Opinion Magazine
Number of visits: 9674285
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલગાવથી લગાવ ભણી

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|16 January 2022

પેલું કહે છે ને કે let us begin from beginning – બરાબર એમ જ હું પદગ્રહણ વક્તવ્યનો કંઈક ઉલ્લેખ કરી એના અનુસંધાનમાં થોડીએક દિલી વાતો પહાડ, સમુદ્ર અને રણ એમ ત્રિવિધ સાખે કરવા ઇચ્છું છું.

અંબાલાલ સાકરલાલ. ઉદ્યમી જણ. મહાસભાના અધિવેશનમાં સ્વાગતપ્રમુખ તો વળી પરિષદપ્રમુખ પણ ખરા. એ ગયા ત્યારે રામાનંદબાબુના ‘મૉડર્ન રિવ્યૂ’માં અંજલિનોંધમાં આવેલું કે In some respects he anticipated Gandhi. એમણે લખેલી એક વારતા સંભારું, અને એમ અંબાલાલના ‘અ’થી શરૂ કરું.

એ વારતા શાંતિદાસના જોડાની છે. મલયાનિલની ‘ગોવાલણી’ પ્રસિદ્ધ થઈ એનાયે આગલા દસકાની. ગામમાંથી પહેલો છોકરો દૂર, મોટા શહેરની કૉલેજમાં ભણવા ગયો. રજાઓમાં ઘરે આવ્યો, ત્યારે શહેરી છટાને શોભીતા ચમચમતા બૂટમાં આવ્યો. જેમણે બાપગોતરમાં શહેર (ને ઊંચું ભણતર) નહીં દીઠેલ એ છોકરાંવ સારુ એ બૂટ કેમ જાણે ઉપલી પાયરીની ઓળખ બની રહ્યા. પછી તો દર રજાએ શાંતિદાસ આવે ત્યારે દસવીસપચીસ એમ જોડાની જોડ વરદીથી લેતો આવે. હવે ચમચમતા જોડા તો ઠઠાડ્યા, પછી શું. ઇવનિંગ વૉક, ગામને ગોંદરે સ્તો. ત્યાં શું તો કહે કે ઊભો કરો ચાનો ગલ્લો. જુવાનિયાનો કામધંધો હવે શું, સિવાય કે ચમચમતા જોડા, ગોંદરે ગામગપાટા ને ચાનાં ઠીબરાં. જોડાના એકચક્રી સપાટાએ ગામના મોચીનો ધંધો ભાંગ્યો. વિનિમય પર ચાલતી ગામની અર્થવ્યવસ્થા અને પ્રથા આખી લથડી પડી … પછીની વાત છોડી દઈ એટલું જ કહું માત્ર કે ઔદ્યોગિક ક્રાંતિ અને એક સાંસ્થાનિક મુલકની વિષમ પરિસ્થિતિની એ દાસ્તાં છે.

સામે પલ્લે, એમ તો રા.વિ. પાઠકે – આપણા દ્વિરેફે સ્તો – મુકુન્દરાયની વારતા ક્યાં નથી લખી? શાન્તિદાસના કિસ્સામાં આપણે એક તરેહનો અલગાવ કે વિખૂટાપણું અગર alienation જોયું. અહીં મુકુન્દરાય કૉલેજિયન મિત્રોને લઈને ગામ આવે છે અને એને ગોઠતું નથી. વિધવા બહેન અને બુઢ્ઢા બાપને પણ એના વહેવારથી સોરવાતું નથી. મુકુન્દરાય અને મિત્રો પહેલી તકે પાછા ફરી જાય છે. પિતાના મુખમાં પાઠકસાહેબે વિમળશાહનો પ્રસંગ મૂક્યો છે. વડીલે બંધાવેલી વાવ પર દાપું ઉઘરાવી ખાતા છોકરાને જોયા પછી વિમળશાહ માતાજી પાસે સંતાનને બદલે પોતાનું નખ્ખોદ માગે છે.

પલટાતી વ્યવસ્થાએ અને પેઢીભેદે સરજાતા આ અલગાવનો ઉગાર શો. અંબાલાલ સાકરલાલ અને રા.વિ. પાઠકની વચ્ચે આપણા એકના એક રણજિતરામ સાંભરે છે. એમણે એક સરસ પાત્ર સજ્ર્યું છે, માસ્તર નંદનપ્રસાદ. નિરંજન ભગત રણજિતરામ ચંદ્રક વેળાએ એમનું ભાષણ તૈયાર કરતા હતા તે વખતે જે પણ હાથમાં આવે એને નંદનપ્રસાદની વારતા સંભળાવ્યા વિના છોડતા નહોતા એવી વાયકાનું, ભગતસાહેબ કને એમને જ સાધ્ય એવા અનવદ્ય પઠનથી લાભાન્વિત એવો હું જરૂર સમર્થન કરીશ. આ નંદનપ્રસાદના મોમાં રણજિતરામે એક શબ્દ મૂક્યો છે ennui – એન્યુઈ, ખરેખર ઉચ્ચાર જો કે ઑન્વી. પાંચેક દાયકા પર આપણે સૌ ‘અંબા રમવા આવ તો બતલાવું’ની તરજ પર સાર્ત્ર-કામૂ, સાર્ત્ર-કામૂ કરતા હતા, ત્યારે એન્યુઈ એ ખાસી પ્રચલિત સંજ્ઞા હતી. પણ થાકની, કંટાળાની, બલકે વિરતિની આ વાત એના પણ પાંચ દસકાપૂર્વે રણજિતરામ લઈ આવ્યા હતા.

આ જે વિરતિ અગર અલગાવ, એનું વારણ શું. નંદનપ્રસાદ નાનાવિધ પ્રવૃત્તિઓમાં પરોવાવાના વિકલ્પમાં એનું વારણ જુએ છે. ગુજરાતની વિકાસરેખાના સગડ પકડવા આપણે અંબાલાલ સાકરલાલથી પાછળ જઈએ ત્યાં દલપતરામ સાંભરે છે. ભોળાનાથ સારાભાઈએ, કેમ કે ફૉર્બ્સ કહેતાં ફાર્બસસાહેબને ગુજરાતી શીખવું હતું, દલપતરામને છેક વઢવાણથી તેડાવ્યા. દલપતરામ વઢવાણથી પગપાળા પહોંચ્યા. ફાર્બસ રેનેસાંનો વારસો લઈને આવ્યા હતા. દલપતરામને નવી દુનિયા અને નવા જ્ઞાનનો પરિચય એમના થકી – કહો કે એમણે વઢવાણથી અમદાવાદનું અંતર ગાઉમાં નહીં એટલું સૈકાઓમાં કાપ્યું હતું. ૧૮૪૧થી ૧૮૫૦નો એ આખો દસકો સુરતમાં દુર્ગારામ મહેતાજી અને માનવધર્મ સભાથી માંડી અમદાવાદમાં દલપત-ફાર્બસ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)એ રસકસવંતો છે. નવું જ્ઞાન ને ખૂલતી આવતી દુનિયામાં એવું કશુંક જરૂર હોઈ શકે છે, જેમાં પેલી વિરતિનો મોક્ષ થાય અને અલગાવને સ્થાને સારી સરખી સોબતે લગાવ પણ થતો આવે.

આ જ દસકો, ૧૮૪૧થી ૧૮૫૦નો, તમે જુઓ – પણે પશ્ચિમમાં માક્‌ર્સ અને એન્ગલ્સનો છે. ૧૮૪૪ની માક્‌ર્સની હસ્તપ્રતો (મળી તો એ જો કે મોડેથી, માકર્સવાદ ચિત્રમાં આવ્યો તે પછી) અલગાવની સમસ્યાથી પરિચાલિત હતી. અલગાવમાંથી લગાવ એ યુવા માક્‌ર્સની (એક અર્થમાં માક્‌ર્સવાદપૂર્વ માક્‌ર્સની) તહેદિલ ખોજ હતી. એક પા આ થિયરીની છટપટાહટ અને બીજી પા વાસ્તવદર્શનઃ એન્ગલ્સે લંડન સ્લમ્સમાં બસર થતી જિંદગીઓનો, ઘોલકાતાં જીવતરનો અભ્યાસ કરી જે મનઃસ્થિતિ તારવી હતી તે હતી unfeeling isolationની, લાગણીશૂન્ય એકલતાની. માક્‌ર્સ-એન્ગલ્સનું મળવું એક વૈચારિક ભૂમિકા અને વાસ્તવદર્શનનું મળવું હતું. વિચાર અને વાસ્તવ વચ્ચે સાર્થક આપલેની જે એક આખી સંઘર્ષગર્ભા એટલી જ સર્જનાત્મક પ્રક્રિયા છે, એમાં પણ તમે અલગાવનો ઉગાર જોઈ તો શકો.

અલગાવ અને લગાવનું આ દ્વંદ્વ ક્યાંથી ક્યાં લઈ જાય છે, આપણને? જયંત ખત્રીની વાર્તા ‘અમે બુદ્ધિમાનો’ યાદ આવે છે. સ્વાતંત્ર્યસંગ્રામનું વાતાવરણ છે, એટલે યુવાન હૈયાં અનુભવી શકે એવી લગાવગુંજાશ હાજરાહજૂર છે. પણ એ જે એક સામાજિક સંદર્ભ છે તેમ વૈયક્તિક પ્રશ્નો પણ છે, જેમ કે વયસહજ યૌનખેંચાણ. બુદ્ધિમાનો પૈકી એકની આત્મહત્યા વાચક સમક્ષ આવે છે, ત્યારે સમજાય છે કે અલગાવથી લગાવનું અંતર કાપવું જેટલું સુકર લાગે છે, એટલું સરળ નથી.

આ જે આરત અને અનુવસન, આ જે longing અને belonging – ઉમાશંકરે જે શબ્દ ક્યાંથી ક્યાં અને ક્યાં-ક્યાં લઈ ગયો એનું કવિકૌતુક કીધું છે, એનું સ્મરણ કરતે કરતે બીજા એક કચ્છીમાડુને સંભારવાની છૂટ લઉં? યુસૂફ મહેરઅલી. કચ્છનું સંતાન. ઓગણચાલીસમે વરસે તો મુંબઈના મેયર થયેલા. આપણા બદલતા સંગ્રામકારણનાં બે વળાંકસૂત્રો એમને નામે જમે બોલે છે – ‘સાઇમન ગો બૅક’ અને સવિશેષ તો ‘ક્વિટ ઇન્ડિયા’ (‘હિંદ છોડો’). કશીક મોહની હતી આ સૂત્રોમાં, આ શબ્દોમાં જે યુવાનોને અલગાવની એકાંત કેદ અગર અલગાવના ઐશ્વર્યમાંથી લગાવે લાંગરી આપતી હતી. આ જે લગાવ, અલગાવનું આ જે વારણ, એ ક્યાં-ક્યાં, કેવે રૂપે પ્રગટ થતું હશે? આશક ને માશૂકનું તો જાણે કે સમજ્યા … પણ આપણા આ મહેરઅલી બંધુનો એક અફલાતૂન કિસ્સો બટ્ર્રામ વુલ્ફે ‘ધ સ્ટ્રેન્જ કૉમ્યુનિસ્ટ્‌સ આઇ હેવ મેટ’ કે એવા જ શીર્ષકની કિતાબમાં નોંધ્યો છે. માંદગીની સારવારના એક ગાળામાં યુસૂફ અમેરિકા હતા. ક્યાંક જતા હશે ને દરિયો દીઠો તો કારમાંથી ઊતરી દોડી ગયા ને મહીંથી અંજલિ ભરી – અમ હિંદીવાનોને સારુ તીર્થોદકનો જે મહિમા છે તે તમને અમેરિકનોને ક્યાંથી સમજાય, વારુ. તો, અલગાવને લાંઘી જતા લગાવનું આ પણ એક રૂપ છે સ્તો.

આ વતનપ્રીતિ, આર્થિક-સામાજિક ન્યાય સારુ સંઘર્ષ અને ગતિ, વ્યાપક વિશ્વ-માનવતાનું ખેંચાણ, સ્વતંત્રતા અને સમતાની લહે, અલગાવથી લગાવ ભણીની મથામણ કહો, અસ્તિત્વને અર્થ આપતાં વાનાં છે. કોઈ પણ સમયમાં આ બધી મથામણોએ ‘સત્તા’ સાથે ટકરાવાના પ્રસંગો તો આવતા જ રહેવાના. મનુષ્યજાતિની એ ઇતિહાસનિયતિ છે, આપણા સમયમાં સવિશેષ.

મુદ્દાની વાત એ છે કે સાહિત્ય જો સહૃદયતાને સંવારતુંસંકોરતું મનાતું હોય તો આપણા સમયમાં સહૃદયતાની વ્યાખ્યામાં એક તરેહનું નાગરિક પરિમાણ પણ લગભગ અવિનાભાવ જેવું છે. હિમાંશી શેલતનો કદાચ કંઈક વંચાયેલો પણ ચોક્કસ નહીં ચર્ચાયેલો વાર્તાસંગ્રહ ‘ધારો કે આ વાર્તા નથી –’ અહીં સાંભરે છે. એની તમામ કૃતિઓમાં રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વરતાય છે. લેખિકાએ કહ્યું છે કે જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે એની ભીંસ અનુભવું છું. બૌદ્ધિક નિષ્ઠાની કટોકટીના કાળમાં જે કહેવાનો તરફડાટ જાગતો રહે છે એ જ આ વાતો લખાવે છે એમ પણ એમણે કહ્યાનું સાંભરે છે.

ચોક્કસ સંજોગોમાં નાગર નરસિંહે પોતાને વિશે હળવાં કરમનો હું નરસૈંયો એમ સાભિપ્રાય કહ્યું હતું. આપણો સમય સૌને સારુ, સવિશેષ અક્ષરકર્મી માત્રને વાસ્તે હળવાં કર્મનો હું નાગરિક એમ પ્રીછવાનો છે. ઉચ્ચવર્ણી એવું જે સામાજિક સત્તા-પ્રતિષ્ઠાન, એની વચ્ચે નરસિંહને આ ભૂમિકામાં પોતાની અનન્ય ઈશનિષ્ઠાવશ ધર્મ સમજાયો હતો. જીવ ને શિવના એકાત્મ એકરૂપ થવાનો ધોરી રસ્તો હરિજનવાસની સંગતિમાંયે એને અનુભવાતો હશે. ‘વૈષ્ણવજન’ એ ગાંધીકૃપાએ અતિવ્યાપક રચનામાં ‘પીડ પરાઈ’ની જે જિકર છે તે શત્રુવત્‌ અગર તિરસ્કારપાત્ર ‘ધ અધર’ની અનવસ્થાના સંદર્ભમાં નવઘટન માગે છે એમ પણ હું તો કહું.

વળી દલપતરામને સંભારું જરી ? ૧૮૯૮ પહોંચતે આંખ ગયેલી છે અને અંતર કદાચ વધુ ઊઘડ્યું છે ત્યારે પરમ આસ્તિક દલપતરામે સંકેલાતી સદીએ આવતી સદી જોગ આપેલી ખો એ છે કે મનુષ્યથી થઈ શકે તે કામ પ્રભુને ભળાવવાં નહીં. ને નર્મદ? ન હાલે મસ્ત, ન માલે મસ્ત, પણ ખયાલે મસ્ત. સભાની, મંડળીની, ‘ટેબલ ટાક’ની હિમાયત કરતો નર્મદ. એણે બુદ્ધિવર્ધક સભા છોડેલી; કેમ કે ત્યાં રાજકારભારની ચર્ચા નિષિદ્ધ હતી. સંસાર સંબંધી સર્વ સુખોમાં સૌથી મોટું સુખ તે રાજ્ય સંબંધી સુખનું હોવું છે એવી સાફ સમજ સાથે નર્મદની ફરિયાદ હતી કે આપણે ગુજરાતીઓ એની ચર્ચામાં લગારે મોં ઘાલતાં નથી. તો, દલપતરામે વઢવાણથી અમદાવાદ પહોંચતાં સૈકાઓમાં કાપેલ અંતર અને થંભેલાં મનજળ ઝટ્‌ટ ડહોળી નાખવાના નર્મદબોલને સહારે આપણે જ્યાં આવીને ઊભા છીએ તે પાપપુણ્યની બારી આ છે.

સત્રમાં સ્વાભાવિક જ પારુલ ખખ્ખરનો ઉલ્લેખ થયો. આ પ્રકરણના સંદર્ભમાં અકાદમીના અધ્યક્ષે અને ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રીએ લગભગ વ્યાસપીઠ પરથી, જે કહ્યું હતું તે સંભારું? એમણે કહ્યું કે અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા હતા, છીએ અને રહીશું. આનો માયનો સમયજાય છે તમને ? પાયાનો મુદ્દો પારુલકૃતિ કાવ્ય છે કે અકાવ્ય એ નથી – અમારી (સરકારી, સત્તાપક્ષી, સત્તાવાર) રાજકીય વિચારધારા છે.

હમણાં મેં જે પાપપુણ્યની બારીની વાત કરી એનું આ તાજું (પણ એથી ગંધાતું નહીં એવું નહીં) ઉદાહરણ છે. એ જો તમને ને મને સમસમાટ ન જગવે તો આપણે અક્ષરકર્મી છીએ કે અક્કરમી. છેલ્લાં દસબાર વરસમાં આપણે ત્યાં આવેલાં ને કદાચ કોઈક વણલખી સમજૂતીથી ચર્ચાબાહ્ય રહેલાં પુસ્તકો તે ‘ઉમાશંકર જોશીની વિચારયાત્રા’ (શતાબ્દી ગ્રંથનો અદ્યાપિ અગ્રનમૂનો) અને હમણાં ઉલ્લેખ્યો તે હિમાંશીબહેનનો વાર્તાસંગ્રહ છે. આ પુસ્તકોમાં ખાટલે મોટી ખોડ કદાચ એ છે કે એમાં રાજકીય અભિજ્ઞતા પર ખાસો ભાર છે. ટેનિસનની ‘લૅન્ડ ઑફ લોટસ ઈટર્સ’ વાળી કવિતા અહીં સાંભરે છે. પ્રજા કમલજીવી બનીને ખોવાઈ ન જાય એની ચિંતાવશ કવિએ ‘ટુ સ્ટ્રાઈક, ટુ સીક – ઍન્ડ નૉટ ટુ યીલ્ડ’ તરેહના ઉદ્‌ગારો કાઢ્યા છે તે પણ સાથેલગા સાંભરે છે. આ અભિજ્ઞતા હશે તો પેલી ‘ઑન્વી’ જે ઘરનું ઘર શોધે છે એનો રાજપથ ને જનપથ જડવો દુઃસાધ્ય નથી એમ મને એક અદના અક્ષરકર્મીને નાતે લાગે છે.

જાન્યુઆરી ૮, ૨૦૨૨

(તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના ભુજ જ્ઞાનસત્રમાં પ્રમુખસ્થાનેથી તેમ જ સત્રમાં દરમિયાન થતાં બોલાયેલું ને બોલવા ધારેલું.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 08-09

Loading

બાંગ્લાદેશની કૃષિક્રાંતિ અને તેને ઘરઘર સુધી પહોંચાડનારા શેખ સિરાજ

કિરણ કાપુરે|Opinion - Opinion|16 January 2022

ચીન, ભારત પછી બાંગ્લાદેશ એશિયાનું નવું માર્કેટ બનીને ઉભર્યું છે. વિશ્વમાં જે ગણ્યાગાંઠ્યા દેશો વાસ્તવિક ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’ આઠ ઉપર લઈ જઈ શક્યા છે, તેમાં બાંગ્લાદેશ પણ એક છે. ઝડપથી પ્રગતિ કરી રહેલાં દેશોમાં બાંગ્લાદેશ વિશ્વમાં પાંચમા ક્રમે છે. આર્થિક પ્રગતિમાં આવાં નિર્ધારિત માપદંડોમાં બાંગ્લાદેશ ઉપરના પાયદાન પર આવી રહ્યું છે અને બદલાયેલા બાંગ્લાદેશના આ ચિત્રની વાહવાહી આર્થિક નિષ્ણાતો પણ કરી રહ્યા છે. હાલમાં પચાસ વર્ષના થયેલાં બાંગ્લાદેશના કિસ્સામાં અનેક એવી કહાનીઓ લખાઈ જેના કારણે તેના વર્તમાનની વાત સુવર્ણ અક્ષરે લખાઈ છે.

બાંગ્લાદેશમાં ઉદ્યોગો વિકસ્યા તેમ ખેતીમાં પણ પરિવર્તન આવ્યું. બાંગ્લાદેશની ચાળીસ ટકાથી વધુ વસતી ખેતી પર અવલંબિત છે અને તેમાં આવેલા પરિવર્તનથી બેરોજગારી, ગરીબી અને અનાજની અછતની સમસ્યાને દૂર થઈ છે. બાંગ્લાદેશનું આ પરિવર્તન સદનસીબે વીડિયોમાં ઉપલબ્ધ છે અને તે ડોક્યુમેન્ટશન કરનાર વ્યક્તિનું નામ છે શેખ સિરાજ. સામાન્ય કિસ્સામાં કોઈ પણ આવી ઘટના બને છે પછી તેના વિઝ્યુઅલ કે તસીવર ડોક્યુમેન્ટ માટે ખાંખાખોળા કરવા પડે છે; પરંતુ બાંગ્લાદેશના કૃષિક્રાંતિમાં આવું કરવું પડ્યું નથી. દાયકામાં જે કંઈ બદલાવ આવતા ગયા તેને શેખ સિરાજ ડોક્યુમેન્ટ કરીને પ્રકાશિત કરતા ગયા.

શેખ સિરાજ પત્રકાર છે અને તેઓ 1982થી કૃષિ આધારિત કાર્યક્રમ કરી રહ્યા છે. સૌ પ્રથમ તેમણે બાંગ્લાદેશ ટેલિવિઝન માટે ‘માતી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં તેમણે કૃષિ આધારિત પ્રશ્નોને વાચા આપી અને તેના ઉકેલ પણ નિષ્ણાતો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડ્યા. બાંગ્લાદેશમાં તેમના કાર્યક્રમ જાણીતા બન્યા અને તેનાથી શિક્ષિત યુવાનો પણ ખેતી કરવા તરફ આકર્ષાયા. આવું બન્યું તેનું અગત્યનું કારણ શેખ સિરાજની પ્રસ્તુતી હતી, બાકી તો કૃષિ આધારિત અનેક કાર્યક્રમો આપણે ત્યાં પણ આવતા રહ્યા છે. પરંતુ તેમાં સંવાદ કરીને, નિષ્ણાતોની મુલાકાત લઈને, પ્રશ્નોના વાજબી ઉત્તર વાળીને શેખ સિરાજ લોકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત કરતા ગયા. પછીથી તેઓ અન્ય એક ખાનગી ચેનલ સાથે સંકળાયા અને ત્યારથી તેઓ ‘હૃદોયે માટી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમે પણ અગાઉના કાર્યક્રમ જેવી લોકચાહના મળી છે.

હાલમાં શેખ સિરાજની પ્રોફાઈલ ‘બી.બી.સી. હિંદી’ શબ્દોમાં મૂકી આપી છે અને તેમાં બાંગ્લાદેશના કૃષિવિકાસ અને શેખ સિરાજની અનુભવની વાત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં કૃષિને આધુનિક બનાવવાનો પ્રયાસ તેના જન્મ પહેલાં 1960ના અરસામાં કુમિલ્લા ગ્રામિણ વિકાસ અકાદમી દ્વારા કરવામાં આવ્યો હતો. તેના સંસ્થાપક અખ્તર હામિદ ખાન નામના વ્યક્તિ હતા. તેમણે જાપાનથી શ્રેષ્ઠ બિયારણ લાવી ખેતી કરવાની પહેલ કરી હતી. જો કે આ બિયારણમાં વખતે સિંચાઈની વ્યવસ્થા જરૂરી હતી તેથી ટ્યૂબવેલ નાખવાની શરૂઆત થઈ. શેખ સિરાજ કૃષિની આ પહેલ વિશે જણાવતાં કહે છે કે ગામડાંમાં જ્યારે ટ્યૂબવેલ નાંખવામાં આવ્યા ત્યારે લોકો ભયના માર્યે તે જગ્યાએથી ભાગી ગયા. તેમનું માનવું હતું કે જમીનમાંથી પાણી કાઢવાનું અલ્લાહના નિયમોથી વિરુદ્ધ છે. ખેડૂતોના આવા વલણથી સમજી શકાય કે આરંભના સમયે ચિત્ર કેવું હશે.

આજે એવું નથી. કૃષિ માટે સમય બદલાઈ ચૂક્યો છે અને બાંગ્લાદેશી ખેડૂત નવીન ટેક્નોલોજીને આવકારી રહ્યા છે, સાથે-સાથે તેવો આવકાર શેખ સિરાજને પણ મળે છે. બાકી જ્યારે તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રિય ટેલિવિઝન પર કૃષિ કાર્યક્રમ શરૂ કર્યો અને તેમને મોટા કેમેરા સાથે ગ્રામિણ વિસ્તારમાં જવાનું થતું, ત્યારે ગામડાંના લોકો કેમેરાને જોઈને ડરી જતાં. તેમને લાગતું કે આ તોપ છે. માઇક્રોફોનને તેઓ બંદૂકની નળી સમજતા હતા. તે સમયે સામાજિક રીતે ગામડાઓ પછાત હતા અને ગામડાંના લોકો એટલાં શરમાતા હતા કે કેમેરા સામે તેઓ આવતાં જ નહોતાં.

વિજ્ઞાન-ટેક્નોલોજીને આ રીતે જ્યારે પણ કોઈ નવા સમૂહમાં લઈ જવામાં આવે ત્યારે તે તરફ લોકો આવી જ પ્રતિક્રિયા દર્શાવે છે. આ સ્થિતિમાં નિષ્ફળતા સ્વીકારીને ત્યાંથી નિકળી જવાનો માર્ગ સરળ હોય છે પણ જેઓ આ પડકારને ઝીલીને ત્યાં ટકે છે તેઓ કશું નવતર કરી જાણે છે. શેખ સિરાજ આ સ્થિતિમાં ટકી રહ્યા. ટકવાનું કારણ પણ બાંગ્લાદેશમાં આવેલાં કૃષિક્ષેત્રનાં ઝડપી પરિવર્તન હતાં. આ પરિવર્તનોમાં મુખ્યત્વે વિજ્ઞાનીઓએ એક પછી એક ચોખાની નવી શ્રેષ્ઠ ઉપજ આપનારા બિયારણની શોધ કરી. ઉપરાંત કૃષિમાં નવી રીતભાત આવી અને આ બદલાવને પરિચય કરાવવાનો પ્રયાસ સરકાર તરફથી થયો. કૃષિમાં આ બધું થઈ રહ્યું હતું તેમાં શેખ સિરાજની ભૂમિકા પણ અગત્યની બની. કારણ તે સમયે યુવાન શેખ સિરાજ બાંગ્લાદેશની રાષ્ટ્રિય ચેનલમાં નવાસવા જોડાઈને કૃષિ ક્ષેત્રમાં રસ લઈ રહ્યા હતા.

શેખ સિરાજનો પ્રથમ કાર્યક્રમ તો આજે ભૂલાઈ ચૂક્યો છે તેનું નામ હતું ‘આમાર દેશ’. આ કાર્યક્રમ પચાસ મિનિટનો પાક્ષિક કાર્યક્રમ હતો. ત્યાર પછી તેમણે કાર્યક્રમનું નામ બદલીને ‘માટી ઓ માનુષ’ કર્યું. શેખ સિરાજ કહે છે કે તેમને લાગ્યું કે બાંગ્લાદેશના લોકોને મનોરંજક કાર્યક્રમના બદલે શિક્ષણ આપનારા અને ખેતીલાયક પ્રેરક કાર્યક્રમોની વધુ આવશ્યકતા છે. ખેડૂતોને નવા બિયારણ, નવી ટેક્નોલોજી, નવું કૌશલ્ય જો યોગ્ય રીતે સમજાવી શકાય તો કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવી શકાય. શેખ શરૂઆતમાં પોતાના દેશના લોકોની જરૂરિયાત સમજ્યા અને તેના અનુરૂપ કાર્યક્રમો નિર્માણ કર્યા. આશ્ચર્ય થાય એવી બાબત એ છે કે શેખ સિરાજની આ નાનકડી સફર આજે બાંગ્લાદેશમાં ખૂણખૂણે કૃષિ જાણકારી પહોંચાડવાનો એક માત્ર વિકલ્પ બની ચૂક્યો છે. અને તેની સાબિતી તો શેખ સિરાજને કાર્યક્રમના આરંભના સમય દરમિયાન જ મળી ચૂકી હતી. 1980ના દાયકામાં જ્યારે હજુ ટેલિવિઝન દરેક ઘરમાં પહોંચવાની વાર હતી ત્યારે લોકો દર શનિવારે સાંજે ગામડાંના બજારમાં અને સામુદાયિક કેન્દ્રોમાં ‘માટી ઓ માનુષ’ કાર્યક્રમ જોવા એકઠા થતા.

શેખ સિરાજ છેલ્લા ચાર દાયકાથી આ કાર્ય કરે છે અને તેથી તેઓ બાંગ્લાદેશના ખેડૂતોને સારી રીતે સમજી ચૂક્યા છે અને તે અનુભવને બયાન કરતાં કહે છે : “આજનો ખેડૂત અને ત્રીસ વર્ષ પહેલાં ખેડૂતમાં જમીન-આસમાનનું અંતર છે. તે વખતે જ્યારે કૃષિ પ્રચાર અધિકારી કામ કરતા હતા અથવા તો ટેલિવિઝન પર પ્રસ્તુતકર્તા જે કંઈ કહેતા, ખેડૂતો તેને આસાનીથી માનતા નહોતા. તેઓ વિચારતા કે અમે કૃષિ વિશે જે કંઈ માહિતી આપી રહ્યા છે, તેનાથી પાક સારો ન આવે તો? તેઓ સરળતાથી આ માહિતીથી પ્રેરિત નહોતા થતાં, તેઓ નવી ટેકનિક પણ સ્વીકારતા નહોતા.” આ વિશે એક ઉદાહરણ આપતાં તેઓ કહે છે : “જ્યારે હું એંસીના દાયકામાં વધુ ઉપજ આપનારા અનાજ વિશે જણાવતો તો ખેડૂતો એવું કહેતા કે અમે આ રબર જેવાં ચોખાને ખાઈશું નહીં. ત્યારે જે શોધ થઈ હતી તે પ્રમાણે એટલાં સારા ચોખા નહોતા. પકવેલા ચોખા રબર જેવા લાગતા અને તે ચોખા જો થાળીમાં ઉપરથી નાંખવામાં આવે તો તે રબરની જેમ નીચે પડતા હતા.” આ સ્થિતિમાં માર્ગ એક જ હતો કે વધુ ને વધુ નિષ્ણાતોને અને અનુભવને ખેડૂતો સામે લાવવો. શેખ સિરાજે તે કરે રાખ્યું અને આમ ધીરે ધીરે તેમની શાખ બનતી ગઈ.

બાંગ્લાદેશ વિવિધતાભર્યો દેશ છે. શેખ સિરાજનો કાર્યક્રમ જ્યારે વધુ લોકચાહના મેળવતો ગયો ત્યારે તેમણે કાર્યક્રમના કેટલાક માપદંડ નક્કી કર્યા. તેમાં સૌ પ્રથમ મુદ્દો ભાષાનો આવ્યો. શેખ સિરાજ કહે છે કે,  જ્યાં ગામડાંમાં શેખ સિરાજના કાર્યક્રમ જોવાતા ત્યાં બધે તેમની ભાષા સમજી શકતા નહોતા. અને ઘણી વાર ખેડૂતો કાર્યક્રમોમાં આવે તો તેઓ યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકતા નહોતા. આ માટે તેમણે ભાષા નિર્ધારિત કરી જેથી ખેડૂતો તેમની વાત સરળતાથી સમજી શકે. શેખ સિરાજે તેમની મૂળ ભાષામાં બદલાવ કર્યો અને લોકો સાથે તેમની જ બોલીમાં વાતચીત કરવાની શરૂ કરી.

અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદકમાં બાંગ્લાદેશ આજે સ્વનિર્ભર બની ચૂક્યું છે. હવે અનેક પ્રકારના પાક બાંગ્લાદેશમાં થઈ રહ્યા છે. મત્સ્ય પાલન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. બાંગ્લાદેશ હવે આ મામલે વિશ્વમાં ચોથા ક્રમાંકે છે. ગામેગામે ગાયોના ફાર્મ છે. પોલ્ટ્રી ફાર્મ છે. બાંગ્લાદેશનું કૃષિ ચિત્ર જોઈએ તો આ મહાન ક્રાંતિ છે અને તે ક્રાંતિને સૌ સુધી પહોંચાડનારા શેખ સિરાજ અને તેમની ટીમ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|16 January 2022

: ૯ : વ્યાખ્યાનકલા બાબતે કેટલીક ટિપ્સ

= = અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરેનેટ-યુગમાં છીએ. વિદ્યાર્થીને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઈ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો. = =

૧ :

ઉચિત સ્થાને ઉચિત આસને અધ્યાપક અને વિદ્યાર્થીઓ હોય એ પછીની જરૂરિયાત એ છે કે અધ્યાપકે સૅટ થવું. કેટલાક એવા કે એકદમ જ ચાલુ થઈ જાય. ભલા માણસ, તારી પાસે જો પૂરતું જ્ઞાન છે તો એને બીજે રવાના કરી દેવાની ઉતાવળ શું કામ?

૨ :

વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં અધ્યાપકે ઘડીભર શાન્ત થઈ જવું, પ્ર-શાન્ત, coool … મન બુદ્ધિ હૃદયને એક અનુભવવાં. અમુક વિદ્વાનો આંખો મીંચીને મન્ત્રોચ્ચાર કરે છે તે એવી જ શાન્ત-તા માટે. સૌને પ્રસન્નતાથી જોવાં.

૩ :

કવિ વાર્તાકાર ગાયક કે કોઇ પણ કલાકારે તેમ જ વ્યાખ્યાતાએ હમેશાં યાદ રાખવું કે પોતે આનન્દનો સર્જક છે. મૉં પર સ્મિત હોવું જોઇએ. અમારાં બધાંનાં માનીતાં અને લોકલાડીલાં ગાયક ભારતી વ્યાસનો કણ્ઠ તો અનોખો છે જ પણ એમનું ગાયન મને વધારે તો એ કારણે ગમે છે કે તેઓ હમેશાં સ્મિતવદને ગાય છે.

૪ :

અધ્યાપકનું સોગિયું મૉઢું ન ચાલે. સાહિત્યનું જ્ઞાન મૉજથી પ્રગટવું જોઈએ. વિદ્વાન સાહિત્યકારોની વાત જુદી છે. એમના દાખલામાં ગામ્ભીર્ય રસાયન છે. એમનાંમાં, એઓ ગમ્ભીર થાય પછી જ વિચારો દ્રવે.

૫ :

સૌને સમ્બોધન કરવું. હા, વિદ્યાર્થીઓને પણ. કેમ છો બધાં – કરીને શરૂ થવું. હું એક મોટા સાહિત્યકારને જાણું છું – મોટાઇ એવી કે કદી કોઈને સમ્બોધન જ ન કરે ! હવે સુધર્યા છે.

૬ :

અધ્યાપકે કોઇ વિદ્યાર્થીની કદી મશ્કરી ન કરવી. વર્ગમાં ધાક બેસાડવા એકાદ-બેને કારણ વગર ધમકાવી કાઢવા કે ઉતારી પાડવા, ઠીક નથી. સાહિત્યકાર, અધ્યાપક કે કોઇ પણ વક્તા આવુંતેવું કરે એટલે તોછડો લાગવાનો. સભાથી હાથે કરીને છેટો પડી જવાનો. વિદ્યાર્થીઓ કે સભાજનો બોલે નહીં, પણ મનમાં જરૂર બબડે કે – પોતાને આ શું સમજતો હશે !

૭ :

ભારતીય પરમ્પરા પ્રમાણે વ્યાખ્યાન પલાંઠીએ બેસીને કે પદ્માસન લગાવીને કરાય. ટેબલ-ખુરશી હોય તો પણ વ્યાખ્યાન ખુરશીમાં બેસીને કરી જ શકાય છે. તક હોય તો હું તો ખુરશી-ટેબલ છાંડીને વ્યાખ્યાન પલાંઠી વાળીને કરું છું. મૅકોલેના જમાનાથી શરૂ થયેલી સિસ્ટમે શીખવ્યું કે લૅક્ચરરે ઊભા ઊભા બોલવાનું હોય, તો જ પ્રભાવ પડે. રાજકારણીએ એમ કરવું જરૂરી છે કેમ કે ત્યાં ‘વ્યાખ્યાન’ નથી હોતું, તત્કાળ અસર કરે એવું ‘ભાષણ’ હોય છે.

૮ :

બન્યું છે એવું કે આપણે આસન-માંથી ઊભાં-ઊભાં અને ઊભાં-ઊંભાં-માંથી હરતાં-ફરતાં વ્યાખ્યાનો કરવાની નવતર રીતો નીપજાવી લીધી છે. સ્ટેજ ઊંચું હોય ને વક્તાશ્રી પણ ઊંચા હોય તો સભાએ ડોકાં ઊંચાં રાખવાં પડે છે. બધાં ‘જ્ઞાનાય (!) ઉત્કણ્ઠ’ દીસે ! આ છેડેથી પેલે છેડે લટારતા લટારતા બોલતા અધ્યાપક સામે વિદ્યાર્થીનાં ડોકાં ઘડિયાળના લોલક જેમ આમથી તેમ ફરતાં થઈ જાય છે. વર્ગ ‘સક્રિય’ લાગે !

૯ :

લૅક્ચર-મૅથડની જોડે, આપણે ત્યાં પોડિયમ આવ્યું. પોડિયમને હું વ્યાસપીઠ ન ગણું. દીવાલ ગણું – ઠૉડું ! પ્રાચીન ઍમ્ફિ-થીએટરમાં સંગીતના કન્ડક્ટર માટે એક નાની દીવાલ હોય – ટેકો; એને પોડિયમ કહેતા.

પોડિયમની વક્તાને સગવડ એ કે એના ધ્રૂજતા પગની સભાને ખબર ન પડે. સભાને અગવડ એ કે વક્તા પાસે કાગળિયાં કેટલાં છે એ દેખાય નહીં. રાહ કેટલી જોવી પડશે એનો અંદાજ ન આવે.

કેટલીક જગ્યાએ પોડિયમ અક્કલ વગરનાં એવાં કે સભાજનોને વ્યાખ્યાતાનું માત્ર મસ્તક દેખાય. સભાને થાય, કશા દેખીતા વાંક વગર બાપડાને અનાજ ભરવાની કોઠીમાં ખડો કીધો છે.

બૅકેટના ‘એન્ડ ગેમ’ નાટકમાં પાત્રોને એવી કોઠીઓમાં, urns-માં, રાખ્યાં છે, પણ એ તો, જીવનનાં મહા રહસ્યોનાં સંકેત રૂપે ! આમાં તો આયોજન, વ્યાખ્યાતાને હાથપગ સમેત ગળી ગયું લાગે છે.

પોડિયમ, પૂરતાં નીચાં હોવાં જોઇએ જેથી વ્યાખ્યાતા બન્ને હાથના સહજ સેલારા મારી શકે. ત્યાં ફ્લૅક્સિબલ માઇક, ફોકસ લાઇટ, પાણી-ભરેલો પણ ઢાંકેલો ગ્લાસ, બુક્સ અને પેપર્સ રાખી શકાય એવી ખાસ્સી બધી મૉકળાશ હોવી જોઇએ. ટૂંકમાં, આશય એ છે કે કોઇ પણ વક્તા સભાને એની તમામ બૉડિ-લૅન્ગ્વેજ સાથે દેખાવો જોઇએ. વક્તાએ પણ એ લૅન્ગ્વેજનો જરૂરી વિનિયોગ કરવાનો હોય છે.

Pic Courtesy : iStock

કેટલીક હમેશાં યાદ રાખવા જેવી ટિપ્સ :

૧૦ :

માઇક અને મૉં વચ્ચે એકાદ વૅંતનું અન્તર રાખવું – ન ઓછું, ન વત્તું. કેટલા ય વક્તાઓ ગૅલમાં આવી જઈને માઇકથી મૉં ફેરવી લે છે. બોલ્યે રાખે. માઇક નિર્જીવ છે. એની જોડેની દૃષ્ટોદૃષ્ટ, માણસે ટકાવી રાખવી જોઇશે. એ તમારો વ્યાખ્યાન-સાથી છે. સારા વક્તાને માઇક ને મસ્તકનો વિ-યોગ નથી પાલવતો.

૧૧ :

અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરનેટ-યુગમાં છીએ. સામે બેઠેલા વિદ્યાર્થીને જીવન્ત વ્યક્તિ સમજીને એને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઇ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો.

૧૨ :

કચવાઇને વેઠ વાળવા વ્યાખ્યાન કદ્દી ન કરવું. હમેશાં જીવ રેડીને વાત કરવી. મેં એકપણ વાર દિલચોરીથી નથી ભણાવ્યું.

૧૩ :

નોટ્સ રાખવી – પાનાં નમ્બર નાખેલી – પણ એમાં ને એમાં જોયા કરવું પડે તો તમને તો ઠીક પણ વર્ગને ત્રાસ થશે. જો કે હાથ નવરા રાખી મનફાવે બોલવું દુ:સાહસ ઠરશે. નોટ્સ હોય કે ન હોય, વક્તવ્ય આત્મસાત્ થયેલું હોવું જોઇએ.

૧૪ :

ખોટો શબ્દ વપરાઇ ગયો હોય, તો ‘સૉરિ’ કહી ખરો આપો.

૧૫ :

જરૂરી માહિતી ભરપૂર આપો. મસ્તકવગી ન હોય તો કહો કે – કાલે કહીશ.

૧૬ :

તબિયત સારી હોય છતાં, રજા ન લેવી; સ્વાધ્યાય માટે જરૂર લેવી. ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા લખવા યુનિવર્સિટીને મેં એ કારણ દર્શાવીને સી.ઍલ. રજાઓ માગેલી. રજિસ્ટ્રાર હસી પડેલા.

૧૭ :

ઠોઠ કે જડસુ વિદ્યાર્થીને ન-ગણ્ય ગણી કાઢવો ઠીક નથી. અધ્યાપક તો હમેશાં માતાની જેમ વિદ્યાર્થીને સમજાવે – પર્સ્યુસન, અનુનય.

૧૮ :

જો કે જોક્સ વગેરેથી વિદ્યાર્થીની ખુશામત પણ ન કરવી. વર્ગમાં ગામ્ભીર્યનું વહન હળવાશથી કરવું. વાતાવરણ હઁસી-મજાકભર્યું જોઈએ. મને યાદ છે, મારા વર્ગમાં એકાદ વાર તો હાસ્યનું મોજું ફરી વળતું.

૧૯ :

શિસ્તનો આગ્રહ રાખવો એમ કહેવા કરતાં હું એમ કહું કે અ-શિસ્તને ખમી ખાનારો અધ્યાપક વ્યર્થ સહિષ્ણુ છે. વાતો ન જ કરવા દેવાય. બગાસાં ન જ ચાલે.

૨૦ :

વર્ગમાં શારીરિક અને માનસિક એમ બે જાતના ગેરહાજરો હોય છે. શરીરથી ગેરહાજરને વીસરી જવા. મગજથી ગેરહાજરને જગાડવા. કોઈ બાળા ઊંઘી જાય તો વ્યાખ્યાનને પરમ સફળ ગણવું. જાગતાંઓને કહેવું કે જુઓ ને, ઊંઘ બાપડી કેવી નિર્દોષ પ્રવૃત્તિ છે …

૨૧ :

કેટલાક સાહિત્યકારો ઑડિયન્સને પટાવતા હોય છે – મારી પાસે કહેવાનું તો ઘણું છે પણ સમયનું બન્ધન છે, ત્રણ વક્તાઓ બાકી છે, હું સભાને સમયદાન કરું છું, એમ કહીને એ 'વિવેકી મહાપુરુષ' બેસી જાય છે ! આ છેતરામણ જાત-છેતરામણ પણ છે — આત્મપ્રતારણા. એવી ટેવ પોતાને ન પડે એ માટે અધ્યાપકે સાવધ રહેવું.

૨૨ :

વ્યાખ્યાનને પતાવવાની લ્હાય ન રાખવી. સાવધ બેફિકરાઇ રાખવી કે રહી જશે તો ભલે રહી જશે, કાલે વાત!

૨૩ :

આપણે ત્યાં સાહિત્યકાર-વક્તાઓને અધ્યાપકો રોલ-મૉડેલ ગણતા હોય છે. સારી વાત, પણ એમાં સિલૅક્ટિવ રહેવું.

સ્વીકારો કે સામ્પ્રતમાં મોટા ભાગનાં મૉડેલો રોલિન્ગ છે – ગગડતાં, ગબડતાં, આઇ મીન, અનનુસરણીય છે.

= = =

(January 16, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6681,6691,6701,671...1,6801,6901,700...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved