Opinion Magazine
Number of visits: 9458995
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિરિયા, અફઘાનિસ્તાન પછી યુક્રેનઃ શરણાર્થીઓનો પ્રશ્ન વિશ્વ માટે ભડકામાંથી દાવાનળ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 March 2022

છેલ્લા એક દાયકામાં આખી દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કાળમુખા જંગલો, હાડ થીજાવી દેતી ઠંડી, સામાન, બાળકો, પહાડો અને નદીઓ પણ આ બધું પાર કરીને જનારા શરણાર્થીઓને કોઇ ખાતરી નથી હોતી કે તેઓ સામે પાર – સલામત સ્થળે જીવતેજીવ પહોંચી શકશે કે કેમ?

યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારથી માંડીને આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ૧.૫ મિલિયન લોકોએ દેશની સરહદ પાર કરી છે. જીવ બચાવવા માટે બીજા રાષ્ટ્રની શરણે જનારાઓની આ સંખ્યા એક નવી કટોકટી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થીઓનો પ્રશ્ન બહુ મોટો હતો અને બીજા વિશ્વ યુદ્ધના સમય પછી પહેલીવાર શરણાર્થીઓનો પ્રશ્ન યુરોપ માટે અણધારી ગતિએ ઝડપી બની રહ્યો છે. યુક્રેનના રહેવાસીઓ કિવના પરામાંથી છટકીને સરહદ પાર કરવાના પ્રયત્નમાં હતા અને તેમાં રશિયાના બોમ્બિંગને કારણે જીવવા માટે જહેમત કરી રહેલો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો. રેફ્યુજી ક્રાઇસિસ – શરણાર્થીઓનો પ્રશ્ન વૈશ્વિક છે.  પહેલાં સિરિયા, અફઘાનિસ્તાન અને હવે યુક્રેનમાં ખડી થયેલી કટોકટીને પગલે આ પ્રશ્ન વધારે ઘેરો બન્યો છે. રેફ્યુજીની સમસ્યા માત્ર એ બીજા રાષ્ટ્રો માટે નથી હોતી, જ્યાં પહોંચવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ જે લોકો જીવ બચાવવા સરહદ પાર કરી રહ્યાં હોય છે તેમને હેમખેમ લાવવા લઇ જવા-વાળા સ્મગલર્સ – દાણચોરોનું તંત્ર પણ આ આખી ગોઠવણનો ભાગ હોય છે.

યુક્રેનની હાલત કફોડી છે. કલ્પના કરો એક તરફ તમારા ઘર પર બોમ્બમારો થયો છે, જે હાથમાં આવ્યું તે લઇને તમે સરહદ તરફ દોટ મૂકી રહ્યા છે, તમે બીજા દેશની સરહદે કે ટ્રેન સ્ટેશન પર પહોંચો છો તો બીજા રાષ્ટ્રના લોકો કાર્ડ બોર્ડ લઇને તમને તેમના ઘરમાં, તેમના દેશમાં આવકારી રહ્યાં છે. નરકમાંથી છૂટીને માણસાઇ ભણી દોડતા લોકોની વ્યાકૂળતા શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. છેલ્લા એક દાયકામાં આખી દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કાળમુખા જંગલો, હાડ થીજાવી દેતી ઠંડી, સામાન, બાળકો, પહાડો અને નદીઓ પણ આ બધું પાર કરીને જનારા શરણાર્થીઓને કોઇ ખાતરી નથી હોતી કે તેઓ સામે પાર – સલામત સ્થળે જીવતેજીવ પહોંચી શકશે કે કેમ? જેની સાથે નીકળ્યા છે તે બધાં પણ રસ્તામાં જીવતા રહેશે કે નહીં તેનું પણ કંઇ નક્કી નથી હોતું. અફઘાનિસ્તાનમાંથી યુ.એસ.એ પોતાનું સૈન્ય ખસેડી લીધું અને તાલીબાનીઓ ફરી વળ્યા ત્યારે પણ જે દૃશ્યો સર્જાયા તે અકલ્પનિય છે. ટર્કીની પૂર્વમાં આવેલા વાન પ્રદેશમાં પહોંચેલા અફઘાની નાગરિકોમાં સ્ત્રીઓએ તો તાલીબાનીઓનો માર પણ ખાધો, ઇરાન પહોંચ્યા પછી માનવ દાણચોરી કરનારાઓને હજારો ડૉલર્સ ચુકવ્યા પછી પણ જો ટર્કીની બોર્ડરે ન પહોંચાય તો ફરી પ્રયત્ન કરવાના પૈસા પણ ચૂકવ્યા. સરહદો પરની દિવાલો પર ચઢીને કૂદી જવાય પણ પછી બીજા રાષ્ટ્રની પોલીસથી જીવ બચાવવો પડે. સિરિયાથી લાખો લોકો ટર્કી પહોંચ્યા અને અફઘાનિસ્તાનમાં સંજોગો બદલાયા એટલે ત્યાં પણ શરણાર્થીઓએ ટર્કી જવામાં સલામતી જોઇ.

૨૦૨૨માં દુનિયાએ જે દસ મોટા રેફ્યુજી ક્રાઇસિસનો સામનો કરવો પડશે તેની પર એક નજર

3,69,000 – નાઇજિરીયન્સ હોસ્ટ કોમ્યુનિટીઝમાં શરણાર્થી છે

4,92,000 – ઇરિટ્રિયાના લોકો હિંસા, રાજકીય સામાજિક અસ્થિરતાને કારણે શરણાર્થી બન્યા છે

7,13,000 –  જેટલા સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના લોકો સાંપ્રદાયિક હિંસાનો ભોગ બન્યા છે અને શરણાર્થી તરીકે રહ્યા છે

79,000 – સોમાલિયન શરણાર્થીઓ વિશ્વ આખામાં ફેલાયેલા છે – સોમાલિયા દુકાળ, વિષમ આબોહવા અને સૈન્ય સંઘર્ષોમાં ફસાયેલો દેશ છે.

8,05,000 – સુદાન શરણાર્થીઓને સમાવનારો પાંચમો સૌથી મોટો દેશ છે છતાં ય આ દેશમાંથી પેદા થનારા શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે.

8,64,000 – કોંગલિઝ રેફ્યુજી પોતાના દેશમાં ચાલતી હિંસાને કારણે વિખેરાયા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો એ વિશ્વનો સૌથી મોટો ભૂલાઇ ગયેલો પ્રશ્ન ગણાય છે.

1,10,000 – રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશના કોક્ઝ બાઝારના રેફ્યુજી કેમ્પ્સમાં છે.

2,60,000 – દક્ષિણ સુદાનીઓ હોસ્ટ કોમ્યુનિટીઝમાં રહ્યાં છે. ૪૦ લાખ લોકો દક્ષિણ સુદાનમાંથી વિસ્થાપન થયું છે.

2,60,000 – થી વધારે અફઘાનીઓ શરણાર્થી તરીકે જીવી રહ્યાં છે, છેલ્લા ચાર દાયકામાં અફઘાનીઓએ પોતાનું વતન છોડવાની જે તક મળે તે ઝડપી લીધી છે.

67,00,000 – સિરિયાની સંઘર્ષને કારણે પેદા થયેલા શરણાર્થીઓનો આંકડો આખા વિશ્વના શરણાર્થીઓના ૨૫ ટકા જેટલો છે. લેબનન, જોર્ડન, ઇરાક, ઇજીપ્ત અને ટર્કીમાં આ સિરિયન્સ વહેંચાયેલા છે.

**આ યાદીમાં હજી યુક્રેન છોડીને બીજા દેશોમાં શરણ માગવા ગયેલા શરણાર્થીઓનો આખરી આંકડો નથી ઉમેરાયો.

ભૌગોલિક કારણોસર ટર્કી આ બન્ને રાષ્ટ્રોના શરણાર્થીઓની પહેલી પસંદ રહી છે. પરંતુ શું ટર્કીનું તંત્ર આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને સમાવવા માટે, તેમની રોટી – કપડાં – મકાનની મૂળભૂત જરૂરિયાતો સાચવવા માટે સક્ષમ છે ખરું? વળી આ કંઇ એક દેશની વાત નથી. મ્યાનમારમાં માનવસંહાર અને એથનિક ક્લિન્ઝિંગનને પગલે રોહિંગ્યા મુસલમાનોએ ૨૦૧૭ના ઑગસ્ટ પછી બાંગ્લાદેશની વાટ પકડી. ૧.૧ મિલિયન કરતાં વધુ રોહિગ્યાઝ બાંગ્લાદેશમાં છે અને દર વર્ષે આ સંખ્યામાં નવાં જન્મનારાં બાળકોને કારણે વધારો પણ થતો રહે છે. મ્યાનમાર માનવસંહારને પાંચ વર્ષ થવા આવ્યાં છે પણ હજી સુધી રોહિંગ્યા શરણાર્થીઓનો પ્રશ્ન નથી ઉકેલી શકાયો. જાતભાતના પ્રયાસ કરાયા છે, પ્રસ્તાવો મુકાયા છે પણ ક્યાં ય ઉકેલ દેખાયો નથી. લાખો લોકો સ્થિરતા અને સલામતી વગર, ભવિષ્ય અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા વગર જીવી રહ્યાં છે.

આ તરફ પોલેન્ડની વાત કરીએ તો યુક્રેનથી પોલેન્ડ પહોંચી સરહદ પાર કરી ચૂકેલોનો આંકડો બહુ મોટો છે.  ગયા શનિવારે એક જ દિવસમાં ૧ લાખ ૨૯ હજાર લોકોએ સરહદ પાર કરી હતી. અત્યાર સુધીમાં આ આંકડો ૯ લાખ ૨૨ હજારે પહોંચ્યો છે. બોમ્બ ધડાકાના અવાજો વચ્ચે બંકરમાં બેસી રહેવા કરતાં જીવ બચાવવા બીજે ચાલ્યા જવામાં લોકોને ભલાઇ લાગે એમાં કંઇ ખોટું નથી. યુક્રેનિયન્સ સ્લોવાકિયા, હંગેરી અને ઉત્તર રોમાનિયા સુધી પણ સલામતીથી પહોંચ્યા છે.

ભાગલા, યુદ્ધ, આર્થિક અવગણના, ભૌગલિક પરિસ્થિતિ જેવું કેટલુંય શરણાર્થીઓની સમસ્યાઓ વધારે છે. જે રાષ્ટ્રમાં તેઓ આશરો લે છે તે રાષ્ટ્રને રાજનૈતિક, સામાજિક અને આર્થિક સ્તરે બેવડ વળી જવું પડતું હોય છે. સત્તાના મોહમાં જેની પર સત્તા કરવાની છે તે પ્રજાને નકરી હેરાનગતિ સિવાય સરકારો બીજું કંઇ નથી આપતી.

બાય ધી વેઃ

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી દુનિયા આખીના સમીકરણો અણધાર્યા બદલાયા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોઇ પણ યુરોપિયન દેશ પર થયેલો આ સૌથી મોટો હુમલો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આનાથી વધુ ભડકે બળતો પ્રશ્ન કોઇ જ નથી. આ ભડકાને દાવાનળ બનતા જરા ય વાર લાગે તેમ નથી અને તેની સાથે જ શરણાર્થીઓની સમસ્યા વધુને વધુ મોટી થતી જશે. આર્થિક યુદ્ધ પણ વધુ આકરું થતું જશે. મૂળિયાં સોતાં ઉખડી જઇને લાચારીમાં જીવાતી જિંદગીઓ આગામી પેઢીઓને સલામતી શું છે તે ક્યારે ય પણ સમજાવી શકશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  13 માર્ચ 2022

Loading

હવે, હિંદુ રાષ્ટ્રની સ્થાપના યોગીના હાથે થશે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 March 2022

૧૯૭૭માં રાજેન્દ્રકુમારની એક લોકપ્રિય ફિલ્મ આવી હતી, “આપ આયે બહાર આઈ.” પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોને જો ફિલ્મી લાઈનથી હાઈલાઈટ કરવાં હોય તો એવું કહેવાય કે “આપ આયે, યોગી આયે.” ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ધુઆંધાર વાપસી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની આશ્ચર્યજનક બહુમતી ભારતીય રાજકારણમાં નવી બહાર લાવનારી સાબિત થવાની છે.

યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીમાં બીજા નંબરના સૌથી મોટા નેતા સાબિત થયા છે. ભારતની જનતા વિકલ્પ પણ તલાશી રહી છે, અને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ઐતિહાસિક બહુમતીથી જીતાડીને એ દિશા ખોલી છે. કાઁગ્રેસનું પતન અટક્યુ નથી, અને પાંચ રાજ્યોનાં પરિણામો પછી તેમાં ઔર ગતિ આવશે. કાઁગ્રેસ હવે રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ખતમ થઇ ગઈ છે. એ વિકલ્પ આપ બની શકે છે.

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનો આ સાર આ પાંચ વાક્યમાં છે. આ પાંચ વાક્યોમાં ભારતના રાજકારણનું ભવિષ્ય પણ છે. 

ઉત્તર પ્રદેશમાં, અને ભારતીય રાજકારણમાં, ભારતીય જનતા પાર્ટીની પકડ યથાવત રહી છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ઉપલબ્ધિ છે. યોગી આદિત્યનાથ ૩૭ વર્ષમાં સળંગ બીજી વાર મુખ્ય મંત્રી બનનારા પહેલા નેતા છે. આ નોંધપાત્ર છે. યુ.પી.એ આજ સુધી કોઈ પણ મુખ્ય મંત્રીને સળંગ બીજી વાર ખુરશી આપી નથી. યોગીએ એ રોકોર્ડ કરીને ભા.જ.પ.માં તેમનું સ્થાન સૌથી ઉપર સાબિત કરી દીધું છે. યુ.પી.માં બીજીવાર મુખ્ય મંત્રી બનનારા એ ભા.જ.પ.ના પહેલા નેતા છે. પાંચ વર્ષ પૂરા કરનારા પણ એ ત્રીજા મુખ્ય મંત્રી છે. આ અગાઉ, યુ.પી.ના બીજા મુખ્ય મંત્રી સંપૂર્ણાનંદ અને અખિલેશ યાદવ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ૧૯૫૧થી લઈને ૨૦૦૭ સુધી રાજકીય અસ્થિરતાનો સિલસિલો રહ્યો હતો. ૨૦૦૭માં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પૂરી બહુમતી સાથે સરકાર બનાવી હતી અને તેમણે પાંચ વર્ષ પૂરાં કર્યા હતાં. માયાવતી જો કે ૨૦૧૨માં ફરી સત્તામાં આવી શક્યાં નહોતાં. તે ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનું સત્તામાં પુનરાગમન થયું હતું, અને અખિલેશ યાદવ બીજીવાર મુખ્ય મંત્રી બન્યા હતા. યાદવે પણ પાંચ વર્ષ પૂરાં કર્યા, પણ ૨૦૧૭માં ફરી સત્તામાં આવી ન શક્યા. એ વર્ષે, ભા.જ.પે. ૩૨૫ બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. એ પછી પાર્ટીએ ગોરખપુર મઠના મહંત અને ૧૯૯૮થી ભા.જ.પ.ના સાંસદ યોગી આદિત્યનાથને મુખ્ય.મંત્રી પદે બેસાડ્યા હતા.

યુ.પી.ની ચૂંટણી આ વખતે આસાન નહોતી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે જબરદસ્ત લડત આપી હતી. તેમણે જનતાના પ્રશ્નો અને સરકારના ગેરવહીવટના મુદ્દા ઉઠાવ્યા હતા. એ લોકો ટેલિવિઝન કે સોશ્યલ મીડિયા પરથી જ્ઞાન મેળવતા નહોતા, તેમના મનમાં ભા.જ.પ.ની વાપસીને લઈને કોઈ શંકા નહોતી. યુ.પી.ની ચૂંટણી એટલા પૂરતી જ મહત્ત્વની હતી કે ભા.જ.પ.ની બેઠકો વધે છે કે ઘટે છે.

એ સંદર્ભમાં, સમાજવાદી પાર્ટીએ પોતાને મુખ્ય વિરોધ પક્ષ તરીકે સાબિત કરીને યોગી સરકાર પર આગામી પાંચ વર્ષ માટે લગામ કસી છે. યોગી જો બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ધ્યાન નહીં આપે તો સ.પા. લગાતાર તેની વાતો કરતી રહશે.

યુ.પી.ની જનતાએ હિન્દુત્વને વોટ આપ્યા છે તે સાચું, પરંતુ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સમાજવાદી પક્ષને પણ જે બેઠકો આપી છે તે નજરઅંદાજ કરવા જેવું નથી. યોગીનું પ્રદર્શન શાનદાર તો છે જે, અખિલેશનો દેખાવ પણ તાળીઓને પાત્ર છે. યુ.પી.માં ચાર પક્ષીય મુકાબલો હતો; ભા.જ.પ., સ.પા., બ.સ.પા. અને કાઁગ્રેસ. પહેલાં બે સ્થાન તો ભા.જ.પ. અને સ.પા.એ લઇ લીધાં છે, પણ બ.સ.પા. અને કાઁગ્રેસનો દેખાવ એટલો કંગાળ છે કે તેમના વચ્ચે ત્રીજા નંબરની જગ્યા માટે લડાઈ છે!

દેખીતી રીતે જ, ગંગામાં તરતી લાશો કે બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓ માટે જનતાએ યોગી સરકારને માફ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશ કેમ અગત્યનું રાજ્ય છે

ભારતમાં  ઉત્તર પ્રદેશ એક માત્ર રાજ્ય છે જ્યાંથી લોકસભા અને રાજ્યસભામાં સૌથી વધુ સાંસદો આવે છે. વસ્તીની દૃષ્ટિએ પણ યુ.પી. સૌથી મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશ જો અલગ દેશ હોય તો ચીન, અમેરિકા અને ઇન્ડોનેશિયા પછી વસ્તીમાં તેનો ચોથો નંબર આવે.

ભારતના ૧૪ વડા પ્રધાનોમાંથી ૯ ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. આઝાદી પછી રાજકારણમાં જેમનો દબદબો રહ્યો છે તે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ પણ યુ.પી. રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ યુ.પી.ના વારાણસી બેઠકના સાંસદ છે.

ઉત્તર પ્રદેશનાં પરિણામો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે અત્યંત મહત્ત્વનાં છે. વડા પ્રધાનના જમણો હાથ અને ગૃહ પ્રધાન અમિત શાહે તો ઉત્તર પ્રદેશના મતદારોને સીધું જ કહ્યું હતું કે ૨૦૨૪માં નરેન્દ્રભાઈને જીતાડવા હોય તો યોગીજીને મત આપવો જરૂરી છે. જનતાએ યોગીને જીતાડ્યા છે અને તેનાથી ૨૦૨૪માં મોદીના જીતનો રસ્તો પણ ખૂલી ગયો છે. ભા.જ.પ.ના બે ગમતા એજન્ડા અમલમાં મુકવા માટે આ જીત અગત્યની છે – સમાન સિવિલ કોડ અને નાગરિકોની નેશનલ રજીસ્ટ્રી. યોગીનો વિજય ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની દિશામાં એક મહત્ત્વનું કદમ છે. એ શુભકાર્ય યોગીના હસ્તે જ થશે.

૨૦૨૪માં, મોદી ત્રીજી ટર્મ માટે ચુંટાઈને ઇતિહાસમાં તેમનું નામ દર્જ કરાવી દેશે.

યોગીનો ઉદય

દસ દિવસ પહેલાં, પત્રકાર કરણ થાપર સાથે એક ઇન્ટરવ્યૂમાં, દિલ્હીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અને જામિયા મિલિયા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નજીબ જંગે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'લો પ્રોફાઈલ' રહ્યા એ ચૂક હતી. “વડા પ્રધાન જ નહીં, પણ (ગૃહ પ્રધાન) શાહ પણ આ ચુંટણીનો ચહેરો નહોતા. સરકારની ઉપલબ્ધિઓ અને નાકામીનો સઘળો ભાર યોગી આદિત્યનાથ પર હતો. એ (વડા પ્રધાનની ગેરહાજરી) અત્યંત નેગેટિવ પરિબળ છે, અને તેના કારણે જ ભા.જ.પ.ની હાર થશે."

“વડા પ્રધાન હિન્દી પ્રદેશોમાં લાર્જર-ધેન-લાઈફ વ્યક્તિત્વ છે," નજીબ જંગે કહ્યું હતું, "તેમનામાં કરિશ્મા છે. એ અત્યંત સરસ રીતે બોલે છે. તેઓ જો યુ.પી.ની ચૂંટણીનો ચહેરો હોત તો ઘણો ફર્ક પડ્યો હોત."

અલબત્ત, બીજાં કારણો પણ હતાં. જેમ કે, ખેડૂત અંદોલનમાં સરકારનો જે વ્યવહાર હતો, રાજ્યમાં રખડતાં ઢોરોની સમસ્યાની જે રીતે ઉપેક્ષા કરાઈ હતી, યુવાનોમાં જબરદસ્ત બેરોજગારી અને યોગીએ જે રીતે કોવિડ મહામારીમાં અણઘડ રીતે વહીવટ કર્યો હતો તેની જનમાનસ પર ઘેરી અસર હતી.

યુ.પી.ની જનતામાં આ મુદ્દાઓને લઈને અસંતોષ તો હતો, પરંતુ વિરોધ પક્ષો અને મીડિયા જેવો દાવો કરતા હતા તેમાં આક્રોશ નહતો. જનતામાં આક્રોશ હોત તો યોગી સરકાર ઘરે બેસી ગઈ હોત, પરંતુ જનતા અસંતોષ સાથે મત આપીને ભા.જ.પ.ની બેઠકો થોડી ઓછી કરી છે અને સ.પા.ને થોડી મજબૂત કરી છે, તેનો અર્થ એ થયો કે તેને વિશ્વાસ છે કે ભા.જ.પ. તેમની સમસ્યાઓ તરફ ધ્યાન આપશે.

જંગના તર્ક બરાબર હતા, પરંતુ જનતાએ એ રીતે વોટિંગ કર્યું નથી. ઊલટાનું, યોગીને આગળ રાખીને ચૂંટણી જીતવાની વ્યૂહરચના કારગત નીવડી છે. યોગી સામે જે પણ ફરિયાદો હતી તે આ ચૂંટણીમાં ધોવાઇ ગઈ છે અને તેઓ એક કદાવર, નિષ્કલંક અને સક્ષમ નેતા તરીકે ઉભર્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે યોગી આદિત્યનાથ અને ભા.જ.પ.નો ચૂંટણી પ્રચાર (સમાજવાદી સરકારમાં) રાજકારણના અપરાધીકરણ અને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણની આસપાસ હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કાઁગ્રેસની પ્રિયંકા ગાંધીનો પ્રચાર બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓની આસપાસ હતો. જનતાએ એ મુદ્દાઓને અવગણીને હિન્દુત્વને વોટ આપ્યા છે તે સ્પષ્ટ છે.

પ્રિયંકાએ તો ૪૦ ટકા સ્ત્રીઓને વિધાનસભાની ટિકિટ આપીને એક નવો જ પ્રયોગ કર્યો હતો. ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં આ પ્રયોગ લાંબા ગાળે બધા પક્ષો અનુસરસે. ભારતમાં સ્ત્રી સશક્તિકરણની વાતો તો ખૂબ થાય છે, પરંતુ રાજકારણમાં જ સ્ત્રીઓને જેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેટલું મળતું નથી. ભલે કાઁગ્રેસને વોટ ન મળ્યા હોય, પ્રિયંકાની આ પહેલ એ દિશામાં ઘણી રચનાત્મક છે.

યોગીના આગામી યોગ

નોઇડા સ્થિત એક હિન્દી સમાચારપત્રના એડિટર સંજય શ્રીવાસ્તવ કહે છે કે યુ.પી.માં ૨૦૧૭ની ચૂંટણી પછી અચાનક જ મુખ્ય મંત્રી બનેલા યોગી આદિત્યનાથે પાંચ વર્ષોમાં પોતાની વિશેષ નો-નોનસેન્સ છબી બનાવી હતી. ગુંડાઓ અને માફિયાઓ સામે તેમની આકરી કાર્યવાહી બદલ તેમને ‘બુલડોઝર બાબા’ કહેવામાં આવતા હતા. એક કડક શાસકના રૂપમાં ખુદને સાબિત કરવામાં તેઓ સફળ રહ્યા છે. સાથે, યોગીનો પોતાના પરિવારનું ન હોવું, ભ્રષ્ટાચારના આરોપથી મુક્ત હોવું અને ભગવો પહેરવેશ તેમને હિન્દુઓના મોટા અને ઈમાનદાર નેતા તરીકે સાબિત કરે છે.

પાંચ વર્ષમાં યોગીએ તેમનો ચાહક વર્ગ ઊભો કર્યો છે, જે તેમને આગામી વડા પ્રધાન તરીકે જોવા માંગે છે. જો કે, એક મોટો વર્ગ તેમનાથી નારાજ પણ છે અને તેમને કટ્ટરતા વધારનારા તરીકે જુવે છે. લાગે છે આ ચૂંટણીમાં તેમના નારાજ વર્ગ કરતાં ચાહક વર્ગની મરજી ચાલી છે.

રાજ્યસભાનું સમીકરણ

વરિષ્ઠ પત્રકાર અનિલ જૈને બી.બી.સી.ને કહ્યું હતું કે રાજ્યોનાં ચૂંટણી પરિણામોની એક સીધી અસર રાજ્યસભામાં પડવાની છે. ૨૪૫ની સંખ્યાવાળી રાજ્યસભામાં હાલ આઠ બેઠકો ખાલી છે. ભા.જ.પ. પાસે અત્યારે ૯૭ બેઠકો છે. સહયોગીઓની મળીને તેનું સંખ્યાબળ ૧૧૪ થાય છે. આ વર્ષે એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધીમાં રાજ્યસભાની ૭૦ બેઠકો માટે ચુંટણી થવાની છે, જેમાં આસામ, હિમાચલ પ્રદેશ, કેરળની સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ પણ છે.

ઉ.પ્ર.ની ૧૧, ઉત્તરાખંડની એક અને પંજાબની બે બેઠકો માટે આવતા જુલાઈમાં જ ચૂંટણી છે. આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની અસર રાજ્યસભાની ચૂંટણીઓ પર પડશે. જૈન કહે છે, “ભા.જ.પ. રાજ્યસભામાં બહુમતીથી પહેલેથી જ દૂર છે, એટલે પાંચ રાજ્યોનાં પરિણામો પરથી એ નક્કી થશે કે રાજ્યસભામાં તે બહુમતીનાં આંકડાથી વધુ દૂર જાય છે કે નજીક આવે છે. તેની અસર રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં પડશે.”

રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં એક બીજી વાતનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રચારમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીની સક્રિયતા નહીંવત રહી હતી. ચાર વખત સત્તા સંભાળનાર માયાવતીનું મૌન એટલું ‘બોલકું’ હતું કે રાજકીય વર્તુળોમાં એવી ગપસપ ચાલે છે કે તેમણે ભા.જ.પ. સાથે અંદરખાને ગોઠવણ કરી લીધી છે અને ભા.જ.પ. તેમને આગામી રાષ્ટ્રપતિ પદ માટે ઊભાં કરશે.

બે અઠવાડિયા પહેલાં માયાવતીએ આવી ગપસપને ખારીજ પણ કરી હતી. યુ.પી.ની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું મહત્ત્વ છે અને તેને દલિત મતો મળશે એવી અમિત શાહની સૂચક ટીપ્પણીના સંદર્ભમાં જવાબ આપતાં એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, “દલિતો અને મુસ્લિમોમાં બી.એસ.પી.ના સ્થાન અંગે ગૃહ પ્રધાને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મતદાન પછી જ્યારથી નિવેદન કર્યું છે ત્યારથી હરીફ પાર્ટીઓ અને મીડિયાવાળાઓએ એવું બોલવાનું શરૂ કર્યું છે કે અમે ભા.જ.પ.ની ‘બી’ ટીમ છીએ. આમાં જો કે કોઈ સચ્ચાઈ નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં ભા.જ.પ.ના ટેકાથી જ માયાવતી મુખ્ય મંત્રી બન્યાં હતાં.

આવનારા દિવસોમાં માયાવતીની ભૂમિકા ચર્ચાનો મુદ્દો રહેશે. તેમની પાર્ટીએ ૧૨૨ બેઠકો પર એવા ઉમેદવારો ઊભા રાખ્યા હતા જે સમાજવાદી પાર્ટીની જાતિના જ હતા. આ એ બેઠકો હતી જ્યાં સ.પા.ની જીતની પૂરી સંભાવના હતી.

પંજાબમાં આપની ક્લીન સ્વિપ

પંજાબમાં પરંપરગત રીતે કાઁગ્રેસ અને અકાલી દલના હાથમાં સત્તા રહી છે. લોકો તેનાથી કંટાળી ગયા હતા અને આપના ઝાડુથી બંને પાર્ટીઓનો સફાયો કરી નાખ્યો છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ‘મફત’ આપવાની ઘોષણાઓ કરી હતી તેનાથી મતદારો લલચાયા જરૂર છે, પરંતુ કાઁગ્રેસમાં છેલ્લા એક વર્ષથી જે ઘમાસાણ મચ્યું હતું તેનો ફાયદો પણ મળ્યો છે. પહેલાં કેપ્ટન અમરિંદર સિંહ સામે આંતરિક વિદ્રોહ અને પછી ફૂટેલી તોપ જેવા નવજોત સિંહ સિદ્ધુને પક્ષનું સુકાન સોંપવાથી કાઁગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી.

દિલ્હી જેવા અડધા રાજ્યમાં કેન્દ્ર સરકારના ઘોંચ પરોણા વચ્ચે ટકી ગયેલી આમ આદમી પાર્ટીને પહેલીવાર આખું રાજ્ય મળ્યું છે, જેમાં તેના વહીવટ પર સંપૂર્ણ કબજો છે. કૈંક અંશે કેજરીવાલે ભા.જ.પ.ના નકશેકદમ પર સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું છે તે કારગત નીવડ્યું છે.

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, “કેજરીવાલની રાજનીતિનો મૂળ મંત્ર રોજગાર, સ્વાસ્થ્ય અને આમ આદમી માટે કામ કરવાનો છે. હવે એ રસ્તો એ તરફ જઈ રહ્યો છે. અમે આજે દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર આગળ વધી રહ્યા છીએ. કેજરીવાલ સરકારનું આ મોડેલ આગળ પણ સફળ થશે.”

ઉત્તર પ્રદેશમાં જેમ સળંગ બીજી વાર વાપસી કરનારા યોગી આદિત્યનાથ પહેલા મુખ્ય મંત્રી છે, તેવી રીતે આમ આદમી પાર્ટી બીજા રાજ્યમાં જઈને સરકાર બનાવનારી પહેલી પ્રાદેશિક પાર્ટી છે. આ બે હકીકતો, ભારતીય રાજકારણ ભવિષ્યમાં કેવી કરવટ લેવાનું છે તેની સાબિતી છે.

પ્રગટ : “મિડ-ડે”, 11 માર્ચ 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—136

દીપક મહેતા|Opinion - Opinion|12 March 2022

મુંબઈનું મહામૂલું ઘરેણું રાજાબાઈ ટાવર

મુંબઈના બેતાજ બાદશાહ પ્રેમચંદ રાયચંદે બંધાવ્યો એ ટાવર

જ્યારે માર્ક ટ્વેને મુલાકાત લીધી પ્રેમોદ્યાન બંગલાની

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક વિચાર આવ્યો : મુંબઈમાં એવી કેટલી જાહેર ઇમારતો છે જેની સાથે એક યા બીજી સ્ત્રીનું નામ જોડાયું હોય. અને હા, એ સ્ત્રી અંગ્રેજ નહિ, પણ ‘દેશી’ હોય. જે ત્રણ-ચાર નામ યાદ આવ્યાં તેમાં પહેલું નામ યાદ આવ્યું રાજાબાઈ ટાવર. બોલ ટાવર અને બેલ ટાવર કરતાં મુંબઈમાં ઘણા વધારે જોવા મળે કલોક ટાવર. તેમાં રાજાબાઈ ટાવર એટલે મુંબઈનું ઘરેણું. પણ આ રાજાબાઈ હતાં કોણ? ઘણું ઘણું શોધો : માત્ર એક જ વાત મળશે : રાજાબાઈ તે ૧૯મી સદીના મુંબઈના પ્રખ્યાત વેપારી, શેર બ્રોકર, દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદનાં માતા. જૈન વણિક લાકડાના વેપારી દીપચંદભાઈનાં પત્ની. બીજું કશું જાણતા નથી આપણે તેમના વિષે. હા, ૧૯૧૩માં દિનશા એદલજી વાચ્છાએ પ્રેમચંદભાઈનું જીવનચરિત્ર લખ્યું છે : Premchand Roychand : His Early Life and Career. તેના છેક છેલ્લા પાના પર રાજાબાઈનો ફોટો છાપ્યો છે.

એક જમાનાના મુંબઈના બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદ

રાજાબાઈના દીકરા પ્રેમચંદનો જન્મ સુરતમાં, ૧૮૩૨માં. એ જમાનાના બીજા ઘણા ગુજરાતવાસીઓની જેમ દીપચંદભાઈ પણ પોતાનું નસીબ અજમાવવા સુરત છોડી મુંબઈ આવ્યા. બે પાંદડે થયા. દીકરા પ્રેમચંદને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન(પછીથી કોલેજ)માં ભણાવ્યો. ૧૬ વરસની ઉંમરે પ્રેમચંદભાઈ શેર બ્રોકર બન્યા. કહેવાય છે કે એ વખતે અંગ્રેજી બોલી-લખી શકે તેવા તેઓ એકમાત્ર શેર બ્રોકર હતા, મુંબઈમાં. કમાયા, ઘણું કમાયા. મુંબઈના બેતાજ બાદશાહ બન્યા. મોટા મોટા અંગ્રેજ અમલદારો જ નહિ, ખુદ ગવર્નર સર બાર્ટલ ફ્રેરે સાથે પણ ઘરોબો.

૧૯૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારે એની પાસે પોતાનું મકાન નહોતું. એટલે શરૂઆત થયેલી ટાઉન હોલના મકાનમાં. થોડાં વરસ પછી યુનિવર્સિટી માટે અલગ મકાન બાંધવાની હિલચાલ શરૂ થઈ. આજે જે કોન્વોકેશન હોલ તરીકે ઓળખાય છે તે મકાન બાંધવા માટે સર કાવસજી જહાંગીરે એક લાખ રૂપિયાનું દાન આપ્યું. શરૂઆતમાં તેમણે એવી શરત મૂકી કે યુનિવર્સિટીનાં મકાન બાંધવા માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહિ. પણ દેખીતી રીતે જ આ રીતે યુનિવર્સિટી પોતાનાં કાંડાં કાપી આપી ન શકે. થોડી સમજાવટ પછી સરસાહેબે એ શરત પડતી મૂકી.

પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને લખેલો પત્ર

અને થોડા દિવસ પછી યુનિવર્સિટીને એક કાગળ મળ્યો : લાયબ્રેરીનું મકાન બાંધવા માટે બે લાખ રૂપિયાનું દાન આપવાનું જણાવ્યું હતું શેઠ પ્રેમચંદ રાયચંદે, ૧૮૬૪ના ઓગસ્ટની ૨૭મી તારીખે લખાયેલા એક પત્રમાં. પણ પ્રેમચંદભાઈને દાનની રકમથી સંતોષ નહોતો. એટલે ૧૮૬૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે ફરી પત્ર લખીને તેમણે બીજા બે લાખ રૂપિયાનું દાન આપ્યું, લાયબ્રેરીના મકાન સાથે કલોક ટાવર બાંધવા માટે. અને એ જ પત્રમાં વિનંતી કરી કે આ ટાવર સાથે તેમનાં માતા રાજાબાઈનું નામ જોડવામાં આવે.

આ ટાવર બંધાવવાનો વિચાર પ્રેમચંદભાઈને કેમ આવ્યો એ અંગે એક માનવી ગમે તેવી, પણ માનવાનું શક્ય નથી એવી દંતકથા પ્રચલિત છે. માતા વૃદ્ધ થયાં હતાં. આંખે લગભગ અંધાપો આવ્યો હતો. જૈન ધર્મના ક્રિયાકાંડ સમયસર કરવા માટે માતા આગ્રહી. એટલે દર પંદર મિનિટે ટાવરના ડંકા સાંભળીને માતા સમય જાણી શકે એટલા ખાતર પ્રેમચંદભાઈએ આ દાન આપ્યું! પણ આમાં ન માનવા જેવું છે શું? એ જમાનો હતો મુંબઈના શેર મેનિયાનો. અને એના મુખ્ય ખેલાડી હતા શેઠ પ્રેમચંદ. લાખો-કરોડોમાં આળોટતા હતા. માતૃભક્તિથી પ્રેરાઈને બે લાખનું દાન કરવું એ તો એ વખતે એમને માટે રમત વાત હતી.

પણ આ દંતકથા માની શકાય એમ નથી એનું કારણ રાજાબાઈ ટાવર અને પ્રેમચંદશેઠના રહેઠાણ વચ્ચેનું અંતર. રાજાબાઈ ટાવર તો જ્યાં હતો ત્યાં જ આજે પણ છે. પણ પ્રેમચંદશેઠ જે બંગલામાં રહેતા હતા એ બંગલો પણ હજી આજે ય મોજૂદ છે. એનું તે વખતનું નામ ‘પ્રેમોદ્યાન.’ યથા નામ તથા ગુણ. આજની ભાષામાં ગ્રાઉન્ડ પ્લસ વનનો બંગલો. તેના ફરતું મોટું, સુંદર ઉદ્યાન કહેતાં બગીચો. અને એ આવેલો છે ભાયખળામાં. હવે તમે જ કહો, ફોર્ટ વિસ્તારમાંના રાજાબાઈ ટાવરના ડંકા છેક ભાયખળામાં કઈ રીતે સંભળાય? માન્યું કે એ વખતે આજની જેમ મુંબઈમાં ઊંચાં ઊંચાં મકાનો નહોતાં, હવા અને અવાજનું પ્રદૂષણ નહોતું, વસ્તી ઘણી ઓછી હતી, ટ્રાફિક અને તેનો ઘોંઘાટ નહોતો. પણ તો ય ડંકા છેક ભાયખળામાં બેઠેલાં પ્રેમચંદશેઠનાં વૃદ્ધ, અશક્ત માને સંભળાય? યે બાત કુછ હજમ નહિ હોતી. માતૃપ્રેમથી પ્રેરાઈને ટાવર બંધાવ્યો એ ખરું.

પ્રખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં મુંબઈની મુલાકાતે આવેલા. ૧૮૯૫માં તેમણે બ્રિટિશ સામ્રાજ્યના દેશોની મુલાકાત લેવા માટે લેકચર ટૂર શરૂ કરેલી. કારણ? કારણ માથે ઘણું દેવું ચડી ગયું હતું. આ દેશોમાં જાહેર ભાષણો આપીને તેમાંથી જે આવક થાય તેમાંથી દેવું ચૂકવાઈ જશે એવો તેમનો ખ્યાલ. ટ્વેન ઉતરેલા એ જમાનાની પ્રખ્યાત વોટ્સન હોટેલમાં. ઘણા અંગ્રેજો અને રાજા-મહારાજાએ તેમના માનમાં ડિનર પાર્ટીઓ યોજેલી. પ્રેમચંદશેઠે પણ પોતાના ‘પ્રેમોદ્યાન’ બંગલામાં પાર્ટી રાખેલી. માર્ક ટ્વેન લખે છે કે જ્યારે અમે ભાયખળાની લવ લેનમાં આવેલા પ્રેમચંદ રાયચંદના બંગલે પહોચ્યા ત્યારે ભોંયતળિયાનો મોટો હોલ લગભગ આખો ભરાઈ ગયો હતો. અને હજી તો મહેમાનોની ઘોડા ગાડીઓ આવ્યે જતી હતી. ત્યાં હાજર લોકોને જોઈને મને લાગ્યું કે અહીં જાણે કે રંગોનો મેળો જામ્યો છે. ખાસ તો પુરુષોએ માથે પહેરેલા સાફામાં જે રંગવૈવિધ્ય હતું તે મેં બીજે ક્યાં ય ભાગ્યે જ જોયું હશે. મને કહેવામાં આવ્યું કે દરેક પ્રદેશ અને દરેક જ્ઞાતિને પોતાનો આગવો સાફો હોય છે એટલું જ નહિ, એ પહેરવાની આગવી રીત પણ હોય છે. પણ સૌથી વધુ રંગબેરંગી કપડાં કેટલાક છોકરાઓએ પહેર્યાં હતાં. એ કપડાંના રંગ એટલા તો ભડક હતા કે છોકરાઓ જાણે સળગી રહ્યા હોય એવું લાગે. મને કહેવામાં આવ્યું કે આ છોકરાઓ ધંધાદારી નાચનારા છે. એમણે કપડાં પહેર્યાં હતાં છોકરી જેવાં, પણ હકીકતમાં એ બધા હતા છોકરા. તેમાંથી બે કે ચાર છોકરા એક સાથે ઊભા થઈને ઘોંઘાટિયા સંગીત સાથે નાચતા હતા. તેમના હાવભાવ, અભિનયમાં વૈવિધ્ય હતું, પણ તેમના અવાજ મને તો કર્કશ લાગ્યા. અને સંગીતમાં એકતાનતા હતી, વૈવિધ્ય ઘણું ઓછું હતું.

ભાયખળામાં આજે ય અડીખમ ઊભેલો પ્રેમોદ્યાન બંગલો

આજે આપણને સવાલ થાય કે ભાયખળા જેવા વિસ્તારમાં બંગલો કેમ બંધાવ્યો હશે, પ્રેમચંદશેઠે? કારણ એ વખતે ભાયખળાનો વિસ્તાર, પરળનો વિસ્તાર, આજની ભાષામાં ‘અપ માર્કેટ’ કે ‘પોશ ’વિસ્તાર ગણાતો હતો. ત્યાંની ઘણી જમીન ડેવિડ સાસૂનની માલિકીની હતી. એ વખતે પણ આ વિસ્તારમાં પચરંગી વસ્તી હતી. પારસીઓના જરબાઈ બાગ અને રુસ્તમ બાગ પણ આ જ વિસ્તારમાં. જૈનોએ અહીં મોતીશા દેરાસર અને ઉપાશ્રય બાંધ્યું. ડેવિડ સાસૂને મેગન ડેવિડ સાસૂન સિનેગોગ બાંધ્યું. અને ૧૯૧૧માં ગ્લોરિયા ચર્ચને મઝગાંવથી ભાયખળા ખસેડવામાં આવી. અને ખુદ મુંબઈના ગવર્નરનો બંગલો હતો પરળમાં. ખાસ ધ્યાનપાત્ર વાત તો એ છે કે આ બધી જ ઇમારતો આજે પણ ઊભી છે.

પ્રેમચંદશેઠે બંધાવેલો બંગલો પણ આજે ય ઊભો છે, પણ ત્યાં હવે ચાલે છે આઠથી અઢાર વરસની અનાથ કન્યાઓ માટેનું છાત્રાલય! અને તે ઓળખાય છે ધ રેગીના પેસિસ કોન્વેન્ટ તરીકે. પ્રેમચંદશેઠ પાસેથી સાધ્વીઓએ આ બંગલો ખરીદી લીધો હતો. ૧૯૫૧માં ઇન્ટરનેશનલ ઓર્ગનીઝેશન ઓફ ધ કોન્ગ્રગેશન ઓફ ધ રિલીજિયસ ઓફ મેરી ઇમેક્યુલેટે આ બંગલો ખરીદ્યો. શરૂઆતમાં આ બંગલાનો ઉપયોગ સેન્ટ વિન્સેન્ટ મારિયા હોમ ફોર ડેસ્ટીટ્યૂટ ગર્લ્સ (છોકરીઓ માટેના અનાથાશ્રમ) તરીકે થયો. પછી ત્યાં રહેતી છોકરીઓને ભણાવવા માટે પ્રથમિક શાળા શરૂ થઈ. પછી તેમાં માધ્યમિક શાળા, રાત્રી શાળા, નોકરી કરતી સ્ત્રીઓ માટેની હોસ્ટેલ, વગેરે ઉમેરાતાં ગયાં. બંગલાના વિશાળ કંપાઉન્ડમાં આ માટે નવાં મકાનો બાંધવામાં આવ્યાં. પણ મૂળ બંગલામાં કશો જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બહુ જતનપૂર્વક તેની જાળવણી કરવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફોર્ટ કેમ્પસમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકાનો અવાજ ભાયખળા પહોંચે કે ન પહોંચે, આપણે તો રાજાબાઈ ટાવરની વાત કરવાને બદલે ભાયખળા જઈને, પ્રેમચંદશેઠનો બંગલો જોઈને વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેનને મળી આવ્યા. હવે પછી ફરી ભાયખળાથી રાજાબાઈ ટાવર જશું. એના બાંધકામની અવનવી વાતો તો જાણશું જ. પણ બે પારસી છોકરીઓના મોતની વાત પણ કરશું. એમનું મૃત્યુ એ આપઘાત હતું? ખૂન હતું? કે માત્ર અકસ્માત? વધુ રસિક ભાગ આવતા શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 માર્ચ 2022

Loading

...102030...1,4701,4711,4721,473...1,4801,4901,500...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved