Opinion Magazine
Number of visits: 9458821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગીતાંજલિ શ્રીને બૂકર પારિતોષિક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 June 2022

અવસર

ગીતાંજલિ શ્રી કૃત ‘રેત સમાધિ’ નવલકથાને બુકર પારિતોષિક મળ્યું એ કેવળ હિંદીજગત માટે જ નહીં ભારતીય સાહિત્ય સમસ્ત માટે ગૌરવપ્રદ ઘટના છે, અને સવિશેષ એક અર્થમાં ગુજરાત માટે પણ.

સુધીર ચંદ્ર અને ગીતાંજલિ શ્રી એ દંપતી ગુજરાતના વિદ્યાજગતના એક હિસ્સાને ઠીકઠીક પરિચિત છે. સુરતના સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ સાથે એમનો સુદીર્ઘ સમ્બન્ધ અને એ અરસામાં ગુજરાતી સાહિત્ય સંદર્ભે નોંધપાત્ર નવ્ય તપાસ એ જો સુધીર ચંદ્રનો વિશેષ છે તો ગીતાંજલિ શ્રીએ સેન્ટરમાં નિભાવેલ સ્વાધ્યાય દાયિત્વ અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘સોશિયલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રૅન્ડ્‌ઝ ઈન કોલોનિયલ ઈન્ડિયા : અ સ્ટડી ઑફ પ્રેમચંદ’નું એમનું ડૉક્ટરલ કામ પણ નોંધપાત્ર છે.

એક સરસ જોગાનુજોગ હમણાં વડોદરાના જ શકીલ કાદરીની નોંધ વાટે સામે આવ્યો : ૧૯૮૦માં ‘હંસ’માં પ્રકાશિત એક વાર્તા એમણે ગુજરાતીમાં શિરીષ પંચાલના સૂચનથી ઉતારી હતી. એ આપણાં ગીતાંજલિ શ્રીની પ્રથમ વાર્તા હતી.

‘હમારા શહર, ઉસ બરસ’ એ એમની નવલકથા સરૂપ ધ્રુવે આ દિવસોમાં સંભારી છે. લેખિકા ગીતાંજલિ સાથેનો મારો કિંચિત્‌ પરિચય પણ આ નવલકથા નિમિત્તે જ છે. બહોળી રીતે જોતાં અને જાડી રીતે કહેતાં બાબરી ઘટના અને ગુજરાત પ્રકારના કોમી વિધ્વંસક માહોલની એ કથા છે.

‘રેત સમાધિ’(‘ટુમ્બ ઑફ સેન્ડ’)ની બુઝુર્ગ નાયિકા ચંદ્રપ્રભા પતિના અવસાન પછી ભાંગી પડેલી મનઃસ્થિતિમાં પોતે જ્યાંથી ક્યારેક હિજરત કરી હિંદ આવી હતી તે પાકિસ્તાનમાં તે કાળના પ્રેમી અનવરની શોધમાં નીકળી પડે છે. એને એક કિન્નરનો સાથ છે. વિભાજન વેળાનો આઘાત, પ્રેમીથી છૂટાં પડ્યાંનો આઘાત, પતિના અવસાનનો આઘાત, આ બધા વચ્ચે તે કોઈક સમાધાન શોધવા મથે છે. એકાધિક લિંગ, એકાધિક ધર્મ, કુટુંબ અને દેશ આ બધી બહુસ્તરીય દાસ્તાં કંઈક નર્મમર્મ, કંઈક કટુતા-તિક્તતા સાથે ચાલે છે.

બુકર પારિતોષિક માટેની જ્યુરીએ આ નવલકથાને “Urgent and timely protest against the destructive impact of borders and boundaries whether between religions, countries or genders” તરીકે ઓળખાવી છે, અને ‘irresistible’ કહી છે.

ગીતાંજલિ શ્રીની આ અને અન્ય નવલકથાઓ વિશે તેમ બીજા સ્વાધ્યાયવિશેષો વિશે યથાપ્રસંગ નિરાંતે અને વિગતે લખાશે. પણ હમણાં તો બેત્રણ વ્યાપક અવલોકનો કરું તે લાજિમ લેખાશે.

યોગ્ય રીતે જ બુકર ઘટનાને કેવળ હિંદી જ નહીં પણ સમગ્ર ભારતીય સાહિત્યની સિદ્ધિ તરીકે આ દિવસોમાં વર્ણવાઈ છે ત્યારે નોંધવું જોઈએ કે અંગ્રેજી સિવાયની કોઈ ભારતીય ભાષાની કૃતિને બુકર પારિતોષિક મળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. હિંદી મૂળના કહી શકાય એવા નાયપોલને કે હિંદનાં જ અરુંધતી રોય આદિને આ માન જરૂર મળ્યું છે, પણ તે તો સીધાં અંગ્રેજીમાં લખનારાં છે.

આવે વખતે ‘જય હો’ કરતી એકદમ ટિ્‌વટતર્રાર પેશ આવતી ભારત સરકાર મોળી ને મોડી પડી એ પણ નિરીક્ષકોએ નોંધ્યું છે. જાહેરાતના છેક ચોવીસ કલાક પછી વડા પ્રધાને તો નહીં પણ રાજ્ય સ્તરના કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ એકાદું ટિ્‌વટડું કીધું પણ હોજે ગયેલું બુંદે આવ્યું જાણ્યું નથી. કારણ અલબત્ત સમજાય એવું છે, અને તે એ કે જે રાજકીય વિચારધારાકીય સમ્પ્રદાય હાલની કેન્દ્ર સરકારનો છે એને ગીતાંજલિ શ્રીની સ્વતંત્ર સર્જનરમણા સોરવાતી નથી.

પણ ગીતાંજલિ શ્રી તો તમને કહેશે કે “આપ અપને સમાજ ઔર ઇતિહાસસે જુડે હૈ તો યે મુદ્દે આપ કે જીવનકા હિસ્સા હૈ. સાહિત્યિક કૃતિકી માંગ હૈ તો વહાં ભી યહ સહજ આ જાયેંગે.”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 16 

Loading

ડૉ. આંબેડકર વિશેની બે અગત્યની ચરિત્રાત્મક ગુજરાતી પુસ્તિકાઓ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|31 May 2022

દલિત વિષય પરના જાણીતા અભ્યાસી અને સમાજ-વિશ્લેષક ચંદુ મહેરિયાની  ડૉ. બાબાસાહેબ આંબેડકર પરની ખૂબ મહત્ત્વની જીવનચરિત્રાત્મક પુસ્તિકાની નવી આવૃત્તિ સાર્થક પ્રકાશને આંબેડકર જયંતીએ બહાર પાડી છે.

તેમાં બાબાસાહેબ પરની તમામ મહત્ત્વની વિગતો મળે છે અને સાથે મીતાક્ષરે તેમની મહત્તા પણ બરાબર ઉપસે છે. પુસ્તિકાના સરસ રંગમેળ ધરાવતાં મુખપૃષ્ઠ પર યુવાન આંબેડકરની તીક્ષ્ણ નજર અને તેમનું તેજસ્વી વ્યક્તિત્વ બતાવતી, જવલ્લે જ જોવા મળતી તસવીર છે. બીજા પૂંઠા પર આંબેડકરનું એક હૃદયસ્પર્શી અવતરણ અને છેલ્લા પૂંઠા પર પણ એક સરસ અવતરણ સાથેનો સ્કેચ છે.

મુંબઈના પ્રતિષ્ઠિત ‘પરિચય ટ્રસ્ટ’ની સુપ્રસિદ્ધ પરિચય પુસ્તિકા શ્રેણીમાં 1991માં પહેલી વાર પ્રસિદ્ધ થયાં બાદ આ પુસ્તિકાની સતત માંગ રહી છે. તે અંગે લેખક ‘ત્રણ દાયકે …' મથાળા હેઠળની શરૂઆતની નોંધમાં લખે છે : ‘પુસ્તિકાની પહેલી આવૃત્તિને 31 વર્ષ વીતી ચૂક્યાં છે. દરમિયાન તેની અનેક આવૃત્તિઓ અને હજારો નકલો છપાતી રહી છે. તેને મળેલા પ્રચંડ આવકાર બદલ સૌ વાચકો અને મોટી સંખ્યામાં નકલો છપાવીને તેનું વિતરણ કરનાર સૌનો આભારી છું.’

આ પુસ્તિકા સરળ ભાષામાં આપવામાં આવેલી પાયાની માહિતી માટે છે, આંબેડકર વિશેના મંતવ્યો કે વિવાદોના વિવરણ માટે નથી. ત્રીસ જ પાનાંની આ પુસ્તિકા જ્ઞાનકોશનાં અધિકરણની જેમ સીધી રેખામાં, વિશેષણોનાં ઓછા ઉપયોગથી, રજૂઆતની એક ચોક્કસ શિસ્તથી લખાયેલી છે. અંગ્રેજી  અ‍ૅકેડેમિક પરિભાષામાં જેને monograph કહેવામાં આવે છે તેનો સારો દાખલો અહીં મળે છે. જો કે, લેખક પાસેથી એકાદ-બે પાનાંમાં ચૂંટેલાં પુસ્તકોની વાચનસૂચિની અપેક્ષા રહે છે.

આવી અપેક્ષા એટલા માટે પણ રહે છે કે ચંદુભાઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટા અભ્યાસીઓમાંના એક છે. તેમના નોંધ પાત્ર પુસ્તકસંગ્રહમાં બાબાસાહેબ પરનાં અભ્યાસ અને સંશોધનગ્રંથો ઉપરાંત તેમનાં મૌલિક ગુજરાતી, અનુવાદિત ગુજરાતી, અનુવાદિત હિંદી અને અંગ્રેજી ભાષાનાં ઘણાં ચરિત્રો છે.

ચંદુભાઈએ ડૉ. આંબેડકરનાં જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે 'નયા માર્ગ' પખવાડિકે પ્રસિદ્ધ કરેલાં 'સંઘર્ષના સેનાની, સમતાના સૂર્ય' વિશેષાંકનું સંપાદન કર્યું છે. આ અંકમાં બાબાસાહેબ વિશે કેટલીક દુર્લભ માહિતી મળે છે. જેમ કે, બાબાસાહેબના જીવન પરની સંભવત: પહેલી પુસ્તિકા પર તેમણે લેખ કર્યો છે. યુ.એમ. સોલંકી નામની વ્યક્તિએ લખેલી આ સાઠ પાનાંની આ પુસ્તિકા 1940માં અમદાવાદના દરિયાપુર વિસ્તારના મહાગુજરાત દલિત નવયુવક મંડળે બહાર પાડી છે.

ઉચ્ચ શિક્ષણના 'અભિદૃષ્ટિ', માસિકના આંબેડકર વિશેષાંકના પણ ચંદુભાઈ અતિથિ સંપાદક હતા. ‘દલિત અધિકાર’ માસિકના, આંબેડકરના ગ્રંથો વિશેના અંકનું પણ તેમણે સંપાદન કર્યું હતું. 'દિશા' અને 'ગ્રામગર્જના' વિચારપત્રોના આંબેડકર વિશેષાંકોમાં આ પુસ્તિકા આખી સમાવાઈ  ચૂકી છે.

આંબેડકર સવાસો નિમિત્તે 2015માં ચંદુભાઈએ સંપાદિત કરેલું દળદર પુસ્તક 'સમતાના સેનાની ડૉ. આંબેડકર' સંસ્કાર સાહિત્ય મંદિરે (ગૂર્જર પ્રકાશન) પ્રસિદ્ધ કર્યું છે. 370 પાનાંના આ સંચયમાં ચાળીસ લેખકોમાંથી દરેકે એક અલગ વિષય પરા લખ્યું. એક જીવનચરિત્રાત્મક લેખ સિવાય બાકીના લેખો વૈચારિક છે, અને પુનરાવર્તન નહીંવત છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયની આવી બહોળી સજ્જતા ધરાવનાર લેખકને માટે તેમના વિશે ટૂંકમાં લખવું પડકાર બને, જે ચંદુભાઈએ સારી રીતે ઝીલ્યો છે. જો કે ભવિષ્યમાં ચંદુભાઈ બાબાસાહેબ પર ઓછામાં ઓછું એક ચરિત્રાત્મક પુસ્તક લખવા ઇચ્છે છે કે જેમાં બાબાસાહેબના જીવનની ઓછી  જાણીતી પણ વૈચારિક મહત્તા ધરાવતી માહિતી  સામેલ હોય.

આ સૂચિત પુસ્તક  મોનોગ્રાફ અને  ધનંજય કીરે  લખેલા  વિસ્તૃત  ચરિત્રની  વચ્ચેનાં  સ્થાનનું હોય એવી તેમની પરિકલ્પના છે. કીરે મરાઠીમાં લખેલાં ચરિત્રનો ગુજરાતી અનુવાદ મૂળજીભાઈ ખુમાણ અને દેવેન્દ્ર  કર્ણિકે કર્યો છે જે, નવભારત પ્રકાશને બહાર પાડ્યો છે. 

વળી, ચંદુલાલ ભગુભાઈ દલાલે બનાવેલી ગાંધીજીની દિનવારીની જેમ ડૉ. આંબેડકરની દિનવારીનો પ્રકલ્પ પણ અભ્યાસીઓ હાથ પર લે, તેવો પણ તેમનો એક પ્રસ્તાવ છે.

*****

ડૉ. બાબાસાહેબની પરિચય પુસ્તિકાની સાથે સાર્થક પ્રકાશને ‘દિલના દરવાજે દસ્તક’ નામે   બીજી એક પુસ્તિકાની પણ નવી આવૃત્તિ બહાર પાડી છે. તેમાં બાબાસાહેબનાં આત્મકથનાત્મક લખાણો સરળ-સચોટ ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યાં છે.

બાબાસાહેબે પોતે આત્મકથા લખી નથી, પણ તેમનાં કેટલાંક સ્વકથનો તેમનાં વ્યાખ્યાનો-લખાણોમાંથી મળે આવે છે. આવા લખાણોને અનુવાદિત-સંપાદિત કરીને ચંદુ મહેરિયા અને ઉર્વીશ કોઠારીએ ‘દિલના દરવાજે દસ્તક’ પુસ્તિકામાં એક સાથે મૂક્યાં છે. આ પુસ્તિકા 2010માં દલિત અધિકાર પ્રકાશનના ઉપક્રમે પહેલી વાર બહાર પડી હતી અને પછી તેની કેટલીક આવૃત્તિઓ પણ થઈ હતી.

બોંતેર પાનાંની આ પુસ્તિકામાં હિંદી લખાણોનો અનુવાદ ચંદુભાઈએ અને અંગ્રેજી લખાણોનો અનુવાદ ઉર્વીશભાઈએ કર્યો છે.

તેમાં બાબા સાહેબને બાળપણથી લઈને જીવનના અનેક તબક્કે આભડછેટના જે અનુભવો થયા તેની આપવીતી છે. બાળપણના કેટલાક કિસ્સા છે. લેખકે તેમના પિતાજીનું શબ્દચિત્ર પણ આપ્યું છે. તેમની વિદ્યાયાત્રા તેમ જ પુસ્તકરુચિ વિશે વાંચવા છે. પોતાના ત્રણ ગુરુઓ બુદ્ધ, કબીર અને જોતીરાવ ફુલે; તેમ જ ‘ત્રણ દેવો’ વિદ્યા, વિનય અને શીલ વિશે પણ બાબાસાહેબે લખ્યું છે.

વિનય વિશે તેમણે લખ્યું છે : ‘મારું બીજું બળ છે વિનય. મેં જિંદગીમાં કદી કોઈની પાસે દયાની અપેક્ષા રાખી નથી. મારું લક્ષ્ય એટલું જ કે મને બે ટંકનું ભોજન મળે અને આપણા સમાજની સેવા કરું … ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે, પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી જોયું નથી.’

વિદ્યા વિશે તેમણે લખ્યું છે : ‘અસલમાં વિદ્યા અત્યંત વ્યાપક છે. વિદ્યા પ્રત્યે મારા મનમાં અજબ લગની છે. કોઈ બ્રાહ્મણ પાસે નહીં હોય એટલાં પુસ્તકો મારી પાસે દિલ્હીમાં છે. લગભગ વીસેક હજાર પુસ્તકો હશે. કોઈ બ્રાહ્મણ પાસે હશે આટલાં પુસ્તકો ? હું દિવસ-રાત વિદ્યાની સાધના કરું છું.’

'દિલના દરવાજે દસ્તક' પુસ્તિકા ગુજરાતીમાં ડૉ. આંબેડકર પર થયેલાં પ્રકાશનોમાં વિશિષ્ટ છે.

*****

• ચંદુ મહેરિયાએ લખેલી પુસ્તિકાની કિંમત રૂ.45/-, અને ‘દિલના દરવાજે દસ્તક’ પુસ્તિકાની કિંમત રૂ.85/- છે. ઘણી નકલોની એકસામટી ખરીદી ખાસ ડિસકાઉન્ટ છે. 

• પુસ્તક મેળવવા માટે સંપર્ક સૂત્ર :ઇ-મેઇલ : : spguj2013@gmail.com, ફોન : કાર્તિક  શાહ : 98252 90796. 

આ પુસ્તકની છૂટક નકલ તેમ જ ‘સાર્થક જલસો’નો નવો અંક ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં આવેલા પુસ્તક ભંડાર  ‘ગ્રંથવિહાર’માં પણ ઉપલબ્ધ છે. ફોન  079-26587949

30 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

માટી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|31 May 2022

પંચતત્ત્વોમાંથી એક એવી માટી દુનિયામાંથી ઝડપથી લુપ્ત થઈ રહી છે. આ આપત્તિને રોકવા માટે માટી બચાઓ Save Soil નામની ઝુંબેશ જગ્ગી વાસુદેવ ચલાવી રહ્યા છે. હમણાં તેઓ અમદાવાદમાં હોવાના સમાચાર છે. જગ્ગી, શ્રીશ્રી કે તેમના જેવા અત્યારના સમયના કે પહેલાંના સમયના કહેવાતા ઉપદેશકો માટે મને માન નથી. પણ જગ્ગીનું આ મિશન મને મહત્ત્વનું લાગે છે. ગઈ કાલ સોમવારના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના પહેલાં બે આખાં પાનાં Save Soilની  જાહેરખબરના છે. આ વિગતસભર જાહેરખબર અંગ્રેજીમાં છે. આ અભિયાનનું મોટા ભાગનુ કામ અંગ્રેજીમાં ચાલે છે, એવું હું જોતો આવ્યો છું. આ દેશની માટીની, ધરતીની, જમીનની વાત કોઈ અંગ્રેજીમાં કેવી રીતે અને કેટલી બહોળી અસરથી કરી શકે, એ અંગે મને સવાલ છે.

*****

માટી માટે મને ઊંડી લાગણી છે. તેના હેતને અનુભવતા રહેવાની કોશિશ કરું છું. વૃક્ષોની જેમ માટીને તેને દિવસમાં કેટલી ય વાર મનોમન વંદન કરું છું. તેના વિશે વાંચતો-વિચારતો-દુ:ખ અનુભવતો રહું છું.

વહાલી મા વસુંધરાની માટી જીવંત છે, જીવનદાયિની છે, એના વિના ન ચાલે.

આપણાં પગને માટી છેલ્લે ક્યારે અડી હતી ? આપણે છેલ્લે ધૂળમાં ક્યારે બેઠા હતા, રગદોળાયા હતા? ઘણાં માટે માટી એટલે તબિયતને બગાડતી, ચોખ્ખાઈને નડતી ધૂળ. ઘણાં માટે માટી એટલે ચકચકીત કાર પર ઊડતી ધૂળ, કારના પાર્કિંગમાં નડતો કીચડ. Dust Free જગત એ આધુનિક દુનિયાનો જાણે એક આદર્શ.

સમગ્ર જીવસૃષ્ટિનું મૂળભૂત અસ્તિત્વ જ માટીને લીધે છે. માટી ખુદ જીવંત છે અને જીવનદાયિની પણ છે. માટીમાં જ પાણી સંઘરાય, તેમાં વનસ્પતિસૃષ્ટિ થાય, તેને લીધે જ ધરતીપટે માનવ અને પ્રાણીજીવો ટકે. આવી માટીથી દુનિયાભરના મોટા ભાગના શહેરીજનો બહુ દૂર જતા રહ્યા છે.

‘ગર્દાબાદ’ અમદાવાદમાં ડસ્ટને લગતી રોજની ચાળીસથી વધુ ફરિયાદો સપ્ટેમ્બર 2019માં કૉર્પોરેશનને મળી હતી. ડામર ને પેવર આપણા સેવિયર છે, કૉન્ક્રિટ આપણી કિસ્મત. એટલે માટીને આપણે સિમેન્ટનાં એક પછી એક પડ હેઠળ ધરબી દીધી છે.

ખરેખર તો કોઈ પણ જાતની માટી એટલે ધરતીમાની ગોદ. માટી એટલે હૂંફ અને ઠંડક, કઠણતા અને કોમળતાનો કંઈક અનેરો સુમેળ. માટી એટલે ધરતી, પૃથ્વી, ભૂમિ, મૃત્તિકા, ભોમકા. માટી માટેનાં અથવા તેની સાથે જોડાયેલા લગભગ બધા શબ્દો સ્ત્રીલિંગી છે. કારણ કે માટી એટલે માતા, મરાઠીમાં ‘માયમાતી’, ‘માતીમાય’, ‘કાળી આઈ’ જેવા શબ્દો વારંવાર વપરાય છે. મા અને માટી બંને સરખાં. બંનેમાં નવાંને જન્મ આપવાની, તેનાં લાલન-પાલન-ધારણની તો અપાર ક્ષમતા છે જ; સાથે વંઠેલાં સંતાનોનાં ત્રાસ વેઠ્યાં જ કરવાની તેની તાકાત પણ અગાધ છે.

માણસો માટી પર થૂકે છે, એને ઊતરડે છે, ખોતરે છે, ખોદે છે, ઉલેચે છે. બાંધકામોનાં પાયા નંખાતા હોય તે પહેલાં વિકરાળ મશીનોનાં લાંબા નહોરથી ખોદાતી જમીન અને પછી કૉન્ક્રિટ હેઠળ ધરબાતી જતી માટીનું દૃશ્ય પીડાકારક હોય છે.

મનુ કોઠારી અને લોપા મહેતાએ ‘નાભિશ્વાસ લેતી ધરતીમાતાનું વસિયતનામું’ નામે પુસ્તકમાં લખ્યું છે : ‘હું ધરતીમાતા તરીકે તમારા બધાં માટે અન્ન પકવું છું. પણ તમે તો મૂર્ખ વાંદરાની જેમ મારી આંતર-ત્વચાને જ ઉખેડી નાખી છે. માટી દ્વારા હું જળ, ક્ષારો અને અન્ય કાર્બનયુક્ત પદાર્થો શોષું છું. જીવાણુઓ દ્વારા નાઇટ્રોજનનો સંગ્રહ કરું છું. આ બધાંને ભેગાં કરી પ્રોટીન બનાવું છું. મારું રહસ્ય, મારું સૌંદર્ય, મારી વિપુલતા એ મારી સોડમભરી કૂણી માટીમાં સમાયેલ છે. આ માટીને તમે ઉખેડી નાખો એટલે અન્ય  ગ્રહોની જેમ હું પણ  જીવજગત-શૂન્ય, પથ્થરોનો બનેલ નિર્જીવ પ્રદેશ બની જાઉં. મારાં માતૃસ્વરૂપને અને મારી કૂણી માટીને એકબીજાંથી અળગાં ન કરી શકાય.’ આપણી ભાષા, આપણાં સંતસાહિત્ય, આપણી લોકસંસ્કૃતિ ઇત્યાદિમાં માટી વિશે જે કંઈ છે તે જાણવા-માણવા-સંઘરવા જેવું છે.

મા વસુંધરા માટેનાં આ વ્હાલ-વંદનમાં કદાચ વેવલાપણું લાગે તેવા ઘણા લોકો હશે. તેમના માટે  શહેરીકરણ અને નગરોમાં રહેનારમાંથી થોડા લાખ માણસોની સુખાકારી એટલે વિકાસ હોય છે. પણ ખરેખર તો માટીની અનિવાર્યતા સનાતન વાસ્તવિકતા છે.

‘માટી નહીં સાચવી શકનારો દેશ જીવી શકતો નથી’ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિન્ગટનના આ શબ્દોથી ભારતને પર્યાવરણીય સ્થિતિની સમીક્ષાના પહેલવહેલા નાગરિક અહેવાલની શરૂઆત થાય છે. તે પર્યાવરણ બચાવવા માટે ભારતમાં નક્કર અસરકારક કામ કરનાર દિલ્હીની સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એનવાર્નમેન્ટે 1982માં બહાર પાડ્યો હતો.

વૉશિન્ગટને બસ્સો વર્ષ પહેલાં કરેલી વાત સાચી પડતી રહી છે. દુનિયાના દેશોની જમીન ખરાબ થતી રહી છે એટલે કે તેની અંદરનાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટતાં તેની ફળદ્રૂપતા ઓછી થતી ગઈ છે અથવા તો તે રણપ્રદેશમાં ફેરવાતી ગઈ છે. આવી હાલત દુનિયાની પચીસથી ચાળીસ ટકા જમીનની થઈ હોવાનું  અને જમીનની ખરાબીને જળવાયુ પરિવર્તનની આપત્તિ સાથે ગાઢ સંબંધ હોવાનું આંતરરાષ્ટ્રીય અભ્યાસો જણાવે છે.

એટલે ગયાં ત્રીસેક વર્ષથી જમીન સાચવવા માટે સંગઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવું પડી રહ્યું છે. તેના ભાગ રૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992થી દર બે વર્ષે યુનાઇટેટ નેશન્સ Convention to Combat Desertification યોજે છે. આવી ચૌદમી પરિષદ સપ્ટેમ્બર 2019માં ગ્રેટર નોઇડા ખાતે યોજવામાં આવી હતી.

2015ના  મે મહિનામા ભારતના હરિત ક્રાન્તિના અગ્રદૂત એવા કૃષિવિજ્ઞાની એમ.એસ .સ્વામિનાથને One Year of Modi governemnt : Farmers await achchhe din' લેખમાં ચેતવણી આપી હતી : ‘જમીન એ સંકોડાતું જતું સંસાધન છે. આપણે ઓછામાં ઓછી જમીનમાં વધુમાં વધુ પાક લેવાનો છે.’ તેમણે સ્પેશ્યલ ઍગ્રિકલ્ચરલ ઝોન(સાઝ)ની રચના અને સૉઇલ હેલ્થ એટલે કે માટીનું આરોગ્ય જાળવવા માટેનાં ઉપક્રમો પણ સરકાર સામે મૂક્યા હતા.

ઘણા લોકોને એ વાત પણ પકડાતી જ નથી કે જમીન ગુમાવવાની સાથે આપણે પાણી પણ ગુમાવીએ છીએ. જમીન પર માણસે લાદેલાં અનેક પડોને કારણે દર વરસાદે હજારો ગૅલન પાણી, જમીનમાં ઊતરવાને બદલે કાં તો વહી જાય છે અથવા તો ભરાઈ જાય છે, ચોમાસામાં શહેરો ડૂબે છે. પાણી માટીમાં થઈને ભૂગર્ભમાં ઊતરે તો કુદરત તે આપણને જ ભૂગર્ભજળ રૂપે પાછું આપે છે.

બીજો એક અપરાધ પણ થાય છે :  માટી કૉન્ક્રિટ હેઠળ દટાય એટલે તેની કૂખમાંથી જન્મતું અત્યંત સમૃદ્ધ જીવનચક્ર ખતમ થઈ જાય. તમામ જાતની વનસ્પતિ, જીવસૃષ્ટિ, વાયુઓ અને ખનિજો બધું જ નષ્ટ થઈ જાય. કહેવું ન ગમે પણ વત્સલા વસુંધરા પ્રજનન શક્તિ ગુમાવે છે.

તો પછી માટીને જાળવવા શું માણસોએ જંગલમાં જ રહેવું જોઈએ ? સંસ્કૃતિ એટલે વિકૃતિ, અને વિજ્ઞાન એટલે વિનાશ ? ભૂમિનાં ભજન ગાતાં આપણે પાકાં ઘરોમાં રહેવાનું અને ગરીબગુરબાં ધૂળમાં રગદોળાય ? ના, આર્થિક અસમાનતા અને કુદરતી અસંતુલનના ઉકેલો પણ જમીનમાં જ છે એ આપણને વિનોબા ભાવે કહી ગયા છે.

એટલું તો થાય કે આપણે જ્યાં છીએ ત્યાં, માટી માટેનાં બહુ જ છીછરા અણગમા છોડી, માટીના ટુકડા સાચવીએ, આપણા પરિસરોને દિવાલથી દિવાલ કૉન્ક્રિટથી ઢાંકી દેવાને બદલે બને એટલી માટી રાખીએ.

માટીમાં વનસ્પતિ ઊગાડીએ, વૃક્ષો માટેનાં છોડ ઊગાડીએ, બાળકોને માટીમાં રમવા દઈએ. રસ્તાની બંને બાજુ માટીના પટ્ટા ન છોડી શકાય ? જમીન પર પાથરવા માટેનાં સિમેન્ટ કૉક્રિટનાં ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલિ વિકલ્પો પરના અભ્યાસોનો ઉપયોગ ન કરી શકીએ ?

જમીન બચશે તો જ આપણા પછીની પેઢીઓની જિંદગી બચશે.

(2019માં લખેલા બે લેખોને આધારે)

31 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,3731,3741,3751,376...1,3801,3901,400...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved