Opinion Magazine
Number of visits: 9569622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાઘ જો બકરી બને તો બકરી પણ વાઘ બનવા મથે જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 June 2022

શિવાજીએ સુરત લૂંટેલું તો સુરતે શિવસેનાને લૂંટી હોય તેવો ઘાટ થયો છે. મહારાષ્ટ્ર સરકાર જો જાય અથવા તે ભા.જ.પ.નું પડખું સેવે તો એમાં સુરત નિમિત બન્યું એમ કહેવાશે. એક સમયે ગુજરાતમાં, ભા.જ.પ.માં બળવો કરવા કેટલાક ધારાસભ્યોને ખજુરાહો લઈ જવાયેલા, એ જ રીતે શિવસેના વિરુદ્ધ બળવો કરવા શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ સુરત આવવાનું સ્વીકાર્યું છે. એ બતાવે છે કે કોઈક રીતે પણ ઇતિહાસને પુનરાવર્તન ગમે છે. આમ તો સત્તા પ્રજાના કલ્યાણ માટે મેળવાય છે એવું બહાનું એક સમયે આગળ કરાતું, પણ હવે સત્તા, ટકાવી રાખવા ને આત્મકલ્યાણ માટે મેળવાતી હોવાનું લાગે ને ખરી વાત બીજી હોય એમ પણ બને. આ બધાંમાં જો જનકલ્યાણ થઈ જાય તો તેને અકસ્માત જ ગણવાનો રહે.

શિવસેનાના એક પ્રખર કાર્યકર એકનાથ શિંદેએ, શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોને પોતાની સાથે કરી લઈને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો છે ને મહારાષ્ટ્રની આઘાડી સરકારને હચમચાવી દીધી છે. ઉદ્ધવ ઠાકરેની સાથે તેમની શિવસેનાના પૂરતા ધારાસભ્યો રહ્યા નથી ને 55માંથી 42 જેટલા શિવસેનાના ધારાસભ્યો એકનાથ શિંદે સાથે વાયા સુરત આસામના ગુવાહાટી પહોંચ્યા છે. ટૂંકમાં, ઠાકરે સરકાર જોખમમાં આવી પડી છે. કયાં તો વિધાનસભાનું વિસર્જન થાય અથવા તો ભા.જ.પ. સાથે મળીને એકનાથ શિંદે સાથેના ધારાસભ્યો યુતિ સરકાર રચે એમ બને. જો ભા.જ.પ. સાથે સરકાર રચાય તો પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ ફરી મુખ્ય મંત્રી બને અને એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને એમ બને. આમ તો ભા.જ.પ.ના દેવેન્દ્ર ફડનવીસના દોરી સંચારથી જ વાત આટલે સુધી આવી છે એમ પણ લાગે છે. તેનું એક કારણ એ પણ ખરું કે ફડનવીસ અને શિંદે એકબીજાની નજીક છે. એમ પણ મનાય છે કે દિલ્હી દરબારથી આનાં પાનાં ચીપાયાં છે ને ભા.જ.પ.ની આમ પણ કેન્દ્રીય નીતિ એ રહી છે કે જ્યાં પણ ભા.જ.પ. સિવાયની સરકારો છે ત્યાં તે ખસેડીને ભા.જ.પ.નો દાણો ચાંપી જોવો. એ જ ખેલ મહારાષ્ટ્રમાં પણ પડ્યો લાગે છે.

એ જે હોય તે, પણ અત્યારે તો ઉદ્ધવ ઠાકરે, પરિસ્થિતિને પામીને મુખ્ય મંત્રી પદ છોડવાનું મન બનાવીને  બેઠા છે. તેમણે એ વાત એકનાથ શિંદે સુધી પહોંચાડી છે ને અપેક્ષા રાખી છે કે આ ધારાસભ્યો પાછા ફરે. આનો પડઘો શિવસેનાના સાંસદોમાં પણ પડ્યો છે. આમ પણ ઠાકરેએ મહારાષ્ટ્ર પૂરતું જ શિવસેનાનું મહત્ત્વ સ્વીકાર્યું હોય તેમ કેન્દ્રમાં શિવસેનાની જમાવટ બાબતે ઓછી જ ચિંતા કરી છે. એને કારણે શિવસેનાના સાંસદો ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે. તેમાં એકનાથ શિંદેએ માથું ઊંચક્યું એટલે તેમની નારાજગી ઠાકરે પ્રત્યે વધી છે. જો કે, સાંસદો કે ધારાસભ્યોમાંથી કોઈ શિવસેના છોડવા રાજી નથી. તેમની નારાજગી ઠાકરે સામે છે, શિવસેના સામે નહીં. આમ પણ પક્ષપલટાનો કાયદો છે એટલે કોઈ શિવસેનાને છોડીને બીજા પક્ષમાં જવા તૈયાર નથી. શિવસેનાની મજબૂત સંગઠન તરીકેની છાપ છે, તો સવાલ એ થાય કે શિવસેનાને શિવસેનાના જ ધારાસભ્યો જોખમમાં મૂકવાં તૈયાર કેમ થયા? એકનાથ શિંદે જેવા થાણેના રિક્ષાચાલકની પહોંચ ઉદ્ધવના ગળા સુધી કેમનીક વિસ્તરી? એવું ન હતું કે એકનાથ શિંદે પાસે મંત્રીપદું ન હતું. એકનાથ ઉદ્ધવની સરકારમાં મંત્રી હતા જ. ઉદ્ધવને એકનાથ સાથે બાપે માર્યા વેર પણ ન હતાં, એકનાથની શક્તિથી ઠાકરે પૂરેપૂરા પરિચિત હતા, બંને નજીક પણ હતા, છતાં એવું બન્યું કે એકનાથે જીવ પર આવી જઈને ઉધ્ધવ સામે જ મોરચો માંડ્યો.

એક સમયે એકનાથ શિંદે થાણેમાં રિક્ષા ફેરવતા હતા. શિવસેનાના તેજસ્વી ને પ્રખર નેતા આનંદ દીઘેની પ્રતિભાથી અંજાઈને એ શિવસેનામાં પ્રવેશે છે. દીકરા-દીકરી ડૂબી જતાં રાજકારણ છોડે છે ત્યારે દીઘે જ તેને પાછા લાવે છે. પછી તો દીઘેનું જ અકસ્માતમાં મૃત્યુ થાય છે ને એ રાજ્કીય વારસો એકનાથને મળે છે. દીઘેનું તેજ એટલું પ્રખર હતું કે બાળાસાહેબ ઠાકરેને પણ પોતાનું પદ જોખમમાં લાગેલું. દીઘેના મૃત્યુ પછી એકનાથ બાળાસાહેબથી પ્રભાવિત રહ્યા ને ચાર વખત વિધાનસભામાં પહોંચ્યા. એટલે રિક્ષા ફેરવવાથી માંડીને એકનાથને ધારાસભ્યો ફેરવવા સુધીનો અનુભવ હાથવગો થયો. વાત હવે ઉદ્ધવ સરકારની અનિશ્ચિતતા પર આવી છે ને એ એકનાથને કારણે બન્યું છે. એકનાથને એ ખબર છે કે માથું ઊંચકવાનું પરિણામ શું આવશે? વિધાનસભા ભંગ કરવી પડે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. એ જુદી વાત છે કે રાજ્યપાલ વિધાનસભા ભંગ ન કરે ને યુતિ સરકારની શક્યતા પણ ચકાસી જુએ. ચૂંટણી યોજવાને આમ પણ બે વર્ષની વાર છે, ત્યાં રાજ્યપાલ ‘વિધાનસભા ભંગ’ જેવો નિર્ણય ન કરે એમ બને. એટલે લાગે છે તો એવું કે શિવસેનાના 42 અને અપક્ષના 7 મળીને 49 ધારાસભ્યોને સાથે રાખીને ભા.જ.પ. સાથે સરકાર રચાય. એકનાથ શિંદેએ રાજ્યપાલને એવો પત્ર પણ લખાવ્યો છે કે ભા.જ.પ. સાથેની યુતિથી સરકાર રચાય. પણ એ હવે ત્યારે જ શક્ય છે જો એકનાથ શિંદે ગુવાહાટીથી પરત થાય. એ આવે ને ભા.જ.પ. સાથે બહુમતની સ્થિતિ સર્જાય તો જ જુદું કૈં શક્ય છે. એવું થાય તો એકનાથ શિંદે પોતે મુખ્ય મંત્રી થાય એમ બને અથવા તો દેવેન્દ્ર ફડનવીસ મુખ્ય મંત્રી થાય અને એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને.

એવું ઘણાંને લાગે કે એકનાથ શિંદેએ મંત્રી થવા આખો ત્રાગડો રચ્યો છે, પણ એવું નથી. મંત્રીપદ તો હતું જ ને ઉદ્ધવ સાથે કોઈ હિસાબ પતાવવા આ કર્યું છે એવું પણ નથી. શિવસેના જે સિદ્ધાન્ત કે આદર્શોને કારણે શિવસેના બની તેનું સ્વરૂપ ઝાંખું પડી રહ્યું છે એવું લાગતા આ બળવો પોકારવાની શિંદેને ફરજ પડી છે. એ ખરું કે 2019માં યુતિ સરકાર રચાઇ ત્યારે મુખ્ય મંત્રીની રેસમાં એકનાથ શિંદેનું નામ મોખરે હતું. એવું લાગતું હતું કે શિંદે મુખ્ય મંત્રી બનશે ને ઉદ્ધવ શિવસેના પ્રમુખ રહીને સેનાની જવાબદારી સંભાળશે, પણ છેલ્લી ઘડીએ ઉદ્ધવ આગળ થઈ ગયા ને એકનાથને મહારાષ્ટ્રનું શહેરી વિકાસ ખાતું ફાળવાયું. આ પણ બળવાનું મુખ્ય કારણ નથી. કારણ છે હિન્દુત્વ. કોઈ માને કે ન માને, પણ શિવસેનાનું તો સૂત્ર જ હિન્દુત્વ રહ્યું છે. એટલે એ તો માને જ, પણ શિવસેના પણ માનવામાં ઢીલી પડે તો એ શિવસેના જ કેટલી રહે એ વિચારવાનું રહે.

શિવસેનાની સ્થાપના મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેએ મરાઠી લોકોમાં પ્રચંડ હિન્દુત્વ જગાવવા કરી હતી. શિવસેનાની નીતિ રીતિ સામે મુંબઈગરાઓને કે અન્યોને વાંધા હોઈ શકે છે, એક સમયે આમચી મુંબઈને નામે મુંબઈમાં મરાઠી સિવાયની પ્રજાનો વાંધો પણ ઊઠવાયેલો, એમાં ગુજરાતીઓને પણ અન્યાય થયેલો ને હવે પછી પણ ત્યાં રહેનારા ગુજરાતીઓને થાય એમ બને, કારણ, મહારાષ્ટ્ર સરકારને હચમચાવવામાં સુરત નિમિત્ત થયું છે, પણ એટલું તો સ્પષ્ટ છે જ કે શિવસેનાનો વાઘ પ્રચંડ હિન્દુત્વને ત્રાડતો હતો. એ હિન્દુત્વનો મુદ્દો ગૌણ બની જતો એકનાથ શિંદેને લાગ્યો. એમ લાગવાનું કારણ, એન.સી.પી. અને કાઁગ્રેસ સાથે યુતિ સરકાર રચાઇ એમાં પડેલું છે. આ બંને પક્ષો સાથે માત્ર સરકાર રચવા જ જોડાવાનું બન્યું, બાકી આ બંને પક્ષોને હિન્દુત્વ જોડે પહેલેથી જ બહુ લેવાદેવા ન હતી. નથી. એ યુતિને કારણે સ્થિતિ એ સર્જાઇ કે હિન્દુત્વનો શિવસેનાનો મૂળ મુદ્દો જ ગૌણ થઈ ગયો. એમાં ઉદ્ધવ ઠાકરેનું હિન્દુત્વ સોફ્ટ પુરવાર થતું શિંદેને જણાયું ને એમણે ઉદ્ધવનું વારંવાર ધ્યાન પણ દોર્યું, પણ સત્તામાં રહેવા કે પોતાની ઢીલી માન્યતાને કારણે કદાચ, હિન્દુત્વની ગર્જના ઊઠી જ નહીં ! કાઁગ્રેસને અને એન.સી.પી.ને તો એ જ જોઈતું હતું. કાઁગ્રેસને તો હતું કે ઉદ્ધવ મુખ્ય મંત્રી બને તો જ ગઠબંધન કરવું, કારણ એના સોફ્ટ હિન્દુત્વની હવા ત્યારે પણ હતી. એનું પરિણામ એ આવ્યું કે શિવસેનાનું જોર ઘટતું ગયું ને એનો લાભ બીજા પક્ષો લેતા થયા. આ બધું એકનાથ અને અન્ય શિવ સૈનિકોને પચાવવાનું ભારે થઈ પડ્યું. જો શિવસેનાનો અવાજ બુલંદ કરવો હોય તો એ કાઁગ્રેસ સાથે રહેવાથી શક્ય ન હતું. એટલે કાઁગ્રેસ કે એન.સી.પી. સાથે રહેવાય કે ન રહેવાય, પણ શિવસેના રહે એ માટે પણ શિવસેનાની સામે જ શિવસેનાએ અવાજ ઉઠાવવો પડયો. એ કામ એકનાથ શિંદેએ કરવાનું આવ્યું.

એટલે જે ધારાસભ્યો ઉદ્ધવના હિન્દુત્વ બાબતના નરમ વલણથી સંતુષ્ટ ન હતા તેમણે શિંદેની સાથે જવાનું સ્વીકાર્યું ને એવા ધારાસભ્યો અપક્ષ સાથે 49 થયા. ઉદ્ધવ સાથે 55માંથી 13 જ ધારાસભ્યો રહેતાં મુખ્ય મંત્રી પદ છોડવું પડે એ નોબત આવી. ઉદ્ધવે પણ તેનાં સૌ સમર્થકોને ને શિવસેનાના પદાધિકારીઓને ‘માતોશ્રી’માં ભેગા થવાનો આદેશ આપ્યો છે જેથી આગળની રણનીતિ નક્કી થઈ શકે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ એકનાથ શિંદેને કહેણ મોકલ્યું છે કે શિવસેના, કાઁગ્રેસ અને એન.સી.પી. સાથેનું ગઠબંધન તોડવા તૈયાર છે, પણ એકવાર આવીને શિંદે, ઉદ્ધવ સાથે વાત કરે. કાઁગ્રેસે જોયું કે ગઠબંધન કદાચ તૂટે ને બીજો મુખ્ય મંત્રી આવે તો તેણે સ્ટેન્ડ બદલ્યું કે કાઁગ્રેસ રહેતી હોય ને મુખ્ય મંત્રી બદલાતો હોય તો તેને ઉદ્ધવ બદલાય તો પણ વાંધો નથી. આ એ જ કાઁગ્રેસ છે જે કહેતી હતી કે ઉદ્ધવ મુખ્ય મંત્રી બને તો જ તે ગઠબંધન કરવા તૈયાર છે. ઠીક છે, કાઁગ્રસ આવું ન કરે તો આઘાત લાગે.

એમ લાગે છે કે ગઠબંધન તૂટશે. ભા.જ.પ. પણ તેના દાવમાં સફળ થશે ને તે મુખ્ય મંત્રી એ જ રાખે અથવા બદલે એમ બને. પણ, આમાં એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને એવી શક્યતાઓ વધારે છે. શરદ પવારે તો એકનાથને જ મુખ્ય મંત્રી બનાવવાની વાત કરી છે. તો, આ છે સ્થિતિ. હિન્દુત્વનો મુદ્દો મોળો પડતા એકનાથે જે અવાજ ઉઠાવ્યો, તે હેતુ ફળતો દેખાય છે. એમાં કોનો ઘડો લાડવો થાય છે ને એકનાથ, એક અનાથ તો નથી થતાને તે જોવાનું રહે. આ બધાંમાં પ્રજાનું કોઈને સપનું પણ પડે એવું લાગે છે? હવે રાજકારણ જ મુખ્ય છે. કાવાદાવા, દાવપેચમાંથી કોઈ પરવારે તો પ્રજા યાદ આવેને ! જોઈએ, કાલ કેવી ઊગે છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જૂન 2022

Loading

અધૂરી રહે !

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|24 June 2022

માંડેલી વારતાઓ અધૂરી રહે !
આદરી જાતરાઓ અધૂરી રહે !
વાગતી ઝાલરો આરતીની; અને,
ફર-ફરકતી ધજાઓ અધૂરી રહે !
ભાઇબીજ્ના બહેન વાટ જોતી રહે,
વ્રત અને વ્રતકથાઓ અધૂરી રહે !
આસ્થાઓ નિરાધાર એમ જ થતી,
માનેલી માનતાઓ અધૂરી રહે !
કોઇ કારી ન ફાવે તબીબોની પણ,
સારવારો-દવાઓ અધૂરી રહે !
શ્વાસ એવી રીતે લડથડી; થંભતો,
છંદની માતરાઓ અધૂરી રહે !
છેક મક્તા સુધી પ્હોંચતી ના ગઝલ,
સહુની જીવનકથાઓ અધૂરી રહે !
મૌજે-દરિયા ભલે હોય કોઈ અહીં,
એની સઘળી મજાઓ અધૂરી રહે !
ડાઘુઓ લાશ લઇ ચાલતા થઇ જતા,
સહુ – ‘પ્રણય’ – શક્યતાઓ અધૂરી રહે !

તા. ૦૬/૧૧/૨૦૨૧

મૌજે-દરિયા = મૌજીલું, આનંદી સ્વભાવનું માણસ

Loading

મન્તવ્ય-જ્યોત—16

સુમન શાહ|Opinion - Opinion|23 June 2022

જ્યોત ૧૬ : તન્ત્રીય નિર્ણય – ઍડિટોરિયલ ડિસિશન :

અંગ્રેજીમાં શબ્દ છે, ‘ઍડિટર’. એના સાથીને ‘કોઍડિટર’ કહેવાય છે. એમનું કામ ઍડિટોરિયલ ડિસિશન લેવું તે છે – એટલે કે, લેખકો તરફથી મળેલાં લખાણો વિશે સ્વીકાર્ય કે અસ્વીકાર્યના નિર્ણય કરવા. પ્રકાશનયોગ્ય લાગે તે લખાણને સુધારવામાં આવે, કાપકૂપ થાય અને છેલ્લે લેખકને જણાવાય. ફર્સ્ટ ડિસિશન હોય, સૅકન્ડ ડિસિશન પણ હોય; ઍડિટરે ઘણો શ્રમ લેવાનો હોય છે.

આપણે ત્યાં ઍડિટર = તન્ત્રી હોય, પણ કોઍડિટર = સહતન્ત્રી ન હોય; તેને સ્થાને ‘તન્ત્રી’ જોડે ‘સમ્પાદક’ હોય. ઘણે ભાગે હવે તો ‘સમ્પાદક’ જ બચ્યો છે, ‘તન્ત્રી’ અદૃશ્ય થવા લાગ્યો છે.

એક એવી વણ-લિખિત સમજ પ્રવર્તતી હતી અને હજી પ્રવર્તે છે કે લેખકો તરફથી મળેલી સામગ્રીને સમ્પાદક એકઠી કરે, સુધારે, વગેરે તન્ત્રીનું જ કામ કરે; તે પછી તન્ત્રી એ પર ‘નજર નાખી જાય’ ને છપાવા મોકલી આપે.

પરન્તુ, સમ્પાદકે યોગ્ય ગણેલી કૃતિને તન્ત્રી યોગ્ય ન ગણે તો? ત્યારે બન્ને વચ્ચે શું થતું હશે? કૃતિની સાહિત્યિક ગુણવત્તા વિશે સ્વચ્છ ચર્ચા થતી હશે? ભલે, છોડો; એને રસોડાની વાત ગણીને બાજુએ મૂકીએ.

પણ આપણા લેખકસમાજને તેમ જ વાચકસમાજને એ ખબર નથી પડતી કે લખાણને પ્રકાશન-યોગ્ય ગણવાનો અન્તિમ નિર્ણય એ બે-માંથી કોણે લીધો.

કેમ કે છેવટે તો અન્તિમ નિર્ણય જ મહત્ત્વનો ગણાય. કેમ કે અન્તિમ નિર્ણયની અસર સમગ્ર પરિદૃશ્ય પર થવાની, જાણવા મળે કે – શું અને કેવું લખાઈ રહ્યું છે – નવી કલમો આવું આવું લખે છે – નીવડેલા લેખકો એવું ને એવું લખે છે, સાહિત્યની દશા અને દિશા આવી છે. વગેરે વગેરેની સૌને ઝાંખી થાય.

હું આપણાં સામયિકોને પ્રસૂતિગૃહ ગણું છું. મોટાભાગનાં લેખનો પહેલી વાર સામયિકોમાં જન્મે છે અને તે પછી આપણા લેખકો એને પુસ્તકાકારે પ્રકાશિત કરે છે. યાદ કરો, ‘વસંત’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ફારબસ ત્રૈમાસિક’, ’સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’, ‘ક્ષિતિજ’, ‘ખેવના’, 'સન્ધિ' ‘એતદ્’, 'તથાપિ', (પહેલાંનું) 'ઓપિનિયન', વગેરે વગેરે.

આપણે બરાબર સમજી લેવાની જરૂરત છે કે સાહિત્યપદાર્થના પ્રસવ પરત્વે તન્ત્રીની ભૂમિકા શી છે અને તે કેટલી મોટી જવાબદારીનું કામ છે.

સમજીએ : એક જ વ્યક્તિ ‘તન્ત્રી’ હોય એવું બહુ ઓછી વાર જોવા મળ્યું છે. ‘તન્ત્રી’ સાથે ‘સમ્પાદક’ બરાબર, પણ ત્રણ-ત્રણ સમ્પાદકો ય હોય છે. એ ત્રણની સજજ્તા વગેરે વીગતોને ધ્યાનથી તપાસતાં લાગશે કે એ જોગવાઈ તન્ત્રીકાર્યની જરૂરતે કરીને નથી એટલી વધારે તો શોભાની છે; ભૈબંધોને ખુશ રાખવા માટે પણ છે.

કહે છે, એક સામયિકના તન્ત્રીએ તો ‘સહાયક સમ્પાદક’ અને શી યે જરૂરત હશે તે ‘સહ-સહાયક સમ્પાદક’ નામની અતિ વધારાની વ્યવસ્થા ઊભી કરેલી. ‘સહ-સહાયક સમ્પાદક’ જેવું વિશિષ્ટ પદ સાંભળીને પેલો કદાચ હરખાઈ તો ગયેલો, પણ પૂછેલું : મારે શું કરવાનું? : તારે આ કવરો પર ટિકિટો ચૉંટાડવાની ને અંકો પોસ્ટઑફિસે પ્હૉંચાડવાના : પેલો શું બોલે?

સાહિત્યનો ઇતિહાસ જેવાં ગ્રન્થપ્રકાશનોના તન્ત્રીકાર્યમાં તો ૧૨-૧૨ સભ્યોનું ‘માર્ગદર્શક મંડળ’ જોવા મળ્યું છે. ૩-૩ ‘સમ્પાદકો’ નિમાયા હોય, ‘સહાયક-સમ્પાદક’ હોય, ‘પરામર્શક’ હોય, છતાં, છેવટે ‘શોધન-સંશોધન’ કરાવવું પડે ! એ તે કેવું માર્ગદર્શન? કેવુંક સમ્પાદન? કેવુંક પરામર્શન? અને શોધન-સંશોધન એક જ વ્યક્તિ કરે તે વખતે સમિતિ નહીં એવું કેમ?

મને સવાલ થયેલો કે સમ્પાદકો માર્ગદર્શક મંડળ જોડે અને માર્ગદર્શકો સમ્પાદકો જોડે અવારનવાર વિચારવિમર્શ કરતા હશે ખરા કે પછી સમ્પાદકોના નામની ભલામણ કરીને માર્ગદર્શકો છૂટી જતા હશે -? દિવંગતો વિશે મન ફાવે તે કદનાં સમ-વિષમ પ્રકરણો અને સાલની ભૂલો ભરેલા ‘ઇતિહાસ’ ગ્રન્થને શ્રદ્ધેય શી રીતે ગણવો? હું પોતે એકબે વાર સાલ બાબતે ભરમાઈ ગયેલો. આટલાં બધાં મસ્તક જોડાયાં હોય તો પણ સંગીન કામ જોવા ન મળે તો એ નામો શોભાનાં છે એમ માનવામાં ખોટું શું છે?

આપણે ત્યાંના તન્ત્રીકાર્યોની ડિઝાઇન તપાસીશું તો સમજાશે કે એમાં મોટાં મનાયેલાં નામોને અમસ્તાં જ જોડી દીધાં છે, સમજાશે કે કામ તો નાનાઓ જ કરતા હોય છે ! એમ પણ સમજાશે કે તન્ત્રી-સમ્પાદકના સમ્બન્ધમાં હાયરાર્કિ પ્રવર્તે છે – તન્ત્રી ઊંચો, સમ્પાદક નીચો. સમ્પાદકની પસંદગી પણ વયમાં એ નાનો હોય, શિખાઉ હોય, એ ધોરણે થતી હોય છે. સમ્પાદક તન્ત્રીથી મોટો હોય એવું મેં હજી લગીમાં તો જોયું નથી. ૧૮-૧૮ વર્ષ સુધી સમ્પાદક તરીકે નિ:શુલ્ક સેવાઓ આપી હોય એ વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે એના બહુમાન માટે નાનો સરખો જાહેર મેળાવડો પણ ન કરાય એની પાછળ શું હોય – મફતની મોટાઈ કે કંઈ બીજું?

એમ માનીએ કે તન્ત્રી અને સમ્પાદક બન્ને જણાએ સાથે બેસીને નિર્ણય લીધો છે. પણ તકલીફ ત્યારે ઊભી થાય છે કે સૅટ હાયરાર્કિને કારણે તન્ત્રી સમ્પાદકથી હમ્મેશને માટે પોતાને ચડિયાતો માનતો થઈ ગયો હોય છે. એ કારણે ઘણી વાર એનો હુંકાર ભાગ ભજવતો હોય છે. દાખલા તરીકે, સમ્પાદકે અમુક લેખકની કૃતિ સ્વીકારી હોય, તો તન્ત્રી એને ડોળો બતાવે – એ તો આપણા ટીકાકાર છે, એમનું નહીં છાપવાનું. પેલાએ તો કરી હોય સમીક્ષા; એવા સારા અર્થમાં ટીકા કે ગુણોની ટિપ્પણી કરવા જતાં મળી આવેલી બે મર્યાદાઓની વાત; પરન્તુ ટીકા = નિન્દા ન કરી હોય ! શું કરવાનું?

આપણાં સામયિકોનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે નામના અને મોટાભા તન્ત્રીઓની ઉદાસીનતાને કારણે તન્ત્રીપદ ક્રમશ: નાબૂદ થઈ ગયું છે ! સાથોસાથ, એવી સમજ ઘુસાડવામાં આવી કે કાગળ, છપાઈ, ટપાલ વગેરે બાબતોને માટેનાં કામો સંભાળે, એ બધાંના હિસાબકિતાબનું તન્ત્ર સંભાળે, તે તન્ત્રી ! 

પરિણામે, ધીમે ધીમે સમ્પાદકો જ ઍડિટિન્ગનું કામ કરવા લાગ્યા છે. એ નવતર પ્રથા આજે તો સુ-સ્થિર થઈ ગઈ છે. પરન્તુ, તન્ત્રીલેખ લખવો અનિવાર્ય છે એમ એ નવીનોમાંના બહુ ઓછા સમજે છે. અંક વ્યાકરણ અને જોડણી બાબતે શુદ્ધ હોવો જોઈએ એમ જાણવા છતાં એ વિશે બેપરવાઈ સેવાય છે. ભૂલો માટે માત્ર પ્રૂફરીડરને દોષી મનાય છે. કાલે સવારે પ્રિન્ટરને દોષી ગણે કે વાચકને કહે કે બધું સુધારીને વાંચી લેજો, તો નવાઈ નહીં.

એક જમાનો હતો, જ્યારે તન્ત્રીઓ પોસ્ટકાર્ડથી જવાબ અચૂક આપતા'તા; જવાબમાં આભારવચન તો હોય જ; આપણું જે અંકમાં છપાયું હોય એ અંક મોકલતા'તા; ૩થી ૫ ઑફપ્રિન્ટ્સ મોકલતા'તા; પ્રતીક પુરસ્કારનું મનિ-ઑર્ડર આવતું’તું…

સાર એ કે તન્ત્રીય નિર્ણયના સંકેતાર્થનું ધોવાણ થઈ ગયું છે – કૉનોટેશન ઑફ ધ ફ્રેઝ ‘ઍડિટોરિયલ ડિસિશન’ ઇઝ વૉશ્ડ આઉટ ! તન્ત્રીની વિદ્વત્તા અને તેથી ઊભો થતો પ્રભાવ ભાગ્યે જ જોવા મળે છે. દુ:ખદ પરિણામ એ છે કે કચરાજેવું વધુ છપાય છે ને તે જોઇને કચરાજેવું વધુ ને વધુ લખાય છે. કલા બાબતે ઉચિત-અનુચિતનો વિવેક ભુંસાઈ ગયો છે. એટલું જ નહીં, અભદ્ર રીતભાતો શરૂ થઈ ગઈ છે – જેમ કે, કહે છે કે અમુક સમ્પાદકો સ્ત્રી-લેખકોની કૃતિઓ પહેલી છાપે છે, કાચીપાકી હોય તો પણ ચલાવી લે છે, કેમ કે કશી સાહિત્યેતર લાલચથી સામેથી ચાહીને મંગાવી હોય છે. પુરુષલેખકોને દિવસો લગી ઉત્તર પણ નથી મળતા.

આ બધું ક્યાં લઈ જશે ને સાહિત્યકલા માગે છે એ ગામ્ભીર્યનું શું થશે?

આજે ભાગ્યે જ કોઈ સાહિત્યકાર એમ કહેવાની હિમ્મત કરે છે કે એ તન્ત્રી / સમ્પાદક તો નામના જ છે અને એથી તન્ત્રી / સમ્પાદકના પદની ગરિમાને હાણ પ્હૉંચે છે; એમને ઝટ દૂર કરો; નહિતર, ત્યાંલગી હું એ સામયિકમાં મારી કૃતિ નહીં મોકલું.

સમકાલીન લેખકો ગમે એ ભોગે છપાયેલું જોવાની પોતાની તલપને કાબૂમાં લે એમાં એમનું હિત છે. પોતાનું છપાયેલું જોઈને રાજી ભલે થાય, પણ રાજીના રેડ ન થાય. ખાસ જરૂરી એ છે કે તેઓ તન્ત્રીય નિર્ણયોને સમજવાની કોશિશ કરે – એમ કે પોતાના લેખનની બાજુમાં મુકાયેલા લેખનમાં દમ નથી તો પણ તે ત્યાં કેમ છે; નીવડેલા મનાતા કવિનું અ-કાવ્ય છે છતાં કેમ છપાયું છે. થોડીક તુલનાઓ કરવાથી ઘણાં રહસ્યો ખૂલી જતાં હોય છે.

ખરેખર તો એમ પણ જાહેર કરવું જોઇએ કે આ ભાઇ કાવ્યોનાં સમ્પાદન કરે છે, આ ભાઈ વાર્તાઓનાં, આ ભાઈ વિવેચનાત્મક લેખનોનાં. જણાવવું જોઈએ કે આ ભાઈ વ્યવસ્થાતન્ત્ર સંભાળે છે, આ ભાઈ અમારા પ્રૂફરીડર છે. મૂવિ કે ટી.વી.નાં ટાઇટલ્સમાં કામ પ્રમાણે જ તેના કર્તાનું યોગદાન અંકાય છે, એવું સામયિકોમાં કરવું અશક્ય તો નથી જ, પણ એવી ચોખવટો આપણને પરવડતી નથી. સાહિત્ય જેવી પરમ બાબતે પણ આપણને શક્ય એટલું બ્લૅન્કેટિન્ગ જ ફાવે છે.

૨૧-મી સદીમાં એ અને ઉપર્યુક્ત તમામ દેસીવેડાનું નિરસન કરવું જોઇશે.

= = =

(June 23, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4411,4421,4431,444...1,4501,4601,470...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved