Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ વગરનો યુદ્ધવિરામ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 May 2025

રવીન્દ્ર પારેખ

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અલબત્ત હતી, પણ વિધિવત યુદ્ધની જાહેરાત થઈ ન હતી, છતાં બંને દેશો શનિવારની સાંજે 5.00ની આસપાસ એકાએક યુદ્ધવિરામની જાહેરાત કરવા સંમત થયા તે આવકાર્ય, પણ અણધાર્યું હતું. આમ તો આટલું ય કરવા ભારત ઇચ્છતું ન હતું, પણ પહેલગામમાં ધર્મ પૂછીને આતંકવાદીઓએ 26 નિર્દોષોને પૂરી નિર્મમતાથી ઠાર માર્યા, એથી આખો દેશ ઊકળી ઊઠયો હતો અને મોદી સરકાર પાસેથી તીવ્ર પ્રતિક્રિયાની અપેક્ષા રાખતો હતો. સરકારે 7 મે, 2025ની મંગળવારની મોડી રાત્રે દોઢેક વાગે, ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, પાકનાં નવ આતંકી થાણાંને 25 મિનિટમાં જ ખંડેર કર્યાં. ભારતના આ હુમલાથી જૈશ, લશ્કર અને હિજબૂલ જેવા અડ્ડાઓનો સોથ વળી ગયો. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની જાહેરાત મુજબ યુદ્ધવિરામ સુધીમાં 100થી વધુ આતંકીઓનો સફાયો થઈ ચૂક્યો છે.

પાકિસ્તાની વડાઓ પણ કબૂલી ચૂકયા છે કે તેમણે આતંકવાદને પોષ્યો છે. આ કબૂલાત પછી પણ પાકિસ્તાન આતંકીઓથી કિનારો કરી શક્યું નથી. આતંકવાદીઓ સગાં થતાં હોય તેમ તેમના જનાજામાં સેનાધિકારીઓને જોડાવાની નાનમ લાગતી નથી. એ જોતાં ભારતે આતંકીઓનો સફાયો કર્યો એ સંપૂર્ણ ન્યાયી પગલું હતું ને એથી આગળ કશું કરવાની ભારતને ઉતાવળ ન હતી. પાકિસ્તાની વડાઓ પણ ભારત આગળ ન વધે તો પડીકું વાળવાના મૂડમાં હતા, પણ એ નર્યું નાટક હતું, કારણ આવા લવારાની સમાંતરે જ પાકિસ્તાની આર્મીએ ભારતીય સૈન્યને ટાર્ગેટ કરીને જવાબી કાર્યવાહી શરૂ કર્યાનો પાક મીડિયાએ જ ખુલાસો કર્યો હતો. પાક સેનાએ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા નજીકના બારેક સરહદી ગામો પર હુમલો કરીને મહિલા અને બાળકો સહિત પંદર લોકોનાં મોત નિપજાવ્યાં હતાં. ટૂંકમાં, પાકિસ્તાન જાત પર ગયું હતું ને ઉપદ્રવોમાંથી હાથ કાઢતું ન હતું, એટલે ભારતને પ્રતિકાર કર્યા વગર ચાલે એમ જ ન હતું.

ભારતે પણ ગુરુવારે સવારે પાંકિસ્તાનનાં લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી. પછી તો સામસામે હુમલાઓ શરૂ થયા. ભારતે રાવલપિંડી સ્ટેડિયમ પર હુમલો કર્યો, તો પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરની ચોકીઓ પર હુમલા કરીને 12 સૈનિકોને માર્યાનો દાવો કર્યો, પણ એ ન્યૂઝ ફેક હોવાનું પણ બહાર આવ્યું. પાકિસ્તાને રાત્રે 26 સ્થળોએ 400 ડ્રોન છોડ્યાં ને ભારતે એ તમામ તોડી પાડ્યાં. આવું સામસામે ઘણું થયું ને શનિવારે સાંજે પાંચ વાગે યુદ્ધ વિરામની ઘોષણા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કરી. આ ઘોષણા અણધારી હતી. મિસરીએ કહ્યું કે હવે બંને દેશો જમીન, આકાશ અને સમુદ્રથી એક બીજા પર હુમલો નહીં કરે. એ સાથે એવો ખુલાસો પણ આવ્યો કે પાકનું ભારત સામેનું કોઈ પણ આતંકવાદી કૃત્ય, યુદ્ધ કૃત્ય ગણવામાં આવશે.

એ પણ છે કે આ યુદ્ધવિરામ અમેરિકાની મધ્યસ્થીથી કરવામાં આવ્યો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગઈ કાલે (શુક્રવારે) રાત્રે લાંબી ચર્ચા પછી, ભારત અને પાકિસ્તાન હુમલાઓને તાત્કાલિક અને સંપૂર્ણપણે રોકવા સંમત થયાં છે. એ પછી સંરક્ષણ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં પણ સ્પષ્ટતા કરી કે અમે તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છીએ. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે પણ શનિવારે સાંજે સાડા પાંચે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.

સીઝ ફાયરની જાહેરાત પછી જામનગર, કચ્છ અને વાવ…ના બ્લેક આઉટ રદ્દ કરવામાં આવ્યા. ક્ચ્છનું વાતાવરણ 1971નું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું હતું. કચ્છમાં 8મી મેની સવારથી જ ડ્રોનની ઊડાઊડ વધી પડી હતી. જો કે, સવારે જ એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. એ ખરું કે ભારત સરકારની યુદ્ધવિરામની જાહેરાત થતાં ગુજરાત બોર્ડર પર પણ યુદ્ધવિરામની સ્થિતિ સર્જાઇ હતી. આ બધું માંડ થાળે પડવા જઈ રહ્યું હતું, ત્યાં પાકિસ્તાને ફરી પોતાની જાત બતાવી. યુદ્ધવિરામની સ્થિતિ ત્રણ કલાક પણ ટકી નહીં ને રાત્રે 8 વાગ્યાથી જમ્મુ કાશ્મીરના અખનૂર, પૂંછ, શ્રીનગર, ઉધમપુર, સાંબામાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. ઉધમપુરમાં ડ્રોન હુમલો, તો રાજૌરીમાં તોપમારો કરવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાને તો આશ્ચર્ય થયું કે આ કયા પ્રકારનો યુદ્ધવિરામ છે, જ્યાં શ્રીનગરમાં વિસ્ફોટ થઈ રહ્યા છે ! આમ તો જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના બ્લેક આઉટ રદ્દ કરવામાં આવ્યા હતા, પણ પરિસ્થિતિ બદલાતાં જમ્મુ-કાશ્મીરમાં તે ફરી લાગુ કરવામાં આવ્યા. સરહદી વિસ્તારોમાં વીજળી કાપવામાં આવી ને લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી. ગુજરાતની કચ્છ બોર્ડર પર પણ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો. હરામીનાળા અને જખૌ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયાં. ભુજમાં સાયરન વગાડીને લોકોને ચેતવવામાં આવ્યા. આ વાતની ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટિ કરી. એને લીધે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના 24 સરહદી ગામો તેમ જ પાટણના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં અંધારપટ લાગુ કરાયો.

પાકિસ્તાનનો દાવો છે કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન ભારતે કર્યું અને સેનાએ પેશાવરમાં ભારતીય ડ્રોનને તોડી પાડ્યું. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે ભારતે નિયંત્રણ રેખા પર ઘણી જગ્યાએ ગોળીબાર કર્યો છે ને પાકિસ્તાન તેનો જવાબ આપી રહ્યું છે. સમજ નથી પડતી કે કોણ, કોને મૂર્ખ બનાવી રહ્યું છે? અમેરિકા, પાકિસ્તાન કે ભારત? ટ્રમ્પે રાત ભર ચર્ચા કરી, પાકિસ્તાન અને ભારત સાથે. બંને સંમત થયા ને અમેરિકાએ ખુશ થતાં યુદ્ધવિરામની વધામણી ખાધી. એટલે એટલું તો ખરું કે પાક અને ભારત યુદ્ધવિરામને મુદ્દે સહમત થયા. જો સહમત થયા હોય તો ત્રણ કલાક પણ એ સમજૂતી ટકી નહીં એ કેવું? વાટાઘાટ ખરેખર થઈ હતી કે ઘાંટાઘાંટને જ યુદ્ધવિરામનું નામ આપી દેવાયું તે નથી ખબર ! આમાં મધ્યસ્થી થનારનું માન જળવાયું ખરું? લાગે છે તો એવું કે ટ્રમ્પનો બંને દેશોને મનાવવાનો કે પટાવવાનો આખો વેપલો એળે ગયો છે. ટ્રમ્પને પાકિસ્તાનની જાત ખબર તો હશે ને ન ખબર હોય તો હવે ખબર પડી જ હશે. પાકિસ્તાને પોતાનું શું માન રાખ્યું તે સવાલ અમેરિકાને થવો જોઈએ. રશિયા અને યુક્રેનમાં મધ્યસ્થી કરવાનો કોઈ લાભ અમેરિકાને થયો નથી, તે પછી ભારત અને પાકિસ્તાનમાં મધ્યસ્થી કરવામાં પણ કૈં વળ્યું નથી, એના પરથી અમેરિકાએ સમજવાનું રહે કે બીજા દેશો તેનું કેટલુંક કે કેવુંક માન રાખે છે !

યુદ્ધ ઈચ્છવા જેવું નથી એ માન્ય રાખ્યા પછી પણ, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947થી સંબંધો વણસેલા છે ને તે આજ સુધી વણસેલા જ રહ્યા છે. ભારતે તેના કોઈ વાંક વગર પાકિસ્તાને થોપેલા એકથી વધુ યુદ્ધનો સામનો કરવાનો આવ્યો છે, એટલું જ નહીં, દુનિયાભરમાં ફેલાવેલી આતંકી પ્રવૃત્તિઓ વેઠવાની આવી છે. આ સ્થિતિમાં ભારતે ક્યાં સુધી નાપાક, પાકને વેઠવું જોઈએ તેનો ખુલાસો અમેરિકા કરી શકે એમ છે? ખરેખર તો અમેરિકાએ મધ્યસ્થી કરીને પી.ઓ.કે. ભારતને અપાવવામાં સહાયક બનવાની જરૂર છે. એ અમેરિકાથી થઈ શકે એમ છે? જો નહીં, તો તેણે મધ્યસ્થી થવાની ભૂમિકામાંથી અને પોતે જગત કાજી છે એવા વહેમમાંથી બહાર આવી જવું જોઈએ.

એક વાત સ્પષ્ટ છે કે અનેક વાર કર્યો છે, તેમ જ આ વખતે પણ પાકિસ્તાને, યુદ્ધ વિરામને નામે ભારત સાથે ભયંકર વિશ્વાસઘાત કર્યો છે ને ઉપરથી યુદ્ધવિરામનો ભંગ ભારતે કર્યો છે એવો આરોપ મૂકતાં તે જરા પણ શરમાતું નથી. ભારત, પાકની જાત જાણવા છતાં ફરી એક વાર ભોળું સાબિત થયું છે. તેની પાસે પાકિસ્તાનને જમીનદોસ્ત કરવાની તક હતી, પણ અમેરિકાની અને પાકિસ્તાનની વાતોમાં આવી જઈને ભારતે એ તક ખોઈ નાખી છે. યુદ્ધવિરામનો ભંગ કરવાનું પાકિસ્તાન હજી પણ ચાલુ રાખતું હોય, તો કોઈ દલાલોને વચ્ચે લાવ્યા વગર ભારતે પાકિસ્તાનની ચમડી ઉધેડી નાખવી જોઈએ. આ જાત કદી સુધરવાની નથી. ભારતે અત્યાર સુધી દળી દળીને કુલડીમાં-જ કર્યું છે. આતંકીઓ મરાયા એ ખરું, પણ તે નેસ્તનાબૂદ થયા નથી, એટલે યુદ્ધવિરામ હોય કે ન હોય, તેનો ઉપદ્રવ ચાલુ જ રહેવાનો છે ને થોડે થોડે વખતે નાગરિકો ને જવાનો કોઈ વાંકગુના વગર મરતાં રહેવાના છે. આટલી ઉઘાડી નાગાઈ પછી પણ પાકિસ્તાનને ચલાવી લેવામાં ભારતની ઉઘાડી મુર્ખાઈ જ હશે. એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક પછી પણ નથી તો આતંકવાદ પર કોઈ નિયંત્રણ આવ્યું કે નથી તો પી.ઓ.કે. હાથમાં આવ્યું ને પાકિસ્તાન તો  ઉપદ્રવ કરતું જ રહે છે, તો કોઈની પણ વાત કાને ધર્યા વગર, પાકિસ્તાનમાંથી આતંકીઓને નાબૂદ કર્યા વગર ને પી.ઓ.કે. આંચકી લીધા વગર ભારતે જંપીને ન બેસવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. એટલું થશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 મે 2025

Loading

મજબૂરી કા નામ મોદી અને “લુચ્ચી બાઈ”નો શિમલા કરાર

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|11 May 2025

હેમન્તકુમાર શાહ

પાકિસ્તાનના ટુકડા કરીને બાંગ્લાદેશનું સર્જન કરનારા ૧૯૭૧ના યુદ્ધ બાદ તા.૦૨-૦૭-૧૯૭૨ના રોજ ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલામાં એક સમજૂતી થઈ હતી. એ સમજૂતી કરવા માટે ઇન્દિરા ગાંધી કોઈ ત્રીજા દેશમાં ગયાં નહોતાં, પાકિસ્તાન પણ નહોતાં ગયાં, ભુટ્ટોએ ભારત આવવું પડ્યું હતું.

માત્ર અઢી પાનાંની આ શિમલા સમજૂતીની કલમ-૧(૨)ની પહેલી લીટી આ મુજબ છે : “બંને દેશો દ્વિપક્ષી વાટાઘાટો દ્વારા અથવા બંને દેશો સંયુક્ત રીતે સંમત થાય તેવા અન્ય શાંતિપૂર્ણ માર્ગોએ તેમની વચ્ચેના મતભેદોનું સમાધાન કરવાનું ઠરાવે છે.”

આ કલમનો અર્થ એ થાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદોનો ઉકેલ એ બંને દેશો જ લાવશે, બીજું કે ત્રીજું કોઈ વચ્ચે લવાશે નહિ, કોઈની મધ્યસ્થી અમારે જોઈતી નથી. 

હવે સવાલ એ છે કે અત્યારે શા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ વિરામની જાહેરાત કરે છે, અને યુદ્ધ શરૂ કરનાર ભારત કેમ નહીં? ટ્રમ્પ જાહેરાત કરે એનો અર્થ એવો થાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈક ત્રીજો દેશ ઘૂસ્યો! 

વળી, કોઈક તટસ્થ સ્થળે પાકિસ્તાન અને ભારત મળશે અને શાંતિ માટે વાટાઘાટો કરશે એમ પણ નક્કી થયું છે એવું અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યું હોવાનું આજનો એક અંગ્રેજી અખબારી અહેવાલ કહે છે. હદ થઈ ગઈ આ તો! જો બે જણાએ જ વાત કરવાની હોય તો કોઈ ત્રીજા દેશમાં જવાની જરૂર શું? 

અત્યારે દુનિયામાં તટસ્થ દેશો માત્ર ત્રણ છે : યુરોપના સ્વિત્ઝર્લેન્ડ, આયર્લેન્ડ અને લિચટેંસ્ટીન. શું ભારતના પ્રધાનો કે અધિકારીઓ ત્યાં જઈને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરશે? જો એમ કરે તો એ પણ સંભવત: શિમલા સમજૂતીનો વિચિત્ર રીતે થયેલો ભંગ જ કહેવાય. 

શિમલા કરારના ભંગનું નક્કર પરિણામ એ આવે કે ભારત કોઈક ત્રીજા દેશની શેહમાં આવે, પોતાની રીતે પાકિસ્તાનને સમજાવી કે વાળી શકે નહીં અને સમસ્યા ઉકેલી શકે નહીં. બે દેશો વચ્ચે જ વાટાઘાટો થાય તો ભારતનો હાથ એક સમર્થ દેશ તરીકે ઉપર રહે એ સ્વાભાવિક છે. શું ભારતની હાલની નવી સ્થિતિ સારી કહેવાય?

એમ લાગે છે કે નરેન્દ્ર મોદી સરકારે પહેલગામની ઘટના પછી પાકિસ્તાન સાથે તમામ રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા, એટલે પછી પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી ક્યાં? એક વાર આપમેળે અબોલા લઈ લીધા પછી સામે ચાલીને બોલવા જવું કેવી રીતે? એમ નથી લાગતું કે પાકિસ્તાન સાથે સંબંધો સાવ કાપી નાખવાનું પગલું બહુ ઉતાવળિયું હતું? કારણ કે તેને લીધે જ અમેરિકાની ઘૂસણખોરી ભારતની વિદેશ નીતિમાં થઈ ગણાય.

બહુ યાદ નથી રહ્યું, કદાચ ઇન્દિરા ગાંધીના મિડિયા સલાહકાર રહેલા એચ.વાય. શારદાપ્રસાદ(૧૯૨૪-૨૦૦૮)ના એક લેખમાં વાંચેલું કે, કોઈક પત્રકારે પાકિસ્તાનના પ્રમુખ જનરલ ઝિયા ઉલ હક(૧૯૨૪-૮૮)ને એમ પૂછેલું કે, “તમે ઇન્દિરા ગાંધી સાથે વાટાઘાટો કેમ કરતા નથી?” ત્યારે ઝિયાએ એમ કહેલું કે, “હું એ લુચ્ચી બાઈ સાથે વાત કરવા માગતો નથી.” ઇન્દિરા ગાંધી વિદેશ નીતિની બાબતમાં કેવાં વાઘણ જેવાં હતાં એનો ખ્યાલ ઝિયાના આ વાક્યથી આવે છે.

શિમલા કરારની ઉપરોક્ત કલમ ઇન્દિરા ગાંધીની લુચ્ચાઈ કહેવાતી જબરદસ્ત રાજકીય કુનેહનું અને આંતરરાષ્ટ્રીય સંબંધોની આંટીઘૂંટીની ઊંડી સમજનું પરિણામ હતી. પાકિસ્તાનની મજબૂરી તો કદાચ સમજી શકાય, પણ નરેન્દ્ર મોદીની કઈ મજબૂરી છે કે તેઓ શિમલા કરારની આ કલમને નેવે મૂકી રહ્યા છે? 

તા.૧૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારત-પાકિસ્તાનઃ યુદ્ધના ઉંબરે ઉભેલા આ દેશોનું વલણ તેમની વૈશ્વિક છબી માટે નિર્ણયાત્મક બનશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 May 2025

જો આ સંજોગોને આપણે યુદ્ધ કહીએ તો તે કોતરોમાં લડાય એવું યુદ્ધ નથી. હવે યુદ્ધની જીત જમીનના ટુકડાઓ જીતીને નહીં, પણ નેરેટિવ કોણ બહેતર ઘડે છે, કોણ વૈશ્વિક છબી સાચવે છે અને કોણ અર્થતંત્ર મજબૂત રાખે છે તેના આધારે નક્કી થાય છે. 

ચિરંતના ભટ્ટ

અખબારોના મથાળાં હોય કે, ટેલિવીઝન સ્ક્રીન હોય કે સેલફોનની સ્ક્રીન્સ હોય – એર સ્ટ્રાઇક્સ, ડ્રોન વૉરફેર અને રાષ્ટ્રવાદી ભાવના જગાડતા વાક્યો આપણી સવાર, સાંજ અને રાતનો હિસ્સો બની ગયા છે. લોકોમાં ડર છે તો એક અલગ પ્રકારનો જુસ્સો પણ છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધે ચઢ્યાં છે? પહલગામમાં થયેલો આતંકી હુમલો, ઑપરેશન સિંદૂર અને પછી જે સિલસિલો શરૂ થયો છે તે જોતાં તો એમ જ લાગે છે કે આપણે યુદ્ધના ઉંબરે ઊભાં છીએ અને આપણો એક પગ ઉંબરાની બહાર છે. 22મી એપ્રિલે પહલગામમાં થયેલા દર્દનાક હુમલામાં 26 જણાના જીવ ગયા, ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં રહેલી આતંકી છાવણીઓનો ખુરદો બોલાવી દીધો. પાકિસ્તાને ઑપરેશન સિંદૂરનો વળતો પ્રહાર લશ્કરી રાહે કર્યો જેને કેટલાક લોકો 2019ના બાલાકોટ અથવા 1999ના કારગીલ પછીનો સૈથી મોટો હુમલો ગણાવી રહ્યા છે. આ માત્ર બોમ્બિંગ, મિસાઇલો, ડ્રોન અટેક કે સરહદોના તણાવ પૂરતી વાત નથી. રાજકીય મજબૂરી, રાજદ્વારી દાવપેચ અને તે બધાં કરતાં ય ઘણા મોટા પાયે 21 સદીમાં ચાલી રહેલા કથાનકના યુદ્ધની એટલે કે નેરેટિવ વૉરફેરની વાત પણ છે. 

પહલગામમાં ધર્મને નામે આતંકવાદ ફેલાયો. આતંકવાદીઓને ધર્મ નથી હોતો એવું કહેતા હવે ખચકાટ થાય કારણ કે ધર્મ પૂછીને આતંક ફેલાવાયો. ભારતીય સરકારે પાકિસ્તાનના આતંકી જૂથો, ખાસ કરીને લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમંદની સંડોવણી હોવાની વાત કરી અને ગણતરીના દિવસોમાં જે થયું તે આ વખતે કોઈ પ્રેસ કોન્ફરન્સ નહોતી પણ એર સ્ટ્રાઇક્સ હતી.  

ઑપરેશન સિંદૂરઃ સૂકા ઘાસમાં તણખો

ઑપરેશન સિંદૂર લૉન્ચ કરાયું અને આતંકીઓને તાલીમ આપતી નવ છાવણઓ પર ભારતીય સેનાએ જે રીતે હુમલો કર્યો તે બહુ ત્વરિત, વ્યૂહાત્મક અને ચોક્કસ લક્ષ્ય સાથે કરાયો. ઑપરેશન સિંદૂર સૂકા ઘાસનો તણખો સાબિત થયો. આતંકીઓને ટાર્ગેટ કર્યા હોવા છતાં પાકિસ્તાને તેને યુદ્ધનું પગલું ગણાવીને ડ્રોન અને હવાઈ હુમલાઓથી બદલો લીધો. આ સાથે ઇન્ફોર્મેશન વૉર પણ શરૂ થયું જેમ કે પાકિસ્તાને દાવો કર્યો કે તેમણે ભારતના પાંચ ફાઇટર જેટ, ત્રણ રાફેલ, એક મિગ-29 અને એક સુ-30 સહિત કેટલા ડ્રોન્સનો ખાત્મો બોલાવ્યો. જો કે ભારતે આવા કોઈ નુકસાનની પુષ્ટિ નથી કરી અને પાકિસ્તાનના દાવા પોકળ છે, અને પાકિસ્તાન ખોટી માહિતી ફેલાવે છે તેમ કહ્યું છે. 

સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાનના વૈમનસ્યનું ભૂત વર્ષોથી ધૂણે છે. શું આ બન્ને દેશો વચ્ચે ભડકેલા તણાવનું પરિણામ આપણને ધસમસતા પ્રવાહમાં યુદ્ધ તરફ લઈ જઈ રહ્યું છે કે પછી યુદ્ધ શરૂ થઈ જ ગયું છે? તણખામાંથી ભડકો અને પછી દાવાનળની સ્થિતિ આવતા વાર નહીં લાગે. 

મર્યાદિત યુદ્ધ?

આ જે થઇ રહ્યું છે તે શું છે? મર્યાદિત સમય માટે ચાલે એવું યુદ્ધ કે પછી જેના લીધે કાનમાં બહેરાશ આવી જાય એવી મોટી આતશબાજી છે? આ લખાઈ રહ્યું છે ત્યારે હજી સુધી તો બેમાંથી એક પણ દેશે ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત નથી કરી. પણ જે ઘટનાઓ ઘટી રહી છે અને જે કંઈ સેનાનું જોર બતાડતી કવાયત માત્ર પણ નથી લાગતી. વિશ્લેષકોને મતે આ તબક્કો ‘મર્યાદિત યુદ્ધ’નો છે. એવો સંઘર્ષ જેની પર ભૂગોળ, રાજકીય ઉદ્દેશ અને ન્યુક્લિયર ઓવરહેંગની મર્યાદાઓ તો છે પણ સાથે બધા જ પ્રકારના પ્રસાર માધ્યમોથી પ્રેરિત રાષ્ટ્રવાદનો ગરમાટો પણ છે. હજી સુધી તો યુદ્ધનો પડકાર નથી કરાયો (આ લખાઇ રહ્યું છે ત્યારે). મિસાઇલ વૉરફેર કે ભૂમિગત હુમલાને ટાળવાનો પ્રયાસ ચાલુ છે. લશ્કરી વ્યૂહરચનાને સમજનારાઓનું માનવું છે કે આવો સંઘર્ષ ત્યાં સુધી ચાલે જ્યાં સુધી આર્થિક રીતે હાંફ ચઢવા માંડે અથવા તો રાજદ્વારી દબાણ આવવા માંડે. બે અઠવાડિયા સુધી આવો સંઘર્ષ ખેંચાય. જો કે રાજકારણને જ્યોતિષની દૃષ્ટિએ નાણનારાઓના મતે આ સ્થિતિ સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી ચાલી શકે છે અને નુકસાન બંને દેશોને થશે પણ ભારતને વધુ સફળતા મળશે. જુઓ જ્યોતિષને ટાંકવા પણ જરૂરી છે કારણ કે સંજોગોને નાણીએ ત્યારે એકે ય પાસાને એળે જવા દેવામાં મજા ન આવે.  

પાકિસ્તાનને યુદ્ધ કરવું પાલવે એમ છે?

આમ તો સીધી રીતે જ લશ્કરી તાકાતની દૃષ્ટિએ કે વૈશ્વિક નેરેટિવમાં પણ ભારતનો હાથ ઉપર છે પણ પાકિસ્તાની વ્યૂહરચના પહેલેથી જ તણાવને લંબાવવાની અને વૈશ્વિક સહાનુભૂતિ મેળવવાની રહી છે. એક મોટો સવાલ એ પણ છે કે પાકિસ્તાન ખરેખર યુદ્ધ લડી શકે એવી સ્થિતમાં છે ખરો? ત્યાંની અર્થવ્યવસ્થા તો વેન્ટિલેટર પર છે, ICUમાં છે. પાકિસ્તાન પર બહારનું દેવું 131 મિલિયન ડૉલર્સને વટાવી ગયું છે અને વિદેશી હૂંડિયામણના ભંડોળમાં માત્ર ત્રણ મહિનાની આયાત કરી શકાય એટલી જ રકમ છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બહુ ગંભીર છે. વિશેષજ્ઞોના મતે પાકિસ્તાન પાસે માત્ર ચારથી છ દિવસ ચાલે એટલો જ હાઇ ઇન્ટેન્સિટી લશ્કરી દારુગોળો છે. અત્યારે પણ પાકિસ્તાને કટોકટીના ભંડોળ માટે સાઉદી અરેબિયા, ચીન અને યુ.એ.ઇ. જેવા કાયમી સાથીઓ પાસે મદદ માગી છે પણ ત્યાંથી તેમને પ્રતિભાવમાં મૌન જ મળ્યું છે. આ દેશો આવું કરે તેના કારણો પણ સ્પષ્ટ છે. આ દેશોએ પોતાનાં હિતોને ગણતરીમાં લીધા છે. ભારત ગલ્ફ અને ASEAN દેશો માટે એક અગત્યનો વ્યાપારી ભાગીદાર છે. તેલના ભંડારો પર આધારિત તેમના વ્યાપાર ઉપરાંતના તેમના વિઝન અને વૈશ્વિક સ્તરે વ્યાપારી વૈવિધ્યકરણ કરવાની દિશામાં આગળ ધપવું હશે તો તેમને પાકિસ્તાન સાથેનું નૈકટ્ય અને ભારત સાથેનું અંતર કોઈ કાળે પોસાય તેમ નથી. ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન જે મોટેભાગે ગર્જના કરીને પાકિસ્તાનને ટેકો આપે છે તેની તરફથી પણ પાકિસ્તાનને સંયમ રાખવાની જરા અમથી ટકોર કરી છે. રાજકીય રીતે પાકિસ્તાન અસ્તવ્યસ્ત છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવ, વીજળીની અછત, IMF દ્વારા કડક શરતોનું અમલીકરણ પણ ચાલે છે. રાજકીય આર્થિક નિરીક્ષકોનું માનવું છે કે આ તણાવભર્યા દાવપેચોનો હેતુ આંતરિક વિભાજનને ઘટાડી, ઘરેલુ નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન દૂર કરી, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણ કરવવાનો પણ હોઈ જ શકે છે. જો કે ઐતિહાસિક રીતે એ પુરવાર થયેલું જ છે કે આવા દાવપેચ ભાગ્યે જ સફળ થાય છે. 

ભારતનો હાથ કેમ ઉપર?

ભારતની સ્થિતિની વાત કરીએ તો સ્વાભાવિક છે આપણે પાકિસ્તાન કરતાં કંઈ ગણા આગળ અને બહેતર છીએ, મજબૂત છીએ. લશ્કરી સ્તરે સંસાધન-શસ્ત્રના મામલે અને વિદેશી નીતિઓની સજજ્તાએ આપણને સરહદી ટકરાવ માટે તૈયાર રાખ્યા છે. રાફેલ જેટ્સ હોય કે તૈનાત સૈના હોય, ભારતનું રક્ષા તંત્ર સાબદું છે. જો કે આ વખતે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા એ સાબિત કર્યું કે અત્યાર સુધી આતંકી હુમલાઓ પછી ભારતે આકરી પ્રતિક્રિયાઓ નહોતી આપી પણ હવે ભારત એવું નહીં કરે. લશ્કરી અધિકારી અને વિદેશ સચીવે કરેલી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ છેલ્લાં શબ્દો ‘નો મોર’ જ હતા. ભારતે આતંકી હુમલાઓ પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા આપવાની વ્યૂહરચના બદલી હોવાનો એ પુરાવો છે. પહલગામની દુર્ઘટના પછી ઉગ્ર નજાક્રોશ અને આવનારી ચૂંટણીઓના ઓછાયા વચ્ચે સરકાર પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. શાંતિ જાળવવી કે ઉદાસીનતા દાખવવવી વાળું વલણ રાજકીય રીતે જ કદાચ જોખમી નીવડત. આ રાજકીય મક્કમતાને પગલે ભારત એક એવી સ્થિતિમાં છે જ્યાંથી પાછી પાની કરવી હવે શક્ય નથી. પહેલાંના સંઘર્ષોની માફક જ્યારે બેક ચેનલ ડિપ્લોમસીને કારણે નજર સામેની આગ શમી જતી હતી એવું હવે નથી. આ વખતે સ્થાનિક રાજકીય નેરેટિવ્સ પર પણ દાવ લાગેલો છે. સોશ્યલ મીડિયા પર બદલાના હેશટૅગ્ઝ અને રાષ્ટ્રભક્તિથી ભરપૂર ચેનલ કવરેજ આપણા દિવસનો હિસ્સો બની ગયા છે. હુમલો કર્યા પછી કે જવાબ વાળ્યા પછી અટકી જઇને ડિ-એસ્કેલેટ કરવાની રાજકીય કિંમત આટલી ઊંચી આ પહેલાં ક્યારે ય નથી રહી.

અમેરિકાને આ સંઘર્ષમાં રસ નથી?

આ સાથે વૈશ્વિક સ્તરે પણ સંજોગો જોવા જરૂરી છે. આખા સંઘર્ષમાં આંખે ઉડીને વળગે તેવી બાબત છે અમેરિકાનું પોતાને આખી વાતમાંથી બહાર રાખવું. યુ.એસ.એ.ના વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે તો કહી દીધું, “આ અમારો મામલો નથી, અમે આ દેશોને રોકી શકીએ તેમ નથી.”  દાયકાઓથી જે ચાલતું આવ્યું છે તેનાથી આ અભિગમ સાવ જુદો છે. આ પહેલાં જ્યારે પણ દક્ષિણ એશિયામાં તણાવ વધતો ત્યારે અમેરિકાએ મધ્યસ્થી બનીને ધીરજ અને શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. હવે અમેરિકા પોતાના આંતરિક પ્રશ્નો, ચીન અને યુક્રેન પર ધ્યાન આપે છે. ભારત અને પાકિસ્તાન બાખડે અને પોતે તેનો ઉકેલ આપે એ બધું કરવામાં અત્યારે યુ.એસ.એ.ને રસ નથી. યુરોપે તો માત્ર રૂઢિગત રીતે ચિંતા દર્શાવીને નોંધ લીધી છે. ચીને જવાબદારીપૂર્વકના વહેવારની આશા રાખી છે જો કે છાને ખૂણે તો તે આ સંઘર્ષને પોતાને ભારત સાથે સરહદ પર જે તણાવ છે તેને ધ્યાનમાં રાખીને નિહાળી રહ્યો છે. રશિયા જે યુક્રેનમાં ગુંચવાયો છે તેણે સાવ અતડા રહેવાનું નક્કી કર્યું છે. વિશ્વ આખું જે થાય તેની પર મૂંગા મોઢે નજર રાખી રહ્યું છે. 

ઇન્ફર્મેશન વૉરઃ એક સમાંતર યુદ્ધ!

વળી એક વસ્તુ આપણે સ્વીકારવી રહી કે આ યુદ્ધ માત્ર શસ્ત્રો નહીં પણ બાઇટ્સથી પણ લડાઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની ડિજિટલ તાકાત કામે લાગી છે. ડીપ ફેક વીડિયો, AI-આધારિત સેટેલાઇટ ઇમેજિઝ, જૂના ફૂટેજને લાઈવ હુમલો કરીને બતાડવાના પ્રચાર-પ્રસાર ચાલી જ રહ્યાં છે. ફેક્ટ ચેકિંગ પર આપણી તરફથી કામ થઈ તો રહ્યું છે પણ સોશ્યલ મીડિયાની ભીડને હળવાશથી ન લેવાય.  ભારતના માઇક્રો અને મેક્રો મીડિયાને માટે વિશ્વવ્યાપી વિશ્વાસ મેળવવો અઘરો નથી. જો કે પાકિસ્તાન પણ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ મશનરી ચલાવતો રહ્યો છે. ખોટા એકાઉન્ટ્સ, ટેલિગ્રામ ગ્રૂપ્સ અને વિદેશી ડાયસ્પોરાના માધ્યમથી પાકિસ્તાન દુનિયાનું ધ્યાન પોતાની તરફ જાય તેનો પ્રયાસ કર્યા કરે છે. આ યુદ્ધ ગ્લોબલ નેરેટિવનું, દૃષ્ટિકોણ રચવાનું યુદ્ધ પણ છે. વૈશ્વિક સ્તરે તમારા પ્રત્યે અન્ય રાષ્ટ્રો શું અનુભવે છે તેના પર પણ તમારી હાર કે જીતનો આધાર રહેલો છે. 

બાય ધી વેઃ 

ભારત-પાકિસ્તાન ટકરાવ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જશે? અણુ શસ્ત્ર ધરાવતા બે દેશો વચ્ચે તણાવ થાય તો આ વિચાર આવે જ પણ મોટાભાગના વિશેષજ્ઞોના મતે એવું શક્ય નથી. શિત યુદ્ધ થયું ત્યારે જે સ્થિતિ હતી તેમ આજે વિશ્વ બે અલગ બ્લોક્સમાં નથી વહેંચાયેલું, સોવિયત બ્લોક નથી તો યુનાઇટેડ NATO પણ દક્ષિણ એશિયામાં કોઈ નેરેટિવ ખડું કરવા માટે ઉદાસિન છે. આ કદાચ એક લાંબો પ્રોક્સી સંઘર્ષ બને. જે સરહદી તણાવ પુરતો સિમિત રહે. કાશ્મીરમાં આતંકી હુમલા, સાયરબ અટેક્સ અને ઇકોનોમિક ટાર્ગેટિંગની શક્યતાઓ ખડી થાય. આનું પરિણામ વિશ્વ યુદ્ધ નહીં હોય પણ આ જે છે તે વિઘાતક તો છે જ – શાંત, ધીમી ગતિએ, સતત ચાલતો સંઘર્ષ જે લાંબા ગાળે ખતરનાક સાબિત થઈ શકે છે. ખરું જોખમ ખુલેઆમ યુદ્ધનું નથી, પણ એક એવા વિષચક્રમાં ફસાવાનું છે જેમાંથી નીકળવું અશક્ય બનશે. એવી સ્થિતિ ન આવે તો સારું કે સામસામે પ્રતિક્રિયાઓ ચાલતી રહે અને બન્ને રાષ્ટ્રો લોહિયાળ સ્થિતિમાં ગુંચવેલા હોય અને બાકીનું આખું વિશ્વ આગળ વધી જાય. આ ચક્ર તોડવાની જવાબદારી સરકારોની છે. પાકિસ્તાન અને ભારત બન્નેને ગુમાવવાનું પણ બહુ છે તો સાચવવું પડે એવું ય બન્ને પાસે ઘણું છે (ભારત પાસે તો છે જ, પાકિસ્તાને તો બેઠા થવાનું છે) – અર્થતંત્ર, યુવાનો, દેશનું ભાવિ અને વૈશ્વિક માળખામાં પોતાનું સ્થાન બનાવવાની જવાબદારી પણ આ રાષ્ટ્રો પર છે. તાકાત માત્ર પહેલા હુમલામાં નહીં પણ ક્યારે ય અટકવું તેમાં પણ છે. ફિલ્મ ડિયર ઝિંદગીનો સંવાદ છે, “જિનિયર ઇઝ ટુ નો વ્હેન ટુ સ્ટોપ”. બંને પક્ષો સંવાદ તરફ પાછા ફરે તો પણ તે એક અગત્યનો રાજકીય વળાંક સાબિત થશે. જો આ લાંબુ ચાલશે તો તેમાંથી બેઠા થવામાં અને તેના નુકસાનની કળ વળવામાં દાયકાઓ લાગશે. જો આ સંજોગોને આપણે યુદ્ધ કહીએ તો તે કોતરોમાં લડાય એવું યુદ્ધ નથી. હવે યુદ્ધની જીત જમીનના ટુકડાઓ જીતીને નહીં પણ નેરેટિવ કોણ બહેતર ઘડે છે, કોણ વૈશ્વિક છબી સાચવે છે અને કોણ અર્થતંત્ર મજબૂત રાખે છે તેના આધારે નક્કી થાય છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 મે 2025

Loading

...102030...154155156157...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved