Opinion Magazine
Number of visits: 9570916
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેડૂતો નહીં, ચૂંટણી હારવાના ડરથી કૃષિકાનૂનો પાછા ખેંચાયા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 November 2021

વિનાયક દામોદર સાવરકરના શિષ્ય અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગી છે, ત્યારે એક અઠવાડિયું સાવરકરની માફીઓની વાત થંભાવીને વડા પ્રધાનની માફી વિષે અહીં ચર્ચા કરવી જરૂરી છે.

કૃષિકાનૂન પાછા લેવાની જાહેરાત કરતાં વડા પ્રધાને આ મુજબ કહ્યું હતું : ‘મેં દેશવાસીયોં સે  માફી માંગતે હુએ સચ્ચે મન સે ઔર પવિત્ર હ્રદય સે કહના ચાહતા હૂં કિ શાયદ હમારી તપસ્યા મેં હી કોઈ કમી રહ ગઈ હોગી જિસ કે કારણ દિએ કે પ્રકાશ જૈસા સત્ય કુછ કિસાનોં કો હમ સમઝા નહીં પાએ.’

વડા પ્રધાનના કથનને ફરી એક વાર વાંચી લો. હકીકતમાં તેમનું આખું ભાષણ યુ ટ્યુબ ઉપર સાંભળી લેવું જોઈએ. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા વડા પ્રધાન છે જેમની ભાષા કરતાં પણ વધારે તેમની દેહભાષા (બોડી લેન્ગવેજ) વાંચવી જરૂરી છે. વડા પ્રધાન કહે છે કે દેશના વ્યાપક હિત માટે સરકારે કૃષિકાનૂન બનાવ્યા હતા, પરંતુ કેટલાક ખેડૂતોના વિરોધના કારણે એ કાનૂન હવે પાછા લેવા પડે એમ છે અને સરકાર તેને રદ્દ કરી રહી છે. વડા પ્રધાન કહે છે કે સચ્ચે મન સે ઔર પવિત્ર હૃદય સે પ્રયાસ કરને કે બાદ ભી હમ દિએ કે પ્રકાશ જૈસા લાભ ‘કુછ કિસાનો’ કો હમ સમઝા નહીં પાએ.

તો વડા પ્રધાને દેશની જનતાની માફી માગી છે. શા માટે? રાષ્ટ્રહિત માટે અત્યંત ઉપયોગી અને ક્રાંતિકારી નિવડનારા કાયદાઓના લાભ ‘કેટલાક’ ખેડૂતોને સમજાવી ન શક્યા એ માટે. તો રાષ્ટ્રહિતમાં વિલન કોણ નીવડ્યા? ‘કેટલાક’ ખેડૂતો. ‘કેટલાક’ ખેડૂતોની આડોડાઈના કારણે દેશ અને દેશના કરોડો (વડા પ્રધાનના કહેવા મુજબ દસ કરોડ) નાના ખેડૂતો લાભોથી વંચિત રહી ગયા એમ પણ વડા પ્રધાને કહ્યું છે. વડા પ્રધાને ઈશારો કર્યો છે કે જેઓ સરકારનો પક્ષ સાંભળવા નહોતા માગતા અને કાનૂનનો વિરોધ કરતા હતા તેમના સ્થાપિત હિતો હતા. સમાજમાં આડી-ઊભી તિરાડો પાડવામાં મહારથ ધરાવનારા વડા પ્રધાને કૃષિકાનૂન પાછા લેવાની જાહેરાત કરતી વખતે પણ ખેડૂતો વચ્ચે તિરાડ પાડવાનું ચુક્યા નથી. આ તો તેમની ખૂબી છે.

પહેલી વાત તો એ કે આજે માફી માગવાની જરૂર કેમ પડી? વડા પ્રધાને જો આજે માફી માગવી પડી છે તો એ માટે તેઓ પોતે જવાબદાર છે. શા માટે લોકડાઉનના સમયમાં લોકડાઉનનો લાભ લઈને, નિયમ અને પરંપરાની ઐસીતૈસી કરીને, ઉતાવળે સંસદ બોલાવીને, લગભગ પાછલે બારણેથી કૃષિખરડા પસાર કરવામાં આવ્યા? શા માટે લોકસભામાં તેના ઉપર ચર્ચા થવા ન દીધી? શા માટે ખરડાઓમાંની જોગવાઈઓનાં લાભાલાભની હજુ વધુ ચકાસણી માટે સંસદસભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં ન આવ્યા? શા માટે રાજ્યસભાને અક્ષરસઃ હાઈજેક કરવામાં આવી? શા માટે ખરડામાંની જોગવાઈ બાબતે કૃષિનિષ્ણાતોની સલાહ માગવામાં ન આવી? કોઈ કૃષિનિષ્ણાત અભિપ્રાય આપતા પણ હતા તો શા માટે તેને સાંભળવામાં નહોતા આવ્યા? શા માટે ખેડૂતોના સંગઠનો સાથે ચર્ચાવિચારણા કરવામાં નહોતી આવી? વડા પ્રધાનને વાતચીત કરવામાં કોણે રોક્યા હતા?

રોક્યા હતા. એ લોકોએ રોક્યા હતા જેમને કૃષિકાનૂન દ્વારા લાભ થવાનો હતો. એ લોકોએ રોક્યા હતા જેઓ અન્ન ઊગાડતી દેશની જમીનને એસ્ટેટમાં ફેરવવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ ખેડૂતોને ગામડાંમાંથી ઊખેડીને શહેરની ઝૂંપડપટ્ટીઓમાં ધકેલવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ કૃષિ-ગ્રામીણ ભારત નામનો સદીઓ જૂનો રોમાંચક પણ આજના નવમૂડીવાદીઓને સતાવનારો વિકલ્પ હંમેશ માટે સમાપ્ત થઈ જાય એમ ઇચ્છે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ દરેક પ્રકારના ઉત્પાદન ઉપર કબજો કરવા માગે છે અને તેમાં અન્નના દાણાનો પણ સમાવેશ થાય છે. (કૃષિ-ગ્રામીણ ભારતનો વિકલ્પ અમે ઊગાડીએ અને આપણે ખાઈએ વાળો છે, જ્યારે નવમૂડીવાદીઓને અમે વેચીએ અને તમે ખાવ-વાળો વિકલ્પ જોઈએ છે.) એ લોકોએ રોક્યા હતા જેમને મન માનવીનો ખપ માત્ર તેમના ઉત્પાદનના ઉપભોક્તા પૂરતો જ છે. એ લોકોએ રોક્યા હતા જેઓ માર્કેટ ઉપર ઈજારાશાહી સ્થાપવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ શાસકોને શાસન સુધી પહોંચાડે છે અને ત્યાં ટકાવી રાખે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ રાજ્ય ઉપર (શાસકો ઉપર, સરકાર ઉપર અને એ રીતે દેશ ઉપર) કબજો કરીને બેઠા છે. કરવા માગે છે નહીં, કરી ચુક્યા છે. એ લોકોએ રોક્યા હતા જેઓ શાસકોના આક્કાઓ છે અને સત્તા માટેનો પ્રાણવાયુ પૂરો પાડે છે.

વડા પ્રધાને જે માફી માગી છે એ વાસ્તવમાં દેશની જનતાની નથી માગી, પણ ઉપર કહ્યા એવા લોકોની માગી છે જેમને કૃષિકાનૂન દ્વારા લાભ થવાનો હતો. સચ્ચે મન સે ઔર પવિત્ર હ્રદય સે માફી માગી છે. સાતસો ખેડૂતોના પ્રાણ લીધા પછી પણ અમે તમારું કામ ન કરી શક્યા. ખેડૂતો દિલ્હી પહોંચી ન શકે એ માટે રસ્તાઓમાં જેટલા ખીલ્લા ઠોકવા જોઈતા હતા એટલા ખીલા અમે ઠોકી ન શક્યા. બેરીકેડ દ્વારા જેટલા રસ્તાઓ અવરોધવા જોઈતા હતા એટલા અમે અવરોધી ન શક્યા. વોટરકેનનનો મારો કરવામાં અમે ઊણા ઉતર્યા. ખેડૂતોને બદનામ કરવામાં, ગાળો આપવામાં અને તેમના ઉપરથી વાહન ચલાવવામાં અમે પાછા પડ્યા. ગોદી મીડિયા અને કઢીચટ્ટાઓ પણ ઊણા ઉતર્યા. ખેડૂતો વચ્ચે ફાટફૂટ પાડવાના પ્રયાસો નિષ્ફળ ગયા. તેઓ ઉશ્કેરાઈને કાયદો હાથમાં લે એ માટે ઉશ્કેરવાનો પ્રયાસ પણ કરી જોયો પણ તેમાં સફળતા મળી નહીં. એની વચ્ચે કમબખ્ત વિધાનસભાઓની ચૂંટણીઓ આવ્યા કરે છે અને એમાં આ વખતે તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે એટલે ‘કેટલાક’ ખેડૂતોની આડોડાઈ સામે ઝૂકવું પડ્યું છે. સચ્ચે મન સે ઔર પવિત્ર હૃદય સે હમ માફી માંગતે હૈ.

બીજી વાત. સરકાર ‘કેટલાક’ ખેડૂતોને કૃષિકાનૂનના અને નવી જોગવાઈના લાભ ન સમજાવી શકી એ તો વડા પ્રધાને કહ્યું છે, પણ વડા પ્રધાને એ વાતનો ફોડ નથી પાડ્યો કે શા માટે જેમને કૃષિસુધારા દ્વારા લાભ થવાના હતા એવા ખેડૂતોને પણ તેઓ સમજાવી ન શક્યા? વડા પ્રધાન કહે છે એમ દેશમાં દસ કરોડ સીમાંત ખેડૂતો છે અને તેમને ઘણો ફાયદો થવાનો હતો તો શા માટે જેમને લાભ થવાનો હતો એવા નાના ખેડૂતો સરકારના પક્ષે ઊભા ના રહ્યા? બી.જે.પી.એ ‘કેટલાક’ ખેડૂતો સામે પ્રતિ-આંદોલન કરાવવાનો પ્રયાસ કરી પણ જોયો હતો જેમાં તેને સફળતા નહોતી મળી. દેશભરના નાના ખેડૂતો જો કાનૂનના વિરોધમાં રસ્તા ઉપર નહોતા ઉતર્યા તો તેના સમર્થનમાં પણ નહોતા ઉતર્યા. શા માટે? વડા પ્રધાને ભેગભાગ આ વાતનો પણ ખુલાસો કરવો જોઈતો હતો.

નાના ખેડૂતો કાનૂનનો વિરોધ કરવા રસ્તા ઉપર નહોતા ઉતર્યા એનું કારણ દાયકાઓથી નુકસાનીમાં ચાલતી ખેતીના અનુભવે ખેતીની બાબતમાં હવે તેઓ ઉદાસીન થઈ ગયા છે. હવે સરકાર પાસેથી તેમની કોઈ અપેક્ષા જ નથી બચી. એમાં કોઈ શંકા નથી કે નફાકારક ખેતી હોઈ શકે એવી તેમની શ્રદ્ધા રહી નથી અને એટલે તેઓ ખેતી સિવાયના કોઈ બીજા વિક્પની ખોજમાં પણ છે, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે કોર્પોરેટ કંપનીઓના શેઠજીઓ નાણાંની કોથળી લઈને ગ્રામ-પ્રવેશ કરે અને નાના ખેડૂતો તેમનું સ્વાગત કરે! જો એમ હોત તો નાના ખેડૂતોનું ઉઘાડું સમર્થન સરકારને મળ્યું હોત. એટલું તો તેમને પણ સમજાઈ ગયું હતું કે કૃષિસુધારા શેઠજીઓના ગ્રામ-પ્રવેશ માટે ઘડવામાં આવ્યા છે, તેમના હાથમાં કશું આવવાનું નથી અને તેમનું કલ્યાણ થવાનું નથી. માટે તેમની મૂક સહાનુભૂતિ અને શક્ય એટલો ટેકો અંદોલન કરનારા ‘કેટલાક’ ખેડૂતો માટે હતો. માટે સરકારે શ્રીમંત ખેડૂતો તો ઠીક, પણ નાના ખેડૂતો સાથે પણ સંવાદ કરવાનો પ્રયાસ નહોતો કર્યો. ઈરાદો જમીન પડાવી લેવાનો હતો, શેઠજીઓના ગ્રામ-પ્રવેશનો હતો, ખેડૂતોના ઉદ્ધારનો નહોતો એટલે સરકાર વાતચીત કરે તો તેમના હિતની દલીલ શું કરે?

નાના કે મોટા, કોઈ ખેડૂતના હિતની કોઈ દલીલ સરકાર પાસે નહોતી એટલે સરકારે પૂરી તાકાત પ્રારંભમાં આંદોલનની ઉપેક્ષા કરવામાં, એ પછી આંદોલનકારીઓની બદનામી કરવામાં અને છેવટે તેમને સતાવવામાં લગાવી હતી. એમાં કોઈ કસર છોડી નહોતી, જે રીતે નાગરિકતાના કાનૂન વખતે કોઈ કસર છોડી નહોતી. નાગરિકતા કાનૂન સામેના આંદોલનને જે રીતે દેશદ્રોહી મુસલમાનોના આંદોલન તરીકે ખપાવવામાં આવ્યું હતું એમ જ આ આંદોલનને દેશદ્રોહી ખાલીસ્તાનીઓના આંદોલન તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સરકારને તેમાં સફળતા મળી નહોતી. સરકાર આંદોલનને કોમી સ્વરૂપ આપવામાં અને દેશપ્રેમનો કેફ ચડાવવામાં નિષ્ફળ ગઈ.

જો આંદોલનકારી ખેડૂતો શીખો અને હિંદુઓની જગ્યાએ મુસ્લિમ હોત તો સરકારને શાહીનબાગમાં જે સફળતા મળી હતી એ આ વખતે પણ મળી હોત. મુશ્કેલી એ થઈ કે શહેરી હિંદુ મધ્યમવર્ગના ત્રીજી પેઢીએ જે દાદા હતા એ ખેડૂત હતા અને કેટલાક હજુ પણ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હિંદુ મધ્યમવર્ગના તાંતણા ગામ અને ખેતી સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલા છે. તેઓ અર્ણવ ગોસ્વામીઓના પ્રાઈમ ટાઈમ જોઇને જેટલા ધૂણવા જોઈતા હતા એટલા ધૂણ્યા નહોતા. આંદોલનકારી ખેડૂતોને જોઇને તેમને પોતાના દાદાની યાદ આવતી હતી. તેમને તેમાં દાદાની એ મહેનત, બે છેડા મેળવવા માટેનો સંઘર્ષ અને મહેનતના કારણે તાંબા જેવો થઈ ગયેલો વાન નજર પડતો હતો. તેમને ગ્રામીણ જીવન અને દાદાની સાથે ખેતરે જવાનો રોમાંચ યાદ આવતો હતો. હા, બહુમતી ખેડૂતો મુસલમાન હોત તો વાત જુદી હતી!

ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યમાં ચૂંટણી હોય અને તેમાં દાદા તો મત ન આપે, પણ સાથે દાદા માટે સહાનુભૂતિ ધરાવતો પોતરો પણ ભક્તિભાવ છોડીને મત ન આપે તો ચૂંટણી જીતવી કેવી રીતે? એકલા મબલખ પૈસાથી ચૂંટણી જીતી શકાતી નથી એ પશ્ચિમ બંગાળે બતાવી આપ્યું છે. પણ વડા પ્રધાનના કથનમાં એક વિરોધાભાસ છે એનું તેમને ધ્યાન રહ્યું લાગતું નથી. તેમણે કેટલાક ખેડૂતોને રાષ્ટ્રહિતમાં વિલન જાહેર કર્યા છે અને હવે વિલન અને વિલનના પોતરા પાસેથી મતની અપેક્ષા પણ રાખે છે! જુઓ ચૂંટણીમાં શું થાય છે.

અને છેલ્લે, એક રાષ્ટ્ર એક ચુનાવની વાત આવે ત્યારે સાવધાન થઈ જજો. કેટલાક લોકો એક રાષ્ટ્રની વાત સાંભળીને દૂઝણી ગાયની જેમ પ્રાહવી જતા હોય છે. દેશપ્રેમથી ગદ્દગદ્દ થઈ જાય. લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક વાર એક સાથે થઈ ગઈ એટલે પાંચ વરસની મનમાની. આવું રાજ્ય અને આવા શાસકો જોઈએ છે?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 નવેમ્બર 2021

Loading

નારાજ થઈને :

મૂકેશ પરીખ|Poetry|25 November 2021

તારી સભામાં આવ્યો છું હું ય બહુ નારાજ થઈને,
આમંત્ર્યો યે નહોતો અહીં તેં ય મને નારાજ થઈને!

મારી રીતે જાળવી રાખી છે મેં એ સંબંધોની મર્યાદા,
અકબંધ રહે તું તે માટે આવ્યો છું હું નારાજ થઈને.

નજર મળતાં જ મ્હોં ફેરવી લેવાની જા છૂટ છે તને,
તને જોયા પછી હું તો પાછો નહિ ફરું નારાજ થઈને.

આવી ચઢ્યો છું તારે આંગણે સ્વમાન નેવે મૂકીને,
માનભેર આવજે તું, ન આવીશ આમ નારાજ થઈને.

આવ, ગળે મળીને મનમેળ કરી જ લઈએ ‘મૂકેશ’,
ખેદ રહેશે જો આમ અલવિદા કહેશે નારાજ થઈને!

e.mail : mparikh@usa.com

Loading

આરોગ્ય સેવાઓનું આરોગ્ય સુધારા માંગે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 November 2021

કોરોના મહામારીએ દુનિયાભરની આરોગ્ય સેવાઓની નિષ્ફળતા છતી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં અને સામાન્ય બીમારીઓમાં પણ ભારતનું આરોગ્ય તંત્ર હાંફી જતું હોય છે. તે મહામારીમાં તો સાવ ઘૂંટણિયે પડી ગયું હતું. તેને કારણે લોકોને પારાવાર તકલીફો પડી હતી. ઓક્સિજનની અછત અને હોસ્પિટલમાં બેડના અભાવે બીજા તબક્કામાં ઘણાં લોકોના મોત થયા હતાં. પણ સંસદમાં કેન્દ્રના સત્તા પક્ષ બી.જે.પી.એ ઓક્સિજનના અભાવે કોઈના મોત થયાનો ઈન્કાર કર્યો હતો ! કેન્દ્ર સરકારનો આ જવાબ રાજ્ય સરકારો પાસેથી મેળવેલી માહિતી પર આધારિત હતો. રાજ્યોમાં શાસન કરતી બી.જે.પી. ઉપરાંત કાઁગ્રેસ સહિતના વિપક્ષોની સરકારોએ પણ આ જ જવાબ આપ્યો હતો. કેન્દ્રે એમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા કે બંધારણ મુજબ આરોગ્ય રાજ્યનો વિષય છે અને અમે રાજ્યોની માહિતી પરથી જવાબ આપ્યો છે.

‘ભારત વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે, ભારત વિશ્વગુરુ  છે અને દુનિયામાં આપણો દેશ મેડિકલ ટુરિઝમના ક્ષેત્રે અગ્રેસર છે.’ ..આવી અનેક બડાઈઓ હાંકતા આપણા શાસકો એ હકીકત ભૂલી જાય છે કે ૧૯૬૦માં દેશની વસ્તી આશરે ૪૫ કરોડ હતી ત્યારે દર એક હજાર વ્યક્તિએ દેશમાં ૦.૪ હોસ્પિટલ બેડ ઉપલબ્ધ હતા. આજે વસ્તી વધીને સવા સો કરોડની છે ત્યારે હોસ્પિટલ બેડ વધીને ૦.૫ થયા છે ! એક હજાર ભારતીયે દવાખાનામાં અડધી પથારી કે અઢી હજારે એક પથારી મળી શકે છે. વૈશ્વિક માપદંડ હજારે ૨.૯ પથારીનો છે. એશિયા ખંડના દેશ જપાનમાં હજારે ૧૩, આફ્રિકી દેશ કેન્યામાં ૧.૪, પાડોશી ગરીબ દેશ શ્રીલંકામાં ૪.૨, અરે ! પાકિસ્તાનમાં ૦.૬ હોસ્પિટલ બેડ છે. વિશ્વગુરુ ભારત સરહદો સુરક્ષિત રાખવામાં કાબેલ છે પણ નાગરિકોને સ્વસ્થ રાખવામાં પછાત છે.

દેશમાં સરકારીને બદલે ખાનગી આરોગ્ય સેવાઓ વધુ વિકસી છે કે સરકારે તેને જ વિકસાવી છે. ‘મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ની માહિતી મુજબ ૨૦૧૭માં નોંધાયેલા ૧૦.૪૧ લાખ ડોકટર્સમાંથી માત્ર સવા લાખ જ સરકારી હોસ્પિટલોમાં કામ કરે છે. એક હજારની વસ્તીએ એક ડોકટરના વૈશ્વિક માપદંડ સામે ભારતમાં અગિયાર હજારે એક અને બિહારમાં તો અઠ્ઠાવીસ હજારે એક ડોકટર છે. મોટા ભાગના ડોકટરો શહેરોમાં ખાનગી હોસ્પિટલો ચલાવે છે. તેથી ગામડાંના લોકો અને ગરીબોની બૂરી વલે થાય છે. કેમ કે સરકારી આરોગ્ય સેવાઓ ખાડે ગયેલી અને ગુણવત્તામાં ઉતરતી મનાતી હોઈ ગરીબોને પણ મજબૂરીવશ ખાનગી દવાખાનાઓનો જ સહારો લેવો પડે છે.

‘ઓક્સફામ’ના ૨૦૨૧ના અસમાનતા રિપોર્ટ અંતર્ગતની ‘ઇન્ડિયાઝ ઈનઈકવલ હેલ્થકેર સ્ટોરીઝ’ અનુસાર ૨૦૦૪થી ૨૦૧૭ના વરસો દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવાને કારણે ગરીબો અને ગ્રામીણોનો ખર્ચ ત્રણ ગણો વધ્યો છે. ખાનગી હોસ્પિટલોના વધતા આરોગ્ય ખર્ચને કારણે વરસે ૬.૩ કરોડ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાય છે. દર છ રૂપિયે એક રૂપિયો દેવું કરીને ગરીબો  હોસ્પિટલના બિલ ચૂકવે છે.

નાના શહેરો અને ગામડાંઓમાં સરકારી આરોગ્ય સેવાઓ નામ માત્રની છે. ૭૦ ટકા શહેરી અને ૬૩ ટકા ગ્રામીણ વસ્તી ખાનગી દવાખાના પર નિર્ભર છે. ‘નેશનલ હેલ્થ પ્રોફાઈલ ૨૦૧૯’ મુજબ દેશમાં તમામ પ્રકારની સરકારી હોસ્પિટલોની સંખ્યા ૨૬,૦૦૦ જ છે. ગુજરાતમાં દર એક લાખની વસ્તીને આવરી લેતા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ૩૪૮ છે.સમગ્ર દેશમાં સરકારી દવાખાના, ડોકટરો અને નર્સોની તીવ્ર અછત જોવા મળે છે. સંસદના વર્ષા સત્રમાં લોકસભા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે ૨૦૧૯ની સ્થિતિએ મેડિકલ અને પેરા મેડિકલની નેવું હજાર જગ્યાઓ ખાલી હોવાનું સ્વીકાર્યું છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ૨૯ ટકા સામાન્ય અને ૯૦ ટકા નિષ્ણાત ડોકટરોની અછત છે. રાજ્યના ૧,૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી માત્ર ૨૧ ટકા જ દિનરાત ખુલ્લાં હોય  છે.અને ઓપરેશન થિયેટરની સુવિધા ધરાવતાં સરકારી દવાખાનાં ૨૩ ટકા જ છે.

ભલે નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન સરકારોને શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પોતાના હસ્તક રાખવાની શીખ આપે, ભારતમાં આ બંને ક્ષેત્રોનું મોટા પાયે ખાનગીકરણ થયું છે. ૨૦૧૭ની નવી આરોગ્યનીતિમાં ખાનગીક્ષેત્રની ભાગીદારી અનિવાર્ય ગણી છે. આરોગ્ય પાછળનો સરકારી ખર્ચ બહુ નજીવો છે. આરોગ્ય ખર્ચની બાબતમાં ભારત દુનિયાના દેશોમાં ૧૫૪મા ક્રમે છે. બાંગ્લાદેશ, બ્રાઝિલ, ભૂતાન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને રશિયા ભારત કરતાં વધુ ખર્ચ કરે છે. ૨૦૦૮-૯માં જી.ડી.પી.નો ૧.૨ ટકા ખર્ચ આરોગ્ય માટે થતો હતો તે ૨૦૧૯-૨૦માં વધીને ૧.૮ ટકા થયો છે. મહામારી પછી પણ દેશના આરોગ્યના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. ૨૦૨૦-૨૧નો આરોગ્ય માટેનો અનુમાનિત ખર્ચ રૂ. ૮૨,૯૨૮ કરોડ સામે આ વરસની જોગવાઈ રૂ. ૭૩,૯૩૧ કરોડ જ છે. એટલે કે ગત વરસના ખર્ચ કરતાં ૧૦.૮૪ ટકા ઓછી બજેટ જોગવાઈ કરી છે. મહામારીનો માર ઝેલતા જર્જર આરોગ્ય તંત્ર માટે આ જોગવાઈ બહુ અપૂરતી છે.

વિશ્વના લોકો સ્વાસ્થ્ય માટે પોતાના ખિસ્સામાંથી માત્ર ૧૮.૨ ટકા જ નાણાં ખર્ચ કરે છે, પરંતુ સરકારી આરોગ્ય સેવાઓના અભાવે ભારતના લોકોને આરોગ્ય ખર્ચ પેટે ખિસ્સાના ૬૪.૨ ટકા જેટલો મોટો બોજ વહન કરવો પડે છે. મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં પણ સરકાર આરોગ્ય સેવાઓ માટે ખાસ ખર્ચ કરતી નથી. ગયા વરસનું આરોગ્યનું બજેટ રૂ. ૧૧,૨૪૩ કરોડનું હતું. આ વરસે તેમાં માત્ર ૮૦ કરોડનો જ વધારો કરીને રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ કરી છે. ગુજરાત સરકાર માથા દીઠ માત્ર રૂ. ૨૭૦ જ આરોગ્ય માટે ખર્ચે છે અન્ય બી.જે.પી. શાસિત રાજ્યો ગુજરાત કરતાં વધુ ખર્ચ કરે છે. ઉત્તર પ્રદેશનો માથા દીઠ આરોગ્ય ખર્ચ રૂ.૨૯૩, અસમનો રૂ. ૪૭૧, હિમાચલ પ્રદેશનો  રૂ. ૮૮૪ અને ગોવાનો રૂ. ૧૧૪૯ છે.

કોરોનાકાળમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ આરોગ્ય સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી થઈ હતી. સ્વાભાવિક જ અદાલત આ બાબતે કોઈ આદેશ આપી શકે તેમ નહોતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે ખાનગી હોસ્પિટલોની બેફામ લૂંટને કારણે તેની તુલના રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે કરી હતી. ગુજરાતની વડી અદાલતે અમદાવાદની સિવિલ હોસ્પિટલને કાળ કોટડી ગણાવી હતી. આ બંને અદાલતી નિરીક્ષણો ખાનગી અને સરકારી હોસ્પિટલો અંગે ચિંતિત કરવા પર્યાપ્ત છે. ગુણવત્તામાં ચડિયાતી મનાતી ખાનગી આરોગ્ય સેવાઓ લોકોને આર્થિક દૃષ્ટિએ ખતમ કરી નાંખે છે તો સરકારી આરોગ્ય સેવાઓની હાલત લોકોના જીવ બચાવવાને બદલે જીવ લઈ લેવા જેટલી બદતર છે. એ સ્થિતિમાં આરોગ્ય સેવાઓ ધરમૂળથી સુધારા માંગે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,6871,6881,6891,690...1,7001,7101,720...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved