Opinion Magazine
Number of visits: 9458681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેતાનજી બ્રાઉન જૈકસન અને સારા સની : નારીશક્તિનાં નવાં મુકામ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 June 2022

અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમવાર શ્યામવર્ણી મહિલાની ન્યાયાધીશ તરીકે નિયુક્તિ અને ભારતમાં પહેલીવાર બધીર મહિલાનો કાયદાની અદાલતમાં ધારાશાસ્ત્રી તરીકે બાકાયદા પ્રવેશ-કાળઝાળ ગરમીના આ દિવસોના સૌથી શાતાદાયી સમાચાર છે. કેતાનજી બ્રાઉન જૈકસન લગભગ સવા બસો વરસ જૂની અમેરિકી સુપ્રીમ કોર્ટના પ્રથમ શ્યામવર્ણી મહિલા જજ બન્યાં છે. કર્ણાટક બાર કાઉન્સિલનું સભ્યપદ મેળવીને સારા સની ભારતમાં પહેલા બધીર મહિલા વકીલ બન્યાં છે. કેતાનજી અને સારાએ નારીશક્તિના નવા મુકામ હાંસલ કર્યા છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા ભારત કરતાં જુદી છે. ભારતમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમ ન્યાયાધીશોની પસંદગી કરે છે અને સરકારની મંજૂરી મેળવે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની પસંદગી તો કરે છે, પણ તેને અમેરિકી સંસદની મંજૂરી મેળવવી પડે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કુલ નવ ન્યાયાધીશો હોય છે અને તેઓ અનિશ્ચિત મુદ્દતનો કે આજીવન કાર્યકાળ ધરાવે છે.

કેતાનજીની નિયુક્તિ પૂર્વેની અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ત્રણ જ મહિલા ન્યાયાધીશો હતાં. હવે તે વધીને ચાર થશે. નવ જજોમાં રિપબ્લિકન પક્ષ નિયુક્ત છ જમણેરી કે રૂઢિવાદી અને ડેમોક્રેટિક પાર્ટી નિયુક્ત ત્રણ ઉદારવાદી જજો છે. રંગભેદગ્રસ્ત અને દુનિયાની અનેક પ્રજાના વસવાટથી બનેલા અમેરિકામાં ગોરાઓ અને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ જ સત્તાસ્થાને રહ્યા છે તેવું  અદાલતોમાં પણ હતું. ધીરે ધીરે સ્થિતિ બદલાઈ રહી છે. હાલ સુપ્રીમ કોર્ટમાં છ રોમન કેથોલિક, બે યહૂદી, એક-એક આફ્રો અમેરિકન અને હિસ્પૈનિક જજ પણ છે. જો કે ખૂબ જ ઓછાં પ્રમાણમાં મહિલાઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શક્યાં છે. અત્યાર સુધીના ૧૧૫ જજોમાં પાંચ જ મહિલા જજ છે.

જો બાઈડેને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારમાં તેમના કાળા મતદારોને દેશની સુપ્રીમ કોર્ટમાં પહેલા શ્યામવર્ણી મહિલા ન્યાયાધીશની નિમણૂકનું વચન આપ્યું હતું. કેતાનજી બ્રાઉન જૈકસનની નિયુક્તિ કરીને બાઈડેને તેમનો ચૂંટણી વાયદો પૂરો કર્યો છે. બાઈડેન અને ડેમોક્રેટિક પાર્ટી માને છે કે અમેરિકી અદાલતો અમેરિકા જેવી વિવિધતાસભર અને મહાન લાગવી જોઈએ. તેમાં અમેરિકામાં વસતા અલગ અલગ સમુદાયોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. બાઈડેનના પહેલા જ વરસના કાર્યકાળમાં તેમણે પસંદ કરેલ અને સંસદે મંજૂર રાખેલ ૪૦ ન્યાયાધીશોમાંથી ૮૦ ટકા મહિલાઓ અને ૫૩ ટકા કાળાઓ છે.

અમેરિકી રાષ્ટ્રપતિની જજોની પસંદગી પક્ષીય ધોરણે નહીં પણ અસાધારણ યોગ્યતા, ચરિત્ર અને સત્યનિષ્ઠા પર આધારિત હોય છે. કેમ કે ભલે રાષ્ટ્રપતિ ન્યાયાધીશની પસંદગી કરે પણ અમેરિકી નાગરિકો અને પ્રેસની ઉપસ્થિતિમાં પસંદ થયેલા ન્યાયાધીશે સેનેટની ન્યાયપાલિકા સમિતિની કઠોર કસોટીમાંથી પસાર થવું પડે છે. જો બાઈડેન નિયુક્ત કેતાનજીને ચાર દિવસ સુધી અમેરિકી સેનેટનો સામનો કરવો પડ્યો હતો. તે પછીના મતદાનમાં ૫૩ વિરુદ્ધ ૪૭ મતોથી તેમની પસંદગી થઈ હતી. નોંધપાત્ર બાબત એ હતી કે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ શ્યામવર્ણી સ્ત્રીની ન્યાયાધીશ તરીકે નિમણૂક ભલે સર્વાનુમતે ન થઈ હોય, પણ ત્રણ રિપબ્લિકન સેનેટરોએ પાર્ટીની વિરુદ્ધ જઈને કેતાનજીના પક્ષમાં મતદાન કર્યું હતું !

એકાવન વરસના જૈકસન મિયામી-ફ્લોરિડામાં ઉછર્યાં-ભણ્યાં છે. હાવર્ડના તેઓ લો ગ્રેજ્યુએટ છે. જસ્ટિસ સ્ટીફન બ્રેયરના સહાયક તરીકે તેમણે કારકિર્દીનો આરંભ કર્યો હતો. આ જ જસ્ટિન બ્રેયરે ૮૩ વરસે સુપ્રીમ કોર્ટના જજ તરીકે આપેલા રાજીનામાથી ખાલી પડેલી જગ્યાએ જૈકસનની નિમણૂક થઈ છે. એ રીતે તેઓ બ્રેયરનો વારસો સંભાળશે. ૨૦૧૩થી ૨૦૨૧ સુધી કેતાનજી કોલંબિયા જિલ્લા માટે સંયુક્ત રાજ્ય અમેરિકાના જિલ્લા જજ હતાં. અમેરિકી સજા આયોગના સભ્ય  અને ફેડરલ જજ તરીકે પણ તેમણે કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે પ્રવેશનો માર્ગ ગણાતી ડી.સી. સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં ગયા વરસે જ તેમને બઢતી મળી હતી, અને હવે તેઓએ સુપ્રીમ કોર્ટના પહેલા શ્યામવર્ણી મહિલા જજ બનીને ઇતિહાસ રચ્યો છે.

અમેરિકી સુપ્રીમ કોર્ટના તેઓ છઠ્ઠા મહિલા જજ, ત્રીજા શ્યામવર્ણી જજ અને પ્રથમ શ્યામવર્ણી મહિલા જજ બન્યાં છે. સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત તેઓ એવા પહેલા ન્યાયાધીશ છે જેઓ પબ્લિક ડિફેન્ડર રહી ચૂક્યાં છે. પ્રતિભાશાળી કાનૂની દિમાગ અને દીર્ઘ અનુભવ ધરાવતા તથા કઠોર ચુકાદા માટે જાણીતા જસ્ટિસ જૈકસને સેનેટ સમક્ષની સુનાવણીમાં સંપૂર્ણ નિર્ભયતાથી નિષ્પક્ષ ન્યાયની બાંહેધરી આપી છે. અમેરિકાની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં હયાત રંગભેદી પૂર્વગ્રહો અને અદાલતોમાં વિભિન્ન સમુદાયોના પ્રતિનિધિત્વના અભાવમાં જસ્ટિસ જૈકસનની ન્યાયિક કામગીરી પર વિશ્વ સમાજની પણ નજર મંડાયેલી રહેશે.

અમેરિકામાં જસ્ટિસ જૈકસનની નિયુક્તિના ગાળામાં ભારતના કાયદા ક્ષેત્રમાં પણ ઇતિહાસ સર્જાયો છે. સારા સની દેશના પહેલા બધીર મહિલા વકીલ બન્યાં છે. મૂળે કેરળના કોટ્ટાયમના સારા જન્મથી બધીર છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ પિતાના જોડકા સંતાન તરીકે જન્મેલાં સારાએ બધીર બાળકો માટેની અલગ કે ખાસ શાળાને બદલે સામાન્ય શાળામાંથી જ શિક્ષણ મેળવ્યું છે. પહેલાં કોમર્સ ગ્રેજ્યુએટ થયાં અને પછી બેંગલોરની સેન્ટ જોસેફ કોલેજ ઓફ લોના ગ્રેજ્યુએટ થયાં.

કાર્નેલિયા સોરાબજી (૧૮૬૬- ૧૯૫૪) દેશના પહેલા મહિલા વકીલ છે. બ્રિટિશ રાજમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ૧૮૯૨માં લો કર્યું હતું. પરંતુ મહિલાઓનો વકીલ તરીકે પ્રવેશ બંધિત હોવાથી તેઓ વકીલાત કરી શકતાં નહોતાં. ૧૯૧૯માં કાયદામાં સુધારો થયો ત્યારે જ તેઓ વકીલાત કરી શક્યાં અને દેશના પહેલાં મહિલા ધારાશાસ્ત્રી બન્યાં. તેની એક સદી પછી એક બધીર મહિલા ધારાશાસ્ત્રી બન્યાં છે.

કુદરતી શ્રવણ શક્તિ નહીં ધરાવતા સારા સનીએ દૃઢ ઈચ્છાશક્તિ અને કઠોર પરિશ્રમથી આ સિદ્ધિ મેળવી છે. પોતાની વિકલાંગતાને તેમણે કમજોરી બનવા દીધી નહીં. બાળપણથી જ તેમને સવાલો કરવાની, તર્ક-વિતર્ક કરવાની અને સાચા-ખોટાનો ભેદ પારખવાની આદત હતી. માતા-પિતાએ તેમની આ ટેવને કારણે તે મોટાં થઈને વકીલ બનશે એમ કહ્યું શું, સારાએ વકીલ બનવાનું સપનું સંજોયું. અત્યાર સુધી તેઓએ ટ્રિબ્યુનલ કે મધ્યસ્થી અદાલતોમાં કામ કર્યું છે હવે તેઓ હાઈકોર્ટમાં વકીલાત કરશે. સક્રિય શ્રવણ કૌશલથી તેમનું કામ ચાલે છે પણ પોતાની શારીરિક મર્યાદા અંગે પણ તે સભાન છે. કોઈના હોઠો ફફડતા જોઈને તેઓ સામેની વ્યક્તિ શું બોલે છે તેનો અંદાજ લગાવી શકે છે. પરંતુ બોલવાની ગતિ ધીમી હોય ત્યારે જ તે શક્ય છે. એટલે તેઓ અદાલતોમાં દુભાષિયા કે સહાયકની મદદ ઈચ્છે છે. તેમનું કામ આસાન નથી પણ સાવ અશક્ય પણ નથી.

સારા સની અને કેતાનજી બ્રાઉન જૈકસનનો નવો મુકામ નવી, ન્યાયી અને સમાવેશી દુનિયાની દિશામાં એક મજબૂત કદમ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

‘સ્ક્રૅપયાર્ડ’ – Scrapyardમાં બાળકોનાં બે નાટકો

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 June 2022

રવિવાર, 29 મેએ રાત્રે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલાં, બિનવ્યવસાયિક નાટ્યપ્રવૃત્તિના કેન્દ્ર એવા ખુલ્લાં રંગમંચ  ‘સ્ક્રૅપયાર્ડ’ –  Scrapyardમાં બે બાળનાટકો જોયાં. એકનું નામ હતું ‘અપના ટાઇમ લાયેગા’ અને બીજાનું ‘યમલોક’.

*****

સત્તરેક બાળકોએ ભજવેલું પહેલું નાટક ‘અપના ટાઇમ લાયેગા’ સ્ક્રૅપયાર્ડના નેજા હેઠળ ઊગતા રંગકર્મી ભવ્ય દોશી અને ‘સ્ક્રૅપયાર્ડ’ના સ્થાપક-સંચાલક કબીર ઠાકોરે કિશોર-કિશોરીઓ સાથે કરેલી બે અઠવાડિયાની નાટ્યશિબિરમાંથી તૈયાર થયું હતું.

દસેક કલાકારોનું બીજું નાટક ‘યમલોક’ પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક પરા વસ્ત્રાલની ‘ધ નાચ સ્ટૂડિયો’ નામના નૃત્યવર્ગના બાળકોએ કર્યું હતું.

*****

બંને નાટકો બાળકોના થનગનાટથી ઊભરાતાં હતાં, એક પણ નીરસ પળ ન હતી, લગભગ દરેક કલાકારને તેની ક્ષમતા મુજબનું કામ મળ્યું હતું. ‘ટાઇમ’ નાટકની સતત બદલાતી દૃશ્યરચનાને જાળવી રાખવામાં બાળકોએ ભાગ્યે જ ગફલત કરી હતી. સંવાદો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં હતા. માઇક ન હતા અને બાળકોએ અવાજ પહોંચાડવા જહેમત ઊઠાવી હતી. જીવંત અને રેકૉર્ડેડ બંને પ્રકારનું સંગીત હતું, ગ્રુપ ડાન્સ હતો, સૂત્રધાર હતો, ચમચમાટ લાઇટો હતી. બાળકોને બિલકુલ માફક આવે તેવાં સન્નિવેશ અને મંચસજ્જા હતાં.

*****

‘સ્ક્રૅપયાર્ડ’ના ફેઇસ બુક પેઇજ પર કબીરભાઈએ આ નાટકના પોસ્ટરમાં લખ્યું છે : ‘બાળકો કહે એ વાર્તામાંથી નાટકનો આઈડિયા મળે …. એક બાળક પોસ્ટર બનાવે …. બધા ભેગા થઈ ને નાટક માટે જરૂરી પ્રોપર્ટી બનાવે …’ આ નાટકની શિબિરની પ્રોસેસ હતી. તેમાંથી સારા દહાડા-ખરાબ દહાડા, હાર-જીત, આશા-નિરાશા જેવા વિષય પરનું આ રમતિયાળ નાટક થયું.

તેના માટેની શિબિર બળબળતા ઉનાળાના સવારના ભાગમાં ત્રણ કલાક માટે કૂલર અને ઠંડા પાણીની સગવડ સાથે ‘સ્ક્રૅપયાર્ડ’ના પરિસરમાં આઠથી પંદર વર્ષની ઉંમરના બાળકો સાથે હતી.

મહામારીથી લગભગ બધે જ આવેલી નિષ્ક્રિયતાની અસર હેઠળના સાધનસંપન્ન પરિવારનાં બાળકો સાથે કરેલી આ શિબિરના કબીરભાઈના અનુભવો પણ રસપ્રદ હતા. નાટકમાં મયંક ઓઝા અને પરેશ વ્યાસનાં ગીતોને નિસર્ગ ત્રિવેદીએ સંગીત આપ્યું હતું.

*****

‘યમલોક’ નાટક ગુજરાત કૉલેજમાંથી નાટ્યવિદ્યાની પદવી ધરાવનાર જયેશ કોષ્ટીએ દિગ્દર્શીત કર્યું હતું. નાટકના લેખનમાં તેમની સાથે જિનય પટેલ હતા. નાટક વસ્ત્રાલની સંસ્થાના પરિસરમાં તૈયાર થયું હતું. પણ તેના અનેક ગ્રાન્ડ રિહર્સલ બાળકોએ ભર ઉનાળામાં ખૂબ મહેનતથી ‘સ્ક્રૅપયાર્ડ’માં કર્યાં હતાં. નાટકમાં યમલોકમાં પૃથ્વી પરના નેતા અને યમરાજ વચ્ચે થયેલી ચૂંટણીની વાત હતી. યમરાજ અને ચિત્રગુપ્ત ઉપરાંત જાતજાતની ઇચ્છા-એષણાઓ ધરાવતાં દુન્યવી પાત્રો હતા. આ નાટકમાં બાળકોના વ્યક્તિગત અભિનય માટે ઘણી તક  હતી જેનો કલાકરોએ ઠીક લાભ  લીધો હતો.

અલબત્ત, બંને નાટકોમાં વત્તાઓછા પ્રમાણમાં સ્ત્રી-પુરુષ ભૂમિકા (gender), જીવનશૈલી (life style) અને સમાજ (society) જેવી બાબતોનો સૂક્ષ્મ ખ્યાલ તેમ જ એકંદર સુઘડતા અપેક્ષિત હતાં.

અલબત્ત, આ કહેવું ખૂબ સહેલું છે અને કરવું ખૂબ અઘરું છે. કબીર – નેહા અને તેમની આખી ટીમ  અમદાવાદ જેવા શહેરમાં નાટક કરવાનું આ અઘરું કામ કરતાં રહે છે.

01 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

દિલ્હીમાં આગની ઘટના : ‘ડોલ ભરીને વળતર’ નહીં ‘કાયદા રૂપી સેફ્ટી’ જરૂરી

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 June 2022

દિલ્હીમાં લાગેલી આગમાં ૨૭ કામદારો બળી મર્યા એમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી, જેને અસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે. એમાં કામદારોમાં રહેલી અસલામતી બધી રીતે પ્રગટ થાય છે. મકાન ધારાધોરણ પ્રમાણે બનાવ્યું ન હતું, એમાં આગ સામે જે સલામતી જોઈએ, તે માટેની સગવડો નહતી. કામદારોને, ખાસ કરીને સ્ત્રી-કામદારોને મહિને ૭,૫૦૦નું વેતન ચૂકવવામાં આવતું હતું. ૨૧ વર્ષની એ છોકરી કુટુંબનો આધાર હતી. કુટુંબમાં મા-બાપ ઉપરાંત, છ બાળકો હતાં. એ બધાંનો આધાર આ છોકરીના પગાર ઉપર હતો. કારણ કે પિતા છેલ્લા દસકાથી કંઈ કામ કરતો નહોતો. છોકરાં બધાં ભૂખ્યા રહેતાં હતાં, એમને પૂરતો ખોરાક મળતો નહોતો.

આ વર્ણન એટલા માટે કર્યું છે કે અસંગઠિત ક્ષેત્રમાં કેવી સ્થિતિ પ્રવર્તે છે, તેનો ખ્યાલ આપણને આવે. આ ક્ષેત્રમાં કામદારોને સ્પર્શતા કોઈ કાયદાનો અમલ થતો નથી. કામના કલાકો નિશ્ચિત હોતા નથી. કામદારોને વેતન ઘણું ઓછું આપવામાં આવે છે. એમાં પણ સ્ત્રી કામદારોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે. એમને એવાં કામો સોંપવામાં આવે છે જેમાં કુશળતાની જરૂર ના હોય. એમ માની લેવામાં આવે છે કે સ્ત્રી-કામદારો પૂરક આવક માટે જ કામ કરતાં હોય છે. એમનું શોષણ કરવામાં આવે છે. દિલ્હી જેવા શહેરમાં રૂપિયા ૭,૫૦૦નો પગાર હોય એમાં કુટુંબ સારી રીતે ના જ જીવી શકે એ સમજી શકાય એવી વાત છે. પણ દિલ્હીની બહારથી આવેલા કામદારોને રોજગારીની ગરજ હોય છે. એનો લાભ કારખાનાના માલિકો લે છે.

ઘણાં વર્ષો પહેલાં સ્વીડિશ અર્થશાસ્ત્રી – Gunnar Myrdalએ એક પુસ્તક ‘એશિયન ડ્રામા’ એન ઈન્કવાયરી ઈન ટુ ધ પોવર્ટી ઑફ નાોમ્સ’ નામે લખ્યું હતું, એમાં મુખ્યત્વે ભારતના વિકાસની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી. એમાં એમણે ભારતના રાજ્યને ‘Soft State’ તરીકે વર્ણવ્યું હતું તેનો અર્થ એ થતો હતો કે ભારતમાં કાયદાના અમલની બાબતમાં શિથિલતા પ્રવર્તતે છે. એને કારણે બાંધકામના નિયમોનું પાલન થતું નથી; ફૅક્ટરી કરવા માટે જે મકાન જોઈએ એનો આગ્રહ રાખવામાં આવતો નથી. દિલ્હીમાં જે ફૅક્ટરીમાં આગ લાગી તેમાં એક જ સીડી હતી, એને કારણે કામદારો બહાર જઈ શક્યા નહીં આવા મકાનમાં આગની સામે સલામતી માટે બે સીડીઓ હોવી જોઈએ. આનો અર્થ એ થાય કે ફૅક્ટરી માટે અનુકૂળ મકાન ન હતું, છતાં ય એમાં ફૅક્ટરી કરવામાં આવી હતી અને તે ચલાવી લેવામાં આવ્યું હતું. ૨૭ કામદારોનાં અવસાન પછી બે ભાગીદારોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાને માર્યા ગયેલા કામદારો માટે રૂપિયા દસ લાખના વળતરની જાહેરાત કરી છે, પણ આવી ઘટનાઓ ઓછી બને એ દિશામાં વિચાર્યું નથી. દેશમાં ૯૦ ટકાથી અધિક કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. એટલે કે કામદારોની મોટી બહુમતીનો પ્રશ્ન છે. એના પ્રત્યે દુર્લક્ષ કરીને આપણે કામદારોનું કલ્યાણ ના કરી શકીએ. આવી ઘટનાઓ બને, ત્યારે સરકાર વળતર આપીને લોકલાગણીને સંતોષે છે. પણ વહીવટ સુધારીને કાયદાના અમલનો આગ્રહ રાખતી નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 05

Loading

...102030...1,3691,3701,3711,372...1,3801,3901,400...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved