Opinion Magazine
Number of visits: 9570989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણનું આમુખ : ‘અમે ભારતના લોકો’ની આકાંક્ષાનું પ્રતિબિંબ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 February 2022

‘અમે ભારતના લોકો’થી આરંભાતું કાવ્યમય આમુખ ભારતીય બંધારણનો મનહર મુકુટ છે. આમુખ કે પ્રસ્તાવનારૂપી આ મુખડામાં બંધારણનો સાર છે .. પ્રજાસત્તાક અને લોકતંત્રને વરેલા આપણા દેશના લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બંધારણ નિર્માતાઓના આદર્શ અને મહાન વિચારોનો પડઘો છે. આમુખ બંધારણને પ્રભાવ અને ગરિમા બક્ષે છે. બંધારણની આ પ્રસ્તાવના અમેરિકી બંધારણથી પ્રેરિત છે તો તેની ભાષા પર ઓસ્ટ્રેલિયન બંધારણના આમુખની અસર વર્તાય છે.

પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણસભામાં રજૂ કરેલા બંધારણના ઉદ્દેશો પર આમુખ રચાયું હતું. બંધારણના ઘડતરની પ્રક્રિયા દરમિયાન લગભગ અંતિમ તબક્કામાં, સત્તરમી ઓકટોબર ૧૯૪૯ના રોજ, બંધારણસભા સમક્ષ આમુખ પ્રસ્તુત થયું હતું. તેના પર સંવિધાનસભામાં ચર્ચા અને મતદાન પણ થયાં હતાં. અને બીજી નવેમ્બર ૧૯૪૯ના રોજ તેને પસાર કરવામાં આવ્યું હતું.

એક પાનાંના અને આશરે સો કરતાં ય ઓછા શબ્દોના આમુખમાં બંધારણનો સ્રોત, રાજ્યનું સ્વરૂપ, ઉદ્દેશ, ભારતની પ્રકૃતિ અને ઓળખ, નાગરિકોના અધિકારો તથા બંધારણની સ્વીકૃતિની તારીખ આલેખાઈ છે. ભારતના લોકોની પ્રતિનિધિરૂપ બંધારણસભાએ બંધારણ ઘડ્યું છે. એટલે આમુખમાં તે અમે ભારતના લોકોએ ઘડેલ અને તેમને જ સમર્પિત હોવાનું જણાવ્યું છે. ભારતના રાજ્યનું સ્વરૂપ કે તેની પ્રકૃતિ આમુખના સાર્વભૌમ, લોકતાંત્રિક, પ્રજાસત્તાક, ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દોમાં વ્યક્ત થાય છે. બંધારણનો ઉદ્દેશ, લક્ષ્ય અને લોકોના મૂળભૂત અધિકારો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ગરિમા અને અખંડતા દ્વારા વ્યક્ત થયાં છે. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભાએ આ બંધારણ સ્વીકાર્યું હોવાનો પણ આમુખના અંતે ઉલ્લેખ છે. ભારતના બંધારણનો અમલ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી આરંભાયો એટલે તે દિવસ પ્રજાસત્તાક દિન કહેવાય છે.

બંધારણસભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે આમુખ પસાર થયું ત્યારે તેને બંધારણનું મહત્ત્વનું અંગ ગણાવ્યું હતું. પરંતુ આમુખ બંધારણનો ભાગ ગણાય કે નહીં તે બાબતે મતમતાંતર હતા. કેટલાક રાજ્યોની વડી અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલતે પણ આમુખને બંધારણનો ભાગ ગણવાનો ઈન્કાર કર્યો હતો. જો કે ૧૯૭૩માં સુપ્રીમ કોર્ટની તેર ન્યાયાધીશોની પૂર્ણ પીઠે બંધારણના ન્યાયિક સમીક્ષા સંબંધી કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં આમુખને બંધારણનો ભાગ ગણ્યો છે. અદાલતે બંધારણના મૂળભૂત ઢાંચાને અસર ન કરતા અન્ય બંધારણીય સુધારાની જેમ અનુચ્છેદ ૩૬૮ હેઠળ આમુખમાં પણ સુધારો થઈ શકે છે તેમ ઠરાવ્યું હતું.

ભારતના સંવિધાનમાં અત્યાર સુધીમાં એકસો પાંચ સુધારા થયા છે. પરંતુ આમુખમાં માત્ર એક જ વખત સુધારો થયો છે. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીના કાળમાં, ૧૯૭૬માં, બેતાળીસમા બંધારણ સુધારાથી આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડતા એ ત્રણ શબ્દોનું ઉમેરણ થયું છે .. ભારતનું રાજ્ય જેમ સંપૂર્ણ સાર્વભૌમ, લોકતાંત્રિક પ્રજાસત્તાક તેમ તે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક પણ હશે. તેવો સુધારો થયો હતો. ઉપરાંત રાષ્ટ્રની એકતાની સાથે અખંડતા શબ્દ ઉમેરાયો હતો.

આમુખમાં થયેલા આ સુધારા અંગે રાજકીય વિવાદ જોવા મળે છે. ખાસ કરીને સોશ્યાલિસ્ટ (સમાજવાદી) અને સેક્યુલર (બિનસાંપ્રદાયિક) શબ્દો કેટલીક રાજકીય વિચારધારાને ખટકે છે. બંધારણસભામાં આમુખની ચર્ચા વખતે આચાર્ય કૃપાલાણીએ તેને ભારતના આધ્યાત્મિકતા અને નૈતિક વ્યવહારના પરિચાયક સમાન ગણાવ્યું હતું. પરંતુ હાલમાં જ જમ્મુ-કશ્મીર અને લદ્દાખની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ પંકજ મિત્તલે બંધારણના આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોથી ભારતની વિરાટ આધ્યાત્મિક છબિ સીમિત થઈ હોવાનો મત વ્યક્ત કર્યો છે.

કેન્દ્ર અને રાજ્યના વર્તમાન સત્તાપક્ષને આમુખમાં ઉમેરાયેલો અખંડતા શબ્દ તેની રાજકીય વિચારધારાને અનુરૂપ હોઈ ગમે છે. પરંતુ સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ સામે વાંધો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી નરેન્દ્ર મોદીના પ્રધાન મંત્રીપદે ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારે તેના પ્રથમ પ્રજાસત્તાક દિન, છવ્વીસમી જાન્યુઆરી ૨૦૧૫ની સરકારી જાહેરખબરમાં બંધારણનું આમુખ તો છાપ્યું હતું, પણ સમાજવાદી શબ્દ કાઢી નાંખ્યો હતો. જ્યારે આ બાબતે વ્યાપક ઊહાપોહ થયો ત્યારે સરકારે બંધારણનું મૂળ આમુખ પ્રસિદ્ધ કર્યાનો લૂલો બચાવ કર્યો હતો. રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત સભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક રાકેશ સિન્હાએ તો આમુખમાંથી સમાજવાદી શબ્દ હઠાવી દેવા રાજ્યસભામાં બિનસરકારી વિધેયક લાવવાની ઘોષણા કરી હતી. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સમાજવાદ નહીં રામરાજ્ય પ્રવર્તતું હોવાનું અવારનવાર જણાવે છે. ભારતીય જનતા પક્ષે તેના મુંબઈના રજત અધિવેશનમાં, અટલબિહારી વાજપાઈના નેતૃત્વમાં, ‘ગાંધીવાદી સમાજવાદ’નો સંકલ્પ રજૂ કર્યો હતો. પણ હવે પક્ષને સમાજવાદ શબ્દ ગમતો નથી !

૨૦૧૬માં અલ્હાબાદ હાઈકોર્ટે આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોને બંધારણીય ઠેરવતો ચુકાદો આપ્યો હોવા છતાં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ શબ્દો આમુખમાંથી કાઢી નાંખવા દાદ માંગવામાં આવી છે. સમાજવાદી શબ્દ લોકોની અપેક્ષા અને આશા વ્યક્ત કરે છે. આમુખમાં સમાજવાદી શબ્દ હોવાથી સામંતી શોષિત સમાજના બદલે સમાજવાદી કલ્યાણકારી સમાજ સ્થાપવા સરકારો બંધારણીય જોગવાઈઓ કરવા બાધ્ય બની શકે છે. આભડછેટ નાબૂદી, સમાનકામનું સમાન વેતન, જમીનદારી, વેઠપ્રથા, બાળમજૂરીની નાબૂદીના કાયદા કદાચ તેને કારણે જ શક્ય બન્યા છે. બીજી તરફ ૧૯૯૧ પછી બજારકેન્દ્રી જે નવી આર્થિક નીતિ દેશમાં અમલમાં છે અને ખાનગીકરણ પૂરજોરમાં છે ત્યારે આમુખમાં સમાજવાદી શબ્દનું હોવું તે દંભ જેવું લાગે છે.

નાગરિક્ના મૂળભૂત અધિકારોમાં ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યા પછી આમુખમાં રાજ્યનું ચરિત્ર ધર્મનિરપેક્ષ હશે તે દર્શાવવા સેક્યુલર શબ્દ ઉમેરીને શું હાંસલ થઈ શકે તેમ છે ? તેવો સવાલ કરાય છે. આજે સેક્યુલર શબ્દ એક ગાળ બની ગયો છે અને તેને વોટબેન્ક પોલિટીક્સ કે લઘુમતી તુષ્ટિકરણ સાથે જોડીને જોવામાં આવે છે. સેક્યુલરની આલોચનામાં નક્સલ, મુસ્લિમપરસ્ત, લેફ્ટ, લિબરલ, સ્યુડો સેક્યુલર જેવા શબ્દો છૂટથી વપરાય છે. સેક્યુલરોની પણ દલીલ છે કે જેમના નિશાના પર સોશ્યાલિઝમ છે તેમનું ખરું નિશાન તો સેક્યુલારિઝમ છે  ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધી હિંદુ દેખાવા મંદિર દર મંદિર પૂજાપાઠ કરવા ફરતા હતા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પછીના તત્કાળ પ્રતિભાવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ‘આ ચૂંટણીના પ્રચારમાં કોઈ રાજકીય પક્ષની તાકાત નહોતી કે તે ધર્મનિરપેક્ષતાની વાત કરે’, એમ જણાવ્યું હતું. આ બંને બાબતો દેશના બે સૌથી મોટા પક્ષનું ધર્મનિરપેક્ષતાના મુદ્દે વલણ છતું કરે છે.

લોકઆકાંક્ષાઓ અને રાજ્યનું ચરિત્ર દર્શાવતું બંધારણનું આમુખ માત્ર શોભારૂપ ન રહે પણ તેના પ્રત્યેક શબ્દો વાસ્તવમાં ચરિતાર્થ પણ થાય તો જ આપણું પ્રજાસત્તાક હોવું સાચું ઠરે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (25)

સુમન શાહ|Opinion - Opinion|9 February 2022

(મારી તબિયત ઝડપથી સુધરી રહી છે, ચિન્તાનું કારણ ટળ્યું છે. સૌ સ્વજનો સ્નેહીઓ મિત્રો FB મિત્રોનો આભારી છું.)

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક – 6 : પરમ્પરાગત ફિલસૂફીમાં … :

સાત હકીકત ધ્યાનપાત્ર છે :

૧ :

ફિલસૂફીએ સદીઓથી ભેદોની ભૂમિકાએ વિચાર્યું છે. ખાસ તો, આટલાં જોડકાંઓમાં – ડાયકોટમીઝમાં – વિચાર્યું છે : દેહ અને આત્મા, ચિત્ત અને શરીર, તર્ક અને ભાવ તેમ જ સ્ત્રી અને પુરુષ.

૨:

એટલું જ નહીં, આ જોડકાંઓમાં, આત્મા કરતાં દેહને ઊતરતી કોટિનો ગણવામાં આવ્યો છે. એ જ રીતે, શરીર કરતાં ચિત્ત, ભાવ કરતાં તર્ક, અને સ્ત્રી કરતાં પુરુષ ચડિયાતાં ગણાયાં છે.

૩ :

ફિલસૂફીના સમગ્ર ઇતિહાસમાં માનવશરીરની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે – તેને માત્ર હાડમાંસનો પિણ્ડ ગણવામાં આવ્યો છે. પરિણામે, સંસારમાં શરીર કે જેથી મનુષ્યનું અસ્તિત્વ છે તેને જ વિશે ઘૃણા અને તિરસ્કાર પ્રસર્યાં છે.

૪ :

શરીર જેમ તુચ્છ મનાયું છે તેમ સ્ત્રી કે જે ગર્ભધારણ કરે છે, જે માનવજાતના અસ્તિત્વ અને સાતત્યનું મહત્ કારણ છે, તેને જ વિશે સંસારમાં હીનભાવ દૃઢ થયો છે, એટલે લગી કે સ્ત્રીને વસ્તુ ગણીને વાપરવાની વૃત્તિ-પ્રવૃત્તિ દૃઢ થયેલી છે, જાણે સ્ત્રી મનુષ્ય જ નથી !

૫ :

પરિણામે, ઉત્તરોત્તર વિચારજગતમાંથી સ્ત્રીને બાકાત રાખવામાં આવી છે. તેનું કશું સ્થાન કે માન જળવાયું નથી.

૬ :

સ્ત્રીને વિશેના આ તુચ્છકારનો સ્ત્રીના જીવન પર ઘેરો પ્રભાવ પડ્યો છે : મનુષ્યના જાતીય જીવનમાં સ્ત્રીને વધુ ને વધુ ભાવે ભોગની વસ્તુ તો ગણવામાં આવી જ પણ તેનાં નગરવધૂ, રૂપજીવીની, રખાત જેવાં સ્વરૂપો પણ પેદા કરવામાં આવ્યાં, જેમાં એના શરીર સિવાય કશાયને લક્ષમાં લેવાયું જ નથી.

૭ :

પરિણામે, પરમ્પરાગત ફિલસૂફી પક્ષિલ અને એકાંગી રહી ગઈ છે.

આ સાતેય હકીકતોના મૂળમાં મોટા મોટા ફિલસૂફોની વિચારસરણીઓએ ભાગ ભજવ્યો છે.

પ્લેટો

જેમ કે, પ્લેટો :

પ્લેટોમાં ‘ફૉર્મ’-નો સમ્પ્રત્યય કેન્દ્રવર્તી છે. તદનુસાર, એમણે ઠસાવ્યું છે કે સત્ય શિવ સૌન્દર્ય કે પ્રેમ, જીવન જીવવા માટેના આદર્શો છે, અને તે માટેનાં ફૉર્મ્સ ચિત્તથી જ સમ્પાદિત કરી શકાય છે, અને તે માટે શરીરથી માણસે મુક્ત થવું જરૂરી છે.

જેમ કે, ભારતીય પરમ્પરામાં, આહાર નિદ્રા ભય અને મૈથુન વિશે જે અંગુલિનિર્દેશ થયો છે તેમાં શરીરને વિશેની મૂળભૂત સમજદારી વ્યક્ત થઈ છે. અને તેમાં પણ નૉંધનીય સમજ એ છે કે શરીરને માત્ર મનુષ્યનું નથી કહ્યું, જીવ માત્રનું કહ્યું છે – આહારનિદ્રાભયમૈથુનમ્ ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ્.

પણ પછી છલાંગ લગાવાઈ છે કે – ધર્મો હિ તેષામધિકો વિશેષો, ધર્મેણ હીના પશુભિ: સમાના: એટલે કે માણસ અને પશુમાં ફર્ક એ છે કે માણસમાં ધર્મની વિશેષતા વધારે હોય છે; અને ધર્મ વિનાને પશુ સમાન ગણવો. મન્તવ્ય એમ બન્યું છે કે માણસ તો પશુથી શ્રેષ્ઠ છે અને તે આ ચાર મૂળ બાબતો પર અંકુશ જો મેળવે, તો એનું ધર્મજીવન શરૂ થઈ જાય.

એ પ્રકારે માનવશરીરને ગૌણ અને અધ્યાત્મસાધનાનું માત્ર સાધન ગણી લેવાયું છે. એ કાજે એમાંથી છૂટી જવાનો મહિમા દૃઢ થયેલો છે.

રેને દેકાર્ત

જેમ કે, રેને દેકાર્ત :

દેકાર્તે ચિત્ત અને શરીર વચ્ચેની ભેદક માનસિકતાને દૃઢ કરી. એમણે શરીર વિનાના ‘હું’-નો ખયાલ નીપજાવ્યો, કહ્યું કે 'હું વિચારું છું, માટે હું છું'. ઇગોનું આ ડિસ્ઍમ્બૉડિમૅન્ટ સૌને ગમી ગયું અને એમના એ કોગિટોએ – એ સમ્પ્રત્યયે – છેક આપણા સમય લગી વિચારજગતનો કબજો કરી રાખ્યો.

દેહ અને આત્મા વગેરે જોડકાંમાંથી જ પ્રસરેલું જોડકું – ડાયકોટમી – છે, વિષયી અને વિષય – સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ અને તે પરથી, સબ્જેક્ટિવિટી અને ઑબ્જેક્ટિવિટી – આત્મલક્ષીતા અને પરલક્ષીતા. પરમ્પરાગત ફિલસૂફીએ આત્મલક્ષીતા પાછળ પોતાનો ઘણો સમય ખરચ્યો છે.

આત્મલક્ષી વિચારણા ‘હું’-ને બાહ્ય જગતથી કાપીને જુએ છે પણ એ હકીકત પરથી ધ્યાન ઊઠી જાય છે કે ‘હું’-ને ઘડે છે જ બાહ્ય જગત ! ‘હું’-માં બાહ્ય જગતે ઘણો મોટો ભાગ ભજવ્યો હોય છે. શુદ્ધ ‘હું’ એક મહામોટી અશક્યતા છે.

અને આ 'હું' તે શું? મનુષ્યશરીર !  મનુષ્યશરીરને પણ બાહ્ય જગતે, પંચમહાભૂતે, સરજ્યું છે, એને જળ વાયુ અગ્નિ આકાશ હમેશાં ઘડે છે, બદલે છે.

આધુનિક ફિલસૂફી ઑન્ટોલૉજિકલ તેમ જ ઍપિસ્ટમોલૉજિકલ બન્ને ક્ષેત્રે માનવશરીરને જ પાયામાં મૂકીને વિચારે છે.

શરીરને પૉન્તિ જગતનું ઍજન્ટ ગણે છે. આ અગાઉના લેખમાં મેં જણાવ્યું કે દેકાર્તના કોગિટોના વિકલ્પે પૉન્તિ ‘બૉડિ-સબ્જેકટ’-નો વિકલ્પ લાવ્યા. મારે ઉમેરવું જોઇએ કે પૉન્તિ અનુભૂતિના સભાન – ખરા – વિષય લેખે શરીરને અંકિત કરનારા પહેલા ફીનૉમિનોલૉજિસ્ટ છે.

મનુષ્યનો વિશ્વ સાથેનો સમ્પર્ક અને સમ્બન્ધ-અનુબન્ધ હમેશાં સેન્દ્રિય હોય છે, શારીર, અને તે સદા હોય છે. સમજાય એવું છે કે જો મને શરીર અને તેમાં ય દસ ઇન્દ્રિયો ન મળી હોત તો વિશ્વ શું છે તે ન સમજાત, ઉપરાન્ત, હું પોતે શું છું તે પણ ન સમજાત.

પૉન્તિ એટલે લગભગ ચીડાઈને કહે છે કે સ્વને અને ચેતનાને ખોપરીના અવકાશમાં ન શોધો ! ચેતના નથી તો ચિત્તમાં, હૃદયમાં કે ક્યાંયે ! એ શરીરની બહાર પણ નથી. એ કંઈ ચીજ નથી કે અમુક સ્થળે પડી રહી હોય ! ચેતના તો શરીર, વાણી અને કાર્યોની આપણા વાતાવરણ વચ્ચે ચાલતી એક આન્તરલીલા છે – ઇન્ટરપ્લે છે.

પૉન્તિ આત્માને શરીરમાં પડેલો hollow કહે છે – પોલાણ. લખે છે કે તેથી શરીર અને આત્મા વચ્ચેના સમ્બન્ધને convex અને concave વચ્ચેના bond રૂપે જોવો જોઈશે; solid vault અને તેનાં hollow forms રૂપે જોવો જોઈશે.

= = =

(February 9, 2022: Ahmedabad)

Plato. Descartes. : Pictures courtesy : Encyclopedia Britanica

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કવિ ‘રાઝ’ નવસારવીના ગઝલસર્જન વિશે

સંધ્યા ભટ્ટ|Opinion - Literature|8 February 2022

આજની ગઝલના પાયામાં પરંપરાની ગઝલ છે, એ વાતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. ગઝલનો જે હુતાશન હમણાં પ્રજ્જ્વળી રહ્યો છે તેમાં કેટલાયે સંનિષ્ઠ ગઝલકારોએ પોતાનું સમિધ આપ્યું છે. કેટલીક વાર એવું બને કે ઘણાં ય નામોનો પુનરોચ્ચાર થતો રહે અને કેટલાંક નામ ભુલાતાં જ રહે. આવું એક નામ છે, કવિ ‘રાઝ’ નવસારવીનું. મૂળ નામ સૈયદ સગીર અહમદ અલીજાન. તા.૯ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ નવસારી મુકામે જન્મેલા અને તેને જ પોતાની કર્મભૂમિ બનાવીને રહેલા આ કવિ વ્યવસાયે શિક્ષક રહ્યા. ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ગઝલસર્જનમાં માતબર એવા ‘રાઝ’ સાહેબ વિશે વાત કરવાનો ઉપક્રમ અહીં છે.

‘ઊર્મિનાં શિલ્પ’ નામે તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ડિસેમ્બર, ૧૯૮૨ માં મળે છે. તેની બીજી આવૃત્તિ ૧૯૯૭માં થાય છે. આ સંગ્રહની પ્રથમ આવૃત્તિમાં સર્વશ્રી ઉશનસ્‌, હરીન્દ્ર દવે, બરકત વિરાણી ‘બેફામ’ અને ‘મરીઝ’નાં નિવેદનો મળે છે. બીજી આવૃત્તિમાં ચંદ્રકાન્ત પંડ્યા, ભગવતીકુમાર શર્મા, મુસાફિર પાલનપુરી, હનીફ મહેરી અને અદમ ટંકારવીએ તેમની ગઝલો વિશે લખ્યું છે. એક મરમી ગઝલકાર તરીકે તેમણે ઉપાસેલી ગઝલ-ખેવનાને સૌની દાદ મળી છે. ભગવતીકુમાર શર્મા ‘રાઝ’ની ગઝલને શબરીનાં ચાખી ચાખીને નાણેલાં બોર સાથે સરખાવે છે. ‘મુશાયરામાં વાહ વાહ થાય તે માટે તેમણે ગઝલનું ધોરણ કદી નીચું રાખ્યું નથી’, એમ કહેતા ચંદ્રકાન્ત પંડ્યા એમને ‘ચીંથરે વીંટેલું રતન ’કહે છે અને અદમ ટંકારવી કહે છે કે તેમના આ શેરને શ્રોતાઓ સમક્ષ વારંવાર રજૂ કરવો પડે :

તારા મિલનની શક્યતાઓ જીવંત રાખવા
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા

હનીફ મહેરી આ જ આવૃત્તિમાં તેમના ચુનંદા શેરની આખી યાદી આપે છે. હરીન્દ્ર દવે કહે છે, ‘ગઝલ તર્કગમ્ય નથી પણ લાગણીથી પામી શકાય એવી છે એની પ્રતીતિ ‘ઊર્મિનાં શિલ્પ’માં આપણને ઠેર ઠેર મળે છે. ’(પૃ. ૨૨, ’ઊર્મિનાં શિલ્પ’, બીજી આવૃત્તિ)

તેમના આ પ્રથમ સંગ્રહમાં પ્રચલિત રદીફ-કાફિયાથી નવીન અર્થ પ્રગટાવવામાં તેમનો કલા-ઉન્મેષ પ્રગટ થતો જોવા મળે છે. શબ્દ પ્રત્યેની તેમની જિકર આ શેરમાં કેવી પ્રગટ થઈ છે તે જુઓ :   દુનિયા તો મારે માટે નિરાકાર થઈ ગઈ

છે આંખ સામે ફક્ત એક આકાર શબ્દનો (પૃ. ૩૧)

‘કોણ માનશે’ની પ્રચલિત રદીફમાં તેમણે કરેલું કામ જુઓ.

શ્રદ્ધાને મારી જેના થકી બળ મળી ગયું
એ એમના નકાર હતા કોણ માનશે?
  (પૃ. ૩૭)

ધર્મ અને સંપ્રદાયને લીધે થતી ગૂંચવણ અને ભીડને લઈને કવિ કહે છે,

સૂઝયું જ નહીં ‘રાઝ’ કયા રાહથી જવું
રસ્તા ઘણા જતા હતા તે ઘરની આસપાસ (પૃ. 38)

જીવનમાં દુ:ખની પણ મહત્તા છે એમ સ્વીકારતાં કવિ લખે છે,

કહેવાય છે કે સ્વર્ગમાં સુખ વિણ કશું નથી
માફક શી રીતે આવશે ત્યાંની હવા મને ?
(પૃ. 41)

કવિની ફકીરી બતાવતો આ શેર જુઓ

એથી વધુ જરૂર નથી એનું ભાન છે,
નીચે ધરા છે માથા ઉપર આસમાન છે.
(પૃ. 48)

‘મને ખ્યાલ પણ નથી’ ,’મને કંઈ ખબર નથી’, ‘રસ્તો’, ‘શું થશે?’, ;મુકદ્દરની વાત છે’, જેવા જાણીતા રદીફ અને પરંપરાના ગઝલકારો દ્વારા વપરાયેલા કાફિયાને ઉપયોગમાં લઈને પણ આ કવિ નિજી મિજાજ પ્રગટાવવાનો પ્રયત્ન આદરે છે, જે પરંપરાને આત્મસાત કરવાની તેમની ખેવના બતાવે છે. પરંતુ નોંધવાનું એ છે કે આ તો કવિની શરૂઆત છે. ઊર્મિનાં શિલ્પ કંડારવાની શરૂઆત કરતા આ કવિ ત્યાર પછી ઊર્મિની ઇમારત ખડી કરવા સુધી પહોંચ્યા છે, જે તેમની ગઝલનિષ્ઠા બતાવે છે. તેથી જ તેઓ લખે છે,

         જીવિત છે મારા ઉરમાં તપસ્વીની આસ્થા
         બહાનું તમારી પાસ છે કેવળ કદાચનું
         નીકળ્યો છું ખાલી હાથ ઉઘાડા ચરણ લઈ
         જોવું છે ‘રાઝ’ કેટલું છે બળ કદાચનું   
      (પૃ. 87)

ગઝલશાસ્ત્રની પૂરી જાણકારી,ભાષા પરનું પ્રભુત્વ, ઊર્મિશીલ ભાવજગત, સર્જકસભાનતા, સાધના, સંયમ, નિસ્બત તથા કાવ્યત્વને સિદ્ધ કરવા તરફની ગતિને સાથે રાખીને આ કવિએ ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. પોતે જેટલું લખ્યું તે બધું જ સંગ્રહમાં સમાવવાનું તેમનું વલણ નથી. વિપુલ પ્રમાણમાં લખતા સર્જકોમાં તેમની ગણના ન થાય તો કઈ નહીં, પણ તેઓ પોતે પસંદ કરેલી કેડી પર જ ચાલ્યા છે.

ઇ.સ. 2000માં તેમની પાસેથી ‘ઊર્મિનાં મોતી’ નામે સંગ્રહ મળે છે, જેમાં સો મુક્તકો અને એંશી તઝમીન સંગ્રહાયા છે. તેમના સમકાલીન કવિ સ્વ. મનહરલાલ ચોક્સીનું નિવેદન તેમાં મળે છે, જેમાં તગઝ્ઝુલ અને તસવ્વુફ બંને રંગને ન્યાય આપતા એક મુક્તક તરફ તેઓ આપણું ધ્યાન ખેંચે છે :

                 હું ય જાણું છું એ નથી સહેલું 
                 પામવું એને એક સમસ્યા છે
                 દિલના ઊંડાણમાંથી પ્રગટેલી
                 કિંતુ મારી એ તીવ્ર ઇચ્છા છે 
   (પૃ. 19)

પ્રણયરંગનું દેખાતું અને અધ્યાત્મરંગથી રસાયેલું આ મુક્તક કવિની ભીતરની મથામણને બરાબર પ્રગટ કરી રહે છે.

કવિની ભાવનાશીલતા આ મુકતકમાં કેવી પડઘાય છે !

   ક્યાં કોઈ એક બનાવ બોલે છે
   આયખાનો અભાવ બોલે છે
   આજ સંયમની વાત ના કરશો
   લાગણીનો ઝુકાવ બોલે છે 
     (પૃ. 35)

ગઝલમાં અપેક્ષિત છે તે વેધકતા તેમની ઘણી રચનાઓમાં જોવા મળે છે.

    મનને ગમે ના એવી હવા હોઈ પણ શકે
    માણી શકો તો એની મઝા હોઈ પણ શકે
    એની અસર થયા વિના કે’વાય ના કશું
    જેને ગણો છો ઝેર, દવા હોઈ પણ શકે  
     (પૃ. 41)

તઝમીન એ કાવ્યનું એવું સ્વરૂપ છે, જેમાં બીજા ગઝલકારની ભોંય પર પોતાની સુગંધ પ્રગટાવવાની હોય છે. આ પ્રકારમાં સફળતા સર કરવાનું સૌનું ગજું નથી. ‘રાઝ’સાહેબે મરીઝ, શયદા, સૈફ, ગનીથી માંડીને રઈશ મનીઆર સુધીના શાયરો પર અને તે ય તેઓના જાણીતા શેર પર સફળતાપૂર્વક તઝમીન કરી છે.

કવિ અદમ ટંકારવીના શેરની કેવી બખૂબી તઝમીન તેમણે કરી છે !

       લાગશે તમને અતિશયતા ઘણી
       કિંતુ ઘટના એ ચમત્કારી હતી
       તે હતી એક દિલની મીઠી છોકરી
       જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
      લીમડાની ડાળ મીઠી થઈ ગઈ 
      (પૃ. 62)

મૂળ કવિના શેરને ગળે લગાડીને જ તઝમીન થઈ શકે જે તેમણે કુશળતાપૂર્વક કરી બતાવ્યું છે. મરીઝ સાહેબના શેરને અર્થસઘન બનાવતી આ તઝમીન પણ જોઈએ :

      હું જ પોતાને વહન કરતો રહું
      કોણ છે મારા સમું જેને કહું
      કોઈ કેડી પણ નથી કે ત્યાં વળું
      લાખ ચિંતામાં છું હું કોને મળું?
      સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા 
    (પૃ. 46)

ગઝલના માર્ગ પર ત્રીજા પડાવરૂપે મળે છે તેમનો સંગ્રહ ‘ઊર્મિની ઈમારત’. લગભગ પંચ્યાશી જેટલી રચનાઓ અહીં મળે છે. કવિ ઉશનસ્‌ અને જયંત પાઠકની પ્રસ્તાવના ધરાવતા આ સંગ્રહમાં કવિ અઝીઝ ટંકારવી પણ પોતાનો સ્વર ઉમેરે છે. ‘રાઝ’ સાહેબનો આ શેર જુઓ :

    કોઈ મરમી આંખ વાંચે એટલી આરત રહી
    બસ અઢી અક્ષર લઈને ઉંબરે બેઠા છીએ.
   (પૃ. 21)

જુદું કરી બતાવવા માટેની મહાત્ત્વાકાંક્ષાનો અભાવ, અંતર્મુખી સ્વભાવ તથા માત્ર અને માત્ર શબ્દની જ ઉપાસના કરવાની તત્પરતાને કારણે તેઓ નેપથ્યમાં જ રહ્યા. આમ છતાં ગઝલવિશ્વના મંચ ઉપર તેમનું પ્રદાન ઉવેખી શકાય નહીં. અનુભૂતિની સચ્ચાઈ, અધ્યાત્મરંગ, અર્થગાંભીર્ય, બળકટ કથયિતવ્ય, પૌરાણિક સંદર્ભો, ગઝલને અનુરૂપ અદબ તથા વ્યક્તિત્વની ગુણસંપત્તિને પ્રગટ કરતાં વિચાર અને શૈલીથી તેમની ગઝલો સોહે છે. કેટલાક શેર જોઈએ :

એક પરપોટાનું આયુ કેટલું ?
જિંદગીનો મર્મ સત્વર વાંચીએ   (પૃ. 28)

કોઈ થાકેલો મુસાફર બે ઘડી તો માણશે
ફૂલ ને ફોરમ લઈને રાહમાં ઊભા છીએ    (પૃ. 29)

માનવીના વેશમાં સામે હજારો જણ હતાં
સત્ય એ છે, માનવીના અર્થમાં બે-ત્રણ હતાં   (પૃ. 33)

આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા
લોકની નજરોમાં હું મશહૂર થાતો જાઉં છું.  (પૃ. 34)

‘રાઝ’ આખી જિંદગી વીતી ગઈ
એ હતી એના ભરોસાની મઝા    (પૃ. 60)

એ પ્રતિભા વિશ્વમાં સૌ કોઈને મળતી નથી
તું નથી ને સૌને તારી ભવ્યતા લાગ્યા કરે    (પૃ. 68)

એ નહીં ઓળંગે તારી પ્રેમરેખાને કદી
‘રાઝ’ સામે રોજ સોનાના હરણની વાત છે    (પૃ. 69)

પોતાના આયુષ્યના આઠ્મા દાયકામાથી પસાર થતાં ગઝલસાધનામાં રાત એવા આ કવિનું વિસ્મય હજી પણ અકબંધ છે. તેઓ કહે છે :

    કોઈ બાળક જેમ હું બેસું સમયની રેત પર,
    વાયરાની ભાત દોરાયા ને ભૂંસાયા કરે     (પૃ. 47)

થોડા સમય પહેલાં જ ‘અમૃત ઘાયલ એવોર્ડ’ જેમને અર્પણ થયો છે એવા આપણાં ‘રાઝ’ સાહેબને અભિનંદન આપીએ.

(પ્રગટ : “કવિલોક”, નવેમ્બર-ડિસેમ્બર 2012)

e.mail : sandhyanbhatt@gmail.com

Loading

...102030...1,6041,6051,6061,607...1,6101,6201,630...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved