Opinion Magazine
Number of visits: 9458820
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દહેજની કુપ્રથા માત્ર કાયદાથી દૂર થશે નહીં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2022

ગયા વરસના લગભગ આ જ દિવસોની એ દુર્ઘટના હતી. અમદાવાદની સાબરમતી નદીમાં ‘એ વહાલી નદી, પ્રાર્થું છું કે તું મને તારી ગોદમાં સમાવી લે” કહીને એક મુસ્લિમ મહિલાએ આત્મહત્યા કરી હતી. પરંતુ આ કોઈ સામાન્ય આપઘાતનો બનાવ નહોતો. આ યુવતીએ હસતાંહસતાં સ્વસ્થ ચિત્તે પોતાની સ્યુસાઈડ નોટ વીડિયો દ્વારા જારી કરી હતી. પતિ પ્રત્યે અગાધ પ્રેમ હતો પણ પતિ સહિતના સાસરિયાંની દહેજની માગણીથી પિયરિયાં દુ:ખી હતાં. આ બધાથી ત્રસ્ત થઈને એણે મજબૂરીમાં મરવાનું પસંદ કર્યું. હતું. દહેજમૃત્યુ નહીં પણ ખરેખર તો દહેજહત્યા કે દહેજ-આત્મહત્યાનો આ કોઈ એકલદોકલ બનાવ નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશમાં દર કલાકે એક મહિલાને દહેજની કુપ્રથાને કારણે મરવું પડે છે.

ભારતમાં જ નહીં એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોમાં દહેજની કુપ્રથાનું પ્રચલન છે. દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યા પક્ષે વર પક્ષને આપવા પડતાં ઘરેણા, રોકડ, બંગલો, કાર, ગૃહ ઉપયોગી જ નહીં મોજશોખની કહેવાય તેવી મોંઘી વસ્તુઓ, વગેરે. આરંભે રાજીખુશીથી દીકરીને લગ્ન પ્રસંગે અપાતો કરિયાવર પછી વરપક્ષને ફરજિયાત આપવાનું દહેજ બની ગયો. તેણે એક એવી પ્રથાનું રૂપ લીધું કે પુત્રીના લગ્નમાં માબાપની જીવનભરની કમાણી ખર્ચાઈ જાય છે અને સામા પક્ષને જીવનભર ચાલે એટલું મળી જાય છે. દીકરી એ જાણે કે કોઈ ક્રય વસ્તુ હોય તેમ તેનો સોદો થાય છે. વર જેટલો શિક્ષિત અને મોભાદાર એટલું વધુ દહેજ ચુકવવું પડે છે. જાણે કે વહુએ સદાય માવતરના ઘરેથી માંગી લાવવાનું હોય તેમ દહેજની માંગણી લગ્ન પછી પણ ચાલુ રહે છે. માબાપ કે ભાઈ જો તે પૂરી ન કરે તો સાસરિયાંમાં દીકરીને મેણાટોણા કે શારીરિક-માનસિક અત્યાચાર જ નથી વેઠવા પડતા, તેને મારી પણ નંખાય છે અને તેના મૃત્યુ પછી પેલો વર વધુ દહેજ લઈ આવતી અન્ય સ્ત્રી સાથે ફરી લગ્ન પણ કરી લે છે.

રુરલ ઈકોનોમિક એન્ડ ડેમોગ્રાફિક સર્વે ૨૦૦૬ના આધારે વલ્ડ બેન્કે ૧૯૬૧થી ૨૦૦૬ના વરસો દરમિયાન થયેલાં ચાળીસ હજાર લગ્નોનું અધ્યયન કરી ભારતની દહેજપ્રથા વિશે અભ્યાસ પ્રગટ કર્યો છે. વિશ્વ બેન્કના અભ્યાસ મુજબ ભારતમાં આજે ય ૯૦ ટકા લગ્નો માબાપ અને વડીલો દ્વારા ગોઠવાય છે. ૧૯૬૦માં લગ્ન માટે છોકરા-છોકરીની પસંદગી અને સંમતિનું પ્રમાણ ૨૦ ટકા હતું જે ૨૦૦૫માં વધીને ૪૦ ટકા થયું છે. માબાપ અને વડીલોની પસંદગી પર ભારતીય લગ્ન સંસ્થા ઊભી છે. હાલમાં પણ ૯૫ ટકા લગ્નો ખુદની જ્ઞાતિ-પેટાજ્ઞાતિમાં અને ૮૦ ટકા લગ્નો ખુદના જિલ્લામાં થતા હોય ત્યારે દહેજનું ચલણ ઓછું થવું શક્ય નથી.

વિશ્વ બેન્કનું અધ્યયન જણાવે છે કે ભારતમાં ૧૯૪૦ પૂર્વે ૪૦ ટકા લગ્નોમાં જ દહેજ લેવાતું હતું. ૧૯૪૦થી ૧૯૭૫માં તેમાં સતત વધારો થતો રહ્યો છે આજે ૯૦ ટકા લગ્નોમાં દહેજ લેવામાં આવે છે. દહેજની આ કુપ્રથા આજે ઘટી નથી, પણ સ્થિર છે તેવું આ અભ્યાસનું તારણ છે. ‘મેરેજ માર્કેટ એન્ડ રાઈઝ ઓફ ડાવરી ઈન ઈન્ડિયા’ પુસ્તક અને વિશ્વ બેન્કના અભ્યાસમાં દહેજના આર્થિક મૂલ્યની પણ આંકણી કરવામાં આવી છે. ગ્રામીણ ભારતમાં ૨૦૦૭માં વાર્ષિક ઘરેલુ આવકના ૧૪ ટકા જેટલી રકમ દહેજ પાછળ ખર્ચાતી હતી. વરપક્ષ કન્યા પક્ષને ભેટ-પહેરામણી રૂપે સરેરાશ રૂ. ૫,૦૦૦ ખર્ચે છે, પરંતુ કન્યા પક્ષને વરપક્ષને આ જ પ્રકારની પહેરામણી અને ભેટ સોગાદ માટે સરેરાશ રૂ. ૩૨,૦૦૦ એટલે કે વર કરતાં સાતગણી વધુ રકમ ખર્ચવી પડે છે.

લગ્નને જનમોજનમનું બંધન માનતા હિંદુ ધર્મ અને કરાર માનતા ઈસ્લામ સહિતના તમામ ધર્મોમાં દહેજની કુપ્રથા વ્યાપ્ત છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં દહેજનું પ્રમાણ સર્વાધિક છે તો મુસ્લિમ બહુલ કશ્મીરમાં ગોપનીય વિષય રહીને પણ તે વ્યાપક ચલણમાં છે. ગુજરાત, હરિયાણા, હિમાચલ, પંજાબ અને કેરળમાં દહેજમાં વધારો થયો છે. દહેજને કારણે કન્યાનાં માતાપિતા સતત ચિંતામાં જીવે છે અને બેમોત મરે છે, પણ તેમની દીકરી તો સાચેસાચ મરે છે. રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના અહેવાલો મુજબ ૨૦૧૮માં ૭,૧૬૭, ૨૦૧૯માં ૭,૧૪૪ અને ૨૦૨૦માં ૬,૯૬૬ મહિલાઓને દહેજને કારણે મરવું પડ્યું હતું.

આઝાદીના બીજા જ દાયકે ૧૯૬૧માં દહેજ પ્રતિબંધક કાયદો ઘડાયો હતો. ઇન્ડિયન  પિનલ કોડમાં ૧૯૮૩માં કલમ ૩૦૪-બી અને ૧૯૮૬માં ૪૯૮-એ ઉમેરવામાં આવી હતી. દહેજના દૂષણને ડામવા કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ મુજબ દહેજ આપવી કે લેવી બંને ગુનો છે. દહેજની વ્યાખ્યાને પણ વધુ વ્યાપક કરવામાં આવી છે. મહિલાઓને દહેજ ઉત્પીડન સામે રક્ષણ આપવાનો આ કાનૂની જોગવાઈઓનો ઉદ્દેશ છે. જો કે સઘળી કાયદાકીય જોગવાઈઓ બિનઅસરકારક રહી છે અને દહેજ બેરોકટોક લેવાય છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે દહેજ પ્રતિબંધક કાયદાને વધુ કડક અને અસરકારક બનાવવા કાયદા પંચને પણ સૂચવ્યું છે. અદાલત કાયદાના થતા દુરુપયોગ અંગે પણ ગંભીર છે.

દહેજ જેવાં દૂષણો માત્ર કાયદાથી દૂર થઈ શકે તેમ નથી. તે માટે સામાજિક વલણો પણ બદલવાની જરૂર છે. ભારતીય જનમાનસમાં દહેજપ્રથા લગ્નનો અવિભાજ્ય હિસ્સો અને અનિવાર્ય રસમ બની ગઈ છે. તેથી દહેજ વિરોધી જાગ્રતિ અને સમાજ સુધારાની વધુ જરૂર જણાય છે. દહેજને કારણે સ્ત્રી-પુરુષ અસમાનતા, દીકરીને બોજારૂપ ગણવાનો ખ્યાલ દૃઢ બની શકે છે. શિક્ષણ અને રોજગારમાં અવ્વલ રહેતી સ્ત્રીઓ લગ્નના બજારમાં દહેજને કારણે પાછળ રહે છે. સમાજમાં દહેજના લાભ ગણાવવાનું પણ વલણ જોવા મળે છે. દીકરીઓને પૈત્રુક સંપત્તિમાં વારસો આપવાને બદલે દહેજ આપીને સંતોષ મનાય છે.

લગ્નની ફરજિયાત નોંધણી અને સ્ત્રીને લગ્ન પ્રસંગે અપાતી તમામ ભેટ સોગાદોની નોંધણી પણ દહેજને ડામી શકે છે. દહેજ રૂપી સ્ત્રીધન પર એક માત્ર અધિકાર સ્ત્રીનો જ ગણાવો જોઈએ. કડક કાયદાનો અમલ કરાવનારું તંત્ર જ જો દહેજની તરફદારી કરનારું હશે તો ધાર્યું પરિણામ નહીં મળે. દહેજની કુપ્રથા નાબૂદ કરવા માત્ર મહિલાઓનો જ નહીં, સમગ્ર સમાજનો એક સૂરમાં વિરોધ ઉઠવો જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

વિદ્યાર્થી તરીકે નિષ્ફળતા, ચેરમેન બનવામાં સફળતા – કઈ જડીબુટ્ટી

રમેશ સવાણી|Opinion - Opinion|4 May 2022

તમારા સંતાનો કે સંબંધીઓના સંતાનો આઈ.એ.એસ. / આઈ.પી.એસ.ની તૈયારી કરતા હોય તો તેમણે ‘શિક્ષાપત્રી’ કોણે લખી, ક્યારે લખી, તેમાં કેટલા શ્લોક છે, તેમાં કઈ અદ્દભુત ફિલોસોફી છે, નિષ્કર્મ કર્મયોગી એટલે શું, શિક્ષાપત્રીએ કઈ રીતે શૂદ્રોનો ઉદ્ધાર કર્યો હતો? વગેરે બાબતોની જાણકારી મેળવવી પડશે’ હોંશિયાર ઉમેદવારો ચેરમેન અને ઈન્ટરવ્યૂ બૉર્ડના સભ્યોની પૃષ્ઠભૂમિ જાણી લેતા હોય છે! દેશમાં ધર્મસંસદ / હિન્દુ મહાપંચાયતના ભડકાઉ ભાષણોની ચર્ચાઓમાં વડા પ્રધાન પોતાનું કામ સીફતપૂર્વક આગળ ચલાવે છે. અદાણીને સરકારી મિલકતો / સરકારી મદદો અપાઈ રહી છે. લોકો હિન્દુ-મુસ્લિમની ચર્ચામાં ગૂંચવાઈ ગયા છે. ૫ એપ્રિલ, ૨૦૨૨ના રોજ વડા પ્રધાને, મનોજ સોનીને (જન્મ : ૧૭ ફેબ્રુઆરી ૧૯૬૫) દેશના ઉચ્ચ નોકરશાહોની પસંદગી કરતી યુ.પી.એસ.સી. – યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન બનાવી દીધા છે ! જો કે તેઓ યુ.પી.એસ.સી.ના સભ્ય તો હતા જ.

કોણ છે મનોજ સોની? તેમની નિમણૂક થતાં ફેસબૂક ઉપર સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલ કેટલાંક મિત્રોએ ‘સત્સંગી મનોજ સોની’ને અભિનંદન આપ્યા હતા! મનોજ સોની સ્વામિનારાયણ સંપ્રદાયના એક ફાંટા અનુપમ મિશન સાથે જોડાયેલા છે. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦માં તેમણે ‘નિષ્કર્મ કર્મયોગી’ તરીકે દીક્ષા લીધી હતી. કપાળે હંમેશાં તિલક-ચાંદલો કરે છે. ૨૦૦૨માં ગુજરાતમાં નરસંહારની ઘટનાઓ બની હતી, તે અંગે તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન ઉપર સખ્ત માછલાં ધોવાઈ રહ્યા હતા / આલોચના થઈ રહી હતી, તે સમયે મનોજ સોનીએ પુસ્તક લખેલ – In Search of a Third Space. તેમાં તેમણે તત્કાલીન મુખ્ય મંત્રીનો બચાવ કરેલ. તેથી ઈનામ તરીકે ૨૦૦૫થી ૨૦૦૮ સુધી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કુલપતિનું પદ સૌથી યુવાન વયે તેમને મળ્યું હતું. ૨૦૦૯ અને ૨૦૧૫માં તેઓ બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીના કુલપતિ હતા. તેમને માન/સન્માન/એવોર્ડ મળ્યા છે. તેમની નિયુક્તિને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ આ રીતે દર્શાવી હતી -‘Meet the monk who will now head UPSC!’ તે અહેવાલમાં જણાવ્યું હતું કે પિતાના નિધન બાદ મનોજ સોનીએ અગરબત્તી વેચીને પરિવાર ટકાવ્યો હતો. તેઓ ૧૨ સાયન્સ પ્રવાહમાં ફેઈલ થયા હતા, તેથી આટ્‌ર્સ પ્રવાહ લઈને આગળ વધ્યા હતા. M.A. કર્યા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય બાબતોમાં Ph.D. કર્યું હતું. તેમણે ટાઈપિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમણે બે વખત યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી; પ્રથમ પ્રયાસમાં સફળતા મળી ન હતી; બીજા પ્રયાસમાં ઇન્ટરવ્યૂમાં સફળતા મળી ન હતી. અગરબત્તી વેચનાર સંઘર્ષ કરીને યુ.પી.એસ.સી.ના ચેરમેન બને તે ઘટના નાની નથી. તે અંગે કેટલાકે ‘મોટિવેશનલ સ્ટોરી’ પણ લખી !

સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મપુસ્તક છે – ‘શિક્ષાપત્રી.’ તે મનુસ્મૃતિની લઘુ આવૃતિ જ છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને આર.એસ.એસ.ની વિચારસરણી સરખી છે, બન્ને સામંતી મૂલ્યોમાં માને છે. મનોજ સોની જ્યારે એમ.એસ. યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે તેમણે યુનિવર્સિટીનું ભગવાકરણ કર્યું હતું. મે ૨૦૦૭માં એક ઘટના બની હતી. ફાઈન આર્ટ ફૅકલ્ટીના ૨૩ વર્ષના વિદ્યાર્થી શ્રીલમંથુલા ચંદ્રમોહને coursework assessmentના ભાગ રૂપે ચિત્રો દોર્યા હતા, તેનું યુનિવર્સિટી-પરિસરમાં ચિત્ર પ્રદર્શન યોજ્યું હતું. વી.એચ.પીએ. ધાર્મિક લાગણી દૂભાવવાના કારણે ચિત્રોનો વિરોધ કર્યો હતો. મનોજ સોનીએ વી.એચ.પી.નું સમર્થન કર્યું હતું, જ્યારે ફાઈન આર્ટ ફેકલ્ટીના ડીન પ્રોફેસર Shivaji Panikkar – શિવાજી પાણિકકરે, ચંદ્રમોહનને સપોર્ટ કર્યો હતો; તેથી મનોજ સોનીએ, શિવાજી પાણિકકરને ચાર વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા હતા! શિવાજી પાણિકકરે છેવટે રાજીનામું આપી દીધું હતું ! ચંદ્રમોહન સામે આઈ.પી.સી. કલમ-૧૫૩ (છ) હેઠળ ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સબબ ગુનો દાખલ કરાવી જેલમાં પૂરાવેલ! ચંદ્રમોહનને ચાર દિવસ જેલમાં રહેવું પડેલ અને ગુજરાત નહીં છોડવાની શરતે જામીન ઉપર છૂટેલ. ચંદ્રમોહન ડિગ્રી વિના અજાણ્યા રાજ્યમાં કઈ રીતે રહી શકે? ચંદ્રમોહને ૨૦૦૭માં માસ્ટર ડિગ્રી પૂરી કરી હતી; તેમ છતાં ૧૧ વરસ સુધી તેમને ડિગ્રી આપી ન હતી. તેથી તીવ્ર હતાશામાં, ફેબ્રુઆરી ૨૦૧૮માં, ચંદ્રમોહને વાઇસ ચાન્સેલરની ઓફિસમાં આગ લગાડવાનું કડક પગલું ભર્યું હતું! તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ અને કેટલાક મહિનાઓ બાદ હાઈકોર્ટે જામીન પર છોડેલ ! ચંદ્રમોહને કહ્યું હતું  કે “મેં વી.સી.ને ૩૦-૪૦ પત્રો લખ્યા. મને મારું પરિણામ જાહેર ન કરવા માટેનું કારણ આપતા નથી કે પરિણામને ૧૧ વર્ષ સુધી રોકવા માટેનું કારણ પણ આપતા નથી!” ચંદ્રમોહન, આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીના એક ગામના હતા. તેમના ગામમાંથી ચંદ્રમોહને પ્રથમ વખત યુનિવર્સિટી જોઈ હતી. તેમના પિતા સુથાર તરીકે કામ કરે છે અને તેમને આશા હતી કે ચંદ્રમોહન તેની કળાથી પરિવારને ટેકો આપશે; પણ એવું ક્યારે ય બન્યું નહીં. તેમને યુનિવર્સિટીમાંથી તેમની ડિગ્રી અને આર્ટ ગેલેરીમાં જગ્યા આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો ! ચંદ્રમોહન તેજસ્વી કલાકાર છે; છતાં તેમની કળાને પ્રદર્શિત કરવા માટે કોઈ આર્ટ ગેલેરી તૈયાર થતી નથી ! મનોજ સોનીએ, ચંદ્રમોહનની કારકિર્દીની શરૂઆત થવા ન દીધી; તેની કળા માટે તેને ગુનેગાર બનાવી દીધો! મનોજ સોનીને યુ.પી.એસ.સી.માં સફળતા ન મળી; પરંતુ યુ.પી.એસ.સી.ના ચેરમેન જ બની ગયા! કઈ જડ્ડીબુટ્ટી છે? યાદ રહે, ગુજરાતમાં મનોજ સોની કરતાં વધુ વિદ્વાન ૧,૦૦૦ માણસો હોવાના, પરંતુ વિદ્વાનો ક્યારે ય સફળતાની જડ્ડીબુટ્ટીનો ઉપયોગ કરતા નથી; ગોડસેવાદી અને સામંતી સંસ્થાઓ સાથે જોડાતા નથી; એટલે તેમને મનોજ સોનીની જેમ હોદ્દો મળતો નથી!

(રમેશ સવાણીની ફેસબુક વૉલપરથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 14

Loading

છાની આશા

બીજલ જગડ|Opinion - Opinion|4 May 2022

રાખે છે એક લાગણી મુજ ને અમીર જેમ
પ્રેમમાં ભાવભીનાં નેણે નીર ઉભરાતાં જેમ.

મોર મારા મનનો ગહકતો રહ્યો છે રાતભર,
દિલની વીણા પર પ્રેમની ગઝલ લખાતી જેમ.

દૂધ જેવી ચાંદીશી ઊર્મિઓ પ્રેમ રંગે વરસતી રહી,
મેઘ-ધનુ અમૃત ધારા વરસાવે ધરતી પર જેમ.

હર્ષની હેલીમાં પ્રેમ મદિરા જામ નવા છલકાવે,
આંસુઓ કોરા જિંદગીની સુરા પીવાતી જેમ.

રંગમય વાતાવરણ નશીલી આંખો મદિલી ક્ષણો,
છાની અછાની પ્રણયની આશાઓ ફળતી જેમ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,4081,4091,4101,411...1,4201,4301,440...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved