Opinion Magazine
Number of visits: 9571315
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—131

દીપક મહેતા|Opinion - Opinion|5 February 2022

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

‘આપણ હ્યાંના પાહિલાત કા?’ આજે પણ દૂરદર્શનની સહ્યાદ્રી ચેનલ પર આવી જાહેરાતો જોવા મળે છે. ખોવાયેલી વ્યક્તિનો ફોટો અને તેને વિશેની થોડી માહિતી પણ સાથે હોય. આજે વાત કરવી છે – ના, ખોવાયેલી, ગુમશુદા વ્યક્તિઓની નહિ, પણ કેટલાક વિસરાયેલા વ્યવસાયોની.

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

આજથી ૭૫-૮૦ વરસ પહેલાં મુંબઈના મધ્યમ વર્ગની સવાર મોટે ભાગે પડતી દાતણ સાથે. હા, બાળકો માટે ઘણાં ઘરોમાં ટૂથપેસ્ટ આવી ગઈ હતી, પણ ટૂથબ્રશ નહિ. થોડી ટૂથપેસ્ટ એક આંગળીના ટેરવા પર લઈને તેને દાંત પર ઘસવાની. પણ મોટેરાં તો વાપરે દાતણ. શાક લેવા જાય ત્યારે ગૃહિણી સાથોસાથ દાતણ પણ લેતી આવે. આ દાતણ વેચનારી બાઈઓ મોટે ભાગે વાઘરી કોમની. બપોર પડ્યે દાતણનો મોટો ભારો માથે મૂકીને બજારમાં આવે. જૂની ચાદર કે સાડી પાથરી તેના પર ભારો મૂકીને ખોલે. જાડી-પાતળી, નાની-મોટી સોટીઓ અલગ કરી દરેકનો ભાવ ઠરાવે. લેવા આવનાર ઘરાક રોજના ઓળખીતા હોય તો ય ભાવ અને ‘ક્વોલિટી’ અંગે પહેલાં થોડી રકઝક થાય. ઘણાંખરાં બૈરાં ઉભડક બેસીને મોતી વીણતાં હોય તેમ દાતણ પસંદ કરે. પછી દાતણવાળી ધારદાર સૂડીથી દાતણના એકસરખી લંબાઈના ટુકડા કરી તેને કાચા દોરાથી બાંધી આપે. આખો સોદો બે-ચાર આનાનો હોય, પણ જાણે લાખ્ખો રૂપિયાનો હોય તેવી રીતે બંને પક્ષે પાર પડે.

દાતણ નહિ તો દંતમંજન

ઘરનાં જેટલાં જણ દાતણ વાપરતાં હોય તેટલા દાતણના કટકા કરીને રાત્રે સૂતાં પહેલાં વહુઆરુ તાંબાના કળશામાં પાણીમાં પલાળી દે. સવારે પહેલું કામ દાતણ કરવાનું. વહુઆરુએ તો સૌથી પહેલાં જ જાગવાનું હોય. ઘરનાં ગલઢેરાં માટે દાતણનો એક છેડો દસ્તાથી કે ચટણી વાટવાના પથ્થરથી ટીપીને નરમ કરીને મૂકે. એક પછી એક જેમ ઘરનાં માણસ ઊઠતાં જાય તેમ પહેલું કામ દાતણ કરવાનું, કોગળા કરવાનું. કોગળાનો બને એટલો મોટો અવાજ કરવાનો. દાંત સફાઈ થઈ જાય એટલે દાતણની બે ફાડ કરવાની અને એકનો ઉપયોગ ઓળિયા કે જીભિયા તરીકે કરવાનો. જો કે, આ દાતણનો રિવાજ મોટે ભાગે ગુજરાતી ઘરોમાં જ જોવા મળતો. આ લખનાર જિંદગીનાં પહેલાં ૩૨ વરસ ગિરગામમાં રહ્યો ત્યારે ત્યાં દાતણવાળી ભાગ્યે જ જોવા મળતી. મરાઠી ઘરોનો રિવાજ દંતમંજન વાપરવાનો. એ દંતમંજન ત્રણ રંગનાં : લાલ, કાળો, સફેદ, કાચની બાટલીમાં. દાતણને લગતું એક જોડકણું કાચું-પાકું યાદ છે :

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું,
લચકીલું કોઇ અંગ નથી, હું દાતણ છું.
આગળથી પકડો કે પાછળથી પકડો,
પકડવાના કોઇ ઢંગ નથી, હું દાતણ છું.  

* * *

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ.

આપણા મોટા ગજાના કવિ વિનોદ જોશીની આ પંક્તિમાં જે પીંજારો બેઠો છે, તે મુંબઈમાંથી તો લગભગ ઊઠી ગયો છે. એક જમાનામાં મોટા ભાગનાં મધ્યમ વર્ગનાં ઘરોમાં ત્રણ-ચાર વરસે પીંજારો બેસાડતા. ઘણાખરા મુસ્લિમ બિરાદરીના. પણ એ વાત કોઈને ખટકે નહિ. જેનાં કામ તે જે કરે. એ વખતે ગાદલાં, ઓશિકાં, રજાઈ, બધું કાપૂસ કહેતાં કોટનનું. વપરાઈ વપરાઈને દબાઈ જાય અને થોડી વાસ પણ આવે. એટલે નક્કી થાય ગાદલાં ‘ભરાવવાનું.’ ઘણી વાર કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી હોય તો વધારે ગાદલાં જોઈએ. ત્યારે પહેલાં તો બજારમાંથી ખાસ ગાદલાં માટેના જાડા કપડાનો તાકો લાવવામાં આવે. લાલ, કાળો, બ્રાઉન, ડાર્ક બ્લૂ એવા રંગની ડિઝાઈનવાળું મોટા પનાનું કાપડ. પીંજારો દર બે-ચાર વરસે આવતો હોવાથી ઓળખીતો. એ કાપડ લઈને દરજી પાસે ખોળ સિવડાવી લે. ખોળ ચારે બાજુથી સીવેલી હોય, ફક્ત એક જગ્યાએ મોઢું ખુલ્લું રાખ્યું હોય. પછી આવે પીંજવાનો દિવસ. મોટે ભાગે પુરુષ વર્ગ કામે જાય પછી આવવાનું કહ્યું હોય. બધાં જૂનાં ગાદલાં, ઓશિકાં, રજાઈ, વગેરેનો ઢગલો થાય. એ વખતે કોરોનાની તો કોઈએ કલ્પના પણ કરી નહોતી. પણ અ પીંજારો કામ શરૂ કરતાં પહેલાં નાક-મોઢા પર કપડાનો કટકો સજ્જડ બાંધી લે. જેથી રૂની રજકણ નાક-મોઢામાં જાય નહિ. પછી કાપૂસ પીંજવાનું શરૂ થાય. ઢેં ઢફ, ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ. બરફના ચોસલા જેવું બની ગયેલું રૂ ‘સ્નો બોલ’ જેવું બનતું જાય. એક વાર પીંજાઈ જાય પછી બીજી વાર પીંજે. હવે તો એ બની જાય બાળકૃષ્ણના હાથમાંના માખણના પીંડ જેવું. એક પછી એક ખોળમાં રૂ ભરાતું જાય. પૂરું ભરાઈ રહે એટલે ખોળનું ખુલ્લું મોઢું મજબૂત જાડા દોરાથી સીવીને બંધ. પછી એ નવા ભરાયેલા ગાદલાને પોલી લાકડીથી ઠમઠોરવામાં આવે. એટલે આખું ગાદલું પોચું પોચું પણ સમથળ. છોકરાઓને એના પર કૂદવાની મજા આવે, પણ વડીલો રોકે. ત્યારે પીંજારો કહે : ‘છો કૂદતા, મારું કામ મજબૂત કેટલું છે એની ખબર પડશે.’ દાંડી તૂટેલા કાચના કપમાં કડક મિઠ્ઠી ચા મળે તો રાજીપાના ટેભા મોઢા પર ખાસ્સા દેખાઈ આવે. છેક ૧૭મી સદીનું તાંજોર શૈલીનું પીંજારાનું ચિત્ર આજે જોવા મળે છે, એટલે આ ધંધો એટલો જૂનો તો ખરો.

૧૭મી સદીનું તાંજોર શૈલીનું પિંજારાનું ચિત્ર

પણ પછી રૂનાં ગાદલાં ગયાં અને ફોમનાં આવ્યાં. ગાદલાં, ઓશિકાં, રજાઈ બધું રેડીમેડ મળે. જાતજાતની ભાતનું કાપડ. ન વધુ પોચું થાય, ન વધુ કડક. આઠ-દસ વરસ તો આરામથી વપરાય. હવે પીંજારાની માથાકૂટ કોણ કરે? અને હવે એવો ટાઈમ પણ કોને છે? ત્રણ-ચાર જણનું નાનું કુટુંબ. ગૃહિણી પણ કાં નોકરી કરતી હોય, કાં કિટી પાર્ટીઓમાં જતી હોય. છતાં શોધવા જાવ તો હજી ક્યાંક પીંજારો મળી જાય ખરો. એ આવે નાનકડું ઇલેક્ટ્રિકથી ચાલતું પોર્ટેબલ કાર્ડીંગ મશીન લઈને. ઘરઘરાટી બોલાવીને આખા દિવસનું કામ એકાદ કલાકમાં કરી આપે. હવે પેલો ઢેં ઢફ ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ એવો અવાજ તો ભૂતકાળ જ બની ગયો.

* * *

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી:
ભલા રે ભાઈ, પોલકે તું ભપકો ભરજી.

હા, એ જમાનામાં કાં લગનગાળા પહેલાં, કાં દિવાળી પહેલાં પાંચ-સાત દિવસ માટે દરજી ઘરે બેસાડતા. એ વખતે આઠ-દસ જણનાં મોટાં કુટુંબ. રેડિમેડનું ચલણ ઓછું. એટલે બધાંનાં કપડાં સીવવાનાં હોય. પહેલાં તો કાપડ માર્કેટમાંથી કાપડના તાકા લવાય. સાથે ધોતી જોટા ને સાડલાની થપ્પી પણ ખરી. ભાયડાઓ, બૈરાંઓ અને બાળકોની જરૂરિયાતો પ્રમાણે. પછી સારો દિવસ જોઈને દરજી પગથી ચલાવવાનો સંચો લાવીને ઘરે મૂકે. ઘણાં ઘરોમાં એ મશીનને નાનકડો, બે પૈસાવાળો હાર ચડાવાય. ઘરની દરેક વ્યક્તિ માટે શું અને કેટલું શિવવાનું છે તેની યાદી દરજીને અપાય. કાપડના તાકા અપાય.

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

દર વરસે આવતો હોય એટલે માપ લેવાની જરૂર ન દરજીને જણાય, ન કપડાં સિવડાવનારને. છતાં ક્યારેક છોકરા કે પુરુષનું માપ લેવું પડે. પણ મા-બહેનોનું માપ તો લેવાય જ નહિ. ઘરમાં નવી વહુઆરુ આવી હોય તો ય તે હરતી-ફરતી હોય ત્યારે ત્રાંસી નજરે જોઈને દરજી માપનો અંદાજ બાંધી લે. બૈરાંઓનાં કપડાંમાં ખાસ્સો આંતરસીવો રાખે જ. જેથી ‘ટ્રાયલ’ પછી કશું નાનું-મોટું કરવું પડે તેમ હોય તો કરી શકાય. હજી કપડાંની ડિઝાઈન બુક તો આવી નહોતી. એટલે દબાતે અવાજે નવી વહુઆરુ કહે : ‘અણમોલ ઘડી’માં સુરૈયા પહેરે છે ને, એવું પોલકું સીવજો.’ પછી જ્યારે જ્યારે પહેરે ત્યારે ત્યારે પોતાને સુરૈયા માનીને પોરસાય. છોકરાં-છોકરીએ ફક્ત સ્કૂલમાં જ યુનિફોર્મ પહેરવાનો એવું નહિ. બીજાં કપડાં પણ એક જ તાકામાંથી છોકરા-છોકરી માટે સીવડાવ્યાં હોય એટલે ઘરમાં ય યુનિફોર્મ પહેર્યો હોય એવું લાગે. પછી તો કુટુંબો નાનાં ને નાનાં થતાં ગયાં. રેડીમેડ કપડાંનું પૂર આવ્યું. વ્યક્તિગત ચોઈસને મહત્ત્વ અપાતું ગયું. અને ઘરનો દરજી ધીમે ધીમે બહારનો બની ગયો.

* * *

દરજીની જેમ દર વરસે મસાલા કૂટવાવાળી બાઈઓ પણ આવતી. આજ જેટલી નહિ, તો ય બે-ચાર કંપનીના તૈયાર મસાલા તો એ વખતે પણ મળતા. પણ એક તો પૂરો ભરોસો નહિ, ને બીજું થોડા મોંઘા પડે. એટલે બજારમાં નવી સિઝનનો માલ આવે ત્યારે આખાં મરચાં, ધાણા, જીરું, હળદરના ગાંગડા, વગેરે જરૂર પ્રમાણે લાવવાનાં – આખું વરસ ચાલે તેટલાં. કૂટવાવાળી બાઈઓ મરાઠણ. ખડતલ. ગરમ મિજાજની. કોઈ જરા આડુઅવળું ભૂલમાં ય બોલે તો મણ મણની ચોપડાવે. કપાળની વચ્ચોવચ મોટો રૂપિયા જેવડો લાલ ચાંદલો. કછોટો વાળીને નવ વારી પહેરે – લાલ, ભૂરા, લીલા જેવા ભડક રંગોની. ઠરાવેલા દિવસે લાકડાનું મોટું ખાંડણિયું ને મૂસળ લઈને આવે. એક પછી એક મસાલો ખંડાતો જાય. બે બાઈઓ સામસામે ઊભી રહીને તાલબધ્ધ રીતે મૂસળના ઘાની જે ઝડી વરસાવે! મસાલા ભાંગીને ભુક્કો. પછી ખાંડેલા મસાલાને તેલથી મોળવીને કોડી કાચની સફેદ બરણીઓમાં ભરીને, ઢાંકણું સજ્જડ બંધ કરીને ઉપર ચોખ્ખા સફેદ કપડાનો કટકો બાંધી દેવાનો. અને બરણીઓ ગોઠવાઈ જાય રસોડાની લાકડાની અભરાઈઓ પર, હારબંધ.

હા, જી. આ બધું હવે તો હતું ન-હતું થઈ ગયું. પણ તેનો શોક શો કરવો? માલવપતિ મુંજ નાટકમાં માસ્ટર અશરફખાન પ્રભુલાલ દ્વિવેદીનું ગીત ગાતા તે ગણગણતા રહેવું :

એક સરખા દિવસ સુખના, કોઈના જાતા નથી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 ફેબ્રુઆરી 2022

Loading

એક ભણેલા ભિખારીનો સરકારને કાગળ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 February 2022

પરમ આદરણીય સરકાર માઈબાપ,

એક ભિખારીના પાયલાગણ.

તમે તો સરકાર છો એટલે સુખી જ હો, એમ જ હું ભિખારી છું એટલે દુ:ખી જ હોઉં, તે છું. આ અરજી કરવાનું કારણ એ કે પહેલી ફેબ્રુઆરીએ માતાજીએ બજેટ રજૂ કર્યું તે મંદિરના ટી.વી. પર જોયું ને એ જાણીને અહીં થોડી મન કી બાત કરવાનું થયું છે. આમ તો હું સી.એ. નથી કે અર્થશાસ્ત્રી પણ નથી એટલે બહુ સમજ ના પડે, પણ અર્થશાસ્ત્રી જ બજેટ રજૂ કરે એવું જરૂરી નથી ને આમ પણ અર્થશાસ્ત્રી તો અભિપ્રાય આપવા જ હોય છે એટલે બે વખાણે ને બે વખોડે એમ બનવાનું. બજેટ રજૂ જ એટલે થાય છે કે ચેનલો પર ડિબેટ થઈ શકે. બીજું, સરકારે તો બજેટ વખાણવું જ પડે, કારણ એને કોઈ ટેક્સ લાગતો નથી. એને તો બધું જ મફત છે એટલે ટેક્સ કોને કહેવાય એવું ય ઘણા નહીં જાણતા હોય એમ બને. વખાણનારો બીજો વર્ગ તે ભક્તોનો. આમ તો સ્ત્રી કે પુરુષ એવી જુદી જાતિને બદલે બે જ જાતિ બચી છે. એક ભક્તોની ને બીજી વિરોધીઓની. ભક્તોને ખરાબ ને વિરોધીઓને સારું દેખાતું નથી. એ સિવાય જે રહ્યા તે મધ્યમમાર્ગી ! એ તાબોટા ફોડે તો પણ તેને કોઈ કાને ધરે એમ નથી.

કોઈને બજેટ બોલ્ડ લાગે છે તો કોઈને કોલ્ડ, પણ અપુન કો તો, બાપુ, એકદમ ગોલ્ડ કે માફિક લગા હૈ. તે એટલે કે હીરામાણેક, મોબાઈલ એવું બધું સસ્તું થયું છે. શું છે કે સોનું તિજોરીમાં રાખવા લોકો લે, એ કોઈ રોજ રોજ તો લે નહીં, એટલે એ સસ્તું કરો તો કૈં કરની આવક નિયમિત ના થાય. મોબાઈલ સસ્તા કર્યા એ સારું થયું. કોરોનાનું શું છે કે એ હવે ક્યારે જાય એ નક્કી નથી. એવામાં સરકારે ડિજિટલ યુનિવર્સિટી ને ચેનલો ચાલુ કરવાનું વિચાર્યું એ ઠીક થયું. ઓફલાઇન એજ્યુકેશનમાં હવે પહેલાં જેવી મજા રહી નથી. એમાં શું છે કે ભણાવવું પડે છે ને શિક્ષકોને ઇતર પ્રવૃત્તિનું જ ભારણ એટલું રહે છે કે સરકાર એનો પગાર તો આપે જ છે, પાછો ભણાવવાનો પણ આપે? યે તો બહુત નાઈન્સાફી હૈ. વિદ્યાર્થીઓ પણ ત્રણ વર્ષે હવે ક્લાસમાં ભણે એ શક્ય રહ્યું નથી. એ તો મોબાઇલમાં જ ભણશે. મોબાઈલનું સુખ એ છે કે એ ભણતર ઉપરાંત ગેમ્સ અને અંગત વીડિયો વાયરલ કરવાનું નોલેજ પણ આપે છે જે ઘણી વાર મલ્ટિ મીડિયા સુધી પહોંચે છે. આવી વસ્તુઓ સસ્તી થાય તે સારું જ છે. એ ક્યાં રોજ રોજ ખરીદવાની છે કે સરકાર રોજ કમાય? જ્યારે તેલ તો લોકો રોજ ખાવાના, એ મોંઘું કરો તો રોજ કૈંને કૈં મળતર તો સરકારને રહે ! આમે ય સીઝન રોજ બદલાય ને છાશવારે છત્રી ઉઘાડબંધ કરવી પડે એટલે એ પણ ચોરાવાની તકો વધારે. એનો ઉપાડ વધી ગયો હોય ત્યાં એ મોંઘી કરો તો એ પણ વધારાની આવક ખરી જ ને ! સરકારજી, આ તમે સારું કર્યું. રોજના વપરાશની વસ્તુઓ મોંઘી કરો તો રોજની આવક થાય ને! હીરા લેવા રોજ કોણ જાય? પણ, એ તમે સસ્તા કરો કે 5G ચાલુ કરો કે એરપોર્ટ કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો તો ઉદ્યોગપતિઓનો ને એમના દ્વારા દેશનો વહીવટ ચાલી શકે એવું ખરુંને. ગો અ હેડ !

હું આર્ટસનો ગ્રેજ્યુએટ છું. શિક્ષક થવું હતું, પણ લોકડાઉન ને કોરોના મહામારીએ નોકરીની તકો ઓછી કરી નાખી. શું છે કે માબાપ તો ગરીબ જ હોવાના ને એમને ય જોવાના, એટલે ચાની લારી કાઢી, પણ ન ચાલી. લોકડાઉનમાં લોક એટલું ડાઉન થઈ ગયેલું કે લોક એન્ડ કીમાં જ રહેતું હતું, ત્યાં લારીએ ચા પીવા કોણ આવે? એટલે ચા વેચીને વિકાસ કરવાનું મારા નસીબમાં ન હતું. એવા નસીબદાર તો કોઈક જ હોય ! ભીખ માંગવાનો વિચાર આવ્યો, પણ રસ્તે નીકળવાની જ બંધી હોય ત્યાં ભીખ પણ કોણ આપે? એ તો ભલું થજો ભગવાનનું કે મંદિરો ખૂલ્યાં ને એનું એક પગથિયું મેં પચાવી પાડ્યું તો ભીખ મળવાની ચાલુ થઈ. બાકી હતું તે સરકારે અનાજ મફત આપવા માંડ્યું ને ખાતામાં પૈસા જમા થવા માંડ્યા. કોઈ વાર મારા ખાતામાં પણ થોડા ટુકડા પડ્યા તો રાહત થઈ. એમ કરતાં એક દિવસ હિસાબ માંડ્યો તો સાલી આવક ટેકસેબલ થઈ ગઈ. હું ભિખારી એટલે પ્રામાણિક ને પ્રામાણિક હોવાને લીધે જ ભિખારી એટલે રિટર્ન ફાઇલ કરું છું. સરકાર માઈબાપ ભિખારીઓ પણ ટેક્સ ભરે એટલે બજેટમાં આઠ વર્ષથી ઇન્કમટેક્સનો સ્લેબ બદલતી નથી. શું છે કે આઠ વરસથી મોંઘવારી વધી નથી. પેટ્રોલ મફતને ભાવે વેચાય છે ને ગરીબો તો આમ પણ ટાંટિયા ઘસડતા જાય છે, એમનું તેલ નીકળતું હોય તો પણ કૈં એમણે તેલ પુરાવવું પડતું નથી એટલે ખર્ચ જ કેટલો ! વારુ, એમના ખાતામાં પૈસા ને પેટમાં દાળચોખા તો સરકાર ઓરે છે એટલે એ તો રાજી રહેવાના. રહ્યો મધ્યમવર્ગ, એ તો મૂંગો મરી રહે છે. એને મોંઘવારી લાગતી હોય તો અવાજ કરે ને ! બાકી રહ્યા અમીરો, તો એને તો હજાર રૂપિયે તેલ થાય તો ય હોજરી ભરાવાની જ છે. તો, મોંઘવારી લાગી કોને? ઓન ધ કોન્ટ્રેરી, પગાર વધે છે નોકરિયાતોના, તો ટેક્સ ભરે એમાં ખોટું શું છે? ને ટેક્સ ભરવો જ ન હોય તો સાંસદ કે મંત્રી બને, કોણ રોકે છે? એટલે મધ્યમવર્ગને બજેટમાં કૈં મળ્યું નહીં એવી જે રડારોળ શરૂ થઈ છે એ વિપક્ષ કરાવે છે. આમ પણ મધ્યમવર્ગ ને ભિખારીઓમાં એક જ ફરક રહી ગયો છે તે એ કે ભિખારી માંગે છે ને મધ્યમવર્ગ માંગતો નથી. એ એટલો લાચાર છે કે આવકવેરાનો સ્લેબ વધારવાનું પણ બોલી શકતો નથી. એ પછી આપઘાત જ કરે કે બીજું કૈં? જે આપઘાત કરે તેને મધ્યમવર્ગ કહેવાય.

સરકાર માઈબાપ, 39.45 લાખ કરોડનો ખર્ચ આ વર્ષે કરવાની છે. એની સામે આવક 22.84 લાખ કરોડ જ છે. મતલબ કે આવક ઓછી ને જાવક વધારે છે. એમાં ખર્ચ ઘટાડી શકાય, પણ સરકાર ખર્ચ ઘટાડે તો ગરીબ થઈ જાય ને કોઈ સરકાર ગરીબ કેવી રીતે હોય? એ તો ચાર્વાકના સૂત્રને જ અનુસરે ને ! દેવું કરીને ઘી પીઓ. સરકાર થઈને ‘નલસે જલ’થી લોકોનું ને ગંગા કિનારાના ખેડૂતોનું ભલું ન કરે તો હોવાનો અર્થ  શો? એને માટે દેવું કરવું પડે તો ભલે, પણ જનતાને રાજી રાખવા સરકાર બધું જ કરી છૂટે એમ છે. આ વખતે પણ 25 હજાર કિલોમીટરના હાઇવે બનાવવાની વાત બજેટમાં થઈ છે. આ બધું દર વર્ષે થાય છે, પણ માઈબાપ, ચેક કરતા રહેજો, આવતે વર્ષે તમે હાઇવેની જાહેરાત કરો ને તે ઇન્ડિયાની બહાર નીકળી ન જાય તે જોજો ! નહીં તો પાછા આવવાનું અઘરું પડશે. મને તો 400 જેટલી નવી વંદે (વન ડે?) ભારત શરૂ થવાની વાત જાણીને ખૂબ નવાઈ લાગી. પેલું બુલેટ ટ્રેનવાળું ઠેકાણે પડ્યું કે આ એને બદલે છે? ખરેખર જે રીતે ટ્રેનો બનવા લાગી છે એ જોતાં તો ગલીએ ગલીએ ટ્રેનના કારખાના ખૂલી જાય તો નવાઈ નહીં ! આમ પણ 3 વર્ષે 400 ટ્રેનનો અંદાજ મૂકીએ તો વર્ષની 133 ટ્રેન (ડબ્બા જ નહીં, આખી ટ્રેન) બનાવવાની થાય. એ હિસાબે મહિનાની 11 ટ્રેન બનાવવી પડે. એમાં ગયાં ત્રણ વર્ષોમાં 2 ટ્રેન બનેલી એવું કહેવાય છે, હવે આ જો લોકલ ટ્રેન ન હોય તો ‘બનાવવાની’ ઝડપ વધારવી પડશે. જો કે, ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તે જોતાં આવતે વર્ષે ભારત 400 પ્લેન બનાવવાની જાહેરાત કરે તો પણ આશ્ચર્ય નહીં થાય.

જો કે, હું ઝૂંપડીમાં રહું છું, એની ય પાઘડી બોલાય છે, પણ આ વખતે પણ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત બજેટમાં 48 હજાર કરોડ ફાળવાયા છે. સરકારનો હેતુ 80 લાખ નવાં ને સસ્તાં મકાનો જનતાને પૂરા પાડવાનો છે. સરસ. દર વર્ષે લાખો મકાનો બનતાં જ જાય છે, પણ મારાં માઈબાપ, જરા જોઈ લો કે બધાંને મકાનો મળી ગયાં હોય ને ખાલી પડ્યાં ન રહે ! શું છે કે હજારો હજારો કિ.મી.ના હાઇવે, લાખો લાખો સસ્તાં  ને નવાં મકાનો .. આ બધાંમાં એવું ન થાય કે ખેતી લાયક જમીન જ ન રહે. પછી ખેડૂતોએ ખેતી માટે જમીન મેળવવા આંદોલન કરવું પડે એવું ન થાય તે જોજો ને પ્લીઝ, હવે નવી નોકરીઓ ઊભી કરવાનું માંડી જ વાળો ! એ તમારી ભલમનસાઈ છે કે આ વખતે પણ મેઇક ઇન ઈન્ડિયા હેઠળ નવી સાંઠ લાખ નોકરી ઊભી કરવાના છો. દર વર્ષે તમે લાખો નોકરીઓ ઊભી કરતાં જ જાવ છો ને બેરોજગારી ઘટાડતા જ જાવ છો, એ જોતાં લાગે છે કે દેશમાં કોઈ નોકરી વગરનું રહ્યું જ નથી. તમે આવ્યા ત્યારથી દર વર્ષે નવી બે કરોડ રોજગારી ઊભી કરવાનો દાવો કર્યો છે, એ હિસાબે તો 15 કરોડ રોજગારી ઊભી થઈ જ ચૂકી હોય, તો બેકાર રહે જ કોણ? સો યુ ડોન્ટ વેરી, સોરી, વરી !

આ બજેટમાં ક્રિપ્ટો કરન્સીને સરકારે કાયદેસર ગણવાની વાત નકારી છે, પણ તેમાં થતાં નફાને કાયદેસર ગણ્યો છે. ખોટમાં ભાગ નહિ, પણ નફામાં સરકાર 30 ટકા ટેક્સ કાપી લેશે. સારું છે ને ! જે દેવું ઘટ્યું તે ખરું.  બજેટને આધારે સરકાર માઈબાપે 25 વર્ષનાં વિઝનની વાત કરી છે. એમાં રીઝન હોય કે ના હોય, પણ વિઝન છે. ખરેખર તો સરકારે 135 કરોડ ચશ્માં પોતાનાં વિઝનનાં બનાવીને દેશની જનતાને પહેરાવી દેવાં જોઈએ જેથી આ જે ફાલતુ વિરોધ થયા કરે છે એ ન થાય ને નવું સૂત્ર સાકાર થાય – વન નેશન, વન વિઝન !

તમારો વધારે સમય લીધો હોય તો માફ કરશો. આમ જ પ્રગતિ કરીને સૌનો રકાસ, સોરી, વિકાસ કરતાં રહેશો.

આપના દેશ’વાસી’, શિક્ષિત ભિખારીનાં ‘વંદે ભારત’ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ફેબ્રુઆરી 2022

Loading

ગાયાના અને ભારતીય મૂળના બંધુઆ મઝદૂર

આશા બૂચ|Diaspora - Features|4 February 2022

5મી મે 2014ને દિવસે બ્રિટનના પૂર્વ સંસ્થાન બ્રિટિશ ગાયાનામાં પૂર્વ ભારતથી લાવવામાં આવેલા બંધુઆ મઝદૂરના આગમનની 176મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. મે 2014માં ‘ગાયાના ક્રોનિકલ’માં સ્ટાફ રિપોર્ટર્સ દ્વારા લખાયેલ એક લેખ વાંચવામાં આવ્યો. ગાયાના ગયેલા બંધુઆ મઝદૂરોની કહાની દક્ષિણ આફ્રિકા અને અન્ય બ્રિટિશ સંસ્થાનોમાં ગયેલ મઝદૂરોની કથા સાથે સામ્ય ધરાવે છે અને ઘણી રસપ્રદ લાગવાથી વાચકો સમક્ષ પ્રસ્તુત કરું છું.

1838થી 1917 એટલે કે લગભગ પોણી સદી સુધી વેસ્ટ ઇન્ડિઝના સંસ્થાનોમાં ભારતીય ઉપમહાદ્વીપથી એગ્રીમેન્ટ ઉપર બંધુઆ મઝદૂર મોકલવામાં આવેલા. ગુલામી પ્રથા નાબૂદ થતાંની સાથે મુક્ત થયેલા ગુલામો એ દેશો છોડીને પોતાના મૂળ વતન પરત થયા અથવા એ જ દેશમાં મજૂરી છોડીને અન્ય વ્યવસાય કરવા લાગ્યા. એટલે પ્લાન્ટેશન ઉપર મજૂરી કરનારાઓની ખેંચ પડી. 

ગુલામી નાબૂદી બાદ 19મી 20 સદીમાં કેરેબિયન ટાપુ પર ગયેલા ભારતીય મઝદૂરોનો સમૂહ તો ભારતથી ગયેલ દુનિયાના અન્ય દેશો જેવા કે મોરિશિયસ, સિલોન, ફીજી, સ્ટ્રેટ સેટલમેન્ટ, નાતાલ વગેરે દેશોમાં કરવામાં આવેલ હેરાફેરીનો એક નાનો શો ભાગ હતો.

1838થી 1917 દરમ્યાન પૂર્વ ભારતથી આશરે 2,38,909 પ્રવાસી મઝદૂરો બ્રિટિશ ગાયાના ગયેલા. ફ્રેન્ચ ગાયાના ગયેલ ભારતીયોની સંખ્યા પણ ઘણી નોંધપાત્ર હતી. પૂર્વ ભારતના વિદેશ ગયેલા મઝદૂરો વિષે ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા બ્રિટિશ ઇતિહાસવિદ્દ હ્યુ ટીંકરે આ પ્રથાને ‘નવીન પ્રકારની ગુલામી’ તરીકે વર્ણવતા લખ્યું છે, “ભારતના પ્રવાસી મઝદૂરોના સંદર્ભમાં કહી શકાય કે બંધુઆ મઝદૂરની પ્રથા એ સંઘર્ષ, બલિદાન અને પરિસ્થિતિ સામે ઝઝૂમવાની કથા ગણાવી શકાય. એ ગુલામી પ્રથાથી ખૂબ નિકટ રીતે સંકળાયેલી છે.”

1834માં ગુલામી પ્રથા નાબૂદ થઇ, 1838માં વ્યવસાયિક તાલીમ પદ્ધતિનો અંત આવ્યો અને તેને પગલે બ્રિટિશ ગાયાનીઝ પ્લાન્ટર્સના મનમાં અનિશ્ચિતતા અને ઉદાસીની લાગણી છવાઈ ગઈ. મઝદૂરોની તંગીની અસર ખાંડના ઉત્પાદન અને અંગત નફા માટે જોખમકારક સાબિત થશે તે તેઓ જાણતા હતા. દાયકાઓ સુધી નભતી આવેલી ગુલામી પ્રથા અમાનુષિકરણ, માનવતાનું અવમૂલ્યન, અને નીતિમત્તાના નાશનું પ્રતીક હતી. આથી જ તો તેનો ભોગ બનેલા ગુલામો શ્વેત માલિક વર્ગના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વર્ચસ્વથી છુટકારો મેળવવા માંગતા હતા તે સ્વાભાવિક છે.

ગ્લાડસ્ટન પ્રયોગ:

ગાયાના ગયેલા પૂર્વ ભારતીયોના વસવાટના મૂળ ‘ગ્લાડસ્ટન પ્રયોગ’માં છે. બ્રિટિશ મુત્સદ્દી વિલિયમ ગ્લાડસ્ટનના પિતા જ્હોન ગ્લાડસ્ટન બે વેસ્ટ ડેમરારા પ્લાન્ટેશનના માલિક હતા. ત્યાં કામ કરવા માટે મઝદૂરોની સખત તંગી ઊભી થતાં ગ્લાડસ્ટને કલકત્તાની મઝદૂરોની ભરતી કરનાર પેઢી Gillanders, Arbuthnot એન્ડ કંપનીને પોતાની જાગીર માટે ભારતના મઝદૂરો મોકલી આપવાની શક્યતા માટે પુછાવ્યું. એ પેઢીએ વિના વિલંબ ઉત્તર પાઠવ્યો કે એ લોકોને આ બાબતમાં કોઈ મુશ્કેલી નહીં પડે કેમ કે એ પ્રકારનો વેપાર તો બ્રિટિશ સંસ્થાન મોરિશિયસ જેવામાં ચાલે જ છે. ગ્લાડસ્ટને કોલોનિયલ ઓફિસ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બંધુઆ મઝદૂર મેળવવા માટેની પરવાનગી મેળવી લીધી. બંધુઆ મઝદૂરનો પહેલો ફાલ ‘Whitby’ અને ‘Hesperus’ નામની સ્ટીમરમાં મે 1838માં પાંચ વર્ષના કરાર ઉપર પહોંચ્યો. આ પ્રથમ પ્રયોગ જ્હોન ગ્લાડસ્ટનના બે પ્લાન્ટેશન પૂરતો જ મર્યાદિત ન રહેતાં બીજા પાલનટેશન્સમાં પણ પ્રસર્યો. 

આ યોજના 1839થી 1845 દરમ્યાન બંધ રહી, પરંતુ ત્યાર બાદ 1917 સુધી વિના રોકટોક ચાલુ રહી. 2,38,909 જેટલા પ્રવાસી કામદારો ગાયાનાના કિનારે ઉતર્યા. તેમાંના લગભગ 75,547 મઝદૂરો પોતાને વતન પરત થયા, અને જે લોકો એ તંત્રમાં બચી જવા પામ્યા તેમણે ત્યાં જ રહી જવાનું પસંદ કર્યું અને એ દેશને પોતાનું વતન બનાવ્યું.

કેટલાક અભ્યાસુઓ, ઇતિહાસવિદ્દ અને મુસાફરોના બંધુઆ મઝદૂર પદ્ધતિ વિશેના મંતવ્યો જાણીએ:

કેરેબિયનની 1850માં સફરે ગયેલ એન્થની ટ્રાલોપ તેને ‘ખાંડમાં બોળીને નરમ પાડેલ જુલ્મી શાસન’ તરીકે જુએ છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા ચીફ જસ્ટિસ ચાર્લ્સ બોમોન્ટ તેનું વર્ણન કરતાં લખે છે, “આ એક કોહવાયેલી અને રાક્ષસી વ્યવસ્થા છે જેના મૂળ ગુલામી પ્રથામાં છે.”

ગાયાનાના સન્માનનીય ઇતિહાસવિદ્દ ડૉ. વોલ્ટર રોડનીએ બંધુઆ મઝદૂરની પ્રથામાં રહેલી સખતાઈ અને તેની ‘નવી ગુલામી પ્રથા’ના લક્ષણ આપણી સામે ધર્યાં. ગાયાનાના બીજા એક ઇતિહાસકાર ડૉ. બાસુદેઓ મંગરુનો મત એવો છે કે ગુલામી પ્રથા અને બંધુઆ મઝદૂરની પ્રથામાં અંકુશ રાખવો, શોષણ કરવું અને મઝદૂરોને નીચલી કક્ષાએ ઉતારી પાડવાની બાબતમાં નોંધપાત્ર સામ્ય છે.

બંધુઆ મઝદૂરી:

બંધુઆ મઝદૂરીની પ્રથાના પગરણ થયા ત્યારથી તેના વિષે ઘણો વિવાદ હતો. બેકારીનો ઊંચો આંક, અંતહીન ગરીબીની અવસ્થા, ભયાનક દેવાદારીની સ્થિતિ અને દુષ્કાળ જેવાં પરિબળોને કારણે ઘણા ભાગના લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી એ ખરું, પણ સામે પક્ષે ઘણા લોકોને બહેતર જિંદગી જીવવાની તકો મળવાની આશા બંધાવાયેલી એટલે લીલા ચરિયાણ તરફ જવા લોકો તૈયાર પણ થયા. ઉત્તર ભારતમાં આર્કટિસ અને દક્ષિણ ભારતમાં મેસ્ટ્રીસ નામે ભરતી કરનારી પેઢીઓ લોકોને છેતરીને કે જબરદસ્તી કરીને મઝદૂરોનો પુરવઠો પૂરો પાડતી. ઘણા લોકોને રોજગારીની ઉજળી તકોના વચનો, સારું વળતર આપનારા વ્યવસાયોની ખાતરી, અને વતનમાં અલભ્ય હોય તેવી કામની તકોની લાલસા આપીને લોભાવવામાં આવ્યા. સામાન્ય પ્રજાનાં અજ્ઞાન અને ભોળપણનો એ દલાલોએ ગેરલાભ ઉઠાવ્યો. કેટલાકને ઠગવામાં આવ્યા, પટાવવામાં આવ્યા તો બીજાને પોતાનું ઘર છોડવા લાલચ આપવામાં આવી, તો વળી કેટલાકને તો અપહરણ કરીને લઇ જવામાં આવ્યા. આ છળ-કપટ, છેતરપિંડી અને ખોટાં વચનો આપીને મનાવવાની રસમ 1838થી 1917 સુધી ચાલુ રહી.

અનેક મુશ્કેલીઓ વચ્ચે પ્રવાસી મઝદૂરોએ સ્ટીમરમાં પોતાના જાન બચાવવા ભારે યાતનાઓ સહન કરી. સ્ટીમરમાં વધુ પડતી મોટી સંખ્યામાં લાદેલા મુસાફરો, અપૂરતો ખોરાક, પીવાનાં પાણીની તંગી, કોલેરા અને ઝાડા ઊલટી જેવી બીમારીએ એ વિકટ સફરને અસહ્ય બનાવી દીધેલી. કેટલાક કિસ્સાઓમાં 20થી 30 ટકા જેટલા મુસાફરોના મોત નીપજ્યાં. આમ છતાં પ્રવાસી મુસાફરો ગીતો ગાઈને, ઢોલ વગાડીને અને વાર્તાઓ કહીને પોતાની જાતને આશ્વસ્ત કરતા રહ્યા. એ જહાજી લોકો વચ્ચે પાંગરેલી કાયમી મૈત્રી બહુ મહત્ત્વની બની રહી.

એ સંસ્સ્થાનમાં બંધુઆ મઝદૂરોને નવા વાતાવરણમાં ગોઠવાઈ જવાનો કઠિન સમય પસાર કરવાનો હતો. કેટલાકને તો ગાયાના પહોંચતાની સાથે ખેતરોમાં કામે જોતરી દેવામાં આવેલા. પ્લાન્ટેશનના માલિકોનો બંધુઆ મઝદૂર ઉપર પૂરો અંકુશ હતો. મજૂર કાયદો મઝદૂરોની વિરુદ્ધમાં જ ઘડાયેલો. ગુલામી પ્રથાની માફક પ્લાન્ટેશનના માલિકોને એ કાયદાઓથી પુષ્કળ ફાયદો થયો. આખર એ કાયદાઓનો અમલ અને તેની દેખરેખ મઝદૂરોના વતનથી હજારો માઈલ દૂર તેમના માલિકોના સામાજિક અને રાજકીય વર્ચસ્વવાળા માહોલમાં થતો હતો. આથી તેમની તરફેણ કે સહાય કરનાર કોણ હોય? આથી જ તો કાયદાઓ સહેલાઈથી બદલાતા તેની નવાઈ ન લાગે. વળી એ માલિકોની મુન્સફી અને ઈચ્છા મુજબ તેનો દુરુપયોગ પણ થતો રહેતો. વધારામાં કેટલાક ઇમિગ્રેશન એજન્ટ-જનરલ અને સ્ટાઇપેન્ડરી મેજિસ્ટ્રેટસ પ્લાન્ટર્સની તરફેણમાં રહેતા. પરિણામે માલિકો દ્વારા મઝદૂરો ઉપર કરવામાં આવતી ધાકધમકી, હુમલા અને મારપીટના કિસ્સાઓ પર મોટે ભાગે ઢાંકપિછોડો કરવામાં આવતો. અધૂરામાં પૂરું કોર્ટના કેઈસમાં ફરિયાદી સામે દુર્વ્યવહાર કરવામાં આવતો અને ઘણા કિસ્સામાં એ એક ફારસ બનાવી દેવાતો કેમ કે દુભાષિયા પ્લાન્ટેશનના માલિક તરફ થઇ જતા અને મઝદૂરોને પોતાનો બચાવ કરવાની ભાગ્યે જ તક મળતી.

મઝદૂરોની પીડા:

બંધુઆ મઝદૂરીના સમગ્ર કાળ દરમ્યાન પ્રવાસી કામદારોને નામ માત્રનું વેતન મળતું અને ભારે પ્રમાણમાં મજૂરી કરવી પડતી. રોજની આવકનો આધાર નિંદામણ કાઢવાનું હોય, કુહાડા કે પાવડાથી ખોદવાનું હોય, ખાતર બનાવવાનું હોય, વાવણી કે લણવાનું કામ કરવાનું હોય તેના ઉપર અને કેટલી ઝડપથી કામ પતાવે તેના પર રહેતો. પ્લાન્ટેશનના માલિકો જ મજૂરીના દર નક્કી કરતા અને ખાંડના ભાવ ગગડે તો મઝદૂરોની અમદાનીમાં કાપ મુકાતો. એક દલાલને તો બેલ એર નામના પ્લાન્ટેશનમાં મઝદૂરો અપૂરતી આવકમાં કઈ રીતે ગુજારો કરતા હશે તેની નવાઈ લાગી. પ્રવાસી મઝદૂરોના પ્રતિનિધિ કોલજરે 1869માં કહેલું, “અમારે માટે સમય બહુ વિકટ છે, અમને મળતા રોજ પર અમારો ગુજારો નથી થઇ શકતો, અમારાં પેટ નથી ભરાતાં.” હજુ એક વધુ વિપદાનો સામનો તેમને કરવો પડતો, અને તે છે હાજરી પત્રકનો. રોજ સવારે હાજરી પૂરવામાં આવતી. ગેરહાજર હોય તેને દંડ ભરવો પડે. મરજીમાં આવે તેટલો દંડ તેમના રોજમાંથી કાપી લેવામાં આવતો. એક બાજુથી કામના ઢગલાને જલદી આટોપવા વહેલા ખેતરે પહોંચે તો હાજરી પૂરાવવામાં મોડા પડે અને દંડ ભરવો પડે અને બીજી બાજુ જો હાજરી પુરાવવા રોકાય અને નિર્ધારેલ પ્રમાણમાં અને તેટલા સમયમાં કામ પૂરું ન કરે તો પણ એ જ રીતે માલિકની મરજી મુજબ પગારમાં કાપ સહેવો પડે. મઝદૂરોને આમાંથી બચવાનો કોઈ માર્ગ નહોતો, બંને તરફથી સજા જ ભોગવવાની રહેતી. ભારતીય મૂળના મઝદૂરો કોર્ટમાં યાતના ભોગવતા હોવાને કારણે ફરિયાદી તરીકે જ જતા, જ્યારે ખેત માલિકો તો મઝદૂર કામ શરૂ કરવાની ના પડે, કામ અધૂરું મૂકે, માલિકની મંજૂરી વિના ગેરહાજર રહે, અપેક્ષા મુજબનું વર્તન ન કરે કે હુકમને અવગણે તો તેને કોર્ટમાં ઘસડીને લઇ જાય અને કાયદાઓની મદદ લઈને સખ્ત સજા ફટકારે. 

દમનની હજુ બીજી હકીકતો જાણીએ. કરાર ઉપર આવેલા મઝદૂરો જો ગેરવર્તન બદલ જેલમાં જાય તો તેનો તેટલો સમય બંધુઆ મઝદૂરીના કાળમાં ઉમેરવામાં આવે. તેનો અર્થ એ કે મઝદૂરોને એક જ ગુના માટે બે વખત સજા થાય. નાની બાબતોની ફરિયાદ કરીને મેનેજર સજા કરાવી શકતા. 1863માં જ્યોર્જટાઉનની જેલમાંના કુલ 4,936 કેદીઓમાંથી 3,148 બંધુઆ મઝદૂર હતા, એ શું  સૂચવે છે? એ બતાવે છે કે બંધુઆ મઝદૂરો ઘણા ગરીબ સ્વભાવના હતા, જેને પરિણામે ખૂબ સંઘર્ષ વેઠવો પડતો, ભોગ આપવો પડતો અને અંતે અન્યાયનો સામનો પણ કરવો પડતો. એ લોકોને સામાન્ય સગવડોની પણ અછત ભોગવવી પડતી. રહેઠાણોમાં હવા ઉજાસ પૂરતા નહોતા, પાણીની સગવડ તો હતી જ નહીં, સ્વાસ્થ્ય અને આરોગ્યની સેવાઓ પણ અત્યંત નબળી કક્ષાની હતી. આથી રોગચાળો વ્યાપક પ્રમાણમાં પ્રસરી જતો.

અવરજવર પર પ્રતિબંધ:

રઝળપાટ વિરુદ્ધના કાયદા હેઠળ પ્રવાસી મઝદૂરોની હરફર ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા. ખેતરોના માલિકો આ રીતે મજૂરોને બહાર જતા રોકી શકે અને તેઓની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય તેવી આ યુક્તિ હતી. મઝદૂરને પોતાની વસાહતમાંથી બહાર જવું હોય તો તેના મેનેજર પાસેથી ‘પાસ’ મેળવવો પડતો. કોલોનિયલ પોલીસને પાસ વિનાના મઝદૂરને પકડીને પરેશાન કરે તેવી સત્તા આપવામાં આવી હતી તેથી મઝદૂરોને એવા અપમાનોનો ભોગ બનવું પડતું. મેનેજર આ રીતે પોતાના મઝદૂરો બીજી વસાહતોના મઝદૂરોને મળતાં વેતન અને કામ કરવાની સ્થિતિની સરખામણી કરતા રોકી શકતા. તેઓને ભય હતો કે આવી બાતમી મળવાથી પોતાની માલિકીના મઝદૂરો અસંતુષ્ટ થઈને બીજી વસાહતમાં કામ કરવા જતા રહે. બંધુઆ મઝદૂર ઉપરની આવી અબાધિત સત્તા હોવાને કારણે પ્લાન્ટેશનના માલિકો ખૂબ ઘમંડી અને ઉદ્ધત થવા લાગ્યા. કેટલાક માલિકો વારંવાર ખુલ્લે આમ અભિમાન સાથે કહેતા કે તેના મઝદૂરો કામના કલાકો દરમ્યાન કાં તો ખેતરમાં કામ કરતા જોવા મળે, અથવા હોસ્પિટલમાં હોય અને નહીં તો જેલમાં. એક ડેમરેરા પ્લાન્ટરે જાહેરમાં કહેલું, “મને મારુ દિલ ભરાય તેટલા ફૂલી આપો, તો હું તમને દસ લાખ પીપ ભરીને ખાંડ પેદા કરી આપું.” 

1860ના દાયકા બાદ ભારતીય મઝદૂરોના ગરીબડા સ્વભાવના કાલ્પનિક ખ્યાલને ગંભીરતાથી પડકારવામાં આવ્યો તેની નવાઈ નથી. ભારતીય બંધુઆ મઝદૂરો હિંમતથી જાહેરમાં આ પદ્ધતિનો વિરોધ કરવા લાગ્યા. પરિણામે એ ઉદ્યોગમાં જોડાયેલા લોકો વચ્ચેના સંબંધો વણસ્યા, કર્મચારી વર્ગમાં વિરોધનું પ્રમાણ વધ્યું અને તપાસ થવા લાગી. મેનેજરોની શિરજોરી, પગારનાં ધોરણો વિષે વિવાદ, કામના ભારણ અને પ્રકાર વિષે અસહમતિ, ઓવરસીઅર દ્વારા થતું મહિલાઓનું જાતીય શોષણ અને મઝદૂરોના પગાર ઉપર મનસ્વી રીતે મુકાતા કાપ જેવા મુદ્દા ઉપર ક્યારેક હિંસા પણ ફાટી નીકળતી.

અશાંતિ:

જુલાઈ 1869માં ડેમરેરાના પશ્ચિમ તટે આવેલ પ્લાન્ટેશન Leonoraમાં સહુ પ્રથમ તોફાનો થયા. પાવડા વડે કામ કરનારાઓની ફરિયાદ હતી કે પાણીથી લદબદ જમીન પર પોતાનું કામ પૂરું ન કરી શકવા બદલ તેમનો પગાર રોકવામાં આવેલો. એ લોકોએ આ કામ કરવા માટે વધુ મહેનતાણાની માંગણી પણ કરી. સશસ્ત્ર પોલીસ દળ અને મઝદૂરો વચ્ચેની મૂઠભેડ મુશ્કેલીથી ટાળી શકાઇ, પણ તેના સરદારોની ધરપકડ કરી, મઝદૂરની સેટલમેન્ટમાં પૂરી દેવામાં આવ્યા. તે પછીને વર્ષે બીજા પાંચ છ પ્લાન્ટેશનમાં હિંસાત્મક તોફાનો ફાટી નીકળ્યા. રમખાણોનો દૌર 1890ના દાયકામાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ચાલુ રહ્યો. ઇમિગ્રેશન વ્યવસ્થાના અંત પહેલાના ચાર વર્ષે રોઝ હોલ પ્લાન્ટેશનના કેટલાક મઝદૂરોએ પોતાના જાન ગુમાવ્યા. જો કે હડતાલો, પિકેટિંગ, દેખાવો કરવા, કૂચ કરવી, મેનેજર્સ અને ઓવરસીયર્સ ઉપર હુમલા કરવા અને માંદગીનું બહાનું કાઢવું અને ઈરાદાપૂર્વક નબળું કામ કરવા જેવી અહિંસક રીતો પણ અપનાવવામાં આવી. 

બંધુઆ મઝદૂરોએ બીજી ઘણી અડચણો સહી અને ભોગ આપ્યા, જેમ કે આવી સખ્ત દમનકારી સ્થિતિમાં પણ પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જાળવી રાખી. 19મી સદીના ઉત્તરાર્ધમાં મંદિરો અને મસ્જિદો દેખાવા લાગ્યાં અને પોતાની ભાષા, સંગીત, પોષાક, ખાણી-પીણી અને લોકકથાઓ પણ જાળવવાના પ્રયાસો થયા. આ તસ્વીરમાં એ સમાજની અસ્મિતાની ઝાંખી થાય ખરી.

એ પ્રજાએ સામાજિક અને આર્થિક વિકાસના પગથિયાં ચડવાના હેતુથી પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ સ્વીકારી લીધી. લાંબે ગાળે તેઓ અને તેમનાં સંતાનો શિક્ષક, આચાર્ય, ડોક્ટર્સ, વકીલો, એકાઓઉન્ટન્ટ અને સરકારી નોકરોની પદવી મેળવવા લાગ્યા. એ મઝદૂરોએ ખાંડ અને ચોખાના ઉત્પાદનને ખીલવવા અને બચાવવા અથાક પ્રયત્નો કર્યા. ગામડાંઓના વિકાસમાં, રોકડિયા પાક વાવવામાં, પશુ પાલનમાં, દૂધ ઉત્પાદનમાં અને અન્ય આર્થિક ક્ષેત્રોમાં બંધુઆ મઝદૂરોએ મહત્ત્વનો ફાળો આપ્યો. 19મી સદીના અંતે ભારતીય પ્રવાસી મઝદૂરો ટેક્સી ડ્રાઇવર, બેન્કર, સુથાર, વહાણ બાંધકામના કામદાર, કોલસાના ઉત્પાદન કરનારા, સોની, કુંભાર, મચ્છીમારી અને બીજા અનેક નાના પાયાના ઉત્પાદક વ્યવસાયોમાં ઉચ્ચ કૌશલ્ય દાખવવા લાગ્યા. તેમના સંતાનો આજે પણ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને ટ્રેડ યુનિયન જેવા ક્ષેત્રોમાં ખૂબ આગળ ધપી રહ્યા છે. તેમાં ઘણા તો આજે ખેલકૂદમાં જાણીતા છે, ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ્દ બન્યા છે. ગાયાનાના સમાજમાં આજે દરેક ક્ષેત્રમાં પ્રવાસી ભારતીયોનું અજોડ સ્થાન અંકિત થયું છે.

હાલમાં ગાયાનામાં વસતા ભારતીય મૂળના લોકો માને છે કે તેમના પૂર્વજો તેમને માટે પ્રેરણારૂપ હતા. તેમણે દાખવેલી હિંમત અને દૃઢ નિશ્ચયતાને કારણે એ દેશનો વિકાસ થયો. નવી ગુલામી પ્રથાના સમય દરમ્યાન ‘સંઘર્ષ, બલિદાન અને પ્રતિકાર’ એ જ એમના ચારિત્ર્યનું લક્ષણ હતું. તેઓ અને તેમના પછીની પેઢી પરિસ્થિતિનો સામનો કરવાની મક્કમતા, કામ પૂરું કરવાની ધગશ, રિવાજો અને પરંપરાના રક્ષણ મારફત પરિવાર પ્રત્યે બજાવવાની ફરજ – કે જે ત્રેવડ, ઉદ્યમશીલતા અને સ્વમાન જેવા ગુણોને પોષે અને તે કારણે તેઓ એક કોમ તરીકે ટકી શક્યા એમ માને છે. બંધુઆ મઝદૂરના આગમનનો દિન પાંચમી મે, તે દિવસે તેમના પ્રત્યે આદર દર્શાવીએ અને તેમની અદ્વિતીય મહેનત અને સહનશક્તિને દાદ આપીએ.

યાદ રહે કે વિવિધતામાં શક્તિ છે. એ પ્રજાએ ‘એક પ્રજા, એક દેશ, એક ભાગ્ય’ને અર્થપૂર્ણ બનાવ્યું તેને સન્માન આપીએ. 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,6071,6081,6091,610...1,6201,6301,640...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved