Opinion Magazine
Number of visits: 9459018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનોખા નયામાર્ગી સમાજમિત્ર ઇન્દુભાઈ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|3 April 2022

નવી સદીની મોટી સમસ્યાએ છે કે વૈશ્વિકીકરણના જમાનામાં પાછળ રહી ગયેલા વંચિતોનું કોઈ સાંભળતું નથી. તેમના રોજ-બ-રોજના પ્રશ્નો, તેમનાં જીવનની સમસ્યાઓ, તેમના વાજબી પ્રશ્નો અને ઉકેલો, વકરતી જતી હિંસા બાબતે તેમનો અવાજ, તંત્રો સુધી પહોંચતો નથી. ક્યારેક તો મીડિયા સુધી પણ પહોંચતો નથી. વાત સર્વસમાવેશકતાની થાય છે. પરંતુ હજુ કેટલોક વર્ગ જે પાછળ રહી ગયો છે તે દૂરને દૂર હડસેલાતો જાય છે.

ઇન્દુકુમાર જાની (૧૯૪૩•૨૦૨૧) એવી વ્યક્તિઓમાંના એક છે, જેમને મન પાછળ રહી ગયેલાઓનો પ્રશ્ન સૌથી મોટો છે. તેમને મન ગરીબો, આદિવાસીઓ, દલિતો, વંચિતો, લઘુમતીઓ, મહિલાઓ આ બધા જ પેલા પાછળ રહી ગયેલા વર્ગના માનવંતા સભ્યો છે, તેઓ ભારતના નાગરિકો છે અને તેમના પ્રશ્નો ઉકેલવા એ આપણી બંધારણીય અને સામાજિક ફરજ પણ છે. આ અંગે કેટલું થયું તેનો જવાબ માંગવાનો તેમનો અધિકાર પણ છે. આવા ઇન્દુભાઈ ગુજરાતમાં જાણીતા થયા, પાક્ષિક ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે. આ સામયિક ‘વંચિતલક્ષી વિકાસ પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહીન સમાજરચના’ માટે પ્રતિબદ્ધ હતું. ‘નયામાર્ગ’ સાથે ‘ગુજરાત ખેતવિકાસ પરિષદ’ અને ઝીણાભાઈ દરજીનું નામ જોડાયેલું હતું. ‘વેડછીનો વડલો’ તરીકે જાણીતા જુગતરામ દવેના શિષ્ય એવા ઝીણાભાઈનું સ્વપ્ન હતું કે અમે એક દિવસ ગરીબોનું સ્વરાજ લાવશું. ઇન્દુભાઈ આ અમૂલ્ય વારસાને ગૌરવપૂર્ણ રીતે, પૂરી નિષ્ઠાથી લગાવપૂર્વક વળગી રહ્યા. આપણા ચિંતક ગુણવંત શાહે તેથી જ તેમને ‘ગરીબમિત્ર’ તરીકે ઓળખાવ્યા.

ઇન્દુભાઈનો જન્મ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીના કારણે અતિ જાણીતું એવાં ટંકારા(મોરબી)માં તા. ૧૭મી ડિસેમ્બર, ૧૯૪૩ના રોજ થયો. પિતાનું નામ અમૃતલાલ જાની અને માતા સવિતાબહેન, છ ભાઈ અને બે બહેનોનું અત્યંત બહોળું એવું કુટુંબ. પિતા અમૃત જાની (૧૯૧૨•૧૯૯૭) જૂની દેશી રંગભૂમિના જાણીતા અભિનેતા. વીસમી સદીના બીજા દાયકામાં રંગમંચ પર હજી મહિલાઓનું આગમન નહોતું થયું ત્યારે અમૃત જાની સ્ત્રી ભૂમિકા કરતા. દાદા જટાશંકર જાની અને અમૃતભાઈના મોટાભાઈ મોહનલાલ જાની પણ નાટકોમાં અભિનય કરતા. ૧૯૨૭માં અમૃત જાનીએ ‘ભારત ગૌરવ’ નાટકમાં છાયાદેવીની સ્ત્રી ભૂમિકા ભજવેલી. આ માટે તેમણે ગોઠણ સુધી વાળ વધાર્યા હતા, દિવસે ઊંચી કેપ પહેરતા હતા. તે પછી તેઓ પુરુષ ભૂમિકા પણ ભજવતા થયા.

અમૃત જાની અલ્પ શિક્ષિત હતા. પણ વાચનશોખ પુષ્કળ હતો, સાહિત્ય પ્રેમી હતા, તેથી તેમના સમયના સાહિત્યકારો–પત્રકારો સાથે એમને નિકટનો નાતો હતો. તેઓ ‘નટવર્ય’ તરીકે પંકાયા,  નટસમ્રાટ જશવંત ઠાકરની પ્રેરણાથી ‘અભિનયપંથે’ નામની આત્મકથા પણ લખેલી. પુત્રનું નામ ઇન્દુકુમાર પણ, કવિ ન્હાનાલાલનું સાહિત્ય વાંચવાને કારણે પાડેલું.

ઇન્દુકુમારનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયું. નાટકને કારણે કાયમી ઉજાગરા, અનિયમિત જિંદગી અને તેની તબિયત પર માઠી અસર અને તબીબી સલાહ … બધાને કારણે આ કુટુંબે ૧૯૫૬માં મુંબઈ છોડ્યું. રાજકોટ આવ્યા. પિતા તો સૌરાષ્ટ્ર સંગીત નાટક ઍકેડમીમાં જોડાયા,  કેટલાંક વર્ષ રાજકોટ આકાશવાણીમાં કામ કર્યું. ઇન્દુભાઈનું માધ્યમિક શિક્ષણ રાજકોટ ખાતે થયું. પિતા કહેતા કે મારા દીકરાઓ કોરા ચેક છે! એ જે હોય તે પણ ઇન્દુભાઈને પિતાએ મૅટ્રિક પાસ થતાં કૉલેજમાં મોકલવાને બદલે નોકરીમાં દાખલ કરી દીધા.

ઢેબરભાઈએ અને તેમની સરકારે તે સમયે જમીન સુધારાના પ્રગતિશીલ કાયદાઓ કરેલા, ‘ખેડે તેની જમીન’ મુજબ ગણોતિયાઓને જમીન માલિક બનાવવાનો કાયદો કરેલો. આ નવા ખેડૂતોને સહાયરૂપ થવા ખેતી બૅંકની સ્થાપના થયેલી. કોઈ પરીક્ષા નહિ, કોઈ ઇન્ટરવ્યૂ નહિ, માત્ર ભલામણથી ઇન્દુભાઈને ખેતી બૅંકમાં નોકરી મળી ગઈ. સોળ વર્ષ આ નોકરી કરી તે દરમિયાન ગ્રેજ્યુએટ થયા. બૅંકનાં સાથી કર્મચારી રંજનબહેન જંગબારી સાથે પ્રેમલગ્ન કર્યાં. ખેતી બૅંકમાં વ્હાઈટ કૉલર કર્મચારીઓ માટે કોઈ યુનિયન ન હતું ત્યાં મૅનેજમેન્ટ સામે પડવાનું જોખમ વહોરીને યુનિયન સ્થાપ્યું.

યુનિયનની સ્થાપના માટે ખાનગી રાહે વ્યૂહરચનાઓ કરી. ત્રણ હજાર કિલોમીટર જેટલો પ્રવાસ મિત્રોને લઈને પોતાના સ્કૂટર પર ફરીને રાજ્યભરની શાખાઓના કર્મચારીઓને સંગઠિત કર્યા. યુનિયન સ્થાપીને જુદે-જુદે તબક્કે જનરલ સેક્રેટરી અને પ્રમુખપદની જવાબદારી નિભાવી. યુનિયન વતી ચાર્ટર ઑફ ડિમાન્ડ રજૂ કરી. ઇન્ડેક્ષ મુજબનું મોંઘવારી ભથ્થું સમયસર મળતું ન હતું એ માંગણી મુખ્ય હતી. મનમાં ખ્યાલ એવો કે આ સહકારી બૅંકના કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે. અમદાવાદની આશ્રમ રોડ પરની પોતાની બૅંકના દરવાજે મરણાંત ઉપવાસ પર બેઠા. પાંચમા દિવસે તબિયત લથડી, બધાના જીવ ઊંચા થવા લાગ્યા. આજનાં યુનિયનો જેવી પાછલે બારણે ખાવા પીવાની રીતરસમ અપનાવી લેવા તેઓ સંમત ન થયા.

ઝીણાભાઈ દરજી બૅંકના ઉપપ્રમુખ હતા. પ્રમુખ કરતાં ઝીણાભાઈનો જ વક્કર વધુ. તેમને કારણે જ સમાધાન થયેલું. આમ તેઓ ઝીણાભાઈ દરજીના વિશેષ અને અંગત પરિચયમાં આવતા ગયા.

ઝીણાભાઈ દરજી ત્યારે ખેતવિકાસ પરિષદનું માળખું ઊભું કરીને તેને રજિસ્ટર કરવાની ફિરાકમાં હતા. ઇન્દુભાઈ એ માટેની દોડાદોડમાં સામેલ થયા. એક દિવસ ઝીણાભાઈએ કહ્યું કે તમે માનો છો કે બૅંકના કર્મચારીઓનું બહુ શોષણ થાય છે, બરાબર ? તમે મારી સાથે અમારા આદિવાસી વિસ્તારમાં ફરવા આવો. ‘જાનીભાઈ’ એમની સાથે વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝરના ઊંડાણનાં ગામોમાં ફર્યા. શૈક્ષણિક, સહકારી અને બીજી વિકાસ પ્રવૃત્તિઓ નજીકથી જોઈ. લંગોટીવાળા આદિવાસીઓને જોયા. આ કોટવાળિયાઓની ભારે ગરીબી પણ જોઈ. એક સંમેલનમાં આદિવાસીઓ સાથે સહભોજનમાં સામેલ થયા. એક આદિવાસીભાઈ જમ્યા પછી એક પત્રાળીમાં ઘેર રહેલાં માટે ભજિયાં લઈ જતા હતા! ઇન્દુભાઈની ઊંઘ હરામ થઈ ગઈ. ઝીણાભાઈ પાસે એમણે માગણી મૂકી કે મને એમાં સભ્ય બનાવો તો પરિષદના રજિસ્ટ્રેશનનું કામ કરું. આ પ્રવૃત્તિને કારણે તેઓ રતુભાઈ અદાણી, માધવસિંહ સોલંકી, સનત મહેતા, નરસિંહ મકવાણા વગેરે અગ્રણીઓના પરિચયમાં આવ્યા.

હવે, ઇન્દુભાઈનું મગજ ભમવા લાગ્યું. બૅંકની નોકરી છોડવાના વિચારો શરૂ થયા. આદિવાસીઓ માટે કામ કરવા મન તલપાપડ હતું. પત્નીની સંમતિથી નોકરી છોડવાનો વિચાર કર્યો. ઘણી બધી ચર્ચા પછી જીવનસાથીએ ધરપત આપી કે ‘મારો પગાર તો આવે જ છે. તમે નોકરી છોડી દો. તમને ગમે છે તેવી પ્રવૃત્તિ કરો. 'આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા પછી આ દંપતી ભાડાના ઘરમાં રહેતું હતું. ભાડૂત પ્રત્યે અમદાવાદીઓની નફરતથી બંને કંટાળ્યાં હતાં. મકાન માટે બૅંક લોન મળતી હતી. તે લઈને સત્વરે ગુલબાઈ ટેકરે મકાન ઊભું કરી દીધું હતું. ઇન્દુભાઈને હતું કે સ્કૂટરનું પેટ્રોલ, પરચૂરણ ખર્ચ જોગું મળી રહે એટલે બસ ! ઝીણાભાઈ પરિષદ પ્રમુખ થયા અને ઇન્દુભાઈને મંત્રી તરીકેની જવાબદારી સોંપી. જીવનનો આ મહત્ત્વનો વળાંક જેમાં ઇન્દુભાઈ બૅંક કર્મચારી મટીને ગરીબ કલ્યાણની જાહેર પ્રવૃત્તિ તરફ વળી ગયા. બહુ ટૂંકો સમય વડી અદાલતમાં સિનિયર વકીલ હરુભાઈ મહેતા સાથે જોડાઈને વકીલાત શરૂ કરી. કૉમર્સ ગ્રેજ્યુએટ થયા પછી કાયદાની ડિગ્રી તો તેમણે મેળવેલી જ હતી. લાગ્યું એવું કે પરિષદનાં કામો માટે સમય બચતો નથી તેથી વકીલાત પણ છોડી દીધી.

હવે ઝીણાભાઈ સાથે પૂરા જોશથી કામમાં લાગી ગયા. અસંગઠિત જનસમૂહો વચ્ચે કામ શરૂ કર્યું. પરિષદ દ્વારા શિક્ષણ સંસ્થાઓ શરૂ થઈ. કચ્છ, ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, સુરત અને વલસાડ જિલ્લામાં પ્રવૃત્તિ કેન્દ્રો શરૂ થયાં. એ દિવસોમાં નાના સીમાંત ખેડૂતો માટે દેવાં નાબૂદીનો કાયદો આવ્યો હતો. તેનાં હજારો ફોર્મ ભરાવ્યાં. ગુજરાતની કાઁગ્રેસ સરકારમાં ઝીણાભાઈ વીસ સૂત્રી કાર્યક્રમ અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ થયા ત્યારે પરિષદના ઉપક્રમે ચાલી રહેલાં વંચિત લક્ષીકામોમાં ઉછાળો આવ્યો. અંત્યોદય કેન્દ્રો ચલાવ્યાં, સરકારની કેટલીક સમિતિઓમાં અપવાદ રૂપે રહ્યા, પરંતુ કોઈ પણ રાજકીય પક્ષમાં કદી જોડાયા નહીં.

‘નયા માર્ગ’ પહેલાં વ્યારામાં કાઁગ્રેસ પત્રિકા તરીકે ચાલતું હતું. પછી સનત મહેતા તેને વડોદરા લઈ આવ્યા. સનતભાઈ મંત્રી મંડળમાં જોડાયા પછી ‘નયામાર્ગ’ તેમણે ઇન્દુભાઈને સોંપ્યું. તેના બે તંત્રીઓ બન્યા : અરુણા મહેતા અને ઇન્દુકુમાર જાની. તારીખ હતી ૨૬-૧-૧૯૮૧. ઇન્દુભાઈને કામ કરવાની અહીં તક પણ મળી અને યશ પણ મળ્યો. અત્યાચારો, હિજરતો અને બીજા અનેક મુદ્દે તેઓ રાજ્યભરમાં ઘૂમવા લાગ્યા. પ્રવાસ અહેવાલો ‘નયામાર્ગ’નાં પાને ચમકવા લાગ્યા. ભૂમિહીન ખેતમજૂરો, આદિવાસી શેરડી કામદારો, સિલિકોસિસનો ભોગ બનતા અકીક કામદારો, મીઠાના અગરિયાઓ,  જંગલ જમીનની લડતો લડતા આદિવાસીઓ, ટીમનાં પાન કે ગુંદર વીણતી બહેનો, પીવાનું પાણી મેળવવાં વલખાં મારતી બહેનો, બાળમજૂરો, સફાઈ કામદારો, અનેક અત્યાચારોનો ભોગ બનતા દલિતો, કાળી મજૂરી પછી ય કાયદાકીય લઘુત્તમ વેતન ન પામતા શ્રમજીવીઓ વગેરે વગેરેની સમસ્યાઓ ઉપર મહત્ત્વનું સંતોષકારક કામ તેઓ કરી શક્યા. ગુજરાતનાં સંખ્યાબંધ સ્વૈચ્છિક સંગઠનોની પ્રવૃત્તિઓના પરિચયમાં આવી તેને ઉજાગર કરવા લાગ્યા. સમાજ પરિવર્તનની દિશામાં કાર્યરત સંસ્થાઓ સાથે જોડાતા રહ્યા. માનવ અધિકારના જતન, સંવર્ધન માટે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં પણ નિમિત્ત બન્યા.

આ તબક્કે નોંધવું જોઈએ કે ઝીણાભાઈ દરજીના કારણે ઇન્દુભાઈના જીવનમાં મોટો વળાંક આવ્યો. પણ તે સાથે તેમનું વૈચારિક ઘડતર ભાનુભાઈ અધ્વર્યુ, જૉસેફ મૅકવાન અને લડતોના સાથી મધુસૂદન મિસ્ત્રી સાથે થયું. એડ્‌વોકસીના પ્રોગ્રામમાં અમેરિકા પણ ગયા, ‘લોકસત્તા – જનસત્તા’ અને ‘સમકાલીન’માં કૉલમ લેખનનો અવસર સાંપડ્યો. તેમાંથી ૧૯૯૪માં રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો એવૉર્ડ પણ મેળવ્યો. મોરારિબાપુના હસ્તે ૨૦૧૫માં સદ્ભાવના સન્માન પણ મળ્યું. રેશનાલિસ્ટ પ્રવૃત્તિઓને કારણે સાવલિયા રિસર્ચ સેન્ટરનો કીર્તિ સુવર્ણ ચંદ્રક અને રમણ-ભ્રમણ ચંદ્રક પણ તેમને અર્પણ થયા.

૧૯૮૧-૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોથી ગુજરાત ખળભળી ઉઠ્યું ત્યારે અનામત સમર્થન સમિતિ અને સામાજિક વિષમતા નિર્મૂલન સમિતિ ઊભી કરીને અનામત પદ્ધતિની ચોખ્ખી તરફદારી કરીને તે અંગેનું સાહિત્ય, પત્રિકાઓ, સંમેલનો અને સંઘર્ષોમાં સક્રિય બન્યા. પોતે એટલા તો સંવેદનશીલ હતા કે કાયમ માટે ઊંઘની ગોળીઓ લેવી પડતી અને બી.પી. પણ ઊંચું જ રહેતું. એ ઉપરાંત પણ અનેક બીમારીઓનો તેઓ ભોગ બનતા રહ્યા. ૧૮-૪-૨૦૨૧ના રોજ કોરોના વાઇરસથી તેમનું અવસાન થયું. ઇન્દુભાઈ અને રંજનબહેને બાળક દત્તક લીધેલું. તે પુત્ર અનુજના ઉછેરમાં જીવનના અંત સુધી લાગેલા રહ્યા. માતા-પિતા અને નાના ભાઈઓને પોતાની સાથે રાખીને સંયુક્ત કુટુંબનું સરસ ઉદાહરણ પૂરું પાડતા રહ્યા.

સામયિક ‘નયામાર્ગ’ સરળ ઊંઝા જોડણીમાં છપાતું હતું. શરૂઆતની કાઁગ્રેસ પત્રિકાની છાપથી તદ્દન જુદી ગરીબોના અવાજની વ્યાપક ઓળખ ઊભી કરવામાં નિમિત્ત બન્યા. શોષિતોનો-પીડિતોનો અવાજ ‘નયામાર્ગ’માં સતત પડઘાતો રહ્યો. દલિતોના સાહિત્ય સર્જનને નયામાર્ગે અને પ્રકાશનને પરિષદે મોટી હૂંફ આપી. મોટા બંધથી આદિવાસી વિસ્તારમાં પાણીની સ્થિતિમાં કોઈ જ ફરક પડતો નથી. બંધ તરફી અભિયાન અંત્યોદયના સિદ્ધાંત વિરુદ્ધ જઈ રહ્યું છે તે વાત બંધને સમર્થન આપતા સર્વોદયવાદી કાર્યકરોને યાદ કરાવી, સવાલો કર્યા અને મુખ્ય મંત્રી ચીમનભાઈના ‘નયા ગુજરાત’ના નારાને પણ પડકાર્યો. પોતાની સાંપ્રત કૉલમ દ્વારા કોમવાદી પરિબળો અને તેમના દ્વારા થતા બંધારણીય મૂલ્યના હ્રાસનો સતત પર્દાફાશ કરતા રહ્યા. વિવિધ લડતો અંગે માહિતીપ્રદ અને પ્રેરક પુસ્તિકાઓ લખીને પ્રગટ કરતા રહ્યા. એમની પ્રતિબદ્ધતાને કદી પાતળી પડવા ન દીધી. લખાણોમાં અને વિચારોમાં તેજતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિ સંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ ઘણાને કંઈક જુદી જ વ્યક્તિ લાગેલા.

‘નયામાર્ગ’ સાથેની એમની ઓળખ અભિન્ન બની રહી. લગભગ ૪૦ વર્ષની સફરને અંતે માર્ચ-૨૦૨૦માં તેમણે ‘નયામાર્ગ’ને આટોપી લેવાનો અફર નિર્ણય કર્યો તે પૂર્વે બે-એકવાર ‘નયામાર્ગ’ ઝીણાભાઈ દરજી અને રજનીકુમાર પંડ્યા જેવાના સઘન પ્રયાસોને કારણે મરતાં-મરતાં માંડ બચેલું. જૉસેફ મૅકવાન, યશવંત મહેતા જેવા મિત્રો ઉપરાંત ચંદુ મહેરિયાનો તેમને ઘણો સહકાર સાંપડતો રહ્યો ને નયામાર્ગે સંખ્યાબંધ ઉત્તમ વિશેષાંકોની એક નોખી પરંપરા જ ઊભી કરી દીધી, કટોકટીના સમયે ‘નવનીત સમર્પણ’ જેવા મુંબઈના સામયિકે ‘નયામાર્ગ’ને સહાય માટેની અપીલ વિના મૂલ્યે છાપેલી. ‘નયામાર્ગ’ આટોપાતાં ઇન્દુભાઈના પ્રદાન અંગેની મુલાકાત છાપતાં પણ તેના તંત્રી દીપક દોશીએ આનંદ અનુભવેલો. આવા ઇન્દુભાઈ જેવા કર્મશીલ થતાં થાય એમ ઘણાને લાગે છે. એ ભાવના જ એમને ઉચિત એવી અંજલિ છે.

(‘સામાજિક ન્યાયના મશાલચી : ઈન્દુકુમાર જાની’ પુસ્તકમાંથી)  

E-mail : dankesh.oza@reddiffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 13, 14 તેમ જ 12

Loading

શબ્દોના સાધક

બીજલ જગડ|Poetry|3 April 2022

શૂન્ય શિખરે બ્રહ્મા સુભદ્રા કૃષ્ણા બળરામ.
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

પરમ તૃપ્તિ પર હજી પોહચવાને મ્હારે વાર છે,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

શૂન્ય મારું મન ખુદને મળતો રહ્યો કારણ વગર,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

આ છંદ અને અછાંદસનાં પંથે પડઘાય છે શબ્દો,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

એક મૌનનો દરિયો છલોછલ શબ્દ તરતા થયા,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

સિયાહીની વેદના ખપતી નથી છેવટે મળે વેદાંત,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

મૌનના શિખર આંબ્યા અમે ગરુડ પર બેસી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

સમય જાગે શ્વાસ પર ગઝલ સ્થાપી બેઠો છું
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

ઊંચે જઈ ઊભું આકાશ વાંસળીના સૂર સાંભળી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

બ્રહ્મ બ્રહ્માંડ એક જ ઘડીયે ન થાય અળગાજી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

દીકરીની દૃષ્ટિ અને પિતાનું હૃદય

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Opinion|3 April 2022

બોસ્નિયા, ર૧મી સદીના આરે ઊભેલા આલમનો, યુરોપ ખંડનો એક એવો દેશ જ્યાં માણસ માણસ વચ્ચેના વહેવાર-વર્તનમાં ક્રૂરતા અને કાતિલપણાંએ હદ વટાવી દીધી છે. બે’ક વરસ મારી દીકરી દીપિકા એ દેશના અમન, કાયદા અને આર્થિક જીર્ણોદ્ધારનાં કાર્યમાં સક્રિય હતી. એ સમયગાળાનાં બાપ-દીકરીનાં સંવેદનો, સ્પંદનો અને આંતરવ્યથા શબ્દબદ્ધ કરવાનો આ પ્રયાસ છે.

શરૂ કરીએ એક અંગ્રેજ કવિએ વર્ણવેલા આ માવતર-દીકરીના સૂક્ષ્મ-મીઠા સંબંધની એક કવિતાથી. આપણા ગુજરાતી સારસ્વત અને ઋષિકવિ મકરંદ દવેએ તેનો સરસ ભાવાનુવાદ આપ્યો છે :

                        જ્યારે વિધાતાએ દીકરી સરજી :
                        વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
                               કસબ હાથેથી એણે કરી શી કમાલ!
                        રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
                               ખજીનો ખુટાડી કરું ખલકને ન્યાલ.
                        દેવીયું કનેથી માગી લીધો મલકાટ
                               અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર.
                        ચપટીક રજ લીધી ન ખેતર તણી
                               અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.
                        સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
                               તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક
                        સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
                               જોઈ કારવીને કીધું, હવે કા’ક ઠીક.
                        વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
                               વારે વારે હસું હસું થાય એનું મુખ,
                        હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
                              હર્યું ભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

માવતરના જીવનમાં દીકરીના સંબંધની નિતાંતતા વિશે આપણા લેસ્ટરવાસી લેખક વનુ જીવરાજે એક અંગ્રેજી ઉક્તિ ટાંકી છે :

Your son is your son until his wife;
But your daughter is your daughter until your life.

પોર્ટસ્મથ યુનિવર્સિટીમાંથી ભૂગોળ અને અર્થશાસ્ત્રની સ્નાતક થયા પછી, દીપિકાએ બર્મિંગમમાં હોમ ઑફિસમાં કામ કર્યું; લંડનમાં યહૂદી સોની કંપનીમાં થોડો વખત ગાળીને વ્યવસાયી ભરતી કરતી ઍજન્સીમાં જોડાઈ. એ વહીવટીતંત્રમાં કામ કરતાં કરતાં જાતે જ બોસ્નિયા માટે પોતાની ભરતી કરી દીધી! અમેરિકા, બ્રિટન અને બીજા દેશોનું લશ્કર શાંતિ અને સુશાસન સ્થાપવા બોસ્નિયા મોકલવામાં આવ્યું ત્યારે એમના વહીવટ ચલાવનારાઓમાં એક ‘હ્યુમન રિસોર્સીસ મૅનેજર’ તરીકે, દીપિકાએ જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે બાપ તરીકે હું તો થીજી જ ગયો! યુદ્ધગ્રસ્ત, છિન્નભિન્ન અને વેરની આગમાં સબડતા આ દેશમાં પચીસ વર્ષની, એકની એક દીકરીને મોકલવાની, ત્યાં જવાની પરવાનગી અપાય ખરી? આ પ્રસ્તાવે તો બેત્રણ અઠવાડિયાંની મારી ઊંઘ હરામ કરી નાંખી, પણ એ પોતે મક્કમ હતી. કંઈક કલ્યાણકાર્ય, માનવસેવા કરવાની ધગશ અને ઇચ્છા એને રહ્યા કરી છે. યહૂદી કિબૂત્ઝમાં જતાં જતાં માંડ રોકી શક્યો હતો! બે ભાઈઓની અને મારી વીનવણી, સમજાવટ પછી પણ અડગ રહી, ત્યારે ભગવાન ભરોસે અને પ્રાર્થના વચ્ચે, શુભ કામનાઓ સાથે, ફેબ્રુઆરી ૧૯૯૬માં દીપિકા બોસ્નિયા રવાના થઈ.

દીપિકાને નવું નવું શીખવાનો, નવા અનુભવો મેળવવાનો સાહસિક સ્વભાવ. છેલ્લાં પાંચસાત વર્ષોમાં ભારત અને શ્રીલંકાનો લાંબો પ્રવાસ એણે કર્યો હતો. વળી, તૂર્કી, ઇજિપ્ત અને યુરોપના દેશોમાં પણ એ પ્રવાસ ખેડી આવી હતી … અને આ વિધુર બાપ, બંને માવતરની લાગણીનો પિંડ, આવી સાહસિક દીકરીના માર્ગમાં ન આવવું જોઈએ એવી માન્યતા સાથે એની ‘હા’માં ‘હા’ ભેળવી, પરવાનગી આપતો રહ્યો છે. દીકરી એની કદર પણ કરે છે. બોસ્નિયાથી એક પત્રમાં ભાઈઓનો અને મારો આભાર માનતા લખતી હતી : “I still cannot get over lucky how I have been in life to have you as my family. I don’t think any daughter or sister has ever so much love and encouragement given as I have.”

બોસ્નિયાના લગભગ એક દાયકાના સંઘર્ષ, સંહાર અને બરબાદીનાં દૃશ્યો તથા સીતમની વાતો અખબારોને પાને અને ટેલિવિઝનના માધ્યમથી આવતી રહેતી. એ દૃશ્યો અને વાતો દુનિયાના કેટકેટલા ય માણસોનાં હૃદય વિચારતંત્રોને ખળભળાવી મૂક્યાં હતાં.[1] માણસમાંની આસ્થા પણ ડગમગવા માંડી હતી. બ્રિટનની સંસદના એક અપક્ષ સભ્ય અને બી.બી.સી.ના એક વેળાના નામાંકિત પત્રકાર માર્ટિન બેલ એમના સંઘર્ષ વિશેના પુસ્તક In Harm's Wayમાં લખે છે કે યુરોપ ખંડના બીજા વિશ્વયુદ્ધ અને સંહાર પછી પ૦ વર્ષમાં, આ એક બીજો મોટો સંહાર સર્જાયો – એવો ભીષણ સંહાર કે માનવ ઇતિહાસમાં કાળા અક્ષરે એ લખવો પડશે! ‘scenes from hell, written on the darkest pages of human history.’ માર્ટિન બેલ કહે છે કે પત્રકારત્વનાં જૂનાં મૂલ્યો, સાક્ષીભાવે જોઈ વર્ણન કરવાના અને પછી ભૂલી જવાના – ‘traditions of balanced, dispassionate, objective by standard journalism.’ આ બધું અમાનવીય લાગ્યું છે. પત્રકારત્વ અને માનવીય મૂલ્યોની ખેંચતાણીમાં માનવીય મૂલ્યોનો જય છે અને પોતાને લાગવા માંડ્યું કે પત્રકારત્વ આવું હોવું જોઈએ : “a moral enterprise, informed by an idea of right and wrong.” માર્ટિન બેલ આગળ લખે છે : પોતાના વ્યક્તિત્વમાં અને આંતરખોજમાં મોટા ફેરફારની અનુભૂતિ થઈ રહી છે. The genocide in Bosnia changed me, changed my way of doing things and seeing things.

દીપિકા પણ આવા મનોવિગ્રહ અને અશાંતિમાંથી પસાર થતી રહી. કહે છે કે અમેરિકી લશ્કરીતંત્ર પુષ્કળ સુવિધાઓ અને સહુલિયતો આપે છે. સુરક્ષામાં ક્યાંય કચાશ નથી. વેતન ટેલિફોન નંબરના આંકડામાં અપાય છે, પણ … કહે છે કે આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી. એક જાતનો શૂન્યાવકાશ અને ઘોર નિરાશા મનમાં પ્રવર્તે છે. દીપિકાની આ વાતો સાંભળતા, કાગળો વાંચતા બાપની મનોદશા કદાચ સમજાય. હૃદયના ઊંડાણમાંથી નીકળતા દીકરીના શબ્દો આ રહ્યા : “Last week I drove through the zone of separation at Brocko, one of the worst hit towns in Bosnia. I was stunned at the sheer devastation and could not help but cry.”

“I saw children playing in the fields, innocent and happy not realising that they could be playing on the minefield. My heart just wanted together them up and take them away. This was the first time in my life that I considered not having children, certainly not in a world still at war with itself.”

દીપિકાનું નિરીક્ષણ અને તેના અનુભવો કહી રહ્યા હતા કે સામાન્યજન ધાર્મિક ઝનૂન છોડી, વેરભાવ, ભેદભાવ ભૂલી જવા તૈયાર છે. શાંતિભર્યા સામાન્ય જીવન માટે એક મોટો તલસાટ જાગ્યો છે. સામાન્ય જીવન ફરી આવે એની રાહ જોવાઈ રહી છે. એના કૅમ્પમાં કામ કરતા બધી જાતિના ને ત્રણ જુદા જુદા ધર્મોના માણસો પ્રેમભાવથી રહેતા હતા.

બોસ્નિયાનો પ્રમુખ ધર્મ ઇસ્લામ અને પ્રદેશ પુષ્કળ રળિયામણો, સ્વિટ્‌ઝર્લેન્ડની યાદ અપાવે એવો! માણસોનો સ્વભાવ મિલનસાર, ભાષા ગુજરાતી ભાષાને મળતી આવે. આવા બધા અનુભવો એના જ શબ્દોમાં જોઈએ : “The local staff are great and really have grown on me : all of them bend backwards to make me feel comfortable. The country is truly beautiful, in parts dramatic, in others rolling hills and valleys remind you of Switzerland. The Bosnian language is a very easy language to pick up, very similar in parts to ours.”

દીપિકાનાં બીજાં વર્ષનાં કામકાજમાં દસ્તાવેજીકરણ કરવાનો ઉમેરો થયો છે. એના છેલ્લા કાગળમાં એ લખતી હતી : I have taken over historical documentation for this project. Tomorrow I’m going to Glanmoc, a remote artillery site near Dalmatian coast line in an Army Chinook helicopter. Hopefully one day I will be able to bring you to visit Bosina-Herzegovina. Still many buildings are left with signs of heavy sheelings and mortar attacks.

બોસ્નિયા-હર્ઝગોવિના, ક્રોએશિયા, સર્બિયા એટલે એક યુગનું સંયુકત રાષ્ટ્ર, યુગોસ્લાવિયા દેશ. એના ભૂતપૂર્વ પ્રમુખ જોસેફ બ્રોઝ ટીટો. ટીટો પહેલા ભારતીય પ્રધાન મંત્રી જવાહરલાલ નેહરુના ખાસ મિત્ર. વળી, બિનજોડાણવાળા દેશોના જૂથના અગ્રગણ્ય નેતા. નેહરુને પોતાના દેશની સમસ્યાઓ વિશે એક વખતે ટીટોએ કહેલું, ‘અમારું રાષ્ટ્ર એક, અક્ષરમાળા બે, ભાષાઓ ત્રણ, ધર્મો ચાર, પ્રજા પાંચ અને છ રાષ્ટ્રો તેમ જ પડોશી રાજ્યો સાત.’

આજે આ સંયુક્ત રાષ્ટ્ર, ધર્મના નામે, છિન્નભિન્ન થઈ ગયું, આર્થિક બરબાદીમાં ધકેલાઈ ગયું અને આમ પ્રજાનો મોટો સંહાર થઈ ગયો. દેશ એક અંધારિયા યુગમાં જઈને પડ્યો છે. આ ઐતિહાસિક, કરુણ ઘટનામાંથી ભારતીય ઉપખંડના દેશોએ એક પાઠ શીખવવાનો છે અને સફળતાના પંથની દિશા ચોક્કસ કરવાની છે.

અમેરિકા, બ્રિટન અને યુરોપના બીજા દેશોની મદદથી બોસ્નિયા અને યોગોસ્લાવિયાના બીજા દેશોના ટુકડાઓને સાંધી અંધારામાંથી બહાર કાઢવાને ભગીરથ પ્રયાસ થયેલો એમ લાગે છે. આવા મહાભારત કાર્યમાં એક ગુજરાતી યુવતી પોતાનો અલ્પ સમય આપે, સહજતાથી ભાગ ભજવે એનો મને ગર્વ છે. પિતા તરીકે આનંદ છે. કયારેક સ્વાભાવિક ચિંતા ધસી આવે છે, પણ ભગવાન પ્રત્યેની આસ્થાએ દિવસો પસાર થયા છે. આવા આઘાત-પ્રત્યાઘાત, આશા-નિરાશાનું નિરૂપણ આખરે શુભમાં પરિણમે; માનવજાતમાં ફેર આસ્થા પેદા થાય, એવી જ પ્રાર્થના સાથે વિરમું છું.

Category: • બ્રિટન અને યુરોપના અન્ય દેશો • અંગ્રેજી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ • ગુજરાતી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ • ધર્મ-કોમ-સંપ્રદાય

[પુસ્તકમાંથી, પ્રકરણ-26]

એક ગુજરાતી, દેશ અનેક : લેખક – ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, સંપાદક : કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S, Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, માર્ચ 2021, પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”, પૃ. 352 (16+336), રૂ.500 • £ 15

[1]. દક્ષિણ-પૂર્વ યુરોપનો આ દેશ છે – બોસ્નિયા ઍન્ડ હર્ઝગોવિના. લોકો તેને બોસ્નિયા તરીકે વધુ ઓળખે છે. એક વખતે આ દેશ યુગોસ્લાવિયાનો ભાગ હતો. ૧૯૯૧માં સોવિયેત યુનિયનનું વિઘટન થયું એ સાથે જ યુરોપના કેટલાક દેશોમાં પણ રાજકીય અસ્થિરતા પેદા થઈ. એમાંનો એક દેશ તે યુગોસ્લાવિયા. તેના અલગ અલગ પ્રદેશો જાતે જ પોતાને આઝાદ દેશ તરીકે જાહેર કરવા માંડ્યા, તેમાંનો એક પ્રદેશ બોસ્નિયા પણ ખરો. આઝાદીની આ લહેરે આ પ્રદેશમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતા જાતિવાદને વધુ ભડકાવ્યો. બોસ્નિયામાં મુખ્યત્વે ત્રણ સમુદાયના લોકો વસે છે. ક્રોઆટ, મુસ્લિમ અને સર્બિયન. ક્રોઆટ અને મુસ્લિમ પ્રજા આઝાદ થવા માગતી હતી જ્યારે સર્બિયન પ્રજાનો આ અંગે વિરોધ હતો. માર્ચ ૧૯૯રમાં આ મુદ્દે જનમત લેવાયો. જેમાં આઝાદી ઇચ્છતા વર્ગની જીત થઈ. અને તેના આધારે ક્રોઆટ-મુસ્લિમ વર્ગે યુગોસ્લાવિયાથી અલગ હોવાની ઘોષણા કરી. આનાથી નારાજ સર્બિયન સમુદાયે જાહેર કર્યું કે તેમની વસાહતવાળો વિસ્તાર ‘સર્બ રિપબ્લિક’ નામે અલગ દેશ કહેવાશે, અને બસ… આ મુદ્દે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. ત્રણેય સમુદાયોમાં સર્બિયન વધુ શક્તિશાળી હતા. તેનાં કારણોમાં એક મહત્ત્વનું ‘સર્બિયા’ નામે પાડોશી દેશ પણ ખરો. ત્યાં સર્બિયનો જ વસતા હતા. તેમણે આ સર્બ સમુદાયને ખાસ્સી મદદ કરી. સર્બિયનોએ ક્રોઆટ અને મુસ્લિમ વર્ગ પર ઘણી હિંસા આચરી અને ત્રાસ ગુજાર્યો. આખરે સંયુક્ત રાષ્ટ્ર અને નાટોની દરમિયાનગીરી પછી છેક ૧૯૯પમાં આ યુદ્ધનો અંત આવ્યો. જોકે, ત્યાં સુધીમાં એક લાખ ઉપરાંતનાં મોત, રર લાખ લોકોનાં સ્થળાંતર અને અંદાજે ૧રથી પ૦ હજાર સ્ત્રીઓ પર બળાત્કારની ઘટના બની ચૂકી હતી.

– સં. (Courtesy: britanica.com & thelallantop.com)

Loading

...102030...1,4431,4441,4451,446...1,4501,4601,470...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved