Opinion Magazine
Number of visits: 9570623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પન્નાને જન્મદિને

નટવર ગાંધી|Poetry|29 December 2021

રોજની પેઠે અમે સવારની ચા માણતાં બેઠાં હતાં. ઠૂઠાં પણ નયનરમ્ય ઝાડવાની વચ્ચેથી ચળાઈને આવતું અરુણું પરભાત અમને કોઠે શાતા પૂરતું હતું. અને તેવાકમાં જ મારી ચાનો બીજો પ્યાલો હોઠે માંડું ને આ સોનેટ તરવરવા લાગ્યું ! લ્યો, મારી એ આનંદની લહેરને તમ લગી વિસ્તારવાનું આ મન કર્યું. 

[It was our usual morning with tea and watching the અરુણું પરભાત behind the barren but beautiful trees. And there, surfaces the above sonnet under my second cup of tea! I would like to share the joy it brought me.]

પન્નાને જન્મદિને 

(12/28/2021)

*શિખરિણી*

સવારે છાપામાં જરૂર નીરખું કોણ ગુજર્યું, 

ગયા મિત્રો જૂના, નવીન વળી કૈં નાની વયના,

વળાવ્યાં કૈં વ્હાલાં, દૂર નજીકના વૃદ્વ વડીલો 

હવે મારો વારો અચૂક બસ એવી ગણતરી, 

કરી તૈયારી સૌ, ચૂકવી દઈ સૌ દેણુ હતું તો,

વળી માગી માફી કરજ હજી કૈં બાકી રહ્યું તે

હતું બાંધ્યું બીસ્ત્રે ફગવી બધું, કીધી અલવિદા,   

પછી હું બેઠો’તો ભજન ભજતો, દિન ગણતો.

 

અને  ત્યાં તું આવી કમલનયના, કામ્ય, રમણી 

કહ્યું: આ શું માંડ્યું? જીવન જીવવું બાકી ઘણું છે,

રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, નયને સૃષ્ટિ સઘળી,

નથી માણી તેને તન મન થકી એક થઈને 

જીવીશું, માણીશું, જીવન જીવશું સાથ જ વળી −

ઊઠો, દીધું એવું વચન કરવું સાર્થ હજી છે. 

Loading

ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 December 2021

અમેરિકાના બોસ્ટનમાં વસતા એક ગુજરાતી વડીલજન ભારે હરખથી ત્યાંના એડલ્ટ ડે કેર સેન્ટર વિશે વાત કરતા હતા. પાંસઠ વરસથી વધુ વયના, સંભાળની જરૂર હોય અને દિવસ દરમિયાન ઘરે એકલા હોય તેવા વૃદ્ધોને સરકાર સહાયિત વૃદ્ધજન કેન્દ્રોની આઠેક કલાક સેવાશુશ્રૂષા મળે છે. રોજ સવારે સાડા સાતે તેમને ઘરેથી વાહનમાં લઈ જવામાં આવે છે. ચા-નાસ્તો, બપોરનું ખાણું, હળવી કસરત, પ્રાર્થના, આનંદ અને આરામની સગવડ, આરોગ્યની તપાસ સાથે તેમની સતત દેખરેખ રખાય છે. મોડી બપોરે તેમને કાળજીપૂર્વક ઘરે પણ મૂકી જાય છે. રોજના વ્યક્તિદીઠ આશરે સિત્તેર ડોલરના સરકાર સહાયિત આ એડલ્ટ ડે કેર સેન્ટરનો જેમને લાભ મળ્યો છે તે વડીલમિત્રને આ સુવિધા પંચતારક હોટલ કે સ્વર્ગ જેવી લાગે છે. મૂડીવાદી અમેરિકાના કેટલાક રાજ્યોમાં વૃદ્ધોની સંભાળ માટેના આ સરકારી પ્રયત્નોની કલ્યાણ રાજ્ય અને સામાજિક સુરક્ષાના બણગા ફૂંકતા લોકશાહી ભારતમાં કલ્પના પણ થઈ શકે તેમ નથી.

દુનિયાભરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. વલ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ મુજબ વિશ્વમાં ૨૦૧૯માં દર અગિયાર વ્યક્તિએ એક વ્યક્તિ પાંસઠ વર્ષથી વધુ વયની હતી. ૨૦૫૦માં તે વધીને દર છ વ્યક્તિએ એક હશે. ભારતમાં ૧૯૯૧માં ૫.૫૦ કરોડ, ૨૦૦૧માં ૭.૬૦ કરોડ, ૨૦૧૧માં ૧૦.૩૪ કરોડ વૃદ્ધો હતા. ૨૦૨૧માં ૧૩.૮૦ કરોડ છે. એ રીતે જોતાં ભારતમાં આજે દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે. ભારતીયોની સરેરાશ ઉમર ૨૭.૧ વરસ છે. એટલે તે ડોમોગ્રાફિક ડિવિડન્ડ ધરાવતો યુવા દેશ છે પરંતુ ૨૦૨૬માં વૃદ્ધોની વસતી વધીને ૧૭.૩ કરોડ અને ૨૦૫૦માં આશરે ૩૫ કરોડ થશે !

વાર્ધક્ય માનવજીવનનો અનિવાર્ય હિસ્સો છે. ઢળતી ઉમરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ નોકરી-ધંધો કે દાણાપાણી મેળવવાની જંજાળમાંથી માણસને મુક્ત થવું પડે છે. જો કે સમાજ વૃદ્ધોને ખોટા સિક્કા કે બિનઉપયોગી પણ ગણે છે. આખી જિંદગી વૈતરું કરનાર જ્યારે પાછલી અવસ્થામાં કોઈ ઉત્પાદક યોગદાન આપી ન શકે, આર્થિક રીતે પરાધીન હોય, શરીર નબળું પડ્યું હોય અને સંતાનો મોં ફેરવી લે ત્યારે તે ભારે લાચારી અનુભવે છે.

લોકોનું સરેરાશ આયુષ્ય કે જીવનદર વધ્યો છે. અને જન્મદર ઘટ્યો છે તેથી વૃદ્ધોની સંખ્યા વધી છે. લંબાયેલું જીવન જો સ્વસ્થ ન હોય (અને નથી જ હોતું) તો તે બોજારૂપ બની રહે છે. વૈશ્વિક આવરદા ૭૩.૩ વરસની પણ સ્વસ્થ જીવનના વરસો તો ૬૩.૭ જ છે. ભારતમાં સરેરાશ આયુષ્ય ૭૦.૮ વરસ છે પણ સ્વસ્થ જીવનના વરસો ૬૦.૩ એટલે કે સરેરાશ આયુષ્ય કરતાં દસ વર્ષ ઓછાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો વૃદ્ધોના આરોગ્ય અને આર્થિક-સામાજિક સ્થિતિનો અભ્યાસ જણાવે છે કે દેશનો દર ચોથો વૃદ્ધ એકાધિક બીમારીઓથી ગ્રસ્ત છે. દર પાંચમો વૃદ્ધ સ્મૃતિભ્રંશ અને તણાવ જેવી માનસિક બીમારીઓથી પીડાય છે. ચોથાભાગના વડીલો રોજિંદા કામો માટે બીજા પર આધારિત છે. દર ત્રીજો વૃદ્ધ હ્રદયસંબંધી બીમારીનો શિકાર છે. શહેરોમાં ૫૫ ટકા અને ગામડાઓમાં ૨૫ ટકા વૃદ્ધ લાંબા સમયથી બીમાર છે. શહેરોમાં ૩૩ ટકા અને ગામડાઓમાં ૨૮ ટકા ઘૂંટણની સમસ્યાથી પીડાય છે. ૬૦થી વધુ વયના જયેષ્ઠ નાગરિકોમાં ૭૫ ટકા ગામડાઓમાં વસે છે અને તે પૈકી ૬૪.૮ ટકા ખેતીના કામો સાથે સંકળાયેલા છે. ૭૮ ટકા વૃદ્ધોને કોઈ પેન્શન મળતું નથી. ૩૩ ટકા ગરીબીની રેખા નીચે અને ૬૬ ટકા નિમ્ન મધ્યમ વર્ગનું જીવન બસર કરે છે. આ આંકડાઓ વૃદ્ધોની દારુણ સ્થિતિ દર્શાવે છે.

કમજોર શારીરિક સ્થિતિ સાથે વૃદ્ધોને એકલતા, ઉપેક્ષા, ઉપરાંત પ્રેમ, લાગણી અને હૂંફના અભાવની સમસ્યા સવિશેષ પરેશાન કરે છે. સંતાનો જીવનની જદ્દોજહદમાં વ્યસ્ત હોય છે કાં રોજી-રોટી માટે શહેરોમાં સ્થળાંતર કરી ગયા હોય છે. એટલે તેમને એકાકી જીવન જીવવું પડે છે. દેશની કુલ વૃદ્ધવસ્તીના ૨.૨ ટકા કે ૧૦ ટકા વૃદ્ધદંપતી સંતાનો વિના એકલવાયું જીવન જીવે છે. હજુ આપણી સમાજ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબ કે સામુદાયિક જીવન ટક્યાં છે એટલે ૮૭.૮ ટકા વૃદ્ધો કુંટુબ સાથે જ રહે છે. સંયુક્ત પરિવારોમાં વૃદ્ધોની દેખભાળ વધુ સારી રીતે થાય છે અને સ્થિતિ સહ્ય હોય છે. કદાચ માબાપે આખી જિંદગી સંતાનોના સુખ માટે હોમી દીધી હોવાનો લોકોને ખ્યાલ હોય છે એટલે લોક લાજનું તત્ત્વ પણ વૃદ્ધોની દેખભાળમાં જોઈ શકાય.

બુઝુર્ગોની ઉપેક્ષા, અવહેલના કે યોગ્ય દેખભાળના અભાવનાં ઘણાં કારણો છે. બદલાતાં જીવન મૂલ્યો, વિભક્ત કુટુંબોમાં વૃદ્ધિ, સંસાધનોનો અભાવ, બેરોજગારી-મોંઘવારી જેવી આર્થિક વિટંબણાઓ, સ્પર્ધાનો યુગ અને સમયનો અભાવ, કઠિન બનતું જીવન આ બધાને પરિણામે સંતાનો અને કુટુંબ વૃદ્ધજનો પ્રત્યે મજબૂરીવશ કઠોર બને છે. બે પેઢી વચ્ચેનું અંતર પણ આ સમસ્યાને વકરાવે છે. ‘આ ધોળા વાળ તમને મોટા કરવામાં થઈ ગયા છે’, તેવી વૃદ્ધોની દલીલ અને સ્વતંત્ર મિજાજી નવી પેઢી વચ્ચે ટકરામણ ન થાય તો જ નવાઈ લાગે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને છૂટાછેડાનું એક મુખ્ય કારણ વૃદ્ધ માબાપની જવાબદારી હોવાનું ઘણા કિસ્સામાં જોવા મળે છે.

એ સાચું કે નોકરિયાત દંપતીના નાનાં બાળકો વૃદ્ધ માબાપ પાસે આસાનીથી ઉછરે છે. આવા સંતાનો વધુ સુરક્ષિત છે અને તેમનો વિકાસ પણ સારો થાય છે. પરંતુ કુટુંબ વ્યવસ્થામાં બદલાવથી  નોકરિયાત પતિપત્ની માટે સંતાનોની દેખભાળ અને માબાપની જવાબદારીની પસંદગી કરવાની આવે છે ત્યારે તેઓ નાનાં બાળકોના ઉછેરના વિકલ્પે માબાપની જવાબદારી સ્વીકારતાં નથી. નફાકેન્દ્રી સામાજિક – આર્થિક વ્યવસ્થામાં કુટુંબ કે સામૂહિક જીવનનું સ્થાન ઘટ્યું છે. માણસ વધુ સ્વાર્થી અને એકલપેટો બન્યો છે. તેથી પણ વૃદ્ધોની દેખભાળની સમસ્યા વકરી છે.

વડીલ માવતરના હિતોની રખેવાળી અને બહેતર સંભાળ માટે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિક ભરણપોષણ કાયદો, ૨૦૦૭  ઘડ્યો છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન, રાષ્ટ્રીય વયોશ્રી, પ્રધાન મંત્રી વયવંદના અને વયોશ્રેષ્ઠ સન્માન જેવી સરકારી યોજનાઓથી થોડા નિરાધાર વૃદ્ધોને પાંચસો કે હજાર રૂપિયા જેવી સામાન્ય રકમના પેન્શનનું બટકું સરકાર નાંખે છે. આ વરસના બજેટમાં સિલ્વર ઈકોનોમીની જોગવાઈ કરી છે. આર્થિક સમૃદ્ધ વૃદ્ધોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે મુજબના ઉત્પાદનો, ઘેરબેઠા વિતરણ અને ઉપયોગની આ સિલ્વર ઈકોનોમી વૃદ્ધોના કલ્યાણને નહીં બજારને તાકે છે. ભરણપોષણનો કાયદો સંતાનોને જવાબદાર ઠેરવવાની ચાબુક છે. પરંતુ અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં છે તેવી કોઈ વ્યવસ્થા સરકારને કરવી નથી. ૨૦૦૭ના કાયદામાં વૃદ્ધાશ્રમોની સ્થાપના, આરોગ્ય સુવિધાઓ અને વૃદ્ધોનાં જીવન અને સંપત્તિની સુરક્ષાની જોગવાઈ છે પણ કાયદાને ભરણપોષણ પૂરતો અમલી બનાવી અન્ય બાબતો ભૂલવાડી દેવાય છે. સરકાર પાસે વધુ કલ્યાણકારી નક્કર પગલાંની અપેક્ષા રહે છે.

કોરોના મહામારીના કાળમાં વૃદ્ધો સાથેનાં વર્તન સંબંધી સર્વેક્ષણના તારણો ચિંતાજનક છે. તાળાબંધી અને મહામારી દરમિયાન ૭૩ ટકા વૃદ્ધો દુર્વ્યવહારનો ભોગ બન્યા હતા. ૩૫ ટકાને ઘરેલુ હિંસા સહેવી પડી હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહિલાઓ વધુ ભોગ બની હતી. વૃદ્ધ મહિલાઓ જીવનભર ઘર, કુટુંબ, સંતાન માટે ઢસરડા કરતી હોવા છતાં જીવનના અંતિમ પડાવે શારીરિક અશકતતા અને આર્થિક પરતંત્રતા તેને વધુ ઉપેક્ષિત બનાવે છે. ૯૬ દેશોના ગ્લોબલ એજ વોચ ઈન્ડેક્સમાં ભારત ૭૧મા ક્રમે છે. એટલે વડીલોના આદરની ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારોની વાતો બહુ ટકતી નથી. આ સર્વેક્ષણમાં ૪૪ ટકા વૃદ્ધોનું જાહેર સ્થળોએ થતાં અપમાનનું તારણ દર્શાવે છે કે ‘પીંપળ પાન ખરંતા હસતી કુંપળિયા’નો જ ઘાટ છે. અને યુવાનોને ‘મુજ વીતી તુજ વીતશે’ની ખાસ ચિંતા નથી. કરુણા અને સેવાને વરેલા મનાતા ગુજરાતમાં ઘણા વૃદ્ધાશ્રમો છે.પરંતુ વૃદ્ધજનોની દેખભાળમાં તેનો ક્રમ ઘણો નીચો છે. અપેક્ષાકૃત બુઝુર્ગ વસ્તી ધરાવતા રાજ્યોમાં વડીલોની સંભાળમાં ગુજરાત છેક દસમા ક્રમે છે.

બુઝુર્ગ વ્યક્તિઓ પણ સન્માનપૂર્ણ જીવનની હકદાર છે અને સંતાનોની એ ફરજ છે એવી સામાજિક ચેતના જાગે તો કોઈને વૃદ્ધાશ્રમમાં રહેવું ન પડે અને વડીલો પણ ‘ઘડપણ કોણે મોકલ્યું’ના નિસાસા નાંખી વૃદ્ધાવસ્થાને અભિશાપ કે બોજ  ન માને.

e.mail : maheriyachandu@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|29 December 2021

મારી એક લાગણી દૃઢ થયા કરી છે કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન ખાડે ગયું છે ને એ દુખ:દ સ્થિતિ-પરિસ્થતિ સુધાર માગે છે.

'મારી વિદ્યાયાત્રા'માં એક ખણ્ડ છે : 'ક્લાસરૂમ સીક છે' : એનો એક અંશ —

: ૮ : ન પ્રમદિતવ્યમ્ :

વ્યાખ્યાન એક ઘટના છે – ધર્મકાર્ય. એનાં બે પાસાં છે : વ્યાખ્યાતા બોલે એ; અને શ્રોતા સાંભળે એ : ઍક્સ્પ્રેશન અને કમ્યુનિકેશન. અભિવ્યક્તિ અને સંક્રમણ. વ્યાખ્યાનમાં એ બન્નેનો સમ્પુટ રચાય – જેમ બે હાથ જોડીએ એટલે ‘નમસ્કાર’ રચાય છે. ક્યારેક આ છેડેથી ભાઇ બોલ્યા જ કરતા હોય પણ સામા છેડે કશું પ્હૉંચતું જ ન હોય. ઊલટું પણ બને. આ તરફથી જેવું પીરસાય કે તરત આ તરફ આરોગાય.

મારા દીકરાનો એક મિત્ર બન્ને ચૉથાપાંચમામાં હશે ત્યારની, વડોદરાની, વાત છે.  ઘણી વાર સહજપણે અમારી જોડે જમી લેતો. ત્રણ ભાખરી પછી તો પૂછવું જ પડે – આપું કે? ડોકું હલાવી એ ‘હોવ’ બોલતો ને પાંચમી ભાખરી વખતે પણ ‘હોવ’ બોલતો ! મજા આવતી. સમર્થ વ્યાખ્યાતાનું આવું થાય છે. એ જેટલું કંઈ બોલે, સામેવાળા ‘ઓઇયાં’ કરી જાય. એ થાકે નહીં, ધરાય; એમ લાયક વિદ્યાર્થી પણ થાકે નહીં, ધરાય.

સંક્રમણની વાતો ફરી ક્યારેક.

હાલ માત્ર અભિવ્યક્તિની અને તેમાં ય કેટલીક વ્યવહારુ વાતો કરું :

પહેલી વાત છે, રોજે રોજ અભિવ્યક્ત થતા રહેતા એ ભાઈ કે બહેનની વ્યાખ્યાતાને છાજે એવી રુચિકર અવસ્થા, પોઝિશન, ગ્રેસફુલ ઍટિટ્યુડ. વર્ગમાં દાખલ થતાંવેત એનો સમગ્ર દેખાવ – ઍપીયરન્સ – સુઘડ લાગવો જોઈએ. વર્ગમાં અધ્યાપક લાલઘૂમ ખમીસ-પાટલૂનમાં ને વાળની ‘સ્પાઇકી’ કે ‘મોહૉક' સ્ટાઇલમાં આવે, તો ચાલે?

વડોદરામાં અમારા પ્રૉફેસર કંટકના વર્ગમાં એક વિદ્યાર્થી નાઇટસૂટમાં આવેલો. સંસ્કારનગરીમાં નાઇટસૂટ ‘ફૅશન’રૂપે પ્રવેશેલો એ જમાનાની વાત છે – લેટ ફિફ્ટીઝ. કંટકસાહેબે એને એવા તો ગુસ્સાથી ગેટ-આઉટ કરી કાઢેલો, ન પૂછોની વાત.

અમારા એક પણ્ડિત અધ્યાપક હમેશાં ધોતી-ઝભ્ભા-બન્ડીમાં હોય, માથે સફેદ ટોપી. અગાઉના પણ્ડિતો ખેસ ધારણ કરે ને પાઘડી પણ પ્હૅરે. આજના અધ્યાપકે પણ્ડિતોના પહેરવેશને અનુસરવાની જરૂર નથી.

હવે બહેન-અધ્યાપકોની વસતી વધી છે. સમજાય એવું છે કે એમના બ્લાઉઝની નૅક કે બૅક-ની ડૅપ્થ જે હોય એ, પણ સાડીછેડો કે જો દુપટ્ટો હોય તો, યથાસ્થાને જોઈએ. આ કોઈ ડોસાછાપ દુરાગ્રહ નથી, પ્રૉફેશનલ ઍટિકેટને માટેનો – વ્યવસાયપરક શાલીનતાને માટેનો – સદાગ્રહ છે.

બીજું, મુખ સ્વચ્છ જોઈએ. એમાં પ્રમાદ ન ચાલે. કોઈ કોઈ અધ્યાપકો ટી-ટેબલ પર બાજુવાળાના કાનમાં મૉં ઘાલીને બોલતા હોય છે. બધા બોલ સ્વમુખદુર્વાસમિશ્રિત થતા હોય છે. ભાષા-ભવનના મારા એક સહકાર્યકર, મોટા વિદ્વાન, વર્ગમાં જતાં પહેલાં હમેશાં બ્રશ કરીને જતા. કહેતા : સુમનભાઇ, આ વિદ્યા-વચન-પ્રવચન માટેની શુચિતા છે : કેટલી સરસ વાત !

ત્રીજું, જૂતાં પર ધૂળ ન ચાલે, પૉલિશ ભલે ન હોય. હવે તો દોડવાના સફેદ શૂઝ પણ ચાલે છે. અધુનાતન તો કેવા – લાલ ! ભૂરા ! મોરપીંછ ! કેમ કરીને કહું કે અધ્યાપકના શૂઝ પણ ફૉર્મલ જ જોઇએ? જર્મનીમાં સંસ્કૃતના જર્મન પ્રૉફેસર વર્ગમાં સૌ પહેલાં પોતાના શૂઝ કાઢી નાખે છે ને બૉર્ડ પર ‘ઓમ્ ગુરવે નમ:’ લખ્યા પછી વ્યાખ્યાન શરૂ કરે છે. એ જાણ્યું ત્યારે સારું જ લાગેલું પણ આપણી સ્થિતિ જોડે સરખામણી થતાં દુ:ખી થઈ જવાયેલું. કપડવણજની કૉલેજમાં એક મિત્રઅધ્યાપક સ્લીપરમાં આવતા. વધેલા સૂક્કા નખ અને એમની ‘ફટી એડિયાં’ મને હજી દેખાય છે.

મને સારી પેઠે ખબર છે કે આજનો અધ્યાપક આ બધી બાબતોમાં આટલો બધો ભદ્દો તો નથી જ નથી, છતાં પ્રૉફેશનલ ઍટિકેટને કોઈ છેડો નથી.

પૂર્વજોએ સ્વાધ્યાય અને પ્રવચન બાબતે પ્રમાદ ન કરવા કહ્યું છે. મારું મન્તવ્ય છે કે એમાં આવો બધો પ્રમાદ પણ ન ચાલે – ભલે એ કાયિક, બાહ્ય અને સ્થૂળ છે. સ્વીકારો કે વ્યાખ્યાન, શિષ્ટ ઘટના છે. એમાં શુચિતા-શાલીનતા, મોટી પૂર્વશરત છે. મનની પવિત્રતા કે હૃદયની સચ્ચાઇ તો, એ પછીની વાતો છે.

વ્યાખ્યાન નામના ધર્મકાર્યનું અનુષ્ઠાન વર્ગખણ્ડ છે. આપણે ત્યાં એની કેવીક જોગવાઇ છે? કેટલીયે કૉલેજોમાં અધ્યાપકનાં ટેબલ-ખુરશી પ્લૅટફૉર્મ પર નથી હોતાં. છેલ્લી પાટલીવાળાંનાં ચ્હૅરા ન દેખાય. અધ્યાપક અને વિદ્યાર્થીના સ્થાન-ગ્રહણનો આ મુદ્દો મહત્ત્વનો છે. ગુરુ સદા ઉચ્ચાસને હોય. એ મહિમાવન્ત અર્થને ક્ષણભર જતો કરીએ, પણ વિદ્યાર્થી એટલું તો સમજી રાખે કે અધ્યાપક એનાથી એકાદ સ્તર ઊંચે હોય છે.

Picture Courtesy : Focused Collection

મેં સૂત્ર રચ્યું છે કે ‘અ ટીચર શૂડ બી હર્ડ’. એને કાન દઈને સાંભળવો ઘટે છે. અધ્યાપક વર્ગમાં પ્રવેશે ત્યારે ઊભા થઇને વિદ્યાર્થીઓ અભિવાદન કરે એવું કેટલી કૉલેજોમાં થતું હશે? ઉદાસીન થઈને અધ્યાપકોએ પણ આ આગ્રહને પડતો મેલ્યો હોય તો નવાઇ નહીં.

અમેરિકામાં વર્ગમાં કૉલેજિયનો ટાંટિયા જે તરફ જેટલા ફેલાવેલા રાખવા હોય એટલા રાખી શકે છે.

હું એક શાળામાં ગયેલો. પ્રિન્સિપાલ મને આખી શાળા બતાવતા’તા. અમે ચાલતા’તા. એક કોરિડોર આવ્યો. છોકરા-છોકરીઓ ભીંતે અઢેલીને આમતેમ સૂતેલાં પડેલાં. મારું આશ્ચર્ય શમતું ન્હૉતું. પણ ત્યાં તો એ સૌને મેં ‘હાય કાર્લ ! ગુડ મૉર્નિન્ગ !’-નો ઘોર કરતાં સાંભળ્યાં. ન શમેલું આશ્ચર્ય વધ્યું કેમ કે મૉર્નિન્ગ-વિશ એમણે પોતાના પ્રિન્સિપાલ કાર્લને કરેલી – સૂતેલાં રહીને ! કાર્લે પણ એટલી જ ઊલટથી ‘મૉર્નિન્ગ !’ કહેલું. અતિશયોક્તિ વગર કહું છું કે બાળકોની એ સહિયારી બૂમમાં મને વિનયનો આછો પણ સાચો સૂર આજે પણ સંભળાય છે.

અભિવ્યક્તિનો ચીલાચાલુ અર્થ એવો કે વ્યાખ્યાતાએ અસ્ખલિત, સડસડાટ, વ્યક્ત થવું. ન ભાષિક સ્ખલન કે ન બોલવામાં અચકાટ-ખચકાટ. જો કે કલાત્મક અભિવ્યક્તિ માટે તો ધીરજ અને સમજદારીથી ઘણું ઘણું કરવું રહે છે :

સૌ પહેલાં તો, એણે કે અન્ય વક્તાઓએ પણ હમેશાં સંક્રમણની ઇચ્છાથી અને પૂરી ગરજથી બોલવું. એવી તૉરી ન રાખવી કે સમજશે સમજવાના હશે તો !

દરેક વિષયમુદ્દાની વાત ફોડ પાડીને કરવી. મભમ નહીં ગબડાવવાનું. બોલ્યું બધું સાર્થક લાગવું જોઇએ. વિના કારણ સંસ્કૃત અવતરણો નહીં ઝુલાવવાનાં. અઘરા અંગ્રેજી શબ્દો નહીં ફટકારવાના.

કુંભારના ઘડાની જેમ દરેક મિનિટે વક્તવ્યને ઘાટ મળવો જોઇએ.

ગૂંચવાડિયા મુદ્દાઓને ચાતરી નહીં જવાના, સીધા કરી બતાવવાના. જ્ઞાનની ન દેખાતી બાબતો તરત દેખાય; છુપાયેલી વસ્તુઓ બહાર આવે; ઢંકાયેલું ખુલ્લું થાય; વગેરે બધું વર્ગમાં એક જાદુની જેમ થવું જોઇએ.

સંસ્કૃત શબ્દો વાપરીને કહું તો, અધ્યાપકે સ્ફુટ કરવું, અર્થપૂર્ણ કરવું, સ્પષ્ટ કરવું, દર્શાવવું, પ્રગટ કરવું, અનાવૃત કરવું. ખરેખર તો આ બધાં અભિવ્યક્તિનાં અંગોપાંગ છે.

સ્વની સર્જકતાને ખન્ત અને તન્તથી વળગી રહેનારા અધ્યાપક માટે આમાંનું કશું પણ અશક્ય નથી. સર્જકતા જાદુ છે. એથી વ્યાખ્યાન કે દુનિયાની હર કોઇ વસ્તુ કલાત્મક બની જાય છે.

કલાકારને આપણે ત્યાં ઐન્દ્રજાલિક – જાદુગર – કહ્યો જ છે. સુખ્યાત વ્યાખ્યાતાઓ ઐન્દ્રજાલિક હોય છે. એમના માટે કોઈ પણ વક્તવ્ય કોઈ પણ પ્રસંગે સહજ હોય છે. જુઓ ને, ચીલાચાલુ અભિવ્યક્તિનું અને આ જાતની કલાત્મક અભિવ્યક્તિનું, બન્નેનું, સંક્રમણ તો થાય જ છે. પણ પહેલી વખતે, સંક્રમણ વિદ્યાર્થીના કાને પહૉંચતાંમાં પતી જાય છે; જ્યારે બીજી વખતે, એના કાને થઇ ચિત્તમાં યોગ્ય સ્થાને ઠરી રહે છે.

= = =

(December 29, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6521,6531,6541,655...1,6601,6701,680...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved