Opinion Magazine
Number of visits: 9459036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલાઓની લગ્નવયમાં વધારો કેટલો જરૂરી, કેટલો યોગ્ય ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 March 2022

૨૦૨૧ના વરસના અંતે, સંસદના શિયાળુ સત્રમાં, મહિલાઓની લગ્નની કાયદાકીય વય અઢાર વરસથી વધારીને એકવીસ કરવા બાબતને લગતું, ૨૦૦૬ના બાળવિવાહનિષેધ કાયદામાં સુધારો કરતું બિલ રજૂ થયું હતું. વ્યાપક ચર્ચા અને સમીક્ષા માટે તે સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું છે. ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં મહિલાઓ સંબંધી યોજનાઓ જાહેર કરતાં નાણાં મંત્રીએ મહિલાઓની લગ્નવય વધારવા ટાસ્કફોર્સની રચનાનું વચન આપ્યું હતું. તે પછી સામાજિક –રાજકીય આગેવાન જયા જેટલીના અધ્યક્ષસ્થાને કેન્દ્રના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે આ અંગે સમિતિની રચના કરી હતી. આ સમિતિએ માતા મૃત્યુદર ઘટાડવા, માતા અને બાળકનાં પોષણસ્તર સુધારવા તેમ જ મહિલાઓની લગ્નવય વધારવા જેવી બાબતો ચકાસીને અહેવાલ આપ્યો હતો. તેના આધારે લગ્નવયમાં વધારાનો ખરડો તૈયાર કરાયો છે.

સ્ત્રી-પુરુષની લગ્નવય કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. બ્રિટિશ શાસનકાળના ૧૮૭૨ અને ૧૮૯૧ના કાયદામાં છોકરીઓની લગ્નની ઉંમર ૧૨ અને ૧૪ વરસની હતી. ૧૯૩૦ના શારદા ઍકટમાં તે વધારીને ૧૬ વરસની કરવામાં આવી હતી. ૧૯૭૮માં કાયદામાં સુધારા મારફત હાલમાં છોકરાઓની લગ્નવય ૨૧ વરસ અને છોકરીઓની ૧૮ વરસ છે. એક સદીમાં છોકરા-છોકરીઓની લગ્નવયમાં માંડ છ-આઠ વરસનો જ વધારો કરી શકાયો છે. ૧૯૭૮થી છોકરીઓની લગ્નવય ૧૮ વરસની છે, તેમાં સરકાર ત્રણેક વરસનો વધારો કરવા માંગે છે.

બાળલગ્નોને કારણે મહિલાઓ નાની ઉંમરે માતા બનતાં માતા અને બાળકના મૃત્યુ અને નબળાં સ્વાસ્થ્ય જેવાં કારણોના નિવારણ માટે મહિલાઓની લગ્નવયમાં વધારો કરવો જોઈએ એવી દલીલો થાય છે. પહેલી નજરે ઝટ ગળે ઊતરી જાય એવી આ દલીલને હકીકતોની સરાણે ચકાસવી જોઈએ. ફોર્થ નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેના આંકડા જણાવે છે કે ૨૦૦૫-૦૬ના વરસમાં ૨૦થી ૨૪ વરસની ઉંમરની ૪૭ ટકા મહિલાઓનાં લગ્નો ૧૮ વરસ પહેલાં થઈ ગયાં હતાં. પરંતુ ૨૦૧૫-૧૬માં તે ટકાવારી ઘટીને ૨૬.૮ ટકા થઈ હતી. ભારતની વસ્તી ગણતરીના અહેવાલો પરથી પણ જણાય છે કે ૨૦૦૧ની તુલનાએ ૨૦૧૧માં ૧૫ વરસની વય પૂર્વે લગ્ન થયાં હોય તેવી સ્ત્રીઓ ૬.૬ ટકા જ છે. અર્થાત્‌ બાળલગ્નોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જો કે તે સંપૂર્ણ નાબૂદ થયાં નથી. હવે બાળવયના બદલે કિશોરવયે થતાં લગ્નો વધ્યાં છે. એટલે છોકરીઓની લગ્નવય વધારવાથી બાળલગ્નો કે કિશોરલગ્નો બંધ થઈ જશે તે દલીલ યોગ્ય નથી.

બાળલગ્નોમાં થયેલો મોટો ઘટાડો માતા મૃત્યુદરના મોટા ઘટાડા રૂપે જોવા મળતો નથી. ૨૦૧૭ના  વિશ્વબૅન્કના એક અભ્યાસમાં નોંધાયું હતું કે ૧૮૬ દેશોમાં માતા મૃત્યુદરમાં ભારત ૧૩૦મા નંબરે હતું. નીતિ આયોગના જણાવ્યા મુજબ ૨૦૧૪-૧૬માં દર એક લાખ જન્મદીઠ માતા મૃત્યુદર ૧૩૦ હતો જે હવે ઘટીને ૧૨૨ થયો છે. માતા અને બાળકનાં મૃત્યુ કે નબળું આરોગ્ય અને ઓછા વજનનું કારણ નાની વયે લગ્ન જ માત્ર નથી, ગરીબી અને કુપોષણ પણ છે. જો ગરીબી નહીં હઠે, પેટ પૂરતું ખાવાનું જ નહીં મળે તો મોટી ઉંમરે થતાં લગ્નથી પણ આ સમસ્યા હલ થવાની નથી. એટલે મહિલાઓની લગ્નવય વધારવા સાથે તેમનું પોષણસ્તર સુધારવાનાં પગલાં પણ લેવાં જરૂરી છે.

સ્ત્રીઓનાં વહેલાં લગ્નનું કારણ પણ ગરીબી અને શિક્ષણનો અભાવ છે. ૨૦થી ૨૪ વરસની ૨૧ વરસ પહેલાં લગ્ન કર્યાં હોય તેવી તમામ આર્થિક સ્તરની સ્ત્રીઓ ૫૬ ટકા છે. પણ એ જ આયુની સૌથી ગરીબવર્ગની મહિલાઓમાં તેની ટકાવારી ૭૫ ટકા જેટલી ઊંચી છે. માબાપ માટે દીકરી બોજ ગણાતી હોય અને તેની સુરક્ષા, શિક્ષણ, રોજગારની ચિંતા હોય તે કારણથી તેનાં વહેલાં લગ્નો કરી દેવામાં આવે છે. ગામમાં જ શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી ૧૫થી ૧૭ વરસની ઉંમરની છોકરીઓ મોટા પ્રમાણમાં ભણવાનું છોડે છે, એટલે પણ લગ્નવયનો વધારો ગરીબી, બેરોજગારી, સ્ત્રીસુરક્ષા અને મહિલાશિક્ષણની પર્યાપ્ત વ્યવસ્થા વિના બેમતલબ બની શકે છે.

સ્ત્રી-પુરુષની લગ્નવયમાં હાલમાં જે તફાવત જોવા મળે છે તે મહિલાઓની લગ્નવય વધારવાથી યથાવત રહેશે કે દૂર થશે તે પણ સવાલ છે. આખી દુનિયાએ મહિલાઓની ૧૮ વરસની ઉંમરને લગ્ન યોગ્ય માની છે. એ ઉંમરે સ્ત્રીનું શરીર પૂર્ણપણે વિકસી ગયાનું, પ્રસવ માટે સક્ષમ હોવાનું અને બાળકની દેખભાળ રાખી શકે તેવા મનો-શારીરિક વિકાસ થયાનું કહેવાય છે. પરંતુ હાલમાં સ્ત્રી-પુરુષની લગ્નવયમાં જે ત્રણ વરસનો તફાવત છે તેનો તર્ક સમજાતો નથી. પત્ની પતિ કરતાં ઉંમરમાં નાની હોવી જોઈએ તેવી રૂઢિજડ પરંપરાનું તે દ્યોતક છે. સ્ત્રીના સમાનતા અને ગરિમામય જીવનના બંધારણદીધાં વચનનો પણ તેમાં ભંગ થાય છે, તેથી સ્ત્રી-પુરુષની લગ્નવય સમાન રાખવા વિચારવું રહ્યું.

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, તીન તલાક પર પ્રતિબંધ, નાગરિકતા કાનૂન અને કોમન સિવિલ કોડની જેમ વસ્તીવૃદ્ધિ પર નિયંત્રણ એ ભારતીય જનતા પક્ષનો રાજકીય એજન્ડા અને ખરી રાજકીય ઓળખ મનાય છે. તમામ ધર્મની મહિલાઓની લગ્નવયમાં વધારો કરવાનો વર્તમાન પ્રયાસ સરકારનું મહિલા-સમાનતાની દિશાનું પગલું છે કે તેનો વસ્તીનિયંત્રણનો એજન્ડા છે તેવો સવાલ પણ ઊઠવો સ્વાભાવિક છે. મહિલાઓની લગ્નવય વધતાં તેની પહેલી પ્રસૂતિની ઉંમર વધશે તેને કારણે વસ્તીનિયંત્રણ થઈ શકશે. આ ફાયદો લગ્નવયના વધારાનો છે. જો કે ભારતમાં મહિલાઓનો પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે તે જોતાં સરકારનો ઇરાદો વસ્તીનિયંત્રણનો હોવાની આશંકા સાચી ઠરતી નથી.

જે કામ સમાજસુધારણા થકી કરવાનું હોય તે કાયદાના દંડૂકાથી કરવાનું કેટલું યોગ્ય મનાય ? સ્ત્રી-પુરુષ સમાનતા, બાળલગ્નનિષેધ, સ્ત્રીશિક્ષણ અને સુરક્ષા આ બધી બાબતો સરકારના જેટલી જ સમાજને લાગુ પડે છે. આપણા દેશમાં સમાજસુધારણાનું સ્થાન  જાણે કે કાયદાએ લઈ લીધું છે. શિક્ષણનું પ્રમાણ વધતાં અને ગરીબી ઘટતાં બાળલગ્નો જેમ ઘટી રહ્યાં છે તેમ વસ્તીવૃદ્ધિ પણ અટકી છે. રોજગાર, આરોગ્ય, શિક્ષણ, સલામતી, સામાજિક – આર્થિક અસમાનતાની નાબૂદી અને સંસાધનોની સમાન, ન્યાયી તથા યોગ્ય વહેંચણી માટે સરકારે પ્રયત્નશીલ બનવાનું છે. સાથે જ સમાજસુધારણા અને જાગૃતિ માટે સમાજે પ્રયાસો વધારવાના છે. તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 09

Loading

‘નિત નિત ગાતા રહીએ’ ગાનાર રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ની ચિરવિદાય

જગદીશ પટેલ|Diaspora - Features|2 March 2022

સતત ૭૦ વર્ષ સુધી સર્જન કરી, હજારો ગીત-કવિતા રચનારા કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું 15 ઓક્ટોબર 2021, દશેરાને દિવસે સવારે, શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે લાંબી બીમારી બાદ દુ:ખદ અવસાન થયું. તેમનો જન્મ 18મી સપ્ટેમ્બર, 1936માં રંગૂન, મ્યાનમાર(બર્મા)માં થયો. માતાનું નામ  કમળાબહેન અને પિતાનું નામ ભાઈલાલભાઈ. તેમને શાળાએ મુકવાનો સમય થયો ત્યારે માતા અને નાના ભાઈ ઘનશ્યામ સાથે એ નાસિક આવ્યા, જ્યાં તેમના નાના લલ્લુભાઈ વેપાર કરતા હતા. નાસિકમાં ગુજરાતી શાળામાં ભણ્યા. ત્યાં જ તેમની સર્જનશક્તિ ખીલી. કાવ્ય રચના એ કાચી ઉંમરે શરૂ થઇ. હસ્તલિખિત કાવ્ય સંગ્રહ ‘કાવ્ય પીયૂષિની’નું શાળાના વાર્ષિકોત્સવ દરમિયાન વિમોચન થયું. તે માટે  સાહિત્યકાર જ્યોતીન્દ્ર દવેના હસ્તે મેડલ આપી શાળાએ તેમનું સન્માન કર્યું. આ સર્જન યાત્રા સતત મૃત્યુ સુધી ચાલુ રહી. ચિત્રકામ પણ શીખ્યા અને સુંદર ચિત્રો દોરવાનું શરૂ કર્યું. રંગોળી પણ કરતા. 1954માં મેટ્રિક પાસ થયા પછી પિતાજીએ તેમને બર્મા બોલાવી લીધા જેથી પોતાને વેપારમાં મદદ મળે. પિતાજી ઝવેરાતનો ધંધો કરતા. તે સામયે પિતાજી પ્રોમ નામના શહેરમાં રહેતા હતા. ત્યાં રમેશભાઈને પોતાની ઉંમરના બીજા યુવાનો મળી ગયા. તેમને રમત ગમતમાં બહુ રસ હતો. નાસિકમાં કબડ્ડી રમતા. બર્મામાં તેમણે ક્રિકેટ ક્લબ બનાવી.

તેમના આ નવા મિત્રો પૈકીનાં એક વલ્લભભાઈના કાકા લંડન રહેતા. વલ્લભભાઈએ બર્માથી લંડન જવા નક્કી કર્યું તો રમેશભાઈ પણ તૈયાર થઇ ગયા. પિતાજીએ બહુ સમજાવટ પછી પ્રવાસ ખર્ચ આપવાનું સ્વીકાર્યું ખરું પણ તાકીદ કરી કે ત્યાં પહોચ્યા બાદ તમારું પેટા ભરવાની જવાબદારી તમારી પોતાની. તેમણે આ પડકાર સ્વીકારી લીધો. લંડન આવીને કપરો સંઘર્ષ ચાલુ થયો. કદ નાનું, અંગ્રેજી જેવુ તેવું આવડે. કોલેજ કરેલી નહીં. આવીને મિલમાં સફાઈ કરવાની મજૂરી મળી તે સ્વીકારી. બર્મિંગહામ રહ્યા. થોડા સમય પછી લંડન આવી ઇન્ડિયા કોફી હાઉસ ખોલી પૂરી શાક પીરસવાનું શરૂ કર્યું. ભારતથી લંડન ભણવા આવતા શાકાહારી ગુજરાતી અને મારવાડી, જૈન વિધાર્થીઓને તે સમય શોધે તો પણ શાકાહારી ભોજન મળતું નહીં. ઇન્ડિયા કોફી હાઉસ તેમને માટે આશીર્વાદરૂપ થઇ પડ્યું.

1964માં ઉત્તરસંડાથી ભણવા આવેલાં ઉષાબહેન પટેલ સાથે લગ્ન કર્યા. તેમણે હિંદુ વિધિથી લગ્ન ક,ર્યા જે તે દિવસોમાં નવાઈની વાત હતી અને અનેક સ્થાનિક અંગ્રેજી અખબારોએ તેની નોંધ લીધી. ભારતીય સંગીત અને સંસ્કૃતિ માટે તેમને બહુ જ માન. તેને ટેકો કરવો, તેનો પ્રચાર-પ્રસાર કરવો તેમને ગમતું કામ. તે માટે ‘નવકલા’ નામની સંસ્થા શરૂ કરી. પછી તેમણે ટોટનહામ કોર્ટ રોડ જેવા વિસ્તારમાં ઇન્ડિયન એમ્પોરિયમ નામની દુકાન શરૂ કરી.

નવકલા દ્વારા તેમણે ભારતીય નાટકો, નૃત્ય અને સંગીતના કાર્યક્રમો રજૂ કર્યા. તેમણે ‘કોના બાપની દિવાળી’ જેવું ગુજરાતી પ્રહસન પણ રજૂ કરી ચાહના મેળવી. ગરબા લઈને તેઓ યુરોપીયન ડાન્સ ફેસ્ટીવલમાં ગયા અને ઇનામ લઇ આવ્યા. સાથે વાનગીઓનાં કાર્યક્રમમાં 100 જેટલી ભારતીય શાકાહારી વાનગીઓનું પ્રદર્શન યોજી તેને લોકપ્રિય કરવાના પ્રયાસ કર્યા. નવકલાએ ભારતીય શાસ્ત્રીય નૃત્યો શીખવવા સુનીતા ગોલવાલાના નેતૃત્વમાં શાળા શરૂ કરી અને કેટલીક દીકરીઓને તો ભારત નૃત્ય શીખવા મોકલવાની વ્યવસ્થા પણ કરી.

1973માં મંદિર રેસ્ટોરાં શરૂ કરી, જેમાં લગ્ન અને બીજા કાર્યક્રમો માટે હોલ બનાવ્યો જેનું નામ પંડિત રવિશંકરને નામે રાખ્યું. હોલનું ઉદ્ઘાટન પણ પંડિતજીને હસ્તે થયું, જેમાં જ્યોર્જ હેરીસન જેવાએ પણ ભાગ લીધો. યહૂદી મેન્યુહીન જેવા પ્રખ્યાત વાયોલીન વાદકે પણ મંદિરનો લાભ લીધો. ભારતથી લંડન આવતા અનેક ખ્યાતનામ સંગીતકારો, નર્તકો, ફિલ્મી સિતારા, પત્રકારો, લેખકો, રાજકારણીઓ તેમના મહેમાન બનતા. છેક 1964માં ભારતના તત્કાલીન નાણા મંત્રી મોરારજીભાઈ દેસાઈ તેમના આમંત્રણને માન આપી જમવા ગયા હતા. વૈજયંતી માલાના નૃત્યના કાર્યક્રમો આખા યુરોપમાં યોજેલા. તે પછી નૂતન, હેમા માલિની, ઈલા અરુણ તો એમ.એસ. સુબ્બુલક્ષ્મી જેવાં ગાયકો વગેરેએ પણ ‘મદિર’ની મુલાકાત લીધી. કત્થક નૃત્યકાર બીરજુ મહારાજે ત્યાં કાર્યક્રમ આપ્યો. બહુ લાંબી યાદી છે, એવા કલાકારોની જેમણે ત્યાં કાર્યક્રમ આપ્યો હોય.

ખાસ કરીને તેમને નાના, નવા, અજાણ્યા કલાકારોને ટેકો કરવાનું બહુ ગમતું. અનેક કલાકારોને તેઓ સ્ટેજ આપતા અને પ્રોત્સાહન આપતા. તેમાં ગુજરાતી સુગમ સંગીતને ઘણો ટેકો કર્યો. પુરુષોત્તમ ઉપાધ્યાય તેમના ઘરે લાંબો સમય રોકાયા હતા. રાસબિહારી દેસાઈ, હર્ષિદા રાવલ, આશિત દેસાઈ, સોલી કાપડિયા વગેરે થોડાં નામ યાદ આવે છે.

આપણા સાહિત્યકારો સુનીલ કોઠારી, ચં.ચી.મહેતા, રઘુવીર ચૌધરી, રમણ પાઠક, રજનીકુમાર પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, મધુ રાય, શિવકુમાર જોષી, બળવંત જાની વગેરેએ તેમના વિષે લખ્યું છે. લંડનમાં ભારતીય વિદ્યાભવનનું કેન્દ્ર શરૂ કરવાના પ્રયાસ માટે લીલાવંતીબહેન મુનશી લંડન ગયાં ત્યારે એમના ઘરે જ રહ્યાં અને કેન્દ્ર શરૂ કરી શક્યા.

ભારતના બ્રિટન ખાતેના લગભગ બધા એલચી સાથે તેમના ગાઢ સંબંધ રહ્યા. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી જીવરાજભાઈ મહેતા – હંસા મહેતા તો તેમને પોતીકા ગણતાં. જયસુખલાલ હાથીથી માંડી બી.કે. નહેરુ અને અપ્પા સાહેબ પંત સાથે તેમને સારા સબંધ રહ્યા. લંડનની ભારતીય એલચી કચેરીમાં સરદાર પટેલનું ચિત્ર ન હતું, તેમણે ખાસ પ્રયાસ કરી સ્થાનિક ચિત્રકાર રામ ભક્ત પાસે તૈલ ચિત્ર તૈયાર કરાવી મુકાવ્યું.

આયુર્વેદમાં તેમને ખાસ રસ અને ઘણા વર્ષ સુધી રોજ અડધો દિવસ પોતાના ઘરે પ્રેકટીસ પણ કરી. તેમની સારવારથી સજા થયેલા દરદીઓએ પોતાના અનુભવો તેમને લખી આપ્યા હોય તેની જાડી ફાઈલ આજે પણ ઉપલબ્ધ છે. નાનપણથી યોગાસન કરતા. લંડનમાં યોગગુરુ બી.કે આયંગરનો પરિચય થયો અને તેમની પાસે પણ જ્ઞાન લીધું. તેઓ નિયમિત કસરત અને યોગાસન કરતા.

તેમના કાવ્ય સંગ્રહ ‘હ્રદય ગંગા’ વિષે આખો લેખ કરવો પડે. ગુજરાતીમાં તે લખવા માટે મુંબઈથી કલીગ્રાફર અચ્યુત પાલવને બોલાવી પોતાના ઘરે રાખી કવિતા લખાવી. બધી કવિતાના ફોન્ટ જુદા. દરેક કવિતા સાથે તેને અનુરૂપ ચિત્ર કે તસ્વીર શોધીને ચાર રંગમાં છપાવી. સામેનાં પાને નવ ભાષા – હિન્દી, મરાઠી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનીશ, રશિયન અને એસ્પરેન્તો–માં અનુવાદ જોવા મળે. આ સંગ્રહને શિવ મંગલ સિહ ‘સુમન'નો આવકાર મળ્યો. તેમણે તેની 5000 પ્રતો પ્રકાશન અગાઉ જ વેચી. 2016માં પુણેના તેમના ચાહક અને માંઈર મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી.)નાં રાહુલ કરાડે તેની બીજી આવૃત્તિ પ્રગટ કરી. એક કાવ્ય સંગ્રહ પ્રગટ થાય તે પછી ૨૫ વર્ષે, તેની પુન:આવૃત્તિ થાય તે મોટી ઘટના કહેવાય. ‘હું’, ‘ઝરમર', ‘વૈખારીનો નાદ’, ‘ગીત મંજરી’ તેમના અન્ય કાવ્ય સંગ્રહો છે. ‘ગીત મંજરી' તેમના હિન્દી ગીતોનો સંગ્રહ છે. 'હૃદય ગંગા’નાં કાવ્યોના બંગાળી અનુવાદનો સંગ્રહ પણ પ્રગટ થયો છે.

તેમનાં અનેક ગીતો સ્વરબદ્ધ થયાં છે જેની સી.ડી. ઉપલબ્ધ છે. તેમનાં ગીતોના સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાય, કર્ણિક શાહ, મુકુન્દ પંડ્યા, જયદેવ ભોજક વગેરેએ કર્યા છે જેને જાણીતા ગાયક-ગાયિકાઓએ સ્વર આપ્યો છે.

2002માં ‘મંદિર’ બંધ કરવું પડ્યું. પત્ની ઉષાબહેનની સારવાર માટે ભારત આવ્યા અને 2003માં ઉષાબહેનનું અવસાન થતાં, તેમણે વડોદરા વસવાનું નક્કી કર્યું. ત્યાં પણ તેમણે બૈજુ બાવરા તાનારીરી હોલ બનાવી સંગીતની મહેફિલ શરૂ કરી. 2015માં વડોદરા છોડી કરમસદ જઈ વસ્યા અને ત્યાં પણ સુંદર હોલ બનાવી પ્રવૃત્તિ ચાલુ રાખી.

છેલ્લા એકાદ વર્ષથી, તેઓ નવો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની તૈયારીમાં પડ્યા હતા અને કોરોનાની બીમારી દરમિયાન પણ એ માટે પ્રવાસ કરવાનું સાહસ કરતા ખચકાતા નહીં. આ સંગ્રહનું નામ તેમણે આપ્યું “આનંદ ગંગા”. તેમાં પોતાનાં ૬૦ કાવ્યો સમાવ્યાં. આ દરેક કવિતા સાથે તેના જેવા ભાવ ધરાવતી અન્ય કવિની રચના મૂકી. આ તમામ ૧૨૦ રચનાઓનું ગુજરાતી અને હિંદીમાં રસદર્શ્ન મુક્યું. ૬૦ કવિઓનો પરિચય અને તસ્વીર કે ચિત્ર પણ ઉમેર્યાં. એનું ચતુરંગી મુખપૃષ્ઠ પણ તૈયાર કરાવ્યું. તે માટે નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ પાસે શુભેચ્છા સંદેશ લખાવ્યો. અન્ય કવિઓમાં સંત જ્ઞાનેશ્વર, કબીરજી, નરસિંહ મહેતા, મીરાંબાઇ, સૂરદાસજી, તુલસીદાસ, તોરલ, કવિ ભાણ, મુક્તાનંદ, મોરાર સાહેબ, આનંદઘન, પ્રીતમ, ધીરા ભગત, નિષ્કુળાનંદ જેવાં સંત કવિઓનાં ભજનો તો ગાંધીયુગના નરસિંહરાવ દીવેટિયા, કવિ ન્હાનાલાલ, ટાગોર, મેઘાણી, સુંદરજી બેટાઇ, રા.વી. પાઠક, કરસનદાસ માણેક, સ્નેહરશ્મિ, વેણીભાઇ પુરોહિત, પ્રજારામ રાવળ, સુંદરમ્‌, ઉમાશંકર, મકરંદ દવે, મીનપિયાસી, ધીરુ પરીખ, ઉશનસ્‌થી લઇ રાવજી પટેલ, રમેશ પારેખ, રાજેંદ્ર શુક્લ, સુંદરમ ટેલર અને વીરંચી ત્રિવેદી સુધીના કવિઓની રચના સામેલ કરી છે. કાવ્યોની પસંદગીમાં અને રસદર્શન લખવામાં તેમને વડોદરાના તેમના મિત્રો સુંદરમ ટેલર અને વીરંચી ત્રિવેદીએ સહાય કરી. સંગ્રહ માટે બળવંત જાનીએ પ્રસ્તાવના લખી. બળવંતભાઈએ રમેશભાઈના અવસાન બાદ શોક વ્યકત કરવા મારી સાથે ફોન પર વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે રમેશભાઈનું કામ હતું એટલે બહુ મહેનત કરી, ૨૮ પાનાં જેટલી લાંબી પ્રસ્તાવના તેમણે તૈયાર કરી હતી. આ સંગ્રહના વિમોચન માટેના કાર્યક્રમની યોજના પણ તેમના મનમાં હતી. તેમાં પ્રભાતદેવ ભોજક, ગિરિરાજ ભોજક, માયા દીપક વગેરે ગાયકોએ કઇ કૃતિ રજૂ કરવી, તેની ફાળવણી કરી તેમને તે માટે તૈયારી કરવા સૂચના આપી હતી. કાર્યક્રમમાં આ સૌને પોંખવા માટે સ્મરણિકાઓની ડિઝાઇન એમણે વિદ્યાનગરના કલાકાર અજીત પટેલ પાસે તૈયાર કરાવી, તેનો ઓર્ડર પણ આપી દીધો હતો અને તે પ્લેક તૈયાર થઇને પણ આવી ગઈ હતી.

આ ઉપરાંત “સોનેરી વાંસળી” નામના બીજા એક સંગ્રહની પણ તેઓ તૈયારી કરતા હતા જેમાં તેઓ પોતાના કૃષ્ણ ભક્તિનાં કાવ્યો જ સમાવવાના હતા, અને તે કામ શરૂ કરી દીધું હતું.

તેમણે પોતાની આત્મકથા પણ તૈયાર કરીને રમેશ તન્નાને સંપાદનનું કામ સોંપ્યું હતું, પણ એ પણ અધૂરું રહ્યું. એમના જીવન પ્રસંગો વાંચતાં ખ્યાલ આવે છે કે બાળપણથી તેઓ કેટલા ઉત્સાહી હતા અને કેવા કેવા અનુભવોમાંથી પસાર થઇને ઘડાયા હતા.

ખાસ કરીને તેમનો સંગીતનો શોખ અને સમજ કઇ રીતે વિકસી તેનો એક કિસ્સો એવો છે કે મેટિૃક પાસ કર્યા બાદ, તેમને પિતાજીએ બર્મા આવી જવા કહ્યું. તે માટે કલકત્તા જઈ વીઝા લેવા પડે, અને સ્ટીમરની ટિકિટ ખરીદવી પડે. તે માટે તેઓ ત્યાં એક ગુજરાતી ચાના વેપારીને ત્યાં રહ્યા. વીઝા મેળવવામાં ઘણા દિવસ (કદાચ મહિના) લાગ્યા. તે દરમિયાન એ વેપારીના ઘરે માસ્ટર વસંત આવીને રોકાયા અને રમેશભાઈ તેમની સાથે તેમનું હાર્મોનિયમ ઊંચકીને બધે જતા અને ફરતા તેમાં તેમને સંગીતનું જ્ઞાન મળ્યું અને ચસકો પણ લાગ્યો.

આ બધાં કામ અધૂરાં મૂકી, અચાનક જ તેમને તેડું આવી ગયું અને તેઓ ચાલી નીક્ળ્યા.

‘કુમાર’ના ડિસેમ્બર 2018ના અંકમાં નટુ પરીખે તેમનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. ઓગષ્ટ, 2021માં મગજને લોહી પહોચાડતી ધોરી નસમાં બ્લોક હોવાનું નિદાન થયું, તે માટે સર્જરી કરાવી પણ સર્જરી બાદ થોડા દિવસે બેભાનાવસ્થામાં સરી પડ્યા અને તે અવસ્થામાં દોઢ મહિનો રહ્યા બાદ તેઓ અનંતની સફરે ચાલી નીકળ્યા. અનેકવિધ પ્રવૃત્તિઓ ભરેલા તેમના જીવનનો ટૂંકમાં પરિચય પામવાનું અઘરું છે. દીકરા કલ્પેશ, નાના ભાઈ-ભત્રીજા અને બહોળા મિત્રવર્તુળને તેઓ પાછળ મૂકી ગયા છે.

પોતાની સર્જન પ્રક્રિયા વિષે એમણે લખ્યું કે, ‘કોઈ મારામાં નિરંતર ગાયા કરે છે અને હું તેને કાગળ પર ઉતારી લઉં છું.’

કેટલાં હ્રદયો મહી મેં ઘર કર્યું છે જોઈ લો
જ્યાં જ્યાં હતા દ્વાર ખુલ્લા ત્યાં પ્રવેશ્યો દોસ્તો

૦ ૦

એક દિન હંસો અમારો આભમાં ઉડી જશે
પ્રણય કેરા દેવળો યુગ યુગ ઊભા છે દોસ્તો !!!

Email: jagdish.jb@gmail.com

[લેખક રમેશ પટેલના નાના ભાઈ છે]

પ્રગટ : “કુમાર”, ફેબ્રુઆરી 2022; ‘માધુકરી’, પૃ. 58-60 – સુધારેલી, વધારેલી આવૃત્તિ

Loading

સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર હવે ફક્ત ધ્વનિમુદ્રણ સ્વરૂપે

અભિજિત વ્યાસ|Opinion - Opinion|2 March 2022

લતા મંગેશકર (જન્મઃ 28 સપ્ટેમ્બર 1929 – અવસાન 06 ફેબ્રુઆરી 2022) એ ભારતીય સંગીતનો એવો મધુર અવાજ છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે.

ધ્વનિને મુદ્રિત કરવાની વૈજ્ઞાનિક શોધને કારણે જ આપણે આજ લતા મંગેશકર જેવી સ્વર સામ્રાજ્ઞીના કંઠને સાચવી શકયા છીએ. અન્યથા આ છ ફેબ્રુઆરીના રોજ એમના થયેલા અવસાનની સાથે જ એઓ તાનસેનની જેમ માત્ર દંતકથા જ થઈ જાત.

લતાજીની વિદાયને કારણે આ દિવસોમાં અનેક લોકોએ અનેક વાતો લખી છે. પ્રિન્ટ અને સોશિયલ મીડિયા તો આ બધાથી ઊભરાઈ રહ્યું છે. ત્યારે એ બધાથી કંઈક જુદી રીતે લખવાની ઇચ્છા થાય છે.

સિનેમાના પાર્શ્વગાયનક્ષેત્રે લતા મંગેશકર જેવી ગાયિકાનું આગમન નહોતું થયું, ત્યારે શમશાદ બેગમ, અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી, નૂરજહાં, કાનનદેવી વગેરે અનેક જુદી જુદી ગાયિકાઓનો અવાજ સાંભળવા મળતો હતો. આ પછી લતા મંગેશકરનું આગમન થયું. ફિલ્મ જગતમાં લતા મંગેશકરનો પ્રવેશ પહેલાં એક અભિનેત્રી તરીકે થયો હતો. પણ ગાયિકા તરીકે એને સફળતા મળતાં અભિનયનું કાર્ય છોડી દીધું. પ્રારંભનાં વર્ષો બાદ લતા મંગેશકર સેટ થઈ ગયાં તેમ તેમ આ બધી ગાયિકાઓ જૂની થતાં એ બધી સંભળાવી બંધ થઈ અને પછી કેટલાં ય વર્ષો સુધી લતા મંગેશકરનું જ એકચક્રી શાસન ચાલ્યું. બીજા અવાજો (સુમન કલ્યાણપુર) હોવા છતાં ભાગ્યે જ કોઈ સાંભળવા મળતા. આ પરિસ્થિતિ અનેક વર્ષો રહ્યાં બાદ આઠમા દાયકા બાદ તેમાં બદલાવ આવવો શરૂ થયો હતો.

ભારતીય ફિલ્મસંગીતને તેનો ચિરસ્મરણીય અવાજ લતા મંગેશકર દ્વારા  મળ્યો. અનેક ગાયક અને ગાયિકાઓમાં લતા મંગેશકર પાર્શ્વગાયનમાં મોખરે રહી; એટલુ જ નહીં, તે બધા સંગીતકારો અને શ્રોતાઓની માનીતી ગાયિકા પણ બની. પ્રત્યેક સમયે લતાએ શ્રેષ્ઠતમ ગીતો આપ્યાં છે જે શાસ્ત્રીય સંગીત તથા હળવા સંગીતના પ્રકારોમાં અવર્ણનીય છે. લતા ઉપરાંત મંગેશકર કુટુંબની અન્ય બહેનો પાર્શ્વગાયનના ક્ષેત્રે આવી, જેમાં લતા પછી બીજા નંબરે બિરાજમાન એની બહેન આશા ભોસલેનું નામ યાદ આવે (ઉષા મંગેશકરે બહુ જૂજ ગીતો ગાયાં છે). અલબત્ત, આ બન્નેના અવાજમાં ઘણો જ તફાવત છે. આ બન્ને બહેનોના આગમનને યાદ કરતાં ખ્યાતનામ સંગીતદિગ્દર્શક અનિલ વિશ્વાસે એક વખત કહેલું કે, 'આશાના અવાજને શરીર છે, તો લતાના અવાજને આત્મા. જે દિવસોમાં અમને સંગીત દિગ્દર્શકોને નસીમબાનુ જેવી ગાયિકા પાસે પણ ગવડાવવું પડતું હતું, તે દિવસોમાં લતા આ ક્ષેત્રમાં આવી. અને અમને દેવદૂત આવ્યા જેવું લાગ્યું. ચિત્રપટસંગીતમાં બનેલો લતા એ સૌથી ઉત્તમ અકસ્માત છે.' અનિલ વિશ્વાસ જેવો જ અભિપ્રાય લગભગ બીજા તમામ સંગીતદિગ્દર્શકોનો રહ્યો છે. પ્રત્યેક સંગીતકારે એની બંદિશનું શ્રેષ્ઠ ગીત લતા મંગેશકર પાસે ગવડાવવાનો આગ્રહ રાખ્યો છે કે ગવડાવ્યું છે.

લતા મંગેશકરનાં શ્રેષ્ઠ ગીતોની સૂચિ લાંબી અને સરસ થઈ શકે તેમ છે. છતાં આ મધુર કોકિલકંઠી ગાયિકાએ પોતાનાં શ્રેષ્ઠ ગીતોની પસંદગી કરવામાં હંમેશાં અપરિપકવતા દેખાડી છે. એ ન સમજાય એવી અસાધારણ વાત છે – જેમ કે લતાને જ્યારે પૂછવામાં આવતું કે આપનું શ્રેષ્ઠ ગીત કયું, તો એક એવો ઉડાઉ જવાબ આપે કે 'આયેગા આનેવાલા’ (ફિલ્મઃ મહલ) પણ આ ગીત બંદિશની નજાકતની દૃષ્ટિએ કે ગાયિકીની દૃષ્ટિએ, એમ કોઈ જ રીતે પ્રશંસાત્મક નથી. આથી વધુ સારાં ગીતો લતાએ ગાયાં જ છે. જાણીતા મરાઠી લેખક શિરીષ કાણેકરે પણ નોંધ્યું છે કે, 'પોતાને ગમતાં ગીતો પંસદ કરતી વખતે લતાએ બહુ વિચાર કર્યો નથી. તરત સૂઝ્યાં તે ગીતો આપી દીધાં. લતા આવી બેદરકારી કેમ દેખાડે? તેની પસંદગી જાણવા માટે ઉત્સુક હોય એવા લાખો રસિકોને આમ છેતરવાનું તે શું કામ કરે? પોતાનો થોડો સમય આપીને, મહેનત કરીને તેણે પોતાની યાદી તૈયાર ન કરવી જોઈએ? ગીત પસંદ કરવાની લતાની ઉપરછલ્લી રીતને લીધે કુશળ સંગીતકારોની એક પણ રચનાનો નંબર નથી લાગ્યો.’ ('ગાયે ચલા જા' લેખક : શિરીષ કાણેકર, અનુવાદઃ જયા મહેતા, પૃષ્ઠ – પ) લતા મંગેશકરની આ ઉપરછલ્લી રસમનો અનુભવ શ્રોતાઓને લતાએ ગાઈને પ્રગટ કરેલી શ્રદ્ધાંજલિની કૅસેટોમાં પણ થશે. આ કૅસેટોમાં મૃત ગાયકોને અંજલિરૂપ તેઓનાં લતાએ ગાયેલાં ગીતો છે. તે ખૂબ સારી રીતે ગવાયેલાં હોવા છતાં જે બધાં ગીત પંસદ થયાં છે તે બધાં પુરુષગાયકોનાં શ્રેષ્ઠ નથી જ. એટલે લતાએ આ ગીતો કેમ પંસદ કર્યાં છે એવો પ્રશ્ન પણ રહે. અહીં શિરીષ કાણેકરનું અન્ય એક નિરીક્ષણ નોંધનીય છે. 'જે ગીતો લતાએ’ ગાયાં છે અને કોઈક ગાયકોએ પણ ગાયાં છે એવાં ‘દો પહેલુંવાલે’ ગીત ધ્યાનમાં લઈએ તો એક બાબત બહુ જ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે બધાં ગીતોમાં પુરુષગાયકોએ લતાને માત કરેલી જણાય છે; એટલું જ નહીં પણ દરેક ગીત લતા કરતાં વધારે પ્રભાવશીલ અને લોકપ્રિય રહ્યું છે. લતા કયાં ય ઊણી ઊતરતી ન હોવા છતાં આમ કેમ બને? કદાચ લતા પાસે આ પ્રશ્નનો સંતોષકારક જવાબ હશે.’ ('ગાયે ચલા જા’ લેખક : શિરીષ કાણેકર, અનુવાદઃ જયા મહેતા, પૃષ્ઠ – ૧૮)

લતા મંગેશકરે પોતે પણ કેટલીક મરાઠી ફિલ્મોમાં 'આનંદઘન’ના ઉપનામથી પાર્શ્વસંગીત આપેલું છે. આવી ફિલ્મોમાં 'સાધી મનસા’ કે 'થામ્બડી માટી’ અને બીજી ફિલ્મોનું લતાએ આપેલું પાર્શ્વસંગીત અને ગીતો વખણાયેલાં પણ છે. પણ આ જ લતાને હિન્દી ફિલ્મ પાર્શ્વસંગીતને માટે કે ગીતના સ્વરનિયોજન માટે ન મળી. સાતમા દાયકામાં જ્યારે લતાએ એવી ફરિયાદ કરવી શરૂ કરી કે સંગીતનું ધોરણ ઘણું જ કથળી ગયું છે, ત્યારે પણ તેણે કોઈ ઉત્તમ ગીતનું સ્વર નિયોજન કરીને બતાવી આપ્યું કે ગીતોનું ધોરણ કેવું જળવાવું જોઈએ. લતાએ ગાયેલાં ગેરફિલ્મી ગીતો જેવાં કે મીરાંનાં ભજનો તથા બીજાં ગીતોની બંદિશો પણ તેના ભાઈ હૃદયનાથ મંગેશકરે બાંધી હતી ત્યારે પ્રશ્ન જરૂર થાય કે લતાએ પોતે જ કેમ તે ગીતોની બંદિશ તૈયાર કરી નહીં? આ અને આવા બીજા અનેક પ્રશ્નો લતાના પ્રદાનની સાથે સંકળાયેલા રહેવાના છે.

કેટલાક શ્રોતાઓની ફરિયાદ છે કે લતા મંગેશકરનો અવાજ હવે નથી ગમતો. એ એકધારો ટેપ જેવો લાગે છે. આજે નવી ગાયિકાઓ પણ અનેક ઊભરી આવી છે. અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં લતા મંગેશકરે બહુ ઓછાં ગીતો ગાયાં છે. છતાં ભારતીય ફિલ્મસંગીતને લતાથી જુદું પાડીને વિચારી શકાય તેમ નથી અને એ રીતે લતા મંગેશકર ચિરસ્મરણીય જ રહેશે. આજની અનેક છોકરીઓને સૂરમાં ગાતાં લતાજીએ જ શીખવાડ્યું છે તેમ કહીએ તો પણ ચાલે.

સૂરની બાબતમાં લતાની તોલે કોઈ ન આવે. આપણે ત્યાં કેટલા ય ગાયકો એક 'સા’થી નથી ગાતા. એની સામે લતાના સૂરો બધાં જ ગીતોમાં અત્યંત ચોક્કસ હોય છે. આ સંદર્ભમાં ઉસ્તાદ બડે ગુલામ અલીખાં યાદ આવે. ઉસ્તાદ બડે ગુલામ અલીએ એક વખત એવું કહ્યું હતું કે,  'આ છોકરી (લતા) કદી બેસૂરી નથી થતી. શી અલ્લાહની દેન છે!' લતાના આ સુરીલાપણાએ જ અનેક છોકરીઓને સૂરમાં ગાતા શીખવ્યું. તમે લતાની નકલ કરો એટલે સમજ ન હોય તો પણ તેની નકલ પણ સૂરમય થઈ જાય છે. લતાને અનેક શાસ્ત્રીય ગાયકોને સાંભળવાનો શોખ હતો. ભીંડી બજાર  ઘરાનાના ગાયક ઉસ્તાદ અમાનઅલી ખાન સાહેબનું શિષ્યત્વ લતાજીએ સ્વીકાર્યું હતું તેથી લતાજી ભીંડી બઝાર ઘરાનાના ગાયક કહેવાય. અનેક શાસ્ત્રીય ગાયકો અને વાદકોના કાર્યક્રમોમાં લતાજી ખાસ શ્રોતા તરીકે હાજર રહેતાં. કૌશિકી ચક્રવર્તીને સાંભળવાની ઈચ્છા લતા મંગેશકરને હતી અને તેને જાણવા મળ્યું કે મુંબઈમાં કૌશિકીનો કાર્યક્રમ છે કે તરત જ લતાએ ટિકિટ ખરીદી લીધી હતી. એમણે ધાર્યું હોત તો આ કાર્યક્રમનો પાસ મેળવી શક્યાં હોત કે ચીફ ગેસ્ટ પણ થઈ શક્યાં હોત. પણ લતાજીએ કૌશિકી ચક્રવર્તીનો કાર્યક્રમ ટિકિટ ખરીદીને સાંભળ્યો. લતાજીની આ જ મહાનતા છે.

લતા મંગેશકરનાં કેટલાંક ગીતો યાદ કરું તો મને સૌ પ્રથમ તો એમનાં ગેરફિલ્મી ગીતોમાં મીરાં ભજનોને યાદ કરવાં ગમે. 'નીસદીન બરસત નૈન હમારે’ પણ યાદ આવે. ખાસ તો ફિલ્મ 'અનુરાધા’નાં ગીતો અને તેમાં પણ 'સાંવરે સાંવરે’ને યાદ કરવું ગમે. આ ગીતની બંદિશ પંડિત રવિશંકરે રચેલી છે અને તેમાં આડી લય છે. જેથી લતાજીને પણ તે ગાવું અઘરું લાગેલું અને અનેક રિટેક લેવા પડેલા. પંડિત રવિશંકર પણ એમના પર ગુસ્સે થયેલા ત્યારે લતાજી રડી પડેલાં એવું એમણે જ એક વખત કહેલું. લતા મંગેશકરની ભગવદ્ગીતા’ (અધ્યાય ૮, ૧ર અને ૧પ), જ્ઞાનેશ્વરીની અને મીરાં ભજનની રેકૉર્ડ અત્યંત સાંભળવા જેવી છે. પણ ગાલિબની ગઝલની પ્રસ્તુતિ કરતી રેકૉર્ડ સદંતર નિષ્ફળ ગઈ હતી. લતાજીએ અનેક ગુજરાતી ગીતો પણ ગાયાં છે અને તેમાંનાં કેટલાંક પણ અત્યંત યાદગાર છે. લતાજીએ ફિલ્મ સંગીતને બે અણમોલ વાદકો આપ્યા તે પ્યારેલાલ (એમણે લતાજીનાં અનેક ગીતમાં વાયોલિન વગાડેલું અને લક્ષ્મીકાન્ત–પ્યારેલાલની જોડી તો પછી થઈ અને એ પછી પણ પ્યારેલાલે લતાજીનાં અનેક ગીતોમાં ફોલો કરેલું.) અને બીજા તે સારંગીવાદક ઉસ્તાદ સુલતાન ખાન.

લતા મંગેશકરનાં એક ગાયિકા ઉપરાંત બીજાં પણ કાર્યો યાદ કરવા જેવાં છે. લતાજીને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. તેઓ અવારનવાર ખાસ ફોટોગ્રાફી કરવા માટે આઉટિંગ પર જતાં. અને નેચર અને કેન્ડીડ શૈલીની ફોટોગ્રાફી કરવી બહુ ગમતી. આ માટે ખાસ ટેલિફોટોલેન્સ પણ એમણે વસાવેલાં હતાં. એમને તેમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન કરવાની ઇચ્છા પણ હતી. એમ એમને રમતગમત અને ખાસ કરીને ક્રિકેટનો બહુ શોખ હતો અને ક્રિકેટ મૅચ ખાસ સ્ટેડિયમમાં બેસીને જોવાનો આગ્રહ રાખતા. એ જ રીતે લતાજીને અત્તર(પરફ્યૂમ)નો બહુ શોખ હતો અને હંમેશાં તેઓ બહાર નીકળતી વખતે લગાડીને જ નીકળતાં. આ બાબતને ધ્યાનમાં આખીને એક કંપનીએ 'લતા’ નામનું એક સેન્ટ પણ બજારમાં મૂકયું હતું. એનું લૉન્ચિંગ પણ એમણે કરેલું.

નાનપણમાં જોયેલી કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિ અને પૈસા અને મેડિકલ સુવિધાઓને અભાવે પિતાનું થયેલું મૃત્યુ લતાજીને હંમેશાં યાદ રહેલું. તેના પરિણામે એમણે 'ધ લતા મંગેશકર મેડિકલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. એના ઉપક્રમે એમણે એક દસ માળની ૪પ૦ બેડની વિશાળ (ર૭,૦૦૦ સ્ક્વેર ફૂટના એક માળની) હૉસ્પિટલની યોજના કરી હતી જેમાં બધા વર્ગોના લોકોને જરૂરી સારવાર મળી રહે તેવું આયોજન હતું. આ હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને થતા ખર્ચના ત્રીસ ટકા એમનું ફાઉન્ડેશન ભોગવે એવી એમની યોજના હતી. આ હૉસ્પિટલનું હાલ પૂનામાં બાંધકામ ચાલી રહ્યું છે.

લતા મંગેશકર એ ભારતીય સંગીતનો એવો મધુર અવાજ છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 14-15

Loading

...102030...1,4801,4811,4821,483...1,4901,5001,510...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved