Opinion Magazine
Number of visits: 9569987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણની પ્રતિબદ્ધતાનાં પચાસ વર્ષ અને ઇંદિરા ગાંધીનું પ્રભાવી વક્તવ્ય …

કિરણ કાપુરે|Opinion - Opinion|13 June 2022

‘વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે’ની ઉજવણી થવી જોઈએ તે નિશ્ચયને પચાસ વર્ષ પૂરાં થયા છે. પર્યાવરણને સાચવવાનો ઉપક્રમ વિશ્વના તમામ દેશોની હિસ્સેદારી હોવી જોઈએ તેવું ઠર્યું 1972માં સ્વીડનમાં યોજાયેલી સ્ટોકહોમ સંમેલનમાં. આ સંમેલન 5થી 16 જૂનમાં સ્વિડનના સ્ટોકહોમમાં આયોજિત થઈ હતી. ‘યુનાઇટેડ નેશન્સ’ની આ પહેલ હતી અને તેમાં વિશ્વસ્તરે પ્રથમવાર ‘એન્વાયર્મેન્ટલ ગવર્નન્સ’નો ખ્યાલ મૂકવામાં આવ્યો. પર્યાવરણના દરેક મુદ્દાને સ્પર્શે અને તેની સુરક્ષા અર્થે 26 મુદ્દાઓનો ઠરાવ કરવામાં આવ્યો. આજે પણ આપણે થોડાં ઘણાં પર્યાવરણના જાગ્રતિ સાથે જીવી રહ્યા છે તેમાં સ્ટોકહોમ સંમેલનની ભૂમિકા મહત્ત્વની છે. સ્ટોકહોમ સંમેલનમાં તત્કાલિન વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમણે આપેલાં વક્તવ્યમાં પર્યાવરણીય નિસબત ઝળકે છે. આ ભાષણમાંથી કેટલાંક મુદ્દાઓને આજના સંદર્ભમાં જોવા જોઈએ.

ઇંદિરા ગાંધીએ વક્તવ્યના આરંભે જ કહ્યું કે, “હું નસીબવંતી છું કે મને પ્રકૃતિના તમામ સ્વરૂપો સાથે રહેવાની તક મળી. પક્ષીઓ, ગ્રહો અને પથ્થર તમામ મારાં મિત્રો હતાં. તારાચ્છાદિત આકાશ નીચે રાત પસાર કરવાથી હું નક્ષત્રોના નામ અને તેમના ગતિથી પરિચિત થઈ હતી. જો કે તેમના પ્રત્યે મારો ઊંડો લગાવ એક માત્ર પૃથ્વીના કારણે નહીં બલકે તમામ મનુષ્યોના એક ઉપયોગી ઘરરૂપી હતો.” આગળ તેઓ સમ્રાટ અશોકનો હવાલો આપીને પર્યાવરણની વાત મૂકી છે : “કોઈ પણ સાચી વ્યક્તિ અને સભ્ય નાગરિક ત્યાં સુધી નથી બનતી, જ્યાં સુધી તે માત્ર પોતાના મિત્રવત્ લોકોને જ નહીં, બલકે તમામ જીવજંતુઓને પોતાના દોસ્તની જેમ ન જોઈ શકે. પૂરા ભારતમાં, પથ્થરો અને લોહસ્તંભ પર આલેખાયેલા શિલાલેખ તેની સ્મૃતિ કરાવે છે કે 22 સદી અગાઉ સમ્રાટ અશોકે રાજાનું કર્તવ્ય માત્ર નાગરિકોની સુરક્ષા કે ખોટા કામ કરનારને દંડિત કરવા સુધી જ સીમિત ન રાખ્યું, બલકે પશુપક્ષીઓ અને વનને સંરક્ષિત કરવામાં પણ જોયું હતું. થોડાં વર્ષો પહેલાં સુધી અશોક સમ્રાટ એક માત્ર એવાં રાજા હતા જેમણે રમત કે આહાર અર્થે મોટી સંખ્યામાં પ્રાણીઓને મારવાને લઈને પ્રતિબંધ લાધ્યો હતો.”

પર્યાવરણની આ સંમેલનમાં તત્કાલિન વડા પ્રધાન ઇંદિરા ગાંધીના ભાષણમાં ક્યાં ય રાજકીય મુદ્દા દેખાતા નથી અને ભારત સરકારની પર્યાવરણની સિદ્ધિના પણ તેમણે ગુણ ગાયા નથી. તેઓ ભારતની વાસ્તવિક સ્થિતિને બયાન કરતાં હોય તેમ લાગે છે. આગળ તેઓ જણાવે છે : “પૂરી દુનિયા સહિત અમે ભારતીયો પણ અશોકની આ શિખામણને નજરઅંદાજ કરીને અમારાં ભરણપોષણ અર્થે પ્રકૃતિના સ્રોતોની અનિયંત્રિત ઉપેક્ષા કરી છે. વનસ્પતિ અને પશુપક્ષીઓને ઝડપથી નાશ કરવાને લઈને અમારી ચિંતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમારા વન્યજીવનો કેટલોક હિસ્સો પૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે. ઇતિહાસના મૂક સાક્ષી સમા સદીઓ જૂના સુંદર માઇલો લાંબા જંગલો આજે બરબાદ થઈ ચૂક્યાં છે. જો કે અમારા ઉદ્યોગોનો વિકાસ હજુ આરંભે છે, ત્યારે અમે સૌથી પડકારભર્યા તબક્કામાં છીએ. અને તેનાં કારણે થઈ રહેલા પર્યાવરણીય અસંતુલનને અટકાવવા માટે અમે પગલાં ભરી રહ્યા છીએ. આ પગલાં વ્યાપક સ્તરે લેવાઈ રહ્યાં છે કારણ કે અમારી ચિંતા સમગ્ર માનવજાતિ પ્રતિ છે.”

પ્રદૂષણ સમૃદ્ધિથી નીપજે છે તેવું ઇંદિરા ગાંધીએ અહીં વક્તવ્યમાં જણાવ્યું હતું અને ગરીબીનું પરિણામ કુપોષણ અને બીમારીનું જોખમ છે અને યુદ્ધથી કમજોરીનું. આગળ તેઓ તેમનાં પિતા નેહરુનો એક કિસ્સો ટાંકતા કહે છે : “એવું કહેવાય છે કે પ્રગતિ પ્રકૃતિ પર થઈ રહેલાં હૂમલાની પર્યાય બની જાય છે. આપણે સૌ જે પ્રકૃતિનો હિસ્સો છીએ, અને આપણી દરેક આવશ્યકતા માટે તેના પર આધારીત છીએ, તેમ છતાં તેના શોષણને લઈને અમલ અંગે કશું કરતા નથી. 1953માં જ્યારે દુનિયાના સૌથી ઊંચા પર્વત પર પર્વતારોહી પહોંચ્યો હતો. ત્યારે જવાહરલાલ નેહરુએ ‘એવરેસ્ટ પર વિજય’ના શબ્દપ્રયોગ પર નારાજગી દર્શાવી હતી. અને તેને અહંકારી રૂપ વલણ ગણાવ્યું હતું.” આગળ તેમણે ભાષણમાં વિકસિત દેશોની ઝાટકણી કાઢતાં હોય તેમ જણાવ્યું હતું કે, “આપણે અહીંયા સંયુક્ત રાષ્ટ્રના બેનર નીચે એકત્રિત થયાં છીએ. અમારી અપેક્ષા છે કે આપણે સૌ અહીં એક પરિવારની જેમ છીએ. જેમના ગુણો એકસમાન છે અને આકાંક્ષાઓ પણ. તેમ છતાં આપણે વિભાજિત દુનિયામાં વસીએ છીએ.” આવું કેમ છે? તેનો ઉત્તર આપતાં આગળ ઇંદિરા ગાંધી કહે છે : “આજે પણ આપણી વચ્ચે સમાનતા નથી. અને એકબીજાં પ્રત્યેનું સન્માન પણ નથી. જ્યાં સુધી રંગ અને જાતિ, ધર્મ અને માન્યતાઓનો પ્રશ્ન છે સમાજ પૂર્વનિર્ધારીત ધારણાઓથી સંચાલિત થઈ રહ્યો છે. લોકોની ઉગ્રતા અને શ્રેષ્ઠ હોવાપણાંના દંભથી તનાવ હંમેશાં વધે છે. મહાસત્તાઓની શક્તિ વાસ્તવિકતા હોવા છતાં તે કોઈ સારાં કાર્ય માટે નહીં બલકે કાલ્પનિક ઇચ્છાઓની પાછળ દોડવામાં પોતાની શક્તિ ખર્ચે છે. આ જ કારણે બીજાના અધિકારમાં દખલ કરવી અને કાર્યવાહી કરવાનો હક મેળવી લેવામાં આવે છે. સામાન્ય રીતે તેની મંજૂરી કોઈને આપવામાં આવતી નથી. આજના અનેક વિકસિત દેશો અન્ય દેશોના લોકો પર પ્રભુત્વ મેળવીને સંપન્ન થયા છે. તેમણે પ્રાકૃતિક સંસાધનોનો ખૂબ ઉપયોગ કર્યો છે. તેમણે આરંભથી જ ક્રૂરતાભર્યું વલણ રાખ્યું અને દયા, સ્વાતંત્રતા, સમાનતા અને ન્યાય જેવાં મૂલ્યોને પાછળ હડસેલીને આગળ વધવાનો નિર્ણય કર્યો. નાગરિકોના રાજકીય અધિકાર હોય કે સૌથી નીચેના વ્યક્તિના આર્થિક અધિકાર, તે તમામ બાબતોની ત્યારે જ ચર્ચા થઈ જ્યારે આ દેશોએ પોતાનો પૂરતો વિકાસ કરીને અત્યાધુનિક થઈ ગયા.”

તે વખતે આપણા દેશને આઝાદ થયા અઢી દાયકા જેટલો જ સમય વીત્યો છે અને તેમાં પશ્ચિમના દેશો તરફ આ રીતે ઇંદિરા ગાંધીએ નિશાન સાંધ્યુ હતું. અને આગળ આ સ્થિતિથી કેવી રીતે આગળ વધવું અને તે માટે શું ધ્યાન રાખીશું તે પણ કહ્યું : “આજે આપણે બિલકુલ અલગ સ્થિતિમાં છીએ અને આપણું જીવન વધુ સારું બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે એના પર દૃષ્ટિ રાખીશું કે અમારા આવશ્યક કામ અર્થે પણ પર્યાવરણને નુકસાન ન પહોંચવું જોઈએ. અમે અમારાં આદર્શોથી બંધાયેલાં છીએ. અમે અમારા મજદૂરના અધિકારો માટે પ્રતિબદ્ધ છીએ અને અમે આંતરરાષ્ટ્રિય સંગઠનોના ચાર્ટરમાં લિખિત સિદ્ધાંતોનું પાલન પણ કરીશું. તેનાથી પણ આગળ એ કે, અમે અમારા દેશના રાજકીય અને જાગૃત કરોડો નાગરિકો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. આ તમામ બાબતો પ્રગતિને મોંઘેરી અને જટીલ બનાવે છે.”

પછી તેઓ ભારતમાં મહદંશે તે વખતે ગરીબી વર્ગની સંખ્યા વધુ હતી તેથી તેમણે પ્રદૂષણને ગરીબી સાથે જોડતાં કહ્યું : “પર્યાવરણને નુકસાન થાય તેવું કશું ય કરવાની અમારી ઇચ્છા નથી, પરંતુ અમે એ ભૂલતાં નથી કે મોટી સંખ્યામાં અમારાં નાગરિક ગરીબ છે. શું ગરીબી અને સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારાં એક જ સિક્કાના બે પાસાં છે? દાખલા તરીકે, જ્યાં સુધી અમે જંગલોમાં રહેતાં અમારા આદિવાસી લોકોને રોજગારી આપવા કે કશુંક ખરીદ કરી શકે તે સ્થિતિમાં નથી લાવી શકતા, ત્યાં સુધી તેમનાં આહાર કે આજિવિકા અર્થે તેમને જંગલો પર નિર્ભર ન રહેવાનું અમે ન કહી શકીએ. જ્યાં સુધી તેઓ પોતે ભૂખ્યા છે ત્યાં સુધી અમે તેમને પ્રાણીઓને બચાવવાનો આગ્રહ કેવી રીતે કરી શકીએ? અને જે લોકો ગામડાં અને કાચા મકાનમાં રહે છે તેમને દરિયા, નદીઓ અને હવા બચાવવા માટે કેવી રીતે કહી શકીએ જ્યારે તેમનું જ જીવન બદ્તર સ્થિતિમાં છે. ગરીબોની સ્થિતિમાં સુધાર ન આવે ત્યાં સુધી પર્યાવરણ સુરક્ષા નિશ્ચિત થઈ શકતી નથી. સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિના પણ ગરીબી દૂર ન થઈ શકે.”

ઇંદિરા ગાંધીએ તેમનાં આ વક્તવ્યમાં હજુ પણ અનેક મુદ્દા સમાવ્યાં છે. શબ્દમર્યાદાના કારણે તેની ચર્ચા અહીંયા થઈ શકતી નથી, પરંતુ તેમણે વક્તવ્યના અંતે જે કહ્યું છે તે સારરૂપી વાતમાં તેઓ કહે છે : “આધુનિક મનુષ્યએ પ્રકૃતિ અને જીવન સાથે અતૂટ સંબંધ પુનઃસ્થાપિત કરવો જોઈએ. અને તેણે સદીઓ પહેલાં ભારતના પૂર્વજોએ કર્યું હતું તે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પૃથ્વી અને વાતાવરણથી એટલું જ લઈ શકે જેટલું તે તેને પાછું આપી શકે.”

e.mail : kirankapure@gmail.com

Loading

આત્મવંચના નહીં રાષ્ટૃવંચના કરતા શાસકો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 June 2022

અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા ત્યારે તેમણે, ૨૦૧૩ની સાલમાં, ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું ; ‘સેલ્ફ-ડીસેપ્શન : ઇન્ડિયાઝ ચાઈના પોલિસી.’ એ પુસ્તકના મુખપૃષ્ટ ઉપર તેમણે તે સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ચીનના પ્રમુખ હુ જિન્તાઓને ઝૂકીને અભિવાદન કરતા બતાવ્યા છે. પુસ્તકનું શીર્ષક. ‘સેલ્ફ-ડીસેપ્શન’ તો બોલકું છે જ પણ મુખપૃષ્ટ પરની તસ્વીર વધારે બોલકી છે. તેમણે પોતે ‘મંથન’ નામના થીંક-ટેંક પ્લેટફોર્મ પરથી બોલતા કહ્યું હતું કે તેમણે મનમોહન સિંહની ચીનના નેતાને ઝૂકીને અભિવાદન કરતી તસ્વીર ચાહી કરીને મૂકી હતી કે જેથી વાચકને ખબર પડે કે ભારતના શાસકો (કાઁગ્રેસ વાંચો) કેટલા બુઝદિલ છે. લળીલળીને ચીનના નેતાઓના ઓવારણા લેવામાં આવે છે અને ચીનના નેતા જુઓ, એક સેન્ટીમીટર પણ ઝુકતા નથી. તેમનું કહેવાનું એમ હતું કે દેશને એવા નેતાની જરૂર છે જે ચીનના નેતાઓ સામે ટટ્ટાર ઊભા રહે અને આંખમાં આંખ મેળવીને વાત કરી શકે. માટે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ ત્યારે એવો દાવો પણ કર્યો હતો.

એ સમયે ચારેકોરથી ડૉ. મનમોહન સિંહ ઉપર બાણવર્ષા થતી હતી. દેશને સિંહની જરૂર છે ત્યારે સસલું શાસન કરે એ કેમ ચલાવી લેવાય! દેશને મોટાં સપનાં જોઈ શકનારા અને બુલંદ ઈરાદો ધરાવનારા, કૃતનિશ્ચયી સ્વચ્છતાની મૂર્તિ સમાન નેતાની જરૂર છે ત્યારે ડૉ. મનમોહન સિંહ નામના શિયાળવાને કેમ ચલાવી લેવાય જે પડકારો ઝીલી શકતા નથી! ઔર તો ઔર જેની રાજકીય સમજ ગામડાના સરપંચ જેટલી પણ નથી અને સવારે પૂર્વ દિશામાં જાય અને સાંજે પશ્ચિમ દિશામાંથી નીકળે એ અણ્ણા હજારેએ ડૉ. મનમોહન સિંહ જેવા આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવનારા અર્થશાસ્ત્રી ઉપર બાણવર્ષા કરી હતી. ત્યારે ડૉ. મનમોહન સિંહે માત્ર એટલું જ કહ્યું હતું કે મને ભરોસો છે કે સમય મને ન્યાય આપશે.

અરુણ શૌરીના પુસ્તક ઉપરનું કવર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારું છે, કારણ કે ડૉ. મનમોહન સિંહે ચીનના ડરથી દલાઈ લામાને મળવાનું ટાળ્યું નથી. ખરું પૂછો તો ભારતનો ૨૦૧૪ સુધીનો એક પણ વડા પ્રધાન એવો નથી જેણે ચીનના ડરથી દલાઈ લામાને મુલાકાત ન આપી હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા અને એક માત્ર વડા પ્રધાન છે જે ચીનના ડરથી દલાઈ લામાને મળતા નથી. દલાઈ લામાને આઠ વરસમાં એક પણ મુલાકાત આપી નથી. દલાઈ લામા માત્ર તિબેટી નેતા નથી, આખા જગતમાં આદરણીય પુરુષ છે.

ખેર, અરુણ શૌરીનાં ચીન વિશેના પુસ્તક ઉપરની તસ્વીર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારી છે એમાં ના નહીં, પણ શીર્ષક સાચું છે અને અત્યારના શાસકો માટે તે વધારે સાચું છે. સેલ્ફ-ડીસેપ્શનનો અર્થ થાય છે, આત્મવંચના. પોતાની જાતને છેતરવી અથવા ખોટા ભ્રમમાં રહેવું. જવાહરલાલ નેહરુ ચીન વિષે ખોટા ભ્રમમાં રહ્યા હતા અને ચીન ઉપર ભરોસો કરવાની ભૂલ કરી હતી એ એક હકીકત છે. પણ અત્યારના શાસકો તો તેમનાથી એક ડગલું આગળ ગયા છે. તેઓ માત્ર આત્મવંચના નથી કરતા, રાષ્ટ્રવંચના પણ કરે છે. નહીં બોલીને, આંખ આડા કાન કરીને, મોઢું ફેરવી લઈને પ્રજાને પણ ભ્રમમાં રાખે છે કે ચીનની સરહદે બધું સમુસૂતરું છે, જ્યારે કે સ્થિતિ બિલકુલ ઊલટી છે.

ચીનની સરહદે શું ચાલી રહ્યું છે એના સમાચાર આપણને અમેરિકા આપે, યુરોપિયન યુનિયન આપે, સેટેલાઈટ તસ્વીરો આપે, ‘ઈકોનોમિસ્ટ’ અને એવાં બીજાં જાગતિક પ્રતિષ્ઠા ધરાવનારાં સામયિકો આપે, બી.બી.સી. અને અલ ઝઝીરા જેવી પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલો આપે, વિશ્વની પ્રતિષ્ઠિત થીંક-ટેન્કો આપે, સ્વતંત્ર રાજકીય નિરીક્ષકો આપે અને આપણા શાસકો? આપણા શાસકો મૂંગા રહે અને રાફેલ વિમાનને કોઈની નજર ન લાગે એ માટે તેના પૈડાંને લીંબુ-મરચાં બાંધે. વાહરે, ચીન વિશેની નીતિ. અરુણ શૌરી અત્યારે મરવા જેવી લાજ અનુભવી રહ્યા છે એનું કારણ આ છે.

બુધવારે અમેરિકન લશ્કરના કમાન્ડીંગ જનરલ ચાર્લ્સ એ. ફ્લીને દિલ્હીમાં (આય રિપીટ દિલ્હીમાં) કહ્યું છે ચીન ભારતની સરહદે લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે એ જોતા સરહદે સ્થિતિ ચિંતાજનક છે. આવું અમેરિકાએ પહેલીવાર નથી કહ્યું. સૌથી પહેલાં આપણા વડા પ્રધાનના નાદાન અમેરિકન મિત્ર અને એ સમયના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને ભારતની ભૂમિ ઉપર કબજો જમાવ્યો છે અને તેને કારણે મારા મિત્ર નરેન્દ્ર મોદી હતપ્રભ અને દુઃખી છે. દોસ્ત હો તો ઐસા. એ પછી વખતોવખત અમેરિકા ચીનની લશ્કરી તૈયારીઓ વિષે નિવેદન કરતું રહ્યું છે અને ભારતને ચેતવણી આપતું રહ્યું છે. વચ્ચે અહેવાલ આવ્યા હતા કે ચીનની સરહદે પહેલા આઠ હજાર ચીની સૈનિકો હતા જે હવે પચાસ હજાર છે. આ વખતે પહેલી પંક્તિના લશ્કરી અધિકારીએ દિલ્હીમાં આવીને કહ્યું એ ઓછી ગંભીર તાકીદ નથી. પણ ભારતના શાસકો ચૂપ છે. મોઢું ખોલે એ બીજા. અમંગળ વાસ્તવિકતાઓ જોવાની જ નહીં ને!

હજુ હમણાં પખવાડિયા પહેલાં યુરોપિયન સંઘના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત રશિયાની યુક્રેન ઉપરની ચડાઈની બાબતે ચૂપ એટલા માટે છે કે તેને ચીનનો ડર છે. રશિયા રશિયન રાષ્ટ્રવાદથી પ્રેરાઈને જેમ યુક્રેન ઉપર દાવો કરે છે એમ ચીન પણ ભારતના કબજા હેઠળની ભૂમિ ઉપર દાવો કરી રહ્યું છે. રશિયાની જેમ ચીન જો એ ભૂમિ કબજે કરવા આક્રમણ કરે તો રશિયા ભારતને મદદ કરશે એવી ભારતની અપેક્ષા છે. ચીન ભારત સાથેની સરહદે જે રીતે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે એ જોતાં આવી શક્યતા ઘણી મોટી છે. ટૂંકમાં ચારે તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચીન લશ્કરી જમાવટ કરી રહ્યું છે અને ભારત સામે ખતરો છે. રાહુલ ગાંધીએ પણ આમ કહ્યું હતું ત્યારે ગોદી મીડિયાએ અને બી.જે.પી.ના સાયબર સેલે તેમને ચીનના પ્રવક્તા તરીકે ઓળખાવ્યા હતા.

પણ ભારતના શાસકો ચીનની દિશામાં નજર સુદ્ધાં કરતા નથી. આ આત્મવંચના નથી રાષ્ટ્રવંચના છે. ડૉ. મનમોહન સિંહ ઝુકીને અભિવાદન કરતા હતા એ તેમની ખાનદાની હતી. અદના માણસને પણ ડૉ. મનમોહન સિંહ આદર આપે છે અને પૂરા આદર સાથે ગંભીરતાપૂર્વક તેની વાત સાંભળે છે એમ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને તેમનાં સંસ્મરણો વાગોળતા કહ્યું છે. એમાં આત્મવંચના નહોતી અને રાષ્ટ્રવંચના તો જરા ય નહોતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જૂન 2022 

Loading

મિતાલી રાજ Goddess of Cricket કેમ નહીં ?

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|12 June 2022

ભારતના ક્રિકેટ રસિયાઓ, નિષ્ણાતો અને માધ્યમોએ જો સચિન તેંડુલકરને God of Cricket તરીકે નવાજ્યો હોય, તો તેમણે મિતાલી રાજનું પણ આવું ગૌરવ શા માટે ના કર્યું, એવો આ લખનારને સવાલ થાય છે.

આ લખનાર ક્રિકેટમાં બિલકુલ રસ ધરાવતો નથી, પણ તેને રોજ બ રોજના બનાવોને કંઈક વ્યાપક સંદર્ભમાં જોવાનું ગમે છે. સેલિબ્રીટિઝ ભલે મોટે ભાગે પોતાની કારર્કિર્દી, કમાણી અને ચાહકોની દુનિયામાં જીવતા હોય, પણ તેમને દેશકાળના પરિપ્રેક્ષ્યમાં જોવાનું જરૂરી હોય છે.

આપણે deificationમાં,વ્યક્તિને ભગવાન બનાવવામાં ન જ માનતા હોઈએ. પણ સમાજનો જે એક મોટો હિસ્સો આમ deification કરે છે તેના માપદંડો સ્ત્રી અને પુરુષ માટે અલગ ન હોવા જોઈએ.

મિતાલી અને સચિનની સરખામણી ઘણાં સમયથી થતી રહી છે, જે મિતાલીની નિવૃત્તિ સાથે તેની ટોચે પહોંચે તે સ્વાભાવિક છે. ‘The Indian Express’ જેવા ઉત્તમ, વિશ્વસનીય અને જાળવી શકાય તેટલી તટસ્થતા જાળવતાં અખબારે તેના તંત્રીલેખનું પહેલું વાક્ય લખ્યું છે :

A career almost as long as that of Sachin Tendulkar, a body of work that puts her among the finest ever in women’s cricket, one-day international batting average and captaincy numbers that match those of MS Dhoni – Mithali Raj, who bids farewell to her playing days, was the first superstar of Indian women’s cricket.

(લગભગ સચિન તેંડુલકર જેટલી લાંબી કારકિર્દી ધરાવનાર, કામગીરીના રાશિથી ભારતની ઉત્કૃષ્ટ મહિલા ખેલાડીઓમાં સ્થાન પામનાર, વન-ડે ઇન્ટરનૅશનલની બૅટિંગ એવરેજ અને મૅચોની કૅપ્ટનશીપ બંનેમાં એમ.એસ. ધોની જેટલા જ જુમલે પહોંચનાર ભારતીય મહિલા ક્રિકેટની પહેલી સુપરસ્ટાર મિતાલી રાજ આજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહી છે.)

Express છેલ્લા ફકરામાં ફરીથી કહે છે :

In so many respects, her career was Tendulkar-like. Both played for more than two decades, both racked up records that will take gifted players to break.

(મિતાલીની કારર્કિર્દી અનેક રીતે તેંડુલકરની કારકિર્દી જેવી હતી. બંને બે દાયકા કરતાં વધુ સમય રમ્યાં, બંનેએ એવા વિક્રમો સર્જ્યા છે કે જે માત્ર ભવિષ્યના ખૂબ પ્રતિભાશાળી ખેલાડીઓ જ તોડી શકશે.)

સચિને જ્યારે પરાક્રમો કરવાનું શરૂ કર્યું ત્યારે ભારતમાં ક્રિકેટ વર્ષોથી ચાલતી અત્યંત લોકપ્રિય રમત હતી, પણ તે એકંદરે માત્ર પુરુષોના સંદર્ભમાં જ જોવાતી હતી. જાણકારો કહે છે કે ભારતમાં મહિલા ક્રિકેટની સ્વીકૃતિ વધતી ગઈ તેમાં પુરુષોની મૅચોમાં સૌંદર્ય અને સમજ ધરાવતી સ્ત્રીઓ દ્વારા અ‍ૅન્કરિંન્ગ, ક્રિકેટના ટેલિકાસ્ટમાં પ્રચંડ વધારો અને દુનિયામાં બધે જ મહિલાઓની સતત આગેકૂચ જેવાં પરિબળો પણ હતાં. તેમાં એક મુખ્ય પરિબળ મિતાલી રાજ. તેણે ભારતીય લોકોનો મહિલા ક્રિકેટ તરફ જોવાનો નજરિયો બદલવામાં મોટો ફાળો આપ્યો. એક્સપ્રેસ લખે છે :

She was the single most transformative figure in women’s cricket in her country.  She broke barriers and boundaries and changed perceptions. The force of her personality, the gift of her stroke-making and the dint of her leadership influenced the coming of age narrative of Indian women’s cricket, uplifted them from outsiders to genuine title contenders, and injected them with self-belief. Any summation of her career should comprise three parts. Mithali as a trailblazer of women’s cricket, as a world-conquering batter and as a World Cup captain.

(મિતાલી આપણા દેશના મહિલા ક્રિકેટની એક માત્ર સહુથી શક્તિશાળી પરિવર્તનકાર હતી. તેણે અડચણો અને સીમાડાંને તોડ્યાં. વ્યક્તિત્વના પ્રભાવ, ફટકાબાજીની દેણ અને નેતૃત્વની  કુનેહથી તેણે પુખ્તતાના તબક્કામાં પ્રવેશી રહેલાં ભારતીય મહિલા ક્રિકેટનું આખું narrative બદલી નાખ્યું. તેણે મહિલા ક્રિકેટરોને રમતની મુખ્ય ધારાથી બહાર હોય તેવા ઘટકના સ્થાનેથી ઉપર ઊઠાવીને ખરેખરા હરીફને સ્થાને મૂકી અને તેમનામાં આત્મવિશ્વાસ રેડ્યો.)

દેશમાં વર્ષોથી પોંખાતાં પ્રસ્થાપિત ક્રિકેટમાં સચિનનું આવું કોઈ યોગદાન છે કે કેમ તે સચિન-ભક્તિ વિનાની તટસ્થતાથી વિચારનારા નિરીક્ષકો કહી શકશે.

પોર્ટલ્સ અને પ્રકાશનોમાં ક્રિકેટ વિશે લખતાં રહેનાર સક્ષમ મિશ્રા The Quaint પોર્ટલ પર 6 જુલાઈએ Why is Mithali Raj Denied the Credit Due to Her? મથાળા હેઠળના લેખમાં એક જગ્યાએ પૂછે છે :

Sachin Tendulkar is the Mithali Raj of men's cricket. How about that?

(સચિન તેંડુલકર પુરુષોના ક્રિકેટના મિતાલી રાજ છે. આ કેવું લાગે છે ?)

તે આગળ લખે છે :

The disparity in remuneration and fan following of men's and women's cricket is another matter. But why a legend like Mithali Raj – and I repeat, comparable only to Sachin Tendulkar in context of Indian cricket – does not get even half the credit is inexplicable.

(સ્ત્રીઓ અને પુરુષોને રમત માટે મળતા પૈસામાં અસમાનતા, તેમ જ બંનેના ચાહકોની સંખ્યામાં પણ   અસમાનતા એ બીજી વાત છે. પણ ભારતીય ક્રિકેટના સંદર્ભમાં જેની સરખામણી માત્ર સચિન સાથે જે થઈ શકે તેવી દંતકથા સમી ખેલાડી મિતાલીને મળવો જોઈએ તેના કરતાં અરધો જશ પણ કેમ નથી મળતો એ ન સમજાય તેવી બાબત છે.)

પછી લેખક કહે છે કે આ જશ આપવામાં નથી આવતો તેનું કારણ batting style કે the low strike rate હોય તો એ ગેરસમજ છે. આમ કહીને પછી મિશ્રા તેમના લેખમાં ઇન્ગ્લેન્ડ સામેની ત્રણ વન-ડે ઇન્ટરનૅશનલના દાખલા આપીને એ ગેરસમજ દૂર કરવાની કોશિશ કરે છે.

સચિનનો જે જયજયકાર થયો તેટલો જયજયકાર તેના જેટલી જ શ્રેષ્ઠતા ધરાવનાર મિતાલીનો થયો નથી. તેનું કારણ ભારતીય સમાજનું એકંદર પુરુષકેન્દ્રી માનસ હોય તેમ આ લખનારને લાગે છે.

12 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4541,4551,4561,457...1,4601,4701,480...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved