Opinion Magazine
Number of visits: 9554044
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વક્ત કા હસીન સિતમ – ગુરુદત્તથી ગુરુદત્ત સુધી

સોનલ પરીખ|Opinion - Opinion|5 August 2025

ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતાં બનાવવા જોઈતાં.’  

ગુરુ દત્ત

દાદી પ્રાર્થના કરતાં હોય અને એ કિશોર દીવાના પ્રકાશમાં આંગળીઓ હલાવી ભીંત પર આકારો રચે. ત્યારે તેને કે કોઈને ખબર ન હતી કે સમયની દીવાલ પર એની છબી કાયમ માટે અંકિત થઈ જશે. 

મૂળ નામ વસંત. બાળપણમાં અકસ્માત થયો, એક સાધુના સૂચનથી નામ બદલી ગુરુદત્ત રાખ્યું – ગુરુદત્ત પદુકોણ. આ નામ સમયાંતરે ગુરુ નામ અને દત્ત અટક હોય એ રીતે ફિલ્મ-ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયું. ગુરુ દત્તની અગ્નિશિખા જેવી સર્જકતા, ચકિત કરી મૂકનારાં સર્જનો, બેચેન વ્યક્તિત્વ અને કરુણ અંતનો કલ્પનાની કે વાસ્તવની દુનિયામાં કોઈ જોટો નથી. 9 જુલાઈ 2025ના દિવસે તેમનો સોમો જન્મદિન છે. 

જન્મ બેંગલોરમાં, શિક્ષણ કોલકાતામાં. બંગાળી સંસ્કૃતિ જીવનમાં વણાઈ ગઈ. શ્યામ બેનેગલના કાકા અને ગુરુ દત્તના મામા બાલકૃષ્ણ બેનેગલના એક ચિત્ર પરથી કિશોર ગુરુએ ‘સપેરા’ નૃત્ય બનાવ્યું અને ઈનામ પણ મેળવ્યું. પિતા ખૂબ વાંચતાં. ગુરુ અઠંગ વાચક બન્યા. આર્થિક સ્થિતિને લીધે કોલેજ ન જઈ શક્યા, સોળ વર્ષની ઉંમરે 20 રૂપિયાના પગારથી કોલકાતાની લીવર બ્રધર્સની ફેક્ટરીમાં ટેલિફોન ઓપરેટર બન્યા. 

મોકો મળતાં ગુરુ દત્તે અલમોડા જઈ ઉદય શંકરની નૃત્ય એકેડમીમાં તાલીમ લીધી. પાંચ વર્ષ માટે સ્કોલરશીપ પણ મળી. વિશ્વયુદ્ધને લીધે એકેડમી બંધ થતાં ગુરુ દત્ત મુંબઈ આવ્યા અને ત્રણ વર્ષ માટે પૂણેના પ્રભાત સ્ટુડિયોમાં કોરિયોગ્રાફર તરીકે નોકરી લીધી. પછીથી કંપનીમાં અભિનેતા અને સહાયક દિગ્દર્શક પણ બન્યા. થોડો વખત ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’ માટે ટૂંકી વાર્તાઓ લખી.

પ્રભાતમાં દેવ આનંદ અને રહેમાન સાથે દોસ્તી થઈ જે જીવનભર ટકી. ત્યારે દેવ આનંદ સાથે થયેલા કરાર પ્રમાણે તેણે દેવ આનંદની પ્રોડક્શન કંપની નવકેતન હેઠળ ‘બાઝી'(1951)નું દિગ્દર્શન કર્યું. બીજે વર્ષે ‘જાલ’ આવી. આ બંને અને ત્યાર પછીની કેટલીક ફિલ્મો 40-50ના દાયકાની ‘ફિલ્મ નોઈર’ શૈલીથી પ્રેરિત હતી. નૈતિક રીતે અસ્પષ્ટ એવો નાયક, અપરાધ, સાયરન અને છાયા-પ્રકાશની યોજના એ આ શૈલીની વિશેષતાઓ છે. હિન્દી ફિલ્મોમાં નોઈર શૈલીની ફિલ્મો લાવનાર ગુરુદત્ત પહેલા હતા.  

દર્શકોની નાડ પારખતાં તેને આવડતું. ‘બાઝી’, ‘જાલ’, ‘મિ. એન્ડ મિસીસ 55’ અને ‘સી.આઇ.ડી.’ની સફળતા પછી ગુરુ દત્તે પોતાનામાં રહેલા કલાકારને બહાર કાઢ્યો અને સાહસિક-જોખમી વિષયોને મેદાન આપ્યું. સંતોષ ન થાય તો પ્રોજેક્ટને અભેરાઈ પર ચડાવતા તેને વાર લાગતી નહીં. ગુરુ દત્તે કુલ 8 હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંથી 1957ની ‘પ્યાસા’, 1959ની ‘કાગઝ કે ફૂલ’ અને 1962ની ‘સાહબ, બીબી ઔર ગુલામ’ની આંતરરાષ્ટ્રીય ઓળખ છે. 

શ્યામ બેનેગલે કહ્યું છે, ‘ગુરુ દત્તની ફિલ્મો અર્થપૂર્ણ રહેતી. સેટ પર પૂરી તૈયારી સાથે જાય. કેમેરાનો એંગલ, એક એક મુવમેન્ટ પરફેક્ટ જોઈએ. સંતોષ ન થાય ત્યાં સુધી ઓકે ન કહે. “પ્યાસા” માટે પોતે પણ સો કરતાં વધારે  રિટેક આપ્યા હતા. ગીતને વાર્તા સાથે જોડી દેવા અને ખાસ રીતે ફિલ્માંકિત કરવામાં ગુરુ દત્ત અજોડ હતા.’ અદ્દભુત લાઇટ એન્ડ શેડો ઇફેક્ટ માટે જાણીતા ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ ગીતના સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્તિ કહે છે, ‘ગુરુદત્તને હું “ઓબ્સેસિવ ડિરેક્ટર” કહું. અત્યંત ઊર્જાભર્યા, તીક્ષ્ણ બુદ્ધિ અને કામમાં ઓતપ્રોત. “કાગઝ કે ફૂલ”ના ગીત “વક્ત ને કિયા”ને હું “ક્લાસિક મોમેન્ટ ઑફ સેલ્યુલોઈડ હિસ્ટરી” ગણું છું. આ ગીત નટરાજ સ્ટુડિયોમાં ફિલ્માવ્યું હતું. એક વેન્ટિલેશનમાંથી પ્રકાશ આવતો હતો તેને એક અરીસામાં ઝીલી અમે પ્રકાશકિરણ રચ્યું અને નાટ્યાત્મક અસર આપવા થોડો ધુમાડો ઉમેર્યો.’ 

ગુરુ દત્તનાં બહેન લલિતા લાજમી કહે છે, ‘મારા પિતા ક્રિએટિવ રાઇટર બનવા માગતા હતા, ન બની શકયા. એ કારણે એમનામાં કટુતા આવી ગઈ. ગુરુમાં મારા પિતાની સર્જનાત્મકતા અને બેચેની બંને હતાં. ‘પ્યાસા’માં તેણે એક કવિના સંઘર્ષનું આલેખન કર્યું છે એ મારા પિતાના જીવન પર આધારિત છે.’ 

વિદેશી સિનેમાસ્કોપ ફિલ્મોને જોઈને ગુરુદત્તને પોતાની ફિલ્મોમાં આ નવી ચીજ લાવવી હતી. ‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોકસ’ની ભારત-ઓફિસના મેનેજર મિ. પ્રભુ પાસેથી સાધનો અને લેન્સિઝ મેળવી ગુરુદત્તે સિનેમાસ્કોપમાં બનેલી પહેલી ભારતીય ફિલ્મ બનાવી, ‘કાગઝ કે ફૂલ’. એ ફ્લોપ થઈ. કરોડો રૂપિયાનું નુકસાન થયું. પોતાની સર્જનાત્મક આકાંક્ષાઓના અસ્વીકારનું દુ:ખ એનાથી પણ મોટું હતું. રાજ કપૂરે કહ્યું હતું તેમ ‘કાગઝ કે ફૂલ’ સમય કરતાં ઘણી વહેલી બની હતી. ‘ચૌદહવીં કા ચાંદ’થી આર્થિક ખુવારી સરભર થઈ, પણ એ પછી ગુરુ દત્તે ફિલ્મોનું દિગ્દર્શન ન કર્યું. ‘ચૌદહવીં કા ચાંદ’ના દિગ્દર્શક હતા એમ. સિદ્દિકી અને ‘સાહબ બીબી ઔર ગુલામ’ના અબ્રાર અલવી. ‘ટેન યર્સ વિથ ગુરુ દત્ત’માં અબ્રાર અલવી કહે છે કે આ બંને ફિલ્મોનાં ગીતો ગુરુદત્તે કર્યાં હતાં અને નામ ગમે તેનું હોય એ ફિલ્મો પર ગુરુદત્તનો સઘન સ્પર્શ હતો.’ આ ફિલ્મના રમતિયાળ ગીત ‘ભંવરા બડા નાદાન’ના રેકોર્ડિંગને યાદ કરતાં ગાયિકા આશા ભોંસલે કહે છે, ‘મુઝે યાદ હૈ, દત્ત સાહબ મેરે સામને ખડે હો ગયે ઔર હર એક લફ્ઝકો કૈસે ગાના હૈ વહ મુંહ બના બના કે દિખાને લગે – કિતની કલેરિટી, કિતના પરફેક્શન!’ આ જ ફિલ્મનાં ગીત દત્તે ગયેલાં ગીતોમાં વિરહ, પીડા અને કસક ટોચ પર પહોંચ્યાં હતાં.

ગીતા દત્ત

ગીતા દત્ત આત્મવિશ્વાસભરી એ સફળ સુંદર ગાયિકા અને આ સંઘર્ષરત પ્રતિભાશાળી ફિલ્મમેકર વચ્ચે પ્રેમ તો થવાનો જ હતો. પણ લગ્ન – ત્રણ વર્ષના સંવનન પછી ગીતાના પરિવારના વિરોધ વચ્ચે 1953માં બંને પરણ્યાં. શરૂઆતનાં વર્ષો સુંદર-મધુર હતાં. ત્રણ સંતાનોમાં અરુણનો જન્મદિવસ ગુરુની જેમ 9 જુલાઈએ અને તરુણનો 10 જુલાઈએ આવતો. ગીતા ઊમળકાથી ત્રણેનો જન્મદિન સાથે ઊજવતી. પછી બધું બગડતું ચાલ્યું. છૂટાં પડ્યાં ત્યારે ગુરુદત્ત સફ્ળતાનાં શિખરે હતા, ગીતા દિશાહીન, નિર્ભ્રાંત. 

શું ખૂટ્યું હશે આ સુંદર યુગલના જીવનમાં? લગ્ન પછી માત્ર ગુરુદત્તની ફિલ્મોમાં ગાવાનું બંધન ગીતા દત્તને ન ફાવ્યું? પોતે આ બંધન, ત્રણ સંતાનો અને સંસારમાં બદ્ધ હતી અને પતિ નવી પ્રેરણામૂર્તિ વહીદા રહેમાન સાથે પ્રસિદ્ધિનાં સોપાનો ચડતો હતો – આ સ્થિતિ સંભાળી ન શકાઈ? ગુરુ દત્ત ફિલ્મસર્જનમાં જેટલો ઓતપ્રોત હતો, એટલો જ અંગત જીવનમાં અનુશાસનહીન હતો એમ કહેવાય છે તે સાચું હતું? ગમેતેમ, બંને છેક સુધી એકબીજાને ચાહતાં. આત્મહત્યાના બીજા નિષ્ફળ પ્રયત્ન પછી ભાનમાં આવેલા ગુરુદત્તે સૌથી પહેલા ગીતાને યાદ કરી હતી. નસરીન મુન્ની કબીરે ગુરુ દત્તના પત્રોનું પુસ્તક કર્યું છે, ‘યોર્સ, ગુરુ દત્ત.’ આમાંના મોટા ભાગના પત્રો ગીતા પર લખાયેલા છે અને ગુરુ દત્તના મૂડ સ્વિંગ્સ, પ્રેમ, ગુસ્સો, મુંઝવણ અને હતાશાને આલેખે છે. ગીતા અને વહીદા બંનેને ગુમાવ્યા પછી શરાબ, ડિપ્રેશન, એંક્ઝાયટી, સર્જનાત્મક બેચેની અને મેલાન્કોલિક ટેન્ડનસી(ખિન્ન પ્રકૃતિ)એ ભરડો લીધો અને 39 વર્ષના જીવનનો, 18 વર્ષની ફિલ્મકારકિર્દીનો અકાળે અંત આવ્યો. 

આ ગાળામાં ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ ગુરુ દત્ત ઘણું કરી શક્યા હોત, પણ તેઓ ખૂબ વહેલા ચાલ્યા ગયા. કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતા બનાવવા જોઈતા.’

‘કાગઝ કે ફૂલ’નો સુરેશ સિંહા કહે છે, ‘એક હાથ સે દેતી હૈ દુનિયા, સૌ હાથોં સે લેતી હૈ, યે ખેલ હૈ કબ સે જારી, બિછડે સભી બારી બારી’ પ્યાસાનો વિજય કહે છે, ‘હમ ગમજદા હૈં લાયેંગે કહાં સે ખુશી કે ગીત, દેંગે વહી જો પાયેંગે ઇસ ઝિંદગી સે હમ’ ‘સાહબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુનો ચિત્કાર ‘હાં, હાં, મૈં અલાયદા હૂં’ ગુરુ દત્તનો પોતાનો પણ નથી શું? દુનિયાથી અલગ હોવાની એક કિંમત હોય છે અને એ ચૂકવવી પડે છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 જુલાઈ  2025

Loading

મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું !

રમેશ સવાણી|Opinion - Opinion|5 August 2025

રમેશ સવાણી

લોકશાહી દેશોમાં બેવકૂફ અને અસંસ્કારી આદમીને સર્વોચ્ચ સ્થાને બેસાડો તો દેશની શું હાલત થાય, એનો અનુભવ આજકાલ જગતના લોકશાહી દેશોને થઈ રહ્યો છે અને એમાં અમેરિકા અગ્ર સ્થાને છે. જગતના સર્વોચ્ચ શક્તિશાળી દેશને સર્વોચ્ચ બેવકૂફ શાસક મળ્યો છે. યથા પ્રજા તથા રાજા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 31 જુલાઈ  2025ના રોજ જાહેરાત કરી કે પહેલી ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. શા માટે? તો કહે, “ભારત અમેરિકન માલની આયાત પર એટલી બધી કસ્ટમ ડ્યુટી લગાડે છે કે અમેરિકનો ભારતમાં નિકાસ કરી શકતા નથી. ભારત-અમેરિકા વેપાર એકપક્ષીય છે જેમાં અમેરિકાને નુકસાન થાય છે. જો ભારત હેવી ટેરિફ લાદીને અમેરિકન આયાતને રોકતું હોય તો અમેરિકા શા માટે ન કરે?”

અમેરિકાને આવો અધિકાર નથી. વિશ્વ વાણિજ્ય સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની બહુરાષ્ટ્રીય સમજૂતી મુજબ કોઈ દેશ બારોબાર ટેરિફ કે વાણિજ્યની અન્ય શરતો બદલી શકે નહીં. 1991થી ‘95નાં વર્ષોમાં અમેરિકા વિશ્વ વાણિજ્ય સમજૂતી પર બધા દેશો સહી કરે એ માટે આતુર હતું અને વિકાસશીલ દેશો પર દબાણ કરતું હતું. સોવિયેત રશિયાનું પતન થયું હતું, જગતભરમાં સામ્યવાદનો લગભગ અસ્ત થયો હતો, ચીન હજુ પહોંચી વળી શકાય એવી અવસ્થામાં હતું અને શીતયુદ્ધનો અંત આવ્યો હતો. અમેરિકાને અને જગતના સમૃદ્ધ મૂડીવાદી દેશોને એમ લાગતું હતું કે સમાજવાદી અંકુશો રહિત મુક્ત વ્યાપારના યુગમાં ગરીબ અને વિકાસશીલ દેશોના માર્કેટ પર અને તેનાં સંસાધનો પર કબજો કરવાનો અવસર આવ્યો છે અને વિશ્વ વ્યાપાર સમજૂતી તે માટેનું માધ્યમ હતું. 

ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આ સમજૂતી સમજૂતી કરાવનારાઓને જ મોંઘી પડી શકે છે. એમાં અમેરિકા તો ક્લીન ડેવલપમેન્ટમાં માનનારો દેશ એટલે પોતાની ભૂમિ અને પર્યાવરણ બગાડે એવા ઉદ્યોગોમાં તેને રસ નહોતો. ડોલરનો સોના સાથેના આર્થિક સંતુલનનો સંબંધ તોડી નાખ્યો હતો એટલે જરૂર પડ્યે ડોલર છાપી લેવાના અને વર્ચસ જાળવી રાખવાનું. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે સમય હંમેશાં સાથ આપવાનો છે અને એમાં તેઓ તુમાખી પર ઉતરી આવે છે. અમેરિકન તુમાખી વિશ્વપ્રસિદ્ધ છે. ડાહ્યા માણસોને જ્યારે વરવી વાસ્તવિકતા સમજાય ત્યારે તેઓ તુમાખી અને દાદાગીરી છોડીને હવામાં ઉડવાની જગ્યાએ જમીન પર ચાલવાનું શરૂ કરે છે. અમેરિકાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું બરાક ઓબામાં. સામ્યવાદી રશિયાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું મિખાઈલ ગોર્બાચેવ. સામ્યવાદી ચીનને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું દેંગ ઝિયાઓપીંગ. ભારતને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું પી.વી. નરસિંહરાવ. આવા માણસો સમય વરતીને દિશાપરિવર્તન કરવાનું કામ કરતા હોય છે. આમાં નવી દિશાને પડકી રાખવામાં અને હજુ વધુ આગળ જવામાં એક માત્ર ચીન સફળ નીવડ્યું, બાકીના દેશો એ ન કરી શક્યા કારણ કે અનુવર્તી શાસકોમાં કેટલાકની સમજ ઓછી હતી, કેટલાક સડેલી વ્યવસ્થાના શિકાર હતા (જેમ કે ડૉ મનમોહન સિંહ), કેટલાક માટે રાષ્ટ્રીય કરતાં પક્ષીય એજન્ડા સર્વોપરી હતા, કેટલાકને ઇતિહાસના હિસાબ-કિતાબમાં રસ હતો અને છે અને કેટલાક સ્વકેન્દ્રીય બેવકૂફ હતા કે છે. ચીનનો આજે જગતમાં દબદબો છે એનું કારણ એણે 1979થી કૃતસંકલ્પ સાથે પકડી રાખેલી દિશા છે. ભારત તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આનું પ્રમાણ છે. ચીનને છેડ્યા પછી ચીને એવો કચકચાવીને તમાચો માર્યો કે હવે ટ્રમ્પ સીધી ચીનના નેતા સાથે વાતચીત કરી રહ્યા છે અને ભારતને અને ભારતના મહાન પ્રતાપી વડા પ્રધાનને સતાવી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ બારોબાર વૈશ્વિક સંધિ તોડી શકે નહીં, પણ આ તો ટ્રમ્પ છે જેની પાસે રહીસહી તાકાત વાપરીને દાદાગીરી કરવા સિવાય બીજી કોઈ આવડત નથી. તેમણે સંધિ તોડીને ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કર્યો. પણ સવાલ એ છે કે અત્યારે કેમ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વાણિજ્ય સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી છે? આ રહસ્ય છે. પણ વધારે મોટું રહસ્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવાના ગુના માટે ભારત પર પેનલ્ટી લગાડી છે. કોણે અધિકાર આપ્યો ટ્રમ્પને ભારત વિષે નિર્ણય લેવાનો? ભારત ગમે તેની સાથે ધંધો કરે તો એ તેનો અધિકાર છે. રશિયા સાથે બીજા દેશો પણ ધંધો કરે છે, ઉર્જાના ક્ષેત્રમાં પણ ધંધો કરે છે પણ એમાંના કોઈને નહીં ને ભારતને જ કેમ દંડે છે? શું ભારત અમેરિકાની જાગીર છે?

ભારત તરફથી તીવ્ર પ્રતિક્રિયા કેમ અપાતી નથી? શેનો ડર છે? અને આવું પહેલીવાર નથી બન્યું. એકધારું બની રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વસેલા નાગરિકોને હાથકડી જ નહીં, પગમાં બેડી પહેરાવીને વીડિયો લેવામાં આવે અને રિલીઝ કરવામાં આવે. મેક્સિકો અને બ્રાઝિલના નાગરિકો સાથે આવો વર્તાવ કરવામાં નહોતો આવ્યો. મેક્સિકોએ તો સંભળાવી દીધું હતું કે અમારા નાગરિકોને લઈને તમારું વિમાન અમારી ધરતી પર નહીં ઉતરે અમારું વિમાન આવીને અમારા નાગરિકોને સ્વમાનભેર લઈ જશે. બીજી બાજુ આપણા વિદેશ પ્રધાને અમેરિકાનો બચાવ કરતા કહ્યું હતું કે “ગુનો કરે એને હાથકડી પહેરાવવામાં આવે એમાં ખોટું શું છે?” એલા ભાઈ, માત્ર હાથકડી નહોતી, પગમાં બેડી પણ હતી  જે ગંભીર ગુનાઓમાં પહેરાવવામાં આવે છે ! જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે કે અમેરિકાના? ઓપરેશન સિંદુર વખતે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કરી હતી. ‘મેં યુદ્ધ રોકાવ્યું’ એવું તેમણે એક વાર નહીં અંદાજે વીસ વાર કહ્યું છે. ‘મેં બન્ને દેશોને કહ્યું હતું જો તેઓ યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા બન્ને દેશોને વાણિજ્યકીય રીતે દંડશે અને જો યુદ્ધ બંધ કરશે તો અમેરિકા વાણિજ્યકીય મદદ કરશે.’ આ અમેરિકામાં નહીં બીજા દેશમાં સાઉદી અરેબિયામાં કહ્યું હતું. 25 ટકા ટેરિફ અને દંડ એ મદદ છે? ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાને ભારતનાં પાંચ વિમાનો તોડી નાખ્યાં હતાં.” ટ્રમ્પે પ્રોટોકોલ બાજુએ મૂકીને પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન પર બોલાવ્યા હતા અને તેના બેમોઢે વખાણ કર્યા હતા ! દેશના વડાને નહીં, લશ્કરી વડાને ! પણ આપણા પ્રતાપી વડા પ્રધાન અને તેમની સરકાર ચૂપ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તો લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ‘ટ્રમ્પનું નામ લઈને કહેવામાં આવે કે ટ્રમ્પનો દાવો ખોટો છે.’ વડા પ્રધાન બોલતા નથી. 

ટ્રમ્પે રશિયા સાથે ઉર્જા વેપાર કરવા માટે માત્ર પેનલ્ટી નથી જાહેર કરી, ભારતના અર્થતંત્રને ‘મરેલાં અર્થતંત્ર’ તરીકે ઓળખાવ્યું છે. “ભાડમાં જાય ભારતનું મૃતપ્રાય અર્થતંત્ર. તે હજુ વધુ મરે તો મને કોઈ ફરક નથી પડતો.” આ ટ્રમ્પના શબ્દો છે. ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાનના ખનીજ તેલના જથ્થાને રિફાઇન્ડ કરવાની સમજૂતી થઈ ગઈ છે અને એક વખત એવો આવશે કે ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે.” જેનાં ઓવારણાં લેતા નરેન્દ્ર મોદી થાકતા નહોતા એ ટ્રમ્પ આવી ભાષા વાપરે છે અને વહેવાર કરે છે અને એ પણ વારંવાર ! હદ તો ત્યારે થઈ કે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા આપણા સાહેબે સીધો પ્રચાર કર્યો. જગતના ઇતિહાસમાં આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. 

શા માટે? લાખ રૂપિયાનો સવાલ આ છે. શા માટે  ટ્રમ્પ નરેન્દ્ર મોદીને વારંવાર નીચા દેખાડે છે? કદાચ કશુક અંગત છે. કદાચ નરેન્દ્ર મોદીનો ઈગો ટ્રમ્પના ઈગોને મેનેજ કરી શકતો નથી. જાગતિક સંબંધોમાં સોડમાં ઘૂસવામાં જોખમ હોય છે એમ મુત્સદીઓ કહેતા ગયા છે. 

ખેર, આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી ટટ્ટાર ઊભા રહે. અમેરિકા સામે, ચીન સામે, ન્યુક્લિયર પાકિસ્તાન સામે, તુર્કી સામે. દેશના ગરીબ મુસલમાનો સામે નહીં ! વિપક્ષો સામે નહીં !

તાકાત નબળાને રંજાડવામાં નથી બળિયાને પડકારવામાં છે, પણ ક્યારે? તાકાત રળીને. અને તાકાત રળવા માટે રાષ્ટ્રીય એકતા જોઈએ, જમીન પર પગ જોઈએ, સાચો નક્કર દેશપ્રેમ જોઈએ, સાચી નિસ્બત જોઈએ, ટેલેન્ટની કદર કરતા આવડવું જોઈએ વગેરે. યાદી લાંબી છે અને તમે એ જાણો છો. મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું ! 

[સૌજન્ય : રમેશ ઓઝા, 3 ઓગસ્ટ 2025. 

કાર્ટૂન સૌજન્ય સંદર્ભ : તમિલ મેગેઝિન, ‘Vikatan-વિકાટન’માં 10 ફેબ્રુઆરી 2025ના રોજ આ કાર્ટૂન પ્રકાશિત થયેલું. 

અમેરિકાએ, ભારતના ‘ગેરકાયદેસર’ નાગરિકો સાથે અમાનવીય વર્તન કરેલું અને મોદીજી ચૂપ રહેલા તેથી તેમને સાંકળમાં બાંધેલી સ્થિતિમાં દર્શાવવેલા. તેથી મોદીજીને માઠું લાગી ગયું હતું. 15 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્ર સરકારે વિકાટનની વેબસાઇટ બ્લોક કરી દીધી હતી !]

04 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્મૃતિમાં  છલકાયું

મનીષી જાની|Opinion - Opinion|4 August 2025

દેશ-દુનિયાના મિત્રો જેમને અચ્યુત યાજ્ઞિક તરીકે ઓળખે છે તે અમારા પરિવારના જયેન્દ્રભાઈ. 4થી ઓગસ્ટે તેમની વિદાયને બે વર્ષ થયાં. ઘણું ઘણું યાદ આવે છે. છેલ્લે મારે 2જી ઓગસ્ટે (2023) વાત થઈ હતી. મારી તબિયતના સમાચાર પૂછવા મને ફોન કર્યો હતો.

અમને સૌ પરિવારજનોને માહિતી અને જ્ઞાનનાં બારી-બારણાં ઉઘાડવામાં વિશેષ આપ્યું છે.

પણ તે ઉપરાંત આજે યાદ કરવા બેસું છું તો કેટકેટલી વ્યક્તિઓનાં જીવનને સમૃદ્ધ કરવા તેમણે ઉદ્દિપક જેવું કામ કર્યું છે તે નજર સામે દેખાવા માંડે છે ….

કંઈ કેટલા ય પત્રકારો, અમદાવાદના તો ખરા જ પણ દેશ વિદેશના ‘સેતુ’ની ઓફિસમાં તેમની કેબિનમાં અડ્ડો જમાવીને બેસતાં અને ગુજરાતના સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક પ્રવાહો વિશેની ચર્ચા-વિમર્શ કરી કશુંક મેળવતા.

વ્યક્તિઓની વાત કરીએ તો પ્રા. શાલિની રાંદેરિયાની.એચ.ડી. કરતાં ત્યારથી જાણે કે સેતુ એમનું અમદાવાદમાં બીજું ઘર હતું … સાબરકાંઠામાં તેમણે ઘનિષ્ઠ સંશોધનકાર્ય કર્યું. આજે જીનીવા યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરના હોદ્દા સુધી પહોંચ્યાં. પ્રા. સુજાતા પટેલે પણ અમદાવાદમાં સેતુમાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ-કામદારો વિશે નોંધપાત્ર સંશોધનકાર્ય કર્યું. બેલા ભાટિયા … આજે જાનના જોખમે દેશના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ સાથે એકાકાર થઈ રહેતાં અને તેમનાં અધિકારો માટે સતત સંઘર્ષશીલ, ટીસમાં તેજસ્વી વિદ્યાર્થી રહેલાં સૌથી પહેલાં સેતુમાં રહી સાબરકાંઠાની બહેનો સાથે ઘણું બધું જાગૃતિનું કાર્ય કર્યું હતું. દેશ પરદેશમાં રહી પી.એચ.ડી કરતાં કે રિસર્ચ કરતા અને અચ્યુતભાઈ સાથે માર્ગદર્શન મેળવતાઓની યાદી ઘણી લાંબી છે …. ગુજરાતનાં આંદોલનો વિશે પુસ્તક લખનાર ડો. વર્ષા ભગત ગાંગુલીએ પણ વર્ષો લગી કામ કર્યું.

ખાસ વાત એ છે કે અચ્યુતભાઈના મહારાષ્ટ્રના સમાજવાદી મિત્ર માધવ સાઠેને કારણે મેધા પાટકર અમદાવાદમાં સેતુમાં સામાજિકકાર્ય કરવા જોડાયાં … અને અમારા પરિવારના સદસ્ય જેવાં બની રહ્યાં. 1981 પછી અમારા જેવા મિત્રો નર્મદા ડેમને કારણે વિસ્થાપિત થનારા આદિવાસીઓની જમીનના બદલામાં જમીન લડત જે આર્ચ વાહિની સંગઠને કર્મશીલ ફાધર જોસેફની સાથે રહી શરૂ કરી હતી તેમાં જોડાયા … એ પછી સેતુ સંસ્થાએ પણ 1984માં નક્કી કર્યું કે આ લડત મહારાષ્ટ્રમાં પણ શરૂ કરવી જોઈએ અને સેતુમાંથી એ કામ મેધાને સોંપાયું.

નર્મદાની પેલે પાર મેધા ગામડાં ખૂંદતા રહ્યાં … લોકોને સંગઠિત કર્યાં .. અને નર્મદા બચાવો આંદોલનનો એક ઇતિહાસ રચ્યો, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ ….

અચ્યુતભાઈ 1981પૂર્વે પત્રકાર હતા ને પ્રેસ કામદારોના યુનિયનના સક્રિય આગેવાન તરીકે ય ઘણા બધાને મદદરૂપ બનતા રહ્યા હતા. મને યાદ છે 1975 બાદ તેમના યુવાસાથી પત્રકાર ધીરેન અવાશિયાએ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું ત્યારે દિલ્હીના તેમના જૂના મિત્ર અને ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ(પીજ ટી.વી.)ના કાર્યક્રમ નિર્માતાની મદદથી કાર્યક્રમ સહાયક તરીકેની કામગીરી અપાવડાવી અને પ્રિન્ટ માધ્યમમાંથી ધીરેનભાઈ ટી.વી. માધ્યમમાં પહોંચ્યા .. ને આગળ જતા તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનનો અનુસ્નાતક કક્ષાનો મહત્ત્વનો કોર્સ ઊભો કરવામાં પાયાનું કામ કર્યું.

આ જ કોર્સમાં અભ્યાસ અને અચ્યુતભાઈના માર્ગદર્શન માં સંશોધનકાર્ય પૂર્ણ કરનારા ધીમંત પુરોહિતનું નામ ‘આજ તક’ ટી.વી. ચેનલ આરંભ કરનાર તેમના પરમમિત્ર એસ.પી. સીંગને સૂચવ્યું હતું એ પણ મને યાદ આવે છે …

પરિવારજનો વચ્ચે અચ્યુતભાઈ .. જૂન 2023 .. તસવીર સૌજન્ય : સમીર પાઠક

સૌથી મહત્ત્વની વાત એ છે કે અચ્યુતભાઈ જે માનતા એવું જ જીવતા .. કોઈ પણ સંસ્થાના ટ્રસ્ટમાં પરિવાદવાદ નહીં જ ચાલવો જોઈએ, એવું તેઓ દૃઢ પણે માનતા … સેતુ સંસ્થામાં ક્યારે ય કોઈ ટ્રસ્ટીના દીકરા, દીકરી કે ભાઈ ભત્રીજાઓને રખાયાં નથી. સેતુ સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે દલિત પેન્થર્સના અધ્યક્ષ ડો. રમેશચંન્દ્ર પરમાર અને આદિવાસી એકતા પરિષદના અશોક ચૌધરી રહી ચૂક્યા છે …

અને સૌથી ગૌરવની વાત એ છે કે એસ.એ.સી. પાસ કરીને ભિલોડાથી આચાર્ય ભાનુભાઇ અધ્વર્યુની આંગળી પકડીને અમદાવાદ આવેલા અશોક શ્રીમાળી વર્ષોથી સેતુમાં કાર્યરત છે … અને સેતુનો તમામ ભાર સંસ્થાના મંત્રી તરીકે ઘણાં વર્ષોથી તેમણે ઉપાડી લીધો છે … દેશ વિદેશમાં અનેકાનેક પ્રવૃત્તિઓ, સેમિનારોમાં ભાગ લઈ સાવ છેવાડાના લોકોનું જીવન કેવી રીતે બહેતર બને અને તેમના અધિકારો માટેના સંઘર્ષો માં મદદરૂપ બનવાની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે … અચ્યુતભાઈએ ઊભી કરેલી પરંપરાઓને આગળ ધપાવી રહ્યા છે એ વિશેષ આનંદની વાત છે …

આ ક્ષણે જેટલું સ્મૃતિમાં  છલકાયું એ અહીં નોંધ્યું છે … લખવાનું તો ઘણું બધું …!

અચ્યુતભાઈને સ્મૃતિ સલામ!

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...140141142143...150160170...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved