Opinion Magazine
Number of visits: 9459167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતે કોનો ભરોસો કરવો ? ચીન, રશિયા કે અમેરિકાનો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 March 2022

રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે જગતમાં જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે, એ ગંભીર છે અને એમાં ભારતની વિદેશનીતિમાં જોવા મળતી અનિશ્ચિતતા ચિંતા ઉપજાવે છે. એક બાજુએ ચીનના નેતાને હીંચકે બેસાડીને ઢોકળા ખવડાવો, અને બીજી બાજુ ચીન સામે ચીન વિરોધી દેશોને ભેગા કરીને ઘેરાબંધી કરો અથવા ચીનવિરોધી છાવણીના સભ્ય બનો, એમ બે દિશાની વિરુદ્ધ નીતિ લાંબો સમય ન ચાલે. ઓછામાં પૂરું, ચૂંટણી જીતવા સારુ બહુમતી હિંદુ પ્રજાને હિંદુ રાષ્ટ્રવાદ નજરે પડતો રહે એ માટે પાડોશી દેશો સાથે ખાસ પ્રકારના બળુકાપણાનું પ્રદર્શન કરવાની નીતિ અપનાવી, જેને પરિણામે પાડોશી દેશો સાથે સંબંધ બગાડ્યા છે. ડાહ્યા માણસો બધા મોરચા એક સાથે નથી ખોલતા. અત્યાર સુધીના શાસકો ઝૂકતું માપ આપીને પાડોશી દેશો સાથે સંબંધ સાચવતા હતા કે જેથી તેઓ ચીન અને પાકિસ્તાનની નજીક ન જાય. તેમને હિંદુ ખુમારીના પ્રદર્શનની જરૂર નહોતી તે એ સમયે ભારતની વિદેશનીતિની મોટી તાકાત હતી. આજે સ્થિતિ એવી છે કે જ્યાં હિંદુઓની વસ્તી મોટા પ્રમાણમાં છે એ નેપાલ પણ ભારતથી દૂર થયું છે અને ભૂતાન અંતર રાખતું થયું છે.

ચીનની બાબતમાં ભારત બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને સમય પસાર કરતું રહ્યું અને કોઈ ટકાઉ ઉપાય શોધી રહ્યું હતું, ત્યારે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ચીનની ભારત સાથેની નીતિ એક જ દિશાની છે. ચીન જગતનો સૌથી શક્તિશાળી દેશ છે, વર્તમાન અને હવે પછી એકાદ સદી ચીનની છે, ભારતે આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ, ભારતે હવે ચીનની બરોબરી કરવાના ફાંફા નહીં મારવા જોઈએ, નવી વાસ્તવિકતા સ્વીકારીને ભારતે ચીન સાથે સંબંધો વિકસાવવા જોઈએ, નિ:શંક બનીને ચીનના ભાગીદાર બનવામાં ભારતનું હિત છે, અમેરિકાનો યુગ પૂરો થઈ ગયો છે, વગેરે વગેરે. ચીનના શાસકો અલગ અલગ રીતે ભારતને આ કહી રહ્યા છે અને સાથે સાથે લદાખ, ડોકલામ અને અરુણાચલમાં છાશવારે પ્રવેશીને પોતાની તાકાત અને ભારતની નિર્બળતાનું પ્રદર્શન કરે છે.

પણ ચીન ઉપર ભરોસો કરી શકાય? લાખ રૂપિયાનો સવાલ આ છે. મૂંઝવણ ભારતની છે, ચીનની નથી. ચીન ઉપર ભરોસો ન કરાય એમ જો નરેન્દ્ર મોદીને અને તેમના વિદેશ પ્રધાનને  લાગતું હોય તો તેમનું અનુમાન ખોટું નથી. ચીન ઉપર ભરોસો કરીને આપણે દાઝેલા છીએ. બીજો લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ અને ચીન ક્યારે ય આંબી ન શકાય એટલું આગળ નીકળી ગયું છે એ વાત શું એક નરી વાસ્તવિકતા છે જે ભારતે સ્વીકારી લેવી જોઈએ? આ બન્ને પ્રશ્નોના ઉત્તર ભારતે શોધવા પડશે અને શોધેલા માર્ગે ચાલવું પડશે. નિ:શંક બનીને કોઈ એક માર્ગ અપનાવવામાં જોખમ તો છે જ, પણ જોખમ તો નિર્ણયના અભાવમાં વચ્ચે ઊભા રહીને સમય વેડફવામાં પણ છે, જેનો અનુભવ ભારતને થઈ રહ્યો છે.

મારો ઉત્તર એ છે કે ચીન ભારત કરતાં ક્યાં ય આગળ નીકળી ગયું છે એ એક વાસ્તવિકતા છે, પરંતુ એનો અર્થ એવો નથી કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ. પણ પહેલો સવાલ તો હજુ અનુત્તરીત જ છે કે ચીનની બરાબરી ચીનના ભાઈબંધ બનીને કરવી જોઈએ કે પછી ચીનવિરોધી ધરીનો ભાગ બનીને? ચીનવિરોધી ધરીનું નેતૃત્વ અમેરિકા કરે છે અને અમેરિકાનો ભરોસો કરી શકાય? અમેરિકા જરા ય ભરોસાપાત્ર મિત્ર નથી એનો અનુભવ પણ આપણને થયો છે. અમેરિકા જગતનો સૌથી ઓછો ભરોસામંદ દેશ છે. અત્યંત મૂંઝવણભરી સ્થિતિ છે નહીં? નથી અમેરિકા ભરોસાપાત્ર કે નથી ચીન ભરોસાપાત્ર. તો પછી કરવું શું?

ઉત્તર છે પોતાની જાત ઉપર, દેશની પ્રજા ઉપર ભરોસો કરીને વિકાસના માર્ગે પોતાની જગ્યા બનાવવાનો. માર્ગ મહેનતવાળો છે, ધીરજની કસોટી કરનારો છે, પણ છે ટકાઉ. ઉછીની તાકાત અને પોતાની તાકાતની વચ્ચે કોઈ તુલના જ ન થઈ શકે. પણ આ ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિંદુ-મુસ્લિમ વિખવાદ પેદા કરીને ન થઈ શકે. ચીન માથાભારે દેશ છે, પણ તેનું માથાભારેપણું રાષ્ટ્રીય છે, પ્રજાકીય નથી. ચીનની એક પ્રજા બીજી પ્રજા સાથે માથાભારે બનીને નથી વર્તતી. પ્રજાકીય ઉર્જા રચનાત્મક માર્ગે વાળવામાં આવે તો જ દેશ આગળ વધે. આ તો સનાતન સત્ય છે, જગતનો ઇતિહાસ તપાસી જાવ. બીજી બાજુ પ્રજાને (અને એ પણ બહુમતી પ્રજાને) રડાવવામાં આવે, ડરાવવામાં આવે, ખોટી તાકાતનો અહેસાસ કરાવીને પોરસાવામાં આવે તો એવો દેશ ક્યારે ય બે પાંદડે ન થાય. આ પણ સનાતન સત્ય છે. જગતનો ઇતિહાસ તપાસી જાવ.

૨૦૧૪ની સાલમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી અને આપણી નજર સામે આઠ વરસ વેડફાઈ ગયાં. આઠ વરસથી રસ્તાની વચ્ચે ઊભા રહીને ક્યારેક જમણે ક્યારેક ડાબે એમ ચીન સાથેની બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવી રહ્યા છીએ. હિંદુઓને હિંદુ રાષ્ટ્રવાદનું બળુકાપણું બતાવવામાં પાડોશી દેશો સાથેના સંબંધો બગાડી નાખ્યા છે. આઠ વર્ષથી વર્તમાન શાસકો માત્ર ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણી જીતવા પ્રજાકીય ઉર્જાને હિંદુ-મુસ્લિમ વિખવાદમાં વેડફી રહ્યા છે. આઠ મૂલ્યવાન વર્ષ આમાં ખર્ચી નાખ્યાં અને હવે અચાનક રશિયા-યુક્રેન યુદ્ધે જગતને બે છાવણીમાં વહેંચી નાખ્યું. વચ્ચે ઊભા રહેવાનો અને ચીન સાથે બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવવાનો વિકલ્પ હાથમાંથી સરકી રહ્યો છે. અચાનક આવી કોઈ ઘટના બનશે એની કોઈએ કલ્પના નહોતી કરી. ચીન અને રશિયાની ધરી રચાઈ છે. એક પાસે સોવિયેત યુગની સૈનિકી તાકાત છે અને બીજા પાસે આર્થિક અને સૈનિકી એમ બન્ને તાકાત છે. બન્ને માથાભારે છે, બેશરમ છે અને પૃથ્વીના ગોળાની આ બાજુએ પ્રશાંત મહાસાગરથી લઈને એટલાન્ટીક મહાસાગર સુધી ફેલાયેલા છે.

ભારતે રશિયાને રાજી રાખવા માટે અને રશિયા ચીનની પાંખમાં જતું ન રહે એટલા માટે રશિયા પાસેથી ક્રુડ તેલનો મામૂલી જથ્થો ખરીદ્યો અને તરત જ બે પ્રતિક્રિયા આવી પડી. અમેરિકાના પ્રમુખ બાયદને (વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ નહીં, ખુદ પ્રમુખે) જે કહ્યું એના સૂચિતાર્થો સમજવા જેવા છે. પહેલાં તો તેમણે ભારતને અમેરિકાના નેતૃત્વ હેઠળ રચાયેલી રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય જાહેર કર્યું. પોતાની મેળે જ, મનસ્વીપણે. ૯/૧૧ પછી ત્રાસવાદ સામેની લડત માટે જે ધરી રચાઈ હતી તેમાં ભારત ભાગીદાર બને એ માટે ભારતનું મન જાણવા અને મંજૂરી મેળવવા અમેરિકન વિદેશ પ્રધાન કોલીન પોવેલ ભારત આવ્યા હતા. આ વખતની લડાઈ એનાં કરતાં પણ મોટી છે, પણ અમેરિકન પ્રમુખને એવી જરૂર ન લાગી કે કોઈને દિલ્હી મોકલવામાં આવે. તેમણે બારોબાર જાહેરાત કરી દીધી કે ભારત ચીન-રશિયા વિરોધી છાવણીનો ઘટક દેશ છે. એ પછી તેમણે ભારતની ટીકા પણ કરી કે ભારતની ભૂમિકા ડાબે-જમણે ડગમગનારી છે. કોઈ બારોબાર હાથ પકડીને પરાણે હોજમાં ખેંચી લે અને પછી કહે કે પાણીમાં સ્થિર ઊભા રહેતા નથી આવડતું એના જેવી આ વાત થઈ. ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. ‘નમસ્તે ટ્રમ્પ’ અને ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નું પણ આ પરિણામ છે. જો અમેરિકન ચૂંટણીમાં ભારતે માથું ન માર્યું હોત તો કમ સે કમ ભારતના નેતાઓ સાથે વાતચીત કરવા વિદેશ પ્રધાનને દિલ્હી મોકલવા જેટલું સૌજન્ય બાયદને બતાવ્યું હોત જે રીતે ૨૦૦૧માં ૯/૧૧ પછી તે વેળાના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે બતાવ્યું હતું.

“ભારત પણ અમારી સાથે રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય છે” એવી બારોબાર જાહેરાત અમેરિકન પ્રમુખે કરી ન કરી અને ચીનના વિદેશ પ્રધાને નિવેદન કર્યું કે અમેરિકા જેમ રશિયા સામે યુક્રેનનો ઉપયોગ કરે છે, એમ ચીન સામે ભારતનો ઉપયોગ કરે છે. આ બન્ને નિવેદનો ગંભીર છે અને ચીનના વિદેશ પ્રધાનનું નિવેદન વધારે ગંભીર છે. અમેરિકા ચીન-રશિયા સામેની છાવણીમાં ભારતને પરાણે ઊભું રાખે છે અને નહીં ડગમગવાની ચેતવણી આપે છે તો ચીન એક ડગલું આગળ વધીને ભારતને ચીન વિરોધી છાવણીનો નહીં ડગમગનારો સ્થિર દેશ જાહેર કરે છે. બન્ને નિવેદનો બારોબાર, ભારતની ભૂમિકાની તમા રાખ્યા વિના, પોતાને અનુકૂળ આવે એ રીતે કરવામાં આવ્યાં છે. ભારતે ચીની નિવેદન વિષે પણ આ લખાય છે ત્યાં સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ચીન એક ડગલું હજુ આગળ વધ્યું છે. પાકિસ્તાનમાં ‘ઓર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન’ની બેઠકમાં ભાગ લેવા ગયેલા ચીનના વિદેશ પ્રધાને ભારત દ્વારા પ્રતાડિત કાશ્મીરી મુસલમાનો માટે ચીન સહાનુભૂતિ ધરાવે છે, એવું નિવેદન કર્યું. ભારતે આ વિષે પ્રતિક્રિયા આપી છે, પણ ભારતની યુક્રેન સાથેની સરખામણી વિષે એમાં કહેવામાં આવ્યું નથી. જે અભિપ્રાય પુતિનનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય ચીનનો ભારત વિષે છે. જે અભિપ્રાય અમેરિકાનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય અમેરિકાનો ભારત વિષે છે. જે ઘટનાઓ બની રહી છે એ ડરાવનારી છે અને ભારતના નેતાઓ સાદી સ્પષ્ટતા પણ કરવાની સ્થિતિમાં નથી. આમ પણ આપણા નેતાઓ સંકટ સમયે મોઢું ફેરવી લેવામાં મહારત ધરાવે છે.

બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને રસ્તાની વચ્ચે ઊભા રહો, મૂલ્યવાન સમય વેડફો અને પૂરી તાકાત ચૂંટણીઓ લડવામાં અને પ્રજાકીય વિખવાદ પેદા કરવામાં ખર્ચો તો આવું થાય.

જુઓ, આગળ આગળ શું થાય છે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 માર્ચ 2022

Loading

રશિયા યુક્રેન સંઘર્ષઃ સત્તા મોહનું મોટું કારણ વૈશ્વિક સ્તરનું પેટ્રોલિયમ પૉલિટીક્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 March 2022

જે રાષ્ટ્રોનાં અર્થતંત્ર અને રાષ્ટ્રીય બજેટનો આધાર ઓઇલ અને ગેસની નિકાસ પર રહેલો છે તેઓ સંઘર્ષ તરફી રાષ્ટ્રો છે

રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પૂરેપૂરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની કિંમત પર અસરો વર્તાવા લાગી છે. ઈંધણની કિંમતો વૈશ્વિક સ્તરે આસમાને પહોંચી રહી છે કારણ કે રશિયન ઓઇલ અને ગેસની વહેંચણી – વેચાણમાં વિક્ષેપ પણ પડ્યા છે. યુ.એસ.એ.ના પ્રમુખ જો બાઇડેને કરેલી જાહેરાત અનુસાર રશિયન ઓઇલની આયાત પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના સંજોગો પર ઘેરી અને માઠી અસર પડી છે. ખાસ કરીને યુરોપને રશિયા ઓઇલ અને ગેસનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે હાલના સંજોગોમાં રશિયા ધારે તો પોતાના ફોસિલ ફ્યુઅલ – અશ્મિગત ઇંઘણનું જ સશસ્ત્રીકરણ કરી શકે તેમ છે, અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ્સ તાણમાં છે. રશિયા યુક્રેનના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો જીઓપોલિટિક્સ – ભૌગોલિક રાજકીય સ્થિતિ પર પડી રહ્યા છે અને તે પ્રભાવ લાંબા સમય સુધી રહેશે.

યુક્રેનિયન હાયડ્રોમિટિરિયોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટના એક વૈજ્ઞાનિકે વિધાન કર્યું હતું કે પુતિને છેડેલા જંગનું કારણ અશ્મિગત ઇંઘણ જ છે. પહેલીવારમાં અજુગતું લાગે પણ ઊંડો અભ્યાસ કરનારાઓના મતે અશ્મિગત ઇંધણ પર આધાર રાખનારા રાષ્ટ્રોની ઉગ્રતાનું કારણ હોય છે ઇંધણ પર તેમના કાબૂને કારણે આવેલો આત્મવિશ્વાસ. ઓઇલને કારણે આવેલા પૈસાને કારણે પુતિન કોઇ પણ પ્રકારના સ્થાનિક રાજકીય બંધનોને ફગાવી દઇને સૈન્યને મજબૂત બનાવી, લાવ લશ્કર સજ્જ કરીને વિદેશ નીતિને નેવે મૂકીને મન ફાવે એ સાહસ કરી શકે છે. પેટ્રો-એગ્રેશન નામના એક પુસ્તકમાં કરેલા સંશોધન અનુસાર જે પણ રાષ્ટ્રોના અર્થતંત્ર અને રાષ્ટ્રીય બજેટનો આધાર ઓઇલ અને ગેસની નિકાસ પર રહેલો છે તેઓ સંઘર્ષ તરફી રાષ્ટ્રો છે.

પુતિનના આ ખેલમાં યુરોપિયન યુનિયને નવી એનર્જી પૉલિસી જાહેર કરી છે જેમાં તેઓ રશિયન નેચરલ ગેસ પરની આધીનતા ઘટાડીને અશ્મિગત ઇંધણનો બને એટલો ઓછો ઉપયોગ થાય તે દિશામાં કામ કરવા માગે છે. યુ.એસ.એ.માં રશિયન ગેસ અને ઓઇલની આયાત બંધ કરી દેવાઇ છે. બી.પી., શેલ અને એક્સોનમોબિલ જેવા ઓઇલ મેજર્સે રશિયામાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. આ બધું હોવા છતાં ય પુતિન એશિયાઇ દેશોમાં તો ઓઇલનો વ્યાપાર કરી જ શકશે પણ ત્યાં કિંમતોમાં મોટુંમસ ડિસ્કાઉન્ટ આપવું પડશે. ઓર્ગેનાઇઝેશન ઑફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ(OPEC)ના ૧૩ સભ્યો છે. વૈશ્વિક સ્તરે ઉત્પાદિત થતા ૫૫ ટકા ઓઇલ પ્રોડ્યુસની લે-વેચનો કાબૂ OPEC પાસે છે, તેનો હેતુ હોય છે વૈશ્વિક ઓઇલ માર્કેટને સ્થિર રાખવું. OPECને ઓઇલ કાર્ટેલમાં ખપાવનારા પણ છે અને તેનો મોટાભાગનો કાબૂ સાઉદી અરેબિયા પાસે છે તેમ મનાય છે. કેનેડા, યુ.એસ.એ. અને રશિયા OPECના સભ્ય નથી પણ છતાં ય વૈશ્વિક સ્તરે ઇંધણના માર્કેટમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. હવે અહીં જીઓપૉલિટીકલ ખેલ શરૂ થાય છે. OPECના કેટલાક સભ્યો સાથે યુ.એસ.એ.ને રાજકીય તાણ છે એટલે તેમને તેમાં જોડાવામાં રસ નથી, વળી ઊર્જાને મામલે સ્વતંત્ર રહેવાની ચાહમાં યુ.એસ.એ. મહદંશે સફળ રહ્યું છે. તેને OPECની પડી નથી.

રશિયાને OPECમાં નથી જોડાવું કારણ કે તે પોતાના આંતરરાષ્ટ્રીય હિતોને અગ્રિમતા આપવા માગે છે અને OPECના સભ્ય થયા પછી તેના નિયમો અને ધારા ધોરણોને પાળવાનું રશિયાને માફક નહીં આવે.  OPECના સભ્ય ન હોવા છતાં પણ યુ.એસ.એ. અને રશિયાનું આ તાણાવાણામાં અગત્યનું સ્થાન છે. OPEC+ નું મહત્ત્વ છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલની કિંમતોને સ્થિર રાખવાનું કામ કરે છે અને OPECનું સિંહાસન વૈશ્વિક સ્તરે હચમચી ન જાય તેને માટે પણ OPEC+ કામ કરે છે. આ કારણોસર સાઉદી અરેબિયા અને રશિયાનું સંધાન થયું કારણ કે OPECની નીતિ સાઉદી અરેબિયાએ તૈયાર કરી છે અને રશિયામાં વિશ્વનું સૌથી વધુ ઓઇલ ઉત્પન્ન થાય છે. આમ બન્ને રાષ્ટ્રો મળીને OPEC+ મારફતે પોતાને લાભ થાય એ રીતે ઓઇલની કિંમતોને રમાડ્યા કરે છે. સાઉદી અરેબિયા અને રશિયા ઓઇલની કિંમતો નક્કી કરવા એક થઇ શકે છે પણ યુ.એસ.એ. સાથે બંન્નેના સમીકરણો જુદા હોવાને કારણે રાજકીય વિભાજન પણ થવાનું. વોશિંગ્ટન, મોસ્કો અને રિયાદ વચ્ચેના સ્પર્ધાત્મક સંબધોએ OPEC+ની કામગીરી અશક્ય બનાવી છે. યુ.એસ.એ. એક બહુ વગદાર ખેલાડી છે અને ધારે તો ઓઇલની કિંમતોને લઇને થતી ચડભડ, સંઘર્ષ, યુદ્ધને તે અટકાવી શકે છે.  ટ્રમ્પ જ્યારે યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે તો ઓઇલની કિંમતોને લઇને થતા સંઘર્ષને ગ્રાહકો માટે ફાયદાકારક ગણાવેલો પણ ટ્રમ્પની બુદ્ધિમત્તા વિષે કંઇ બહુ ચર્ચા કરવા જેવી નથી. રાજકીય મહત્ત્વાકાંક્ષાને કારણે આખરે ટ્રમ્પ સરકારે સાઉદી અરેબિયા અને રશિયાને એકમત કરીને કિંમતો પર કાબૂ કરાવવો પડેલો.

યુ.એસ.એ.ને પોતાના ઓઇલ ઉદ્યોગની રક્ષા કરવામાં રસ છે. આ તરફ રશિયાએ વિદેશ નીતિને મામલે ઉગ્રતા દાખવી છે તેનો સીધો સંબંધ ઓઇલથી મળેલા ધન સાથે છે. ૧૯૭૯માં સોવિયેત યુનિયને અફઘાનિસ્તાન પર ચઢાઇ કરી, ત્યારે ઓઇલની કિંમતો આસમાને હતી કારણ કે ઇરાન-ઇરાક સંઘર્ષ ચાલતો હતો. ૨૦૦૮માં વૈશ્વિક સ્તરે ઓઇલની કિંમતો સૌથી વધારે હતી કારણ કે પુતિનના રશિયાએ જ્યોર્જિયા પર હુમલો કરેલો જે મૂળે યુક્રેન પરના હુલમાની એંધાણી હતી. આ હુમલાઓ પહેલાનાં સોવિયેટ સ્ટેટ પર કાબૂ મેળવવા કરાયેલા હતા. ૨૦૧૪માં રશિયાએ ક્રિમિયાને સાટામાં લીધું તે પણ એવા સમયે જ્યારે તેલની કિંમતોમાં બહુ હલચલ હોવા છતાં ય વૈશ્વિક મંદીમાંથી બેઠા થવાની કોશિશને કારણે કિંમતો ઉપર જ હતી. રશિયાની વિસ્તરણની વિદેશ નીતિ બહુ ગણતરી પૂર્વકની છે કારણ કે પોતે પેટ્રોસ્ટેટ છે તે આ નીતિનો પાયો બને છે. આખી દુનિયામાં એ દરેક રાષ્ટ્રના પ્રમુખને મહત્ત્વ મળે છે જેની પાસે ઓઇલ અને ગેસનો પુરવઠો છે.

યુ.એસ.એ.એ રશિયન ઓઇલ પર મૂકેલો પ્રતિબંધ એનર્જી માર્કેટમાં મોટી હલચલ લાવશે. રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ઓઇલન કિંમતો બેકાબૂ રીતે વધી છે અને આ સંજોગોમાં વૈશ્વિક ફુગાવાનો ડર પણ નકારવા જેવો નથી.

બાય ધી વેઃ

આ આખી રમતમાં સસ્ટેનેબલ એનર્જી, ગ્રીન એનર્જી, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓનો પણ મોટો ફાળો છે. જેટલા જલદી રાષ્ટ્રો ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધશે, ઓઇલ અને ગેસ પર આધાર રાખનારા રાષ્ટ્રો નબળા પડશે, તેમનું મહત્ત્વ ઘટશે. પરંતુ કમનસીબે, ક્લાઇમેટ ચેન્જની સરકારી નીતિઓને મામલે થતું રાજકારણ પણ પેચીદું છે. આપણે આપણા દેશની જ વાત કરીએ તો આપણી સ્થિતિ કપરી છે કારણ કે આપણને ઊર્જાના મોટા જથ્થાની જરૂર છે. યુદ્ધને કારણે ભારતે પણ તેલની કિંમતોમાં આવતા ફુગાવા, નવા પ્રતિબંધો વગેરેને મામલે રાજકીય સમીકરણો ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડે તેમ છે. આપણે રશિયા પાસેથી ઓઇલ લીધું તે યુ.એસ.એ.ને કઠ્યું છે. ઉદ્યોગકારોને મોટાભા બનાવવામાં આપણે ત્યાં પર્યાવરણનું નિકંદન તો નીકળી જ રહ્યું છે એમાં વૈશ્વિક સ્તરનું પેટ્રોલિયમ પૉલિટીક્સ આપણને કેટલી ઝાળ લગાડશે તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  27 માર્ચ 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—138

દીપક મહેતા|Opinion - Opinion|26 March 2022

નાટક દુનિયાનું દર્પણ રૂડું ગુણદોષ જોવાનું

જ્યાં સુંદર મનહર ગાણું રસભરેલ રૂડું ભાણું

 
નાટક દુનિયાનું દર્પણ રૂડું,
ગુણદોષ જોવાનું.
આંતેથી જોઈ જોઈ બોધ લેઈ
દિલડાનું દુઃખ ખોવાનું.
જ્યાં સુંદર મનહર ગાણું,
રસભરેલ રૂડું ભાણું.

સતી પાર્વતી નાટકનું ડાહ્યાભાઈ ધોળશાજીનું આ બહુ જાણીતું થયેલું ગીત આજે યાદ આવવાનું કારણ? કારણ, આવતી કાલે છે ‘વિશ્વ રંગભૂમિ દિવસ.’ અને આપણું આ મુંબઈ એટલે ગુજરાતી નાટક અને રંગભૂમિની જન્મભૂમિ. માત્ર જન્મભૂમિ જ નહિ, આજ સુધી ગુજરાતી નાટકની મુખ્ય કર્મભૂમિ પણ મુંબઈ. શરૂઆતનાં નાટકો તો પાંચ-સાત અંકનાં, રાતે શરૂ થાય તે વહેલી સવારે પૂરાં થાય. પણ પછી ત્રિઅંકી નાટકોનો જમાનો આવ્યો. આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મુંબઈની રંગભૂમિ વિષે થોડી વાત કરવી છે, ત્રણ અંકમાં.

અંક પહેલો

મુંબઈમાં ૧૮૫૩થી પારસીઓએ ગુજરાતી નાટકો ભજવવાનું શરૂ કર્યું ત્યારે ગીતો નાટકના ભાગ રૂપે નહોતાં ગવાતાં. પણ નાટક પૂરું થયા પછી બધા એકટરો (એ વખતે એક્ટ્રેસનો તો સવાલ જ નહોતો) સ્ટેજ પર આવીને સમૂહમાં પાંચ-છ ગીતો ગાતા. એમાં ઘણી વાર એ વખતના પારસી સમાજમાંની બદીઓ પર કટાક્ષ કરવામાં આવતા. પારસીઓમાં એ વખતે દહેજની પ્રથા હતી જે ‘રીત’ કે ‘પલ્લું’ તરીકે ઓળખાતી. આ અંગે એક ગીતમાં કહ્યું છે :

ચાહ્ય કુંવારા ભોલી ફક્કડ ગોરી પતલી નાર,
વળી શીખેલી ભણેલ નાર, ભરવામાં હોશિયાર.
રીતમાં માગે વીંટી સાથે રુપ્યા પાંચ હજાર!
મારો પાયો, હાંકી કાઢો, ક્યાંથી આવી ધાર?

એક જમાનામાં મુંબઈના પારસીઓને રેસ કોર્સ પર જવાનો ચટકો લાગેલો. એ અંગે એક ગીતમાં કહ્યું છે :

રેસ કોર્સ પર ખાયે છે ઠોકર, ગરીબ કે શાહુકાર,
સૌ થાય છે ખુવાર, રેસમાં નથી કંઈ સાર.
ભિખારીનો અવતાર.
રેસ કોર્સ પર આવતાં સૌ હસતા જણાય છે યાર
ને સાંજે પાછા ફરતાં બસ ઘુવડનો અવતાર.

પણ પછી ગીતો પારસી ગુજરાતી નાટકોનો ભાગ બન્યાં. શરૂઆતનાં ગીતો પર શાસ્ત્રીય સંગીતની પ્રબળ અસર હતી. ૧૮૭૧માં એદલજી ખોરીનું નાટક ‘સોનાના મૂલની ખોરશેદ’ ભજવાયેલું. તેનું એક ગીત :

બિન પિયા ઘટા નહિ ભાવે,
રેહ રેહ દેખકુ ગભરાવે.
બિજલી કી ચમક તરપાવે ડરાવે,
બિન પિયા ઘટા ઘટા નહિ ભાવે.

તો નાટકની જરૂર પ્રમાણે પારસી નાટકકારો ‘શુદ્ધ’ ગુજરાતી ગીત પણ લખતા. કુંવરજી નાઝરની એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબે ૧૮૭૪-૧૮૭૫માં ‘કરણઘેલો’ નાટક ભજવેલું. તેનું એક ગીત :

આવો સખી આવો, માને મોતીડે વધાવો,
મોતીડે વધાવો માને, ફૂલડે વધાવો.
અલ્પ ગતિ, પહાડ ઈચ્છું ઉલઘવા,
જય જય, વિજય, વિજય જય થાઓ.

કેખુશરો કાબરાજી અને કુંવરજી નાઝર

૧૯મી સદીમાં માત્ર હિંદુ સમાજમાં જ સમાજ સુધારાનો વા વાયો હતો એવું નથી. પારસી સમાજમાં પણ સુધારાની ચળવળ ચાલી હતી. અરદેશર બે. પટેલ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં બે વરસ ભણ્યા, પણ જીવ લેખકનો એટલે અભ્યાસ અધૂરો છોડી પત્રકારત્વમાં પડ્યા. તેમનાં નાટકો તખ્તા ઉપર સફળતાથી ભજવાયાં હતાં. તેમાનું એક નાટક તે ઈ.સ. ૧૯૦૦માં ભજવાયેલું ‘તકદીરની તાસીર.’ તેમાંના એક ગીતની કેટલીક પંક્તિ :

પડો બુઢ્ઢાઓ જવાનિયા સંગ જંગ કરવા બહાર,
થઈ કુધારાની અજબ પૂરી ખરેખરી બસ હાર.
ફતેહ સુધારાની થઈ યારો, ધજા ઊડી હર દ્વાર,
કહું પૂછો તો ગયા છ વાગી ખરા જ સાડા બાર.

પારસી હોય અને હસે, હસાવે નહિ એવું તે બને? જહાંગીર પટેલ, ‘ગુલફામ’ એટલે પારસી રંગભૂમિ પરનું એક મસ મોટું નામ. તેમનું નાટક ‘ખૂબીનું ખોરીયું’ ૧૯૨૯માં ભજવાયેલું. તેમાંનું એક ગમતીલું, મોજીલું ગીત :

મગન ને છગન થઈને કરશ હું લગન,
બેન્ડ હું બોલાવશ, મિલિટરી નંબર વન.
પોટ્ટી હું શોધશ બા, પૈસાવાળી તદ્દન,
નાચશ-કૂદશ, મઝા કરશ, ‘આ માઈ! વોટ અ ફન!’
શાબાશ, શાબાશ! વેલ ડન, વેલ ડન,
બોલાશ એમ લોકો જોઈ લગનની ધામધૂમ.

પારસી રંગભૂમિ પર હિંદુ પૌરાણિક નાટક

૧૮૭૪માં પારસીઓની નાટક ઉત્તેજક મંડળીએ ભજવેલું ‘હરિશ્ચંદ્ર’ એ હિંદુ પુરાણકથા પરથી લખાયેલું અને ભજવાયેલું પહેલવહેલું નાટક. રણછોડભાઈ ઉદયરામના અનુવાદિત નાટકને કાપીકૂપી, મઠારીને કેખુશરો કાબરાજીએ એ તૈયાર કરીને ભજવ્યું. નાટક એવું તો ઊપડ્યું કે એ જમાનામાં ૧૧૦૦ શો! એમાંથી થયેલી આવકમાંથી કંપનીએ ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું. આ નાટક માટેનાં ત્રણ ગીત કાબરાજીએ કોની પાસે લખાવેલાં, ખબર છે? કવીશ્વર દલપતરામ અને અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ પાસે. એ બંને વચ્ચે સતત હરીફાઈ ચાલતી. મોટે ભાગે એક હોય તો બીજો હાજર ન હોય. બંનેનાં ગીત એક જ નાટકમાં ગવાતાં હોય એવું આ એકમાત્ર નાટક.

જિંજોટી અથવા આશાવરી રાગમાં ગવાતું દલપતરામનું પદ :

સમજ મન, સમજીને લાગ સુધરવા
કૂડાં કપટ કરે શું કરવા?
મારૂં મારૂં કહે તે નથી તારું,
મમત કરે શીદ મરવા?
હજી પણ લાગ અસત્ય વિસરીને
સત્ય શબ્દ ઉચ્ચરવા

કવિ નર્મદનું પદ પણ આ જ પ્રકારનું છે :

સાચું એક બ્રહ્મ નામ, અવર સહુ કાચું,
ગુણ ગાવા ભક્તિ સજી, નિરભે થઈને નાચું.
કોઈ કોઈનું નથી જ, શાનું સગું સાચું?
અટપટી ખટપટ દેખી કેમે કરી રાચું.
ઠામ ઠામ છે બિગાડ વિષયી રસ કાલૂ,
જુઠ્ઠાણું કપટ્ટ ભાળી, કેમ મનડું વાળું?

રણછોડભાઈ ઉદયરામનાં બે નાટક

બિન-પારસી ગુજરાતી રંગભૂમિની મુંબઈમાં શરૂઆત થઈ રણછોડભાઈના બીજા એક નાટક ‘લલિતા દુઃખદર્શક’થી. ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે સ્થપાયેલી ‘ગુજરાતી નાટક મંડળી’એ રણછોડભાઈના જ દિગ્દર્શનમાં એ ભજવ્યું. એ નાટકને એટલી તો સફળતા મળી કે તેના અનુકરણમાં ‘દુઃખદર્શક’ નાટકનો રાફડો ફાટી નીકળ્યો. તેમાંનાં કેટલાકનાં ફક્ત નામ : કજોડાં દુઃખદર્શક, વિધવા દુઃખદર્શક, મદ્યપાન દુઃખદર્શક ચંદ્રમુખ નાટક, દ્વિત્રીયા દુઃખદર્શક, બાળવિધવા રૂપવંતિ દુઃખદર્શક, કજોડા દુઃખદર્શક, વિજયાવૈધવ્ય દુઃખદર્શક, બાળવિધવા દુઃખદર્શક, દારિદ્રય દુઃખદર્શક, ત્રાસદાયક તેરમા દુઃખદર્શક. રણછોડભાઈના લલિતા દુઃખદર્શક નાટકની ૧૮૯૫માં છઠ્ઠી આવૃત્તિની બાર હજાર નકલ છપાઈ હતી! લલિતાદુઃખદર્શક નાટકમાં પૂરી ૬૪ પંક્તિનું નગરનું વર્ણન છે. તેમાંની થોડી પંક્તિ જોઈએ :

વાહ વાહ રે શહેર સ્નેહપુર સારું શોભે,
ભવ્ય ભલો દેખાવ દેખીને ચિતડું લોભે
શો કિલ્લો મજબૂત ટોપ શી આવી રહી છે,
દેખી કંપે કાય, ઘટા વળી સારી થઈ છે.
ઘરની કેવી હાર, શોભતી સારી કીધી,
ઊંચી-નીચી નહિ, નહિ વાંકી, પણ સીધી.
પણે ઊભી કોઈ નાર, ઝારી બે કરમાં લઈને,
પાણી પંથીને પાય, ધાર તો ઝીણી દઈને.

વીસમી સદીની શરૂઆતનાં વરસોમાં આપણા કેટલાક અગ્રણી કવિ-લેખકોનાં નાટક પણ વધતી ઓછી સફળતાથી ભજવાયાં. પૂર્વાલાપ’ કાવ્ય સંગ્રહથી ગુજરાતી કવિતામાં માનભર્યું સ્થાન મેળવનાર કવિ કાન્તનું જાલિમ ટુલિયા નાટક દેશી નાટક સમાજે ૧૯૦૯માં ભજવેલું. તેની નાયિકાને મુખે ગવાતું એક ગીત :

વાંકડિયા વાળ પર મોહી
છબીલા, હું તો વાંકડિયા વાળ પર મોહી.
વાંકડિયા વાળ, તારો વાંકડિયો ફેંટો,
ભ્રમર કમાન વાંકી જોઈ … છબીલા 
વાંકી વાંકી ચાલ તારી, ગરદનની ઢાલ વાંકી.
રાખી છેલ બાંકા વાંકુ જોઈ … છબીલા
વાંકલડી નજરે શું ચોર ચોરી લીધું તેં
હું તો બેઠી મારું સર્વ ખોઈ.

રમણલાલ દેસાઈ ઓળખાયા અને પોંખાયા યુગમૂર્તિ વાર્તાકાર તરીકે, પણ ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો તે નાટ્યલેખક તરીકે. ૧૯૧૫માં છપાયેલું તેમનું પહેલું પુસ્તક તે સંયુક્તા નાટક. છપાયું એ જ વરસે ભજવાયું. તેમનું શંકિત હૃદય નામનું ૧૯૨૫માં ભજવાયેલું. તેમાંનું એક મીઠું મદભર ગીત :

મારી મદભર આંખ ઘેરાણી, ઝુલાવો ધીમે હજી ધીમે પ્રાણ,
નીંદભર્યા અમ પાસે પ્રિયતમ, રાખીએ ચિત્ત ચકોર.
જો જો સલૂણા ફાટે નહિ, મારા નવરંગ સાળુની કોર … ઝુલાવો
કુળી કુળી ચૂંટી મેંદી મૂક્યો મેં, પાનીએ કુમકુમ રંગ,
આછો ઉઘાડ ઝુલાવતાં બળથી, ઊડશે લહરી સંગ … ઝુલાવો
વેગળા લ્યો જરી નયનો બીતાં, નાસતા ખંજન લોલ,
કીકી તણો પડછાય પડી, મારા કાળા થાય કપોલ … ઝુલાવો

ઉપર : રણછોડભાઈ ઉદયરામ, કવિ કાન્ત; નીચે : રમણલાલ વ. દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી

… અઢાર-ઓગણીસ વરસનો એક છોકરો. નાશિકની જેલમાં પુરાયો છે. દાંડી કૂચમાં ભાગ લીધેલો એટલે ત્રણ મહિનાની જેલની સજા થયેલી. જેલની દિવાલ ખાસ્સી ઊંચી. બહાર વડનું ઝાડ. એ પણ કાંઈ આખું દેખાય નહિ. તેની ડાળીઓનો જાણે કે એક ટુકડો પેલા યુવાન કેદીને જોવા મળતો. એ જોતાં એનું મન થોડાં વર્ષો પાછળ ચાલ્યું જાય. જૂનાગઢના મજેવડી દરવાજે એક ખાસ્સો મોટો વડ. એની ડાળીઓ પર દોસ્તારો સાથે ઝૂલેલો, ધીંગામસ્તી કરેલાં. એ બધું યાદ આવે. જેલર પાસે કલમ ને કાગળ માગ્યાં, અને માંડ્યો લખવા. જેલમાંથી બહાર આવ્યો તે પછી ૧૯૩૧માં છપાવ્યું એ નાટક, ‘વડલો.’ તે યુવાન લેખક તે કવિ-નાટકકાર, પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી. વડ, કૂકડો, પશુ-પંખી, ફૂલો, નદી-ઝરણાં, ઝંઝાવાત, એ આ વિલક્ષણ નાટકનાં પાત્રો. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભજવ્યું ત્યારે આ લખનારને ભાગે ‘વડલો’નું પાત્ર ભજવવાનું આવેલું. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું હતું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઈને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું. એ નાટકનું આ ગીત મુંબઈની ગુજરાતી રંગભૂમિનું પણ સંઘગીત બની રહે તેવું છે :

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર.
સૂરજ આવે સાત ઘોડલે,
અરુણ રથ વહાનાર.
આગે ચાલું છડી પોકારું
પ્રકાશ ગીત ગાનાર … અમે તો

ઇન્ટરવલ (સિર્ફ સાત દિન કા)

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 માર્ચ 2022

Loading

...102030...1,4541,4551,4561,457...1,4601,4701,480...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved