Opinion Magazine
Number of visits: 9459176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિચારી જુઓ, નાગરિક રાષ્ટૃ હોવું જોઈએ કે હિન્દુ રાષ્ટૃ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 February 2022

પાકિસ્તાની પદાર્થવિજ્ઞાની અને સમાજચિંતક પરવેઝ હૂડભોય આપણે ત્યાં થોડુંઘણું વાંચી-સમજી શકનારાઓમાં લાડલા છે. પરવેઝ હૂડભોય કરાંચીથી પ્રકાશિત થતા ‘ડૉન’ નામના અખબારમાં કોલમ લખે છે જેમાં તેઓ પાકિસ્તાનના શાસકો અને મુલ્લાઓની આકરી ટીકા કરતા રહે છે. ટીકાનો તેમનો કેન્દ્રવર્તી મુદ્દો એ હોય છે ખોટો ઇતિહાસ શીખવવાથી, ખોટાં કલ્પનો (મીથ) પેદા કરવાથી, વાસ્તવિકતાઓથી નજર ફેરવી લેવાથી, ધર્મના આધારે લોકો વચ્ચે ભેદભાવ કરવાથી કોઈ ફાયદો થતો નથી એનો મૂર્તિમંત દાખલો પાકિસ્તાન છે. પાકિસ્તાનનો ૭૫ વરસનો ઇતિહાસ જો કોઈ એક વાત કહેતો હોય તો એ આ છે અને એમ તેઓ લગભગ પચીસ વરસથી કહે છે. પરવેઝ હૂડભોયના લેખો કેટલાક ભારતીય અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે અને હિન્દુત્વવાદીઓ તેમના ઉપર ફિદા છે.

પરવેઝ હૂડભોયે તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં લખ્યું હતું કે પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે પાકિસ્તાનના પ્રાંતોમાં જન્મેલા એવા કેટલા બધા હિંદુઓ, પારસીઓ, ઈસાઈઓ, અહમદદિયા મુસલમાનો, સેક્યુલર મુસલમાનો, અન્ય ધર્મીઓ અને નાસ્તિકો હતા જેમણે જે તે ક્ષેત્રમાં નામના મેળવી હતી અથવા આગળ જતાં મોટા થઈને નામના મેળવી હતી. જો ધર્મને વચ્ચે લાવ્યા વગર અને ઇસ્લામ અંગેની ચોક્કસ ધાર્મિક માન્યતાઓને વચ્ચે લાવ્યા વગર એ બધા લોકોને પાકિસ્તાને પોતાનાં માન્ય હોત તો તેઓ પાકિસ્તાનને કેટલું બધું આપી શક્યા હોત! પણ બન્યું એવું કે પાકિસ્તાનના શાસકોએ, મુસ્લિમ કોમવાદીઓએ અને મૂળભૂતવાદી ઝનૂની મુસ્લિમોએ તેમને સતાવ્યા જેને પરિણામે એ લોકોએ નાછૂટકે પાકિસ્તાનમાંથી ઊચાળા ભર્યા અને તેઓ બહાર જઈને ઝળક્યા. વધારે નુકસાન કોને થયું? પાકિસ્તાનને કે એ લોકોને? એ લોકો તો વધુમાં વધુ ન્યાય નહીં મળ્યો હોવાની અને વતન છોડવાની પીડા ધરાવે છે, પણ પાકિસ્તાન તો પ્રગતિથી વંચિત રહેવાની વાસ્તવિકતાની પીડા ધરાવે છે. નોબેલ પારિતોષિકથી વિભૂષિત અબ્દુસ સલામ આનું ઉદાહરણ છે. તેઓ અહમદિયા મુસલમાન હતા એટલે સતાવવામાં આવ્યા અને તેઓ બહાર જઇને ઝળક્યા. તેમના યોગદાનથી પાકિસ્તાન વંચિત રહ્યું છે. પરવેઝ હૂડભોયે બીજા એક નોબેલ પારિતોષિક વિજેતા હિંદુ વિજ્ઞાની હરગોવિંદ ખુરાનાનો દાખલો ટાંક્યો છે. તેઓ લાહોરના હતા અને લાહોરમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જો પાકિસ્તાને હિંદુઓને પોતાનાં ગણ્યાં હોત તો ખુરાના પાકિસ્તાનમાં રહ્યા પણ હોત! આવા તો બીજા અનેક લોકો છે.

પાકિસ્તાન અને મુસલમાનો વિષે આવું બધું વાંચવું-સાંભળવું હિન્દુત્વવાદીઓને ગમે છે, પણ એ જ વાત ભારતના સંદર્ભમાં અત્યારે આ લખનાર જેવા સેક્યુલર હિંદુ કે બીજો કોઈ વિધર્મી કે જગતના પ્રવાહો ઉપર નજર રાખનારા નિરીક્ષકો કહે તો હિન્દુત્વવાદીઓને મરચાં લાગે છે. પરવેઝ હૂડભોયનો લેખ પ્રકાશિત થયો એનાં બીજા અઠવાડિયે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ તેમની આત્મકથાના પ્રકાશન નિમિત્તે કહ્યું હતું કે અત્યાર સુધી ભારત નાગરિક રાષ્ટ્ર હતું એટલે તેણે પ્રગતિ કરી છે, પણ હવે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે જેમાં માણસની ગણના અને તેના કૌવતનું આકલન ધર્મના ત્રાજવે કરવામાં આવે છે. આ કોઈ પણ રાષ્ટ્ર માટે પતનનો માર્ગ છે. હમીદ અન્સારીએ કહ્યું હતું કે તેમણે દેશની વિદેશસેવામાં પોતાની જે કોઈ સજ્જતા હતી તેના આધારે યોગદાન આપ્યું હતું, તેને મુસ્લિમ હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. હોવો પણ ન જોઈએ.

અહીં નાગરિક રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્ર વચ્ચે શું ફરક છે એ સંક્ષેપમાં ભક્તોને સમજાવી દઉં. નાગરિક રાષ્ટ્ર એ છે જેમાં નાગરિક રાષ્ટ્રનું મૂળભૂત એકમ છે અથવા પાયાનો પથ્થર છે. રાષ્ટ્રની આખી ઈમારત નાગરિકના ખભે ઊભી હોય છે. હિંદુ રાષ્ટ્ર, ઇસ્લામિક રાષ્ટ્ર કે એવા બીજા કોઈ પણ રાષ્ટ્રના પાયામાં બહુમતી ધરાવતા જે તે પ્રજાસમૂહો હોય છે. નાગરિક રાષ્ટ્રમાં દેશના નાગરિક, નાગરિક તરીકે એક સરખો દરજ્જો ધરાવે છે જ્યારે બહુમતી પ્રજા આધારિત રાષ્ટ્રમાં (ભારતમાં હિંદુ રાષ્ટ્ર) બહુમતી વિશેષ દરજ્જો ધરાવે છે અને બીજી પ્રજા સાથે ઓરમાયો વહેવાર કરવામાં આવે છે. શરૂઆત વહાલાં-દવલાંનાં વહેવારથી કરવામાં આવે છે અને એવા વહેવારને જો બહુમતી પ્રજા અપનાવે, રાજકીય માન્યતા આપે, ચૂંટણીમાં વહાલાં-દવલાંનો વહેવાર કરનારાઓને જીતાડે તો પછી બંધારણમાં સુધારા કરીને નાગરિક રાષ્ટ્રને બહુમતી રાષ્ટ્રમાં ફેરવવામાં આવે છે. વિધિવત્ ભારતમાં પાકિસ્તાન આકાર પામે.

હવે જો બહુમતી પ્રજા માથાભારે થઈને ફરે, લઘુમતીને સતાવે, તેની સાથે ઓરમાયો વહેવાર રાખે, તેમને તકથી વંચિત રાખે તો પરિણામ શું આવે? એ પ્રજા રાષ્ટ્રજીવનમાંથી અળગી થઈ જાય અને અન્યત્ર પોતાની જગ્યા બનાવે. શક્તિશાળી બીજ ક્યાંક તો ફૂટવાનું જ, પણ તમારી ધરતી તેનાથી વંચિત રહી જાય. અને યાદ રહે, શક્તિને ધર્મ સાથે લેવાદેવા નથી. જો ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ તેજસ્વી માણસો મુસ્લિમ ઘરમાં પેદા થવા જોઈતા હતા. જો હિંદુ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ જ્યોતિર્ધરો હિંદુ હોવા જોઈતા હતા. પણ એવું નથી. ઊલટું માણસ જેટલો અસ્મિતામુક્ત એટલો વધારે તેજસ્વી હોવાનો અથવા એમ કહો કે જેને આભમાં પ્રકાશવું હોય તેણે અસ્મિતાઓનાં દીવડાઓથી મુક્ત થવું પડશે. આનું પરિણામ એ આવે છે કે જેઓ આભ આંબવાના મનોરથ સેવે છે અને કૌવત ધરાવે છે એવા લોકો ધર્મ જેવા અસ્મિતાઓના સંકુચિત રંગમંચ ઉપર ગુંગળામણ અનુભવે છે. ગુંગળામણ અનુભવતા લોકો ગુંગળામણને વાચા આપશે, તેઓ વાચા આપશે એટલે ભક્તો તેમને સતાવશે, ટ્રોલિંગ કરશે અને સરવાળે તેઓ અન્યત્ર જતા રહેશે. ૭૫ વરસ પહેલાં પાકિસ્તાનમાં આ રીતે જ શરૂઆત થઈ હતી જે રીતે અત્યારે ભારતમાં શરૂઆત થઈ છે અને પરવેઝ હૂડભોય કહે છે એમ પરિણામ આપણી સામે છે.

એક વાત યાદ રાખજો, ટોળાંમાં બુદ્ધિ હોતી નથી, બુદ્ધિ વ્યક્તિમાં હોય છે. હકીકત તો એ છે કે ટોળાંનો હિસ્સો બનવા માટે બુદ્ધિનો અભાવ જરૂરી હોય છે. તો પાકિસ્તાનના પરવેઝ હૂડભોય કહે છે પાકિસ્તાનની બરબાદીનું કારણ ટોળાંનું સત્ય અને ટોળાંનું માથાભારેપણું છે. જો વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો હોત તો પાકિસ્તાનની સ્થિતિ અલગ હોત. ભારતના હમીદ અન્સારી કહે છે કે ભારતે જે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો એનું પરિણામ છે, પણ અત્યારે હવે હિંદુ રાષ્ટ્રના નામે ટોળાંનું સત્ય માથે મારવામાં આવી રહ્યું છે એ ઘાતક છે.

બન્નેના કથનમાં શો ફરક છે? બન્ને એક જ વાત કહી રહ્યા છે. પરવેઝ હૂડભોયના શબ્દો મીઠા લાગે અને હમીદ અન્સારી એ જ વાત કહે તો મરચાં લાગે એવું શા માટે? ભારત સરકારના પ્રવક્તાએ હમીદ અન્સારીની ટીકા કરતાં કહ્યું છે કે તેઓ દેશને બદનામ કરી રહ્યા છે અને ભારતને બદનામ કરવાનું જાગતિક ષડયંત્ર છે. હવે જો પાકિસ્તાનના શાસકોની, મુલ્લાઓની, કોમી તત્ત્વોની, ધર્મઝનૂનીઓની ટીકા કરીને પરવેઝ હૂડભોય પાકિસ્તાનને બદનામ કરી રહ્યા છે એમ જો તમે માનતા હો તો હમીદ અન્સારીની ટીકા સ્વીકારી શકાય. પાકિસ્તાનને જગતમાં પરવેઝ હૂડભોય જેવાઓએ બદનામ કર્યું છે કે અસહિષ્ણુ ધર્મઝનૂનીઓએ અને ભેદભાવ કરનારા શાસકોએ? ભારતને બદનામ હિંદુ ધર્મઝનૂનીઓ અને કોમવાદીઓ કરી રહ્યા છે કે હમીદ અન્સારી જેવા ચેતવણી આપનારાઓ? હમીદ અન્સારી મુસ્લિમ છે એ ગૌણ છે.

જો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એમ કહેતા હોય કે દેશમાં લડાઈ ૮૦ ટકા વિરુદ્ધ ૨૦ ટકા વચ્ચેની છે અને વડા પ્રધાન જો તેમને વારતા ન હોય અને સરેરાશ હિંદુનું મૂક સમર્થન હોય તો પાકિસ્તાનની પંક્તિમાં બેસવામાં શરમ શેની! ખોટો ઢોંગ શા માટે? ગર્વ સે કહો હમ પાકિસ્તાન જૈસે હૈ. પંક્તિ તમે અને તમારા હિંદુ શાસકો પસંદ કરી રહ્યા છો, અમે તો ઊલટું એ પંક્તિમાં બેસવામાં જે જોખમ છે તેની ચેતવણી આપી રહ્યા છીએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ફેબ્રુઆરી 2022

Loading

મકરંદને ન ગમતાનો ગુલાલ કરીએ

અનિલ જોષી|Opinion - Opinion|3 February 2022

મકરંદ દવેની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. ઘણા સેમિનારો થશે. સહુ ગમતાનો ગુલાલ કરશે. પણ મકરંદને જે બિલકુલ નહોતું ગમતું એ વિષે બહુ ઓછી વાત થશે. હિન્દુત્વ અને ગાય વિષે અમુક પરિબળોએ સમાજમાં જે પદ્ધતિસરની વ્યવસ્થિત રીતે ગેરસમજનો પ્રચાર શરૂ કર્યો છે એની સામે મકરંદના પુણ્યપ્રકોપ વિષે વક્તાઓનું લુચ્ચાઈભર્યું મૌન તરત તમારું ધ્યાન ખેંચશે. મરેલી ગાયનું ચામડું સાફ કરતા દલિતોની ગુજરાતમાં જ અંધ ગાય ભક્તોએ કેવી યાતના આપી હતી એના વીડિયો અમે જોયા છે. મોબ લિંચિંગ પણ જોયા છે. ગાય એટલે છાણ, ગૌમૂત્ર અને દૂધ નથી. અહીં મરેલી ગાય વિષે મકરંદે શું લખ્યું છે તે અક્ષરશ: સહુ મિત્રો સાથે શેર કરું છું  મકરંદને ન ગમતાનો પણ ગુલાલ કરવો જોઈએ.

‘ગોસેવાનું શિક્ષણ ગાય મૃત્યુ પામે પછી પણ ચાલુ રહે છે. મરેલી ગાયનું ચામડું ઉતારતી વખતે ‘ગાયત્રી મંત્ર’ બોલવામાં આવે છે. મેઘવાળ સમાજનો આ અનોખો ગાયત્રી મંત્ર છે. મારા મિત્ર પૂંજાભાઇ બડવાએ મને આ માહિતી આપી હતી.’ પછાત, અસ્પૃશ્ય ગણાતી જાતિમાં ઢોરને ચીરવાની ખાસ વિધિ હોય છે. જે આખા સમૂહને અસ્પૃશ્ય માનવામાં આવે છે એ ઢોર ચીરવાની ક્રિયામાં અધ્યાત્મનું એક ગુપ્ત રહસ્ય રહેલું છે એ કોણ જાણે છે ? ખાસ કરીને મૃત ગાયને ચીરવાની ક્રિયામાં આ વિધિ અનિવાર્ય ગણાય છે. અગાઉના જમાનામાં તો ગાય મરી જાય ત્યારે એને લેવા આવનારને ગાયમાલિક આ વિધિ મંત્રોવિષે પૂછતો અને જો એને ખ્યાલ ના હોય તો એને મરેલી ગાય આપતો નહિ પણ પોતે જ ઊંડો ખાડો કરીને દાટી દેતો હતો. મૃત ગાયને ચીરવાનો વિધિ એવો હતો કે મૃત ગાયના જમણા પગની ખરીમાં આ મંત્ર બોલીને કાપો મુકાતો હતો. ‘સતની છરી, શબદની ધાર, ચૉરિંગ દિયે મેઘવાળ’ આ કાપો મૂકવાને ‘ચૉરિંગ દેવો’ એમ કહેવામાં આવે છે. એ પછી નીચે આપેલો મંત્ર બોલવામાં આવે છે.

અલખ બેઠા આપે ધણી,
આગે પીછે જોયું તો
ગાય અવતરી
જીવતી ગાય હિન્દુને સોંપી
ને સવાશેર દૂધના ભોગ ધરાયા
મરેલ ગાય મેઘવાળને સોંપી
તો સવા શેર માટીકા ભોગ લગાયા
ચાર પગકા ચાર ખંડ બનાયા
ચામડીની પૃથ્વી બનાઈ
હૈયાના શંખ બનાયા
ઉવાડાકા લોટા બનાયા

જીભ કી કલમ બનાઈ
આંતરડી જનોઈ બનાઈ
હોજરીકા ખડિયા બનાયા
પૂછડેકા લંગોટ બનાયા

મંતર વાંચી ગા ભરખે તો અમરાપુર જાવે
મંતર વાંચ્યા વિના ગા ભરખે તો નરકે જાવે
ગાયકા મંતર સંપૂરણ ભયા
તો મછન્દર પરતાપે જતિ ગોરખને કહા

પ્રાચીન તપોવનોમાં મુનિકુમારો જાતે જ મરેલી ગાયનું ચામડું ઉતારવાની ક્રિયા કરતા હતા. મકરંદ દવે બહુ સ્પષ્ટ કહે છે : 'જે વાણીને જીવતે જીવંત પરણાવી દીધી એટલે કે જગતના વહેવારમાં નાખી દીધી તે સમાજની સ્થૂળ વાણી થઇ ગઈ. મરેલી ગાયનું આવું રહસ્યધન પછાત અને અસ્પૃશ્ય જાતિએ સાચવી રાખ્યું છે એને આપણે હડધૂત કરીએ છીએ. કાયદાઓ ઘડવાથી કાંઈ થતું નથી ‘ગાયત્રી મંત્ર બહુ સાચું કહે છે : જીવતી ગાય હિન્દુને સોંપી ને સવાશેર દૂધના ભોગ લગાયા, મરેલી ગાય મેઘવાળને સોંપી ને સવાશેર માટીના ભોગ ધરાયા.’

•••

વિખ્યાત કલાકાર દોસ્ત શેખર સેનનો ફોન આવ્યો. તે કહે છે : મારે ઘેર ગીરની ગાય છે છતાં અમારા ઘરમાં ક્યારેક બિલકુલ દૂધ નથી હોતું કારણ કે ગાયના ફક્ત બે જ આંચળમાંથી અમે દૂધ દોહીએ છીએ. બાકીના બે આંચળમાં ભરેલું દૂધ અમે ગાયના વાછરડા માટે રાખીએ છીએ. અત્યારે તો મશીનથી ગાય દોવાય છે.

જુઓ, ગાયત્રી મંત્રમા પણ ‘ગાય’ શબ્દ છે ગાયની હાજરી છે. મકરંદનો મિજાજ બિલકુલ સેક્યુલર હતો, સત્તા સાથે કાયમ ખડાખાટકો હતો. કોઈ યુવાન મકરંદ પાસે સરકારી નોકરી માટે ભલામણ ચિઠ્ઠી લેવા આવે તો મકરંદ હસીને કહેતા કે મારી ચિઠ્ઠી બતાવીશ તો તને કોઇ નોકરી આપતું હશે તો નહિ આપે.

મકરંદ સાથે બેસીને ગોંડલમાં અમે કાગળ ઉપર નંદિગ્રામની યોજના તૈયાર કરતા હતા ત્યારે મકરંદે નંદિગ્રામની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું હતું : ‘આપણે અયોધ્યા નથી જવાનું. ભરતભાવ રાખીને નંદિગ્રામ વસાવવું છે. સિંહાસન ઉપર આપણે નથી બેસવાનું પણ રામની પાદુકા મૂકીને રામ વતી શાસન કરવાનું છે. આ ભરતભાવ જન્મે તો જ મારો રામ રાજી થાય નંદિગ્રામ પાછળ મારી આ સંકલ્પના છે. આપણે રામને નામે ચરી નથી ખાવું. ચરતી વખતે ગાયને યાદ રાખવી. ગાય ઉપર ઉપરથી ઘાસ ચરે છે, ઘાસનાં મૂળિયાં નથી ચરતી. આપણે રામરાજ્યનું મૂળ સલામત રાખવાનું છે. સંસ્થા કરીએ તો મુશ્કેલી તો આવશે. પ્રયોગ છે. હનુમાનદાદાને સાથે રાખવાના છે. નંદિગ્રામ કાગળ પર ઊતરતું હતું એ સમયે કુંદનિકા અને હું ઉપસ્થિત હતાં.

મકરંદને મુસ્લિમ બાંધવો માટે કોઇ દ્વેષ નહોતો. મકરંદે તો અલારખા જેવા એક સામાન્ય મુસ્લિમ પર એક કાવ્ય લખ્યું હતું. એ કાવ્ય મને યાદ નથી પણ એક પંક્તિનું ઝાંખું સ્મરણ છેઃ ‘જોયો મેં અલ્લાહનો રખો ..’ મકરંદનો તકિયા કલમ કાયમ એ જ હતો કે ‘હું તો નૂરિયા – જમાલિયાની સંગતમા બેઠો છું. રામ રામ કરો. અલ્લાહ અચ્છા કરેગા’. આ મકરંદનો મિજાજ છે. એ વખતે ભાવનગરથી કવિ પ્રજારામ આવી ચડતા ત્યારે કહેતા.’ હું પ્રજારામ છું એટલે કે ‘હું ડેમોક્રેટિક રામ છું.’ મકરંદની જન્મ શતાબ્દીમાં આવી બધી વાતો થવી જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 14

Loading

શાકુન્તલ, થેચર અને સાહિત્ય અકાદમી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 February 2022

નિરંતર

વાત જો કે ૨૦૨૨માં અને ૨૦૨૨ની જ કરવી છે, પણ કલમ ઉપાડવા કરું છું ત્યારે ચિત્ત કવિકુલગુરુ કાલિદાસની મનહર-મનભર સૃષ્ટિમાં અને એમાં ય તે શાકુન્તલ અને કણ્વાશ્રમની ચિત્રણામાં રમવા કરે છે.

રાજા દુષ્યન્ત મૃગયાએ નીસર્યા છે. નાસતું મૃગલું વન વીંધતું તપોવનમાં પ્રવેશે છે. કણ્વ મુનિનો એ આશ્રમ છે. રાજા નિશાન લેવાની અણીએ છે ત્યારે સહસા બે આ શ્રમિકોનો અવાજ સંભળાય છે : રાજન, આ તો આશ્રમમૃગ છે, ન હન્તવ્યો ન હન્તવ્યઃ …

નોંધ્યું તમે, આશ્રમની સીમા જ્યાં શરૂ થઈ, રાજાની ને રાજ્યની એક હદ ત્યાં આવી ગઈ. રાજ અલબત્ત રાજાનું જ છે, પણ આણ અને આમન્યાને વશ વરતીને.

અહીં સાંભરે છે તક્ષશિલાના પ્રવેશદ્વારે મુકાયેલ એક સૂચનાપટ, ‘દીપનિર્વાણ’ નવલકથામાંથી દર્શકની બાનીમાં : “હે ચક્રવર્તી! આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસના સ્થાન છે એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે; ને તારા રાજવી મદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.”

હવે, એ તો રાજાશાહીનો જમાનો હતો – અને એણે પણ શિક્ષણ ને સાહિત્ય પરત્વે એક આમન્યા જાળવવામાં પોતાનો ધર્મ જોયો હતો. જમાનો ક્યાં ય આગળ ચાલ્યો છે, અને લોકશાસને કેટલીએક પ્રજાસૂય આમન્યાઓ જાળવવામાં પોતાનું શીલ જોયું છે. આ જે પ્રજાસૂય આણ ને આમન્યા, એની વિધિવત્‌ બંધારણીય ને કાનૂની ઓળખને આપણે આજની લોકશાહી પરિભાષામાં સ્વાયત્તતાને નામને ઓળખીએ છીએ.

નમૂના દાખલ ગ્રેટ બ્રિટનની વાત કરું જરી? અને દૃષ્ટાંત છે પણ મજાનું એણે ‘રાજા’ની સંસ્થા ઘટતાં માનપાન સહ જાળવી રાખી છે, પણ લોકશાહી વ્યવહારની અનોખી સંસ્કૃતિ નિપજાવી છે. ૧૯૮૫ની સાલમાં ‘બ્રિટનની ધરતી પર એક વિક્રમ ઘટના નોંધાઈ. શ્રેષ્ઠતમો પૈકી એક એવા વિદ્યાધામ, ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દરખાસ્ત આવી કે વડા પ્રધાન માર્ગરેટ થેચરને માનદ્દ ડૉક્ટરેટ આપવી. ઇંગ્લેન્ડની સંસદીય લોકશાહીના ઇતિહાસમાં એક અર્થમાં થેચરનું નામ ચર્ચિલની હારોહાર લેવાય છે. બલકે, લાંબા કાર્યકાળની કસોટીએ તો માર્ગરેટ થેચરને આપણે આગળ મૂકવાં પડે. આવાં આ થેચરબાનુ, એમને માનદ્દ ડૉક્ટરેટની દરખાસ્ત સામાન્યપણે સ્વીકાર્ય જ હોય ને. ખુદ યુનિવર્સિટીને પણ એમાં ગૌરવ મળે એ સહજ હતું. પણ આ કિસ્સામાં બન્યું એવું કે યુનિવર્સિટીએ બહુમતીથી ધરાર નન્નો ભણ્યો. કારણ ? તો કહે, થેચર શાસનમાં શિક્ષણ અને સંશોધનની સરકારી જોગવાઈ પર કાપ મુકાતો રહ્યો છે. હવે જુઓ તમે માર્ગરેટ થેચરની પ્રતિક્રિયાઃ “યુનિવર્સિટીમાં માનદ્દ ડૉક્ટરેટ સારુ મારું નામ વિચારાઈ રહ્યાનું જાણ્યું ત્યારે સ્વાભાવિક જ આનંદ થયો હતો. પણ એને જો એ સ્વીકાર્ય ન લાગે તો હું તે માટે દબાણ શા સારુ કરું?”

લોકશાસનની શોભા, આમપ્રજાસૂય આણ અને આમન્યા પરત્વે આદરથી વધતી હોય છે. સાહિત્ય આદિ ક્ષેત્રોમાં સંવર્ધન-સંગોપન સારુ સારસંભાળની રીતે રસ લેવો ને ઉપયોગી થવું એમાં કોઈ પણ રાજ્ય પોતાની શોભા ને ધર્મ સમજે એ અલબત્ત ઈષ્ટ છે. તે માટે બંધારણીય ને કાનૂની ધોરણે આગવી સંસ્થાનિર્મિતિ એનો હક ને ફરજ બંને છે. પણ લોકશાહીએ ગંગાની પેઠે શંકરની જટા ને જહ્‌નુની જંઘાને વટી સાઠ હજાર સગરપુત્રોના હિત વાસ્તે મેદાનમાં આવવું રહે છે. સગરપુત્રો લગી પહોંચવાની આ બંધારણીય પ્રયુક્તિ અને કાનૂની જોગવાઈને આપણે સ્વાયત્તતા કહીએ છીએ.

સદ્દભાગ્યે, દેશની સાહિત્ય અકાદેમીના ચુંટાયેલા, રિપીટ, ચુંટાયેલા પ્રમુખ ઉમાશંકર જોશીએ અક્ષર બિરાદરીને જગવ્યાથી અને દર્શક સરખા સાહિત્યસેવી સ્વાતંત્ર્યસૈનિકે સીધો રસ લીધાથી ગુજરાતમાં સ્વાયત્ત સાહિત્ય અકાદમીનો એક કાર્યસાધક ઢાંચો બનેલો છે. યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના ને સરકારી પ્રતિનિધિઓ ઉપરાંત આ ઢાંચાની ખાસ વિશેષતા નોંધાયેલા લેખકોની અલાયદી કૉન્સ્ટિટ્યુઅન્સીનીયે છે જે અન્ય રાજ્યોની અકાદમીઓમાં ભાગ્યે જ હશે. આ સૌનું જે મતદારમંડળ (ઇલેક્ટોરલ કૉલેજ) બને તે અધ્યક્ષને ચૂંટી કાઢે. આવો જે એક ઢાંચો આપણે ત્યાં હાજરાહજૂર છે એને ફેરજાગતો અને ગાજતો કેમ ન કરી શકીએ? ગુજરાત મોડેલની એ એક ગૌરવ ઘટના હશે.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 16

Loading

...102030...1,5111,5121,5131,514...1,5201,5301,540...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved