Opinion Magazine
Number of visits: 9456260
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવરકર : ગુજરાત સરકારના

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|25 May 2025

હેમન્તકુમાર શાહ

નરેન્દ્ર દામોદરદાસ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વિનાયક દામોદર સાવરકર વિશે ગુજરાત સરકાર દ્વારા ૧૨૦ પાનાંનું એક પુસ્તક ૨૫,૦૦૦ નકલમાં ‘વીર સાવરકર’ શીર્ષક સાથે ૨૦૦૪માં ‘સરફરોશી પુસ્તક શ્રેણી’ હેઠળ પ્રકાશિત કરાયું હતું.

આ પુસ્તકના લેખક છે હરીશ દ્વિવેદી. પુસ્તકના કોપીરાઇટ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પાસે છે. આ આખી શ્રેણીના અધ્યક્ષ તરીકે RSSની ‘વિદ્યાભારતી’ નામની સંસ્થાના એક જમાનાના કર્તાહર્તા હર્ષદ પ્ર. શાહ હતા.

આ પુસ્તકની કોઈ કિંમત છાપવામાં આવી નહોતી. મોટે ભાગે તે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજોમાં સરકાર દ્વારા મોકલવામાં આવી હતી એવું થોડુંક મારી સ્મૃતિમાં છે. 

આ પુસ્તક વિશેની કેટલીક હકીકતો :

(૧) સાવરકરે અંગ્રેજ સરકારની માફી માગતા પત્રો છ વખત લખેલા તેનો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં છે જ નહિ. એ માફી પત્રોમાં પોતે જેલની બહાર નીકળીને અંગ્રેજો કહેશે તેમ કરશે અને અંગ્રેજ સરકારને વફાદાર રહેશે એવું સાવરકરે લખેલું પણ તેનો ઉલ્લેખ સુદ્ધાં આ પુસ્તકમાં નથી. 

(૨) તેમાં તો એમ લખવામાં આવ્યું છે કે “ભારતના નેશનલ યુનિયન તરફથી આંદામાનમાં કાળા પાણીની સજા ભોગવી રહેલ કેદીઓને મુક્ત કરવા માટેનું એક લોકઆંદોલન શરૂ કરવામાં આવ્યું …. આ આંદોલનનો જેલના અધિકારીઓ ઉપર ખૂબ મોટો પ્રભાવ પડ્યો. તેમણે કેદીઓની મુક્તિ માટે વિચારણા કરવાનો આરંભ કર્યો.” અને વિનાયક સાવરકર આંદામાનની જેલમાંથી મુક્ત થયા! દુનિયામાં ક્યાં ય જેલના અધિકારીઓ કેદીને મુક્ત કરવાની સત્તા ધરાવે ખરા? અરે, આ ‘નેશનલ યુનિયન’ કયું અને કોનું? 

(૩) આંદામાનની જેલમાંથી છૂટીને ભારત આવ્યા બાદ તેમને છેવટે મહારાષ્ટ્રમાં રત્નાગિરિમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. પછી તેઓ ૧૯૩૭માં તેમાંથી છૂટ્યા. જો કે, એ સાલ આ પુસ્તકમાં લખવામાં આવી નથી. 

(૪) “સાવરકરની …. જેલમાંથી મુક્તિ કેટલીક શરતોને અધીન હતી..અંગ્રેજ સરકાર દ્વારા જે જે શરતો મૂકવામાં આવી હતી તે મંજૂર રાખી તેમણે જેલમાંથી મુક્ત થવાનો નિર્ણય લીધો હતો.” – એમ આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે. જો કે, બહુ સિફતપૂર્વક એ શરતો કઈ હતી તે પુસ્તકમાં લખવામાં આવ્યું નથી. નજરકેદમાંથી મુક્ત થયા પછી દેશ આઝાદ થયો ત્યાં સુધી સાવરકરે આઝાદીના આંદોલનમાં એક દાયકા સુધી ભાગ લીધો નહોતો. પણ એ તો અંગ્રેજોની એક શરત હતી!

(૫) સાવરકરે મહંમદ અલી ઝીણાની જેમ જ હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે એવું કહેલું. એ સિદ્ધાંતને લીધે જ દેશના ૧૯૪૭માં ભાગલા થયેલા. પણ આ વાતનો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં છે જ નહિ. 

(૬) પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, “કટ્ટરવાદી હિન્દુઓનો પ્રભાવ પણ ખૂબ જ વધ્યો હતો. આવી વિચારધારામાં માનતી નથ્થુરામ ગોડસે નામની વ્યક્તિએ મહાત્મા ગાંધી પર ત્રણ ગોળીઓ ચલાવી તેમની ક્રૂર હત્યા કરી.” આમાં ક્યાં ય એમ લખવામાં આવ્યું નથી કે ગોડસે તેમના પટ્ટ શિષ્ય જેવા હતા. સાવરકર પોતે કટ્ટરવાદી હિંદુ નહોતા? 

(૭) દેશ ૧૯૪૭માં આઝાદ થયો. તે પછી સાવરકર છેક ૧૯૬૬માં અવસાન પામ્યા. આ ૧૮ વર્ષ આઝાદ ભારતમાં સાવરકરે શું કર્યું તેનો કશો ઉલ્લેખ આ પુસ્તકમાં નથી! 

આવી તો અનેક ઇરાદાપૂર્વક કરવામાં આવેલી ભૂલો સાવરકરનું મહિમામંડન કરવામાં લેખકથી થઈ ગઈ છે! માફીવીર સાવરકર પુસ્તકના લેખકને અને ગુજરાત સરકારને આવી ‘ભૂલો’ બદલ ચોક્કસ માફ કરશે. “માફી તો શક્તિશાળી જ આપી શકે” – એવું તો સાવરકરે તેમના એક માફીનામામાં જ અંગ્રેજ સરકારને લખેલું! 

તા.૨૪-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|25 May 2025

રમેશ ઓઝા

૧૯૯૮ના મે મહિનામાં ભારતે પોખરણ ખાતે બીજી વાર વિસ્ફોટ કરીને અણુચકાસણી કરી ત્યારે અમિત શાહે કંઈક ગુસ્સામાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો કે ભારતે અણુવિસ્ફોટ કરીને મોટી ભૂલ કરી છે. હવે ક્યારે ય પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું નહીં બની શકે. કારણ? કારણ કે પાકિસ્તાને ભારતના જવાબમાં અણુવિસ્ફોટ કરીને દુનિયાને સત્તાવારપણે જણાવી દીધું હતું કે પાકિસ્તાન પણ અણુતાકાત ધરાવે છે અણુશસ્ત્રો ધરાવતા દેશોની ક્લબના દરવાજે ઉંબરે ઊભું છે. આ જ અમિત શાહે ૨૦૨૩ના ડિસેમ્બરમાં લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ૨૬ બેઠકો પાકિસ્તાનના કબજ હેઠળના કાશ્મીર માટે અનામત રાખવામાં આવી છે, કારણ કે એ ભૂમિ આપણી છે અને એક દિવસ આપણે તે મેળવીને રહીશું. 

૧૯૯૮માં અમિત શાહ અટલ બિહારી વાજપેયીને લખે છે કે અણુવિસ્ફોટ કરીને ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને છોડાવવાની તક કાયમ માટે ગુમાવી દીધી છે અને ૨૦૨૩માં કહે છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે અને તે મેળવીને રહેશે. વિધાનસભામાં ૨૬ બેઠકો તેની છે. ભારત બાકીનું કાશ્મીર મેળવીને જ રહેશે એવું તો એ પછી અમિત શાહ છેલ્લા એક વરસમાં ચાર-પાંચ વાર બોલ્યા છે. 

ક્યા અમિત શાહ સાચા? ૧૯૯૮માં હતાશા વ્યક્ત કરનારા કે પછી ૨૦૨૩થી અત્યાર સુધી હુંકાર કરનારા? શા માટે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને મુક્ત કરવા સુધી આગળ નહીં લઈ જવામાં આવ્યું? ઉન્માદ તો એવો હતો કે જ્યાં સુધી ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને નહીં છોડાવે ત્યાં સુધી નહીં અટકે. એની જગ્યાએ માત્ર ત્રણ દિવસમાં કહેવાતું યુદ્ધ શમી ગયું. ભારતના ઇતિહાસનું સૌથી ટૂંકુ અને અનિર્ણાયક યુદ્ધ. યુદ્ધવિરામની ઘોષણા પણ કોઈ ત્રીજો દેશ કરે એ તો વળી વિચિત્ર અને શરમજનક ઘટના હતી. કાઁગ્રેસે લાગ જોઇને ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ની હેડલાઈન બતાવતું ક્લીપીંગ દુનિયાને બતાવ્યું હતું. ૧૯૭૧ના ડિસેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું અને યુનો અમેરિકા સહિત દુનિયાના દેશો ભારત પર યુદ્ધવિરામ માટે દબાણ કરતા હતા. ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી વિશ્વદેશોની ભાવનાની વિરુદ્ધ જઈ રહ્યા છે અને ટસના મસ થતા નથી એમ અખબારની હેડલાઈન ચીસો પાડીને કહેતી હતી. 

એવો દેશ જે વિશ્વનું પાંચમાં ક્રમનું મોટું અર્થતંત્ર નહોતું. એવો દેશ જે ગરીબ હતો અને મોટા ભાગની પ્રજા અશિક્ષિત હતી. એવો દેશ જે હજુ બે-ત્રણ વરસ પહેલાં જ પી.એલ.-૪૮૦ હેઠળ મફતના અમેરિકન ઘઉં ખાવાથી મુક્ત થયો હતો. એવો દેશ જેની પાસે આજ જેટલી લશ્કરી તાકાત નહોતી. એવો દેશ જેના આઈ.આઈ.ટી. જેવી શિક્ષણ સંસ્થાઓએ પેદા કરેલા બ્રેઈની ઇન્ડિયન્સોએ વિશ્વના કોર્પોરેટ જગતમાં મહત્ત્વનું સ્થાન નહોતું બનાવ્યું. એવો દેશ જેના એન.આર.આઈ.ઝ(અનિવાસી ભારતીય)ની જગતમાં આજ જેવી કોઈ વગ નહોતી. એવો દેશ જેની પાસે અણુશક્તિ નહોતી. આ સિવાય યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં ભારતને ઘેરવા અમેરિકાએ તેનો સાતમો કાફલો બંગાળના અખાતમાં રવાના કર્યો હતો અને બંગાળના અખાતની નજીક પહોંચી પણ ગયો હતો. ચીન પાકિસ્તાનની પડખે હતું. આમ છતાં ઇન્દિરા ગાંધી ટસના મસ નહોતાં થતાં, અમેરિકા સહિતના વિશ્વદેશોના દબાવની ઐસીતૈસી કરતાં હતાં અને ત્યાં સુધી યુદ્ધવિરામ નહોતું કર્યું જ્યાં સુધી પાકિસ્તાનનાં બે ફાડિયા ન કરી નાખ્યાં. યુદ્ધવિરામ પણ ભારતે સામેથી પોતાની શરતે જાહેર કર્યું હતું. અમેરિકાએ કે બીજા કોઈ દેશે તેની જાહેરાત નહોતી કરી. 

કઈ તાકાત હતી એ? ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વની હતી કે પછી અણુશસ્ત્રોના ન હોવાની હતી જેના વિષે અમિત શાહે ૧૯૯૮માં નારાજગી વ્યક્ત કરી હતી. 

એમાં કોઈ શંકા નથી કે ઇન્દિરા ગાંધીએ જે કુનેહ અને બુલંદ ઈરાદા સાથે નેતૃત્વ કર્યું હતું એ જોઇને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. જનરલ અયુબ ખાન સામે પ્રજાનું અંદોલન, ૧૯૬૯ની સામાન્ય ચૂંટણીમાં શેખ મુજીબર રહેમાનના પક્ષ અવામી લીગને મળેલી બહુમતી, પશ્ચિમ પાકિસ્તાનના નેતાઓની અવળચંડાઈ, પૂર્વ બંગાળમાં આંદોલન અને શેખ મુજીબુર રહેમાનની ધરપકડ વગેરે જોઇને ઇન્દિરા ગાંધીને સમજાઈ ગયું હતું કે હવે પાકિસ્તાનનું વિભાજન શક્ય છે. તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી. અને કેવા લોકો તેમની ટીમમાં હતા? પી.એન. હકસર, ટી.એન. કૌલ, ડી.પી. ધર, પી.એન. ધર, આર.એન. કાઓ વગેરે એકથી એક દંતકથારૂપ અધિકારીઓ તેમની ટીમમાં હતા. તેમણે જયપ્રકાશ નારાયણનો ભારતની તરફેણમાં મત બનાવવા માટે ઉપયોગ કર્યો હતો અને વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેતા હતા. જગત સમક્ષ રોકકળ કરવામાં તેમને શરમ નહોતી આવતી અને બહાદુરીની ખોટી અને કારણ વિનાની ડંફાશ તેઓ મારતાં નહોતાં. આત્મવિશ્વાસ ગજબનો હતો અને લઘુતાગ્રંથિ નામની નહોતી એટલે તેમનાથી સવાયાઓની સેવા લેવામાં સંકોચ નહોતો. આ સિવાય ધીરજ પણ ગજબની હતી. હતાં. ધીરજ વિચક્ષણ રાજપુરુષનો ગુણ છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો અત્યારે ઇન્દિરા ગાંધી હોત તો તેમણે યુદ્ધ કરતાં પહેલાં યુદ્ધ માટેની તક પાકવા દીધી હોત.

પણ એ સાથે એ વાતમાં પણ કોઈ શંકા નથી કે જો ૧૯૭૧માં પાકિસ્તાન અણુશક્તિ ધરાવતું હોત તો ઇન્દિરા ગાંધીને અને ભારતને એવો નિર્ણાયક વિજય ન મળ્યો હોત જે ત્યારે મળ્યો હતો. અણુની સંહારકશક્તિ આપણી કલ્પનાની બહાર છે અને માણસ એક એવું પ્રાણી છે જેની માણસાઈ વિષે ખાતરીપૂર્વક કોઈ ન કહી શકે. સર્વોચ્ચ જવાબદારીવાળી જગ્યાએ ગાંડા અને વિકૃત માણસો પણ પહોંચી શકે છે એમ બર્ટ્રાન્ડ રસેલે તેમના ‘પાવર’ નામનાં પુસ્તકમાં લખ્યું છે. મરતા ક્યા નહીં કરતા એ તો તમે સાંભળ્યું હશે. 

તો વાતનો સાર એ કે અમિત શાહે ૧૯૯૮માં વાજપેયીને જે લખ્યું હતું એ વાતમાં દમ હતો. યુદ્ધમાં હાર-જીત થતી હતી એ દિવસો ગયા. તાકાતની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લડ્યા વિના કે હિંસા કર્યા વિના તમે બીજાને કેટલું નુકસાન પહોંચાડી શકો છો એના પર તાકત આંકી શકાય છે. ચીન આનો જીવતોજાગતો દાખલો છે. આમાં ફાયદો એ છે કે નુકસાન નહીં પહોંચડવા જેટલી ઉદારતા દાખવીને અને એ રીતે ઉપકાર કરીને પણ તમે બીજા સામે તાકાત બતાવી શકો છો. આ શક્તિ હથિયારમાં કે બાવડાંમાં નથી. 

ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ. પણ એ તાકાત દેશની અંદર પ્રજાકીય વિભાજન કરીને કે કોઈને અન્યાય કરીને ન વિકસી શકે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. ૧૯૪૭થી પાકિસ્તાનના શાસકોએ અને ઇસ્લામના ઠેકેદારોએ પાકિસ્તાનની પ્રજાને (મુસલમાનો સહિત) ઈસ્લામને ત્રાજવે તોળીતોળીને બરબાદ કરી નાખ્યું. આ ત્રાજવાત્રેવડ અપનાવવા જેવી નથી એમ પાકિસ્તાનનો ઇતિહાસ કહે છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—290

દીપક મહેતા|Opinion - Opinion|25 May 2025

મુમતાઝ બેગમ : પુરુષો તો ઘણા જોયા, પણ મરદ તો આ એક જ    

બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ

એડવોકેટ જનરલ કાંગા : Your honor! મુમતાઝ બેગમને હવે વધુ કાંઈ મારે પૂછવાનું બાકી રહેતું નથી. બચાવ પક્ષના વકીલો હવે તેમને પૂછી શકે છે. બીજા વકીલો સાથે મસલત કર્યા પછી ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસીક્યૂટર ટી. રામ સિંહે અદાલતને જણાવ્યું કે અમારે મુમતાઝ બેગમની ઊલટતપાસ કરવાની જરૂર લાગતી નથી. મલબાર હિલ પર જે ઘટના બની તેના ચશ્મદીદ ગવાહો હતા બ્રિટિશ સરકારના લશ્કરના ચાર અમલદારો, જે સંજોગવશાત એ જ વખતે મલબાર હિલથી પસાર થઈ રહ્યા હતા. તેમણે વચ્ચે પડીને મુમતાઝ બેગમને તો બચાવી લીધી, પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાને ન બચાવી શક્યા. આ ચાર અફસરો – લેફ્ટનન્ટ કર્નલ વિકેરી, લેફ્ટનન્ટ સાયગર્ટ, લેફ્ટનન્ટ ફ્રાન્સિસ બેટલે, અને સ્ટીફન્સ મેક્સવેલ. આ ચારેની વારાફરતી લેવાયેલી જુબાનીમાં સોમવાર, ૧૨ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના સુમારે મલબાર હિલ પર જે કાંઈ બન્યું હતું તેની વિગતવાર માહિતી આપી, અને એક આરોપીને પકડવામાં પોતાને સફળતા મળી તેની વાત પણ કરી. તથાકથિત ગુનેગારો ઇન્દોર રાજ્યની માલિકીની લાલ રંગની મેકસવેલ મોટરમાં મલબાર હિલ આવ્યા હતા. આ મોટર પોતે જોઈ હોવાનું તેમણે કહ્યું હતું. પણ બનાવ બન્યો તે પછી બીજા આરોપીઓ એ જ મોટરમાં ભાગી જવામાં સફળ થયા હતા.

મરીન ડ્રાઈવ બંધાયા પહેલાંનો ક્વીન્સ રોડ

આ વાત સાંભળતાંવેંત ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસિક્યૂટર ટી. રામ સિંહ ઊભા થયા હતા અને એ મોટરને ‘ઇન્દોર રાજયની માલિકીની’ તરીકે ઓળખાવવા સામે વાંધો લીધો હતો. પણ આવું કશુક બને તો તે માટે એડવોકેટ જનરલ કાંગા તૈયાર જ હતા. તેમણે અદાલતને કહ્યું : નામદાર! ક્વીન્સ રોડ પર આવેલી ‘ધ ઓટોમોબાઈલ કંપની’ના સેલ્સમેન ફરામરોઝ નવરોજીને જુબાની માટે બોલાવવાની મંજૂરી આપવામાં આવે. અદાલતે તેમની વિનંતી માન્ય રાખતાં ફરામરોઝ નવરોજી હાજર થયા. તેમણે કહ્યું કે ૧૯૨૪ના ઓક્ટોબર મહિનામાં ઇન્દોર રાજ્યના બે અધિકારીઓ અમારા શો રૂમ પર આવ્યા હતા. મેં તેમને જે મોટરો બતાવી તેમાંથી તેમને લાલ કલરની મેક્સવેલ મોટર પસંદ પડી. તે પછી ટ્રાયલ માટે એ મોટરમાં બેસાડીને હું તેમને ક્વીન્સ રોડથી મલબાર હિલ, ચર્ચ ગેટ, અને બેન્ડ સ્ટેન્ડ લઈ ગયો હતો. તે જ દિવસે પાંચ હજાર રૂપિયાની પૂરેપૂરી કિંમત ચૂકવીને પેલા બે અધિકારીઓએ મોટર ખરીદી લીધી હતી. તે વખતે તેઓ અંદરોઅંદર વાત કરી રહ્યા હતા કે ઇન્દોર રાજ્યનાં મુંબઈમાંનાં બંગલા અને ગેસ્ટ હાઉસના સમારકામને બહાને આપણે જે ૧૬ હજાર રૂપિયા ઊપાડ્યા છે તેમાંથી આ પાંચ હજારની જોગવાઈ કરવી પડશે. 

વીસમી સદીની પહેલી પચ્ચીસીનો કાર શો રૂમ

એડવોકેટ જનરલ કાંગા : નામદાર! હવે હું રામારાવ દ્વારકાનાથ વિજયકરને જુબાની માટે બોલાવવાની મંજૂરી માગું છું. 

અદાલતે મંજૂરી આપ્યા પછી રામારાવ દ્વારકાનાથ વિજયકરની ઊલટતપાસ શરૂ કરી.

એડવોકેટ જનરલ કાંગા : મિસ્ટર વિજયકર, પહેલાં તો એ કહો કે તમે શું કરો છો?

વિજયકર : સાહેબ, હું પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાં વાહન રજિસ્ટે્રશન વિભાગમાં કારકૂન તરીકે નોકરી કરું છું. ૧૯૨૪ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખે લાલ રંગની મેક્સવેલ કારનું રજીસ્ત્રેશન કરીને ૨૫મી તારીખે મેં આનંદરાવ પાંડસે પાટીલને સુપરત કરી હતી. એ મોટરનો નંબર હતો Z-૯૨૫૭, એન્જિન નંબર ૪૭૬૦૦૬, અને ચેસીસ નંબર ૪૪૩૭૬૦. રજીસ્ત્રેષણ પછી આ મોટરને ઇન્દોર લઈ જવામાં આવી હતી. (એક ખુલાસો : ૧૯૨૫ના અરસામાં મુંબઈમાં એટલી ઓછી મોટર હતી કે પોલીસ ખાતામાં અલગ ટ્રાફિક બ્રાન્ચની જરૂર જણાઈ નહોતી. નવી મોટરોની નોંધણી ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલી પોલીસ કમિશનરની કચેરીમાં જ થતી.) પછી ફરામરોઝ નવરોજીએ જે બે ઇસમની વાત કરી હતી તે બે ઇસમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ફરામરોઝ નવરોજી અને રામરાવ દ્વારકાનાથ વિજયકર, બંનેએ તેમને ઓળખી બતાવ્યા હતા.   

ગુનેગારોએ વાપરેલી રેડ મેકસવેલ મોટર નંબર Z-9257 (ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર)

પછીનો સાક્ષી હતો વામન ગોવિંદ, GIP (આજની સેન્ટ્રલ) રેલવેનો વિક્ટોરિયા ટર્મિનસ ખાતેનો ગુડ્ઝ બુકિંગ ક્લાર્ક. તેણે કહ્યું કે ૧૯૨૪ના ડિસેમ્બરની ૧૨મી તારીખે રાતે લાલ કલરની મેકસવેલ મોટર મુંબઈથી ઇન્દોર મોકલવામાં આવી હતી. મોકલનારનું નામ આનંદરાવ ફણસે. બાબુરાવ ડ્રાઈવરે નોંધણી કરીને રસીદ નંબર ૩૧૩૧/૧૭ આપી હતી. એ વખતે કોર્ટના કલાર્કે એ રસીદ બતાવતાં સાક્ષીએ તેને ઓળખી બતાવીને કહ્યું કે આ જ રસીદ મેં આનંદરાવ ફણસેને આપી હતી. 

આ ખટલામાં ઇન્દોર રાજ્યના રહેવાસી એવા કુલ નવ ઇસમને આરોપી તરીકે ખડા કરવામાં  આવ્યા હતા. તેમના ઉપર કુલ ૧૩ આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં નીચેના ગુનાનો સમાવેશ થતો હતો : બ્રિટિશ ઇન્ડિયાની હદમાંથી મુમતાઝ બેગમનું અપહરણ કરવાનું ગુનાહિત કાવતરું ઘડવું, બ્રિટિશ ઇન્ડિયાના રહેવાસી અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવું, મુમતાઝ બેગમ અને મેથ્યુઝને ગંભીર ઈજા પહોંચાડવી, ગુનાઓ અંગેના પુરાવાનો નાશ કરવો કે નાશ કરવાનો પ્રયત્ન કરવો, વગેરે.

*

ગુરુવાર, નવેમ્બર ૧૯, ૧૯૨૫.

બોમ્બે હાઈ કોર્ટમાં આ કેસ શરૂ થયો ત્યારથી રોજ આખો કોર્ટ રૂમ ચિકાર ભરાઈ જતો હતો. પણ આજે તો હાઈ કોર્ટની આજુબાજુ જ નહિ, ફોર્ટ વિસ્તારમાં ઠેર ઠેર લોકોનાં ટોળાં વહેલી સવારથી એકઠાં થયાં હતા. પ્રેસના ફોટોગ્રાફરો હાઈ કોર્ટના દરવાજા બહાર ટોળાબંધ ઊભા હતા, કારણ તેમને અંદર જવાની મનાઈ હતી. હોનરેબલ જસ્ટિસ ક્રંપ આજે પાછલે દરવાજેથી હાઈ કોર્ટમાં દાખલ થયા અને પોતાની ચેમ્બરમાં ગયા. ત્યાં કેટલીક ફાઈલો ઉથલાવી અને જરૂરી જગ્યાએ પોતાની પેનથી કાળી શાહીમાં નોંધ ટપકાવી. અગિયાર વાગવામાં એક મિનિટ બાકી હતી ત્યારે લાલ યુનિફોર્મ પહેરેલો ચોપદાર હાજર થયો. જજસાહેબ ખુરસી પરથી ઊભા થયા, ટાઈ સરખી કરી, અને પછી કોર્ટરૂમ તરફ સિધાવ્યા.

બોમ્બે હાઈ કોર્ટની બહાર લોકોનાં ટોળાં

ચોપદારે બારણું ખોલ્યું કે તરત હાજર રહેલા બધાએ ઊભા થઈને માન આપ્યું. જ્યુરીના નવ મેમ્બર અગાઉથી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. કોર્ટ રૂમ ચિક્કાર હતો છતાં ટાંકણી પડે તો તેનો પણ અવાજ સંભળાય એવી શાંતિ હતી. કોર્ટના શિરસ્તેદારે ઊભા થઈને કેસનો નંબર અને પક્ષકારોનાં નામ જાહેર કર્યાં. ત્યાર બાદ નામદાર જસ્ટીસ ક્રમ્પે કહ્યું : આ વરસના એપ્રિલ મહિનાની ૨૭મી તારીખે શરૂ થયેલા બાવલા મર્ડર કેસની સુનાવણી પૂરી થઈ છે. જ્યુરીના માનવંતા સભ્યો! મને ખાતરી છે કે તમારામાંથી દરેકે એ જુબાની પૂરેપૂરા ધ્યાનથી સાંભળી છે, અને જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તેને વિષે વિચાર કર્યો છે. કોઈથી પણ દબાયા કે દોરવાયા વગર, કોઈની પણ તરફેણમાં કે વિરુદ્ધમાં અયોગ્ય રીતે દોરવાયા વગર, પક્ષપાત રહિત અને ન્યાયબુદ્ધિપૂર્વક તમે જ્યુરીના સભ્યો વ્યક્તિ તરીકે અને સમૂહ તરીકે યોગ્ય નિર્ણય પર પહોચવામાં સફળ થશો એવી મને ખાતરી છે. આ વિચારણા માટે તમને સૌને એક કલાકનો સમય આપવામાં આવે છે. અલબત્ત, જો અનિવાર્ય જણાય તો તમે વધુ સમય લઈ શકો છો. જસ્ટિસ ક્રંપ આટલું બોલીને ફરી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. જ્યુરીના સભ્યોને બાજુના એક ઓરડામાં લઈ જવામાં આવ્યા. બધા સભ્યો ઓરડામાં ગયા પછી બારણું બંધ કરવામાં આવ્યું અને બહાર કોર્ટના ચોકિયાતો ઊભા રહી ગયા. 

એક કલાક પછી જ્યુરીના સભ્યોએ જસ્ટિસ ક્રંપની ચેમ્બરમાં જઈને પોતાનો નિર્ણય જણાવ્યો. જજસાહેબે બધા સભ્યોનો આભાર માન્યો. પછી પહેલાં જ્યુરીના સભ્યો અને પછી જસ્ટિસ ક્રંપ કોર્ટ રૂમમાં દાખલ થયા. હાજર રહેલા સૌએ ઊભા થઈને ન્યાયાધીશને માન આપ્યું. જસ્ટિસ ક્રમ્પે ધીરગંભીર અવાજે બોલવાનું શરૂ કર્યું. : જ્યુરીના માનવંતા સભ્યોએ જુબાની અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષપણે અને ન્યાયબુદ્ધિ પૂર્વક પોતે લીધેલો નિર્ણય મને જણાવ્યો છે. અને તેમનો એ નિર્ણય સર્વથા યોગ્ય લાગતાં મેં તેને પૂરેપૂરો સ્વીકાર્યો છે. જ્યુરીના માનવંતા સભ્યોની ભલામણને અનુસરીને મારો ચુકાદો લેવાયો છે જે આ પ્રમાણે છે :

૧.પૂરતા પુરાવાઓને અભાવે મુમતાઝ મહમ્મદ અને કરામતખાનને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવામાં આવે છે.

૨. રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓને ધ્યાનમાં રાખતાં બહાદુરશાહ, અકબરશાહ, અને અબ્દુલ લતીફ, એ ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવે છે.

૩. શફી અહમદ પોંડે, શફી અહમદ નબી અહમદ, અને શ્યામરાવ રાવજી દિઘેની મરનાર અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુનામાં સીધી સંડોવણી અને ભાગીદારી હોવાનું શંકા વગર પુરવાર થયું હોવાથી આ ત્રણ ગુનેગારોને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે. 

These three shall be hanged till death. 

ચુકાદો સંભળાવ્યા પછી જસ્ટિસ ક્રમ્પે ઉમેર્યું : જે સ્ત્રી દસ વરસ સુધી ઇન્દોરના મહારાજાની રખાત બનીને રહી હતી, પછી તેમને છોડીને મુંબઈ આવી હતી અને મિસ્ટર બાવલા સાથે રહી હતી તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ આખા કાવતરાનાં મૂળ ઇન્દોર સુધી પહોંચતાં હોય તેમ માનવાને પૂરતાં કારણો છે. દેખીતું છે કે આજે આ અદાલતે જે ગુનેગારોને સજા ફરમાવી છે તેમનો દોરીસંચાર કરનારા હાથ તો બીજા કોઈના હતા. પણ એ હાથ કોના હતા એ અંગે ખાતરીપૂર્વક અમે કશું કહી શકીએ એવી સ્થિતિમાં નથી.  

ના, પ્રિય વાચક! બાવલા ખૂન કેસની વાત અહીં પૂરી નથી થતી. હજી તો કહાનીમાં  અજીબોગરીબ twist આવવાના છે. રાહ જુઓ, આવતા શનિવાર સુધી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ થયું: ગુજરાતી મિડ-ડે ૨૪ મે ૨૦૨૫ 

Loading

...102030...140141142143...150160170...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved