Opinion Magazine
Number of visits: 9670974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar, Diaspora - Language|27 August 2022

આગામી ‘વિશ્વ ગુજરાતી દિન’ (24 ઑગષ્ટ 2022) નિમિત્તે, ‘સંવિત્તિ’ના સાથીઓ, ખાસ કરી, કવિ મૂકેશભાઈ પ્રિયવદન વૈદ્ય અને સાહિત્યરસિક કીર્તિભાઈ શાહ એક અનોખો ઓન લાઈન કાર્યક્રમ યોજી રહ્યા છે. ગુજરાતના પહેલી હરોળના સાહિત્યકાર તેમ જ વિવેક બૃહસ્પતિ ગુજરાત ખડું કરી શકાય તે સારુ મથતા રહેતા, એક અગ્રગણ્ય મશાલચી સિતાંશુ યશશ્ચન્દ્રના સૂચને, ‘અમેરિકા, ઇન્ગૅન્ડ અને યુરપમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનાં રક્ષણ, સંવર્ધનનું જે માતબર કામ થયું છે, તે વિશેના પરિચય અને પરીક્ષણ’ વિશેની રજૂઆત મારે કરવી તેમ ગોઠવાયું.

સિતાંશુભાઈના મતાનુસાર, “‘સંવિત્તિ’ના ઉત્તમ સાહિત્યિક કાર્યક્રમો આજ દશકોથી મુંબઈના ગુજરાતી સાહિત્યના વાતાવરણને સ્વચ્છ, મહેકતું અને સુરુચિસમૃદ્ધ રાખે છે.” સન 2014માં મુંબઈના ઉપનગર કાંદિવલી ખાતે ‘સંવિત્તિ’ની રચના થઈ હતી. ‘સંવિત્તિ’ એટલે સજગતા, સભાનતા, જાગરૂકતા, જાણવા-સમજવા-પામવાની પ્રક્રિયાનો ઉન્મેષ, સાહિત્ય-કળા-સંસ્કૃતિ-જ્ઞાન-વિજ્ઞાનની સંમુખ થવાનો સેતુ.

મિત્ર સિતાંશુભાઈના સૂચન અનુસાર યુનાઇટેડ કિંગ્ડમમાં અને અન્યત્ર યુરપમાં, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા આદિમાં, ગુજરાતી ભાષા અને સાહિત્યની જાળવણી (રક્ષણ અને વર્ધન) કઈ કઈ રીતે થયું છે અને ત્યાં નિજી રીતે સરસ લેખન કેવું થયું છે, એની વાત કરવાનો મૂળે અંગૂલીનિર્દેશ હતો.

વારુ, કવિ દલપતરામનાં કાવ્યોમાંથી પસાર થતાં, દલપત ગ્રંથાવલિ-1; દલપત-કાવ્ય : ભાગ 1ના પૃ. 21 પરે ‘એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર’ નામે એક કવિતા છે. સવાસોદોઢસો વરસ પહેલાંની આ રજૂઆતમાં, મનહર છંદમાં, કવિ જણાવે છે :

સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,
સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;

ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
જાણી તેનું દુ:ખ ઘણો દીલગીર દીલ છું;

હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,
સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;

કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત વિવિધ અભ્યાસોના તારણ પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે. મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો વારસો છે અને તે, સ્વભાવગત, આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.

જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.

અકાદમીએ અભ્યાસક્રમ ઘડી આપ્યો. પાઠ્યક્રમની સગવડ કરી આપી. તેને આધારે પાંચ સ્તરનું ભાષાશિક્ષણનું કામ આદરાયું. પાઠ્યપુસ્તકો થયાં. અઢારઅઢાર વરસો સુધી સર્વત્ર પરીક્ષાઓનું આયોજન કરાયું. શિક્ષણકામની સરળતાને ધ્યાનમાં રાખી, વિલાયતની તાસીર અનુસાર, શિક્ષક તાલીમની જોગવાઈ કરવામાં આવી. આશરે પાંચસોક શિક્ષકોને તાલીમબદ્ધ કરાયાં અને તે ય વિલાયતને ખૂણે ખૂણે. એક સમે એકાદ લાખ બાળકો અહીં ગુજરાતીનું શિક્ષણ લઈ રહ્યાં હતાં.

બ્રિટનના એક અવ્વલ ગુજરાતી શિક્ષિકા અને અકાદમીના સહમંત્રી વિજ્યાબહેન ભંડેરીના કહેવા મુજબ, બ્રિટનનાં બિન ગુજરાતી પાશ્ચાત્ય વાતાવરણમાં ઉછરતાં, ગુજરાતી ભાષા અને સાહિત્યથી અપરિચિત રહેતાં આપણાં ગુજરાતી બાળકો તેમ જ, આ બાળકોને ભાષા શીખવતાં શિક્ષકોને કેન્દ્રસ્થાને રાખીને, આશરે ૧૯૮૩માં, અકાદમીને પરીક્ષાઓની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. આથી, દિવંગત પોપટલાલ જરીવાળાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ, ૧૯૮૪માં અકાદમીના અભ્યાસક્રમની રચના કરવામાં આવી. આ અભ્યાસક્રમને આધારે, બ્રિટનના માહોલને ધ્યાનમાં રાખીને, ગુજરાતી ભાષા શિક્ષણમાં એકસૂત્રતા સ્થાપવા માટે, પોપટભાઇની આગેવાની હેઠળ, જગદીશભાઈ દવેએ પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી સંભાળી. ૧૯૮૬માં, ચાર ધોરણે પાઠ્ય-પુસ્તકોની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. ત્યારબાદ, પુસ્તકોની માંગ વધતાં બીજી બે આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી. આ પાઠ્ય‑પુસ્તકોનો, બ્રિટનમાં ગુજરાતી શીખવતી કેટલી ય ઐચ્છિક શાળાઓ વર્ષોથી ઉપયોગ કરે છે. પાઠ્ય-પુસ્તકોનાં પ્રકાશનમાં, મધ્ય ઇંગ્લૅન્ડમાં આવ્યા વેલિંગબરૉસ્થિત ‘બીદ એન્ટરપ્રાઇસ’ના ભીખુભાઈ શાહ અને સ્વર્ગીય શાંતિભાઈ શાહ તેમ જ, મુંબઈના ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ જ સાથ અને સહકાર કેટલાં ય વર્ષો સુધી મળતો રહ્યો.

ઇતિહાસ સાહેદી પૂરે છે કે બ્રિટનમાં સન 1964થી ગુજરાતી શિક્ષણ અપાવું શરૂ થયેલું અને તેનો યશ લેસ્ટર શહેરને ફાળે છે; અને ‘ઇન્ડિયન એજ્યકેશન સોસાયટી’ તેને સારુ મગરૂબી અનુભવે તે તદ્દન સ્વાભાવિક છે. એ દિવસોમાં આ સંસ્થા હેઠળ મોટા કદની પાંચપાંચ નિશાળોમાં ભરચક્કપણે દર સપ્તાહઅંતે ગુજરાતીનું શિક્ષણ અપાતું.

યુનાઇટેડ કિંગ્ડમના મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતી શીખવવાના વર્ગો ધમધમતા હતા. આજે તેમાં ઓટ આવી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ અનુસાર, દરમિયાન, અહીંની અકાદમીએ પરીક્ષા લેવાનું સમેટી લેવાનું રાખ્યું. બીજી બાજુ, શનિવાર-રવિવારે ચાલતી આ ઐચ્છિક શિક્ષણ પ્રવૃત્તિઓ સારુ ભાડૂતી જગ્યાઓ પણ મોંઘી થવા લાગી. બાકી હતું તો ખાનગી ટ્યૂશનોનું જોર વધવા લાગ્યું. અને તેની અસરે સામૂહિક જોમ ઓસરવા માંડ્યું. પરિણામે, હવે ગણીગાંઠી જગ્યાએ ગુજરાતી શિક્ષણ અપાતું હોય તો અપાતું હોય. વિજ્યાબહેનના મત અનુસાર, બદલાતા માહોલ, ગુજરાતી શીખવા પ્રત્યે વાલીઓ તેમ જ, બાળકોની અરુચિના પરિણામે પરીક્ષાર્થીઓની ઘટતી જતી સંખ્યા, એમ કેટલાંક આનુષંગિક કારણોસર છેવટે, ૨૦૦૨માં અકાદમીને પરીક્ષાઓ સ્થગિત કરવી પડી.

યુરપમાં પોર્તુગલના પાટનગર લિસબનમાં આજે ય ગુજરાતી ભણાવાઈ રહ્યું છે. એક સમયે સ્વીડનમાં તેમ જ બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં ગુજરાતી ભાષાશિક્ષણ અપાતું. વિલાયતની અકાદમી હેઠળ, ત્રણેક દાયકાના ગાળા પહેલાં, બે’ક વરસ સુધી તો દર સપ્તાહઅંતે, અહીંથી કુંજ કલ્યાણી એન્ટવર્પ ગુજરાતી ભણાવવા આવનજાવન કરતાં રહ્યાં જ હતાં ને.

પૂર્વ આફ્રિકાના દેશો – યુગાન્ડા, કેન્યા તથા ટાન્ઝાનિયા – તેમ જ દક્ષિણ આફ્રિકામાંના ડરબન જેવા શહેરોમાં આજે ગુજરાતી ભણાવવાના વર્ગોનું સંચાલન થતું હોય તો નવાઈ નહીં. એક સમે તો ગુજરાતી શિક્ષણનો જબ્બર મહિમા થતો હતો. અરે, અરુશા (ટાન્ઝાનિયા) માંહેની મારી નિશાળમાં એક દા માધ્યમ જ ગુજરાતી હતું ! અને આવું અનેક સ્થળોએ થતું. લાંબા અરસા સુધી પૂર્વ આફ્રિકાની ચલણી નોટો પર પણ ગુજરાતી લિપિમાં અધિકૃત લખાણ છપાતું જ આવેલું. આફ્રિકાના બીજા મુલકોમાં ય – સુદાન, ઇથિયોપિયા, રૂવાન્ડા વગરેમાં પણ ગુજરાતીનું શિક્ષણ અપાતું તેમ માનવાને અનેક કારણો છે. આ જ રીતે મધ્ય પૂર્વના એડન, અબુધાબી, મસ્કત વગેરેમાં ય ગુજરાતી ભણાવાતું હતું, તેમ જાણવા મળે છે.

આવું દૂરપૂર્વના દેશોમાં – સિંગાપોર અને હૉન્ગ કૉન્ગમાં – ગુજરાતી શિક્ષણનું ચલણ હતું. સિંગાપોરમાં તો ‘સિંગાપોર ગુજરાતી સ્કૂલ લિમિટેડ’ નામે સંસ્થા સને 1947થી અસ્તિત્વમાં રહી છે અને આજે ય દર શનિવારે તેમાં ગુજરાતીનું શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે હૉન્ગ કૉન્ગમાં એનું વાતાવરણ આજે નથી રહ્યું તેમ સમજાય છે.

ઑસ્ટૃાલિયા – ન્યુઝિલૅન્ડમાં ગુજરાતી વસાહત મોટી છે અને જામતી જાય છે. દક્ષિણ ગુજરાતમાંથી સ્થળાંતર થયેલી જમાત એકાદ સૈકા ઉપરાંતના ગાળાથી ન્યુઝિલૅન્ડમાં વસવાટ કરી રહી છે. જ્યારે ઑસ્ટૃલિયાના વસવાટીઓ બહુ પાછળથી આવ્યા. એક વખતે પ્રવીણભાઈ વાઘાણી અને એમનાં પત્ની મંજુબહેને ગુજરાતી શિક્ષણ આપવાનો દાખલો બેસાડેલો. તેને ય ત્રણચાર દાયકાઓ થયા હોય. એ પછી થોડોક વખત એમણે ગુજરાતીમાં ‘માતૃભાષા’ નામે સામયિક પણ ચલાવી જાણેલું. એક માહિતી મુજબ, ભારતીબહેન મહેતા અને સાથીમિત્રો હાલે ‘ગાંધી સેન્ટર, ઑસ્ટૃાલિયા’ને ઉપક્રમે, સિડનીમાં, સપ્તાહઅંતે, ગુજરાતી શિક્ષણના વર્ગો લે છે અને ‘ગુર્જર ધારા’ નામક એક સામયિક ચલાવે છે. બીજા વિસ્તારોમાં છૂટછવાયા વર્ગોમાં ગુજરાતી ભાષાશિક્ષણનું કામ થતું જ હોય. વરસો વીતી ગયા; તે દિવસોમાં જાણ્યું ય હતું કે ન્યુઝીલૅન્ડના ઓકલૅન્ડ સરીખા શહેરોમાં ગુજરાતી શીખવવવાના વર્ગો ય બેસતા હતા.

વાત રહી, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકા નામક દેશોની વાત. ગુજરાતી ભાષા શિક્ષણની ચિંતા યુ.એસ.એ.સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક વેળાના આગેવાન – પ્રમુખ ડૉ. ભરતકુમાર શાહે ખૂબ કરી. એમણે લેખો આપ્યા. એમણે પુસ્તકો ય આપ્યાં. એ મુજબ હું જો ભૂલતો ન હોઉં તો કિશોરભાઈ શાહે પણ પુસ્તકો કરેલાં. આ બન્ને વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ગુજરાતી શીખવવાનું કામ ચાલે છે ખરું.

અમેરિકાસ્થિત લેખક પ્રવીણકાન્ત શાસ્ત્રીએ એમની ફેઇસબૂક દીવાલે હમણાં લખાણ કર્યું હતું : ‘પરદેશમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પહેલી પેઢી પૂરતું જ મર્યાદિત છે. મારું લખેલું મારા ઘરમાં જ કોઈ વાંચી શકતું નથી.’

વાત તદ્દન ખરી છે. અને તેમ છતાં, તળ ગુજરાતની દૂરસુદૂર આ વિવિધ વિસ્તારોમાં ગુજરાતી વાચકોને કેન્દ્રમાં રાખીને સમસામયિકો પ્રગટ થતાં આવ્યાં છે. આજે ય યુનાઇટેડ કિંગ્ડમમાં તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકામાં ઠીકઠીક પ્રમાણમાં આવાં સામસામાયિકો ચાલે છે. તેમાં ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’, ‘ઓપિનિયન’, ‘ગુર્જરી ડાયજેસ્ટ’, ‘ગુજરાત ટાઈમ્સ’, ‘ગુજરાત દર્પણ’, વગેરે વગેરેનો સહજ ઉભડકપણે તો ઉભડકપણે ઉલ્લેખ કરી લેવાય. ગીતસંગીતના નાનામોટા અવસરો થયા કરે છે, તેમ ભજનસંધ્યાના પણ. કવિમુશાયરાઓ તો હોય જ. બ્રિટનમાં તેમ ઑસ્ટૃાલિયામાં ગુજરાતી માધ્યમથી રેડિયો પ્રસારણ પણ વિવિધ સ્થળોએ થતું આવ્યું છે. તેમાં મીરાં ત્રિવેદી અને આરાધના ભટ્ટ અગ્રેસર રહ્યાં છે. પરાપૂર્વમાં, પૂર્વ આફ્રિકાના મુલકોમાં અને આ સૈકા વેળા, અહીં વિલાયતમાં તેમ જ અમેરિકામાં રંગમંચે નાટકો થયાં. ગુજરાતી પ્રસાર અને પ્રચાર સારુ એક ભારે અગત્યનું આંદોલન હતું. અમેરિકે મધુ રાય, રજની પી. શાહ વગેરેની જમાતે જેમ ભાતીગળ કામ આપ્યું છે તેમ પૂર્વે આફ્રિકે તેમ જ વિલાયતે નટુભાઈ સી. પટેલની આગેવાનીમાં પ્રીતમ પંડ્યા, ઉષાબહેન પટેલ, પ્રવીણ આચાર્ય વગેરે વગેરેની જમાત સક્રિયપણે કાર્યરત રહી. બીજી પાસ, નાટકને ક્ષેત્રે, લેસ્ટરના વિનય કવિનું અલાયદું કામ વિસારી શકાય તેમ નથી. આ અને આવી નાનીમોટી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કારણે ગુજરાતીનો પ્રસાર સતત વહેતો રહ્યો છે. 

ગુજરાતીના પ્રસાર અને પ્રચાર અંગે બીજાં બેએક ક્ષેત્રો ધ્યાનમાં રાખવા જેવા છે : પુસ્તકાલયો, વાંચનાલયો તેમ જ કૉલેજો, યુનિવર્સિટીઓ સરીખી વિદ્યાશાખાઓ. લંડન યુનિવર્સિટીના સ્કૂલ ઑવ્‌ ઑરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં ગુજરાતીનું શિક્ષણ દાયકાઓથી અપાતું રહેતું. એ એક જમાનો હતો. આજે ‘સોઆસ’માં ગુજરાતી વિષયનું નામોનિશાન સુધ્ધા નથી ! દુ:ખદ હાલત છે. ચારપાંચ દાયકા પહેલાંની જો વાત કરું તો ડૉ. ઈઅન રેસાઇટ [Ian Raeside] અને ડૉ. રેચલ ડ્વાયર સરીખાં અધ્યાપકો ય હતાં. આપણા શિરોધાર્ય ભાષાશાસ્ત્રી ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત તો અહીં ભણ્યા જ હતા ને ! ૧૯૪૯માં આ પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રીએ ડૉ. રાલ્ફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી ને અહીં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. એવું જ કામ પારિસની સોરબૉન યુનિવર્સિટીનું ચિત્ર સામે આવે. ડૉ. ફ્રાન્સવા માલિંઝોની દેણગી ધ્યાનાકર્ષક રહી છે. મૉસ્કોની અને ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટીઓમાં પણ ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસનો પરચમ એક અરસા લગી લહેરાતો રહેલો. રશિયાનાં લ્યુદ્દમિલા સાવેલ્યેવા, અતુલ સવાણી, તેમ જ કેલિફોર્નિયાના ફ્રેસકોમાં એક સમે વસતા આપણા જાણીતા ભાષાશાસ્ત્રી, કવિ દિવંગત પુરુષોત્તમ મિસ્ત્રી, ફિલાડેલ્ફિયામાં બીજા ભાષાશાસ્ત્રી બાબુ સુથાર અને એમના પુરોગામી પન્ના નાયકની અમેરિકા ખાતેની દેણગીને લગીર પણ વિસરી ન શકાય. ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા, દાયકાઓથી લેવાતી રહેતી ગુજરાતીની પરીક્ષાઓનો દબદબો ઘણાંબધાંને સાંભરતો હશે. ભાંગ્યું તો ય ભરુચ, – આજે તેનું તેજ, તેનું વહેણ ક્યાં ય નબળું થયું છતાં, તે કડેધડે છે જ ને !

જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે ત્યાં ત્યાં પુસ્તકાલયો, વાંચનાલયોમાં ગુજરાતી પુસ્તકો તેમ જ વિવિધ સમસામયિકોની ભાળ જ માત્ર ન મળે વાંચવા કરવા સારું ય એ સઘળું મળે જ મળે. સંશોધકોને સારુ જેમ અહીં બ્રિટિશ લાઇબ્રેરી અગત્યનું મથક છે તેમ જગતના વિવિધ દેશોમાં પણ કેટલીક લાઇબ્રેરીઓ આજે ય અગત્યનું કામ આપે છે. તેમાં વૉશિંગ્ટનની લાઇબ્રેરી ઑવ્‌ કૉંગ્રેસ અગ્રગણ્ય છે. … ખેર !

‘સૌંદર્યની નદી નર્મદા’ અને ‘પરિક્રમા નર્મદા મૈયાની’ સરીખાં મજેદાર પ્રવાસવર્ણનનાં પુસ્તકો આપનાર સાહિત્યકાર અમૃતલાલ વેગડે ક્યાંક કહ્યું છે તેમ, ‘જીવનની સંધ્યા ટાણે મન માતૃભાષા તરફ ખેંચાય છે. સાંજ ટાણે અંધારાં ઊતરતાં જેમ પંખી માળે પાછું આવે, તેમ છેલ્લાં વર્ષોમાં માતૃભાષા જ યાદ આવે છે.’

વીસમી સદીમાં ગુજરાતના ત્રણ જાણીતા મહામાનવ મહાત્મા ગાંધી, કાયદ – એ – આઝમ મોહમ્મદ અલી ઝીણા અને ટોચના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પોતાનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો. આ ત્રણેયનું ગુજરાતી આલા દરજ્જાનું. અલબત્ત ઝીણાને પાછળથી ગુજરાતીનો મહાવરો છૂટી ગયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે, આ ત્રણેયનો પાયો માતૃભાષા ગુજરાતી હતો તેમ છતાં તેઓ અંગ્રેજીનાં સારામાં સારા જાણકાર હતા.

ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે કોઈ પણ ધારણા બાંધવી મુશ્કેલ છે, પણ તેનો આધાર ચોક્કસ વર્તમાન સ્થિતિ અને સંજોગો પર છે અને હાલની સ્થિતિ સારી નથી તે હકીકત છે. આપણે આપણી જ મા(માતૃભાષા)થી દૂર થઈ રહ્યાં છીએ. ગુજરાતમાં જ વસતા ગુજરાતીઓમાં અંગ્રેજી પ્રત્યેનો મોહ વધતો જાય છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા વેપારીઓ હવે હિસાબના ચોપડા પણ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખે છે. ગુજરાત સરકારનો વ્યવહાર સુધ્ધા અંગ્રેજીમાં થાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમારે અંગ્રેજી શીખવું ન જોઇએ. પણ મને નિરંજન ભગતનો એક વિચાર અત્યંત પસંદ છે જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઊતારવો જોઇએ : ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’. ગુજરાત સરકારને તો અંગ્રેજીનું ઘેલું લાગ્યું હોય તેવું લાગે છે. આ સરકાર પાસે માતૃભાષાના સંવર્ધન માટે ન તો કોઈ દિશા છે ન કોઈ દૃષ્ટિ. હકીકતમાં રાજ્ય સરકારે વારસાની ભાષાના સંવર્ધન માટે યોગ્ય કદમ લેવા જોઇએ. તેના માટે ગુજરાતી સાક્ષરોને પ્રોત્સાહન આપવું જોઇએ.

વારુ, અને તેમ છતાં, અમૃતલાલ વેગડે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના 45માં અધિવેશન પ્રસંગે કહેલું તે સોટકે સાંભરી આવે છે : ‘દુનિયાની કોઈ ભાષા ગુજરાતીને સમાપ્ત નહીં કરી શકે. ગુજરાતી અમરપટ્ટો લઈને આવી છે. એનું નૂર સદા વધતું રહે એ જોવું આપણી ફરજ છે.’

[1919]
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 19 જુલાઈ – 09 ઑગસ્ટ 2022
E.mail : vipoolkalyani.opinion@btinternent.com
ભાગ-૨.
https://youtu.be/CYGqWh1Vtmk

Loading

દઈ દે મને તારું નામ, બિલ્કીસ

હેમાંગ અશ્વિનકુમાર અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|26 August 2022

(હેમાંગ અશ્વિનકુમાર કવિ, સાહિત્યકાર, અનુવાદક, સંપાદક અને વિવેચક છે. તે ગુજરાતી અને અંગ્રેજીમાં કામ કરે છે. તેમના અંગ્રેજી અનુવાદોમાં પોએટિક રીફ્રેક્શન્સ (2012), થર્સ્ટી ફિશ એન્ડ અધર સ્ટોરીઝ (2013), અને ગુજરાતી નવલકથા વલ્ચર્સ(2022)નો સમાવેશ થાય છે. તેમણે અરુણ કોલટકરની કાલા ઘોડા કવિતાઓ (2020), સર્પા સત્ર (2021) અને જેજુરી (2021)ના ગુજરાતીમાં અનુવાદ પણ કર્યા છે.મૂળ અંગ્રેજી કૃતિનો પ્રતિષ્ઠાબહેન પંડ્યાએ આપ્યો અનુવાદ અહીં સાદર છે. )

દઈ દે મને તારું નામ, બિલ્કીસ

એવું શું છે તારા નામમાં, બિલ્કીસ

કે મારી કવિતામાં આગ લાગી જાય છે

બળી જાય છે મારા શબ્દો

ને એના કાંગરામાંથી લોહી ઝરે છે.

એવું તે શું છે તારા નામમાં, બિલ્કીસ

કે અધવચ જ મારી લૂલી જીભને

લકવા લાગી જાય છે.

પેલા બળબળતા અનંત રણ, તારી યાત્રા

તારી વેદનાનો ચિતાર આપવા

મેં ઊભા કરેલા બધા ય રૂપકોને

તારી આંખોમાં તગતગતા લખલખ પીડિત સૂર્યના તેજ

આંધળા કરી મૂકે છે.

ઘૂમરાતી શાપિત સ્મૃતિઓ ભરી

એ અપલક લાહ્ય નજર

સૂકવી નાખે છે મારાં તમામ મૂલ્યોને

ને ભાંગીને ભૂક્કો કરી નાખે છે

સભ્યતાના ઢોંગનો –

કડડડડ…ભૂસ કરીને પડે છે

પત્તાંનો મહેલ, ફટાફટ વેચાઈ જતાં જુઠ્ઠાણાં

એવું તો શું છે તારા નામમાં, બિલ્કીસ

કે નીરક્ષીરનો વિવેક કરી જાણતી

આ કવિતાના સૂરજમુખા ચહેરા પર

એ છાંટી દે છે કાળી સ્યાહી?

તારા હજુ ય ધબકતાં લોહીમાં તરબોળ

આ શર્મનાક ધરતી ફાટી પડશે એક દિવસ

સાલેહાની કોમળ ખોપરીની માફક, એક ધડાકે

જે પર્વત તું ચઢી છો

એક માત્ર ફાટ્યું ચીર ઓઢીને

એ પર્વત પણ રહેશે નિર્વસ્ત્ર

એક ઘાસની પત્તી સુદ્ધાં નહિ ઊગે એ પર

સમયના અંત સુધી

અને હવાની એકેક લહેર ફરી વળશે

થઈને એક નિઃસાસો આ જમીન પર

દેતો નપુંસકતાનો શાપ

એવું તો શું છે તારા નામમાં, બિલ્કીસ

કે વિશ્વની કમાન પર ઘૂમતી

મારી આ કલમ ગૂમાવી બેસે છે એનું વીર્ય

અટકી પડે છે અધવચ્ચે

ભાંગી જાય છે એની નૈતિક ટાંક.

આ કવિતાનું પણ કંઈક એવું જ થશે –

થઇ જશે એ બુઠ્ઠી, નકામી

કોઈ નામશેષ દયાની અરજી જેવી,

કોઈ જુઠ્ઠા ન્યાયની વાત જેવી

સિવાય કે તું ભરે એમાં એક ફૂંક જીવનની, હિંમતની

આપે તારું નામ તું એને,

ફક્ત નામ શું કામ, આપે ગતિ

મારા આ નબળા, ઉદાસ પ્રયત્નોને

બનીને મારી ક્રિયાપદ, બિલ્કીસ.

આપે આગવી ઓળખ મારી ભટકતી સંજ્ઞાઓને

થઈને વિશેષણ,

શીખવે મારાં લડાયક વ્યૂહરચનામાં ગોઠવાયેલ શબ્દોને

ચાલતાં ચાલ, ચપળ, પ્રશ્નવાચક અવ્યયોની

આપે સહારો મારી લંગડાતી ભાષાને

લચીલા અલંકારોની લહેરોનો

થઈને રૂપક ધૈર્યનું

થઈ આઝાદીની અજહલ્લક્ષણા, બિલ્કીસ

ન્યાયનો અનુપ્રાસ, બિલ્કીસ

થઈ વેરનો વિરોધી, બિલ્કીસ

આપે જો તું એને દૃષ્ટિ તારી, બિલ્કીસ

થઈ જવા દે તારામાંથી વહી આવતી રાતને

એની આંખનું કાજળ, બિલ્કીસ

તું એનો પ્રાસ, બિલ્કીસ

તું એનો રાગ,  બિલ્કીસ

તું એના હૈયાનું ગાન, બિલ્કીસ

તોડી નાખવા દે આ કવિતાને કાગળનું પીંજરું

ઉડવા દે ઊંચી, ફેલાવા દે ચોતરફ

પેલું સફેદ માનવતાનું પંખી છો લઈ જતું

આ લોહિયાળ પૃથ્વીને

એની પાંખ તળે

ઠારવા દે, વહાવવા દે

એ બધું જે છે તારા નામમાં, બિલ્કીસ

કર મહેરબાની, બસ આ એકવાર

દઈ દે મને તારું નામ, બિલ્કીસ.

https://soundcloud.com/ruralindia/be-my-name-bilkis-hemang-ashwinkumar 

Loading

દરેક બળાત્કાર પહેલાં અનેક બળાત્કાર હોય છે

મેઘા જોશી|Opinion - Opinion|26 August 2022

‘અને એ પછી એ બંધન સામે સ્ત્રી વિદ્રોહ કરી શકતી નથી, જેની સામે વિદ્રોહ કરવો જરૂરી હોય, તેને પણ નીચી નજર કરી સ્વીકારી લે છે. સહેવાની તેની અમાપ શક્તિ જ તેની શત્રુ બની જાય છે. ખોટાનો સામનો કરવાની આપણામાં હિંમત નથી આવતી. આપણે કર્મના નિયમોમાં માનીએ છીએ, જે ઈશ્વરને ઓળખતા નથી તેના પર શ્રદ્ધા રાખીએ છીએ, કહીએ છીએ – અંતે બધું બરાબર થઇ જશે. પણ અંતે કશું બરાબર થતું નથી. તમે રોજ રોજ ભસ્મના ઢગલામાં ફેરવાતા જાઓ છો અને પછી તમારા એક તણખો ય રહેતો નથી, તમે સળગતા બંધ થઇ જાવ છે, તમારી આગ બુઝાઈ જાય છે, પ્રકાશ ઓલવાઇ જાય છે, ત્યારે તમે કહો છો, હવે બધું બરાબર થઇ ગયું. પણ તમે જેને બરાબર થઇ ગયેલું માનો છો, તે તો મૃત્યુ હોય છે.’

 — કુન્દનિકા કાપડિયા

[‘હરિ આવન કી આવાજ’]

ગુજરાતી સાહિત્યમાં, બાળ વિવાહ જેવા સામાજિક કુરિવાજો અને સ્ત્રીની પીડા એવા પારંપરિક વિષયમાંથી બહાર નીકળીને સ્ત્રીની સંવેદનાઓ, શક્તિ પરિચય અને ખાસ કરીને તેની મનોસ્થિતિનું વર્ણન કરી વિષયવસ્તુમાં વૈવિધ્યની સાથે વાર્તા અને નવલકથાનું સર્જન કરનાર કુન્દનિકાબહેન કાપડિયાની એક વાર્તાથી વાત શરૂ કરવી છે.

એક ચિનગારી અગ્નિ સ્વરૂપે ધારણ કરે તે પહેલાં કઈ રીતે ભસ્મ બની જાય એ જોયું છે ? આક્રોશને ડામી દેવામાં સૌનું ભલું છે એવું આપણે નાનપણથી શીખતાં આવ્યા છીએ આથી જ્યારે વિદ્રોહની જરૂર હોય છે ત્યારે પણ આપણે સપાટી પર શાંત જ હોઈએ છીએ. કુન્દનિકાબહેનની વાર્તાના સ્ત્રી પાત્રોને ‘હું પણ એક વ્યક્તિ છું, મને મારા ગમા-અણગમાને અભિવ્યક્ત કરતા આવડે છે, હું એકલી રહી શકીશ, હું ઘર છોડી શકીશ અને હું મારા નિર્ણયો સ્વતંત્રપણે લઇ શકીશ’ જેવા વિચારો આવ્યા અને કાગળ પર એવી કહાનીઓ લખાઈ જેમાં ભયાનક ઘોર અંધાર પછીનો પ્રકાશ પણ હતો. વાસ્તવિક જીવનમાં અજવાળું વાવવા માટે માટે માત્ર સંવેદના કામ નહિ આવે. એક નાના અન્યાયને મોટી પીડા કે ગુનામાં તબદીલ કરવાને બદલે નક્કર અભિવ્યક્તિમાં પરિવર્તિત કરવાની જરૂર છે.

એક સ્ત્રી પર બળાત્કાર થઇ જાય કે એક નબળા પુરુષની વગર વાંકે હત્યા થઇ જાય ત્યારે એ સમાચાર બને છે. જઘન્ય ગુનાના સમાચાર મળ્યા બાદ એમાં રાજકારણ, ધર્મ, નાત-જાત, પુરાણો ઇતિહાસ અને કેટલાક અંગત સમીકરણો ઉમેરાય છે. ગુનેગાર માટે પણ હમદર્દી થાય એવી ચર્ચાઓ વાઇરલ થાય છે. જે તે સ્થળની સ્થાનિક સત્તા અને વિરોધ પક્ષ પોતપોતાની રીતે બાખડે છે. આ બધામાં માત્ર એક જ વ્યક્તિ ભુલાઈ જાય છે જેનું નામ પણ પીડિતા અથવા મૃતક થઇ જાય છે. રાત અને દિવસના ચક્રને કારણે એ ઘટના ઉપર બીજી ઘટના અને બીજી ઉપર ત્રીજી ઘટનાનાં પડ ચડતાં જાય છે. છાપામાં છપાતું બંધ થઇ જાય ત્યારે સૌ સારા વાનાં થઇ ગયાની અનુભૂતિ થાય છે. ચીસ સાથે ઉદ્બવેલો મોટો અવાજ ધીમે ધીમે અટકી ગયેલા ડુમા સુધી પહોંચી જાય છે. એક મોટા ઢગલામાં બાકી રહી ગયેલ એક બે તણખા રાત સાથે બાથ ભીડતા થાકી-હારીને અંતે ધૂળમાં ભળી જાય છે.

માત્ર ચામડી નહિ, આખું જીવન ભખ ભખ બળી જાય એવી આગ અને ઓળખવિહીન થઇ ગયેલી રાખ થઇ જતા પહેલાં શું થઇ શકે ? સમગ્ર સમાજની માનસિકતા બદલવા માટે કોઈ એક બે રેલી કાઢવાથી કઈ નહિ વળે. જ્યારે દરેક વ્યક્તિ પાસે વિરોધ કરવાની અભિવ્યક્તિ હોય છે ત્યારે અન્યાયનું જોર ઘટે છે. દરેક શારીરિક બળાત્કાર પહેલાં અનેક માનસિક બળાત્કારો થયા હોય છે જે ક્યારે ય સામે નથી આવતા. સાવ નાની બાબતમાં તમને કોઈ ઉતારી પાડે અથવા તમારા ઉપર જોહુકમી કરે ત્યારે તમે શું કરો? સામાન્ય રીતે દીકરી નાની હોય ત્યારે તેને સહન કરવાની, ચૂપ રહેવાની અને મૂંગા મોઢે પસાર થઇ જવાની નસીહત અપાય છે. એ રીતે અમુક આર્થિક રીતે નબળા પરિવારમાં નાનપણથી બાળકોને ‘બિચારાપણું’ વારસામાં અપાય છે, જેથી અમુક અન્યાય એમના માટે સાહજિક થઇ જાય છે.

અધિકાર માટેની લડત દરેક ધર્મમાં સ્વીકૃત છે. પુરાણ વાંચો કે સમગ્ર વિશ્વનો ઇતિહાસ વાંચો, દરેક મોટા પરિવર્તન પહેલાં વિદ્રોહ અને નાના મોટા યુદ્ધ જોવા મળશે. આ લખાય છે ત્યારે અબઘડી પણ દેશમાં અને સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ કોઈ પીડિત ઉપર અમાનુષી અત્યાચાર થતો હશે અને ઘણી જગ્યાએ અન્યાય સામે જોરદાર લડત ચાલતી હશે. આપણે શેમાં રહેવું છે ? માનવ વર્તન માટે દરેક ધર્મએ સીમાંકનો લખ્યા જે ધાર્મિક રિવાજોના નામે પ્રચલિત પણ થયા અને તેના ખોટા અર્થઘટન બદનામ પણ થયા. જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાનો વાસ છે એમ કહીને નારીને દેવી સ્વરૂપે વ્યાખ્યાયિત કરનાર સમાજે જ્યારે ખરા અર્થમાં સ્ત્રીનું સન્માન જાળવવાનું હતું ત્યારે તેને બંધનોમાં કેદ કરી. “शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् । न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा”નો અર્થ ભુલાઈ ગયો. જે કુળમાં સ્ત્રીઓ કષ્ટ ભોગવે એ કુળનો શીઘ્ર નાશ થાય એવા વિધાન આ જ ગ્રંથમાં છે. ધર્મગુરુઓના અર્થઘટન દ્વારા નિત્યન્તરિત થતા ભારતીય સમાજમાં કાળક્રમે દરેક ‘પાપ’ માટે તેને ધોવા માટેના વિકલ્પ મળતા ગયા. એટલે જ સ્વરક્ષા અને સ્વસન્માનને જાળવવાની પ્રથમ જવાબદારી વ્યક્તિની પોતાની છે.

‘સ્ત્રી ભ્રુણ હત્યા’ અને સ્ત્રીના સમકક્ષ અધિકારોની તરફેણ કરતી એક ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ થોડા સમય પહેલા રિલીઝ થઇ. વિચિત્ર કહી શકાય તેવા પહેરવેશ, બોડી લેન્ગવેજ અને કિરદાર માટે જાણીતા રણવીર સિંહ ગુજરાતી પરિવારના ડાહ્યા દીકરા બન્યા છે. પહેલી દીકરી પછી ચાર એબોર્શનથી વિચલિત થયેલ સારો પતિ પરિવારના દબાણ અને પિતૃસત્તાત્મક માનસિકતાનો વિરોધ કરવા માટે રમૂજ, પલાયન વૃત્તિ અને સરળ રસ્તા અપનાવવાના પ્રયત્ન કરે છે. દીકરીના જન્મથી માંડીને દીકરીને જન્મ આપનાર માતાના સંઘર્ષને દર્શાવતી આ ફિલ્મમાં ગુજરાતી પરિવાર, ભરપૂર કોમેડી અભિનયનાં અજવાળાં પાથરતા સિનિયર કલાકારોનું પેકેજ તો છે જ. એ સાથે ગાંઠે બાંધવા જેવી નાની વાત એ છે કે, ક્યારેક ગંભીર સમસ્યાનો ઉકેલ સાહજિકતા અને હળવાશમાં પણ હોઈ શકે. પરિવાર કે જ્ઞાાતિમાં ચાલી આવતી પરમ્પરા જ્યારે કોઈ એક સમૂહ માટે થાય ત્યારે એ સાંકળને તોડવી પડે. આપણા સમાજમાં પ્રત્યેક ‘જયેશભાઇ’ને જોરદાર બનવા માટે સમાનુભૂતિની જરૂર છે અને ‘જયશ્રીબેનને’ જોરદાર બનવા માટે આત્મવિશ્વાસની જરૂર છે.

વિદ્રોહ કરનાર વ્યક્તિ જે તે સમયગાળામાં તો આકરો અને અસ્વીકૃત હોય છે પરંતુ જ્યારે તે ઇતિહાસ થઇ જાય ત્યારે મહાન બની જાય છે. અભિવ્યક્તિની ગણના તેના પરિણામ પછી થાય છે, વિરોધ કરવાની પ્રોસેસ ક્યારે ય સુહૃદયી નથી હોતી, પરંતુ દિવસના અંતે સંતોષકારક ઊંઘ ચોક્કસ આપે છે.

e.mail : meghanimeshjoshi@gmail.com
[સૌજન્ય : મેઘાબહેન જોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર] 

Loading

...102030...1,4111,4121,4131,414...1,4201,4301,440...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved