Opinion Magazine
Number of visits: 9459225
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિજાબ : મુસ્લિમ ઓળખ અને સ્ત્રીની પસંદગી-બેઉ અભિગમ ખોટા

ગઝાલા વહાબ|Opinion - Opinion|28 February 2022

ધર્મ અને રાજકારણના મિશ્રણથી ટૂંકા ગાળા માટે ફાયદો જરૂર થાય છે, પણ બહુમતી કોમને જ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવો એક પણ દાખલો નથી જેમાં લઘુમતી કોમને કોમવાદની હરીફાઈ કરીને ફાયદો થયો હોય. છતાં, ભૂતકાળની એવી નિષ્ફળતાઓમાંથી કશું શીખ્યા વગર મુસ્લિમો બેવકૂફી કરીને એક પછી એક ટ્રેપમાં આવતા જ ગયા છે.

કર્ણાટકમાં હિજાબ પહેરવાનો વિવાદ 'આ બેલ મુજે માર'નું તાજું ઉદાહરણ છે. એમાં શું થયું હતું? ડિસેમ્બર મહિનામાં, કોવિડ-૧૯ના કારણે એક વર્ષની ગેપ પછી, ઉડુપીની સરકારી કૉલેજના કૅમ્પસમાં અમુક છોકરીઓ પાછી ફરી. એમાંથી છ છોકરીઓએ હિજાબ પહેર્યો હતો. એ ક્લાસરૂમમાં આવી, તો શિક્ષકે કહ્યું કે પ્રિન્સિપાલની પરવાનગી લઈ આવો, કારણ કે તેમણે નિયમ બહાર પાડ્યો છે કે કૅમ્પસમાં હિજાબ પહેરી શકાય, પણ ક્લાસરૂમમાં ઉતારવો પડશે.

છોકરીઓએ અગાઉના દાખલા ટાંકીને હિજાબ પહેરવાનો આગ્રહ રાખ્યો. તેમના કહેવા અનુસાર, તેમની પુરોગામી છોકરીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેર્યા હતા. પ્રિન્સિપાલે અગાઉ એવું થયાની ના પાડી. કોકડું ગૂંચવાયેલું રહ્યું. તેમાંની અલમાસ એ.એચ. નામની એક છોકરીએ બી.બી.સી.ના પત્રકારને કહ્યું કે પ્રિન્સિપાલે નનૈયો ભણ્યો એટલે તેણે કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (સી.એફ.આઈ.) નામના મુસ્લિમ વિદ્યાર્થી સંઘનો સંપર્ક કર્યો. એ પછી, સી.એફ.આઈ.ના સમર્થન સાથે છોકરીઓ પણ જીદે ચઢી. એમાંથી વાત ફેલાઈ, અને બીજા લોકોને મોકો મળી ગયો.

બીજી અન્ય કૉલેજો, જે હિજાબના વિરોધમાં નહોતી, એ પણ સક્રિય થઈ ગઈ. એમના દરવાજા હિજાબ પહેરેલી છોકરીઓ માટે બંધ થઈ ગયા. તેની સામે, અલગ અલગ કૅમ્પસમાં ભગવા ખેસ પહેરેલા છોકરાઓ મારફતે હિંદુ આઇડેન્ટિટીની પરેડ કરવામાં આવી. કૉલેજ સત્તાવાળાઓએ તેમને પણ અટકાવ્યા હતા. સત્તાવાળાઓ નૈતિક અભિગમ બતાવીને કહ્યું કે ભગવા ખેસ કે હિજાબ કૅમ્પસમાં પહેરી શકાશે, ક્લાસરૂમમાં નહીં. છોકરાઓએ તેમનો પૉઇન્ટ રજૂ કરીને ભગવા ખેસ કાઢી નાખ્યા અને ક્લાસમાં જતા રહ્યા. મુસ્લિમ છોકરીઓ દરવાજાઓ બહાર જ રહી અને હિજાબ સાથે અંદર આવવા દેવા વિનંતીઓ કરતી રહી, ચીસો પાડતી રહી.

ફ્રેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં, ઉડુપી જિલ્લાની અંદર અને બહારની અમુક કૉલેજોએ હિજાબ પ્રતિબંધ જાહેર કર્યો. કર્ણાટક એજ્યુકેશન એક્ટ, ૧૯૮૩ના આર્ટિકલ ૧૩૩(૨)નો સહારો લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો. ઍક્ટમાં કહેવામાં આવ્યું હતું કે “યુનિફોર્મ જેવાં કપડાં ફરજિયાત પહેરવાં પડશે.”

સી.એફ.આઈ.ના સમર્થન સાથે, વિરોધ કરી રહેલી એક છોકરીએ કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને તેની સુનાવણી ચાલુ છે. કોર્ટ છોકરીઓની તરફેણમાં ચુકાદો આપે તો પણ છોકરીઓને નુકસાન થવાનું છે. વિરોધ શરૂ થયો ત્યારથી તેમની ગેરહાજરી નોંધવામાં આવી છે. માર્ચમાં તેમની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. કોર્ટ તેમને પરીક્ષામાં બેસવા દે તો પણ, કૉલેજવાળા તેમને ગેરશિસ્ત અને ગેરહાજરી બદલ સજા કરી શકે છે.

દેખીતું જ છે કે મુદ્દો હવે હિજાબનો રહ્યો નથી. એક કૉલેજમાં એક નાનકડી ગેરશિસ્તનો મામલો રાજકીય યુદ્ધ બની ગયું છે જેમાં કૉલેજો અખાડો છે અને યુવાન છોકરા-છોકરીઓ મહોરાં. જમણેરી રાજકારણના બ્રહ્માંડમાં બેઠેલા કોઈકે દીર્ઘદૃષ્ટિ વાપરીને મુસ્લિમોને હાંસિયામાં વધુ ધકેલી દેવા માટેની એક જાળ બિછાવી અને મુસ્લિમ સંગઠનો એ ટ્રેપમાં આવી ગયાં. તેમને સમજણ જ ન પડી કે તેમના જ કમજોર લોકોને તેનાથી વધુ હાનિ પહોંચશે.

આ છોકરીઓને મદદ કરી રહેલા બૅંગલુરુ સ્થિત એક કાર્યકરે કહ્યા અનુસાર, મોટા ભાગની છોકરીઓ નબળા પરિવારોમાંથી આવે છે. તેમના જીવનને બહેતર બનાવાનો એક માત્ર ઉપાય શિક્ષણ છે જે અત્યારે તો ખોરવાઈ ગયું છે. આ સ્થિતિનો ખ્યાલ આવતાં, બીજું એક વિદ્યાર્થી સંગઠન, સ્ટુડન્ટ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા જિલ્લા અને કૉલેજસત્તાવાળાઓ સાથે મંત્રણા કરીને સમાધાનનો રસ્તો કરી રહ્યું છે. એમાં થશે એવું કે છોકરીઓને કૅમ્પસમાં હિજાબ પહેરવા દેવામાં આવશે, પણ ક્લાસરૂમમાં નહીં. મામલાની શરૂઆત થઈ ત્યારે સ્થિતિ આવી જ હતી, પણ એનો અંત એવી રીતે નહીં આવે.

મુસ્લિમ છોકરીઓ માટે મુખ્ય ધારાની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવાનું ઉત્તરોત્તર અઘરું થતું જશે. વિદ્યાર્થી સમુદાયનું વધુ ધ્રુવીકરણ થશે, કૉલેજોમાં વિભાજન વધશે. ચૂંટણીઓના ફાયદા સત્તાધારી પાર્ટી માટે એકદમ સટીક હશે.

આ આખો વિવાદ ટાળી શકાયો હોત?

આપણે પાછા શરૂઆતમાં જઈએ. ધ ક્વિન્ટ નામના પોર્ટલને એક ઇન્ટરવ્યૂમાં એક છોકરીએ કહ્યું હતું કે તેમણે પહેલા વર્ષમાં હિજાબ નહોતો પહેર્યો, કારણ કે તેમને એવું લાગ્યું હતું કે તેમનાં માતા-પિતાએ કૉલેજને એવી ખાતરી આપી હતી. જો કે, તેમને જ્યારે ખબર પડી કે માતા-પિતાઓએ આવી કોઈ બાંહેધરી નથી આપી એટલે તેમણે હિજાબ પહેરવાનું નક્કી કર્યું. દેખીતું જ છે કે તેમને હિજાબ વગર પણ કૉલેજ જવામાં વાંધો નહોતો. પ્રિન્સિપાલને પણ તેઓ કૅમ્પસમાં હિજાબ પહેરે તે સામે વાંધો નહોતો. તેમની શરત એટલી જ હતી કે ક્લાસરૂમમાં તે ઉતારવો પડશે. આ વાત ન તો નવી હતી કે ન તો મોટી.

સી.એફ.આઈ.એ ટાંગ ન અડાવી હોત, તો છોકરીઓએ પ્રિન્સિપાલે કહ્યું તેમ જ કર્યું હોત. મુદ્દો ઊછળ્યો ન હોત અને તમામ કૉલેજોમાં જૈસે થેની સ્થિતિ જળવાઈ રહી હોત. આજે, બેઉ પક્ષ મમતે ચઢ્યા છે અને હિજાબને ઇસ્લામિક આઇડેન્ટિટી બનાવી દેવામાં આવ્યો છે. ડાહ્યા લોકો તેને સ્ત્રીની પસંદગીના મુદ્દા સાથે જોડે છે. બંને અભિગમ ખોટા છે.

ઇસ્લામમાં શારીરિક આઇડેન્ટિટી માટે કોઈ નિયમ નથી. જે ત્રણ આયાતોમાં દેખાવની વાત છે, તેમાં માત્ર છેલ્લી આયાતમાં સ્ત્રીઓનો ઉલ્લેખ છે. એમાં સ્ત્રીઓને બહારના એક વસ્ત્રથી ઢંકાયેલા રહેવાની વાત છે, જેથી મુસ્લિમ સમજીને કોઈ તેમને હેરાન ન કરે.

આ આયાતનું મહત્ત્વ સમય સાથે જોડાયેલું છે. મદીનામાં મુસ્લિમ સમુદાય લૂંટારાઓ વચ્ચે રહેતો હતો, જે રાતે બહાર નીકળતી સ્ત્રીઓને હેરાન કરતા હતા. એટલે લૂંટારાઓને ખબર પડે કે સ્ત્રીઓ મુસ્લિમ છે એટલે તેમને હિજાબ પહેરાવવામાં આવતો હતો. સદીઓ પછી, પુરુષ ઇસ્લામિક વિદ્વાનોએ એ પરંપરાને સ્ત્રીને ઢાંકેલી રાખવાનું રૂઢિચુસ્ત અર્થઘટન કર્યું. વાસ્તવમાં ત્રણે આયાતોને સાથે વાંચો તો તેમાં લજ્જાનો ભાવ છે; શરીરના અંગ તરફ કોઈનું ધ્યાન નહીં ખેંચવું.

વાત રહી વ્યક્તિગત પસંદગીની, તો રૂઢિચુસ્ત સમાજમાં, તમે જે ક્ષણે કોઈ ચીજને ધર્મ સાથે જોડી દો, એટલે તે વ્યક્તિગત પસંદનો મામલો નથી રહેતો. એ ધાર્મિક કર્તવ્ય બની જાય છે. જે મુસ્લિમ સ્ત્રીઓ એમ કહે છે કે હિજાબ પહેરવો એ તેમની વ્યક્તિગત ઇચ્છાનો મામલો છે, તે એ વાત ભૂલી જાય છે કે તેઓ તેમનો ધર્મ કહે છે એટલે જ એ પહેરે છે.

મુસ્લિમ સ્ત્રીઓને જે પહેરવું હોય તે પહેરે, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારો પ્રોબ્લેમ એટલો જ છે કે કથિત મુસ્લિમ નેતાઓએ ફરી એક વાર મુસ્લિમોના અધિકારને આઇડેન્ટિટીનો મુદ્દો બનાવી દીધો છે. આ ૧૯૬૪નું પુનરાવર્તન છે, જ્યારે મુસ્લિમ બુદ્ધિજીવીઓ મુસ્લિમોની રોજી-રોટી માટે નહીં પણ આઇડેન્ટિટીની લડાઈ માટે એક થયા હતા. દુઃખ આ વાતનું છેઃ આપણે એટલું દોડ દોડ કરીએ છીએ કે ૭૫ વર્ષ પછી પણ ઠેરના ઠેર છીએ.

અનુવાદક : રાજ ગોસ્વામી (સાભાર – મિન્ટ-લોન્જ મૅગેઝિન)

(ગઝાલા વહાબ 'ફોર્સ’ પત્રિકાના સંપાદક અને Born A Muslim : Some Truths About Islam In India પુસ્તકનાં લેખિકા છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 11-12

Loading

ગોધરા-અનુગોધરા, વીસે વરસે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 February 2022

અમદાવાદની વરસગાંઠ અને ગોધરા-અનુગોધરા વીસવરસીના અઠવાડિયામાં બે અક્ષરો પાડી રહ્યો છું ત્યારે થોડા સ્ફુટ વિચારો દોહરાવવાની રજા લઉં છું.

સોળે સાન અને વીસે વાન એ કહેવત મુજબ ૨૦૦૨ પછીનાં વરસોમાં આપણે પ્રજાકીય હિસાબ શો અને કેવો આપ્યો છે એ વિશે જાતતપાસને ધોરણે એકબે વાતો કરવા ચહું તો મારી પ્રતીતિ એ છે કે સ્વરાજસંગ્રામ અને બંધારણનિર્માણની જે કંઈ પુરાંત હશે તેનાં સંગોપન ને સંવર્ધનને બદલે (અને અલબત્ત શોધનને બદલે) આપણું વલણ વેડફાટનું રહ્યું છે. અને આ વેડફાટની બલિહારી પાછી એ છે કે એની તરફેણમાં એક આખી તર્કસરણી અને વિચારસરણીનો અસબાબ આપણી કને છે, ચાટુકારો સમેત.

ગોધરા-અનુગોધરાના સમગ્ર, રિપીટ, સમગ્ર ઘટનાક્રમને આપણે કેટલાકે કેમ જાણે કોઈ દ્વિરાષ્ટ્રવાદ પ્રેરિત આંતરવિગ્રહ તરીકે જોયો અને ઘટાવ્યો, અલબત્ત અપરિભાષિતપણે પણ. વાત પહેલી તો, સીધીસાદી, કાયદાના શાસનની હતી. ક્રિયા અને પ્રતિક્રિયાના ન્યૂટનનિયમ થકી વાજબીપણાના વ્યાયામની નહીં પણ ચુંટાયેલ સરકાર હસ્તક ધોરણસરના શાસનની હતી. કાયદો હાથમાં લેવાની નહીં, ‘હાથમાં લેવા’ને હવા આપવાની નહીં પણ ધોરણસરની રાજવટ હસ્તક કાયદો પાળવાની અને પળાવવાની હતી. શાસન અને અનુશાસનની હતી, નહીં કે દુઃશાસન અને નિઃશાસનની.

નાગરિક સમાજના કોઈક હિસ્સામાં, સરકારને ભાવતી રીતે, બિનસાંપ્રદાયિક્તા અને રાષ્ટ્રવાદને ધોરણે કેવળ વ્યામોહવ્યસ્ત વિતંડાનો અનુભવ ત્યારે અને ત્યાર પછી થતો રહ્યો છે. ભાઈ, માણસ માણસને મારવાબાળવા લે એ પ્રવૃત્તિને રોકવા ખાળવા દંડવાની જવાબદારી સરકારની હતી, છે અને રહેશે. જેમણે નાગરિક રાહે બિનસાંપ્રદાયિકતાની ભૂમિકા લીધી તે જાણે પરબારા રાષ્ટ્રવિરોધી રાજદ્રોહી અને આતંકવાદી ઠર્યા – ને કાયદો હાથમાં લઈ નિર્ઘૃણ કાંડ રચનારા એક હિસ્સાને રાષ્ટ્રવાદનું ઝભલું પહેરાવાયું.

અહીં હું જસ્ટિસ વર્માનું સ્મરણ કરવું લાજિમ ગણું છું. સર્વોચ્ચ અદાલતના સ્તરેથી એમણે હિંદુત્વ એક જીવનરીતિ (વે ઑફ લાઈફ) છે એવો ચુકાદો આપ્યો હતો, અને તે ચુકાદો રથી અડવાણીના એક તબક્કે અતિ પ્યારાં અવતરણો પૈકી હતો. આ જ જસ્ટિસ વર્મા જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષની હેસિયતથી ગોધરા-અનુગોધરા તપાસ સારુ અમદાવાદ પહોંચ્યા ત્યારે એમને હિંદુત્વ રાજનીતિ હસ્તક શું થઈ શકે એનો સાક્ષાત્કાર થયો અને એમણે ચોક્કસ તપાસ માટે આગ્રહ સેવ્યો એ હવે ઇતિહાસવસ્તુ છે.

ઊલટ પક્ષે, ગોધરા-અનુગોધરા તપાસમાં જેમ વિચારધારાકીય મોચનો વણછો પહેલેથી લાગેલો હતો તેમ આપણી સંસ્થાગત મર્યાદાઓ પણ ખાસી વળગેલી હતી. બ્રિટિશ વારાથી ચાલી આવેલી પબ્લિક પ્રોસીક્યુટર પ્રણાલિ પરના સાંસ્થાનિક ઓથારને અહીં ગુજરાતઆંગણે એક ઓર વળ ચઢેલો હતો. પબ્લિક પ્રોસીક્યુટરોનો ખાસો હિસ્સો વિશ્વ હિંદુ પરિષદ સાથે કંઈક સીધો કંઈક આડકતરો સંકળાયેલો હતો. માથે રાજવટની વિચારધારાનું અભયછત્ર અને અદાલતમાં વિ.હિં.પ. પ્રોસીક્યુટરો, સૈંયા ભયે કોતવાલ. તપાસ બચાડી મુજરો ભરે. ને ન્યાય? ન જાને કિસ ખેત કી મૂલી … નહીં કે કંઈ થયું જ નથી. નહીં કે ન્યાયપાલિકા વિશે કોઈ અનાદર છે. માત્ર, પ્રજાસત્તાક બંધારણવશ જે પણ આશાઅપેક્ષા હશે એમાં પછાડનો અનુભવ છે તે છે.

રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હૉબ્ઝનું ‘લેવિયેથન’ પહેલ પ્રથમ વાંચવાનું થયું એને હવે તો છ દાયકા સહેજે થયા હશે. રાજ્યસંસ્થાના નિર્માણનું જે વાજબીપણું હૉબ્ઝે જોયું છે તે જંગલના કાયદાને સ્થાને વ્યવસ્થા–સંસ્થાપક શાસનરૂપે રજૂ કર્યું છે. શાસન વિનાની સ્થિતિમાં મનુષ્યનું જીવન, હૉબ્ઝના શબ્દોમાં, solitary, nasty, poor, short, brutish છે – એકાંકી, હીણું, દરિદ્રી, અલ્પાયુ, પશુવત્ (કે પાશવી) આ અનવસ્થાનું વારણ રાજ્યસંસ્થા થકી અપેક્ષિત છે. ગોધરા-અનુગોધરા દિવસોમાં રાજ્યસંસ્થા એક ટૂંકાગાળા માટે અંતર્ધ્યાન અનુભવાઈ હતી, તો તે સાથે અનવસ્થાની અનુમોદના કરતી પણ  અનુભવાઈ હતી. માટે સ્તો, અગાઉ કહ્યું કે શાસન અને અનુશાસનનો નહીં પણ દુઃશાસન અને નિઃશાસનનો એ અનુભવ હતો.

નાગરિક છેડેથી આ વાસ્તવદર્શનની સાથે બીજો પણ એક મુદ્દો પ્રસ્તુત વરતાય છે. કાયદાના શાસનને વિચારધારાકીય વણછા સાથે લકવી મારતી આ પ્રક્રિયા (ખરું જોતાં વિક્રિયા) વસ્તીના ખાસા હિસ્સાને વાસ્તવિક રાજકીય-શાસકીય સહભાગિતાથી વંચિત કરી મેલે છે. હમણાં બંદૂકવાલા ગયા અને એમને દિલી અંજલિઓ પણ ઠીક અપાઈ. પણ મને પોતાને એમનો ઉત્તરકાળનો એક વસવસો સવિશેષ સાંભરે છે. છેલ્લાં વર્ષો એમણે મુસ્લિમ છાત્રોમાં શૈક્ષણિક પ્રસાર અને કારકિર્દીનિર્માણમાં આપ્યા એનું ગૌરવ પણ થયું – અને ન્યૂક્લીઅર ફિઝિક્સની દોમદોમ અમેરિકી સાહ્યબી મેલી વડોદરે વિદ્યાજીવનમાં વિલસ્યા એ અલબત્ત મોટી વાત હતી. પણ ઉત્તરવર્ષોમાં જે એક વિષાદયોગ આ ધર્મગભરુ નાગરિક જીવને કોરી રહ્યો હતો એ આપણા અંજલિવિમર્શમાં વણગાયો રહી ગયો; અને તે એ કે દેશની રાજકીય-શાસકીય પ્રક્રિયામાં ન્યાયપુરસ્સર સહભાગિતાથી વંચિત રહેવાની નિયતિ સ્વીકારી લઈ મુસ્લિમોએ કારકિર્દીનિર્માણની તકો ખોજવાની છે. સહભાગિતાથી બાકાત રહેવાની આ દુર્નિવાર અવસ્થા (ખરું જોતાં અનવસ્થા) એક મોટા હિસ્સાને વસ્તુતઃ વિ-નાગરિકવત્‌ બનાવી મેલે, એ સાદી સમજનું આજે ક્યાં છે કોઈ ખરીદાર.

જરી વ્યાપકપણે પણ આ વિષાદમુદ્દો ખોલવા જેવો છે. વિકાસથી વંચિતો વિશેનો વિમર્શ વૈશ્વિકીકરણનાં વર્ષોમાં ‘વિકાસના વંચિતો’ (‘વિકાસવશ વંચિતો’) રૂપે એક દુર્દૈવ વાસ્તવ તરીકે ક્ષણોક્ષણ સામે આવી રહ્યો છે. એક પા, હમણાં વર્ણવ્યા તેવા વિ-નાગરિકવત્‌ તબકા તો બીજી પા આ નવ્ય વંચિતતા – અને એનું વકરવું, દેશજનતાને કઈ હદે ગ્રસી શકે, સમજાય છે? આખરે તો, ખલિલ જિબ્રાનનાં સટીક વચનોમાં, કોઈપણ સાંકળ એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે છે.

કાઁગ્રેસ-ભા.જ.પ.ના કુંડાળામાં નહીં ગોટવાતા, એથી હટી ઊંચે ઊઠી નાગરિક સમાજને છેડેથી આ બધું વિચારવાની મથામણ વસ્તુતઃ પેલી નબળી કડીને મજબૂત કરી આખી સાંકળને મજબૂતી આપવાની દિશામાં છે. પણ પેલો દુઃશાસન-નિઃશાસન અભિગમ હવે દેશના વડા સુરક્ષા સલાહકાર અજિત દોવલની ભાષામાં એક ઓર ખતરાનું બહુમાન પામે છે ત્યારે શું કહીશું, સિવાય કે મોસમ છલકે છે.

પાયાગત વિચારની રીતે બે’ક ઇંગિતો મૂકી મારી વાત સંકેલવાની કોશિશ કરું. જે બે સંજ્ઞાઓ વિશે વર્તમાન શાસકીય વર્તુળોએ આપણને પ્રજાસત્તાક સ્વરાજથી પાછોતરી અવદશામાં નાખ્યા છે તે ‘રાષ્ટ્ર’ અને ‘ધર્મ’ છે. રાષ્ટ્રની સાંકડી વ્યાખ્યાના રાજકારણે ભારતના ભાગલા પડાવ્યા એ સાદું સત્ય એને સમજાતું નથી, અને એ જ સાંકડી વ્યાખ્યાવશ પોતે વગર ભાગલે વિભાજકતા વકરાવી રહેલ છે એની એને ખાસ તમા પણ નથી. કોઈ ચોક્કસ ધર્મકોમબદ્ધ રાષ્ટ્રની વ્યાખ્યાથી ખસી બંધારણીય મર્યાદામાં સહજીવનને ધોરણે વિકસતી વિલસતી દેશજનતાનો અભિગમ એ યુગમાંગ છે. તમે ચાહે તો એને બંધારણીય રાષ્ટ્રવાદ કહો, ચાહે તો નાગરિક રાષ્ટ્રવાદ.

હમણાં જેના જન્મદિવસની જિકર કરી તે અમદાવાદના નામાન્તર વિવાદને આ સંદર્ભમાં લગરીક સંભારી લઉં? એને કર્ણાવતી કહેવાનો જોસ્સો પેલી સાંકડી વ્યાખ્યાવશ વૈચારિક વ્યામોહમાંથી આવેલો છે, અને વ્યામોહગ્રસ્ત માનસિકતા સ્વાભાવિક જ ઇતિહાસબોધથી મુક્ત હોઈ પણ શકે. અહમદશાહે વસાવેલું નગર કોઈ કર્ણાવતી ભાંગીને વસાવેલું નગર નહોતું. કર્ણાવતીની કામગીરી વસ્તુતઃ સોલંકીકાલીન છાવણીનગર તરેહની હતી. કર્ણાવતી અને અહમદાબાદ પડોશમાં પણ અલગથલગ હતાં. જો ઇતિહાસમાં પાછળ જ જવું હોય તો પડોશવશ એવું સ્થાનક આશાપલ્લીની ભીલ ઠકરાતનું છે. પણ હિંદુત્વની મુશ્કેલી એ છે કે તે સોલંકીને તો સટ દઈને આગળ કરી શકે, પરંતુ ભીલને વિશે એને જો ઉત્સાહ હોય ત્યારે ય ઓછો તો હોય જ. ગમે તેમ પણ, કાલવ્યુત્ક્રમને ધોરણે ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પૂર્વાર્ધની કથિત હિંદુ-મુસ્લિમ સામસામીને અગાઉના સૈકાઓની હિંદુરાષ્ટ્ર વિ. ઇતરની નવી ઇતિહાસકથામાં ઢાળવાના ઉદ્યમની મૂર્છા ઉતરે એટલું પણ સાન-વાનની દૃષ્ટિએ વીસવરસીએ સમજાય તો એથી રૂડું શું.

ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૨    

સૌજન્ય : "નિરીક્ષક", 01 માર્ચ 2022; પૃ. 01-02

Loading

રોજ

સરૂપ ધ્રુવ|Poetry|27 February 2022

રોજ જીવું છું, રોજ મરું છું.
સામા વ્હેણે રોજ તરું છું.
“ભૂલી જવાનું, ગળી જવાનું”
રોજ ટપારું, તોયે સ્મરું છું.
દર દર રખડી રખડી થાકું
તોયે હજી ક્યાં કામ કરું છું.
માણસ નહીં, પડછાયો થઈને
શહેર-ગલીમાં રોજ ફરું છું.
નામ ભૂંસાયાં, ગામ લુંટાયાંઃ
અંધકારમાં રોજ સરું છું.
રોઝા,મસ્જિદ, મઝાર, કિલ્લા
નક્કર છું ને તોયે ખરું છું.
હિજાબ, બુર્ખા, નકાબ, પર્દા
અંદર અંદર થરથરું છું.
‘એ લોકો’ના અચ્છે દિનથી,
કસમ ખુદાકી, ભૌત ડરું છું.
આઘે ને આઘે ઠેલાઉંઃ
આખિર તો ભૈ, જુહાપરું છું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 02

Loading

...102030...1,4841,4851,4861,487...1,4901,5001,510...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved