Opinion Magazine
Number of visits: 9569864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિજ્ઞેશને જામીન અને પોલીસની ઝાટકણી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|1 May 2022

સરકારના નિશાન પરના લડાયક યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મહિલા પોલીસ પર હુમલો કરવાના આરોપમાંથી ગઈ કાલ 22 એપ્રિલે જામીન મળ્યા. આ સમાચાર બહુ ઓછા ગુજરાતી છાપામાં વિગતે આવ્યા છે.

જિજ્ઞેશને જામીન આપતા હુકમમાં આસામના બારપેટા ખાતેની અદાલતે બે મહત્ત્વની બાબતો કહી. તેમાંથી પહેલી જિજ્ઞેશ સામેના આરોપ અંગેની છે; અને બીજી પોલીસ દ્વારા ન્યાયતંત્રના દુરુપયોગને લગતી છે.

• જિજ્ઞેશ પર આસામના એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આરોપ મૂક્યો હતો કે તેને 21 એપ્રિલે ગુવાહાટી વિમાનઘરથી વાહનમાં બેસાડીને કોખરાઝાર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે (જિજ્ઞેશે) તેમને (પોલીસ અધિકારીને) અપશબ્દો કહ્યા હતા અને તેમને શારિરીક રીતે ધક્કો માર્યો હતો. આવું મેવાણીએ કર્યું ત્યારે બે પોલીસવાળા પણ વાહનમાં હતાં, એમ પણ મહિલા અધિકારીએ  એફ.આઇ.આર.માં નોંધાવ્યું છે.

અદાલતે કહ્યું કે ફરિયાદીનું અદાલત સામેનું બયાન અને એફ.આર.આઇ. વચ્ચે મેળ બેસતો નથી. આ અદાલતે આ બાબત જામીન હુકમમાં વિગતવાર જણાવી છે. (https://www.thehindu.com/…/jignesh…/article65366669.ece)

તદુપરાંત અદાલતે એમ પણ કહ્યું છે કે અફર પૂરાવો તો છોડો, પૂરાવો પણ નથી, કારણ કે ફરિયાદી સાથેના બે પોલીસ અધિકારીઓના નિવેદનોને ઍડમિસિબલ એવિડન્સ ગણી શકાય તેમ નથી. આ બાબતને ધ્યાનમાં લેતાં કલમ 354 હેઠળનો ગુનો સાબિત થતો નથી. આરોપીએ ફરિયાદીને સીટ પર ધક્કો માર્યો અને શારિરીક ઇજા પહોંચાડી એમ ધારી લઈએ તો પણ તેનો ગુનો કલમ 323 હેઠળનો અને એ જામીન પાત્ર છે. આ એવો કેસ નથી કે જેમાં આરોપીની પૂછપરછ કરવા માટે તેને હિરાસતમાં લેવો જરૂરી હોય. બારપેટાના વિદ્વાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને કે પણ દિવસ માટે પોલીસ કસ્ટડી આપવી જોઈતી ન હતી. https://economictimes.indiatimes.com/…/art…/91189798.cms

અદાલતે એમ પણ કહ્યું કે આ આરોપ આરોપીને વધુ લાંબો સમય અટકાયતમાં રાખવા માટે પેદા કરવામાં આવ્યો છે અને તેને કારણે અદાલત તેમ જ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થયો છે. અદાલતે કહ્યું કે ‘જેનું મગજ ઠેકાણે હોય તેવી કોઈ પણ વ્યક્તિ બે પુરુષ પોલીસ અધિકારીઓની હાજરીમાં એક મહિલા પોલીસ અધિકારીનું અપમાન કરવાની કોશિશ ન કરે, અને આરોપીનું મગજ ઠેકાણે નથી એવી કોઈ બાબત રેકર્ડ પર આવી નથી.’

• અદાલતે આસામ પોલીસની ‘ખોટી એફ.આઇ.આર.’ દાખલ કરવા માટે અને અદાલત અને કાનૂનની પ્રક્રિયાનો દુરુપયોગ કરવા માટે ઝાટકણી કાઢી છે. બારપેટાના જિલ્લા અને સેશન્સ જજ અપરેશ ચક્રવર્તીએ આસામમાં ‘અત્યારે ચાલી રહેલા પોલીસી અત્યાચારો’ના દાખલા આપીને ગુવાહાતી વડી અદાલતને વિનંતી કરી છે કે તે પોલીસ દળને ‘ખુદને સુધારવા’ માટેના નિર્દેશો આપે. અદાલતે એમ પણ કહ્યું કે, ‘ખૂબ મહેનતથી ઊભી થયેલી લોકશાહી પોલીસ-શાસિત રાજ્યમાં ફેરવાઈ જાય એ તો વિચારી સુદ્ધા ન શકાય, અને જો આસામ પોલીસ એમ કરવાનું વિચારતી હોય તો તે વિકૃત માનસ છે.’

જામીન હુકમમાં વડી અદાલતને પોલીસને કૅમેરાના ઉપયોગ અંગે નિર્દેશ આપવાની પણ વિનંતી કરવામાં આવી છે. તે મુજબ દરેકે દરેક પોલીસ કર્મચારીને બૉડી કૅમેરા પહેરવા, આરોપીની ધરપકડ કરતી વખતે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે ઉપયોગમાં લેવામાં વાહનોમાં અને પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી. કૅમેરા લગાવવા જોઈએ એમ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જણાવે છે.

ન્યાયાધીશના જણાવ્યા મુજબ આવાં પગલાં ખોટી એફ.આઈ.આર. થતી અટકાવી શકશે. તેમણે એમ પણ કહ્યું કે એવા કિસ્સા પણ રાજ્યમાં રાબેતા મુજબ બનતે ઘટના બની ગયા છે. જેમ કે,  એવો કિસ્સો જેમાં આરોપીની ધરપકડ થઈ હોય, એ મધરાત્રે જેલમાંથી ભાગી જવાની કોશિશ કરે; આરોપી પોલીસને કંઈક શોધવામાં મદદ કરતો હોય અને આવા આરોપી પર પોલીસ ગોળીબાર કરે. કૅમેરાને કારણે પોલીસની વાત વિશ્વાસપાત્ર બની શકશે. આસામની વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ આસામમાં મે 2021માં હિમાન્તા સરમાના મુખ્ય મંત્રી પદ હેઠળની સરકાર આવી ત્યારથી પોલીસ ગોળીબારમાં 29 વ્યક્તિઓ માર્યા ગયા છે અને 96 ઘાયલ થયા છે.

• પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જિજ્ઞેશે આરોપ મૂક્યો છે કે એની ધરપકડ વડા પ્રધાનની કચેરી દ્વારા દ્વારા રચાયેલું કાવતરું છે. તેણે કહ્યું કે, ‘એક જ્યુનિયર ઑફીસર સાથે હાથાપાઇ કરીને મને શું મળવાનું હતું ? પોલીસ મને કસ્ટડીમાં લઈ ગઈ, મારી તપાસ કરવી એ એમનું કામ હતું અને મેં તેમને સહકાર આપ્યો.’ તેમણે ઉમેર્યું કે ‘મને ન્યાયતંત્રમાં પૂરી શ્રદ્ધા છે, હતી અને રહેશે. મને ખાતરી હતી કે આજે નહીં તો કાલે મને જામીન મળશે … ભારતીય જનતા પક્ષની સરકાર તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાની ધરપકડ કરી શક્યા નથી, પણ તેઓ એક ટ્વિટ માટે જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરે છે અને તેને ગુજરાતથી હજારો માઇલ દૂર આસામની જેલમાં નાખે છે. વડા પ્રધાન શું સંદેશો આપવા માગે છે?

તેમણે મને નિશાન બનાવ્યો છે. તેમણે આ જ રીતે ચન્દ્રશેખર આઝાદ, અખિલ ગોગોઈ, હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર અને બીજા યુવા નેતાઓને પણ નિશાન બનવ્યા છે. પણ અમારામાંથી કોઈએ ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધમાં બોલવાનું બંધ કર્યું નથી.’

https://indianexpress.com/…/jignesh-mevani-bail…/

30 એપ્રિલ 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

રેમન્ડ એફ. કોમેઉ • અનુવાદક : આશા બૂચ|Gandhiana|30 April 2022

રેમન્ડ એફ. કોમેઉ (Raymond F. Comeau) (પીએચ.ડી) હાર્વર્ડ યુનિવર્સિટી એક્સટેન્શન સ્કૂલમાં અધ્યાપક છે, જ્યાં તેઓ મેનેજમેન્ટ સ્ટડીઝના સહાયક ડીન અને વિદેશી ભાષાઓના માર્ગદર્શન વિભાગના વ્યવસ્થાપક તરીકે સેવા આપે છે. આ નિબંધ એપ્રિલ 2021માં લખાયેલો છે.

Dr. Raymond F. Comeau, left, reviewing a print of the John Greenleaf Whittier Birthplace with Curator Augustine “Gus” Reusch.

ગાંધીએ જે કોઈ કાર્ય કરવાની કોશિશ કરી, તેમાં તેઓ મહદ્દ અંશે સફળ થયા કેમ કે તેમનામાં નેતા તરીકેના અસાધારણ ગુણો હતા. મારા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના એક્સટેન્શન સ્કૂલ મેનેજમેન્ટ કોર્સમાં ‘નેતૃત્વનો સાહિત્ય તથા ફિલ્મના માધ્યમથી સમીક્ષક અભ્યાસ’ કરવા રિચર્ડ એટેનબરાની 1982માં પુરસ્કાર વિજેતા બનેલી ફિલ્મ ‘ગાંધી’નો અભ્યાસ કરતી વખતે મેં આ દૃષ્ટિકોણ અપનાવ્યો હતો. 

વ્યવસ્થા(management)નો અભ્યાસક્રમ કે જેમાં બજારનું નિયંત્રણ, વ્યાપારી વ્યવસ્થા, હિસાબ અને નાણાકીય બાબતોના અભ્યાસની અપેક્ષા રખાતી હોય, તેમાં આવા માનવીય મૂલ્યલક્ષી વિષયનો સમાવેશ કરવામાં આવે તેવો આ અભ્યાસક્રમ ખુદ અસાધારણ બાબત ગણી શકાય. અભ્યાસક્રમમાં સૂચિત કરવામાં આવ્યું છે, “આ અભ્યાસક્રમ એવી પ્રસ્તાવનાના આધાર ઉપર ઘડ્યો છે કે સાહિત્ય અને ફિલ્મ જેવા સર્જનાત્મક માધ્યમો થકી સમીક્ષક અભ્યાસ કરવામાં આવે તો વ્યવસ્થાપકો(મેનેજર્સ)ને આધુનિક સમયની નેતૃત્વની જટિલતા સમજવામાં સહાય થાય,” અમે જે સાહિત્ય કૃતિઓનો અભ્યાસ કર્યો તેમાં સૉફૉક્લિસના એન્ટિગની અને શેક્સપિયરના જુલિયસ સીઝરથી માંડીને 20મી સદીની રચનાઓ જેવી કે ફ્રાંઝ કાફ્કાનું પીનલ કોલોની અને ચીનવા ઉચેબી કૃત થિંગ્સ ફોલ અપાર્ટ જેવા વિશાળ ક્ષેત્રનો સમાવેશ થાય છે. એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ ઉપરાંત માસાયુકી સુઓની શેલ વી ડાન્સ? અને માર્ટિન સ્કોર્સેસીસ દ્વારા નિર્દેશિત બે ફિલ્મ એજ ઓફ ઇનોસન્સ અને એવિએટનો પણ અભ્યાસ કર્યો.  

તો એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ને આધારે મેં અને મારા વિદ્યાર્થીઓએ ગાંધીના નેતૃત્વના કયા ગુણોની ઓળખાણ મેળવી? મેં છેલ્લા ચાર વર્ષની મારી નોટબૂક પર નજર નાખી તો એ વર્ષો દરમ્યાન ચાર લાક્ષણિક ગુણોની દરેક વર્ગમાં ચર્ચા કરી તે મળી આવ્યું.  

ગાંધી એક વિનમ્ર નેતા હતા 

એક વિનમ્ર નેતા પોતાના અનુયાયીઓ સાથે એકાત્મ ભાવ અનુભવે છે અને તેમને પોતાના જીવનના દૃષ્ટાંત દ્વારા દોરે છે. એ ફિલ્મમાં જ્યારે આપણે પ્રથમ વખત ગાંધીને જોઈએ છીએ ત્યારે એ એક સુઘડ કપડામાં સજ્જ ઇંગ્લિશ વકીલ દક્ષિણ આફ્રિકાની ટ્રેઈનમાં પ્રથમ વર્ગના ડબ્બામાં મુસાફરી કરતા જોવા મળે છે – જ્યાંથી તેમને ‘કલર્ડ’ (અશ્વેત વર્ણના) હોવાને કારણે બૂરી રીતે બહાર ફેંકી દેવામાં આવે છે. એ આખી ફિલ્મ દરમ્યાન જેમ જેમ તેઓ ખેડૂત વર્ગ સાથે તાદાત્મ્ય અનુભવવા લાગ્યા તેમ તેમ આપણે તેમને ક્રમશઃ બદલાતા જતા જોઈએ છીએ; એટલી હદે કે તેઓ હાથે કાંતેલી અને વણેલી ખાદીની ધોતી અને માથે ફાળિયું પહેરતા થયા. તેમણે આમ કર્યું કેમ કે તેઓને અહેસાસ થયો કે જો પોતે સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવતા હોય તો ભારતના તમામ લોકો સાથે ઐક્ય દર્શાવવું જરૂરી છે.

ગાંધી એક યોજનાબદ્ધ નેતૃત્વ આપનાર નેતા

ગાંધી કોઈ પણ પગલું ભરતાં પહેલાં વિચારતા. તેમને ખ્યાલ હતો કે તેમના દરેક કાર્ય ખૂબ કાળજીપૂર્વક આયોજન કરીને અમલમાં મુકવાં જોઈએ અને તેમના અનુયાયીઓ માટે પ્રેરણા આપવા શક્તિમાન હોવાં જોઈએ. ઉદાહરણ તરીકે તેઓ ભૂખમરો ભોગવતા ખેત મજૂરોની ફરિયાદ સાંભળવા ચંપારણ ગયા, અને તેમણે નહેરુએ મોકલેલા વિદ્યાર્થીઓનો અમાનવીયતા ભરેલી કામ કરવાની પરિસ્થિતિની સાબિતી એકઠી કરવા માટે ઉપયોગ કર્યો. આખર એ પુરાવાઓના દબાણને કારણે જમીન માલિકોએ હાર સ્વીકારી. ગાંધીના ઘણાં ખરાં યોજનાબદ્ધ કાર્યો તેમના અહિંસક પ્રતિકાર અને અસહકારના તત્ત્વજ્ઞાનને ધ્યાનમાં લઈને યોજવામાં આવતા હતા. એ ફિલ્મમાં જોવા મળેલ સહુથી વધુ પ્રખ્યાત દૃશ્ય તે તેમની દાંડી કૂચ, કે જે તેમણે બ્રિટિશ સરકારના ભારતમાં નમક પરના ઇજારાની વિરોધમાં કરેલી તે છે. એ દિવસનું પ્રતીકાત્મક મહત્ત્વ વધારવા માટે તેઓએ અમૃતસરના હત્યાકાંડની જયંતીને દિવસે ત્યાં પહોંચવાનું આયોજન કરેલું. એમનો બીજો સફળ પ્રયત્ન હતો દેશવ્યાપી હડતાલ, જેને માટે તેમને જેલ મોકલવામાં આવેલા. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે તેમના મોટા ભાગના સત્યાગ્રહો સમયે પ્રેસના પ્રતિનિધિઓ હાજર રહે તેવું આયોજન કરતા, કેમ કે તેઓ જાણતા હતા કે પ્રસિદ્ધિ થવાથી અન્યાય ઉઘાડો નજરે પડે છે.

ગાંધી એક કરુણા સભર નેતા હતા

અલબત્ત આ ફિલ્મ ગાંધીને આધ્યાત્મિક નેતા તરીકે નથી વર્ણવતી, પરંતુ એ તેમને એક એવા આધ્યાત્મિક વ્યક્તિ કે જેમનું હૃદય તમામ જીવો પ્રત્યે અહિંસાના તત્ત્વજ્ઞાનના પાયા પર રચાયેલી કરુણાથી સભર હોય એવા જરૂર ચિત્રિત કરે છે. તેમણે માત્ર બાઈબલના અવતરણો(દાખલા તરીકે ક્રિશ્ચિયન વચન ‘તારા પાડોશીને પ્રેમ કર’, અને ‘બીજો ગાલ ધર’)ને માત્ર શબ્દોમાં જ અભિવ્યક્ત ન કર્યો, પણ તે પ્રમાણે આચરણ કર્યું. ઉદાહરણ તરીકે એ ફિલ્મમાં તેઓએ વારંવાર કહેલું કે તેઓ બ્રિટિશ શાસકો ભારત છોડી જાય તેમ ઈચ્છે છે, પણ મિત્રો તરીકે, દુ:શ્મન તરીકે નહીં, કે જે છેવટે તેમણે પાર પાડ્યું. એ ફિલ્મ જેમણે જોઈ છે તેમને ગાંધીનો ચંપારણના ખેત મજૂરો સહિત બીજા અનેક ગરીબ લોકો પ્રત્યે કરુણાથી છલકતો ચહેરો યાદ હશે. એવી જ રીતે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે થતી હિંસા રોકવા માટે તેમણે કરેલાં અનશનો પણ યાદ હશે. અનશન એક આદ્યાત્મિક પગલું છે જે અનશન કરનાર પ્રત્યે તેના સાક્ષીઓમાં કરુણાનો ભાવ જગાવે છે. તેમના અનશનો ધાર્યું પરિણામ લાવવામાં સફળ થતા. હું મારા વિદ્યાર્થીઓને યાદ અપાવવા માગું છું કે ગાંધી એક શાંતિપ્રિય નેતાની સાથે એક કરુણા સભર પવિત્ર પુરુષ પણ હતા.

ગાંધી એક દૃઢનિશ્ચયી નેતા હતા

ગાંધીમાં નમ્રતા અને કરુણાના ગુણો હોવા છતાં તેઓ એક દૃઢનિશ્ચયી નેતા હતા. હકીકતમાં તેમના ઉપવાસો, કૂચ, સામૂહિક દેખાવો અને અસંખ્ય જેલયાત્રા એ તમામને કારણે તેમના નિર્ધાર મજબૂત થતા રહ્યા. તેનું ફિલ્મમાં બતાવાયેલ સ્પષ્ટ ઉદાહરણ દક્ષિણ આફ્રિકામાં તેમનું અસહકારનું પ્રથમ પગલું, કે જે ઓળખ પત્રો કઢાવવાના કાયદાના વિરોધમાં દેખાવકારોની નાની ટુકડીની આગેવાની કરી ઓળખ પત્રો બાળી નાખવા પ્રેર્યા તેમાં મળી આવે છે. ફિલ્મના દર્શકોને યાદ હશે કે પોલીસ કર્મચારી દ્વારા ગાંધીના મુખ પર પ્રહાર થયો અને તેઓ જમીનદોસ્ત થયા છતાં તેઓએ ઓળખ પત્રો આગમાં નાખવાનો પ્રયાસ ચાલુ રાખેલો. છેવટ જ્યારે એ કામ ચાલુ રાખવા જેટલી શક્તિ ન રહી ત્યારે જ તેઓ અટક્યા. દૃઢનિશ્ચયીપણાનું બીજું ઉદાહરણ છે તેમની હિન્દુ – મુલ્સિમ એકતા જાળવવાની હઠ. પોતાની જાનનું જોખમ હોવાની જાણ હોવા છતાં તેમણે પોતાના આ સ્વપ્નનો ત્યાગ ન કર્યો. અલબત્ત તેઓ પોતાના હઠીલાપણા વિષે અવારનવાર મજાક કરતા રહેતા, પરંતુ ભારતને સ્વરાજ અપાવવા માટેના પોતાનાથી બનતું બધું કરી છૂટવાના દૃઢ નિશ્ચય વિષે તેઓ અત્યંત ગંભીર હતા.

કોઈ નેતામાં આ ચારેય ગુણો હોવા મુશ્કેલ છે. કોઈ નેતા વ્યૂહ જાણનારો અને કૃતનિશ્ચયી હોઈ શકે, પણ નમ્ર અને દયાળુ ન પણ હોઈ શકે. બીજો નેતા કદાચ નમ્ર અને દૃઢનિશ્ચયી હોય, પણ દયાળુ અને વ્યૂહરચના કરનાર ન પણ હોય. બીજા નેતાઓમાં આ લાક્ષણિકતાઓ જુદા જુદા સંયોજનમાં જોવા મળી શકે, પરંતુ ગાંધીમાં આ ચારેય લાક્ષણિકતાઓ હતી.

આખરમાં કહેવા માંગુ છું કે એક અધ્યાપક હોવા ઉપરાંત હું એક કવિ પણ છું. હું ગાંધીના એક માનવ અને નેતા તરીકેના વ્યક્તિત્વથી એટલો બધો પ્રભાવિત થયો છું કે મને એક કાવ્ય લખવાની પ્રેરણા થઈ. મને આ કાવ્ય પાછળનો વિચાર ખૂબ ગમે છે. સંભવ છે કે પૂરતા લોકોની અભિરુચિ અને સહકારથી આ દુનિયા ગાંધીનું તારામંડળ જોઈ શકે!

ગાંધીનું તારામંડળ 

જ્યારે હું તમારો વિચાર કરું છું 
ઓ મહાત્મા 

તમારી વિદાયને વર્ષો વીતી ગયાં, 
એક કામળા ઉપર સૂતા છો  
અનશન કરતા 
જેથી કરીને તમારું દર્દ આ ધરતીના ઘાવને રૂઝ આપે 


પણ હું જોઉં છું કે તમે હજુ યાદ કરો છો 
કાટ ખાઈ ગયેલા પાઇપની જેમ તૂટી ગયેલા 
ચંપારણના ખેત મજૂરોને

અનેક કંગાળ બાળકો 
તમારી કૂચના માર્ગમાં ઝાડની ટોચ પર ચડેલા 

ખાસ કરીને પ્રેમ ઉપર ધિક્કારની 
એ દુષ્ટ મનોવૃત્તિ 

મુક્ત મને વિચારું છું 
અને ચાર તારલાની કલ્પના આવે છે 

જાણે ધાબળાના ચાર ખૂણા 
આકાશમાં મધરાતે ઝળકતા 

(‘ગાંધીનો ધાબળો’ બાળકો કિલકાર કરશે)

વધુ અનશન કરવા માટે 
તમે એ જ વાંછો  

                   − રેમન્ડ એફ. કોમેઉ

પરીક્ષક: રિલિજિયન અને સાઉથ એશિયન સ્ટડીઝ, વેલેસલી કોલેજ, વેલેસલી, MA, USAના પ્રોફેસર નીલિમા શુક્લ-ભટ્ટ

(નોંધ : મૂળ લેખ તેમ જ આ ભાષાંતરના તમામ કોપી રાઈટ રેમન્ડ એફ. કોમેયુના છે. અનુમતિ અથવા પત્રવ્યવહાર માટે comeau@fas.harvard.edu. પર સંપર્ક સાધી શકાશે. તેઓ આશા બૂચનો આ લેખનો સુંદર રીતે અનુવાદ કરવા બદલ અને રિલિજિયન અને સાઉથ એશિયન સ્ટડીઝ, વેલેસલી કોલેજ, વેલેસલી, MA, USAના પ્રોફેસર નીલિમા શુક્લ-ભટ્ટનો આ ભાષાંતરનું પરીક્ષણ કરવા બદલ આભાર વ્યક્ત કરે છે.)

e.mail : 71abuch@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—143

દીપક મહેતા|Opinion - Opinion|30 April 2022

 દેશી નાટક સમાજ : એક નામની બે કંપની?

નાટકની તવારીખ માટે ભરોસાપાત્ર સાધન ઓપેરા બુક્સ

૧૮૮૫ સુધીમાં ભજવાયેલાં ૨૩ નાટકમાં હતાં ૧,૧૦૦ ગાયન   

કોઈનું ઘડતર, કોઈનું ચણતર, કોઈ પાડે પરસેવા,
જાગે તેનું નસીબ જાગતું, જાગ જાગ મરજીવા.

જૂની ગુજરાતી રંગભૂમિના ઘડતર અને ચણતર અંગેની એક-બે ગૂંચની વાત આજે કરવી છે. અમદાવાદમાં ગુજરાતી રંગભૂમિના શ્રીગણેશ કેશવલાલ શિવરામના સંગીત નાટક ‘સંગીત-લીલાવતી’થી થયા એની વાત તો આપણે અગાઉ કરેલી. પણ ગદ્યપદ્યાત્મક નહિ, કેવળ પદ્યાત્મક સંગીત નાટક રચવાની પ્રેરણા તેમને મળી ક્યાંથી? કારણ એ વખતે મુંબઈની બિન-પારસી રંગભૂમિ પર તો સંગીત નાટકનું ચલણ નહોતું. નાટકમાં ગીતો આવતાં, ઢગલાબંધ આવતાં, પણ સંગીત નાટક મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર ત્યારે નહોતું.

અણ્ણાસાહેબ કિર્લોસ્કર

પણ હા, મરાઠી રંગભૂમિ પર સંગીત નાટકની બોલબાલા શરૂ થઈ ગઈ હતી. મુંબઈની પારસી નાટક મંડળી ‘ઇન્દ્રસભા’ નામનો ઓપેરા ભજવતી હતી. પૂનામાં તેનો એક ખેલ અન્નાસાહેબ કિર્લોસ્કરે પૂર્ણાનંદ નામના થિયેટરમાં જોયો. એટલા પ્રભાવિત થયા કે તેમણે લખી નાખ્યું મરાઠીનું પહેલું સંગીત નાટક ‘સંગીત શાકુન્તલ’. ૧૮૮૦ના ઓક્ટોબરની ૩૧મી તારીખે પહેલી વાર પૂનામાં ભજવાયું. બુધવાર પેઠમાં આવેલું ત્રણ માળનું આનંદોદ્ભવ થિયેટર ચિક્કાર. ૧૮૮૧માં આ નાટક પુસ્તક રૂપે પ્રગટ થયું. મહારાષ્ટ્રનાં જૂદાં જૂદાં શહેરોમાં તો એ ભજવાયું જ, પણ મહારાજા સયાજીરાવના આમંત્રણથી કિર્લોસ્કર નાટક મંડળી વડોદરા પણ ગયેલી, અને ત્યાં સંગીત શાકુન્તલ ભજવેલું જે મહારાજાને તેમ જ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું એમ નોંધાયું છે. એટલે એક વિચાર આવે છે કે શું કેશવલાલ શિવરામે વડોદરામાં ‘સંગીત શાકુન્તલ’ નાટક જોયું હશે? અને સંગીત લીલાવતી નાટક લખવાની પ્રેરણા એ નાટકમાંથી મળી હશે?

કિર્લોસ્કરના સંગીત શાકુંતલના પહેલા પ્રયોગમાં

‘સંગીત લીલાવતીને અંતે કેશવલાલ પોતાનો પરિચય આ પ્રમાણે આપે છે :

‘અણહિલપુર પાટણનો વતની, રાજનગર રહું હાલ,
જૈન શાળામાં જૈન અધ્યાપક, શિવસુત કેશવલાલ.’

ખેડા જિલ્લાના રાજનગરના વતનીએ વડોદરામાં મરાઠી સંગીત શાકુન્તલ જોયું હોય એમ બની શકે. મોટે ભાગે મરાઠીમાંથી પ્રેરણા લઈને ગુજરાતીમાં પણ ‘અભિજ્ઞાન શકુંતલા ગાયન રૂપી નાટક’ અમદાવાદથી ૧૮૯૦માં પ્રગટ થયું છે. ગુજરાતી રંગભૂમિના ચાલ પ્રમાણે લેખકનું નામ છાપ્યું નથી, પણ ‘પ્રગટકર્તા’ તરીકે માસ્ટર નાનાલાલ વિ. મગનલાલનું નામ છાપ્યું છે. આ પહેલી આવૃત્તિની ૧,૦૦૦ નકલ છપાયેલી, કિંમત બે આના. છેલ્લે છાપેલી ‘જાહેર ખબર’ પ્રમાણે નાનાલાલ વિ. મગનલાલની દુકાન અમદાવાદમાં ગુસાપારેખની પોળમાં આવી હતી અને ૧૮૯૦ સુધીમાં તેણે કુલ ૧૪ નાટકની ઓપેરા બુક છાપી હતી.

 

કન્યાવિદાયનું દૃષ્ય

અમદાવાદમાં સંગીત લીલાવતીથી રંગભૂમિની શરૂઆત થઈ અને પછી કેશવલાલ અને ડાહ્યાભાઈએ દેશી નાટક સમાજની સ્થાપના કરી એ તો બરાબર. એ મંડળીએ સંગીત લીલાવતી ભજવેલું. પણ કેશવલાલ અને ડાહ્યાભાઈ જૂદા પડ્યા, દેશી નાટક સમાજ કંપની ડાહ્યાભાઈની સુવાંગ માલિકીની બની તે પછી શું સંગીત લીલાવતી અને તેના લેખક ભૂલાઈ ગયાં? ના, આ લખનારને આ નાટકની ૧૮૯૬થી ૧૯૧૮ સુધીમાં છપાયેલી ૧૧ આવૃત્તિની નકલો જોવા મળી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ ૨૦૦૩માં આ નાટક ફરી છાપ્યું તેમાં સંપાદકે જણાવ્યું છે કે આ નાટકની પહેલી આવૃત્તિ ૧૯૧૨માં પ્રગટ થયેલી. પણ આ લખનાર પાસે તેના કરતાં પહેલાંની નવ આવૃત્તિની નકલ મોજૂદ છે. બે-બે આને વેચાતી આવી ઓપેરા બુક કાંઈ ચોપડીઓની દુકાનમાં વેચાતી નહિ. નાટકના ખેલ વખતે થિયેટરની બહાર વેચાતી. એનો અર્થ એ થાય કે કેશવલાલ દેશી નાટક સમાજમાંથી છૂટા પડ્યા તે પછી પણ આ નાટક કંઈ નહિ તો ૧૯૧૮ સુધી તો લગભગ સતત ભજવાતું રહેલું. ૧૮૯૫, ૧૮૯૬, ૧૯૦૨, ૧૯૦૪, ૧૯૧૮, ૧૯૧૯ અને ૧૯૨૮ની આવૃત્તિના પહેલા પાના પર આવું લખાણ છપાયેલું જોવા મળે છે : “શ્રીમંત ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજાશ્રિત શ્રી દેશી નાટક સમાજને ભજવવા માટે રચી પ્રગટ કરનાર અધ્યાપક કેશવલાલ શિવરામ.”

આનો અર્થ એ થયો કે શ્રી દેશી નાટક સમાજ નામની બીજી સંસ્થા ગુજરાતમાં (વડોદરા રાજ્યમાં?) હતી અને તેને સયાજીરાવનો આર્થિક ટેકો હતો. પણ એક જ નામની બે સંસ્થા હોઈ શકે? કદાચ હા. એનું એક કારણ એ કે ડાહ્યાભાઈ ધોળશાજીવાળી કંપની બ્રિટિશ હકૂમત નીચેના મુંબઈમાં હતી. જ્યારે બીજી, કેશવલાલવાળી કદાચ વડોદરાના દેશી રાજ્યમાં હતી. પણ ફક્ત સંગીત લીલાવતી નાટક પર એક કંપની આટલાં બધાં વરસ ચાલે નહિ. એટલે તેણે બીજાં નાટકો પણ ભજવ્યાં જ હોય – કેશવલાલનાં લખેલાં તેમ જ બીજાનાં લખેલાં પણ. પ્રાયોગિક રંગભૂમિના દિગ્દર્શક પી.એસ. ચારી એક લેખમાં લખે છે : “દેશી નાટક સમાજ કંપની જ્યારે પણ નવાં નાટક લાવતી ત્યારે તેના બોર્ડ પર ઘાટ્ટા મોટા અક્ષરે એક વાક્ય ચોક્કસ વંચાતું – શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ નાટકને આર્થિક સહાય મળેલી છે.”

૧૯૫૫માં પ્રગટ થયેલી આત્મકથા ‘સ્મરણ-મંજરી’માં રઘુનાથ બ્રહ્મભટ્ટ લખે છે : “મુંબઈની અગ્રગણ્ય સંસ્થાઓનાં નાટકો મેં મુંબઈ આવ્યા પહેલાં જોયાં નહોતાં. એટલે નડિયાદ, અમદાવાદ, અને વડોદરામાં નાટકો ભજવતી નાની મોટી વાંકાનેર, દેશી નાટક લિમિટેડ, વિદ્યા વિનોદ નાટક સમાજ, નરહરિ પ્રાસાદિક નાટક મંડળી, અને ગુલનારબાનુની નાટક કંપનીના પ્રયોગોમાંથી મને પ્રેરણા મળેલી.” અહીં જેનો ઉલ્લેખ ‘દેશી નાટક લિમિટેડ’ તરીકે થયો છે તે જ કેશવલાલ શિવરામવાળી બીજી દેશી નાટક સમાજ નામની કંપની હોવી જોઈએ.

આ કેશવલાલ શિવરામ તે પ્રખ્યાત નટ જયશંકર સુંદરીના ફૂવા થાય. જયશંકરભાઈએ તેમનું સંગીત લીલાવતી નાટક નાનપણમાં જોયેલું. આત્મકથા ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’માં જયશંકરભાઈ લખે છે કે ‘નંદ બત્રીસી’ નાટકનાં ગીતો લખવા માટે ૧૯૦૬માં કેશવલાલને એક નાટક મંડળીએ ખાસ મુંબઈ બોલાવેલા. એનો અર્થ એ કે મુંબઈની નાટક મંડળી નાટકનાં ગીતો લખવા માટે બહાર ગામથી કેશવલાલને બોલાવે એવી તેમની પ્રતિષ્ઠા હતી.

દેશી નાટક સમાજ નામની બે કંપની – એક મુંબઈની અને બીજી ગુજરાતની – વચ્ચે સંબંધ હતો? કેવો હતો? હરીફાઈનો? વૈમનસ્યનો? સહકારનો? ૧૮૯૫માં ‘મ્યુનિસિપલ ઈલેક્શન નાટકનાં ગાયનો’ નામની એક આનાની ઓપેરા બુક બહાર પડેલી. લેખક હતા ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. અને પુસ્તિકાના નામની નીચે છાપ્યું છે : ‘શ્રીમંત ગાયકવાડ સયાજીરાવ મહારાજાશ્રિત શ્રી દેશી નાટક સમાજને માટે રચી પ્રસિદ્ધ કરનાર ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી.’ એટલે કે કેશવલાલ શિવરામ અને ડાહ્યાભાઈ વ્યવસાયિક રીતે છૂટા પડ્યા તે પછી પણ એ બંને વચ્ચેના સંબંધ એખલાસભર્યા રહ્યા હતા.

આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે મુંબઈની અને ગુજરાતની ગુજરાતી રંગભૂમિનો પ્રમાણભૂત, વિસ્તૃત, દસ્તાવેજી ઇતિહાસ જ આપણી પાસે નથી. એટલે સૌથી વધુ ભરોસાપાત્ર આધાર છે નાટકની ઓપેરા બુક્સ. પણ આપણે એ પણ વ્યવસ્થિત રીતે ક્યાં સાચવી છે? આ લખનારે વર્ષોની મહેનત પછી લગભગ એક સો ઓપેરા બુક ભેગી કરી છે. આ ઉપરાંત બે પુસ્તકો : પહેલું, ૧૮૮૩માં પ્રગટ થયેલું ‘ગુજરાતી નાટક ગાયન સંગ્રહ’. સંપાદકનું નામ છાપ્યું નથી. છપાવી પ્રસિદ્ધ કરનાર છે ‘મેહેતા જમનાદાસ ભગવાનદાસની કંપની’. કિંમત બાર આના. પુસ્તકના બીજા પાના પર ‘ચેતવણી’ છાપી છે : ‘આ ચોપડી પ્રસિદ્ધ કર્તાઓની સહી વગર કોઈએ પણ લેવી નહિ.’ અને નીચે પ્રકાશકે અંગ્રેજીમાં સહી કરી છે. પુસ્તકની પાઈરસી રોકવા માટે આમ કરવું પડ્યું હશે. તેમાં ૧૩ નાટકનાં ૬૦૦ જેટલાં ગીતો સંગ્રહાયાં છે. બીજું પુસ્તક છે ‘સંગીત નાટક સંગ્રહ’. મુંબઈના સુબોધપ્રકાશ છાપખાનામાં છપાઈને આ પુસ્તક ૧૮૮૫માં પ્રગટ થયું હતું. તેમાં જુદાં જુદાં દસ નાટકોનાં પાંચસો ગીતો એકઠાં કરાયાં છે. સંપાદક છે દામોદર રતનસી સોમાણી. આનો અર્થ એ થયો કે ૧૮૮૫ સુધીમાં માત્ર ૨૩ નાટકમાં ઓછામાં ઓછાં ૧,૧૦૦ ગાયન સમાવાયાં હતાં.

ગુજરાતી નાટક અને રંગભૂમિનો સૂર્યોદય થયો મુંબઈમાં. ૧૮૫૩થી પારસી નાટક મંડળીઓ અને પછીથી બિન-પારસી નાટક મંડળીઓ પણ મુંબઈમાં ગુજરાતી નાટકો ભજવતી, પાકાં, બાંધેલાં થિયેટરોમાં. ઘણીખરી નાટક કંપની સારી કમાણી થયા પછી પોતીકું થિયેટર બંધાવતી અથવા કોઈ થિયેટર લાંબા લીઝ પર લેતી. નાટક અને તેનાં ગીતો લખવા માટે, દિગ્દર્શન, સંગીત નિયોજન માટે, અભિનય માટે તેમની પાસે પગારદાર નોકરો હતા. એટલે નાટકની બાબતમાં મુંબઈની કંપનીઓ લગભગ ‘આત્મનિર્ભર’ હતી. મુંબઈ ઉપરાંત વખતોવખત બહાર ગામ અને પરદેશ જઈને પણ નાટકો ભજવતી. આની સામે ગુજરાતમાં નાટક મંડળીઓની સંખ્યા મુંબઈ કરતાં વધુ, પણ એ મંડળીઓ આત્મનિર્ભર ભાગ્યે જ. અમદાવાદ, સુરત, ભાવનગર, મોરબી, વાંકાનેર, બાલા સિનોર, અને બીજાં ગામોમાં નાટક મંડળીઓ હતી. પોતાનું તો જવા દો, એ વખતે એ ગામોમાં નાટક ભજવી શકાય એવાં થિયેટર કેટલાં? મોટે ભાગે કામ ચલાઉ થિયેટરમાં કે માંડવો બાંધીને નાટકો ભજવાતાં. એટલે સેટ, પડદા, લાઈટ વગેરે બધાંની મર્યાદિત સગવડ. આસપાસનાં ગામોમાં આ મંડળીઓ જાય ત્યારે તો આના કરતાં પણ વધુ અગવડોનો સામનો કરે. પરિણામે ગુજરાતની નાટક મંડળીઓ વધારે તો અગાઉની ભવાઈ મંડળીઓના નવાવતાર જેવી હતી. જ્યારે મુંબઈની ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાની રંગભૂમિ પાસે ઘણી વધારે સગવડો હતી એટલું જ નહિ, ગ્રેટ બ્રિટનથી અવારનવાર આવતી નાટક કંપનીઓ અંગ્રેજી નાટકો ભજવતી તેના નમૂના પણ તેની સામે હતા. પારસી નાટક અને રંગભૂમિએ તો અંગ્રેજીમાંથી કેટલીક બાબતો સીધી અપનાવી હતી. ભભકાદાર વેશભૂષા, સેટ, પડદા, વગેરે પ્રેક્ષકોને આકર્ષવા માટે જરૂરી ગણાતાં. હજી કોરોનાની કળ પૂરેપૂરી વળી નથી તો ય ગયા રવિવારે મુંબઈમાં સાત ગુજરાતી નાટક ભજવાયાં. ગુજરાતમાં? નાટક ભજવવાની બાબતમાં જેમ મુંબઈ અગ્રેસર, તેમ ગુજરાતી નાટક અને રંગભૂમિ વિશેનાં સામયિકો પ્રગટ કરવાની બાબતમાં પણ મુંબઈએ જ પહેલ કરી. પણ એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 એપ્રિલ 2022

Loading

...102030...1,5101,5111,5121,513...1,5201,5301,540...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved