Opinion Magazine
Number of visits: 9568819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિભાજન વેળાએ પાકિસ્તાનમાંથી મહિલાઓને પાછી લાવવાની કહાણી!

કિરણ કાપુરે|Opinion - Opinion|29 August 2022

દેશની આઝાદી સમયે જે કંઈ લખાયું તેમાં સૌથી વધુ આલેખાયેલી ઘટનાઓ વિભાજન દરમિયાનની છે. એશિયાના દક્ષિણ ઉપખંડના એક મોટા દેશના જ્યારે ભાગલા થયા ત્યારે તેમાં લાખો લોકોના ઘરો ઉજળ્યાં; લાખો પરિવારોએ સ્થળાંતર કરવું પડ્યું અને નિરાશ્રિતોની જેમ વર્ષો સુધી રહેવું પડ્યું. વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી બંને દેશોમાં થયેલાં રમખાણોમાં દસ લાખથી વધુ લોકો હોમાઈ ચૂક્યા હતા. આ દર્દનાક ઘટનાની પીડા આજે પણ પંજાબ, બંગાળના અનેક પરિવારો ભૂલી શક્યા નથી. વિભાજનની ત્રાસદી વચ્ચે એક ગુજરાતી બહેને પોતાના જીવના જોખમે પાકિસ્તાનમાં જઈને કામ કર્યું અને ત્યાર પછી તેમનાં આ અનુભવને તેમણે શબ્દબદ્ધ કર્યો. તે બહેનનું નામ કમળાબહેન પટેલ અને તેમનો અનુભવ જે પુસ્તમાં શબ્દબદ્ધ થયો એટલે ‘મૂળ સોતાં ઊખડેલાં’. આશ્ચર્ય થાય પણ કમળાબહેને પાકિસ્તાનમાં રહીને હિંદુ અને પંજાબી બહેનોને ભારત લાવવાનું કામ કર્યું, તેમના આ કાર્યમાં તેમનું માર્ગદર્શન કરનારાં અને હિંમત બાંધનારાં મૃદુલા સારાભાઈ હતાં. આ બંને બહેનોના અંતર્ગત થયેલું આ કાર્ય અતિશય કપરું અને જોખમી હતું, પણ તેનાથી હજારો બહેનોનાં જીવન બચાવી શકાયાં અને તેઓને વતન લાવી શકાઈ.

કમળાબહેનનાં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1979માં પ્રકાશિત થઈ હતી, પછી ઘણાં વર્ષો સુધી આ પુસ્તક અપ્રાપ્ય હતું, હવે તે નવજીવન ટ્રસ્ટ દ્વારા ફરી પ્રકાશિત થયું છે. યોગાનુયોગ પણ કેવો કે દેશનું આઝાદીનું અમૃત વર્ષ છે ત્યારે આ પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકના આરંભે જ પ્રાસ્તાવિકમાં કમળાબહેન પટેલ લખે છે કે, “વિભાજનના પરિણામે બનેલા બાનાવોની યાદ આવે ત્યારે સહેજે ઉશ્કેરાઈ જવાય અને મન પર હથોડા વાગતા હોય તેમ લાગે. નરી પાશવતાની વાતોને કાગળ પર મૂકવાથી શો લાભ? સામાન્ય સંજોગોમાં સભ્યતાના અંચળા હેઠળ ઢંકાયેલી પાશવતા વરવા રૂપે અસમાન્ય સંજોગોમાં પ્રગટ થઈ હતી તેને શબ્દોમાં શા માટે મૂકવી? પંજાબના પુરુષોએ પરસ્પરનાં ગળાં રહેંસી અને વિશેષ કરીને તો લઘુમતી કોમની સ્ત્રીઓને ધર્મના બહાના હેઠળ છીનવી લઈને એવું તે કયું પરાક્રમ કર્યું હતું, જેને લોકો સમક્ષ મૂકવાનું દિલ થાય?” આ રીતે પોતાના જ અનુભવ લખતાં પહેલાં તેમનું મનોમંથન વર્ષોનાં વર્ષ ચાલ્યું અને છેલ્લે તેમણે આ કાર્ય સત્તાવીશ વર્ષે ઊપાડ્યું. વિભાજનની ઘટનાઓને લઈને મન સ્થિર થયું અને જે વિચારે તેમને લખવા પ્રેર્યાં તે એ કે, “નરી પાશવતામાં પણ કોઈ કોઈ પ્રસંગમાં જાગેલી માનવતા ડોકિયાં કરવા લાગી.”

વિભાજન વિશે લખતાં કમળાબહેન લખે છે : “વિભાજન એક જ કુટુંબના બે ભાઈઓ પૈતૃત મિલકત શાંતિપૂર્વક વહેંચે તે રીતે ન થયું. બંને કોમની પ્રજાએ ‘મારો’ ‘કાપો’ ‘લૂંટો’ના નારા ગજાવી વાતાવરણમાં કોમી લાગણી ઉશ્કેરી. તેના પરિણામે 1947ના માર્ચથી બંને પંજાબમાં તોફાનો શરૂ થયાં. … સાધનસંપન્ન લોકોએ ભાવિનાં એંધાણ પારખી પોતાના કુટુંબો અને જંગમ મિલકતને સલામત સ્થાને ખસેડવાની શરૂઆત કરી અને સ્થાવર મિલકતોનો સોદા થવા લાગ્યા. એક અંદાજ મુજબ ખરેખર વિભાજન થયું તે પૂર્વે જ ત્રીજા ભાગના કરાંચીના સોદા પતી ગયા હતા.”

કમળાબહેન પાકિસ્તાન ગયાં અને તેમણે ત્યાં આટલું ભગીરથ કાર્ય કર્યું તે માટે તેમની પસંદગી કેમ થઈ તેની વિસ્તૃત વિગત મળતી નથી. માત્ર એટલી જ માહિતી મળે છે કે, તેમણે અસહકારના આંદોલનમાં જોડાવવા અર્થે અભ્યાસ છોડ્યો હતો અને તે પછી તેઓ થોડાંક વર્ષો સાબરમતી આશ્રમમાં રહ્યાં. પછી તેઓ મુંબઈ સ્થાયી થયાં અને ત્યાં તેઓ મહિલાઓના ઉદ્ધાર્થ અર્થે કાર્ય કરતી સંસ્થાઓ સાથે સંકળાયાં. જ્યારે તેમને પાકિસ્તાન જવાનું થયું ત્યારે તેમની ઉંમર ચાલીસની આસપાસ હતી. કમળાબહેન વિશે આઝાદી સમયના સંશોધક-લેખિકા આલુબહેન દસ્તૂરે પુસ્તકમાં અંજલિમાં લખ્યું છે કે, “તેમના માથા પર બેવડી જવાબદારી હતી. એક તો તેમણે મુસ્લિમ બહેનોને શોધી કાઢી આ દેશમાંનાં અથવા પાકિસ્તાનમાંના તેમનાં સગાંસંબંધીઓને સુપરત કરવાની હતી; અને બીજી તેથીયે વધારે મુશ્કેલ જવાબદારી પાકિસ્તાનમાં રહી જવા પામેલી હિંદુ અને શીખ બહેનોને શોધી કાઢી ભારત ભેગી કરવાની હતી.” અહીં આલુબહેન કમળાબહેન સાથે અન્ય બહેનોનો ઉલ્લેખ કરે છે તેમાં મૃદુલાબહેન સારાભાઈ, સુચેતા કૃપાલાની અને રામેશ્વરી નેહરુ છે. આ તમામે ય મળીને વિધવા બનેલી, વિકલાંગ બનેલી અને બળાત્કાર સુધ્ધાંનો ભોગ બનેલી બહેનોને ભાળ કાઢી તેમને બચાવી.

કેવી પરિસ્થિતિમાં કમળાબહેને કામ કર્યું તેનો એક દાખલો પુસ્તકના પાંચમાં પ્રકરણમાં આપ્યો છે. તેઓ લખે છે : “ઉર્દૂના એક જાણીતા સાહિત્યકાર તોફાનો દરમિયાન લાહોરથી દિલ્હી આવી ભારતીય નાગરિક તરીકે દિલ્હીમાં જ સ્થિર થયેલાં. તેમનાં પત્ની અને બાળકો લાહોરમાં હતાં. 1947ના ડિસેમ્બરના અરસામાં આ કુટુંબને દિલ્હી મોકલવાની ગોઠવણ કરવાની મૃદુલાબહેને સૂચના આપી. … આ કુટુંબનું ઘર લાહોરના ગીચ વિસ્તારમાં આવ્યું હતું. ત્યાંથી જલદી નીકળી જવા અમારા ડ્રાઇવર પંચમિસંહની અધિરાઈ વધતી જતી હતી. એટલે મોટરમાં બેસતાં જ તેણે મોટર મારી મૂકી. … એકાદ ગલી વટાવી અમે આગળ આવ્યાં ત્યાં તો રસ્તા ઉપર ચારછ જવાનિયાઓ ઊભેલા હતા. મારાં સફેદ ખાદીનાં કપડાં અને સાથે બુરખાવાળી બેગમ અને છોકરાં જોતાં પેલાં જવાનિયાઓએ માની લીધું કે હું કોઈ મુસ્લિમ સ્ત્રીને ભગાડી જઉં છું. તેમણે મોટર અટકાવી અને ‘કોણ છો, ક્યાંથી આવ્યો છો, ક્યાં જાઓ છો?’ એવાં સવાલોની ઝડીઓનો મારો મોટા સાદે શરૂ કર્યો. … જોતજોતમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. … જાતજાતની કલ્પનાઓ મનને ઘેરવા લાગી. … મેં નિઃસહાય બની આંખો મીંચી દીધી અને એ એક ક્ષણમાં અનેક વિચારો આવી ગયા – ‘હવે શું થશે? અમને તેઓ ક્યાં લઈ જશે? કોણ અમારી શોધ કરશે?’… એ દરમિયાન ડ્રાઇવર પંચમસિંહે મોટા અવાજે બોલી ઊઠ્યો ‘દેખો બહેનજી! સામને સે એક આદમી આ રહા હૈ, વો આપકી પહેચાન કા લગતા હૈ. … જોતજોતમાં તે તદ્દન નજીક આવી ગયો. મને અને અમારી ગાડીને જોઈને ઊંચા અવાજે ટોળાંને સંબોધીને બોલ્યો : ‘યહ બહેનજી તો ગંગારામ હૉસ્પિટલ મેં રહતી હૈ, ઔર ખોઈ હુઈ ઔરતોં કો ઢૂંઢને કા કામ કરતી હૈ, વહ ક્યૂં મુસલમાન ઔરત કો ભાગયેગી? યહ બુરખાવાલી ઔરત કૌન હે વહ ઉનસે હી પૂછો. બહેન ઔર ગાડી કો હાથ મત લગાના.’” પછી ટોળું વીખરાવા લાગ્યું. આવા કિસ્સાં ફિલ્મોમાં અનેક વખત દર્શાવાયાં છે પણ કમળાબહેન સાથે ખરેખર આવી ઘટના બની હતી. અહીં તે ટૂંકમાં વર્ણવી છે પણ તેને વિસ્તારથી વાંચવી જોઈએ.

અપહ્યત બહેનોનાં કાર્ય દરમિયાન થયેલાં જોખમી અનુભવો પુસ્તકમાં ઠેરઠેર જોવા મળે છે. આ ઉપરાંત દરેકેદરેક બહેનની કરૂણકથા, ભારત-પાકિસ્તાનના અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથેની તેમની મડાગાંઠનો ઉલ્લેખ પણ પુસ્તકમાં મળે છે. પુસ્તકના અંતે સામાન્ય રીતે આવાં કિસ્સામાં જે પ્રશ્નો ઊભા થાય તેનાં જવાબો આપવાનો કમળાબહેને પ્રયાસ કર્યો છે. પ્રશ્નો છે કે, (1) અપહ્યતા સ્ત્રીઓ પૈકી હિંદુ સ્ત્રીઓની સંખ્યા વિશેષ હતી કે મુસ્લિમ સ્ત્રીઓની સંખ્યા વિશેષ હતી? (2) સ્ત્રીઓ પર માત્ર મુસ્લિમોએ જ જુલમો કર્યા હતા કે હિંદુઓએ પણ જુલમો કર્યા હતા? (3) પુનઃપ્રાપ્તિના કામમાં ભારત કે પાકિસ્તાનની પ્રજા તરફથી કેવો સહકાર મળ્યો હતો? (4) પાકિસ્તાન તરફથી પુનઃ પ્રાપ્ત થયેલી સ્ત્રીઓને તેમના કુટુંબીજનો અને સંબંધીઓએ સ્વીકારી લીધી હતી કે કેમ? આ પ્રશ્નોમાં કમળાબહેનને જે સત્ય લાગ્યું છે તેના વિસ્તૃત ઉત્તર આપ્યાં છે પણ અહીં તેને ટૂંકમાં જાણીએ. તેઓ પ્રથમ પ્રશ્નના સંદર્ભમાં લખે છે કે, “પંજાબમાં અપહ્યતા સ્ત્રીઓમાં હિંદુઓ કરતાં મુસ્લિમ સ્ત્રીઓની સંખ્યા વિશેષ હતી.” એનું કારણ “અહીંનો મોટા ભાગ જે કારીગર જેવા વર્ગનો હતો તેમની પાસે તેમનાં સ્ત્રી-બાળકોને સલામત સ્થળે મોકલવાની સગવડ, પહોંચ કે તક ન હતી. … વિભાજન થયું ત્યારે મુસ્લિમ નિર્વાસિતો પાસેથી મોટી સંખ્યામાં તેમની સ્ત્રીઓને ખૂંચવી લેવાની પૂર્વ પંજાબના બિનમુસ્લિમોને સહેજે તક મળી.” બીજા પ્રશ્ન વિશે તેમનો સ્પષ્ટ જવાબ છે કે, “સ્ત્રીઓ પર અમાનુષી અને હીન જુલમ ગુજારવામાં મુસ્લિમ કે બિનમુસ્લિમ કોઈ એકબીજાથી ઊણા ઉતર્યા ન હતા.” ત્રીજા પ્રશ્નમાં સહકાર અંગે બંને તરફથી ધર્મ ઝનૂન હતું જેથી અપેક્ષા રાખી શકાય એમ નહોતું તેમ તેઓ નોંધે છે. ચોથા પ્રશ્નમાં મહદંશે કુટુંબીઓ અને સંબંધીઓએ સ્ત્રીઓને સ્વીકારી લીધી હતી તેમ જણાવે છે.

‘મૂળ સોતાં ઊખડેલાં’માં માનવીની કરૂણકથા સાથે કમળાબહેને જ લખ્યું છે તેમ માનવતાએ ડોકિયું કરે છે. 

Loading

અઢાર વર્ષે દીકરી સરકાર ચૂંટી શકે, પણ પરણી ન શકે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 August 2022

હવે 18 વર્ષે કન્યા પુખ્ત ગણાતી નથી. તે 18 વર્ષે લગ્ન કરે તો સગીર ગણાય ને તેનાં લગ્ન કાયદેસર ન ગણાય, કારણ સરકારે હવે કન્યા અને કુમાર માટે લગ્નની વય સરખી કરીને 21ની કરી નાખી છે. કુમારની વય તો 21 હતી જ, પણ કન્યાની વય પણ હવે 18થી વધારીને 21 કરી દેવાઈ છે. સરકારે 21ની વય નક્કી કરતાં વિધેયકને મંજૂરી આપી દીધી છે. આમ તો 2020માં આની જાહેરાત લાલ કિલ્લા પરથી થયેલી. એટલે એ વાત નવી નથી. 18થી ઓછી વયની કન્યાઓનાં દર વર્ષે 15 લાખ લગ્નો થતાં હતાં. તેમાં હવે 21ની વય થતાં વધારો થાય તો નવાઈ નહીં. આ વાત એટલે યાદ આવી કે મહેસાણામાં 400 સમાજ અગ્રણીઓએ 18ની ઉંમરે થતાં દીકરીનાં પ્રેમલગ્ન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

ગુજરાતમાં પહેલીવાર દરેક સમાજ, જ્ઞાતિ, ગોળના હોદ્દેદારો દીકરીઓનાં પ્રેમ લગ્ન સંદર્ભે ભેગા થયા ને ભાગી જઈને પ્રેમલગ્ન કરી લેતી દીકરીઓ સંદર્ભે એવો કાયદો લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું કે દીકરી 18ની ઉંમરે પ્રેમલગ્ન કરે તો તેમાં માબાપની સહી ફરજિયાત કરવી. એટલે કે માબાપની સહી ન હોય તો તે લગ્ન માન્ય ન ગણાય. આમ પણ 18ની ઉંમરે થતાં લગ્ન, નવી ઉંમર 21ની થતાં બાળલગ્ન ગણાય ને તેનાં પર તો પ્રતિબંધ છે જ ! લગ્નનો કાયદો અને લગ્નની વય સુધારવા ગયા માર્ચથી કેટલાક સમાજો દ્વારા અભિયાન છેડાયું છે. જુદા જુદા સમાજોએ સૂચનો પણ કર્યાં છે કે પ્રેમલગ્નની ઉંમર 18થી વધારીને 25ની કરવી. અહીં એ સ્પષ્ટતા નથી કે માબાપની સંમતિથી લગ્ન થાય તો તે ઉંમર પણ 25 ગણવી કે 18 કે હાલના કાયદા પ્રમાણે 21? એ સ્પષ્ટતા પણ નથી કે દીકરી 18ની ઉંમરે પ્રેમ લગ્ન કરે તો માબાપની સહી જોઈએ, પણ દીકરો 21ની ઉંમરે પ્રેમલગ્ન કરે તો માબાપની સહી જરૂરી ખરી કે કેમ? પ્રેમલગ્ન કે મૈત્રી કરાર પણ દીકરીની વય 25 વર્ષની ન હોય તો માન્ય ન કરવાં, આ વાતને 200થી વધુ સમાજના પ્રમુખ, મંત્રીઓએ સંમતિ આપી છે ને બીજા એ દિશામાં વિચારી રહ્યા છે. આ અધિવેશનમાં ચારેક  મુદ્દે ચર્ચા થઈ, 18ની ઉંમરે દીકરી પ્રેમલગ્ન કરે તો માબાપની સહી ફરજિયાત કરવી. બીજો મુદ્દો એ હતો કે માબાપની સંમતિ વિના લગ્ન કરવા ઇચ્છતી યુવતીની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ ને જો કોઈ યુવતી માબાપની સંમતિ વિના 25 વર્ષે પરણે છે તો તેને માબાપની સ્થાવર-જંગમ મિલ્કતમાંથી બાકાત કરવી. આ મહાસંમેલનમાં ગુજરાત ભરનાં શહેરો – અમદાવાદ, સુરત, હિંમતનગર, પાટણ…માંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ને ચારેક મુદ્દે તેમણે ગુજરાતના મુખ્ય મંત્રીને સંબોધીને પત્રો લખ્યા હતા. આ અંગે 33 જિલ્લાના બ્રાહ્મણ, ચૌધરી, પાટીદાર, રબારી એમ 400 સમાજના પ્રતિનિધિઓની કમિટી બનાવવાની વાત થઈ હતી, તો દરેક ધારાસભ્યો પાસેથી સંમતિ પત્રો મેળવવાની વાત પણ ચર્ચામાં હતી.

એ ખરું કે 18 વર્ષની દીકરીઓને ફસાવવાના ને ભગાડી જવાના કે દીકરીઓના ભાગી જવાના બનાવો વધતા આવે છે ને કેટલાંક લેભાગુ તત્ત્વો ભાવિ પત્નીનાં માબાપની મિલકત પર નજર રાખીને લગ્નનો કારસો ઘડતા હોય છે ને સરવાળે દીકરી ને મિલકત બંને જોખમમાં મુકાય છે તેથી વયમર્યાદા વધારવાની અને મિલકતમાંથી દીકરીને ફારેગ કરવાની વાત જુદા જુદા સમાજના મોવડીઓ દ્વારા અધિવેશનમાં વિચારાઈ છે. આમાં સામાજિક જાગૃતિ પડઘાય છે તેનો આનંદ છે, પણ આ વિચારણામાં કેટલુંક કાચું કપાતું હોવાનું પણ લાગે છે. આખી વાતમાં માબાપને નારાજ કરીને દીકરી પરણે છે તે સંદર્ભે જ વિચાર થયો હોવાનું લાગે છે. મોટે ભાગે તો દીકરી માબાપને નારાજ કરીને પરણવા ઇચ્છતી હોતી નથી, પણ માબાપને મુરતિયા સંદર્ભે જાતિ, જ્ઞાતિ, સ્ટેટસ સંદર્ભે વાંધો પડતો હોય છે ને દીકરીને એમાં વાંધાજનક કૈં ન લાગે એ વાત સંઘર્ષનું કારણ બને છે. એવું શક્ય છે કે દીકરીને 18ની ઉંમરે પ્રેમ થઈ જાય ને તેની પસંદગી ખોટી હોય તો આગળ જતાં પસ્તાવાનું જ થાય. એ સ્થિતિમાં માબાપની મંજૂરી કદાચ તેમના સંતોષ કે ઇગો માટે યોગ્ય ઠરે, પણ હવેની નક્કી થયેલી ઉંમર 21ની હોય તો પણ ભૂલ તો થઈ શકેને ! ને જ્યાં વાત જ પ્રેમલગ્નની હોય ને એ ભૂલ જ હોય તો એ તો માબાપ ઠરાવે તે 25ની ઉંમરે પણ થઈ જ શકે ને તો એવું પણ બને કે દીકરીની પસંદગી તટસ્થ રીતે જોનારને પણ લગ્ન યોગ્ય લાગે ને માબાપને જ તે યોગ્ય ન લાગે તો માત્ર માબાપને યોગ્ય નથી લાગતું એટલે દીકરીએ પ્રેમનો ભોગ આપવાનો? એ યોગ્ય છે?

ધારો કે માબાપની શરતે દીકરી પરણવા તૈયાર થાય ને માબાપે બધું જોઈને દીકરી માટે યોગ્ય સ્થળ જ પસંદ કર્યું હોય ને છતાં લગ્ન નિષ્ફળ જાય તો કોને દોષ દઇશું? એવું જ પ્રેમલગ્ન બાબતે પણ બને ને ત્યારે માબાપ તેમની શરતો થોપે તો તે યોગ્ય થશે? એક વાત સ્પષ્ટ છે કે લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજ સફળ થાય જ એની ગેરંટી કોઈ ન આપી શકે, ત્યાં 25ની ઉંમર કરવાથી કે મિલકતમાંથી ફારેગ કરવાની વાત આગળ કરવાથી ઝાઝો ફરક નહીં પડે. જો માબાપ પોતાની જ મિલકત હોય તો તેમાંથી દીકરાને કે દીકરીને મિલકત આપી શકે એમ જ તેમાંથી બાકાત પણ તેઓ કરી શકે. પણ, ઘણે વખતે દીકરીનો મિલકતમાં ભાગ કાયદા દ્વારા નક્કી થયો હોય તે અધિકાર આ નિમિત્તે ફરીથી છીનવવાનો માબાપ પ્રયત્ન કરે તો તે ઠીક નથી. આમ તો આ આખું સંમેલન દીકરીને ફસાવનારને પાઠ ભણાવવા યોજાયું હતું, પણ એમાં દીકરીને અધિકારથી વંચિત કરવા જેવું પણ થાય છે તે ભૂલવા જેવું નથી. એક વાત સ્પષ્ટ છે કે દીકરીએ કાનૂની રીતે પ્રેમલગ્ન કરી જ લીધાં હોય ને તેનો પતિ તેને ફસાવી જ ચૂક્યો હોય ત્યાં માબાપની મંજૂરી હોય કે ન હોય કે દીકરી 25 વર્ષની હોય કે તેથી વધુ ઉંમરની હોય કે તેને ભાગ અપાય કે ન અપાય તો શું ફેર પડશે? જે ઘટવાનું હતું તે તો ઘટી જ ચૂક્યું છે. એ સ્થિતિમાં દીકરીને માબાપ તરફથી તકલીફ ન વધે ને તેની પડખે રહેવાય એટલું થઈ શકે તો તે વધારે અગત્યનું છે.

હવે એ પણ વિચારીએ કે દીકરીએ પૂરી સમજથી યોગ્ય પાત્ર શોધ્યું હોય ને માબાપને તે અનુકૂળ ન જ આવતું હોય તો ઉપર જે નિયમો સહી મેળવવાના કે મિલકતમાંથી ફારેગ કરવાના નક્કી થયા છે તે દીકરીના હિતમાં હશે? ત્યાં દીકરીને આવાં નિયમો ઉપકારક નીવડશે? બીજી મહત્ત્વની વાત એ કે આ આખી વિચારણામાં દીકરો પ્રેમલગ્ન કરીને આવે તો તેને માટે કોઈ વિચાર આ સંમેલનમાં થયો નથી. એટલે અંશે આ સંમેલન એકતરફી ને પૂર્વગ્રહયુક્ત વધારે લાગે છે. દીકરો એવી પુત્રવધૂને લાવે જે કોઈ રીતે કુટુંબને માફક આવે એમ જ ન હોય તો જે તકલીફ નવી વહુના આવવાથી થાય તે અંગે કશુંક વિચારવા જેવું ખરું કે કેમ? દીકરી તો પરણીને સાસરે જતી રહે ને વહુ જો સાથે જ રહેવાની હોય તો દીકરાના પ્રેમલગ્ન જે મુશ્કેલી સર્જે તે અંગે આ સંમેલનમાં કોઈ વાત થયાનું બહાર આવ્યું નથી. તેવા દીકરા માટે માબાપની પૂર્વ મંજૂરીની કોઈ જરૂર ખરી કે કેમ? કે તેને મિલકત સંબંધી કોઈ નિયમ લાગુ કરવાનો કે નહીં? આ બાબતે કોઈ વિચારણા કરવાની જરૂર કોઈને જ નથી લાગી એનું આશ્ચર્ય છે.

છેલ્લે એક ગમ્મત !

સરકારે દીકરી કે દીકરાની લગ્નની ઉંમર 21 કરીને સમાનતા ને પરિપક્વતા તો પ્રમાણી, પણ બંનેને મતાધિકાર 18ની ઉંમરે ચાલુ જ રાખ્યો છે. જો 18ની ઉંમરે સરકારો ચૂંટવાની પરિપક્વતા યુવક યુવતીમાં આવી જતી હોય તો લગ્ન કરવાની પુખ્તતા ન આવે એવું, કેમ? જો પુખ્ત ઉંમરે લગ્નની પક્વતા ન આવતી હોય તો સરકાર ચૂંટવાની આવે એવું કઇ રીતે માનવું? એવું તો નથી ને કે પુખ્તતાને અભાવે જ સરકારો ચૂંટાતી આવે છે ને તેનાં પરિણામો પ્રજા ભોગવે છે?

વિચારીએ –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2022

Loading

ગર્લ નં. 166 : મુંબઈની બાળકીનો ઉકેલાયેલો કેસ!

કિરણ કાપુરે|Opinion - Opinion|28 August 2022

આ મહિનાના શરૂઆતમાં મુંબઈના દાદાભાઈ નવરોજી નગર પોલીસ સ્ટેશનમાં આવેલી એક ખુશખબર પૂરા મુંબઈમાં પ્રસરી અને તે પછી દેશના કેટલાંક અખબારોએ પણ તેની નોંધ લીધી. ન્યૂઝ હતા એક બાળકીનાં, જે છેલ્લા 9 વર્ષ અને 7 મહિનાથી ગુમશુદા હતી, જે હવે તેનાં પરિવારને મળી ચૂકી છે. બાળકીનું નામ છે પૂજા ગૌડ અને અત્યારે તેની ઉંમર છે સોળ વર્ષ. પૂજા ગૌડ ગુમ થઈ અને મળી તેમાં એક નામ વારેવારે સામે આવ્યું તે મુંબઈના રિટાયર્ડ પોલીસ ઓફિસર રાજેન્દ્ર ધોન્ડુ ભોસલેનું.

22 જાન્યુઆરી 2013ના રોજ પૂજા શાળા જતાં સમયે ગુમ થઈ અને તે પછી સતત તેની શોધખોળ થતી રહી પણ તેનો કોઈ પત્તો ન લાગ્યો. પૂજાએ તે દિવસે બ્લ્યૂ કલરનો ફ્રોક પહેર્યો હતો. દાદાભાઈ નવરોજીનગર પોલીસ સ્ટેશનની હદમાંથી 2008થી 2015 વચ્ચે 166 બાળકીઓ ગુમ થઈ હતી. તેમાંથી 165 બાળકીઓને રાજેન્દ્ર ભોસલે અને તેમની ટીમે શોધી કાઢી; પરંતુ પૂજાની કશી જ માહિતી તેઓ મેળવી શક્યા નહીં. પૂજા નહીં મળવાનો અફસોસ રાજેન્દ્ર ભોસલેને હરપળ સતાવતો હતો અને તેથી તેઓ ઑનડ્યૂટી હોય કે ઑફડ્યૂટી તેનો ફોટો સાથે રાખતા. નિવૃત્તિ પછી પણ રાજેન્દ્રએ પૂજાને શોધવાના પ્રયાસ ચાલુ રાખ્યા. રાજેન્દ્ર ભોસલેના આ પ્રયાસને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે 2015માં વિગતે કવર કર્યો છે, અને તેમાં પૂર્વ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પૂજા વિશે કહે છે કે, “હું બાળકીની આંખોને બરાબર ઓળખું છું. તે મારી સામે આવે તો તરત ઓળખી લઉં. મારા મગજમાં તેના ચહેરાની છબિ જડાઈ ગઈ છે.”

2011માં રાજેન્દ્ર ભોસલેને તેમના પોલીસ સ્ટેશનમાં મિસિંગ બ્યૂરોની જવાબદારી સોંપવામાં આવી. અહીંયા ગુમ થનારાંઓમાં પુરુષ-મહિલા હતાં, પણ રાજેન્દ્ર અને તેમની ટીમ માટે વધુ અગત્યના મિસિંગ બાળકો હતાં. સામાન્ય રીતે મુંબઈના માર્કેટસ્થળેથી, ચાલીછાપરાંઓમાંથી બાળકો શાળાએ જતાં કે ઘરની બહાર રમતાં ગુમ થાય છે. ભોસલે અને તેમની ટીમના હાથમાં જ્યારે આ જવાબદારી આવી ત્યારે તેમણે નિર્ધાર કર્યો કે ગુમ થયેલું દરેક બાળક પોતાના ઘરે પાછું ફરવું જોઈએ. રાજેન્દ્ર પર જાણે બાળકોને શોધવાનું ઝનૂન સવાર રહેતું, તેઓ હંમેશાં બાળકોની તપાસમાં ઝીણામાં ઝીણી માહિતી નોંધી રાખતા. પહેલાં તો તેમના સહઅધિકારીઓને લાગ્યું કે રાજેન્દ્રને બાળકોને શોધી લાવવાનું ઉપરથી દબાણ છે, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે તે બાળકોના કેસિસ સાથે ઇમોશનલી જોડાયેલા છે. પૂજાનો મિસિંગ નંબર 166 પડ્યો હતો. પછી તેમના માટે આ મિસિંગ ગર્લ નંબર નહોતો, બલકે તેઓ કહેતા કે હું મારી દીકરીને શોધી રહ્યો છું.

પૂજા જે રીતે ગુમ થઈ તેની સ્ટોરી તેમણે તપાસ દરમિયાન અનેક વાર સાંભળી અને જ્યાંથી તે ગુમ થઈ ત્યાં સ્પોટ પર કલાકો સુધી બેસતા. તેઓને મનોમન થતું કે પૂજા એક દિવસ જરૂર મળશે. પૂજા જે દિવસે ગુમ થઈ તે દિવસે સવારે પોતાના ભાઈ રોહિત સાથે શાળાએ જવા નીકળી હતી. અંધેરીના કામા રોડ મ્યુનિસિપલ શાળાએ આ બંને ભાઈ-બહેનો ચાલતાં જતાં. શાળાએ જતી વેળાએ દાદા દસ રૂપિયા આપે જેને બંને બાળકો સરખે હિસ્સે વહેંચતાં. જે દિવસે તે ગુમ થઈ તે દિવસે ભાઈએ પૂજાને હિસ્સો આપ્યો નહોતો. રોહિતે કહ્યું પણ ખરું કે તને હું રિસેસમાં પાંચ રૂપિયા આપીશ પણ પૂજા ન માની અને તે શાળા નજીક આવેલી એક જગ્યાએ બેસી રહી. શાળાએ જવામાં પહેલેથી બંનેને મોડું થઈ ચૂક્યું હતું એટલે રોહિત શાળાના ગેટમાં પ્રવેશી ગયો. પણ પૂજા બહાર રહી અને પછી તે ક્યાં ગઈ તે કોઈ જાણતું નહોતું.

પૂજા ગુમ થઈ તે પછીનાં બે વર્ષ દરમિયાન રાજેન્દ્ર ભોસલે અવારનવાર પૂજા જ્યાંથી ગુમ થઈ હતી, તે સ્પોટ પર જતા. પૂજા છેલ્લે જ્યાં બેસી હતી ત્યાં જ બેસીને તેનાં સ્તરે ત્યાંથી પૂરી દુનિયાને નિહાળતા. બાળકોની જેમ વિચારી પણ જોયું કે કોઈ પૈસા ન આપે તો બાળક શું કરે. પરંતુ આ કેસ કોઈ રીતે ઉકેલાતો નહોતો. સ્પોટ પર જઈને માત્ર રાજેન્દ્રને સંતોષ નહોતો, બલકે તેની ઝીણી ઝીણી વિગત નોંધીને રાખવાનો પણ તે નિયમ પાળતા. આ માટે તેમણે એક ડાયરી રાખી હતી. આ ડાયરીને ‘મિસિંગ ડિટેક્શન ગ્રંથ’ એવું નામ સહકર્મચારીઓએ આપ્યું હતું. તેમાં બ્લ્યૂ અને કાળી પેનથી મિસિંગ બાળકોની બધી વિગત ટપકાયેલી મળતી. કયા કેસમાં શું અપટેડ છે અથવા તો કોઈ માહિતી મળી હોય તો તેમાં અચૂક તેમાં લખેલી હોય. અને જે બાળકો મળી જતાં તેની નોંધ તેમાં લાલ પેનથી કરતા.

આજના ટેકનોલોજીના યુગમાં ય રાજેન્દ્ર ભોસલેએ ફિલ્ડમાં જઈને કેસ તપાસવાની પ્રાથમિકતા રાખી હતી. 2008માં જ્યારે તેમના પોલીસ સ્ટેશનના હદમાં 47 નાનાં બાળકો, 25 બાળકીઓ અને 45 મહિલાઓ મિસિંગ હતી ત્યારે તેમણે ચાલતાં ચાલતાં જ બધી તપાસ કરવાનો આગ્રહ રાખ્યો. સીધા લોકો પાસે જવાનું અને તેમની સાથે વાતચીત કરવાની. દુકાનદારો, ગૃહિણીઓ, પાનનાં દુકાનવાળા, સમાજસેવકો, મોબાઈલ દુકાનદારો અને બેકરીવાળા પાસેથી તેમને હંમેશાં અગત્યની માહિતી મળી છે. રાજેન્દ્રને આ બધામાં બેકરીવાળા પાસેથી સૌથી વધુ માહિતી મળી, કારણ કે મુંબઈમાં સૌને પાંવનું વળગણ રહ્યું છે અને દરેક ધર્મ, દરેક વર્ગની વ્યક્તિ બેકરીમાં અવારનવાર આવે છે. આ ઉપરાંત, મોચી પણ રાજેન્દ્રના બેસ્ટ ઇન્ફોર્મર રહ્યા છે. એક કિસ્સામાં જ્યારે રાજેન્દ્ર ભોસલે સલૂનવાળા પાસે મિસિંગ છોકરાનો ફોટો લઈ ગયા ત્યારે તેણે તરત કહ્યું કે, “અપની આઇટમ કે ઘર પે હોગા, ફોન મેં ઉસકા ફોટુ થા.” તપાસ કરતાં તે બાળક સલૂનવાળાએ કહ્યું હતું એ જ જગ્યાએ મળ્યું.

પૂજાને શોધવાના તેમના પ્રયાસ એ હદ સુધીના હતા કે તેઓ પૂજાના પરિવાર સાથે ઘરોબો કેળવી ચૂક્યા હતા. ઘણી વાર તો પૂજાના કેસમાં તેમને નિરાશા આવે તો પૂજાના પિતા સંતોષને મળવા જતા, જે સિનેમા હોલની બહાર સિંગ વેચતા હતા. સંતોશ ગૌડની દિવસની કમાણી માત્ર ત્રણસો રૂપિયાની હતી, તેઓ પોલીસને કશું આપી શકે એમ નહોતા, તેમ છતાં રાજેન્દ્ર તેમના માટે દિવસરાત એક કરી રહ્યા હતા. એક સમયે તો રાજેન્દ્ર ભોસલે અને પૂજાના પિતાએ મુંબઈ શહેરમાં જગ્યાએ જગ્યાએ પૂજાના પોસ્ટર્સ લગાવ્યા હતા. જો કે પૂજાના ગુમ થયા બાદ વર્ષો સુધી આ કવાયત કર્યા છતાં તેની માહિતી રાજેન્દ્ર ભોસલે પાસે ન આવી. અને પૂજાના પિતાનું પણ આ દરમિયાન અવસાન થયું.

22 જાન્યુઆરી 2013ના રોજ પૂજા જ્યારે ઘરેથી તેના ભાઈ સાથે શાળાએ જવા નીકળી ત્યારે હેરી જોસેફ ડિસોઝા નામની વ્યક્તિએ તેને જોઈ. હેરી અને તેની પત્ની સોનીને ઘણાં વખતથી કોઈ બાળક થતું નહોતું, ત્યારે તેણે પૂજાને જોઈને વિચાર્યું કે આ અમારી દીકરી બની શકે! અને ત્યાંથી તેનું અપહરણ કર્યું. અત્યારે હેરીએ તપાસમાં આ સ્ટોરી મુંબઈ પોલીસને જણાવી છે. તે વખતે પૂજાની ખૂબ શોઘખોળ થઈ, પોલીસ એક્ટિવ થઈ અને મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ એટલે હેરી ડિસોઝાએ પૂજાને તેના કર્ણાટકના મૂળ ગામ રાઈચૂરની એક હોસ્ટેલમાં મૂકી દીધી. ત્રણ વર્ષ પછી આ દંપતીને એક બાળક થયું અને પૂજાને પણ પોતાની પાસે મુંબઈ લઈ આવ્યાં. જો કે પૂજાનો અને પોતાના બાળકનો ખર્ચ આ દંપતીને પોસાતો ન હોવાથી પૂજાને તેમણે એક બેબીસિટરને ત્યાં જોબ પર રાખી. સાથે તેઓ અંધેરીના એ જ વિસ્તારમાં રહેવા આવ્યા જ્યાં પૂજાનો પરિવાર રહેતો હતો. પૂજા એ વિસ્તારમાં જ હરતી-ફરતી પણ તેને કોઈ ઓળખી શક્યું નહીં કારણ કે આ દરમિયાન તે મોટી થઈ હતી.

પૂજા જ્યાં બેબીસિટર તરીકે જતી ત્યાં તેનો સંવાદ એક-બે વ્યક્તિ સાથે થયો અને ઘરમાં તેની સાથે થતાં વ્યવહારની વાત તેણે તેમને જણાવી. પૂજાને એમેય લાગ્યું કે તે દંપતીની દીકરી નથી કારણ કે એક વખતે હેરી ડિસોઝાએ નશામાં પૂજાને એમ કહ્યું હતું કે તેને 2013માં ક્યાંકથી લઈ આવ્યો છે. બેબીસિટરમાં પૂજાની સાથે કામ કરતી એક મહિલાએ ગૂગલમાં પૂજાનું નામ અને વર્ષ 2013 એમ નાંખ્યું. અને તરત જ ગૂગલમાં પૂજાના પોસ્ટરના રિઝલ્ટ મળ્યાં, જે પોસ્ટર્સ તેના પિતા અને એ.એસ.આઈ. રાજેન્દ્ર ભોસલેએ શહેર ભરમાં લગાવ્યા હતા. પોસ્ટર જોતાં પૂજાને બધું યાદ આવી ગયું અને તેમાં આપેલાં પાંચ નંબર પર એક પછી એક ફોન કોલ લગાવ્યો. છેલ્લે તેમાંથી એક નંબર લાગ્યો તે પૂજાના પાડોશી રફીકનો હતો. રફીક પર અગાઉ પણ આવા અનેક કોલ આવી ચૂક્યા હતા, તેથી રફીકે પહેલાં ફોટોગ્રાફ્સ મંગાવ્યા તે પછી વીડિયો કોલ પર વાત કરી. રફીકને લાગ્યું કે આ પૂજા જ છે. રફીકે તેના કાકા, માતા અને પરિવારને તેનો ફોટો બતાવ્યો અને સૌ ચોધાર આંસુએ રડી પડ્યાં. પૂજાને તેમણે ઓળખી. પોલીસે ડિસોઝા દંપતીની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ થઈ રહી છે. આ ખબર રાજેન્દ્ર ભોસલે પાસે પણ પહોંચી ત્યારે તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે, “મેરી પૂજા મિલ ગઈ.” ગૌડ પરિવારમાં પૂજાના મળવાથી ઉજવણીનો માહોલ છે અને રાજેન્દ્ર ભોસલેના ઘરે પણ પૂજાના મળવાથી એક ક્રમ બદલાયો છે. રોજ તેમના ઘરે જમતી વેળાએ અને રાતરે સૂતી વખતે પૂજા મળી જાય તેવી ઈશ્વર પ્રાર્થના થતી, હવે તેઓની પ્રાર્થના આભાર વ્યક્ત કરતી હશે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,3691,3701,3711,372...1,3801,3901,400...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved