Opinion Magazine
Number of visits: 9745558
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોધી અવતાર હતો તે અત્યારે વિલન બની ગયો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2022

શ્રીલંકાના વડા પ્રધાન, એક સમયના પ્રમુખ, શ્રીલંકાના તારણહાર, સર્વેસર્વા અને ઈશ્વરના અવતાર ગણાતા મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું છે. રાજીનામું લોકોના ડરથી અને લોકોને શાંત પાડવા આપવું પડ્યું છે. બે દાયકા સુધી બેવકૂફ બન્યા પછી લોકોને હવે આર્થિક હાલાકીથી રાહત જોઈએ છે અને રાજપક્સ પરિવાર એ આપી શકવાની સ્થિતિમાં નથી. પરિવાર એટલા માટે કે તેમના પરિવારના એક ડઝન લોકો શાસક છે, અર્થાત્ સરકારમાં છે. આવો નાગો સગાવાદ ક્યાં ય જોવા મળ્યો નથી.

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં લોકો કેટલાક દિવસથી રાજપક્સબંધુઓનું રાજીનામું માગવા આંદોલન કરી રહ્યા છે. લોકોની માગણી એવી છે કે રાજપક્સેની સરકારે રાજીનામું આપવું જોઈએ અને બીજા કોઈ નેતાના વડા પ્રધાનપદ હેઠળ સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકાર રચાવી જોઈએ. તો અને તો જ આર્થિક સંકટનો અંત આવી શકે. તેમને રાજપક્સે ઉપર હવે ભરોસો રહ્યો નથી. રાજપક્સેના નાનાભાઈ ગોટાબાયા રાજપક્સે શ્રીલંકાના પ્રમુખ છે, પણ ખરો નેતા અને ખરો વિલન તો મોટોભાઈ મહિંદા છે. ગોટાબાયા શ્રીલંકાના લશ્કરમાં હતા. ૧૯૯૮ની સાલમાં તેઓ લશ્કરમાંથી સ્વૈછિક નિવૃત્તિ લઈને અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યાં તેમનો મોટો ધંધો છે અને અમેરિકન નાગરિકત્વ પણ મેળવ્યું છે. ૨૦૦૫ની સાલમાં મોટાભાઈ મહિંદા રાજપક્સ શ્રીલંકાના પ્રમુખ બન્યા એ પછી તેમણે નાનાભાઈને અમેરિકાથી બોલાવી લીધા હતા અને સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા.

ગણતરી બહુ સાદી હતી. શ્રીલંકાની બહુમતી પ્રજા બૌદ્ધ સિંહાલીઓને ભારતના તામિલનાડુમાંથી ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાં વસેલા હિંદુ તમિલો આંખે દીઠ્યા ગમતા નથી. આપણે ત્યાં કેટલાક હિંદુઓ મુસલમાનો માટે જેટલી નફરત ધરાવે છે એટલી નફરત તેઓ તમિલો માટે ધરાવે છે. મહિંદા રાજપક્સે વિચાર્યું હતું કે જો બે દાયકાથી ચાલી રહેલા તમિલ અલગતાવાદી આંદોલનકારીઓને કચડી નાખવામાં આવે તો દાયકાઓ સુધી રાજપક્સે પરિવારનો સૂર્ય આથમવાનો નથી. બૌદ્ધ સિંહાલીઓ એક સદીથી હારેલા, ઓશિયાળા અને જીવન માટે યાચના કરનારા દયાજનક સ્થિતિમાં હોય એવા તમિલોને જોવા માટે તરસે છે. તેમને એવા તમિલોના દર્શન કરાવી દેવા જોઈએ અને પછી જુઓ સાતમાં આસમાને રહીને કેવી રીતે શ્રીલંકા ઉપર રાજ કરી શકાય છે.

તેમણે તેમના નાનાભાઈને અમેરિકાથી પાછા બોલાવ્યા અને તેને સંરક્ષણ પ્રધાન બનાવીને બેરહમીથી તામિલોને વધેરી નાખ્યા. માત્ર અલગતાવાદી આંદોલનકારીઓની હત્યા નહોતી કરી, પણ તમિલોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. એવો નરસંહાર કે હિટલરના જર્મનીની યાદ અપાવે. યોગ્ય રીતે જ યુનોમાં શ્રીલંકા સામે નિંદાના પ્રસ્તાવ આવ્યા હતા અને પાસ પણ થયા હતા.

પણ અત્યારે એ જ રાજપક્સબંધુઓ સામે આંદોલન ચાલી રહ્યું છે. સમય બડા બલવાન! રાજપક્સ અસહિષ્ણુ માણસ છે. કોઈ અવાજ ઉઠાવે, પ્રશ્ન કરે, વિરોધ કરે એ તેમને ગમતું નથી ત્યાં રસ્તા ઉપરનું આંદોલન તો બહુ દૂરની વાત છે. વિરોધીઓનો ઈલાજ એ તેમની રીતે કરે છે અને એમાં ગુંડાગીરીનો પણ સમાવેશ થાય છે. તેમનો ફંડા બહુ સિંપલ હતો. અવાજ ઉઠાવે એને દેશદ્રોહી ઠરાવવાના અને પછી ગુંડાઓને હવાલે કરી દેવાના. જ્યારે બહુમતી પ્રજા સાથે હોય તો મર્યાદા પાળવાની જરૂર જ ક્યાં છે! પણ આ વખતે રાજપક્સેનાં રાજીનામાં બહુમતી સિંહાલીઓ માગી રહ્યા છે અને રાજપક્સેએ તેમનો એ ઈલાજ બહુમતી પ્રજા સામે કર્યો અને બાજી વણસી ગઈ. સોમવારે રાજપક્સેના ગુંડાઓએ આંદોલનકારીઓ (જેને સત્તાવાર રીતે રાજપક્સેના સમર્થકો કહેવામાં આવે છે) ઉપર હુમલો કર્યો અને મામલો વણસી ગયો. લોકોએ મહિંદા રાજપક્સેના મકાન ઉપર હુમલો કર્યો અને આગ ચાંપી. બીજા કેટલાક પ્રધાનોના અને શાસક પક્ષના સંસદસભ્યોનાં મકાનોને આગ લગાડવાનું શરૂ કર્યું. મહિંદા રાજપક્સે પહેલા તો હવામાં ગોળીબાર કરીને આંદોલનકારીઓને ડરાવવાની કોશિશ કરી, પરંતુ આ વખતે લોકો વિફરેલા હતા. મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું.

એની વચ્ચે મંગળવારે વાત વહેતી થઈ કે મહિંદા રાજપક્સેને અને તેમના પરિવારને ત્રિંકોમાલીમાં આવેલા શ્રીલંકન નૌકાદળના નૌકામથક પર લઈ જવાયા છે એટલે લોકો ત્યાં જમા થવા લાગ્યા. અત્યારે સ્થિતિ એવી છે કે રાજપક્સે પરિવારના સભ્યો દેશ છોડીને જતા ન રહે એ માટે લોકો (બહુમતી બૌદ્ધ સિંહાલીઓ) વિમાનમથકો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. એમ કહેવાય છે કે પોલીસ પણ આંદોલનકારીઓને મદદ કરી રહી છે. રાજપક્સેની દાયકાઓ સુધી અસ્ત નહીં થનારી સત્તા અને રાજકીય વગ તો બાજુએ રહી, જીવ બચાવવો પણ મુશ્કેલ પડી રહ્યો છે.

આમ કેમ બન્યું? જે લોકો આંદોલન કરી રહ્યા છે એ લોકો શ્રી લંકન તમિલ, મુસલમાન કે બીજી લઘુમતી કોમના નથી; બહુમતી બૌદ્ધ સિંહાલીઓ છે જે હજુ હમણાં સુધી રાજપક્સેના ભક્ત હતા. ભક્ત એટલે એવા ભક્ત કે બુદ્ધિપૂર્વકની તો છોડો, તેમના હિતની વાત પણ સાંભળવા તૈયાર નહોતા. કારણ એ હતું કે રાજપક્સે અલગ તામિલ ભૂમિ માગનારા તમિલોને નિર્દયતાપૂર્વક કચડી નાખ્યા હતા, તમિલોને તેમની જગ્યા બતાવી દીધી હતી અને અન્ય લઘુમતી કોમને ઇશારામાં જણાવી દીધું હતું કે સખણા રહેવામાં માલ છે. શ્રીલંકા બૌદ્ધ સિંહાલીઓનો દેશ છે અને અન્ય દરેક કોમે આ વાસ્તવિકતા સ્વીકારીને દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવવાનું છે. સિંહાલીઓ રાજપક્સેની નિર્દયતાને વીરતા તરીકે જોવા લાગ્યા. સિંહાલીઓને ખુમારીનો અહેસાસ થયો. તેઓ તેમને ઈશ્વરનો અવતાર માનવા લાગ્યા. રાજકીય નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે સાંઠગાંઠ હોય છે એટલે બૌદ્ધ ભીખુઓ અને બૌદ્ધપંચાયતો મહિંદા રાજપક્સેનું સન્માન કરીને તેમને બોધીઅવતાર તરીકે સ્થાપિત કરતા હતા. મહિંદા જ્યાં જાય ત્યાં સિંહાલીઓ કિકયારીઓ દ્વારા અભિવાદન કરતા હતા. રાપજપક્સે લોકપ્રિયતાની ઉંચાઈએ હતા અને પોતે સાતમાં આસમાને જીવતા હતા. એક દિવસ વખત બદલાશે તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી!

ક્રૂરતા, અન્યાય, પ્રજાકીય વિગ્રહ, તાનાશાહી, જૂઠ અને લોકોને (સિંહાલીઓ વાંચો) ગમે એવું મનભાવન રાજકારણ (પોપ્યુલિસ્ટ પોલિટીકસ) ઉપર રાજપક્સેનો ભરોસો હતો. એમાં તેમણે આર્થિક બાબતો ઉપર ધ્યાન નહોતું આપ્યું અને એવી તેમને જરૂર પણ નહોતી લાગી. ઊલટું એવાં આર્થિક સાહસો કર્યા કે અર્થતંત્ર ખાડે ગયું. શ્રીલંકાનાં અર્થતંત્રમાં પર્યટનવ્યવસાયનો હિસ્સો ઘણો મોટો છે અને કોવીડના કારણે વિદેશીઓ આવતા બંધ થયા. ઓછામાં પૂરું રસાયણ ખાતર ઉપર પ્રતિબંધ મુક્યો અને જૈવિક ખેતી ફરજિયાત કરી. એને કારણે કૃષિ ઉત્પાદન ઘટી ગયું. અત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. વીજળી તેર તેર કલાક સુધી મળતી નથી. બેરોજગારી વિકરાળ છે. સિંહાલીઓ માટે જે માણસ હજુ ગઈ કાલ સુધી ભગવાન હતો, બોધીઅવતાર હતો એ અત્યારે વિલન બની ગયો.

કવિન્યાય જુઓ! ભારતનું તમિલોનું રાજ્ય તામિલનાડુ આજે શ્રીલંકાને અનાજની સહાય કરી રહ્યું છે અને રાજપક્સેબંધુઓ તામિલનાડુના ઓશિંગણ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 મે 2022

Loading

મન્તવ્ય-જ્યોત — 4

સુમન શાહ|Opinion - Literature|12 May 2022

જ્યોત ૪ : સાહિત્ય મૂળે તો કહેવા અને સાંભળવા માટે છે.

માણસ લખે ત્યારે તેમ જ ટાઇપ કરે ત્યારે પણ લ-ખે જ છે. સવાલ એ છે કે એ લ-ખે છે શું? શબ્દો, વાક્યો, ભાષા. ભાષ્ = બોલવું = વાણી. માણસ વાણી લખે છે. વળી, આપણે જાણીએ છીએ કે બોલાયેલું સાંભળવા માટે હોય છે. તેથી ભાષા અથવા વાણી કથન માટે છે તેમ શ્રવણ માટે પણ છે.

વાણીના અનેક ગુણો છે. વાણી ક્રિયા છે, જીવન્ત ઘટના છે. એથી સંક્રમણ તુરન્ત થાય છે, કેમ કે વાણીમાં તત્ક્ષણતાનો ગુણ છે. વળી, વક્તા હાજર હોય, એ બોલતો હોય, તે દરમ્યાન એના સૂરમાં ક્યાંક ‘મહાપ્રાણત્વ’ ભળ્યું હોય, ક્યાંક ‘સ્વરભાર’ મુકાયો હોય, ક્યારેક ‘કાકુ’; વગેરે વગેરે વાણીનાં સુપ્રાસૅગ્મૅન્ટલ તત્ત્વો પણ એની વાણીમાં પ્રગટતાં હોય છે.

દાખલા રૂપે, કશા પૂર્વાનુબન્ધ વગર લખાયું હોય કે – ‘તું આવીશ.’ બોલનારે ઝખ્યું હોય કે જેને પોતે ‘તું’ કહે છે એણે જ આવવાનું છે. એણે ‘તું’ પર ભાર મૂક્યો હોય એટલે સાંભળનાર તો સમજે જ કે પોતે, ન કોઈ બીજું. પણ એ ભાર ‘તું આવીશ’ લખાણમાં ન દેખાય. મતલબ, લિપિ બધાં જ સુપ્રાસૅગ્મૅન્ટલ તત્ત્વો નથી દર્શાવી શકતી. એ દૃષ્ટિએ તો ગમે તેટલી સમર્થ લિપિને પણ અપૂર્ણ ગણવી જોઇશે.

વાણીનાં એ બધાં સહજ અથવા જન્મજાત ગુણલક્ષણો છે.

લેખન દરમ્યાન એ ગુણલક્ષણોને જ વીસરી જઇએ તો શું થાય? હસ્તાક્ષર મોતીના દાણા જેવા હોય પણ કશું જો ‘કહેતા’ ન હોય તો દાણા મોતીના ખરા પણ મૃત હોય છે. લેખકની ઘણાં પાનાંની હસ્તપ્રત ચૅંકા વિનાની નરી સ્વચ્છ હોય પણ જો કશું ‘કહેતી’ ન હોય તો એ કાગળિયાં કે ફરફરિયાંથી વિશેષ નથી. પૂછતાં, એટલે કે વાતચીત કરતાં, પણ્ડિત થવાય છે અને લખતાં, લહિયો થવાય છે. બને કે લહિયો થઈ ગયેલો જણ હમ્મેશને માટે એમાં જ ફસાયેલો રહે.

આ દૃષ્ટિદોર અનુસાર, સાહિત્ય પણ કહેવા-સાંભળવા માટે છે. લેખક લખે છે ત્યારે મનોમન પોતાને સાંભળતો ચાલે છે. તોલ બાંધે છે કે – આટલે લગી લખાયું તે બરાબર છે, અથવા નથી. લખાણ વિશેની હરેક શંકાના મૂળમાં દબાણ એ હોય છે કે બરાબર કહેવાયું નથી, સુધારવું જોઈશે, ઉકલે, સંભળાય, એવું કરવું જોઈશે.

લેખનની બિલ્ટ-ઇન શરત વાચન છે. પણ વાંચવું એટલે? ઉકેલવું. લખ્યા પાછળના અર્થને ઉકેલતાં ઉકેલતાં પામવો. મા કે શિક્ષક બાળકને ‘મોટેથી વાંચ’ એમ કહે છે ત્યારે લખેલું સાંભળવા કહે છે. કશુંક સ્મૃતિમાં સાચવી લેવું હોય ત્યારે એને ગોખીએ છીએ. ગોખીએ ત્યારે મનમાં કે મોટેથી વારંવાર બોલીએ છીએ ને સાંભળીએ છીએ.

ગુજરાતી ભાષામાં ‘સ’ ‘શ’ અને ‘ષ’ છે. હવે, જો પહેલેથી જ સગાં, મિત્રો કે પ્રિયા ‘સુભાશ સાહ’ કે ‘શુભાશ સાહ’ બોલતાં હોય, તો એ બાપડો ‘સુભાષ શાહ’ કેટલાને સુધારે? એનો તો જનમારો ખરચાાઈ જાય ! ગુજરાતી ભાષા આજકાલ અશુદ્ધ લખાય છે, જોડણી કે વ્યાકરણનાં ઠેકાણાં નથી હોતાં, એ અનવસ્થાના મૂળમાં શું છે? આવાં અશુદ્ધ ઉચ્ચારણો ! અને તેનાં ય કારણમાં અરધાંપરધાં અને ખોટાં શ્રવણો !

ચોખ્ખું બોલતો ન હોય, ચોખ્ખું સાંભળતો ન હોય, એ ચોખ્ખું શી રીતે લખવાનો હતો?

બાકી, ‘ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારાં કામ …’ એ શું અમસ્તુ વાંચી જવા માટે છે? ના, ધ્યાનથી કહેવા-સાંભળવા માટે છે, ને પછી, ગાવા માટે પણ છે. બીજી રીતે કહેવાય કે, વાણીની શરતે બંધાવા માટે છે. આપણે સભાનપણે કે અભાનપણે વાણીની દિશામાં સંચરીએ છીએ.

આ બધી શાસ્ત્રીય પંચાત શેને માટે કરી? એટલા માટે કે સાહિત્ય ભલે લખાય-વંચાય, પણ સાહિત્યકારોએ જોવું જોઇશે કે પોતાની રચનામાં કહેવા-સાંભળવાના ગુણ ભળ્યા છે કે કેમ; અને બરાબર રસાઇ ગયા છે કે કેમ; પોતાની રચનાની તળ ભૂમિ વાણી છે કે કેમ.

કેમ કે વાણીના તળ વિનાનું લખાણ ખખડે છે, નમાલું ઠરે છે. તપાસીશું તો જણાશે કે આપણા સશક્ત અછાન્દસકારોની પણ કેટલીક રચનાઓ ખખડતી છે.

એ કસોટી છે. એ કસોટીએ સરજાતા સાહિત્યના ય તોલમોલ કરીએ.

= = =

(May 11, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

‘મીરા’ 16મી સદીનો વિદ્રોહ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 May 2022

રાણા ભોજરાજ : “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”

મીરા : “જો સ્વામી સે હોના ચાહિયે.”

રાણા : “ઔર હમસે?”

મીરા : “આપ તો મેરે રાણા હો.”

•

હેમા માલિનીને એક રંજ રહી ગયો છે કે લતા મંગેશકરે તેમની ફિલ્મ “મીરા”નાં ભજનોને તેમનો અવાજ ન આપ્યો. સ્વરસામ્રાજ્ઞીના અવસાન પછી એક ઇન્ટરવ્યૂમાં ડ્રીમ ગર્લે કહ્યું હતું કે, “નિર્માતા પ્રેમજીએ મારી અને ધરમજી સાથે હીટ ફિલ્મો બનાવી હતી અને મેં તેમને મીરાબાઈનો વિષય સૂચવ્યો હતો. તેનું નિર્દેશન કરવા માટે મેં જ ગુલઝાર સાથે વાત કરી હતી. મારી ઈચ્છા હતી કે લતાજી તેનાં ભજનો ગાય. લતાજી પૂરી કારકિર્દીમાં મારો અવાજ રહ્યાં છે અને હવે હું જ્યારે મારી સૌથી ગમતી ભૂમિકા કરી રહી હતી ત્યારે તેમણે ના પાડી. મેં જાતે તેમને કહ્યું હતું કે તમે નહીં ગાવ તો મીરાબાઈ કી આવાજ નહીં હોગી. તેમણે નમ્રતાથી ના પાડી.” કેમ?

એક બીજા ઇન્ટરવ્યૂમાં લતાજીએ તેનો ખુલાસો કરતાં કહ્યું હતું, “મેં મારા ભાઈ હૃદયનાથ મંગેશકર સાથે ‘ચલા વહી દેશ’ આલ્બમમાં મીરાનાં ભજન ગાયાં હતાં. એટલે મેં નક્કી કર્યું હતું કે હું બીજા કોઈ માટે એ નહીં ગાઉં.” એ પછી વાણી જયરામ પાસે ફિલ્મનાં ભજનો રેકોર્ડ કરવામાં આવ્યાં અને વાણીને “મેરે તો ગિરધર ગોપાલ” માટે સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં કુલ બાર ભજન હતાં. હેમા કહે છે કે વાણી સુંદર ગાયિકા છે, પણ તેનો અવાજ મારા માટે અનુકૂળ નહોતો. લતાજીએ મીરામાં મારા માટે ન ગાયું તેનો મને વસવસો છે. ગુલઝાર જો કે લતાજીએ કેમ ન ગાયું તેનું થોડુંક જુદું કારણ આપે છે, પણ તેની વાત પછી કરીએ.

“મીરા” 25 મે 1979ના રોજ રિલીઝ થઇ હતી. “મીરા”માં, એક બાજુ ૧૬મી સદીના એક રાજસ્થાની રજવાડામાં શાહી વ્યૂહરચનાઓના ભાગ રૂપે અટપટી ગોઠવણો અને સમજૂતીઓ હતી તો બીજી તરફ એના કેન્દ્રમાં રહેલી રાજપૂતાણી મીરા બાઈનો વિદ્રોહ હતો. ગુલઝાર મીરાને પૌરાણિક મીથ રૂપમાં નહીં, એક ઐતિહાસિક રૂપમાં જુએ છે અને મીરાને પહેલી આઝાદ નારી ગણે છે, જે તેની નિયતિ ખુદ પસંદ કરે છે.

ફિલ્મ પત્રકાર અનુરાધા ચૌધરી સાથેની એક મુલાકાતમાં ગુલઝાર કહે છે, “આ ફિલ્મ બનાવવા માંગતો હતો તેનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે 1981ના વર્ષને મહિલા મુક્તિ વર્ષ તરીકે મનાવવામાં આવવાનું હતું. હું મીરાને દેશની પહેલી મુક્ત નારી તરીકે જોઉં છું. તેનામાં ઊંચું આત્મસન્માન હતું, તે જ્ઞાની હતી, બુદ્ધિશાળી હતી, કવયિત્રી હતી અને તેણે તેના પતિનો ધર્મ સ્વીકારવાની ના પાડી દીધી હતી.”

મીરાની ખ્યાતિ એક આધ્યાત્મિક ભકત તરીકેની છે, પણ ગુલઝારને તેના અસલી જીવનમાં રસ હતો. એ કહે છે, “દેખીતી રીતે જ, હું વાર્તામાં આધ્યાત્મિક તત્ત્વ તો રાખવા માંગતો જ હતો, પરંતુ મારે મીરાની માઈથોલોજીક્લ છબીમાં ઔર રંગ પૂરવા નહોતા. હું એક ઐતિહાસિક ફિલ્મ બનાવવા માંગતો હતો જેમાં ઉચિત સંદર્ભો હોય. મેં જ્યારે મીરા વિશે સંશોધન શરૂ કર્યું તો મારા આશ્ચર્ય વચ્ચે કશું જ ઉપલબ્ધ નહોતું. એ ૪૦૦ વર્ષ પહેલાં જ જીવી ગઈ હતી, પણ ભારતમાં લેખિત ઇતિહાસની પરંપરા જ નથી, આપણી મૌખિક પરંપરા છે. મને કર્નલ ટોડના પુસ્તક “હિસ્ટ્રી ઓફ રાજસ્થાન”માં બધી જ વિગતો મળી ગઈ.”

“મીરા” પીરિયડ ફિલ્મ હતી, પણ તેની માવજત આધુનિક હતી. ફિલ્મમાં એક જગ્યાએ મીરાનો પતિ રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) તેના કૃષ્ણપ્રેમ અંગે પૂછે છે, “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”

મીરા જવાબમાં કહે છે, “જો સ્વામી સે હોના ચાહિયે.”

રાણા પૂછે છે, “ઔર હમસે?”

મીરા કહે છે, “આપ તો મેરે રાણા હો.”

૧૬મી સદીની એક સ્ત્રી કેવી રીતે તેના પતિ સાથે સામાજિક સંબંધ નિભાવવા તૈયાર છે, પણ પત્ની તરીકેનો સંબંધ કૃષ્ણ માટે અબાધિત રાખે છે તેની “સ્વામી અને રાણા”માં ખૂબસૂરત ગોઠવણ છે. ૧૬મી સદીના ભારતમાં જ્યાં સ્ત્રી પિતા, ભાઈ, પતિ અને પુત્રના આશ્રયમાં જીવતી હતી અને એ ચારેને પૂછીને તે પગલું ભરતી હતી, ત્યારે મીરા એવું જીવન જીવી હતી જે આજની ભણેલી-ગણેલી આધુનિક સ્ત્રીઓ પણ કલ્પના કરી ન શકે. મીરાએ ત્યારે પતિ, પિતા, ધર્મ, શાસન, સમાજ કે પરિવારના તિરસ્કારને સહન કરીને એ જ કર્યું હતું જે તેના દિલને યોગ્ય લાગ્યું હતું.

પતિનું બાળક જણવામાં કે પત્નીધર્મ નિભાવવામાં નિષ્ફળ ગયેલી મીરાને જ્યારે મેણા મારવામાં આવે છે ત્યારે તે કહે છે, “મૈ આત્મા હૂં શરીર નહીં. મૈ ભાવના હૂં, કિસી સમાજ કા વિચાર નહીં. મૈ પ્રેમી હૂં, પ્રેમિકા હૂં, કેવલ પ્રેમ નામ કી જોગન. કિસી સંબંધ કી કડી નહીં., કિસી પરિવાર કી ખૂંટી સે બંધી સાંકલ નહીં.”

આ વિધાનમાં મીરાના એક એવા સ્વતંત્ર વ્યક્તિત્વની ઘોષણા હતી, જે રીતિ-રીવાજો અને જબરદસ્તીની ફરજોનું ગુલામ નથી. જે જમાનામાં બુદ્ધ બનાવાનું આસાન હતું પણ મીરા બનવાનું અશક્ય હતું, ત્યારે આ ભકતાણીએ ભક્તિના પથ પર આગળ જવાનો રસ્તો બતાવ્યો હતો.

ફિલ્મની વાર્તા અકબર(અમજદ ખાન)ના સમયની છે. રાજસ્થાનના મેડતા રજવાડાના રાજા વીરમદેવ રાઠોડને બે દીકરીઓ મીરા (હેમા), ક્રિશ્ના (વિદ્યા સિન્હા) અને એક દીકરો જયમલ (દિનેશ ઠાકુર) છે. મીરા ભગવાન કૃષ્ણની એટલી દીવાની છે કે તેમને જ પોતાના પતિ માને છે. વીરમદેવ એકમાત્ર એવો રાજા છે જે અકબરની સલ્તનત સામે ઝૂકવા તૈયાર નથી, અને એ માટે રાજા વિક્રમજીત (શમ્મી કપૂર) સાથે હાથ મિલાવે છે. એ સમજૂતીના ભાગ રૂપે, મીરાને વિક્રમજીતના દીકરા રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) સાથે પરણાવી દેવામાં આવે છે.

ઈચ્છા વિરુદ્ધ સાસરે વળાવાયેલી મીરાનો કૃષ્ણપ્રેમ અકબંધ રહે છે, જે ભોજરાજ અને તેના પરિવારને મંજૂર નથી. એમાં ખટરાગ વધી જાય છે અને મીરાને પતિ માટે પત્નીધર્મ ન બજાવતી, પરિવાર માટે વહુની ફરજ ન બજાવતી અને સમાજ માટે આદર્શ સ્ત્રી બનવાનો ઇન્કાર કરતી સ્ત્રી ગણીને તેનો બહિષ્કાર કરવામાં આવે છે. તેને જેલમાં કેદ કરવામાં આવે છે પણ તે ઝૂકતી નથી. તેને મૃત્યુદંડ ફરમાવામાં આવે છે અને સાર્વજનિક રીતે ઝેરનો કટોરો પીવાની સજા કરવામાં આવે છે. મીરાનો કૃષ્ણપ્રેમ એટલો અડગ છે કે તે હસતાં મોઢે ઝેર પીને કૃષ્ણનું ભજન ગાતી ગાતી મહેલ છોડી દે છે.

વાર્તાની દૃષ્ટિએ “મીરા” કૃષ્ણભક્તિ પરની ફિલ્મ છે, પરંતુ ઊંડેથી જુઓ તો તે એક સ્ત્રીના તેના શરીરને લગતા, સમાજને લગતા અને તેની ભક્તિને લગતા સ્વતંત્ર નિર્ણયોની કહાની છે. તેમાં તેને બેઈજ્જતી કે મૃત્યુનો ભય નથી. જે ધર્મ અદાલતમાં તેને મૃત્યુદંડ આપવામાં આવે છે તેમાં રાજ્યના કુલગુરુ (ઓમ શિવપુરી) સાથે મીરાનો એક સંવાદ છે :

“મીરા, ક્યા તુમને અપને પતિ કા ધર્મ સ્વીકાર કરને સે ઇન્‌કાર કિયા?”

“મ્હારો ધર્મ તો એક હી સાંચો, ભવ સાગર સંસાર સબ કાચો.”

“ક્યા તુમ સ્વીકાર કરતી હો કી રાજકુંવર ભોજરાજ કે સિવા ભી તુમ્હારા કોઈ ઔર પતિ હૈ?”

“જાકે સિર મોર-મુકટ મેરો પતિ સોઈ.”

“તો અદાલત યે માન લે કી તુમ્હારે એક નહીં દો પતિ હૈ?”

“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ.”

“જો પરિવાર તુમ્હે જિંદા રખતા હૈ ઔર જિસ સમાજ મેં તુમ રહતી હો, ક્યા ઉસકે’ નિયમ તુમ્હારે લિયે કોઈ મહત્ત્વ નહીં રખતે?”

“આજ, ઇસ પલ, મેં અપના પરિવાર ઔર આપકે સમાજ દોનો કા પરિત્યાગ કરતી હૂં.”

“અપને અપરાધ કા દંડ જાનતી હો?”

“મેરા દંડ ક્યા હોગા યે આપ ભી જાનતે હૈ, મેં ભી જાનતી હું. મેં આપકો અપની હત્યા કે પાપ સે મુક્ત કરતી હૂં.”

હેમા માલિની આ દૃશ્યને તેનું સૌથી ગમતું દ્રશ્ય ગણાવે છે. હેમા કહે છે, “એમાં એક ગંભીર સામાજિક સંદેશ હતો. સાંકળોમાં બંધાયેલી મીરાને જ્યારે અદાલતમાં લાવવામાં આવે છે ત્યારે તેનો મોટો પડછાયો કુલગુરુ પર પડે છે અને તેઓ ગભરાઈ જાય છે. એ દૃશ્ય ઘણું પ્રતિકાત્મક હતું.”

“મીરા” માટે બે કલાકારો પહેલેથી જ નક્કી હતા; હેમા માલિની અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. ગુલઝારના ગમતા કમ્પોઝર તો આર.ડી. બર્મન હતા, પરંતુ નિર્માતા પ્રેમજી માટે થઈને તેમણે લક્ષ્મી-પ્યારે સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. ગુલઝારે અગાઉ “પલકો કી છાંવ મેં”માં લક્ષ્મી-પ્યારે સાથે કામ કર્યું હતું અને આ વખતે પણ ઉત્સાહી હતા. બધાએ એવું પણ ધારી લીધું હતું કે મીરાનાં ભજનો લતા મંગેશકર સિવાય બીજું કોણ ગાય! ગુલઝાર કહે છે;

“ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગઈ અને સંગીતની ચર્ચા માટે હું લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે બેઠો. અમે ડઝન જેટલાં મીરા ભજન પસંદ કર્યાં. અમે ટ્રેડ પેપરમાં આગોતરી જાહેરાત છપાવી હતી; આજની મીરા (લતા મંગેશકર) મીરા ફિલ્મનો મુહૂર્ત શોટની કલેપ આપશે. મેં મેરે તો ગિરિધર ગોપાલ ભજન પહેલાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું, પણ લક્ષ્મી-પ્યારેએ જ્યારે ગીત કમ્પોઝ કર્યું ત્યારે લતાજીએ ગાવાની ના પાડી દીધી. તેમણે મને કહ્યું કે તેમણે હજુ હમણાં જ તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર માટે મીરાનાં ભજનો રેકોર્ડ કર્યા છે અને હવે એ જ ભજનો કોમર્સિયલ ફિલ્મ માટે નથી ગાવાં.”

ગુલઝારે તેમને આગ્રહ ન કર્યો અને વાતને ત્યાં પડતી મૂકી. એમાં બીજી મુસીબત થઇ. લતાજીએ ભજનો ગાવાની ના પાડી દીધી છે એવી ખબર પડી એટલે લક્ષ્મીકાંત-પ્યારેલાલ પણ ઊભા થઇ ગયા. “લતાબાઈ વગરની મીરા કેવી હોય?” એવું વર્ષો પછી પ્યારેલાલે કહ્યું હતું. ગુલઝારે બીજા વિકલ્પ તરીકે આશા ભોંસલેનો સંપર્ક કર્યો, પણ આશાએ દીદીનો ખ્યાલ રાખીને સલુકાઇથી ના પાડી દીધી, “જહાં દેવતા ને પાંવ રખે હોં, વહાં ફિર માનુષ પાંવ નહીં રખતે.”

ગુલઝાર કહે છે, “હવે હું ગભરાયો. અમારો સેટ તૈયાર હતો. પંચમ (આર.ડી. બર્મન) આમાં કારણ વગર ભરાઈ ગયો. હું એને હવે સંગીત માટે કહું તો તેની ઈજ્જત જાય એવી હતી. મારે એવા સંગીત દમદાર નિર્દેશકની જરૂર હતી જે લતાજી અને આશાજી વગર ભજનો કરી શકે. એમાં પંડિત રવિ શંકરનું નામ સુઝ્યું. એ વખતે એ ન્યૂયોર્કમાં હતા.”

ગુલઝાર પહોંચ્યા અમેરિકા. પંડિતજીને સ્ક્રીપ્ટ ગમી. ગુલઝારે કહ્યું કે તમે ધૂન પર અત્યારે જ કામ શરૂ કરો, હું રોકાઈ જઈશ. પંડિતજીને ગુલઝારની ઉતાવળ સમજાઈ ગઈ, પણ લતા મંગેશકરવાળો વિવાદ તેમણે પણ સાંભળ્યો હતો એટલે થોડા અચકાતા હતા.

ગુલઝાર કહે છે, “અમારા સદ્દનસીબે લતાજી એ જ વખતે અમેરિકામાં હતાં. મેં તરત તેમને ફોન કરીને મામલો સમજાવ્યો. તેમણે તરત કહ્યું કે તમ તમારે આગળ વધો. પછી પંડિતજીએ પૂછ્યું કે ગીતો કોણ ગાશે. મારા મનમાં વાણી જયરામનું નામ હતું, પણ બોલ્યો નહીં. મેં કહ્યું કે તમે જ પસંદ કરો. એ બોલ્યા- વાણી જયરામ ચાલે?”

પંડિતજીએ અમેરિકામાં ધૂનો તૈયાર કરી અને પછી ભારત આવીને નવ દિવસમાં 12 ભજનો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક રેકોર્ડ કરીને અમેરિકા પાછા વળી ગયા. પંડિતજીની જેમ હેમાએ પણ ઘણું એડજસ્ટમેન્ટ કર્યું હતું. ગુલઝારે હેમાને કહ્યું હતું કે એક દિવસ તારાં બાળકોને આ ફિલ્મ માટે ગર્વ થશે. વિનોદ ખન્ના ત્યારે તેની સફળતા અને શોહરતની ટોચ પર હતો પરંતુ કંઇક અંશે અંદરથી વિચલિત હતો અને સિનેમા છોડીને રજનીશ આશ્રમમાં જતા રહેવા માંગતો હતો. તેણે પણ મીરા પૂરી કરવા માટે બહુ સહકાર આપ્યો હતો. તેને કોઈ ફિલ્મ અધૂરી છોડવી નહોતી.

વિનોદ દિલથી આધ્યાત્મિક હતો અને તેને શાંતિ મળતી નહોતી. મીરા કરતી વખતે તે એટલો પ્રભાવિત થયો હતો કે એક દિવસ ગુલઝારને કહ્યું હતું, “હું મીરાની લાગણીઓ સાથે એટલું તાદામ્ય અનુભવું છું કે મને એવું થાય છે કે મારે મીરાની ભૂમિકા કરવા જેવી હતી.”

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5621,5631,5641,565...1,5701,5801,590...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved