Opinion Magazine
Number of visits: 9671843
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—154

દીપક મહેતા|Opinion - Opinion|16 July 2022

મુંબઈના પહેલવહેલા ઘડિયાળી કોણ હતા?

જંતર બનાવીને જેલમાંથી છૂટેલા ફરદુનજી શેઠ

ભીખા બહેરામના સખાવતી વંશજો

માનશો? એક જમાનો એવો પણ હતો કે જ્યારે મુંબઈના થોડા માલેતુજારો પાસે ઘડિયાળ તો હતાં, પણ તે બગડી જાય તો તેન રિપેર કરનાર કોઈ નહોતું! અને એ વખતે ઘડિયાળ એટલે રિસ્ટ વોચ નહિ હોં. એ તો પછીથી આવી. ત્યારે તો વોચ એટલે પોકેટ વોચ. આપણા દેશમાં જ નહિ, યુરોપના દેશોમાં પણ એ વાપરે ફક્ત પુરુષો જ. કારણ મહિલાઓનાં ડ્રેસમાં પોકેટ હોય જ નહિ, તો પોકેટ વોચ રાખે ક્યાં? અને આમ પણ આખો દિવસ ઘરમાં જ રહીને, ઘરકામમાં અને ઢગલો છોકરાં ઉછેરવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને તે વળી ટાઈમ જાણવાની, તે માટે ઘડિયાળ રાખવાની શી જરૂર?  પણ પછી થયું કે બૈરાંઓ માટે પણ ટાઈમ જાણવાનું કોઈક સાધન તો હોવું જોઈએ. એટલે ૧૬મી સદીમાં આવી રિસ્ટ વોચ. પણ પુરુષો તે પહેરે જ નહિ! પહેરે ફક્ત બૈરાંઓ. એટલે ઓળખાતી બ્રેસલેટ વોચ તરીકે. રોબર્ટ ડડલી નામે ગ્રેટ બ્રિટનનો એક ઉમરાવ. બીજા કોઈ સાથે નહિ, પણ ખુદ રાણી એલિઝાબેથને પરણવાના ધખારા. રાણીને રીઝવવા ખાસ બનાવડાવી ‘આર્મ્ડવોચ’ અને ૧૫૭૧માં તેમને ભેટ ધરી.

એ જમાનામાં વિલાયતમાં જે આવે તે વહેલું મોડું હિન્દુસ્તાનમાં પણ આવે. એટલે ઘડિયાળ તો આવી, પણ બગડે તો રિપેર કરનાર કોઈ નહિ! એ હુન્નર શીખીને મુંબઈના પહેલવહેલા ઘડિયાળી બન્યા જમશેદજી મંચેરજી લકબે ચીકા, જે પછી લકબે ચીકામાંથી બની ગયા જમશેદજી મંચેરજી ઘડિયાળી. એમનું ખાનદાન એ મુંબઈ આવીને વસેલું પટેલ પરિવાર પછીનું બીજું ખાનદાન. નસીબ અજમાવવા સોરાબજી કડવાજી ૧૬૬૪માં મુંબઈ આવ્યા, પોતાની ગરીબી દૂર કરવા. મુંબઈ આવીને તેવણે શું કામકાજ કીધું તે તો જાણવા મળતું નથી. પણ તેમના ખાનદાનમાં પેદા થયા જોગાજી. ઈ.સ. ૧૭૨૭ કે ૧૭૨૮માં એક ફ્રેંચ ઘડિયાળી મુંબઈ આવેલો. કોઈક રીતે તેની સાથે ઘરોબો બાંધીને, આજીજી કરીને તેમની પાસેથી જોગાજી ઘડિયાળ દુરુસ્ત કરવાનો હુન્નર શીખ્યા. અને ૧૭૩૦માં શરૂ કરી મુંબઈની પહેલવહેલી ઘડિયાળીની દુકાન. અને પછી તો એ તેમના ખાનદાનનો ધંધો બને ગયો. તે પહેલાં મુંબઈના અંગ્રેજ અમલદારોની ઘડિયાળ બગડી જાય તો રાખી મૂકતા, અને રજા લઈને માદરે વતન જાય ત્યારે ત્યાં સમારાવી લેતા. તેમાં કેટલાક હવે જોગાજી પાસે આવવા લાગ્યા. અને પછી આ લાટસાહેબોની પાછળ આવવા લાગ્યા ‘દેશીઓ.’

વીતેલા જમાનાની પોકેટ વોચ

જોગાજી પછી ફરદુનજી બન્યા ઘડિયાળી. મનસૂબો કર્યો ધંધો વિકસાવવાનો, અને ગયા પૂણે. ત્યારે પૂણે એ પેશવા રાજવટની રાજધાની. આજે આપણે ભલે અંગ્રેજ શાસનને ભાંડીએ. પણ કાયદો અને વ્યવસ્થાનું શાસન તેમણે સ્થાપ્યું, દેશી રજવાડાંઓની અંધાધૂની દૂર કરીને. ફરદુનજીનો વાંકગનો શો હતો એ તો ખબર નથી. પણ પેશવાના સિપાઈઓએ પકડીને પૂર્યા કેદખાને. હવે ફરદુનજી ઘડિયાળ સમી-નમી કરવા ઉપરાંત નાનાં મોટાં વાજિંત્ર પણ બનાવતા. કેદખાનાના કેટલાક અધિકારીઓની રહેમ નજરને પ્રતાપે એક અજબશું જંતર બનાવી રાજાને ભેટ મોકલ્યું. રાજા તો ખુશ ખુશ. કર્યો હુકમ : છોડી મૂકો કેદખાનામાંથી, અને હા, રાજ તરફથી સરપાવ આપીને જ જવા દેજો.

ધંધો વિકસાવવાની ખ્વાહેશ છોડીને ફરદુનજીએ પકડી સીધી મુંબઈની વાટ. અને પછી બાકીની જિંદગી સુખચેનમાં મુંબઈમાં ગુજારી. એવણ જ્યારે બેહસ્તનશીન થયા ત્યારે પાછળ મૂકતા ગયા બે બેટાઓ, મંચેરજી અને કાવસજી. અને એ બંનેએ બાપીકા ધંધાને ઓર વિકસાવ્યો. એમના વારસોમાં જમશેદજી ઘડિયાળી એવા તો કુશળ, મિલનસાર, સાચકલા, કે ઘરાકો પોતાનાં મોંઘાદાટ ઘડિયાળ પણ વગર રસીદે તેમની પાસે છોડી જતા. અને જલદીમાં જલદી તેને દુરુસ્ત કરી એવણ ઘડિયાળ ઘરાકને ઘરે પહોચાંડી દેતા. પછી તો બીજા પારસીઓ પણ આ હુન્નર શીખ્યા, દુકાન કાઢી બે પાંદડે થયા. એક જમાનામાં મુંબઈમાં ઘડિયાળી એટલે પારસી.

અગાઉ આપણે ભીખાજી બહેરામ વિષે વાત કરેલી. એમની મૂળ અટક પાંડે. ત્રણ બેટા : લીમજી ભીખાજી, પેસ્તનજી ભીખાજી, ફરામજી ભીખાજી. તેમાં લીમજીશેઠની વિલાયતી સામાનની ભરચક દુકાન, અંગ્રેજ બજારમાં. જ્યારે ફરદુનજીએ બાપીકી દુકાન તો ચાલુ રાખી જ, પણ સાથોસાથ રીચી સ્ટુઅર્ટની કંપનીના આડતિયા પણ બન્યા. એટલું જ નહિ અરદેસર નામના દીકરાને ચીન મોકલી ત્યાં પણ વેપાર વધાર્યો. મેરી ગોર્ડન નામનું, અને રૂપારેલ નામનું, એમ બે વહાણ મેળવી ચીન સાથે આયાત-નિકાસનો ધીકતો ધંધો જમાવ્યો. અહીં એક આડવાત કરી લઈએ. ૧૯મી સદીમાં જ્યારે ચીન સાથેના વેપારની વાત આવે ત્યારે મોટે ભાગે એ હોય અફીણનો વેપાર. અહીનું અફીણ ચીન જાય. ત્યાંની જણસો બદલામાં અહીં આવે. ફરદુનજીએ પોતાના એક બેટા દીનશાહને હજારો રૂપિયા ખરચીને ભણવા માટે છેક વિલાયત મોકલેલા. જો કે ત્યાં ચાર વરસ ભણીને પાછા આવ્યા પછી તેઓ પણ ચીન જઈ ખાનદાની વેપારમાં જોડાયા.

મેરી ગોર્ડન નામનું વહાણ

ભીખા બહેરામના એક વંશજ તે શેઠ મેરવાનજી ફરામજી પાંડેના. ઈ.સ. ૧૮૧૩માં જન્મ. સખાવતી જીવ. પારસી જમાતમાં સખાવતની તો નવાઈ નહિ. પણ મેરવાનજીએ પોતાના જમાનાની જરૂરિયાતો જાણી-સમજીને કેટલાંક અલાયદાં કામ કર્યાં. ૧૯મી સદીમાં તો ગુજરાતના ગામેગામથી પારસીઓનો ગાડરિયો પ્રવાહ મુંબઈ તરફ વહેતો થયો હતો. મોટા ભાગના આવે ત્યારે ગાંઠે ઝાઝો ગરથ હોય નહિ. એ વખતે પણ મુંબઈ એટલે મસ મોટું શહેર. બહારગામથી આવતા પારસીઓએ આવીને પહેલો આશરો લેવો ક્યાં? તે વખતનું નામ કરેલ વાડી. (આજે પણ એક નાનકડી ગલ્લીનું એ નામ છે.) પછીનું નામ ચર્ની રોડ. આજનું નામ રાજા રામમોહન રોય રોડ. કાવસજી બહેરામજી બનાજીવાલા આતશ બહેરામની સામ્ભે મેરવાનજી શેઠની ખાસ્સી મોટી જમીન. તેમાંથી તે વખતના ૩૬ હજાર રૂપિયાની કિંમતનો જમીનનો એક ટુકડો અલગ કરી તેના પર પોતાને ખરચે મોટી ઈમારત બંધાવી, એક લાખ રૂપિયાના ખર્ચે. આજે પણ એ ઇમારત ‘પાંડેની ધરમશાળા’ તરીકે ઓળખાય છે. પણ બીજે ક્યાં ય નહિ ને ચર્ની રોડ નજીક જ કેમ બંધાવી આ ધરમશાળા? કારણ એ વખતે ગુજરાત આવતી-જતી ટ્રેનો ચર્ની રોડ સ્ટેશને પણ થોભતી. એટલે ગુજરાતથી આવતા પારસીઓ માટે અહીંથી આવવું-જવું સહેલું પડે.

પાંડે ધરમશાળા – આજે

આ શેઠની ઝીણી નજરે એક બીજી વાત પણ નોંધી. એ વખતના મુંબઈમાં અવારનવાર કોઈને કોઈ રોગચાળો ફેલાય. દવાદારૂ માટે તો પારસીઓનાં ધર્માદા દવાખાનાં હતાં. પણ માંદગી પછી થોડો વખત જ્યાં રહીને ચોખ્ખાં હવાપાણીથી પાછા તાજામાજા થઈ શકાય એવી કોઈ જગ્યા નહિ. હા, તવંગર પારસીઓએ પરાંઓમાં બંગલા બંધાવેલા, એટલે ત્યાં જઈને રહે. પણ આમઆદમીનું શું? એટલે આ શેઠે કોલાબા વિસ્તારમાં દરિયા કિનારે મોટું ‘હવાખાનું’ કહેતાં સેનેટોરિયમ બંધાવ્યું જેને નામ આપ્યું ‘મહેરવાન બાગ.’ એક સાથે પોણો સો જણ રહીને દરિયાની ખુલ્લી હવા માણી શકે એવી સગવડ. સાથે એક ડોક્ટર પણ ખરા. જરૂરી સારવાર કરે. બહુ ઓછી કિંમતે દવાઓ પણ ત્યાંથી જ મળી રહે. આ સગવડ ઊભી કરવા પાછળ શેઠે એ જમાનામાં ચાર લાખ રૂપિયા ખર્ચેલા.

મેડિકલ પ્રોફેશનમાં આજે પણ ‘લાન્સેટ’ અઠવાડિકનું ભારે માન છે. ૧૮૨૩માં શરૂ થયેલું. તબીબી દૃષ્ટિએ આ મહેરવાન બાગની સગવડો એટલી તો અફલાતુન કે ૨૦ જાન્યુઆરી અને ૧૩ એપ્રિલ, ૧૮૭૨, એમ બે-બે અંકમાં તેને વિષે વિસ્તારથી લેખ લખીને પ્રગટ કીધેલા.

આજના મુંબઈમાં જુદી જુદી જગ્યાએ ‘પારસી કોલોની’ જોવા મળે – ક્યાંક મોટી, ક્યાંક નાની. અમેરિકાના આંતરવિગ્રહને કારણે હિન્દુસ્તાનના કપાસના ભાવ અસાધારણ ઊંચકાયા અને ફકીર હતા તે રાતોરાત અમીર બની ગયા. સાથોસાથ મકાનનાં ભાડાં પણ પુષ્કળ વધી ગયાં. કારણ અંતરિયાળ ગામોમાંથી પણ લોકોએ સટ્ટાના તાપણામાં તાપીને રાતોરાત માલેતુજાર થવા મુંબઈ તરફ દોટ મૂકી. મુંબઈ આવતા પારસીઓ માટે રહેણાકનાં મકાન બાંધી તેમણે વાજબી ભાડે આપવાં જોઈએ એવો વિચાર આવ્યો. ચર્ની રોડ પર ધરમશાળા બંધાવ્યા પછી પણ ઘણી જગ્યા ફાજલ પડી હતી. એ જગ્યા પર મકાનો બાંધવાનું કામ શરૂ પણ થયું. પણ પછી આંતરવિગ્રહ પૂરો થતાં રૂ બજાર, શેર બજાર, ખાનગી બેંકો, બધું કડડ ભૂસ. તેમાં આ શેઠ પણ ઘવાયા. હવે પારસીઓ માટે ફ્લેટનાં મકાનો બાંધવાનો તો સવાલ જ નહોતો. છતાં કોમની ભલાઈ કરવાનો આગ્રહ પણ ગયો નહિ. જે જગ્યા પર ફ્લેટ બાંધવા હતા તે જગ્યાનો આખો મોખરાનો ભાગ તો તેમણે વેચી નાખ્યો, બલકે વેચી નાખવો પડ્યો. પણ પછી એ વેચતાં જે રકમ આવી તેનું એવણે શું કર્યું? વ્યાજ ખાધું? ના. પહેલાં માથા પરનું દેવું ચૂકવી દીધું. પછી જેટલી જમીન વધી હતી તેના પર ફ્લેટ્સ નહિ તો ડબલ રૂમની ચાલ બાંધી. અને એ ખોલીઓ વાજબી ભાડે નબળી આર્થિક સ્થિતિવાળા પારસીઓને ભાડે આપી! હા, એમ કરીને પોતાને માટે થોડીક નિયમિત આવક ઊભી કરી. પણ સાથોસાથ કોમના થોડા લોકોનું પણ ભલું કર્યું. એ વખતે એ ચાલમાં લગભગ પાંચ સો પારસીઓ વસતા થયા. અને આ બધું કર્યા પછી બાવાજીના હાથમાં કેટલા પૈસા વધ્યા? પચીસ હજાર. ખરચ્યા સાત લાખ એકત્રીસ હજાર!

અને હા, જે જે સખાવતો કરી તેનો વહીવટ સુવાંગ પોતાના હાથમાં ન રાખ્યો, પણ દરેક મિલકત માટે અલગ અલગ ટ્રસ્ટ બનાવ્યાં. અને એવનની સખાવત પહોંચી હતી છેક વેલાત સુધી. અમેરિકન આંતરવિગ્રહ વખતે શરૂઅતમાં લેન્કેશાયરના કેટલાયે વણકરો બેકાર બની ગયેલા. તેમને મદદ કરવા માટે જ્યારે મુંબઈમાં ફંડફાળો ઉઘરાવવામાં આવ્યો ત્યારે તેમાં પણ ૧૨ હજાર રૂપિયા આપ્યા.

પાંડેના ખાનદાન જેવા બીજા કોઈ ખાનદાન વિષે વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx  

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 જુલાઈ 2022

Loading

મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે

સોનલ પરીખ|Opinion - Opinion|15 July 2022

હું તો બસ ફરવા આવ્યો છું …
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?

અહીં પંથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા  !
– રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું !

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું …

હું તો બસ ફરવા આવ્યો છું …
                                   

                                                       —     નિરંજન ભગત
°°°°°°°°°°°°°°°°°°

ઑરફાલિઝના લોકોએ અલ મુસ્તફાને ‘મજા’ વિશે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ‘મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો.’ આગળ કહ્યું, ‘તમારાં ખેતરો અને બગીચામાં જાઓ. ત્યાં તમે શીખશો કે ફૂલોમાંથી મધ ભેગું કરવામાં મધમાખીઓને મજા પડે છે; પણ, તે સાથે જ, માખીને પોતાનું મધ આપવામાં ફૂલોને ય મજા પડે છે. કારણ કે મધમાખને માટે ફૂલ એ જીવનનો ઝરો છે અને ફૂલને માટે મધમાખ પ્રેમનો દૂત છે. અને મધમાખ તેમ જ ફૂલ બંનેને માટે એ મજાની આપલે જરૂરિયાત તેમ જ લહાવો છે. ઑરફાલિઝના લોકો, તમારી મજાઓની બાબતમાં ફૂલ અને મધમાખ જેવા થાઓ.’

આવી મજા કરવાનું જો આપણે ભૂલી ગયા હોઈએ, અને એવી જ શક્યતા વધારે છે, તો એને યાદ કરવા માટે આપણે ઊજવવો જોઈએ ‘દોડો નહીં, ટહેલો’ આવો સંદેશ આપતો વર્લ્ડ સોન્ટરિંગ ડે. સોન્ટરિંગ એટલે ટહેલવું, નિરાંતે હરવુંફરવું, ચહલકદમીનો આનંદ લેવો. 1979માં ડબલ્યુ.ટી. રેબ નામના માણસે, એ વખતે જોગિંગનું વધતું જતું મહત્ત્વ જોઈ આ દિવસની શરૂઆત કરી હતી એવું મનાય છે. એ માણસ મિશિગન સ્ટેટના મેકિનેક ટાપુ પર આવેલી ગ્રાંડ હોટેલમાં કામ કરતો. ત્યાં જ એણે આ શરૂઆત કરી હતી. આ દિવસની ઊજવણી પાછળ લોકોને ધીમા પડી આસપાસના વિશ્વને નિરાંતે માણવું અને એની કદર કરતાં શીખવું એ સમજાવવાનો છે અને એ દર વર્ષની 19મી જૂને ઊજવાય છે.

નામ યાદ નથી, પણ એક અમેરિકન લેખિકાએ પોતાનો જે અનુભવ વર્ણવ્યો હતો એ યાદ છે – ઝડપી અને સ્પર્ધાત્મક જીવનશૈલીએ એને સફળતા અને ભૌતિક સુખ-સગવડો મેળવી આપ્યાં હતાં. પણ એને કોઈ અજાણ્યો અજંપો પજવતો રહેતો. એને થતું કે એની ઓછું ભણેલી અને ગામડામાં અગવડો વચ્ચે રહેતી માના ચહેરા પર વધારે પ્રસન્નતા અને શાંતિ છે, અને સરસ પરિવાર, ઉચ્ચ શિક્ષણ, સગવડો અને સિદ્ધિઓ છતાં પોતાના ચહેરા પર અજંપો છે : એમ કેમ ? શું ખૂટે છે ?

પ્રશ્ન એવો તો હેરાન કરવા લાગ્યો કે તે થોડા દિવસ માટે શહેરની ધમાલથી દૂર ચાલી ગઈ. એકલી, એક ટાપુ પર જઈને રહી. કંઈ જ કર્યું નહીં, કુદરતની વચ્ચે ફરતી રહી, ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેતી ગઈ, આસપાસનાં ફૂલો-પતંગિયાં-પંખીઓને ઓળખતી ગઈ, કુદરતની ઉદારતા અને વૈવિધ્યને નમ્ર સ્નેહપૂર્વક માણતી રહી. મહત્ત્વાકાંક્ષા, દોડાદોડી અને પોતાને સાબિત કરતા રહેવાની હોડમાં ખોવાઈ ગયેલાં સર્જનાત્મકતા, વિસ્મય અને તાજગી પાછાં આવ્યાં. એને ખબર પડી કે એને ધીમા પડવાની જરૂર હતી. દોડવાની નહીં, ટહેલવાની જરૂર હતી. કોઈની સાથે સ્પર્ધા કરવાની નહીં, પોતાની જાત સાથે મૈત્રી કરવાની જરૂર હતી.

વિલિયમ હેનરી ડૅવિસ નામના પ્રસિદ્ધ કવિએ ‘લેઝર’ નામનું કાવ્ય લખ્યું છે. તેઓ ત્રણ વર્ષના હતા અને પિતા મૃત્યુ પામ્યા. માએ પછીના વર્ષે બીજા લગ્ન કર્યાં. તેઓ દાદા-દાદી પાસે ઊછર્યા. પરિવારના સભ્યોને વર્ણવતા એમણે લખ્યું છે, એ ઘરમાં દાદા-દાદી, અમે ત્રણ ભાઈબહેન, એક નોકરબાઈ, એક કૂતરો, એક બિલાડી, એક પોપટ, એક કબૂતર અને એક કેનરી પક્ષી રહેતાં હતાં. આ પરથી એમનું બાળપણ બહુ સુખી હતું એમ માની લેવાની ભૂલ ન કરવી, કેમ કે એમને શાળામાં ત્રાસ થતો. બદમાશ મિત્રો હેરાન કરતા. દસ વર્ષની ઉંમરે ડેવિસ અને બીજા ચાર મિત્રો પર પર્સની ચોરીનો આરોપ મુકાયો અને 12 કોરડા ખાવાની સજા મળી. દાદાને નજર સામે મરતા જોયા. 11 વર્ષની ઉંમરે લખેલા એમના પહેલા કાવ્યનું નામ હતું ‘ડેથ’.

આ ડબલ્યુ.એચ. ડૅવિસ મહાન કવિ બન્યા અને પ્રકૃતિકવિ તરીકે સૌથી વધુ ઓળખ પામ્યા. તેઓ અનુભવતા કે આધુનિક જીવનશૈલીએ સાદગી, સૌંદર્ય, નિરાંત અને આનંદ છીનવી લીધા છે. એમનાં કાવ્યોમાં સૌથી વધુ પ્રખ્યાત કાવ્ય 1911માં લખાયેલું ‘લેઝર’ છે. લેઝર એટલે ફુરસદ, નવરાશ, નિરાંત. કવિ લખે છે, ‘“વૉટ ઈઝ ધિસ ટાઈમ ઈફ, ફુલ ઑફ કૅર; વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર” – પર્વતના ઢોળાવ પર નિરાંતે ચરતી ગાય, હવાની લહેરમાં ડોલતા પ્રસન્ન છોડવા, ઝીણાં ફૂલ ખેરવતું વૃક્ષ – આ બધાને જોવાની આંખ આપણી પાસે નથી કારણ આપણે અધીરા અને ઊતાવળથી ભરેલા છીએ. મધમાખીનું નૃત્ય જોવાનો કે પાંદડાં નીચે ખિસકોલીએ છૂપાવેલો નટ્સનો ખજાનો શોધવાનો સમય આપણી પાસે નથી.  જો આ જ જીવન હોય તો એ જીવન જ નથી.’ સવા સદી પહેલાની પહેલાની જીવનશૈલીમાં પણ જો એમને એમ લાગતું હોય કે આપણી પાસે ઊભા રહેવાનો અને આસપાસની સૃષ્ટિને નીરખવાનો સમય નથી તો આજની આપણી જીવનશૈલી જોઈ તેઓ શું અનુભવત ? શું કહેત ? જેમાં આનંદ મળે એવી ચીજો પાછળ દોડવામાં આપણે આસપાસ વેરાયેલી વિપુલ સુંદરતાને મન ભરીને માણી લેવાનું ભૂલી જઈએ છીએ.

આપણે ત્યાં ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કોઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું’ (નિરંજન ભગત), ‘નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે’ (રાજેન્દ્ર શાહ), ‘કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે, એકે કામ નથી કરવાનું મારે સંધ્યાકાળે’ (ઉશનસ્‌) કે ‘મૂળને સૂંઘતો, વૃક્ષને સંવેદતો, વનરાજિમાં પ્રસરતો, આનંદથી વરસતો … ચાલી રહ્યો છું’ (જયદેવ શુક્લ) જેવી અનેક અનુભવસમૃદ્ધ પંક્તિઓ મળે છે.

એટલે વાત છે સ્લો ડાઉન થવાની, જીવન માણવાની. હિમાલય જનારાઓમાંના ઘણાં વાહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ધીરે ધીરે ટહેલતા જવું ને પહાડની હવા, પહાડની સુગંધ અને કુદરતી સૌંદર્યને શાંતિથી નીરખતાં જવું, માણતાં જવું. પ્રિયંકા દલાલ નામની યુવતી સોલો ટ્રાવેલર એટલે કે એકલપ્રવાસી છે, ‘કુદરતના સાન્નિધ્યમાં હોઉં ત્યારે મને કોઈ બીજાનો મૂડ સાચવવાની કે એની સાથે વાતો કરવાની ખલેલ પણ ન જોઈએ.’ એ એક ફૉલ્ડિંગ, બૉક્સમાં પૅક થઈ જાય એવી સાયકલ રાખે છે. દેશમાં કે વિદેશમાં જ્યાં જાય ત્યાં સાયકલ લઈ જાય. એને અનફૉલ્ડ કરી, જોડી લે અને ખભા પરના ‘રકસેક’માં આવી જાય એટલો જ સામાન રાખી જ્યાં ગઈ હોય ત્યાં નિરાંતે ફરતી રહે. ત્યાંના લોકો, જીવનશૈલી, કુદરત, ખાવાપીવાનું બધું જુએ-માણે. માત્ર જોઈને નીકળી જવું એટલું પૂરતું નથી. ત્યાંનું ‘ફીલ’ મળવું જોઈએ.

અને આપણે, અહીં આપણા દેશમાં ચાઈનીઝ ને મૅક્સિકન ને ઈટાલિયન ફૂડનો શોખ રાખીએ ને પેરિસ જઈએ તો ત્યાં પત્તરવેલિયા ને રોમ જઈએ તો ત્યાં રસપૂરી ખવડાવે એવી ટૂર શોધીએ. પછી ફરવા માટે બ્યૂટી પાર્લરમાં જઈ ટ્રીટમેન્ટો કરાવીએ, પર્યટનની જગ્યાએ બેચાર જાણીતા સ્પૉટ પર સેલ્ફીઓ લઈને, શોપિંગ કરીને પાછા આવીએ અને ફોટા અપલોડ કરીને લખીએ, ‘વૉટ અ ગ્રેટ એક્સપિરિઅન્સ !’ આ આપણી મજા. વિચાર કરીએ તો આપણને આપણી જ દયા આવે.

ખરું જોતાં આપણને આ પૃથ્વીનો, એના સૌંદર્યનો, આપણા હોવાનો, કશાનો કોઈ અર્થ ખબર જ નથી અને સર્વજ્ઞ હોઈએ એવો ડોળ કરવો છે. આ વ્યર્થતાને રાવજી પટેલ ‘મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે’ એવા શબ્દોમાં વર્ણવે છે. અને શહેરમાં ભરાઈ પડેલી મકરંદ દવેની ગ્રામનાયિકા કહે છે,

આભથી તારા રમતા આવે
મોગરા જેવી સેજ વચાળે,
સીમ તો સામી સાદ પાડે કે
આવ દોડી આવ હરણફાળે,
ભીની રેતીમાં નાનકી નદી
આપણાં ભોળાં પગલાં ભાળે,
હડકાયાં આ હાડ ભાળીને
હું તો આવી ગઈ ગળા લગ,
હાલ્યને વાલમ ક્યાંક જતાં રંઈ,
ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ …

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 જૂન 2022

Loading

કોરાંભીનાં સ્મરણો

સુમન શાહ|Opinion - Opinion|15 July 2022

મારા વતનમાં, ડભોઇમાં, ત્યારે એક જ ટૉકિઝ હતી. અંગ્રેજોના પ્રભાવે એનું નામ ‘મૅજેસ્ટિક’, પણ એમાં કશું ય ‘ભવ્ય’ ન મળે. દીવાલો પતરાંની, સ્ક્રીન મૅલોઘૅલો, પંખા નહીં. જરૂરતમંદ લોકો ઘરેથી હાથ-પંખો લઈને આવતા. બીડીઓ ફૂંકનારા અવારનવાર ઊઠબેસ કરે. વારંવાર હોઓઓ હોઓઓ લાંબા લાંબા બુચકારા ને તીવ્ર સિટીઓ સાંભળવાનાં. નજીકની મૂતરડીએથી વાસ નિરંતરાય આવે. પાંચ આના, સાડાદસ આના, એક રૂપિયો બે આના, ટિકિટો હતી. ટિકિટબારીએ ધક્કામુક્કીભરી લાઈન લાગી હોય.

હાલ એ ‘મૅજેસ્ટિક’-ના શા હાલ છે, નથી ખબર.

મને યાદ છે એમ હું ૧૯૫૦ આસપાસની વાત કરી રહ્યો છું.

એ પછી, અમારી પ્રાથમિક શાળાને રસ્તે, બીજી ટૉકિઝ બની, ‘ભારત’ -જાણે રાષ્ટ્રપ્રેમ જાગ્યો ! ત્યાંથી જતાં ને આવતાં એને બનતી જોવાની મજા આવતી, એટલા માટે કે ક્યારે બની રહે ને ક્યારે એમાં ‘ફિલમ’ – ફિલ્મ – પિક્ચર – મૂવિ જોવા બેસીએ, એમ તાલાવેલી થતી. વડોદરામાં ક્રમે ક્રમે ૯ ટૉકિઝ બનેલી, પણ ગામમાં ૨ બની તેનો ગર્વ થયેલો.

બધા કહે, મહમ્મદ મિયાં, માલિક, કોમવાદી નથી, જુઓ, પહેલી જ ફિલમ લાવ્યા – ‘હર હર મહાદેવ’ ! બીજી લાવ્યા, ’મંગળફેરા’. ‘ભારત’-માં મારા જિગરી દોસ્ત ગુલામનબી વૉરા સાથે અનેક ફિલ્મો જોઇ છે. જોયા પછી વારંવાર એની અમુકતમુક ચર્ચાઓ કરી છે. બેસ્ટ ઍક્ટર દિલીપકુમાર કે રાજકપૂર -ના વાદ કર્યા છે. એક ભૈબંધ કનુ પારેખ હતો. ‘મૅજેસ્ટિક’-માં અને ‘ભારત’-માં જેટલી ફિલ્મો 'ચઢી' ને 'ઊતરી' તેનું એણે ઍક્ટર્સ-ઍક્ટ્રેસિસનાં નામ ને તારીખ વાર સાથેનું રજિસ્ટર બનાવેલું. મારી એક વાર્તામાં એ હકીકતનો મેં સર્જનાત્મક વિનિયોગ કર્યો છે.

પછીનાં વરસોમાં, હું ગાયકવાડી ગાયનશાળામાં સંગીત શીખતો’તો. ત્રણ વર્ષ ચાલ્યું, પછી પિતાજીએ મના કરી, કહ્યું – આપણે ગવૈયા નથી થવાનું ! બાકી, ‘ઓ ભાભી તમે થોડાંથોડાં થાવ વરણાગી …’ ‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે …’ ‘ઝંડા ઊંચા રહે અમારા …’ ‘બચપન કી મહોબત કો દિલ સે ન જુદા કરના, જબ યાદ મેરી આયે, દો આંસુ બહા લેના …’ ’આ જા રે અબ મેરા દિલ પુકારા …’ 'ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનો …' 'તું અગર ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમ્હેં, મેરી બાત ઔર હૈ, મૈંને તો મહોબત કી હૈ …' 'ચાહે તું આયે ન આયે, હમ કરેંગે ઇન્તજાર …' ‘તને જોઇ જોઇ તો ય તું અજાણી …’ ‘ઈંધણાં વીણવા ગઇ’તી મોરી સૈયર …’ વગેરે ગીતો તેમ જ દયારામનાં પદ અને ગરબીઓ હું એકદમની મજાથી ગાઇ શકતો. ઘરના હીંચકે બેસી ઝૂલતાં ઝૂલતાં ગાવાનો રિવાજ હતો.

મને ત્રિતાલ ને ઝપતાલના બોલ બિલકુલ આવડતા’તા. આસાવરી ને યમનકલ્યાણને, તે-તેના સ્થાયી ને અન્તરા, આલાપ ને તાન સહિત બરાબ્બર રજૂ કરી શકતો. મારે ‘સંગીતવિશારદ’ થવું’તું. શી ખબર કેમ ને ક્યારે ગાયન મારું ઝૂંટવાઈ ગયું.

બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મો ટૉકી બની પછી ઇસ્ટમૅન કલર ને છેલ્લે ટૅક્નિકલર બની, સ્ક્રીન સેવન્ટી ઍમઍમના થયા. અમેરિકામાં આઇમૅક્સ, મલ્ટિપ્લૅક્સ ને રાઉન્ડ થીએટર જોયાં. અનેક વિદેશી ફિલ્મો જોઈ. મને હિસ્ટોરિકલ વૉર મૂવિ ગમે છે પણ મારામારીની ફિલ્મો નથી ગમતી. એમાં પાપનો ક્ષય થાય છે પરન્તુ માણસો માણસોની હત્યા કરે છે એ પાપ ચાલુ રહે છે. મને અતિ કલાત્મક ફિલ્મો પણ નથી ગમતી, પણ ‘સમાન્તર સિનેમા’ મૂવમૅન્ટ ગમેલી.

આજે તો, હોમ થીએટર થયાં છે. એઇટીસિક્સઇન્ચ સૅમ્સંગ ટીવી કે મૅકબુક ઍર કમ્પ્યૂટર ઘરેલુ ટૉકિઝની ગરજ સારે છે. મારે દસેક દિવસે એક મૂવિ તો જોવું જ પડે છે, જરૂરત વરતાય છે. મારી પસંદગીની કૅટેગરી ‘ડ્રામા’ છે. એ મૂવીઝમાં, હૈયાં વલોવાય છે ને બુદ્ધિ પાસે એના કશા ઇલાજ કે જવાબ હોતા નથી; એમાં, જિવાતાં જી-વ-ન હોય છે.

ડભોઇ-વડોદરામાં ભણ્યા પછી, ઉપલેટા કપડવણજ બોડેલી ને અમદાવાદમાં કારકિર્દી વીતી, અધ્યાપક અને સાહિત્યના માણસ થવા મળ્યું. નમ્ર અહમ્-ના કેન્દ્રેથી મિત્રવર્તુળ વિસ્તર્યું ને હજી વિસ્તરી રહ્યું છે …

બે વર્ષ પર વતન ગયેલો, જોયું તો ‘ભારત’ ટૉકિઝ ખંડેર હતી, તોડી પડાયેલી, ને ત્યાં કશોક મૉલ બનવાનો હતો. હું એ ધ્વસ્ત સમયને જોતો રહી ગયેલો …

સ્મરણો ટુકડે ટુકડે આમરણ જિવાય છે, એને પૂરેપૂરાં જમીનદોસ્ત નથી કરી શકાતાં.

= = =

(July 15, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4581,4591,4601,461...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved