Opinion Magazine
Number of visits: 9744886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ રાષ્ટૃનું સાફલ્ય ટાણું કે પછી કસુવાવડ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 August 2022

કેન્દ્ર સરકાર(નરેન્દ્ર મોદી-અમિત શાહ વાંચો)નું અભિમાનગ્રસ્ત માથાભારેપણું વધુને વધુ આક્રમક થઈ રહ્યું છે અને હવે તો એ વાત અંગત વાતચીતમાં ભક્તો પણ સ્વીકારવા લાગ્યા છે. તેમને પણ આશ્ચર્ય થાય છે કે તોછડાઈ અને માનમર્યાદાની ઐસીતૈસી કરનારું વલણ તેઓ શા માટે અપનાવી રહ્યા છે! મેં અનેકવાર લખ્યું છે કે માથાભારેપણામાં અને શક્તિમાં ફરક છે. માથાભારેપણા દ્વારા શક્તિનો પાત થાય છે અને જરૂરી મર્યાદા જાળવીને વિવેકપૂર્વક શક્તિ સંવર્ધન કરવાથી શક્તિ હજુ વધુ ખીલે છે. અંગ્રેજોનું અને કાઠિયાવાડના ભાયાતોનું ઉદાહરણ પણ મેં આપ્યું છે. અંગ્રેજોએ શક્તિનું સંવર્ધન કર્યું હતું અને દુનિયા જીતી હતી અને કાઠિયાવાડી ભાયાતોએ તુમાખી અને માથાભારેપણા દ્વારા શક્તિ તો દૂર રહી, આબરૂ પણ ગુમાવી હતી. કવિ દલપતરામે ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ નામની કવિતા રચીને અંગ્રેજીરાજનું સ્વાગત કર્યું હતું એના પરથી ખ્યાલ આવશે કે લોકો જવાબદાર રાજ માટે કેટલા તલસતા હશે! ભક્તો જરા વિચારે કે શું દલપતરામ દેશદ્રોહી હતા? તમારા જેટલી બુદ્ધિ તેઓ નહોતા ધરાવતા?

મને એમ લાગે છે કે તુમાખી અને માથાભારેપણાનું રાજકારણ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને ૨૦૨૪માં તેની કસોટી થવાની છે. કસોટી આખા દેશની થવાની છે. ન્યાયતંત્ર સહિત લોકશાહી સંસ્થાઓની થવાની છે, વિરોધ પક્ષોની થવાની છે, સમવાય ભારતની થવાની છે, પ્રજાની થવાની છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ થવાની છે. જી હા, સંઘની પણ થવાની છે, બલકે તેની સૌથી વધુ થવાની છે. હકીકતમાં ઘણા સમયથી ઉપર કહેલ દરેકની કસોટી થઈ રહી છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હવે ઉમેરો થયો છે. સંઘની સો વરસની (૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ હતી) નજીક પહોંચેલી તપસ્યા દાવ પર છે. મને ખબર નથી કે સંઘના નેતાઓ શું વિચારે છે. આ હિંદુરાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુરાષ્ટ્રની કસુવાવડ છે? સંઘના નેતાઓ માટે જરૂર આ અકળાવનારો સવાલ હશે. અને જો ન થતો હોય તો સો વરસની તપસ્યા એળે ગઈ જાણવી!

વડા પ્રધાન આઝાદીના અમૃતમહોત્સવના પૂર્ણાહુતિના દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરીને દેશની પ્રજાને સલાહ આપે કે સભ્ય સમાજ એ કહેવાય જે મહિલાઓનો આદર કરે અને એ પછી ગણતરીના કલાકોમાં એક યુવતી ઉપર સામૂહિક બળાત્કાર કરનારાઓને અને તેનાં પરિવારના સભ્યોની સામૂહિક હત્યા કરનારાઓને છોડી મુકાયા. આ કોઈ આરોપ હેઠળના કાચા કેદીઓ નહોતા, વડી અદાલતમાં સજા પામેલા ગુનેગાર હતા. કમકમાં આવે એવાં દૃશ્યો તો ત્યારે જોવાં મળ્યાં જ્યારે બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારવામાં આવી, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને મીઠાઈ વહેંચવામાં આવી. આવું કરતી વખતે બિલ્કીસબાનુ તો ઠીક, પોતાની બહેન દીકરીનો ચહેરો નજરે નહીં પડ્યો હોય!

માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ અવશ્ય વિચારતા હોવા જોઈએ કે આ હિંદુરાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુરાષ્ટ્રની કસુવાવડ? જો ન વિચારતા હોય તો તેઓ દયાને પાત્ર છે. તેમણે જ્યારે એક આખી સદીની સાધના કરી છે તો જરૂર વિચાર્યું હશે કે તેઓ કેવું રાજ્ય સ્થાપવા માગે છે? એક સમયે ભારતમાં અંગ્રેજોએ સ્થાપેલા અંગ્રેજીરાજ્ય (તેમની દૃષ્ટિએ ખ્રિસ્તીરાજ્ય) જેવું? કે ઇઝરાયેલમાં યહૂદીઓએ સ્થાપેલા જેવીશરાજ્ય જેવું કે પછી કાઠિયાવાડમાં અનુભવ થયો હતો એવું ભાયાતોનું રાજ્ય? ભારતમાં અંગ્રેજોનું કહેવાતું ખ્રિસ્તીરાજ્ય શક્તિશાળી હતું, માથાભારે નહોતું. ઇઝરાયેલમાં યહૂદીઓનું રાજ્ય ઘરઆંગણે  માથાભારે નથી. ઈઝરાયેલનું માથાભારેપણું પાડોશી દેશો સાથે છે. આની સામે ભાયાતોનું માથાભારેપણું ઘરઆંગણેનું હતું. આમ સંઘના નેતાઓ સામે આઝાદી પહેલાનાં કાઠિયાવાડનું ઉદાહરણ છે.

જો અનુભવમાંથી શીખવું હોય તો સંઘના નેતાઓ મુખ્યત્વે જે પ્રાંતમાંથી આવે છે એ મહારાષ્ટ્રમાંથી પણ ધડો મળી શકે એમ છે. ૧૭મી અને ૧૮મી સદીમાં મરાઠાઓએ દેશનો ઘણો ભાગ કબજે કર્યો હતો. મરાઠાઓ વતી વહીવટ પૂનાના (મૂળ કોંકણના) બ્રાહ્મણો કરતા હતા. મરાઠાઓ પ્રાંતો કબજે કરે અને બ્રાહ્મણો વહીવટ કરે. એક દિવસ વહીવટ કરનારાઓ રાજ કરતા થઈ ગયા અને અને પ્રાંતો કબજે કરનારા બહાદુર મરાઠાઓ પેશ્વાઓ દ્વારા આપવામાં આવતા વર્ષાસન કે ચોથાઈ પર જીવતા થઈ ગયા. ઊંધું થયું. તે એટલે સુધી કે રમેશચન્દ્ર મઝુમદાર જેવા હિંદુ પક્ષપાત ધરાવનારા ઇતિહાસકારો પણ કબૂલ કરે છે કે બ્રાહ્મણ પેશ્વાઓને રાજ કરતાં નહોતું આવડ્યું. મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારતમાં હિંદુઓનું રાજ્ય સ્થાપવાની અને અંગ્રેજોને ભારતમાં પગપેસારો કરતા રોકવાની સુવર્ણ અવસર પેશ્વાઓ ચૂકી ગયા. તેઓ સત્તાના મદમાં છકી ગયા. તુમાખી અને માથાભારેપણાને કારણે ઠેરઠેર ઘાસીરામ કોતવાલ પેદા થવા લાગ્યા. વિજય તેડુંલકરના નાટક ‘ઘાસીરામ કોતવાલ’માં જે ઘાસીરામનું પાત્ર છે એ દૂરન્દેશી વિનાના માથાભારેપણાના રાજની પેદાશરૂપ કોઈ એક ઘાસીરામનું પાત્ર નથી, પણ ઠેરઠેર પેદા થયેલા ઘાસીરામોનું પ્રાતિનિધિક પાત્ર છે.

આમ સંઘના નેતાઓએ જો ધડો લેવો હોય તો તેમનાં પોતાનાં પ્રાંતનું ઉદાહરણ સામે છે. દૂરન્દેશીના અભાવને કારણે અને તુમાખી અને માથાભારેપણાને કારણે તેમણે હાથમાં આવેલી તક ગુમાવી દીધી. આમ બીજા તો ઠીક, આર.સી. મઝુમદાર જેવા હિંદુ પક્ષપાતી ઇતિહાસકારો કહે છે. એની સામે અંગ્રેજોનો ઇતિહાસ જુઓ. પાંચ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજોએ ભારત ઉપર કબજો કરી લીધો. અંગ્રેજોએ તેની દરેક લડાઈ (જેમાં ૧૮૫૭ના વિદ્રોહનો પણ સમાવેશ થાય છે) ભારતીય સૈનિકો (જેમાં હિંદુ સૈનિકો મોટા પ્રમાણમાં હતા) દ્વારા જીતી છે. શા કારણે? તર્કનિષ્ઠા, વિજ્ઞાનનિષ્ઠા, દૂર ભાગવાનું મન થાય એવી અકળાવનારી વાસ્તવિકતાઓને સ્વીકારનારી કઠોર વસ્તુનિષ્ઠા, શિસ્ત, વ્યવસ્થા (ઑર્ડર), જવાબદેહી (એકાઉન્ટેબિલીટી) વગેરેને કારણે. આ બધાં શક્તિવર્ધક પદાર્થો છે. તેમણે ખ્રિસ્તીઓનાં અને ખ્રિસ્તી ધર્મની મહાનતાનાં હાલરડાં નહોતાં ગાયાં. તેમણે ભૂતકાળના સાચા કે ખોટા ઘાવોને યાદ કરીને રુદન નહોતું કર્યું. તેમણે ખોટાં સપનાઓ નહોતાં જોયાં કે બતાવ્યાં. તેમણે તુમાખી નહોતી બતાવી. તેમણે ઘાસીરામ કોતવાલો પેદા નહોતા થવા દીધા. પેદા તો કર્યા જ નહોતા. માટે કવિ દલપતરામે ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ લખીને અંગ્રેજી રાજનું સ્વાગત કર્યું હતું.

કેટલાક સમાજશાસ્ત્રીઓનું એવું વિવેચન છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પેશ્વાઓની શોકાંતિકાનું પરિણામ છે. મહારાષ્ટ્રના બ્રાહ્મણો શક્તિશાળી હિંદુ ભારતની રચના ન કરી શક્યા, એક સુવર્ણ અવસર ગુમાવ્યો અને તેની જગ્યાએ માથાભારે ફૂહડ રાજ્ય આપ્યું એ નિષ્ફળતાનું કલંક તેમને સતાવે છે. છેવટે ૧૮૧૮ની સાલમાં અંગ્રેજોએ પૂના નજીક ખડકીની લડાઈમાં પેશ્વાઓને પરાજીત કરીને રાજ્ય છીનવી લીધું. એ સમયે દલપતરામની જેમ મહારાષ્ટ્રમાં પણ કવિઓએ કવિતા રચીને અંગ્રેજી રાજ્યનું સ્વાગત કર્યું હતું અને દસ્તાવેજી પ્રમાણો એમ કહે છે કે મહારાષ્ટ્રમાં બહુજન સમાજે જે દિવસે પૂનાના શનિવારવાડા ઉપર યુનિયન જેક ફરકાવવામાં આવ્યો એ દિવસે રાતે દીવા કર્યા હતા. (પ્રમાણ જોઈતું હોય તો વી.ડી. સાવરકરનું ચરિત્ર લખાનારા સાવરકરવાદી ધનંજય કીરે લખેલું મહાત્મા ફૂલેનું જીવનચરિત્ર જોઈ શકો છો.) હિન્દુત્વવાદની ફિલસૂફી વિકસાવવામાં, દેશમાં હિન્દુત્વવાદી રાજકારણ દાખલ કરવામાં અને ગાંધીના સહિયારા ભારતને નકારવામાં મહારાષ્ટ્રના બ્રાહ્મણો અગ્રેસર હતા એનું કારણ કેટલાક સમાજશાસ્ત્રીઓના મતે પેશ્વાઓની નિષ્ફળતાનું લાંછન છે. તેઓ નવેસરથી હિંદુરાષ્ટ્ર સ્થાપવાનો પ્રયોગ કરવા માગે છે અને માટે ૧૯૨૫માં સંઘની સ્થાપના કરવામાં આવી હતી. 

૨૦૨૫માં સંઘને સો વરસ થશે અને તેની સામે જે હિંદુરાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે એ તમે પણ જોઈ શકો છો. તો સવાલ એ છે કે આ હિંદુરાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુરાષ્ટ્રની કસુવાવડ છે? સંઘના નેતાઓના મનમાં જરૂર આ અકળાવનારો સવાલ થતો હશે. અને જો ન થતો હોય તો સો વરસની તપસ્યા એળે ગઈ જાણવી! તેઓ દયાને પાત્ર છે.

પણ સવાલ એ છે કે શા માટે તુમાખીવાળું માથાભારેપણાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે? સ્વભાવવશ કે પછી રાજકીય મજબૂરી છે? સત્તાનું પ્રદર્શન કરવા કે પછી સત્તા બચાવવા? વિચારી જુઓ, તમને શું લાગે છે?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 ઑગસ્ટ 2022

Loading

‘સાંભરી આવે બા …’

અશોક મેઘાણી|Profile|24 August 2022

‘ફાર્બસ ગુજરાતી સભા’ના “ત્રૈમાસિક”ના 76માં પુસ્તકમાં, અંક : 1માં, ચિત્તપોથીનું વાંચન અંતર્ગત ‘સાંભરી આવે બા…’ના ટાઇટલ સાથે અશોકભાઇ મેઘાણીએ (ઝવેરચંદ મેઘાણીના દીકરા) રજૂ કરેલી વાત ….. 

====================

પ્રસિદ્ધ અને લોકપ્રિય નામ સાથેના જોડાણમાં એક મોટું જોખમ રહે છે. કોઇ નવી ઓળખાણ થાય અને સવાલ આવે. ‘તમે ફલાણાના કાંઇ સગા?’ શરમાવે એવા બીજા સવાલ પણ આવે. ‘સગા દીકરા?’ કાંઇ લખો છો કે નહીં? એ તો તમારા લોહીમાં જ હોવું જોઇએ.’ આ બધાથી ટેવાયા વગર તો છૂટકો જ નહીં, પણ એક વાત કહેવાનું મન થાય છતાં કહેવાતી નથી. લોહીના જે સંસ્કારની આશા દર્શાવાતી હોય છે એ કાંઇ એક જ બાજુથી આવી શકે એવું થોડું છે?

મારાં બાનો જન્મ નેપાળના એક બ્રાહ્મણ કુટુંબમાં પંડિતશિરોમણિ પિતા અને વિદુષી માતાને ત્યાં 1910માં થયો. જ્યેષ્ઠ એ પુત્રીનું નામ પડ્યું ચિત્રાદેવી. પિતા નેપાળનો રાજદરબાર છોડી મુંબઇ આવી વસેલા. બાર-તેર વરસની ઉંમરે લગ્ન થયાં પછી ચિત્રાદેવી બે જ વરસમાં વિધવા થયાં. થોડાં વર્ષો પછી, 24 વર્ષની ભરયુવાન વયે એ મારા વિધુર પિતાના પરિચયમાં આવ્યાં અને 1934માં લગ્નગ્રંથિથી જોડાયાં. વિધવા પુત્રીનું એક વણિક સાથેનું પુનર્લગ્ન એ સમયના નેપાળી બ્રાહ્મણસમાજને અસ્વીકાર્ય હશે. અને પિયરે તરછોડેલાં બા બધું જ છોડીને સાવ નવા સમાજ અને કુટુંબમાં પ્રવેશ્યાં. એ છેદ એવો થયો કે બાને પોતાને કે એમનાં પાંચ સંતાનોમાંથી અમને કોઇને અમારું મોસાળનું ઘર જોવા નથી મળ્યું. લગ્ન પછી 20-22 વરસે, કદાચ જૂની પેઢીના ગયા પછી અને રૂઢિનાં બંધનો ઢીલાં થતાં, અમારા બે મામાઓ ભાવનગર બાને મળવા આવેલા અને એક તો બે ત્રણ મહિના રોકાયેલા પણ ખરા. પણ મારા મનથી મોસાળ એટલે લોહીની કોઇ જ સગાઇ વગરના પણ ખરા વડિલ ‘ખારાસાહેબ’નું ભાવનગરનું  ‘ખારા નિવાસ’ જ રહ્યું છે.

1947માં મારા બાપુજીના અકાળ અવસાને 37 વર્ષના બાને બીજી વાર વૈધવ્ય આપ્યું. તેર વર્ષના એ લગ્નજીવન દરમ્યાન જન્મેલાં અગિયાર અને અઢી વરસ વચ્ચેની ઉમરનાં પાંચ બાળકોને એકેલે હાથે ઉછેરવાનું કામ બાને માથે આવ્યું. હું ત્યારે હજી ચાર વરસનો પણ નહતો. પણ બાએ એ પછી જે અસામાન્ય સ્વમાન સાથે અને હિંમતથી અમને મોટા કર્યા એનો હું સાક્ષી છું. આજના જમાનાની ‘એકલ માત’ને ભોગવવી પડતી મુશ્કેલીઓની વાત સાંભળું ત્યારે હું 62 વર્ષ પહેલાંના ગુજરાતમાં યુવાન વિધવા બાની શી કપરી હાલત હશે એની કલ્પના પણ કરી શક્તો નથી.

બાપુજીના બહોળા સંબંધો એમના અવસાન પછી પણ બાએ ઘણી કાળજીથી સાચવ્યાનો મને ખ્યાલ છે. બાપુજીનાં ખૂબ નજીકનાં સ્નેહીઓ રવિશંકર રાવળ અને વિજ્યાબહેન-દુર્લભજીભાઇ પરીખ સાથે જિંદગીભર સંપર્ક રાખ્યો અને જ્યારે તક મળી ત્યારે એમને પોતે મળવા અને પ્રસંગોપાત અમને મેળવવાનું પણ બા ચૂક્યાં નથી. ખૂબ આત્મીયતાથી એમની રસોઇના અને પોતાની માનીતી વાનગી પૂરણપોળીનાં નામ દઇને વખાણ કરતા ઉમાશંકર જોશીને પણ સાંભળ્યાની સ્મૃતિ છે.

કોઇને પાસે હાથ લાંબો કરવાનું તો એમના સ્વભાવમાં નહોતું. બાપુજીના મૃત્યુ પછી જન્મભૂમિ ટ્રસ્ટે બાળકોના ભણતર માટે મહિને રૂ.100ની વ્યવસ્થા કરેલી. પણ એ સિવાયની એકમાત્ર આવક એ બાપુજીનાં પુસ્તકોની રૉયલ્ટીનો પોતાના ભાગે આવતો હિસ્સો. એમાંથી છ માણસનું ઘરખર્ચ ચલાવવું અશક્ય જ હશે એમ હું માનું છું. એ ખોટને પહોંચી વળવા આવકનાં બીજાં સાધનો ઊભાં કરવાનાં પ્રયત્નો કર્યા. પરંપરાગત સોરઠી ભરત – ચાકળા, તોરણ વગેરે ‘સોરઠી શણગાર’ એવા નામથી વેચવાનો બાપુજીની હયાતીમાં શોખથી શરૂ કરેલો પ્રયત્ન હવે ધંધાદારી રીતે ઘણા વખત સુધી ચાલુ રહ્યો. લોકભરતનાં એ કામની અસલિયત જાળવવા બોટાદનાં એક કુંભારણ બહેનને ભાવનગર બોલાવી સળી અને શાહીથી હાથી, મોર સહિતની પરંપરાગત ડિઝાઇન એમને હાથે આલેખાવતાં. એના પર સૂતર અને હીરના દોરાનું ભરત ભાવનગરની બહેનો પાસે પોતાની રંગની ઊંડી સમજ વાપરીને તૈયાર કરાવતાં. દિલ્હીના કૉટેજ ઇન્ડસ્ટ્રીઝ એમ્પોરિયમ સુધી પહોંચાડતાં. થોડો સમય અથાણાં બનાવીને મોટા સ્ટોરમાં પહોંચાડવાનો અસફળ પ્રયત્ન પણ કરેલો.

આવી સામાન્ય આર્થિક હાલત છતાં અમને પાંચે સંતાનોને અમે જે, જેટલું અને જ્યાં ભણવાને શક્તિમાન હતા તે કરવાની તક બાએ ગમે તેમ કરીને પણ પૂરી પાડી. બોટાદનું ઘર આ બધી જરૂરિયાતોને પહોંચી વળવા વેચેલું એવો ખ્યાલ છે. બાની એ મદદ વગર હું એન્જિનિયર બની શક્યો જ ન હોત. મારી સમજ પ્રમાણે એ માટેની બાની અણકહી શરત એક જ હતી – સંતાનોએ પોતે જ પસંદ કરેલ ક્ષેત્રના ભણતરમાં એક વરસની પણ નાપાસી સદંતર અસ્વીકાર્ય હતી.

જન્મજાત સંસ્કાર વિશેની ખૂબ પ્રચલિત માન્યતા મેં કદી સ્વીકારી નથી. સંસ્કારી મા-બાપનાં અસહ્ય સંતાનો આપણે બધાએ ઘણાં જોયા હશે. સંતાનનું ખરું ઘડતર મા-બાપે પોતે જ બેસાડેલા દાખલા વગર થઇ ન શકે એવી મારી નમ્ર માન્યતા છે. અમારા ઘડતરમાં બાપુજીની પરોક્ષ અસર જરૂર હશે. પણ પ્રત્યક્ષ અને સતત અસર તો એક બાની જ. સાચા-ખોટાની સમજણ મળવાની શરૂઆત બાને ખોળે બેસીને સાંભળેલી ‘મહાભારતનાં પાત્રો’ની – ખાસ કરીને ભીષ્મની – વાતોમાંથી મળી અને પછી એમની દેખરેખ નીચે જ આકાર પામી. બાએ પોતાના વર્તનથી કે વાણીથી ખોટી કેળવણી આપી હોય એવું મને યાદ નથી. એટલું જ બસ ન હોય તેમ અમારાથી જાણવા છતાં ખોટું કાંઇ થાય તો બા પાસેથી શારીરિક શિક્ષા પણ મળી છે. સંસ્કાર આપવામાં એમણે કદી પાછી પાની નથી કરી. એમણે આપેલાં શિક્ષણની જ્યાં જાળવણી નથી થઇ એ તો મારી પોતાની નબળાઇનું પરિણામ હશે.

બા શિસ્તનાં મોટાં આગ્રહી હતાં. શરૂઆતમાં અમે પાંચે ભાઇ-બહેનો એક-બીજાને ‘તું’ કહીને બોલાવતાં. એક દિવસે બાએ નક્કી કર્યું કે નાનાએ મોટાને ‘ભાઇ’ કે ‘બહેન’ના પ્રત્યય સાથે ‘તમે’ જ કહેવાનું. થોડા દિવસ અને બાની થોડી ‘સક્રિય’ સહાય પછી આજ લગી એ ધારો ચાલુ રહ્યો છે. બાળકોની પોતાની માને ‘તું’ કહીને બોલાવવાની કે વાત વાતમાં ઉતારી પાડવાની આજે પણ ઘણાં ઘરોમાં જોવા મળતી વર્તણૂક અમારા ઘરમાં શક્ય જ નહોતી. અમે પાંચ સાવ જુદી જુદી પ્રકૃતિનાં બાળકોએ બાને હેરાન કરવામાં કાંઇ જ બાકી નહોતું રાખ્યું. પણ પાયાની અમુક શિસ્ત તો એમણે દાખલ કર્યે જ છૂટકો કર્યો.

દીકરી અને દીકરા સાથેના વર્તનમાં કોઇ જ ફેર ન રાખવાનો દાખલો પણ એમણે જ બેસાડ્યો. આશા અને મારા પહેલા બાળકની રાહ જોવાતી હતી ત્યારે એ તો દીકરો – પોતાનો પહેલો પૌત્ર – જ હશે એમ જોરશોરથી કહેતાં. પણ પુત્રીનો જન્મ થતાં વેંત બેલા એમની આંખની કીકી બની ગઇ. અને નિરાશા જો થઇ હોય તો એનો અણસાર પણ કદી જોવા મળ્યો નહીં.

એમનું સહુથી બળવાન લક્ષણ તે કદાચ એમનો સ્વમાની સ્વભાવ હશે. સાચા કારણ વગરનો કોઇ પણ અન્યાય એમણે મૂંગે મોઢે સહન કર્યો નથી. અને ન્યાય જ્યારે પોતાના પક્ષે ન હોવાની ખાતરી થાય ત્યારે ભોગ આપવાની તૈયારી પણ એમની રહેતી. હું છઠ્ઠા કે સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષાનું એક જવાબપત્ર ભૂલથી ઘરે લઇ આવેલો. સાંજે શાળાનો પટાવાળો એ લેવા માટે અમારા ઘરે આવ્યો ત્યારે જ મને અને બાને મારી એ ગંભીર ભૂલની જાણ થઇ. બીજે દિવસે હેડમાસ્તરને મળીને કહ્યું કે ‘અશોક મારો દીકરો છે. એ ચોરી કરે જ નહીં પણ અજાણતાં કરેલી આ ભૂલ માટે તમારા નિયમ પ્રમાણે એનું જો એક વરસ બગડે તો મને કબૂલ છે.’ મારે એ વિષયની ખાસ પરીક્ષા ફરી આપવાનો હેડમાસ્તરનો નિર્ણય થયો.

એમના સ્વામાની અને સ્વંતંત્ર સ્વભાવનો મારે મનથી મોટામાં મોટો દાખલો પુત્રનાં લગ્ન સમયે એમણે દર્શાવેલી આ ઇચ્છા છે – ‘દીકરાને જુદા થાઓ એવું કહેવું ન ગમે. પણ રહો તો હું તમારી સાથે નહીં પણ તમે મારી સાથે રહો છો એ સમજીને રહેજો.’ એ જ ખુમારીથી બા પોતાનું આખું જીવન જીવ્યાં. 

બિનગુજરાતી તરીકે ઊછરેલાં બાને વાંચવાનો અનન્ય શોખ. અમારા ઘરનાં સાહિત્યિક વાતાવરણની અસરથી કે ગળથૂથીના સંસ્કારે એ તો રામ જાણે. પણ બા અઠવાડિયાનાં સરેરાશ ચાર પુસ્તકો વાંચતાં. ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીના પ્રથમ વર્ગના સભ્યોને એક્સાથે ચાર પુસ્તકો લઇ જવા મળતાં. બા અને હું અઠવાડિયે એક વાર ત્યાંની મુલાકાતે – મારે મન જાત્રાએ જતાં. અમે બન્નેએ બાર્ટન લાઇબ્રેરીના નવલકથા મોટા ભાગનાં પુસ્તકો (બા એમને ‘ઉપન્યાસ’ કહેતાં) વાંચી નાખ્યાં હશે. એમાં ડિટેકટીવ હરનામસિંહથી માંડીને ‘શ્રી મહાભારત’ સુધીનું, અંગ્રેજી-ફ્રેન્ચ-હિન્દી-મરાઠી-બંગળીમાંથી અનુવાદો સહિતનું બધું જ વાર્તા-સાહિત્ય આવી જાય. અમારાં બન્નેનાં માનીતાં ‘ધ કાઉંટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’, ટારઝન-શ્રેણી, ‘ચૌલાદેવી’ અને ‘શ્રીકાંત’, વગેરે વારંવાર વાંચ્યાનું સ્મરણ છે. જે કાંઇ પણ હાથમાં આવે તે હળવું વાંચન – ખાસ કરીને જાસૂસી ઉપન્યાસ – વાંચવાનો મારો આજે પણ જીવંત શોખ એ મને એકને જ બાએ આપેલો ખાસ વારસો છે.

પણ ગુજરાતી સાહિત્યના આટલા ઘનિષ્ઠ પરિચય પછી પણ બાની બોલચાલમાં એમના બિનગુજરાતી ઉછેરની અસર સ્પષ્ટ રહી. નાની બહેન મુરલી અને હું હજી પણ બાના રિતુ (ઋતુ), મામ્સ (માંસ), ચાબલઇ (ચાગલાઇ), હંસતાં હસતાં વગેરે ઉચ્ચારો-શબ્દપ્રયોગો યાદ કરીને ‘હંસીએ’ છીએ.

પચાસેક વરસની ઉંમરે બાને વિધિસર હિંદી શીખવાનું મન થયું. ‘પ્રારંભિક’થી શરૂ કરીને ધીમે ધીમે કરતાં ‘કોવિદ’ પાસ થયાં. ઘરનું બધું કામ થઇ જતાં જાડાં પાઠ્યપુસ્તકો (‘ઉપન્યાસ’ નહીં) સાથે પથારીમાં ઊંઘા પડી વાંચતાં-લખતાં અને મોડી રાત સુધી ‘રત્ન’ની પરીક્ષાની તૈયારી કરતાં બા આજે પણ નજર સામે તરવરે છે. દુ:ખની વાત એ છે કે ભણવા-શીખવાનું જ જેમનું કામ હતું એવા ઘરના અમે કોઇએ એમનો દાખલો લઇ એવી મહેનત કદી કરી નહીં.

બાના એક પાસા વિશે એમને જાણતા લોકોમાં બે મત નથી. બાની રસોઇ એક અસાધારણ દરજ્જાની થતી. ગુજરાતી – ખાસ કરીને કાઠિયાવાડી – રસોઇ તો એમની વખણાતી જ. પણ બાએ પોતાની રીતે જાત જાતના અખતરા કરીને નવીન વાનગીઓ પણ તૈયાર કરી. એમના એ અખતરા જિંદગીભર ચાલુ રહ્યા. આજે આટલાં વરસે પણ બાની લસણ-મસાલા ભરપૂર રસોઇથી બગડેલી મારી જીભ મિત્રોની મશ્કરીનું નિશાન બની રહેલ છે.

મારાં બા એક સંત હતાં કે એમનામાં કોઇ ખોડખાંપણ હતી જ નહીં એવું કહેવાનો મારો કોઇ આશય નથી. સ્વતંત્ર મિજાજની દરેક વ્યક્તિમાં હોય એ બધા દોષ એમનામાં જરૂર હશે જ. છંછેડાતાં પ્રગટ થતો ઉગ્ર સ્વભાવ, પારદર્શક હાવભાવ, અમુક બાબતોમાં બાંધછોડ નહીં જ કરવાનો સ્પષ્ટ આગ્રહ બીજી તામસી પ્રકૃતિ બામાં જરૂર હતાં. કહેવાનું ફક્ત એટલું જ કે એમની એ કરડી બાજુ ખોટા કારણે ભાગ્યે જ ડોકિયું કરતી. એમને છાતીફાટ રડતાં એક જ વાર જોયાં છે- પોતાના જ એક સંતાનના અસહ્ય વર્તનના દુ:ખથી.

કોઇનું ખરાબ જેણે ઇચ્છેલું પણ નહીં એવી આ વ્યક્તિના છેલ્લા દિવસો બહુ જ યાતનામાં ગયા. 63 વર્ષે બાને કૅન્સર થયું. રેડિકલ મૅસ્ટેક્ટોમી અને રેડિએશન લીધાં પછી એમની હાલત ઘણી આશાસ્પદ હતી. પણ થોડા મહિને એ જીવલેણ દર્દે શરીરમાં બીજે દેખા દીધી જેની કોઇ જ સારવાર શક્ય નહોતી. એમના છેલ્લા અંધારા દિવસોમાંની એક માત્ર સુવર્ણરેખા બા પોતાના પહેલા પૌત્ર નીરજને જોઇ શક્યા તે હતી. 1974માં એમના અંત સમયે હું હાજર નહોતો પણ એના બે-ત્રણ દિવસ પહેલાંના ફોટા જોયા પછી મેં કૅન્સરે સર્જેલી એ હોનારતી સ્થિતિનાં બાને જોવાની ઇચ્છા ફરી ક્દી નથી રાખી. કર્મનો સિદ્ધાંત ગમે તે કહે, પણ આવું દુ:ખ આપનાર જો ઇશ્વર હોય તો ઇશ્વરી ન્યાય પર મને ઝાઝો ભરોસો એ પછી નથી રહ્યો.

જે બાએ મને આટલો પ્રેમ આપ્યો અને સારી-ખરાબ મારા ઘડતર પર બધાથી વધારે અસર કરી, એ બાની એક જાજરમાન છતાં વહાલસોયી છબિ મારા મનમાં છે. તે હંમેશ માટે એમની એમ જ સાબૂત રહે. એમનો એ પ્રસન્ન અને ‘હંસતો’ ચહેરો જ મારા સંભારણામાં રહે.

[સૌજન્ય : ફેઈસબૂકની દીવાલેથી હરતુંફરતું અહીં સાદર લેવાયું]

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૫) 

સુમન શાહ|Opinion - Literature|24 August 2022

એક વાર માર્ક્વેઝે કહેલું : જ્યારે જ્યારે મારી કૃતિની ભૂરિ ભૂરિ પ્રશંસા એમાં રહેલી કલ્પના માટે થતી હોય છે, ત્યારે ત્યારે મને રમૂજ થાય છે. કેમ કે સત્ય તો એ છે કે મારી તમામ કૃતિઓમાં એક પણ લીટી એવી નથી હોતી જેને વાસ્તવિકતાનો આધાર ન હોય. સમજવાનું એ છે કે કૅરેબિયન રીયાલિટી છે જ એવી, બેફામ કલ્પના જેવી.

માર્ક્વેઝના રસિકોએ, અને સમીક્ષકોએ તો ખાસ, એમનું ઉપર્યુક્ત કથન યાદ રાખવું.

પ્રકરણ : ૫ :

રેમેડિયોસ મોસ્કોતે તરુણાવસ્થાએ પ્હૉંચી હોય છે. એટલે પછી માર્ચના એક રવિવારે ઔરેલિયાનો સાથે એનાં લગ્ન થાય છે. પણ ત્યાંલગી રેમેડિયોસનું બાળપણ ગયું ન્હૉતું. માએ કહેલું – શરીરમાં બદલાવ આવી રહ્યા છે તો તારે શું શું કરવું જોઈશે. પણ ફેબ્રુઆરીની એક બપોરે એની બહેનો ઔરેલિયાનો જોડે લિવિન્ગરૂમમાં ગપાટા મારતી’તી ત્યારે એ બૂમો પાડતી પ્હૉંચી ને ચૉકલેટ-કલરની પેસ્ટવાળી પોતાની પૅન્ટીસ બતાવી રહી. રેમેડિયોસ રજસ્વલા થઈ’તી. શરીર જાતે સાફ કરવું, ઢંગનાં કપડાં પ્હૅરવાં કે ઘરગૃહસ્થી જાણવી વગેરે બધું એને શીખવવા જેટલો મા પાસે સમય જ ન્હૉતો. રેમેડિયોસથી પથારીમાં પેશાબ થઈ જતો. એ ટેવ છૂટે એ માટે એને ઊની ઈંટો પર પેશાબ કરવાનું શીખવવાનો ય સમય ન્હૉતો, કેમ કે લગન ઢૂંકડાં હતાં, માંડ મહિનો બાકી હતો.

પરણ્યા પછીનાં પવિત્ર રહસ્યો રેમેડિયોસને સમજાવવા જતાં એઓને ઘણી મહેનત પડેલી કેમ કે લગ્નની રાતે શું થવાનું એ જાણ્યા પછી એને મૂંઝવણ થયેલી, અચરજ પણ. એટલે એ બધી વીગતો એ સૌ કોઈને જણાવવા માગતી’તી. જો કે એ કામ એને થકવી દેનારું હતું. એટલે પછી, વિધિની તિથિએ એ સુકન્યા એની બહેનોની જેમ દુનિયાદારીની બધી જ બાબતોમાં નિપુણતાથી એકદમ સરસ વર્તવા લાગેલી.

પછી તો, રૉકેટ ઊડતાં’તાં, બૅન્ડવાજાં વાગતાં’તાં, રસ્તા ફૂલોના હાર ને તોરણોથી શણગારાયેલા હતા – એવા વાતાવરણમાં ડૉન અપોલિનર મોસ્કોતે રેમેડિયોસનો હાથ સાહીને એને લગ્નવિધિ માટેની વેદીની દિશામાં દોરી જાય છે. બારીઓ પરથી લોકો રેમેડિયોસને શુભેચ્છાઓ પાઠવતા હોય છે. રેમેડિયોસ સ-સ્મિત હાથ હલાવી દરેકનો આભાર માનતી હોય છે.

પણ ત્યાં મા અને બહેનોને ફડક કે છોકરી વિધિમાં કશો બફાટ ન કરે તો સારું. મા-બેનોની ચિન્તા આખરે એટલી બધી વધી કે લોકલાજ બાજુએ મૂકીને તેઓ રેમેડિયોસને ચૂમીઓ પર ચૂમીઓ ભરવા લાગી. લગ્નની પાર્ટી પછી રેમેડિયોસ સૌ સાથે હેત અને જવાબદારીભાવથી વર્તવા લાગેલી. અરે, એણે એટલે લગી જણાવેલું કે પોતે પિલાર તરનેરાથી જન્મેલા ઔરેલિયાનોના અવૈધ દીકરાને પણ ઉછેરશે. એ દીકરાનું નામ ‘ઔરેલિયાનો હોસે’ રાખવામાં આવ્યું હોય છે.

પણ ત્યારે, લગ્નની વિધિ પછી તરત, રેમેડિયોસે એકદમનું આપોપું અને સહજ તો આ કરેલું : એણે વેડિન્ગ-કેકનો એક મોટો ટુકડો કાપ્યો, પ્લેટમાં મૂક્યો, સાથે કાંટા લીધા, અને, ચેસ્ટનટના થડ સાથે બંધાયેલા, પામની પાંદડાં સમેતની ડાળોની છાપરી નીચે, લાકડાના સ્ટૂલ પર ચૉંટીને બેઠેલા, અતિશય વૃદ્ધ દીસતા, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા પાસે જઈ પ્હૉંચી. તાપ-વરસાદથી હોસેનો ચ્હૅરો શામળો પડી ગયેલો. હોસે ગોળમોળ સ્મિત કરી કૃતજ્ઞતા દર્શાવે છે. કેક પર આંગળાં ફેરવતો કશુંક ન સમજાય એવું ધર્મગીત ગણગણે છે.

રેમેડિયોસ હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને કેક આપે છે :

Pic Courtesy : Behance

એ બધાંમાં એક માત્ર દુ:ખી હતી, રેબેકા. પાર્ટી, સમજો, એની નિરાશાનો ઉત્સવ હતી. બાકી, ઉર્સુલાએ આયોજન તો એવું કરેલું કે સાથોસાથ રેબેકાનાં ય લગ્ન થઈ જાય. પણ મોકુફ રાખવા પડેલાં કેમ કે પિએત્રો ક્રેસ્પીને એક પત્ર મળેલો; એમાં જણાવાયેલું કે મા અતિ બીમાર છે ને તાબડતોબ એણે રાજધાની પ્હૉંચી જવું. ક્રેસ્પી નીકળી તો જાય છે પણ રસ્તામાં એને યાદ આવે છે કે મા તો શનિવાર-રાતની નીકળી ગઈ છે. ઔરેલિયાનાના લગનમાં પ્હૉંચી જઈને ગીત ગાવાની’તી જે ગીત એ એના દીકરાના લગનમાં ગાવાની’તી. રવિવારની મધરાતે ક્રેસ્પી પાછો ફરે છે, પેલી પાર્ટીની ‘રાખને’ – અવશેષને – વાળીઝૂડીને ઉશેટી દેવા ! પોતાનાં લગ્ન માટે જલ્દી પ્હૉંચવાની લ્હાયમાં રસ્તે એના પાંચેય ઘોડા થાકી ગયેલા. સુથારો વેદી આગળના મંડપને છોડી કરીને આટોપી લે એ કામ ત્યારે પૂરું ન્હૉતું થયું. છેવટે પુરવાર એમ થયેલું કે પત્ર બનાવટી હતો – લગ્નને વિલમ્બમાં મૂકવાનું તરકટ.

કશી આંતરિક માંદગીને કારણે રેમેડિયોસનું મૃત્યુ થાય છે. બને કે એ કસુવાવડમાં મરી હોય. પરિવારજનો શોકમાં ડૂબી જાય છે. ઉર્સુલાએ શોક પાળવા આજ્ઞાઓ કરી – બારીબારણાં બંધ રાખજો – અનિવાર્યતા વિના આવનજાવન કરશો નહીં. એણે સૌને પૂરા એક વર્ષ લગી મોટેથી ન બોલવાનો આદેશ પણ કરલો. શબને ઉર્સુલાએ ભૉંય પર રાખેલું, ત્યાં, એની બાજુમાં રેમેડિયોસનો ડેરોટાઇપ (ફોટો) ગોઠવેલો, ફરતે કાળી રીબન વીંટાળેલી, ને નિરન્તર પ્રજ્વલિત રહી શકે એવો દીવો મૂકેલો.

કથક કહે છે : ગરમીના દિવસે સૂમસામ બપોરે બે-ના શુમારે, કોઈએ ધક્કો મારીને બારણાને ધડામ્ ખોલી નાખ્યું. એથી ભૉંય સમેત ધરા એવી તો ધણધણી કે ઓટલે બેસી શીવણ કરતી અમરન્તાને અને એની બહેનપણીઓને, બેડરૂમમાં અંગૂઠો ચૂસતી રેબેકાને, રસોડામાં ઉર્સુલાને, અને ચેસ્ટનટ નીચે બેઠેલા એકલાઅટૂલા હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને પણ – બધાંને – ધ્રાસ્કો પડ્યો કે ધરતીકમ્પ થયો ! ઘરનો નાશ થઈ જવાનો !

વિશાળકાય મનુષ્ય આવેલો. એના ખભા એવા પ્હૉળા કે બારણાંમાં સમાતો ન્હૉતો. ઘણો જ બળવાન, મનુષ્ય રૂપે એ પશુ ભાસે. એના બાહુ અને છાતી પર ભેદી ટાટૂ ચીતરેલાં હતાં, આખા શરીર પર હતાં. એનામાં આવેગ અને ક્રૂરતા ભર્યાં પડ્યાં છે.

એના જમણા કાંડા પર સુરક્ષા માટેનું તાંબાંનું બ્રૅસલેટ હતું – કોતરેલું તાવીજ જેમાં “ninos en cruz” (children in the cross) લખેલું હતું. ખુલ્લી ગરમ હવાની ખારાશથી એની ચામડી શેકાઇને બ્રાઉન થઈ ગયેલી. એના વાળ ટૂંકા ને ખચ્ચરના હોય છે એવા સીધા હતા. જડબાં નિશ્ચલ, લોખંડી. એની ઉપસ્થિતિમાત્ર સૌને ધ્રૂજાવી દે એવી ખતરનાક હતી. એનું સ્મિત વિષાદમય હતું.

ઘોડાના પલાણ જોડે બાંધવાનો પોતાનો ઘસાયેલો થૅલો ઝુલાવતો એ દીવાનખણ્ડમાં થઈને પ્રવેશદ્વાર લગી, બેગોનિયા લગી, ગર્જના કરતો પ્હૉંચી ગયો. અમરન્તા અને એની બહેનપણીઓ સ્થિર ! શીવણકામની સૉયો અધ્ધર ! એમને એણે કહ્યું – હૅલોઓ. એના અવાજમાં થાક હતો. થૅલો એણે વર્કટેબલ પર ફૅંક્યો. પછી, ઘરના પાછલા ભાગમાં ગયો. રેબેકાએ જોયું કે એના બેડરૂમ આગળથી જતો’તો. ચૉંકી ગયેલી રેબેકાને એણે ક્હ્યું – હૅલો. સિલ્વરસ્મિથની પોતાની જગ્યાએ સ્વસ્થ બેઠેલા જાગ્રત ઔરેલિયાનોને એણે ‘હૅલો’ કહ્યું. કોઈની પણ જોડે એ રોકાયો નહીં, સીધો રસોડામાં ગયો, ને થંભ્યો. દુનિયાની બીજી બાજુ પરના પ્રવાસ પછી ત્યાં એ પહેલી વાર થંભેલો. ‘હૅલો’, એણે ઉર્સુલાને કહ્યું. પળભર ઉર્સુલાનું મૉં અચરજથી ખુલ્લું રહી ગયું પણ તરત ઊભી થઈ ને એની આંખોમાં નજર પરોવતાં ગળે વળગી રહી. ઉર્સલાના ચ્હૅરે આનન્દનાં આંસુ વ્હૅતાં’તાં … 

એ હતો હોસે આર્કાદિયો.

મોકુફ રખાયેલાં રેબેકા-ક્રેસ્પીનાં લગ્ન અને રેમેડિયોસના મૃત્યુનો શોક હોસે આર્કાદિયો બ્વેન્દ્યાના આ સૌથી મોટા દીકરા હોસે આર્કાદિયોના પુનરાગમનથી ખતમ થઈ જાય છે.

ઘરમાં સમરસ થઈને હોસે આર્કાદિયો કદી પરિવારનો ન થઈ શક્યો. દિવસ આખો ઊંઘે, રાત વેશ્યાબજારમાં ગાળે. ત્યાં પોતાના બળ પર લોકો જોડે શરતી દાવ લગાવે.

કદીમદી ટેબલ પર બેઠો હોય ને ઉર્સુલા જો એને ભાળે, તો એનો ચ્હૅરો ચમકી ઊઠે, કેમ કે એ સરસ મજાની હ્યુમર કરવાનો હોય. વળી, ઉર્સુલાને એણે દૂર દેશાવરનાં પોતાનાં પરાક્રમો વિશે ઘણી વાતો કરેલી :

કહે કે – એક વાર ‘સી ઑફ જાપાન’-માં અમારું વહાણ તૂટી પડેલું ને બે અઠવાડિયાં લગી અમે નિ:સહાય હતા. બનાવ એ બન્યો કે અમારા એક બન્ધુને લૂ લાગી ને એ મરી ગયો. પણ અમને એનું શરીર કામ આવી ગયું. અતિશય ખારું એનું માંસ અમે રાંધ્યું ને એ ખાઈને ટકી ગયા. તાપમાં રંધાયા પછી માંસ દાણાદાર થઈ ગયેલું ને મીઠો સ્વાદ આવતો’તો.

કહે કે – એક વાર ‘ગલ્ફ ઑફ બે’-માં, બળબળતી બપોરે, અમારા જહાજે એક સી-ડ્રેગનને અથાડી પાડેલો. ડ્રેગન મરી ગયેલો. એના પેટમાંથી અમને હૅલ્મેટ, બકલ્સ અને કોઈ ક્રૂઝેડરનાં શસ્ત્રો મળેલાં.

કહે કે – ‘કૅરેબીયન’-માં મેં ‘વિક્ટર હ્યુગો’ના ચાંચિયા વહાણનું ભૂત જોયેલું. મૉતના પવનોએ વહાણના શઢ ફાડી નાખેલા, કૂવાથંભને દરિયાઈ કીડા ચાવી ગયેલા. તો પણ, હોસે ક્હૅ – મારે ‘ગ્વાડલૂ’ તો પ્હૉંચવું’તું જ …

ઉર્સુલા રડવા જેવી થઈ જતી. એને થતું પોતે જાણે હોસેનાં કામો અને એનાં ખોટાં સાહસો દર્શાવતા પત્રો વાંચી રહી છે, જે કદી એને પ્હૉંચ્યા જ ન્હૉતા. 

ઉર્સુલા કહેતી એને : આ ઘર તારું જ હતું ને એમાં તારા માટે શું ન્હૉતું, બેટા? : એ રડી પડતી : કેટલું તો ખાવાનું હતું, ડુક્કરને નાખી દેતાં !

પણ અંદરખાને ઉર્સુલાને ગડ ન્હૉતી બેસતી કે જિપ્સીઓ જેને લઈ ગયેલા તે આ એ જ ખાઉધરો છે, જે લન્ચમાં અરધું સુવર ઝાપટી જતો’તો ને જેના પાદણની વાસથી ફૂલો કરમાઈ જતાં’તાં …?…

(હવે પછી, પ્રકરણ – ૬)
(August 24, 2022 :  USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4431,4441,4451,446...1,4501,4601,470...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved