Opinion Magazine
Number of visits: 9459018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં નફરત અને હિંસા, ભાગ 1 : ‘હે રામ!’ની યાદી

મૂળ લેખક : તુષાર ગાંધી • અનુવાદક : આશા બૂચ|Opinion - Opinion|12 April 2022

આ લેખમાં માત્ર યાદી છે, લાંબી છે, થાક લગાવે તેવી છે, એમ વાચકોને લાગે તે સંભવ છે. પરંતુ એ વાંચતા મને જે અનુભવ થયો, એ વાચકોને પણ થાય, એ હેતુથી લેખ જેમનો તેમ અનુવાદ કર્યો છે. વાંચતાં મને થયું, આપણો તે કેવો સમાજ? હિંસાથી મોં ફેરવતો જ નથી, ધર્મ, જ્ઞાતિ, જાતિ, ગાય, અરે, ગમે તે બહાને, બસ, મારો-કાપો કરવામાં જ સમજી છે? કદાચ, બીજા વાચકોને એવી જ કોઈ શરમ અને દુઃખની લાગણી થાય એટલે આ લાં ……..બી યાદી તમને ય સાદર :

— આશા બૂચ

(તુષાર ગાંધી મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર. તેઓ એક કર્મશીલ, લેખક અને મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ છે. તુષારભાઈ ગાંધીએ ઓલ ઇન્ડિયન્સ મેટર નામની ઓનલાઇન પત્રિકાના 22 ફેબ્રુઆરી 2021ના અંકમાં, ભારતમાં પ્રસરી રહેલી નફરત અને તેને પરિણામે પ્રગટેલી હિંસાના બનાવોની એક યાદી મુકેલી, જેનું ભાષાંતર  તેમની અનુમતિ સાથે વાચકો માટે અહીં પ્રસ્તુત છે. આ યાદી તૈયાર કરનાર અને લખનાર તેમ જ વાચકોને કદાચ લાંબી લાગે, થાક ઉપજાવનારી લાગે, પરંતુ વર્ષો વર્ષ ભારતના ખૂણે ખૂણે હિંસા ફેલાવનાર હજુ થાક્યા નથી. આ યાદીને ધ્યાનપૂર્વક વાંચતા એ આપણી સમક્ષ ઘણા સવાલો મૂકી જાય છે, તેવો અહેસાસ થશે. 1960ના દાયકા બાદ શા કારણે હિન્દુ-મુસ્લિમ વચ્ચે આટલું વૈમનસ્ય પેદા થયું? ભૈતિક સાધનોની પેદાશ અને વેપાર તથા ટેકનોલોજીની બાબતમાં આટલી પ્રગતિ કરનાર દેશ આંતરિક શાંતિ સ્થાપવામાં કેમ નિષ્ફળ ગયો? ધર્મ આધારિત કોમી નફરતે કરાવેલી હિંસા પૂરતી નહોતી પડી, કે જેથી જ્ઞાતિને આધારે, ગૌ રક્ષણ નામે, દેશદ્રોહના બહાને વાણી અને વિચાર સ્વાતંત્ર્યનાં હનન ખાતર આટલી બધી હિંસા આચરવી પડી? )

મહાત્મા ગાંધીની એક ઝનૂની માણસના હાથે હત્યા થઇ તેને 73 વર્ષ થયા. બાપુના અંતિમ શબ્દો ‘હે રામ!’ હતા તેવી સામાન્ય માન્યતા છે. જો કે જ્યારે આત્માએ તેમનો દેહ ત્યાગ્યો, ત્યારે તેમણે ઉત્તરોત્તર ધીમા થતા જતા અવાજે ‘રા…મ, રા…મ, રા…મ’ એ શબ્દો ઉચ્ચારેલા. પરંતુ રાજઘાટ અને ગાંધી સ્મૃતિ સ્મારક પાસે ‘હે રામ!’ શબ્દ જ કોતરાયેલો જોવા મળે છે, એટલે એ શબ્દ જ તેમના નિધનનો પર્યાય બની ગયો છે.

આઝાદી મળ્યા બાદ નફરતથી દોરવાયેલા અસંખ્ય બનાવો બન્યા. જો બાપુ આજે હયાત હોત તો તેઓ ‘રામ, રામ રામ; શબ્દનો સતત પુનઃ ઉચ્ચાર કર્યા કરતા હોત. 

“નગ્ન હિંસા એ નગ્ન હાડ પિંજર જેવી જ ઘૃણાસ્પદ છે, માંસ, રક્ત અને મખમલી ત્વચાથી વંચિત. એ લાંબો સમય ટકી શકે નહીં. પણ જ્યારે એ કહેવાતા વિકાસ અને શાંતિનું મહોરું પહેરીને આવે છે, ત્યારે લાંબો સમય ટકી રહે છે.” [ગાંધીઃ  યંગ ઇન્ડિયા, ફેબ્રુઆરી 1930] 

મેં 1946થી આજ પર્યન્ત નોંધાયેલા કોમ અને જ્ઞાતિ આધારિત હિંસાના મોટા બનાવોની યાદી કરી છે. તેના ઉપરાંત બીજા ઘણા નાના મોટા બનાવો બન્યા છે, અને આ યાદી એ તમામ બનાવોને સમાવેશ કરી લેનારી હોવાનો દાવો નથી. મારી પુત્રી કસ્તૂરી અને પુત્ર વિવાનનો આભારી છું કે જેમણે સંશોધન કરી સંકલન કરીને રાષ્ટ્રના સામૂહિક લાંછનની યાદી તૈયાર કરવામાં સહાય કરી.

કોમ અને જ્ઞાતિને કારણે થતી કત્લેઆમ એ ભારત માટે નવી ઘટના નથી. કેરળના મલબાર પ્રદેશના મોપલાહ વિસ્તારમાં થયેલ રમખાણો અને તેને પગલે થયેલ કત્લેઆમ ભયાનક હતી. સ્વાતંત્ર્ય મળવાની ઘડીઓ નજદીક હતી ત્યારે ઓગસ્ટ 1946માં મુસ્લિમ લીગે પાકિસ્તાનની રચના કરવા સીધાં પગલાંનું એલાન કર્યું ત્યારે નિર્દયતાને છુટ્ટોદોર મળી ગયેલો. સીધાં પગલાંના પ્રત્યાઘાત રૂપે કલકતામાં થયેલી હત્યાઓ નિષ્ઠુર હતી. હિન્દુઓની હત્યાનો બદલો એનાથી પણ વધુ ક્રૂર રીતે મુસ્લિમોની હત્યા કરીને લેવાયો. તેનું પરિણામ નોઆખલી અને પૂર્વ બંગાળના ટીપેરા જિલ્લા(જે હાલમાં બાંગ્લાદેશમાં છે)માં મોટી સંખ્યામાં હિન્દુઓની કત્લેઆમમાં આવ્યું. વેર વાળવા માટે બિહારમાં મુસ્લિમોની કતલ શરૂ થઇ. આ સમય દરમ્યાન પંજાબ પણ હિંસાના તાંડવથી સળગતું હતું.

બાપુ બંગાળ અને ત્યાર બાદ બિહારમાં હિંસાથી સળગતા વિસ્તારમાં એ આતશને બુઝાવવા વચ્ચોવચ્ચ કૂદી પડયા. તેમાં એમને ભાગ્યે જ સફળતા મળી. હું કહું છું કે ભાગ્યે જ સફળતા મળી કેમ કે એ આગ સ્વતંત્રતા મળ્યાની ક્ષણોમાં ભારતના અનેક વિસ્તારોમાં હિંસા પ્રસરી ગઈ હતી.

આઝાદી બાદ, કલકતામાં ફરી હિંસક રમખાણો ફાટી નીકળ્યાં. બાપુએ અનશન કર્યા ત્યારે લોકમાં વિવેક સ્થાપવાનું શક્ય બન્યું. પંજાબ અને પશ્ચિમ પાકિસ્તાનમાં ક્રૂર હત્યાની આગ ભડકતી હતી, જેની ઝાળ દિલ્હીને ભરખી જવાનો ભય હતો. માનવતા દરેક સ્થળે મરી પરવારી હતી.

પોતાના આયુષ્યના અંતિમ મહિનામાં 78 વર્ષના બાપુ ફરી શાંતિ સ્થાપવા અનશન પર ઉતર્યા. જેવા તેઓ શાંતિ સ્થાપવામાં સફળ થયા કે તરત ધિક્કારના સિદ્ધાંતોને પોષે તેવી વિચારધારાઓ ધરાવનારાઓને હાથે તેમની હત્યા થઈ. બાપુની હત્યાથી લાગેલો આઘાત અને દેશ આખામાં પ્રસરેલી દુઃખની લાગણીથી થોડો વખત શાંતિ જળવાઈ રહી. પરંતુ સમયાંતરે આપણે ફરી ફરી પૂર્વગ્રહોથી ગ્રસિત થતા રહ્યા અને પાગલપનને વશ થતા રહ્યા.

તે સમયે ઘણા મોટા કોમી રમખાણોના બનાવો બનેલા અને બીજા નોંધપાત્ર ન ગણાય તેવા બનાવો બનેલા જેની ભારે કિંમત ચૂકવવી પડેલી. જો કે જ્ઞાતિ આધારિત ક્રૂરતા ભરેલા ગુનાહિત કૃત્યો તો આપણા સમાજની એક પ્રકૃતિ બની ગયેલી, છતાં એવી કેટલીક ઘટનાઓ ઘટી જે મોટી અને મહત્ત્વની ગણવામાં આવી.

હાલના સમયમાં હિંસક ટોળાનું સભ્યપદ નવું અસ્તિત્વમાં આવ્યું છે. ઘણી હિંસા ટોળાં દ્વારા આચરવામાં આવી છે અને ખૂન કરનારાઓ અવ્યવસ્થિત ટોળાંમાં ભળી જઈને ભાગી જઈને છુટ્ટા ફરે છે. ગુનેગારોને પકડીને સજા કરવા માટે બહુ ઓછો પ્રયાસ કરવામાં આવે છે. ન્યાય આપવામાં એટલી હદે વિલંબ થાય છે કે જ્યારે છેવટ ચુકાદો આવે ત્યારે તેનું કોઈ મહત્ત્વ નથી રહેતું. સમાજનો મોટો ભાગ આવા હત્યારાઓની પૂજા કરે છે અને શાંત  રહેનાર મોટા ભાગના લોકો ચૂપ રહે છે.

મારી ‘હે રામ!’ ની યાદી :

1960નો દાયકો : 

1961: જબલપુર, મધ્ય પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. એવા જ રમખાણો અલીગઢ, ઉત્તર પ્રદેશમાં થયા. ઓક્ટોબરમાં એ મિરત, કલકત્તા, જમશેદપુર, બિહાર, રૂરકેલા અને ઓરિસ્સામાં ફેલાયા. 

1964 : માલેગાંવ-મહારાષ્ટ્રમાં કોમી રમખાણો 

1967 : રાંચીમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો

1969 : કરીમગંજ-અસ્સામમાં થયેલ રમખાણોમાં ઘણી જાનહાનિ થઇ.

1969 : અમદાવાદમાં કોમી આગ લાગી. 

1970નો દાયકો :

1970 : મહારાષ્ટ્રમાં ભીવંડી કોમી રમખાણોનું સાક્ષી બન્યું.

1974 : મે મહિનામાં દિલ્હીના સદર બજારમાં કોમી રમખાણો

1977 : ઓક્ટોબરમાં વારાણસીમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો

1978 : માર્ચમાં સંભાલ-ઉત્તર પ્રદેશમાં અને એપ્રિલમાં હૈદરાબાદમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો

1979-80 : જમશેદપુર, અલીગઢ, મોરાદાબાદમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો

1980નો દાયકો :

1980-81 : ગોધરા – ગુજરાતમાં એક કરતાં વધુ રમખાણો 

1981 : એપ્રિલમાં બિહારશરીફમાં અને એપ્રિલમાં હૈદરાબાદમાં કોમી રમખાણો

1982 : ફેબ્રુઆરીમાં પૂના અને સોલાપુર-મહારાષ્ટ્રમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. એપ્રિલમાં બીજૉ સેથુ – પશ્ચિમ બંગાળમાં 16 સાધુ અને એક સાધ્વીને જીવિત સળગાવી દેવાયાં 

1982 સપ્ટેમ્બર-ઓક્ટોબર : મિરતમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો, ઓક્ટોબરમાં વડોદરા-ગુજરાતમાં પણ હિન્દુ-મુસ્લિમ રમખાણો

1983 : નેલી-આસામમાં ફેબ્રુઆરી માસમાં અને સપ્ટેમ્બરમાં હૈદરાબાદમાં કોમી રમખાણો

1984 : ભિવંડી અને માલેગાંવ ફરી સળગી ઉઠ્યા. જુલાઈ અને સપ્ટેમ્બરમાં ફરી હૈદરાબાદ ભડકે બળ્યું. ઈન્દિરાબહેન ગાંધીની હત્યા બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં શીખ લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી.

1985 : અમદાવાદમાં કોમી રમખાણો

1987 : રમખાણો મિરતને ભરખી ગયા.

1988 : ઔરંગાબાદ-મહારાષ્ટ્રમાં મે મહિનામાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અને ઓક્ટોબરમાં મુઝફ્ફરનગરમાં.

1989 : ફેબ્રુઆરીમાં સલમાન રશ્દીના પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ મુંબઈમાં કરેલ દેખાવો હિંસામાં ફેરવાઈ ગયા. સપ્ટેમ્બરમાં બદૌ-ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. ઓક્ટોબરમાં ઇન્દોર-મધ્ય પ્રદેશમાં કોમી રમખાણો. ભાગલપુરમાં મુસ્લિમો પર પોલીસે ગુજારેલા સીતમના સમાચાર બહાર આવ્યા.

1989 : અલગ કાશ્મીરની માંગણી કરનારા નેતાઓની દોરવાણીથી કાશ્મીરી પંડિતોને કાશ્મીર ખીણ છોડવાની ફરજ પડી.

1989 : બદૌ અને કર્નલ ગંજ-ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો

1990નો દાયકો :

1990 : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એલ.કે. અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર બાંધવાના પ્રયાસને બળ પૂરું પાડવા સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી. એ યાત્રા જે જે સ્થળોએ ગઈ ત્યાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. કાર સેવકનાં ટોળાંએ બાબરી મસ્જિદનો ધ્વંસ કરવા કોશિશ કરી; 60થી વધુ માણસો પોલીસના  ગોળીબારમાં મરાયા. ઘણાં શહેરોમાં દંગા થયા. ઓકટોબરમાં કર્ણાટકના રામનગરમ, છાનાપટના, કોલાર, દેવાંગરે અને ટુમકુરમાં રમખાણો થયાં. એ જ મહિનામાં ઉદયપુરમાં યોજાયેલ હિન્દુ રામ જ્યોતિ સરઘસ ઉપર આક્રમણ થવાને કારણે ઉદયપુર અને જયપુરમાં રમખાણો થયાં. 

1991 : સહારનપુર-ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. કર્ણાટકમાં કાવેરી નદીના પાણીની ભાગીદારીના મુદ્દે તમિલ વિરોધી રમખાણો, એને ટેકો આપવા તામિલનાડુમાં હિંસા ફાટી નીકળી.

1992 : સીતામરહી – બિહાર અને સુરત-ગુજરાતમાં રમખાણો. 6ઠ્ઠી ડિસેંબરને દિવસે કાર સેવકો અને તેના સાથીઓએ બાબરી મસ્જિદનો ધ્વંસ કર્યો. બી.જે.પી.ના ઉચ્ચાધિકારીઓ એ ઘટના નિહાળી રહ્યા અને કેટલાંકે તો ટોળાંને પ્રોત્સાહન આપ્યું. ભારતભરમાં કોમી રમખાણો પ્રસરી ગયાં. એ વખતે લાગેલા ઘાવ હજુ દૂઝે છે.

1992-93 : મુંબઈ સંઘ અને શિવસેનાના ભાડે રાખેલા ગુંડાઓએ કોમી માનસ ધરાવતા પોલીસ દળની મદદથી મુસ્લિમો પર આચરેલી હિંસાનું સાક્ષી બન્યું. ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં પણ રમખાણો થયાં.

1999 : કેઓનઝર-ઓરિસ્સામાં ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટુઅર્ટ સ્ટેઈન્સના બે પુત્રો, ફિલિપ (ઉ.વ. 10) અને ટીમથી (ઉ.વ. 6)ને દારાસિંઘની આગેવાની નીચેના બજરંગ દળનાં ટોળાંએ તેમના વાનમાં જીવતા સળગાવી દીધા

2000નો દાયકો :

2002 : ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બાને આગ લગાડવાને પરિણામે અયોધ્યાથી પાછા ફરેલા કેટલાક કાર સેવકોના જાન ગયા. તેને પગલે મુસ્લિમોની ક્રૂર હત્યા અને મહિલાઓ ઉપર બળાત્કારના કિસ્સા થયા. ટોળાંઓ ત્યાં ઉભેલી પોલીસ જોતી હોય ત્યારે મુસ્લિમ વસ્તીઓ ઉપર હુમલા કરતા હતા. ગુલબર્ગ સોસાયટીમાં રહેતા કાઁગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય એહસાન જાફરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. પોલીસે એ હિંસા રોકવા કશા પગલાં ન ભર્યા, સિવાય કે મદદ માગી.

2006 : હિન્દુ ઝનૂની માણસોએ માલેગાંવમાં એક કરતાં વધુ વિસ્ફોટ કર્યા.

2007 : કંધમાલ-ઓરિસ્સામાં હિન્દુ – ક્રિશ્ચિયન વચ્ચે રમખાણો.

2008 : હિન્દુઓનું ક્રિશ્ચિયનો પર કંધમાલમાં આક્રમણ

2012 : બોડો-બંગાળી મુસ્લિમ રમખાણો આસ્સામમાં.

2016 : માલદા – પશ્ચિમ બંગાળમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો

2017 : બાદુરાઈ-પશ્ચિમ બંગાળમાં જુલાઈમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમના અનુયાયીઓને બળાત્કારના કિસ્સામાં ગુનેગાર સાબિત ઠરાવ્યા બદલ ઓગસ્ટમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રમખાણો. 

2020 : નાગરિક સુધારા કાયદાના વિરોધને ઉથલાવી પાડવા પૂર્વ આયોજિત હિન્દુ-મુસ્લિમ રમખાણો.

જ્ઞાતિ આધારિત અત્યાચારો અને હિંસા :

1971-76 : ભોજપુર-બિહારમાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ.

1981 : લૂંટારા ફુલન દેવીએ પોતાના ઉપર થયેલ બળાત્કારનો બદલો લેવા 20 ઠાકુર પુરુષોની બેહમઈ – ઉત્તર પ્રદેશમાં હત્યા કરી. એ હત્યાનો બદલો લેવા ફુલનનું શેર સિંહ રાણાએ દિલ્હીમાં 2001માં ખૂન કર્યું.

1982 : ગઈની – બિહારમાં જ્ઞાતિ સંઘર્ષ

1983 : મુંગર અને પટના-બિહારમાં યાદવ-કુર્મી વચ્ચે અથડામણ.

1985-1992 : યાદવ અને રાજપૂત વચ્ચે બિહારમાં જ્ઞાતિ સંઘર્ષ

1996 : રણવીર સેના દ્વારા બિહારમાં દલિતોનો માનવ સંહાર.

1999 : શંકરબિરઘા-બિહારમાં રણવીર સેનાએ કરાવેલ માનવ સંહાર.

2000 : નવાડા અને શેખ પૂરબનેરમાં ભૂમિહાર અને કુર્મીનો માનવ સંહાર.

2006 : ખૈરલાંજી-મહારાષ્ટ્રમાં દલિત પરિવારની હત્યા.

2015 : સાનપેઢ-હરિયાણામાં દલિતો સામે અત્યાચાર

2016 : ઉના-ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા ગૌ રક્ષાના મુદ્દે દલિત પરિવારની મારઝૂડ.

2018 : ભીમા કોરેગાંવ – મહારાષ્ટ્ર ખાતે દલિતો આંબેડકર સ્મારક પાસે એકઠા મળ્યા તેના પર ઉચ્ચ જ્ઞાતિના ઝનૂની લોકોનું આક્રમણ. કઠુઆ-જમ્મુમાં આઠ વર્ષની બાળાનું અપહરણ કરી, તેના પર એક કરતાં વધુ વખત બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી

2020 : હાથરસ – ઉત્તર પ્રદેશમાં 19 વર્ષીય યુવતી ઉપર ઉચ્ચ જ્ઞાતિના યુવકોએ કરેલ સમૂહ બળાત્કાર.

કાયદેસર કામ ચલાવ્યા વિના ગૌ રક્ષા માટે કાયદો હાથમાં લેનાર ટોળાં દ્વારા અપાતી સજા :

2006 : ભિવંડીમાં મુસ્લિમ ટોળાં દ્વારા પોલીસ કોન્સ્ટેબલની હત્યા 

2015 : દાદરી-ઉત્તર-પ્રદેશમાં મોહંમદ અખલકને તેમના ઘરમાંથી ઢસડી, બહાર લાવી માર મારીને કરવામાં આવેલી હત્યા. એ કેઇસની તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર સુબોધ કુમાર સિંહની બુલંદ શહેરમાં ટોળાંએ કરેલી હત્યા.

2016 : મેવટ-હરિયાણામાં ગોમાંસ ખાય છે એવા આરોપસર એક સ્ત્રી અને તેની સગીર વયની બહેન ઉપર સામૂહિક બળાત્કાર કરી, તેમની મારીને હત્યા કરવા આવી. તેના કુટુંબના બીજા બે સભ્યોની હત્યા કરાઈ.

2017 : અલ્વર-રાજસ્થાનમાં પહેલુ ખાનની ગૌ રક્ષાના મુદ્દે એપ્રિલ માસમાં ટોળાંએ હત્યા કરી. જૂન મહિનામાં તામિલનાડુના એનિમલ હસ્બન્ડરી વિભાગના ઓફિસર્સની ગૌ રક્ષા મંડળે ક્રૂરતાથી મારીને હત્યા કરી. પ્રતાપગઢ-રાજસ્થાનમાં ઘરબાર વિનાની મહિલાઓ જાહેરમાં શૌચ કરતી હતી, તેમના ફોટા લેવા પર રોક લગાવનાર ઝફર ખાનની ટોળાંએ હત્યા કરી. હરિયાણામાં ઓખલા અને અસોટી વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતા હાફિઝ જુનૈદની હત્યા કરાઈ.

2019 : બિશ્વનાથ ચારિઅલિ – આસામના શૌકત અલીને એપ્રિલ માસમાં ક્રૂર રીતે માર મારીને ભૂંડનું માંસ ખાવાની ફરજ પાડી કેમ કે તે ગાયનું માંસ લઈને જઈ રહ્યો હતો તેવી દહેશત પડી. લાતેહાર જિલ્લા-ઝારખંડમાં મઝલૂમ અન્સારી અને ઈમ્તિયાઝ ખાનની ગૌ રક્ષા મંડળે હત્યા કરી.

2020 : પાલઘરમાં બે સાધુઓની ટોળાંએ હત્યા કરી.

ગાંધીના હત્યારાઓના આદર્શો પર શ્રદ્ધા ધરાવનાર ઝનૂનીઓના ભોગ બનેલ અન્ય કિસ્સાઓ :

2013 : સામાજિક કર્મશીલ અને બૌદ્ધિક નરેન્દ્ર દાભોલકરની હત્યા.

2015 : ડાબેરી વિચારધારા ધરાવતા લેખક ગોવિંદ પાનસરેની કોલ્હાપુરમાં હત્યા. એમ.એમ. કાલબુર્ગીની ધારવાડમાં હત્યા.

2017 : ખબરપત્રી ગૌરી લંકેશની બેંગલુરુમાં હત્યા.

સાચી હકીકતોને ઉઘાડી પાડનાર કેટલા ય લોકોને હત્યા કરવામાં આવી.

ગણાવી ન શકાય તેટલી સંખ્યામાં કોમ અને જ્ઞાતિ ભેદને કારણે અચારાયેલ અત્યાચારો અને હત્યાઓ થઇ. એ દરેક કિસ્સામાં ઝનૂની લોકો ગુનો કરવા કોઈને ઉશ્કેરે અને પોતે છુટ્ટા થઇ ફરે. નિર્દોષ માણસો તેના ભોગ બને.

1948માં બાપુની હત્યા થઇ. મૃત્યુ પામીને તેમણે આપણને આપણી જન્મજાત ઘેલછામાંથી બચાવી લીધા, પણ એ લાંબુ ન ટક્યું. ટૂંક સમયમાં જ આપણે આપણા મૂળ સ્વભાવ પર આવી ગયા.

નફરત એ નૂતન ભારતનો નવો પંથ બની ગયો છે.

આ ‘હે રામ!’ની યાદી બાપુની દરેક સવંત્સરી સમયે પ્રસ્તુત થતી રહે છે. “રા…..મ, રા….મ, રા….મ”

•••••

વધુ રસ ધરાવનારાઓ માટે નીચેની લિંક ઉપર વધુ સામગ્રી મળી શકશે :

https://www.sciencespo.fr/mass-violence-war-massacre-resistance/en/document/hindu-muslim-communal-riots-india-i-1947-1986.html

https://www.hindustantimes.com/india/chronology-of-communal-violence-in-india/story-jJtcgvxFYh5N3jhSw7H4KN.html

https://www.hindustantimes.com/india/caste-war-role-of-private-armies/story-Ujk1jr7eWeUZ8TP8Y4CxOK.html

Detailed caste wars: https://www.satp.org/satporgtp/countries/india/terroristoutfits/massacres.htm

Caste-based violence cases: https://en.wikipedia.org/wiki/Category:Caste-related_violence_in_India

https://en.wikipedia.org/wiki/List_of_massacres_in_Bihar

https://www.hindustantimes.com/india-news/86-killed-in-cow-related-violence-since-2010-are-muslims-97-attacks-after-modi-govt-came-to-power/story-w9CYOksvgk9joGSSaXgpLO.html

Delhi violence – https://www.thehindu.com/topic/delhi-violence-2020/

e.mail : 71abuch@gmail.com

Loading

જીવતરનો નિચોડ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|12 April 2022

ડૉ. પ્રકાશસિંહ એટલે સૌને વહાલા દાદાજી. કુટુમ્બીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ – દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર. ડૉકટરસાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. આખા પરિવારે મળીને આ પ્રસંગ યાદગાર બની રહે એ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. પૌત્ર આકાશ અને એની પત્ની રુચિ, બેઉ ડૉક્ટરસાહેબ માટે જાણે ડાબી-જમણી આંખ. તેથી જ દાદાજી માટે કંઈક અનોખી ભેટ લાવવાની જવાબદારી એ બન્નેને સોંપાઈ હતી.

‘ના, ના, શર્ટ-પેન્ટ નથી લેવાં. એ તો સાવ ઓર્ડીનરી લાગે. દાદાજી માટે કંઈક ‘યુનિક’ ગિફ્ટ લેવી જોઈએ.’ રુચિએ કહ્યું.

‘શાલ, શર્ટ-પેન્ટ બધી વસ્તુની ના પાડે છે તો લઈશું શું?’ આકાશ અકળાયો હતો. અચાનક રુચિની નજર સામેની ગિફ્ટશૉપ તરફ ગઈ. દરેક ચીજ આકર્ષક રીતે સજાવીને મૂકેલી હતી. દુકાનદાર પણ હસમુખો અને ગ્રાહકની વાત તરત સમજી લે એવો હતો. એણે એક એકથી ચડિયાતી પેન બતાવવા માંડી. રુચિએ જોયું કે કઈ પેનથી વધુ સારું લખાય છે. એ જોવા માટે રફ પેપર પર લખતી વખતે આકાશ R.Y.P. એમ ત્રણ અક્ષરો જ દર વખતે લખતો હતો. અન્તે બન્નેએ ‘ક્રોસ’ની એક પેન અને સુન્દર કોતરણીવાળી એક ફોટોફ્રેમ પસંદ કર્યાં.

‘જુઓ સાહેબ, ફ્રેમમાં તમે કોઈનો ફોટો કે કશુંક લખાણ મૂકવા માગતા હો તો કહો. બે દિવસમાં તૈયાર કરી આપીશ.’

રુચિનું સૂચન હતું, ‘દાદાજીનો ફોટો મુકાવીને નીચે ‘75’નો આંકડો લખાવીએ.’

‘હા, પણ ફ્રેમમાં સૌથી ઉપર R.Y.P. અક્ષરો સોનેરી રંગમાં લખજો. અને હા, આ પેન પર પણ R.Y.P. લખી શકાય ને?’ આકાશે દુકાનદારને પૂછ્યું.

‘હા હા, ચોક્કસ લખી શકાય, સર! બન્ને વસ્તુ બે દિવસ પછી આપું તો ચાલશે?’

રસ્તામાં રુચિએ પૂછ્યું : ‘આકાશ, આ R.Y.P. અક્ષરોનો અર્થ શો છે?’

આકાશે માથું ખંજવાળતાં કહ્યું : ‘રુચિ, સાચું કહું તો એની પાછળનું રહસ્ય મને પણ ખબર નથી. દાદાજીએ એમનાં બધાં પુસ્તકોના પહેલા પાને R.Y.P. લખ્યું છે. પપ્પા પણ કહેતા હતા કે, આ અક્ષરો પાછળનો ભેદ શો છે એ દાદાજીએ હજી સુધી કોઈને કહ્યું નથી.’

ડૉક્ટરસાહેબની વર્ષગાંઠની પાર્ટી બરાબર જામી હતી. આવનારા મહેમાનો ડૉક્ટરને મુબારકબાદી આપવામાં, એકમેકને મળવામાં અને વાતો કરવામાં મશગૂલ હતા ત્યારે મોકો જોઈને રુચિએ ધડાકો કર્યો :

‘હવે દાદાજી આપણને એમના જીવન વિશે, એમના અનુભવો વિશે, થોડી પ્રેરણાદાયી વાતો તો કરશે જ; પણ સાથે સાથે R.Y.P. અક્ષરો સાથે એમનો શો સમ્બન્ધ છે એની વાત પણ કરશે.’

પ્રકાશસિંહના પ્રભાવશાળી ચહેરા પર એક ભરપૂર અને અર્થસભર જિન્દગી જીવ્યાનો સંતોષ છલકાતો હતો. કંઈક સંકોચ સાથે એમણે શરૂઆત કરી :

‘આજે જિન્દગીમાં હું જે મુકામ પર પહોંચ્યો છું એનું મોટા ભાગનું શ્રેય આ R.Y.P. અક્ષરોને આપી શકું. જો કે, આ વિશે કાંઈ કહેતાં પહેલાં મારે 1948ની સાલના યાતનાભર્યા અને લોહિયાળ દિવસોમાંથી પસાર થવું પડશે, જ્યારે ચારે બાજુ મારો, કાપો અને આ હિન્દુ, આ મુસ્લિમ એવા આગ ઝરતા શબ્દો સંભળાતા હતા. ભાગલાના એ કપરા સમયમાં પાકિસ્તાનના પંજાબમાં ઘર-બાર, માલ-મિલકત સઘળું ય છોડીને અમારો પરિવાર ચાલી નીકળ્યો હતો. ભાગીને હિંદુસ્તાન આવ્યા પછી, નિરાશ્રીતોની છાવણીમાં કાઢેલા દિવસો ખૂબ કપરા હતા; પણ ફક્ત ને ફક્ત મારા પિતાજીની હિમ્મત અને ધીરજને સહારે જ અમે ટકી ગયા. આ પ્રસંગે હું એમને યાદ કરીને નમન કરું છું.’ દાદાજીનું ગળું રુંધાઈ ગયું. રુચિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી.

‘જેમ તેમ કરતાં અમે નવા વાતાવરણમાં ગોઠવાયા તો ખરાં; પણ હું બરાબર સમજતો હતો કે, પિતાજી પર અસહ્ય બોજો આવી પડ્યો છે. ત્રણ ત્રણ સંતાનોને ભણાવવાં-ગણાવવાં અને હમ્મેશાં બીમાર રહેતી પત્નીની કાળજી રાખવી એ તો ખરું જ; ઉપરાંત તદ્દન અજાણી જગ્યામાં નવેસરથી જિન્દગી શરૂ કરવી. તો ય હમ્મેશાં હસતાં હસતાં માને કહેતા, આજે ભલે મુસીબત વેઠવી પડે; પણ કાલે આપણા છોકરાઓ હીરાની માફક ઝળકી ઊઠશે.

‘મને અમૃતસરની મેડિકલ કૉલેજમાં એડમિશન મળ્યું. મેં રાત-દિવસ જોયા વિના સખત મહેનત કરવા માંડી. મિત્રો હૉટેલમાં જમવા કે આઈસ્ક્રીમ ખાવા બહાર જતા હોય કે સિનેમાની મજા માણવાના હોય, હું સતત મારા મનને સમજાવતો કે, ‘તને આ બધું ન પોષાય’ – ‘રિમેમ્બર યુ આર પુઅર – R.Y.P.’ મેસનું બેસ્વાદ ભોજન ખાઈ ખાઈને કંટાળેલા અને થાકેલા મનને હું કાગળ પર R.Y.P. લખી લખીને સમજાવતો. હું વિચારતો કે, પિતાના અથાક પરિશ્રમથી કમાયેલી એક પાઈ પણ વ્યર્થ ખર્ચવાનો મને અધિકાર નથી. એવા સંજોગોમાં મનને સમજાવવાનું અઘરું જરૂર હતું; પણ અશક્ય તો નહોતું જ.’

સૌ આમંત્રિતો પ્રશંસાભરી નજરે પ્રકાશસિંહ સામે જોઈ રહ્યા હતા અને એમનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ‘ડૉક્ટર થયા પછી ભલે મેં મારી પોતાની હૉસ્પિટલ બનાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી; પણ પેલા R.Y.P.ને હું એક દિવસ માટે પણ ભૂલ્યો નહીં. એ અક્ષરોએ જ મને નમ્ર, દયાળુ અને સંવેદનશીલ બનાવ્યો અને મારા સાથીઓ અને દર્દીઓએ આ અક્ષરોને કારણે જ મને અઢળક પ્રેમ આપ્યો. એમણે જ હમ્મેશાં મને મારા મૂળ સાથે જોડેલો રાખ્યો છે. હું તો માનું છું કે આ અક્ષરો જાણે મારા જીવતરનો નિચોડ છે.’

પ્રકાશસિંહે પોતાની વાત પૂરી કરી ત્યારે ત્યાં બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયાં હતાં. આકાશ અને રુચિએ દાદાજીને પગે લાગીને એમના હાથમાં પેન અને ફોટોફ્રેમ મૂક્યાં ત્યારે ડૉક્ટર સાહેબ ભાવવિભોર થઈ ગયા. એમની આંગળીઓ મમતાપૂર્વક R.Y.P. અક્ષરોને એક એક કરીને સ્પર્શી રહી.

(‘રણજિતસિંહ સહેગલ’ની ‘અંગ્રેજી’ વાર્તાને આધારે .. ‘ભૂમિપુત્ર’ પાક્ષિકના સપ્ટેમ્બર-2011ના અંકમાંથી સાભાર. .. ઉત્તમ ગજ્જર ..)

સર્જક–સમ્પર્ક : B–401, દેવદર્શન, હાલર, વલસાડ– 396 001

eMail : avs_50@yahoo.com

@@@

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ અગિયારમું – અંકઃ 324 – June 14, 2015

e.mail : uttamgajjar@gmail.com

@@@@@@@@@

આ પોસ્ટ મોકલાઈ : 08-04-2022

Loading

ત્રિગુણ

બીજલ જગડ|Opinion - Opinion|12 April 2022

(સત્વ, રજસ અને તમસ) પ્રકૃતિનાં ત્રણ મૂળભૂત લક્ષણો.

આયુર્વેદ મુજબ, માણસ પ્રકૃતિના પાંચ મૂળભૂત તત્ત્વો, પંચ મહાભૂતો, એટલે કે આકાશ (ઈથર અથવા અવકાશ), વાયુ (વાયુ), તેજસ (અગ્નિ), અપ (પાણી) અને પૃથ્વી(પૃથ્વી)થી બનેલો છે.

આ વિશ્વ દૃષ્ટિકોણ અનુસાર, ત્રણ ગુણો છે, જે હંમેશાં વિશ્વની તમામ વસ્તુઓ અને જીવોમાં હાજર છે અને ચાલુ રહે છે.

દરેક સજીવ અને નિર્જીવ ત્રણ ગુણોથી બનેલું છે – સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણોને કહેવામાં આવે છેઃ સત્વ (સારાપણું, શાંતિ, સુમેળ), રજસ (જુસ્સો, પ્રવૃત્તિ, ચળવળ), અને તમસ (અજ્ઞાન, જડતા, આળસ).

જ્યારે આ ગુણો પ્રબળ હોય છે, ત્યારે તે આપણી ચેતનામાં ઉદ્ભવે છે. જો ગુણોમાંનો કોઈ એક પ્રબળ હોય, જેમ કે તમો ગુણ – તો આપણે ભ્રમણા અનુભવીએ છીએ, પોતાની જાતને મૂલ્યાંકન અથવા જીવન સહાયક પ્રવૃત્તિમાં  જોડાઈ નથી શકતા. દ્વેષ, ક્રોધ.

ત્રણ ગુણોના ગુણ :

૧. તમસ : એ અંધકાર, જડતા, નિષ્ક્રિયતા અને ભૌતિકતાની સ્થિતિ છે. તમસ અજ્ઞાનમાંથી પ્રગટ થાય છે અને તમામ જીવોને તેમના આધ્યાત્મિક સત્યોથી ભ્રમિત કરે છે. અન્ય તામસિક ગુણો આળસ, અણગમો, આસક્તિ, હતાશા, લાચારી, શંકા, અપરાધ, શરમ, કંટાળો, વ્યસન, દુઃખ, ઉદાસી, ઉદાસીનતા, મૂંઝવણ, દુઃખ, અવલંબન, અજ્ઞાનતા છે.

૨. રાજસ :  એ ઊર્જા, ક્રિયા, પરિવર્તન અને ચળવળની સ્થિતિ છે. રજસનો સ્વભાવ આકર્ષણ, ઝંખના અને અશક્તિનો છે અને આપણને આપણાં કામના ફળ સાથે મજબૂત રીતે બાંધે છે. અન્ય રાજસિક ગુણો છે ક્રોધ, ઉત્સાહ, ચિંતા, ભય, ચીડિયાપણું, ચિંતા, બેચેની, તણાવ, હિંમત, રમૂજ, નિશ્ચય, અરાજકતા.

૩.સત્વ :  એ સંવાદિતા, સંતુલન, આનંદ અને બુદ્ધિની સ્થિતિ છે. સત્વ એ ગુણ છે જે યોગીઓ પ્રાપ્ત કરે છે કારણ કે તે રજસ અને તમસને ઘટાડે છે અને આમ મુક્તિ શક્ય બનાવે છે. અન્ય સાત્વિક ગુણો આનંદ, સુખ, શાંતિ, સુખાકારી, સ્વતંત્રતા, પ્રેમ, કરુણા, સમતા, સહાનુભૂતિ, મિત્રતા, ધ્યાન, આત્મ-નિયંત્રણ, સંતોષ, વિશ્વાસ, પરિપૂર્ણતા, શાંતિ, આનંદ, આનંદ, કૃતજ્ઞતા, નિર્ભયતા, નિઃસ્વાર્થતા છે.

ત્રિગુણી તત્ત્વ ચેતનાના 3 તબક્કા સાથે પણ સંબંધિત છે, જાગવું, સૂવું અને સ્વપ્ન જોવું.

૧.ઊંઘમાં – તમો ગુણમાં હોતા હોવ છો

૨. સ્વપ્ન અવસ્થમાં –  રાજો ગુણમાં (શરીર આરામમાં છે છતાં સ્વપ્નમાં ઘણી બધી પ્રવૃત્તિ ચાલુ છે – શાંતિ/આરામ નથી)

૩.જાગૃત અવસ્થા – તમે તમારી જાગૃતિમાં ખૂબ સ્પષ્ટ છો.

મોટાભાગના લોકો સત્વ ગુણની સ્પષ્ટતા અનુભવતા નથી .. કારણ કે તે રજો અને તમો ગુણ સાથે ભળી જાય છે. જો તમે મેડિટેશન, સેવા, યોગ્ય અને મર્યાદિત ખોરાક, મંત્રોચ્ચાર અપનાવો તો સત્વ ગુણ આપ વધારી શકો છો. જ્યારે સત્વ વધે છે ત્યારે પ્રકૃતિ પણ તમને સાથ આપવાનું શરૂ કરે છે કારણ કે તેની ગુણવત્તા સંવાદિતા લાવવાની છે.

મોટા ભાગનું જીવન આ ત્રણ ગુણોના મિશ્રણથી ચાલવું જોઈએ, પણ એ જાણવું પણ જરૂરી છે કે વ્યક્તિમાં માત્ર એક જ ગુણવત્તા હોતી નથી. દરેક વ્યક્તિ પાસે આ ત્રણ ગુણ/ત્રિગુણ હોય છે. કેટલાકમાં રાજસિક ગુણ વધુ અસરકારક છે અને કેટલાકમાં તામસિક ગુણવત્તા. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ તેની અસરકારક ગુણવત્તા નક્કી કરે છે. પરંતુ અસરકારક વ્યક્તિત્વ માટે વેરની ગુણવત્તા ઓછામાં ઓછી હોવી જોઈએ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,4331,4341,4351,436...1,4401,4501,460...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved