Opinion Magazine
Number of visits: 9671847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે ત્યાં પ્રગલ્ભ નાગરિકો સામેનો મોટો પડકાર

રમેશ ઓઝા|Opinion - Opinion|23 June 2022

આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા સુધી પહોંચતા અટકાવવા માટે સંગઠિતપણે અને વ્યૂહાત્મક ધોરણે મતદાન કર્યું હતું અને ઇમેન્યુઅલ મેક્રોનને ફરી વાર ચૂંટી આપ્યા, એ ઘટનાને હજુ બે મહિના પણ નથી થયા, ત્યાં ફ્રાંસના એ જ પ્રગલ્ભ મતદાતાઓએ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સજા કરીને મજા પણ ચખાડી દીધી છે. ફ્રાંસમાં પ્રમુખપદની અને ત્યાંની લોકસભા(નેશનલ એસેમ્બલી)ની એમ બન્ને ચૂંટણી દેશના નાગરિકો મતદાન કરીને કરે છે. ફ્રાંસમાં પ્રમુખને ઘણી સત્તા છે, પણ એ સત્તા સાવ અબાધિત પણ નથી, તેમણે ત્યાંની લોકસભા પાસેથી કેટલીક મહત્ત્વની બાબતે મંજૂરી લેવી પડે છે.

૨૦૦૨ પછી મેક્રોન ફ્રાંસના પહેલા પ્રમુખ છે જેને મતદાતાઓએ બીજી મુદ્દત માટે ચૂંટી આપ્યા હતા. ૨૦૦૨ની સાલમાં જેક્સ ચિરાક બીજી મુદ્દત માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. નેશનલ એસેમ્બલીની કુલ ૫૭૭ બેઠકોમાંથી મેક્રોનના પક્ષને અને મોરચાને ૨૪૫ બેઠકો મળી છે. સાદી બહુમતીથી ૪૪ બેઠકો ઓછી મળી છે. ફ્રાંસના ડાબેરી મોરચાને ૧૩૧ બેઠકો મળી છે અને મેરી દ પેનના નેશનલ રેલી નામના પક્ષને ૯૦ બેઠકો મળી છે. ખાસ નોંધવા લાયક અને ચિંતાજનક બાબત એ છે કે પાછલી લોકસભામાં મેરીના પક્ષની માત્ર દસ બેઠકો હતી જે વધીને ૯૦ થઈ છે. દસ ગણો વધારો.

જગત આખામાં જમણેરી પ્રતિક્રિયાવાદી ઝનૂની લોકોની સંખ્યા વધી રહી છે. મુસ્લિમવિરોધ મુખ્ય પ્રેરકબળ છે, પણ ઝનૂની લોકો એ સમજતા નથી કે મુસ્લિમોને જગ્યા બતાવવી હોય તો કાયદાના રાજનો ત્યાગ કરવો પડે અને સરવાળે એ બહુમતી કોમને જ નુકસાન પહોંચાડે એમ છે. એકંદરે આ બહુમતી પ્રજા માટે ખોટનો સોદો છે. પણ જે ઝનૂની છે એને સમજાવવા મુશ્કેલ છે, કારણ કે તેમનામાં સમજશક્તિ નથી એટલે તો ઝનૂની છે. જ્યાં સમજ જ ન હોય ત્યાં સમજાવવા કેવી રીતે? માટે ઉપાય એક જ છે કે સમજદાર નાગરિકો લોકતાંત્રિક સેક્યુલર ફ્રાંસને બચાવવાનું બીડું ઝડપે અને લોકતંત્રમાં મત એક સાધન છે. જો એ સાધનનો ગણતરીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો દેશને ફાસિસ્ટોથી બચાવી શકાય. ૨૫મી એપ્રિલે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સમજદાર નાગરિકોએ ગણતરીપૂર્વક મતદાન કરીને દેશને બચાવી લીધો હતો.

પણ એનો અર્થ એવો પણ નથી કે લોકતંત્ર અને સેક્યુલર શાસક સત્તામાં આવ્યા પછી હંમેશાં મર્યાદામાં રહેશે. આખા જગતનો અનુભવ એવો છે કે શાસકો છકી જતા હોય છે અને તેમને સખણા રાખવા પડતા હોય છે. આને માટે લોકતાંત્રિક સંતુલન જરૂરી છે. એપ્રિલ મહિનામાં જે પ્રગલ્ભ નાગરિકોએ મેક્રોનનો હાથ પકડ્યો હતો એ જ પ્રગલ્ભ નાગરિકોએ લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોને બેઠકો આપીને હાથ બાંધી પણ લીધા છે. મેક્રોને હવે ડાબેરી પક્ષોની મદદ લેવી પડશે અને એમાં ફ્રાંસનું કલ્યાણ છે.

સત્તા સ્વભાવત: નશો પેદા કરે છે અને જો શાસકમાં વિવેક ઓછો પડતો હોય તો શાસક મર્યાદા ઓળંગવા લાગે છે. એમાં જો શાસક બહુમતી રાષ્ટ્રવાદી અર્થાત્ ફાસીવાદી હોય તો બંધારણીય લોકતાંત્રિક દેશનું આવી બન્યું સમજો. માટે ફ્રાંસના પ્રગલ્ભ મતદાતાઓએ પેન માટે દરવાજા બંધ કરી આપ્યા અને બે મહિનામાં મેક્રોનના હાથ બંધી આપ્યા.

આપણે જો લોકતંત્ર અને કાયદાનું રાજ બચાવવા માગતા હોઈએ તો ફ્રાંસના મતદાતાઓ પાસેથી ધડો લેવો જોઈએ. ઝનૂની ભક્તો સાથે માથાફોડી કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેમનો મુસ્લિમદ્વેષ એટલો તીવ્ર છે કે જો મુસલમાનનું બુરું થતું હોય તો તે પોતાનાં સંતાનોનું ભવિષ્ય રોળી નાખવા તૈયાર છે. તેમને બિચારાઓને શક્તિ (શક્તિ હંમેશાં સાચી જ હોય) અને માથાભારેપણાં વચ્ચેનો ફરક જ સમજાતો નથી. શક્તિ એકલવીર પેદા કરે અને માથાભારેપણું ટોળાં પેદા કરે અને ટોળાંમાં વિવેક નથી હોતો એ તો સનાતન સત્ય છે. માટે આપણે ત્યાં પ્રગલ્ભ નાગરિકો સામેનો પડકાર મોટો છે.

પહેલી જરૂરિયાત છે બહુપક્ષીય લોકતંત્ર અને સમવાય ભારતને બચાવવાની. લોકતંત્રમાં વિરોધ પક્ષો હોવા જરૂરી છે વિરોધ પક્ષોને સમાન રાજકીય જગ્યા (ઇક્વલ પોલિટીકલ સ્પેસ) મળવી જોઈએ. બી.જે.પી.ના નેતાઓ પૈસાના જોરે અને ડરાવીને પક્ષાંતર કરાવીને વિરોધ પક્ષોને કમજોર કરી રહ્યા છે. બીજું તેઓ એક પછી એક રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારોને તોડી રહ્યા છે. કર્ણાટક અને મધ્ય પ્રદેશ પછી હવે મહારાષ્ટ્રનો વારો છે. રાજસ્થાનની સરકારને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં મતદાતાઓ સમક્ષ રાજકીય વિકલ્પ ન રહેવો જોઈએ. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં બી.જે.પી.ને પ્રવેશ ન મળે તો પણ વાંધો નહીં. જ્યાં ઝનૂની હિંદુઓની સંખ્યા વધુ છે અને જેમાં લોકસભાની અંદાજે ૪૦૦ જેટલી બેઠકો છે ત્યાં વિરોધ પક્ષોને લકવાગ્રસ્ત કરી નાખવાના. વિરોધ પક્ષોના વિધાનસભ્યોને બને ત્યાં સુધી ખરીદીને વાડામાં પૂરો અને નહીં તો ડરાવીને વાડામાં લઈ આવવાના.

દેશનું લોકતંત્ર જ્યારે ખતરામાં છે ત્યારે ફ્રાંસની જેમ નાગરિકોએ સજ્જ થવું પડશે. જો કાયદાનું રાજ બચાવવું હશે તો સંતુલિત લોકતંત્ર અનિવાર્ય છે અને કાયદાના રાજમાં જ પ્રજાની સલામતી છે, પછી તમે લઘુમતીમાં હો કે બહુમતીમાં. જગતના જે જે દેશોમાં એકપક્ષીય રાજ છે એ દેશોની હાલત તપાસી જુઓ. ત્યાંની બહુમતી કોમની હાલત તપાસી જુઓ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2022

Loading

મન્તવ્ય-જ્યોત—16

સુમન શાહ|Opinion - Opinion|23 June 2022

જ્યોત ૧૬ : તન્ત્રીય નિર્ણય – ઍડિટોરિયલ ડિસિશન :

અંગ્રેજીમાં શબ્દ છે, ‘ઍડિટર’. એના સાથીને ‘કોઍડિટર’ કહેવાય છે. એમનું કામ ઍડિટોરિયલ ડિસિશન લેવું તે છે – એટલે કે, લેખકો તરફથી મળેલાં લખાણો વિશે સ્વીકાર્ય કે અસ્વીકાર્યના નિર્ણય કરવા. પ્રકાશનયોગ્ય લાગે તે લખાણને સુધારવામાં આવે, કાપકૂપ થાય અને છેલ્લે લેખકને જણાવાય. ફર્સ્ટ ડિસિશન હોય, સૅકન્ડ ડિસિશન પણ હોય; ઍડિટરે ઘણો શ્રમ લેવાનો હોય છે.

આપણે ત્યાં ઍડિટર = તન્ત્રી હોય, પણ કોઍડિટર = સહતન્ત્રી ન હોય; તેને સ્થાને ‘તન્ત્રી’ જોડે ‘સમ્પાદક’ હોય. ઘણે ભાગે હવે તો ‘સમ્પાદક’ જ બચ્યો છે, ‘તન્ત્રી’ અદૃશ્ય થવા લાગ્યો છે.

એક એવી વણ-લિખિત સમજ પ્રવર્તતી હતી અને હજી પ્રવર્તે છે કે લેખકો તરફથી મળેલી સામગ્રીને સમ્પાદક એકઠી કરે, સુધારે, વગેરે તન્ત્રીનું જ કામ કરે; તે પછી તન્ત્રી એ પર ‘નજર નાખી જાય’ ને છપાવા મોકલી આપે.

પરન્તુ, સમ્પાદકે યોગ્ય ગણેલી કૃતિને તન્ત્રી યોગ્ય ન ગણે તો? ત્યારે બન્ને વચ્ચે શું થતું હશે? કૃતિની સાહિત્યિક ગુણવત્તા વિશે સ્વચ્છ ચર્ચા થતી હશે? ભલે, છોડો; એને રસોડાની વાત ગણીને બાજુએ મૂકીએ.

પણ આપણા લેખકસમાજને તેમ જ વાચકસમાજને એ ખબર નથી પડતી કે લખાણને પ્રકાશન-યોગ્ય ગણવાનો અન્તિમ નિર્ણય એ બે-માંથી કોણે લીધો.

કેમ કે છેવટે તો અન્તિમ નિર્ણય જ મહત્ત્વનો ગણાય. કેમ કે અન્તિમ નિર્ણયની અસર સમગ્ર પરિદૃશ્ય પર થવાની, જાણવા મળે કે – શું અને કેવું લખાઈ રહ્યું છે – નવી કલમો આવું આવું લખે છે – નીવડેલા લેખકો એવું ને એવું લખે છે, સાહિત્યની દશા અને દિશા આવી છે. વગેરે વગેરેની સૌને ઝાંખી થાય.

હું આપણાં સામયિકોને પ્રસૂતિગૃહ ગણું છું. મોટાભાગનાં લેખનો પહેલી વાર સામયિકોમાં જન્મે છે અને તે પછી આપણા લેખકો એને પુસ્તકાકારે પ્રકાશિત કરે છે. યાદ કરો, ‘વસંત’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ફારબસ ત્રૈમાસિક’, ’સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’, ‘ક્ષિતિજ’, ‘ખેવના’, 'સન્ધિ' ‘એતદ્’, 'તથાપિ', (પહેલાંનું) 'ઓપિનિયન', વગેરે વગેરે.

આપણે બરાબર સમજી લેવાની જરૂરત છે કે સાહિત્યપદાર્થના પ્રસવ પરત્વે તન્ત્રીની ભૂમિકા શી છે અને તે કેટલી મોટી જવાબદારીનું કામ છે.

સમજીએ : એક જ વ્યક્તિ ‘તન્ત્રી’ હોય એવું બહુ ઓછી વાર જોવા મળ્યું છે. ‘તન્ત્રી’ સાથે ‘સમ્પાદક’ બરાબર, પણ ત્રણ-ત્રણ સમ્પાદકો ય હોય છે. એ ત્રણની સજજ્તા વગેરે વીગતોને ધ્યાનથી તપાસતાં લાગશે કે એ જોગવાઈ તન્ત્રીકાર્યની જરૂરતે કરીને નથી એટલી વધારે તો શોભાની છે; ભૈબંધોને ખુશ રાખવા માટે પણ છે.

કહે છે, એક સામયિકના તન્ત્રીએ તો ‘સહાયક સમ્પાદક’ અને શી યે જરૂરત હશે તે ‘સહ-સહાયક સમ્પાદક’ નામની અતિ વધારાની વ્યવસ્થા ઊભી કરેલી. ‘સહ-સહાયક સમ્પાદક’ જેવું વિશિષ્ટ પદ સાંભળીને પેલો કદાચ હરખાઈ તો ગયેલો, પણ પૂછેલું : મારે શું કરવાનું? : તારે આ કવરો પર ટિકિટો ચૉંટાડવાની ને અંકો પોસ્ટઑફિસે પ્હૉંચાડવાના : પેલો શું બોલે?

સાહિત્યનો ઇતિહાસ જેવાં ગ્રન્થપ્રકાશનોના તન્ત્રીકાર્યમાં તો ૧૨-૧૨ સભ્યોનું ‘માર્ગદર્શક મંડળ’ જોવા મળ્યું છે. ૩-૩ ‘સમ્પાદકો’ નિમાયા હોય, ‘સહાયક-સમ્પાદક’ હોય, ‘પરામર્શક’ હોય, છતાં, છેવટે ‘શોધન-સંશોધન’ કરાવવું પડે ! એ તે કેવું માર્ગદર્શન? કેવુંક સમ્પાદન? કેવુંક પરામર્શન? અને શોધન-સંશોધન એક જ વ્યક્તિ કરે તે વખતે સમિતિ નહીં એવું કેમ?

મને સવાલ થયેલો કે સમ્પાદકો માર્ગદર્શક મંડળ જોડે અને માર્ગદર્શકો સમ્પાદકો જોડે અવારનવાર વિચારવિમર્શ કરતા હશે ખરા કે પછી સમ્પાદકોના નામની ભલામણ કરીને માર્ગદર્શકો છૂટી જતા હશે -? દિવંગતો વિશે મન ફાવે તે કદનાં સમ-વિષમ પ્રકરણો અને સાલની ભૂલો ભરેલા ‘ઇતિહાસ’ ગ્રન્થને શ્રદ્ધેય શી રીતે ગણવો? હું પોતે એકબે વાર સાલ બાબતે ભરમાઈ ગયેલો. આટલાં બધાં મસ્તક જોડાયાં હોય તો પણ સંગીન કામ જોવા ન મળે તો એ નામો શોભાનાં છે એમ માનવામાં ખોટું શું છે?

આપણે ત્યાંના તન્ત્રીકાર્યોની ડિઝાઇન તપાસીશું તો સમજાશે કે એમાં મોટાં મનાયેલાં નામોને અમસ્તાં જ જોડી દીધાં છે, સમજાશે કે કામ તો નાનાઓ જ કરતા હોય છે ! એમ પણ સમજાશે કે તન્ત્રી-સમ્પાદકના સમ્બન્ધમાં હાયરાર્કિ પ્રવર્તે છે – તન્ત્રી ઊંચો, સમ્પાદક નીચો. સમ્પાદકની પસંદગી પણ વયમાં એ નાનો હોય, શિખાઉ હોય, એ ધોરણે થતી હોય છે. સમ્પાદક તન્ત્રીથી મોટો હોય એવું મેં હજી લગીમાં તો જોયું નથી. ૧૮-૧૮ વર્ષ સુધી સમ્પાદક તરીકે નિ:શુલ્ક સેવાઓ આપી હોય એ વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે એના બહુમાન માટે નાનો સરખો જાહેર મેળાવડો પણ ન કરાય એની પાછળ શું હોય – મફતની મોટાઈ કે કંઈ બીજું?

એમ માનીએ કે તન્ત્રી અને સમ્પાદક બન્ને જણાએ સાથે બેસીને નિર્ણય લીધો છે. પણ તકલીફ ત્યારે ઊભી થાય છે કે સૅટ હાયરાર્કિને કારણે તન્ત્રી સમ્પાદકથી હમ્મેશને માટે પોતાને ચડિયાતો માનતો થઈ ગયો હોય છે. એ કારણે ઘણી વાર એનો હુંકાર ભાગ ભજવતો હોય છે. દાખલા તરીકે, સમ્પાદકે અમુક લેખકની કૃતિ સ્વીકારી હોય, તો તન્ત્રી એને ડોળો બતાવે – એ તો આપણા ટીકાકાર છે, એમનું નહીં છાપવાનું. પેલાએ તો કરી હોય સમીક્ષા; એવા સારા અર્થમાં ટીકા કે ગુણોની ટિપ્પણી કરવા જતાં મળી આવેલી બે મર્યાદાઓની વાત; પરન્તુ ટીકા = નિન્દા ન કરી હોય ! શું કરવાનું?

આપણાં સામયિકોનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે નામના અને મોટાભા તન્ત્રીઓની ઉદાસીનતાને કારણે તન્ત્રીપદ ક્રમશ: નાબૂદ થઈ ગયું છે ! સાથોસાથ, એવી સમજ ઘુસાડવામાં આવી કે કાગળ, છપાઈ, ટપાલ વગેરે બાબતોને માટેનાં કામો સંભાળે, એ બધાંના હિસાબકિતાબનું તન્ત્ર સંભાળે, તે તન્ત્રી ! 

પરિણામે, ધીમે ધીમે સમ્પાદકો જ ઍડિટિન્ગનું કામ કરવા લાગ્યા છે. એ નવતર પ્રથા આજે તો સુ-સ્થિર થઈ ગઈ છે. પરન્તુ, તન્ત્રીલેખ લખવો અનિવાર્ય છે એમ એ નવીનોમાંના બહુ ઓછા સમજે છે. અંક વ્યાકરણ અને જોડણી બાબતે શુદ્ધ હોવો જોઈએ એમ જાણવા છતાં એ વિશે બેપરવાઈ સેવાય છે. ભૂલો માટે માત્ર પ્રૂફરીડરને દોષી મનાય છે. કાલે સવારે પ્રિન્ટરને દોષી ગણે કે વાચકને કહે કે બધું સુધારીને વાંચી લેજો, તો નવાઈ નહીં.

એક જમાનો હતો, જ્યારે તન્ત્રીઓ પોસ્ટકાર્ડથી જવાબ અચૂક આપતા'તા; જવાબમાં આભારવચન તો હોય જ; આપણું જે અંકમાં છપાયું હોય એ અંક મોકલતા'તા; ૩થી ૫ ઑફપ્રિન્ટ્સ મોકલતા'તા; પ્રતીક પુરસ્કારનું મનિ-ઑર્ડર આવતું’તું…

સાર એ કે તન્ત્રીય નિર્ણયના સંકેતાર્થનું ધોવાણ થઈ ગયું છે – કૉનોટેશન ઑફ ધ ફ્રેઝ ‘ઍડિટોરિયલ ડિસિશન’ ઇઝ વૉશ્ડ આઉટ ! તન્ત્રીની વિદ્વત્તા અને તેથી ઊભો થતો પ્રભાવ ભાગ્યે જ જોવા મળે છે. દુ:ખદ પરિણામ એ છે કે કચરાજેવું વધુ છપાય છે ને તે જોઇને કચરાજેવું વધુ ને વધુ લખાય છે. કલા બાબતે ઉચિત-અનુચિતનો વિવેક ભુંસાઈ ગયો છે. એટલું જ નહીં, અભદ્ર રીતભાતો શરૂ થઈ ગઈ છે – જેમ કે, કહે છે કે અમુક સમ્પાદકો સ્ત્રી-લેખકોની કૃતિઓ પહેલી છાપે છે, કાચીપાકી હોય તો પણ ચલાવી લે છે, કેમ કે કશી સાહિત્યેતર લાલચથી સામેથી ચાહીને મંગાવી હોય છે. પુરુષલેખકોને દિવસો લગી ઉત્તર પણ નથી મળતા.

આ બધું ક્યાં લઈ જશે ને સાહિત્યકલા માગે છે એ ગામ્ભીર્યનું શું થશે?

આજે ભાગ્યે જ કોઈ સાહિત્યકાર એમ કહેવાની હિમ્મત કરે છે કે એ તન્ત્રી / સમ્પાદક તો નામના જ છે અને એથી તન્ત્રી / સમ્પાદકના પદની ગરિમાને હાણ પ્હૉંચે છે; એમને ઝટ દૂર કરો; નહિતર, ત્યાંલગી હું એ સામયિકમાં મારી કૃતિ નહીં મોકલું.

સમકાલીન લેખકો ગમે એ ભોગે છપાયેલું જોવાની પોતાની તલપને કાબૂમાં લે એમાં એમનું હિત છે. પોતાનું છપાયેલું જોઈને રાજી ભલે થાય, પણ રાજીના રેડ ન થાય. ખાસ જરૂરી એ છે કે તેઓ તન્ત્રીય નિર્ણયોને સમજવાની કોશિશ કરે – એમ કે પોતાના લેખનની બાજુમાં મુકાયેલા લેખનમાં દમ નથી તો પણ તે ત્યાં કેમ છે; નીવડેલા મનાતા કવિનું અ-કાવ્ય છે છતાં કેમ છપાયું છે. થોડીક તુલનાઓ કરવાથી ઘણાં રહસ્યો ખૂલી જતાં હોય છે.

ખરેખર તો એમ પણ જાહેર કરવું જોઇએ કે આ ભાઇ કાવ્યોનાં સમ્પાદન કરે છે, આ ભાઈ વાર્તાઓનાં, આ ભાઈ વિવેચનાત્મક લેખનોનાં. જણાવવું જોઈએ કે આ ભાઈ વ્યવસ્થાતન્ત્ર સંભાળે છે, આ ભાઈ અમારા પ્રૂફરીડર છે. મૂવિ કે ટી.વી.નાં ટાઇટલ્સમાં કામ પ્રમાણે જ તેના કર્તાનું યોગદાન અંકાય છે, એવું સામયિકોમાં કરવું અશક્ય તો નથી જ, પણ એવી ચોખવટો આપણને પરવડતી નથી. સાહિત્ય જેવી પરમ બાબતે પણ આપણને શક્ય એટલું બ્લૅન્કેટિન્ગ જ ફાવે છે.

૨૧-મી સદીમાં એ અને ઉપર્યુક્ત તમામ દેસીવેડાનું નિરસન કરવું જોઇશે.

= = =

(June 23, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જોઈ લ્યો ..

સંધ્યા ભટ્ટ|Poetry|23 June 2022

ચોતરફ ચાલ્યા કરે છે કોઈ નાટક, જોઈ લ્યો
આ નથી અવસર પરંતુ ઘોર પાતક, જોઈ લ્યો

પાદપ્રક્ષાલન કે ધ્વજ ફરકાવવાના કર્મકાંડ
આંખ ફાડીને ઊભી જનતા અવાચક, જોઈ લ્યો

ફૂટતી સરકાર કો ગુમડાની માફક ગોબરી
ઠેકઠેકાણે પડ્યા છે ઘાવ બાધક, જોઈ લ્યો

મૂળથી તે ટોચ લગ વ્યાપી ગયો છે જે સડો
વૈદ્ય સૌ ચાલી ગયા, આવ્યા પ્રચારક, જોઈ લ્યો

સાવ ભોળા બાપડા ને લાગણીશીલ આપણે
કે હવે બનવાનું છે થોડા વિચારક, જોઈ લ્યો

એક નીરો આગ વખતે મગ્ન ખુદના મોહમાં
બિનસલામત આ યુવાનો, ક્યાં છે શાસક ?? જોઈ લ્યો ..

Loading

...102030...1,4801,4811,4821,483...1,4901,5001,510...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved