Opinion Magazine
Number of visits: 9670955
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેલવહેલું ગાંધીકાવ્ય: મનમોહન ગાંધીજીને

દીપક મહેતા|Gandhiana, Opinion - Literature|2 October 2022

ગાંધીજી : ૬ નવેમ્બર ૧૯૧૩ના રોજ દક્ષિણ આફ્રિકામાં અટકાયત થઇ ત્યારે 

મનમોહન ગાંધીજીને 

ગાંધી તું હો સુકાની રે:

સાચો હિન્દવાન!

હિન્દની જિંદગી અમારી –

અફળાતી અસ્થિર ન્યારી – 

તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

રાજ્ય પ્રજાના હિતનું –

મન્થન દેશે છલકાતું – 

નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

જનતાના જગ મહારાજ્યે –

હિન્દીજન તણા સ્વરાજ્યે –

ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

હિન્દી જાત જ જન્માવી;

જગમાં વિખ્યાત બનાવી-

ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

મનમોહન, ઉદાર ભાવે,

વીરતાના પ્રસંગ લાવે,

હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

સુદામાપુરના દીપક!

શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક :

ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

ગાંધી! તુજ સુજોડ પગલે,

હિન્દ-સંતતિ સંચરિયે!

શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે : સાચો હિન્દવાન! 

                                                                — લલિતજી  

જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે.

‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું.

‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”

ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઇ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૨૧૦૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઇ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઇ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઇ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.

પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઇ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઇ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઇ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ ન હોઈ શકે.

હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે. પુસ્તકનું નામ : ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ: ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક : “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, સ્નેહરશ્મિનાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા (નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.

આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી: “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઇ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઇ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યાં અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઇ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઇ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને બહુ નવાઈ લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ બધું કરીને એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઇ ગયું.

સંપાદકીયમાં ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકરે કહ્યું છે : “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે : “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો લગભગ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ. પણ ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના આ વર્ષમાં એ ગીત અને એ સંગ્રહને યાદ કરી લઈએ.

xxx xxx xxx 

Email: deepakbmehta@gmail.com 

Loading

સરમુખત્યાર શાસકોની મહત્ત્વાકાંક્ષાને પગલે લોકશાહીની પીછેહઠ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 October 2022

સરમુખત્યાર રાષ્ટ્રો લોકશાહીનું પોતાનું ‘વર્ઝન’ ચલાવે છે, પોતાની સત્તાનું આયુષ્ય લંબાય તેવો માહોલ ખડો કરે છે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા વિશ્વમાં સરકારો – ખાસ કરીને જ્યાં લોકશાહી હતી તેવા રાષ્ટ્રોની સરકારોનો ઝૂકાવ સરમુખત્યારશાહી તરફી થયો છે. એટલું જ નહીં પણ લોકશાહીનું દોરડું ઝાલી સત્તા પર પહોંચેલા નેતાઓ જે સરમુખત્યારી વલણ અપનાવી રહ્યા છે, તેમનું શાસન પણ લાંબુ ચાલી રહ્યું છે. બળાપા છતાં ય બધું એ જ રીતે ચાલ્યા કરે છે. આમ તો ઘણાં રાષ્ટ્રોમાં રાજકીય અસ્થિરતા છે જ પણ સરમુખત્યારી વલણનું એક ગજબ કહી શકાય તેવું ઉદાહરણ છે બ્રાઝિલનું. ૨૦૧૮માં જ્યારે જેર બોલસોનારો બ્રાઝિલના પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં તેમને મતદારોએ સાત ટર્મ સુધી કોંગ્રેસમાં મોકો આપ્યો હતો. ૨૦૧૮માં પહેલીવાર હારે તેવી શક્યતાઓ દેખાઇ ત્યારે બોલસોનારોએ એકથી વધારે વાર એમ કહ્યું હતું કે, “ભગવાન પણ મને પ્રમુખની ખુરશી પરથી નહીં હટાવી શકે.” જે લોકશાહીને કારણે તેને સત્તા મળી હતી તેનાથી સાવ વિરુદ્ધ આ વાત હતી. લોકશાહી પર જોખમ આખી દુનિયામાં વધી રહ્યું છે. ૧૨ દેશો એવા છે જ્યાં સ્થાનિક લોકશાહીનો ઝુકાવ સરમુખત્યારશાહી તરફ પલટાયો છે. વેરાયટીઝ ઑફ ડેમોક્રસીના ડેટા અનુસાર પોલેન્ડ, નાઇજર, ઇન્ડોનેશિયા, બોત્સ્વાના, ગ્વ્આતેમાલા, ટ્યુનિશિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ગુયાના, મોરેશિયસ અને સ્લોવેનિયા – બ્રાઝિલ સિવાયના ૧૧ દેશ છે. ટર્કી, ફિલિપિન્સ અને હંગેરી જેવા દેશો લોકશાહીને બચાવવાની લડાઈમાં હથિયાર હેઠા મુકી ચૂક્યાં છે. લાંબા સમયથી જ્યાં લોકશાહી હતી તે દેશોમાં સરમુખત્યારી વલણનું મોજું ફરી વળ્યું છે તે તો ખરું પણ સરમુખત્યાર લીડર્સ વિશ્વ આખામાં સત્તાની બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. રશિયા અને વેનેઝુએલા જેવા દેશોમાં સરમુખત્યારશાહી ઘર કરી ગઇ છે અને નાગરિકોની સ્વતંત્રતા પર કાતર ફરી વળી છે. ૨૦૦૦-ના દાયકાના પૂર્વાર્ધથી જ વૈશ્વિક સ્તરે લોકશાહીકરણની પ્રક્રિયા જાણે ખોટકાઇ ગઇ છે.

ચીન અને કતાર જેવા દેશોમાં સજ્જડ સરમુખત્યારશાહી છે – અહીં એકથી વધુ પક્ષોની વચ્ચે ચૂંટણી થાય એવી કોઇ વ્યવસ્થા જ નથી, એ પ્રથા તંત્રનો ભાગ જ નથી. જ્યાં ચૂંટણી લક્ષી સરમુખત્યારશાહી છે તેવા ટર્કી અને વેનેઝુએલા જેવા દેશોમાં ચૂંટણી થાય ખરી પણ નામ માત્રની – તેમાં પારદર્શિતા નહીં.  તેની સામે ચૂંટણીલક્ષી લોકશાહી હોય જેમ કે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં ચૂંટણી પારદર્શી અને વાજબી રીતે થાય પણ અમુક લઘુમતીને ત્યાં અધિકાર જ નથી અને નકરી અસમાનતા છે. ઉદારમતવાદી લોકશાહી જેમ કે જર્મની અને સ્વીડનમાં ચૂંટણીઓ સારી પેઠે થાય, લઘુમતીના અધિકારોની ખાતરી સાથે અને સત્તા વચ્ચે સંતુલન જળવાય.

ગયા અઠવાડિયે ઇટાલીમાં મતદારોએ બેનિટો મુસોલિનીની ફાસીવાદી સરમુખત્યારશાહીથી ઘડાયેલા પક્ષની ગઠબંધનની સરકારને સત્તાએ બેસાડી. ઇટાલીની સેન્ટર-લેફ્ટ પાર્ટી નેતાએ આ બદલાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને લોકશાહીને બચાવવાની પોતાની લડત નિષ્ફળ રહી તેવી લાગણી દર્શાવી હતી. વર્તમાન સંજોગોની વાત કરીએ તો આ શબ્દો વિશ્વના ઘણા રાષ્ટ્રો માટે પરિચિત છે. વિશેષજ્ઞોના મતે વિશ્વ આખામાં લોકશાહી પાછળ ધકેલાઇ રહી છે.  સ્વીડનમાં પણ થોડા વખત પહેલા નાઝીવાદી અને જમણેરી પક્ષને મતદારોનો જંગી ટેકો મળ્યો. ગમે કે ન ગમે, ફરીવાર કહેવાઇ રહ્યું હોય એવું પણ ભલે લાગે પણ વાસ્તવિકતા છે કે લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે અને સરમુખત્યારશાહીની પકડ મજબૂત થઇ રહી છે.

લોકશાહીનો વિકાસ ત્રણ તબક્કે થયો છે. પહેલાં તો ૧૯મી સદીની શરૂઆતમાં, ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અને છેલ્લે સિત્તેરના દાયકામાં – જ્યારે ૪૨ ઉદારમતવાદી લોકશાહી હતી. આજે આ આંકડો ૩૪નો છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વી-ડેમના રિપોર્ટ અનુસાર ઉદારમતવાદી લોકશાહીમાં રહેનારી વસ્તીની સંખ્યાની ટકાવારી પણ ૧૮ ટકાથી ૧૩ ટકા પર આવી ગઇ છે.

જે રીતે લોકશાહીના તબક્કા છે તે જ રીતે સરમુખત્યારશાહીના તબક્કા પણ વિશેષજ્ઞોએ આપ્યા છે – પહેલો તબક્કો હતો ૧૯૨૦ના દાયકામાં પછી, સાંઇઠના દાયકામાં અને હાલમાં ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ પરિવર્તન હંમેશાં બળવા મારફતે નથી આવતા પણ કાયદેસર ચૂંટાયેલા નેતાઓને દ્વારા લવાય છે. એકવાર સત્તા પર આવ્યા પછી દરેક રાજકીય નેતા પોતાના હિત મુજબ રાજકીય માહોલ બદલે છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ ચૂંટાવાનો વખત આવે ત્યારે માહોલ તેમની તરફેણનો હોય અને તેમને જ જીત મળે. આમ થાય એટલે તેમને દરેક ચૂંટણીમાં સત્તા મળે જેની પર લોકશાહીની મહોર હોય – પછી ભલે તેમની કામગીરી અને અભિગમ લોકશાહીના નિયમોને નેવે મૂકી દે તેવી હોય.

યુરોપમાં આવી હળવી સરમુખત્યારશાહી ચલાવનારા છે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓબ્રાન. ૨૦૧૦માં સત્તા પર આવ્યા પછી તેમણે માનવ અધિકારોને દૂર કર્યા, મીડિયાની સ્વતંત્રતા પર કામ મૂક્યો, ન્યાયતંત્રને વશમાં લીધું અને દેશમાં ચૂંટણી વ્યવસ્થાનું પણ નવેસરથી ઘડતર કર્યું. આ બધું કરવામાં આખી દુનિયાની નજરમાં તે જમણેરી વિચારધારાનું મૉડલ બની ચૂક્યા છે.

ફિલિપાઇન્સ જેવા દેશમાં પૂર્વ સરમુખત્યારના દીકરાને ચૂંટીને લોકોએ સત્તા પર બેસાડ્યો જેણે પ્રમુખ તરીકેના છ વર્ષમાં ન્યૂઝ મીડિયાને અસ્તવ્યસ્ત કરી દીધું અને ‘વૉર ઓન ડ્રગ્ઝ’ની લડતને પગલે હજારો લોકો મોતને ભેટ્યા. એલ સલ્વાડોરમાં પ્રમુખ નાયિબ બુકેલે 2019માં ચૂંટાયા અને ધારાસભા પર દબાણ લાવવા તેમણે કોંગ્રેસમાં સૈન્યને કામે લગાડ્યું તો સુપ્રિમ કોર્ટે જ્યારે તેમના સૈન્યને વાપરવાના ઇરાદાઓને રોકવાનો પ્રયત્ન કર્યો તો સુપ્રિમ કોર્ટનું પણ ઉલ્લંઘન કર્યું. પ્રમુખના કહ્યે હજારો લોકો આડેધડ કોઇપણ પ્રક્રિયા વગર જેલમાં પૂરી દેવાયા અને આખરે કટોકટી સર્જાઇ જેનું પરિણામ હિંસામાં ફરેવાયું.

વળી યુ.એસ.એ.ની વાત તો બાકી રહી. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળ દરમિયાન જે વલણ શરૂ થયું તેમાં રિપબ્લિકન પાર્ટીએ ઉદારમતવાદી લોકશાહી નીતિઓને વખારે નખાઇ છે અને માહોલ સરમુખત્યાર બન્યો છે. યુ.એસ.એ.માં રિપબ્લિક પાર્ટીની બહુમતી નથી છતાં પણ સરકાર પર અમુક પ્રકારનો કાબૂ તેઓ કરી શક્યા છે. ભૌગોલિક વિભાજનના વલણ અને કોંગ્રેસ તથા ઇલેક્ટોરલ કૉલેજના નાના રાજ્યો પ્રત્યેના પૂર્વગ્રહોને કારણે અમેરિકન સરકારની દરેક શાખા એક પક્ષ કરતાં બીજા પક્ષની વધુ તરફેણ કરે છે.

કોઇ પણ બે રાષ્ટ્રોમાં એક સરખાં કારણોસર લોકશાહી નબળી નથી પડતી પણ છતાં ય દરેક રાષ્ટ્રમાં અમુક થીમ એકસરખાં હોય છે. જેમ કે લોકશાહી માટે જે જોખમ ગણાય તેવી ઘટનાઓને અપાતી પ્રતિક્રિયા જેની સીધી અસર રાષ્ટ્રીય ઓળખ પર પડે છે. પહેલાં તો સમાજમાં ધ્રુવીકરણ થાય – આની પાછળ કાં તો કોઇ સામાજિક બદલાવ હોય અથવા તો રંગભેદ, જાતિભેદ અને ધાર્મિક લઘુમતિનો ઉપયોગ કરી સરકારને મજબૂત કરવાનો પ્રયાસ થયો હોય. સમાજના આંતરિક જોખમો પર પોતે કામ કરશેની વાત કરી નેતાઓ પોતાનું પદ મજબૂત કરે – આમ કરવામાં તે લોકશાહીનું પોતાનું વર્ઝન ચલાવે જેમાં ભેદભાવ હોય અને ઉદારમતવાદી લોકશાહીના મોકળાશ ભર્યા, સમભાવી વિચારોને પાંગળા બનાવે.

આ સંજોગો જટિલ છે, ધીમી ગતિએ ઘણું બદલાઇ રહ્યું છે. નાના રાષ્ટ્રો પણ મહાસત્તા ગણાતા રાષ્ટ્રોની નીતિ અપનાવશે. સરમુખત્યારશાહી નેતાઓ સામાજિક ધ્રુવીકરણ અને અર્થતંત્રમાં અમુક વર્ગોને અગત્યતા આપી પોતાની સત્તાને પોષે તેવો માહોલ સર્જી રહ્યા છે.

તમે અહીં જે વાંચ્યું એ બધું આપણી આસપાસ પણ થઈ રહ્યું છે તેમ તમને નથી લાગતું?

બાય ધી વેઃ

આપણે ત્યાં છેલ્લા એક દાયકામાં હિંદુ ધર્મ મટીને વાદ બની ચૂક્યો છે – કારણ કે રાજકીય મેનેજમેન્ટ માટે એ ઝુકાવ અને તેવો જુવાળ જરૂરી છે. ભા.જ.પા.ને લાંબી રેસનો ઘોડો સાબિત કરવા માટે જે માહોલની જરૂર છે તે તબક્કાવાર ઘડાયો છે. જો કે ઇતિહાસ પુરાવો છે કે એવા રાષ્ટ્રો છે જે સરમુખત્યાર થવામાં હતા અને છતાં ય બળપૂર્વક ત્યાં લોકશાહીની પુનઃસ્થાપના થઇ. નાગરિકોમાં જાગૃતિ હશે તો સરમુખત્યારોને પણ જવાબ આપવા પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑક્ટોબર 2022

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૦) 

સુમન શાહ|Opinion - Literature|2 October 2022

પ્રકરણ : ૧૦ :

(આ પ્રકરણ ૧૯ પેજનું છે. એમાં ઉર્સુલા ઉપરાન્તનાં ૪ પાત્રોની રસપ્રદ વાર્તા છે.)

ઉર્સુલા સૉ વર્ષની થઇ ગયેલી, મોતિયાને કારણે આંધળી થઈ ગઇ હોત, તેમ છતાં, એની શારીરિક સ્ફુર્તિ, એનું માનસિક સંતુલન, એનું ચારિત્ર્ય, બધું અકબંધ જળવાઈ રહેલું. પરિવારની પ્રતિષ્ઠાને જાળવે એવા ગુણવાન પુરુષને ઘડનારું ઉર્સુલાથી ચડિયાતું કોઈ હોઈ શકે જ નહીં. એવો પુરુષ કે જે કૂકડાલડાઈઓ, ભ્રષ્ટ સ્ત્રીઓ, દુ:સાહસો અને યુદ્ધની વાતોથી, ઉર્સુલાના મતે એ ચાર આપત્તિઓથી, દૂર હોય. કેમ કે એ ચારને કારણે સ્તો સૌની બરબાદી થયેલી. બાકી એણે તો ગમ્ભીર ભાવે કહેલું, ‘આ તો પાદરી થવાનો, ને ભગવાન મને જિવાડશે તો એ ય જોવા પામીશ કે એક દિ એ પોપ થઈ ગયો છે.’ એને આવું બોલતી સાંભળીને બધાં હસતાં.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા વય વધવાની સાથે ખાસ્સો બદલાઈ ગયેલો. યુદ્ધ છોડ્યું એટલે દેશની વાસ્તવિકતા સાથે કશી નિસબત ન રહી, સમાજથી પણ વિમુખ થઈ ગયો. આખો દિવસ વર્કશોપમાં પુરાઈ રહૅ ને સોનાની ઝીણી ઝીણી માછલીઓ બનાવ્યા કરે. એ દિવસોમાં એક સૈનિક ઘરની દેખરેખ રાખતો’તો. એક વાર એ કળણ પાસેનાં ગામડાંમાં જઈને સોનાની માછલીઓ વેચી આવેલો ને ખૂબ સિક્કા લઈને પાછો ફરેલો; જોડે રાજ્યના ભાતભાતના સમાચાર પણ લાવેલો.

પણ ઔરેલિયાનોને એ સમાચારમાંનું કશું જ જાણવામાં રસ નથી પડતો. એણે કહ્યું, ’મારી આગળ રાજકારણની વાત ન કર, આપણું કામ હવે સોનાની આ માછલીઓ વેચવાનું છે’.

ઔરેલિયાનોને દેશદુનિયા વિશે કશું પણ જાણવાની ઇચ્છા ન્હૉતી રહી, તે એટલા માટે કે એની વર્કશોપ બરાબ્બર જામેલી. ઉર્સુલાએ એ જાણ્યું ત્યારે એને હસવું આવેલું. અતિ વ્યવહારુ બુદ્ધિવાળી એ બાઈને સમજાઈ ગયું કે ઔરેલિયાનોનો ધંધો ચાલે છે કેવી રીતે – માછલીઓના બદલામાં સોનાના સિક્કા ને પછી એ સિક્કામાંથી પાછી સોનાની માછલીઓ; પાછા સિક્કા, પાછી માછલીઓ; અને એમ ચાલ્યા જ કરે ! સાર એ કે જેમ વેચાય એમ બધો વખત એણે કામ જ કર્યા કરવું પડે – એક થકવી નાખનારું વિષચક્ર.

એ દિવસોમાં કિશોર ઔરેલિયાનો સેગુન્દોને મેલ્કીઆદેસની લૅબોરેટરીમાં રસ પડી ગયેલો. મેલ્કીઆદેસનાં ત્યાં સચવાયેલાં સ્વૈર રહસ્યોમાં એ ખાંખાખોળા કરવા લાગેલો. મેલ્કીઆદેસે એને ઘણી વાર દેખા ય દીધેલી.

અભરાઇઓ પર પૂઠાંથી બાંધેલાં પીળાં પડી ગયેલાં અને તડકામાં ઘઉંવર્ણી થઈ ગયેલી માનવત્વચાના રંગનાં પુસ્તકો હતાં. પણ હસ્તપ્રતો એકદમ બરાબર હતી. ઘણાં વર્ષો લગી રૂમ બંધ હતો તો પણ લાગતું’તું કે ઘરના બાકીના ભાગોની સરખામણીમાં રૂમની હવા વધારે તાજી છે.

ઔરેલિયાનો સેગુન્દો એક પુસ્તકના વાચનમાં ડૂબી ગયેલો. પુસ્તકનું કવર હતું નહીં ને શીર્ષક પણ ક્યાં ય દેખાતું ન્હૉતું. એણે કેટલીક વાર્તાઓમાં બહુ મજા પડી ગઈ :

એક વાર્તામાં એક સ્ત્રી હોય છે, ટેબલ પર બેઠી બેઠી ભાતના એક એક દાણાને ટાંકણીથી ઉપાડીને ખાતી’તી.

એક વાર્તામાં માછીમાર પડોશી પાસેથી એની જાળ માટેનું વજનિયું લઈ આવેલો. એ પછી પૈસાને બદલે પડોશીને એણે માછલી આપી, પણ માછલીના પેટમાં તો હીરો હતો.

બીજી એક વાર્તામાં ઇચ્છાઓ પૂરી કરે એવો એક જાદુઈ ચિરાગ હોય છે.

તો વળી, એકમાં ઊડતી શેતરંજીઓની વાત હોય છે.

એ તો આશ્ચર્યચકિત થઈ ગયેલો. એણે ઉર્સુલાને પૂછ્યું – શું એ બધું સાચું હતું? ખરેખર બનેલું? ઉર્સુલાએ સમજાવ્યું કે ઘણાં ઘણાં વરસો પર માકોન્ડોમાં જિપ્સીઓ આવેલા ત્યારે એ લોકો જાદુઈ ચિરાગ ને ઊડતી શેતરંજીઓ લાવેલા. ઉર્સુલા નિસાસો નાખીને બોલી, ‘એવું છે બેટા, દુનિયા પતવા આવી છે, એવી વસ્તુઓ આપણે ત્યાં હવે ક્યાંથી આવવાની?’

કેટલીયે વાર્તાઓના અન્ત ન્હૉતા કેમ કે પાછલાં પાનાં ન્હૉતાં. પુસ્તક એણે બંધ કર્યું ને હસ્તપ્રતો ઉકેલવા માંડ્યો; પણ ફાવ્યો નહીં કેમ કે એ અશક્ય હતું. અક્ષરો તાર પર કપડાંની જેમ સૂકવવા મૂક્યા હોય એવા લાગ્યા, વધારે તો મ્યુઝિકલ નોટેશન્સ લાગ્યા.

એક બપોરે બહુ ગરમી હતી. એવે વખતે હસ્તપ્રતોને એ કાળજીથી સમજવા કરતો’તો, એને એકાએક લાગ્યું કે રૂમમાં પોતે એકલો નથી, કોઈ બીજું પણ છે. બારીએથી અજવાળું આવતું’તું, ઘૂંટણ પર હાથ ટેકવીને કોઈ બેઠેલું, અને તે હતો, મેલ્કીઆદેસ.

મેલ્કીઆદેસની વય ૪૦-થી પણ ઓછી લાગતી’તી. એણે એ જ જૂની ફૅશનની બંડી ને હૅટ પ્હૅરેલાં – હૅટ કાગડાની પાંખો લાગે. ગરમીને લીધે એના માથેથી નિસ્તેજ લમણાં પર ‘તેલ’ નીતરતું’તું. ઔરેલિયાનો અને હોસે આર્કાદિયો નાના હતા ત્યારે જોયેલો, અત્યારે એવો જ દેખાતો’તો. ઔરેલિયાનો સેગુન્દો એને તરત ઓળખી જાય છે, એને દાદાની યાદ આવી ગયેલી, કેમ કે વારસાગત સ્મૃતિ પેઢી દર પેઢી ઊતરી આવેલી.

‘હૅલો’, એ બોલ્યો.

મેલ્કિઆદેસે કહ્યું, ‘હૅલો, યન્ગ મૅન’.

અને એ દિવસથી, કેટલાં ય વરસો સુધી, બન્ને જણા લગભગ રોજ્જે મળતા રહ્યા છે. મેલ્કીઆદેસ એની આગળ દુનિયા વિશે વાતો કરે, પોતાનું ડહાપણ એનામાં રેડવા કરે. પણ એણે હસ્તપ્રતોનો અનુવાદ કરવાની ધરાર ના પાડેલી, સમજાવેલું કે ‘કોઈ પણ વ્યક્તિ, સૉ વરસની થાય એ પહેલાં, એના અર્થ જાણી શકશે નહીં.’

મેલ્કિઆદેસ સાથેની એ મુલાકાતો ઔરેલિયાનો સદા ગુપ્ત રાખે છે.

એનો જોડિયો ભાઈ હોસે આર્કાદિયો સેગુન્દો ધરમ તરફ વળતો જણાય છે, તો પણ, અચાનક, કૂકડાલડાઈઓના ખેલાડી રૂપે, કૉક ફાઇટર રૂપે, વિકસી આવે છે, એટલું જ નહીં, કદીક, ગર્દભો સાથે કામાચાર કરતો પણ જોવા મળે છે.

એક જુદું પણ બને છે : બન્ને જોડિયા ભાઈ એકદમ જુવાન થયા, બન્ને એક સમાન લાગતા’તા, બન્નેએ એક જ સ્ત્રી સાથે સહશયન કર્યું, પેત્રા કૉટ્સ સાથે.

પેત્રા એક મુલાટ્ટો (મુલાટ્ટો = જેનાં મા-બાપમાં એક શ્વેત હોય અને એક અશ્વેત) યુવતી હતી, બદામી આકારની પીળી આંખો, પૅન્થર લાગે, પણ પેત્રાનું દિલ ઉદાર હતું, પ્રેમને માટેની એની આતશ અદ્ભુત હતી. એ માકોન્ડોમાં આવી ત્યારથી ચિઠ્ઠીઓ નાખીને લોકોને ઉપાડવા ક્હૅ ને એવી કરામતથી વસ્તુઓ વેચે. મેલ્કિઆદેસવાળા રૂમમાંથી ઔરેલિયાનો આમ તો બ્હાર જ ન્હૉતો આવતો, પણ એનામાં એકાએક કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની જુવાની જાગે છે અને એ વાસ્તવિક દુનિયામાં દાખલ થાય છે. કરામતમાં પેત્રાએ ચાલાકી કરીને એને ઍકોર્ડિયન જિતાડેલું અને ઘણી જ પરિચિત હોય એમ અભિનન્દન આપેલાં. કેમ કે એ પહેલી જ મુલાકાતમાં એ એના પ્રેમમાં પડી ગયેલી.

બે અઠવાડિયાં પછી ઔરેલિયાનો સેગુન્દોને ખબર પડી કે પેત્રા તો પોતાની સાથે ને ભાઈની સાથે વારાફરતી સૂવે છે ને એને ખબર જ નથી કે બે પુરુષો જુદા છે ! એને અનેકવાર ભ્રમ થયેલો કે – પોતે, ભાઈ છે? ના, નથી. તેમ છતાં, પોતાની એ વાતની એણે ચોખવટ ન કરી. પેત્રા એના હૈયાને ચાળાચસ્કા કરી પલાળે ને રૂમમાં ખૅંચી જાય, ત્યારે પણ નહીં.

હોસે આર્કાદિયો સેગુન્દોને પેત્રા કૉટ્સના સંસર્ગને કારણે યૌન રોગ થાય છે. એટલે એ એની સાથેના બધા જ સમ્પર્કો કાપી નાખે છે. પરન્તુ, ઔરેલિયાનો સેગુન્દો પેત્રા સાથે રહેવા મક્કમ હોય છે. ઔરેલિયાનો અને પેત્રાને બહુ બને છે, બન્નેને એકબીજા માટે ભાવના અને ભરપૂર આવેગ હોય છે.

એમના એવા સાયુજ્યમાં જાદુઈ કંઈક એવું હતું કે જેને પરિણામે ઔરેલિયાનોના ફાર્મનાં જાનવરો અદ્ભુત રીતનાં ફળદ્રૂપ, ઉપજાઉ, બની ગયેલાં ! એની ઘોડીઓ એક સાથે ત્રણ ત્રણ બચ્ચાંને જન્મ આપવા લાગી. એની મરઘીઓ દિવસમાં બે વાર ઈંડાં મૂકવા લાગી, અને એનાં સુવર એવી ઝડપે જાડાં થવા લાગ્યાં કે એ જાતની પ્રજનનક્ષમતાનો કશો ખુલાસો જ ન મળે, સિવાય કે એને બ્લૅક મૅજિકનો ખેલ કહી દઈએ !

ઔરેલિયાનોના નસીબની બલિહારી કે થોડાં જ વરસોમાં કશી યે મહેનત વિના માલેતુજાર બની ગયો. માકોન્ડોમાં એની પ્રગતિથી લોક ખુશ ખુશ થઈ ગયેલું. ઉર્સુલા એના એ પ્રપૌત્રને કહેતી, ‘હવે થોડી બચત કર, જીવનભર આ-નું-આ નસીબ નથી ટકવાનું.’ પણ ઔરેલિયાનો સેગુન્દો એને ગણકારતો નહીં.

રેમેડિયોસ ધ બ્યુટી —

Pic courtesy : society6

એક વાર એ પૈસાભરેલી મોટી પેટી સાથે દેખાયો. એના હાથમાં પેસ્ટ ને ટૂથબ્રશ હતાં. ગળું ફાડીને એકાએક એ ‘ફ્રાન્સસિસ્કો ધ મૅન’-નાં જૂનાં ગાયન ગાવા લાગ્યો. પછી ઘર પર એણે અંદર બ્હાર ઉપર નીચે બધે વન-પેસોની નૉટો ચૉંટાડી. (Today One-Peso to INR, 4.05) પિઆનોલા લાવેલા ત્યારથી સફેદ રંગે શોભતું મકાન એ કારણે વિચિત્ર લાગવા માંડ્યું.

એણે કામ સમ્પન્ન કીધું, કીચનનો આગલો ભાગ, બાથરૂમો, બેડરૂમો, કંઈ બાકી ન રાખ્યું. અરે, વધી તે નૉટો એણે આંગણામાં ફૅંકી દીધી !

એ બધું પત્યું. પછી ઉર્સુલાએ બધી નૉટો ઉખાડી લીધી. ભીંતોના રંગની કો’ક કો’ક પોપડીઓ ઉખડી ગયેલી. ઘર આખાને એણે ફરીથી સફેદ રંગે રંગાવ્યું. એ પ્રાર્થનાપૂર્વક બોલી, ‘હે પ્રભુ, આ ગામ વસાવ્યું ત્યારે અમે હતાં એવાં તું અમને પાછાં ગરીબ કરી દે, જેથી આ બરબાદી અંગે બીજા જનમમાં તારે અમને કશું પણ પૂછવું ન પડે.

વડદાદાની માફક હોસે આર્કાદિયો બ્વેન્દ્યા પણ શોધખોળો માટે હૉંશીલો અને આવેગશીલ હતો. એણે નૌકાઓ ને વહાણો માટેનો સમુદ્ર સુધીનો નદી-માર્ગ બનાવવાનો પુરુષાર્થ હાથ ધરેલો. વડદાદાને હતું એવું જ એ ગાંડપણ હતું. માકોન્ડોથી સમુદ્ર સુધીનો નદીમાર્ગ અશક્ય હતો કેમ કે નદી-તળ ખડકાળ હતું ને વ્હૅણ કેટલા ય ભાગોમાં તોફાની. પણ હોસે આર્કાદિયો બ્વેન્દ્યા કલ્પનાને બાજુએ રાખીને અંદરના કશા અકળ ઉછાળનો માર્યો પુરુષાર્થને પકડી રાખે છે – જો કે પેત્રા કૉટ્સ સાથેનું સાહસ અનિર્ણિત હતું તો પણ એણે ટકાવી રાખેલું; એ સિવાયની કોઈ સ્ત્રીને જાણવાની એણે કદ્દીયે ચેષ્ટા નહીં કરેલી.

રેમેડિયોસ ધ બ્યુટીને કાર્નિવલની રાણી ઘોષિત કરાય છે. એ અપૂર્વ અને સૌથી રૂપસુન્દર મનાવા લાગી છે. તો પણ એક બાળકના જેવી એ અજ્ઞાન અને નિર્દોષ છે. પોતાને પવિત્ર જચાવવા પૂજારીનો સ્વાંગ રચતા કૅત્રિનાના સ્ટોરના પેલા અધમ પુરુષો રેમેડિયોસનો ચ્હૅરો પળભર જોવા મળે એ માટે ચર્ચમાં જતા. મોટા ભાગનાઓની સુખદ ઊંઘ હરામ થઈ ગયેલી. બાકી તો કળણ સમગ્રમાં સૌને એ બધા શુભ દૃષ્ટિમતિવાળા દીસતા’તા !

જો કે, કાર્નિવલમાં વિપત્તિ ઊતરી આવે છે. એક પ્રતિસ્પર્ધી રાણી ફર્નાન્ડા ડેલ કાર્પિયો આવે છે. એને ભેદી અંગરક્ષકો દોરતા હોય છે. અંગરક્ષકો હુલ્લડ શરૂ કરે છે, ફાયરિન્ગ કરે છે, ઉત્સવી અનેક માર્યા જાય છે.

===

(October 2, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3731,3741,3751,376...1,3801,3901,400...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved