Opinion Magazine
Number of visits: 9458773
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુણ શૌરીએ સંઘને સમજવામાં ભૂલ કરી કે આળસ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 April 2022

જે એક સમયે ભારતીય જનતા પક્ષના સભ્ય હતા, પક્ષના રાજ્યસભાના સભ્ય હતા અને અટલ બિહારી વાજપેયીના સમયમાં કેન્દ્રીય પ્રધાન હતા, એ અરુણ શૌરી છેલ્લા ઘણા સમયથી કહે છે કે તેમણે નરેન્દ્ર મોદીને પારખવામાં અને નરેન્દ્ર મોદીને ટેકો આપવામાં ભૂલ કરી હતી. અત્યારે તેમનું ‘ધ કમિશનર ઓફ ધ લોસ્ટ કોઝીઝ’ નામનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેમાં તેમણે તેઓ પત્રકાર હતા એ દિવસોનાં સંસ્મરણો લખ્યાં છે. તેમણે પત્રકાર તરીકે દેશના એ સમયના શાસકોને, દેશના એકંદર રાજકારણને અને પત્રકારત્વને હચમચાવી મુક્યાં હતાં. અહીં આજે જે ચર્ચા કરવી છે તે તેમના પુસ્તક વિષે અને પુસ્તકના વિષય પત્રકારત્વ વિષે નથી કરવી એટલે એ વાત અહીં પડતી મુકીએ. માત્ર એટલું જ કહેવાનું કે જો એ પુસ્તક વાંચશો તો આઝાદી પછીના અધ:પતનને સમજવામાં ઉપયોગી નીવડશે.

પુસ્તકનાં પ્રકાશન નિમિત્તે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજીટલ મીડિયામાં અરુણ શૌરીની મુલાકાતો લેવામાં આવી રહી છે. પુસ્તકનો વિષય રોચક છે એટલે મીડિયાને શૌરી સાથે વાત કરવામાં રસ હોય એ સ્વાભાવિક છે. એમાંની એક ‘ધ પ્રિન્ટ’ના સ્થાપક-સંપાદક શેખર ગુપ્તાને આપેલી મુલાકાતમાં અરુણ શૌરીએ કદાચ પહેલીવાર કહ્યું છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ઓળખવામાં ભૂલ કરી હતી. નરેન્દ્ર મોદીને ઓળખવામાં ભૂલ કરી છે એવું તો તેમણે અનેકવાર કહ્યું છે, સંઘને ઓળખવામાં ભૂલ કરી છે એ મારી જાણકારી મુજબ તેમણે આ પહેલીવાર કબૂલ કર્યું છે. તેમણે કહ્યું હતું કે “આપણે બધાએ, આપણી આગલી બે પેઢીએ”, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની તસ્દી લીધી નહોતી. તેમનું સાહિત્ય આપણે વાંચવાની જરૂર લાગી નહોતી. આપણે તેમની સાદગી, શિસ્ત, દેશપ્રેમ વગેરે બાહ્ય કલેવરને સાચું માનીને બી.જે.પી.ને બીજા કોઈ એક રાજકીય પક્ષ જેવા જ રાજકીય પક્ષ તરીકે જોતા હતા. શૌરીના કહેવા મુજબ આ બધાં ધારણ કરવામાં આવેલાં મોહરાં છે, બાકી તેમનો હિન્દુત્વનો એજન્ડા તો ૧૯૪૦માં નક્કી થઈ ગયો હતો અને તેને તેઓ વળગી રહેલા છે.

તેમણે તેમનાં પુસ્તકમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કા સાથેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક દિવસ એ સમયના સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના ભાઈ ભાઉરાવ દેવરસે અરુણ શૌરીને દિલ્હીમાં સંઘના વડામથકમાં મળવા બોલાવ્યા. શૌરી તેમની સાદગી જોઇને પ્રભાવિત થઈ ગયા. ઓફિસમાં આવીને તેમણે રામનાથ ગોએન્કા સમક્ષ દેવરસની સાદગીના વખાણ કર્યા ત્યારે ગોએન્કાએ કહ્યું હતું; “છોડ સાદગી. યહ સબ નહીં મિલી કે સાધુ હૈ. (છોકરી નથી મળી એટલે સાધુ) એક બાર ઉનકે હાથ મેં સત્તા આને દે ફિર દેખના યે લોગ ક્યા નહીં કરેંગે.”

ખેર, સંઘપરિવારને, તેના એજન્ડાને અને બી.જે.પી.ને ઓળખવામાં ભૂલ કરી એનું એક કારણ અરુણ શૌરીએ બૌદ્ધિક આળસ અથવા દક્ષતાનો અભાવ આપ્યું છે. બીજું કારણ તેમણે એવું આપ્યું છે કે પરિસ્થિતિ જ્યારે નિરાશાજનક હોય ત્યારે કોઈ પણ માણસ કે પક્ષ આપણને તારણહાર લાગતો હોય તો આપણે તેની આંગળી પકડી લેતા હોઈએ છીએ.

મારી અહીં કહેવું જોઈએ કે અરુણ શૌરી ખોટું બોલે છે. તેઓ જ્યારે પ્રામાણિક કબૂલાત કરી જ રહ્યા છે તો પછી એનાં સાચાં કારણ પણ પ્રામાણિકપણે જણાવી દેવાં જોઈએ. અને આવું માત્ર તેમની સાથે નથી બન્યું, બીજા અનેક લોકો સાથે બન્યું છે જેની તેઓ ખાનગીમાં કબૂલાત કરે છે. મને તો ખાતરી છે કે જો આપણી આગલી બે પેઢીના (અલબત્ત બીજી અનેક રીતે ગાંધીવાદી-કાઁગ્રેસી) નેતાઓ આજે હયાત હોત તો તેઓ પણ અરુણ શૌરીની માફક કબૂલ કરત કે સંઘને પારખવામાં તેમણે ભૂલ કરી હતી. શા માટે આ બધા લોકોએ ભૂલ કરી હતી? આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં તરતનાં વરસોમાં તો નૈતિક અધ:પતનની કોઈ વાત નહોતી કે  કાઁગ્રેસનો વિકલ્પ શોધવાની કોઈ જરૂર પડે!

તો પછી શા માટે અરુણ શૌરીઓએ (તેમની પહેલાના અને તેમના સમકાલીન અનેક અરુણ શૌરી જેવાઓ) સંઘને પારખવાની તસ્દી ન લીધી? શા માટે પારખવાની દક્ષતા દાખવ્યા વિના સંઘને ટેકો આપ્યો હતો? આમાં અરુણ શૌરી તો મહેનત કરીને મૂળ સુધી જવામાં જરા ય આળસ નથી દાખવતા એ આપણે બધા જાણીએ છીએ. સિવાય સંઘને મદદ કરનારા કે સંઘ માટે સહાનુભૂતિ દાખવનારા બીજા અનેક નેતાઓ વિષે આપણે કહી શકીએ કે તેઓ બૌદ્ધિક આળસ નહોતા ધરાવતા.

તો પછી સંઘને મદદ કરવા પાછળનાં અને તેના માટે સહાનુભૂતિ ધરાવવા પાછળનાં સાચાં કારણ શા છે જે અરુણ શૌરી કહેતા નથી?

બે કારણ હતાં. એક કારણ હતું મુસલમાનો અને ખ્રિસ્તી મિશનરીઓ સામેનો દ્વેષ. એમાં ઇસ્લામ અને ઈસાઈ ધર્મના સંગઠિત સ્વરૂપ અને તેની સામે હિંદુ ધર્મનું શ્રદ્ધાઓના કુળ જેવા સ્વરૂપનો સમાવેશ થાય છે. સંઘને મદદ કરનારાઓને અથવા તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓને એમ લાગતું હતું કે સંઘ ઝનૂની મુસલમાનોને અને ધર્માન્તરણ કરાવનારા ઈસાઈ મિશનરીઓને કાબૂમાં રાખવામાં મદદરૂપ થઈ શકે એમ છે. બીજું કારણ હતું, સામ્યવાદ. જમણેરી મૂડીવાદીઓને સામ્યવાદનો ભય તો હતો જ પણ અણગમો વધુ હતો. ખાસ કરીને વીતેલા વરસોનાં જમણેરી નેતાઓને લાગતું હતું કે આખરી લડાઈ સામ્યવાદ સાથે થવાની છે જેમાં સંઘનો ખપ છે. સંઘના વૈચારિક ગુરુ ગણાતા ગુરુ ગોલવલકરે પણ તેમના સંઘના ગીતાસમાન પુસ્તક ‘ધ બન્ચ ઓફ થોટ’માં લખ્યું છે કે ભારતમાં આખરી લડાઈ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે થવાની છે અને સંઘ દેશને સામ્યવાદથી બચાવવાનો છે.

તેમણે એમ ગૃહિત માની લીધું હતું કે હિંદુ ધર્મનું અને હિંદુ સમાજનું સ્વરૂપ જોતાં હિંદુ સમાજમાં મોટી સંખ્યામાં કટ્ટર હિંદુ ઘડવો એ શક્ય જ નથી. આ સિવાય હિંદુઓ જ્ઞાતિઓ દ્વારા વિભાજીત છે. ઊલટું તેમને તો એમ લાગતું હતું કે સંઘ હિંદુઓમાં એકતા માટેની સંગઠનભાવના પેદા કરવાનું કામ કરી રહ્યો છે જે એક રીતે સારું છે. હિંદુઓમાં સંગઠનભાવના પેદા થાય તો એમાં ખોટું શું છે? વળી તેમને એમ પણ લાગતું હતું કે ભારતનું બંધારણ કોઈને પણ લક્ષ્મણરેખા ઓળંગવા નહીં દે, એટલે હિન્દુત્વના રાજકારણને પરિણામે બંધારણીય ભારત જોખમમાં નહીં આવે. તેમને કાયદો હાથમાં લે એવો કટ્ટર હિંદુ નહોતો જોઈતો, પણ હિંદુ હોવાની સભાનતા અને ગૌરવ અનુભવનારો હિંદુ જોઈતો હતો. સંઘનો એ રીતનો ખપ તેમને દેખાતો હતો અને માટે તેઓ સંઘપરિવારને મદદ કરતા હતા અને સહાનુભૂતિ ધરાવતા હતા.

ભારતનું વિભાજન થયું ત્યારે અને એ પહેલાનું મુસ્લિમ રાજકારણ જોઇને એ સમયના અનેક કાઁગ્રેસી નેતાઓને એમ લાગ્યું હતું કે હિંદુઓમાં પણ એકતાની ભાવના પેદા કરનારું, હિંદુઓને સંગઠિત કરનારું, થોડુક લોંઠકાપણાનું પ્રદર્શન કરનારું, “બીજા”ઓને સખણા રાખવામાં ઉપયોગી થનારું એક હિંદુ પરિબળ જરૂરી છે અને એ સંઘ કરી શકે એમ છે. આ સિવાય સામ્યવાદને ખાળવામાં પણ ઉપયોગી થઈ શકે એમ છે. માટે ગાંધીજીની હત્યા પછી સંઘ પરનો પ્રતિબંધ પાછો ખેંચવામાં કાઁગ્રેસી નેતાઓએ મદદ કરી હતી. કાઁગ્રેસની અંદર જે કેટલાક હળવા હિંદુવાદી (સોફ્ટ હિંદુત્વવાદી) નેતાઓ હતા એ પોતાને ગાંધીવાદી કહેવડાવતા હોવા છતાં સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.  

આનું કારણ અરુણ શૌરી કહે છે એમ બૌદ્ધિક પ્રમાદ નહોતો પણ સંઘનો ખાસ પ્રકારનો વાંકી આંગળીએ ઘી કાઢવાનો ખપ હતો અને હિંદુ સમાજમાં કટ્ટર હિંદુ ક્યારે ય પેદા થઈ જ ન શકે અને છેવટે બંધારણ રખેવાળી કરશે એવાં ગૃહિત હતાં. અરુણ શૌરી જાહેરમાં આની કબૂલાત કરવા જેટલી હિંમત અને પ્રામાણિકતા ધરાવતા નથી. બીજા અનેક દિવંગત કે હયાત શૌરીઓ આ જ ગણતરીએ છેતરાયા હતા. અરુણ શૌરીએ ૨૮ પુસ્તકો લખ્યાં છે જેમાંથી તેઓ જ્યારે બી.જે.પી. સાથે હતા એ સમયનાં પુસ્તકો ઉપર નજર કરો. ‘રિલીજિયન ઇન પોલિટિક્સ’, ‘ધ ઓન્લી ફાધરલેન્ડ’, ‘અ સેક્યુલર એજન્ડા’, ઇન્ડિયન કોન્ટ્રોવર્સીઝ : એસેઝ ઓન રિલીજિયન ઇન પોલિટીક્સ’, ‘મિશનરિઝ ઇન ઇન્ડિયા’, ‘વર્લ્ડ ઓફ ફતવાઝ : શરિયા ઇન એક્શન’, એમીનન્ટ હિસ્ટોરિયન્સ’. ‘હાર્વેસ્ટિંગ અવર સોલ્સ : મિશનરીઝ ધેર ડિઝાઇન, ધેર ક્લેઇમ્સ’. આ પુસ્તકો ઇસ્લામ વિરોધી છે, ખ્રિસ્તી વિરોધી છે, સેકયુલરિઝમ વિરોધી છે, સામ્યવાદીઓ વિરોધી છે અને હિન્દુત્વવાદીઓ માટે છુપી કે પ્રગટ સહાનુભૂતિ ધરાવે છે. કારણ? કારણ આગળ કહ્યું એ જ. આ બધાઓને સખણા રાખવા માટે વાંકી આંગળીએ ઘી કાઢનાર હિંદુ સંગઠનની જરૂર છે. સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, એન.વી. ગાડગીળ અને બીજા અનેક કાઁગ્રેસીઓમાંથી કેટલાકે અરુણ શૌરીની માફક “બીજા”ઓ વિષે કવચિત થોડું લખ્યું છે, પણ તેમના રાજકારણ ઉપર નજર કરશો તો એમાં “બીજાઓ” સામે સંઘનો ખપ નજરે પડશે.

ઘણા લોકો અસ્મિતાજન્ય પોતાપણાની સભાનતા અને એકતાની ઘેલછા ધરાવે છે. એક પ્રકારનો રોમાંચ અનુભવે છે. એમાં જો પ્રસંગોપાત થોડું લોંઠકાપણું ઉમેરાય તો તેનું રાજકીય પ્રદર્શનમૂલ્ય હોય છે. “બીજા”થી બચવા માટે “બીજા’ને નુકસાન પહોંચાડવા માટે નહીં એવો પાછો ઉમદા હેતુ પણ જોવા મળશે. વિનોબા ભાવે દ્વારા દીક્ષિત સર્વોદય આંદોલનમાં પણ આવા કેટલાક લોકો મળી આવે છે.

અહીં સવાલ થવો જોઈએ કે તેઓ જ્યારે આર.એસ.એસ. માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા તો પછી સંઘને જે માણસ ગમતો નથી એ ગાંધીની આંગળી તેમણે શા માટે પકડી હતી? જે પક્ષ સંઘની વિચારધારા સ્વીકારતો નથી એ કાઁગ્રેસ પક્ષમાં તેઓ શા માટે જોડાયા હતા? સંઘને ભારતની જે કલ્પના સ્વીકાર્ય નથી એવા ભારતની કલ્પનાને શબ્દબદ્ધ કરનારું બંધારણ તેમણે શા માટે ઘડ્યું? બંધારણસભામાં આવા લોકો મોટી સંખ્યામાં હતા અને બંધારણ ઘડવામાં તેમનો સિંહફાળો હતો. કાયદાનું રાજ અને જવાબદાર રાજ્યતંત્રના તેઓ શા માટે મોટા પુરસ્કર્તા હતા અને છે? તેમણે ઉઘાડેછોગ સંઘનો એજન્ડા કેમ નહીં અપનાવ્યો? આજે અરુણ શૌરી જેવાઓ સંઘપરિવાર દ્વારા મર્યાદા ઓળંગાતી જોઇને શા માટે ડરી ગયા છે? શા માટે તેઓ બંધારણીય ભારતના ભવિષ્ય વિષે ચિંતિત છે? બીજે છેડે રહીને તેઓ સંઘ માટે સહાનુભૂતિ શા માટે ધરાવતા હતા અને મદદ કરતા હતા એનાં કારણો તો આપણે તપાસ્યા, પણ તેઓ હંમેશાં બીજે છેડે જ શા માટે રહ્યા? સંઘ માટે સહાનુભૂતિ હોવા છતાં શા માટે તેઓ આ બાજુ સંઘને છેડે ઊભા ન રહ્યા?

ના, સત્તાની લાલચ આનું કારણ નહોતું. આવું જો તમે વિચારતા હો તો એ ભૂલ છે. આવતા એક સપ્તાહ દરમ્યાન બીજાં કારણો વિચારો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઍપ્રિલ 2022

Loading

ગુરુ તેગ બહાદુરનો જન્મોત્સવઃ શીખોને રિઝવવા ભા.જ.પા.ની આકરી મથામણ કેટલી લેખે લાગશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 April 2022

મોટી ઉજવણીઓ પાછળના કારણો બહુસ્તરીય હોય છે અને ઉજવણીઓમાં લોકો ખરી સમસ્યાઓ, ઇરાદાઓ અને સમસ્યાઓ ભૂલી ન જાય તે જરૂરી છે

હમણાં તો આપણા દેશમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કોમી રમખાણો થયાં, સિતારાઓએ લગ્ન કર્યાં, બ્રિટિશ વડા આપણા દેશને આંગણે પધાર્યા, સાહેબ પણ આમ તેમ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે વગેરે વગેરે. આ બધાની વચ્ચે એક મોટી ઉજવણી થઇ રહી છે જેની પૂર્ણાહુતિ આજે, રવિવારે પાણીપતમાં થશે. શીખોના ગુરુ તેગ બહાદુરની 400મી જન્મ જયંતીની બે દિવસની મોટીમસ ઉજવણીની જાહેરાત કેન્દ્ર સરકારે કરી. આ ઉજવણી કેમ આટલી મોટી અને અગત્યની? કોણ હતા આ ગુરુ તેગ બહાદુર? આ ઉજવણી મોટી એટલા માટે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ પ્રસંગે ગુરુવારે રાત્રે સંબોધન કર્યું. મોદી દેશના એવા પહેલા વડા પ્રધાન છે જેમણે સૂર્યાસ્ત પછી આ મુગલકાળની ઇમારત પછી સંબોધન કર્યું છે. તેમણે આ સંબોધન લાલ કિલ્લાની લૉન પરથી કર્યું. ગુરુ તેગ બહાદુરની જન્મ જયંતીની ઉજવણીના પર્વ માટે લાલ કિલ્લાને પસંદ કરાયો કારણ કે અહીંથી જ મુગલ બાદશાહ ઔરંગઝેબે ઇ.સ. 1675માં શીખોના ગુરુ તેગ બહાદુરની હત્યાની હુકમ આપ્યો હતો. આ દાવો સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ  કર્યો છે. લાલ કિલ્લાની ઇમારત પર ચઢીને દેશને સંબોધવાની ઘટના માત્ર સ્વતંત્રતા દિવસ પર જ બને છે. 15 ઑગસ્ટ સિવાય લાલ કિલ્લા પરથી વડા પ્રધાનના સંબોધનો ક્યારે ય થયા નથી. આ પહેલા વડા પ્રધાન મોદીએ જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકાર ઘડાવાના 75મા વર્ષે, 2018માં લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હતો અને સવારે 9.00 વાગ્યે સંબોધન કર્યું હતું. બીજી વખત શીખ ગુરુના સન્માન માટે પરંપરા અને નિયમોથી અલગ જઇને વડા પ્રધાને કાર્યક્રમ યોજ્યો.

આ તોતિંગ ઉજવણી પાછળના કારણો ઘણાં છે. તે તમામ સમજતાં પહેલાં તેગ બહાદુર વિશે થોડું જાણીએ. તેગ બહાદુરનો જન્મ અમૃતસરમાં ૨૧મી એપ્રિલે ઇ.સ. 1621માં થયો હતો. બાળપણમાં ત્યાગ મલના નામે જાણીતા તેગ બહાદુરે મોટા થતી વખતે ભાઇ ગુરદાસ સાથે સમય ગાળ્યો. તેમની પાસેથી ગુરુમુખી, હિંદી અને સંસ્કૃત ભાષાઓ, ભારતીય ધાર્મિક ફિલસૂફીની તાલીમ લીધી. તેર વર્ષની ઉંમરે મુગલ સેનાપતિ સામેની લડાઇમાં બહાદુરી દાખવી અને તેગ બહાદુરનું નામ મેળવ્યું. શીખોમાં ચોથા ધર્મગુરુ રામ દાસ પછી આ ગુરુપદ વારસામાં મળવા માંડ્યું. દંતકથા અનુસાર દેગ બહાદુરના ભત્રીજા ગુરુ પદ પર બેસવાના હતા પણ પાંચ વર્ષની વયે મરણ પથારી પરથી તેમણે બાબા બકાલાને આગલા ગુરુ બનાવવાની વાત કરી. બકાલામાં ઘણા શીખો ધર્મ આધ્યાત્મનું પાલન કરતા, તેગ બહાદુર ત્યારે બકાલામાં પોતાના ઘરના ભોંયરામાં ધ્યાન ધરતા. નવા ગુરુ કોને બનાવવાની અસમંજસ ચાલતી રહી હતી કારણ કે બકાલામાં દાવેદારોની લાઇન લાગી હતી. આ તરફ માખન શાહ નામના તવંગર શેઠિયાએ દરિયાઇ તોફાનમાં ફસાયેલું પોતાનું જહાજ બચે તો જે ગુરુ હોય તેને ૫૦૦ સોનામહોર આપવાની જાહેરાત કરી, જહાજ બચ્યું પણ ગુરુ કોણ? તેણે કહ્યું કે જે પોતાની પ્રાર્થનામાં કેટલી સોનામહોરોની વાત હતી તે કહી આપશે તે સાચો ગુરુ? તેગ બહાદુરે આ આંકડો કહી આપ્યો અને આમ તે શીખોના ગુરુ બન્યા. ઔરંગઝેબના કાળમાં તેગ બહાદુરે પીર અને ફકીરોની દરગાહ પર થતી બંદગીને વખોડી. તેગ બહાદુર ત્યારે પોતાનો ઉપદેશ આપવા પ્રવાસ પણ ખેડતા. આ દરમિયાન પંજાબમાં મુગલોનો ત્રાસ વધતા ગુરુ પાછા ફર્યા અને મુગલ વડાઓએ લોકોનું ધર્માંતરણ કરવાને બદલે પહેલા ગુરુનું ધર્માંતરણ કરવું જોઇએની હાકલ નાખી. ઔરંગઝેબને આ પોતાની સામેનો પડકાર લાગ્યો. એક પુસ્તક અનુસાર તેગ બહાદુર પોતે દિલ્હી ગયા હતા, ત્યાં તેમની ધરપકડ થઇ અને શારીરિક ત્રાસ આપ્યા બાદ ચાંદની ચોકમાં તેમના ત્રણ સાથીદારો સાથે તેમનો વધ કરાયો. આ પછી તેગ બહાદુરના ગુરુ ગોબિંદ સિંઘ શિખોના દસમા ગુરુ બન્યા.

તેગ બહાદુરે ઔરંગઝેબ સામે માથું ઉચક્યું હોવાની વાતને કેન્દ્ર સરકારે ઘૂંટી છે. ધ્રુવીકરણની રાજનીતિમાં કાબેલ સરકારે શીખોને મનાવવા માટે આકાશ પાતાળ એક કર્યા છે. પંજાબ વિધાનસભામાં ભા.જ.પા.ને માત્ર બે બેઠકો મળી છે તે બતાડે છે કે શીખો ભા.જ.પા. વિશે શું અભિપ્રાય ધરાવે છે. એક આખું વર્ષ ચાલેલા ખેડૂત આંદોલનમાં શીખોને ભારે હાલાકી વેઠવી પડી. કૃષિ કાયદા પણ કેન્દ્ર સરકારે પાછા ખેંચ્યા ત્યારે ગુરુ નાનક જયંતી હતી અને ત્યારે પણ વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધીને આ જાહેરાત કરી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ચાર દિવસ પહેલાં મોદીએ દિલ્હીમાં પોતાના નિવાસ પર શીખ બૌદ્ધિકો સાથે ખાસ બેઠક યોજી હતી. ભગત સિંહની મૃત્યુ તિથિ ટાણે હરિયાણાની ભા.જ.પા. સરકારે બસો ભરીને યુવાનોને ભગત સિંહના માદરે વતનનો પ્રવાસ કરાવ્યો હતો. મોદીએ ગુરુ ગોબિંદ સિંઘના દીકરાઓની શહીદી ઉજવવા વીર બાળ દિવસ પણ જાહેર કર્યો.

ભા.જ.પા. પ્રત્યે શીખોનો અભિગમ ઠંડો રહ્યો છે. મોદી મેનિયાનો શીખો પર બહુ પ્રભાવ પડ્યો નથી. અકાલી દળે પણ ખેડૂતોના મામલે ભા.જ.પા.ને ટેકો આપવાનું બંધ કર્યું હતું. ભા.જ.પા. શીખોની રીઝવવા તત્પર છે. પરંતુ આ કામ ઉજવણીઓ, યાત્રાઓ, મીટિંગોથી પાર પડે તેમ નથી. આર.એસ.એસ.ના હિંદુ ઓળખ એજન્ડા સામે શીખોને વાંધો છે. ભૂતકાળમાં આર.એસ.એસ.એ જ્યારે શીખોના ધર્મને લગતી બાબતોને આગળ કરવા ઠેકડો માર્યો છે, ત્યારે અકાલ તખ્તે શીખોને સંઘથી ચેતવ્યા છે. અકલા તખ્તને લાગ્યું હતું કે સંઘને મૂળે તો શીખ માન્યતાઓ પર સંઘનો સિક્કો મારવાની ચાહ છે. ૨૦૧૯માં આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરેલું ત્યારે અકાલ તખ્તે સંઘ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. અકાલ તખ્તે આર.એસ.એસ. સામે જાહેર કરેલા વાંધાઓને પગલે શીખોને ભા.જ.પા. પર પૂરેપૂરો વિશ્વાસ ક્યારે ય નથી બેસવાનો તે વાસ્તવિકતા છે, ભલેને સંઘ પોતાની પાંખ શીખ સંગત દ્વારા પ્રયત્નો કરે.

વળી જ્યારે વડા પ્રધાનની સુરક્ષાને મામલે પંજાબમાં લોચા પડ્યા હતા ત્યારે શીખો પર પણ પ્રહારો થયા હતા. સોશ્યલ મીડિયા પર ખાલિસ્તાન, કાઁગ્રેસીઓ અને પાકિસ્તાનનું પણ નામ લેવાયું હતું. આ તરફ ખેડૂત પ્રદર્શનોમાં ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદીઓનું લેબલ પણ આપવામાં આવ્યું હતું અને 1984ના રમખાણો જેવા હાલ થશેની ધમકી પણ અપાઇ હતી. ઉત્તર પ્રદેશથી ભા.જ.પા.ના એક એમ.એલ.એ. દ્વારા જ આવા વિધાનો કરાયા હતા. જમણેરી મીડિયા હાઉસિઝે શીખ નેતાઓના ઉગ્ર ભાષણોને સતત સ્ક્રીન પર ઘૂંટ્યા હતા. શીખોને વારે વારે નારાજ કરાયા હોય પછી ભા.જ.પા.એ મલમ પટ્ટા કરવા જ રહ્યા. મોટી ઉજવણીઓ પાછળનાં કારણો બહુસ્તરીય હોય છે અને ઉજવણીઓમાં લોકો ખરી સમસ્યાઓ, ઇરાદાઓ ભૂલી ન જાય તે જરૂરી છે.

બાય ધી વેઃ

હિંદુત્વ માટે શીખો કોઇ જોખમ નથી. અકાલી દળ સાથે છેડા ફાડ્યા બાદ ભા.જ.પા. પંજાબમાં એકલો પડેલો પક્ષ છે. ખેડૂત આંદોલન પણ મોદી સરકારની સત્તા સામેની લડત હતી અને તેને રાષ્ટ્ર વિરોધી ગણાવનારા ઓછા નહોતા. શીખો પોતાની તરફેણ કરે તે માટે ભા.જ.પા. બનતા બધા જ પ્રયાસ કરે છે પણ ભૂતકાળમાં થયેલી ભૂલો, આર.એસ.એસ. સામે અકાલી દળનો વિરોધ, ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદીમાં ખપાવવાની ભૂલ જેવું ઘણું બધું ભા.જ.પા.ને નડે તેમ છે. ધર્મગુરુઓને ઉજવતા સાઉન્ડ એન્ડ લાઇટ શોઝ આ કડવાશ દૂર કરવામાં કેટલા લેખે લાગશે તે તો વખત આવ્યે ખબર પડશે? અરે હા, તેગ બહાદુર પાછા મુસલમાનો સામે લડેલા એ યાદ કરાવવાનું ભા.જ.પા. નહીં ભૂલે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 ઍપ્રિલ 2022

Loading

બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ

અશ્વિનકુમાર|Opinion - Opinion|23 April 2022

‘દિલના દરવાજે દસ્તક’ (ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણો)

અનુવાદક : ઉર્વીશ કોઠારી, ચંદુ મહેરિયા
ચૌદમું પુનઃમુદ્રણ : ૧૪ એપ્રિલ, ૨૦૨૨, ISBN : 978-93-84076-52-8
સાર્થક પ્રકાશન, ૧૪, ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર સામે, વાસણા બસસ્ટેન્ડ પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૦૭, કિંમત : ૮૫, કુલ પૃષ્ઠ : ૬૮

આપણે ત્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુખ્યત્વે બે ઓળખ આપવામાં આવે છે : ‘દલિતોના મસીહા’ અને ‘બંધારણના ઘડવૈયા’. આટલું કહેવા માટે વિશેષ વાચન અને સઘન અભ્યાસ અનિવાર્ય નથી! આ જ કારણે બાબાસાહેબના ભીમરાવી વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉપર પૂરતો પ્રકાશ પહોંચતો નથી. ડૉ. આંબેડકર સામે ફેણ માંડનારા તેમ જ તરફેણ કરનારા પણ બાબાસાહેબ વિષયક વિવિધ પુસ્તકો તરફ વાચનપ્રેમ દાખવે એ સમયોચિત માગ છે. જો આવું થાય તો આપણી આંખ આગળ અજોડ આંબેડકર ઊપસી આવે. અહીં વાચનની જ વાત નીકળી છે કે જાણીજોઈને કાઢવામાં આવી છે ત્યારે, બાબાસાહેબના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ તરફ ધ્યાન જાય તો કેવું રૂડું? વળી, વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોમાં વ્યક્તિના વાચનવારસા અને પુસ્તકસંગની નોંધ લેવી જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપનાપચાસીએ ગાંધીજીની માતૃભાષામાં પુસ્તક રૂપે અવતરેલાં ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં લખાણો’માંથી પસાર થતી વખતે બાબાસાહેબની વાચનપ્રીતિ અને પુસ્તકપ્રીતિની પ્રતીતિ થાય છે. આ પુસ્તકનું નામ ‘દિલના દરવાજે દસ્તક’ (પ્રથમ આવૃત્તિ : ૧૦ એપ્રિલ, ૨૦૧૦; કિંમત : વીસ રૂપિયા; પૃષ્ઠ : ૭૮) છે. દલિત અધિકાર પ્રકાશન (બી-૭૮, ન્યૂ હીરાબાગ સોસાયટી, સી.ટી.એમ., અમદાવાદ-૩૮૦ ૦૨૬)ના આ પ્રથમ પુસ્તકના અનુવાદકો ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયા છે.

બુદ્ધ, કબીર, અને જોતિબાને પોતાના ગુરુ ગણાવનાર બાબાસાહેબ ઉપર શુદ્ધ શાકાહારી અને વ્યસનમુક્ત કબીરપંથી સાધુ એવા પિતાજીનો ભારે પ્રભાવ છે. આ પુસ્તકના પ્રથમ લેખ (‘જનતા’, ૬-૧૧-૧૯૫૪)માં ડૉ. આંબેડકર લખે છે : “ ઘરમાં પિતાજી ધર્મની અને શિક્ષણની ધરી જેવા હતા. ધર્મ અને વિદ્યા બન્નેના એ ભક્ત હતા. તેમણે મને બાળપણમાં ઘણી વાર ‘રામાયણ’ અને ‘મહાભારત’ વંચાવ્યાં. એ ગ્રંથોથી હું ઘણો પ્રભાવિત થયો હતો. મારા પિતાજી કહેતા, ‘આપણે ગરીબ છીએ એટલે તું કોચવાતો નહીં. તું વિદ્વાન કેમ ન બની શકે?’ ” (પૃષ્ઠ-૧૩). બાળપણમાં કોઈ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ શેરીજનોએ દાદા કેલુસકરની મદદથી ભીમરાવનો સન્માન-સમારંભ ગોઠવ્યો હતો. આ સન્માન અંગે બાબાસાહેબ નોંધે છે : “દાદા કેલુસકરે ઇનામ તરીકે મને બુદ્ધનું ચરિત્ર આપ્યું. એના વાચનથી મારામાં નવી ચેતના પેદા થઈ.” (પૃષ્ઠ-૧૪) રામાયણ-મહાભારતની કેટલીક વાતો સમજી-સ્વીકારી ન શકનાર બાબાસાહેબ સ્વીકારે-સમજાવે છે કે, “બૌદ્ધ ધર્મના અભ્યાસ પછી મારી વાચનભૂખ ઊઘડી. હજુ આજે પણ મારા મન પર બોદ્ધ ધર્મનો પ્રભાવ યથાવત્ છે. હું માનું છું કે વિશ્વમાં લોકોનું ભલું કરવાનું ફક્ત બૌદ્ધ ધર્મથી શક્ય છે. વારંવાર હું કહું છું કે હિંદુઓએ પોતાના રાષ્ટ્રનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો તેમણે બૌદ્ધ ધર્મ અપનાવવો પડશે.” (પૃષ્ઠ-૧૪) આમ, નાનપણમાં ભેટ રૂપે મળેલું બુદ્ધનું ચરિત્ર વાંચીને નવો ચેતનાસંચાર પામીને, આજીવન બૌદ્ધ ધર્મનું ચિંતન-મનન કરીને, જીવનસંધ્યાએ બાબાસાહેબ બોધિસત્ત્વ પામ્યા.

બાબાસાહેબ વિદ્યા, વિનય, અને શીલને પોતાના ત્રણ બળ ગણાવીને તેમને ત્રિદેવ રૂપે માને છે. આથી જ તેઓ કહે છે કે, “માણસને જીવવા માટે અનાજ જેટલી જ જરૂર વિદ્યાની પડે છે. જ્ઞાન વિના એ કંઈ કરી શકતો નથી.” (પૃષ્ઠ-૧૫). માણસ માટે શાંતિ મેળવવા અને વિકાસ કરવા વિદ્યા જરૂરી છે એવું દૃઢપણે માનનારા ડૉ. આંબેડકર પોતાના વિદ્યાપ્રેમ અને પુસ્તકપ્રેમ વિશે કહે છે : “અસલમાં વિદ્યા અત્યંત વ્યાપક છે. વિદ્યા પ્રત્યે મારા મનમાં અજબ લગની છે. કોઈ બ્રાહ્મણ પાસે નહીં હોય એટલાં પુસ્તકો મારી પાસે દિલ્હીમાં છે. લગભગ વીસેક હજાર પુસ્તકો હશે. કોઈ બ્રાહ્મણ પાસે હશે આટલાં પુસ્તકો? જો હોય તો બતાવે. મારે ઠાકુર ઍન્ડ કંપની(પુસ્તક-પ્રકાશક અને વિક્રેતા)ને રૂ. આઠ હજાર ચૂકવવાના છે. મને ગમે ત્યાંથી ઉધાર મળી જાય છે. ઉધારી વધી જાય તો હું મારી મોટર લેણદારના ઘેર મૂકીને આવતો રહું છું. વિદ્યા પ્રત્યે મારી આસક્તિ આ કક્ષાની છે. આ ગાંડપણ સૌમાં હોવું જોઈએ. આસક્તિ વ્યક્તિની પ્રેમિકા છે. એ બીજે ગામ રહે છે ને રાતે બાર વાગ્યે વ્યક્તિને એની યાદ આવે, એટલે તે સવારની રાહ જોયા વિના રાત્રે જ નીકળી પડે છે. રસ્તામાં નથી તે સ્મશાન જોતો કે નથી બીજું કઈ જોતો. કોઈ પણ હિસાબે તેને પ્રેમિકા પાસે પહોંચવું છે. માણસ વિદ્યાને આ હદનો પ્રેમ કરે, ત્યારે એ સાચો સાધક થઈ શકે છે. હું દિવસ-રાત વિદ્યાની સાધના કરું છું.” (પૃષ્ઠ-૧૬) જિંદગીમાં કદી કોઈની પાસે દયાની અપેક્ષા ન રાખનાર ડૉ. આંબેડકરનું લક્ષ્ય એટલું જ હતું કે એમને બે ટંકનું ભોજન મળે અને તેઓ અંત્યજ સમાજની સેવા કરે. આથી, ડૉ. પરાંજપેની વિનંતીને માન આપીને તેમણે કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવાનું સ્વીકાર્યું હતું. ડૉ. પરાંજપેએ તેમને અઠવાડિયે તેર વ્યાખ્યાન લેવા કહ્યું હતું. પણ ડૉ. આંબેડકરે એમને કહ્યું હતું કે તેઓ ફક્ત ચાર જ વ્યાખ્યાન લઈ શકશે. કારણ કે તેમને દલિત લોકોની સેવા કરવાની હતી અને એ માટે એમને સમય જોઈતો હતો. આ મુદ્દે ડૉ. આંબેડકર લખે છે : “મને કોઈ વ્યસન નથી. હા, પુસ્તકો અને કપડાંનો મને અજબ શોખ છે. હું ગર્વથી કહી શકું છું કે મારામાં શીલને ટકાવી રાખવાનો ગુણ મોટા પાયે મોજૂદ છે.” (પૃષ્ઠ-૧૮) આમ, ડૉ. આંબેડકર માટે વિદ્યા અને પુસ્તકો, અધ્યયન અને વાચન જીવનનું અનિવાર્ય અંગ છે.

આ પુસ્તકના ‘મારા ચારિત્ર્યના ઘડવૈયા : પિતાજી’ (‘નવયુગ’, ૧૩-૪-૧૯૪૭) એ શીર્ષક હેઠળના લેખમાં ડૉ. બાબાસાહેબ એમના શિક્ષક પિતાજીને હૃદયના હોય એટલા ખૂણેથી યાદ કરે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની સરકારની સૈન્યશાળામાં ચૌદ વર્ષ સુધી મુખ્ય શિક્ષક (હેડ માસ્તર) તરીકે ફરજ બજાવનાર અને પૂનાની શિક્ષક તાલીમ શાળામાં ભણીને શિક્ષણનો ડિપ્લોમા મેળવનાર પિતાજીની ભણાવવાની ઢબ બહુ સરસ હતી. આથી, બાબાસાહેબ કહે છે : “શિક્ષક હોવાને કારણે પિતાજીમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ અને આસ્થા પેદા થયાં. (તેના પરિણામે) અમારા ઘરમાં બધાંને સારું લખતાં-વાંચતાં આવડતું હતું. એટલું જ નહીં, મારાં મોટાં બહેન તો પાંડવપ્રતાપ, રામાયણ જેવા ગ્રંથો વાંચીને તેનું વિવેચન કરી શકતાં હતાં. કબીરપંથી હોવાને કારણે પિતાજીને ઘણાં ભજન અને અભંગ મોઢે હતાં.” (પૃષ્ઠ-૨૨) આમ, શિસ્તપ્રેમી અને શિક્ષણપ્રેમી પિતાજીએ ઘરમાં ઊભા કરેલા વિદ્યાકીય વાતાવરણથી પણ ભીમરાવનું વાચનવિશ્વ વિસ્તર્યું. જો કે બાબાસાહેબને શાળાકીય અભ્યાસનાં પુસ્તકોને બદલે ઇતર વાચનનો શોખ હતો. તેમના પિતાજીને આ વાત પસંદ ન હોવાથી તેઓ બાળ ભીમરાવને અભ્યાસક્રમનાં પુસ્તકો જ પહેલાં વાંચવાં જોઈએ અને ત્યાર બાદ જરૂરી હોય તો જ બીજાં પુસ્તકો વાંચવાં જોઈએ એવું કહેતા. મરાઠીની જેમ અંગ્રેજી ભાષા માટે ગર્વ અનુભવનાર પિતાજી અંગ્રેજી શીખવા સારુ બાબાસાહેબને હાર્વર્ડનાં પુસ્તકો બરાબર વાંચી નાખવાનું હંમેશાં કહેતા. પિતાજીએ ભીમરાવ પાસે તિર્ખડકરની અનુવાદિત પાઠમાળાનાં ત્રણ પુસ્તકો પણ વંચાવી લીધાં હતાં. વળી, પિતાજીએ જ બાબાસાહેબને મરાઠી ભાષાના અઘરા શબ્દોના યોગ્ય અંગ્રેજી પર્યાય શબ્દો શોધવાનું શીખવ્યું હતું. જાહેર જીવનમાં ઉત્તમ અંગ્રેજી લખનાર-બોલનાર તરીકે ખ્યાતિપ્રાપ્ત ડૉ. આંબેડકરને બાળપણમાં અંગ્રેજી શબ્દો, કહેવતો, અને ભાષાશૈલીનો યોગ્ય ઉપયોગ કરવાની સઘળી તાલીમ શિક્ષક પિતાજીનાં સાંનિધ્ય અને વાચનસંસ્કાર તેમ જ તેમણે પૂરી પાડેલી પુસ્તકોની સોબત થકી મળી છે.

ડૉ. આંબેડકરનો એવો આગ્રહ હતો કે તેમની પાસે પોતાનાં ખરીદેલાં પુસ્તકો જ હોવાં જોઈએ. જેના પરિણામે સારી એવી સંખ્યામાં ખરીદીને એકત્ર કરેલાં પુસ્તકોથી એમનું અંગત ગ્રંથાલય સમૃદ્ધ થઈ શક્યું હતું. નાનપણમાં પણ તેઓ નવાં પુસ્તકો ખરીદવા માટે પિતાજી સમક્ષ જિદ્દ કરતા હતા. ભીમરાવે પિતાજી પાસે પુસ્તક માગ્યું હોય અને સાંજ સુધીમાં તેમણે લાવી ન આપ્યું હોય એવું ભાગ્યે જ બનતું હતું. જો કે એમના ઘરની આર્થિક સ્થિતિ જે પહેલાં તો સારી હતી પણ ધીરે ધીરે કથળતી ગઈ હતી. મામૂલી નિવૃત્તિ-વેતન (પેન્શન) સામે મુંબઈનું જીવન, બહોળો પરિવાર, શાળાનો ખર્ચ … છતાં તેમના પિતાજી બધી મુસીબતો વેઠીને પણ ભીમરાવની તમામ જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરતા હતા. આ મામલે ડૉ. આંબેડકર લખે છે : “મારા પિતા દિલના બહુ ઉદાર હતા. હું તેમની પાસે કોઈ પુસ્તક માગું એટલે ખિસ્સામાં પૈસા ન હોય તો પણ તે બગલમાં પાઘડી દબાવીને તરત ઘરની બહાર નીકળી પડતા. એ સમયે મારી બન્ને બહેનો મુંબઈમાં જ રહેતી હતી. બન્નેનાં લગ્ન થઈ ગયાં હતાં. પિતાજી ઘરેથી નીકળીને સીધા નાની બહેનના ઘરે જતા અને તેની પાસેથી પુસ્તક માટે બે-ચાર રૂપિયા ઉધાર માગતા. એની પાસે પણ ક્યાંથી હોય એટલા રૂપિયા? એ દુઃખી દિલે ના પાડે તો, પિતાજી સીધા મોટી બહેનને ઘેર પહોંચી જતા. તેની પાસે રોકડ રૂપિયા ન હોય તો તેનું કોઈ ઘરેણું માગી લેતા. આમ તો બહેનને ઘરેણાં પિતાજીએ જ આપેલાં. પણ એ ઘરેણાં ગીરવે મૂકીને તે મારાં પુસ્તકો લાવી આપતા હતા. જ્યારે પેન્શન આવે ત્યારે એ ગીરવે મૂકેલાં ઘરેણાં છોડાવીને બહેનને પાછાં આપી દેતાં. એટલે બહેનો પણ પિતાજી ઘરેણાં માગે ત્યારે તરત આપી દેતી હતી.” (પૃષ્ઠ-૨૫,૨૬) જો કે ભીમરાવ બહુ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું હોવાથી ફોઈએ ભીમરાવનો ઉછેર કર્યો હતો. ફોઈ પિતાજી કરતાં મોટાં હોવાથી પિતાજી પણ તેમનું માન જાળવતા હતા. વળી, ભીમરાવ ફોઈના બહુ લાડકા હોવાથી ઘરમાં ભીમરાવ સામે બોલવાની કોઈ હિંમત નહોતું કરતું. આથી ભીમરાવ માથામાં દદડતું તેલ નાખીને, પુસ્તકોનું ઓશીકું બનાવીને બેફિકરાઈથી તેની ઉપર સૂઈ જતા હતા! જો કે નાનપણમાં પુસ્તક-વાચનના લાગેલા શોખ વિશે ડૉ. આંબેડકર લખે છે : “નાની ઉંમરે મને પુસ્તકો વાંચવાનો શોખ લાગ્યો હતો. તે એટલી હદે કે કયા પુસ્તકમાં કયા પાને કઈ મહત્ત્વની વાત લખેલી છે તે હું તરત બતાવી શકતો – અને તે પણ ક્યાં ય કશું લખ્યા વિના. મારી આ આદતને કારણે મારી યાદશક્તિ બહુ તીવ્ર બની.” (પૃષ્ઠ-૨૬)

બાબાસાહેબ સતારા કૅમ્પમાં અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે નિશાળે જવાના સમયે એક દિવસ ધોધમાર વરસાદ પડ્યો. તેમના મિત્રોએ ભીમરાવને આવા વરસાદમાં શાળાએ જવાની ના પાડી. નાનપણથી બહુ જિદ્દી સ્વભાવના ભીમરાવ મિત્રોનું કહ્યું શું કામ માને?! એમના મોટા ભાઈ છત્રી લઈને નીકળ્યા એટલે ભીમરાવે એમને કહી દીધું કે, ‘તું તારે છત્રી લઈને જા. હું તો એકલો પલળતો પલળતો આવીશ.’ તેમના ભાઈએ ભીમરાવને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તેમણે ન સાંભળ્યું! ભીમરાવ વગર છત્રીએ, વરસાદમાં ભીંજાતા ભીંજાતા નિશાળે જવા નીકળ્યા. એ અરસામાં તેઓ રેશમી ભરત ભરેલી ટોપી પહેરતા હતા. આથી, એમની એ પ્રિય ટોપી અને પુસ્તકો પલળી ન જાય એટલે એ એમણે પોતાના ભાઈને આપી દીધાં હતાં. આમ, ધોધમાર વરસાદમાં પૂરેપૂરા પલળીને નિશાળે ગયેલા બાબાસાહેબે પ્રિય ટોપી અને પુસ્તકો પલળી ન જાય એની પૂરેપૂરી દરકાર રાખી હતી!

ભીમરાવના પિતાજીની પ્રબળ ઇચ્છા હતી કે ભીમરાવ સંસ્કૃત ભાષાનું સારું શિક્ષણ મેળવે, પરંતુ એમની એ ઇચ્છા ફળી નહીં. કારણ કે અછૂત બાળકોને સંસ્કૃત નહીં જ ભણાવવાની જિદ્દ પકડી રાખનાર સંસ્કૃતના શિક્ષકે ભીમરાવને પણ સંસ્કૃત ભણાવવાનો ઇન્કાર કરી દીધો. આથી તેમણે વિવશ થઈને ફારસી ભાષા શીખવી પડી. જો કે તેઓ સ્વપ્રયત્નોથી સંસ્કૃત ભાષા કેટલેક અંશે વાંચી-સમજી શકતા હતા. આમ, સંસ્કૃત શિક્ષકની સંકુચિતતાનો ભોગ બનવા છતાં સંસ્કૃત ભાષા માટે આદર-અભિમાન ધરાવનાર અને સંસ્કૃત સાહિત્યના ગુણગાન કરનાર ડૉ. આંબેડકર લખે છે : “મેં ફારસી ભાષાનું સારું અધ્યયન કર્યું હતું અને મારા તેમાં ૧૦૦માંથી ૯૦-૯૫ માર્ક આવતા હતા. તો પણ મારે એ વાત સ્વીકારવી જ રહી કે સંસ્કૃત સાહિત્યની તુલનામાં ફારસી સાહિત્ય કશું જ નથી. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યમિમાંસા છે, અલંકારશાસ્ત્ર છે, નાટક છે, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો છે, દર્શન છે, તર્કશાસ્ત્ર છે, ગણિત છે. આધુનિક વિદ્યાની દૃષ્ટિએ જોવા જોઈએ તો સંસ્કૃતમાં બધું જ છે. આ બધું ફારસીમાં નથી. આપણને સંસ્કૃત ભાષા પર અભિમાન હોવું જોઈએ અને તેનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ બાબત મારા મનમાં બહુ સ્પષ્ટ છે, તો પણ સંસ્કૃત શિક્ષકની સંકુચિતતાને લીધે મને સંસ્કૃત ભાષા શીખવાની તક ન મળી.” (પૃષ્ઠ-૩૭)

ઘણી બધી પદવીઓ મેળવનાર અને ઘણા બધા ગ્રંથો લખનાર બાબાસાહેબ સ્નાતક થયા ત્યાં સુધી તો એક સામાન્ય વિદ્યાર્થી જેવા જ હતા. વળી, સંશોધનકાર્ય માટે જે વિશેષ પ્રકારની દૃષ્ટિ જોઈએ કે અધ્યાપકો તરફથી જે પ્રકારનાં પ્રોત્સાહન-માર્ગદર્શન મળવાં જોઈએ તેનો પણ અભાવ હતો. જેના કારણે તેમની ભીતર છુપાયેલી શક્તિને ગતિ મળી ન હતી. ડૉ. આંબેડકર સ્પષ્ટપણે માને છે કે, “વ્યક્તિમાં સ્વાભાવિક રીતે ગુણો હોય તોપણ તેમનો વિકાસ જરૂરી છે.” (પૃષ્ઠ-૩૮) અભ્યાસ માટે અમેરિકા ગયા ત્યાં સુધી તો બાબાસાહેબના ઘણા ગુણ સુષુપ્તાવસ્થામાં હતા. તેનો વિકાસ કરવાનું કામ પ્રો. સેલિગ્મન અને અન્ય વિદ્વાનોએ કર્યું. આ વિદ્વાન પ્રાધ્યાપકોના સંપર્કમાં આવ્યા બાદ જ બાબાસાહેબને લાગ્યું કે તેઓ સ્વતંત્ર રીતે વિચારી શકે છે. ડૉ. સેલિગ્મને તો આંબેડકરને સંશોધનકાર્ય સારુ એમનું પોતાનું કામ ચાલુ રાખવાનું કહ્યું. એટલે તેમને જાતે જ સમજાય કે એમણે સંશોધન કઈ રીતે કરવાનું છે! આ રીતે આંબેડકર જાતે જ વિચારવા લાગ્યા અને ખૂબ વાંચવા લાગ્યા. જેનાથી તેમને એ શીખવા મળ્યું કે તેમણે જાતે જ પોતાના પગ ઉપર ઊભા રહીને કઈ રીતે સ્વયંનું માર્ગદર્શન કરવું. જો કે આ બધાની પાછળ આંબેડકરની એક ઓર ચિંતા પણ હતી. આ અંગે તેઓ કહે છે : ‘‘ચોક્કસ સમયમાં જ જો હું મારું સંશોધનકાર્ય પૂરું ન કરું તો મને આગળના અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ ન મળે અને તેને લીધે મારાં બધાં સંશોધન અટકી પડે – અભ્યાસ અધૂરો રહે. એટલા માટે મારે દૃઢ સંકલ્પ, ઉત્સાહ, અને તેજ ગતિથી કામ કરવું જરૂરી હતું. એ સમયે મેં સંશોધનકાર્ય માટે આવશ્યક કાર્ડ બનાવ્યાં હતાં. આજે પણ તે કાર્ડ મારી પાસે મોજૂદ છે. આ કાર્ડ સંશોધનકાર્ય કરનારા અધ્યાપકોના ખપમાં આવે તે માટે હું તેમને કોઈ લાઇબ્રેરીમાં રાખવાની વ્યવસ્થા કરવાનો છું. મેં એટલું જબરદસ્ત વાચન કર્યું છે કે કયા પુસ્તકના કયા પાને કયો સંદર્ભ છે, તે તરત જ મારા ધ્યાનમાં આવી જાય. આ વાચનના કારણે મારી સ્મરણશક્તિનો ખૂબ જ વિકાસ થયો છે.” (પૃષ્ઠ-૩૯)

ડૉ. ભીમરાવ આંબેડકરને વિવિધ ભાષાઓ માટે પણ બહુ લગાવ હતો. તેઓ અંગ્રેજી તો સારી રીતે જાણતા જ હતા. તેમને અંગ્રેજી ભાષા જેટલો જ મરાઠી ભાષા માટે પણ ગર્વ હતો. તેમણે વર્ષો સુધી ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’, ‘મૂકનાયક’ જેવાં સામયિકોનું સંપાદન કર્યું હતું. તેમણે મરાઠી ભાષામાં પણ ઘણું લખ્યું હતું. ‘જનતા’ના મોટા ભાગના સંપાદકીય લેખો પણ એમણે જ લખ્યા હતા. તેમણે જર્મન ભાષાનો પણ અભ્યાસ કર્યો હતો. પછીથી જર્મન ભાષાનો મહાવરો ન રહ્યો હોવા છતાં તેઓ થોડા દિવસમાં જ જર્મન ભાષા સારી રીતે વાંચી શકવાનો વિશ્વાસ ધરાવતા હતા. તેમણે ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ અમદાવાદમાં ગુજરાતીમાં ભાષણ કર્યું હતું! તેમને શરૂઆતમાં મરાઠીમાં ભાષણ કરવાનો ડર લાગતો હતો. પણ પછીથી એમને લાગ્યું હતું કે તેઓ મરાઠીમાં પણ સારું બોલી શકે છે. એમ તો તેઓ ફ્રેન્ચ ભાષા પણ જાણતા હતા. અરે, બાબાસાહેબને ઉર્દૂ ભાષા પણ પાકી આવડતી હતી! એક વખત મુસાફરી દરમિયાન પાણી મેળવવા માટે, નવ વર્ષના ભીમરાવે એક ગાડાખેડુની સલાહને અનુસરીને, વેરો ઉઘરાવનાર અફસરે ‘કોણ છું?’ એવું પૂછ્યું ત્યારે, પોતે ‘મુસલમાન’ છે એવું કહ્યું હતું. કારણ કે એ અફસર હિંદુ હતા અને ભીમરાવ એમ કહે કે, “હું મહાર છું” તો પાણી ન મળે! આ ઘટના વિશે આંબેડકર લખે છે “મેં કહ્યું કે હું મુસલમાન છું. અફસરની સાથે મેં ઉર્દૂમાં વાતચીત કરી. મને ઉર્દૂ પાકી આવડતી હતી એટલે મારા મુસલમાન હોવા વિશે અફસરના મનમાં કોઈ શંકા ન રહી …” (પૃષ્ઠ-પ૦)

ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતાની લેખનસાધના વિશે કહે છે : “પુસ્તકો લખતી વેળા મને સમયનું કશું ભાન રહેતું નથી. જ્યારે મારું લેખન શરૂ થતું ત્યારે મારી પૂરી શક્તિ એ જ કાર્યમાં એકાગ્ર થઈ જતી. હું ખાવા-પીવાની પણ પરવા કરતો નહીં. હું ક્યારેક તો આખી રાત લખ્યા કરતો. મને એ સમયે ક્યારેય થાક નહોતો લાગતો કે કંટાળો પણ નહોતો આવતો.” (પૃષ્ઠ-૪૦) જો કે તેઓ નિખાલસતાપૂર્વક સ્વીકારે છે કે, કામ પૂરું કરીને તેઓ મુક્ત થઈ જાય છે એટલે સાવ નિરુત્સાહી અને અસમાધાનકારી થઈ જાય છે. પરંતુ પોતાના પ્રસ્તુત-પ્રકાશન વિશે તેઓ આનંદપૂર્વક લખે છે : “મારે ચાર બાળકો થયાં ત્યારે પણ મને જેટલો આનંદ નથી થયો, એટલો આનંદ મને મારું એક પુસ્તક પ્રકાશિત થયા બાદ થાય છે.” (પૃષ્ઠ-૪૦)

આ પુસ્તકમાં ‘વેઇટિંગ ફોર વિસા’ (પરવાનાની પ્રતીક્ષામાં) અંતર્ગત ‘વડોદરામાં વાસ્તવિકતાનો સામનો’ એ મથાળા તળે ડૉ. આંબેડકરનો એક અનુભવલેખ વાચકના હૈયાને હચમચાવી મૂકવા માટે પૂરતો છે. આ લેખ વાંચ્યા પછી પણ હચમચવાનું ચૂકી ગયેલા વાચકે ‘માણસ’ હોવા અંગેના ખુદના વહેમમાંથી વેળાસર બહાર આવવું જ રહ્યું! વાત ખરેખર એમ છે કે બાબાસાહેબને વડોદરાના મહારાજાએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા હતા. બાબાસાહેબ ઈ.સ. ૧૯૧૩થી ૧૯૧૭ સુધી ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા હતા. ઈ.સ. ૧૯૧૭માં લંડન પહોંચીને તેમણે ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ’માં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ઈ.સ. ૧૯૧૮માં તેમણે ભણતર અધૂરું મૂકીને ભારત આવતા રહેવું પડ્યું હતું. કેમ કે એમના અમેરિકાના શિક્ષણનો ખર્ચ વડોદરા રાજ્યે આપ્યો હોવાથી તેના માટે કામ કરવા તેઓ બંધાયેલા હતા. ભારત આવીને તેઓ સીધા વડોદરા પહોંચ્યા હતા. જો કે વડોદરા સરકાર તરફથી આવાસ-ફાળવણી થાય એ મતલબની આંબેડકરની અરજી તરફ વડોદરા રાજ્યના દીવાને યોગ્ય ધ્યાન આપ્યું નહોતું. આથી તેમને એ મૂંઝવણ હતી કે, ક્યાં રહેવું? વીશી તરીકે ઓળખાતી હિંદુ હોટેલ તો અછૂતોને સંઘરે નહીં. છેવટે તેઓ નોંધણીપત્રક(રજિસ્ટર)માં કોઈ પારસી નામ લખાવીને પારસી સરાઈ(ધર્મશાળા)માં રહ્યા! કારણ કે પારસી સમાજ દ્વારા સંચાલિત આ સરાઈ ફક્ત પારસીઓ માટે જ હતી.

પારસી સરાઈના પહેલા માળે નાનકડી કોટડીમાં વધારે અગવડ, અવ્યવસ્થા, અને એકાંત વચ્ચે ફસાયેલા આંબેડકર લખે છે : “મને એવું લાગ્યું, જાણે હું કાળકોટડીમાં છું. હું જેની સાથે વાત કરી શકાય એવા કોઈ માણસ માટે તલસતો, પણ એવું કોઈ ન હતું. માણસોનો અભાવ મેં પુસ્તકોથી સરભર કરવાનો પ્રયત્ન કર્યો અને એકાંત ખુટાડવા હું વાંચતો જ રહ્યો, વાંચતો જ રહ્યો. વાચનમાં મગ્ન થઈને હું મારી વાસ્તવિક સ્થિતિ ભૂલી ગયો. પણ હૉલમાં અડિંગા જમાવીને આજુબાજુ ઊડતાં – શોર મચાવતાં ચામાચીડિયાં મારી એકાગ્રતામાં ભંગ પડાવતાં હતાં અને હું જેને ભૂલવા મથતો હતો, તે સ્થિતિની યાદ તાજી કરાવતાં હતાં. હું એક વિચિત્ર જગ્યાએ વિચિત્ર સંજોગોમાં ફસાયો હતો….” (પૃષ્ઠ-૫૮) જો કે સરાઈમાં અગિયારમા દિવસે સવારે જ, જે બનવાનું હતું તે બનીને જ રહ્યું! ઉશ્કેરાયેલા, હટ્ટાકટ્ટા, લાઠીધારી બારેક નંગ પારસીઓએ તેમની સરાઈને અપવિત્ર કરવા બદલ આંબેડકર સાથે ગેરવર્તન કર્યું અને તેમને ધમકી આપી. આ કટ્ટર ટોળાએ આંબેડકરને સાંજ સુધીમાં બોરિયા-બિસ્તરા નહીં ઉપાડે તો ગંભીર પરિણામની તૈયારી રાખવાની ચેતવણી પણ આપી દીધી. છેવટે તેમણે પારસી સરાઈ અને એ રીતે વડોદરા શહેરને કાયમ માટે છોડવાની ફરજ પડી. જે દિવસે આ ટોળું આવ્યું તે દિવસે આંબેડકર હજુ ગઈ કાલે ગ્રંથાલયમાંથી લીધેલાં પુસ્તકો પાછાં આપવાં માટે ભેગાં કરતા હતા! કમનસીબે આંબેડકર વડોદરાના પુસ્તકાલયની સેવાનો વિશેષ લાભ ન લઈ શક્યા. વડોદરા પણ આંબેડકરની સેવાનો સવિશેષ લાભ ન લઈ શક્યું!

ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવનનાં ચિત્ર-વિચિત્ર સંભારણાંના આધારે આત્મકથા લખવાનો વિચાર ધરાવતા હતા. આખી આત્મકથા કદાચ ન લખાય તો પણ ‘મારું બાળપણ’ જેવું એકાદ પુસ્તક તો જરૂર લખવાના હતા. આપણને એમની આત્મકથા તો ન મળી, પરંતુ ‘દિલના દરવાજે દસ્તક’ થકી ડૉ. બાબાસાહેબ આંબેડકરના આત્મકથનાત્મક લખાણો મળ્યાં. વળી, આ લખાણો વાચનજીવી અને પુસ્તકપ્રેમી મિત્રો ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાના અનુવાદકર્મથી ગુજરાતીમાં સુલભ થયા, એ ‘આપણા અહોભાગ્યનો અનોખો અવસર’ છે. આ પુસ્તકનાં પાનાં ઉપર હળવે હળવે આંખો ચલાવતી વખતે ડૉ. આંબેડકરના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમનો નિકટ અને પાકટ પરિચય થતો રહે છે. આ સમગ્ર ચર્ચાના અગ્ર મુદ્દા આ મુજબ તારવી શકાય એમ છે : (૧) ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમગ્ર વ્યક્તિત્વ-ઘડતરમાં વાચનસંસ્કારિતા અને પુસ્તકસમીપતા પાયાગત છે, છાયાગત છે. (૨) શિસ્તઆગ્રહી, શિક્ષણચાહક અને સદ્ગુણસંપન્ન પિતાજીએ પરિવારમાં રોપેલા-પોષેલા વાચનસંસ્કારના કારણે નાનપણથી જ ભીમરાવ અને પુસ્તકો એકબીજાની નજીક રહ્યાં છે. (૩) પુસ્તકવાચનનાં શોખ અને આદતને કારણે બાલ્યાવસ્થાથી જ બાબાસાહેબની સ્મરણશક્તિ બહુ તીવ્ર બની છે. (૪) ડૉ. આંબેડકર તમામ પ્રકારના વ્યસનોથી જીવનભર દૂર રહ્યા છે. વાચનને ‘વ્યસન’ કહેવાય તો તેઓ વાચનના આજીવન બંધાણી રહ્યા છે! (૫) વિદ્યા વિશેની ગજબ લગનના લીધે અને પુસ્તકો ખરીદીને જ વાચનતૃપ્તિ કરવી જોઈએ એ સમજણના કારણે બાબાસાહેબ પોતાનું અંગત પુસ્તકાલય સાચા અર્થમાં સમૃદ્ધ કરી શક્યા છે. (૬) વાચનઆદત અને પુસ્તકસોબત થકી ડૉ. આંબેડકર મરાઠી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી તેમ જ ફારસી, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ જેવી ભાષાઓ પામી શક્યા છે. (૭) ભીમરાવની ભીતર સંતાયેલા ઘણા ગુણને વિકસાવવાનું કાર્ય વિદ્યાવ્યાસંગી પ્રાધ્યાપકોએ કર્યું. જેના પરિણામે તેમની સ્વાધ્યાયવૃત્તિ અને સંશોધનપ્રવૃત્તિને ગતિ મળી છે. (૮) વાચનની મૂળભૂત ઇચ્છા અને લેખનની દૃઢીભૂત સાધના દ્વારા બાબાસાહેબ ઘણી બધી પદવીઓ મેળવી શક્યા અને ઘણા બધા ગ્રંથો લખી શક્યા. આ જ રીતે ડૉ. આંબેડકરની ઉત્તમ લેખક અને બોલક તરીકેની પ્રખ્યાતિ પિતાજી અને પરિવાર થકી મળેલા વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમનું પરિણામ છે. (૯) નિરંતર વાચન-લેખન અને ધારદાર ભાષા-શૈલી વાટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’, ‘મૂકનાયક’ જેવાં સામયિકોનું સંપાદન કરીને પત્રકારત્વમાં પરિપક્વ પ્રદાન આપી શક્યા છે. (૧૦) બાબાસાહેબનો જીવન-કિનાર ઉપર બૌદ્ધ ધર્મ અંગીકાર, બચપણથી કરેલા બૌદ્ધ ધર્મના નિત્ય વાચન અને અભ્યાસને કારણે છે. (૧૧) વ્યાપક ફલકનાં વાચન-લેખન અને અધ્યયન-અધ્યાપન પછી પણ આંબેડકરનું છેવટનું લક્ષ્ય તો છેવાડાના સમાજની સેવા કરવાનું રહ્યું છે.

પ્રત્યેક વર્ષે ચૌદમી એપ્રિલે ‘આંબેડકર જયંતી’ અને ત્રેવીસમી એપ્રિલે ‘વિશ્વ પુસ્તક દિન’ ઊજવાય છે. ગુજરાતની સુવર્ણ જયંતી(ઈ.સ. ૧૯૬૦થી ઈ.સ. ૨૦૧૦)ના ઇતિહાસ નિમિત્તે 'વાંચે ગુજરાત'નો નાદ સંભળાયો છે. આ જોગ-સંજોગમાં ભીમરાવ આંબેડકરના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમને ઉજાગર કરતા ઉપરોક્ત અગિયાર મુદ્દા આપણા સૌ માટે ખરેખર ‘ભીમએકાદશ’નું ચિંતન-વ્રત બની શકે એમ છે! ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી-વાચક, શિક્ષક-સેવક, અને અધ્યાપક-સંશોધક માટે પુસ્તકમિત્ર અને વાચનપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર આંબી શકાય એવો આદર્શ બનવા પૂરતા સક્ષમ છે.

ગુજરાત, તું વાંચીશ ને?!

(લેખતારીખ : ૨૩ એપ્રિલ, ૨૦૧૦, વિશ્વ પુસ્તક દિવસ)

……….……….……….……….……….……….……….……….………………..

ડૉ. અશ્વિનકુમાર, પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

E-mail : ashwinkumar.phd@gmail.com

Blog-link : https://ashwinningstroke.blogspot.com

Loading

...102030...1,4191,4201,4211,422...1,4301,4401,450...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved