Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’

નંદિતા મુનિ|Opinion - Opinion|21 May 2025

તા. 18 મેની સાંજે સાર્થક પ્રકાશનના એક સીમાચિહ્ન સમા કાર્યની પરિણતિના સમારોહમાં જવાનું થયું. 

આટલું લખ્યા પછી થયું કે વેલ, આ તો (સાચા, પણ) બહુ મોટા શબ્દો પ્રયુક્ત થઈ ગયા. એના બદલે એમ કહું તો ય એટલું જ સાચું છે, કે એક સાર્થક જલસામાં જવાનું થયું. અને ખરેખર, અમારી તળપદી બોલીમાં કહું તો, જલસી પડી ગઈ! 

સાર્થકના કાર્યક્રમોમાં કાયમ જોયું છે કે આદર પૂરેપૂરો, ખોટી ઔપચારિકતા જરા ય નહીં. અહીં પણ એ જ લાક્ષણિકતા જોવા મળી. AMAમાં પહોંચતા જ સૌથી પહેલાં તો સમરસિયાં મિત્રોને મળવાનો જલસો થયો. સાર્થકના નિમિત્તે પણ કેટલાક મિત્રો થયા છે; ને એવું ય બને છે કે અમુક પ્રિય પરિચિતોની આવા નિમિત્તે અનાયાસ મુલાકાત થતી રહે છે. એનો રાજીપો છે. 

દીપકભાઇ સોલિયાએ ખુદ ગબ્બર પણ ખુશ થઈ જાય એવી શૈલીમાં સમારોહનો આરંભ કર્યો. ઉર્વીશભાઈએ ‘સાર્થક જલસો’ના 22મા અંક વિશે અને ‘ગાંધી પછીનું ભારત’ના અનુવાદ વિશે કહ્યું. બન્નેનો પરિચય સાંભળીને વાંચવાની ઉત્સુકતા પ્રબળ થઈ. એમણે સહઅનુવાદક સ્વ. દિલીપ ગોહિલને અંજલિ આપી. સ્વ. રજનીકુમાર પંડયાને પણ બહુ સ્નેહથી યાદ કર્યા. એ ઉપરાંત સ્વ. જયંતભાઈ મેઘાણીને પણ સંભાર્યા, જેઓ આ અનુવાદકાર્ય કેટલે પહોંચ્યું એની તત્પર પૃચ્છા કર્યા કરતા. આઠ વર્ષે આ અઘરું કામ પૂર્ણ થયું હોઈ જયંતભાઈ આ વિમોચન ન જોઈ શક્યા; પણ સુઘડ છપાઈ, કાળજીભરી વિષયસૂચિ, અનુવાદની ચોકસાઈ વગેરે જોઈને તેઓ કેવા રાજી થયા હોત એ કલ્પી શકાય એમ છે.

એ પછી આદરણીય મુરબ્બી પ્રકાશભાઈનું વક્તવ્ય. અપેક્ષા મુજબ જ એમાં ઊંડાણની સાથે એમની પ્રસિદ્ધ ‘વિટ’ના ચમકારા હોય જ. આ સમારંભમાં જલસો પડે એક વાત એ પણ હતી કે તમામ વક્તાઓના વ્યાખ્યાનમાં ગાંભીર્યની સાથોસાથ સૌમ્ય હાસ્ય પણ સતત વણાયેલું રહ્યું. 

રામચંદ્ર ગુહાએ આવો magnum opus કઈ રીતે લખ્યો, એનું સંશોધન કઈ રીતે કર્યું એ વિશે અતિ દીર્ઘતા વગર પણ સરસ રીતે વાત કરી. એમણે પોતે જ કહ્યું કે મારા આ ગ્રંથમાં સામાજિક, રાજનૈતિક વગેરે ક્ષેત્રો આવરી લેવાયા છે, પણ મને લાગે છે કે આર્થિક ક્ષેત્રને હું પૂરો ન્યાય આપી શક્યો નથી. આ કક્ષાના વિદ્વાનને તદ્દન સ્વાભાવિક રીતે મંચ પરથી આવું કહેતા જોવા એ સામાન્ય વાત તો નથી જ. એમણે એ પણ કહ્યું કે આ ગ્રંથ લખવાની તક મારી પાસે બહુ યોગ્ય સમયે ઉપસ્થિત થઈ – મારે ચાલીસીની શરૂઆતમાં – જ્યારે મારી પાસે આ કામને ન્યાય આપી શકાય કરી શકાય એટલાં અનુભવ અને ઉર્જા હતાં; પણ સાથે જ મારા વિચારો કે અભિપ્રાયોમાં અવસ્થાજડતા આવી નહોતી. ગુહા સાહેબના વક્તવ્ય વિશે બહુ વિગતમાં અહીં નથી ઉતરતી; પણ એનો વીડિયો  ઓનલાઈન મૂકાય એવી આશા વ્યક્ત કરું છું.

બીજા દિવસે સવારે નવજીવન ખાતે કેટલાક મિત્રોને ‘રામભાઈ’ (ઉર્વીશભાઈનું સંબોધન) સાથે અનૌપચારિક ગોષ્ઠી માટે નિમંત્રણ હતું. એ ગોષ્ઠી એટલે સવાયો જલસો! એમાં વેરિયર એલ્વિન (જેમને રામચંદ્ર ગુહા પોતાના જીવનને વળાંક દેવાનું શ્રેય આપે છે), જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ચંડીપ્રસાદ ભટ્ટ, અનુપમ મિશ્રા, વિનોબા ભાવે જેવી વિભૂતિઓથી માંડીને સાંપ્રત રાજકારણના પ્રવાહો સુધી વિવિધ વિષયો પર વાતો થઈ. ગાંધી તો અલબત્ત હોય જ. ગુહા સાહેબે એક માર્મિક વિધાન પણ કર્યું : ઈતિહાસકાર જ્યોતિષી કે રાજ્યપુરોહિત ન હોઈ શકે. આ મહાગ્રંથ લખવાની પ્રક્રિયા વિશે પણ એમણે વધુ વિગતે વાત કરી. ‘જ્ઞાનગુમાનની ગાંસડી’ના જરા ય ભાર વિનાની એમની ‘ડાઉન ટૂ અર્થ’ પ્રેઝન્સ યાદ રહેશે.

બે દિવસના આ નાનકડા જ્ઞાનસત્ર પછી હવે આ ગ્રંથમાંથી પસાર થવા આતુર છું. 

(મેં કોઈ તસવીરો ન લીધી હોઈ આ તસવીર ઉર્વીશભાઈની દીવાલેથી ચોરી છે.) 

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|21 May 2025

પ્રવીણભાઈ જે. પટેલ

સૉક્રેટિસ અને એક ભારતીય રાજકારણી વચ્ચેનો આ કાલ્પનિક સંવાદ સંશોધન અને ટેકનોલોજીમાં ચીનની પ્રગતિ સાથે તાલમેલ જાળવવામાં ભારતની નિષ્ફળતા અંગે છે. ભારતીય રાજકારણી શરૂઆતમાં નસીબને દોષ આપે છે, અને સૉક્રેટિસ તેને પ્રશ્નો પૂછીને સમજાવે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતની પ્રગતિને અવરોધતાં પરિબળો વાસ્તવમાં તેની જૂનીપુરાણી શિક્ષણ પ્રણાલી, અપૂરતું સંશોધન ભંડોળ અને ટૂંકા ગાળાની રાજકીય માનસિકતા છે. જ્યારે ચીન વ્યૂહાત્મક રીતે AI, બાયોટેકનોલોજી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવાં અત્યાધુનિક ક્ષેત્રોમાં રોકાણ કરે છે, ત્યારે ભારત ગોખણપટ્ટી પર આધારિત શિક્ષણ, અમલદારશાહીના બિનકાર્યક્ષમ આટાપાટા, અને લાંબા ગાળાના દૃષ્ટિકોણના અભાવને કારણે પાછળ રહે છે. સૉક્રેટિસ ભાર મૂકે છે કે વિવેચનાત્મક વિચારસરણી અને નવીનતા ત્યારે જ ખીલી શકે છે જ્યારે યોગ્ય રીતે તેનું પોષણ કરવામાં આવે. ભારતીય રાજકારણી આખરે સ્વીકારે છે કે ભારતનો સૌથી મોટો પડકાર વાસ્તવમાં ચીન નથી, પરંતુ તેની પોતાની ખામીયુક્ત નીતિઓ છે. આ સંવાદ ભારતની શિક્ષણ અને સંશોધન નીતિઓની ખામીઓને ઉજાગર કરીને ભવિષ્યના નેતાઓને સતત પ્રગતિ માટે જ્ઞાન, શિક્ષણ અને સંશોધન માટે ઉદાર અને વ્યૂહાત્મક રોકાણને પ્રાથમિકતા આપવાનું સૂચન કરે છે.

પાર્શ્વ ભૂમિ  : સ્વર્ગના એક મનોહર જળાશય આગળ ગ્રીક ફિલોસોફર સૉક્રેટિસ આરસપહાણની બેન્ચ પર બેઠા બેઠા જગતનાં રહસ્યો અંગે વિચારમગ્ન છે. ત્યાં તાજેતરમાં જ સ્વર્ગે સિધાવેલ ભારતના એક રાજકારણી આવે છે. દેખીતી રીતે જ તે હતાશ હોય એવા દેખાય છે. અને સૉક્રેટિસને જોતાં જ તે વાતોએ વળગે છે.

ભારતીય રાજકારણી : હલ્લો, સૉક્રેટિસ! હું ઘણા લાંબા સમયથી તમારો પ્રશંસક રહ્યો છું.  હવે જ્યારે હું અહીં આવ્યો છું, ત્યારે મારે તમારી મદદ લેવી જોઈએ.

સૉક્રેટિસ : આવો, આવો, મિત્ર. સ્વર્ગમાં તમારું સ્વાગત છે.

ભારતીય રાજકારણી : સૉક્રેટિસ, મને એક વિચારથી પીડા થાય છે. ચીને હમણાં જ ડીપસીક (DeepSeek), નામનું એક અદ્યતન AI ચેટબોટ વિકસાવ્યું અને સમગ્ર વિશ્વમાં તેનો ડંકો વાગી ગયો. કહેવાય છે કે ચીન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. અને તાજેતરમાં તેણે આવી ઘણી બધી ક્રાંતિકારી શોધો કરી છે. જ્યારે મારો પ્રિય ભારત દેશ હજુ આટલી બધી સિદ્ધિઓ મેળવી શક્યું નથી. અમે દુનિયામાં અમારો ડંકો વાગી ગયો એવી ડંફાસ તો મારીએ છીએ પણ ચીનની તુલનામાં અમે ઘણા પાછળ પડી ગયા છીએ. ભાગ્ય અમને કેમ સાથ આપતું નથી, સૉક્રેટિસ?

સૉક્રેટિસ : મારા મિત્ર, તમે એવું માનો છો કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર ફક્ત ભાગ્ય ઉપર જ હોય છે?

ભારતીય રાજકારણી : તમે શું કહેવા માગો છો? ભારત મહાન દેશ છે! અમારા લોકો પણ બુદ્ધિશાળી છે. અમે ચીનાઓ કરતાં લગીરે ઓછા સક્ષમ નથી. હા, ફરક માત્ર એટલો જ છે કે તેઓ હાલમાં અસાધારણ ગતિએ આગળ વધી રહ્યા છે, અને અમે થોડા પાછળ પડી રહ્યા છીએ.

સૉક્રેટિસ : અચ્છા, તમે માનો છો કે ચીનના લોકો કરતાં તમે ઓછા સક્ષમ નથી.

ભારતીય રાજકારણી : અલબત્ત, સૉક્રેટિસ. અમે પણ અવકાશ વિજ્ઞાન, મિસાઈલ ટેકનોલોજી વગેરેમાં પ્રગતિ કરી છે. હવે તો અમે સંરક્ષણ માટે જરૂરી સરંજામ પણ થોડો ઘણો એક્સપોર્ટ કરીએ છીએ.

સૉક્રેટિસ : તો તમને પીડા કઈ વાતની છે?

ભારતીય રાજકારણી : અમે અમારા દેશને વિશ્વગુરુ માનીએ છીએ, છતાં અમે અમારા પડોશી દેશ ચીન સાથે પણ કદમ મિલાવી શકતા નથી. અમારું બુદ્ધિધન, અમારા તેજસ્વી યુવાનો, પશ્ચિમના વિકસિત દેશોમાં જતા રહે છે. અને બીજી બાજુ ચીન દરેક ક્ષેત્રમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. અમારા આવા દુર્ભાગ્યનું કારણ શું છે?

સૉક્રેટિસ : મને આશા છે કે તમે મારી સાથે સંમત થશો કે  દરેક રાષ્ટ્ર તેનાં પોતાનાં પરાક્રમોથી તેનું ભાગ્ય ઘડે છે. તમે કહો છો કે ભારતના તેજસ્વી યુવાનો દેશ છોડીને જતા રહે છે. પણ તમે મને કહો, તેઓ કેમ તમારા દેશમાં રહેવાનું પસંદ કરતા નથી?

ભારતીય રાજકારણી : તેઓ પરદેશ જતા રહે છે કારણ કે બીજા દેશોની યુનિવર્સિટીઓ અમારી યુનિવર્સિટીઓ કરતાં વધુ સારી છે. અમારા લોકોને ત્યાં વધુ સારી તકો મળે છે- સુસજ્જ પ્રયોગશાળાઓ, ઉત્તમ પ્રાધ્યાપકો, સંશોધન માટે અપાર ભંડોળ અને ઊંચા પગારની નોકરીઓ. જ્યારે અમારી યુનિવર્સિટીઓ ક્રાંતિકારી સંશોધનને પ્રોત્સાહન આપતી નથી.

સૉક્રેટિસ : સરસ. તમે દાવો કરો છો કે તમારી યુનિવર્સિટીઓ ઉચ્ચ કક્ષાનાં સંશોધનોને પ્રોત્સાહન આપતી નથી. ચાલો આપણે નવી અને ઉત્તમ શોધો માટેની આવશ્યક શરતોની તપાસ કરીએ.  તમે મને કહો કે જ્ઞાન અને વિજ્ઞાનના વિકાસ માટે શ્રેષ્ઠ રીત કઈ? જૂના પુરાણા જ્ઞાનને માત્ર કંઠસ્થ કરવાની કે તાર્કિક રીતે વિચાર કરવાની પદ્ધતિ?

ભારતીય રાજકારણી : તાર્કિક વિચાર પદ્ધતિ દ્વારા જ જ્ઞાનનો વિકાસ થાય. જે સિસ્ટમ વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે તે વધુ સારા સંશોધકો ઉત્પન્ન કરશે.

સૉક્રેટિસ : અને મને કહો, શું ભારતીય શિક્ષણ પ્રણાલી પ્રશ્નો પૂછવાને પ્રોત્સાહન આપે છે?

ભારતીય રાજકારણી : જેટલું જોઈએ તેટલું નહીં. અમારા વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાને બદલે પરીક્ષા પાસ કરવા માટે જવાબો યાદ રાખવા પર વધુ ભાર મૂકે છે. અમારા વિદ્યાર્થીઓમાં કંઈક નવું કરવાની માનસિકતાનો અભાવ છે. તેઓ પ્રશ્ન કરવાને બદલે ગોખણપટ્ટી કે યાદશક્તિ પર વધુ ભાર મૂકે છે.

સૉક્રેટિસ : જો તમે વિદ્યાર્થીઓની એવી પેઢી તૈયાર કરવા ઇચ્છો છો જે સ્વીકૃત ધારણાઓને પડકારે, સત્ય શોધે અને અજાયબીઓ બનાવે, તો તમારે પહેલાં તેમને પ્રશ્ન પૂછવાનું શીખવવું જોઈએ, જેમ હું તમને પ્રશ્ન પૂછું છું તેમ. જો કોઈ શિક્ષણપ્રણાલી પ્રશ્નો પૂછનારને નિરુત્સાહિત કરે તો તે સક્ષમ વિચારકો કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? જો તમે ઇચ્છો છો કે તમારા વિદ્યાર્થીઓ વિવેચનાત્મક રીતે વિચારે અને નવીનતા લાવે, તો શું તમારે પહેલાં તેમને અંધ ભક્ત બનીને જે કહેવામાં આવે તે બધું વગર વિચારે સ્વીકારવાને બદલે પ્રશ્ન પૂછવાનું શીખવવું જોઈએ નહીં?

ભારતીય રાજકારણી : તે ખરેખર એક સમસ્યા છે.

સૉક્રેટિસ : તો, મને કહો, શું ભારતે ચીનની નવીન શોધોની ઇર્ષ્યા કરવી જોઈએ કે સંશોધન અને શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાંથી શીખવું જોઈએ?

ભારતીય રાજકારણી : અલબત્ત, અમારે શીખવું જોઈએ! પરંતુ અમે સદીઓથી ચાલતી આવતી અમારી શિક્ષણ પદ્ધતિ કેવી રીતે બદલી શકીએ? તેમાં તો ઘણો ખર્ચ થાય.

સૉક્રેટિસ : મારા મિત્ર, તમે મને કહો, એક છોડને એક શક્તિશાળી વૃક્ષ બનવા માટે શું જોઈએ છે?

ભારતીય રાજકારણી : ફળદ્રુપ જમીન, સૂર્ય પ્રકાશ અને ખાતર-પાણી.

સૉક્રેટિસ : અને જો કોઈ માળી આવી આવશ્યક વસ્તુઓ આપ્યા વિના એક કુમળા છોડને મજબૂત વૃક્ષ બનાવવાની આશા રાખે તો શું થાય ?

ભારતીય રાજકારણી : સ્વાભાવિક રીતે જ તે છોડ સુકાઈ જશે.

સૉક્રેટિસ : શું કુંભાર યોગ્ય ચાકડા અને ભઠ્ઠી વિના સુંદર ઘડો બનાવી શકે?

ભારતીય રાજકારણી : બિલકુલ નહીં. યોગ્ય સાધનો વિના, સૌથી કુશળ કારીગર પણ અપંગ જેવો થઈ જાય.

સૉક્રેટિસ : જો કોઈ કારીગર ઉત્તમ સાધનો બનાવવા માંગે છે, તો શું તેને યોગ્ય વર્કશોપની જરૂર ન પડે?

ભારતીય રાજકારણી : અલબત્ત! કોઈ પણ કારીગર યોગ્ય સાધનો અને સુસજ્જ કાર્યસ્થળ વિના સારી રીતે કામ કરી શકે નહીં.

સૉક્રેટિસ : અને જો એક કારીગર પાસે અત્યાધુનિક સુવિધાઓ હોય અને બીજો ક્ષતિગ્રસ્ત શેડમાં કામ કરતો હોય તો કયો કારીગર વધુ સારાં સાધનો બનાવશે તેવી અપેક્ષા તમે રાખો છો?

ભારતીય રાજકારણી : સ્વાભાવિક રીતે વધુ સારી સુવિધાઓ ધરાવતો કારીગર.

સૉક્રેટિસ : અને તમારા વિદ્યાર્થીઓનું શું? તેમના શિક્ષકોનું શું? વૈજ્ઞાનિકોનું શું? શું તે આધુનિક સાધનો, સગવડો અને પ્રયોગશાળાઓ વિના મહાન શોધો કરી શકે?

ભારતીય રાજકારણી : ના. સંશોધન માટે અદ્યતન સાધનો, સુવિધાઓ અને અનુકૂળ વાતાવરણની જરૂર છે.

સૉક્રેટિસ : શું તમે જાણો છો કે ચીને આ સમસ્યાને કેવી રીતે હલ કરી છે?

ભારતીય રાજકારણી : હા. ચીને શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ, સંશોધન ઉદ્યાનો, અને અત્યાધુનિક પ્રયોગશાળાઓમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની યુનિવર્સિટીઓ ઉદ્યોગો અને સરકારી એજન્સીઓ સાથે સઘન સહયોગ કરે છે અને ખાતરી કરે છે કે તેમનાં સંશોધનો નવીન  ઉપયોગીતાઓમાં પરિણમે.

સૉક્રેટિસ : અને છતાં, તમને આશ્ચર્ય થાય છે કે જેણે અત્યાધુનિક સંશોધન માળખામાં ભારે રોકાણ કર્યું છે તે ચીન, નવીનતામાં ભારતને પાછળ છોડી રહ્યું છે. જો ચીન આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ, બાયોટેકનોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, અવકાશ સંશોધન અને અન્ય ક્ષેત્રોમાં હરણફાળ ભરે તો તેમાં નવાઈ પામવા જેવું શું છે? ભલા માણસ, તમે એક વાત સમજો. સંશોધનો રાતોરાત ફળ આપતાં નથી. તમને ખબર છે કે પહેલો ઇલેક્ટ્રિક બલ્બ કોણે શોધ્યો હતો?  અને કેટલા પ્રયત્નો પછી?

ભારતીય રાજકારણી : હા, મેં સાંભળ્યું છે કે અમેરિકન સંશોધક થોમસ એડિસને (Thomas Edison) ઈ.સ. ૧૮૭૯માં પહેલો ઇલેક્ટ્રિક બલ્બ શોધ્યો હતો. અને કહેવાય છે કે તેણે હજાર કરતાં વધુ પ્રયત્નો કર્યા પછી આ બલ્બ શોધ્યો હતો.

સૉક્રેટિસ : બરાબર. અને થોમસ એડિસને કહ્યું હતું કે ‘I have not failed. I’ve just found 10,000 ways that won’t work.’

ભારતીય રાજકારણી : પણ તમે કહેવા શું માગો છો, સૉક્રેટિસ?

સૉક્રેટિસ : મારો કહેવાનો અર્થ એ છે કે સંશોધનની પ્રક્રિયા ટ્રાયલ અને એરર ઉપર આધારિત છે. તમે કશુંક નવું બનાવવાનો પ્રયત્ન કરો તો નવી વસ્તુ રાતોરાત બની જતી નથી. નવી વસ્તુ બનાવતાં તમે ભૂલો કરો, પછી ફરી પ્રયત્ન કરો, વળી તેમાં પણ કોઈ ભૂલ રહી જાય તો નવેસરથી તમારે શ્રી ગણેશ કરવા પડે. આમ તેમાં ઘણા પ્રયત્નો કરવા પડે છે અને ઘણો ખર્ચો પણ કરવો પડે છે. Research is the function of funds, મારા મિત્ર.  અને તેમાં ઘણી ધીરજ પણ રાખવી પડે છે.

ભારતીય રાજકારણી : હા, ભારતમાં અમે લોકો કહીએ છીએ કે, ધીરજનાં ફળ મીઠાં.

સૉક્રેટિસ : તો, મને કહો, મારા મિત્ર, જો એક રાષ્ટ્ર તેના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને ફક્ત ઝાંખા પ્રકાશવાળી અને અપૂરતાં સાધનોવાળી વર્કશોપ પૂરી પાડે, અને બીજું રાષ્ટ્ર તેમના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો માટે જ્ઞાનનું ભવ્ય મંદિર બનાવે, તો કયું રાષ્ટ્ર મહાન શોધો કરે તેવી શક્યતા વધુ છે?

ભારતીય રાજકારણી : અલબત્ત, જ્ઞાનનું ભવ્ય મંદિર ધરાવતો દેશ!

સૉક્રેટિસ : તો એક તરફ ચીન આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને બાયોટેકનોલોજીમાં આગળ વધતું જાય અને બીજી તરફ ભારત તેના તેજસ્વી યુવાનોને જાળવી રાખવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું હોય તો ચીન તમારાથી આગળ નીકળી જાય તેમાં શી નવી નવાઈની વાત છે?

ભારતીય રાજકારણી : તે આશ્ચર્યજનક નથી, પરંતુ નિરાશાજનક છે. અમારી પાસે બૌદ્ધિક ક્ષમતા છે, પરંતુ અમારી માળખાકીય ઊણપો અમને પાછળ રાખે છે. અમારી પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IITs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (ISc) જેવી કેટલીક અગ્રણી સંસ્થાઓ છે. જો કે મારે કબૂલ કરવું જોઈએ કે અમારી ઘણી યુનિવર્સિટીઓમાં વિશ્વસ્તરીય સંશોધન-માળખાનો અભાવ છે. અમારી ઘણી બધી પ્રયોગશાળાઓ જૂની થઈ ગઈ છે. ભંડોળ દુર્લભ છે તથા અમલદારી તંત્રના જૂના જમાનાના નીતિ-નિયમોના અવરોધો અત્યાધુનિક ટેકનોલોજી મેળવવાનું મુશ્કેલ બનાવે છે.

સૉક્રેટિસ : અને ભારતમાં પરદેશો જેવી સંશોધનોની સગવડો અને તકો પૂરી પાડવા માટે કોણ જવાબદાર છે? શું તે આકાશમાં વાદળોની જેમ સ્વયં પેદા થાય છે, કે પછી તે સત્તામાં રહેલા લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે?

ભારતીય રાજકારણી : અલબત્ત, તે શાસકો અને નીતિ નિર્માતાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

સૉક્રેટિસ : તો પછી મને કહો, શું કોઈ ખેડૂત બીજને સારી રીતે વાવ્યા વિના અને જમીનને યોગ્ય રીતે ખાતર-પાણી આપ્યા વિના ખરાબ પાક આવ્યાનો શોક કરે તો તે માટે કોણ જવાબદાર? શું સંશોધનને પણ પોષણની જરૂર નથી? જો કોઈ રાષ્ટ્ર નવીન શોધો કરવામાં શ્રેષ્ઠ બનવા માંગે છે, તો શું તેણે જ્ઞાનનાં ક્ષેત્રોમાં પૂરતા રોકાણ રૂપી ખાતર-પાણી ન આપવાં જોઈએ?

ભારતીય રાજકારણી : પરંતુ, અમારી સરકારો પણ શિક્ષણ સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રોને નાણાંકીય સહાય તો કરે જ છે.

સૉક્રેટિસ : તમારી વાત સાચી. તમારી સરકારો આવી સંસ્થાઓને અનુદાન આપે છે. પણ ચીનની સરખામણીમાં કેટલું?

ભારતીય રાજકારણી : એટલે?

સૉક્રેટિસ : તમે મને કહો, શું ચીન અને ભારતની અર્થવ્યવસ્થા એકસરખી છે?

ભારતીય રાજકારણી : ના, ચીનની અર્થવ્યવસ્થા અમારા કરતાં ઘણી મોટી છે. ચીનનો GDP લગભગ ૧૮ ટ્રિલિયન છે, જ્યારે ભારતનો GDP લગભગ ૩.૭ ટ્રિલિયન છે.

સૉક્રેટિસ : હવે તમે મને કહો, ભારત અને ચીન રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D)માં કેટલું રોકાણ કરે છે?

ભારતીય રાજકારણી : ભારત તેના GDPના લગભગ ૦.૭ ટકા R&D પર ખર્ચ કરે છે, જ્યારે ચીન લગભગ ૨.૫ ટકા ખર્ચ કરે છે.

સૉક્રેટિસ : અને જો ચીન તેના GDPના ૨.૫ ટકા R&D માટે નિવેશ કરે અને ભારત તેના GDPના એક ટકા કરતાં પણ ઓછો ભાગ R&D માટે રોકે, તો કયો દેશ સરવાળે વધુ ખર્ચ કરે છે ?

ભારતીય રાજકારણી : સ્વાભાવિક રીતે જ ચીનનો કુલ ખર્ચ વધુ થાય. ચીન R&D પર ૪૫૦ બિલિયનથી વધુ ખર્ચ કરે છે, જ્યારે ભારત ભાગ્યે જ ૩૦ બિલિયન ખર્ચ કરે છે. વાસ્તવિક કુલ રોકાણમાં મોટો તફાવત રહેલો છે.

સૉક્રેટિસ : હવે મને કહો, ભારત અને ચીન શિક્ષણમાં કેટલું રોકાણ કરે છે?

ભારતીય રાજકારણી : ભારત તેના GDPના ૩.૫ ટકા શિક્ષણ માટે ખર્ચે છે જ્યારે ચીન તેના GDPના ૪.૦૨ ટકા ખર્ચે છે. એટલે કે ભારત શિક્ષણ પર કુલ ૧૬૫.૬ બિલિયન ખર્ચે છે, જ્યારે ચીન ૭૧૨.૯૪ બિલિયન ખર્ચે છે. આમ ચીનનું શિક્ષણ પરનું કુલ રોકાણ ભારત કરતાં ૫૪૭.૩૪ બિલિયન વધુ છે.

સૉક્રેટિસ : મારા મિત્ર, જો બે ખેડૂતો ખેતી કરવા માગતા હોય, પરંતુ એક ખેડૂત પાસે વિશાળ ફળદ્રુપ જમીન હોય અને બીજા પાસે જમીનનો માત્ર એક નાનો ટુકડો હોય, તો કોણ વધુ પાક પકવશે?

ભારતીય રાજકારણી : અલબત્ત, મોટી અને વધુ ફળદ્રુપ જમીન ધરાવતો ખેડૂત.

સૉક્રેટિસ : તો આ એક વિચિત્ર વાત નથી? તમે કહો છો કે ભારત સંશોધનમાં ચીનને પાછળ છોડી દેવા માંગે છે, છતાં ભારત સંશોધન અને શિક્ષણ માટે ચીન દ્વારા પૂરા પાડવામાં આવતા પોષણથી અનેક ગણું ઓછું પોષણ આપે છે. મને કહો, જો બે યોદ્ધાઓ યુદ્ધમાં પ્રવેશ કરે છે, અને એકને યુદ્ધ પહેલાં પોષક ખોરાક આપીને હૃષ્ટપુષ્ટ કરવામાં આવે અને બીજો ભૂખ્યો રહે, તો કોણ વધુ સારી રીતે લડી શકશે?

ભારતીય રાજકારણી : દેખીતી રીતે જ સારી રીતે પોષાયેલો પહેલવાન સારી રીતે લડી શકશે.

સૉક્રેટિસ : તો પછી જ્યારે ભારતમાં શિક્ષણ અને સંશોધન કુપોષિત રહે ત્યારે તમે શા માટે અપેક્ષા રાખો છો કે તેનો વિકાસ થાય? ચીન, પોતાની વિશાળ સંપત્તિનો ઘણો મોટો ભાગ શિક્ષણ અને સંશોધન માટે વાપરે છે, તેની સરખામણીમાં ભારતનું રોકાણ કેટલું?

ભારતીય રાજકારણી : ઊંટના મોંમાં જીરા જેટલું.

સૉક્રેટિસ : અને શિક્ષણ અને સંશોધન માટે વપરાતા ભંડોળનો આ તફાવત વિજ્ઞાનની પ્રગતિને અસર કરે કે નહીં?

ભારતીય રાજકારણી : તેનાથી ઘણો ફરક પડે છે! મજબૂત સરકારી સમર્થન સાથે, ચીની વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જ્યારે ભારતમાં, ઘણા સંશોધકો નજીવી ગ્રાન્ટ માટે અરજી કરવામાં અને ખર્ચાયેલા દરેક રૂપિયાને યોગ્ય ઠેરવવામાં કિંમતી સમય બગાડે છે. કેટલાક તો હતાશાને કારણે સંશોધનને સંપૂર્ણપણે છોડી દે છે.

સૉક્રેટિસ : મને કહો, શું તમે માનો છો કે જે રાષ્ટ્ર તેના વિદ્યાર્થીઓને, વિચારકોને કે વૈજ્ઞાનિકોને ઓછું ભંડોળ પૂરું પાડે તે ક્યારે ય સંશોધનોમાં વિશ્વનું નેતૃત્વ કરી શકે?

ભારતીય રાજકારણી : ના, તે કરી શકતું નથી. યોગ્ય ભંડોળ વિના, તેજસ્વી દિમાગ પણ ક્રાંતિકારી શોધો કરવા માટે સંઘર્ષ કરશે.

સૉક્રેટિસ : તો પછી ભારતે સંશોધનમાં પોતાનું રોકાણ કેમ વધાર્યું નથી?

ભારતીય રાજકારણી : એક તો અમારાં સંસાધનો ટાંચાં છે. બીજું, સરકારમાં ઘણા લોકો સંશોધનને બિનજરૂરી ખર્ચ તરીકે જુએ છે, તેને રોકાણ નથી સમજતા. તેઓ તાત્કાલિક જરૂરિયાતો – મફત અનાજ અને સબસિડી જેવી મત જીતવા માટેની રાજકીય યોજનાઓ અને તેના પ્રચાર પર ખર્ચ કરવાનું પસંદ કરે છે. અમે ભારતના રાજકારણીઓ મતદારોને રીઝવવા માટે ટૂંકા ગાળાના ફાયદા ઉપર વધુ ધ્યાન આપીએ છીએ. અમે અમારા લોકોને મફતમાં સગવડો આપવાની હરીફાઈ કરીએ છીએ. શિક્ષણ અને સંશોધન ઝડપી અને નજરે દેખાય તેવો ફાયદો આપતું નથી. તેથી અમે લોકો તેની ઉપર વધુ ધ્યાન નથી આપતા. જ્યારે, ચીનમાં સરકાર તેની શિક્ષણ સંસ્થાઓ અને સંશોધનમાં ભારે રોકાણ કરે છે, ખાતરી કરે છે કે તેમના વિદ્વાનોને જરૂરી સંસાધનો મળી રહે.

સૉક્રેટિસ : પણ, મારા મિત્ર, તમે મને કહો, શું ચીને રાતોરાત પ્રગતિ કરી? જ્યારે ચીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અગ્રણી બનવાનું નક્કી કર્યું, ત્યારે શું તેઓ તાત્કાલિક પરિણામો મેળવવા માગતા હતા, કે તેઓએ ભવિષ્ય માટે યોજના બનાવી હતી?

ભારતીય રાજકારણી : એક જમાનામાં અમે ચીન કરતાં ઘણા આગળ હતા. પરંતુ પછી ચીને ભવિષ્ય માટે યોજના બનાવી. દાયકાઓ પહેલાં, ચીને સંશોધન, ટેકનોલોજી પાર્ક અને ઉચ્ચ શિક્ષણમાં વ્યૂહાત્મક રોકાણો કર્યાં. હવે, તેઓ તેનાં ફળ મેળવી રહ્યા છે. અને અમે પાછળ પડી ગયા.

સૉક્રેટિસ : તો શું ભારત ચીન સાથે સ્પર્ધા કરવા માગતું હોય તો તેણે પણ આવું જ ન કરવું જોઈએ?

ભારતીય રાજકારણી : તેમ કરવું જોઈએ. પરંતુ ભારતના રાજકારણીઓ અને અમલદારોની માનસિકતા બદલવી સરળ નથી. ઘણા રાજકારણીઓ અને અમલદારો જ્યાં સુધી સંશોધનોના ફાયદા નજરોનજર ન જુએ ત્યાં સુધી તેઓ સંશોધનનું મૂલ્ય સમજતા નથી

સૉક્રેટિસ : અને છતાં, શું એક શાણા નેતાનું કર્તવ્ય નથી કે તે પ્રગતિના મૂળનું સિંચન કરે અને તેનાં તાત્કાલિક ફળની અપેક્ષા ન રાખે?

ભારતીય રાજકારણી : હા, અમારા પૂર્વજો કહેતા હતા કે ઉતાવળે આંબા ન પાકે. પરંતુ અમારા રાજકારણમાં શાણપણ દુર્લભ છે. ઘણા નેતાઓ લાંબા ગાળાના વિકાસ કરતાં ટૂંકા ગાળાના લાભોને પ્રાથમિકતા આપે છે. અમે લોકો ચૂંટણીઓના પ્રચારમાંથી જ ઊંચા આવતા નથી.

સૉક્રેટિસ : મને કહો, મારા મિત્ર, જો કોઈ માણસ આંબાનો છોડ ન વાવે પણ તેનાં ફળ ખાવાની અપેક્ષા રાખે, તો શું તે નિરાશ નહીં થાય?

ભારતીય રાજકારણી : નિરાશ જ થાયને? અમારે ત્યાં કહેવત છે કે, વાવો તેવું લણો.

સૉક્રેટિસ : મારા મિત્ર, મને કહો, જ્યારે કોઈ જહાજ દરિયામાં લક્ષ્ય વિના તણાય છે, ત્યારે આપણે સમુદ્રને દોષ આપવો જોઈએ કે કેપ્ટનને?

ભારતીય રાજકારણી : આપણે કેપ્ટનને દોષ આપવો જોઈએ, કારણ કે જહાજને સુરક્ષિત રીતે માર્ગદર્શન આપવું તેની ફરજ છે.

સૉક્રેટિસ : તો મને કહો, ભારતના જહાજના કેપ્ટન કોણ છે?

ભારતીય રાજકારણી :  બેશક, અમે રાજકારણીઓ. રાજકારણીઓ જ નીતિઓ નક્કી કરે છે, સંસાધનો ફાળવે છે અને રાષ્ટ્રની પ્રાથમિકતાઓ નક્કી કરે છે.

સૉક્રેટિસ : અને શું તમારા રાજકારણીઓએ સમજદારીપૂર્વક રાજ્ય કર્યું છે તેમ કહી શકાય?

ભારતીય રાજકારણી : જો હું પ્રમાણિકપણે કહું તો, ના. અમારા નેતાઓ મોટે ભાગે ટૂંકા ગાળાના રાજકીય લાભ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ લાંબા ગાળાના રાષ્ટ્રીય વિકાસ કરતાં ચૂંટણી જીતવાને પ્રાથમિકતા આપે છે.

સૉક્રેટિસ : તો મને કહો, ચીને કયો રસ્તો અપનાવ્યો છે?

ભારતીય રાજકારણી : ચીનના નેતાઓ દાયકાઓથી સ્પષ્ટ દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ લાંબા ગાળાનાં લક્ષ્યો નક્કી કરે છે અને તેમને સતત અનુસરે છે. તેઓ રાજકીય હુંસાતુંસી કરતાં રાષ્ટ્રીય વિકાસને પ્રાથમિકતા આપે છે.

સૉક્રેટિસ : અને પરિણામ શું આવ્યું છે?

ભારતીય રાજકારણી : ચીન આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સૌર ઊર્જા, બાયોટેકનોલોજી અને અદ્યતન ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે. તેમની યુનિવર્સિટીઓ વૈશ્વિક રેન્કિંગમાં બહુ આગળ છે, અને તેમના વૈજ્ઞાનિકો ક્રાંતિકારી સંશોધનો કરી રહ્યા છે. અને એ શોધોને આધારે તેમનું અર્થતંત્ર વધુ મજબૂત બની ગયું છે.

સૉક્રેટિસ : અને ભારતનું શું?

ભારતીય રાજકારણી : અમે થોડી પ્રગતિ કરી છે, પરંતુ અમે ચીનથી ઘણા પાછળ છીએ. અમારી યુનિવર્સિટીઓ નિષ્પ્રાણ થઈ ગઈ છે, અમારા ઉદ્યોગો પણ સંશોધન પર ધ્યાન આપતા નથી, અને અમારું શ્રેષ્ઠ બુદ્ધિ-ધન વિદેશમાં તકો શોધે છે.

સૉક્રેટિસ : મને કહો, જો બે દોડવીરો દોડ શરૂ કરે, પરંતુ એક દૃઢ નિશ્ચય સાથે આગળ વધે છે અને બીજો નાની નાની બાબતોથી વિચલિત થઈને ઠોકર ખાય છે, તો કોણ જીતશે?

ભારતીય રાજકારણી : જે દૃઢ નિશ્ચય અને શિસ્ત સાથે દોડે છે તે.

સૉક્રેટિસ : તો પછી એમાં કોઈ આશ્ચર્ય છે કે ચીન આગળ વધી ગયું છે જ્યારે ભારત પાછળ છે?

ભારતીય રાજકારણી : અત્યારે તો મને ડર છે કે અમે વિકાસની ગાડી ચૂકી ગયા છીએ. ચીન જેવાં અન્ય રાષ્ટ્રો આગળ વધી રહ્યાં છે જ્યારે અમે તેમને પકડવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. સૉક્રેટિસ, હું હવે જોઈ શકું છું કે ભારતનો સૌથી મોટો દુ:શ્મન ચીન કે કોઈ વિદેશી શક્તિ નથી, પરંતુ તેની પોતાની નીતિઓ છે. મને થાય છે કે અમે આ વહેલા સમજી લીધું હોત તો અમારી દશા આવી દયનીય ન હોત.

સૉક્રેટિસ : સાચું શાણપણ, મારા મિત્ર, જીવતા લોકોમાં પણ દુર્લભ છે. પરંતુ જો જીવતા લોકો મૃતકો પાસેથી શીખી શકે, તો કદાચ તેઓ એ જ ભૂલોનું પુનરાવર્તન ન કરે. આશા રાખીએ, તમારા અનુગામીઓ આપણો સંવાદ સાંભળતા હશે અને તેમાંથી કોઈ બોધપાઠ લેતા હશે. અને જો તેમ થાય તો કદાચ, સમય જતાં, ભારત ફક્ત વિદ્વાનો જ નહીં, પણ સમૃદ્ધિના સોદાગરો અને શાણપણના શોધકોને પણ ઉછેરશે – જેઓ, તમારી જેમ, પ્રશ્ન પૂછવાનું મહત્ત્વ સમજવા લાગશે.

ભારતીય રાજકારણી : તેઓએ તેમ કરવું જોઈએ. અને મને અફસોસ છે કે, મારા સમય દરમિયાન, મેં આ માટે હિમાયત કરી ન હતી. પરંતુ જો મારા ઉત્તરાધિકારીઓ મારી સલાહ માગે તો તેમને હું કહીશ : જ્ઞાનમાં રોકાણ કરો, શિક્ષણ અને સંશોધન માટે ઉદારતાથી ભંડોળ આપો, નિયમોના બ્રિટિશ જમાનાના આટા-પાટા દૂર કરો અને ધીરજ રાખો. કારણ કે સાચી પ્રગતિ ચૂંટણીઓ જીતવાથી નહીં પરંતુ ભાવિ પેઢીઓના વિકાસથી માપવામાં આવે છે.

001, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – 390 002
ઈ મેલ :pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ  2025; પૃ. 04-07 તેમ જ 03

Loading

જમીન 

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|21 May 2025

બેલા નાનું એવું ગામ. વસ્તી આશરે પાંચ હજારની. જમીન સારી, પાણીની વ્યવસ્થા સારી એટલે લોકો ખાધે પીધે સુખી હતાં. ગામમાં હજી પણ જૂની પ્રથા હતી કે ગામનો કોઈપણ પ્રશ્ન ઊભો થાય તો ગામના મુખ્ય પાંચ લોકોની પંચાયત ગામનાં ચોરે મળે અને બંને પક્ષને સાંભળી ન્યાય આપે; જે મહદ્દઅંશે બધાંને માન્ય હોય. એમ આજે પણ ગામની પંચાયત મળી હતી.

“તો બોલો વિરજીભાઈ, તમારે શું કહેવું છે?”

“હું….હું શું કહું! મેં જ મારા હાથે કાંડા કાપી નાખ્યા હતા. તમે મને ઘણું સમજાવ્યો હતો પણ પુત્રના પ્રેમમાં બધું જ બે છોકરાને નામે કરી દીધું; હવે બંને ના-મકર જઈ અમને રાખવા તૈયાર નથી. દીકરીએ પણ સમજાવ્યાં હતાં. અમે તેને પણ દબાણ કરી વારસાઈ હક્ક જતો કરવા માટે તેની પાસે લખાણ કરાવ્યું હતું. અમારે તો ઉપર આભ અને નીચે જમીન છે. તમે જે નિર્ણય આપો તે.”

“વિરજીભાઈ, તમે બધું જ સરકારી ચોપડે બંને દીકરાને નામે ચડાવી દીધું છે એટલે એમા તો પંચાયત શું! કરે; તમારા દીકરાને સમજાવી જોઈએ, જો, સમજે તો.”

“સારું, .. બાપલિયા એમ કરો.”

“રઘુ અને જનુ, તમને ખબર છે કે તમારા બાપાએ જમીન બંને ભાઈ વચ્ચે દસ, દસ વિઘાના ભાગ પાડી તમને આપી છે; હવે તેની પાસે જીવન નિર્વાહની કોઈ મૂડી નથી, તો તમારી ફરજ છે તેમને સાચવવાની, તમે ના-મકર ન જઈ શકો.”

“તો અમે ક્યાં ના પાડી છે પણ આટલી ટૂંકી જમીનમાં બધાંનો નિર્વાહ કરવો શક્ય નથી, અમારે પણ વસ્તાર છે.”

“તમે આ ઉંમરે બંનેને છૂટા પાડો એ તમને યોગ્ય લાગે છે? એ લોકોની હવે ક્યાં લાંબી જિંદગી છે. અત્યાર સુધી તમારો ઉછેર કરતાં કરતાં સાથે જ રહ્યાં છે. દીકરા તરીકે એ લોકો વિષે વિચારવાની તમારી પણ ફરજ છે.”

“પણ, આ સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બંને છોકરા નફફટ થઈ આવો જવાબ આપી ચાલ્યા ગયા.”

“બોલો વિરજીભાઈ, તમારું શું કહેવું છે?”

“હવે અમારી ક્યાં લાંબી જિંદગી બાકી રહી છે. અમે ક્યાંક બટકુક રોટલો રળી ખાસું.”

“મારી પંચને એક વિનંતી છે.”

“બોલો ઉમેદચંદશેઠ, તમારે વિનંતી ન કરવાની હોય, વાત જ કરવાની હોય.”

“મારી પાસે ઘણાં ખેતર-વાડી છે અને હું તો ભાગિયું જ કામ કરાવું છું, તેમાંથી એક વાડી પડું પંદર વિઘાનું છે તે વિરજી પટેલને વાવવાં આપું; એક મારો ભાગિયો તેને મદદ કરશે અને જે કંઈ ઉપજ આવે તે ભાગિયા સાથે સુવાંગ વિરજીભાઈની. બોલો છે મંજૂર?”

પંચાયત એક સાથે હકારમાં ઉમેદચંદશેઠની વાતને વધાવી લીધી. વિરજીભાઈની આંખમાં હર્ષનાં ઝળઝળિયાં આવી ગયાં; નામ એવા ગુણ ધરાવતા શેઠે ગામની અને વિરજીભાઈની આબરૂ સાચવી લીધી.

વિરજીભાઈ નખશીખ ખેડૂત હતા. તેની સૂઝબૂઝ, અનુભવ અને ભાગિયાની કાર્યદક્ષતાને લીધે વાડીમાં ત્રણ ત્રણ સિઝનનો મબલખ પાક ઉતારવા લાગ્યો. છોકરા સાથે સંબંધો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતું. દીકરી, સારસંભાળ લેવા આવતી. શરૂઆતમાં ચીજ વસ્તુઓ પણ પહોંચાડતી હતી, પછી વિરજીભાઈને જરૂરત ન રહી, દીકરીને આપી શકે તેવી સ્થિતિ થઈ ગઈ હતી.

કહે છે ને “વાવે તેવું લણે”, એવું જ રઘુ અને જનુની બાબતમાં થયું. બાપાના અનુભવનો, ખેતી વિષયક જ્ઞાનનો લાભ ન લીધો કે ત્યારે ખેતીમાં ધ્યાન ન આપ્યું એટલે બાપાના વખતમાં દુઝતી ખેતીની જમીન બંજર થઈ ગઈ. પણ બાપા પાસે જઈ શકાય એમ નહોતું. ઘરમાં હાંડલા કુસ્તી કરવાં લાગ્યા હતાં. માથે વાળ જેટલું દેવું થઇ ગયું હતું. જમીન વેચવા સિવાય કોઈ રસ્તો બાકી રહ્યો નહોતો.

“આવો વિરજીભાઈ, બોલો, બધું ઠીક ઠાક છે ને?”

“તમે તો વાડીએ પછી આવ્યા જ નહીં?”

“અરે! વિરજીભાઈ તમારી જેવા કાબેલ ખેડૂતને વાડી સોંપ્યાં પછી એમાં જોવાનું ન હોય, બોલો શું કામ છે? બાકી વાડી તો તમે અને તમારા ઘરવાળા જીવે ત્યાં સુધી તમારી પાસે જ રહેશે.”

“શેઠજી, મેં સાંભળ્યું છે કે મારા છોકરા જમીન વેચી શહેરમાં જવાના છે?”

“તમે સાચું સાંભળ્યું છે ખેતી કરવી એ તમારા દીકરાની હાથની વાત નથી અને દેવું પણ ચૂકવવું પડેને; બાપના રાજમાં જલસા જ કર્યા છે. પણ તમે શું કામ ચિંતામાં છો?”

“શેઠજી, એક વાત કહું, ખેડૂતના દીકરા માટે જમીન એ “મા”તુલ્ય હોય છે. સંજોગોવસાત ક્યારેક જમીન વેચવી પડે તો પણ એ તેના માટે મૃત્યુ સમાન હોય છે. જ્યારે મારા દીકરામાં અણઆવડત છે, અણઘણ છે જમીનના મૂલ્યની કિંમતની ખબર નથી.”

“જાવ વિરજીભાઈ, તમારી વાત હું સમજી ગયો, જમીન હું ખરીદી લઈશ અને તમે મને જમીનના પૈસા ચૂકતે ન કરો ત્યાં સુધી એ જમીન મારી પાસે તમારી અમાનત તરીકે રહેશે, બસ, હવે છે કોઈ ચિંતા?”

“શેઠજી, આજે તમે મારી “મા”તુલ્ય જમીનને બીજાના હાથમાં જતી, મરતી બચાવી લઈ મને જિંદગીભરનો ઋણી બનાવી દીધો”…. .વિરજીભાઈની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો હતો અને ઉમેદચંદશેઠ નિષ્પૃહી નજરે વિરજીભાઈને, જમીન પ્રેમી વિરજીભાઈને નીરખી રહ્યા હતા ….

ભાવનગર
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...144145146147...150160170...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved