Opinion Magazine
Number of visits: 9458900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જરૂર પડે તો રશિયા કે અમેરિકામાંથી કોઈ પણ ભારત સાથે ઊભું નથી રહેવાનું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 April 2022

યુદ્ધમાં તેલ યુક્રેનનું નીકળી રહ્યું છે ને તેલ લેવા ભારત જાય કે ન જાય, પણ રશિયા તેલ આપવા સામેથી  આવ્યું છે ત્યારે તેલ અમેરિકાને રેડાઈ રહ્યું છે. માનો કે ના માનો, પણ ભારતનો દબદબો વિશ્વમાં વધી રહ્યો છે. થોડા દિવસ પર ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા અને ભારત સાથેના સંબંધો અંગે ચર્ચા કરી ગયા. રશિયાનું ક્રૂડ રૂબલ-રૂપીમાં ખરીદાય એવું લાગતાં અમેરિકાએ ભારતને ધમકાવવા તાબડતોબ દલીપસિંહને મોકલી આપ્યા, એ પછી એપ્રિલફૂલ બનાવતા હોય તેમ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા અને યુક્રેન યુદ્ધ સંદર્ભે ભારતનાં તટસ્થ વલણની તેમણે ભૂરી ભૂરી પ્રશંસા કરી. ભારતીય વડા પ્રધાન મોદીને, રશિયન રાષ્ટ્રપતિ પુતિને એ વલણ બદલ ‘થેન્ક યૂ’ પણ કહેવડાવ્યું છે. રશિયાની અને ભારતની નીતિ રાષ્ટ્રીય હિતોની જાળવણીની છે, જેથી રશિયા અને ભારતની મૈત્રી મજબૂત થઈ છે, એ વાતે ખુશ થઈને રશિયા ભારતને ચર્ચા, ખરીદી કે અન્ય કોઈ પણ બાબતે તમામ મદદ કરવા તૈયાર છે, એટલું જ નહીં, યુદ્ધ પહેલાંના ભાવે બેરલ પર 35 ડોલરના ડિસ્કાઉન્ટથી ક્રૂડ આપવાની ઓફર પણ લાવ્યું છે. રશિયા અગાઉ ક્યારે ય આટલું વરસ્યું ન હતું, વરસવાનું કારણ એટલું જ છે કે ભારત શસ્ત્રોની ખરીદી ચાલુ રાખે ને નક્કી કર્યા મુજબ 1.5 કરોડ બેરલ ક્રૂડ ખરીદે. રશિયાએ એટલી ગરજ પણ બતાવી છે કે આ સોદો તે રાષ્ટ્રીય ચલણમાં કરવા પણ તૈયાર છે. આ બધું રશિયા કરે જ, કારણ રશિયાને અમેરિકાએ એકલું પાડવા પ્રતિબંધો મૂક્યાં છે. એ સ્થિતિમાં કોઈ કાકો ય તેનું ક્રૂડ ખરીદે એમ નથી. જો ક્રૂડ ન ખરીદાય તો કરોડો બેરલ ક્રૂડ ફાજલ પડે. હવે એનો નિકાલ જો ભારત ખરીદીને કરી આપતું હોય તો રશિયાને તે વહાલું લાગે ને તે ઓફરો આપીને પુચકારે તેમાં નવાઈ નથી.

રશિયા, ભારતને મદદ કરવાને બહાને ખરેખર તો અમેરિકાને પીળું પાડવા માંગે છે. જો રશિયન ચલણમાં સોદો થાય તો અમેરિકી ડોલર નબળો પડે ને ડોલર તૂટે તો અમેરિકા પણ તૂટે. એટલે ભારતીય મૂળના અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપસિંહને અમેરિકાએ ભારત દોડાવ્યા ને તેમણે મોનિટરની જેમ ભારતીય (હાઇ)ક્લાસને ધમકાવી નાખ્યો કે રશિયન ક્રૂડ ખરીદ્યું છે તો પરિણામ ભોગવવું પડશે. શું ભોગવવું પડશે તે ન કહ્યું, પણ સારું નહીં થાય તે તો ખરું જ. આમ તો રશિયા પર અમેરિકાએ જે પ્રતિબંધો લાદ્યા છે તેમાં દલીપસિંહનું જ ભેજું પડેલું છે, એટલે એ ભારતને ધમકાવે તેમાં નવાઈ નથી. રશિયન ક્રૂડ એકલું ભારત નથી વાપરતું, બીજાં ઘણા યુરોપિયન દેશો તેલ અને ગેસ રશિયા પાસેથી લે છે, એટલે જો પરિણામ ભોગવવાનું હોય તો એ દેશોએ પણ ભોગવવાનું થાય, પણ એને વિષે કૈં નથી કહેવાયું, તો ધમકી ભારતને જ કેમ? ભારતને એટલા માટે કે તટસ્થ રહીને ભારત, રશિયાની વધુ નજીક આવી ગયું છે. અમેરિકાને કબજિયાત એ છે કે ભારત-રશિયાના આર્થિક સંબંધો મજબૂત થવા જઈ રહ્યા છે ને એ અંગે ભારતને તે સીધું દબડાવી શકે એમ નથી ને ચૂપ પણ રહી શકે એમ નથી. ભારતને અમેરિકાની જરૂર હોય કે ન હોય, પણ અમેરિકાને ભારતની જરૂર છે એ ખરું, સાચું તો એ છે કે કોઈ પણ દેશ ભારતને અવગણી શકે એમ નથી. દલીપસિંહે નાક દાબીને મોં ખોલાવવા ચીનની યાદ અપાવીને કહ્યું કે કાલ ઊઠીને ચીન એલ.એ.સી.(લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ)નો ભંગ કરીને ઉપદ્રવ કરશે તો રશિયા બચાવવા નહીં આવે, ત્યારે અમેરિકા જ પડખે ઊભું રહેશે. ખરેખર તો ચીન ને ભારત વચ્ચે કૈં થાય તો તે બે દેશો વચ્ચેનો મામલો હશે, એટલે ભારતે ચોખ્ખું સંભળાવી દીધું છે કે ચીન સાથે જે થશે તે ભારત જોઈ લેશે. એની ચિંતા અમેરિકાએ કરવાની જરૂર નથી.

એક સમયે આ જ અમેરિકાએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે  તેનો વાંધો નથી, કારણ આ વાત રશિયા પર મુકાયેલા પ્રતિબંધોના દાયરામાં આવતી નથી, પણ પછી જાણ્યું કે ભારતે રશિયન ક્રૂડની પોતાની માંગ અસાધારણ રીતે વધારી દીધી છે ને હવે તો 35 ડોલરનું બેરલ દીઠ ડિસ્કાઉન્ટ આપતું ક્રૂડ ખરીદે એમ છે તો અમેરિકાનું માથું ચડે એમ બનવાનું. આમ તો ગયા આખા વર્ષમાં 1.6 કરોડ બેરલ ક્રૂડ ભારતે ખરીદ્યું હતું ને તે અત્યાર સુધીમાં તો 1.3 કરોડ બેરલ જેટલું તો ખરીદી ચૂક્યું છે. આ અમર્યાદ ખરીદી અમેરિકાને કઠે એમાં નવાઈ નથી. કઠે એટલે કારણ, એમ થાય તો રશિયાને પ્રતિબંધોથી ઘેરવાની અમેરિકાની જે ચાલ હતી તે નબળી પડે. અમેરિકાની ગણતરી એવી છે કે પ્રતિબંધોથી રશિયા પર આર્થિક સંકટ ઊભું થાય ને તો જ તે યુદ્ધમાં ઢીલું પડે. તેને બદલે ભારત જેવું મોટું માથું ક્રૂડ ખરીદનારું મળે ને તે પણ રૂબલ-રૂપીમાં, તો રશિયાનું ચલણ તો મજબૂત થાય જ ને અમેરિકી ડોલર નબળો પડે, એ સ્થિતિમાં રશિયા નબળું પડવાની વાત તો દૂર રહી, અમેરિકાને જ હાથના કર્યા હૈયે વાગે એવું થાય. એવું કશું ન થાય એટલે ભારતને ધમકાવવા ભારતીય મૂળના જ દલીપસિંહનો ઉપયોગ થયો. એમણે ચીનને આગળ કરીને અમેરિકા જ ભારતને મદદ કરશે એવી વાત કરી, એ વાત વાહિયાત છે. એ ખરું કે રશિયા પણ, ચીન આક્રમણ કરે તો ભારતની પડખે નહીં જ રહે, કારણ ભારત મિત્ર હોય તો ભલે, પણ ચીન તેનો મોટો ભાઈ છે. ‘62ના ચીન સાથેના યુદ્ધનો ભારતનો એ અનુભવ છે કે રશિયા ભારતને મદદ કરવાથી દૂર રહ્યું હતું. હા, 1971ના યુદ્ધ વખતે અમેરિકાએ ભારતને ડરાવવા નૌકા કાફલો મોકલેલો ત્યારે રશિયા ભારતની પડખે ઊભું રહ્યું હતું તે સાચું, પણ ચીનને મામલે રશિયા, ભારતને મદદ ન જ કરે તે ભારતે પણ સમજી લેવાનું રહે.

રહી વાત અમેરિકાની, તો એ ભારતને પડખે તો ઠીક, કોઇની પણ પડખે ઊભું ન રહે એટલું બહાદુર છે. અમેરિકા અને નાટોએ યુક્રેનને હોલસેલમાં ઉલ્લુ બનાવ્યું છે તે દુનિયા જાણે છે. આજ અમેરિકા અને બ્રિટને, યુક્રેનને અણુશસ્ત્રો વગરનું કર્યું ને હવે યુક્રેને પોતાનાં જીવ પર લડવું પડે એ સ્થિતિ છે. અમેરિકા અને નાટો લોક લાજે મદદ કરવા મોડે મોડે તૈયાર થયા છે, પણ લડવાનું ને લોકો કે સૈનિકોને ગુમાવવાનું તો માત્ર ને માત્ર યુક્રેનને ભાગે જ આવ્યું છે. એ ખરું કે અમેરિકા, યુરોપીય યુનિયન અને નાટો ખુલ્લેઆમ રશિયાની વિરુદ્ધ પડ્યા છે, ત્યારે ભારત, રશિયા વિરુદ્ધ મત આપવાથી દૂર રહ્યું છે. એનો અર્થ એવો પણ ખરો કે તે છૂપી રીતે રશિયાની તરફેણમાં છે. વિરુદ્ધ હોત તો તે અમેરિકા ને અન્ય રાષ્ટ્રો સાથે જ ઊભું રહ્યું હોત, પણ એવું નથી. એમાં જો ભારત તેની ક્રૂડની ખરીદીનો મોટો ઓર્ડર આપે ને રશિયન વિદેશ મંત્રી ડિસ્કાઉન્ટેડ રેટથી રૂબલમાં ખરીદીની ઓફર સામેથી આપે ને ભારત તેની જરૂર કરતાં વધુ ક્રૂડ ખરીદવા તૈયાર થાય તો અમેરિકા એટલું નાદાન નથી કે ભારતનો અમેરિકા તરફી ઝુકાવ ઘટી રહ્યો છે તે ન સમજે. એ સંજોગોમાં અમેરિકા ભારત સાથેનો છેડો ફાડે તો ચીનની સામે ભારતની ઢાલ ધરવાનું જ બંધ થાય. એ અમેરિકા ન થવા દે ને ભારત સાથે અમેરિકા સારાસારી તો રાખે જ ! એ જ કારણે શરૂઆતમાં રશિયન ક્રૂડની ખરીદી અંગે અમેરિકાને ભારત સામે વાંધો ન હતો, પણ રશિયા પાસેથી રાષ્ટ્રીય ચલણમાં ક્રૂડની ખરીદીની છૂટ મળે તો અમેરિકાનો ડોલર તૂટે ને તે તો અમેરિકાને જ તોડે. ભારત જો રૂબલ-રૂપીમાં ખરીદી ન કરે તો કદાચ અમેરિકાને એટલો વાંધો ન પડે એમ બને, પણ આ તો રૂબલની ઓફર સામેથી આવી છે એટલે જ કદાચ અમેરિકાએ ભારતને ધમકાવ્યું છે, એ પણ છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની જેમ ક્વાડનું ભારત પણ સભ્ય છે. બીજાં ત્રણ રાષ્ટ્રો રશિયાનો વિરોધ કરતાં હોય ને ભારત તેનો વિરોધ કરવાનું ટાળે તો તે પણ અમેરિકાને ન ગમે, પણ અમેરિકાએ એ સમજી લેવું જોઈએ કે ભારત ખંડિયું રાષ્ટ્ર નથી. તેની પોતાની અલગ ને આગવી ઓળખ છે. તે વગર તેનાં વડા પ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર ન થાય.

અમેરિકા ભારતને નાદાન ન સમજે. ભારત તેની ધમકીને ઘોળીને પી જાય એટલું મેચ્યોર્ડ તો છે જ. અત્યારે ભારત સંદર્ભે અમેરિકાની સ્થિતિ સાપે છછુંદર ગળ્યાં જેવી છે. અમેરિકાની ધમકીની અસર થાય ન થાય ત્યાં તો બીજે જ દિવસે રશિયન વિદેશ મંત્રી ઘણી બધી ઓફરો સાથે ભારત આવ્યા. આમ જોઈએ તો આ બધા શિખાઉ દાવપેચ છે. લાગે છે તો એવું કે રશિયા ભારતને પટાવે છે ને અમેરિકા ભારતને ધમકાવે છે, પણ બંને નાદાન એ વાતે છે કે જે દેશ બધે સસ્તું વેચાતું હતું ત્યારે પણ પેટ્રોલ મોંઘું વેચતું હોય તે, રશિયા ડિસ્કાઉન્ટ આપે તો ફુલાઈ જાય એટલો ભોળો નથી. રશિયા ડિસ્કાઉન્ટ આપે એટલે ભારત તેનાં લોકોને ડિસ્કાઉન્ટ આપે એવું તો હવે સપનું પણ પડે એમ નથી. ભારત એટલું મેચ્યોર્ડ છે જ કે તે શ્રીલંકાને 40,000 મેટ્રિક ટન ડીઝલની સહાય કરે ને ઘર આંગણે ઓઇલ મોંઘું વેચે. ભારત કોઈ પટાવે કે પતાવે એટલાથી પટી કે પતી જાય એટલું મૂરખ રાષ્ટ્ર નથી તેની દુનિયાએ ગંભીરતાથી નોંધ લેવા જેવી છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઍપ્રિલ 2022

Loading

એકવીસમી સદીના પડકારો (Challenges)

નટવર ગાંધી|Opinion - Opinion|4 April 2022

1950માં આર્ષદૃષ્ટા પત્રકાર વજુ કોટકે ‘ચિત્રલેખા’ સામયિકની શરૂઆત કરી. ત્યાર પછીના લગભગ સિત્તેર વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફારો થયા. યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રોની જકડમાંથી અનેક ગુલામ પ્રજાને મુક્તિ મળી અને નવા દેશો સ્થપાયા. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછી જ્યારે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ, ત્યારે તેમાં 51 દેશો હતા, આજે એમાં 193 છે.

અણુવિગ્રહ (Nuclear war)

1945માં ભલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, છતાં જગતની બે મહાસત્તાઓ — અમેરિકા અને સોવિયેત રશિયા — વચ્ચે જે હરીફાઈ અને હુંસાતુંસી હતી તે તો ચાલુ જ રહી, પણ એ ઠંડા યુદ્ધ (cold war) ફેરવાઈ ગઈ. 1945 પછી એ બન્ને ક્યારે ય એક બીજા સામે સીધે સીધા યુદ્ધે ચડ્યા નથી. પરિણામે પહેલા બે વિશ્વ યુદ્ધોમાં જે મહાવિનાશ થયેલો તે દુનિયાએ છેલ્લા સાતેક દાયકાઓમાં જોયો નથી.  

બન્ને મહાસત્તાઓ અણુ શસ્ત્રોથી સજ્જ છે. હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા મહાવિનાશથી બન્ને ચેતેલા છે. એક વાત સ્પષ્ટ હતી કે હવે જો બન્ને વચ્ચે જો કોઈ યુદ્ધ થાય તો તેમાં સર્વત્ર માનવજાતિનો વિનાશ થવો શક્ય છે. આ કારણે બીજા વિશ્વયુદ્ધ પછી જે નાના મોટા યુદ્ધો થયા –કોરિયા (1950-53), વિએટનામ (1955-75), અફઘાનિસ્તાન (2001-21), ઇરાક (2003-11) — તેમાં ક્યારે ય આ મહાસત્તાઓ એક બીજાની સામે સીધેસીધી મેદાને પડી નથી. એટલે આ લડાઈઓ ક્યારે ય વિશ્વવ્યાપી બની નથી.

પહેલા તો સદીઓની સદી સુધી વિશ્વની, ખાસ કરીને યુરોપની મહાસત્તાઓ એક બીજા સાથે યુદ્ધો કર્યા કરતી હતી. છેલ્લા સાત દાયકાઓમાં દુનિયામાં આવા કોઈ મહાવિનાશકારી યુદ્ધ થયા નથી એ ઇતિહાસની એક મહાન અપવાદરૂપ ઘટના ગણાય.

છેલ્લા સાતેક દાયકાઓમાં રશિયા અને અમેરિકા વચ્ચે એક વણલખી સમજૂતી રહી છે કે એક બીજા સામે મેદાને નહીં પડવું. આને લીધે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 1950 પછી કોઈ વિશ્વયુદ્ધ જેવા  વિનાશકારી વિગ્રહ થયા નહીં અને શાંતિ જળવાઈ રહી. દેશદેશો વચ્ચે વ્યવહાર, વ્યાપાર, આવજા, લેવડદેવડ વધી. દુનિયા આખીમાં, ખાસ કરીને ગરીબ દેશોમાં, આર્થિક વિકાસ અને પ્રગતિ થઈ અને ગરીબી ઘટી. આપણા દેશનો જ વિચાર કરો તો 1950માં આપણે ત્યાં 70% લોકો અત્યન્ત ગરીબીમાં જીવતા હતા, આજે 21%. રશિયાના યુક્રેન ઉપર થયેલા આક્રમણને કારણે આ પરિસ્થિતિ જોખમમાં મુકાઈ છે.

અમેરિકા અને પશ્ચિમના દેશોએ યુક્રેનના આક્રમણનો વિરોધ કરવા માટે રશિયાને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને બીજા વ્યવહારમાંથી બાકાત કર્યું છે. એની સામે રશિયાએ યુરોપમાં ગેસ અને ઓઇલનો એક્સપોર્ટ બંધ કરવાની ધમકી આપી છે. આ કારણે ગેસ અને ઓઈલના ભાવ વધી ગયા છે અને હજુ વધતા જશે. અમેરિકન શેર બઝારમાં પણ એના પડઘા પડ્યા છે જો કે બીજી આવી કટોકટીઓનો ઇતિહાસ એમ કહે છે કે આવી અવળી અસર લાંબો સમય ટકશે નહીં. છતાં ગેસ અને બીજી કમોડિટીના વધતા જતા ભાવને કારણે દુનિયા આખીમાં, ખાસ તો પશ્ચિમના દેશોમાં ફુગાવો જરૂર વધશે.

યુક્રેન ઉપર થયેલ આક્રમણથી બચવા ત્યાંના નાગરિકો લાખોની સંખ્યામાં દેશ છોડીને આજુબાજુના દેશોમાં જવા લાગ્યા છે. યુદ્ધના પહેલા દસ દિવસમાં જ લગભગ 20 લાખ નિરાશ્રિતો પોલાન્ડ, માલ્ડોવા, રુમાનિયા, સ્લોવેકિયા, અને હંગેરી જેવા પાડોશી દેશમાં આવી પડ્યા છે. જેમ જેમ યુદ્ધ લંબાતું જશે તેમ તેમ આ નિરાશ્રિતોની સંખ્યા વધતી જવાની છે.

પરંતુ સૌથી મોટો પ્રશ્ન, કહો કે પડકાર (challenge) એ છે કે એ યુક્રેનનું યુદ્ધ બન્ને મહાસત્તાઓ વચ્ચે અણુયુદ્ધમાં ન પરિણમે તે જોવાનું છે. નહીં તો માનવજાતિનો મહાવિનાશ થાય એવી શક્યતા છે. રશિયાનું આ ખુલ્લમ્‌ખુલ્લું આક્રમણ જો યુરોપમાં પ્રસરે તો નેટો(NATO)ની સંધિ અને કરારો મુજબ અમેરિકાએ પણ યુદ્ધમાં સીધેસીધું જોડાવું પડશે. અમેરિકા અને યુરોપના દેશો યુક્રેનને શસ્ત્રો આપે છે અને બીજી મદદ પણ કરે છે. છતાં અત્યારે તો આ આક્રમણ અણુયુદ્ધ સુધી ન પહોંચે એવી સાવચેતી બન્ને રશિયા અને અમેરિકા રાખે છે.

ગ્લોબલ વોર્મિંગ (Global warming) અને કલાઇમેટ ચેન્જ (Climate change)

એકવીસમી સદીનો બીજો મોટો પડકાર છે ગ્લોબલ વોર્મિંગ (global warming) અને કલાઇમેટ ચેન્જ(climate change)નો.  માનવ પ્રજાએ આર્થિક વિકાસ માટે જે આંધળી દોટ મૂકી તેમાં કુદરતી વાતાવરણનો ઝાઝો વિચાર થયો નથી. ઔદ્યોગિક ક્રાંતિ પછી પૃથ્વીનો ગરમાટો સતત વધતો જ રહ્યો છે. એટલું જ નહીં, પણ આગળપાછળનો વિચાર કર્યા વગર પૃથ્વીની ભૌતિક સમૃદ્ધિનું પણ અસાધારણ શોષણ થયું છે. આને કારણે આપણું નૈસર્ગિક વાતાવરણ, ખાસ કરીને હવા અને પાણી ખૂબ કલુષિત થયા.

જે મહાન નદીઓને કાંઠે વિશ્વની મહાન સંસ્કૃતિઓ ઘડાઈ તેમાંની મોટા ભાગની આજે અત્યન્ત કલુષિત થઈ ગઈ છે. જેમ કે ઇન્ડોનેશિયાની સીટર્મ (Citarum), આપણી ગંગા અને યમુના, બાંગલાદેશની બરીગંગા (Buriganga), ચીનની યલો (Yellow River), કે અમેરિકાની મિસિસિપી (Mississippi).  આ નદીઓનાં પાણી પીવાને લાયક કે એમાં ડૂબકી મારવાને લાયક રહ્યાં નથી. આપણે ત્યાં એવી માન્યતા છે કે માણસ ગંગામાં ડૂબકી મારે તો સ્વર્ગે જાય. આજની ગંગા એવી તો ગંદી છે કે એમાં કોઈ જો ડૂબકી મારે તો એને કદાચ સ્વર્ગને બદલે હોસ્પિટલ જવું પડે!

તેવી જ રીતે દુનિયાના મહાન શહેરો પણ એટલા જ કલુષિત થયા છે. દુનિયાના સૌથી વધુ કલુષિત (polluted) 50 શહેરોમાં 44 તો આપણા દેશના છે!  જેમાં ગાઝિયાબાદ, લખનઉ, નોઈડા, કાનપુર વગેરેનો સમાવેશ થાય છે. ચીનના બે શહેરો — આકસુ (Aksu) અને કાશગર (Kashgar) પણ અત્યંત કલુષિત છે. આ શહેરો ત્યાંના રહેવાસીઓ માટે ખૂબ જોખમી બની ગયા છે, છતાં કરોડોની સંખ્યામાં લોકો વખાના માર્યા ત્યાં રહે છે. ચિંતાનો વિષય એ છે કે આ અને આવા કલુષિત શહેરોની વસ્તી વધ્યે જ જાય છે.

વધુમાં ક્લાઈમેટ ચેન્જને કારણે પૃથ્વીનો ગરમાટો એવો તો વધ્યો છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર સદીઓથી જમા થયેલ બરફની મોટી પાટો ઓગળવા માંડી છે. પરિણામે જગતભરના દરિયાઓ છલકાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઠેર ઠેર દરિયા કાંઠે વસતાં શહેરો ભયન્કર જોખમમાં છે.  આવતાં પચાસેક વરસમાં આપણું મુંબઈ, અમેરિકાના માયામી, ન્યુ ઓર્લિન્સ કે સાન ફ્રાન્સિસ્કો જેવાં મહાન શહેરો જળબમ્બાકાર થઈ જશે. બાંગલાદેશ જેવા આખા ને આખા દેશ પાણીમાં ડૂબી જાય તો નવાઈ નહીં! તો પછી ત્યાં વસતા અસન્ખ્ય લોકોનું શું થશે?

ક્લાઈમેટ ચેન્જને કારણે હવામાનમાં અને વાતાવરણમાં પણ ધરખમ ફેરફાર થયા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં તેમ જ પૂર્વ ઓસ્ટ્રેલિયામાં વારંવાર દાવાનળ થાય છે. ત્યાંની વનસ્પતિ તેમ જ આજુબાજુ રહેતા લોકોની મોટી જાનખુવારી અને માલમિલકતની હાનિ થાય છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના યુકેલિપટસના આખાને આખા જન્ગલો આ દાવાનળોમાં હોમાઈ જાય છે. અત્યારે જ ઓસ્ટ્રેલિયામાં ભયન્કર પૂર આવવાથી અનહદ નુકશાન થઈ રહ્યું છે.

આમ કોઈ ઠેકાણે દાવાનળ, કોઈ ઠેકાણે પ્રલય જેવા પાણીનાં પૂર, કોઈ ઠેકાણે વરસાદના અભાવે દુષ્કાળ, આવા ક્લાઈમેટ ચેન્જને લીધે આવતાં ત્રીસેક વર્ષોમાં લગભગ 200 મિલિયન લોકોએ પોતાના ઘરબાર અને દેશ છોડવા પડશે. આવી આકરી પરિસ્થિતિ રૂવાંડા, હેતી, યેમન, કીરીબાતી જેવા ગરીબ દેશોની પ્રજાની તો ખરી જ, પણ સાથે સાથે જર્મની અને કેનેડા જેવા સમૃદ્ધ દેશોના લોકોએ પણ પોતાનો દેશ કે મુલક છોડવા પડશે. આ દુર્ભાગ્યમાંથી આપણો દેશ પણ છટકી નહીં શકે. આ દૃષ્ટિએ ક્લાઈમેટ ચેન્જ એ આખી દુનિયાને આવરી લેતી સર્વવ્યાપી અને સર્વવિનાશી મહાન ઘટના છે. તેમાંથી કેમ બચવું એ એકવીસમી સદીનો બીજો મહાન પડકાર છે.

આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)

એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર (challenge) છે આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સનો. ટૂંકમાં એ.આઈ. તરીકે એ ઓળખાય છે. એમ કહી શકાય કે એ.આઈ. દ્વારા કમ્પ્યુટર અને એવી ટેક્નોલોજી ઊભી થઈ છે કે જે માણસની જેમ વિચારી શકે છે અને જુદા જુદા ક્ષેત્રે ઊભા થતા અનેક પ્રશ્નોનો નિકાલ લાવી શકે છે. આનો સૌથી ઉત્તમ દાખલો ટેસ્લા નામની કાર છે. એમાં ડ્રાઈવરની જરૂર નથી. કમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા જેમ જેમ કાર આગળ વધતી જાય તેમ તેમ એને ખબર છે કે ક્યાં બ્રેક મારવી, ક્યાં ગેસ પેડલ ઉપર દબાણ લાવી ગાડીની સ્પીડ વધારવવી કે ઘટાડવી, ક્યાં વળાંક લેવો, એક્સિડન્ટ થયો ત્યારે શું કરવું. આપણે તો ખાલી ગાડીમાં બેસી જ રહેવાનું અને ખેલ જોવાનો!

એ.આઈ.નો બીજો દાખલો છે : સિરી (Siri). આ ટેક્નોલોજી એપલ કંપનીના આઈ ફોન તેમ જ આઈ પેડમાં સમાવાઈ છે. જાણે સિરી આપણી સેક્રેટરી હોય એમ એ બધું કામ કરવા હાજરાહજૂર છે. આપણે ખાલી એને કહેવાનું કે શું કરવું. આપણે એને કહી શકીયે કે કોને ફોન કરવાનો છે, કયો રસ્તો લેવાનો છે, કોને વોઇસ મેલ કરવાનો છે — આ બધા હુકમોનું એ કોઈ આજ્ઞાંકિત સેક્રેટરી તરીકે સામું બોલ્યા વગર પાલન કરે! આગળ વધીએ તો હવે ડ્રોનની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિલિટરી ઓફિસરો ઘરે બેઠા બેઠા દૂરના કોઈ અભાગિયા દેશ ઉપર બૉમ્બ ફેંકી શકે છે.

મૂળમાં જે કામ આપણે કરતા હતા તે બધું હવે મશીન કરી શકે છે. આ કારણે જોબ માર્કેટમાં મોટા મોટા ફેરફાર થવા મંડ્યા છે. દાખલા તરીકે બુકકીપીંગ, ડેટા એન્ટ્રી, રીસેપ્શનિસ્ટ, પ્રૂફરીડીન્ગ, મેન્યૂફેક્ચરિંગ, કુરીઅર સર્વિસ વગેરે કામો એ.આઈ. કરી શકે છે. આવા જોબ્સ જો મશીન કરવા માંડશે તો તે એ બધું કામ કરતા લોકોનું શું? ચિંતાનો વિષય એ છે કે આવતા દાયકામાં લગભગ 70 ટકા જોબ્સ માણસો નહીં પણ એ.આઈ. કરશે! આનો અર્થ એ થયો કે લાખો અને કરોડો લોકો બેકાર થશે. તો પછી એમની રોજગારીનું શું? નવા કામધન્ધા કરવા માટે એમણે નવી સ્કિલ શીખવી પડશે. એ પાકા ઘડે નવા કાંઠા કેમ ચડે? આ એ.આઈ.ને કારણે શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં ધરખમ ફેરફાર કરવા પડશે. આ છે એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર.

ગ્લોબલાઇઝેશન (Globalization)

ગ્લોબલાઇઝેશન (globalization) એ માનવજાતિ માટે એકવીસમી સદીનો ચોથો મોટો પડકાર (challenge) છે. કૂદકે અને ભૂસકે આગળ વધતી ટેક્નોલોજીને કારણે આગળ જોયું તેમ આપણને એ.આઈ. (આર્ટીફીસિયલ ઇન્ટિલિજિન્સ) મળ્યું. તેમ જ હવે ઇન્ફોર્મેશન હાઇવે મળ્યા. આ બન્નેને લીધે દુનિયાની કોઈ પણ પ્રજા દૂર કે નજીકની બીજી પ્રજાથી અલગ રહી શકતી નથી. આપણને ગમે કે ન ગમે પણ આપણું સર્વસ્વ અસ્તિત્વ અન્ય દેશો અને અન્ય પ્રજાઓ સાથે ગૂંથાઈ ગયું છે. આપણાં ખોરાક, પોષાક, ગીતસંગીત, બોલચાલ, ભણતર, આચારવિચાર, કામધંધા, વેપાર, આયાત નિકાસ, વગેરે બધું જ ટેક્નોલોજીને કારણે દેશ વિદેશની અસર નીચે થાય છે. એવી જ રીતે આપણે બીજી પ્રજાઓ ઉપર પણ આપણી અસર ફેલાવીએ છીએ.

વિચાર કરો કે આજથી પચાસેક વરસ પહેલાં મારા કુટુંબીજનોને મારી સાથે અમેરિકામાં વાત કરવા ટેલિફોનનું કનેક્શન મેળવતા આખો દિવસ નીકળી જતો. કનેક્શન મળ્યા પછી પણ ભાગ્યે જ બરાબર સંભળાતું. આજે દેશના કોઈ પણ ખૂણેથી મોબાઈલ દ્વારા કોઈ પણ માણસ દુનિયાના કોઈ પણ દેશમાં વસતા લોકો સાથે ફટ કરીને ચોખ્ખેચોખ્ખી વાતચીત કરી શકે છે. ટેક્નોલોજીની આ અજાયબીથી જ આંતરરાષ્ટ્રીય કંપનીઓ આજે લાખો અને કરોડોનો નાણાંકીય વ્યવહાર મોબાઈલ ઉપરથી તત્કાલ કરી શકે છે.  દૂર દૂરના દેશો સાથે મોટા આયાત નિકાસના ધન્ધા કરે છે.

ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશો પણ આ આંતરરાષ્ટ્રીય આવનજાવન કે લેણદેણમાંથી બાકાત નથી. યુક્રેન ઉપર કરેલા આક્રમણ માટે રશિયા ઉપર પગલાં લેવા માટે અમેરિકા અને પશ્ચિમના દેશોએ લશ્કરના કોઈ ધીંગાણાં કર્યા નથી. માત્ર એની સાથેનો નાણાંકીય અને અન્ય વ્યવહાર બંધ કરી દીધો અને તેની આર્થિક પરિસ્થિતિ જોતજોતામાં એકદમ નબળી કરી નાખી.

આપણે ત્યાં તેમ જ બીજે ઘણે ઠેકાણે આ ગ્લોબલાઇઝેશન દ્વારા પશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા ગરીબ દેશોનું શોષણ કરે છે એવો આક્ષેપ મુકાય છે અને એનો વિરોધ થાય છે. પણ ગ્લોબલાઇઝેશન ઉપર પ્રતિબન્ધ મુકવો એ પગ પર કુહાડી મુકવા જેવી વાત છે. આપણે જો આર્થિક પ્રગતિ કરવી હોય તો આ ગ્લોબલાઇઝેશન સિવાય છૂટકો નથી. આપણા શાસ્ત્રોમાં જે વસુધૈવ કુટુંબકમ્‌ની વિભાવના કરાઈ છે તેનું સાચા અર્થમાં આ વર્તમાન સ્વરૂપ છે.

બાઇબલમાં મહાવિનાશના ચાર ઘોડેસવારોની(the four horsemen of the apocalypse)ની કલ્પના થઈ છે. આ  ઘોડેસવારો એમની સાથે મહાન યુદ્ધ, ભયન્કર દુષ્કાળ, ભયાનક મહામૃત્યુ કે પરાજય જેવા વિનાશ લાવે છે. અહીં આપણે જેની ચર્ચા કરી છે તે ચારે પડકારો — અણુવિગ્રહ, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ, આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલાઇઝેશન — તે એકવીસમી સદીના મહાવિનાશના ઘોડેસવારો જેવા છે. એમનાથી બચવા માટે આપણે ઉકેલ શોધવો જ રહ્યો. એમાં જો આપણે પાછા પડ્યા તો એમાં મને માનવજાતિના મહાવિનાશના ભણકારા સંભળાય છે.

વોશિંગ્ટન, માર્ચ 7, 2022

(શબ્દસંખ્યા 1714)

પ્રગટ : “ચિત્રલેખા” 71 : વાર્ષિક વિશેષાંક :  પૃ. 38-44 

Loading

લગ્નમાં જ્ઞાતિબાધ અને જ્ઞાતિ બહાર લગ્ન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 April 2022

૨૦૦૩ના વર્ષમાં તમિલનાડુમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર એક દંપતીને તેના કુટુંબીજનોએ જીવતું જલાવી દીધું હતું. કથિત નિમ્ન જ્ઞાતિની યુવતી સાથે કથિત ઉચ્ચ વર્ણના યુવકનું લગ્ન કુટુંબને સ્વીકાર્ય નહોતું. ‘ઑનર કિલિંગ’ કહેતાં જ્ઞાતિગુમાનને કારણે થયેલી આ હત્યાનો અઢાર વરસે, ૨૦૨૧માં ચુકાદો આવતાં હત્યારા કુટુંબીજનોને જિલ્લા અદાલતે મૃત્યુ દંડની સજા ફરમાવી છે. કર્ણાટકના બેલગાવી જિલ્લાની યુવતીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતીય લગ્ન કરતાં માતાપિતાએ તેમની દીકરીના અપહરણ અને ભોળવીને લગ્ન કર્યાની પોલીસ ફરિયાદ કરી હતી. મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચતા ગયા વરસે અદાલતે પોલીસ ફરિયાદ રદ્દ કરવાના આદેશ સાથે માબાપને આંતરજ્ઞાતીય લગ્નના સ્વીકારની સલાહ આપી હતી. અદાલતે સમાજને જૂનાપુરાણા નાતજાતના બંધનો છોડી દેવા જણાવી ઉમેર્યું હતું કે જ્ઞાતિબાધ વિનાના લગ્નોથી જ્ઞાતિઓ અને સમુદાયો વચ્ચેનો તણાવ ઓછો થશે.

બંધારણને અનુસરીને અદાલતોએ આપેલા આ ચુકાદા આંખમાથા પર રાખીને પણ એ વાસ્તવ સ્વીકારવું રહ્યું કે દેશમાં આજે ય જ્ઞાતિને ધ્યાનમાં રાખીને જ લગ્નવ્યવહાર થાય છે. ઓનલાઈન વેબસાઇટ્‌સ કે અખબારોમાં આવતી લગ્ન વિષયક જાહેરાતો પર નજર નાંખતા જણાય છે કે લગ્નની પાત્રપસંદગીમાં જ્ઞાતિબાધનું પ્રાધાન્ય હોય છે. આઝાદી પૂર્વે રાજકીય આઝાદીના આંદોલન સાથે જ સમાજસુધારણાનું પણ આંદોલન ચાલતું હતું. આભડછેટનો મુદ્દો દેશના સામાજિક-રાજકીય એજન્ડા પર મુકાયો હતો. ગાંધીજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય સમાજ સુધારકોના પણ આ દિશાના સંનિષ્ઠ પ્રયાસો છતાં આઝાદીના અમૃત પર્વે ભારતીય હિંદુ સમાજ હજુ પણ જ્ઞાતિભેદમાં જકડાયેલો છે. પ્રેમ અને લગ્નની બાબતમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણાને જ મહત્ત્વ આપવામાં આવે છે.

‘નૅશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઈડ ઇકોનોમિક્સ રિસર્ચ’ના ‘ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’ના તારણોમાં જણાવાયું છે કે ભારતમાં પંચાણુ ટકા લોકો જ્ઞાતિમાં જ પરણે છે. માંડ પાંચ જ ટકા લગ્નો જ્ઞાતિ બહાર થાય છે. નાતને તડકે મૂકી પરણી જનારામાં ટચૂકડા અને ખ્રિસ્તીબહુલ ઉત્તરપૂર્વીય રાજ્યોના લોકો મોખરે છે. દેશમાં સૌથી વધુ આંતરજ્ઞાતીય લગ્નો મિઝોરમમાં (૫૫%) થાય છે. તે પછીના ક્રમે મેઘાલય (૪૬ %), સિક્કિમ (૩૮%), જમ્મુ-કશ્મીર (૩૫%) અને ગુજરાત (૧૩%) છે. જાતિભેદ અને સામંતવાદમાં જકડાયેલા ઉત્તર ભારતના રાજ્યોમાં સૌથી ઓછા લગ્નો થાય છે. આ પ્રમાણ મધ્ય પ્રદેશમાં માત્ર ૧ ટકો અને હિમાચલ, છત્તીસગઢ, ગોવામાં માત્ર બે ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. દેશના રાજ્યની કુલ વસ્તીમાં સૌથી વધુ દલિત વસ્તી ધરાવતા રાજ્ય, પંજાબમાં માત્ર ત્રણ ટકા લોકો જ જ્ઞાતિબહાર પરણે છે.

વિદુષી સમાજવિજ્ઞાની ગેલ ઓમવેટે આંતરજ્ઞાતીય લગ્નોની વાસ્તવિકતા પોતાના ગામના ઉદાહરણથી સ્પષ્ટ કરી હતી. હજુ ગયે વરસે જ વિદેહ થયેલાં, અમેરિકી મૂળના ઓમવેટ ભારતની નાગરિકતા મેળવી મહારાષ્ટ્રના પૂણેથી આશરે દોઢસો કિલોમીટરના અંતરે આવેલા કાસેગાંવમાં રહેતાં હતાં. ગામની વસ્તી પંદરેક હજારની છે. વિકસિત અને દેખાવે શહેરી કાસેગાંવ દેશના અન્ય ગામોની તુલનાએ પ્રગતિશીલ પરંપરાઓના ગામ તરીકે જાણીતુ છે. કાસેગાંવમાં છેલ્લા ૫૦ વરસોમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો થયાંનું ગેલ ઓમવેટ ખાતરીપૂર્વક નોંધે છે. ૩૦ પૈકીના ૨૦ દંપતી ગામમાં જ રહે છે. આ હકીકતનું વિષ્લેષણ કરતાં ઓમવેટ લખે છે, “પચાસ વરસમાં ત્રીસ આંતરજ્ઞાતીય લગ્નો, ટકાવારીની દૃષ્ટિએ એક ટકાનો દસમો ભાગ થાય. ૧૫,૦૦૦ની વસ્તીના ગામમાં ૫૦ વરસમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો એટલે ૦.૦૦૧૩૩ ટકા થાય.”

આંતરજ્ઞાતીય લગ્નોમાં ગામડાં અને શહેરો વચ્ચે ખાસ ભેદ નથી. દેશમાં કુલ ૫.૩૪ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. તેમાં શહેરોમાં ૫.૩૭ ટકા અને ગામડાંઓમાં તેનાથી સહેજ જ ઓછા ૫.૩૨ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. વિકાસશીલ સમાજ અધ્યયન કેન્દ્રનું ૨૦૦૪ની રાષ્ટ્રીય ચૂંટણીનું એક સર્વેક્ષણ નોંધે છે કે ૬૦ ટકા ઉત્તરદાતાઓ આંતરજ્ઞાતીય લગ્નો પર પ્રતિબંધ ઇચ્છતા હતા. ૪૭ ટકા શહેરી ભારતીયો પણ આંતરજ્ઞાતીય લગ્નોના પ્રતિબંધની તરફેણમાં હતા. અમેરિકી રિસર્ચ સંસ્થા ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’નો તાજેતરનો એક વ્યાપક સર્વે જણાવે છે કે ૬૪ ટકા ભારતીયો મહિલાઓને આંતરજ્ઞાતીય લગ્નો કરતી રોકવી જોઈએ તેમ માને છે. તો ૬૨ ટકા ભારતીયો માને છે કે પુરુષોએ આંતરજ્ઞાતીય લગ્નોથી દૂર રહેવું જોઈએ.

જો કોઈ યુવક-યુવતી રાજીખુશીથી પરસ્પર પ્રત્યેના પ્રેમને કારણે જ્ઞાતિને બાજુએ હડસેલી પ્રેમ કે લગ્ન કરે, તો તેનો અંજામ ક્રૂર હત્યામાં આવતો હોવાનું અવારનવાર જોવા-વાંચવા મળે છે. કહેવાતી નીચલી જ્ઞાતિમાં લગ્નથી ઉપલી જ્ઞાતિમાં જ્ઞાતિગુમાન જાગી ઊઠે છે અને ઑનર કિલિંગ થાય છે. લોકસભા પ્રશ્નના જવાબમાં રજૂ થયેલ માહિતી મુજબ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન દેશમાં ઑનર કિલિંગની ૧૪૫ ઘટનાઓ બની હતી. સૌથી વધુ ઝારખંડમાં ૫૦ હત્યાઓ ઑનર કિલિંગના નામે થઈ હતી.

મહારાષ્ટ્રના કોલ્હાપુરના પ્રગતિશીલ રાજા શાહૂ મહારાજે છેક ૧૯૧૩(૧૨-૦૭-૧૯૧૩)માં પોતાના રાજ્યમાં જ્ઞાતિબહાર થતા લગ્નોને કાયદેસર ઠેરવતો નિયમ કર્યો હતો. ડૉ. આંબેડકરે ૧૯૩૬માં લાહોરના ‘જાતપાત તોડક મંડળ’ના અધિવેશન માટે તૈયાર કરેલ વ્યાખ્યાન’ એનિહિલેશન ઓફ કાસ્ટ” (જાતિ નિર્મૂલન)માં જ્ઞાતિ પ્રથા નાબૂદીના જે ઉપાયો ચીંધ્યા હતા તેમાં આંતરજ્ઞાતીય લગ્નોને સૌથી વધુ મહત્ત્વના માન્યા હતા. ડૉ.આંબેડકરે કહ્યું હતું “મને ખાતરી થઈ ચૂકી છે કે આંતરજ્ઞાતીય લગ્નો જ જ્ઞાતિના નિકંદનનો સાચો ઉપાય છે. એકલું લોહીનું મિશ્રણ જ સગાંસ્વજન હોવાની લાગણી સર્જી શકે છે. અને જ્યાં સુધી આ સગપણની ભાવના, સગાં હોવાની ભાવના સર્વોપરી નહિ બને ત્યાં સુધી જ્ઞાતિએ સર્જેલી અલગતાની ભાવના, પરાયા હોવાની ભાવના નાશ પામશે નહીં”. અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક માનતા ગાંધીજી આભડછેટ નાબૂદી માટે આંતરજ્ઞાતીય લગ્નોને અસરકારક હથિયાર ગણતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં જ લગ્નોમાં હાજર રહેતા હતા, જેમાં એક પાત્ર કહેવાતા અસ્પૃશ્ય સમાજનું હોય.

દેશમાં આજે જે પાંચેક ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે, તેમાં પુરુષની જ્ઞાતિ જ પત્ની–બાળકોને મળે છે. જો બેમાંથી એક પાત્ર ઉપલી જ્ઞાતિનું અને બળુકું હોય તો સંતાનોને ઉપલી જ્ઞાતિ મળે છે, પરંતુ તેનાથી જ્ઞાતિ તૂટતી નથી. આંતરજ્ઞાતીય લગ્નો, તેને કારણે મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતીય લગ્નોથી શક્ય બનતાં નથી.

“હવે નાતજાત જેવું કશું રહ્યું નથી. ચૂંટણીમાં મીડિયાવાળા જ જ્ઞાતિનું સ્મરણ કરાવે છે.” એવું માનનારો દેશમાં એક મોટો વર્ગ છે, પરંતુ ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોનું નહિવત્‌ પ્રમાણ નાતજાત ખતમ થઈ ગયાનું કહેનારને પડકારે છે. અને ભારતમાં જ્ઞાતિ જડબેસલાક અને હાજરાહાજૂર છે તે સ્વીકારવા મજબૂર કરે છે.      

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 07 

Loading

...102030...1,4411,4421,4431,444...1,4501,4601,470...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved