Opinion Magazine
Number of visits: 9458937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અરજ રામ નામની

રમજાન હસણિયા|Opinion - Opinion|31 March 2022

આપણે આખી દુનિયાના દુઃખો દૂર કદાચ ન કરી શકીએ, પણ બધા મળી કોઈ એક પરિવારને તો દુઃખમુક્ત કરી શકીએ, એવા વિચારથી પ્રેરાઈને એક વિદ્યાર્થી મિત્ર રામની વ્યથા કથા આપની સમક્ષ મુકું છું.

રામ રાપરની સરકારી કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે. કૉલેજમાં અભ્યાસ ઉપરાંત અન્ય બાબતોમાં પણ હંમેશાં આગળ રહે. એમને ભણવામાં વધુ અનુકૂળતા રહે એ માટે છેલ્લા વર્ષનો અભ્યાસ તેઓ નીલપર ગ્રામ સ્વરાજ સંઘના પરિસરમાં રહીને ભણે એવું ગોઠવ્યું છે. મુકતાબહેન અને નકુલભાઈનાં અનન્ય સહયોગ થકી આ થઈ શક્યું છે. ખૂબ સરસ વાંચતા ને વિચારતા, લખતા રામને ઘણી વાર ઉદાસ જોઉં ત્યારે સહજ પૂછી લઉં કે, ‘દોસ્ત, બધું બરાબર તો છે ને ?' ‘એ…હા, સાહેબ, કહીને એ મારાથી તો કેટલુંક છુપાવી લે પણ એમની આંખો ને ચહેરાના ભાવ કઈ રીતે છુપાવવા એ હજુ એમને નથી આવડતું. ગઈકાલે હું અમદાવાદથી નીકળું એ પહેલાં અબ્દુલનો ફોન આવે છે ને કહે છે કે, ‘સાહેબ, રામને સાંજે એક ફોન આવ્યો છે ને ત્યારથી બહુ ટેન્શનમાં છે. મેં જરા સાંભળી લીધું કે એમના બાપા તાત્કાલિક સાઈઠ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાની વાત કરતા હતા. કોઈ લેણદાર ઘરે આવીને કડક ઉઘરાણી કરે છે. મેં ત્યારે તો એને ધરપત આપી. પૈસાની વ્યવસ્થા માટે ચક્રો ગતિમાન કર્યા, પણ મને ખબર હતી કે આ એક જ દબાણ નહોતું. આવું તો ઘણું ઘણું હતું. સવારથી સાંજ રામના ઉદાસ ચહેરાને જોયા કર્યું. છેક સાંજે ચાલવા જવાના બહાને એમની સાથે બહાર નીકળ્યો ને ત્યારે અંદરથી ભરાઈ ગયેલા રામે જે આપકથા કરી તે સાંભળીને પગ તળે જમીન જ ખસી ગઈ.

રામે વાત માંડતા કહ્યું કે, 'આમ તો અમારો પરિવાર નાનકડી બાપીકી જમીનમાં થતી નાનકડી પેદાશથી પોતાનું ગુજરાન ચલાવતું. બહુ ઝાઝી જરૂરિયાતો પણ નહિ, એટલે સુખરૂપ બધું ચાલ્યા કરે. પણ વર્ષ ૨૦૧૫-૧૬નાં વર્ષોથી એક પછી એક એવી વિટંબણાઓ આવતી ગઈ કે રામનો પરિવાર વધુને વધુ આ ગર્તામાં ડૂબતો ગયો. એક બે વર્ષ ચોમાસું બહુ નબળું આવ્યું. જીરું કે અન્ય કોઈ પાક કરી મહામહેનતે એને ઉછેરે ને પાણીના અભાવે પાક નિષ્ફળ જાય. એ જ અરસામાં રામની મોટી ત્રણ બહેનોના ક્રમમાં લગ્ન લેવાયા. ઘરમાં દોકડાં ન હોય ને પ્રસંગ આવીને ઊભો રહે ત્યારે ગામડાંના લોકોને એક જ રસ્તો દેખાય, ઉછીના પૈસા લઈ લઈએ. જમીન પર લોન આસાનીથી મળે. એમ કરતાં કરતાં ત્રણેય દીકરીઓના લગ્ન અને લગ્ન પછીનાં આણાના પ્રસંગો ટૂંકે લાંબે નિપટાવ્યા. પછીના વર્ષે ખર્ચાને ને દેવાને પહોંચી વળવા પોતાના ઉપરાંત બીજાના ખેતરોમાં પણ ભાગે જીરું કર્યું. પણ કુદરતને હજુ વધુ કસોટી લેવી હતી. એ વર્ષે જાણે બધું બરાબર થઈ જશે એવી આશા બંધાયેલી. વર્ષ નબળું જ રહ્યું. દૂરથી નર્મદાનાં પાણી મેળવવા મથામણ કરી. બે વખત પાણી મળ્યું ને આશા વધુ દૃઢ થઈ, પણ અચાનક જ ત્રીજું ને ચોથું પાણી મળતું બંધ થયું ને બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. બધું સરખું કરવા ખેડેલું જોખમ વળી માથે પડ્યું ને બોજ વધતો ગયો.

એમાં અધૂરામાં પૂરું રામના માતાજીને પેરેલિસીસનો જબરદસ્ત એટેક આવ્યો. રાપર આસપાસ પ્રાથમિક સારવારથી આગળની સારવાર ન મળે, એટલે એમને દવા માટે પાટણ લઈ જવાયાં ને કર્ણના રથના પૈડાની જેમ આ પરિવારના રથનું પૈડું પણ વધુ ઊંડું ઊતરતું ગયું. બાની દવા ચાલુ જ રાખવાની છે. દર મહિને બે હજારની દવા થાય. આવકનું સાધન તો એક વરસાદ આધારિત ખેતી જ. દસેક જણના પરિવારને ખાવા પીવા પણ કંઈક તો જોઈએ ને ! બીજા ખર્ચની તો વાત જ ક્યાં કરવી ! ખાવા-પીવાની વાત નીકળતાં રામ કહે કે, ‘સાહેબ, અમારા ઘરમાં ઘઉં તો બહુ ખવાય જ નહિ કેમ કે એમાં મોણ માટે પણ તેલ જોઈએ ને ! બાજરીના રોટલા બારે માસ ખાઈએ, ચપટી મીઠું ને પાણીથી રોટલા ઘડાઈ જાય ને કારમી મજૂરી પછી પેટ પણ રોટલાથી જ ભરાય. કોઈ માંદુ પડે તો ઘઉંની રોટલી બને એ તો ઉજાણી. શાકમાં પણ મોટે ભાગે છાશમાંથી બનાવેલી કઢી કે લસણની ચટણી જ હોય. ચોમાસે ખેતરમાં થોડું બકાલું કરીએ એટલે લીલું શાક ખાવા મળે. બાકી છાશ રોટલો ખાઈને સંતોષ માની લઈએ. ખોટા એકપણ રૂપિયાનો ખરચ પોષાય નહિ.

લકવા પછી બા ખેતરે જઈ ન શકે. બાપુજીની ઉંમર ઘણી મોટી (૭૫ વર્ષ) ને ટ્રેકટર પરથી પડી જતાં કમરમાં થયેલી ઈજાના કારણે કામ ઓછું થઈ શકે. તોયે બે માણસ હાથ પગ હલાવ્યા કરે ને ખાડાને પુરવાની મથામણ કરતાં રહે. એ દરમિયાન મોટા ભાભીને ડિલિવરી આવી ને એમાં પણ થોડી મુશ્કેલી આવતાં પાટણ લઈ જવા પડ્યાં ને વળી પચાસેક હજારનો ખર્ચો. કોરોનાકાળમાં બાની દવા લેવા પાટણ જવું હોય તો ગાડીથી જ જવું પડે એવું હતું. બા તો પોતાનાં દર્દને પ્રાધાન્ય શેના આપે, એટલે એમણે દવા થઈ રહી છે એવું કહ્યું જ નહિ ને જેમ તેમ ચલાવ્યા કર્યું, એમાં તકલીફ વધી એટલે વળી બીજો ખર્ચો.

આવા બધા ખર્ચમાં કોઈ બચત તો હોય નહીં એટલે દર વખતે પૈસા વ્યાજે લેવા પડે. કોઈ પરિચિત ઓછા ટકાએ પૈસા આપે તો કોઈ વધુ એમ કરતાં કરતાં ચારેક લાખ ઉપરનું દેવું થઈ ગયું છે ને બેંકનું તો વળી અલગ જ, જેનું વ્યાજ પણ આ પરિવાર વરસની કમાણીમાંથી માંડ ભરી શકે છે. વરસ નબળું જાય તો વળી બે વરસનું ભેગું વ્યાજ ભરે ને ન ભરાય તો મુદ્દલ વધતી જાય.

આવી સ્થિતિમાં રામને ને એના નાનાભાઈને આ પરિવાર ભણાવે છે, એ બહુ મોટી વાત કહેવાય. એક ભાઈ તો કાચી ઉંમરે મુંબઈ જઈને કામ કરે છે ને એક પણ રૂપિયો વધારાનો ખર્ચ્યા વિના આ વ્યાજના લેણા ભરે છે. મોટાભાઈ, ભાભી ને તેમની ત્રણ રૂપકડી દીકરીઓ જીવનના કોઈપણ પ્રકારના આનંદ લીધા વિના આ દેવામાંથી મુક્ત થવા મથી રહ્યાં છે. ૭૫મેં વર્ષે બાપાને એક જ ચિંતા છે કે મારો પરિવાર આ વ્યાજ ને દેવાની ચૂંગાલમાંથી ક્યારે બહાર નીકળશે ?

હમણાં અમે રામના ઘરે ગયેલા ત્યારે અમારા માટે એમણે ખીર બનાવેલી. ગાય વિયાંએલી એટલે ખીરમાં દૂધ તો હતું પણ ખાંડ ન્હોતી  ! અથવા માત્ર ચા જેટલી જ હશે કદાચ ! રામના બા મને પૂછતાં હતાં, ‘સાહેબ, આ રામનું ભણવાનું કે'દી પૂરું થાશે ને એ કે'દી કમાતો થશે ?' આમ તો રામ ભણવાના જ નહોતા. પણ એ જે વર્ષે ભણવા આવ્યા, તે વરસ નબળું ગયું એટલે ખેતરે કામ ન હોવાને લીધે ભણવા આવતા થયા ને પછી તો ભણવાનું ગમવા લાગ્યું ને અમારો અનુબંધ વધતો ચાલ્યો ને તેમને આગળ ભણવાની ઈચ્છા જન્મી. ભવિષ્યમાં એક હોનહાર અધ્યાપક ને એક સારા લેખક ને વક્તા બની શકવાની ત્રેવડ જેમાં છે, એવા રામને અધવચ્ચે મુંબઈ સાત આઠ હજારમાં નોકરીએ ચડતો કેમ જોઈ શકાય ? એક વાર તો એ મુબઈ જતા પણ રહેલા. કુદરત તેમને પાછા લઈ આવી. આ રામના પરિવારને જે બોજ સતાવી રહ્યો છે એમાંથી થોડું વજન પણ જો આપણે ઓછું કરી શકીએ, તો આ આખા પરિવારને મોટી રાહત થઈ પડશે !

મારાથી બન્યું તે મેં કર્યું, હજુ કરીશ પણ બોજનો ગોવર્ધન બહુ મોટો છે એટલે ટેકણ લાકડી બનવા માટે આપ સૌને આ ટહેલ નાખી છે. સો, બસો, પાંચસોથી માંડીને જે આપ મદદ કરી શકો તો આ એક ખેડૂત પરિવાર અંધકારની ગર્તામાંથી બહાર આવી શકે. આપ સહેજ પણ ભાર રાખ્યા વિના શક્ય હોય તો મદદરૂપ થશો. કશું જ ન થઈ શકે તો પ્રાર્થના જરૂર કરજો કે કોઈનાં હૃદયે રામ વસે ને આ રામના દુઃખ દૂર થાય ! આપ કહેશો તો રામની બેન્ક ડિટેલ મોકલી આપીશ. આપ સીધા એમના ખાતામાં રકમ જમા કરાવી શકશો. આપના મિત્રો સ્વજનોને પણ આ યજ્ઞમાં જોડશો તો રામને ટેકો થશે.

આપણે જે અન્ન આરોગીએ છીએ, એ આવા જ કોઈ ખેડૂતની મહેનતનું પરિણામ હશે. એ ઋણ ચૂકવવા એક ખેડૂત પરિવારની વહારે આપ સૌ આવશો એવી શ્રદ્ધા છે.

સાંભળ્યું છે કે રામના નામે પથ્થર તરે છે, રામનું નામ જો પથ્થરને તારી શકે તો જીવતરના ભારને પણ દૂર કરી જ શકશે એવા અતૂટ વિશ્વાસ સાથે ….

સૌનું મંગળ હો … સૌનું કલ્યાણ હો …

લિ.

એક વિદ્યાર્થીના દુઃખ દૂર કરવા મથતો એક નાનકડો  શિક્ષક રમજાન હસણિયા

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

સૌથી મોટો પ્રશ્ન …!

કેતન રુપેરા|Opinion - Opinion|31 March 2022

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતના ચૂંટણીકીય રાજકારણમાં એક મોટો બદલાવ આવ્યો છે.

પીકે કહેતાં, પ્રશાંત કિશોર નમ્ર છે, સૌમ્ય છે. સટીક છે, સંમોહક છે. દરેક પ્રશ્નના એમની પાસે ગળે ઉતરે એવા જવાબ છે અને દરેક જવાબના ટેકામાં એમની પાસે ઓછામાં ઓછા છેલ્લાં ૧૫ વર્ષના ડેટાની બૌછાર છે. જનતા જનાર્દનને આનંદમય કરી દે એવાં સૂત્રો એમની પાસેથી મળી રહે છે અને વર્ષોથી જમીની-કાર્ય કરતાં (અથવા કરવાનો દેખાવ કરતાં) કાર્યકરો એમના તરફથી મળતાં સૂચનો મુજબ વર્તવામાં નાનમ અનુભવવાનું છોડી શકે છે.

ચૂંટણી આવે છે, પરિણામ જાહેર થાય છે. પીકે કહેતાં, પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટનાં સૂત્રો અને ગીતો રંગ લાવે છે. જે પક્ષને પોતે અને પોતાની ટીમે પરામર્શન કર્યું છે એ પક્ષની જીત થાય છે. વળી, આવું એક વાર નહીં એકથી વધુ વાર થાય છે. ’૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જેમ, ૧૦માંથી એકાદ બે મેચ હારે તો ય “ઠીક છે હવે”, એમ એમણે કન્સલ્ટન્સી પૂરી પાડેલો પક્ષ એકાદ વખત હારી પણ જાય, તો ય પ્રશાંત કિશોરનો દબદબો જારી રહે છે. (વારુ, પીકેને ઇન્ટરવ્યૂમાં ક્રિકેટના દાખલા આપવા અને ક્રિકેટની પરિભાષામાં વાત કરવી ગમે છે.)

પ્રાદેશિક પક્ષો એમનો વિશેષ સંપર્ક સાધે છે ને રાષ્ટ્રીય પક્ષો સાથે એમને બહુ લેણાદેણી રહેતી નથી. એના કારણમાં મોટે ભાગે, એમણે સૂચવ્યા મુજબ પૂર્ણ રીતે નહીં વર્ત્યા હોવાનું કે થોડાક અહમ્‌ના ટકરાવનું કારણ ખૂબ સલૂકાઈથી મૂકી જાણે છે. દરેક મોટી જીત પછી પોતે હવે એ કામ કરવાના નથી એવા સંકેતો મોટેભાગે ને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે આપતા રહે છે. એના ભાગરૂપે ક્યારેક કોઈક રાજકીય પક્ષમાં સીધા સક્રિય થાય છે તો ક્યારેક ટૂંક સમયમાં જણાવશે, એમ જણાવતા રહે છે.

ફરી ચૂંટણી આવે છે; ફરી, પોતે જે પક્ષ કે જે વ્યક્તિ સાથે રહીને જ પોતાના આ પ્રકારના પરામર્શ-કાર્યનો સત્તાવાર પ્રારંભ કર્યો હતો, તેને પણ હરાવી શકાય છે; એવું કેટલીક થિયરીઝ અને કેટલાંક ઉદાહરણો દ્વારા પ્રભાવકપણે કહી જાણે છે. આ વાતો પાંચ રાજ્યોમાં એ પક્ષની ૪-૧થી જીત પછી થાય છે. જો પ્રધાનસેવકને પત્રકારોને મુલાકાત આપવામાં પરહેજ ન હોત તો એમને ચોક્કસ ઇર્ષા થાત … એમ, એક ન્યૂઝ ચૅનલના એક વખતના વડા અને એક ચૅનલના ચાલુ વખતના વડા, એક ડાબે ને એક જમણે, એમ બંને બાજુ બેસીને એમને પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો સંવાદમાં પરિવર્તિત થાય છે. સંવાદ સારો થાય છે. એક પક્ષને હરાવવાની વાતો થાય છે, અનેક પક્ષોને સાથે મેળવીને જીતાડવાની વાતો થાય છે. મુખ્ય રૂપે વાત જ આ થાય છે. જે વાત ગૌણ બની જાય છે તે આ છે – મોંઘા શિક્ષણની, દોહ્યલા સ્વાસ્થ્યની. કારમી મોંઘવારીની, ખદબદતા ભ્રષ્ટાચારની. ખેડૂતોની આવકની, અગાઉ ક્યારે ય નહોતી એટલી બેરોજગારીની. ઊંચે ચઢતી આર્થિક અસમાનતાની અને કેટલીક સંવેદનશીલ બાબતોમાં આમ ને આમ ચાલતું રહ્યું તો પાતાળે ય પહોંચી શકે એટલી વર્ગ-વર્ગ ને કોમ-કોમ વચ્ચેના અવિશ્વાસની.

બાકી, વર્ષ ૨૦૨૨માં થનારી પાંચ રાજ્યોની ચૂંટણી થઈ ગઈ છે. ૨૦૨૩માં આવનારી નવ રાજ્યોની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. ૨૦૨૪માં યોજાનારી દેશ આખાની ચૂંટણી યોજાવાની જ છે. લાગે છે, ચૂંટણીનાં આ સદાબહાર વર્ષોમાં થઈ રહેલી નરી હાર-જીતની ચર્ચા વચ્ચે, ચૂંટણીઓ લોકશાહીનું શિક્ષણ કે લોકમતનું ઘડતર બની રહે કે નહીં, વ્યૂહરચનાઓની વણઝાર ચોક્કસ બની રહેશે. જેમ 'ભારતમાતા કી જય’ આ દેશના ઘણા બધા સવાલોમાંથી મુક્તિ અપાવનારો જવાબ બની રહ્યો છે; એમ જ, આ દેશના ઘણાખરા રાજકીય પક્ષોને – દાયકાઓથી સક્રિય રાજકીય પક્ષોને – 'હર દર્દ કી દવા’ રૂપી ઉત્તર પીકેમાં જ જણાઈ રહ્યો છે.

શું આ જ વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા દેશનો સૌથી મોટો પ્રશ્ન નથી?!

લખ્યા તા. ૨૮-૨૯ માર્ચ ’૨૨

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 01 

Loading

ગધેડાની વસ્તીમાં અસામાન્ય ઘટાડો કેમ ચિંતા જન્માવતો નથી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 March 2022

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે, થોડા દિવસો પૂર્વે માદા ગર્દભોની સીમંતવિધિ  થઈ હતી. ભારતમાં ગર્દભની વસ્તીમાં જ્યારે અસામાન્ય ઘટાડો થયો છે, ત્યારે હાલારી ગધેડા પ્રજાતિની એંસી માદાઓને ખાસ પ્રયત્નો કરીને ગર્ભવતી બનાવાય, તેની સીમંતવિધિ થાય અને તે પણ કોઈ સરકારી સહાય વિના, તે ખૂબ જ સરાહનીય છે.

પશુ કલ્યાણ માટે ૨૦૦૧માં સ્થાપિત સંસ્થા ‘બ્રુક ઈન્ડિયા’ના તાજેતરના‘ધ હિડન હાઈડ’ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં છેલ્લા એક દાયકામાં ગધેડાની વસ્તીમાં ૬૧.૨૩ ટકાનો ઘટાડો થયો છે. હવે દેશમાં ગધેડાની માંડ ચોથા ભાગની વસ્તી જ બચી છે. ૨૦૧૯ની વીસમી પશુ ગણતરી પરથી જણાય છે કે ૨૦૦૭માં ભારતમાં ૪.૪ લાખ ગધેડા હતા, જે ૨૦૧૨માં ઘટીને ૩.૨ લાખ થતાં પાંચ જ વરસમાં ૨૩ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૧૯માં તો ૧.૨૦ લાખ જ ગધેડા બચ્યાં છે. ઉત્તર પ્રદેશમાં ગર્દભની વસ્તી સૌથી વધુ ૭૧.૭ ટકા ઘટી છે. દેશમાં સૌથી ઓછો ઘટાડો (૩૯.૭૬ ટકા) મહારાષ્ટ્રમાં થયો છે. ગુજરાતમાં ૭૦.૯ ટકા ગધેડા ઓછા થતાં તે ગધેડાની ઘટતી વસ્તીવાળું દેશનું ત્રીજા ક્રમનું રાજ્ય છે. ૮૧,૦૦૦ના આંક સાથે ૨૦૧૨માં ગધેડાની વસ્તીમાં રાજસ્થાન મોખરે હતું. હવે ત્યાં ૨૩,૦૦૦ જ ગધેડા છે. ગુજરાતમાં એક દસકામાં ગધેડાની વસ્તી ૩૯,૦૦૦થી ઘટીને ૧૧,૦૦૦ થઈ ગઈ છે.

મૂળે આફ્રિકી કૂળનું આ પ્રાણી મૂર્ખ, સરળ અને ભોળુ મનાય છે. ગરમ વાતાવરણમાં પણ નજીવા સૂકા ઘાસનો ચારો અને ઓછા પાણીથી જીવવાના બદલામાં નીચી મૂંડીએ તે કાળી મજૂરી કરે છે, તેથી જ સામાન્ય વળતર માટેની સખત મજૂરી માટે ‘ગધ્ધાવૈતરું’ શબ્દ પ્રચલિત છે. એક વખત જોયેલો રસ્તો ગધેડાને પચીસ વરસ સુધી યાદ રહે છે. તો ય તે બુદ્ધિહીન તરીકે વગોવાય છે. પુરાતત્વવિદોને ૨૦૦૨માં મિસ્રના કાહિરાથી પાંચસો કિલોમીટર દૂરના અબિહોસ નગરના શાહી કબ્રસ્તાનમાં ખોદકામ દરમિયાન દસ ગધેડાના કંકાલ મળી આવ્યા હતા. તેના સંશોધન પરથી પુરાતત્વવિદો એવા તારણ પર આવ્યા છે કે ગધેડા માનવીના બહુ પુરાણા મિત્ર છે. વર્તમાન સમયે વિલુપ્તિના આરે આવી ઊભેલા ગર્દભ પાંચ હજાર વરસ પૂર્વે હયાત હતા. બાંધકામ, ઈંટભઠ્ઠા, કોલસાની ખાણો, પર્યટન, ખેતી વગેરેમાં ભારવાહક અને પરિવહનના સાધન તરીકે ગધેડાનો ઉપયોગ થાય છે.  મિસ્રના ગર્દભ કંકાલોના ઘસાઈ ગયેલાં હાડકાં, પગની  મચકોડ અને વાંકુ વળી ગયેલું શરીર એ વાતની ગવાહી રૂપ છે કે આ અતિ સહનશીલ પ્રાણી પાસે માનવી હજારો વરસોથી ગધ્ધાવૈતરું કરાવતો આવ્યો છે.

વિશ્વમાં હવે ચાર કરોડ જ ગધેડા બચ્યા છે. ગધેડાની વસ્તીમાં થયેલો મોટો ઘટાડો માનવીની સ્વાર્થવૃતિનું પરિણામ છે. ચીનમાં પરંપરાગત દવાઓ બનાવવા ગધેડાની ચામડીનો ઉપયોગ થાય છે. મૃત ગધેડાની ચામડીને ઉકાળવાથી તેમાંથી નીકળતું જિલેટીન દવાઓ બનાવવા વપરાય છે. આ માટે ચીનને વરસે દહાડે ૪૮ લાખ ગધેડાની જરૂર પડે છે. તેથી ભારત સહિતના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગધેડા ચીન મોકલવામાં આવે છે. ગધેડાની વસ્તીમાં નોંધાયેલા અસાધારણ ઘટાડાનું આ મુખ્ય કારણ છે. ખુદ ચીનમાં ગધેડાની વસ્તીમાં ૭૬ ટકાનો ઘટાડો થયો છે. ૧૯૯૦માં ચીનમાં ૧.૧૦ કરોડ ગધેડા હતા જે ૨૦૧૭માં ઘટીને ૩૦ લાખ થઈ ગયા હતા.

ભારતમાં ગધેડાનું માંસ એનિમલ ફૂડની વ્યાખ્યામાં આવતું નથી. સરકારે તેને અખાધ્ય ગણ્યું છે, પરંતુ લોકોમાં તે કામોત્તેજનાવર્ધક અને દીર્ઘ આયુષ્યદાતા હોવાની ગેરમાન્યતા પ્રવર્તે છે. એટલે માંસ માટે ગધેડાઓની બેફામ કતલ થાય છે. આંધ્રમાં ગધેડાની વસ્તીના ઘટાડાનું કારણ આ છે. આંધ્રના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ગધેડાનાં માંસનું મોટા પાયે વેચાણ થાય છે. માંસના વેપારી લગભગ પંદર-વીસ હજારમાં ગધેડો ખરીદે છે અને છસો રૂપિયે કિલોના ભાવે તેનું માંસ વેચે છે.  એટલે આંધ્રમાં હવે માત્ર ૪,૬૭૮ જ ગધેડા છે. ગર્દભનું માંસ ભક્ષણ કરીને માનવી ચિરકામી કે ચિરંજીવ થયાના પુરાવા તો મળ્યા નથી, પણ ગધેડા નામશેષ થવા આવ્યા છે.

જૈવ વિવિધતાના સંરક્ષણની દૃષ્ટિએ ગધેડાની વસ્તીમાં ઘટાડો ચિંતાજનક છે. યંત્રવિજ્ઞાનના વિકાસથી ગધેડાનો હવે પહેલા જેવો માલવાહક અને સંચાર માટે ઉપયોગ રહ્યો નથી પણ તેનો અર્થ એ નથી કે તેના બીજા ઉપયોગ વિચારવાને બદલે તેને ખતમ કરી નાંખવો. ચીન ગધેડાની આયાત પર સાવ નજીવા કર લે અને તેનો મિત્ર દેશ પાકિસ્તાન તેની માંગપૂર્તિ માટે ઓકારામાં ડોન્કી બ્રીડિંગ ફાર્મ તથા લાહોરમાં ડોન્કી હોસ્પિટલ સ્થાપી ગધેડાની વસ્તી વૃદ્ધિ કરે તે આ સમસ્યાનું બીજું અંતિમ છે. પાકિસ્તાનમાં હવે દર વરસે ગધેડાની વસ્તીમાં એક લાખનો વધારો થાય છે.

સરેરાશ પચાસ વરસનું આયુષ્ય ધરાવતા ગધેડાને હવે માંડ પંદર વરસે જ ખોટા ઉપયોગ માટે મારી નંખાય છે. એટલે તેના વસ્તીના ઘટાડાને સમતોલ કરવા રાષ્ટ્રીય ગર્દભ પ્રજનન યોજના અને નિકાસબંધી સહિતની સંરક્ષણ યોજના ઘડવી જોઈએ. ગધેડાના ઉપયોગના અન્ય વિકલ્પો વિચારવા જોઈએ. રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર ,બિકાનેરે ગધેડાનો ઉપયોગ ઘાણીના બળદની જેમ કરીને વીજળી ઉત્પન્ન કરવાનો  સફળ પ્રયોગ કર્યો છે. દિલ્હીની સંસ્થા ગધેડીના દૂધની વિવિધ બનાવટો બજારમાં મૂકી રહી છે. ગધેડીનું દૂધ બીમાર બાળકો માટે ફાયદાકારક છે. ગધેડીના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ પ્રોટીન અને સુગર છે, પણ ફેટ ઓછા છે એટલે ગધેડાને માલવાહકને બદલે દૂધાળા ઢોર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. દિલ્હીની સંસ્થા ગુજરાતના ઉપલેટા પંથકમાંથી ગધેડીનું દૂધ મેળવે છે. કોલકીમાં માદા ગર્દભની સીમંતવિધિ શાયદ તેને કારણે જ યોજાઈ હોઈ શકે છે.

ગીધ, ચકલી અને બીજાં લુપ્ત થતાં પશુ-પંખીને બચાવવા સરકાર અને સમાજે જે પ્રયાસો હાથ ધર્યા છે તેવા ગધેડા માટે હાથ ધર્યાનું જાણ્યું નથી. ગર્દભ અભયારણ્ય સ્થાપવા સસ્તા અને સરળ છે. પણ દેશમાં તો વાઘ-સિંહના અભયારણ્યોની બોલબાલા છે. જો દેશમાં વાઘ-સિંહની વસ્તી વધે તો તેની વધામણી પ્રધાન મંત્રી, મુખ્ય મંત્રી અને મંત્રીઓ આપે છે. પરંતુ ગધેડાની વસ્તી સાવ તળિયે પહોંચી છે તે જરા ય ચિંતા જન્માવતી નથી.

સોળથી પચીસ વરસ વચ્ચેની ઉંમર ‘ગધ્ધા પચીસી’ ગણાય છે. હાલમાં ગધેડાની વસ્તીનો ઘટાડો એ જ ગાળાનો છે. માનવી તો ગધ્ધા પચીસી વળોટી જાય છે, પણ ગધેડા કદાચ તેમાં જ ખતમ થઈ જવાની દહેશત છે. ગધેડાને ખતમ કરીને માનવી ‘ગધેડે ગવાય’ (ફજેત થાય) કે ‘ગધેડે ચડે’ (જાહેરમાં મૂરખ ઠરે) તે પહેલાં જાગવાની જરૂર છે. ગધેડાની વસ્તીમાં ઘટાડાની આ ચિંતા ઘણાંને માટે ‘ગધેડાને તાવ આવ્યા’ જેવી (અણગમતી અને અશક્ય) ‘હોંચી હોંચી’ હશે. પણ આ બાબતે સમયસર જાગવાની અને ચેતવાની જરૂર છે. નહીં તો આઠમી મે નો ‘વિશ્વ ગર્દભ દિવસ’ ઇતિહાસના પાનાંમાં જ રહી જશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,4501,4511,4521,453...1,4601,4701,480...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved