Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓપરેશન સિંદૂર પછીના ખતરનાક આંતરિક આફ્ટરશૉક્સ 

નેહા શાહ|Opinion - Opinion|23 May 2025

નેહા શાહ

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ ઓપરેશન સિંદૂરના ચહેરા બનીને ઉભર્યાં, જ્યારે યુદ્ધના ચાર દિવસ દરમ્યાન તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ભારતનો પક્ષ રજૂ કર્યો. એક હિંદુ અને એક મુસલમાન મહિલા અધિકારી જોડે સ્ટેજ પર આવીને દેશ અને દુનિયાને એક સ્પષ્ટ સંદેશો આપ્યો કે આપત્તિના સમયે ભારતનો દરેક નાગરિક એક બીજા સાથે ખભેખભા મેળવીને ઊભો છે. આઝાદીના સમયે ‘ભારત’ની જે કલ્પના આપણા પૂર્વજોએ કરી હતી એની જ એક છબી આપણી સામે રજૂ થઇ, જે માટે ગૌરવની લાગણી થઇ. 

યુદ્ધ વિરામ જાહેર થયું નથી અને ‘વૈવિધ્યમાં એકતા’ અને ‘નારી શક્તિ’ની જે છબી ઓપરેશન સિંદૂર દરમ્યાન ઊભી થઇ હતી એને તોડતી હરકતો શરૂ થઇ ગઈ! મધ્ય પ્રદેશના ભા.જ.પ.ના વિધાયક વિજય શાહ એક જાહેર કાર્યક્રમમાં કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીની બહેન’ કહી બેઠા! વિધાયકશ્રીની ટીપ્પણી એ ભારતીય સેનાના એક સન્માનીય અધિકારીની ઓળખ એક ઝાટકે એમની ધાર્મિક ઓળખ પૂરતી સીમિત કરી દીધી! ભાષાના અણછાજતા પ્રયોગમાં  લૈંગિક દ્વેષ તો હતો જ. આ અંગે વિવાદ ઊભો થયો અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ વાતની નોંધ લઈને પોલીસને એમની સામે પગલાં લેવા આદેશ કર્યો, ત્યારે એમની સામે એફ.આઈ.આર. દાખલ થઇ. સુપ્રીમ કોર્ટે પણ ટીપ્પણી કરી અને વિજય શાહની માફીનો સ્વીકાર કર્યો નહિ. હાલમાં કોર્ટના આદેશથી ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની સ્થાપના થઇ છે. અહીં નોંધવા જેવો મુદ્દો એ છે કે જે પણ કાંઈ પગલાં લેવાયાં એ કોર્ટના આદેશથી લેવાયાં – સરકાર દ્વારા તેમના વિધાયક સામે કે ભા.જ.પ. દ્વારા પક્ષના સભ્ય સામે શિસ્તના કોઈ પગલાં લેવાયાં નથી, કે નથી એમની પાસે કોઈ સ્પષ્ટતાની માંગણી કરવામાં આવી. મહિલા આયોગે પણ માત્ર મહિલા અધિકારી વિરુદ્ધની ટિપ્પણી સામે ખેદ વ્યક્ત કર્યો. વિજય શાહ અત્યારે પોતાની પેરવી માટેના પ્રયત્નોમાં મુક્ત પણે પ્રયત્નો કરી રહ્યા છે.  

બીજા કેસમાં પોલીસ અને ન્યાયતંત્રએ ગજબની સ્ફૂર્તિ બતાવી. અશોકા યુનિવર્સિટીના પ્રાધ્યાપકની ફેસબૂક પર ઓપરેશન સિંદૂર અંગે લખાયેલી એક બૌદ્ધિક, અને વિચક્ષણ પોસ્ટ જેનો સાર હતો કે – “ભારતે પહેલી વાર પાકિસ્તાનની સરકાર અને આતંકવાદ બંને વચ્ચેનો ભેદ વ્યૂહાત્મક રીતે તોડી પાડ્યો એટલે હવે પાકિસ્તાન આતંકની પાછળ છુપાઈ નહિ શકે …. કર્નલ સોફિયા કુરેશીને જમણેરી વિચારધારા વાળા પણ બિરદાવી રહ્યાં છે એ જોઇને આનંદ થાય છે, પણ તેમણે નફરતની રાજનીતિને કારણે થતા મોબ લીન્ચિંગ અને બુલડોઝર જસ્ટિસની સામે પણ બોલવું પડશે. નહીંતર, બે મહિલા અધિકારીઓએ ઊભી કરેલી ભારતની છબી એક દંભ બનીને રહી જશે.” આ પોસ્ટની સામે બે ફરિયાદ થઇ. એક સોનીપાત જિલ્લાના જથેરી ગામના સરપંચ અને ભા.જ.પ.ના યુવા મોરચાના સભ્ય યોગેશ જથેરીએ કરી, જેમને આ લખાણ  કોમી સંવાદિતાને જોખમમાં મૂકી, વૈમનસ્ય પેદા કરનારું અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વને જોખમમાં મુકનાર  કૃત્ય લાગ્યું. બીજી ફરિયાદ હરિયાણા રાજ્યના મહિલા આયોગનાં અધ્યક્ષ રેણુ ભાટિયાએ કરી, જેમને આ લખાણમાં થયેલ મહિલા અધિકારીની છબીનો ઉલ્લેખ મહિલાના શીલના અપમાન સમાન લાગ્યો! બંને ફરિયાદના પગલે એફ.આઈ.આર. નોંધાઈ, ધરપકડ થઇ અને આ લખાઈ રહ્યું છે, ત્યારે સોનેપત જિલ્લા અદાલતે એમને ૨૭ મે સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાના હુકમ પણ આપી દીધા! પ્રાધ્યાપકનું નામ છે અલી ખાન મહમૂદાબાદ, જે અશોકા યુનિવર્સિટીના રાજ્ય શાસ્ત્ર વિભાગના વડા છે. તેઓ મુક્ત વિચારસરણી માટે, પ્રેમ અને શાંતિની વાત માટે અને યુદ્ધ વિરોધી પોતાના મંતવ્ય માટે જાણીતા છે. તેમના વિદ્યાર્થીઓ અને સહ-પ્રાધ્યાપકો તેમના ટેકામાં જાહેરમાં આવ્યા છે, અને તેમને પોલીસની હેરાનગતિથી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એમની એ પોસ્ટ હજુ ફેસબૂક પર છે. દરેક વાચકને એ વાંચવા માટે વિનંતી છે જેથી તમે જાતે નક્કી કરી શકો એ એમાં વાંધાજનક કશું છે કે નહિ. ઓપરેશન સિંદૂર અંગેનું નાનકડું અને સચોટ વિશ્લેષણ છે. એની સાથે સંમત થવું કે નહિ એ વ્યક્તિગત અભિપ્રાય છે, પણ એમના લખાણમાં લેશમાત્ર રાષ્ટ્ર વિરોધી કે  સ્ત્રી વિરોધી સુર નથી. કે નથી સરકાર વિરોધી કોઈ ટીપ્પણી. ભાષા પણ અટપટી નથી કે જેને કારણે ગેરસમજ ઊભી થાય. તેમ છતાં એમની વિરુદ્ધ રાષ્ટ્ર દ્રોહના તેમ જ મહિલાનું અપમાન કરવાના આરોપ છે! જો પ્રો. મહમૂદાબાદની ટીપ્પણી દેશદ્રોહ ગણાય તો પોતાનો આગવો અભિપ્રાય ધરાવનાર દરેક ભારતીય નાગરિકને દેશદ્રોહી ગણાવી શકવાની શક્યતા છે! 

હરિયાણા મહિલા આયોગે મહિલા અધિકારીને જાણે પવિત્ર દરજ્જો આપી કોઈ પણ જાહેર ચર્ચામાં એનો ઉલ્લેખ માત્ર જાણે વર્જિત ગણી લીધો. લઘુમતી કોમના બૌદ્ધિકો સામે નિશાન સાધવાનો અભિગમ લઘુમતી વિરોધી તો છે જ પણ સાથે સાથે લોકશાહી વિરોધી અને મહિલા વિરોધી પણ છે. પહેલગામ ત્રાસદી વિરુદ્ધ ભારતની લઘુમતી કોમમાંથી અવાજ ઉઠ્યો છે. આ સમય છે લઘુમતી કોમના ઉદારમત વાદીઓને બોલવા દઈ એમને સાંભળવાનો. નહિ કે એમને કારણ વગર રંજાડવાનો. એ સૂરને દાબી દઈશું તો ધાર્મિક કટ્ટરવાદ સામે વૈકલ્પિક વિચાર ક્યાંથી ઊગશે?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

GPSC-ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સામે ઊહાપોહ કેમ છે?

રમેશ સવાણી|Opinion - Opinion|23 May 2025

મે 2025માં GPSC સામે તીવ્ર ઊહાપોહ થઈ રહ્યો છે. ખાસ કરીને ઓરલ-મૌખિક ઈન્ટરવ્યૂને લઈને વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો તેમાં જાતિવાદનું તત્ત્વ પણ જોઈ રહ્યા છે. આ આખી બાબતને સવાલ જવાબ રૂપે સમજીએ :

[1] શું GPSCમાં જાતિવાદ થાય છે? 

GPSCમાં જાતિવાદ થાય છે તેનો સીધો પુરાવો નથી. પરંત મૌખિક ઈન્ટરવ્યૂમાં કોઈ ઉમેદવારને અન્યાય થાય તો જાતિવાદનો આક્ષેપ થાય તે સ્વાભાવિક છે. કોઈ ઉમેદવાર UPSCમાં પાસ થઈ જાય અને GPSCમાં મૌખિક ઈન્ટરવ્યૂમાં બહુ ઓછા ગુણ હોય તો શંકા કરવાનું કારણ રહે છે. વળી આવા એકથી વધુ કિસ્સાઓમાં થયું હોય તો GPSCમાં અન્યાય થાય છે તે સ્વીકારવું પડે.

[2] શું મૌખિક ઈન્ટરવ્યૂમાં આઘુંપાછું થાય છે?

ચોક્કસ થાય છે. મેં પોતે GPSC વર્ગ-1ની પરીક્ષા 1985થી 1990 દરમિયાન આપેલ. તે વખતે એન્ટ્રન્સ એક્ઝામ / મેઈન એક્ઝામ / ઓરલ ઈન્ટરવ્યૂની પ્રથા હતી. એન્ટ્રન્સ એક્ઝામના 100 ગુણ હતા. મેઈન એક્ઝામના 600 ગુણ હતા, અને ઓરલ ઈન્ટરવ્યૂના 200 ગુણ હતા. મેઈન એક્ઝામ તથા મૌખિક ઈન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બને. 200 ગુણમાંથી અમુકને 20-25 ગુણ મળે અને ‘ખાસ’ ઉમેદવારને 120-125 ગુણ મળે ! આમ 100 ગુણના તફાવતના કારણે ‘ખાસ ઉમેદવારો’ પસંદ થતા હતા. આથી 200 ગુણના મૌખિક ઈન્ટરવ્યૂ સામે ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે કહ્યું કે 80 ગુણનું જ મૌખિક ઈન્ટરવ્યૂ હોવું જોઈએ. જેનો અમલ થતાં હું પસંદગી પામ્યો હતો. આ જ મુદ્દો આજે છે. લેખિત પરીક્ષાના ગુણની સરખામણીમાં મૌખિક ઈન્ટરવ્યૂના 10% ગુણ જ હોવા જોઈએ. એટલે કે લેખિત પરીક્ષા 300 ગુણની હોય તો મૌખિક ઈન્ટરવ્યૂના 30 ગુણ હોવા જોઈએ. હાલ એક ચિંતા થઈ રહી છે કે GPSC વર્ગ-1ની પરીક્ષામાં, મૌખિક ઈન્ટરવ્યૂના 100 ગુણને બદલે 150 ગુણ કરવા ! જો આવું થશે તો GPSC બિલકુલ વિશ્વાસ ગુમાવશે. 

[3] શું GPSCમાં અનામત નીતિનો અમલ થાય છે?

જો GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓમાં અનામત નીતિનો અમલ ન થાય તો જાતિવાદનો આરોપ લાગશે જ. અનામત નીતિનો અમલ એટલે? SC / ST / OBC / EWS આ ચાર વર્ગની હાલ અનામત છે. તે સિવાયના ઓપન કેટેગરી કહેવાય. હવે માની લો કે GPSCની પરીક્ષામાં આ ચાર – SC / ST / OBC / EWS કેટેગરીનો કોઈ ઉમેદવાર ટોપર બન્યો તો તેને ક્યાં મૂકશો? તેને ઓપન કેટેગરીમાં મૂકવો પડશે, કેમ કે તે મેરિટમાં આવેલ છે. ઉદાહરણ તરીકે sv ઉમેદવારોની 5 જગ્યા છે, પરંતુ ટોપર ઉમેદવાર SC છે, તો અનામત બેઠક-5 થી 1 મેરિટવાળો SC ઉમેદવાર, એટલે કે કુલ SC ઉમેદવારો-6 પસંદ થશે. જો આ પ્રથા અમલી ન હોય તો GPSC સામે પ્રશ્નો ઊઠશે. આ અંગે પારદર્શિતા હોવી જોઈએ. 

[4] શું મૌખિક ઈન્ટરવ્યૂ બોર્ડ વાસ્તવમાં તટસ્થ હોય છે?

મૌખિક ઈન્ટરવ્યૂની પેનલ હોય છે, જેમાં ચેરમેન તથા 2 વિષય નિષ્ણાત હોય છે. ઉમેદવારના નામ-અટક નહીં પણ કોડ હોય છે. ચિઠ્ઠી / ડ્રો સિસ્ટમ હોય છે. તેમ છતાં ગડબડ થઈ શકે છે. કઈ રીતે? ઈન્ટરવ્યૂમાં બેસતા સભ્યો ઉમેદવારના પરફોર્મન્સ અંગે ચર્ચા કરે છે અને ચેરમેન ગુણ મૂકે છે. સભ્યો ગુણ આપતા નથી તે માત્ર અભિપ્રાય આપે છે. આ પ્રથા ઉચિત કહી શકાય નહીં. 1990 પહેલાં તો પેન્સિલથી ગુણ મૂકતા, જેથી ‘ખાસ ઉમેદવારો’ના ગુણ સુધારી શકાય ! ભૂતકાળમાં વિષય નિષ્ણાત અને ઉમેદવારો અગાઉથી પરિચિત હોય / ઘેર જવાનો સંબંધ હોય / ઊજવણી સાથે કરતા હોય તેના પુરાવા સાથે રજૂઆત થયેલી છે. કોઈ વિષય નિષ્ણાત સંસ્થા કે કોચિંગ ક્લાસમાં જતા હોય અને GPSCના ઈન્ટરવ્યૂ બોર્ડમાં પણ હોય તેવું બન્યું છે. એટલે GPSC તરફ આંગળી ચિંધાય છે.

[5] શું GPSC પારદર્શક છે?

ના. GPSCના ચેરમેન દિનેશ દાસા હતા ત્યારે તેમણે ઉમેદવારો સામે હાઈકોર્ટમાં કેસ લડવા 1 કરોડ 51 લાખનો ખર્ચ કર્યો હતો. જે નાગરિકોના ટેક્સના પૈસા હતા. સામે ઉમેદવારો બેરોજગાર હોય છે. જો GPSCનો પારદર્શક વહીવટ હોત તો કોઈને હાઈકોર્ટમાં ન્યાય મેળવવા જવું પડે? 

[6] મૌખિક ઈન્ટરવ્યૂ શા માટે હોય છે?

આ મૂળ મુદ્દો છે. ઉમેદવારોનું General Knowledge – સામાન્ય જ્ઞાન ચકાસવા માટે ઈન્ટરવ્યૂ નથી હોતું. મોટે ભાગે તેમને તેમના વિષય અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. આ માટે તો લેખિત પરીક્ષા છે જ. વાસ્તવમાં ઉમેદવાર જે તે જગ્યા પર ફરજ બજાવવા સક્ષમ છે કે નહીં? તેની અભિરુચિ છે કે નહીં? વાતચીત કૌશલ્ય, નિર્ણયશક્તિ અને પ્રામાણિકતા જેવા ગુણોનું મૂલ્યાંકન ઈન્ટરવ્યૂમાં કરવાનું હોય છે. પરંતુ આ નથી જોવાતું એટલે જ નાગરિકોને / વિપક્ષના ધારાસભ્યોને હડધૂત કરતા IPS / IAS અધિકારીઓ જોવા મળે છે. 

[7] અશોકકુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા રાજ્યનો ચૂકાદો શું છે?

આ કેસમાં સુપ્રીમ કોર્ટે 10 મે 1985ના રોજ ચૂકાદો આપેલ. હરિયાણા સિવિલ સર્વિસ (એક્ઝિક્યુટિવ) અને અન્ય સંલગ્ન સેવાઓમાં ભરતી માટે હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) દ્વારા નિયુક્ત પસંદગી પ્રક્રિયામાં વિવાદ ત્યારે ઉદ્ભવ્યો જ્યારે લેખિત પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવ્યા હોવા છતાં, કેટલાક ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂમાં તેમના પ્રદર્શનના આધારે અંતિમ પસંદગી યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પક્ષપાત, મનસ્વીતા અને વહીવટી ગેરરીતિના કારણે આ પસંદગીઓને રદ્દ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા સામેની અપીલોને મંજૂરી આપી, જેનાથી હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવેલી પસંદગીઓને સમર્થન આપવામાં આવ્યું. જો કે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં પ્રક્રિયાગત ખામીઓ ઓળખી કાઢી, ખાસ કરીને મૌખિક ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની વધુ પડતી સંખ્યા અને તેને આપેલ વધારે ગુણ અંગે. પરિણામે, સુપ્રીમ કોર્ટે HPSCને ભવિષ્યની પસંદગીઓ માટે ગુણની ફાળવણીને સમાયોજિત કરવાનો નિર્દેશ આપ્યો અને અગાઉ બાકાત રાખવામાં આવેલા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફરીથી હાજર રહેવાની તક પૂરી પાડી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં મૌખિક ઈન્ટરવ્યૂના ગુણ 12.2% છે તેનાથી વધુ ગુણ રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનના મૌખિક ઈન્ટરવ્યૂમાં ન હોઈ શકે.

[8] મૌખિક ઈન્ટરવ્યૂમાં 12.2%થી વધુ ગુણ ન હોવા જોઈએ તે નક્કી કોણ કરે?

આ કામ GPSCનું છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ અમલ કરવો જોઈએ. આમાં સરકારને પૂછવાની જરૂર નથી. જો કે ગુજરાત સરકાર આ બાબતે નિર્ણય લઈ GPSCને કહી શકે. 

[9] GPSC/ સરકારે પોતાની ઈમેજ બગડતી અટકાવવા શું કરવું જોઈએ? : 

આ પગલાં લઈ શકાય :

(1) પસંદગી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા લાવવી, મૌખિક ઈન્ટરવ્યૂને રેકર્ડ સાચવવું. (2) GPSC તેમ જ રાજ્યની તમામ ભરતીઓમાં SC/ST/OBC/EWSની અનામતનીતિનો જે ભંગ તાત્કાલિક બંધ કરવો. (3) GPSC મૌખિક ઇન્ટરવ્યૂમાં જ્યાં 50% ઇન્ટરવ્યૂ ગુણભાર છે તેવી તમામ પરીક્ષાઓમાં સુધારો કરી તે 10% કરવો. (4) GPSC ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ લેનાર તજજ્ઞો / એક્સપર્ટ દ્વારા જે સર્વસંમતીથી ગુણ આપવાનું ‘મેચ ફિક્સિંગ’ જેવી પદ્ધતિ છે તે બંધ કરવી. મૌખિક ઈન્ટરવ્યૂના માપદંડ નક્કી કરવા. (5) GPSC મૌખિક ઇન્ટરવ્યૂમાં ગુણનું ગેપિંગ રોકવું. કોઈ ઉમેદવારને 5 તો કોઈ ઉમેદવારને 35 ગુણ એવો પક્ષપાત રોકવો. (6) GPSCના તમામ ઇન્ટરવ્યૂ-પૅનલોમાં SC/ST/OBCના તજજ્ઞો/ એક્સપર્ટનું પ્રતિનિધિત્વ રાખવું. (6) GPSC ચેરમેન અને એમની કમિટીમાં પણ SC/ST/OBCનું રોટેશન રાખવું. (7) GPSC ઇન્ટરવ્યૂ એક્સપર્ટ તેમના સગાં / સંબંધી / પરિચિતો / વિદ્યાર્થીઓ બાબતે બાંહેધરી લેવી. જે રીતે 10/12 ના સુપરવિઝન માટે બાહેંધરી લેવાનો નિયમ છે. ઇન્ટરવ્યૂ લેનાર એક્સપર્ટ રિટાયર્ડ ન હોવા જોઇએ, ચાલુ નોકરીમાં હોય તેમને જ બોલાવવા. જેથી જવાબદારી નક્કી કરી શકાય. ઇન્ટરવ્યૂ-  એક્સપર્ટ માટે ધોરણો નક્કી કરવા.

[10] શું GPSCના ચેરમેન તરીકે રાજકીય પક્ષ / RSS સાથે સંકળાયેલ ચેરમેન હોવાથી ફાયદો થાય?

ના. બિલકુલ ન થાય. પસંદગી ખામીયુક્ત રહે. કઈ રીતે? મૌખિક ઈન્ટરવ્યૂમાં તમને પૂછે કે “આઝાદીના લડવૈયાઓમાંથી ત્રણ નેતાઓ નામ જણાવો જેમની વિચારધારા તમને સ્પર્શી ગઈ હોય?” તમારો જવાબ હોય કે ‘ગાંધીજી / નેહ રુ/ સુભાષચંદ્ર બોઝ !’ તો તમે ગયાં. તમે સાવરકરનું નામ લો તો જ પસંદગી પામો ! આ રીતે મૌખિક ઈન્ટરવ્યૂમાં ‘ખાસ ઉમેદવાર’ને ઓળખી કાઢવામાં આવે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોઈ પણ સંજોગોમાં રાજનીતિ દેશહિતની વિરુદ્ધ ન હોવી ઘટે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 May 2025

રવીન્દ્ર પારેખ

17 મે, 2025ને રોજ બે ઘટના સામે આવે છે. એકમાં, ભારત સરકારે પાકિસ્તાનની પોલ ખોલવા 40 સાંસદોની સાત ટીમ જુદા જુદા દેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ડેલિગેશન ઓપરેશન સિંદૂર અંગે સાચી વાતો જુદા જુદા દેશોને જણાવશે અને આતંકવાદ અંગે સરકારની ઝીરો ટોલરન્સ નીતિની જાણકારી આપશે. સાત ટીમના નેતાઓ તરીકે રવિશંકર પ્રસાદ, શ્રીકાંત એકનાથ શિંદે, શશિ થરૂર જેવા સાત નેતાઓ પસંદ થયા છે. શશિ થરૂર કાઁગ્રેસના નેતા છે એ ખરું, પણ તેઓ કાઁગ્રેસની પસંદગી નથી. કાઁગ્રેસ પાસેથી નેતૃત્ત્વ માટે ચાર નામો મંગાયેલાં, પણ કાઁગ્રેસે આપેલાં નામોમાં થરૂરનું નામ ન હતું. કાઁગ્રેસે આપેલાં નામોમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, રાજા બરાર અને ડૉ. સૈયદ નસીર હુસેનનાં નામો હતાં, પણ કેન્દ્ર સરકારે એને બાજુ પર રાખીને શશિ થરૂરનું નામ પસંદ કર્યું, એટલે કાઁગ્રેસનાં ભંવાં ચડે તે સમજી શકાય એવું છે. કાઁગ્રેસે આપેલાં નામોમાંથી કોઈ પસંદ થયું હોત, તો પક્ષનું માન જળવાયું હોત, પણ સરકારે થરૂરનું નામ પસંદ કરીને નબળી પસંદગી કરી છે એવું તો કાઁગ્રેસ પણ કહી શકે એમ નથી. એ વાત જુદી છે કે થરૂરે સોનિયા ગાંધીનાં નેતૃત્વ સામે સવાલો ઉઠાવેલા એટલે કાઁગ્રેસની ગુડ બુકમાં તેઓ ન જ હોય. અધૂરામાં પૂરું કાંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે સર્વાનુમતે ચૂંટવાની કાઁગ્રેસની મનસા પર થરૂરે ચૂંટણીમાં ઝંપલાવીને પાણી ફેરવી દીધેલું. એ સ્થિતિમાં કાઁગ્રેસ પોતાના તરફથી ટીમના નેતા તરીકે થરૂરનું નામ સૂચવે એ શક્ય જ નથી. વળી કાઁગ્રેસી થઈને થરૂર ઓપરેશન સિંદૂર સંદર્ભે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરે તે કાઁગ્રેસી આકાઓને ન જ ગમે. તેથી થરૂરની પાત્રતા ઘટી જતી નથી. કાઁગ્રેસના જ નહીં, થરૂર ત્રણેક ટર્મથી દેશના ઘડાયેલા સાંસદ છે. વધારામાં, યુનાઈટેડ નેશન્સમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે.

એ ખરું કે કાઁગ્રેસે સૂચવેલાં નામોમાં થરૂરનો સમાવેશ ન થયો, એમ જ કેન્દ્ર સરકારે સાત ટીમોના જે નેતાઓ પસંદ કર્યા છે, એમાં પણ વધુ સારી પસંદગીને અવકાશ હતો. બૈજયંત પાંડા, સુપ્રિયા સૂલે, શ્રીકાંત શિંદેને બદલે વધુ સારી પસંદગી થઈ શકી હોત. કૈં નહીં તો ઓવૈસીનું નામ બંધારણના જાણકાર વકીલ તરીકે તો ખરું જ, મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે પણ વિચારી શકાયું હોત. એટલીસ્ટ, ભારતમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રખાય છે, એવા દુષ્પ્રચારનો વિદેશમાં ઓવૈસી સબળ જવાબ હોત ! ખાસ કરીને પાકિસ્તાનને તેનું સ્થાન બતાવવામાં ઓવૈસીએ આક્રોશપૂર્ણ રીતે વ્યક્ત થવામાં કોઈ કસર રાખી નથી, એટલે ટીમના લીડર તરીકે એ વધુ પ્રભાવક રહ્યા હોત ! જો કે, ઓવૈસી ડેલિગેશનમાં છે એ ખરું. એ પણ ખરું કે આ ડેલિગેશનથી પાકિસ્તાન સુધરી જશે એમ માનવાની જરૂર નથી. એ તો વળી એકવાર લશ્કરી શાસનનો નમૂનો પૂરો પાડવાની ફિરાકમાં છે. તે એટલે કે બંકરમાં છુપાવા છતાં, પાક સરકારે અસીમ મુનીરને આર્મીનું ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ બિરુદ આપી દીધું છે. બને કે શાહબાઝ સરકારે સત્તા ટકાવવા આર્મી ચીફ મુનીરને રાજી કર્યા હોય, પણ અગાઉના આર્મી ચીફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયેલા ને તેવું મુનીર ન જ કરે એમ માનવાને કોઈ કારણ નથી. એ તો ઠીક, પણ વિદેશમાં ભારતીય ડેલિગેશને બચાવની કે સહાનૂભૂતિ ઉઘરાવવાની ભૂમિકામાં રહેવાનું નથી. તેણે તો સોય ઝાટકીને દુનિયા સમક્ષ પાકિસ્તાનની કુટિલ અને નિર્લજ્જ રાજનીતિને ઉઘાડી પાડીને અન્ય દેશો પાકિસ્તાનનાં સમર્થનમાં ઊભા જ ન રહે એવી સ્થિતિ ઊભી કરવાની છે.

બીજી તરફ ભારતમાં પણ, કટોકટીની પળોમાં દેશ એક છે, એ વાત વિસારે પડતી આવે છે. ખાસ કરીને કાઁગ્રેસની ભૂમિકા સંદિગ્ધ છે. થરૂરની ઘટના પહેલી બની કે ભારતના વિદેશ મંત્રી જયશંકરની વાત પહેલી સામે આવી તે સ્પષ્ટ નથી, પણ બંને વાતો એક જ દિવસે સામે આવી છે, એટલે કાઁગ્રેસની પ્રતિક્રિયા ઇરાદાપૂર્વકની છે કે યોગાનુયોગ છે, તે નક્કી કરવાનું મુશ્કેલ છે. 17 મે, 2025ને રોજ જ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધી, વિદેશ મંત્રી જયશંકરને એક સવાલ પૂછે છે કે ઓપરેશન સિંદૂરની વાત પાકિસ્તાનને અગાઉથી જણાવી દેવાઈ હતી કે કેમ? આવી જાણકારી કોને પૂછીને આપવામાં આવી? ઓપરેશન સિંદૂર શરૂ કરતાં પહેલાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો છે. જો કે, વિદેશ મંત્રાલયે રાહુલના દાવાને રદિયો આપતાં કહ્યું છે કે વિદેશ મંત્રી જયશંકરની વાતને રાહુલ ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. જયશંકરે ઓપરેશન સિંદૂરનો મેસેજ શરૂ થતાં પહેલાં નહીં, પણ શરૂ થતાંની સાથે કર્યો છે. જો કે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીને વિદેશ મંત્રાલયના ખુલાસાથી સંતોષ નથી. તેમણે એ કહેવાનું ચાલુ જ રાખ્યું છે કે વિદેશ મંત્રીએ સાર્વજનિક સ્તરે એ સ્વીકાર્યું છે કે ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરનો મેસેજ મોકલ્યો જ છે.

રાહુલ ગાંધીનો બીજો સવાલ એ હતો કે આ રીતે જાણકારી પાકિસ્તાનને આપવાથી ભારતે વાયુસેનાનાં કેટલાં વિમાન ખોયાં? રાહુલ ગાંધીએ એ વીડિયો ટાંકતાં કહ્યું કે એમાં જયશંકર એવું કહેતાં દેખાય છે કે અમે સેના પર નહીં, પણ આતંકી ઢાંચા પર હુમલો કરી રહ્યા છીએ. એક વાત સ્પષ્ટ છે કે પહેલગામમાં હુમલાખોરો વરદી આપીને આવ્યા ન હતા, તો પાકિસ્તાનને હુમલા પહેલાં કે પછી જાણ કરવાની જરૂર ન હતી. ભારત સેના પર નહીં, આતંકી થાણાં પર હુમલો કરે તો પાકિસ્તાન ભારતીય સેના કે રહેણાંકો પર હુમલો ન જ કરે એવી નીતિમત્તા પહેલેથી ધરાવતું નથી. છેલ્લી એર સ્ટ્રાઈક વખતે જમ્મુ-કાશ્મીરમાં 8 હજાર ઘરોને તેણે નિશાન બનાવ્યાં જ છે. પૂંછમાં જ 6 હજાર ઘરોને અને 7 શાળાઓને નિશાન બનાવાઈ છે. એ ખરું કે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો, પણ પાકિસ્તાન જાત પર ગયું જ નથી એવું નથી. આમ પણ ભારતના હુમલા વગર સરહદી હુમલાઓની નવાઈ નથી, એટલે પાકિસ્તાન સામે ભલમનસાઈ બતાવવાનો વિદેશ મંત્રી જયશંકરનો પ્રયત્ન પથ્થર પર પાણીથી વધારે કૈં નથી.

રાહુલ ગાંધીની એ દલીલ કે અગાઉથી જાણ કરવાથી પાકિસ્તાનને તૈયારીનો સમય મળી ગયો, એમાં વજૂદ નથી. આમ પણ પહેલગામ હુમલા પછી ભારતે તરત હુમલો કર્યો નથી ને પાકિસ્તાનને એ અંદેશો હતો જ કે આતંકી હુમલા પછી ભારત શાંત નહીં રહે, એટલે એ ભારત હુમલો કરે પછી જ તૈયારીમાં લાગે એવું નથી. એ કાયમ તૈયારીમાં જ હોય છે. તૈયારી ન હોય તો અણુ હુમલાની ધમકી આપીને કે આતંકી હુમલાઓ કરાવીને તે ભારતને ઉશ્કેરવાનું ન જ કરે.

એ દુ:ખદ છે કે પાકિસ્તાનને તૈયારીનો સમય ભારતે આપ્યો એ વાતે રાહુલ ટસના મસ થતા નથી, એટલું જ નહીં, પાર્ટી પ્રવક્તા પવન ખેરાએ તો વિદેશ મંત્રી જયશંકર પર અગાઉથી પાકિસ્તાનને  માહિતી આપી દેવાની વાતે ‘મુખબિરી’નો આરોપ મૂક્યો છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે વિદેશ મંત્રીએ પાકિસ્તાની આતંકીઓને બચાવવાનું કામ કર્યું છે. આવી હરકતોનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાની મીડિયાએ તેને પોતાની ફેવરમાં ગણીને વટાવી ખાધું. આટલું થવા છતાં કાઁગ્રેસને આમાં કશું ખોટું થયાનું લાગતું નથી. બને કે સર્વદલીય ડેલિગેશન માટે કાઁગ્રેસે આપેલાં નામો અવગણીને થરૂરની વરણી થઈ, તેની આ પ્રતિક્રિયા હોય ! એવું હોય તો શરમજનક છે.

આની સામે ભા.જ.પ.ના ઈન્ફર્મેશન ટેકનોલોજીના ચીફ અમિત માલવીયે રાહુલ ગાંધીને તે વખતના અંગ્રેજોના મદદગાર મીરજાફરનું પોસ્ટર બહાર પાડી પાકિસ્તાનના મદદગાર ગણાવી ઠેકડી ઉડાવી, તો કાઁગ્રેસી પ્રવક્તા પવન ખેરાએ એક પોસ્ટર બહાર પાડી વિદેશ મંત્રી જયશંકરને જયચંદની ઓળખ આપી, જેણે પણ અંગ્રેજોને મદદ કરી હતી. આવું પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક અને દેશને ઉઘાડો પાડવા જેવું છે. કાઁગ્રેસ ઉપરાંત તૃણમૂલ કાઁગ્રેસનાં મંત્રી એવી વાહિયાત દલીલ કરે છે કે વિદેશ જનારાં ડેલિગેશનનાં નામો સરકાર પસંદ ન કરી શકે. મમતાનાં દબાણમાં સાંસદ યુસૂફ પઠાણે તો ડેલિગેશનથી જ કિનારો કરી લીધો. દેશનો દુંશ્મન બાજુ પર રહી જાય અને ભા.જ.પ. અને વિપક્ષ સામસામે આવી જાય એ કોઈ રીતે ઇચ્છનીય નથી. આતંકી થાણાં પરના હુમલા વખતે તમામ વિપક્ષો સરકારની સાથે રહ્યા હોય ને હજી સાથે જ હોય, કારણ, ઓપરેશન સિંદૂર અટક્યું નથી, તો આવા આક્ષેપો દેશહિતની વિરુદ્ધ જાય છે ને એથી દુ:શ્મન તો નબળો પડતો નથી, પણ આબરૂ દેશની દાવ પર લાગે છે, એ કહેવું પડે એ દુ:ખદ છે. એ પણ કહેવું પડશે કે કોઈ પણ સંજોગોમાં રાજનીતિ એવી ન હોવી જોઈએ, જે દેશહિતની વિરુદ્ધ હોય? દરેક પક્ષોએ પોતાને પ્રમાણિકતાથી, સોગંદપૂર્વક પૂછવું જોઈએ કે વર્તમાન સંજોગોમાં જે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનું વાતાવરણ ઊભું થયું છે, તેનાથી દેશનું કોઈ હિત સધાય છે ખરું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2025

Loading

...102030...142143144145...150160170...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved