Opinion Magazine
Number of visits: 9459179
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ગોદી મીડિયા ગોદમાંથી બહાર આવશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 February 2022

ઉત્તર પ્રદેશમાં જે રીતે ગોદી મીડિયાને લતાડવામાં આવી રહ્યા છે, એ જોતાં એમ લાગે છે કે ગોદી મીડિયાનો પ્રભાવ ઘટી રહ્યો છે. આબરૂ તો ક્યારે ય હતી જ નહીં, પ્રભાવ ઘણો હતો જે હવે ઓસરી રહ્યો છે. ત્રણ ઘટનાઓને કારણે ૨૦૨૧ની સાલ ગોદી મીડિયા માટે બહુ વસમી સાબિત થઈ છે.

પહેલી અને સૌથી મોટી ઘટના હતી કોવીડ ઉપદ્રવનો બીજો દોર. આખું જગત ભારતના કોવીડ પેન્ડેમિક મેનેજમેન્ટ વિષે થૂ થૂ કરી રહ્યું હતું, ત્યારે આપણે ત્યાં ગોદી મીડિયા લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાનો કે સરકારનો બચાવ કરવાનું કામ કરતાં હતાં. ઉત્તર પ્રદેશમાં ગંગામાં વહેલી લાશોએ શાસકોને નિર્વસ્ત્ર કરી નાખ્યા હતા ત્યારે ગોદી મીડિયા શાસકોનું અંગ ઢાંકવાનો પ્રયાસ કરતાં હતાં. બીકાઉ પત્રકારોને અને તેના માલિકોને એટલું ભાન નહોતું રહ્યું કે સ્વજનનાં મૃત્યુથી મોટી કોઈ હચમચાવી દેનારી ઘટના નથી હોતી.

બીજી ઘટના ખેડૂતોના આંદોલનની હતી. ખેડૂતોનાં સંગઠનો જાણે કે કોઈ સરકારી કર્મચારીઓનાં  લેબર યુનિયન હોય અને ખેડૂત એ કોઈ જામી પડેલો કામચોર સ્વાર્થી કર્મચારી હોય એ રીતે ગોદી મીડિયાએ તેમને બદનામ કર્યા હતા. તેમને એ વાતનું ભાન નહોતું રહ્યું કે દેશમાં ખેતી અને ખેતી આધારિત રોજગાર લોકોને જ્યાં સુધી જીવનનિર્વહનનો બીજો સારો વિકલ્પ ન મળે ત્યાં સુધી ટકી રહેવાનું સાધન છે. જેમને બીજો સારો વિકલ્પ મળ્યો પણ છે અને ખેતી અને ગામ છોડીને શહેરમાં ઠરીઠામ થયા છે, એ લોકો પણ ખેતરમાં કાળે તડકે પરસેવો પાડીને કુટુંબને ટકાવી રાખનાર ખેતી અને ખેડૂત બાપને નથી ભૂલ્યા. તેમના થકી તે જીવનમાં થાળે પડ્યો છે એ વાતે તે ઓશિંગણ છે. માત્ર અને માત્ર હિંદુ કોમવાદીઓ અને જન્મજાત બેવકૂફો કોર્પોરેટ કંપનીઓને લાભ કરાવી આપનારા કૃષિ કાનૂનનો બચાવ કરતાં હતા. બાકી જે લોકો મુસ્લિમ વિરોધી છે, જે લોકો કાઁગ્રેસ માટે અણગમો ધરાવે છે અને જે લોકોને એમ લાગતું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની કાયાપલટ કરવાના છે, એવા લોકો પણ ખેડૂતોની સાથે કરવામાં આવેલા અન્યાયને અને મીડિયા દ્વારા કરવામાં આવતા બદનામી જોઇને હેબતાઈ ગયા હતા. એમાં પણ લખીમપુર ખીરીની ઘટના તો બેશરમને પણ શરમાવે એવી હતી, પણ ગોદી મીડિયાએ તેનો પણ બચાવ કર્યો હતો. જગત આખામાં ભારતીય મીડિયાએ બેશરમીની નવી ઊંચાઈ હાંસલ કરી હતી.

ત્રીજી ઘટના ચીનનો ભારતની ભૂમિ ઉપરનો કબજો છે. અક્ષરશ: ચીન ભારતની ભૂમિ ઉપર કબજો જમાવીને બેઠું છે અને ભારતની ભૂમિ ઉપર લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. આખી દુનિયા આ વાત જાણે છે અને તેના વિષે વાત થઈ રહી છે, પણ આપણાં દેશભક્ત મીડિયા માટે એ કોઈ મોટી ઘટના નથી. એક બાજુએ પોતાને દેશભક્તિના ઠેકેદાર તરીકે ઓળખાવે અને સરકારનો વિરોધ કરે તેને દેશદ્રોહી તરીકે બદનામ કરે એ દેશની રક્ષાના પ્રશ્ને લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ કરે એ લોકોના ધ્યાનમાં ક્યારે ય ન આવે એવું બને ખરું? ભારતના ૯૦ ટકા સૈનિકો ગ્રામીણ ખેડૂત પરિવારમાંથી આવે છે.

આમ પણ અતિને ગતિ નથી હોતી. એવું છે કે જ્યાં સુધી જૂઠાણાં પોતાને ન ગમતા માણસો કે સમાજને બદનામ કરતાં હોય ત્યાં સુધી જૂઠની જાણ હોવા છતાં પણ આપણને વિચલિત નથી કરતાં, જેમ કે રાહુલ ગાંધી, મુસલમાનો, તબલીગીઓ, કાશ્મીરીઓ વગેરે; પણ એ જૂઠાણાં જ્યારે તમારા બાપને બદનામ કરવા લાગે, જ્યારે જૂઠાણાં ગંગામાં વહેતી લાશોનો મલાજો ન રાખે ત્યારે કાળજામાં વાગે છે. ગોદી મીડિયા કોઈની ગોદમાં બેઠા છે અને પૈસા લઈને કઢીચટ્ટું પત્રકારત્વ કરે છે એની જાણ તો હતી જ, પણ આપણને વસમું નહોતું લાગતું જે હવે લાગવા માંડ્યું છે. આને પરિણામે ઉત્તર પ્રદેશમાં ગોદી મીડિયાના પત્રકારો જ્યાં પણ ચૂંટણીના અહેવાલ લેવા જાય છે ત્યાં દરેક જગ્યાએ તેમને લતાડવામાં આવે છે.

પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું ગોદી મીડિયા ગોદમાંથી બહાર આવશે? આનો જવાબ હા અને ના બન્ને છે. જે મીડિયાહાઉસીઝ અંગ્રેજીમાં કહીએ તો સિરિયસ પ્લેયર્સ છે, પત્રકારત્વમાં દાયકાઓથી જામેલા છે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક એમ બન્ને ક્ષેત્રોમાં છે એ ઠાવકાપણાની દિશામાં થોડાં પાછા ફરશે. એને ટકવું છે. વધુ કમાઈને લાંબો સમય ટકી રહેવા માટે ગોદમાં બેઠાં હતાં અને ટકી રહેવા માટે ગોદમાં બેસીને પણ ગોદમાં નથી બેઠા એવો દેખાવ કરશે. જે પત્રકારત્વમાં છેલ્લા એક દાયકા દરમ્યાન આવ્યા છે, જેનાં માલિકો નવશ્રીમંતો કે કોર્પોરેટ કંપનીઓ છે અને જેઓ માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ કામ કરે છે એવાં મીડિયા જ્યાં સુધી ચણ મળતી રહેશે ત્યાં સુધી ચણતા રહેશે. ચવાણું મળતું બંધ થશે ત્યારે દુકાન સંકેલીને જતા રહેશે. તેમને રૂપિયા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી. 

અને હા, ભારતમાં છેલ્લાં બે-ત્રણ વરસમાં ડિજીટલ મીડિયાએ જે પ્રતિષ્ઠા રળી છે એ લાજવાબ છે. પેગાસસ સ્પાઈવેર ‘ધ વાયર’ નામના ડિજીટલ પોર્ટલે ખુલ્લું પાડ્યું છે, જે સરકારને ભારે પડી રહ્યું છે. દેશમાં શું બની રહ્યું છે એ જાણવા માટે દેશના નાગરિકો આવા ડિજીટલ પ્લેટફોર્મનો આશારો લે છે અને ત્યાં તેમને જે કહેવામાં નથી આવતું અથવા જે છૂપાવવામાં આવે છે એની જાણકારી મળી રહે છે. જેમને આંખ ખોલવી છે અને ખુલ્લી રાખવી છે તેમની પાસે વિકલ્પ છે. ગોદી મીડિયા, ખાસ કરીને જેમને સિરિયસ પ્લેયર્સ કહેવાય એવા ગોદી મીડિયા, ભીંસમાં છે એનું આ પણ એક કારણ છે.

આમ પણ ગોદી મીડિયા અને તેમના આકાઓ દ્વારા ગવડાવવામાં આવતા ગરબા ગાઈગાઈને એક દિવસ દયાબહેન (તારક મહેતા ફેમ) પણ થાકે કે નહીં!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ફેબ્રુઆરી 2022

Loading

ધી અમેરિકન ડ્રીમઃ એજન્ટોની દાદાગીરી, રોકડાની લેવડદેવડ અને માણસોની દાણચોરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 February 2022

યુ.એસ.એ.ની ઉત્તરીય સરહદેથી ગેરકાયદેસર ઘુસણખોરી કરનારાઓમાં ૨૦૨૦માં ૧૨૯, ૨૦૨૧માં ૪૨ અને ૨૦૨૨માં ૨૨ ભારતીયો પકડાયા છે

ગણતરીના દિવસો પહેલાં કંપારી છૂટી જાય એવા સમાચાર આવ્યા અને ગુજરાતના મહેસાણા પાસેનું ડિંગુચા ગામ ચર્ચાનો વિષય બન્યું. ચાર જણાનો હર્યોભર્યો પરિવાર અમેરિકા (USA) પહોંચવાની લ્હાયમાં ઠંડીમાં ઠુંઠવાઇને મરી ગયો. આપણે ત્યાં સહેજ ટેમ્પરેચર નીચું જાય છે અને આપણને ગોદડાંમાંથી નીકળવાનું ગમતું નથી. અહીં એક જુવાનજોધ યુગલ, સાથે બે બાળકો અને એમાંથી નાનું બાળક તો માંડ ત્રણ વર્ષનું, વિદેશી ધરતી પર, એકલતામાં, આંખોમાં આંજેલાં સપનાં સાથે હાડ થીજાવી દે એવી ઠંડીમાં ૧૧ કલાક ચાલ્યું અને એમના હાડ થીજી ગયાં. યુ.એસ.એ.-કૅનેડાની સરહદ પાસે મોતને ભેટેલા આ પરિવારે યુ.એસ.એ.માં ‘ઘુસી’ જઇને ત્યાં ગોઠવાઇ જવાની પૂરી યોજના બનાવી હતી. યુ.એસ.એ.માં ‘લાઇફ સેટલ’ કરવા માટે તેમણે કોઇ એજન્ટને ૧ કરોડ ૬૫ લાખ રૂપિયા ચુકવ્યા હતા. તેમનાં શબ મળ્યાં ત્યાંથી યુ.એસ.એ.ની સરહદ ૧૨ મીટર એટલે કે માંડ ૪૦ ડગલાં દૂર હતી. આ એક કિસ્સો છે અને આ ઘટના ઘટી પછી યુ.એસ.એ.માં ગેરકાયદેસર ઘુસવાની કોશિશ કરનારા નહીં નહીં તો ડઝન શંકાસ્પદ કેસિઝ બહાર આવ્યા છે. આ જ પરિવારના સાથીદાર એવા બીજા સાત જણાંને નોર્થ ડકોટા પાસેથી ઝડપી લેવાયા હતા. ફ્લોરિડા પાસેની એક હોડીમાંથી ૩૯ જણા ગાયબ હતા અને યુ.એસ. સરકારને તેમાં પણ માણસોની દાણચોરીની શક્યતા વર્તાઇ છે.

ભારતીયોમાં અને તેમાં ય ખાસ કરીને પંજાબી તથા ગુજરાતીઓને યેનેકેન પ્રકારણે વિદેશ જવાનું ઘેલું હોય છે. કૅનેડા અને યુ.એસ.એ. આમાં પહેલી પસંદ છે. ગુજરાતીઓની મોટલ્સ, પાન શોપ્સ, ડૉલર સ્ટોર જેવું કેટલું ય તમને અમેરિકામાં જોવા મળશે. કોઇ સગાંને ત્યાં જઇએ તો ત્યાં નવ કલાકનું કામ કરનારા ગુજરાતી બહેનો વીસ વીસ વર્ષોથી પોતાના વતને નહીં ગયાં હોવાના કિસ્સા મેં સાંભળ્યા છે, તેમ તમે પણ સાંભળ્યા હશે. વિઝા વગર, કોઇ પણ બીજા દસ્તાવેજ વગર, ગેરકાયદેસર, યુ.એસ.એ. પહોંચનારાઓની સંખ્યા મોટી છે. ‘અમેરિકન ડ્રીમ’ને પૂરું કરવા માટે હ્યુમન સ્મગલિંગના સર્કિટનો ભાગ બનેલાઓને તેમની વિદેશમાં જઇને કમાવાની લાલચ, ડૉલરમાં બચત કરીને વતન રૂપિયા મોકલવાની હોંશ અને ‘આપણે તો અમેરિકામાં જલસા છે’નો કૉલર ઊંચા કરી શકવાનો મોહ રાખનારાઓને કશું નડતું નથી. કોઇ પણ રીતે સરહદ પાર કરાવનારાઓનું એક બહુ મોટું તંત્ર છે, અને સ્વાભાવિક છે કે આ આખા પાખંડમાં કશું પણ કાયદેસર નથી. દલેર મહેંદીને કારણે આપણે ‘કબૂતરબાજી’ શબ્દ જાણતા અને સમજતા થયા. મલ્લિકા સારાભાઇ જેવાં પ્રતિષ્ઠિત કલાકારનું નામ પણ આવા કિસ્સામાં ભૂતકાળમાં ઊછળ્યું છે. માણસોની દાણચોરી માટે વપારાતા આ શબ્દનો ભોગ બનેલાઓ એક વિદેશી ધરતી પર લોહી રેડીને મજૂરી કરવા તલપાપડ થતા હોય છે.

તાજેતરમાં કૅનેડા-યુ.એસ.એ.ની સરહદ પર આવેલા મનિટોબા પાસે મળી આવેલાં ચાર શબ પછી કૅનેડિયન સરકારે હાલમાં જે સરહદ પરની નીતિ છે, તેને કડક કરવા કમર કસવી રહી.  સરહદને ગેરકાયદેસર પાર કરવા મથનારા અને માણસોની દાણચોરી કરાવનારાઓના આ નેક્સસ પર કામ કરનારા એક્સપર્ટ્સનું માનવું છે કે છેલ્લા કેટલાક વખતમાં સરહદ પરની સ્થિતિ વધુ જોખમી બની છે. ગેરકાયદેસર ઘુસણખોરી કરનારાઓના કિસ્સા જ નહીં પણ તેમના મોતને ભેટવાના કિસ્સા પણ વધ્યા છે. ૨૦૦૪માં યુ.એસ.એ. અને કૅનેડા – એમ બન્ને દેશોએ ‘સેફ થર્ડ કન્ટ્રી એગ્રીમેન્ટ’ બનાવ્યું હતું. બન્ને દેશો વચ્ચેની સરહદને મામલે બહેતર કામગીરી થાય, રક્ષણ થાય અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકે તે માટે આ કરાર કરાયો હતો. રેફ્યુજીઝ –  શરણાર્થીઓ માટેના નિયમો અલગ છે પણ પોતે શરણાર્થી હોવાનું બહાનું કરીને બીજા દેશમાં ઘુસી જનારા પણ છે જ. હાલમાં જે ગુજરાતી પરિવારનું મોત થયું તેમાં હજી એવી કોઇ હકીકત બહાર નથી આવી કે તેઓ પોતાની જાતને શરણાર્થી જાહેર કરવાના હતા કે કેમ. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા-વાળી વાતને યાદ કરીએ તો સરકાર જેટલા કડક કાયદા બનાવે એટલું આ માનવીય દાણચોરીનું માર્કેટ મજબૂત થતું જાય. લોકો જાત માટે અને પરિવાર માટે સલામતી શોધવા હવાતિયા મારતા ક્યારે ય અટકતા નથી અને અટકવાના નથી કારણ કે આ માણસની મૂળભૂત પ્રકૃતિ છે. વળી માણસની દાણચોરી કરનારા માટે સામી વ્યક્તિ – એ ઘરાક કે એક કોમોડિટીથી વધારે કંઇ નથી. તેઓ જેમને આમથી તેમ ફરાવે છે એ તમામ પર તેઓ માલિકી ભાવ ધરાવે છે અને ગેરકાયદે કામ કરનારા માટે સામે વાળાનું ‘ડેસ્પરેશન’ સૌથી મોટી ચાવી છે. 

૨૦૨૦ની સાલમાં અલગ અલગ રાષ્ટ્રિયતાવાળા ૨૨૭ જણાંને કૅનેડાની સરહદ પાર કરવાની કોશિશ કરતાં પકડી લેવાયાં હતાં. ભારતીયો કૅનેડા ઉપરાંત વૉશિંગ્ટનના બ્લાયન અને વર્મોન્ટના સ્વૉન્ટન પ્રદેશમાં ચાલીને યુ.એસ.એ.માં અંદર ઘુસવાની કોશિશ કરતા આવ્યા છે. યુ.એસ.એ.ની ઉત્તરીય સરહદેથી ગેરકાયદેસર ઘુસણખોરી કરનારાઓમાં ૨૦૨૦માં ૧૨૯, ૨૦૨૧માં ૪૨ અને ૨૦૨૨માં ૨૨ ભારતીયો પકડાયા છે. અન્ય રાષ્ટ્રિયતાના લોકોની વાત કરીએ તો ૨૦૨૦-૨૧ના નાણાંકિય વર્ષમાં યુ.એસ.એ. બોર્ડર પેટ્રોલે ૧૨.૦૦૦ જિંદગીઓને આ દાણચોરોના સકંજામાંથી છોડાવ્યા છે. જ્યારે લોકો આવી રીતે પકડાય ત્યારે યુ.એસ.એ.માં તેમને અટકમાં લેવાય, તેમની પર કેસ થાય, તેમની સુનાવણીઓ થાય, જામીનના બોન્ડ્ઝ પણ મોંઘાદાટ હોય છે. કૅનેડામાં આવા કિસ્સામાં કેસનો નિવેડો આવે ત્યાં સુધી પકડાયેલા લોકોને ઇન્ટ્રિમ વર્ક પરમિટ અને ફેડરલ હેલ્થ ઇન્સ્યોરન્સ અપાય છે.

૨૦૧૯માં મેક્સિકન સરહદ પાર કરીને યુ.એસ.એ.માં ઘુસવાનો પ્રયાસ કરનારા બે હરિયાણવી ભાઇઓનો કિસ્સો પણ ખાસ્સો ગાજ્યો હતો. ભારતના એજન્ટને પૂરા પૈસા ન મળે ત્યાં સુધી વિદેશી એજન્ટ આ સ્મગલ કરેલા માલને – માણસોને તેમને ગંતવ્ય સ્થાને ન જ પહોંચાડે. ભારતમાં પૈસા ચુકવાય પછી ત્યાં ચલકચલાણું રમતા, કફોડી હાલતમાં રહેતા લોકોને કંઇ દિશા દેખાય. પહાડોનાં આકરાં ચઢાણ, જંગલોના ટ્રેક, કાચી માછલીનો ખોરાક જેવું કંઇ વેઠીને આ બે ભાઇઓને તેમના વિદેશના એજન્ટોએ ગનપોઇન્ટ પર રાખ્યા હતા. આ બન્ને ભાઇઓને મેક્સિકન સત્તાધીશોએ ૩૦૦ બીજા ગેરકાયદેસર ઘુસણખોરી કરવા ધારતા ભારતીયો સાથે ઘર ભેગા કરી દીધા હતા. પિતાએ જમીન વેચીને છોકરાઓને વિદેશ મોકલવાના પૈસા ખર્ચ્યા હતા. તેમને ત્યાં નોકરીની આશા હતી. એજન્ટે તેમને ભારતમાં ડૉલર્સ પકડાવ્યા હતા. રસ્તામાં તે બીજા ભારતીયોને પણ મળ્યા. તેમને પનામામાં એક માણસે જંગલ પાસે ઉતારીને કહેલું કે ૩ કલાકમાં જ્યાં પહોંચવાનું છે એ સ્થળ આવશે પણ પાંચ દિવસ સુધી તેઓ ચાલ્યા, રસ્તામાં લૂંટાયા પણ. સરકારે પકડીને ઘર ભેગા કર્યા પછી તેમણે પોતાના એજન્ટ પર કેસ કર્યો પણ આ એજન્ટનો કોઇ પત્તો નથી. ડિંગુચા ગામની ફરી વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર ગામની અડધો-અડધ વસ્તી વિદેશમાં છે. ત્યાંનાં બાળકો મોટા થઇને કાં તો અમેરિકા જવાનાં સપનાં જુએ કાં તો એજન્ટ બનવાની તૈયારી કરે. આ જ વાસ્તવિકતા છે કે કણાની જેમ ખૂંચે એવી છે કારણ કે ગેરકાનૂની રસ્તાઓ અપનાવવા, કાનૂની રીતે કમાયેલા-બચાવેલા પૈસા, બાપીકી જમીનો બધું જ જતું કરાય છે. હાથમાં આવે છે મોત કાં તો મજૂરી!

બાય ધી વેઃ

યુ.એસ.એ.ના મોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરનારા ગ્રૂપમાં ભળી જનારા, હ્યુમ સ્મગલિંગના એજન્ટોને તાબે થઇ જનારા, ગેરરીતિઓ વાપરી સ્ટીમરોમાં સંતાઇ જનારા ભારતીયોની કોઇ ખોટ નથી. ત્યાં પહોંચી કોઇ પણ કાગળિયા વગર કામ કરવું, સોશ્યલ સિક્યોરિટી વગર જીવી જવું, પોતાનું વતન ફરી ક્યારે ય ન જોવું, વધુ ભાડું ભરવું અને ઓછા પગારે કામ કરવું જેવી બાબતો આવા ભારતીયોની જિંદગી છે. લાલચની વાત કરીએ અને ઠંડીમાં થીજી ગયેલા પરિવારની કલ્પના કરીએ તો જાવેદ અખ્તરનો શૅર ચોક્કસ યાદ આવે, ‘ખુશી સે ફાસલા બસ એક કદમ હૈ, હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ.’ ઘણું બધું મેળવી લેવાનો મોહ જેટલું હોય છે એનું મૂલ્ય નથી કરવા દેતો અને પછી બધું જ હાથમાંથી ચાલ્યું જાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  06 ફેબ્રુઆરી 2022

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (24)

સુમન શાહ|Opinion - Opinion|6 February 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક – 5 : મર્લો પૉન્તિ :

સાપ કદી એના મદારીને ડંખે? ના, પરન્તુ આ કોરોનાનો સાપ મને ડંખ્યો. હું જો કે મદારી નથી પણ પૃથ્વી પરના માનવસંસારનો એક અદનો પ્રતિનિધિ જરૂર છું. એ નાતે કોરોનાને હમ્મેશ માટે ચાલી જવા સમજાવ્યા-પટાવ્યા કર્યો છે, છતાં મને ડંખ્યો. હું બચી ગયો છું પણ હેરાન ખૂબ થયો. હજી હોમ-આઇસોલેશનમાં છું.

મદારીને ન ડંખે કેમ કે મદારી એનો રખવૈયો કહેવાય, વાલિ. એને ખવરાવે, પીવરાવે, કરઁડિયામાં ઢબૂરીને ઉંઘાડી દે. જાગે ત્યારે  દૂધ પાય, બ્હારની તાજી હવા ખવરાવે. એની ખુશી માટે બીન બજાવે. ઘણાં લાલનપાલન કરે.

મેં પણ કોરોનાનાં મારા છાંસઠ છાંસઠ લેખોમાં કેટકેટલાં લાલનપાલન કર્યાં છે, છતાં મને ડંખ્યો. કદી જરા ય ધમકાવ્યો નથી. હમેશાં લાડ લડાવ્યાં છે. વગોવણી તો કરી જ નથી. મહા જ્ઞાની ગણી સામે બેસાડ્યો છે અને એની મૂક સમ્મતિ પછી જ સાહિત્યની વાતો કરતો રહ્યો છું, છતાં મને ડંખ્યો.

હું તો અહીં, સૅક્સ્યુઅલ રીલેશનશિપ બાબતે ઍક્ઝિસ્ટૅન્શ્યાલિઝમની ભૂમિકાએ લેખો કરતો’તો. સાર્ત્રે પોતાના ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફીનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’, એની વાત પાસે અટક્યો’તો. એ જોતાં, મને એમ લાગેલું ને લાગે છે કે એમની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

પણ હું જ મૂર્ત વાસ્તવની મોઢામોઢ મુકાઇ ગયો …

ફીનૉમિનોલૉજિને મેં આવિષ્કારોનું અધ્યયન કહેલું – અ સ્ટડિ ઑફ ફિનૉમિના. પણ એટલે પછી, મને અંજપ થયેલો કે એ શી ચીજ છે તે મારા વાચકને કેવી રીતે સમજાવું, એવું શું લખું કે એ આખી વાત એના ગળે ઊતરી જાય.

પણ એ પહેલાં તો મારું જ ગળું પકડાઈ ગયું. કોરોનાના ડંખથી મારી તો બોલતી જ બંધ અને ગળામાં દુખાવો પાર વગરનો. ખાંસી પર ખાંસી. ગળા નીચે થૂંક આદિ આન્તરદ્રવ તો આસાનીથી ઊતરી જાય છે, પણ એમ ન ઊતર્યા, ખૂબ જોર કરી ઊંકારાથી ધક્કો મારવાનો – પણ એટલે જે પીડા ઊપડે, ન પૂછો ! સમગ્ર સંવેદના ત્રમત્રમી ઊઠે. એ દુખાવો માત્ર ને માત્ર અનુભવવાની વસ્તુ છે. દુ:ખ વિસ્તરીને બન્ને કાન લગી પ્હૉંચે, લાગે કે ફાડી નાખશે, પણ એમ થાય નહીં. બન્ને હથેળીમાં ચ્હૅરો સાહીને વિચારું કે – હું છું તો ખરો ને ! એ જુલમ મેં ઘણો વેઠ્યો. સ્પર્શની ઇન્દ્રિય જુદી નથી હોતી – મજ્જા – મજ્જા ઉપરની ત્વચા – ત્વચા જેની બની છે એ ત્રણે ત્રણ ત્વચાપડ, સમજો, શરીર આખું ! 

આ ‘શરીર’ સંજ્ઞા પાસે હું અટકી ગયો. સૅક્સ્યુઅલ રીલેશન્સ સૅક્સથી રચાય છે અને સૅક્સ શરીર વિના અસંભવ છે.

મને ફ્રૅન્ચ ફિલસૂફ મર્લો પૉન્તિ (1908-1961) યાદ આવ્યા. એમની વાતો યાદ આવી.

પૉન્તિએ ‘ફીનૉમિનોલૉજિ ઑફ પર્સેપ્શન’ ગ્રન્થ લખ્યો છે. એમ કે પર્સેપ્શનની – ઇન્દ્રિયબોધની – ફીનૉમિનોલૉજિ કેવીક છે.

એમના મન્તવ્યોને સમજવા માટે આપણે ‘ફીનૉમિનન’ અને તેની ‘લૉજિ’ શું છે તે સમજવું પડશે; એટલે કે, ફીનૉમિનનને જો આવિષ્કાર કહીએ છીએ તો એનું શાસ્ત્ર શું છે તે સમજવું પડશે.

ફીનૉમિનન એક એવી હકીકત છે, એક એવી ઘટના છે, એક એવો આવિષ્કાર છે, જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય છે. એને આંખથી નીરખી શકાય, કાનથી સાંભળી શકાય, ચાખી શકાય, સૂંઘી શકાય, સ્પર્શી શકાય.

ફિલસૂફીમાં ‘ફીનૉમિનન’ સંજ્ઞા કાન્ટ દ્વારા વપરાતી થઈ. એમણે એને ‘નૉમિનન’ સંજ્ઞાના વિરોધમાં પ્રયોજી. ‘નૉમિનન’ એટલે એક એવી વસ્તુ, એક એવી ઘટના, જે સ્વત: હોય છે, જેને માનવ-શરીર કે ઇન્દ્રિયોના આધારની જરૂરત નથી હોતી.

Picture Courtesy : Pinterest

પૉન્તિ કહે છે કે માનવ-શરીર, ચેતના અને વિશ્વ એકમેક સાથે જટિલ સ્વરૂપે ગૂંથાયેલાં છે અને એકમેક સાથે સતત “ઍન્ગેજ્ડ” છે – પ્રવૃત્ત છે – સક્રિય છે – વ્યસ્ત છે.

આપણી પરમ્પરામાં થયેલી પાંચ જ્ઞાનેન્દ્રિયોની અને પાંચ કર્મેન્દ્રિયોની વાત સુવિદિત છે. માનવ-શરીર ઇન્દ્રિયગ્રામ કહેવાય છે.

ઇન્દ્રિયો .. ઇન્દ્રિયપ્રત્યક્ષ .. ઇન્દ્રિયબોધ .. એમ વિચાર વિકસતો રહે છે. સૅન્સિસ, સૅન્સિસથી સૅન્સેશન, સૅન્સેશન્સથી પર્સેપ્શન, પર્સેપ્શનથી ઍક્સપીરિયન્સ, એમ પણ વિચાર વિકસતો ચાલે છે.

પૉન્તિ પર્સેપ્શનના અધ્યયનની શરૂઆતમાં ‘સૅન્સેશન’ સંજ્ઞાને યાદ કરે છે. દર્શાવે છે કે પોતાને રતાશનું કે ભૂરાશનું સૅન્સેશન થાય છે, ગરમ કે ઠંડાનું સૅન્સેશન થાય છે, તો તુર્ત થાય છે, સ્પષ્ટપણે થાય છે. પૉન્તિને એ સ્વીકારવામાં કશી તકલીફ નથી પડી કે આપણી કોઇ પણ જ્ઞાનેન્દ્રિયથી લાધતો બોધ આમ સદ્ય અને વિશદ હોય છે, પણ તેઓ કહે છે કે પરમ્પરાગત વિશ્લેષકો એના ફીનૉમિનનને, પર્સેપ્શનના ફીનૉમિનનને, ચૂકી ગયા છે.

પૉન્તિએ દેકાર્તના ‘કોગિટો’ સામે – હું વિચારું છું માટે હું છું એ સિદ્ધાન્ત સામે – ‘બૉડિ-સબ્જેક્ટ’-નો વિકલ્પ મૂક્યો છે. એમણે ચેતના, વિશ્વ અને વિવિધ ઇન્દ્રિયબોધના પરસ્પરના સમ્બન્ધો અને કાર્યો વિશે ગ્રન્થમાં એમના અંગત ‘હું’-ના સૂરમાં સરસ ફિલસૂફી પીરસી છે.

આમ તો, સુનામી, ચન્દ્રગ્રહણ, ધુમ્મસ, વનદવ, ધરતીકમ્પ વગેરે પણ ફીનૉમિનન છે. પણ પૉન્તિ એમ જણાવે છે કે ફીનૉમિનલ થિન્ગ શરીર અને સૅન્સરી-મૉટરનાં ફન્ક્શન્સને જોડનારું એક રૂડું સમ્બન્ધક છે, કો-રીલેટ છે.

એમનું કહેવું એમ બને છે કે શરીર એક સબ્જેક્ટિવિટી રૂપે આ દુનિયાની ફ્રેમમાં ઇરાદાપૂર્વક વસ્તુઓને વિસ્તારે છે. અને ત્યારે એ વિશ્વને વિશેની પોતાની સમજને પ્રયોજે છે. એ સમજ પ્રી-કૉન્સ્યસ હોય છે, પ્રી-પ્રૅડિક્ટિવ હોય છે.

સમજાશે કે કશી પૂર્વનિશ્ચિત ધારણા-અવધારણાઓથી બચવાની આ વાત છે. માત્ર આત્મા કે માત્ર ચિત્તને નહીં પણ શરીરને શું અનુભવાય છે ત્યાંથી શરૂ થવાની આ વાત છે.

શારીરિક પ્રક્રિયાઓ – શરીર ગળવા કે બગડવા માંડે; ફૂલછોડવા અને અન્ય સજીવોમાં બીજાંકુરણ થાય; વગેરેને પણ ફીનૉમિના કહેવાય છે. ફીનૉમિના ફીનૉમિનનનું બહુવચન છે.

= = =

(વિશેષ હવે પછી.)

(February 5, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5081,5091,5101,511...1,5201,5301,540...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved