Opinion Magazine
Number of visits: 9570821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોમાય વ્યારાવાલા સાથેનાં સંભારણાંની ‘શબ્દછબિ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|4 December 2021

વાચક તરીકે કોઈ પુસ્તક વાંચવાનું શરૂ કર્યા પછીનો મારો પ્રથમ અનુભવ છે કે વાંચતી વખતે ઝણઝણાટીનો અને આંખોમાં આંસુ આવી ગયાં એવો અનુભવ થયો હોય! આંસુ તો કદાચ બીજાં પુસ્તકોમાંથી પસાર થતાં પણ આવ્યાં હશે, પરંતુ અહીં તો અનુભૂતિ જ અનોખી. પુસ્તક વાંચતાં વાંચતાં નજર સમક્ષ સતત બીજી વ્યક્તિ તરવરતી હતી તે હિમાંશી શેલત. ક્યારેક તો એવું પણ લાગે કે કોની વાત વાંચું છું, હોમાયબહેનની કે હિમાંશીબહેનની! અલબત્ત, બન્નેનાં કાર્યક્ષેત્ર અલગ, પરંતુ સ્વર્નિભરતાનો અને હિસાબમાં ચોખ્ખા રહેવાનો બન્નેનો આગ્રહ બરકરાર! બીરેન કોઠારીની લેખિની તો સાદી, સરળ અને સહજ. કોશિયાને સમજાય તેવી. વર્ણનમાં અતિશયોક્તિ તો હોય જ નહીં. પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી ઘટનાનું ચિત્રણ એ ખાસિયત આંખે ઊડીને વળગે. પુસ્તકનું શીર્ષક સૂચક છે, જેમાં ‘શબ્દછબી’ શબ્દપ્રયોગ થયો છે, કારણ કે હોમાયબહેન છબીકાર હતાં. પુસ્તકમાં અનેક તસવીરો છે, હોમાયબહેનના હસ્તાક્ષર છે. વૃદ્ધ વ્યક્તિ પુસ્તક સરળતાથી વાંચી શકે તે રીતે ફોન્ટ્‌સ રખાયા છે, એટલે જ હું પુસ્તક સરળતાથી વાંચી શકી, બાકી વાંચવાનો મોહ જતો કરવો પડે, કારણ કે હાલ હું પણ મોતિયો અને ઝામરથી ગ્રસ્ત છું. બીરેને પુસ્તક જીવનસંગિની કામિનીને અર્પણ કર્યું છે, તો એમ કરવું જ જોઈએ, કારણ કે માઈજીને સાચવવાનો ભેખ લેનાર વરની વહુ થવું કાંઈ ખાવાના ખેલ નથી ! આ બાબત તો પરેશભાઈનાં જીવનસંગિની પ્રતીક્ષા માટે પણ એટલી જ સાચી. મને પરેશ પ્રજાપતિના લેખમાં તો ખાસ્સો રસ પડ્યો. તે જ રીતે હોમાયબહેનની મુલાકાતમાં એમણે આપેલા જવાબોમાં પણ.

બીરેન કોઠારી અને પરેશ પ્રજાપતિ-પરિવારોને એમનો પરિચય થયો, ત્યારે હોમાયબહેન વડોદરા સ્થાયી થઈ ગયાં હતાં. જીવનનો એ છેલ્લો સમયખંડ હતો. ભારતનાં પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર, પદ્મવિભૂષણ હોમાય વ્યારાવાલાને બધાં જ ઓળખે, એ રીતે તો એમના વિશે ખાસ્સી માહિતી મળે છે. આ સંભારણાં વાંચવાં ગમે છે, કારણ કે એ અલગ અનુભવોના કારણે લખાયાં છે. ફોટોગ્રાફર – છબીકાર  તરીકે નિવૃત્તિ લીધા પછી પણ તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યાં છે. પુસ્તકમાં સતત એમનાં શિસ્તબદ્ધ, સ્વમાની, ખુદ્દાર, જીવંત વ્યક્તિત્વનો પરિચય થતો રહે છે. બાગબાની, ઇકેબાના, આયુર્વેદ, મિસ્ત્રીકામ, રસોઈ, ભરતગૂંથણ અને પોતાનાં અંગત કામમાં સ્વર્નિભરતા એ હોમાયબહેનના નિવૃત્તિકાળની પ્રવૃત્તિ હતી, જેનું વિષદ વર્ણન અહીં મળે છે. વસ્તુનો પુનઃ ઉપયોગ હોમાયબહેનની લાક્ષણિકતા છે, એટલે પોતાને મળેલાં પત્રોનાં પરબીડિયાંને ફરીથી ઉપયોગમાં લેવાં જેવી ચીવટાઈ દાખવવી એમને સહજ છે. ખર્ચનો હિસાબ કરી લેવો અને બીરેનભાઈ કે પરેશભાઈને તે રકમ ચૂકવી દેવાનો આગ્રહ તો ક્યારેક હઠાગ્રહ લાગે. પરંતુ હોમાયબહેનને વાંચીએ-સમજીએ એટલે આ લક્ષણ પણ સહજ લાગે.

પહેલી મુલાકાતથી જ અરસપરસ પ્રેમ પાંગર્યો એવું નથી બન્યું. પછી તે બીરેનભાઈ હોય કે પરેશભાઈ, બીરેનભાઈ અને કામિની વહેલું સમજ્યાં અને અનુકૂળ થતાં ગયાં તે સાચું. પરેશભાઈને સમય લાગ્યો, પરંતુ પછી એમનો સંબંધ માતા-પુત્રની કક્ષાએ પણ પહોંચ્યો. પરેશ-પ્રતીક્ષા એમને માટે અનિવાર્ય બની રહ્યાં. બન્ને પરિવારોનાં સંતાનોને પણ હોમાયબહેનનો પ્રેમ મળ્યો. હોમાયબહેન ન રહ્યાં, તો પરેશભાઈએ એમનું ઘર ખરીદી લીધું અને એમની સ્મૃતિ જાળવી રાખી. એમના અંતિમ સમયે પણ તે હાજર અને અસ્થિવિસર્જન માટે પણ ગંગાતટ સુધી ગયા. તે જ રીતે બીરેનભાઈએ પણ પોતાના ઘરની મિટ્ટીમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ વેર્યાં. વડોદરાનાં એક જાહેર બગીચાને હોમાયબહેનનું નામ અપાયું તેમાં મેયર જ્યોતિબહેન પંડ્યાનો ફાળો સવિશેષ, ઉપરાંત એ બાગમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ પણ વેરાયાં, તે ભાવાંજલિ પણ ધ્યાનાકર્ષક. પરેશભાઈને તો પોતાના ઘરનાં અસ્થિફૂલમાંથી અંતે હોમાયબહેનની લગ્નની વીંટી પણ પ્રસાદ રૂપે મળી એ તો અદ્‌ભુત ઘટના!

પુસ્તકની શરૂઆતમાં એમના પૂર્વજીવનની ઝાંખી મળે છે. તે મૂળ નવસારીનાં. એમનું બાળપણ, જીવનસાથી માણેકશા, પુત્ર ફારુક, પુત્રવધૂ ધન, એમનાં જીવનચરિત્રકાર સબીના અને અન્ય મિત્રોનો ઉલ્લેખ પણ છે. તેઓ ફોટોગ્રાફર તરીકે જે ઐતિહાસિક તારીખ અને તવારીખનો હિસ્સો બન્યાં છે, તેનો સહેજ પણ ભાર રાખતાં નથી. ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરાજી, શાસ્ત્રીજી અને અનેક મહાનુભાવોની તસવીર એમણે લીધી છે. મહમદઅલી ઝીણાની યાદગાર તસવીર લેતી વખતે તે ખોખા પરથી ગબડી પડ્યાં અને બરાબર એમની સામે પડ્યાં, તે સમયે એમણે સામે એક સ્ત્રીને જોઈને દાખવેલું સૌજન્ય તે ઘટના, વલ્લભભાઈએ પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર હોમાયબહેન માટે એ અમારી ગુજરાતણ છે એનું દર્શાવેલું ગૌરવ, ઇન્દિરાજી હોમાયબહેનના દીકરાને પોતાના દીકરાઓના જન્મદિનની ઉજવણીમાં નિમંત્રિત કરતાં એ આત્મીયતા, આ બધાં સંભારણાં તે સમયખંડ જીવંત કરી દે છે. એ સમય એવો હતો જ્યારે ફોટોગ્રાફી સરળ ન હતી. માણેકશાજી અને હોમાયબહેન બન્ને ખાસ્સી મહેનત કરતાં. માણેકશાની વિદાય પછી એમણે પણ વરસેકમાં ફોટોગ્રાફી છોડી, બાકી પતિ-પત્ની બન્નેએ ફોટોગ્રાફીનું ખાસ્સું કામ સાથે મળીને કર્યું. એમની દાંપત્યયાત્રા વિશે ઓછી માહિતી આ પુસ્તકમાં છે, પરંતુ જેટલી પણ છે, તે રસપ્રદ અને મનોહર છે. મુખ્ય બાબત તો એ છે કે ચોરાણું વર્ષે પણ કોઈ સ્ત્રી કહે કે હું ક્યાં વૃદ્ધ છું, હું તો જવાન છું. તો એનો મિજાજ સમજવો અનિવાર્ય બને છે. કોઈ પણ સલાહ કે શિખામણ વગર કોઈ પોતાની શરતે જીવન જીવી બતાવે એ  બાબત અનુકરણીય છે. પોતાની નેમપ્લેટથી લઈ ઘરને બારણે ઘંટડીનો રણકાર સાંભળવાનો આગ્રહ જુઓ કે ઘરની ચાવી ક્યાં, કેવી રીતે મૂકવી, ટી.વી.નું રિમોટ હાથવગું રાખવું, મોબાઇલનો ઉપયોગ શીખવો કે ડિજિટલ ફોટોગ્રાફી સમજવી. જેવી અનેક બાબતો પર ઉદ્દભવતી ઘટનાઓ રોચક છે.

પારસીઓ પર અંગ્રેજિયતની અસર વધારે ખાસ કરીને પોતાની ‘પ્રાઇવસી અને પ્રાઇવેટ સ્પેસ’ બાબતે તો એ લક્ષણ આંખે ઊડીને વળગે પણ પ્રેમસંબંધ બંધાયા પછી બીરેન-પરેશ પરિવાર સાથે એમનો સંબંધ અનૌપચારિક થતો રહેલો. અમારો આભાર ન માનવો એવા બીરેન-પરેશના આગ્રહ સામે તેઓ એમને આશીર્વાદ આપતાં અને એમને માટે પ્રાર્થના કરતાં. બીરેનના મતે એમનો જીવંત રહેવાનો ગુણ ધ્યાનાકર્ષક. પોતાના જીવનસાથી માણેકશા અને  દીકરા ફારુકની વિદાય પછી એકલાં રહેવાનું આવ્યું, પરંતુ તેઓ એકલાં હતાં – એકલવાયાં કે એકલતાથી પીડાતાં ન હતાં. વિયોગનું દુઃખ હોય, પણ એને પચાવવાનું એમણે ભાગ્યના લેખ તરીકે સ્વીકાર્યું હતું. ફારુકનાં લગ્નમાં મા-દીકરો જાનૈયા તરીકે બે જ ગયેલાં અને નવવધૂ ધન સાથે પાછા ફર્યાં, ત્યારે ત્રણ એ સાદાઈ પણ ધ્યાન ખેંચે. પોતે આટલાં પ્રતિષ્ઠિત તેનો કોઈ ભાર નહીં તેમ ફારુક આઈ.આઈ.ટી.માં ભણેલો તેનું પણ અભિમાન નહીં. ફારુકની જીવનસંગિની ધન સાથે પણ એમણે હૂંફાળો સંબંધ જાળવી રાખેલો.

મુંબઈ, દિલ્હી, પિલાની અને વડોદરા આ ચાર શહેરોમાં તેઓ રહ્યાં. નવમા દાયકામાં અમેરિકાની મુલાકાતે પણ ગયાં. મુંબઈ અને દિલ્હીમાં તેઓ ફોટોગ્રાફીમાં સતત કાર્યરત હતાં, પરંતુ પિલાની અને વડોદરામાં પ્રમાણમાં નિરાંત હતી, છતાં તેઓ સતત કામ તો કરતાં જ રહેતાં. પોતાની ફિયાટ ગાડી ડાલ ડા-૧૩ માટે આખું પ્રકરણ છે. આ વાંચતી વખતે મને અમૂલકાકાનો એમની ગાડી મોરિસ માટેનો પ્રેમ, મારા પિતાનો અને અમારું સ્ટૂથબેકર કમાંડર માટેનું વળગણ યાદ આવતાં હતાં. એકસો પચીસ પાનાંમાં સમાવિષ્ટ આ સંભારણાં વર્ધન-વર્ધનાઓને સમજવાં અને એમની સાથે કેવી રીતે અનુકૂલન સાધી શકાય, તેની ઝાંખી કરાવે છે. પુસ્તકમાં નિમિષા-ઓળખ, રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી, ઉર્વીશ કોઠારી જેવાં જાણીતાં નામોનો ઉલ્લેખ ગમે છે. બીરેનભાઈએ આ સંભારણાં લખીને એક અનોખા સંબંધની પીમળનો અહેસાસ કરાવ્યો, તે બદલ એમનો આભાર.

હોમાય વ્યારાવાલા : તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ – લેખક : બીરેન કોઠારી – પૃષ્ઠસંખ્યા : ૬  + ૧૩૦ = ૧૩૬, – કિંમતઃ રૂ.૧૨૫/- – વળતર સાથેની કિંમતઃ રૂ. ૧૧૦/- (ભારતભરમાં શિપિંગ ફ્રી – ) દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમતઃ રૂ. ૯૦/- – પુસ્તક મંગાવવા માટે સંપર્કઃ કાર્તિક શાહ – ફોન/વૉટ્‌સેપ : ૯૮૨૫૨ ૯૦૭૯૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 13 તેમ જ 06

Loading

ગાંધીજીએ ખરેખર સાવરકરને માફી માટે અરજી લખવા કહ્યું હતું?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 December 2021

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે, ઑક્ટોબર ૧૨, ૨૦૨૧ના રોજ સાવરકર વિશેના જાહેર પ્રવચનમાં દાવો કર્યો કે 'સાવરકર વિશે વારંવાર જૂઠાણાં ફેલાવવામાં આવ્યાં હતાં. એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સાવરકરે જેલમાંથી છૂટવા માટે સરકારને અરજીઓ કરી હતી … (હકીકતમાં) ગાંધીજીએ તેમને દયાની અરજીઓ કરવા માટે કહ્યું હતું …’ વર્ષો સુધી તો સાવરકરે અંગ્રેજ સરકાર સમક્ષ છુટકારા માટે કોઈ અરજી કરી છે, એ હકીકત જ છુપાવવામાં આવતી હતી, તે હકીકતના પૂરા દસ્તાવેજી પુરાવા હોવા છતાં.

દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના દાવામાં ઇતિહાસ અને ઐતિહાસિક તથ્યોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે અને હિંદુત્વની વિચારધારાના આદ્ય ગણાતા સાવરકરના બચાવ માટે ગાંધીજીને ખરાબ ચીતરવાની કોશિશ કરવામાં આવી છે.

વિનાયક સાવરકરના નામ આગળ લગાડાતા 'વીર’ના વિશેષણની સાથે, તેમણે અંગ્રેજ સરકારને કરેલી છુટકારા માટેની અરજીઓનો મેળ શી રીતે બેસાડવો, તે હિંદુત્વની વિચારધારાના લોકો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે. અત્યાર લગી તેની સાથે જુદી-જુદી રીતે પનારો પાડવાની કોશિશો થઈ છે.

ધનંજય કીરે ૧૯૫૦માં સાવરકરની હયાતીમાં તેમના વિશે ભક્તિભાવથી લખેલા ચરિત્રમાં આ અરજીઓનો કશો ઉલ્લેખ નહોતો.

જાણીતા ઇતિહાસકાર આરસી મઝુમદારે 'પિનલ સેટલમેન્ટ્‌સ ઇન આંદામાન્સ’(શિક્ષણ અને સમાજકલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, ૧૯૭૫)માં સાવરકરની અરજીઓ વિશે આધારભૂત દસ્તાવેજો ટાંકીને લખ્યું હતું. (પૃ. ૨૧૧-૨૧૩)

અન્ય વિદ્વાનોએ પણ સાવરકરની છુટકારા માટેની અરજીઓ વિશે ઐતિહાસિક પ્રમાણો આપ્યાં.

છતાં, ગુજરાતી સામયિક 'સાધના’એ પ્રગટ કરેલા વીર સાવરકર વિશેષાંક (ઑગસ્ટ ૧૫, ૧૯૮૩)માં સ્વાભાવિક રીતે જ ક્યાં ય સાવરકરની અરજીઓનો કશો ઉલ્લેખ ન હતો.

સાવરકરની અરજીઓ બાબતે ઘણા સમય સુધી બચાવમુદ્રામાં રહ્યા પછી છેલ્લાં થોડાં વર્ષમાં, 'એ અરજીઓનું અવળું અર્થઘટન કરવામાં આવે છે. હકીકતમાં સાવરકરનો એ અરજીઓ પાછળનો આશય જુદો હતો.’ એવો પ્રચાર શરૂ થયો, પરંતુ સાવરકરે કરેલી ત્રણ-ત્રણ અરજીઓની સામગ્રી ઉપલબ્ધ હોય ત્યારે, ગમે તેટલી તોડમરોડ કર્યા પછી પણ, અરજીઓને વાજબી કે વીરત્વને અનુરૂપ ઠરાવવી અઘરી પડે.

હિંદુત્વની વિચારધારામાં રંગાયેલા તો આ બધું માની લેવા તૈયાર હોય, પણ એ સિવાયના લોકોનું શું ? કદાચ આવી મૂંઝવણના નિવારણ માટે કે પછી ચર્ચાની દિશા ફંટાઈ જાય એવા આશયથી રાજનાથસિંહે નવો ફણગો ફોડ્યો લાગે છે, જે સદંતર જૂઠાણું છે.

રાજનાથસિંહે દાવો કર્યો છે કે (માફીની) અરજીઓ કરવાનું ગાંધીજીએ સાવરકરને કહ્યું હતું.

સાવરકરના સંરક્ષણના ઉત્સાહમાં સંરક્ષણ મંત્રી એટલી સાદી હકીકત ચૂકી ગયા કે સાવરકરે અંગ્રેજ સરકારને પહેલી બે અરજીઓ અનુક્રમે વર્ષ ૧૯૧૧માં અને વર્ષ ૧૯૧૩માં કરી હતી. તે સમયે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. ત્યારે તેમની અને સાવરકરની વચ્ચે કોઈ પત્રવ્યવહાર થયો હોવાનું ગાંધીજીનાં કે સાવરકરનાં ચરિત્રોમાં નોંધાયું નથી.

ગાંધીજીનો વિનાયક સાવરકર સાથે પરિચય ૧૯૦૯માં થઈ ચૂક્યો હતો અને ગાંધીજીને સાવરકરબંધુઓ ગણેશ તેમ જ વિનાયકના ક્રાંતિકારી ભૂતકાળ માટે આદર હતો. પણ જેલમાંથી છુટકારો મેળવવા માટે સરકારને અરજીઓ કરવાની નીતિ કદી દક્ષિણ આફ્રિકામાં કે ભારતમાં ક્યાં ય ગાંધીજીની પદ્ધતિ નહોતી.

ગાંધીજી સાવરકરભાઈઓની મુક્તિ ચોક્કસ ઇચ્છતા હતા.

૧૯૪૫માં વિનાયક સાવરકરના ભાઈ ગણેશ સાવરકરનું અવસાન થયું, ત્યારે આશ્વાસનપત્રમાં ગાંધીજીએ વિનાયક સાવરકરને લખ્યું હતું, 'આપના ભાઈના કૈલાસવાસના સમાચાર જોઈ આ લખું છું. એમના છુટકારાને અંગે મેં કંઈક કર્યું હતું, ત્યારથી એમને વિશે હું રસ લેતો જ ગયો. મૃત્યુનો શોક તમારી આગળ શો કરવો ? આપણે તો મૃત્યુના મુખમાં પડ્યા છીએ ને …’ (ગાંધીજીનો અક્ષરદેહ-૭૯, પૃ.૨૯૫)

સાવરકરે શું ખરેખર અંગ્રેજોની માફી માગી હતી?

જ્યારે ગાંધીજીએ સાવરકરને જેલમાંથી છોડવાની હિમાયત કરી ત્યારે વિનાયક સાવરકર જેલમાંથી છૂટે, તેની હિમાયત પણ ગાંધીજીએ કરી હતી. પરંતુ માફીની અરજીની સલાહ આપીને નહીં.

ગાંધીજીના પ્રયાસો બદલ સાવરકરપ્રેમીઓએ તેમનો આભાર માનવો જોઈએ.

અંગ્રેજી 'યંગઇન્ડિયા’ના મે ૨૬, ૧૯૨૦ના અંકમાં 'સાવરકરબ્રધર્સ’ એવા મથાળા હેઠળ એક લેખમાં ગાંધીજીએ બ્રિટનના શાહી ઢંઢેરાનો એ હિસ્સો ટાંક્યો હતો, જેમાં રાજકીય ગુનેગારોને માફી બક્ષવાની વાત કરવામાં આવી હતી.

ગાંધીજીએ લખ્યું હતું કે ડિસેમ્બર, ૧૯૧૯માં પ્રસિદ્ધ થયેલા આ ઢંઢેરાનો લાભ સાવરકરભાઈઓને મળ્યો નથી.

ગાંધીજીએ નોંધ્યું હતું : 'આ બંને ભાઈઓએ પોતાના રાજદ્વારી વિચારો જાહેર કરી દીધા છે અને બંનેએ કહ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના ક્રાંતિકારી વિચારો ધરાવતા નથી. અને જો અમને છોડી મૂકવામાં આવશે, તો અમે રિફૉર્મ્સ ઍક્ટ (સુધારાધારા) નીચે કામ કરવાનું પસંદ કરીશું … આ બંને સ્પષ્ટ ભાષામાં જણાવે છે કે હિંદુસ્તાન બ્રિટિશ સંબંધ છોડી દે એમ તે પોતે ઇચ્છતા નથી. ઊલટું તેમને એમ લાગે છે કે બ્રિટિશ લોકો સાથેની મિત્રાચારી દ્વારા જ હિંદુસ્તાનનું ભાવિ સૌથી સારી રીતે ખીલવી શકાય એમ છે …’ (ગાંધીજીનો અક્ષરદેહ-૧૭, પૃ.૪૪૭)

ત્યાર પહેલાં જાન્યુઆરી ૧૮, ૧૯૨૦ના રોજ વિનાયક સાવરકર અને ગણેશ સાવરકરના બહાર રહેલા ભાઈ નારાયણ સાવરકરે ગાંધીજીને પત્ર લખીને જણાવ્યું હતું કે તાજ દ્વારા રાજકીય કેદીઓને આપવામાં આવેલી માફીનો લાભ સાવરકરબંધુઓને મળ્યો નથી, તો મારે શું કરવું ?

આ પત્રમાં નારાયણ સાવરકરે પોતાના બંને ભાઈઓ વિનાયક અને ગણેશની કફોડી સ્થિતિનું વર્ણન કરીને તેમને છોડાવવા માટે શું કરવું એ અંગે ગાંધીજીની સલાહ માગી હતી. એ પત્રનો ગાંધીજીએ લખેલો જવાબ તો ઉપલબ્ધ નથી, પણ જવાબ આપવા માટે ગાંધીજીએ જે ડ્રાફ્‌ટ (મુસદ્દો) તૈયાર કર્યો હતો, તેમાં તેમણે લખ્યું હતું, 'તમને સલાહ આપવાનું મુશ્કેલ છે, તેમ છતાં હું સૂચવું છું કે તમે એક ટૂંકી અરજી તૈયાર કરો. એમાં કેસની હકીકતો એવી રીતે રજૂ કરો કે જે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે કે તમારા ભાઈએ કરેલો ગુનો કેવળ રાજકીય હતો. આવી સૂચના હું એટલા માટે કરું છું કે એ પ્રમાણે લખાશે તો જનતાનું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરવાનું શક્ય બનશે. દરમિયાન … આ બાબતમાં હું મારી રીતે પગલાં લઈ રહ્યો છું.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૧૬, પૃ.૪૮૦-૪૮૧)

આ પત્રમાં ક્યાં ય અંગ્રેજ સરકાર સમક્ષ નાકલીટી તાણવાની કે બીજી કશી બાંહેધરી આપવાની સલાહ આપી નથી (જે સાવરકરે તેમની અરજીઓમાં કર્યું હતું.) સાવરકર રાજકીય કેદી છે એ વિગત પર જ ભાર મૂકવાનું તેમણે જણાવ્યું છે, કેમ કે બ્રિટિશ તાજ તરફથી રાજકીય કેદીઓને માફી જાહેર કરવામાં આવી હતી.

આ પત્ર આગળ કરીને ગાંધીજીએ સાવરકરને માફી માગવા કહ્યું હતું એમ કહેવું એ સચ્ચાઈનું શીર્ષાસન છે અને કુટિલતાની પરાકાષ્ઠા છે.

ગાંધીજીએ કેમ અપીલ પર સહી કરવાની ના પાડી ?

આ બનાવના દોઢેક દાયકા પછી, વર્ષ ૧૯૩૭માં એવો પણ પ્રસંગ આવ્યો, જ્યારે ગાંધીજીએ સાવરકરની મુક્તિની અપીલ પર સહી કરવાની ના પાડી હતી. તેની પાછળનું કારણ જુદું હતું, પરંતુ કેટલાક સાવરકરપ્રેમીઓએ તે બાબતે ગાંધીજીની ટીકા કરી.

ત્યારે મહારાષ્ટ્રની પ્રાંતિક કાઁગ્રેસ સમિતિની પ્રમુખ શંકરરાવ દેવને ગાંધીજીએ લખ્યું હતું : 'સાવરકરની બાબતમાં અરજી ઉપર સહી કરવાની મેં જરૂર ના પાડી હતી. કારણ, મારી પાસે જેઓ આવ્યા હતા તેમને મેં કહ્યું હતું તેમ, એ બિનજરૂરી હતું. કારણ નવો કાયદો અમલમાં આવ્યા પછી ગમે તે પ્રધાન હોય તોયે તેમનો છુટકારો થવાનો જ હતો અને બન્યું પણ એમ જ.’

'કંઈ નહીં તોયે સાવરકરભાઈઓ જાણે છે કે અમારી વચ્ચે ગમે તેવા પાયાના મતભેદો હોય તેમ છતાં તેમનો બંદીવાસ હું સ્વસ્થ ચિત્તે કદી સહી ન શકું.’

'કદાચ, ડૉ. સાવરકર એ વાતની સાક્ષી પૂરશે કે તેમની મુક્તિ માટે મેં મારાથી જે કંઈ થઈ શકે તે કર્યું હતું, અને બૅરિસ્ટરને (વિનાયક સાવરકરને) પણ કદાચ અમે પહેલવહેલાં મળ્યા અને જ્યારે કોઈ તૈયાર થતું ન હતું ત્યારે તેમના માનમાં ભરવામાં આવેલી સભાનું પ્રમુખસ્થાન મેં લીધું હતું, એની સુખદ સ્મૃતિ હશે.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૬૫, પૃ.૪૩૪)

ગાંધી સાવરકરને મળવા ગયા

૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ કરાઈ હતી. ગાંધીજી સાવરકરને તેમના રત્નાગિરિના નિવાસસ્થાને મળવા ગયા હતા અને બધા મતભેદો સહિત તેમની સાથે ચર્ચા કે પત્રચર્ચાનો ઉમળકો દેખાડ્યો હતો, પરંતુ તે શક્ય બન્યું નહીં.

ગાંધીહત્યાના કેસમાં સાવરકરની સંડોવણી હોવાનું બહાર આવ્યું, પરંતુ પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયા. ત્યારે કેટલાક સાક્ષીઓની જુબાની ન લેવાથી માંડીને કેટલીક પ્રક્રિયાગત બાબતો અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ હતી, પરંતુ તક્‌નિકી રીતે સાવરકર નિર્દોષ છૂટ્યા હોવાથી તેમની વિચારધારાના સમર્થકોને એટલી નિરાંત થઈ, પરંતુ અરજીઓના મામલે સાવરકરની પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન પ્રમાણમાં ઘણું કઠણ છે.

કદાચ એટલે જ, વખતોવખત તેમની અરજીઓને લઈને અવનવી સફાઈઓ પેશ કરવામાં આવે છે. રાજનાથસિંહનું નિવેદન એ જ દિશામાં લેટેસ્ટ પ્રયાસ જણાય છે.

જૂઠાણાંની બોલબાલાએ રાજકીય ચર્ચાની જગ્યા લીધી છે અને ગાંધીજયંતીએ ટિ્‌વટર પર ગોડસે ટ્રેન્ડિંગ થાય તેનાથી સરકારનું રુંવાડું પણ ફરકતું નથી, તેવા સંજોગોમાં રાજનાથસિંહનું નિવેદન પણ ચાલુ નાટકનો વધુ એક, પણ છેલ્લો નહીં એવો અંક બની રહેશે, એવું માની શકાય.

E-mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 05-06

Loading

ચલ મન મુંબઈ નગરી—122

દીપક મહેતા|Opinion - Opinion|4 December 2021

મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાં સે ટેલિફૂન

જ્યારે ટેલિફોનમાં નંબર જોડવા માટે ડાયલ જ નહોતું!

ટેલિફોન કંપનીની જાહેર ખબરોમાં અભિનેત્રીઓ ચમકતી

મેરે પિયા ગયે રંગૂન,
કિયા હૈ વહાં સે ટેલિફૂન,
તુમ્હારી યાદ સતાતી હૈ,
જિયા મેં આગ લગાતી હૈ.

૧૯૪૯માં આવેલી ‘પતંગા’ ફિલ્મમાં શમશાદ બેગમ અને સી. રામચંદ્રે ગાયેલું આ ગીત એક જમાનામાં ખૂબ જ પોપ્યુલર થયેલું. આ ટેલિફૂન તે હવે સ્વર્ગસ્થ થયેલ ટેલિગ્રાફનો નાનો ભાઈ. હિન્દુસ્તાનમાં ટેલિગ્રાફનો જન્મ ૧૮૫૧માં. ૧૮૮૦માં ધ ઓરિયેન્ટલ ટેલિફોન કંપની અને ધ એન્ગલો ઇન્ડિયન ટેલિફોન કંપની નામની બે બ્રિટિશ કંપનીએ હિન્દુસ્તાનમાં ટેલિફોન સેવા શરૂ કરવા માટે બ્રિટિશ સરકાર પાસે પરવાનગી માગી. પણ સરકારશ્રીએ કહ્યું કે આવી સગવડ આપવાનું કામ ખાનગી સરકારનું છે, કંપનીઓનું નથી. પણ એક વરસ પછી સરકારે ફેરવી તોળ્યું (હા જી. અંગ્રેજ સરકાર પણ ફેરવી તોળવા માટે એકાદ વરસનો સમય લેતી.) અને ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીને કલકત્તા, મુંબઈ, મદ્રાસ અને અમદાવાદમાં ટેલિફોન સેવા શરૂ કરવાનો પરવાનો આપી દીધો! ૧૮૮૨ના જાન્યુઆરીની ૨૮મી તારીખે મુંબઈમાં પહેલવહેલું ટેલિફોન એક્સચેન્જ શરૂ થયું. સરકાર દ્વારા નહિ, પણ આજે જેને ‘ખાનગી ક્ષેત્ર’ કહેવાય છે તેની બોમ્બે ટેલિફોન્સ નામની કંપની દ્વારા. છેક ૧૯૮૬ સુધી આ કંપની કામ કરતી રહી. એ વરસની પહેલી એપ્રિલથી સરકારે ટેલિફોન સેવા પોતાના હાથમાં લઈ લીધી અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ અસ્તિત્વમાં આવ્યું.

મુંબઈનો સૌથી જૂનો ટેલિફોન

માનશો? શરૂઆતનાં ટેલિફોન મશીનમાં નંબર જોડવા માટે ડાયલ જ નહોતું! મુંબઈનો જે સૌથી જૂનો ટેલિફોન આજે જોવા મળે છે તે લાકડા અને ધાતુનો બનેલો હતો. ૧૮૮૯માં બોમ્બે ટેલિફોન કંપનીએ એ બનાવ્યો હતો. એ આપણો પહેલો ‘સ્વદેશી’ ફોન. એ ફોનને ડાયલ નહોતું એનું કારણ એ કે ફોન જોડવા માટે એ વખતે ઓપરેટરની મદદ લેવી પડતી! ફોનનું ભૂંગળું ઉપાડો એટલે સામે છેડેથી ઓપરેટરનો અવાજ સંભળાય. તમારે જેની સાથે વાત કરવી હોય તેનો નંબર ઓપરેટરને કહેવાનો અને પછી ભૂંગળું પકડી રાખીને રાહ જોવાની. તમે માગેલો નંબર જોડાય એટલે ટિંગ ટિંગ એવી ઘંટડી વાગે. પછી તમારું બોલવા-સાંભળવાનું શરૂ. એ ફોનમાં બોલવા-સાંભળવા માટે બે અલગ ભૂંગળાં હતાં. પણ જેની સાથે વાત કરવી હોય તેનો નંબર જાણવો કઈ રીતે? એ માટે કંપની ટેલિફોન ડિરેક્ટરી બહાર પાડતી જે દરેક ગ્રાહકને મળતી. શરૂઆતમાં તો એટલા ઓછા ટેલિફોન નંબર હતા કે મુંબઈ, કરાચી, અને અમદાવાદ માટે એક જ ડિરેક્ટરી બહાર પડતી. આ ત્રણે શહેરોની ટેલિફોન સેવા બોમ્બે ટેલિફોન કંપની હસ્તક હતી. નવી ડિરેક્ટરી બહાર પડે ત્યારે જૂનીની નકલ નજીકના ટેલિફોન એક્સચેન્જમાં આપીને તેના બદલામાં નવી લઈ આવવાની!

અભિનેત્રી પ્રમિલા

લોકો ટેલિફોન લે એ માટે કંપની જાહેર ખબરો આપતી. મહીને ૧૨ રૂપિયા આપવાથી ટેલિફોન મળતો! જાહેર ખબરોમાં એ વખતની ફિલ્મ અભિનેત્રીઓને ચમકાવવામાં આવતી. અહીં મૂકેલી જાહેર ખબરમાં અભિનેત્રી પ્રમિલા જોવા મળે છે. એ વખતની પ્રખ્યાત વાડિયા મુવિટોન કંપનીની એ લોકપ્રિય અભિનેત્રી હતી. ઈમ્પિરિયલ સ્ટુડિયો છોડીને તે વાડિયામાં જોડાઈ હતી. આ જાહેર ખબર વખતે તે વાડિયાની ‘જંગલ ક્વીન’ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તેની સાથેના એકટરો હતા જોન કેવાસ અને મહેરુ નામનો વાંદરો! આ પ્રમિલાનું મૂળ નામ એસ્થર વિક્ટોરિયા અબ્રહામ. એક બગદાદી-જ્યૂ કુટુંબમાં ૧૯૧૬ના ડિસેમ્બરની ૩૦મીએ કલકત્તામાં જન્મ. એક્ટર સૈયદ હસન અલી ઝયદી સાથે બીજાં લગ્ન. તેઓ એક્ટર તરીકે ‘કુમાર’ના નામે જાણીતા થયા હતા. ૧૯૬૩માં તેઓ કાયમ માટે પાકિસ્તાન ગયા, પણ પ્રમિલા અહીં જ રહ્યાં, અને એક્ટિંગ ઉપરાંત ૧૬ જેટલી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું. ૨૦૦૬ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું. ૧૯૪૭માં પહેલી વાર યોજાયેલી ‘મિસ ઇન્ડિયા’ની સ્પર્ધા જીતીને તેઓ મિસ ઇન્ડિયા બન્યાં હતાં.

વરસો સુધી વપરાયેલું કાળું ડબલું

આજે તો ઘડીના છઠ્ઠા ભાગમાં દેશ કે પરદેશની વ્યક્તિ સાથે મોબાઈલ પર વાત કરી શકાય છે, અને ગમે તેટલો વખત થાય, કોઈ રોકતું-ટોકતું નથી. પણ પહેલાં તો ટેલિફોનના કાળા ડબલા પરથી ટ્રંક કોલ બુક કરવો પડતો. ટ્રંક કોલમાં પાછી ત્રણ જાત : ઓર્ડિનરી, અરજન્ટ, અને લાઈટનિંગ. પહેલાં જે નંબર સાથે વાત કરવી હોય તે નંબર ઓપરેટરને આપવાનો. પછી હાથ જોડીને ટેલિફોનના ડબલા પાસે બે-ત્રણ કલાક બેસી રહેવાનું. તમારો વારો આવે ત્યારે તમારો માગેલો નંબર જોડીને ઓપરેટર તમને વાત કરવા કહે. ત્રણ મિનિટની ટાઈમ લિમિટ. ૩૦ સેકંડ બાકી રહે ત્યારે ઓપરેટર તમને ચેતવે. ત્યારે તમે કોલ બીજી ત્રણ મિનિટ લંબાવવા કહી શકો. ન કહો તો ત્રણ મિનિટ પછી લાઈન કપાઈ જાય! અને એક કોલ છ મિનિટ કરતાં વધુ લાંબો ચાલી શકે જ નહિ. અરજન્ટ કોલનો ચાર્જ ઓર્ડિનરી કરતાં ડબ્બલ, પણ રાહ ઓછી જોવી પડે. લાઈટનિંગ કોલ લગભગ તરત મળે, પણ ત્રણ મિનિટ કરતાં વધુ લંબાવાય નહિ અને ચાર્જ અરજન્ટ કરતાં બમણો. પણ તમારે ઘરે કે જેની સાથે વાત કરવી હોય તેને ઘરે ફોન હોય જ નહિ તો? તો પણ ટ્રંક કોલ થઈ શકે. પણ એ માટે તમારે ટ્રંક કોલની સગવડ ધરાવતી પોસ્ટ ઓફિસનો આશરો લેવો પડે. જેની સાથે વાત કરવી હોય તેનું નામ-સરનામું લખાવવું પડે. ઓપરેટર એ સામે છેડે પહોંચાડે એટલે ટપાલી બોલાવી આવે એ માણસને. અને પછી પોસ્ટ ઓફિસના બૂથમાંથી વાત કરી શકે. એ વખતે ટ્રંક કોલમાં બીજી પણ એક સગવડ હતી – pp, એટલે કે પરટિક્યુલર પરસન. કોલ બુક કરતી વખતે તમારે એ વ્યક્તિનું નામ આપવાનું. એ કોલ લઈ શકે એમ હોય તો જ ઓપરેટર કોલ જોડે. કેટલાક ચતુર-સુજાણ આ સગવડનો પૂરો કસ કાઢતા. કઈ રીતે? ધારો કે મુંબઈથી મનહરભાઈ અમદાવાદ ગયા છે. તેઓ સુખરૂપ પહોંચી ગયા છે એ તેમના ઘરે જણાવવું છે. તો અમદાવાદી કરે તેમના મુંબઈના ઘરે ટ્રંક કોલ pp મનહરભાઈને નામે. ઓપરેટર પીપી અંગે પૂછે ત્યારે કહી દેવાનું કે તેઓ તો બહારગામ ગયા છે. પણ મનહરભાઈના કુટુંબીઓ સમજી જાય કે તેઓ સુખરૂપ અમદાવાદ પહોંચી ગયા છે. આજે જેમ મિસ્ડ કોલની કળા વિકસી છે તેમ જ એ વખતે આ ppની કળા વિકસી હતી.

દરેક જમાનાને તેના સ્ટેટસ સિમ્બલ હોય છે. ઘણા દાયકા સુધી ટેલિફોનનું કાળું ડબલું આવું સ્ટેટસ સિમ્બલ હતું. ચાર-પાંચ માળના મકાનમાં માંડ બે-ત્રણ ઘરે ફોન હોય તો હોય. મોટે ભાગે કાં સરકારી અમલદારને ઘરે, વેપારી, ડોક્ટર, વકીલ જેવા વ્યવસાયીને ઘરે હોય. પણ એ ફોન હોય ભલે કોઈ એક ઘરમાં, પણ હકીકતમાં એ સાર્વજનિક ફોન જ બની જાય. દિવસ દરમ્યાન અડોશી-પડોશી બેધડક ફોન કરવા આવી શકે એવો વણલખ્યો નિયમ. ખાસ તો પુરુષો કામે જાય પછી ‘બૈરાં’ તો ફોન પર લાંબી લાંબી વાતો પણ કરે. એવી જ રીતે અડોશી-પડોશી માટે ફોન આવે તો તેને બોલાવી આવવાની પણ ફરજ મનાય. કાં ઘરનું કોઈ છોકરું દોડે, કે પછી આખું મકાન સાંભળે તેમ બારીમાંથી બૂમ પાડવાની : અરે મંજુડી, તારે માટે મધુકરનો ફોન છે. અને પછી આખા માળામાં ચર્ચા ચાલે કે મંજુલા અને મધુકર વચ્ચે ઇલુ-ઇલુ ચાલતું લાગે છે.

ટેલિફોન લ્યો કોઈ ટેલિફોન લ્યો

પહેલાં ટેલિફોન કંપની જાહેર ખબરો આપતી : ‘ટેલિફોન લ્યો, કોઈ ટેલિફોન લ્યો.’ પણ બીજા વિશ્વયુદ્ધ પછી બીજી અનેક વસ્તુઓની જેમ ટેલિફોનની પણ કારમી અછત. અરજી કર્યા પછી બે-પાંચ વરસ રાહ જોવી પડે. પછી એક સોનેરી સવારે કંપનીના લાઈન મેન આવીને ઘર સુધી વાયરિંગ કરી જાય, નંબર આપી જાય, અને બક્ષિસ લઈ જાય. પણ પેલું કાળું ડબલું ક્યાં? પૂછો તો એક જ જવાબ : સ્ટોકમાં નથી. હવે, જો તમે ‘સમજુ’ હો તો ટેલિફોન એક્સચેન્જમાં જઈને ‘ચા-પાણી’ની વિઘ્નહર્તા વિધિ કરી આવો તો બે-ચાર દિવસમાં તમારા ઘરમાં ઘંટડી રણકતી થાય. આજે બજારમાં જાતભાતનાં રંગબેરંગી ડબલાં મળે છે, પણ તે વખતે એવાં ડબલાં મળતાં નહિ, અને ક્યાંકથી મેળવો તો ય એ વાપરવાનું ગેરકાયદે! કંપનીનું કાળું ડબલું જ વાપરવું પડે. અને હા, એ વખતે લેન્ડ લાઈન જેવા શબ્દો કોઈએ સાંભળ્યા નહોતા. ટેલિફોન એટલે ટેલિફોન.

પણ છેક ૧૯૨૪માં ‘માલવપતિ મુંજ’ નાટકમાં પ્રભુલાલ દ્વિવેદીએ ભવિષ્ય ભાખ્યું હતું :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.

મોબાઈલ ફોન નામનો સર્વગુણસંપન્ન શત્રુ આવ્યો અને ‘લેન્ડ લાઈન’ના સુખના દિવસો પૂરા થયા, કરમાવાના માઠા દિવસો આવ્યા. પડતીની પનોતી બેઠી. ઘરમાંથી જાડીપાડી ટેલિફોન ડિરેક્ટરીઓ અલોપ થઈ ગઈ. ‘તમારો ફોન છે’ કહીને કોઈને બોલાવવાની જરૂર રહી નહિ. બહારવટિયા કાદુ મકરાણી એક નહિ પણ બબ્બે બંદૂક રાખતો તેમ હવે ઘણા ફોનના વ્યસનીઓ બે કે બેથી વધારે મોબાઈલ સાથે રાખે છે. હા, હજી ઘણા ઘરોમાં લેન્ડ લાઈનનું ડબલું કોઈક ખૂણામાં પડ્યું હોય છે ખરું, પણ ઓશિયાળા, અનાથ કુરકુરિયા જેવું. એને જોઈને બહેરામજી મલબારીની પંક્તિઓ યાદ આવે :

ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ,
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ.

ટેલિગ્રામ જેમ પ્રભુને પ્યારો થઈ ગયો તેમ કાળ સવારે ટેલિફોન પણ?

‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે.’ 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6771,6781,6791,680...1,6901,7001,710...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved