરેરાશ આયુષ્ય કરતાં દસ વર્ષ ઓછાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો વૃદ્ધોના આરોગ્ય અને આર્થિક-સામાજિક સ્થિતિનો અભ્યાસ જણાવે છે કે દેશનો દર ચોથો વૃદ્ધ એકાધિક બીમારીઓથી ગ્રસ્ત છે. દર પાંચમો વૃદ્ધ સ્મૃતિભ્રંશ અને તણાવ જેવી માનસિક બીમારીઓથી પીડાય છે. ચોથાભાગના વડીલો રોજિંદા કામો માટે બીજા પર આધારિત છે. દર ત્રીજો વૃદ્ધ હ્રદયસંબંધી બીમારીનો શિકાર છે. શહેરોમાં ૫૫ ટકા અને ગામડાઓમાં ૨૫ ટકા વૃદ્ધ લાંબા સમયથી બીમાર છે. શહેરોમાં ૩૩ ટકા અને ગામડાઓમાં ૨૮ ટકા ઘૂંટણની સમસ્યાથી પીડાય છે. ૬૦થી વધુ વયના જયેષ્ઠ નાગરિકોમાં ૭૫ ટકા ગામડાઓમાં વસે છે અને તે પૈકી ૬૪.૮ ટકા ખેતીના કામો સાથે સંકળાયેલા છે. ૭૮ ટકા વૃદ્ધોને કોઈ પેન્શન મળતું નથી. ૩૩ ટકા ગરીબીની રેખા નીચે અને ૬૬ ટકા નિમ્ન મધ્યમ વર્ગનું જીવન બસર કરે છે. આ આંકડાઓ વૃદ્ધોની દારુણ સ્થિતિ દર્શાવે છે.

કમજોર શારીરિક સ્થિતિ સાથે વૃદ્ધોને એકલતા, ઉપેક્ષા, ઉપરાંત પ્રેમ, લાગણી અને હૂંફના અભાવની સમસ્યા સવિશેષ પરેશાન કરે છે. સંતાનો જીવનની જદ્દોજહદમાં વ્યસ્ત હોય છે કાં રોજી-રોટી માટે શહેરોમાં સ્થળાંતર કરી ગયા હોય છે. એટલે તેમને એકાકી જીવન જીવવું પડે છે. દેશની કુલ વૃદ્ધવસ્તીના ૨.૨ ટકા કે ૧૦ ટકા વૃદ્ધદંપતી સંતાનો વિના એકલવાયું જીવન જીવે છે. હજુ આપણી સમાજ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબ કે સામુદાયિક જીવન ટક્યાં છે એટલે ૮૭.૮ ટકા વૃદ્ધો કુંટુબ સાથે જ રહે છે. સંયુક્ત પરિવારોમાં વૃદ્ધોની દેખભાળ વધુ સારી રીતે થાય છે અને સ્થિતિ સહ્ય હોય છે. કદાચ માબાપે આખી જિંદગી સંતાનોના સુખ માટે હોમી દીધી હોવાનો લોકોને ખ્યાલ હોય છે એટલે લોક લાજનું તત્ત્વ પણ વૃદ્ધોની દેખભાળમાં જોઈ શકાય.

બુઝુર્ગોની ઉપેક્ષા, અવહેલના કે યોગ્ય દેખભાળના અભાવનાં ઘણાં કારણો છે. બદલાતાં જીવન મૂલ્યો, વિભક્ત કુટુંબોમાં વૃદ્ધિ, સંસાધનોનો અભાવ, બેરોજગારી-મોંઘવારી જેવી આર્થિક વિટંબણાઓ, સ્પર્ધાનો યુગ અને સમયનો અભાવ, કઠિન બનતું જીવન આ બધાને પરિણામે સંતાનો અને કુટુંબ વૃદ્ધજનો પ્રત્યે મજબૂરીવશ કઠોર બને છે. બે પેઢી વચ્ચેનું અંતર પણ આ સમસ્યાને વકરાવે છે. ‘આ ધોળા વાળ તમને મોટા કરવામાં થઈ ગયા છે’, તેવી વૃદ્ધોની દલીલ અને સ્વતંત્ર મિજાજી નવી પેઢી વચ્ચે ટકરામણ ન થાય તો જ નવાઈ લાગે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને છૂટાછેડાનું એક મુખ્ય કારણ વૃદ્ધ માબાપની જવાબદારી હોવાનું ઘણા કિસ્સામાં જોવા મળે છે.

એ સાચું કે નોકરિયાત દંપતીના નાનાં બાળકો વૃદ્ધ માબાપ પાસે આસાનીથી ઉછરે છે. આવા સંતાનો વધુ સુરક્ષિત છે અને તેમનો વિકાસ પણ સારો થાય છે. પરંતુ કુટુંબ વ્યવસ્થામાં બદલાવથી  નોકરિયાત પતિપત્ની માટે સંતાનોની દેખભાળ અને માબાપની જવાબદારીની પસંદગી કરવાની આવે છે ત્યારે તેઓ નાનાં બાળકોના ઉછેરના વિકલ્પે માબાપની જવાબદારી સ્વીકારતાં નથી. નફાકેન્દ્રી સામાજિક – આર્થિક વ્યવસ્થામાં કુટુંબ કે સામૂહિક જીવનનું સ્થાન ઘટ્યું છે. માણસ વધુ સ્વાર્થી અને એકલપેટો બન્યો છે. તેથી પણ વૃદ્ધોની દેખભાળની સમસ્યા વકરી છે.

વડીલ માવતરના હિતોની રખેવાળી અને બહેતર સંભાળ માટે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિક ભરણપોષણ કાયદો, ૨૦૦૭  ઘડ્યો છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન, રાષ્ટ્રીય વયોશ્રી, પ્રધાન મંત્રી વયવંદના અને વયોશ્રેષ્ઠ સન્માન જેવી સરકારી યોજનાઓથી થોડા નિરાધાર વૃદ્ધોને પાંચસો કે હજાર રૂપિયા જેવી સામાન્ય રકમના પેન્શનનું બટકું સરકાર નાંખે છે. આ વરસના બજેટમાં સિલ્વર ઈકોનોમીની જોગવાઈ કરી છે. આર્થિક સમૃદ્ધ વૃદ્ધોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે મુજબના ઉત્પાદનો, ઘેરબેઠા વિતરણ અને ઉપયોગની આ સિલ્વર ઈકોનોમી વૃદ્ધોના કલ્યાણને નહીં બજારને તાકે છે. ભરણપોષણનો કાયદો સંતાનોને જવાબદાર ઠેરવવાની ચાબુક છે. પરંતુ અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં છે તેવી કોઈ વ્યવસ્થા સરકારને કરવી નથી. ૨૦૦૭ના કાયદામાં વૃદ્ધાશ્રમોની સ્થાપના, આરોગ્ય સુવિધાઓ અને વૃદ્ધોનાં જીવન અને સંપત્તિની સુરક્ષાની જોગવાઈ છે પણ કાયદાને ભરણપોષણ પૂરતો અમલી બનાવી અન્ય બાબતો ભૂલવાડી દેવાય છે. સરકાર પાસે વધુ કલ્યાણકારી નક્કર પગલાંની અપેક્ષા રહે છે.

કોરોના મહામારીના કાળમાં વૃદ્ધો સાથેનાં વર્તન સંબંધી સર્વેક્ષણના તારણો ચિંતાજનક છે. તાળાબંધી અને મહામારી દરમિયાન ૭૩ ટકા વૃદ્ધો દુર્વ્યવહારનો ભોગ બન્યા હતા. ૩૫ ટકાને ઘરેલુ હિંસા સહેવી પડી હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહિલાઓ વધુ ભોગ બની હતી. વૃદ્ધ મહિલાઓ જીવનભર ઘર, કુટુંબ, સંતાન માટે ઢસરડા કરતી હોવા છતાં જીવનના અંતિમ પડાવે શારીરિક અશકતતા અને આર્થિક પરતંત્રતા તેને વધુ ઉપેક્ષિત બનાવે છે. ૯૬ દેશોના ગ્લોબલ એજ વોચ ઈન્ડેક્સમાં ભારત ૭૧મા ક્રમે છે. એટલે વડીલોના આદરની ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારોની વાતો બહુ ટકતી નથી. આ સર્વેક્ષણમાં ૪૪ ટકા વૃદ્ધોનું જાહેર સ્થળોએ થતાં અપમાનનું તારણ દર્શાવે છે કે ‘પીંપળ પાન ખરંતા હસતી કુંપળિયા’નો જ ઘાટ છે. અને યુવાનોને ‘મુજ વીતી તુજ વીતશે’ની ખાસ ચિંતા નથી. કરુણા અને સેવાને વરેલા મનાતા ગુજરાતમાં ઘણા વૃદ્ધાશ્રમો છે.પરંતુ વૃદ્ધજનોની દેખભાળમાં તેનો ક્રમ ઘણો નીચો છે. અપેક્ષાકૃત બુઝુર્ગ વસ્તી ધરાવતા રાજ્યોમાં વડીલોની સંભાળમાં ગુજરાત છેક દસમા ક્રમે છે.

બુઝુર્ગ વ્યક્તિઓ પણ સન્માનપૂર્ણ જીવનની હકદાર છે અને સંતાનોની એ ફરજ છે એવી સામાજિક ચેતના જાગે તો કોઈને વૃદ્ધાશ્રમમાં રહેવું ન પડે અને વડીલો પણ ‘ઘડપણ કોણે મોકલ્યું’ના નિસાસા નાંખી વૃદ્ધાવસ્થાને અભિશાપ કે બોજ  ન માને.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,6891,6901,6911,692...1,7001,7101,720...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved