Opinion Magazine
Number of visits: 9570033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેન્જમેન્ટઃ મુસ્લિમ દેશોની નારાજગી વહોરવાનું આપણા અર્થતંત્ર કે લોકતંત્રને જરા ય પોસાય તેમ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 June 2022

કોમવાદ અને કોમી ધિક્કાર ભૂતકાળમાં ભારતના આંતરિક રાજકારણનો જ હિસ્સો ગણાયા છે, પણ આંતરારાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ‘ઓવર કૉન્ફીડન્સ’ આપણી ‘લોકશાહી-બિનસાંપ્રદાયિક’ છબીને ભદ્દી રીતે ખરડી શકે છે

નવીન કુમાર જિંદાલ અને નૂપુર શર્માને મુસ્લિમ ધર્મ અને મોહંમદ પૈયગંબર વિષેની ટિપ્પણીઓ ભારે પડી. ખાડી પ્રદેશના ત્રણ દેશોએ ત્યાં નીમાયેલા એલચીને બોલાવીને ભારતે તેમની જાહેર માફી માંગવી પડશે તેવી માંગણી કરી. આ હોબાળાની લાંબી ચર્ચા કરવાનો ઇરાદો નથી કારણ કે તમે બધા તેનાથી વાકેફ તો છો જ. ચર્ચા એ કરવાની છે કે આમ તો કોઇની ય સાડાબારી ન રાખનારા ભારતે રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા અને દિલ્હીના પ્રવક્તા નવીન કુમાર જિંદાલને ઘરભેગા કર્યા કારણ કે ગલ્ફ પ્રદેશના દસ દેશોને વાંકુ પડે એ પોસાય તેમ નહોતું. આટલું ઓછું હોય એમ અંદરખાને બંધારણની ઐસી તૈસી કરનારા ભા.જ.પા.એ બંધારણને પોતે એક રાષ્ટ્ર તરીકે કેટલું મહત્ત્વ આપે છે અને પોતે કેટલો બિનસાંપ્રદાયિક દેશ છે એવી જાહેરાત પણ કરી. બહારના દેશો માટે તાત્કાલિક ધોરણે બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેનેજમેન્ટ કરવામાં આવ્યું કારણ કે એ કરવા સિવાય છૂટકો નથી. આપણે એ વાત માંડવાની છે કે આ ગલ્ફ પ્રદેશના દેશોને વાંકુ પડે તે આપણને પોસાય તેમ કેમ નથી?

ભા.જ.પા.એ પોતાના જ નેતાઓ સામે પગલાં લીધાં તે જ બતાડે છે ગલ્ફ પ્રદેશોની આપણને ગરજ છે.  મુસલમાન વિરોધી ઘુરકિયાં અને ગર્જના બિલ્લીનું મ્યાંઉં બની ગયાં તેનું કારણ છે અર્થતંત્ર. ગલ્ફ પ્રદેશમાં આવેલા યહૂદી દેશ ઇઝરાયલ સિવાય – સાઉદી અરેબિયા, કતાર, ઇરાન, ઇરાક, બહેરિન, કુવૈત, યુનાઇટે આરબ એમિરાત્સ, ઓમાન, જોર્ડન અને યમન – આ દસેય દેશોને ભેગા કરીએ તો વિશ્વના પાંચમા ભાગના મુસલમાનોની વસ્તી થાય અને મુસલમાનોના મુદ્દા, દૃષ્ટિકોણ, હક વગેરે માટેના સૌથી મોટા અને મહત્ત્વના પોકાર આ ખૂણાઓમાંથી જ ઊભા થતા હોય છે. ભારતને ગલ્ફ પ્રદેશની પરવા હોય તે સ્વાભાવિક છે કારણ કે મોટા ભાગના દેશો સાથે ભારતના સંબંધો સારા જ રહ્યા છે. વળી એ જગજાહેર વાત છે કે કોઇ પણ સંબંધ સ્વાર્થ વગર તો હોય નહીં. અહીં ગેસ – ઓઇલ અને વ્યાપાર બે બહુ મોટા પાસા છે જેને કારણે સારાસારી રાખવી પડે. વળી આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે.

ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર ભારતની ૮૪ ટકાથી વધુ પેટ્રોલિયમ ડિમાન્ડ – જેમાં ક્રુડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે – તે આયાતથી પૂરી થાય છે. છેલ્લાં ૧૫ વર્ષમાં ભારતની ક્રુડ ઓઇલની આયાતને પહોંચી વળવામાં ૬૦ ટકા જેટલો હિસ્સો પર્શિયન ગલ્ફ દેશોનો છે. ૨૦૨૧-૨૨માં ભારતમાં ઓઇલનો સૌથી વધુ જથ્થો પહોંચાડનાર દેશ હતો ઇરાક. એક સમયે ઇરાકનો હિસ્સો કૂલ આયાતમાં ૯ ટકા હતો તે વધીને હવે ૨૨ ટકા થયો છે. ૧૭થી ૧૮ ટકા જેટલો હિસ્સો સાઉદી અરેબિયાનો છે, તો કુવૈત અને યુ.એ.ઇ.એ લાંબા સમયથી મોટા જથ્થામાં ભારતને ઓઇલ પહોંચાડ્યું છે. યુ.એસ.એ.ના પ્રતિબંધોને કારણે ઇરાનની ભાગીદારી ભારતને ઓઇલ પહોંચાડવામાં સાવ એક ટકા જેટલી રહી ગઇ છે – જે એક સમયે બીજા ક્રમાંકનો સૌથી મોટો આયાતી દેશ હતો. આપણે ત્યાં ૪૧ ટકા ગેસ કતારથી આવે છે. આ લેવડ દેવડ તો ખરી પણ ૧૩.૪૬ મિલિયન ભારતીય નાગરિકો જે વિદેશમાં કામ કરી રહ્યા છે અને તેમાંથી બીજા દેશોનું નાગરિકત્વ લેનારા ભારતીયોની વાત કરીએ તો આ આંકડો ૩૨ મિલીયન જેટલો છે. માત્ર વિદેશમાં કામ કરનારા ભારતીયોની ગણીએ તો સૌથી વધુ ભારતીયો ગલ્ફ પ્રદેશમાં છે. યુ.એ.ઇ.માં ૩.૪૨ મિલિયન, સાઉદી અરેબિયામાં ૨.૬ મિલિયન અને કુવૈતમાં ૧.૦૩ મિલિયન જેટલા ભારતીયો છે. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર વિદેશથી ભરણું મેળવવાને મામલે ૨૦૨૦માં ભારતે સૌથી વધુ રકમ – ૮૩.૧૫ મિલિયન રકમ મેળવી છે. ૨૦૧૮માં રિઝર્વ બેંકે જણાવ્યા અનુસાર ભારતને મળતા ભરણામાંથી ૬૯ બિલિયન ભરણામાંથી ૫૦ ટકાથી વધારે ભરણું ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલમાંથી મળે છે. ગલ્ફના દેશોમાં મોટા સ્ટોર્સ અને રેસ્ટોરન્ટના માલિકો ભારતીય છે. હાલમાં થયેલા વિવાદમાં આ બધા ભારતીયોના બિઝનેસને નુકસાન પહોંચે તેવું જોખમ પણ ખડું થયું કારણ કે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનો અવાજ આ મુસ્લિમ દેશોમાં ઊભો થયો. વળી આ આર્થિક આધાર માત્ર એક તરફી નથી, કારણ કે યુ.એ.ઇ. અને ભારત વચ્ચેનો દ્વિપક્ષી વેપાર અંદાજે ૭૨.૯ બિલિયન જેટલો છે જેમાં ભારતની નિકાસની રકમ ૨૮.૪ બિલિયન જેટલી છે. ગલ્ફ પ્રદેશ ખાદ્ય પદાર્થોને મામલે આયાત પર નભે છે. ભેંસનું માંસ, ચોખા, મસાલા, દરિયાઇ ઉત્પાદનો, ફળ, શાકભાજી અને ખાંડ જેવી અગત્યની ચીજો ભારતથી જ આ દેશોમાં મોકલાય છે. આ દેશોની એવિયેશન ઇન્‍ડસ્ટ્રી એ.એ.ઇ. ભારતીય ફ્લાયર્સ પર નભે છે. ગલ્ફમાં ગ્લોબર ટ્રાન્ઝિટ હબ વધ્યાં પછી જ્યારે એમિરાટ્સ, એતિહાદ એરવેઝ, કતાર એરવેઝ જેવી એરલાઇન્સની સેવાઓ વધતાં તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માર્કેટ જેની પર મોટે ભાગે યુ.એસ. અને ભારતીય એરલાઇન્સનો કાબૂ હતો તે ભાગીદારી પણ ઘટાડી છે.

૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે મોટા ભાગના ગલ્ફ પ્રદેશના દેશો સાથે સંબંધો મજબૂત રહે તેની તકેદારી રાખી છે. વળી આ બધું માત્ર ડિપ્લોમસી પૂરતું નથી રહ્યું, જરૂર પડ્યે તેમણે પોતાના ભાષણોમાં પણ ગલ્ફ દેશો સાથે ભારતને બહુ જ સારા સંબંધો બન્યા છે તેવું કહ્યું છે. વળી વિદેશ પ્રવાસો કર્યા ત્યારે પણ વડા પ્રધાને ગલ્ફ પ્રદેશના મહત્ત્વના દેશોની મુલાકાત લીધી જ છે. આ દેશોના બહુ પ્રતિષ્ઠિત એવી મસ્જિદની મુલાકાત પણ વડા પ્રધાને લીધી છે જેમ કે અબુ ધાબીનું શેખ ઝાયેદ ગ્રાન્ડ મૉસ્ક અને મસ્કતનું સુલ્તાન કબૂસ ગ્રાન્ડ મૉસ્ક.

ટૂંકમાં ગલ્ફના દેશો સાથે શિંગડા ભેરવવાનું એક રાષ્ટ્ર તરીકે ભારતને જરા ય માફક આવે તેમ નથી. આપણે ‘વિકાસ’ના રસ્તે ચાલીએ છીએ પણ હજી વિકસીત દેશ નથી બન્યા. આપણા અર્થતંત્રએ પણ બહુ ભોગવ્યું છે, આપણને આંતરરાષ્ટ્રીય વેપાર વાણીજ્યમાં તંગ સંજોગો જરા ય સદે એમ નથી. સુરક્ષા અને સલામતીની દૃષ્ટિએ પણ આપણને આ તમામ દેશો સાથે સારો સંબધ રહે તે જરૂરી છે. ભારત અને યુ.એ.ઇ., સાઉદી અરેબિયા અને ઓમાન જેવા રાષ્ટ્રો તો સહિયારી મિલીટરી એક્સર્સાઇઝ પણ કરે છે.

વિદેશ નીતિને ગણતરીમાં લઇએ તો પાકિસ્તાન સાથેના તણાવની ખાઇ આ બધા વિવાદમાં ગહેરી બની શકે છે અને જો તે તેના જૂના મિત્ર રાષ્ટ્ર એવા સાઉદી અને યુ.એ.ઇ. સાથે પોતાના સંબંધો મજબૂત કરવામાં કંઇ બાકી નહીં રાખે. પાકિસ્તાનને આમે ય દિલ્હી અને ગલ્ફના દેશો વચ્ચેની સારા સંબંધો હંમેશાં નડ્યા છે.

કોમવાદ અને કોમી ધિક્કાર ભૂતકાળમાં ભારતના આંતરિક રાજકારણનો જ હિસ્સો ગણાયા છે, પણ આંતરારાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ‘ઓવર કૉન્ફીડન્સ’ આપણી ‘લોકશાહી-બિનસાંપ્રદાયિક’ છબીને ભદ્દી રીતે ખરડી શકે છે.

બાય ધી વેઃ

આ પહેલાં આ મુસ્લિમ દેશો સાથેના સંબંધોમાં ધર્મ ક્યારે ય આડે નથી આવ્યો. બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ ઘટી ત્યારે પણ આ દેશોને એવી ખાતરી હતી કે ભારત પોતાની લોકશાહી – બિનસાંપ્રદાયિક વ્યવસ્થાને વળગી રહેશે પણ પયંગબર અને તેમનાં પત્ની વિશે ઊતરતું બોલાય ત્યારે ભારત એક ‘બિનસાંપ્રદાયિક’ દેશ તરીકે પોતાની ફરજ ચૂક્યો છે એવું જ સાબિત થાય. કેન્દ્ર સરકારને એક માત્ર ચાહ હશે કે આટલા બધા હોબાળા પછી ‘ધંધા-ધાપા’ જરા તરા પણ હવાઇ ન જાય, નહીંતર માંડ બેઠા થઇ રહેલા અર્થતંત્રની બેવડ વળેલી કમર પર બીજો ફટકો પડશે. આમે ય ઘરમાં ગમે એટલા ધાંધિયા હોય, બહાર તો થપ્પડ મારીને ગાલ રાખવા સિવાય આપણી સરકાર પાસે બીજો કોઇ રસ્તો છે જ નહીં. બોલેલું જેટલું નૂકસાન કરી શકે છે તેનો ખ્યાલ હવે બીજી ટર્મમાં પહોંચ્યા પછી ય ભા.જ.પા. સરકારને ન સમજ પડે તો પછી ભગવાન કે અલ્લાહ કોઇ તેમની વહારે નહીં ધાય, એ પાક્કું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  12 જૂન 2022

Loading

મિતાલી રાજ Goddess of Cricket કેમ નહીં ?

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|12 June 2022

ભારતના ક્રિકેટ રસિયાઓ, નિષ્ણાતો અને માધ્યમોએ જો સચિન તેંડુલકરને God of Cricket તરીકે નવાજ્યો હોય, તો તેમણે મિતાલી રાજનું પણ આવું ગૌરવ શા માટે ના કર્યું, એવો આ લખનારને સવાલ થાય છે.

આ લખનાર ક્રિકેટમાં બિલકુલ રસ ધરાવતો નથી, પણ તેને રોજ બ રોજના બનાવોને કંઈક વ્યાપક સંદર્ભમાં જોવાનું ગમે છે. સેલિબ્રીટિઝ ભલે મોટે ભાગે પોતાની કારર્કિર્દી, કમાણી અને ચાહકોની દુનિયામાં જીવતા હોય, પણ તેમને દેશકાળના પરિપ્રેક્ષ્યમાં જોવાનું જરૂરી હોય છે.

આપણે deificationમાં,વ્યક્તિને ભગવાન બનાવવામાં ન જ માનતા હોઈએ. પણ સમાજનો જે એક મોટો હિસ્સો આમ deification કરે છે તેના માપદંડો સ્ત્રી અને પુરુષ માટે અલગ ન હોવા જોઈએ.

મિતાલી અને સચિનની સરખામણી ઘણાં સમયથી થતી રહી છે, જે મિતાલીની નિવૃત્તિ સાથે તેની ટોચે પહોંચે તે સ્વાભાવિક છે. ‘The Indian Express’ જેવા ઉત્તમ, વિશ્વસનીય અને જાળવી શકાય તેટલી તટસ્થતા જાળવતાં અખબારે તેના તંત્રીલેખનું પહેલું વાક્ય લખ્યું છે :

A career almost as long as that of Sachin Tendulkar, a body of work that puts her among the finest ever in women’s cricket, one-day international batting average and captaincy numbers that match those of MS Dhoni – Mithali Raj, who bids farewell to her playing days, was the first superstar of Indian women’s cricket.

(લગભગ સચિન તેંડુલકર જેટલી લાંબી કારકિર્દી ધરાવનાર, કામગીરીના રાશિથી ભારતની ઉત્કૃષ્ટ મહિલા ખેલાડીઓમાં સ્થાન પામનાર, વન-ડે ઇન્ટરનૅશનલની બૅટિંગ એવરેજ અને મૅચોની કૅપ્ટનશીપ બંનેમાં એમ.એસ. ધોની જેટલા જ જુમલે પહોંચનાર ભારતીય મહિલા ક્રિકેટની પહેલી સુપરસ્ટાર મિતાલી રાજ આજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહી છે.)

Express છેલ્લા ફકરામાં ફરીથી કહે છે :

In so many respects, her career was Tendulkar-like. Both played for more than two decades, both racked up records that will take gifted players to break.

(મિતાલીની કારર્કિર્દી અનેક રીતે તેંડુલકરની કારકિર્દી જેવી હતી. બંને બે દાયકા કરતાં વધુ સમય રમ્યાં, બંનેએ એવા વિક્રમો સર્જ્યા છે કે જે માત્ર ભવિષ્યના ખૂબ પ્રતિભાશાળી ખેલાડીઓ જ તોડી શકશે.)

સચિને જ્યારે પરાક્રમો કરવાનું શરૂ કર્યું ત્યારે ભારતમાં ક્રિકેટ વર્ષોથી ચાલતી અત્યંત લોકપ્રિય રમત હતી, પણ તે એકંદરે માત્ર પુરુષોના સંદર્ભમાં જ જોવાતી હતી. જાણકારો કહે છે કે ભારતમાં મહિલા ક્રિકેટની સ્વીકૃતિ વધતી ગઈ તેમાં પુરુષોની મૅચોમાં સૌંદર્ય અને સમજ ધરાવતી સ્ત્રીઓ દ્વારા અ‍ૅન્કરિંન્ગ, ક્રિકેટના ટેલિકાસ્ટમાં પ્રચંડ વધારો અને દુનિયામાં બધે જ મહિલાઓની સતત આગેકૂચ જેવાં પરિબળો પણ હતાં. તેમાં એક મુખ્ય પરિબળ મિતાલી રાજ. તેણે ભારતીય લોકોનો મહિલા ક્રિકેટ તરફ જોવાનો નજરિયો બદલવામાં મોટો ફાળો આપ્યો. એક્સપ્રેસ લખે છે :

She was the single most transformative figure in women’s cricket in her country.  She broke barriers and boundaries and changed perceptions. The force of her personality, the gift of her stroke-making and the dint of her leadership influenced the coming of age narrative of Indian women’s cricket, uplifted them from outsiders to genuine title contenders, and injected them with self-belief. Any summation of her career should comprise three parts. Mithali as a trailblazer of women’s cricket, as a world-conquering batter and as a World Cup captain.

(મિતાલી આપણા દેશના મહિલા ક્રિકેટની એક માત્ર સહુથી શક્તિશાળી પરિવર્તનકાર હતી. તેણે અડચણો અને સીમાડાંને તોડ્યાં. વ્યક્તિત્વના પ્રભાવ, ફટકાબાજીની દેણ અને નેતૃત્વની  કુનેહથી તેણે પુખ્તતાના તબક્કામાં પ્રવેશી રહેલાં ભારતીય મહિલા ક્રિકેટનું આખું narrative બદલી નાખ્યું. તેણે મહિલા ક્રિકેટરોને રમતની મુખ્ય ધારાથી બહાર હોય તેવા ઘટકના સ્થાનેથી ઉપર ઊઠાવીને ખરેખરા હરીફને સ્થાને મૂકી અને તેમનામાં આત્મવિશ્વાસ રેડ્યો.)

દેશમાં વર્ષોથી પોંખાતાં પ્રસ્થાપિત ક્રિકેટમાં સચિનનું આવું કોઈ યોગદાન છે કે કેમ તે સચિન-ભક્તિ વિનાની તટસ્થતાથી વિચારનારા નિરીક્ષકો કહી શકશે.

પોર્ટલ્સ અને પ્રકાશનોમાં ક્રિકેટ વિશે લખતાં રહેનાર સક્ષમ મિશ્રા The Quaint પોર્ટલ પર 6 જુલાઈએ Why is Mithali Raj Denied the Credit Due to Her? મથાળા હેઠળના લેખમાં એક જગ્યાએ પૂછે છે :

Sachin Tendulkar is the Mithali Raj of men's cricket. How about that?

(સચિન તેંડુલકર પુરુષોના ક્રિકેટના મિતાલી રાજ છે. આ કેવું લાગે છે ?)

તે આગળ લખે છે :

The disparity in remuneration and fan following of men's and women's cricket is another matter. But why a legend like Mithali Raj – and I repeat, comparable only to Sachin Tendulkar in context of Indian cricket – does not get even half the credit is inexplicable.

(સ્ત્રીઓ અને પુરુષોને રમત માટે મળતા પૈસામાં અસમાનતા, તેમ જ બંનેના ચાહકોની સંખ્યામાં પણ   અસમાનતા એ બીજી વાત છે. પણ ભારતીય ક્રિકેટના સંદર્ભમાં જેની સરખામણી માત્ર સચિન સાથે જે થઈ શકે તેવી દંતકથા સમી ખેલાડી મિતાલીને મળવો જોઈએ તેના કરતાં અરધો જશ પણ કેમ નથી મળતો એ ન સમજાય તેવી બાબત છે.)

પછી લેખક કહે છે કે આ જશ આપવામાં નથી આવતો તેનું કારણ batting style કે the low strike rate હોય તો એ ગેરસમજ છે. આમ કહીને પછી મિશ્રા તેમના લેખમાં ઇન્ગ્લેન્ડ સામેની ત્રણ વન-ડે ઇન્ટરનૅશનલના દાખલા આપીને એ ગેરસમજ દૂર કરવાની કોશિશ કરે છે.

સચિનનો જે જયજયકાર થયો તેટલો જયજયકાર તેના જેટલી જ શ્રેષ્ઠતા ધરાવનાર મિતાલીનો થયો નથી. તેનું કારણ ભારતીય સમાજનું એકંદર પુરુષકેન્દ્રી માનસ હોય તેમ આ લખનારને લાગે છે.

12 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કે.કે. નાની ઉંમરમાં કેવી રીતે યુવા દિલોની ધડકન બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 June 2022

કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કે.કે., “પ્રેમના અવાજ” તરીકે ભારતની નવી પેઢીનો સૌથી પસંદીદા ગાયક હતો. સ્વાભાવિક રીતે જ, ૩૧મી મેના રોજ, કોલકત્તામાં એક લાઈવ પરફોર્મન્સ આપીને હોટેલ પર પાછા ફરતી વખતે કાર્ડિયાક એરેસ્ટમાં તેનું અવસાન થતાં, દેશના લાખો યુવાનો-યુવતીઓએ એક સાથે સામૂહિક નિસાસો નાખ્યો. તેની ઉંમર માત્ર ૫૩ વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેણે ગાયિકીમાં જે મુકામ હાંસલ કર્યો હતો, તે જોતાં તેનું ભવિષ્ય ઘણું આશાસ્પદ અને અનેક સંભાવનાઓથી ભરેલું હતું. માત્ર ૩૧ વર્ષની વયે, 1999માં, તેના ડેબ્યુ આલ્બમ “પલ”થી કે.કે. યુવા દિલો પર છવાઈ ગયો હતો. તે આલ્બમનાં ગીતો આજે પણ સ્કૂલોની ફેરવેલ પાર્ટીઓમાં ગવાય છે.

કે.કે.એ બહુ ટૂંકા સમયમાં, હિન્દી ફિલ્મ સંગીતમાં લાજવાબ ગીતો આપ્યાં હતાં. જેમ કે, તડપ તડપ કે ઇસ દિલ કો (હમ દિલ દે ચૂકે સનમ), ડોલા રે ડોલા રે (દેવદાસ), ક્યા મુજે પ્યાર હૈ (વોહ લમ્હે), આંખો મેં તેરી (ઓમ શાંતિ ઓમ), ખુદા જાને (બચના યે હસીનો), પિયા આયે ના (આશિકી), મત આઝમા રે (મર્ડર-2), ઇન્ડિયા વાલે ( હેપ્પી ન્યૂ યર) અને તુ જો મિલા (બજરંગી ભાઈજાન).

“ધ હિંદુ” સમાચારપત્રના સિનિયર આસિસ્ટન્ટ એડિટર અનુજ કુમાર, કે.કે.ને શ્રદ્ધાંજલિ આપતાં લખે છે કે કે.કે.નો અવાજ, કિશોર કુમારની જેમ, વૈવિધ્યપૂર્ણ હતો. તેના અવાજમાં પ્રેમનો ઉલ્લાસ જેટલી દિલકશીથી છલકાતો હતો, એ જ રીતે પ્રેમની ઉદાસી પણ છવાતી હતી. જ્યારે પણ સ્ટેજ પરથી તેનો અવાજ માઈકમાં ગુંજતો, શ્રોતાઓનાં રૂવાંડા ઊભાં થઇ જતાં. અનુજ કુમાર પછી એક મહત્ત્વનું નિરીક્ષણ આપે છે, “આ પેઢીના જે પણ લોકો યૌવનની દહેલીજ પરથી પસાર થયા હશે, તેમના દિલોમાં કે.કે.નું કોઈ એક ગીત સચવાયેલું પડેલું હશે.”

કે.કે.ની (ઇન ફેક્ટ, કોઈ પણ ગાયક કલાકારની) લોકપ્રિયતાનું રહસ્ય, તેનો અવાજ કઈ ઉંમરના શ્રોતાઓને અપીલ કરે છે તેના પર છે. અનુજ કુમારના નિરીક્ષણમાં વૈજ્ઞાનિક તથ્ય છે. કૌમાર્યવસ્થા અને સંગીતની અભિરુચિ વચ્ચે ગહેરો સંબંધ છે. આપણે જ્યારે જવાન થતા હતા, ત્યારે આપણે જે ગીતો સંભાળતાં હતા, તેનો પ્રભાવ આપણા દિલોદિમાગ પર જેટલો ગહેરો હોય છે, તેટલો ગહેરો પ્રભાવ પાછળની ઉંમરમાં સાંભળેલાં ગીતોનો નથી હોતો.

ન્યુરોસાયન્સની ભાષામાં તેને ન્યુરલ નોસ્ટેલ્જિયા કહે છે; મજ્જાતંતુઓમાં સંગ્રહિત અતીતની યાદો. નોસ્ટેલ્જિયાને અતીતવિયોગ પણ કહે છે. એનો અર્થ એ કે અતીતની અમુક યાદો આપણને ઉદાસ કરી મૂકે, કારણ કે એ યાદો મજેદાર હતી, પણ હવે એ અતીત બની ગઈ છે અને તેને આપણે ફરી જીવી શકતા નથી. આમાં માત્ર સ્મૃતિ જ કામ નથી કરતી. આપણે સંભાળવાની, સુંઘવાની ઇન્દ્રિય પણ ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, પહેલો વરસાદ પડે ત્યારે ભીની માટીની સુંગંધ આપણને બાળપણમાં લઇ જાય છે અથવા આપણું પસંદીદા ગીત વાગે તો આપણો સ્કૂલ-કોલેજનો સમય જીવતો થઇ જાય છે.

ધારો કે તમે સંજય લીલા ભણસાલીની “ગલિયોં કી રાસલીલા” ફિલ્મ જોવા બેઠા છો અને તેમાં “નગાડા સંગ ઢોલ બાજે” ગીત આવે ત્યારે તે તમારી અંદર તમારી કોઈ જૂની યાદ તાજી કરી દે છે. એ ગીત કે ગરબા સાથે જોડાયેલી કોઈ ઘટના કે વ્યક્તિ તમને ઉદાસ કરી મૂકે છે. તમારામાં અચનાક એક મિસિંગની ભાવના જાગી જાય છે. તમે કોઈક દિવસ રાતે આકાશમાં જુઓ અને અચાનક તમને બાળપણમાં તમે કેવી રીતે તારા જોતા હતા તે યાદ આવી જાય. એક ઉર્દૂ શાયર જમાલ એહસાનીએ બહુ સરસ રીતે આ વાત લખી હતી :

‘જમાલ’ હર શહર સે પ્યારા વો શહર મુજ કો
જહાં સે દેખા થા પહલી બાર આસમાન મૈં ને

મગજના વિજ્ઞાનીઓ હવે સ્વીકારે છે કે સંગીતની જૂની યાદો બહુ મજબૂત રીતે માણસોને નોસ્ટેલ્જિક બનાવી દે છે. તેને મ્યુઝિકલ નોસ્ટેલ્જિયા કહે છે. માર્ક જોસેફ સ્ટર્ન નામના એક મનોવિજ્ઞાની, ‘સ્લેટ’ નામના સામાયિકમાં એક અનોખી વાત કરે છે. તેમના સંશોધન અનુસાર, 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણું  મગજ બહુ ઝડપી ન્યુરોલોજીકલ વિકાસ કરે છે અને એ સમય દરમિયાન આપણે જે સંગીત સાંભળ્યું હોય, તે મગજના ચાર લોબ્સ(ફ્રન્ટલ, પારીએટલ, ટેમ્પોરલ અને ઓસ્સીપિટલ)માં વણાઈ જાય છે. આને ગીત સાથેનું ન્યુરલ કનેક્શન કહે છે. તે વખતે આપણા તન-મનમાં કૌમાર્યવસ્થાનાં ગ્રોથ હોર્મોન્સ અધિક માત્રામાં હોય છે, જે આપણા અનુભવો અને અહેસસોની તીવ્ર ભાવનાત્મક સ્મૃતિઓ બનાવે છે. એ ગીતો કાયમ માટે આપણી અંદર એક સંમોહન પેદા કરે છે કારણ કે એની સાથે ગ્રોથ હોર્મોન્સ જોડાયેલાં હોય છે.

માર્ક જોસેફ સ્ટર્ન લખે છે, “આપણે કોઈ ગીત સાંભાળીએ છીએ ત્યારે તે આપણા ઓડિટરી (શ્રવણ) કોર્ટેક્સને ઉત્તેજિત કરે છે અને તેમાં ગીતના લય, તાલ અને રાગની જુગલબંધી સર્જાય છે. એ પછી આપણે એ ગીત સાથે શું કરીએ છીએ તેના પર આપણા મગજના રિએકશન નિર્ભર કરે છે. તમે જો સાથે સાથે એ ગીતને ગણગણવા લાગો, તો પ્રીમોટર કોર્ટેક્સ સક્રિય થાય, જેથી તમે ગાયનની મુવમેન્ટસનું સંકલન કરી શકો. તમે ગીતની સાથે ડાન્સ કરવા લાગો, તો મગજના ન્યુરોન્સ સંગીતની ધૂન સાથે સુમેળ સાધે. તમે જો ગીતના શબ્દો અને વાદ્યો પર ફોકસ કરો, તો પારીએટલ કોર્ટેક્સ સક્રિય થાય, જે અલગ-અલગ પ્રકારની ઉત્તેજનાઓ (સ્ટિમ્યુલી) પર ફોકસ રાખવામાં મદદ કરે છે. આપણી અંગત યાદોને જીવંત કરે તેવું ગીત આપણે સાંભળીએ, ત્યારે આપણા સંબંધો અને અંગત જીવનની ઇન્ફોર્મેશન જેમાં સંગ્રહિત હોય છે તે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સક્રિય થાય છે.

જેમ આપણી આંખ કોઈ વસ્તુની છબી બનાવે છે, તેવી રીતે અવાજ એ મગજની છબી છે. કોઈ વાદ્ય અથવા ગળાનો તાર સાઉન્ડ વેવ પેદા કરે છે અને તે હવાની ચીરીને આપણા કાનના પડદાને એટલી જ ફ્રિકવન્સીથી ધ્રુજાવે છે. બાળપણમાં મગજના ન્યુરલ વિકાસ વખતે, આવા અનેક અવાજોનાં ન્યુરલ કનેક્શન્સ સરજાય છે અને આપણે કૌમાર્યવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે એ જ કનેક્શનન્સ જાળવી રાખીએ છીએ જે આપણે નિયમિત વાપરતા હોઈએ. એમાંથી એક ન્યુરલ મેપ સરજાય છે જે આપણા સંગીતની પસંદનો આજીવન આધાર બને છે.

અલબત્ત, મોટા થયા પછી આપણે નવાં ગીતોને પણ ગમાડી શકીએ છીએ, પરંતુ જેની સાથે આપણો અંતરંગ નાતો બંધાય છે, જેની સાથે આપણી આઇડેન્ટિટી જોડાયેલી હોય છે, જેની સાથે આપણો ગહેરો ભાવનાત્મક લગાવ હોય છે તે 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણે સાંભળેલું સંગીત હોય છે. આપણે મગજની ફિઝીઓલોજીને જે વાત કરી, તેનો આધાર લઈને કહીએ તો, તરુણાવસ્થામાં આપણે “બહાર”થી આવતાં ગીતને સાંભળતા નથી, ગીત આપણી “અંદર”થી વાગતું હોય છે. એને જ આપણે “દિલનું સંગીત” કહીએ છીએ.

કે.કે.ના કસમયના અવસાનથી, ભારતના કરોડો યુવા દિલોને જે આઘાત લાગ્યો છે તે આપણે ઉપર વાત કરી તેનાથી સમજી શકાય છે. કોલકત્તામાં જે કોન્સર્ટ પછી તેનું અવસાન થયું, તે જ કોન્સર્ટમાં તેનું છેલ્લું ગીત પણ એવું જ હતું :

હમ રહેં યા ન રહેં કલ,
કલ યાદ આયેંગે યે પલ
પલ યે હૈ પ્યાર કે પલ

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જૂન 2022

Loading

...102030...1,4551,4561,4571,458...1,4701,4801,490...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved