Opinion Magazine
Number of visits: 9663926
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી

નેહા શાહ|Opinion - Opinion|12 September 2025

નેહા શાહ

આશરે બે વર્ષથી ચાલતા સતત હુમલા … આશરે ૬૫,૦૦૦ લોકોનાં મૃત્યુ … લાખો ઈજાગ્રસ્ત લોકો અને લાખો ભૂખમરાની કગાર પર ઉભેલા લોકો … આ છે ૨૧મી સદીના ગાઝાની વાસ્તવિકતા ! ઈઝરાઈલ અને પેલેસ્ટીનની વચ્ચેનો સ્થાનિક વિખવાદ માત્ર નથી. ગાઝામાં જે ચાલી રહ્યું છે તે વૈશ્વિક સ્તરની નૈતિક કટોકટી છે. આ કટોકટી આજની નથી, એની શરૂઆત ઈઝરાઈલ દેશની જન્મ સાથે જ થઇ છે, જે હાલમાં એની ચરમસીમા પર છે. બે વર્ષથી આખી દુનિયા જોઈ રહી છે અને અહીં માનવ સંહાર ચાલી રહ્યો છે. આ યુદ્ધ નથી. બે વર્ષ પહેલા હમાસે કરેલો હુમલો અપ્રસ્તુત બની ગયો છે, એના બહાના પાછળ ગાઝા પટ્ટીમાં આવેલા એકે એક શહેર પર વ્યવસ્થિત હુમલા કરી સંપૂર્ણ વિનાશ કરવાને યુદ્ધ ના કહેવાય. જ્યારે ગુનાના પ્રમાણમાં સજા નક્કી થાય ત્યારે ન્યાય થાય. ગાઝાથી જે થોડા ઘણા વીડિયો આપણા સુધી પહોંચે છે એમાં પાકા ઘરો, બહુમાળી મકાનો મિસાઈલ કે ડ્રોન હુમલા પછી પત્તાના મહેલની માફક તૂટી પડતા દેખાય છે. પાછળ સંપૂર્ણપણે તારાજ થયેલું શહેર! હોસ્પિટલો અને શાળા પણ હુમલાથી બચ્યા નથી. મૃત્યુ પામનારામાં સ્ત્રીઓ અને બાળકોનું પ્રમાણ ઘણું મોટું છે! ૧,૨૦૦થી વધુ ડોકટરો અને આરોગ્ય કર્મીઓ તેમ જ ૨૦૦થી વધારે પત્રકારોનાં મૃત્યુ થયા છે – હિંસાથી સત્તા ટકાવી રાખનારને લોકશાહી મૂલ્યોથી કામ કરનાર પત્રકારો માફક નથી આવતા! લાગે છે જાણે ૧૯૪૮થી યહૂદી રાષ્ટ્રનો વિસ્તાર વધારવાનું જે અભિયાન ઈઝરાઈલે શરૂ કર્યું હતું એના ભાગ રૂપે આખું ગાઝા હવે કબજે કરવા માંગે છે અને તે પણ સ્થાનિક રહેવાસી વગર! 

એક વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર ગાઝામાં માનવ સર્જિત દુષ્કાળની શક્યતા અંગે જગતને ચેતવી રહ્યું હતું, અને ૨૦૨૫ની ૨૨મી ઓગસ્ટે ભૂખમરાની સત્તાવાર જાહેર કરાઈ. સપ્ટેમ્બર મહિનામાં દુષ્કાળ અને ભૂખમરો વધુ ભયાનક બની ફેલાશે એવી શંકા વ્યક્ત થઇ છે. આમ છતાં,  ઇઝરાયેલની આર્મી કોઈ પણ પ્રકારની માનવતાવાદી સહાય આ વિસ્તારમાં પહોંચવા નથી દેતી. માર્ચ મહિનાથી કોઈ પણ આવન જાવન બંધ છે! સંયુક્ત રાષ્ટ્ર તરફથી આવતી મદદ પણ નહિ. આ બર્બરતા ૨૧મી સદીમાં પણ થઇ રહી છે – આખી માનવ જાત જોઈ શકે એ રીતે થઇ રહી છે! ઈઝરાઈલ એના શ્રેષ્ઠ હથિયાર અને ગુપ્તચર સેવા સાથે મુશ્તાક છે. ખોબા જેટલું ઈઝરાઈલની આ હિંમત વિશ્વના શક્તિશાળી દેશોની સીધી કે આડકતરી રીતે ભાગીદારી વિના શક્ય નથી ! પાછલા ચાર – પાંચ મહિનાથી યુરોપના દેશો યુદ્ધ અટકવું જોઈએ એવી વાતો કરી રહ્યા છે, પણ એમના પ્રયત્નો ઈઝરાઈલને હુમલાઓ કરતુ બંધ થાય એવું દબાણ ઊભું કરવા માટે પૂરતા નથી. 

જ્યાં રાજ્ય સત્તાઓ ઢીલી પડે છે, ત્યાં નાગરિકોને જવાબદારી ઉપાડી લેવી પડે છે. સિડની, લંડન, હેગ, વોશિંગ્ટન ડી.સી., જીનીવા, મેડ્રીડ, ટોક્યો, મેડ્રીડ, દમાસ્કસ, ઢાકા જેવાં દુનિયાના અલગ અલગ ખૂણામાં આવેલાં શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ ઈઝરાઈલ સામે વિરોધ પ્રદર્શિત કર્યા છે. ભારતમાં પણ મુંબઈ, દિલ્હી અને કલકત્તા જેવાં શહેરોમાં પ્રદર્શન થયા છે જ્યાં ઈઝરાઈલ વિરુદ્ધ કડક નિવેદન આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવવાનો હેતુ પણ હતો. પણ, જ્યારે દુનિયાના દેશો ઈઝરાઈલ પર દબાણ ઊભું કરી રહ્યા છે, ત્યારે તેના નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ – જે તેમના આક્રમક અંતિમવાદી વિચારો માટે અનેક વાર વખોડાઈ ચુક્યા છે અને તેમની પર ઘણાં દેશોએ પ્રતિબંધ મુક્યો છે – તે ભારતના પ્રવાસે આવ્યા છે. બંને દેશો દ્વિપક્ષીય રોકાણ સમજુતી પર હસ્તાક્ષર કરી આર્થિક સહકાર તરફ આગળ વધી રહ્યા છે! 

અનેક દેશના અનેક નાગરિકો દેખાવ કરવા ઉપરાંત ગાઝામાં સીધી મદદ પહોંચાડવાનું કામ પણ કરી રહ્યા છે. ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન (એફ.એફ.સી.) ધરા તળે આવું જ કામ કરતા સંગઠનોનું ગઠબંધન છે જે ૨૦૧૦થી ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાનાં પ્રયત્નો કરતું રહે છે. હાલમાં ૪૪ દેશોના કર્મશીલો ૨૦થી વધુ બોટમાં ‘ગ્લોબલ સુમુદ ફ્લોટિલા’ ગાઝામાં માનવતાના ધોરણે ખાદ્ય પદાર્થો, દવાઓ, બેબી ફૂડ, જેવી સહાય પહોંચાડવા નીકળ્યા છે.  અરેબીકમાં ‘સુમુદ’નો અર્થ છે ખંત, અને ફ્લોટિલા એટલે નૌકાનો કાફલો. આ કાફલામાં સ્વીડનની યુવા કર્મશીલ ગ્રેટા થન્બર્ગ પણ છે, જેના વહાણ પર ૯મી અને ૧૦મી સપ્ટેમ્બરે, બે વાર તુનીશિયાના દરિયામાં ડ્રોનથી હુમલો થયો. નસીબ જોગે ટીમના દરેક સભ્ય બચી ગયા. સુમુદ ફ્લોટિલાને ઈઝરાઈલે ધમકી આપી છે કે તેનાં સભ્યોની આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવશે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. આ પહેલા પણ જૂનમાં એફ.એફ.સી.નું એક જહાજ મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા નીકળ્યું હતું જેને ઇઝરાયેલી દળોએ તેને ગાઝાપટ્ટી સુધી પહોંચતા અટકાવ્યા હતા. ફ્લોટિલા આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ફળતાનું પરિણામ છે, જો જનરલ એસેમ્બલી અથવા સુરક્ષા પરિષદે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે નિર્ણાયક પગલાં લીધાં હોત, તો નાગરિક સમાજના કાર્યકરોને પોતાનો જીવ જોખમમાં મૂકી દરિયો ખેડવાની ફરજ પડી ન હોત. વિશ્વ યુદ્ધ પછી વિશ્વ શાંતિ માટે સર્વસંમતીથી લીધેલા નિર્ણયોના લગભગ એંશી વર્ષે નૈતિકતાની એ જ કટોકટી આપણને તાકી રહી છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

 

Loading

સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2025

રાજ ગોસ્વામી

ભારતીય સિનેમા જગત પર કોઈ એક લેખકની સૌથી વધુ અસર પડી હોય, તો તે છે બંગાળી બાબુ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની. તેમની નવલકથાઓ પરથી વિવિધ ભાષાઓમાં 40થી વધુ ફિલ્મો બની છે. એકલી હિન્દીમાં 10 જેટલી ફિલ્મો બની છે. ઓફકોર્સ, એ બધામાં તેમની વાર્તા ‘દેવદાસ’ સૌથી વધુવાર ફિલ્મોનો વિષય બની છે. તે સિવાય, બિરાજ બહુ, પરિણીતા, મજલી દીદી, છોટી બહુ અને ખુશ્બૂ જાણીતી ફિલ્મો છે.

શરદબાબુની એવી જ એક ઓછી જાણીતી નવલાકથા ‘સ્વામી’ પરથી, 1977માં એ જ નામની એક શાનદાર હિન્દી ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન ‘છોટી સી બાત’ અને ‘ચિત્તચોર’વાળા બાસુ ચેટરજીએ કર્યું હતું. બાસુ’દા મધ્યમ વર્ગીય પરિવારોને લગતી ફિલ્મો માટે જાણીતા છે. તેઓ લગ્ન અને પ્રેમ સંબંધો પર વધુ ફોકસ રાખતા હતા. એ ઉપરાંત તેમની ફિલ્મો સામાજિક અને નૈતિક મુદ્દાઓની પણ વાતચીત કરતી હતી.

‘સ્વામી’ પણ તેનાથી અછૂતી નથી. માણસોનું જીવન અનેક દ્વંદ્વથી ભરેલું હોય છે. આપણા ઘણા નિર્ણયો અને વ્યવહાર તેવી પરિસ્થિતિઓ આધારિત હોય છે. તે નિર્ણય એક સ્થિતિમાં સાચો હોય છે અને બીજી સ્થિતિમાં ખોટો, કારણ કે માણસો હંમેશાં સાચા અને ખોટા વચ્ચે પસંદગી નથી કરતા, ક્યારેક તેમને બે ‘સાચા’માંથી એકની પસંદગી કરવાની હોય છે.

‘સ્વામી’ આવી જ રીતે દ્વંદ્વની વાર્તા હતી. ફિલ્મના શીર્ષક પરથી જ સ્પષ્ટ છે તેમ, તે એક પરિણીતાની વૈવાહિક નિયતિની વાત માંડે છે. આમ તો આ ફિલ્મનું શીર્ષક તેની મુખ્ય નાયિકા સૌદામિની (શબાના આઝમી) પરથી રાખવામાં આવ્યું હોત તો પણ ઉચિત જ હોત કારણ કે તેમાં એક એવી સ્ત્રીનો પ્રેમ અને લગ્નની તલાશનો દ્વંદ્વ હતો, જે એમ માને છે કે તેના માટે બંને એક જગ્યાએ સંભવ નથી.

સૌદામિનીને નાનપણથી જ એવું શીખવવામાં આવ્યું હતું કે એક સ્ત્રીનો સ્વામી તેનો પતિ હોય છે અને એકવાર તે કોઈને સ્વામી તરીકે માની લે, તે પછી તે બીજા કોઈને પ્રેમ કરવાનો અધિકાર ગુમાવી દે છે. આવી માન્યતામાં બંધાયેલી સૌદામિની, ગામડામાં જન્મી હોવા છતાં, તેના મામા(ઉત્પલ દત્ત)ની છત્રછાયામાં સાહિત્યની પ્રેમી તરીકે મોટી થાય છે અને તેના પુસ્તક પ્રેમને પોષતા જમીનદારના દીકરા નરેન્દ્ર(વિક્રમ મકાનદાર)ને ચાહવા લાગે છે. 

સંજોગો એવા નિર્માણ થાય છે કે તેના મામા અને માતા(સુધા શિવપુરી)ની ઇચ્છાથી દોરાવાયેલી સૌદામિની, બાજુમાં ગામમાં ઘઉંના વેપારી ઘનશ્યામ (ગિરીશ કર્નાડ) સાથે લગ્નની ગાંઠે બંધાઈ જાય છે. પહેલી નજરે એવું લાગે કે આ નિર્ણય તેનો જ છે, પણ વાસ્તવમાં તે પિતૃસત્તાક સમાજની ઉછીની માન્યતાઓમાં બંધાયેલી છે. બીજી રીતે કહેવું હોય તો, તેનું દિલ નરેન્દ્ર પાસે છે પણ તેનું દિમાગ ઘનશ્યામને સ્વામી માને છે. સૌદામિનીનું દિમાગ તેના દિલને કહે છે કે તને હવે બીજા પાસે રહેવાનો અધિકાર નથી!

પરંતુ દિલનો પોતાનો આગવો અખત્યાર હોય છે. એ થોડું દિમાગની વાતો માને! સૌદામિની ઘનશ્યામ પાસે રહીને પણ ખુશ નથી. તે તેને મનથી સ્વામી તરીકે સ્વીકારે છે, પણ એક શારીરિક અંતર રાખીને. ઘનશ્યામ એટલો ઉદાર છે કે તેની પત્નીની ભાવનાઓનું પૂરતું સન્માન રાખે છે. ઘનશ્યામ નામ પ્રમાણે જ ભગવાનનો માણસ છે. તેનો ખુદનો પરિવાર તેની ઉપેક્ષા કરે છે અને તે ફરિયાદ સુદ્ધાં નથી કરતો. ઘરનો નોકર પણ તેને ગણતો નથી. તે પૂરી નિષ્ઠાથી તેનું કામ કરે રાખે છે અને બદલામાં કોઈ ઇચ્છા રાખતો નથી. તે નિષ્કપટ છે અને સાદગીથી જીવન જીવે છે.

એક બાજુ પ્રેમીથી છુટા પડ્યાનો વિયોગ અને બીજી બાજુ સૌના હાથે હડધૂત થતા પતિ માટેની દયા, સૌદામિની અંદરોઅંદર પોતાની આ જિંદગીને કોસ્યા કરે છે અને એક દિવસ તેની સાસુ (શશીકલા) સાથે બોલાચાલી થઇ જાય છે. ઘનશ્યામ તેને માતાની માફી માંગવા કહે છે, સૌદામિની ઇનકાર કરે છે. એવામાં નરેન્દ્રની આકસ્મિક મુલાકાતના પગલે મામલો જટિલ બની જાય છે. ઘણા દિવસોથી ધૂંધવાયેલી સૌદામિની, ઘનશ્યામની ગેરહાજરીમાં અને નરેન્દ્રની હાજરીમાં, ઘર છોડી દે છે અને રેલવે સ્ટેશન જતી રહે છે.

ફિલ્મનો આ નાટ્યાત્મક હિસ્સો છે. જેમ જેમ ટ્રેન આવવાનો સમય થાય છે તેમ તેમ સૌદામિનીનો દ્વંદ્વ વધતો જાય છે. તેને લાગે છે કે તે કંઇક ખોટું કરી રહી છે. ઘનશ્યામનો માસૂમ ચહેરો તેની આંખો સામે તરવા લાગે છે. પતિનું નિસ્વાર્થ સમર્પણ તેના જીવને કચવે છે. ટ્રેન આવે છે અને નરેન્દ્ર તેને ઊભી થવા કહે છે. 

સૌદામિની પોતાની દ્વિધા જાહેર કરે છે, પરંતુ નરેન્દ્ર કહે છે કે ઘનશ્યામ હવે તેને સ્વીકારશે નહીં. જ્યારે નરેન્દ્ર ટ્રેનમાં સામાન રાખવા જાય છે, જ્યારે સૌદામણી દ્વિધાથી ભરેલી આંખો ખોલે છે, ત્યારે સામે ઘનશ્યામ ઊભો હોય છે. તે તેની રિસાયેલી પત્નીને ઘરે લઈ જવા આવ્યો છે. સૌદામિની ભાવુક થઈ જાય છે અને તેના પગમાં ઝુકી જાય છે. તેને ભાન થાય છે કે તે જ તેનો સ્વામી છે. ઘનશ્યામ ફરી એકવાર તેની ઉદારતાનો પરિચય આપે છે : તે કહે છે કે તેને લગ્ન પહેલાંથી જ સૌદામિનીના પ્રેમ વિશે ખબર હતી. ઘનશ્યામ તેના ખભે હાથ મૂકીને કહે છે. “ઘર ચલો, મિની.”

સૌદામિની તરીકે શબાના આઝમીનો આ એક સુંદર કિરદાર છે. તે વર્ષે તે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ લઇ ગઈ હતી (બાસુ ચેટરજીને શ્રેષ્ઠ નિર્દેશકનો અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર પણ મળ્યો હતો).

આ ફિલ્મની નિર્માતા હેમા માલિનીની માતા જયા ચક્રવર્તી હતી. ફિલ્મમાં એક ગીત ‘ભાગ જાઉંગી, અપને રાજા કે સાથ ભાગ જાઉંગી’ વખતે હેમા અને ધર્મેન્દ્ર દેખા પણ દે છે. ઇન ફેક્ટ, આ ફિલ્મનું યેસુદાસના અવાજમાં એક ગીત બેહદ મશહૂર થયું હતું : કા કરું સજની, આયે ના બાલમ. જયા ચક્રવર્તીની બહુ ઇચ્છા હતી કે હેમા ગિરીશ કર્નાડ સાથે લગ્ન કરે, પરંતુ હેમા ધર્મેદ્રના પ્રેમમાં ગળાડૂબ હતી.

હેમા સાથે લગ્ન કરવા માટે સંજીવ કુમાર પણ ઉત્સુક હતા (પણ લગ્ન પછી હેમાએ કામ નહીં કરવાનું એવી શરત મૂકી એટલે જયા ચક્રવર્તીએ એ માગું ઠુકરાવી દીધું હતું). ઘણા લોકોએ બાસુ ચેટરજીને ‘સ્વામી’ ફિલ્મમાં હીરો તરીકે કર્નાડની જગ્યાએ હરિભાઈને લેવાની સલાહ આપી હતી. બસુ’દાનો તર્ક બહુ સરસ હતો : સંજીવ જો હીરો હોય તો દર્શકો પહેલા જ સીનથી એવું ધારી લે કે ફિલ્મના અંતે સૌદામિની ઘનશ્યામ પાસે જ જશે. કર્નાડ ત્યારે એટલા જાણીતા નહોતા અને લોકોને ગમતા પણ નહોતા. એ જો હીરો હોય તો લોકોમાં એ સંદેહ બરકરાર રહે કે સૌદામિની અંતે તેને સ્વીકારશે કે નહીં.

એક ઇન્ટરવ્યુમાં શબાના આઝમી કહે છે, “મિનીનો કિરદાર સરસ રીતે લખાયો હતો. તે સ્વતંત્ર દિમાગવાળી છે, પુસ્તકો વાંચે છે, તેની માતાની અકળામણ વચ્ચે પણ મામા સાથે બૌદ્ધિક ચર્ચાઓ કરે છે. તે પરણીને સાસરે જાય છે ત્યારે, તે વખતની બાકી ફિલ્મોમાં બનતું હતું તેમ, ગાય જેવી નથી બની જતી. એક દૃશ્યમાં ઘનશ્યામ કહે છે – હમ વૈશ્નવ હૈ, હમારે યહાં સ્વામી કે સામને કભી જૂઠ નહીં બોલતે.’ તે વખતે મિની કહે છે – હમારે યહાં તો કિસી કે ભી સામને જૂઠ નહીં બોલતે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 03 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 September 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકારે ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025’ વિધાનસભા ગૃહમાં મંજૂર કરાવી લીધું. આ કાયદા હેઠળ હવે મહિલાઓની સંમતિથી અને સલામતીની શરતોએ, તેમની પાસેથી રાતપાળીમાં પણ કામ લઈ શકાશે. આમ તો ‘કારખાના કાયદો’ કેન્દ્ર સરકારનો છે. તેમાં રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો જરૂરી સુધારા કરી શકે છે. સરકારનું માનવું છે કે ફેક્ટરી એક્ટમાં થયેલ આ સુધારાથી મહિલાઓને સમાનતાની અને આર્થિક ઉપાર્જનની તકો મળી રહેશે. નવા સુધારાઓ મુજબ કામના કલાકો અને ઓવરટાઈમમાં પણ મહત્ત્વના ફેરફારો થયા છે અને તેનો હેતુ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ વિધેયકનો હેતુ રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી વધારવાનો છે. અગાઉ આ કાયદા મુજબ મહિલાઓ રાતપાળીમાં નોકરી કરી શકે એવી જોગવાઈ ન હતી, પણ હવે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાને લઈને અને મહિલાઓના બંધારણીય અધિકારોનું સન્માન કરતાં રાતપાળીની જોગવાઈ ઉમેરવામાં આવી છે. એને લીધે મહિલાઓ રાત્રે સલામત વાતાવરણમાં કામ કરીને આર્થિક રીતે સક્ષમ બની શકશે અને પરિવાર માટે પણ દિવસ દરમિયાન વધુ સમય ફાળવી શકશે એવું સરકારને લાગે છે.

આમ તો કારખાના ધારા-1948 મુજબ સવારે 6થી સાંજે 7 સિવાયના સમયમાં મહિલાઓ પાસેથી કામ લઈ શકાતું નથી. મતલબ કે રાતપાળી કરાવી શકાતી નથી, પણ હવે એ જ કાયદાની જોગવાઈઓમાં ફેરફાર થતા મહિલાઓ પાસેથી રાતપાળીમાં કામ લઈ શકાશે. સરકાર વાંચવા-સાંભળવાથી પણ ડાયાબિટીસ થઈ જાય એવી મીઠી વાતો ભલે કરે, પણ સીધી વાત એ છે કે તે મહિલાઓને આર્થિક ઉપાર્જનની તકો પૂરી પાડવાને નામે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવા માંગે છે. બીજું, મહિલાઓ દિવસની સાથે જ રાત્રે પણ વધારે કલાકો કામ કરવાની હોય, તો દિવસ દરમિયાન તે પરિવાર માટે વધુ સમય ફાળવી શકશે એવું સરકારને કઈ રીતે લાગે છે, તેનો ખુલાસો થવો જોઈએ.

કારખાના ધારા, 1948માં 6 કલમો સુધારવામાં આવી છે. નવા સુધારા મુજબ કામદારો વિરામ સાથે 12 કલાક કામ કરી શકશે, પણ એ કલાકો અઠવાડિયાના કુલ 48 કલાકથી વધે નહીં તે જોવાનું રહેશે. આ 12 કલાકમાં 6 કલાકે અડધા કલાકની રિસેસની જોગવાઈ પણ હશે. એ સાથે જ જે કામદારો 12 કલાક કામ કરે છે, તેમને ચાર દિવસના 48 કલાક પૂરા થયેથી પાંચમાં અને છઠ્ઠા દિવસે પગાર સાથે રજા આપવાની રહેશે. એ ઉપરાંત ત્રણ મહિનામાં પૂર્વ મંજૂરી સાથે 125 કલાકની મર્યાદામાં ઓવરટાઈમ પણ કરી શકાશે. આમ કરવા પાછળ સરકારનો હેતુ નવા ઉદ્યોગોને આકર્ષવાનો અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જ્યાં જરૂર છે, ત્યાં આ જોગવાઈઓનો અમલ કરવામાં આવશે. એવું નથી કે 12 કલાકનો નિયમ આખા ગુજરાતને એક સાથે લાગુ પડશે. કોઈ વર્ગ કે જૂથ (કંપની) 12 કલાક કામની માંગણી કરે તો સરકાર મંજૂરી આપવાનું વિચારશે. સરકારને આવી મંજૂરી આપવાનું ઠીક ન લાગે તો તે પાછી પણ ખેંચી શકે છે.

આમ તો આ કાયદા દ્વારા જડતાપૂર્વક પાલન કરાવવાનો આગ્રહ નથી એ સારું છે, બીજું, મહિલાઓની રાતપાળીમાં કામ કરવાની વાતમાં સંમતિ વગર કામ ન કરાવવાની વાત પણ છે. એ બધું છતાં વ્યવહારમાં શ્રમિક મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે, તે સરકાર પણ જાણે છે ને લોકો તો જાણે જ છે. એ ઉપરાંત મહિલાઓ સાથે થતા દુર્વ્યવહારના બનાવો અને અસુરક્ષાની સ્થિતિ જોતાં રાતના ત્રણ કલાક વધારે કામ કરાવવાનું સલાહ ભરેલું કેટલું તે પ્રશ્ન જ છે. શ્રમિક મહિલાનું અનેક સ્તરે શોષણ થતું હોય, ત્યાં રાતના પણ તેમની પાસેથી કામ લેવાનું શોષણને ઉત્તેજન આપવા જેવું તો નથી ને તે વિચારવાનું રહે.

એ સાથે જ બાર કલાકની નોકરી માટે ઘરેથી નીકળવા ને પરત આવવાનો સમય પણ જોડવાનો રહે. એ સમય કલાકનો હોઈ શકે કે તેથી વધુ પણ હોઈ શકે. ધારો કે ઘરેથી લાવવા-લઈ જવાનું સરકાર કે કંપની દ્વારા ગોઠવાય તો પણ ઘરથી નોકરીએ જવા-આવવામાં સમય તો લાગે જ ! વિધેયકમાં તો શ્રમિક મહિલાને વાહનમાં ઘરેથી લાવવા-લઈ જવાની વાત છે જ, પણ જરા વિચારીએ કે શ્રમિક મહિલાને એવી સગવડ પૂરી પાડવાનું વ્યવહારુ છે ખરું? 9 કલાકની નોકરીમાં એ સગવડ આપવાનું આજ સુધી વિચારાયું નથી તો અત્યારની આ જીવદયા લાંબો ટાઈમ ટકે એમ લાગે છે? એ સગવડ બંધ થઈ તો શ્રમિક મહિલાની શી સ્થિતિ થાય તે કહેવાની જરૂર છે?

દેખીતું છે કે વિપક્ષો એનો વિરોધ કરે જ, પણ તે વિપક્ષનો વિરોધ છે એટલે તેને નજરઅંદાજ કરવાનું ઠીક નથી. વિપક્ષનો મુદ્દો એ છે કે બાર કલાકની નોકરી અને આવવા જવાનો સમય ગણતા, મહિલા પરિવારનું ધ્યાન ન રાખી શકે. બાર કલાકની નોકરીને લીધે શ્રમિકો પણ આઠ કલાકની ઊંઘ પૂરી ન કરી શકે ને એ કોઈ ગંભીર બીમારી નોતરે એમ બને. એ સ્થિતિમાં 12 કલાક કામ લેવાનો આખો સુધારો જ રદ્દ થવાને પાત્ર છે. કાઁગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ તો ત્યાં સુધી કહ્યું કે બાર કલાક કામ લેવાની વાતે ફેક્ટરી માલિકોને ફાવતું આવી જશે અને જે કામદારો બાર કલાક કામ કરવાની ના પાડશે, એમને કાઢી મૂકતા પણ માલિકો અચકાશે નહીં. મેવાણીની એ વાત પણ સાચી છે કે મહિલાઓને ઘરે પણ કામ પહોંચતું હોય છે ને તે કરવા કોઈ નોકર-ચાકર હોતા નથી. એ કામ શ્રમિક મહિલાએ જ કરવાનું રહે છે. એવામાં કામના કલાકો 12 થાય તો ઘરકામ, બાળઉછેર અને આરામની બાબતે તેણે નાહી લેવાનું જ રહે કે બીજું કંઇ?

‘આપ’ના ગોપાલ ઇટાલિયાએ પણ વાજબી વાંધો એ વાતે પાડ્યો કે તંત્રો 8 કલાક કામ કરતાં હોય, તો મજૂરોના કામના 12 ક્લાક કરવાનું શોષણને ઉત્તેજન આપવા જેવું જ થશે. જો વધારે કલાક કામ કરવાથી જ રાજ્યનો વિકાસ થવાનો હોય, તો તલાટી, મામલતદાર, સચિવોએ પણ બાર કલાક કામ કરવું જોઈએ. તંત્રો 8 કલાક કામ કરતાં હોય તો મજૂરો પાસેથી 12 કલાક કામ લેવાનું યોગ્ય ખરું? એમ લાગે છે, ગુજરાત સરકારે કારખાના કાયદામાં સુધારો કરીને વેચાતી લીધી છે.

ખરેખર તો ફેક્ટરી એક્ટ કેન્દ્રનો કાયદો છે, એમાં ગુજરાત સરકાર 12 કલાકનું રોડું નાખીને ઉપદ્રવ કરી રહી છે. ભારતનું જે હવામાન છે તે પણ 8 કલાકથી વધુ કામ લેવાની અનુકૂળતા આપે એમ નથી. 8 કલાકથી વધુ કામ કરવા જતાં 7.44 લાખ મજૂરો છેલ્લાં પાંચ વર્ષમાં મૃત્યુ પામ્યાં છે. એક તરફ સ્ત્રી સશક્તીકરણની વાત થતી હોય ને બીજી તરફ 12 કલાક કામ લેવાની વાત મોડો વહેલો શોષણનો જ મહિમા કરશે એ સમજી લેવાનું રહે. એ ખરું કે વધારાના કલાક કામ કરવામાં ડબલ મજૂરીનો લાભ મજૂરોને મળે ને આ બધા મજૂરો છે, એમને ડબલ મજૂરી મળે તો પૈસાની લાલચે, જીવ પર આવીને પણ કામ કરે, પણ એમ કામ કરાવવા જેવું ખરું? ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘરકામ ને બાળઉછેર લમણે લખાયેલાં હોય ત્યારે, રાતપાળી કરાવવાનું કોઈ રીતે હિતાવહ નથી. 7થી 10 રાતપાળીમાં ૩ કલાક વધારે કામ કરાવવાને બદલે એટલા વધુ કામદારો કામ પર રખાય ને તેમને પગાર ચૂકવાય તો બીજા એક ગરીબને રોજી મળે એ વધારે સારું નહીં?

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે અઠવાડિયામાં કામના કલાકો 48થી વધે નહીં એ નક્કી હોય તો 8 કલાકને હિસાબે 6 દિવસે 48 કલાક કામ થાય તો શી મુશ્કેલી આવે એ સ્પષ્ટ નથી. ચાર દિવસમાં 12 કલાક સખત કામ કરાવીને પછી ત્રણ દિવસ કામ વગરનાં રાખીને કયો વિશેષ હેતુ સિદ્ધ થાય તે પણ અકળ છે. કામના કલાકો સરખા જ હોય તો ચાર દિવસ રોજના 12 કલાક કે 6 દિવસ રોજના 8 કલાક કામથી ઉત્પાદનમાં કેટલો ફરક પડે? કોણ જાણે કેમ પણ ઔદ્યોગિક વિકાસને નામે સરકાર ઉદ્યોગપતિઓની સગવડ સાચવવા જ આ બિલ લાવી હોય એમ લાગે છે. આમ તો આ અખતરો જ છે, પણ ખતરાથી વધારે નથી ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 સપ્ટેમ્બર 2025

Loading

...102030...144145146147...150160170...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved