Opinion Magazine
Number of visits: 9671272
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિખાઇલ ગોર્બાચેવઃ સુધારાવાદી નેતા જે સાબિત થયા વૈશ્વિક રાજકારણના ‘ટ્રેજેડી કિંગ’ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 September 2022

મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયટ યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા.

એંશીના દાયકામાં જન્મેલાઓ માટે મિખાઇલ ગોર્બાચેવ એક એવા રશિયન નેતા હતા જેમના માથા પર જાણે કોઇ બીજા દેશના નકશાના આકારનું નિશાન હતું. સોવિયેત યુનિયનના આખરી નેતાનું ગયા અઠવાડિયે ૩૧મી ઑગસ્ટના રોજ ૯૧ વર્ષની વયે મોત થયું. ગોર્બાચેવ એવા રશિયન રાજકીય નેતા હતા જેમણે વીસમી સદીમાં સામ્રાજ્યવાદી વલણના સામે પ્રવાહે તરવાનું નક્કી કર્યું. મિખાઇલ ગોર્બાચેવ સત્તા પર આવ્યા તે પહેલાં સોવિયેત યુનિયન એક એવો સુપર પાવર હતો જે યુ.એસ.એ.નો કાયમી શત્રુ હતો. મિખાઇલ ગોર્બાચેવે લીધેલા નિર્ણયોએ ઘણું બધું બદલી નાખ્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન બધા સાથી સત્તાઓ હતી. એ સમયે ખાસ તો યુ.એસ.એ.ના રોનાલ્ડ રેગન, બ્રિટનનાં માર્ગારેટ થેચર અને ગોર્બાચેવ વૈશ્વિક રાજકીય નાટ્યમંચના મુખ્ય કિરદારો હતાં. સામ્રાજ્યવાદનો સૂરજ તપતો હોય અને એક માણસ નક્કી કરે કે તેણે લોકશાહીને કોટે વળગાડવી છે કારણ કે તેને લોકશાહીમાં વિશ્વાસ છે અને એ દિશામાં આગળ વધવું જ યોગ્ય સમજે – આ માણસ એટલે મિખાઇલ ગોર્બાચેવ. સોવિયેત યુનિયનને વધુ માનવીય બનાવવાની ગોર્બાચેવની ચાહ સામે ઘણાને વાંધો હતો અને આજે પણ ઘણા રશિયનો ગોર્બાચેવથી નારાજ છે.

મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયત યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા. તેમેણે શરૂઆત કરી આર્થિક સુધારાઓ સાથે અને આ સાથે જ તેમની સાથે આજ સુધી જોડાયેલો શબ્દ અસ્તિત્વમાં આવ્યો – ગ્લાસનોસ્ટ – એટલે કે ઓપનનેસ – નિખાલસતા – વાણી સ્વાતંત્ર્ય. સરકાર અને અર્થતંત્રની કાર્યવાહીમાં પૂરેપૂરી પારદર્શિતાની અપેક્ષા સાથે ગોર્બાચેવને આશા હતી કે લોકો યુ.એસ.એસ.આર.માં પોતાની જિંદગીને ફરી વ્યવસ્થાના પાટે ચઢાવી દેશે. આ પહેલાં તેમણે પેરેસ્ત્રોઇકા – એટલે કે પુનઃ ઘડતરનો મંત્ર આપ્યો કારણ કે યુ.એસ.એસ.આર.નું અર્થશાસ્ત્ર સાવ ખાડે ગયું હતું. ગોર્બાચેવને ખબર હતી કે યુ.એસ.એસ.આરે. પોતાના અર્થતંત્રનું પુનઃ બંધારણ કરવું જરૂરી છે અને માટે જ તેમણે પેરેસ્ત્રોઇકાનો વિચાર મૂક્યો. આ પુનઃ બંધારણ કે પુનઃ ઘડતર માત્ર આર્થિક બાબતો સ્થિર કરવાના હેતુથી નહોતા લૉન્ચ કરાયા. ગોર્બાચેવને ખાતરી હતી કે સામાજિક અને રાજકીય સ્તરે પણ સંજોગો બહેતર બનશે જે માઠા અર્થતંત્રથી વણસ્યા હતા. તે મરણિયા સામ્યવાદને પુનર્જિવિત કરી ૧૫ રિપબ્લિક્સ વચ્ચે સમાન ભાગીદારી લાવવાનો ઇરાદો ધરાવતા હતા. આ ૧૫ રિપબ્લિક્સમાં સૌથી શક્તિશાળી હતા રશિયા અને યુક્રેન પણ તેમના પ્રયાસો બાદ છ વર્ષના ગાળામાં સામ્યવાદ અને સોવિયેત સંઘ બન્ને પડી ભાંગ્યા. એમણે આ ફેરફારો સોવિયેત યુનિયનને વિખેરવાના આશયથી તો શરૂ નહોતા જ કર્યા. આર્થિક સ્થિતિ સુધારવી, યુ.એસ.એ. સાથે શસ્ત્રોની રેસનો અંત આણવો, યુરોપ સાથે સંબંધો બહેતર બનાવવા, અફઘાનિસ્તાનમાથી સૈન્યનું બિન જરૂરી સાહસ પાછું ખેંચી લેવા જેવા હેતુ સાથે ગોર્બાચેવે કામ શરૂ કર્યુ.  સોવિયેત યુનિયનનો પુનઃઉદ્ધાર એક રાષ્ટ્રલક્ષી પગલું છે તેમ ગોર્બાચેવ માનતા હતા પણ આમ કરવામાં જે માથાભારે તત્ત્વો પ્રવૃત્ત થયા તે તેમને માટે કલ્પના બહાર હતા. ૧૯૧૭ની રશિયન ક્રાંતિએ જે સામ્યાવાદી તંત્રની ભેટ આપી હતી તે પડી ભાંગી.

સાત દાયકાથી જે સોવિયેત યુનિયનનો વૈશ્વિક સ્તરે ભારે દબદબો હતો. સોવિયેત યુનિયને યુરોપમાં ફાસીવાદને હરાવવામાં, યુદ્ધ પછી યુરોપમાં સ્થિરતા લાવવામાં ફાળો આપ્યો અને સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળને પણ પ્રેરણા આપી. એંશીના દાયકાના પૂર્વાર્ધમાં સોવિયેત યુનિયનનું તંત્ર કથળી ગયું હતું અને ગોર્બાચેવને રાજકીય સ્તરે પ્રવૃત્ત થયા પછી આ તંત્રને સુધારવા તેમણે કવાયત કરી પણ સંઘ વિખેરાયો તેની પાછળ પણ ગોર્બાચેવ જ કારણભૂત બન્યા.

પશ્ચિમમાં ગોર્બી તરીકે ઓળખાનારા મિખાઇલ ગોર્બાચેવને નોબલ પીસ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. સોવિયેતના સ્થાપક વ્લાદિમીર લેનિનના સિદ્ધાંતોને પુનઃજીવત કરવા માગતા ગોર્બાચેવના સારા ઇરાદાઓના પાસા પોબાર ન પડ્યા. રશિયા અને બીજા ૧૪ પૂર્વ-સંઘ સભ્ય એવા રિપબ્લિક્સ રાજકીય અસ્તવ્યસ્તતાનો ભોગ બન્યા જેમાંથી બેઠા થતા રશિયાને દાયકાનો સમય લાગ્યો. લોકશાહી રશિયાને માફક ન આવી. વ્લાદિમિર પુતિનના શાસન હેઠળ રશિયાનો રાષ્ટ્રપ્રેમ વાદમાં ફેરવાયો અને યુક્રેન સાથે જ થયું તે તો આપણે જાણીએ જ છીએ. ગોર્બાચેવની હાર આજે પશ્ચિમની જીત બની ચૂકી છે. રશિયનોને ગોર્બાચેવ પ્રત્યે ફરિયાદ જ રહી અને ફરી રાજકારણમાં પ્રવેશવાના તેમના પ્રયત્નોને કોઇ ટેકો ન મળ્યો કારણ કે સોવિયેત સંઘનું ખંડન ગોર્બાચેવનું રાજકીય મોત હતું. 

બાય ધી વેઃ

સોવિયેત યુનિયનના ભંગના ત્રણ દાયકા પછી વર્તમાન સંજોગો પર નજર કરીએ ગોર્બાચેવે જે પણ ધાર્યું હતું તેમાનું કંઇ પણ પાર નથી પડ્યું. રશિયામાં લોકશાહી ક્યારે આવી અને ક્યારે ગઇ એ ખબર પણ ન પડી. યુરોપમાં ગોર્બાચેવે સ્થાપેલી શાંતિ ફેબ્રુઆરી ૨૦૨૦માં ભડકે બળી જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઇ કરી. ગોર્બાચેવને યુરોપ અને યુ.એસ.એ. સાથે સબંધ સુધારવા હતા પણ આજે પુતિન માટે આ બંન્ને રાષ્ટ્રો કટ્ટર દુશ્મન છે. ભારતને યુ.એસ.એસ.આર.નું ખંડન કઠ્યું હતું પણ તેને પગલે ભારતે પોતાના અર્થતંત્રને સુધારવાની ફરજ પડી, પોતાની વિદેશ નીતિનું પુનઃમૂલ્યાંકન કરવું પડ્યું અને વૈશ્વિક સ્તરે પોતાના સ્થાનને બહેતર બનાવવાની સૂઝ પડી. જો કે ૯૦ના દાયકાથી મોસ્કોની ગણતરીમાં દિલ્હી પ્રત્યેનો વ્યૂહાત્મક અભિગમ ઘટતો રહ્યો છે. સમયાંતરે ચીન સાથેની રશિયાની મૈત્રી અને પશ્ચિમ સાથે શિંગડા ભેરવવાનો અભિગમ ભારત સાથેની કડીને નબળી બનાવશે તેવી પૂરી શક્યતાઓ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 સપ્ટેમ્બર 2022

Loading

“જનતાના જસ્ટિસ”ની કથની અને કરણી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 September 2022

ભારતના 48માં મુખ્ય ન્યાયમૂર્તિ નૂતલપાટિ વેંકટરમણ 26મી તારીખે નિવૃત્ત થયા છે. તેમની વિદાયના બે દિવસ પહેલાં, રાજકીય પક્ષો દ્વારા મફત સેવા-સુવિધાઓ આપવા સંબંધી મામલાની સુનાવણી કરતી વખતે તેમણે એક ટીપ્પણી કરી હતી કે એક વ્યક્તિ જે સેવાનિવૃત્ત થઇ ગઈ છે અથવા સેવાનિવૃત્ત થઇ રહી હોય, તેનું દેશમાં કોઈ મૂલ્ય નથી. આમ તો ટીપ્પણીનો સંદર્ભ સુનાવણી વેળા એક વકીલે આ મામલામાં નિવૃત્ત જસ્ટિસ આર.એમ. લોઢા જેવી સમિતિની રચના કરવાનું સૂચન કર્યું તે હતું, પરંતુ પોતાની જ નિવૃત્તિના બે દિવસ પહેલાં તે આવું બોલ્યા તે સૂચક છે. ખાસ તો એટલા માટે કે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રભાવિત કરે તેવા અનેક નિર્ણાયક મામલાઓ તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા હતા.

સેવાનિવૃત્તિ પછી જસ્ટિસ રમણની પોતાનું મૂલ્ય થાય છે કે નહીં તે તો ખબર નથી, પરંતુ તેમના કાર્યકાળનું મૂલ્યાંકન જરૂરથી થવાનું છે. તેમના જીવનનો 4 દાયકા જેટલો સમય ન્યાયતંત્રને આપનારા જસ્ટિસ રમણે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ઘણાં મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે, પરંતુ તેમની કથની અને કરણીમાં બહુ અંતર રહ્યું છે અને એટલા માટે તેમએ યાદ રાખવામાં આવશે.

દેશની ન્યાય વ્યવસ્થાની નિષ્ફળતાઓ અને અધૂરપો પર ગહન અને અભ્યાસપૂર્ણ લેખો માટે જાણીતા ઓનલાઈન સામયિક “આર્ટિકલ-14”નું એક વિશ્લેષણ કહે છે કે 16 મહિનાના તેમના કાર્યકાળમાં, કાનૂનના રાજ અને બંધારણની રક્ષા કરવા માટે શું કરવું જોઈએ તે માટે જસ્ટિસ રમણે 29 ભાષણો આપ્યાં હતાં, પરંતુ તેમના નાક નીચે રાષ્ટ્ર માટે મહત્ત્વના છ કેસોમાં કોઈ જ પ્રગતિ થઇ ન હતી, અને જેની બંધારણીય બેંચ સમક્ષ વ્યાપક સમીક્ષા કરવાની અવશ્યકતા હતી તેવા 53 કેસો, અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિઓની માફક જ, પડતર રાખવામાં આવ્યા હતા. સૌરવ દાસ નામના આ વિશ્લેષણના લેખકે અલગ-અલગ અરજીકર્તાઓ સાથે વાત કરીને તેમના કેસો અને જસ્ટિસ રમણના કામકાજને લઈને તેમના મત જાણવાની કોશિશ કરી હતી. “નિરાશા અને હતાશા.” એવા બે ભાવ આ વાતચીતમાં બહાર આવ્યા હતા.

“વૈધાનિક અને શાસકીય કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા કરવી એ બંધારણીય યોજનાનો અવિભાજ્ય હિસ્સો છે. હું તો ત્યાં સુધી કહીશ કે એ તો ભારતીય બંધારણનો આત્મા છે. મારા નમ્ર મતે, ન્યાયિક સમીક્ષાના અભાવમાં, બંધારણમાં લોકોનો વિશ્વાસ ઓછો થયો છે,“ એવું જસ્ટિસ રમણે એક ભાષણમાં કહ્યું હતું. તેમ છતાં, તેમણે 53 કેસોમાં ન્યાયિક સમીક્ષા કરવાનું મુનાસીબ માન્યું ન હતું. સૌરવ દાસે તેમાંથી છ મહત્ત્વના કેસ અલગ તારવ્યા છે :

– જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી (1,115 દિવસોથી પેન્ડીંગ)

– ચૂંટણી બોન્ડમાં પારદર્શિતાનો અભાવ અને સંદેહાસ્પદ રાજકીય ફંડિંગ (1,816 દિવસોથી પેન્ડીંગ)

– સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ વિધાર્થીઓના હિજાબ પહેરવા પર કર્ણાટક સરકારનો પ્રતિબંધ (159 દિવસોથી પેન્ડીંગ)

– જાતિ નહીં, પણ માત્ર આર્થિક માપદંડના આધારે આરક્ષણની કેન્દ્ર સરકારની નીતિ (1,323 દિવસોથી પેન્ડીંગ)

– વિરોધને દાબી દેવા માટે જેનો ઉપયોગ થાય છે તે અનલોફૂલ એક્ટીવીટી પ્રિવેન્શન એક્ટ (યુ.એ.પી.એ.) સામેનો કેસ (1,105 દિવસોથી પેન્ડીંગ)

– બીજા દેશોના બિન-મુસ્લિમોને ઝડપથી નાગરિકત્વ આપવા માટેનો સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ-2019 (987 દિવસોથી પેન્ડીંગ)

મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટમાં “માસ્ટર ઓફ રોસ્ટર” કહેવાય છે અને બેંચોની રચના કરવાની, તેમણે ક્યા કેસોની સુનાવણી કરવી અને ચોક્કસ કેસો ચોક્કસ બેંચોને આપવાની સત્તા તેમની હોય છે અને કેસો સુનાવણી માટે લિસ્ટિંગમાં હોય તેના માટે પણ તેમની જવાબદારી બને છે.

મહારાષ્ટ્રમાં શિવ સેનાનું જે રીતે ધોળા દિવસે અપહરણ થયું અને તેનાં બે (નકલી) ફાડિયાં થઇ ગયાં, તે પછી તે ઉદ્ધવ ઠાકરેનું જૂથ ન્યાય માગવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, ત્યારે આ કેસ એટલો સીધોને સટ્ટ હતો કે એક જ સુનાવણીમાં તેનો ફેંસલો આવી જાય તેમ હતો, છતાં જસ્ટિસ રમણે તેને પાંચ જજોની બંધારણીય બેંચને સુપરત કરવા નિર્ણય કર્યો છે. એ બેંચની રચના ક્યારે થશે અને ક્યારે તેની સુનાવણી થશે એ તો કોઈને ખબર નથી.

ઉપરના દાખલા, તેમની “જનતાના જસ્ટિસ” તરીકેની છાપથી વિરુદ્ધ જાય છે. જાહેર સમારોહોમાંથી જસ્ટિસ રમણે જનહિતમાં ન્યાય તોળવાની કાયમ તરફદારી કરી હતી, પણ જેવા તે સુપ્રીમ કોર્ટના રૂમમાં આવતા હતા કે તેઓ વિવાદાસ્પદ મુદ્દાઓ અડવામાં સાવધાની રાખતા હતા. જેમ કે, અંગ્રેજોએ તેમની સત્તા બચાવી રાખવા માટે ઘડેલા રાજદ્રોહના કાનૂનનો દેશમાં જે બેફામ ઉપયોગ થાય છે તેને ઠેકાણે પાડવાનો અવસર આવ્યો, ત્યારે તેઓ કોઈ નક્કર પગલું ભરવાને બદલે “ચિંતા” વ્યક્ત કરીને અટકી ગયા હતા. એ વખતે પણ તેમના શબ્દો તો રૂપાળા હતા :

“આઝાદીનાં 75 વર્ષ પછી પણ આ કાનૂનની જરૂર છે?” જસ્ટિસ રમણે ધારદાર સવાલ પૂછ્યો હતો, પણ પછી તરત જ તેની ધાર બુઠ્ઠી પણ કરી નાખી હતી, “અમારી ચિંતા કાનૂનના ગેરઉપયોગને લઈને અને વહીવટદારોની જવાબદારીનો અભાવ છે.” તેમને આ કાનૂનની જરૂરિયાતને લઈને નિશ્ચિતપણે શંકા હશે, પણ એના માટે કશું કર્યું નહીં અને ખાલી “ચિંતા” જ વ્યક્ત કરી હતી.

બની શકે કે તેમનો આત્મા સાચે જ ડંખતો હશે, પણ તેમને એક કાનૂની શિસ્તમાં રહીને વર્તવાની મજબૂરી હશે. બની શકે કે તો મુખ્ય ન્યાયમૂર્તિનો ઝબ્ભો ઉતરી જશે પછી, જેમાં તે માહેર છે તેમ, સાર્વજનિક મંચ પરથી આત્માની વાતો કરશે પણ ખરા, પરંતુ દેશની જનતાને એ વાતનો અફસોસ રહેશે કે તેઓ (એક વારના ધુઆંધાર મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષનની જેમ) સાહસિક ન બની શક્યા.

થોડા દિવસ પહેલાં જ, કોર્ટની રજીસ્ટ્રીએ એક વિષયને કાઢી નાખ્યો, તે મુદ્દો વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ રજૂ કર્યો, ત્યારે જસ્ટિસ રમણે કહ્યું હતું, “એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને ચિંતા છે, પણ હોદ્દો છોડતાં પહેલાં મારે કશું કહેવું નથી, પણ હું મારા વિદાય સમારોહમાં બોલીશ. તમે ત્યાં સુધી રાહ જુઓ.”

જસ્ટિસ રમણ તેમની સામેની ટીકાઓ પ્રત્યે સભાન હોવા જોઈએ, અને એટલે જે તેમણે તેમના કામના છેલ્લા દિવસે, એક સાથે પાંચ વિવાદાસ્પદ કેસોની સુનાવણી કરી નાખી હતી. તેમાં ય જો કે કોઈ નક્કર પ્રગતિ ન થઇ અને અમુક નિર્દેશો સાથે દિવસ પૂરો થયો.

– બિલ્કીસ બાનુ કેસમાં કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરી અને 11 આરોપીઓને પણ પાર્ટી બનાવ્યા

– પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની સમિતિએ કહ્યું કે તેણે તપાસેલા 29 મોબાઈલ ફોનમાંથી માત્ર પાંચમાં જ સ્પાયવેર મળ્યું હતું, જો કે તેણે એ ખુલાસો ન કર્યો કે તે સ્પાયવેર પેગાસસનું હતું કે નહીં .. બેન્ચે નોંધ્યું કે કેન્દ્ર સરકારે આ તપાસમાં સહકાર નથી આપ્યો.

– પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પી.એમ.એલ.એ.)ના અગાઉના સુપ્રીમ કોર્ટના ફેંસલાની રિવ્યુ પિટીશન પર ઓપન કોર્ટમાં સુનાવણી થઇ. કોર્ટે કહ્યું કે ફેંસલાનો હેતુ ઉદાર છે પણ તેની અમુક બાબતો પર સમીક્ષા જરૂરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. 

– પીએમ મોદીના સુરક્ષા કવચમાં પંજાબમાં ચૂક થઇ હતી તે કેસમાં બેન્ચે કહ્યું કે એમાં પંજાબના પોલીસ અધિકારી ફરજ નિભાવામાં નિષ્ફળ નીવડ્યા છે અને સુરક્ષા મજબૂત કરવાના ઉપાયો સૂચવ્યા.

– ગોધરા તોફાનોના કેસમાં ધરપકડ કરાયેલી સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના કેસમાં જામીન અરજી પર કેન્દ્ર સરકારે જવાબ આપવા સમય માગ્યો એટલે હવે તેની સુનાવણી 30મી ઓગસ્ટે થશે.

જસ્ટિસ રમણ તેમના કાર્યકાળને કેવી રીતે જુએ છે તે તેમની નિવૃત્તિ પછીની વાતોમાં જાણવાનું રસપ્રદ રહેશે, પણ તેઓ સુપ્રીમ કોર્ટને વધુ જનતાલક્ષી બનાવીને છોડી રહ્યા છે કે કેમ તે ચર્ચાનો મુદ્દો છે. તેમની વાત પરથી એવું લાગે છે કે તેમને સમય ઓછો પડ્યો છે. એપ્રિલ મહિનામાં એક વેબિનારમાં તેમણે સંકેત આપતાં કહ્યું હતું;

“નિવૃત્ત થવા માટે 65 વર્ષ વહેલાં કહેવાય. મારામાં ઘણી સારી ઉર્જા બચી છે. હું ખેડૂતનો દીકરો છું. ખેડવા માટે જમીન છે. હું આમ તો લોકોનો માણસ છું. મને લોકો વચ્ચે રહેવાનું ગમે છે. હું આશા રાખું છું કે લોકોના હિતમાં મારી ઉર્જા વાપરી શકવાનો મને ઉચિત અવસર મળે.”

લાસ્ટ લાઈન :

“મને જો લાગશે કે બંધારણનો ગેરઉપયોગ કરવામાં આવે છે, તો સૌથી પહેલાં તો હું જ તેને સળગાવી દઈશ.”

– ડો. ભીમરાવ આંબેડકર

પ્રગટ : ‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 28 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસાઈને સ્થાપિત કરવા માટે ધર્મ અને ઇતિહાસની ગલીમાં પ્રવેશવાની જરૂર નથી 

રમેશ ઓઝા|Opinion - Opinion|4 September 2022

આઈ.આઈ.ટી.(મુંબઈ)માં ૨૭ વરસ સુધી બાયોમેડિકલ એન્જિનિયરીંગ ભણાવીને નિવૃત્ત થયેલા ડૉ રામ પુનિયાની સાથે એક વાર થયેલી ચર્ચાની યાદ આવે છે. ચર્ચાનો વિષય હતો કે મૂળભૂત માનવીય મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે ધર્મવચનો અને ઇતિહાસનો સહારો લેવો જરૂરી છે? રામ પુનિયાની કોમી એકતાની જરૂરિયાત સમજાવવા ઇતિહાસનો સહારો લે છે, કારણ કે કોમી ઝેર રેડનારાઓ ઇતિહાસનો સહારો લે છે. તેમણે આઈ.આઈ.ટી.માં વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયનો પૂરો સમય ઇતિહાસનાં ઝાળાં સાફ કરવામાં વિતાવ્યો છે અને અનુભવ એવો છે કે ઝાળાં સાફ થયાં નથી. જે સાંભળે છે એનો પોતાનો કોઈ અભ્યાસ હોતો નથી એટલે તે પોતે સત્ય અસત્યની કોઈ ખાતરી કરતો નથી. દેખીતી રીતે ઝેર ફેલાવનારાઓ રામ પુનિયાની કરતાં ઘણી વધુ સંખ્યામાં છે જેઓ તેના સુધી વધુ પહોંચે છે અને તેઓ તેને પોતાની (ઈર્ષા, દ્વેષ અસત્ય) ચુંગાલમાંથી નીકળવા દેતા નથી. માટે રામ પુનિયાનીઓની મહેનતનું જેટલું પરિણામ મળવું જોઈએ એટલું મળતું નથી.

આ તો વ્યવહારપક્ષ થયો. એક સિદ્ધાંતપક્ષ પણ છે. શા માટે મૂળભૂત માનવીય મૂલ્યોને કોઈના સહારાની જરૂર પડે? ધર્મ અને ઇતિહાસનો સહારો મળતો હોય કે ન મળતો હોય, જે મૂલ્ય માનવીય મૂલ્ય છે અને જે મૂળભૂત છે એટલે કે દરેક યુગ અને દરેક સમાજને માટે છે એ સ્વીકાર્ય હોવાં જોઈએ. એ એટલા માટે સ્વીકાર્ય હોવાં જોઈએ કે તેમાં વ્યક્તિનું પોતાનું, સમાજનું, સકળ વિશ્વનું અને આવનારી પેઢીનું હિત છે. આ હિતકારી પક્ષ વ્યવસ્થિત રીતે લોકોને ગળે ઉતરે એમ સમજાવીએ એટલું પૂરતું છે. આપણે તેમને ત્રણ વાત ખાસ ઠોકીઠોકીને કહેવી જોઈએ.

એક તો કે આ સંસારમાં જેટલા ધર્મ છે એ દરેકે દરેક અને તેના ધર્મગ્રન્થ (અપવાદ વિના) માનવીની રચના છે એટલે એમાં અધુરપ છે. માનવીની કોઈ રચના સંપૂર્ણ ન હોઈ શકે. જો ધર્મ ઈશ્વરે સ્થાપ્યા હોત અને ધર્મગ્રન્થ ઈશ્વરે લખ્યા કે કહ્યા હોય તો એ આટલી મોટી સંખ્યામાં ન હોત. જે ઈશ્વરે માનવીને તેની જરૂરિયાત માટે એક સરખો દેહ અને અંગઉપાંગ આપ્યાં એ એક ધર્મ અને એક ગ્રન્થ ન આપી શક્યો હોત? ઈશ્વરને એની કોઈ જરૂર નહોતી લાગી. માનવીને ડરના માર્યા કે વિસ્મયના કારણે એની જરૂર લાગવા માંડી અને ધર્મ અને ધર્મગ્રંથો અસ્તિત્વમાં આવ્યાં. ટૂંકમાં ધર્મ અને ધર્મગ્રન્થ માનવીનું સર્જન છે અને માટે તેમાં ઉણપ છે. તે સ્થળ અને કાળથી બાધિત છે. આ એક સનાતન સત્ય છે જે લોકોને કહેવું જોઈએ. આનો અર્થ એ નથી કે લોકો ધર્મ છોડીને નાસ્તિક બની જાય. આપણે તો માત્ર એટલું જ કહેવાનું છે કે જે ધર્મવચન કે ધર્મપ્રણાલી અમાનવીય છે, કોઈને અન્યાય કરનારી છે તેને બાજુએ મૂકી દેવી. પ્રતિવાદ પણ કરવાની જરૂર નથી, બસ તેનું અનુસરણ નહીં કરો. હા, તેને અનુસરવા માટે જો કોઈ ફરજ પાડતું હોય તો તેની સામે પ્રતિવાદ કરો અને જરૂર પડ્યે વિદ્રોહ પણ કરો. કારણ કે મૂળભૂત માનવીય મૂલ્યો ધર્મવચન અને ધર્મપ્રણાલી કરતાં વધારે મૂલ્યવાન છે. માટે તો તેને મૂલ્યો કહેવામાં આવ્યાં છે.

બીજી વાત લોકોને એ કહેવી જોઈએ કે જે ઇતિહાસનો તમે “બીજાઓ” સામે વેર વાળવા માટે સહારો લો છો એ ઇતિહાસ કોણે રચ્યો છે? એ લોકો તો એટલા પણ મહાન નહોતા જેમણે ધર્મોની સ્થાપના કરી અને ધર્મગ્રંથો લખ્યાં હતાં. બીજી રીતે પ્રતાપી, પણ માણસ તરીકે સાધારણ કક્ષાના લોકોએ ઇતિહાસ રચ્યો છે. ધીરુભાઈ અંબાણીએ અને ગૌતમ અદાણીએ ભારતીય ઉદ્યોગનો ઇતિહાસ રચ્યો છે એમાં ઘણું બધુ સમજાઈ જશે. તો પછી સાધારણ કક્ષાના રાજવીઓએ મદમાં આવીને કરેલાં કુકર્મોની ગાંસડી લઈને આપણે આ યુગમાં શા માટે જીવવાનું? સત્તા અને સંપત્તિ ખાતર લોકો કેવાં કુકર્મો કરે છે એ ક્યાં અજાણ્યું છે! અને એમાં ઉપરથી મદ હોય તો તો પછી પૂછવું જ શું? જેવું વર્તમાનમાં જોવા મળે છે એવું જ ઇતિહાસમાં બન્યું હતું. ઇતિહાસમાં એક નજર કરી જુઓ. અંદાજે ત્રણ-ચાર હજાર વરસના શાસકીય ઇતિહાસમાં જેને ખરા અર્થમાં આદરણીય કહી શકાય એવા શાસકો કેટલા? વિશ્વમાં હજારો શાસકો થયા છે, પણ માણસાઈ અને ન્યાય માટે પ્રતિષ્ઠા ધરાવનારા સો શાસકો પણ નહીં મળે. ભારતમાં થયેલા શાસકોની ગણતરી કરી જુઓ. એક હાથની પાંચ આંગળીના પંદર વેઢા પણ વધારે થશે.

આને કારણે બને છે એવું કે રામ પુનિયાની જેવા ધર્મોમાંથી કે ઇતિહાસમાંથી માણસાઈની ગાંસડી બાંધે છે તો દ્વેષ ફેલાવનારાઓ ગાંસડા બાંધે છે. એમના ગાંસડા સામે ગાંસડી ટૂંકી પડે છે. વળી ગાંસડા ભરનારાઓની સંખ્યા પણ મોટી હોય છે. માટે મને એમ લાગે છે કે ધર્મવચનો અને ઇતિહાસના હવાલા આપવા કરતાં અને તેનો સહારો લીધા વિના મૂળભૂત માનવીય મૂલ્યોને તેની પોતાની તાકાતને સહારે લોકો સુધી પહોંચાડવા જોઈએ.

માનવીય મૂલ્યોની પોતાની તાકાત ક્યાં ઓછી છે? ત્રીજી વાત આ કહેવી જોઈએ. એ સિદ્ધ કરી આપવું જોઈએ કે સ્થાપિત હિતોના પ્રચંડ વિરોધ છતાં માનવીય મૂલ્યોનો અસ્ત થયો નથી અને થવાનો નથી. કયો હિન્દુત્વવાદી પોતાના ધર્મની આણ કાયમ કરવા કે હિંદુઓની સરસાઈ સ્થાપિત કરવા કે બ્રાહ્મણવાદી બ્રાહ્મણની આણ કાયમ કરવા કે પુરુષવાદી પુરુષની સત્તાને કાયમ કરવા કહે છે કે અનુક્રમે વિધર્મીઓને કે બહુજન સમાજને કે સ્ત્રીને કચડીને રાખવાનો અમારો જન્મસિદ્ધ કે ઈશ્વરદત્ત અધિકાર છે? એ એમ માનતા હોવા છતાં ય અને કરતા હોવા છતાં ય બોલી શકતા નથી એ માણસાઈનો વિજય છે. સત્ય, સમતા, સમત્વ, સહિષ્ણુતા, સમાનતા, એકબીજાનો આદર વગેરે અમને સ્વીકાર્ય નથી એમ તેઓ ખુલ્લીને કહી શકતા નથી; જ્યારે કે આ બધા ગુણો તેમને માથાભારે બનવામાં કે તેમનું વર્ચસ સ્થાપવામાં કે ટકાવી રાખવામાં આડે આવે છે એ તેઓ જાણે છે. તેમની અકળામણ સમજો. માટે તેઓ બીજાઓનાં પાપો ગણાવીને પોતાનાં પાપોને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરે છે. અને માટે હું કહું છું કે એ લોકો જે ગલીમાં પ્રવેશે છે ત્યાં આપણે પ્રવેશવાની જરૂર નથી, એ ખોટનો ધંધો છે; પણ એ ગલીમાં જવું જોઈએ જ્યાંથી એ લોકો ભાગે છે.

માણસાઈ તેમને બહુ સતાવે છે અને માટે તો માણસાઈના મેરુ પર્વત સમાન ગાંધીજીથી તેઓ ભાગે છે. તેઓ એટલે તેઓ દરેક. ધર્મસત્તા ટકાવી રાખવા માગનારાઓ, ચોક્કસ ધર્મની સરસાઈ સ્થાપિત કરવા માગનારાઓ, વર્ણ કે વંશની સત્તા ટકાવી રાખવા માગનારાઓ, પુરુષની સત્તા ટકાવી રાખવા માગનારાઓને એમ દરેકને માણસાઈ પરવડતી નથી. તો મારો અભિપ્રાય એવો છે કે માણસાઈને સ્થાપિત કરવા માટે પણ ધર્મ અને ઇતિહાસની ગલીમાં પ્રવેશવાની જરૂર નથી. માણસાઈ પોતે સ્વયંસિદ્ધ છે. તે પોતે શક્તિશાળી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 સપ્ટેમ્બર 2022 

Loading

...102030...1,4001,4011,4021,403...1,4101,4201,430...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved