Opinion Magazine
Number of visits: 9459179
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાયાના અને ભારતીય મૂળના બંધુઆ મઝદૂર

આશા બૂચ|Diaspora - Features|4 February 2022

5મી મે 2014ને દિવસે બ્રિટનના પૂર્વ સંસ્થાન બ્રિટિશ ગાયાનામાં પૂર્વ ભારતથી લાવવામાં આવેલા બંધુઆ મઝદૂરના આગમનની 176મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. મે 2014માં ‘ગાયાના ક્રોનિકલ’માં સ્ટાફ રિપોર્ટર્સ દ્વારા લખાયેલ એક લેખ વાંચવામાં આવ્યો. ગાયાના ગયેલા બંધુઆ મઝદૂરોની કહાની દક્ષિણ આફ્રિકા અને અન્ય બ્રિટિશ સંસ્થાનોમાં ગયેલ મઝદૂરોની કથા સાથે સામ્ય ધરાવે છે અને ઘણી રસપ્રદ લાગવાથી વાચકો સમક્ષ પ્રસ્તુત કરું છું.

1838થી 1917 એટલે કે લગભગ પોણી સદી સુધી વેસ્ટ ઇન્ડિઝના સંસ્થાનોમાં ભારતીય ઉપમહાદ્વીપથી એગ્રીમેન્ટ ઉપર બંધુઆ મઝદૂર મોકલવામાં આવેલા. ગુલામી પ્રથા નાબૂદ થતાંની સાથે મુક્ત થયેલા ગુલામો એ દેશો છોડીને પોતાના મૂળ વતન પરત થયા અથવા એ જ દેશમાં મજૂરી છોડીને અન્ય વ્યવસાય કરવા લાગ્યા. એટલે પ્લાન્ટેશન ઉપર મજૂરી કરનારાઓની ખેંચ પડી. 

ગુલામી નાબૂદી બાદ 19મી 20 સદીમાં કેરેબિયન ટાપુ પર ગયેલા ભારતીય મઝદૂરોનો સમૂહ તો ભારતથી ગયેલ દુનિયાના અન્ય દેશો જેવા કે મોરિશિયસ, સિલોન, ફીજી, સ્ટ્રેટ સેટલમેન્ટ, નાતાલ વગેરે દેશોમાં કરવામાં આવેલ હેરાફેરીનો એક નાનો શો ભાગ હતો.

1838થી 1917 દરમ્યાન પૂર્વ ભારતથી આશરે 2,38,909 પ્રવાસી મઝદૂરો બ્રિટિશ ગાયાના ગયેલા. ફ્રેન્ચ ગાયાના ગયેલ ભારતીયોની સંખ્યા પણ ઘણી નોંધપાત્ર હતી. પૂર્વ ભારતના વિદેશ ગયેલા મઝદૂરો વિષે ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા બ્રિટિશ ઇતિહાસવિદ્દ હ્યુ ટીંકરે આ પ્રથાને ‘નવીન પ્રકારની ગુલામી’ તરીકે વર્ણવતા લખ્યું છે, “ભારતના પ્રવાસી મઝદૂરોના સંદર્ભમાં કહી શકાય કે બંધુઆ મઝદૂરની પ્રથા એ સંઘર્ષ, બલિદાન અને પરિસ્થિતિ સામે ઝઝૂમવાની કથા ગણાવી શકાય. એ ગુલામી પ્રથાથી ખૂબ નિકટ રીતે સંકળાયેલી છે.”

1834માં ગુલામી પ્રથા નાબૂદ થઇ, 1838માં વ્યવસાયિક તાલીમ પદ્ધતિનો અંત આવ્યો અને તેને પગલે બ્રિટિશ ગાયાનીઝ પ્લાન્ટર્સના મનમાં અનિશ્ચિતતા અને ઉદાસીની લાગણી છવાઈ ગઈ. મઝદૂરોની તંગીની અસર ખાંડના ઉત્પાદન અને અંગત નફા માટે જોખમકારક સાબિત થશે તે તેઓ જાણતા હતા. દાયકાઓ સુધી નભતી આવેલી ગુલામી પ્રથા અમાનુષિકરણ, માનવતાનું અવમૂલ્યન, અને નીતિમત્તાના નાશનું પ્રતીક હતી. આથી જ તો તેનો ભોગ બનેલા ગુલામો શ્વેત માલિક વર્ગના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વર્ચસ્વથી છુટકારો મેળવવા માંગતા હતા તે સ્વાભાવિક છે.

ગ્લાડસ્ટન પ્રયોગ:

ગાયાના ગયેલા પૂર્વ ભારતીયોના વસવાટના મૂળ ‘ગ્લાડસ્ટન પ્રયોગ’માં છે. બ્રિટિશ મુત્સદ્દી વિલિયમ ગ્લાડસ્ટનના પિતા જ્હોન ગ્લાડસ્ટન બે વેસ્ટ ડેમરારા પ્લાન્ટેશનના માલિક હતા. ત્યાં કામ કરવા માટે મઝદૂરોની સખત તંગી ઊભી થતાં ગ્લાડસ્ટને કલકત્તાની મઝદૂરોની ભરતી કરનાર પેઢી Gillanders, Arbuthnot એન્ડ કંપનીને પોતાની જાગીર માટે ભારતના મઝદૂરો મોકલી આપવાની શક્યતા માટે પુછાવ્યું. એ પેઢીએ વિના વિલંબ ઉત્તર પાઠવ્યો કે એ લોકોને આ બાબતમાં કોઈ મુશ્કેલી નહીં પડે કેમ કે એ પ્રકારનો વેપાર તો બ્રિટિશ સંસ્થાન મોરિશિયસ જેવામાં ચાલે જ છે. ગ્લાડસ્ટને કોલોનિયલ ઓફિસ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બંધુઆ મઝદૂર મેળવવા માટેની પરવાનગી મેળવી લીધી. બંધુઆ મઝદૂરનો પહેલો ફાલ ‘Whitby’ અને ‘Hesperus’ નામની સ્ટીમરમાં મે 1838માં પાંચ વર્ષના કરાર ઉપર પહોંચ્યો. આ પ્રથમ પ્રયોગ જ્હોન ગ્લાડસ્ટનના બે પ્લાન્ટેશન પૂરતો જ મર્યાદિત ન રહેતાં બીજા પાલનટેશન્સમાં પણ પ્રસર્યો. 

આ યોજના 1839થી 1845 દરમ્યાન બંધ રહી, પરંતુ ત્યાર બાદ 1917 સુધી વિના રોકટોક ચાલુ રહી. 2,38,909 જેટલા પ્રવાસી કામદારો ગાયાનાના કિનારે ઉતર્યા. તેમાંના લગભગ 75,547 મઝદૂરો પોતાને વતન પરત થયા, અને જે લોકો એ તંત્રમાં બચી જવા પામ્યા તેમણે ત્યાં જ રહી જવાનું પસંદ કર્યું અને એ દેશને પોતાનું વતન બનાવ્યું.

કેટલાક અભ્યાસુઓ, ઇતિહાસવિદ્દ અને મુસાફરોના બંધુઆ મઝદૂર પદ્ધતિ વિશેના મંતવ્યો જાણીએ:

કેરેબિયનની 1850માં સફરે ગયેલ એન્થની ટ્રાલોપ તેને ‘ખાંડમાં બોળીને નરમ પાડેલ જુલ્મી શાસન’ તરીકે જુએ છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા ચીફ જસ્ટિસ ચાર્લ્સ બોમોન્ટ તેનું વર્ણન કરતાં લખે છે, “આ એક કોહવાયેલી અને રાક્ષસી વ્યવસ્થા છે જેના મૂળ ગુલામી પ્રથામાં છે.”

ગાયાનાના સન્માનનીય ઇતિહાસવિદ્દ ડૉ. વોલ્ટર રોડનીએ બંધુઆ મઝદૂરની પ્રથામાં રહેલી સખતાઈ અને તેની ‘નવી ગુલામી પ્રથા’ના લક્ષણ આપણી સામે ધર્યાં. ગાયાનાના બીજા એક ઇતિહાસકાર ડૉ. બાસુદેઓ મંગરુનો મત એવો છે કે ગુલામી પ્રથા અને બંધુઆ મઝદૂરની પ્રથામાં અંકુશ રાખવો, શોષણ કરવું અને મઝદૂરોને નીચલી કક્ષાએ ઉતારી પાડવાની બાબતમાં નોંધપાત્ર સામ્ય છે.

બંધુઆ મઝદૂરી:

બંધુઆ મઝદૂરીની પ્રથાના પગરણ થયા ત્યારથી તેના વિષે ઘણો વિવાદ હતો. બેકારીનો ઊંચો આંક, અંતહીન ગરીબીની અવસ્થા, ભયાનક દેવાદારીની સ્થિતિ અને દુષ્કાળ જેવાં પરિબળોને કારણે ઘણા ભાગના લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી એ ખરું, પણ સામે પક્ષે ઘણા લોકોને બહેતર જિંદગી જીવવાની તકો મળવાની આશા બંધાવાયેલી એટલે લીલા ચરિયાણ તરફ જવા લોકો તૈયાર પણ થયા. ઉત્તર ભારતમાં આર્કટિસ અને દક્ષિણ ભારતમાં મેસ્ટ્રીસ નામે ભરતી કરનારી પેઢીઓ લોકોને છેતરીને કે જબરદસ્તી કરીને મઝદૂરોનો પુરવઠો પૂરો પાડતી. ઘણા લોકોને રોજગારીની ઉજળી તકોના વચનો, સારું વળતર આપનારા વ્યવસાયોની ખાતરી, અને વતનમાં અલભ્ય હોય તેવી કામની તકોની લાલસા આપીને લોભાવવામાં આવ્યા. સામાન્ય પ્રજાનાં અજ્ઞાન અને ભોળપણનો એ દલાલોએ ગેરલાભ ઉઠાવ્યો. કેટલાકને ઠગવામાં આવ્યા, પટાવવામાં આવ્યા તો બીજાને પોતાનું ઘર છોડવા લાલચ આપવામાં આવી, તો વળી કેટલાકને તો અપહરણ કરીને લઇ જવામાં આવ્યા. આ છળ-કપટ, છેતરપિંડી અને ખોટાં વચનો આપીને મનાવવાની રસમ 1838થી 1917 સુધી ચાલુ રહી.

અનેક મુશ્કેલીઓ વચ્ચે પ્રવાસી મઝદૂરોએ સ્ટીમરમાં પોતાના જાન બચાવવા ભારે યાતનાઓ સહન કરી. સ્ટીમરમાં વધુ પડતી મોટી સંખ્યામાં લાદેલા મુસાફરો, અપૂરતો ખોરાક, પીવાનાં પાણીની તંગી, કોલેરા અને ઝાડા ઊલટી જેવી બીમારીએ એ વિકટ સફરને અસહ્ય બનાવી દીધેલી. કેટલાક કિસ્સાઓમાં 20થી 30 ટકા જેટલા મુસાફરોના મોત નીપજ્યાં. આમ છતાં પ્રવાસી મુસાફરો ગીતો ગાઈને, ઢોલ વગાડીને અને વાર્તાઓ કહીને પોતાની જાતને આશ્વસ્ત કરતા રહ્યા. એ જહાજી લોકો વચ્ચે પાંગરેલી કાયમી મૈત્રી બહુ મહત્ત્વની બની રહી.

એ સંસ્સ્થાનમાં બંધુઆ મઝદૂરોને નવા વાતાવરણમાં ગોઠવાઈ જવાનો કઠિન સમય પસાર કરવાનો હતો. કેટલાકને તો ગાયાના પહોંચતાની સાથે ખેતરોમાં કામે જોતરી દેવામાં આવેલા. પ્લાન્ટેશનના માલિકોનો બંધુઆ મઝદૂર ઉપર પૂરો અંકુશ હતો. મજૂર કાયદો મઝદૂરોની વિરુદ્ધમાં જ ઘડાયેલો. ગુલામી પ્રથાની માફક પ્લાન્ટેશનના માલિકોને એ કાયદાઓથી પુષ્કળ ફાયદો થયો. આખર એ કાયદાઓનો અમલ અને તેની દેખરેખ મઝદૂરોના વતનથી હજારો માઈલ દૂર તેમના માલિકોના સામાજિક અને રાજકીય વર્ચસ્વવાળા માહોલમાં થતો હતો. આથી તેમની તરફેણ કે સહાય કરનાર કોણ હોય? આથી જ તો કાયદાઓ સહેલાઈથી બદલાતા તેની નવાઈ ન લાગે. વળી એ માલિકોની મુન્સફી અને ઈચ્છા મુજબ તેનો દુરુપયોગ પણ થતો રહેતો. વધારામાં કેટલાક ઇમિગ્રેશન એજન્ટ-જનરલ અને સ્ટાઇપેન્ડરી મેજિસ્ટ્રેટસ પ્લાન્ટર્સની તરફેણમાં રહેતા. પરિણામે માલિકો દ્વારા મઝદૂરો ઉપર કરવામાં આવતી ધાકધમકી, હુમલા અને મારપીટના કિસ્સાઓ પર મોટે ભાગે ઢાંકપિછોડો કરવામાં આવતો. અધૂરામાં પૂરું કોર્ટના કેઈસમાં ફરિયાદી સામે દુર્વ્યવહાર કરવામાં આવતો અને ઘણા કિસ્સામાં એ એક ફારસ બનાવી દેવાતો કેમ કે દુભાષિયા પ્લાન્ટેશનના માલિક તરફ થઇ જતા અને મઝદૂરોને પોતાનો બચાવ કરવાની ભાગ્યે જ તક મળતી.

મઝદૂરોની પીડા:

બંધુઆ મઝદૂરીના સમગ્ર કાળ દરમ્યાન પ્રવાસી કામદારોને નામ માત્રનું વેતન મળતું અને ભારે પ્રમાણમાં મજૂરી કરવી પડતી. રોજની આવકનો આધાર નિંદામણ કાઢવાનું હોય, કુહાડા કે પાવડાથી ખોદવાનું હોય, ખાતર બનાવવાનું હોય, વાવણી કે લણવાનું કામ કરવાનું હોય તેના ઉપર અને કેટલી ઝડપથી કામ પતાવે તેના પર રહેતો. પ્લાન્ટેશનના માલિકો જ મજૂરીના દર નક્કી કરતા અને ખાંડના ભાવ ગગડે તો મઝદૂરોની અમદાનીમાં કાપ મુકાતો. એક દલાલને તો બેલ એર નામના પ્લાન્ટેશનમાં મઝદૂરો અપૂરતી આવકમાં કઈ રીતે ગુજારો કરતા હશે તેની નવાઈ લાગી. પ્રવાસી મઝદૂરોના પ્રતિનિધિ કોલજરે 1869માં કહેલું, “અમારે માટે સમય બહુ વિકટ છે, અમને મળતા રોજ પર અમારો ગુજારો નથી થઇ શકતો, અમારાં પેટ નથી ભરાતાં.” હજુ એક વધુ વિપદાનો સામનો તેમને કરવો પડતો, અને તે છે હાજરી પત્રકનો. રોજ સવારે હાજરી પૂરવામાં આવતી. ગેરહાજર હોય તેને દંડ ભરવો પડે. મરજીમાં આવે તેટલો દંડ તેમના રોજમાંથી કાપી લેવામાં આવતો. એક બાજુથી કામના ઢગલાને જલદી આટોપવા વહેલા ખેતરે પહોંચે તો હાજરી પૂરાવવામાં મોડા પડે અને દંડ ભરવો પડે અને બીજી બાજુ જો હાજરી પુરાવવા રોકાય અને નિર્ધારેલ પ્રમાણમાં અને તેટલા સમયમાં કામ પૂરું ન કરે તો પણ એ જ રીતે માલિકની મરજી મુજબ પગારમાં કાપ સહેવો પડે. મઝદૂરોને આમાંથી બચવાનો કોઈ માર્ગ નહોતો, બંને તરફથી સજા જ ભોગવવાની રહેતી. ભારતીય મૂળના મઝદૂરો કોર્ટમાં યાતના ભોગવતા હોવાને કારણે ફરિયાદી તરીકે જ જતા, જ્યારે ખેત માલિકો તો મઝદૂર કામ શરૂ કરવાની ના પડે, કામ અધૂરું મૂકે, માલિકની મંજૂરી વિના ગેરહાજર રહે, અપેક્ષા મુજબનું વર્તન ન કરે કે હુકમને અવગણે તો તેને કોર્ટમાં ઘસડીને લઇ જાય અને કાયદાઓની મદદ લઈને સખ્ત સજા ફટકારે. 

દમનની હજુ બીજી હકીકતો જાણીએ. કરાર ઉપર આવેલા મઝદૂરો જો ગેરવર્તન બદલ જેલમાં જાય તો તેનો તેટલો સમય બંધુઆ મઝદૂરીના કાળમાં ઉમેરવામાં આવે. તેનો અર્થ એ કે મઝદૂરોને એક જ ગુના માટે બે વખત સજા થાય. નાની બાબતોની ફરિયાદ કરીને મેનેજર સજા કરાવી શકતા. 1863માં જ્યોર્જટાઉનની જેલમાંના કુલ 4,936 કેદીઓમાંથી 3,148 બંધુઆ મઝદૂર હતા, એ શું  સૂચવે છે? એ બતાવે છે કે બંધુઆ મઝદૂરો ઘણા ગરીબ સ્વભાવના હતા, જેને પરિણામે ખૂબ સંઘર્ષ વેઠવો પડતો, ભોગ આપવો પડતો અને અંતે અન્યાયનો સામનો પણ કરવો પડતો. એ લોકોને સામાન્ય સગવડોની પણ અછત ભોગવવી પડતી. રહેઠાણોમાં હવા ઉજાસ પૂરતા નહોતા, પાણીની સગવડ તો હતી જ નહીં, સ્વાસ્થ્ય અને આરોગ્યની સેવાઓ પણ અત્યંત નબળી કક્ષાની હતી. આથી રોગચાળો વ્યાપક પ્રમાણમાં પ્રસરી જતો.

અવરજવર પર પ્રતિબંધ:

રઝળપાટ વિરુદ્ધના કાયદા હેઠળ પ્રવાસી મઝદૂરોની હરફર ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા. ખેતરોના માલિકો આ રીતે મજૂરોને બહાર જતા રોકી શકે અને તેઓની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય તેવી આ યુક્તિ હતી. મઝદૂરને પોતાની વસાહતમાંથી બહાર જવું હોય તો તેના મેનેજર પાસેથી ‘પાસ’ મેળવવો પડતો. કોલોનિયલ પોલીસને પાસ વિનાના મઝદૂરને પકડીને પરેશાન કરે તેવી સત્તા આપવામાં આવી હતી તેથી મઝદૂરોને એવા અપમાનોનો ભોગ બનવું પડતું. મેનેજર આ રીતે પોતાના મઝદૂરો બીજી વસાહતોના મઝદૂરોને મળતાં વેતન અને કામ કરવાની સ્થિતિની સરખામણી કરતા રોકી શકતા. તેઓને ભય હતો કે આવી બાતમી મળવાથી પોતાની માલિકીના મઝદૂરો અસંતુષ્ટ થઈને બીજી વસાહતમાં કામ કરવા જતા રહે. બંધુઆ મઝદૂર ઉપરની આવી અબાધિત સત્તા હોવાને કારણે પ્લાન્ટેશનના માલિકો ખૂબ ઘમંડી અને ઉદ્ધત થવા લાગ્યા. કેટલાક માલિકો વારંવાર ખુલ્લે આમ અભિમાન સાથે કહેતા કે તેના મઝદૂરો કામના કલાકો દરમ્યાન કાં તો ખેતરમાં કામ કરતા જોવા મળે, અથવા હોસ્પિટલમાં હોય અને નહીં તો જેલમાં. એક ડેમરેરા પ્લાન્ટરે જાહેરમાં કહેલું, “મને મારુ દિલ ભરાય તેટલા ફૂલી આપો, તો હું તમને દસ લાખ પીપ ભરીને ખાંડ પેદા કરી આપું.” 

1860ના દાયકા બાદ ભારતીય મઝદૂરોના ગરીબડા સ્વભાવના કાલ્પનિક ખ્યાલને ગંભીરતાથી પડકારવામાં આવ્યો તેની નવાઈ નથી. ભારતીય બંધુઆ મઝદૂરો હિંમતથી જાહેરમાં આ પદ્ધતિનો વિરોધ કરવા લાગ્યા. પરિણામે એ ઉદ્યોગમાં જોડાયેલા લોકો વચ્ચેના સંબંધો વણસ્યા, કર્મચારી વર્ગમાં વિરોધનું પ્રમાણ વધ્યું અને તપાસ થવા લાગી. મેનેજરોની શિરજોરી, પગારનાં ધોરણો વિષે વિવાદ, કામના ભારણ અને પ્રકાર વિષે અસહમતિ, ઓવરસીઅર દ્વારા થતું મહિલાઓનું જાતીય શોષણ અને મઝદૂરોના પગાર ઉપર મનસ્વી રીતે મુકાતા કાપ જેવા મુદ્દા ઉપર ક્યારેક હિંસા પણ ફાટી નીકળતી.

અશાંતિ:

જુલાઈ 1869માં ડેમરેરાના પશ્ચિમ તટે આવેલ પ્લાન્ટેશન Leonoraમાં સહુ પ્રથમ તોફાનો થયા. પાવડા વડે કામ કરનારાઓની ફરિયાદ હતી કે પાણીથી લદબદ જમીન પર પોતાનું કામ પૂરું ન કરી શકવા બદલ તેમનો પગાર રોકવામાં આવેલો. એ લોકોએ આ કામ કરવા માટે વધુ મહેનતાણાની માંગણી પણ કરી. સશસ્ત્ર પોલીસ દળ અને મઝદૂરો વચ્ચેની મૂઠભેડ મુશ્કેલીથી ટાળી શકાઇ, પણ તેના સરદારોની ધરપકડ કરી, મઝદૂરની સેટલમેન્ટમાં પૂરી દેવામાં આવ્યા. તે પછીને વર્ષે બીજા પાંચ છ પ્લાન્ટેશનમાં હિંસાત્મક તોફાનો ફાટી નીકળ્યા. રમખાણોનો દૌર 1890ના દાયકામાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ચાલુ રહ્યો. ઇમિગ્રેશન વ્યવસ્થાના અંત પહેલાના ચાર વર્ષે રોઝ હોલ પ્લાન્ટેશનના કેટલાક મઝદૂરોએ પોતાના જાન ગુમાવ્યા. જો કે હડતાલો, પિકેટિંગ, દેખાવો કરવા, કૂચ કરવી, મેનેજર્સ અને ઓવરસીયર્સ ઉપર હુમલા કરવા અને માંદગીનું બહાનું કાઢવું અને ઈરાદાપૂર્વક નબળું કામ કરવા જેવી અહિંસક રીતો પણ અપનાવવામાં આવી. 

બંધુઆ મઝદૂરોએ બીજી ઘણી અડચણો સહી અને ભોગ આપ્યા, જેમ કે આવી સખ્ત દમનકારી સ્થિતિમાં પણ પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જાળવી રાખી. 19મી સદીના ઉત્તરાર્ધમાં મંદિરો અને મસ્જિદો દેખાવા લાગ્યાં અને પોતાની ભાષા, સંગીત, પોષાક, ખાણી-પીણી અને લોકકથાઓ પણ જાળવવાના પ્રયાસો થયા. આ તસ્વીરમાં એ સમાજની અસ્મિતાની ઝાંખી થાય ખરી.

એ પ્રજાએ સામાજિક અને આર્થિક વિકાસના પગથિયાં ચડવાના હેતુથી પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ સ્વીકારી લીધી. લાંબે ગાળે તેઓ અને તેમનાં સંતાનો શિક્ષક, આચાર્ય, ડોક્ટર્સ, વકીલો, એકાઓઉન્ટન્ટ અને સરકારી નોકરોની પદવી મેળવવા લાગ્યા. એ મઝદૂરોએ ખાંડ અને ચોખાના ઉત્પાદનને ખીલવવા અને બચાવવા અથાક પ્રયત્નો કર્યા. ગામડાંઓના વિકાસમાં, રોકડિયા પાક વાવવામાં, પશુ પાલનમાં, દૂધ ઉત્પાદનમાં અને અન્ય આર્થિક ક્ષેત્રોમાં બંધુઆ મઝદૂરોએ મહત્ત્વનો ફાળો આપ્યો. 19મી સદીના અંતે ભારતીય પ્રવાસી મઝદૂરો ટેક્સી ડ્રાઇવર, બેન્કર, સુથાર, વહાણ બાંધકામના કામદાર, કોલસાના ઉત્પાદન કરનારા, સોની, કુંભાર, મચ્છીમારી અને બીજા અનેક નાના પાયાના ઉત્પાદક વ્યવસાયોમાં ઉચ્ચ કૌશલ્ય દાખવવા લાગ્યા. તેમના સંતાનો આજે પણ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને ટ્રેડ યુનિયન જેવા ક્ષેત્રોમાં ખૂબ આગળ ધપી રહ્યા છે. તેમાં ઘણા તો આજે ખેલકૂદમાં જાણીતા છે, ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ્દ બન્યા છે. ગાયાનાના સમાજમાં આજે દરેક ક્ષેત્રમાં પ્રવાસી ભારતીયોનું અજોડ સ્થાન અંકિત થયું છે.

હાલમાં ગાયાનામાં વસતા ભારતીય મૂળના લોકો માને છે કે તેમના પૂર્વજો તેમને માટે પ્રેરણારૂપ હતા. તેમણે દાખવેલી હિંમત અને દૃઢ નિશ્ચયતાને કારણે એ દેશનો વિકાસ થયો. નવી ગુલામી પ્રથાના સમય દરમ્યાન ‘સંઘર્ષ, બલિદાન અને પ્રતિકાર’ એ જ એમના ચારિત્ર્યનું લક્ષણ હતું. તેઓ અને તેમના પછીની પેઢી પરિસ્થિતિનો સામનો કરવાની મક્કમતા, કામ પૂરું કરવાની ધગશ, રિવાજો અને પરંપરાના રક્ષણ મારફત પરિવાર પ્રત્યે બજાવવાની ફરજ – કે જે ત્રેવડ, ઉદ્યમશીલતા અને સ્વમાન જેવા ગુણોને પોષે અને તે કારણે તેઓ એક કોમ તરીકે ટકી શક્યા એમ માને છે. બંધુઆ મઝદૂરના આગમનનો દિન પાંચમી મે, તે દિવસે તેમના પ્રત્યે આદર દર્શાવીએ અને તેમની અદ્વિતીય મહેનત અને સહનશક્તિને દાદ આપીએ.

યાદ રહે કે વિવિધતામાં શક્તિ છે. એ પ્રજાએ ‘એક પ્રજા, એક દેશ, એક ભાગ્ય’ને અર્થપૂર્ણ બનાવ્યું તેને સન્માન આપીએ. 

e.mail : 71abuch@gmail.com

Loading

ભરત દવે – બહુ આયામી વ્યક્તિત્વ

મુનિ દવે|Opinion - Opinion|4 February 2022

ભરત દવે – બહુ આયામી વ્યક્તિત્વ 

(16 ઓગષ્ટ 1948 – 15 મે 2021)

ભરત દવે એટલે ઉચ્ચ કોટીના નાટ્યવિદ્દ, ટી.વી. પ્રોડ્યુસર, અભિનેતા, દિગ્દર્શક, ચિંતક, લેખક, સંગીતજ્ઞ, ગાયક, ચિત્રકાર, વક્તા, નાટ્યશિક્ષક અને કલાના રસજ્ઞ. યુ ટ્યુબ પર રહેલાં તેમનાં પ્રવચનો સાંભળો તો ખ્યાલ આવે કે તેમનું વાંચન કેટલું વિશાળ હતું. સામ્પ્રત સમસ્યાઓ પ્રત્યે તે બહુ સંવેદનશીલ હતા અને તેના કારણે તેમના પ્રતિભાવો લખાણ અને પ્રવચનો દ્વારા બેધડક રજૂ કરતા રહેતા. ૧૫મી મેએ તેમણે જીવનના રંગમંચ પરથી એક્ઝીટ લીધી.

ભરતભાઈ નાનપણથી નાટકોના શોખીન. સ્કૂલમાં હતા ત્યારથી નાટકો કરવા માંડેલા. ત્યારથી લખવાનો અને ગાવાનો શોખ વિકસવા માંડેલો. કોલેજમાં ગયા ત્યારે મિત્રો સાથે મળીને જામનગરમાં ‘નાટ્યસંગમ’ નામની સંસ્થા કરેલી, જેના ઉપક્રમે શીવકુમાર જોશીનું એક નાટક પણ ભજવેલું.

બી.એ. થઈ ગયા પછી ઈચ્છા હતી કે નાટકમાં આગળ વધે. પણ પિતાજી ગાંધીવિચારના આગ્રહી અને આદર્શવાદી, એટલે એવું માને કે નાટકની દુનિયા લપસણી કહેવાય. તેમાં ચારિત્ર્યની જાળવણી આકરી પડે, એટલે રજા ન મળી. આ સાથે એવો વિચાર પણ ખરો કે તે વ્યવસ્થિત ભણી લ્યે પછી જે કરવું હોય તે કરે. અમદાવાદ આવી એમ.એ. કર્યું. ભણ્યા પછી જામનગર પાછા આવ્યા. થોડાક મહિના અધ્યાપક તરીકે નોકરી કરી. પણ તે દરમિયાન પિતાજીને ખબર પડી ગઈ કે હવે એ ઝાલ્યો ઝલાય તેમ નથી. એથી મુંબઈ જવાની છૂટ આપી. મુંબઈમાં દૂરના પિત્રાઈ ભાઈ વિષ્ણુકુમાર વ્યાસનું ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં મોટુ નામ. તેમણે પોતાને ઘરે બોલાવી લીધા. વિષ્ણુભાઈએ પિતાજીને આશ્વાસન આપ્યું કે ‘તમે ચિંતા ન કરો, ભરતનું હું ધ્યાન રાખીશ.’

મુંબઈમાં વિષ્ણુભાઈએ ત્યાંની નાટ્યપ્રવૃતિઓ અને નાટ્યકારોનો પરિચય કરાવ્યો. આર્થિક રીતે સધ્ધર કરવા દૂરદર્શન પર નોકરી અપાવી દીધી. તેને કારણે સંગીત, ફિલ્મ, નાટકનાં ક્ષેત્રના બહુ બધા અગ્રણી કલાકારોને નજીકથી જોયા, અનુભવ્યા, તેમના ગુણદોષો જોયા, અને તેમની કલાઓને માણી. એ પછી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો. દિલ્હીમાં નિવાસ દરમિયાન ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતના વર્ગો ભર્યા. દિલ્હી રેડિયો સ્ટેશનના એપ્રૂવ્ડ આર્ટિસ્ટ બન્યા. સંસ્થાના વડા ઈબ્રાહિમ અલ્કાઝીએ તેને વધુ ચિત્રો કરવા પ્રેર્યા અને તે માટે સંસ્થા તરફથી ઓઇલ કલર લાવી આપ્યા. સંસ્થાની લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરીને ભારતનાં સહિત દુનિયાભરનાં નાટકો વાંચ્યાં. ત્રણ વર્ષે દિગ્દર્શનમાં વિશેષતા સાથે, શિક્ષિત નાટ્યકાર તરીકે, નાટકના બહોળા જ્ઞાન સાથે બહાર પડ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. અલ્કાઝીસાહેબની કાર્ય પદ્ધતિને, નાટક પ્રત્યેની નિષ્ઠાને બરાબર સમજી અને પચાવી.

સૌ પ્રથમ ‘દર્પણ’ના ઉપક્રમે ફ્રેંચ નાટ્યલેખક મોલિયેરના નાટકનું પોતે કરેલું ગુજરાતી રૂપાંતર ‘વાહ વાહ રે મૈં’ ભજવ્યું, અને પછી સ્વતંત્રપણે બ્રિટિશ નાટ્યલેખક ટોમ સ્ટોપાર્ડ લિખિત ‘આલ્બર્ટ્સ બ્રીજ’ ભજવ્યું. આ નાટકોએ અમદાવાદના બુદ્ધિજીવીઓ, લેખકો અને નાટકોના શોખીન યુવાનોમાં ભારે રોમાંચ પેદા કરેલો, કે આવાં પણ નાટકો હોય? આવી રીતે ભજવાય? ત્યાં સુધી અમદાવાદમાં જે નાટકો ભજવાતા તેમાં મજબૂત સ્ક્રિપ્ટ અને વેશભૂષા જ માત્ર મહત્ત્વનાં રહેતાં. હવે તેમાં સેટ ડિઝાઈન, પ્રકાશ આયોજન, દિગ્દર્શકની વિશિષ્ટ સૂઝ, કથાને અનુરૂપ વસ્ત્રપરિધાન પાર્શ્વસંગીત વગેરે ઉમેરાયા. તે બધાના યોગ્ય સંયોજન દ્વારા નાટકની જે અસર ઊભી થતી તે પ્રેક્ષકો માટે નવીન હતી.

પછી ભરતભાઈએ તેમના દિલ્હીના સ્નાતકો – રાજુ બારોટ અને દિલીપ શાહ અને અન્ય નાટ્યરસિક મિત્રો સાથે ‘સપ્તસિંધુ’ નામની સંસ્થા શરૂ કરી. તેના નેજા હેઠળ કેટલાંક ઉત્તમ નાટકો ભજવ્યાં. સૌ પ્રથમ તેમણે શ્રીકાંત શાહ લિખિત બે એકાંકીઓ, ‘એક ટીપું સૂરજનું’ અને ‘એકાંતની અડોઅડ’ ભજવ્યાં. પછી અમદાવાદમાં પહેલીવાર કોઈ એક લેખક(શ્રીકાંત શાહ)નાં સાત એકાંકીઓ (micro plays – ૧૦-૧૫ મીનિટનાં) એક સાથે ભજવ્યાં. જેમાં ભરતભાઈએ રાજુ બારોટ, નિમેષ દેસાઈ જેવા વિવિધ દિગ્દર્શકોને સામેલ કર્યા. પાલડીની એક શાળાના વિદ્યાર્થીઓ સાથે એક નાટક શાળાની અગાશીમાં ભજવ્યું. અને શ્રીકાંતભાઈનું જ એક ત્રિઅંકી નાટક ‘બાલ્કનીમાંથી દેખાતું આકાશ’ અમદાવાદ ઉપરાંત લખનઉમાં ભજવ્યું.

વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કેટલાંક નાટકો ભજવ્યાં. ત્યાં શ્રીકાંત શાહનાં બે એકાંકીઓ ભજવ્યાં અને ટાગોર લીખિત અને કરસનદાસ માણેક અનુવાદિત ‘મુક્તધારા’ની ત્રીસેક જેટલા કલાકારો સાથે સંગીતમય રજૂઆત કરી. જયશંકર સુંદરી હોલમાં રશિયન લેખક ગોગોલ લિખિત અને ભરતભાઈએ અનુવાદ કરેલુ ‘પોલંપોલ’ ભજવ્યું. એન.એસ.ડીની રેપર્ટરીના કલાકારો સાથે ‘ગિલોટીનકી ગોટી’ અને ‘મેના ગુર્જરી’ ભજવેલાં.

ભરતભાઈએ તેમનું અત્યંત મહત્ત્વાકાંક્ષી નાટક ચં.ચી. મહેતા દ્વારા પદ્યમાં લિખિત સંવાદો સાથેનું નાટક ‘મદીરા’ ભજવ્યું. એ માટે કલાકારોની ગ્રીક ટ્રેજેડી અને ગ્રીક થિયેટરની સમજ વધે તે માટે એક વ્યાખ્યાનમાળા યોજી જેમાં એન.એસ.ડીના સેટ ડીઝાઈનના નિવૃત્ત પ્રાધ્યાપક ગોવર્ધન પંચાલ, પ્રા. દિગીશ મહેતા, યશવંત કેળકર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત અને એસ.આર. ભટ્ટ જેવા વિદ્વાનોનો લાભ લીધો. જેમાં તેના સેટની ડીઝાઈન એન.એસ.ડી.ના ગોવર્ધન પંચાલે કરેલી. તેની વેશભૂષા માટે અમદાવાદના ડિઝાઇનર રાજન ચૌધરીએ તેના સંગ્રહમાંથી સસ્તા દરે જોઇતું કપડું આપ્યું. પછી ઘરે દરજી બેસાડી ગ્રીક સ્ટાઈલનાં કપડાં સિવડાવાયાં. ઘરે સુથાર આવ્યો અને સેટ બન્યો. મૂળ વિચાર હતો કે એ નાટક અમદાવાદના કોઈ જૂના ઐતિહાસિક રોજાની આગળ ભજવાય પણ તેના માટે પુરાતત્ત્વ ખાતાની મંજૂરી મેળવવી મુશ્કેલ હતી, આથી આખરે થિયેટરમાં ભજવાયું. આ નાટકમાં અદિતી ઠાકર, રાજુ બારોટ અને હેમંત નાણાવટીએ અદ્દભુત અભિનય કરેલો. તેમાં આચાર્યનો પાઠ કવિશ્રી પિનાકિનભાઈ ઠાકોરે ભજવેલો. ‘મદીરા’ મુંબઈ દૂરદર્શને રેકોર્ડ કર્યું.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં મોટા લીમડા નીચે અમેરિકન નાટ્યલેખક ઈરવીન શો લિખિત નાટક ‘બરી ધ ડેડ’ ભજવ્યું. તેમાં કોઈ બનાવેલો સેટ નહોતો પણ આસપાસની જગ્યા અને મકાનનો ઉપયોગ કરેલો, જેમાં જમીન પર, પરિષદની લોબીમાં, ઉપરના માળે ગેલેરીમાં વિવિધ સીન ભજવાય. પ્રેક્ષકોએ જ્યાં લાઈટ જાય ત્યાં ફરવાનું. એ નાટકમાં લીમડા નીચે ચાર કબરો ખોદેલી, મિલિટરીનો તંબુ બાંધેલો, મોટર સાયકલ અને જીપ લાવ્યાં. મેજર બનેલા એક્ટરે પાત્રને ન્યાય આપવા ટકો કરાવેલો. આ અનુભવ મોટાભાગના પ્રેક્ષકો માટે અદ્દભુત હતો. અભિજાત જોશીએ આ નાટકમાં પહેલી વાર કામ કર્યું. તેના કહેવા મુજબ તે થિયેટરની બારાખડી અને નાટકની સ્ક્રિપ્ટને ચુસ્ત કેવી રીતે બનાવાય તે ભરતભાઈ પાસેથી શીખ્યો. તે વખતે મળેલા શિક્ષણને કારણે તે ભવિષ્યમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી શક્યો. આવાં નાટકોમાં ખુરશી ભાડે લાવવાનો ખર્ચ તો ન પોસાય. પ્રેક્ષકોએ જમીન પર પાથરણા પર બેસીને નાટક જોવાનું.

પછી પરિષદના પ્રાંગણમાં સેટ બનાવી શ્રી પન્નાલાલ પટેલનું ‘માનવીની ભવાઈ’નું ભરતભાઈએ પોતે કરેલું નાટ્ય રૂપાંતર ભજવ્યું. તે પહેલા પન્નાલાલના મૂળ ગામ માંડલી બધા કલાકારોને સાથે લઈ જઈને ત્યાંનાં જૂનાં ઘરોનાં, લોકો જે પહેરવેશ પહેરતાં, જે વાસણો વાપરતાં તેનાં ફોટોગ્રાફ્સ લીધા અને સ્કેચીસ દોરેલા. તેના આધારે પંચાલદાદાના માર્ગદર્શન હેઠળ સેટ ડીઝાઈન થઈ, વેશભૂષા નક્કી થઈ. ત્યાં રેકોર્ડ કરેલાં લોકગીતો અને ભજનોને પાર્શ્વસંગીત તરીકે ઉપયોગમાં લીધું. તેમાં મુખ્યપાત્રો તરીકે રાજુ બારોટ, દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ હતાં. એ નાટક જોઈને પન્નાલાલભાઈ અને ઉમાશંકરભાઈ બહુ પ્રસન્ન થયેલા. લેખકનું ગામ માંડલી જીવતું કરેલું. પછીથી જ્યારે પન્નાલાલભાઈને અકાદમી એવોર્ડ મળ્યો ત્યારે એ નાટક દિલ્હીમાં ભજવ્યું.

દર્શકનાં ત્રણ નાટકો, ‘અંતિમ અધ્યાય’ ‘સોદો’, અને ‘હેલન’ ભજવ્યાં, જે હિટલરના નાઝી શાસન વખતના પ્રસંગો પર આધારિત હતાં. અંતિમ અધ્યાયમાં અરવિંદ વૈદ્યએ હિટલરનો યાદગાર રોલ પૂરા કૌશલ્ય સાથે ભજવેલો. અરવિંદભાઈએ ભરતને અંજલિ આપતા કહ્યું છે કે "મારી ૫૫ વર્ષની રંગભૂમિની કારકિર્દીમાં, અવેતન કે વ્યાવસાયિક, મેં કોઈ દિવસ, ક્યારે ય નાટકમાં કામ માગ્યું નથી, મારાં ગુરુવર્ય શ્રી જશવંત ઠાકર, જેમણે મને ઘડ્યો, એમની પાસે પણ નહીં. માત્ર અને માત્ર ભરત એવો એક નાટ્યકર્મી છે …. હતો … જેની પાસે હું પ્રેમથી, હકથી કામ માંગતો .." ‘સોદો’માં ભરતના એન.એસ.ડી.ના સહાધ્યાયી અને મશહૂર એક્ટર અનંગ દેસાઈએ મુખ્ય રોલ કરેલો. જ્યારે ‘હેલન’માં અન્નપૂર્ણા શુક્લએ મુખ્ય પાત્ર ભજવેલું. આ ત્રણે નાટકો જબરદસ્ત સફળતા પામ્યાં. આ નાટકો દર્શકની ભૂમિ લોકભારતીમાં પણ ભજવાયાં.

તે ઉપરાંત ઓગસ્ટ સ્ટ્રિનબર્ગનું ‘ધ ફાધર’ થિયેટરમાં ભજવ્યું, જેનું ભાષાંતર પણ પોતે જ કરેલું.

ભરતભાઈએ વિવિધ નાટકો અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા, લોકભારતી સણોસરા, દિલ્હી, લખનઉ, મુંબઈ વગેરે શહેરોમાં ભજવ્યાં. તેવી જ રીતે ભરતભાઈએ અગાશીમાં, જયશંકર સુંદરી અને ટાગોર હોલ જેવાં થિયેટરોમાં, પરિષદના પ્રાંગણમાં, વિવિધ શહેરોમાં ખુલ્લી જગ્યાઓમાં, વિઝ્યુઅલ આર્ટ સેંટરના નાના હોલમાં અને જયશંકર સુંદરી હોલના મીની થિયેટર જેવી જગ્યાઓએ નાટકો ભજવ્યાં.

ભરતભાઈના મુખ્ય કલાકારો રાજુ બારોટ, અદિતિ ઠાકર (દેસાઈ), દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ રહ્યાં, પણ તે સિવાય હેમંત નાણાવટી, વિનોદ નાઈક, દેવેંદ્ર દીક્ષિત, સુભાષ બ્રહ્મભટ્ટ, ફિરદોશ મેવાવાલા, હર્ષદ શુક્લ, હસમુખ ભાવસાર, અરવિંદ વૈદ્ય, અનંગ દેસાઈ, કિરણ જોશી, પ્રભાકર શુક્લ, સલીલ મહેતા, વંદના વૈદ્ય (પાઠક), ભાવિની જાની, રૂપા દીવેટિયા, અભિજાત જોશી, વગેરેએ પણ વિવિધ પાત્રો ભજવ્યાં. તે ઉપરાંત તેમણે પોતે ‘પોલંપોલ’, ‘અંતિમ અધ્યાય’, અને ‘ધ ફાધર’માં અભિનય કરેલો. અંતિમ અધ્યાયમાં શ્રી જશવંત ઠાકરના ઘેઘૂર અવાજનો ઉપયોગ કરેલો. દરેક નાટકોમાં પ્રકાશ આયોજન એન.એસ.ડી.ના સહાધ્યાયી દિલીપ શાહે સંભાળેલું.

ભરતભાઈએ આ પ્રવૃત્તિઓ દ્વારા પિતાજીને જે ડર હતો તે દૂર કર્યો. તેમણે દેશ-વિદેશના નામાંકિત નાટ્યકારોના શિષ્ટ અને દર્શકોને વિચારતા કરી મૂકે તેવાં નાટકો ભજવ્યાં. દર્શક કે ઉમાશંકરભાઈ પિતાજી પાસે આવે ત્યારે ભરતભાઈની કળાના વખાણ કરતા. 

ભરતભાઈ નાટકો સાથે કલાકારોનું શિક્ષણ પણ કરતા. પહેલા પંદર દિવસ નાટક વિષે અને તેના લેખક વિષે વાતો થાય. ભરતભાઈનો એવો આગ્રહ રહેતો કે કલાકારોએ લેખકનો પૂરો પરિચય, તેણે લખેલાં અન્ય નાટકો વગેરેથી પણ પરિચિત થવું પડે. તે માનતા કે પાત્ર ભજવવું એટલે પરકાયા પ્રવેશ કરવાનો છે. તે પાત્રના દેખાવની સાથે તેની ભાવનાઓ, ઈચ્છાઓ, લાગણીઓ, વળગણો વગેરેને શક્ય તેટલી સચ્ચાઈથી અપનાવીને પાત્રને આત્મસાત કરવાનું છે. તે વખતે કલાકારે પોતાનાં અંગત આદર્શો, પસંદગીઓ, મૂલ્યો ભૂલીને જે પાત્ર ભજવે છે તેને સમગ્રપણે અપનાવવાનું છે. તે દ્વારા નટ વાસ્તવિક જીવનમાં પણ અન્યોના દૃષ્ટિકોણને પણ મહત્ત્વ આપતા થશે. ત્યાર પછી એક મહિનો વાચિકમ્‌ ઉપર કામ થાય. ઉચ્ચારોની સ્પષ્ટતા, કેટલા ઊંચા અવાજે, કેવા ભાવ સાથે, ક્યાં અટકીને બોલવાનું છે તે સમજાવાય. પછી ત્રણેક મહિના રિહર્સલો ચાલે. તેમાં સમયપાલનનો ચુસ્ત આગ્રહ. સ્ત્રી કલાકારો સાથે સભ્યતા અને આભિજાત્ય દાખવવું ફરજિયાત. જ્યાં સુધી નાટક પૂરું પાકે નહીં ત્યાં સુધી સ્ટેજ પર ન જાય.

આ નાટકો કરવા પાછળ ક્યારે ય વ્યવાસાયી વૃત્તિ ના રહી. મોટે ભાગે ગાંઠના પૈસે નાટકો કર્યા. બહુ ઓછા નાટકોમાં કલાકારોને કોઈ ચૂકવણી થતી. જ્યારે બહારગામ જઈએ ત્યારે પૈસા મળે. તેમાં બધાને (મુખ્ય કલાકારથી માંડીને બેકસ્ટેજના) એકસરખું વેતન મળે. અમદાવાદમાં નાટક થાય ત્યારે ૧૦ રૂપિયા ટીકિટ હોય. ફ્રી પાસ તો ભાગ્યે જ કોઈને અપાય.

એક નાટક પૂરું થાય પછી ભરતભાઈને તેના ભાવાવરણમાંથી બહાર આવી બીજા નાટક વિષે વિચાર કરવામાં કેટલાંક મહિના થાય. અન્ય દિગ્દર્શકોની માફ્ક એક નાટક જેવું સ્ટેજ ઉપર જાય તેવું બીજા નાટકની તૈયારી શરૂ ન થાય. આથી તે કલાકારોને સતત વ્યસ્ત ન રાખી શકે. મોટા ભાગના કલાકારોને તો નાટક જલદી સ્ટેજ પર જાય, રોજ શો થાય તેમાં રસ હોય. પછી દૂરદર્શન આવ્યું. અને તે સાથે આવી ટી.વી. સિરિયલ્સ. એણે અભિનેતાઓને વ્યસ્ત કરી દીધા. એને કારણે ભરતભાઇ અકળાતા. એ નાટક કરવા તો માંગતા હતા પણ રિહર્સલ વિષે આગ્રહી અને તે પણ એમને સંતોષ ન થાય ત્યાં સુધી ચાલુ રહે. આ શિસ્ત અને સામે કલાકારોને ગમતી એપીસોડની ઝડપ અને આર્થિક મુદ્દો પણ ખરો. એટલે ગુજરાતની નવી રંગભૂમિની ગતિ ધીમી પડતી ગઈ. ભરતભાઈએ દર્શકની નવલકથા ‘સોક્રેટિસ’નું નાટ્ય રૂપાંતર કરેલું. નિમેષ દેસાઈને મુખ્ય પાત્ર તરીકે પસંદ કરીને તેનું વાચિકમ્‌ શરૂ કર્યું, પણ થોડા દિવસોમાં કલાકારોની અનિયમિતતા અને સમયની અશિસ્તથી અકળાઈને બંધ કરી દીધું. તેના કેટલાંક વર્ષો પછી રાજુ બારોટે તેને હાથમાં લીધું અને સફળતાપૂર્વક ભજવ્યું.

આ સાથે ભરતભાઈએ ઈસરો દ્વારા ચાલતા પીજ (DECU) ટી.વી.માં પ્રોડ્યુસર તરીકે નોકરીના ભાગરૂપે કેટલીક ઉત્તમ ટૂંકી ફિલ્મો, સિરિયલો અને ડોક્યુમેન્ટરીઓ બનાવી. તેની સિરિયલ 'ભલા ભૂસાના ભેદભરમ' બહુ લોકપ્રિય બની. તેવી જ રીતે શ્રીધરાણીની લખેલી વાર્તા પરથી 'પિયો ગોરી' નામની ટૂંકી ટી.વી. ફિલ્મ બનાવી. અમદાવાદમાં પહેલી કાપડ મીલ શરૂ કરનાર અને પહેલા સુધરાઈ પ્રમુખ રણછોડભાઈ વિષે ડોક્યુમેન્ટરી બનાવી. તેમણે કચ્છના ધરતીકંપનો ચિતાર આપતી, પાણી વિષે અને અન્ય વિષયો પર ડોક્યુમેન્ટરીઓ બનાવી. જેમાંથી એકાદ-બે ને રાષ્ટિય પારિતોષિક મળેલાં.

૧૯૯૦માં ભરતભાઈને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર એનાયત થયેલો.

નાદુરસ્ત તબિયતને કારણે ભરતભાઈનું સક્રિય જીવન બંધ થઈ ગયું. પણ તે દરમિયાન તેમણે ઘરમાં બહુ સમૃદ્ધ લાઈબ્રેરી ઊભી કરેલી. જેમાં નાટકો, નાટ્યકારોની આત્મકથાઓ, દાર્શનિકો, ગાંધી વિચાર, ઉત્તમ નવલકથાઓ, કાવ્ય સંગ્રહો વગેરે વિવિધ વિષયનાં પુસ્તકો વસાવેલાં. આથી તેમણે ખૂબ વાંચ્યું અને પચાવ્યું. તેના પરિપાક રૂપે છેલ્લા પાંચેક વર્ષોમાં નાટક સહિત વિવિધ વિષયો પર દર વર્ષે એક-બેના ધોરણે પુસ્તકો લખ્યાં અને પબ્લિશ કર્યાં. વાને કારણે આંગળાં કામ નહોતા કરતાં. એ સ્થિતિમાં તે કોમ્પ્યુટર પર લખતા શીખ્યા. એ પુસ્તકો અને લેખ-શ્રેણીને કારણે ભરતભાઈને વિશ્વકોશ દ્વારા ધીરુભાઈ ઠાકર સવ્યસાચી એવોર્ડ, કુમાર સામાયિક દ્વારા કુમાર ચંદ્રક અને સુરતની સંસ્થા દ્વારા નર્મદ એવોર્ડ મળ્યા.

આજે ભરતભાઈની દીકરી દેવકી નાટકો અને અને રેડ FMના RJ તરીકે રેડિયોમાં ભરતભાઈના એ જ આદર્શો અને સમજણ સાથે ઉત્તમ કામ કરી રહી છે અને અનેક એવોર્ડ મેળવી રહી છે.

ભરતભાઈના મનમાં બે ત્રણ પુસ્તકોનો ખ્યાલ રમતો હતો, ત્રણેક પુસ્તકો છપાઈને આવવામાં હતાં એવે વખતે કોરોના ભરતભાઈને લઈ ગયો. જેમ ઘણા લોકોએ કહ્યું છે તેમ, ભરતભાઈનું અકાળ અવસાન એ માત્ર તેમના કુટુંબને જ નહીં. પણ સમગ્ર નાટ્યજગતને પડેલી ખોટ છે. સ્વ. શ્રી ઈબ્રાહિમ અલ્કાઝીનાં પુત્રી અમલ અલ્લાનાએ આપેલી અંજલિ અનુસાર ભરતભાઈ ભારતીય નાટ્યજગતની બિરાદરીના મહત્ત્વના સ્તંભ હતા.

ભરતભાઈએ સવ્યસાચી એવોર્ડ સ્વીકારતી વખતે તેમના પ્રવચનના અંતમાં દુ:ખ વ્યક્ત કરતા કહેલું કે ‘નાટક જેવી મહાન કળાને આપણે ગુજરાતી કલાકારો અને પ્રેક્ષકોએ માત્ર રમૂજી ટૂચકાના પ્રોગ્રામમાં ફેરવી નાખી છે. આ બાબત અમારા કામને મર્યાદિત કરી દે છે. આ કારણે પ્રેક્ષકોનું નવી દિશામાં ઘડતર થયું જ નથી અને એટલે જ તેઓ આ સિવાયના થિયેટરની કલ્પના જ કરી શકતા નથી. બહારથી ભલે તેઓ શિક્ષિત-સુધરેલા દેખાય પણ અસલમાં they are culturally illiterate.’

e.mail : samanvay.sys@gmail.com

પ્રગટ : “નવનીત-સમર્પણ”, જુલાઈ 2021; પૃ. 47-54

Loading

ડૉ. કિરણ ન. શીંગ્લોતનું પુસ્તક ‘કૅન્સરની જીવનગાથા’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 February 2022

વિશ્વ કૅન્સર દિવસ

અમેરિકાના કૅન્સર નિષ્ણાત સિદ્ધાર્થ મુખર્જીના  'The Emperor of All Melodies : A Biography of Cancer' પુસ્તકનો 'કૅન્સરની જીવનગાથા' નામે વાચનીય અનુવાદ કરીને વડોદરાના કર્મશીલ તબીબ ડૉ. કિરણ ન. શીંગ્લોત આપણા સમયનું એક  વિશ્વવિખ્યાત પુસ્તક ગુજરાતીમાં લાવ્યા છે. તે વડોદરાના યજ્ઞ પ્રકાશને  કોરોનાકાળમાં એટલે કે જૂન 2020માં બહાર પાડ્યું છે.

આ પુસ્તકમાં ઇસવીસન પૂર્વેના સમયથી લઈને અત્યાર સુધીમાં થતી રહેલી વિવિધ પ્રકારના કૅન્સર રોગની શોધ, તેની પરનાં સંશોધનો અને આ અકળ વ્યાધિની સારવારનો માહિતીથી ખીચોખીચ ભરેલો આલેખ આપ્યો છે.

પુસ્તકને અંતે મૂકવામાં આવેલી લાંબી મુલાકાતમાં ડૉ.મુખર્જી કહે છે :

‘એમાં [પુસ્તકમાં] મેં માનવજાતિ કૅન્સરને સંભવત: જાણતી થઈ ત્યારથી શરૂ કરીને તે છેક અદ્યતન સમય સુધીનો તેનો સમગ્ર ઇતિહાસ તેમ જ તેના વિકાસ અને માનવીની તેની સામેની લડાઈની વાત માંડી છે … આ પુસ્તક સામાન્ય જનતા માટે છે … પુસ્તકનું આલેખન કરતી વેળાએ મેં એવો નિયમ બનાવેલો કે કૅન્સર જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં સામાન્ય માનવીના જીવનને સ્પર્શે તેવો એક પણ મુદ્દો બાકી ન રહેવો જોઈએ.'

(તસવીર : અનુવાદક અને પુસ્તકનું મુખપૃષ્ઠ)

પોણા ચારસો પાનાંના પુસ્તકના સાત ખંડોમાં લેખકે આવરી લીધેલી બાબતોમાંથી કેટલીક આ મુજબ છે : ઇતિહાસમાં કૅન્સરના ઉલ્લેખો, કૅન્સરની અણુવૈજ્ઞાનિક (મોલિક્યુલર) ભૂમિકા અને તેનું જનીનવિજ્ઞાન, કૅન્સરનું રોગકારણ સમજવામાં અને તેની ચોક્કસ સારવાર શોધવામાં અનેક દેશોના તબીબો / વિજ્ઞાનીઓએ કરેલા પ્રચંડ પરિશ્રમ, કૅન્સરના નિદાન માટે વખતોવખત શોધવામાં આવેલી પદ્ધતિઓ, કૅન્સર નિવારણ માટેની કામગીરી, નિવારણ અને સારવારનું રાજકારણ.

તદુપરાંત, અમેરિકામાં સિગરેટના દૂષણને નાથવા માટે વિજ્ઞાનીઓ અને જાગૃત નાગરિકોએ સિગરેટ બનાવનાર કંપનીઓ અને તેમને સાથ આપનાર રાજકારણીઓની સામે માંડેલી લડત પુસ્તકનો નોંધપાત્ર હિસ્સો છે.

કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, વિશ્વયુદ્ધો, માધ્યમો, કલાકારો, ધનપતિઓ, યુરોપના દેશોમાં ચિમનીઓ સાફ કરનારા બાળકો, એઇડસનો વ્યાધિ જેવી નાનાવિધ બાબતો સાથે ગૂંથાયેલા કૅન્સરના તાણાવાણા વિશે વાંચતા અચંબો થાય છે. ત્રીસેક વૈજ્ઞાનિકોના પ્રદાનની લેખકે અહીં સંદર્ભોચિત, સપ્રમાણ, ગૌરવપૂર્ણ નોંધ લીધી છે.

ક્લિનિકલ ટ્રાયલ્સના કિસ્સા તેમ જ સંખ્યાબંધ દરદીઓના વીતકોનું લાગણી અને કૃતજ્ઞતાથી કરેલું બયાન આ પુસ્તકનો હૃદયસ્પર્શી હિસ્સો છે. ડૉક્ટરોની પોતાની વ્યથાના અનેક ઉલ્લેખો મળે છે. પુસ્તકમાં કેટલીક જગ્યાએ પ્રથમ વ્યક્તિ એકવચની કથન (first person narration) છે. ‘સામાન્ય શરીરની વિકૃત આવૃત્તિ’ નામના પાંચમા ખંડના પહેલા પ્રકરણ ‘એક કારણ’માં દરદીઓની વચ્ચે રહીને સંશોધન કરનાર લેખકની ખુદની મનોવેદના વાંચવા મળે છે. ડૉ. મુખર્જી 2003માં 33વર્ષની વયે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કૅન્સર મેડિસિનની અદ્યતન તાલીમ માટે દાખલ થયા હતા. અનુવાદક નોંધે છે : ‘ઊગતી કારર્કિર્દીના આ વર્ષો દરમિયાન એમનાં મનમાં જે મંથન થયું તેમાંથી આ પુસ્તકનો જન્મ થયો.’ તેને પુલિત્ઝર પુરસ્કાર સહિત દસ જેટલાં આંતરરાષ્ટ્રીય ઇનામો પણ મળ્યાં.

સારવારના સતત અખતરામાંથી ઊભી થતી દરદીની રિબામણીના ભોગે થતું અને છતાં ય એકંદર માનવજાતિ માટે જરૂરી સંશોધન વાચકને એક અસ્વસ્થ મનોસ્થિતિમાં મૂકે છે. જો કે લેખક હતાશ નથી. 'વિજ્ઞાને હવે ઘણાં કૅન્સર પર વિજય મેળવ્યો છે' એમ લખીને તે 1990થી 2005ના ગાળાનો  અમેરિકાનો દાખલો આપીને નોંધે છે : ‘ફેંફસાં, સ્તન, મોટું આંતરડું, પ્રોસ્ટેટ એ દરેક મુખ્ય કૅન્સરને કારણે થતાં ધીમી પણ મક્કમ ગતિથી સતત ઓછો થઈ રહ્યો હોવાનાં એંધાણ વર્તાય છે.'  મુલાકાતમાં તે કહે છે : '…સંપૂર્ણ અશાવાદી પણ નહીં અને છેક નિરાશાવાદી પણ નહીં એવો મધ્યમ માર્ગ સ્વીકારીને આ પુસ્તક લખાયું છે. કૅન્સર સંશોધનના ક્ષેત્રમાં ચિત્ર એક લોલકની જેમ સતત બદલાતું રહ્યું છે.'

કૅન્સર વિશે ગુજરાતીમાં આવેલાં દસેક પુસ્તકો, જાણકાર ગ્રંથપાલ તોરલબહેન પટેલ મિનિટોમાં હાજર કરે છે. સન્નિષ્ઠતાથી લખાયેલાં આ નાનાં-મોટાં પુસ્તકો માહિતી, ઉપચાર અને સ્વકથન પ્રકારના છે. યજ્ઞ પ્રકાશન, માનવીય ટેક્નોલોજી ફોરમ અને અન્ય નિસબત ધરાવતાં જૂથો દ્વારા કૅન્સર જાગૃતિ અંગે સેમિનાર, જાગૃતિ અભિયાન અને પ્રકાશન જેવાં કામ બિનધંધાદારી રીતે સમાજકાર્ય તરીકે હાથ ધરાતાં રહ્યાં છે, જેની મહિતી રજનીભાઈ દવેએ લખેલા આ અનુવાદના ‘પ્રકાશકીય’માં મળે છે.

ડૉ. શીંગ્લોતના સારાનુવાદની ખાસિયત એ છે કે તે વાંચતી વખતે એકંદરે ગુજરાતી મૌલિક પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે છે. મૂળ અંગ્રેજી લખાણને કોઈ કરામતો વિના આપણી ભાષાના સામાન્ય  વાચક માટે રસપ્રદ બનાવવાની સિદ્ધિ અનુવાદકે હાંસલ કરી છે. ચોટદાર નામથી શરૂ થતું પ્રકરણ સરળ રીતે અંત સુધી પહોંચે છે.

અલબત્ત,આ પુસ્તક કથારસનું પુસ્તક નથી. તેમાં ઘણી બધી ટેકનિકલ વિગતો છે તે કોઈ વાચકને છોડી દેવા જેવી લાગે, કેટલીક દુર્બોધ લાગે, કેટલીક જગ્યાએ કંટાળો આવે એમ પણ બને. છતાં પુસ્તક કૅન્સરની જટીલતા ઉપરાંત તેની સામેની માનવસંસ્કૃતિની, civilizationની લડતનો અત્યંત પ્રભાવક ખ્યાલ આપે છે. આપણા સમાજની વધતી અવૈજ્ઞાનિકતાના સમયમાં વિજ્ઞાનમાંનો આપણો વિશ્વાસ દૃઢ બને છે.

પુસ્તકની મહત્તામાં ડૉ. સિદ્ધાર્થ મુખર્જીના જ્ઞાનખચિત લેખન સાથે અનુવાદક ડૉ. કિરણ શીંગ્લોતની મહેનત પણ બિલકુલ સ્પષ્ટ થાય છે. આ ડૉક્ટર ખાનગી પ્રૅક્ટિસ કરતા નથી અને પદ-પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિ-પૈસાના ચક્રોથી દૂર રહે છે. વૈદકવિદ્યા વ્યાસંગી  કિરણભાઈએ ભ્રમણપૂર્ણ વ્યસ્તતા સાથેના તબીબી સેવાકાર્ય વચ્ચે મૌલિક લખાણ અને અનુવાદનાં થઈને વીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. 'જ્યાં ડૉક્ટર ન હોય' એ માર્ગદર્શક ગ્રંથની જેમ 'કૅન્સરની જીવનગાથા' પુસ્તક માટે વાચકો ડૉ. શીંગ્લોતના ઋણી છે.

પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન :

ગૂજરાત વિદ્યાપીઠ પુસ્તક ભંડાર, અમદાવાદ. ફોન 079-400016269 

‘ભૂમિપુત્ર’ કાર્યાલય, હિંગળાજ માતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા.  0265-2437957

04 ફેબ્રુઆરી 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5101,5111,5121,513...1,5201,5301,540...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved