વડલો કહે છે વનરાયું સળગી,
મેલી દિયો જૂના માળા,
ઊડી જાવ પંખી પાંખોવાળાં …
આગાનમાં પ્રકૃતિનું એક પ્રતિનિધિ એવું ઝાડ પંખીઓને વિનવણી કરે છે કે હું સળગું છું. મારી ડાળીઓ અગનજાળથી ભડભડી ઊઠી છે. તમારા માળાઓ સળગી જવામાં હવે ઝાઝી વાર નથી. તમે જતાં રહેશો એ મોટું દુઃખ હશે. પણ તમારે હવે મને છોડી દેવાનો સમય આવી પહોંચ્યો છે. જાવ, હવે તમે જાવ!
કઠણ હૃદયે પોતાનાંઓને વિદાય કરવાં પડે છે. સૃષ્ટિના આરંભકાળમાં પંખીઓ પ્રથમ હતાં. સૂક્ષ્મ જીવાતો પછી સૃષ્ટિ પર આવનાર, આ પૃથ્વીને પૃથ્વી બનાવનાર પંખીઓ પ્રથમ હતાં. એ હવે ઓસરી રહ્યાં છે. પંખીઓની સેંકડો પ્રજાતિઓ વિનાશ પામી ચૂકી છે કે વિનાશ પામવાની તૈયારીમાં છે. આપણી આસપાસ હંમેશાં ચહકતી રહેતી ચકલીઓ ઓછી થતી જાય છે. મોર અને ઢેલનાં ટોળાં ઓછાં થતાં જાય છે. આ પંખીઓ ઈશ્વર જેવાં સર્વવ્યાપક છે. અહીં, ત્યાં, બધે-બધે પંખીઓ વસે છે. ઊડે છે, રમે છે, ચહચહાટના સંગીતથી આ દુનિયાને ભરી ભરી બનાવી દે છે. એ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે. એ પંખીઓ ધીમેધીમે ઓસરી રહ્યાં છે. શ્રાદ્ધપક્ષમાં ખબર પડે છે કે કાગડાઓ કેમ દેખાતા નથી ! ગીધપક્ષીઓ લુપ્ત થવાને આરે પહોંચેલી પંખીજાતોમાં ગણાય છે. કેમ ઓસરી રહ્યાં છે આ નિરર્થક પ્રલાપમાં જ મસ્ત રહેનારાં પંખીઓ?!
યાયાવર પંખીઓ દુનિયાભરમાં માહિતી લઈ જાય છે કે ક્યાં જળભંડારો સાબૂત છે. ક્યાં અનાજની ઊપજ તૈયારીમાં છે. ક્યાં રહેવા જેવું છે. આ સંદેશ વાહકો પારવાં પડી રહ્યાં છે. આ પંખીઓને આવવામાં સહેજ મોડું થાય તો આપણને ચિંતા થઈ જાય છે. અરે, આ વખતે હજી સુધી કેમ દેખાયાં નહીં? શું થયું હશે?
દુનિયાના વિવિધ દેશોમાં આ પંખીઓની આવનજાવનનું ચક્ર ખંડિત થઈ રહ્યું છે. ક્યાંક મોડાં મોડાં આવે છે. ક્યાંક આવતાં જ નથી પંખીઓ. આ માત્ર આપણી આસપાસનું અવલોકન નથી. બર્ડ લાઇફ ઇન્ટરનૅશનલ સંસ્થાનો અહેવાલ પણ કહે છે કે આ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે.
આ પંખીઓ દ્વારા આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની તંદુરસ્તીનો આપણને સંકેત મળે છે. પંખીઓની તંત્રમાં પરિવર્તન પ્રત્યેની સંવેદનશીલતા અને પૃથ્વી પર તેમની સર્વવ્યાપકતાથી આપણને અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. પંખીઓ બોલ્યાં વિના આપણને સમજાવે છે કે ક્યાં તળાવો ખાલી થવામાં છે. કઈ જગ્યાએ પાણી પીવા જેવું રહ્યું નથી. ક્યાંક્યાં હવામાં ઝેર ઘોળાઈ ચૂક્યું છે. આવા સંકેતો આપણને હવે કોણ આપશે કે પછી એમનાં ઓછાં થવું એ જ આ સંકેત છે!
સમય સાથે વેરાન બનતાં જતાં જંગલોએ, સુકાઈ રહેલી નદીઓએ, ઓસરી રહેલાં જળાશયોએ પંખીઓનો આશરો છીનવી લીધો છે. હવામાં ઘોળાઈ ચૂકેલાં ઝેર વસમાં બની રહ્યાં છે. માણસોનો આમાં કોઈ કરતા કોઈ વાંક નથી. માણસો તો બહુ દયાળુ છે!
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 16
![]()


‘નિરીક્ષક’ તા. ૧૬.૫.૨૦૨૨ના અંકમાં નિલય ભાવસારનો પંડિત શિવકુમાર શર્માર્ને ભાવસભર સ્વરાંજલિ આપતો લેખ વાંચી આનંદ થયો. એમાં ‘ઝનક ઝનક પાયલ બાજે’ની વાત વાંચતા પંડિતજીની સ્મરણકથા ‘सन्तूर मेरा जीवन संगीत’ (મૂળ અંગ્રેજી ‘જર્ની વિથ એ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ – માય લાઈફ ઇન મ્યુઝિક’નો શૈલેન્દ્ર શૈલ દ્વારા હિન્દી અનુવાદ) વાંચતાં એ ચલચિત્ર સંદર્ભે થોડી રસપ્રદ વાતો વાંચેલી તે મનમાં તાજી થઈ. ‘નિરીક્ષક’ના વાચકો સાથે એ વાતો વહેંચવાનું મન થયું. તો એ પુસ્તકના આધારે જ થોડી વાતો મૂકું.
૧૯૮૪નું વરસ આંતરરાષ્ટ્રીય યુવા વરસ તરીકે મનાવાયું હતું. તેના અનુસંધાને ૧૯૮૮માં દેશની પહેલી રાષ્ટ્રીય યુવા નીતિ ઘડાઈ હતી. તે પછી ૨૦૦૩ અને ૨૦૧૪માં પણ યુવા નીતિ આવી હતી. હાલમાં રાષ્ટ્રીય યુવા નીતિ ૨૦૨૧નો મુસદ્દો જાહેર વિમર્શ માટે દેશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવા અને તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વને નિખારવાના હેતુસર ઘડાતી રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોને કેટલો લાભ થાય છે તે સવાલ તો રહે જ છે.