Opinion Magazine
Number of visits: 9459013
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં ગાંધીજીને થયેલી પ્રથમ જેલના સો વર્ષ …

કિરણ કાપુરે|Gandhiana|24 March 2022


 દેશની આઝાદીની લડતમાં જેલ જવું સામાન્ય હતું, એટલું સામાન્ય કે જેલજીવનને તત્કાલીન આગેવાનોએ સહજતાથી સ્વીકારી લીધું હતું. ગાંધીજીને દેશની આઝાદીની લડત દરમિયાન દસેક વાર જેલમાં જવાનું થયું. ઘણી વાર તો આમાં બેથી વધુ વર્ષની સજા તેમણે ભોગવી. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ, પહેલીવહેલી વાર ગાંધીજીને જેલ 1922માં થઈ. તે અગાઉ 1919માં તેમની પંજાબમાં ન પ્રવેશવા ધરપકડ કરવામાં આવી હતી; પરંતુ તેમની પર વિધિવત્ રીતે કેસ ચાલ્યો હોય અને લાંબા મુદ્દતની સજા થઈ હોય તે વર્ષ 1922નું. આ જ મહિનામાં તેમના પ્રથમ કારાવાસને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

આ ઐતિહાસિક ઘટનાની શરૂઆત તે વખતના અસહકાર આંદોલનથી થઈ હતી અને તે પછી તેમાં ખિલાફત આંદોલન, અંગ્રેજ સરકારના પંજાબના અત્યાચાર અને અન્ય અનેક ઘટનાઓ ઉમેરાતી ગઈ. ભારતમાં આવ્યા બાદ ગાંધીજીનું દેશવ્યાપી આંદોલન અસહકાર હતું. આ દરમિયાન ગાંધીજીએ લખેલા લેખો સંદર્ભે એમનું અમદાવાદના જિલ્લા મેજિસ્ટ્રેટે વૉરંટ કાઢ્યું. અને અમદાવાદમાં તેમની 10 માર્ચના રોજ રાતે દસ વાગ્યે ધરપકડ કરવામાં આવી. 11મી તારીખે તેમને સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા અને ત્રણ લેખો દ્વારા રાજદ્રોહ ફેલાવ્યો છે એ મતલબનું તહોમતનામું મૂકવામાં આવ્યું. આ ત્રણ લેખો હતા : ‘રાજદ્રોહ’, ‘વાઇસરૉયની મૂંઝવણ અને ‘હુંકાર’.

18મી માર્ચે અમદાવાદના સરકીટ હાઉસ પર આ કેસ ચાલ્યો અને તેમાં કેસની શરૂઆત આ રીતે થઈ : “બરોબર બારને ટકોરે સેશન્સ જજ મિ. બ્રૂમફિલ્ડ પૂર રુબાબમાં આવી પહોંચ્યા. મુકદ્દમો શરૂ થયો. રજિસ્ટ્રાર મિ. ઠાકોરે મહાત્માજી અને તેમના સાથી ભાઈ શંકરલાલ સામેનું તહોમતપત્રક ખડા સૂરમાં વાંચી સંભળાવ્યું. લોકોને यंग इन्डियाના ત્રણ રાજદ્રોહી લેખો કોર્ટની વચ્ચે ફરી એક વાર નિરાંતે સાંભળવાની તક મળી.” જજે તહોમત સમજાવ્યું અને તે ગાંધીજીએ પછી લેખી એકરાર વાંચી સંભળાવ્યો. તેમાં સજા કબૂલ કરતાં એક ઠેકાણે તેઓ કહે છે : “હું દયા માંગતો નથી. તેમ મારા ગુનાને હળવા ગણવો એવી પણ દલીલ કરવા ઇચ્છતો નથી. માટે કાયદાની દૃષ્ટિએ જે ઇરાદાપૂર્વક ગુનો ગણાય, પણ મારે મન તો જે દરેક શહેરીની એક ઊંચામાં ઊંચી ફરજ છે તે માટે સખતમાં સખત સજા માગી લેવા અને તેને આનંદથી તાબે થવા હું અહીં બેઠો છું. મારા લેખી એકરારમાં હું જણાવવાનો છું તેમ હે ન્યાયાધીશ! તમારે માટે બે જ માર્ગ ખુલ્લા છે. જો તમને લાગે કે જે કાયદાનો તમારે અમલ કરવાનો છે તે એક પાપી વસ્તુ છે અને ખરું જોતાં હું નિર્દોષ છું તો તમે તમારી જગાનું રાજીનામું આપો અને એમ કરીને પાપનો સંગ તજો; પણ જો તમને એમ લાગે કે જે કાયદાનો તમે અમલ કરો છો અને જે પદ્ધતિ ચલાવવામાં મદદ કરો છો તે સારી વસ્તુ છે અને તેથી મારી પ્રવૃત્તિ પ્રજાહિતને નુકસાનકર્તા છે તો કડકમાં કડક સજા ફરમાવો.”

આ લેખી એકરારમાં ગાંધીજીએ પોતાનો પૂરો પક્ષ મૂકી આપ્યો છે અને તે પછી જજ બ્રૂમફિલ્ડે કેસનો ચૂકાદો આપ્યો, તેમાં તેઓ કહે છે : “મિ. ગાંધી તમે આરોપનો સ્વીકાર કરી એક રીતે મારું કામ સરળ કરી આપ્યું છે, પણ તમને કેટલી સજા આપવી એ નક્કી કરવાનું કામ સહેલું નથી. મને નથી લાગતું કે આ દેશમાં કોઈ પણ જજ આગળ આટલું અઘરું કામ કોઈ વાર આવી પડ્યું હોય. … તમે જુદી જ કોટિના પુરુષ છો તે તરફ મારાથી દુર્લક્ષ કરાય એમ નથી. તમારા કરોડો દેશબંધુઓની દૃષ્ટિમાં તમે મહાન દેશભક્ત છો, મહાન નેતા છો અને એ વસ્તુ તરફ પણ દુર્લક્ષ કરાય તેમ નથી.”

તે પછી જજ સજા સુનાવતાં કહે છે : “સજા કરવાની બાબતમાં બારેક વરસની વાત પર ચાલેલા આવા જ બીજા એક મુકદ્દમાને હું અનુસરવા માંગુ છું. મિ. બાળ ગંગાધર ટિળકને આ જ કલમની રૂએ સજા થયેલી. તે વખતે છેવટે છ વરસની આસાનકેદની સજા તેમને ભોગવવી પડેલી. મને ખાતરી છે કે જો હું તમને મિ. ટિળકની હારમાં બેસાડું તો તેમાં તમને અયોગ્ય નહીં લાગે. તેથી તમને દરેક ગુનાને માટે બબ્બે વરસની આસાનકેદ, એટલે કે બધી મળીને છ વરસની આસાનકેદની સજા ફરમાવવાની મને મારી ફરજ લાગે છે. આ સજા ફરમાવતાં હું એટલું ઉમેરવા માંગું છું કે ભવિષ્યમાં જો હિંદુસ્તાનનું રાજદ્વારી વાતાવરણ શમે અને સરકાર તમારી સજા ઓછી કરી તમને છોડી મેલી શકે તો તે દિવસે મારા જેટલો આનંદ બીજા કોઈને નહીં થાય.”

આ રીતે ‘ધ ગ્રેટ ટ્રાયલ’ થઈ. સજા થયા પછી પણ ગાંધીજીએ પોતાની રચનાત્મક કાર્યની નિર્ધારિત કરેલી ભૂમિકાએ જ આગળ વધવાનું નિશ્ચિત કર્યું. ફેબ્રુઆરી, 1922માં ચૌરીચૌરીમાં લોકોએ આચરેલી હિંસા પછી અસહકારનું આંદોલન થંભાવી દેવામાં આવ્યું હતું. આ પછી ગાંધીજીનું મુખ્ય ધ્યેય રચનાત્મક કાર્યક્રમ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. રચનાત્મક કાર્યક્રમમાં રાષ્ટ્રને પાયામાંથી ઘડતર કરવાની ગાંધીજીની નેમ હતી. તેમાં કોમીએકતા, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી, ખાદી, બીજા ગ્રામોદ્યોગ, ગામસફાઈ, પાયાની કેળવણી, પ્રૌઢશિક્ષણ એવા અઢાર કાર્યક્રમોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અને એટલે જ અદાલતમાંથી વિદાય લેતી વેળાએ ગાંધીજીએ કહ્યું : “ભારતવાસી શાંતિ જાળવે, અને દરેક પ્રયાસ કરીને શાંતિની રક્ષા કરે. કેવળ ખાદી પહેરે અને રેંટિયો કાંતે. લોકો જો મને છોડાવવા માગતા હોય તો શાંતિ દ્વારા જ છોડાવે. જો લોકો શાંતિ છોડી દેશે તો યાદ રાખજો કે હું જેલમાં રહેવાનું પસંદ કરીશ.”

જેલવાસ દરમિયાન પણ ગાંધીજીની પ્રવૃત્તિ સતત ચાલતી રહેતી, તેમાં મુખ્ય લખવા અને વાંચવાનું તેઓએ ખૂબ કર્યું છે. સાબરમતી જેલમાંથી તેઓ ભાણેજ મથુરદાસ ત્રિકમજીને લખેલાં પત્રમાં જણાવે છે : “મારી શાંતિનો પાર નથી. અહીં તો ઘર જ છે. હજુ તો જેલ જેવું કંઈ લાગતું જ નથી. પણ જ્યારે મળનારા આવતા બંધ થશે ને જેલનો કંઈક દાબ પણ આવશે ત્યારે હું વધારે શાંતિ ભોગવવાનો, એ તો ખચીત માનજો.” અન્ય એક મિત્ર રેવાશંકર ઝવેરીને પણ ગાંધીજીએ જેલમાંથી લખેલા પત્રોના શબ્દો છે : “હું તો ભારે શાંતિ ભોગવી રહ્યો છું.” આ જ દરમિયાન તેમણે બાળપોથી લખી હતી. આ બાળપોથી 1951માં પ્રકાશિત થઈ હતી. તે પછી તેમણે હકીમજી અજમલખાનને પત્ર દ્વારા સારું એવું લખાણ લખ્યું છે. આ પત્રમાં એક ઠેકાણે તેઓ લખે છે : “હું ત્રિકોણકાર ખંડમાં છું. એ ત્રિકોણની સૌથી લાંબી બાજુ પશ્ચિમે છે અને તે બાજુએ અગિયાર કોટડી છે. આ ચોગાનમાં મારો એક સાથી, મારા ધારવા પ્રમાણે, એક અરબ રાજકેદી છે. એને હિંદુસ્તાની આવડતું નથી અને દુર્ભાગ્યે મને અરબી નથી આવડતું, એટલે અમારો સંબંધ કેવળ સવારે એકબીજાને સલામ કરવા પૂરતો જ છે. … આખો ત્રિકોણ મારે માટે કસરત સારુ ખુલ્લો છે, અને મને કદાચ 140 ફૂટ જગ્યા મળી રહેતી હશે. હું પેલા દરવાજામાંથી દેખાતી ખુલ્લી જગ્યાની વાત કરી ગયો.” આમ, આબેહૂબ તેમની જગ્યાનું વર્ણન આ પત્રમાં કર્યું છે.

આ જેલવાસ દરમિયાન યરવડા જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખવાનો ક્રમ ગાંધીજીનો રહ્યો છે. તેમણે સુપરિન્ટેન્ડેન્ટને અહીંયા ખાસ્સાં એવા પત્ર લખ્યા છે. આ પત્રોમાં ગાંધીજી તેમને અલગ અલગ બાબતે ધ્યાન દોરી રહ્યા છે. 14 ઑક્ટોબરના રોજ લખાયેલા પત્રમાં તેઓ લખે છે : “मोर्डन रिव्यू પત્ર આપવાની સરકારે મને ના પાડી છે, તો તે સંબંધમાં હું જણાવવાની રજા લઉં છું કે ગઈ ત્રિમાસિક મુલાકાત વખતે મારી સ્ત્રીની સાથે આવેલા મિત્રોએ મને કહ્યું કે સરકારે તો એવું જાહેર કીધું છે કે કેદીઓને સામયિક પત્રો આપવામાં આવે છે. જો આ ખબર સાચી હોય તો મારી માગણી તાજી કરું છું.” સુપરિન્ટેન્ડેન્ટને એક અન્ય પત્રમાં તેઓ ફરી સામયિકની માંગણી કરતાં લખે છે : “वसन्त અને समालोचक નામનાં બે ગુજરાતી માસિકો મને ન લેવા દેવામાં આવે એવો, કારણ જણાવ્યા વિના, ઇન્સ્પેક્ટર જનરલે હુકમ કર્યો છે એમ તમે મને જણાવ્યું છે. समालोचकને વિષે તો હું બહુ નથી જાણતો, પણ वसन्तને હું જાણું છું. .. એ માસિકમાં લખનારાઓ પણ ઘણાખરા એક અથવા બીજી રીતે સરકારની સાથે સંબંધ રાખનારા છે. એમાં શુદ્ધ રાજકીય વિષયોની ચર્ચા આવે છે એવું મારા જાણવામાં નથી.”

આ રીતે ગાંધીજીનો પ્રથમ જેલવાસ પ્રવૃત્તિથી ભર્યોભર્યો રહ્યો છે. 1924ના વર્ષમાં 4 ફેબ્રુઆરીના રોજ તેમને બિનશરતી છોડવાનો હુકમ થયો અને તેઓ છૂટ્યા. આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીમાં આ ઘટનાઓ અગત્યની છે અને તે પ્રજા સમક્ષ મૂકાવી જોઈએ. આ ઘટનાક્રમથી જ આઝાદી કિંમત સમજાશે. અને એ પણ સમજાશે કે વર્તમાન આગેવાનો કેટલાં ક્ષુલ્લક બાબતે ગૌરવ લે છે.

e.mail : kirankapure@gmail.com

Loading

જળને સ્પર્શ કરું

બીજલ જગડ|Poetry|24 March 2022

જો કલમમાં શબ્દોની શાહી પુરાય છે.
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ક્ષિતિજે જ્યાં આદિત્યનો અસ્ત થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ધરતી જેવી ધીરજ સમુદ્રની ગહેરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

બે ડાળીનાં ફૂલડાંઓ વચ્ચે વાતો થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ડોલતું નાવડું કાંકરે કાંકરે પાળ બંધાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ચંદ્રવિના ચકોરીના દિલમાં દુઃખ દેખાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

વાગે ઝાંઝરી ને પગ નદીમાં ઝબોળાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

રાત જેવું રડી મેઘ જેવું મનમાં વર્તાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

જળથી સફેદ રણ પર અક્ષરો ચિતરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ચારણી છંદમાં અહર્નિશ ગાન ગવાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

ઘરમાં ચોકમાં ચારો ધામ રામ રામ બોલાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

આતમ તત્ત્વ જાણી જ્યાં હરિ ગીત ગવાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

અરવિંદ ઘોષની દોઢસોમી જયંતી અને વર્તમાન પરિપ્રેક્ષ્ય …

કિરણ કાપુરે|Opinion - Opinion|24 March 2022

ભારત આધ્યાત્મિક ભૂમિ કહેવાય છે અને આ આધ્યાત્મિકતાએ વિશ્વ પર પણ અસર કરી છે. આધ્યાત્મવિશ્વમાં અરવિંઘ ઘોષ ચમકતો સિતારો રહ્યા છે, અને હાલમાં તેમની દોઢસોમી જયંતી ઊજવાઈ રહી છે. તેમનો જન્મ 1872માં 15 ઑગસ્ટના રોજ કોલકતામાં થયો હતો. અરવિંદના પિતા કૃષ્ણાધૂન ઘોષ સિવિલ સર્જન હતા અને તેમની માતા સ્વર્ણલતા દેવી જાણીતાં બ્રહ્મસમાજી રાજનારાયણ ઘોષની દીકરી હતાં. અરવિંદનું પ્રાથમિક શિક્ષણ દાર્જિલિંગમાં થયું. પિતા કૃષ્ણાધૂન ઘોષને ‘ઇન્ડિયન સિવિલ સર્વિસ’ પ્રત્યે આકર્ષણ હતું, અને અરવિંદ સહિત ત્રણેય દીકરા આ સર્વિસમાં જાય તેવી તેમની આકાંક્ષા હતી. આ આકાંક્ષાને પૂર્ણ કરવા ઘોષ પરિવાર 1879માં ઇંગ્લેન્ડમાં જઈ વસ્યું. તે પછી અરવિંદનું ઘણું ખરું શિક્ષણ પાદરી ડબલ્યુ.એચ. ડ્રેવેડના દેખરેખ હેઠળ થયું. આ રીતે લંડનમાં સારામાં સારું શિક્ષણ લઈને યુવાન અરવિંદ ઘોષે ‘ઇન્ડિયન સિવિલ સર્વિસ’ની પરીક્ષા પાસ કરી. જો કે અરવિંદને આ સર્વિસમાં જોડાવવાની કોઈ ઇચ્છા નહોતી, પરંતુ તેઓ બડોદા સ્ટેટ સર્વિસમાં જોડાવા હિંદુસ્તાન પાછા ફર્યા.

વડોદરા આવ્યા બાદ તેમણે હિંદુસ્તાન જોયું-જાણ્યું અને તેઓ સિવિલ સર્વિસ સાથે અન્ય ક્ષેત્રોમાં પણ કેળવેલાં રસની પ્રવૃત્તિમાં હિસ્સો લેવા લાગ્યા. તેમણે કવિતાઓ લખી અને લેખો લખ્યાં. તે પછી તેઓ આઝાદીના ચળવળમાં જોડાયા અને ‘વંદે માતરમ્’ અખબારના ચીફ એડિટર બન્યા. 1907માં તેમણે કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો હતો અને તિલકની આગેવાની હેઠળ નરમપંથીઓ કૉંગ્રેસીઓ સામે નારાજગી દર્શાવી. કૉંગ્રેસના રાષ્ટ્રવાદી જૂથને મજબૂત કરવા દેશભરમાં પ્રવાસો કર્યા. જો કે 1908માં તેમની અલીપોર બોમ્બ કેસમાં ધરપકડ થઈ. પછીથી તેમનો ઝોક અધ્યાત્મ તરફ થતો ગયો અને 1910માં તો તેઓ તેમના કાયમી નિવાસ બનેલા પોન્ડિચેરીમાં સ્થાયી થયા. કહેવાય છે કે બ્રિટિશરોની ગુપ્ત પોલીસ હંમેશાં અરવિંદની પ્રવૃત્તિ પર નજર રાખતી રહી. અરવિંદ ઘોષના જીવનની આ ટૂંકી સફર છે. આ સફરમાં તેમના આધ્યાત્મિક વિચાર ઘડાતા ગયા, અને પરિણામે અરવિંદદર્શન ઘડાયું. અરવિંદદર્શનની આ ખ્યાતિ દેશમાં જ નહીં, વિદેશમાં પણ પહોંચી અને અનેક જાણીતી હસ્તીઓએ તેમનું માર્ગદર્શન મેળવ્યું. દેશના વિખ્યાત વકીલ નાની પાલખીવાલા પણ તેમનાથી પ્રભાવિત હતા, અને તેમણે ‘અમે ભારતના લોકો’ પુસ્તકમાં તેમના વિશે આપેલા વક્તવ્યને શબ્દબદ્ધ કરવામાં આવ્યું છે. આ વક્તવ્યમાં અરવિંદના કેટલાક વિચારો હાલમાં પણ પ્રસ્તુત લાગે છે. નાની પાલખીવાલાએ ઑલ ઇન્ડિયા રેડિયો પર ‘આજના સંદર્ભમાં શ્રી અરવિંદની વિચારધારા’ રજૂ કર્યું હતું. આ વક્તવ્ય અરવિંદની વિચારધારાને સંક્ષિપ્તમાં સમજવા અર્થે ઉપયોગી થાય એવું છે.

આજની વર્તમાન સ્થિતિ સંદર્ભે અરવિંદની વિચારયાત્રા વધુ સકારાત્મક લાગી શકે તેવી તેમણે કલ્પના કરી છે. નાની પાલખીવાલા લખે છે કે, “એમણે[અરવિંદ] ભવિષ્યમાં વિશ્વનું એવું સંગઠન જોયું જેમાં માણસને વધુ ન્યાયી, ઉલ્લાસમય અને ઉમદા જીવન મળે. માનવીય વિશ્વને એકતા આવી રહી છે, એ ગતિમાન થઈ છે. … એકતા કુદરતની જરૂરિયાત અને અનિવાર્ય હિલચાલ છે. રાષ્ટ્રો માટે પણ એની જરૂરિયાત સ્પષ્ટ છે, કેમ કે એના વગર કોઈ પણ ક્ષણે નાના રાષ્ટ્રોની સ્વતંત્રતા ભયમાં છે અને મોટાં તેમ જ શક્તિશાળી રાષ્ટ્રોમાં પણ જીવન બિનસલામત છે.” અરવિંદ દ્વારા અભિવ્યક્ત આ મુદ્દો અત્યારે યુક્રેન અને રશિયાના વિવાદના સંદર્ભે જોઈ શકાય, જેમાં યુક્રેનની સ્વતંત્રતા ભયમાં છે અને આ પૂરા મુદ્દામાં રશિયા-અમેરિકા આમનેસામને આવ્યા.

એ રીતે સરકારના આદર્શ અંગે અરવિંદે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને તે આ પ્રમાણે હતા : “સરકાર લોકો માટે છે. એણે સ્થિરતા અને વિકાસ આપવાં જોઈએ. એકતા અને સહકારથી સ્થિરતા તથા મુક્ત વ્યક્તિગત વિકાસથી રાષ્ટ્રીય વિકાસ સાધી શકાય. નિઃસ્વાર્થ, નિરભિમાની, સંપૂર્ણપણે પ્રામાણિક અને શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા સરકાર ચાલવી જોઈએ. એમની વફાદારી સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે હોય, પક્ષના નહીં પણ સમગ્ર રાષ્ટ્રના હિત માટે એમણે કામ કરવું જોઈએ.” અરવિંદ દ્વારા સરકાર માટે આ આદર્શ વાસ્તવિકતામાં ક્યાં ય નજરે ચઢતા નથી. સરકાર ચલાવનાર વ્યક્તિઓમાં જે ગુણ અરવિંદ અપેક્ષિત રાખે છે તેની જમીની હકીકત નિરાશાજનક છે.

અરવિંદે આદર્શ તો રજૂ કર્યો હતો, પણ સાથે સામાન્ય રાજકારણનું તેમણે રજૂ કરેલ ચિત્ર વેધક હતું. તેમણે કહ્યું છે : “વિશ્વના કોઈ પણ ભાગમાં વર્તમાન રાજકારણી લોકોના આત્મા કે આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતો નથી. સામાન્ય રીતે એ પોતાની સંકુચિતતા, સ્વાર્થ, અભિમાન અને છેતરપિંડીનું જ પ્રતિનિધિત્વ કરે છે. આ બધાનું સરસ પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત એ માનસિક બિનકાર્યક્ષમતા, નૈતિક રૂઢિચુસ્તતા, નિર્બળતા અને આડંબરનું પ્રતિનિધિત્વ કરે છે. એની સામે ઘણી વાર મહાન પ્રશ્નો નિર્ણયો માટે આવે છે. પણ એ એમને મહાન રીતે ઉકેલતા નથી. એને હોઠે ઊંચા શબ્દો તથા ઉમદા વિચારો હોય છે ખરા, પણ બહુ જલદી એ પક્ષની પોપટવાણી બની જાય છે. આધુનિક રાજકીય જીવનની બીમારી અને એનો દંભ વિશ્વના દરેક રાષ્ટ્રમાં મોજૂદ છે. આ બનાવટમાં બૌદ્ધિક વર્ગ સહિત બધાની વશીકરણ પ્રેરિત સંમતિ જ બીમારીને છુપાવે છે અને લાંબી ચલાવે છે. આ સંમતિને કારણે જ માણસ પ્રત્યેક આદતી વસ્તુને વશ થાય છે અને એમના જીવનના વર્તમાન સંજોગો સર્જે છે. આમ છતાં આવાં જ મનના માણસોથી બધાનું હિત નક્કી થાય છે, આવા જ હાથમાં એ સોંપવું પડે છે, આવી રાજ્ય નામની સંસ્થા પર જ વ્યક્તિએ પોતાની પ્રવૃત્તિનું નિયમને વધુ ને વધુ છોડવું પડે છે.”

અરવિંદ રાજકારણમાંથી આધ્યાત્મિકતા તરફ વળી ગયા છે પણ તેમની સમજણ પાક્કી છે. ‘આધુનિક રાજકીય જીવનની બીમારી અને એનો દંભ’ તેમણે મૂકી આપીને આગળ કહ્યું છે કે, “ખરેખર તો આમાં બધાનું સૌથી વધુ હિત સધાતું નથી પણ આ વ્યવસ્થિત આંધળૂકિયા અને દુષ્ટતામાં જે સારા અંશ રહેલા છે એથી જ ખરો વિકાસ થાય છે. કુદરત હંમેશાં ગોટાળાઓની વચ્ચે પણ આગળ વધે છે અને અંતમાં માણસની અપૂર્ણ મનોવૃત્તિને કારણે નહીં પણ એની સામે થઈને પોતાના લક્ષ્ય સિદ્ધ કરે છે.” અરવિંદના દર્શનશાસ્ત્રની આ ઊંચાઈ છે, જેમાં તે અંતે કુદરતના મુકામને મૂકે છે.

નાની પાલખીવાલા તો અરવિંદના લખાણોના ચાહક છે અને તે તો એટલે સુધી ભલામણ કરે છે કે તે લખાણોમાં ડહાપણના શબ્દો ટપકે છે અને તે દરેક શાળા અને કૉલેજમાં શીખવવા જોઈએ. અને તેમ કહેવાનું કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ વિશે પણ તેમણે કરેલું મંથન નાની પાલખીવાલાએ રજૂ કર્યું છે. અરવિંદ રાષ્ટ્રીય શિક્ષણ વિશે કહે છે : “સમાજે કેવળ સફળતા, કારકિર્દી અને પૈસાને જ મહત્ત્વ આપવાની ના પાડવી જરૂરી છે. એને બદલે આત્મા સાથેના સંપર્કથી વિદ્યાર્થીનો પૂર્ણ અને ખરો વિકાસ થાય તેની ઉપર, તેમ જ શરીર, જીવ અને મનમાં રહેલા આત્માના સત્યના વિકલ્પ અને આવિષ્કાર ઉપર ભાર મૂકવો જોઈએ. આ સર્વોપરી જરૂરિયાત છે.” અરવિંદ શિક્ષણની આ દર્શાવેલી જરૂરિયાતથી અત્યારે બિલકુલ વિપરીત માર્ગે શિક્ષણ જઈ રહ્યું છે. અવળા માર્ગે થઈ રહેલાં શિક્ષણનાં કારણો ઘણાં છે તેમાંનું એક મીડિયા છે અને તે વિશે પણ અરવિંદે એમ કહ્યું છે કે, “સંપૂર્ણતાનો આદર્શ ફેલાવવા માટે સિનેમા, ટેલિવિઝન, પુસ્તકો, ફોટોગ્રાફ અને સામયિકો જેવાં સંદેશાવ્યવહારનાં આધુનિક સાધનોનો પૂરો અને ડહાપણયુક્ત વપરાશ થવો જોઈએ.” હવે આપણે સૌ જાણીએ છીએ કે મીડિયામાં આવી રહેલા કન્ટેન્ટમાં ભાગ્યે જ ડહાપણ વપરાયું હોય. અને તેઓ શિક્ષણ માટે જે સૌથી આવશ્યક માને છે તે છે : “ભારતની યુવા પેઢીએ વિચાર કરતાં શીખવું જોઈએ. બધા જ વિષયો, સ્વતંત્રપણે, ઉપયોગી રીતે, સપાટી પર અટકવાને બદલે ઊંડાણમાં જઈને, કોઈ જાતના બંધન વગર તીક્ષ્ણ તલવારથી ભ્રામક દલીલો અને પૂર્વગ્રહોને વાઢી નાખીને અને ભીમની ગદાથી તમામ જાતની રૂઢિચુસ્તતાને તોડી નાખીને વિચાર કરતાં શીખવું જોઈએ.”

અરવિંદના જન્મની આ દોઢસોમી જયંતીના પ્રસંગે આ તેમના વિચારોની ઝલક માત્ર છે. અરવિંદના વિચારયાત્રાના પરિચયમાં આવનારે તેમની આ યાત્રા અદ્ભુત અને શાશ્વત્‌ ગણાવે છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,4581,4591,4601,461...1,4701,4801,490...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved