Opinion Magazine
Number of visits: 9459167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પણ યુદ્ધમાં નિશ્ચિત તો હાર અને સંહાર જ હોય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 February 2022

આ વિશ્વે અનેક યુદ્ધો જોયાં છે ને સિલકમાં રક્તપાત જ હાથ આવ્યો છે, તો પણ સત્તાલોભીઓને યુદ્ધનું ખેંચાણ રહ્યાં કરે છે. યુદ્ધ, કદાચ જગતને કોઠે પડી ગયું છે. આખું વિશ્વ શાંતિની અપેક્ષા રાખે છે, પણ તેને યુદ્ધ વગર ચાલતું નથી. ઘણીવાર તો શાંતિ સ્થાપવા અશાંતિનો આશરો લેવાય છે. માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી, તે તેણે અનેક યુદ્ધો લડીને સાબિત કરી આપ્યું છે. બબ્બે વિશ્વયુદ્ધોની કરચો હજી ક્યાંક ખૂંપેલી છે, છતાં ત્રીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વ ખેંચાઈ રહ્યું હોવાનું લાગે છે. અહિંસા આદર્શ છે, પણ જગત હિંસાને પણ આદર્શ તરીકે સ્થાપવા માંગતુ હોય તેમ તે યુદ્ધ માટે સજ્જ થતું રહે છે. અત્યારે અમેરિકા અને રશિયા સામસામે આવી ગયાં છે. બંને સીધાં યુદ્ધમાં તો ન સંડોવાય, પણ યુક્રેનની આડમાં બંને દૂર રહીને બાથ ભીડી રહ્યાં હોય તેમ લાગે છે.

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે અને ગમ્મત એ છે કે યુદ્ધ છેડીને રશિયાએ યુક્રેનને વાટાઘાટ માટે કહ્યું છે. ખરેખર તો એ ઘાંટાઘાંટ પછીની વાટાઘાટ છે. યુક્રેને વાટાઘાટની ના પાડી દેતાં રશિયા ફાટીને ધુમાડે ગયું છે. તેણે વધુ આક્રમક થઈને યુક્રેનની રાજધાની કિવનું નિશાન લીધું છે ને અત્યારે આખી દુનિયા હિંસક આક્રમણનો તમાશો જોઈ રહી છે. અમેરિકા અને નાટો પડખે રહેશે એવી યુક્રેનની આશા ઠગારી નીવડી છે. યુક્રેનને સપોર્ટ બધા દેશોનો છે, પણ કમાલ એ છે કે કોઈ યુદ્ધમાં સાથે નથી. યુક્રેન એકલું પડી ગયું છે અને તેનાં રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી [Volodymyr Oleksandrovych Zelenskyy] જાહેર કરતા રહે છે કે તેઓ દેશ છોડીને ક્યાં ય જવાના નથી, સાથે જ ભારતના વડા પ્રધાન મોદીને મદદ માટે ટહેલ પણ નાખે છે. ભારતની હાલત સાપે છછુંદર ગળ્યાં જેવી થઈ છે. ન ગળાય, ન કઢાય. યુક્રેનને મદદ કરે તો અમેરિકા ખુશ થાય ને ન કરે તો રશિયા ખુશ થાય. ભારત, અમેરિકા અને રશિયામાંથી કોઈને નારાજ કરી શકે એમ નથી. ભારત બોલે છે ખરું કે આ સમસ્યા રાજદ્વારી રીતે ઉકેલાવી જોઈએ. ભારત યુદ્ધની તરફેણ ન જ કરે, કારણ તેણે યુદ્ધો જોયાં છે ને બરાબર જાણે છે કે યુદ્ધ છેડવા જેવું નહીં, છોડવા જેવું જ હોય છે.

રશિયન પ્રમુખે વર્ષો પહેલાં યુક્રેન સાથે યુદ્ધ કરવાનો મનસૂબો ઘડી રાખેલો. તેનું એક કારણ રશિયાને ભય છે કે યુક્રેન નાટો (એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનિઝેશન) સાથે જોડાઈ જશે તો મૂડીવાદી દખલ ઘરઆંગણે જ વધી જશે. યુક્રેનની ભૌગોલિક રચના એવી છે કે તેનો એક ભાગ રશિયાને અડેલો છે, તો બીજે છેડે પૉલેન્ડ, હંગેરી, રોમાનિયા, સ્લોવાક જેવા છે જે રશિયન છાવણીના સ્વતંત્ર સામ્યવાદી રાષ્ટ્રો છે. યુક્રેનના પણ બે ભાગ છે જેમાંનો પૂર્વ ભાગ પોતાને રશિયાની નજીક માને છે ને પશ્ચિમ ભાગ યુરોપિયન યુનિયનની નજીક પોતાને ગણે છે. પૂર્વ યુક્રેનના ઘણા વિસ્તારો રશિયા સમર્થિત અલગતાવાદીઓના પ્રભાવમાં છે. રશિયાએ અહીં ડોનેત્સ્ક [Donetsk] અને લુહાન્સ્કને [Luhansk] અલગ દેશો તરીકે માન્યતા આપી છે. 2014માં ક્રિમિયા [Crimea] પર આક્રમણ કરીને તેને રશિયાએ પોતાની સાથે ભેળવી દીધું છે. આ ક્રિમિયા આમ તો 1954માં સોવિયેત સંઘના પ્રમુખ કૃષ્ચેવે યુક્રેનને ભેટ આપ્યું હતું, જેને રશિયાએ પડાવી લીધું. એ રીતે રશિયા ઘટતા જતા સામ્યવાદી પ્રભાવને વિસ્તારવાના પ્રયત્નો કરતું રહે છે, પણ તેને નાટોનો રશિયા તરફનો વિસ્તારવાદી પ્રયત્ન સ્વીકાર્ય નથી. જો યુક્રેન નાટો સાથે જોડાય તો રશિયા નાટો સમર્થિત દેશોથી ઘેરાઈ જાય ને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો રશિયાની લશ્કરી તાકાત ટાંચી જ પડે. યુક્રેન નાટો સાથે જોડાયું નથી, પણ જોડાય તો રશિયા એકલું પડે અને રાષ્ટ્રપતિ પુતિન વિશ્વ નેતા બનવા નીકળ્યા હોય તો એકલા કેવી રીતે પડે? આમ તો નાટોની રચના જ સોવિયેત સંઘની વિસ્તારવાદી નીતિને રોકવા થયેલી. થયેલું એવું કે 1939નાં બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘે પૂર્વી યુરોપના વિસ્તારોમાંથી પોતાની સેના હટાવવાની ના પાડી દીધી. 1948માં બર્લિનને પણ ઘેરી લીધું, એટલે અમેરિકાએ 1949માં નાટોની શરૂઆત કરી. શરૂઆતમાં એમાં અમેરિકા સહિત બ્રિટન, ફ્રાંસ, કેનેડા, ઇટલી જેવા 12 દેશો હતા, અત્યારે એમાં 30 દેશો છે ને યુક્રેનના જોડાવાની શક્યતાએ જ, પુતિનને યુક્રેન પર યુદ્ધ થોપવાની ફરજ પાડી છે. નાટોની નીતિ છે કે તેની સાથે જોડાયેલા દેશો પર કોઈ દેશ હુમલો કરે તો તેનું રક્ષણ એ બધાં જ દેશો કરશે જે તેની સાથે જોડાયેલા છે. હવે યુક્રેન નાટો સાથે જોડાય તો તેને નાટોનું રક્ષણ મળે ને તે સ્થિતિમાં રશિયા તેની સામે ટકી શકે નહીં. સોવિયેત સંઘ તૂટતાં 15 દેશો અલગ પડી ગયા ને એનાં એક ભાગ તરીકે રશિયા અસ્તિત્વમાં આવ્યું. દેખીતું છે કે એમ થતાં તેનો વિસ્તાર ઘટ્યો. એટલે સોવિયેત સંઘ સાથે સંકળાયેલા બીજા દેશો રશિયાની સાથે રહે તેવા પ્રયત્નો રશિયા કરે ને એમાં યુક્રેન કે અન્ય દેશો નાટો સાથે જોડાય તો એ દેશોથી ઘેરાવાનું રશિયાને માફક ન જ આવે તે સમજી શકાય તેવું છે. એટલે તેણે ફિનલેન્ડ અને સ્વીડનને સાફ શબ્દોમાં ધમકી આપી છે કે નાટો સાથે જોડાનારની ખેર નહીં રહે.

યુક્રેન એક તબક્કે યુનાઈટેડ સોવિયેત યુનિયન (યુ.એસ.એસ.આર.) સાથે જોડાયેલું હતું. 1917માં રાજાશાહીનો અંત આવ્યો અને સામ્યવાદી શાસન શરૂ થયું તેનાં બે વર્ષ પછી યુક્રેન યુ.એસ.એસ.આર. સાથે જોડાયું, પણ 1991માં યુ.એસ.એસ.આર. 15 દેશોમાં વહેંચાઈ ગયું ને રશિયા અસ્તિત્વમાં આવ્યું. રશિયાથી અલગ થનાર રાષ્ટ્રોમાં યુક્રેન પણ ખરું. તે નાટો સાથે જોડાય તેનો રશિયાને વાંધો છે, કારણ, તે જોડાય તો રશિયાની વિસ્તારની વાત તો બાજુ પર, પણ તેણે સંકોચાવાના દિવસો આવે. એટલે નાટોનો પ્રભાવ દૂર રાખવો જ પડે. એ પ્રભાવ તો જ રોકાય જો યુક્રેન નાટો સાથે જોડાતું અટકે. તેને જોડાતું અટકાવવા રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. આક્રમણ ચાર દિવસથી ચાલે છે ને યુક્રેન તબાહ થઈ રહ્યું છે. આક્રમણ થાય તો અમેરિકા અને નાટો યુક્રેનનાં સમર્થનમાં પડખે ઊભાં રહેશે એવી યુક્રેનનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીની ધારણા હતી, પણ તે શરૂઆતમાં ઠગારી નીવડી. નાટો સમર્થિત બધા દેશોએ અને અમેરિકાએ રશિયન આક્રમણનો વિરોધ તો કર્યો, પણ યુદ્ધ તો યુક્રેને પોતાની તાકાત પર જ લડવાનું આવ્યું ને યુક્રેનની હાલત દાંત, નખ કાઢી લીધેલા વાઘ જેવી થઈ છે. રશિયાથી અલગ પડ્યા પછી તેની પાસે ન્યુક્લિયર બોમ્બ હતા. આમ તો રશિયાનું જાણીતું અણુમથક ચેર્નોબિલ પણ યુક્રેનમાં હતું, પણ અમેરિકા અને બ્રિટને યુક્રેનને રક્ષણની ખાતરી આપીને તેને અણુશક્તિ વગરનું કરી નાખ્યું ને હવે ખરેખરું યુદ્ધ સામે આવ્યું છે ત્યારે યુક્રેનની પડખે કોઈ નથી. મોંની વાતો તો ઘણાએ કરી, પણ હાથની તાકાત કોઇની મદદમાં નથી આવી. એટલે જ રશિયાને ફાવતું આવ્યું – આક્રમણ કરવાનું. તેને ખબર હતી કે યુક્રેન પાસે અણુશસ્ત્રો નથી ને હાલ તુરત તો તે એકલું જ છે એટલે તેણે શરૂઆત જ મિસાઈલ્સ ને બોમ્બમારાથી કરી. નાટો એટલે મદદ કરવા તૈયાર ન થયું, કારણ યુક્રેન હજી સુધી તેનું સભ્ય થયું નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ આમ પણ વિશ્વશાંતિની વાતો કરે છે, અરે ! તેનો હેતુ જ વિશ્વશાંતિનો છે, પણ તેણે ય ક્યાં ય સુધી તો કુલડીમાં જ ગોળ ભાંગ્યા કર્યો. સાચું તો એ છે કે અમેરિકા અને નાટો યુક્રેનનો રશિયા સામે ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રક્ષણની લાલચ આપીને યુક્રેનને રશિયા સામે તૈયાર કર્યું છે ને નાટો, અમેરિકા અને રશિયા, યુક્રેનના અખાડામાં દુનિયાને ખેલ બતાવી રહ્યાં છે. આખલાઓ લડે ને ઝાડનો ખો નીકળે એવો ખેલ ચાલે છે. યુદ્દની ખુવારી શરૂ થઈ ગયા પછી પણ અમેરિકા કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ મંત્રણા માટે જ ફાંફાં મારતા રહ્યાં છે ને ત્યાં પણ રશિયાએ વીટો વાપરીને બધા દેશોની બોલતી બંધ કરી દીધી છે. ભારતે પોતાનો મત ન આપીને છૂપી રીતે તો રશિયાને જ ટેકો કર્યો છે, પણ યુદ્ધની અસરનો ભોગ બનવાનું ભારતને જ વધારે આવે એમ બને, ખાસ કરીને કાચા તેલની વધી રહેલી કિંમત ભારતને રડાવે એમ લાગે છે. આ ઉપરાંત મોંઘવારી માઝા મૂકે એમ બને. એ તો આમે ય માઝા મૂકતી જ રહે છે.

યુક્રેનને યુદ્ધમાં સંડોવીને ઘણા દેશોએ મદદને નામે હાથ ઊંચા કરી દીધા હતા, તે છતાં ફ્રાંસ અને બ્રિટન સહિત 25 દેશોએ યુક્રેનને હથિયાર આપવાની વાત કરી છે. એ વાતે રશિયા વધારે ભુરાયું થયું છે. પુતિને તો ત્યાં સુધી કહી દીધું છે કે વિશ્વના દેશોની યુક્રેનમાં દખલ વધી કે અમારી સામે લશ્કરી કાર્યવાહી થઈ તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતાં પણ રશિયા અચકાશે નહીં. એની સામે અમેરિકી પ્રમુખ જો બાઈડને પણ સ્પષ્ટ કરી દીધું છે કે રશિયન અધિકારીઓ, વેપારીઓ, બેન્ક અને ઈકોનોમિક સેક્ટર પર પ્રતિબંધો લાગુ થશે. જે દેશ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ વર્તે છે તેણે તેમ કરવા બદલ કિંમત ચૂકવવી પડે છે એમાં  રશિયા પણ અપવાદ નથી. આમ તો રાજકીય કે આર્થિક પ્રતિબંધો એ ઇતિહાસમાં સૌથી વ્યાપક પ્રતિબંધો છે, પણ આ પ્રતિબંધો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય એમ બને. એટલે અમેરિકા અને તેનાં સહયોગી દેશો અને યુરોપીય દેશો સક્રિય તો થયા છે, પણ આ સક્રિયતાથી ડરવાને બદલે પુતિન વધુ ઝનૂની બન્યા છે ને એ ઝનૂન યુક્રેન પર વધુ જોખમી રીતે પુરવાર થઈ રહ્યું છે. પુતિનનું કહેવું છે કે 50 હજાર રશિયન સૈનિકોનો ભોગ લેવાય કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવો પડે તો તેમ કરીને પણ યુક્રેન જીતવું છે, તો યુક્રેનનો પણ દાવો છે કે યુદ્ધમાં રશિયન 4,300 સૈનિકો માર્યા ગયા છે અને 146 ટેન્ક, 27 ફાઇટર જેટ અને 26 હેલિકોપ્ટરોનો ખાતમો બોલાવી દેવાયો છે. સાચું ખોટું તો એ જાણે, પણ યુક્રેનના હોય કે રશિયાના, મરે છે તે માણસો છે ને એમાંના ઘણા તો એટલા નિર્દોષ હોય છે કે એમને ખબર જ નથી પડતી કે તેઓ કયાં કારણે મરી રહ્યાં છે ! કોઈ પણ યુદ્ધમાં જીતનાર ને મૃત્યુ પામનાર એક નથી. એ કેવી મોટી વિટંબણા છે કે જે જીતે છે તે મરતો નથી ને જે મરે છે તે જીતતો નથી.

આમ રશિયાનું યુક્રેન પર વરસવાનું એક માત્ર કારણ એ ભય છે કે તે નાટો સાથે જોડાશે તો તેની સાથેના સંલગ્ન દેશોથી તેને ઘેરાઈ જવાનું થશે. આ ભય યુદ્ધને યુક્રેન પૂરતું સીમિત નહીં રાખે ને જોખમો બીજા દેશો પર વધારે એમ બને. પ્રાર્થના એટલી જ કરવાની રહે કે યુક્રેન ત્રીજા વિશ્વયુદ્ધનું નિમિત્ત ન બને !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ફેબ્રુઆરી 2022

Loading

ગાંધી અને હિન્દુત્વ

રામચંદ્ર ગુહા|Gandhiana|28 February 2022

એપ્રિલ ૧૯૧૫માં, દક્ષિણ આફ્રિકાથી વતન પરત આવ્યાના થોડા મહિના પછી, મોહનદાસ કરમચંદ ગાંધી દિલ્હી ગયા હતા અને ત્યાં સેન્ટ સ્ટિફન્સ કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરેલું. શ્રોતાગણમાં વિવિધ ધર્મના અનુયાયીઓ હતા અને ગાંધીએ તેમને પોતાના રાજકારણી ક્ષેત્રના ગુરુની વાત કરી. થોડાં અઠવાડિયાં પહેલાં જ ગોપાલકૃષ્ણ ગોખલે અવસાન પામ્યા હતા. ગાંધીએ કહ્યું કે ગોખલે હિન્દુ હતા, પણ “સાચા પ્રકારના”. ગાંધીના શબ્દોમાં, “એક વાર એક હિન્દુ સંન્યાસી તેમને મળવા આવ્યા અને તેમની સમક્ષ હિન્દુઓને રાજકારણમાં આગળ લાવવાની એવી દરખાસ્ત રજૂ કરી જેમાં મુસ્લિમોને દબાવવામાં આવે. સંન્યાસીએ આ દરખાસ્તની તરફેણમાં અનેક ધાર્મિક કારણો પણ ગણાવ્યાં. ગોખલેએ આ માણસને જવાબ આપ્યો કે, જો હિન્દુ હોવા માટે મારે તમે જે ઇચ્છો છો તે કામ કરવાનું હોય તો કૃપા કરીને એક જાહેરાત બહાર પાડો કે હું હિન્દુ નથી.” (‘મિ. ગાંધીઝ વિઝિટ’, સેન્ટ સ્ટિફન્સ કૉલેજ મૅગેઝિન, એપ્રિલ ૧૯૧૫.)

ધીરેન્દ્ર કે. ઝાનું જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું નવું પુસ્તક, ‘ગાંધીઝ એસેસિન’, નવા અને નક્કર પુરાવા સાથે કહે છે કે નથુરામ ગોડસેએ ૧૯૪૦ના દશકામાં આર.એસ.એસ. સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવી રાખ્યા હતા. ભલે એ વાત ભુલાવવા જાતભાતના દાવાઓ કરવામાં આવે પણ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીહત્યા વખતે પણ તેઓ સંઘ સાથે જોડાયેલા જ હતા. જો કે, એક વ્યક્તિના સંસ્થાકીય સંબંધોથી આગળ જઈએ તો વિચારધારાના જોડાણનો પ્રશ્ન ખડો થાય છે. ગોડસેની જેમ આર.એસ.એસ. માનતું હતું – અને હજુ પણ માને છે – કે આ દેશની રાજકીય અને સાંસ્કૃતિક જીવનધારા પર હિન્દુઓનો દાવો બાકી કોઈથી વધારે જૂનો અને બાકી સૌથી વધારે મજબૂત છે. સંઘ એમ માને છે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કરતાં હિન્દુઓ વધુ કુદરતી રીતે સાચા ભારતીય છે. આવી હિન્દુકેન્દ્રી (‘હિન્દુ સુપ્રિમિસિઝ્મ’) વિચારસરણીના કારણે આર.એસ.એસ. અને તેના જેવી બીજી સંસ્થાઓ ગાંધીની બિલકુલ વિરુદ્ધમાં ખડી થાય છે, જે હવે પછીના ફકરાઓમાં વધુ સ્પષ્ટ થશે.

આર.એસ.એસ. માને છે કે ભારત પર હિન્દુઓનો વિશેષ દાવો કે અધિકાર બને છે, પણ ગાંધી માનતા કે આ દેશ પર અને તે જે કશાનું પ્રતિનિધિત્વ કરે છે તેના પર તમામ ધર્મોના અનુયાયી દેશવાસીઓનો એક સરખો અધિકાર છે. સૌને સમાવતા આ વિચારમાં ગાંધીના નૈતિક દર્શનનો પણ આધાર હતો, અને તેમની રાજકીય કામગીરીનો પણ. આ મુદ્દે એક દાખલો આપું તો, ૧૯૪૫માં તેમણે પક્ષના રચનાત્મક કાર્યક્રમ વિશે એક અગત્યની પુસ્તિકા પ્રકાશિત કરેલી (‘રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્ય અને સ્થાન’). અસ્પૃશ્યતા નિવારણ, ખાદીને પ્રોત્સાહન અને આર્થિક સમાનતા જેવા બીજા પણ વિષયો હતા જે સૌ ગાંધી માટે એટલું જ મહત્ત્વ રાખતા હતા, પણ તેમના કાર્યક્રમમાં તેમણે પહેલું સ્થાન કોમી એકતાને આપ્યું હતું. ગાંધીએ તેમાં લખેલું કે,

“કોમી એકતાનો અર્થ તો છે તોડી ન તૂટે એવી હાર્દિક એકતા. એવી એકતા સાધવાને પ્રથમ આવશ્યક વસ્તુ એ છે કે, દરેક મહાસભાવાદીએ – તેનો ધર્મ ગમે તે હોય તો પણ – પોતે જાતે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, જરથોસ્તી, યહૂદી વગેરે – ટૂંકામાં દરેક હિંદુ તેમ જ ઇતરધર્મી – સહુના પ્રતિનિધિ બનવું જોઈએ. હિંદુસ્તાનના કરોડો રહેવાસીઓમાંના એકેએકનાં સુખદુ:ખનો પોતે ભાગીદાર છે એવી ભાવના તેના મનમાં સદૈવ જાગ્રત હોવી જોઈએ. એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દરેક મહાસભાવાદીએ અન્ય ધર્મોના માણસો સાથે અંગત મિત્રાચારી કેળવવી જોઈએ. તેને જેટલો આદર પોતાના ધર્મને વિષે હોય તેટલો જ તેણે બીજા ધર્મોને વિષે પણ રાખવો જોઈએ. (પૃષ્ઠ ૪–૫ઃ ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લના ગુજરાતી અનુવાદમાં.)

બે વર્ષ પછી કાઁગ્રેસ અને ગાંધી ધાર્મિક ધોરણ પર દેશના ભાગલા થતા અટકાવી શક્યા નહિ. પણ નસીબને દોષ દઈ બેસી રહેવાના કે નિરાશાવાદમાં જવાના બદલે – અને એથી ય વધુ તો બદલાની ભાવના પાળવાના બદલે – ગાંધીએ ભારતમાં રહેવાનું પસંદ કરનારા મુસ્લિમોને એટલી ખાતરી આપવામાં પોતાની તમામ તાકાત લગાવી દીધી કે તેમને સ્વતંત્ર ભારતમાં સમામ નાગરિક અધિકાર મળશે જ. કલકત્તામાં સપ્ટેમ્બર ૧૯૪૭માં અને દિલ્હીમાં જાન્યુઆરી ૧૯૪૮માં તેમણે કોમી એકતા માટે ઉપવાસ આદર્યા, તે બાબતે ઘણું લખાઈ ચૂક્યું છે. પણ જે બાબતે ઓછું લખાયું છે, અને જે એટલી જ અગત્યની છે, તે ૧૫મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ ઑલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીમાં તેમણે આપેલા વક્તવ્યની છે. તે પ્રસંગે ગાંધીએ કહ્યું કે,

“હું ઇચ્છું છું કે તમે કાઁગ્રેસની મૂળભૂત લાક્ષણિકતાને વળગી રહો અને હિંદુ–મુસ્લિમોને એક કરો, જે આદર્શ માટે કાઁગ્રેસે ૬૦ વરસથી વધુ સમયથી કામ કર્યું છે એ આદર્શ હજુ પણ આપણી સામે છે. કાઁગ્રેસે કદી એવું કહ્યું નથી કે તે માત્ર હિંદુ હિતો માટે કામ કરે છે. કાઁગ્રેસ જન્મી ત્યારથી આજ લગી આપણે જે દાવો કર્યો છે તે શું આપણે હવે જતો કરીને નવી તરજ પર ગાવા માંડીશું?” (કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, વૉલ્યુમ ૯૦, પૃષ્ઠ ૩૮.)

ભારત તેમાં વસતા સૌ કોઈનો દેશ છે, પછી તે ચાહે હિંદુ હોય કે મુસ્લિમ કે અન્ય, એ માન્યતાને પકડી રાખવા માટે થઈને તો ગાંધીની હત્યા કરવામાં આવી. ગાંધીના અવસાનનાં થોડાં અઠવાડિયાં પછી, માર્ચ ૧૯૪૮માં, તેમના અમુક અંતેવાસી સેવાગ્રામમાં એકઠા થયા અને હવે પછી શું કરવું તેની ચર્ચા કરી. એ ચર્ચામાં આર.એસ.એસ.નો સંદર્ભ વારંવાર આવ્યો – ગોડસે તેના સભ્ય હતા એ કારણે જ નહિ, હત્યા પહેલાંના દિવસોમાં સંઘના વડા મા.સ. ગોળવલકર અનેક ઝેરી કોમી ભાષણો આપ્યાં હતાં એ કારણ પણ. વિનોબા ભાવેએ ઘણા ભાવ સાથે વાત કરી કે પોતે તો જાણે હવે મરાઠી બ્રાહ્મણના લેબલથી આગળ વધી ગયા હતા, પણ તેમના જ્ઞાતિબંધુઓના પ્રભાવ હેઠળની આ સંસ્થા માટે તેમને ભારે અવિશ્વાસ હતો. તેમણે કહ્યું કે, “સંઘે ભારે કૌશલ્ય સાથે તેનો વિસ્તાર વધાર્યો છે અને તેનાં મૂળિયાં ઊંડે ગયાં છે. તે હાડોહાડ ફાસીવાદી છે … તેના સભ્યો એકબીજાને વિશ્વાસમાં લેતા નથી. ગાંધીજીનો પહેલો સિદ્ધાન્ત જ સત્ય છે, પણ આ લોકોનો પહેલો સિદ્ધાન્ત જ અસત્ય હોય એમ લાગે છે. તેમની કાર્યશૈલી અને તેમની વિચારધારાનો પાયો જ અસત્યમાં છે.”

વિનોબાએ ગાંધી–પ્રેરિત રાષ્ટ્રીય આંદોલન અને હિંદુત્વના કર્તાકર્તાઓ વચ્ચેની મોટી ખાઈ વિશે વિગતે વાત કરી. “આર.એસ.એસ.ની કાર્યશૈલી કાયમ આપણી રીતિથી ઊંધી જ રહી છે. જ્યારે આપણે જેલ જતા હતા, ત્યારે તેમની નીતિ લશ્કર કે પોલીસ દળમાં જોડાવાની હતી. જ્યાં ક્યાં ય પણ હિંદુ–મુસ્લિમ રમખાણની શક્યતા હોય ત્યાં આ લોકો તત્કાળ પહોંચી જતા હતા. ત્યારની (બ્રિટિશ) સરકારને આમાં પોતાનો ફાયદો દેખાયો એટલે તેણે તેમને પ્રોત્સાહન આપ્યું અને હવે એનાં પરિણામો આપણે ભોગવવાનાં છે.” (જુઓ ગોપાલકૃષ્ણ ગાંધી–સંપાદિત ‘ગાંધી ઈઝ ગોન, હુ વિલ ગાઇડ અસ નાઉ?’)

ગાંધીના બીજા અંતેવાસીઓએ પણ સંઘનો બારીક અભ્યાસ કર્યો હતો અને તેઓ વિનોબાની સમજ સાથે સહમત હતા. ‘હરિજન’ પત્રિકાના ૧૯મી ડિસેમ્બર, ૧૯૪૮ના અંકમાં કિશોરલાલ મશરૂવાળાએ નોંધ્યું હતું કે, તેમને સંઘ બાબતે શંકાઓ હતી, “જે સમય વીતવા સાથે વધુ મજબૂત થતી ગઈ છે”. મશરૂવાળા મરાઠીમાં સંઘ વિશે અને સંઘના સભ્યો દ્વારા જે લખાતું તેનો અભ્યાસ કરતા આવ્યા હતા, અને તે વાચનના આધારે તેમનું તારણ હતું કે, સંઘના સૂત્ર –  હિંદુ ધર્મ માટે માન અને કોઈના પણ પ્રત્યે ન અપમાન (‘Love for Hinduism and ill-will towards None’) – “તેમાં મારો અભિપ્રાય છે કે ઉત્તરાર્ધ સાચો નથી. મેં તેના વિષે જે કાંઈ સાંભળ્યું છે અને વાંચ્યું છે તે પ્રમાણે તેમને મુસ્લિમો માટે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી છે” (“My opinion is that the last half is not true. It has, from all that I have heard about it and read of its literature, ill-will and dislike for Muslims.”) મશરૂવાળાએ જેને સંઘના સ્થાપક સિદ્ધાન્ત તરીકે વ્યાખ્યાયિત કરેલી તે આ “દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી” સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા સરસંઘચાલક ગોળવલકરનાં લખાણોમાં સારી પેઠે વ્યક્ત થયેલી છે. આર.એસ.એસ.ના અત્યારના વડા મોહન ભાગવત તેમના પુરોગામીઓ કરતાં થોડી ઓછી તીખાશ–કડવાશથી વાત કરે છે, પણ એમાં કોઈને કાંઈ શંકા નથી કે તેઓ પણ હિન્દુકેન્દ્રી વિચારધારાને વરેલા જ છે. (હરિદ્વારમાં ડિસેમ્બરમાં કહેવાતી ધરમ સંસદમાં જે સંહાર સુધીની વાતો થઈ તે અંગેનું તેમનું મૌન જ ઘણું કહી જાય છે.) જેમ ૧૯૪૮માં તેમ ૨૦૨૨માં પણ, ગાંધીના વિશાળહૃદયી સમાવેશી દર્શન અને હિંદુત્વની લઘુમતી–ઘૃણાની વિચારધારા વચ્ચે મોટું અંતર છે. જેમ ત્યારે તેમ અત્યારે પણ આપણે ભારતીયોએ બેમાંથી એકની પસંદગી કરવાની છે. આપણા પ્રજાસત્તાકનું ભાવિ કદાચ આપણે કેટલા સમજુ અને કેટલા ર્નિભય છીએ તેના પર આધાર રાખે છે.

અનુવાદક : આશિષ મહેતા

(મૂળ લખાણ અંગ્રેજીમાં ‘ધ ટેલિગ્રાફ’માં પ્રકાશિત થયું. અહીં સૌજન્યથી પુનઃપ્રકાશિત. 

https://www.telegraphindia.com/opinion/a-yawning-chasm-politics-and-play-gandhi-versus-hindutva/cid/1849592

નોંધઃ રચનાત્મક કાર્યક્રમના ઉદ્ધરણને બાદ કરતાં, સૌ ઉદ્ધરણોનાં અધિકૃત અનુવાદ હોય તોપણ તત્કાળ ઉપલબ્ધ ન હોવાથી અહીં સખેદ નવેસરથી જ ગુજરાતીમાં ઉતાર્યા છે. : અનુવાદક)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 04-05

Loading

અનુવાદ માટે સન્માનિત અશ્વિન ચંદારાણા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|28 February 2022

— અશ્વિન ચંદારાણાએ  હોલોકૉસ્ટ (holocaust) એટલે કે બીજા વિશ્વયુદ્ધના કાળમાં  નાઝીઓએ ચલાવેલા યાતનસત્ર અને માનવસંહારનાં બે ખૂબ મહત્ત્વનાં હૃદયસ્પર્શી  પુસ્તકો  ગુજરાતીમાં લાવીને બહુ પ્રસ્તુત યોગદાન આપ્યું છે ——

વડોદરાના અશ્વિન ચંદારાણાને ગુજરાત સાહિત્ય અકાદમીના અનુવાદ માટેના બે વર્ષોના પુરસ્કાર મળ્યા છે. 

વર્ષ 2018નો પુરસ્કાર ‘યાતનાઓનું અભયારણ્ય’ પુસ્તક માટેનો છે, જે એક કુષ્ઠરોગી વિશેની નવલકથા Who Walk Alone(1940)નો અનુવાદ છે. કુષ્ઠરોગના નિવારણ અને તેની અંગેની જાગૃતિને સમર્પિત અમેરિકન માનવસેવક પેરી બરજેસે (1886-1962) આ પુસ્તકમાં કુષ્ઠરોગનો સામનો કરનાર એક જીવનવીર નેડ લૅન્ગફોર્ડની કહાણી આલેખી છે. આ નિવૃત્ત સૈનિક રોગનિદાન થયા પછી કુષ્ઠરોગીઓ માટે ફિલિપાઇન્સના ક્યુલિઅન ટાપુ પરની Sanctuary of Sorrow  અર્થાત્ યાતનાઓનું અભયારણ્ય તરીકે ઓળખાતી વસાહતનો નિવાસી બને છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કર્યું છે.   

વર્ષ 2019ના પુરસ્કાર માટે અશ્વિનભાઈના અનુવાદ ‘ધ પિયાનિસ્ટ’(The Pianist, 1999)ની પસંદગી થઈ છે. મૂળ આ જ નામ ધરાવતું પુસ્તક પોલન્ડના લોકપ્રિય યહૂદી પિયાનોવાદક વ્લાદિસ્લોવ સ્પિલમેને (Władysław Szpilman,1911-2000) પોલીશ ભાષામાં લખેલી સ્મરણકથા  છે. હોલોકૉસ્ટની આ પીડાકારક આપવીતી એન્થિઆ બેલના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં આવી છે. 

નાઝી જર્મનીએ સપ્ટેમ્બર 1939માં પોલન્ડ પર કબજો મેળવ્યો. સ્પિલમન અને તેમના પરિવારને દેશના પાટનગર વૉરસોમાં બનેલી યહૂદીઓ માટેની દોજખ સમી વસાહતોમાં – ‘ઘેટ્ટોઝ’માં રહેવાની ફરજ પડી. સમયાંતરે સ્પિલમનનાં મા-બાપ, ભાઈ-બહેનને યહૂદીઓ માટેના ટ્રેબ્લિન્કા ખાતેનાં 'કૉન્સન્ટ્રેશન કૅમ્પ' એટલે કે યાતનાછાવણીમાં મોકલી દેવામાં આવ્યાં, જ્યાં તેઓનાં મોત થયાં. સ્પિલમન બચી ગયા કારણ કે નાઝીઓથી નારાજ અને સંગીતપ્રેમી એવા જર્મન લશ્કરી અધિકારી વિલ્મ હોસેનફિલ્ડે તેમને મદદ કરી. પિયાનોવાદક વૉરસોની વસાહતમાં કાટમાળ અને યહૂદીઓનાં રખડતાં શબો વચ્ચે ભૂખમરો વેઠીને જીવ્યા. યુદ્ધ પૂરું થયા બાદ તેમણે પોતાનાં વીતક પ્રકાશિત કર્યાં જેમાં દિવંગત હોસેનફીલ્ડની ડાયરીનાં ખૂબ વ્યથાપૂર્ણ  પાનાંનો પણ સમાવેશ કર્યો. એક સૈનિકે નાઝીઓનાં દુષ્ટતા, અહંકાર અને અત્યાચારનો આપેલો ચિતાર પણ સંગીતકારની આપવીતી જેટલો વિદારક છે. આ લખનારની છાપ એવી છે કે આ પુસ્તક કરતાં તેના પર રોમાન પોલાન્સ્કીએ 2002માં બનાવેલી સાત ઑસ્કર અવૉર્ડ મેળવનારી ફિલ્મ વધુ જાણીતી છે. રાજકીય કર્મશીલ અને સાહિત્ય વિવેચક ભરત મહેતાએ ‘રોચક અનુવાદ’ મથાળા હેઠળની પ્રસ્તાવનામાં નોંધ્યું છે : ‘…આ [નાઝી] માનવસંહાર ધર્મના નામે વિશ્વસત્તા બનવા માટે જર્મનીના ઉગ્ર રાષ્ટ્રઝનૂનનું પરિણામ હતું .. .આ સ્મરણકથાનું ગુજરાતીમાં આવવું અત્યારે ખૂબ પ્રસ્તુત છે … આવી કથાઓ આપણને આપણો સાચો ધર્મ સમજાવવાની કોશિશ કરે છે. તેથી આ કોશિશનું અદકેરું મૂલ્ય છે.’ 

*****

પૉલન્ડની જ ભૂમિ પરનું, હોલોકૉસ્ટની ક્રૂરતા વર્ણવતું  જે બીજું એક મહત્ત્વનું પુસ્તક 'શિન્ડલર્સ લિસ્ટ' (Schindler's List) અશ્વિનભાઈ ચાર વર્ષ પહેલાં ગુજરાતીમાં લાવ્યા છે તે. ઑસ્ટ્રેલિયન સાહિત્યકાર થૉમસ માઇકલ કીનિલી(Keneally)એ લખેલી બુકર અવૉર્ડ વિજેતા 'શિન્ડલર્સ આર્ક' (1982) નવલકથાની અમેરિકન આવૃત્તિનું નામ 'શિન્ડલર્સ લિસ્ટ' છે. આ જ નામે સ્ટીવન સ્પિલબર્ગે 1993માં બનાવેલી હચમચાવી જનારી ફિલ્મને સાત ઍકેડેમી અવૉર્ડ મળ્યા હતા. અહીં ઓસ્કર શિન્ડલર નામના એક વેપારીની માનવતાની કથા માંડી છે. પોલંડમાં ઘૂસેલા લેભાગુ જર્મન વેપારીઓમાંના એક એવા શિન્ડલરે યહૂદીઓની બેફામ હત્યાઓ નજરે  નિહાળી, તેનું હૃદયપરિવર્તન થયું અને તેણે જાનના જોખમે પણ તેરસો જેટલા યહૂદીઓને નાઝીઓના હાથે થનારા મોતમાંથી બચાવ્યા. ગુજરાતી પુસ્તકની સરસ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનામાં જાણીતા વાર્તાકાર કિરીટ દૂધાતે લખી છે. તેઓ ઑસ્ટ્રેલિયન અંગ્રેજીમાં લખાયેલી લાંબી અને હિમ્મત માગી લેતી કૃતિના અશ્વિનભાઈના શબ્દશ: અનુવાદને  'હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલ કે' જેવો ગણાવે છે.

*******

અશ્વિનભાઈ અનુવાદિત ત્રીજી યુદ્ધકથા તે એરિક મારિયા રિમાર્ક (Erich Maria Remarque,1898-1970)ની જર્મન નવલકથા 'ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' (1928). પહેલા વિશ્વયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો આત્યંતિક શારિરીક અને માનસિક યાતના ભોગવીને નૉર્મલ જિંદગી જીવવાનું ભૂલી જાય છે તેની વાર્તા અહીં છે. લેખક હજુ તો શાળાએ જતાં કિશોરમાંથી રાતોરાત સૈનિકમાંથી રૂપાંતરિત થઈ ગયેલા, ઓગણીસ વર્ષના ભાવનાશાળી યુવક પૉલ બોમરની આંખે અને તેના મનોજગત દ્વારા યુદ્ધને વર્ણવે છે. 'સાહિત્યની પહેલી સૌથી મોટી યુદ્ધ-વિરોધી નવલકથા'ની સર્વકાલીન અને સમકાલીન પ્રસ્તુતતા ઉઘાડી આપતી પ્રસ્તાવના વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ લખી છે. તે એ પણ નોંધે છે કે અનુવાદ માટે આ કૃતિને 'પસંદ કરવી તે જ એક સાહસનું કામ છે'. વરિષ્ટ રંગકર્મી ઉત્કર્ષ મઝુમદાર 'લાજવાબ અનુવાદ' માટે દાદ આપતાં લખે છે : 'કથામાં જરા ય રસક્ષતિ થતી નથી, કારણ કે એમનું એવું સરસ ભાષાકાર્ય છે.' 

અશ્વિનભાઈએ 'ઑલ ક્વાએટ' અનુવાદ અર્પણ કર્યો છે 'માનવજાતના ઇતિહાસની શરૂઆતથી આજ સુધી રાષ્ટ્રનાયકોની અંગત સત્તાલાલસાઓની આપૂર્તિ માટે ખેલાયેલા અનેક યુદ્ધોના નામે, દેશભક્તિ અને રાષ્ટ્રવાદની વેદી ઉપર જેમનાં માથાં બલિ ચડી ચૂક્યાં છે એ વીર શહીદોને'. હૉલોકોસ્ટ પરના બે પુસ્તકો 'વિશ્વયુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયેલાં સાઠ લાખ જેટલાં યહૂદી સ્ત્રી-પુરુષ-બાળકો અને સઘળાં સૈનિકોનાં પરિવારજનોને' અર્પિત છે.

*******

પુસ્તકોનાં અર્પણ અને અનુવાદકના નિવેદન અશ્વિનભાઈની વૈચારિક ભૂમિકા અને રાજકીય સમજનો  નિર્દેશ આપે છે. આપણે ત્યાં થતાં સંખ્યાબંધ અનુવાદોની વચ્ચે દેશકાળની સંપ્રજ્ઞતા સાથેના આવા અનુવાદો ઓછાં જોવા મળે છે. બે વિશ્વયુદ્ધો, હોલોકૉસ્ટ, દેશના ભાગલા, ગોધરાકાંડને પગલે થયેલાં કોમી રમખાણો અને લૉકડાઉનને પગલે થયેલું શ્રમજીવીઓનું સ્થળાંતર સહિતની વિભિષિકાઓ ગુજરાતી સાહિત્યમાં, સન્માનનીય અપવાદો બાદ કરતાં, ઓછી જ ઝીલાઈ છે. એવા સંજોગોમાં પણ અશ્વિનભાઈનું દૃષ્ટિપૂર્ણ કામ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

******

અશ્વિનભાઈએ અત્યંત નિષ્ઠાથી શબ્દશ: અનુવાદો કર્યા છે એવું મૂળ સાથે નમૂના-કસોટી કરતાં ધ્યાનમાં આવે છે. શબ્દોની ભાવવાહિતા અને વિશેષનામોના ઉચ્ચારોને ગુજરાતીમાં લખવામાં પણ એકંદરે ચીવટ રાખી છે. લેખક અને પુસ્તક વિશેની માહિતી પૂરી પાડતાં વિગતવાર લેખો પણ મૂક્યાં છે. જો કે શિરમોર છે તે અશ્વિનભાઈ અને તેમના સર્જક જીવનસંગિની મીનક્ષીબહેનનું આ કામ સાથેનું ઉત્કટ  જોડાણ. અશ્વિનભાઈ જણાવે છે કે 'યાતનાઓના અભયારણ્ય'ની કહાણીનો ભાર અનુવાદની પ્રક્રિયા દરમિયાન સતત અનુભવાતો રહેતો. નાયક નેડનો એક પત્ર વાંચવામાં દરેક વખતે આંખો ભીની થતી. અનુવાદકે એક કરતાં વધુ વખત એ મતલબની વાત કરી છે કે યુદ્ધકથાઓના અનુવાદ દરમિયાન પુન:વાચન અને પ્રૂફરિડીંગમાં બંનેનું હૃદય ઉદ્વેગથી ભરાઈ આવતું, સામૂહિક હત્યાઓના દૃશ્યોનાં વર્ણનોનાં પ્રૂફ તપાસતાં-તપાસતાં મીનાક્ષીબહેનનું બ્લડ પ્રેશર વધતું, અને એટલા માટે બહેનને કામ અધૂરું મૂકી દેવું પડ્યું. અશ્વિનભાઈને ઝવેરચંદ મેઘાણીની ‘કોઈનો લાડકવાયો’ સતત યાદ આવતી. 

આવી ઉદ્વિગ્ન મનોદશામાં એક તબક્કે નિર્ણય લેવો પડ્યો કે ‘હમણાં તો આ યુદ્ધકથાઓ નહીં જ !’ તે પછી ફુરસદના સમયમાં સારાં વાચનની શોધ કરતાં કરતાં હાથ લાગ્યું ટૉલ્સ્ટૉયનું 'What Then Must We Do?' (1899) જેનો નરહરિ પરીખે અને પાંડુરંગ વળામેએ કરેલો ગુજરાતી અનુવાદ 'ત્યારે કરીશું શું ?' (1926). તે સંતોષકારક ન લાગતાં અશ્વિનભાઈએ ગયાં વર્ષે 'તો પછી આપણે કરવું શું ?' પુસ્તક આપ્યું અને અનુવાદના કામે તેમના 'મનને કશીક શાતા' આપી. 'વિશ્વસાહિત્યને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાની' રઢ લઈને બેઠેલાં અશ્વિનભાઈએ એમ. ક્લાર્કના 'સ્ટોરિ ઑફ ટ્રૉય' અને એફ. સ્કૉટ. ફિટ્ઝ્જેરાલ્ડ(F. Scott-Fitzgerald)ની લોકપ્રિય અમેરિકન નવલકથા 'ધ ગ્રેટ ગૅટસબી'(The Great Gatsby, 1925) પણ ગુજરાતીમાં લાવ્યા છે. બાય ધ વે, ઇલેકટ્રિકલ એન્જિનિયર અશ્વિનભાઈ રિલાયન્સમાં એગ્ઝિક્યૂટીવ છે. તેમણે મહેનત અને નિસબત સાથે કરેલું કામ બહોળા વાચકવર્ગ સુધી પહોંચવું જરૂરી છે. બોરિસ પાસ્તરનાકની મહાનવલ ડૉ. ઝિવાગોનો તેમનો અનુવાદ ગુજરાતી સાહિત્ય અકાદમી નજીકના ભવિષ્યમાં પ્રસિદ્ધ કરી રહી છે એવા સમાચાર છે.

ભારતીય જનતા પક્ષના શાસનમાં ધર્મઝનૂન અને ઝનૂની રાષ્ટ્રવાદ ઘરઘરમાં પહોંચી રહ્યો છે. ફાસીવાદના આ સ્વરૂપો કેવી ભીષણ સંહારક ટોચે પહોંચી શકે તે હોલોકૉસ્ટ કથાઓ ગુજરાતી વાચકને હૃદયદ્રાવક રીતે બતાવે છે. પુતિને ચલાવેલી યુક્રેનની તારાજી વાંચતા થોડા દિવસ પહેલાં જ નજર નીચેથી પસાર કરેલી ‘ઑલ ક્વાએટ’ યાદ ન આવે તો જ નવાઈ.

*******

પેરી બરજેસના પુસ્તક સિવાયના અશ્વિન ચંદારાણાનાં અનુવાદ-પુસ્તકો તેમના પોતાના જ સાયુજ્ય પ્રકાશને બહાર પાડ્યાં છે.

સંપર્ક સૂત્ર : 9998003128, 9601257543,

e.mail : chandaranas@gmail.com

(તસવીર કોલાજ : પાર્થ ત્રિવેદી)

27 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,4831,4841,4851,486...1,4901,5001,510...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved