સંસારની બધી લડાઈઓથી થાકીહારી ગયા હોઈએ; ઘા રુઝાતા ન હોય, દૂઝતા રહેતા હોય; અરે, મુક્તિ પછી પણ કરાર ન વળતો હોય, એવી સર્વહારા બરબાદીનો ઉપાય બતાવે છે, રુમિ —અને તે છે, નાચ.
નૃત્ય ભારતીય સભ્યતામાં જીવનસાધનાનો જ સંવિભાગ છે.
દેશમાં નૃત્યના કેટલા બધા આવિષ્કારો, પ્રકારો છે, શૈલીઓ છે.
મીરાં કહે છે :
“મેં તો હરિગુણ ગાવત નાચુંગી.
નાચુંગી મેં તો નાચુંગી, મેં તો હરિગુણ ગાવત નાછુંગી. મેં તો૦
અપને મહલમેં બેઠબેઠ કર, ગીતા ભાગવત વાંચુંગી. મેં તો૦
જ્ઞાન ધ્યાનકી ગઠરી બાંધકર, હ્રદયકમલમેં રાચુંગી. મેં તો૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સદા પ્રેમરસ ચાખુંગી. મેં તો૦”
== મારામાં છેલ્લી બે પંક્તિ જ બેસે છે, ગમે છે…
++
આ સંદર્ભમાં રુમિનું એક સુન્દર કાવ્ય છે :
“સાવ ભાંગી પડાયું છે, તો નાચ !
ઘા પરનો પાટો ઉખાડી નાખ્યો છે, તો નાચ !
લડાઇ ચાલુ છે, નાચ !
તારા લોહીમાં ઝબોળાઈને નાચ…
બિલકુલ મુક્ત છો, તો નાચ ને !”
== ભાવાનુવાદ : સુ૦
++

સૂફીયાના અંદાજમાં નાચી લેવાય, તો ભયો ભયો…
રુમિને પૂરા અર્થમાં પામવા એનાં કાવ્યોની દિશાનાં નૃત્ય માણવાં બહુ જરૂરી છે.
કંઈ નહીં તો, એ નૃત્યોનાં ચિત્રો વિેશે જોઈ-વિચારી શકાય.
++
દરેકે જાતને પૂછી લેવા જેવા બે સવાલ : હું નાચી શકું છું, કેમ? મારાથી નથી નાચી શકાતું, કેમ?
= = =
(July 21, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


સિનિયર સિટીઝન્સ આમ પણ ઘરમાં અને દેશમાં બોજ છે. એ વાત તેઓ સારી રીતે જાણે છે. એ એટલા મૂરખ પણ નથી કે કોઈ પતાવે છે કે પટાવે છે તે ન સમજે. સરકારે એમનું ઘણું ભલું કરવું છે, પણ તે હોય ત્યાં સુધી તો શક્ય લાગતું નથી. સરકાર તેમનું ભલું કરવાનાં નાટકો હોલસેલમાં કરતી રહે છે, પણ વૃદ્ધો છેતરાવા તૈયાર હોય છે એટલે સરકાર પણ છેતરવાનો આનંદ લઈ શકે છે. સિનિયર્સ પણ જેમ એમનું ઘરમાં જુદું કઢાતું હોય છે એમ સરકારનું પણ જુદું કાઢે છે. હવે ગાય-કૂતરાનું ને સરકારનું લગભગ ઘણાં ઘરો જુદું કાઢતાં થયાં છે જેથી કોઈ બારણેથી ખાલી પેટે ન જાય. એક જમાનામાં માંગનારાઓ બારણે ટહેલ નાખતા રહેતા, તે હવે સરકાર પાસે જાય છે ને સરકાર અનેક રૂપે સવારથી જ બારણાં ઠોકતી જનતાની સામે હાથ લંબાવતી ઊભી રહી જાય છે. કોર્પોરેશન, વીજળી કંપની ને એવાં તો કૈં કૈં ઉઘરાણી કાઢતાં હાજર થઈ જાય છે. આવકવેરો ભર્યા પછી પણ બિસ્કિટના પેકેટથી માંડીને અનેક વસ્તુઓની ખરીદી પર અને વેચાણ પર એટલી બધી જાતના ટેક્સ લાગે છે કે સાધારણ માણસની આવક એ વેરા ભરવા માટે તો નથી ને એવો વહેમ પડે. ઇન્કમ એટલે જ ટેક્સ એવું સમીકરણ સામાન્ય માણસ માટે સાચું થઈ ગયું છે. એ પણ પ્રશ્ન જ છે કે જેટલા વેરા ભરાય છે તે તો સીધા આવકમાંથી જ કપાય છે તો વેરા, ઇન્કમમાંથી બાદ મળવા પાત્ર ખરા કે કેમ? ખરેખર તો સિનિયર્સને આવકવેરામાંથી કાયમી ધોરણે મુક્તિ આપવી જોઈએ, પણ નાણા મંત્રીએ બધાં ઘરડાંઓની એમ કહીને મશ્કરી કરી હતી કે એમણે રિટર્ન ભરવાનું નથી. એમણે જ્યારે કહ્યું કે 75 ઉપરનાઓએ હવેથી રિટર્ન ફાઇલ કરવાનું નથી, તો ડોસાઓ રાજી થયેલા કે ટેક્સ ભરવામાંથી તેમને મુક્તિ મળી છે, પછી ભોપાળું બહાર આવ્યું કે રિટર્ન ન ભરો તો ચાલે, પણ તે ફોર્મ ન ભરો એટલા પૂરતું જ, બાકી ટેક્સ લાગતો હોય તો, તે પેન્શનરનાં ખાતામાંથી બેન્ક જ કાપી લેશે. ડોસાઓએ એ દિવસે ઉલ્લુ બન્યાનો આનંદ લીધેલો.